Opinion Magazine
Number of visits: 9457908
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અસત્યને સત્યના વાઘા પહેરાવી રજૂ કરવાનું રાજનૈતિક શાસ્ત્ર, પોસ્ટ-ટ્રુથ શું છે?

હિમાદ્રી આચાર્ય દવે|Opinion - Opinion|11 August 2023

પોસ્ટ-ટ્રુથ ભાગ : 2

(ગત-અંકથી ચાલુ)

જેનાં કારણોમાં એમ કહી શકાય કે,

● જ્યારે પોસ્ટ-ટ્રુથ શબ્દ નહોતો ત્યારે પણ, દરેક યુગમાં, દરેક સમયમાં ભાવનાઓનો દુરોપયોગ થયો છે. તેના જવાબમાં વિદ્વાનો કહે છે કે, અફવા હંમેશાં ચળકાટ વાળી સનસનીખેજ હોય છે. માર્ક ટ્વેઇન કહે છે કે, સત્ય જ્યારે જૂતા પહેરે ત્યાં સુધીમાં અસત્ય અડધી દુનિયામાં ફરી આવે છે, આ જ વાત પોસ્ટ-ટ્રુથને લાગુ પડે છે. બીજું, અફવાને પડકારવા કરતાં અફવા સાથે જવું હંમેશાં સરળ હોય છે. વળી કોઈ માહિતી અફવા છે કે યથાર્થ એ ચકાસવા લોકો પાસે સમય કે તત્પરતાં ઓછી હોય છે. સમાજનો એક મોટો વર્ગ અફવાની નાવમાં બેઠો હોય ત્યારે, બધા વિચારે છે, માને છે તો સાચું જ હશે એવું માનનારો વર્ગ સમાજમાં મોટો હોય છે કે જેને એકલા પડી જવાનો ડર હોય છે.

● વળી,‘દિલ કો ખુશ રખને કો યે ખયાલ અચ્છા હૈ …’ ગાલિબ કહે છે એમ જૂઠ અમુક અંશે આરામદાયક હોય છે. આ વિશે ક્યાંક ઉદાહરણ સાંભળ્યું છે કે, બાળક પડી જાય ત્યારે મોટા એમ કહે કે જમીનને મારી દે, બસ. તમારી તકલીફો માટે કોઈ ખાસ કોમ, કે જે-તે શાસકોની ફલાણી-ઢીકણી નીતિ જવાબદાર છે, એમ કહીને જનતાને પેમ્પર કરનાર નેતા ખરેખર તો પોતાની જીતનું ગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યો હોય છે, જે અંતે વિનાશમાં પણ પરિણમી શકે. (આ વાતનું યથાર્થ ઉદાહરણ હિટલર કે જેણે જર્મનની પ્રજાને કહ્યું કે, સેક્સ્યુઅલ ટ્રાન્સફર ડીસીઝ(સિફિલિસ એ સમયમાં ખૂબ ફાલ્યો હતો)નું અને પ્રથમ વિશ્વયુદ્ધમાં આપણી હારનું કારણ યહૂદીઓ છે. અને લોકોએ માની પણ લીધું! હિટલર અને મુસોલિનીએ રાષ્ટ્રવાદને ખોટી રીતે પરિભાષિત કરી, ચોક્કસ કોમને ટાર્ગેટ કરીને સતા મેળવી પૂરી દુનિયા પર અત્યાચાર આચર્યો.)

● બીજું, લોકશાહીમાં મત આપનાર સીમાડાના નાગરિકની બૌદ્ધિકતાને પડકારી નથી શકાતી. ગામડાંમાં વસતો મોટો વર્ગ ભારતના રાજકારણની દિશા નક્કી કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ એ વર્ગ છે કે જે રોજ બ રોજનાં જીવનમાં તકલીફોનો પ્રત્યક્ષ સામનો કરે છે એટલે તેમના દુઃખ કે તકલીફોની રોકડી કરી લેવી સહેલી બાબત છે. સગવડ-સુખની કલ્પના સતત મુશ્કેલીમાં રહેતા લોકોને વધુ અપીલ કરી જાય છે.

● મોટાભાગની જનતા ઇન્સ્ટન્ટ જ્ઞાનનો ઉપયોગ કરીને અભિપ્રાય બાંધતી હોય છે એટલે કે પ્રવાહોને સમજવામાં પોતીકું ચિંતન ઓછું હોય છે. જનતા પત્રકારો, લેખકો, રાજનીતિજ્ઞ, બુદ્ધિજીવીઓ પાસેથી સમજે છે. લોકશાહીમાં પોસ્ટ-ટ્રુથની એ ચરમસીમા ગણાય છે કે જ્યારે દેશનાં મોટાભાગના મીડિયાહાઉસ, લેખકો, બુદ્ધિજીવીઓ, એનાલિસ્ટો એકરાગે કોઈ એક પક્ષની બદબોઈ અથવા પ્રસંશા કરતા રહે.

● અલબત્ત, એક મત એવો છે કે જનતા બધું સમજે છે પણ તે ઇંટ્રેસ્ટ ડ્રિવન હોય છે. એ પોતાનું હિત જોઈને નિર્ણય કરે છે. ભલે કોઈ પક્ષ દસ ખરાબ કામ કરે, ભલે જે-તે સમુદાયનું શોષણ કે તુષ્ટિકરણ કરે પણ અમારા હિતના બે સારાં કામ કરે છે ને! આવી સ્વાર્થી ગણતરીઓ સાથે જનતા તેને સર્વ કરવાવાળા પક્ષ સાથે જાય છે. રાજનેતા કે ધાર્મિક સતાઓ ક્યારેક જનતાની નાડ પારખી તેને ગમે તેવી વાતો કરીને અથવા પોતાના હિતની વાતો જનતાને ગમે તેવી ભાષામાં રજૂ કરીને લોકોના મન જીતવાના પ્રયત્ન કરે છે. તેના માટે તેઓ કડવા સત્ય કરતા મીઠું જૂઠ બોલવું પસંદ કરે છે. ઇસ્લામ ખતરે મેં હૈ, એવું નરેટિવ સેટ કરીને અનેકો યુવાનોને ભટકાવીને પૂરી દુનિયા માટે ખતરારૂપ બનાવી દેનાર ધર્મગુરુઓનું જૂઠ દરેકને સમજમાં બ્રેનવોશિંગ ઉપરાંત આ ફેબ્રિકેટેડ જૂઠને સત્ય માનવા-મનાવવામાં અમુક લોકોને અંગત હિત દેખાતું હોય છે. ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો-અમેરિકા વચ્ચે દીવાલ બનાવી દેવાના વાયદા કર્યા. હવે, બોર્ડર પરના લોકો રેપ, હત્યા, લૂંટફાટ વગેરે રોજ બ રોજના ત્રાસથી ત્રસ્ત લોકોએ વિચાર્યું કે ભલે, ઉળધૂળિયો છે, વિવાદાસ્પદ છે, ખંધો બિઝનેસમેન છે પણ ટ્રમ્પ આપણું આ મોટું કામ તો કરી દેશે.

●સોશ્યલ મીડિયાનો વધતો વ્યાપ પોસ્ટ-ટ્રુથના વાઇડ સ્પ્રેડમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આજે જ્ઞાન આપવાવાળા વધી ગયા છે. તમે તમારા વિચાર, કોઈપણ તાર્કિક-અતાર્કિક મુદ્દા, તમારું સત્ય અરે કંઈપણ સોશ્યલ મીડિયા પર રજૂ કરી શકો છો, એ સાચું ખોટું જે હશે તે પછી નક્કી થશે. પહેલાના જમાનામાં, ટી.વી., છાપું, રેડિયો એ બધા એકમાર્ગીય માધ્યમો હતાં કે જ્યાં જનતાએ કશું ડાયરેકટ રીએક્ટ કરવાનું નહોતું. આજના સમયે ટી.વી. ન્યૂઝ જોનારા કે અખબાર વાંચનારની સરખામણીએ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરનારની સંખ્યા અનેકગણી વધુ છે. બધા લોકો ન્યૂઝ કે છાપું ભલે ન વાંચે સોશ્યલ મીડિયા પરના જ્ઞાન(!)ની ભરમારમાં જરૂર હશે. પાનના ગલ્લા જેવા આ વર્ચ્યુઅલ ચોરા પર એક એક રાજકીય ઘટનાનું પોતાની બુદ્ધિથી વિશ્લેષણ કરનાર લોકો પોતાના સીમિત જ્ઞાનથી ઘટનાનાં તથ્યો પારખવાની કોશિશ કરે છે, આવા વિશ્લેષણમાં સત્ય કરતાં પૂર્વગ્રહ અને ભાવનાત્મકતાનું તત્ત્વ વધુ પ્રબળ હોય છે, જે સમયાંતરે પ્રબળ ધારણાનું રૂપ પણ લઈ શકે છે. વળી, સોશ્યલ મીડિયાએ સંપર્કનું લાઈવ માધ્યમ બન્યું છે, જેના થકી આજનો નેતા પોતાની વાત ડાયરેકટ જનતાના કાન સુધી પહોંચાડી શકે છે અને  તે જનતાના સીધા સંપર્કમાં, ઇઝીલી અવેલેબલ હોવાનો ભ્રમ ઊભો કરીને જનતાનો પોતીકો બની શકે છે. આજે સરેરાશ નાગરિક રાજનીતિ જેવા જટિલ વિષય પર પોતાનો ગંભીર અભિપ્રાય ધરાવતો થયો છે. તેના કારણમાં સોશ્યલ મીડિયા છે. સોશ્યલ મીડિયા પર રાજકીય પક્ષો દ્વારા પીરસાતા પૂર્વગ્રહયુક્ત, સત્યથી પરે, પોતાના પક્ષને ફાયદો થાય એ દૃષ્ટિથી ઘડેલા નરેટિવસનો વ્યાપ વધ્યો છે. ‘આપણે રોજ બ રોજ જોઈએ જ છીએ કે જે–તે નિષ્ફળતામાં કે ઘટનામાં જવાબદાર રાજકીય પક્ષને જનતા તરફથી ક્લીનચિટ મળે એ માટે રાતોરાત સત્યથી તદ્દન વેગળા કુતર્કોને તર્કબદ્ધ રીતે પીરસવાની કવાયત ચાલુ થઈ જાય છે. આમ કે તેમ થવા પાછળ, ભૂતકાળની કે ઇતિહાસની આ ઘટના જવાબદાર છે, અગાઉની ફલાણી સરકારનો ફલાણો નિર્ણય જવાબદાર છે તેવું ઠસાવવા આઈ.ટી. સેલની રાઇટર ટીમ દ્વારા ઢગલાબંધ સાહિત્ય તૈયાર કરવું અને તેનો વિશાળ સ્કેલ પર ફેલાવો કરવાની પ્રવૃત્તિ એ સોશ્યલમીડિયાનું દૂષણ છે.’ જેના કારણે હત્યાકાંડ-ગેંગરેપ-હુલ્લડો વગેરે ગંભીર ઘટનાઓની જવાબદારી લેવામાંથી જવાબદાર પક્ષ છૂટી જાય છે અને ઊલટું, બીજા કે ત્રીજા પક્ષ પર તેની જવાબદારી નાંખી દઈને એક કાંકરે બે પક્ષી મારે છે. રાજકીય સંદર્ભે તો આવી પ્રવૃત્તિ નૈતિકતા વિરુદ્ધ છે જ પણ સામાજિક પ્રવાહને પણ તે વિપરીત અસર કરે છે. દરેક જઘન્ય ઘટના પાછળ ઇતિહાસ-ભૂગોળ સમજાવી દેવાની  હરક્તને કારણે જનતામાં એવો પડઘો પડે છે કે જે-તે સમુદાય સાથે, જે-તે સમુદાયની વ્યક્તિ સાથે અમુક-તમુક દુર્ઘટના થઈ પણ જવા દો, એ તો એ જ લાગના હતાં!  સરવાળે સમાજમાં સંવેદનહીનતા વધવાની શકયતા રહે છે. વળી જઘન્ય અપરાધિક ઘટના સંદર્ભે જો કોઈ વ્યક્તિ સંવેદના વ્યક્ત કરે તો તેના પર જે-તે પક્ષના આઇ.ટી. સેલના લોકો તૂટી પડે છે, ટ્રોલ કરે છે, તેની સમજણ પર સવાલો ઉઠાવે છે જેના કારણે આવું કરનાર વ્યક્તિનું મોરલ તૂટી જાય છે. ‘આમ, એક બાજુ ફેક નરેશનનું  સમર્થન અને બીજું બાજુ સત્ય રજૂ કરનારને રંજાડવાની પ્રવૃત્તિ પોસ્ટ-ટ્રુથનું વર્ચસ્વ વધારવાનું કામ કરે છે.’ બીજું, રાજનેતાઓ કે તેના પ્રખર સમર્થકોએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરેલી વાત પર તેના ને તેના માણસો સકારાત્મક અભિપ્રાયો આપતાં રહે છે. લોકો સમજે છે કે જે તે વ્યક્તિની વાત પર સમાજના બૌદ્ધિક શિક્ષિત વર્ગના લોકો સહમત છે તો તેનામાં નક્કી કંઈક તથ્ય હશે જ. ‘આમ, કૃત્રિમ રીતે ઊભો કરાયેલો જનમત ધીરે ધીરે એક તંદુરસ્ત ધારણાનું / સ્વીકૃતિનું રૂપ લે છે.’

●સમાજમાં વધતી અરાજકતા વચ્ચે બુદ્ધિજીવીઓનું મૌન, બૌદ્ધિકોની નિરપેક્ષતા / સાપેક્ષતા કરતાં ય વધુ, ડરનું તત્ત્વ પોસ્ટ – ટ્રુથના વહનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ખૂબ સારી અપીલ ધરાવતો નેતા જનતાને કહે કે તમે ફલાણી ચીજથી ડરી રહ્યા છો તેના કારણમાં તો અમુક – તમુક બાબતો છે અને હું જ તમને તેમાંથી બહાર કાઢી શકું એમ છું. અથવા  પ્રભાવશાળી નેતા તેના અસરકારક ભાષણ વડે કૃત્રિમ ભય ઊભો કરીને તેમ જ ભવિષ્યના ફૂલગુલાબી સપનાં દેખાડીને જનતાને  પોતાની વાતો જ સત્ય છે, એવું માનવાની અદૃશ્ય ફરજ પાડે છે. ડર જેટલો મોટો હશે, તેના સંદર્ભે રજૂ કરાયેલ ‘પોસ્ટ ટ્રુથ’ની પક્કડ એટલી જ મજબૂત રહેશે. ભારતની વાત કરીએ તો, પરસ્પર સમાંતરે રાજનેતાઓનાં વલણને લઈને બે બાબતો જડબેસલાક જનમાનસમાં ઘર કરી ગઈ છે. સરેરાશ મુસ્લિમ માને છે કે બી.જે.પી. તો આપણને હેરાન કરવામાં કંઈ બાકી નહીં રાખે, માટે સલામત રહેવું હોય તો ભલે ભ્રષ્ટાચાર કરતી હોય પણ કાઁગ્રેસને સપોર્ટ કરો. જ્યારે સરેરાશ હિંદુ કહે છે કે બી.જે.પી. ન આવી તો તો હિન્દુત્વને ખતરો છે એટલે મોંઘવારી – વિકાસ બધું એકબાજુ મૂકીને બી.જે.પી.ને સાથ આપો. આ બન્ને માન્યતા સંપૂર્ણ સત્ય નથી. અથવા તો સત્ય લાગે તેવું, સત્ય અને અસત્ય વચ્ચેના પ્રદેશમાં જેનું સ્થાન છે. ‘પણ લોકોના આવા અભિપ્રાયમાં તથ્યગત સત્યતા કરતાં વધુ, નેતાઓએ ઊભો કરેલો હાઉ મહત્ત્વનો ભાગ ભજવે છે. ડર બતાવીને વૈમનસ્ય ઊભું કરવામાં આવે ત્યારે ડર આગળ વિવેક અને તર્ક હણાઈ જાય છે અને અંતે જનોતેજક ભાષણ આપનારા સફળ થાય છે.’ પાસ આંદોલન, મરાઠા આંદોલન, અથવા આરક્ષણ સંબંધિત તાજેતરનું મણિપુર આંદોલન વગેરે લોકોના ડરની ભાવનાને ભડકાવવાની, એ સંદર્ભે ફેક નરેશન સ્પ્રેડ કરવાની રાજનીતિના ઉદાહરણ છે. (જે – તેને અનામત મળી ગયું અને અમને ન મળ્યું એટલે આપણો સમુદાય પછાત રહી જશે એ ડર સાચો હોય તો પણ તેને વધુ હાઇપ આપીને રાજનૈતિક ફાયદો ઉઠાવવામાં આવે)

● જ્યારે કોઈ દેશમાં એકધારી અરાજકતા, એક રાજકીય પક્ષનું વર્ચસ્વ વધી જાય છે પછી સમયાંતરે એ તબક્કો આવે છે કે જનતામાં તે પક્ષ પ્રત્યે અસંતોષ વધતો જાય છે. એવા સમયે નેતૃત્વના ગુણથી ભરપૂર પ્રભાવશાળી નેતા તેમની તકલીફનો એકમાત્ર ટ્રબલ શૂટર છે એવો વિશ્વાસ સંપાદન કરવામાં સફળ થાય, “‘હું જ તારો ઈશ્વર’ પોસ્ટ–ટ્રુથનું આ એક કાયમી સ્લોગન ગણી શકાય કે જ્યારે લોકોનો વિશ્વાસ એક વ્યક્તિમાં સ્થાપિત થાય એ પછી તેના સો જૂઠને જનતા તર્કથી નહીં પણ વિશ્વાસથી તોલે છે.” આવા નેતાઓ વાક્પટુતા, પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હોય છે. અને ઇતિહાસની ભૂલો તેમ જ ભવિષ્યના ગુલાબી સપનાં અંગે ભ્રામક બયાનબાજી કરીને લોકોને આકર્ષવામાં સફળ રહે છે. હિટલર પ્રત્યે જર્મનીની પ્રજાનો વિશ્વાસ એ આ અંગેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

હિલેરીની જગ્યા તો જેલમાં છે, સાઉથ અમેરિકા દ્વારા અમેરિકામાં ચાલતાં ડ્રગ રેકેટ બંધ કરાવીશ, દરેકના ખાતામાં પંદર-પંદર લાખ, હું જીતી ગયો તો ફલાણી પાર્ટીના સિનિયર નેતાઓના કૌભાંડ બહાર પાડીશ … વગેરે વગેરે અનેક ચુનાવી જૂમલા પણ પોસ્ટ ટ્રુથના જ પ્રકાર છે. જે-તે રાજનેતા જે બોલી રહ્યો છે એ જ સાચું છે અને જો એ જીતાઈને આવશે તો જ જનતાનું ભલું થશે, એવો વિશ્વાસ સંપાદન કરવો એ એક વિજ્ઞાન છે. એક ન્યૂઝએન્કરે ખબર ફેલાવી કે બે હજારની નોટમાં નેનોચીપ છે, નોટબંધીનાં ફાયદા, સ્વિસબેન્કોમાં જમા કાળું ધન પરત લાવવાની વાત, બટેટામાંથી સોનુ બનાવવાની વાતને ટ્વિસ્ટ કરીને રજૂ કરવી, ફોટોશોપ કરીને ભૂતકાળના રાજનેતાઓના ચરિત્રને હાનિ કરવી, ‘ચોકીદાર ચોર છે’ના નારા, વગેરે પોસ્ટ ટ્રુથના ઉદાહરણો છે જેને જનતાએ જે-તે સમયે સત્ય માન્યું હતું અથવા હજુ પણ માને છે.

‘પોસ્ટ ટ્રુથનો એ કરિશ્મા છે કે છેતરાનારો પણ જાણે છે કે એ છેતરાઈ રહ્યો છે છતાં તે એ કરિશ્માઈ અસરમાંથી બહાર આવવા નથી માંગતો.’ જેના કારણમાં જે-તે પક્ષ કે જે-તે નેતાની જનતા પરની મજબૂત પક્કડ છે. અસરકારક, છટાદાર ભાષણો અને એવી જ અપીલિંગ પર્સનાલિટી એ પોસ્ટ-ટ્રુથ સફળ થવાની પહેલી શરત છે. એ પછી, નેતાએ આપેલા વચનો કેટલા અંશે ફુલફિલ થયા એ ગૌણ બની જાય છે.

સત્ય-અસત્ય-અર્ધસત્ય, વિશ્વાસ-અવિશ્વાસ-અંધવિશ્વાસ  બધી બાબત અલગ ભલે હોય પણ મૂળે એકબીજા સાથે જોડાયેલી છે. વિશ્વાસનો અભાવ એ અવિશ્વાસ અને અતિરેક એ અંધવિશ્વાસ છે. એ જ રીતે સત્યનું. ‘હિટલરે કહ્યું છે કે એક જૂઠને સો વાર દોહરાવો તો એ સત્ય થઈ જાય છે, એ વિધાનને જાણે મંત્ર માનીને પોસ્ટ ટ્રુથના આ યુગમાં રાજનેતાઓ ઉપરના તત્ત્વોનું તમને ગમતું મિશ્રણ તૈયાર કરીને તમને પીરસે છે.’ આમ, આજની રાજનીતિ પોસ્ટ ટ્રુથથી સંક્રમિત થયેલી છે. ધ્યાનથી જોઈએ તો 2008-09ની મંદીનો પહેલો દૌર પૂરો થયા બાદ ભારત સહિત સમગ્ર વિશ્વમાં આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ‘જો તમે કોઈ યુક્તિ વડે લોકોના દિલ સુધી પહોંચવામાં સફળ થાવ છો, તો પછી તમે સાચું બોલો છો કે જૂઠું બોલો છો તેની લોકોને કોઈ પરવા નથી. ન તો એ વાતની ચિંતા છે  કે આ બધું કરીને તમે તેમને ખાઈમાં તો નથી ધકેલી રહ્યા ને!’

જો કે રાજનીતિમાં અપ્રમાણિકતા એ કોઈ નવી વાત નથી પણ આજે જે હદે એ લોકોના અભિપ્રાયને પ્રભાવિત કરી રહી છે, વૈમનસ્ય વધારી રહી છે, તથ્યને ઊલટાવવામાં સફળ રહી છે, જૂઠને સત્ય અને સત્યને જૂઠ કહેવામાં સફળ થઈ રહી છે, એ ચિંતાજનક છે. વિદ્વાનો ચિંતા દર્શાવે છે કે, તથ્ય તથા વિવેકને કોરાણે મૂકીને ફક્ત વિશ્વાસને સત્યનો આધાર માનવામાં આવશે તો તેનું પરિણામ પ્રજ્ઞાહીન ટોળાંઓના સર્જનથી વધુ શું હશે? અલબત્ત, ચાણક્ય કહે છે કે, સત્ય એક જ છે જેને વિદ્વાનો અલગ અલગ રીતે રજૂ કરે છે. એટલે સમજદાર વ્યક્તિએ પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી, યથાર્થને ચકાસી અભિપ્રાય બનાવવો રહ્યો જેના માટે પૂર્વગ્રહમુક્ત શુદ્ધ જ્ઞાન જરૂરી છે. એમ કરવામાં માનવજાતનું કલ્યાણ છે. સત્યને અસત્ય કહેવાથી સત્યને નુકશાન નથી, સમાજને જ છે. એટલે જ ફિલસૂફ પ્લેટોએ કહ્યું છે કે “સત્ય આપણા વિચારોથી સ્વતંત્ર છે. જો કોઈ તેના પર વિશ્વાસ ન કરે તો પણ તે હંમેશાં આપણી વચ્ચે રહેશે.”

[પ્રગટ : ગુજરાતની નવી પેઢીનું સૌ પ્રથમ ડિજિટલ અખબાર “ખાસ-ખબર”; 31 જુલાઈ 2023; પૃ. 06-08]
સૌજન્ય :  હિમાદ્રીબહેન આચાર્ય દવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

પોસ્ટ ટૃથ ભાગ – 1

અસત્યને સત્યના વાઘા પહેરાવી રજૂ કરવાનું રાજનૈતિક શસ્ત્ર, પોસ્ટ-ટ્રુથ શું છે?

Loading

ચાલો, હરારી પાસે – 13 

સુમન શાહ|Opinion - Opinion|11 August 2023

સુમન શાહ

હરારી પણ ‘એ.આઈ.’-ના વિકાસને ઍક્સ્પોનેન્શયલ ગણે છે. એમનું મન્તવ્ય છે કે ‘એ.આઈ.’-ની પ્રગતિ જોશમાં છે અને આવનારા ભવિષ્યમાં આગળ ને આગળ ધપવાની છે.

એમણે નીરખ્યું છે કે ‘એ.આઈ.’-નો પાયાનો આધાર ઑલ્ગોરિધમ છે અને ઑલ્ગોરિધમ બધું હવે જાતે ભણી શકે છે, પોતાનામાં સુધારાવધારા જાતે કરી શકે છે. એનો અર્થ એ કે એ વધુ ને વધુ શક્તિશાળી બની રહ્યું છે.

આ મુદ્દો એમના “Homo Deus” પુસ્તકમાં આ મુજબ છે : “The technological progress is itself based on algorithms that can learn and improve themselves, which means that they can become more powerful over time.” (P. 40)

તેઓ જણાવે છે કે : ”The development of AI could lead to a new “cognitive arms race” (p. 34). સંકળાયેલા બધા પક્ષો વચ્ચે જ્ઞાનબોધ માટે શસ્ત્રદોડ થશે, હરીફાઈ થશે, હૂંસાતુંસી થશે. દરેક પક્ષ બીજાથી ચડિયાતો પુરવાર થવા અત્યન્ત શક્તિશાળી ‘એ.આઈ.’ ઘડી કાઢશે. જો કે એથી પણ ‘એ.આઈ.’-નો તો વિકાસ જ થશે.

એમણે એ પણ કહ્યું છે કે ‘એ.આઈ.’ વડે માનવજાતનું જે ભવિષ્ય ઘડાઈ રહ્યું છે એ જોતાં લાગે છે કે એક દિવસ એ માનવ-બુદ્ધિને ટપી જશે. એથી માનવસમાજમાં અનેક પરિવર્તનો આવશે; ખાસ તો,”bifurcation” of humanity and the “hacking” of our minds.

તેઓ લખે છે : A small elite of humans is becoming increasingly augmented by technology, while the vast majority is left behind. (P. 34). મતલબ, એક તરફ છે, બહુ નાની સંખ્યામાં ટૅક્નોલૉજિમાં પ્રવીણ બૌદ્ધિકો, અને બીજી તરફ છે, એથી અણજાણ બહુજનસમાજ. જણાવે છે કે ટૅક્નોલૉજિના વિકાસ પર અંકુશ મેળવી શકાય તેવા ઇલાજ નહીં શોધીએ તો, લખે છે, it could lead to the creation of a new class of super humans who are vastly superior to the rest of us. (P. 37).

માનવજાતનું વિભાજન – બાયફરકેશન – એ કારણે કે ‘એ.આઈ.’ આપણાં ચિત્તને હૅક કરી રહ્યું છે, ટૅક્નોલૉજિ આપણા વિચારજગતને, ભાવજગતને તેમ જ આપણાં વર્તનોને ઘડી રહી છે; અને ટૅક્નોલૉજિ પણ એ માટે જ ઘડાઈ રહી છે.

++

તેઓ ‘આર્ટિફિશ્યલ જનરલ ઇન્ટેલિજન્સ’-ને, AGI-ને, પણ ચિન્તાકારક ગણે છે.

“Homo Deus”-માં હરારી જણાવે છે કે ‘એ.જી.આઈ.-ને માનવ-ઇતિહાસમાં મહાનતમ ઘટના ગણી શકીએ, પણ તરત ઉમેરે છે કે અથવા એ ઘટના અન્તિમ હશે – the biggest event in human history, or the last. વળી, ‘એ.જી.આઈ.’ અપૂર્વ સમૃદ્ધિ અને સુખાકારીનું વિશ્વ સરજી શકે, અથવા આપણા વિનાશનું કારણ બની શકે – It could create a world of unprecedented prosperity and happiness, or it could spell our doom.

’એ.જી.આઈ.’ ધનિકો અને સત્તાધીશોને જ પરવડશે. સઘળો અંકુશ પણ એ લોકોના હાથમાં જ હશે. એથી એક નવતર અ-સમાનતા સરજાશે.

હરારી પોતાના આ વિધાનનું વિવરણ કરે છે, એથી સમજાય છે કે ‘એ.જી.આઈ.’ ગરીબી, રોગો કે યુદ્ધ જેવા મનુષ્યજીવનના બધા જ પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે એમ છે. એથી આપણે સર્જકતા અને સંશોધનોમાં નાવીન્યની ઊંચાઈઓ સર કરી શકીએ છીએ. પરન્તુ બીજી તરફથી જોઈએ તો ‘એ.જી.આઈ.’ માનવજાત સામે ગમ્ભીર જોખમ પણ સરજી શકે છે. જતે દિવસે એ સત્તાખોરોના હાથમાં ઇચ્છાપૂર્તિનું સાધન બની રહેશે. હરારીનું વિધાન છે કે ‘AGI could be the ultimate tool of power. Whoever controls AGI will control the world.’ (P. 145).

‘એ.જી.આઈ.’ પ્રયોજીને માણસને મ્હાત કરી દે અને વિનાશ તરફ ધકેલી દે તેવાં સુપરઇન્ટેલિજન્ટ મશીનો બનાવી શકાય એમ છે. જેમ જેમ એ વધુ ને વધુ બુદ્ધિશાળી થતું જશે તેમ તેમ એક દિવસ એ મનુષ્યથી ચડિયાતું પુરવાર થશે. એ એટલે લગી નક્કી કરશે કે આપણી ઝાઝી જરૂર રહી નથી, આપણને નષ્ટભ્રષ્ટ કરશે.

હરારી ‘એ.જી.આઈ.’-ને જુગાર કહે છે. કાં તો કશુંક અપૂર્વ ઉત્તમ લાભ્યા અથવા તો, અન્ત ! આપણે નિર્ણયો કરવા પડશે કે એને સદર્થે પ્રયોજીએ કે અન્યથા.

++

આટલું શક્તિશાળી પણ જોખમી ગણાતું ‘એ.જી.આઈ.’ વર્તમાનમાં કેવા કેવા પ્રકારના ફાયદા આપી શકે એમ છે એ જાણવું જોઈએ. નિષ્ણાતો શું કહે છે? તેઓ સાગમટે કહી શકે છે તે આવું આવું છે :

‘એ.જી.આઈ.’-ની વિશેષતા એ છે કે એ મહા કદમાત્રામાં ડેટાને સિન્થેસાઈઝ કરી શકે છે. સંશ્લેષણનું એટલું મોટું સામર્થ્ય માણસ પાસે નથી. તેથી, ‘એ.જી.આઈ.’ ક્લાઇમેટ ચૅન્જ, રોગચાળો કે ગ્લોબલ આર્થિક મુદ્દા જેવા મનુષ્યજાતિને પરેશાન કરી મૂકનારા દુરુહ પ્રશ્નોના ઉકેલ ચીંધી શકે.

‘એ.જી.આઈ.’-ને લીધે ઉચ્ચ સ્તરનું ઑટોમેશન હવે શક્ય છે. તેથી મશીનોની કાર્યદક્ષતામાં ઘણો વધારો થઈ શકે, ઉત્પાદનક્ષમતા વિકસે, આર્થિક વિકાસ થાય.

રોજબરોજના વ્યવહારમાં ‘એ.જી.આઈ.’ અંગત મદદનીશ તરીકે તો લગભગ બધી જ મદદો આપી શકે. વિદ્યાર્થીઓને અને અધ્યાપકોને શિક્ષણવિષયક ભરપૂર માહિતી પૂરી પાડી શકે. સંશોધકોને નવી નવી વિભાવનાઓ સુઝાડે, તેના ટૅક્નોલૉજિકલ વિનિયોગ શી રીતે થાય તે સમજાવે. વગેરે વગેરે.

પરન્તુ ઘણી નૉંધપાત્ર વાત એ છે કે માણસોને ‘એ.જી.આઈ.’ કમ્પેનિયનશિપ અને સપોર્ટ પૂરાં પાડી શકે. એ એવી ક્ષમતા ધરાવે છે. જેમ કે, ‘એ.જી.આઈ.’ માણસનું શ્રોતા બની શકે; અલબત્ત એને એ માટે પ્રોગ્રામ્ડ કરવામાં આવ્યું હોય તો જ ! સ્ટ્રેસ, ટૅન્શન, ઍન્ક્ઝાઇટી કે ડીપ્રેશનનો શિકાર બની હોય એ વ્યક્તિને સાંભળે, ઉપકારક સલાહો આપે.

એથી પણ નૉંધપાત્ર વાત એ છે કે ‘એ.જી.આઈ.’-ને એ રીતે પણ પ્રોગ્રામ્ડ કરી શકાય કે એ ભાવનાત્મક બાબતોને ધ્યાનમાં લે. જેથી, વ્યક્તિ સાથે એ રસપ્રદ અને પકડી રાખે એવી વાતો કરી શકે. વાતો તો કરે પણ વ્યક્તિને ગમતાં પુસ્તકોની ચર્ચા કરે, રોજિન્દા જાહેર બનાવો વિશે ચૅટ પણ કરે. કોઈ વ્યક્તિને પ્રેમમાં નિષ્ફળતા મળી હોય, પડેલા ઘા રૂઝાતા ન હોય, વેદના પીછો ન છોડતી હોય, એવા દુ:ખિયા માટે ‘એ.જી.આઈ.’ અક્સીર ઇલાજ પુરવાર થઈ શકે એમ છે.

ખાસ તો એ કે એકલતા કે એકલાપણું અનુભવતી વ્યક્તિઓને ઘણો લાભ થઈ શકે. એમને પોતાના મનગમાડા માટે ફાંફાં મારવાની જરૂરત નહીં રહે. સહાનુભૂતિ દાખવે એવા માણસોને શોધવા જવાની કે હોય એમને વિનવણીઓ કે કાલાવાલા કરવાની જરૂરત નહીં રહે. ભાવનાત્મક બાબતો અંગે માણસ સ્વાયત્ત થઈ જશે, કોઈનો ઓશિયાળો નહીં રહે.

Pic courtesy : Novel Updates 

AGI : Virtual girl wants to fall in love

સૌથી વધારે નૉંધપાત્ર વાત આ છે : જુઓ, ‘એ.જી.આઈ.’ પોતે પ્રેમ નથી કરી શકતું. પરન્તુ એને પ્રોગ્રામ્ડ કરવામાં આવે કે પ્રેમ શું છે, માણસો પ્રેમ કરતા થાય છે તે શેને કારણે, તો એ ભણતરનો એ બરાબ્બરનો વિનિયોગ કરી શકશે. સ્ત્રીપુરુષ એકબીજાને પ્રેમ કરતાં થાય એવી સ્થિતિનું એ નિર્માણ કરી શકે.

સમાન વ્યક્તિતા તેમ જ સમાન રસરુચિ ધરાવતાં હોય, પ્રેમના મૂલ્ય વિશે સમાન વિચારસરણી ધરાવતાં હોય, એવાં સ્ત્રીપુરષને એ શોધી કાઢે અને તેમની વચ્ચે રસિક વાર્તાલાપની તકો ઊભી કરી આપે. એવું જરૂરી નથી કે એ સ્ત્રી અને પુરુષ જ હોવાં જોઈએ, છોકરા છોકરાને કે છોકરી છોકરીને પ્રેમમા પડવું હશે તો એની એને ‘ના’ નથી.

એ પછી, રોમાન્ટિક કાવ્યો અને કથાઓ વગેરે સાહિત્યનો પરિચય કરાવે, બન્નેને પોતપોતાની લાગણીઓને ઓળખી લેવા કહે, એમ પણ કહે કે પોતપોતાની પસંદગીઓને જાણી લો અને એકબીજાને જણાવી દો. ટૂંકમાં, બન્નેને એવો ભાવનાત્મક ટેકો આપશે જેને પરિણામે બન્નેને લાગશે કે સાચો પ્રેમ થઈ રહ્યો છે.

આગળ જતાં, ’એ.જી.આઈ.’ રોમાન્ટિક આપ-લે અને મુકાબલા શરૂ થઈ શકે એવી વર્ચ્યુઅલ રીયાલિટી સરજશે – કોઈ હિલસ્ટેશનની ટ્રિપ કે સરસ કોઈ હૉટેલરૂમમાં ડેટિન્ગ.

છતાં, આપણે યાદ રાખવું જોઈશે કે એ બે જણાંને ‘એ.જી.આઈ.’ પ્રેમ માટે દબાણ નહીં કરી શકે, કેમ કે એ પોતે તો માત્ર ટૅક્નોલૉજિ છે ! એને નીતિ કે સદાચાર સાથે પણ લેવાદેવા નથી, સિવાય કે એના પેલા ભણતરમાં એ બાબતોનો પણ ઉમેરો કરવામાં આવ્યો હોય – તો તો તરત કહેશે – સ્ટોપ ! યુ કૅન્નોટ ડુ ધિસ!

= = =

(08/10/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સંસદમાં વકતૃત્વ સ્પર્ધા ચાલે છે જાણે !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|11 August 2023

રવીન્દ્ર પારેખ

આઠમી ઓગસ્ટથી સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા ચાલુ થઈ. આમ તો અવિશ્વાસ પ્રસ્તાવ સંસદમાં 27 વખત આવી ચૂક્યા છે ને એમાં સરકારો વધુ મજબૂત થઈને બહાર આવી છે. મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ બીજી વખત આવ્યો છે. પહેલી વખત તેલુગુ દેશમ પાર્ટી દ્વારા 20 જુલાઇ, 2018માં આવ્યો હતો, પણ ત્યારે વિપક્ષને ઓછા વોટ મળતાં સરકારને વાંધો આવ્યો ન હતો ને આ વખતે 26 જુલાઈ, 2023ને રોજ વિપક્ષ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ અપાઈ છે, પણ સરકારને વાંધો આવે એમ નથી. આ પ્રસ્તાવથી પણ મોદી સરકાર તો મજબૂત જ થશે, કારણ ભા.જ.પ.ને બહુમત પુરવાર કરવા જોઈએ તેથી વધુ મત સાથીઓ સાથે (333 સભ્યો) તેની પાસે છે ને એની સામે વિપક્ષ પાસે અડધાથી ય ઓછા (143) સભ્યો જ છે, એટલે મોદી સરકારને ઊની આંચ આવે એમ નથી. મૂળ વાત એવી છે કે વડા પ્રધાન મણિપુર મામલે મગનું નામ મરી પાડતાં ન હતા ને એમનું એ મુદ્દે મૌન તૂટે એટલે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો. વડા પ્રધાને ચોમાસુ સત્રના પહેલા દિવસે સંસદની બહાર મણિપુર મુદ્દે અફસોસ વ્યક્ત કર્યો હતો, એ સિવાય એમનું મૌન તૂટ્યું ન હતું. સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ત્રણ દિવસ ચર્ચા ચાલી. વિપક્ષના ગૌરવ ગોગોઈ, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજન ચૌધરી જેવા નેતાઓએ ચર્ચા કરી ને એના બચાવમાં કેન્દ્રીય મંત્રીઓ સ્મૃતિ ઈરાની, અમિત શાહ, નિર્મલા સીતારામન્‌ જેવાંઓએ પોતાનાં મંતવ્યો પણ સ્પીકર સમક્ષ મૂક્યાં.

ગૌરવ ગોગોઇએ ચર્ચાનો પ્રારંભ કરતાં જણાવ્યું કે આ પ્રસ્તાવ મણિપુર મુદ્દે વડા પ્રધાનનું મૌન તૂટે તે માટે લાવવામાં આવ્યો છે. વડા પ્રધાન માટે તેમણે ત્રણ પ્રશ્નો મૂક્યા. 1. તેમણે મણિપુરની મુલાકાત કેમ નથી લીધી? 2. મણિપુર વિષે બોલતાં તેમને 80 દિવસ કેમ લાગ્યા ને બોલ્યા તે પણ 30 સેકન્ડ ! 3. મણિપુરના મુખ્ય મંત્રીને બરખાસ્ત કેમ નથી કરાયા? ભા.જ.પ. વતી નિશિકાંત દુબેએ તેમને જવાબ આપતાં રાહુલ ગાંધીની ગેરહાજરી અંગે નિશાન તાકીને પરિવારવાદનો દાખલો આપતા કહ્યું કે શ્રીમતી સોનિયા ગાંધીનો એક જ એજન્ડા છે ને તે દીકરાને સેટ કરવો અને જમાઈને ભેટ આપવી. તક મળતાં કિરણ રિજિજુએ પણ સંભળાવ્યું કે વિપક્ષ કામ ભારત વિરોધી કરશે, પણ ગઠબંધનને નામ ‘ઇન્ડિયા’ આપશે. એન.સી.પી.ના સુપ્રિયા સૂલેએ સરકારનાં ઘમંડનો નિર્દેશ કરીને જણાવ્યું કે નવ વર્ષમાં ભા.જ.પે. રાજ્ય સરકારો તોડવાનું જ કામ કર્યું છે.

બીજે દિવસે રાહુલ ગાંધીએ આક્રમક સ્વરે આરોપ મૂકતાં કહ્યું કે ભા.જ.પે. મણિપુરમાં આગ લગાવી ને ભારત માતાની હત્યા કરી છે. વડા પ્રધાન એટલે મણિપુર જતા નથી, કારણ મણિપુર તેમને માટે ભારત નથી. સેના એક દિવસમાં ત્યાં શાંતિ લાવી શકે એમ છે, તો શા માટે સેના મોકલાતી નથી? એનો ઉગ્ર પ્રતિવાદ કરતાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ભારત માતાની હત્યા જેવા શબ્દોનો વિરોધ કર્યો ને જણાવ્યું કે મણિપુર ભારતનું અભિન્ન અંગ છે જ ! એ સાથે જ તેમણે રાહુલ ગાંધીએ મહિલા સાંસદોને ફ્લાઇંગ કિસ આપી હોવાનું કહીને, અભદ્ર વર્તન ગૃહમાં કરવા અંગે, પગલાં લેવાની વાત કરી, મૂળ વાતને વળાંક આપ્યો. અભિનેત્રી હેમા માલિનીએ રાહુલનાં અભદ્ર વર્તનના વિરોધમાં સહી કરી ને એમ પણ કબૂલ્યું કે રાહુલને ફ્લાઇંગ કિસ આપતાં તેમણે જોયાં નથી.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મણિપુર મુદ્દે કેટલાક ખુલાસાઓ આપતા કહ્યું કે મણિપુરમાં જે થયું તે શરમજનક છે, પણ તેનાં પર રાજનીતિ કરવી તે તેનાથી વધારે શરમજનક છે. તેમણે એમ પણ કહ્યું કે નરસિંહ રાવ પી.એ.મ હતા ત્યારે મણિપુરમાં 700 લોકો માર્યા ગયેલા, પણ એ મણિપુર ગયા ન હતા. એ જ રીતે 2004માં મનમોહન સિંહની સરકાર હતી. ત્યારે પણ 1,700થી વધુ લોકોનાં એન્કાઉન્ટર થયેલાં, પણ પી.એમ. મણિપુર ગયા ન હતા. રહી વાત મણિપુરના મુખ્ય મંત્રી બિરેન સિંહને હટાવવાની, તો એ મુદ્દે અમિત શાહે સ્પષ્ટતા કરતાં કહ્યું કે મુખ્ય મંત્રી સહયોગ ન આપતા હોય તો તેને હટાવાય, અહીં તો ખુદ વડા પ્રધાન બિરેન સિંહના સંપર્કમાં હોય તો કયા આધારે તેમને હટાવવા? વીડિયોમાં નગ્ન પરેડને મુદ્દે શાહે સ્પષ્ટ કર્યું કે નવેનવ આરોપીઓને પકડી લેવાયા છે ને મણિપુરમાં હિંસા ઘટી રહી છે, તો વિપક્ષોએ ફરી આગ ભડકાવવી ન જોઈએ.

ગઈ કાલે નાણાં મંત્રી નિર્મલા સીતારામને ભારતની આર્થિક પ્રગતિની વિકાસ ગાથા આલેખી, તો વડા પ્રધાને અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા બદલ વિપક્ષોનો એમ કહીને આભાર માન્યો કે કોઈને કોઈ માધ્યમથી ભગવાન ઈચ્છાપૂર્તિ કરતો હોય છે. તેણે વિપક્ષને સૂઝાડ્યું ને તે અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવ્યા. વડા પ્રધાને બંને ગૃહમાં ડેન્ટલ કમિશન બિલ, ડિજિટલ પ્રોટેક્શન બિલ, આદિવાસીઓનાં બિલ જેવાં ઘણાં બિલ પસાર થયાં તેની નોંધ લીધી. 1999માં વાજપેયી સામે અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો તેને યાદ કરીને  વિપક્ષને સંભળાવ્યું કે જેનાં વહીખાતાં બગડેલાં છે તે અમારો હિસાબ માંગે છે ! અધીર રંજનને સાઇડમાં કરી દેવાયા છે તેની નોંધ લઈને તેમના પ્રત્યે સંવેદના પણ પ્રગટ કરી. બધે સાનુકૂળ વાતાવરણ છે ત્યારે વિપક્ષ જનતાના આત્મવિશ્વાસને તોડવાની કોશિશ કરી રહ્યો છે તેની ટીકા કરતાં વડા પ્રધાને સ્પષ્ટ કર્યું કે આ લોકો જેનું ખરાબ ઇચ્છશે તેનું ભલું જ થશે. દેશનો વિશ્વાસ છે કે 2028માં તમે અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવશો તો દેશ પહેલા ત્રણમાં હશે. વિપક્ષની ભરપૂર ટીકા કરતાં જઈને વડા પ્રધાને સરકારે કરેલાં કામો ગણાવ્યાં ને એ સંભળાવ્યું કે આ ઇન્ડિયા ગઠબંધન નથી, ઘમંડિયા ગઠબંધન છે. આની જાનમાં દરેકને વરરાજા બનવું છે. બધાંને પ્રધાન મંત્રી બનવું છે.

એક વાત સ્પષ્ટ છે કે વડા પ્રધાન સંસદમાં આવ્યા ન હોત તો પણ, સરકારને કોઈ જોખમ ન હતું. એની ખાતરી તો વિપક્ષને પણ હતી જ, તો અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો હેતુ પાર પડ્યો ખરો એ વિપક્ષે પોતાને પૂછવા જેવું છે. મૂળ વાત વડા પ્રધાનનું મણિપુર મુદ્દે સંસદમાં મૌન તોડાવવાની હતી. વડા પ્રધાન સંસદમાં આવ્યા તો ખરા ને બોલ્યા પણ ખરા. એ જે બોલ્યા તે વિપક્ષે બોલાવવું હતું કે એ જે બોલે તે સાંભળી લેવું હતું તે વિપક્ષે નક્કી કરવાનું રહે. સાચી વાત તો એ છે કે મણિપુર મુદ્દે વિપક્ષે અને અમિત શાહે વાત કરી તે સિવાય આખી ચર્ચા, વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેતા ને એક બીજાને ટપી જવા મથતા સ્પર્ધકો જેવી વિશેષ રહી. સામાવાળાને દાવા-દલીલ વડે પછાડી દેવાનું ઝનૂન એમાં વિશેષ હતું. ગૃહ અખાડાની ગરજ સારતું હોય તેમ દરેક વિજયી થવા મથતું હતું ને એને માટે અપ્રસ્તુત બધું જ ક્ષમ્ય હતું. આગ મણિપુરની હતી ને અહીં ચર્ચા સબકા સાથ, સબકા વિકાસની, આર્થિક પ્રગતિની, વિપક્ષની મુર્ખાઈઓની થતી હતી. આ બધા પછી પણ વડા પ્રધાને મણિપુર મુદ્દે મૌન કેમ સેવ્યું એ પ્રશ્ન તો અનુત્તર જ રહ્યો છે.

એ પણ નથી સમજાતું કે આટલું બધુ મૌન કેળવવાની વડા પ્રધાનને ફરજ કેમ પડી? બધે જ જવાનું સહજ છે તો મણિપુર વડા પ્રધાન માટે આટલું અસહજ કેમ છે? એમ લાગે છે કે વડા પ્રધાનને છે એટલી પરેજી, ગૃહ મંત્રી અમિત શાહને નથી. એ તો ત્યાં જઇ પણ આવ્યા છે. એમણે જોયું પણ છે બધું. એ પછી પણ એમને એમ લાગે છે કે વડા પ્રધાને મણિપુર ન જવું જોઈએ?

વિપક્ષે 6.40 વાગે વોકઆઉટ કર્યો, પછી વડા પ્રધાન મણિપુર વિષે, બાર વર્ષે બોલતાં હોય તેમ બોલ્યા કે મણિપુરમાં શાંતિનો સૂરજ ઊગશે. મણિપુર ફરી વિકાસને માર્ગે આગળ વધે એમાં કોઈ કસર નહીં રહે. એનો  આનંદ છે કે વડા પ્રધાન મણિપુર અંગે બોલ્યા. આવું એ પહેલાં પણ બોલી શક્યા હોત, પણ સુપ્રીમકોર્ટે દખલ કરવી પડે એ હદે વડા પ્રધાન શાંત રહ્યા. આ શાંતિ સહજ નથી. વડા પ્રધાને, અમિત શાહના મણિપુર અંગેના વક્તવ્ય અંગે, વિપક્ષે ચર્ચા કરવાની જરૂર હતી તેવું કહ્યું, પણ તેને તો રાજનીતિમાં જ રસ હતો એવો આરોપ પણ મૂક્યો. તે રસ વડા પ્રધાનને ન હતો એટલે છેક વિપક્ષના વોક આઉટ પછી મણિપુર અંગે કેટલીક સ્પષ્ટતાઓ કરી?

કાઁગ્રેસે ઉત્તર-પૂર્વમાં અશાંતિ ફેલાવવામાં કૈં બાકી નથી રાખ્યું. 1996માં મિઝોરમમાં કાઁગ્રેસે નિસહાય નાગરિકો પર વાયુસેનાથી હુમલો કરાવેલો તે યાદ કર્યું. તે સાથે અકાલ તખ્ત પર પણ હુમલો કરાવ્યો તે પણ ગણાવ્યું ને 1962માં ચીનનો હુમલો થયો ત્યારે રેડિયો પ્રસારણમાં વડા પ્રધાન નહેરુએ કહેલું કે માય હાર્ટ ગોઝ આઉટ ઓફ પિપલ ઓફ આસામ ને એ રીતે કાઁગ્રેસે ઉત્તર-પૂર્વમાં અશાંતિ ફેલાવી. આ મામલે વડા પ્રધાન સાથે સંમત થવાનો વાંધો જ નથી, પણ તેનાથી તેમની મણિપુર અંગેની લાંબી ચૂપકીદીનો જવાબ નથી મળતો. કાઁગ્રેસે ઉત્તર-પૂર્વમાં વર્ષો પૂર્વે અશાંતિ ફેલાવેલી એટલે એ અત્યારે ચૂપ રહ્યા એમ માનવાનું છે?

વડા પ્રધાનના મણિપુર ન જવાને મુદ્દે અમિત શાહે બે વડા પ્રધાન નરસિંહ રાવ અને મનમોહન સિંહના દાખલા પણ આપ્યા છે. એ પણ અનેક મૃત્યુ મણિપુરમાં નોંધાયા હોવા છતાં મણિપુર ગયા ન હતા. ટૂંકમાં, કાઁગ્રેસી વડા પ્રધાનોના મણિપુર ન જવાનો સિલસિલો મોદી સાહેબે પણ જાળવ્યો છે એમ માનવાનું રહે. ભા.જ.પ.માં મંત્રીઓની એક ફેશન એ ચાલી આવે છે કે આવું તો યુ.પી.એ. સરકારમાં પણ બનેલું. પણ, એ બચાવ બરાબર નથી. એ સરકારોએ ઊંધું માર્યું એટલે તો એ ગઈ ને ભા.જ.પ.ની સરકાર આવી. એ પણ જો યુ.પી.એ.ની સ્પર્ધામાં જ રહેવાની હોય તો જે એનું થયું તે આનું થાય એવું ખરું કે કેમ? એ થવા દેવાનું છે? ને સો વાતની એક વાત કે યુ.પી.એ.ના વડા પ્રધાનો મણિપુર ન ગયા તો એવો નિયમ છે કે મોદી સાહેબે પણ ન જવું? સવાલોનો સવાલ તો એ છે કે મણિપુરે વડા પ્રધાનનું એવું તે શું બગાડ્યું છે કે તેને વિષેનું મૌન વ્રત તૂટતાં મહિનાઓ લાગ્યા? કમ સે કમ લોકલાજે પણ એકાદ આંટો મણિપુરનો મારવાનું વડા પ્રધાનને મન થાય  એમ ઈચ્છીએ. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 ઑગસ્ટ 2023

Loading

...102030...894895896897...900910920...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved