Opinion Magazine
Number of visits: 9560471
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મધ્યકાલીન ગુજરાતી કાવ્યસરિતામાંથી એક આચમન  

સંજય સ્વાતિ ભાવે|Opinion - Literature|22 October 2023

પુસ્તક પરિચય

અગ્રણી વિવેચક-સંપાદક રમણ સોની સંપાદિત ‘મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા’ નામના માતબર સંચયમાં 130 કવિઓના પાચસો કરતાં વધુ પદો, તેમ જ પ્રેમાનંદના ‘ઓખાહરણ’ કે ‘સુદામાચરિત’ જેવાં આખ્યાનો સહિત સાઠ જેટલી પદ્યવાર્તાઓ/લાંબી કૃતિઓના અંશો મળે છે.

રમણભાઈ ‘સંપાદકીય’માં નોંધે છે : ‘આ સંપાદનમાં કાવ્યગુણે વધુ આકર્ષક હોય એવી કૃતિઓ અને એવાં કવિઓ વિશેષ પસંદ કરેલાં છે. પસંદગી અલબત્ત, ચુસ્ત નહીં પણ મોકળાશવાળી રાખી છે, જેથી સમગ્ર મધ્યકાલીન કવિતાનું યોગ્ય પ્રતિનિધિત્વ ઊપસી રહે.’

ગુજરાતી સાહિત્યનો મધ્યકાળ બારમી સદીમાં થઈ ગયેલા હેમચંદ્રાચાર્યથી 1853માં અવસાન પામેલાં દયારામ સુધીનો ગણાય છે. સાતેક સદીનો આ ગાળો અનેક રાજકીય ઊલથપાથલો, ધર્મપરાયણતા અને ભક્તિભાવથી ઓતપ્રોત હતો.

સાડા સાતસો પાનાંના સુઆયોજિત અને એકંદરે સમાવેશક સંગ્રહમાં બહોળું વૈવિધ્ય છે. નરસિંહ, મીરાં, દયારામ સહિતના ભક્તિકવિતાનાં આઠ-દસ રચયિતાં છે. અખો તો  હોય જ, પણ તેના પૂર્વેના માંડણ-નરહરિ-બુટો સહિતના જ્ઞાનમાર્ગીઓ છે.

આખ્યાનકારોમાં ભાલણ, દેહલ, નાકર, વિષ્ણુદાસ, વિશ્વનાથ જાની તેમ જ અન્ય છે. સ્ત્રીઓનું સ્થાન ગૌણ હતું તે સદીઓમાં ગવરીબાઈ, ગંગાસતી, લોયણ, જાનકીબાઈ, કૃષ્ણાબાઈ, લીરલબાઈ, રતનબાઈ, રૂપાંદેએ સુંદર ભક્તિરચનાઓ આપી છે.

મધ્યયુગ દરમિયાન છએક સદીઓની મુસ્લિમ સત્તા અને હિંદુ-મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયના ગાળામાં રાજે, નબી મિયાં, મીઠો, હોથી, જેસલપીર, મંહમદશા કાઝી જેવાએ કૃષ્ણકીર્તન, પ્રેમભક્તિ અને તત્ત્વદર્શનની રચનાઓ લખી છે. ત્રિકમ, લખીરાજ અને કરમણ અંત્યજ મનાતા વર્ગના છે.

કબીરસાહેબના પ્રભાવ હેઠળના અઢારમી સદીના પૂર્વાર્ધના રવિભાણ સંપ્રદાયના કવિઓ જેમના નામ પછી ‘સાહેબ’ લખવાની પ્રણાલી છે – ભાણ, ખીમ, રતન, ભીમ, મોરાર, પીર તરીકે પૂજાતા જેસલ અને કતીબશા પીર.

મધ્યકાલીન ગુજરાતી કવિતાનો આરંભ નરસિંહ પહેલાંના અપભ્રંશ ભાષામાં લખનારા હેમચન્દ્રાચાર્ય અને એમના પછી પંદરમી સદીના પૂર્વાર્ધ સુધી મારુ-ગુર્જર ગુજરાતીમાં લખનારા દસેક જૈન કવિઓથી થાય છે. તેમના અનુગામીઓ પછીની દરેક સદીમાં મળતા રહે છે.

સાધુ, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ, વેદાન્તી, બ્રાહ્મણ એવી ઓળખ પણ સંપાદક આપે છે. ચારણી પરંપરાની કવિતા નામે અલગ પ્રકરણમાં છ કવિઓની રચનાઓ મળે છે.

સદીઓ મુજબ બનાવવામાં આવેલા અનુક્રમમાં દરેક પ્રકરણની અંદરનો ક્રમ તેમાં સમાવિષ્ટ કવિઓને જન્મના વર્ષ પ્રમાણેનો છે. જેમના જીવનકાળની સ્પષ્ટ વિગતો મળતી નથી એવા અઢાર કવિઓનું અલગ પ્રકરણ છે. કવિઓ કયા પ્રવાહના છે તે સંપાદકે દરેક કવિની રચનાઓ પહેલાં મૂકેલા વિદ્વતાપૂર્ણ છતાં મિતાક્ષરી કર્તાપરિચયમાંથી મળે છે.

શરૂઆતની સદીઓની કવિતાનું ભાષારૂપ કંઈક અપરિચિત છે, એટલે એવી કૃતિઓ સાથે સંપાદકે સહાયક સારઅનુવાદ મૂક્યા છે. જો કે એ નરસિંહ મહેતા પહેલાંના સમયમાં લખાયેલી વસંતવિલાસ (અજ્ઞાત કવિ), હંસાઉલી (અસાઇત), રણમલ્લ છંદ (શ્રીધર વ્યાસ), ત્રિભુવનદીપક પ્રબંધ’ અને હીરાણંદ (વિદ્યાવિલાસ પવાડુ) રચનાઓના અંશો સાથે પણ મૂકવાની જરૂર હતી.

સંપાદકે મધ્યયુગીન સાહિત્યનું સ્વરૂપવૈવિધ્ય પણ સુપેરે બતાવ્યું છે. એટલે અહીં પદ, આખ્યાન, ગરબા, ભજન તો હોય જ; પણ ઓછા જાણીતા કાવ્યપ્રકારો સંચયનો વિશેષ છે.

તેમાં જિનપદ્યસૂરિના ફાગુ છે. તેમના પછીના ઇન્દ્રાવતી, ઉદયરત્ન અને કર્પૂરશેખર જેવા અન્ય જૈન કવિઓ પાસેથી ઋતુકાવ્યોના વર્ગમાં આવતી બારમાસી(સા) મળે છે.

પ્રેમલક્ષણાભક્તિના પદકવિ રત્ના પાસેથી ‘મહિના’ મળે છે. અઢારમી સદીના પ્રીતમે તેના પુરોગામી અખાની જેમ ‘જ્ઞાનમાસ’ આપ્યા છે જેમાં જ્ઞાનનો ઉપદેશ બારમાસીમાં ગૂંથવામાં આવ્યો હોય.

ગીતાકાવ્યના સ્વરૂપમાં ‘ભ્રમરગીત’ (બ્રેહેદેવ), ‘જ્ઞાનગીતા’ (નરહરી) અને ‘અખેગીત’ છે. દુહા અને રાસને સામાન્ય રીતે સૌરાષ્ટ્રના લોકસાહિત્ય સાથે જોડવામાં આવે છે, દુહામાં સહુથી પ્રાચીન રચનાઓ પાટણના હેમચન્દ્રાચાર્યે આપી છે. એમાં તેમના પછી શાલિભદ્રસૂરિ અને હિરાણંદ છે.

પુરીબાઈ પાસેથી વિવાહલઉ, અને ગોપાળદાસ પાસેથી સાખીઓ તેમ જ ચાબખા મળે છે. પદ્મનાભના ‘કાન્હડદે પ્રબંધ’ના અને એકાધિક આખ્યાન કાવ્યોના હિસ્સા સમાવિષ્ટ છે. વલ્લભ ભટ્ટના ત્રણ લાક્ષણિક ગરબા છે.

કવિતનો એકમાત્ર દાખલો બારમી સદીના પૂર્વાર્ધની, જેસલમેરની પિતાપુત્ર બેલડી અણંદ-કરમાણંદ મિસણની રચનાઓમાં મળે છે.

જો કે કેટલીક વાર કવિઓના પરિચયમાંથી જાણવા મળતું સ્વરૂપ વૈવિધ્ય તેમની રચનાઓમાં દેખાતું નથી, મોટે ભાગે પદો જ મળે છે. ધીરો ભગત, હરિદાસ, નિરાંત અને બાપુસાહેબની રચાઓની પસંદગીમાં આ જોવા મળે છે.

સંચયનો આખરી વિભાગ લોકગીતોનો છે. સંપાદક સ્પષ્ટતા કરે છે : ‘… લોકગીતો અર્વાચીન સમય-સંસ્કૃતિ પૂર્વેનું – મધ્યકાલીન કાવ્યસ્વરૂપ ગણાય એથી એને અહીં સ્થાન આપ્યું છે.’ એટલે અહીં  ‘એક વણઝારી ઝીલણ ઝીલતી’તી’, ‘ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ’, જોબનિયું આજ આવ્યું ને કાલ જાશે’, ‘ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર!’, ‘મેંદી લેશું, મેંદી લેશું, મેંદી મોટાં ઝાડ’, ‘સોનાવાટકડી રે, કેસર ઘોળ્યાં વાલમિયા’ જેવાં લોકગીતો વાંચવા મળે છે.

અત્યારે નવરાત્રીમાં આ બધાં અને બીજાં ગીતો / આરતીઓ / સ્તવનો સાંભળીએ ત્યારે તે મૂળ પાઠથી કેટલાં જુદાં પડે છે તે જોવું  રસપ્રદ બને છે.

સંપાદકના પોતાની રીતે સૌંદર્યપૂર્ણ પ્રવેશકનો વ્યાપ મધ્યકાલીન સાહિત્યની ઐતિહાસિક રાજકીય-સામાજિક ભૂમિકા જોતા મર્યાદિત લાગે છે. મધ્યયુગ દરમિયાન થયેલા ચાર સત્તાપલટા અને  ધાર્મિક પરિબળોની તેના સાહિત્યની ભાતીગળતાની સાથેનો ઘનિષ્ઠ  સંબંધ ઉપસાવવાની જરૂર હતી.

આ કામ સહુથી નોંધપાત્ર રીતે બે લખાણોમાં જોવા મળે છે : એક, અનંતરાય રાવળનું પુસ્તક ‘મધ્યકાલીન સાહિત્ય’(1976)નું બીજું પ્રકરણ; અને બે, મધ્યયુગીન ભારતીય સાહિત્યના અંગ્રેજી અનુવાદોના સાહિત્ય અકાદમી, દિલ્હીએ Medieval Indian Literature : An Anthology (1997) નામે પ્રસિદ્ધ કરેલા ત્રણ ખંડોના સંપુટમાં ગુજરાતી વિભાગના સંપાદક તરીકે ચીમનલાલ ત્રિવેદીએ પહેલાં ખંડમાં અંગ્રેજીમાં લખેલો સાઠ પાનાંનો પ્રવેશક.

આ બંને પ્રવેશકોમાંથી પસાર થતાં, રમણભાઈના સંપાદન ‘પૂર્વરંગમાં’ અપેક્ષિત મુદ્દા ધ્યાનમાં  આવે છે. તદુપરાંત, ગ્રંથનામ સૂચિ, ઉલ્લેખસૂચી તેમ જ પાનાં પરના કવિઓના નામના ફૂટર (footer) આ સંદર્ભ ગ્રંથને વધુ reader-friendly બની શક્યા હોત.

મધ્યકાલીન સાહિત્યના અનેક સંપાદનોમાં કઠિન શબ્દોની સૂચિ હોતી નથી, જે રમણભાઈના આ સંપાદનમાં પણ નથી. જયંત મેઘાણીએ મેઘાણી-સાહિત્યના દૃષ્ટાંત સમા સંપાદનમાં આ દરકાર રાખી છે. બીજા દાખલા પણ મળી શકે. ખુદ રમણભાઈએ ‘કુંવરબાઇનું મામેરું’ના સંપાદનમાં શબ્દાર્થ આપ્યા છે.

કઠિન શબ્દોની સૂચિ મધ્યકાલીન સાહિત્યના બહુ જ આરંભિક – સંભવત: પહેલાં – સંપાદનમાં છે. ઇ.સ. 1886થી 1912 દરમિયાન આઠ ખંડોમાં પ્રસિદ્ધ થયેલાં એ સંપાદનનું નામ છે ‘બૃહદ કાવ્ય દોહન’. તેના સંપાદક ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ (1853-1912) પ્રખર પત્રકાર, પ્રકાશક, અનુવાદક અને અંગ્રેજ સરકાર દ્વારા રાજદ્રોહનો આરોપ વેઠનારા દેશભક્ત હતા.

બૃહદ કાવ્યદોહન તેમણે કરેલું પાયાનું કામ છે, તે ગુજરાતી સાહિત્યના કેટલાક અભ્યાસીઓ / ઇતિહાસલેખકો અચૂક સ્વીકારે છે. પણ મધ્યકાલીન સાહિત્યના કેટલાક સંપાદકો ઇચ્છારામે, ખાસ તો એમના સમયમાં સિદ્ધ કરેલાં અસાધારણ કામની ઉચિત નોંધ લેતા નથી, અથવા તો તેને બિલકુલ ચૂકી જાય છે.

પ્રસ્તુત ગ્રંથમાં રમણ સોનીએ સ્રોત-ગ્રંથો અને સંદર્ભગ્રથોની જે યાદી આપી છે તેમાં બળવંત  જાની અને મનસુખ સલ્લાએ સંકલિત કરેલાં ‘બૃહત કાવ્યદોહન’ (પુનર્વ્યવસ્થા) ખંડ 1થી4’નો ઉલ્લેખ છે. આ સંપુટમાં બંને સંકલનકારોએ ઇચ્છારામ જે સંપાદનની ‘પુનર્વ્યવસ્થા’ કરી છે તેમાં ઇચ્છારામની નહીંવત નોંધ લીધી છે.

કનુ પટેલનું આવરણચિત્ર પરંપરાગત અક્ષરલેખન અને ચિત્રાત્મકતા છતાં સુંદર બન્યું છે. પુસ્તકનાં પાનાં પરની માંડણી આ પ્રકારના પુસ્તકમાં હોવી જોઈએ તેવી એટલે કે શક્ય એટલી મોકળાશભરી છે, અને બાંધણી પણ પૂરતી મજબૂત છે.

આ ગ્રંથ વધુ રમણીય ડિજિટલ સ્વરૂપે એકત્ર ફાઉન્ડેશને ઇન્ટરનેટ પર મૂક્યો છે. છપાયેલા પુસ્તકના કવિચિત્રોમાંથી કેટલાક કલાગુરુ રવિશંકર રાવળે દોરેલાં છે. નમૂનાની હસ્તપ્રતો પણ જોવા મળે છે. આ બંને સંચયની ઇ-આવૃત્તિમાં ઘણાં આકર્ષક લાગે છે.

ગુજરાતીમાં મધ્યકાલીન સાહિત્ય પરના અનેક સંપાદનો અને અભ્યાસો થયાં છે. ઇચ્છારામથી શરૂ થયેલી પરંપરામાં રમણ સોની એક મહત્ત્વની કડી છે એવું તેમની કારકિર્દી અને તેમના પુસ્તકોની યાદી બંને બતાવે છે. એટલે તેમની પાસેથી અપેક્ષા વધુ રહે છે. 

(950 શબ્દો)
[આભાર : નલિનીબહેન દેસાઈ, તોરલબહેન પટેલ, અજય રાવલ]

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌—-‌‌‌———————————–

પ્રકાશક : ગૂર્જર સાહિત્ય ભવન, 2023, રૂ. 1500/- 

પ્રાપ્તિસ્થાન : 

ગૂર્જર, સંપર્ક : 079-26934340, 22144663, 22149660, મો. 9835368759
ગ્રંથવિહાર, 079-26587949, 9898762263
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 22 ઑક્ટોબર 2023
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કથળેલી વૈશ્વિક વ્યવસ્થા અને સશસ્ત્ર રાજ્યોની અસલામતીનું પરિણામ ત્રીજું વિશ્વયુદ્ધ?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|22 October 2023

આતંકવાદી સંગઠન હોય કે પોતાની સત્તા ટોચ પર મૂકવા દોડતા રાષ્ટ્રો હોય, દરેક પોતાના વિરોધી દેશની નબળાઈઓ અને મર્યાદાઓથી વાકેફ છે અને તેનો જ ઉપયોગ કરી તેઓ પોતાના પાયાને મજબૂત કરવા યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં ઝંપલાવી ચૂક્યા છે, અથવા તે માટે સાબદાં થઈ રહ્યા છે

ચિરંતના ભટ્ટ

ઇઝરાયલ અને પેલેસ્ટાઈનના આતંકવાદી જૂથ હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની તીવ્રતા ઘટવાનું નામ નથી લઈ રહી અને આ સ્થિતિને કારણે ત્રીજું વિશ્વ યુદ્ધ થવાની શક્યતાઓને વેગ મળી શકે છે. સાવ અણધારી રીતે ભડકેલા આ સંઘર્ષની અસર ઇઝરાયલ અને ગાઝા અથવા તો મિડલ-ઇસ્ટ પUરતી જ સીમિત રહેશે એમ માનવાની ભૂલ ન કરવી જોઈએ. લિબિયા, સિરિયા, ઇરાન અને પેલેસ્ટાઈનમાં અચાનક જ ભડકેલી આગને પગલે વૈશ્વિક યુદ્ધની સંભાવનાઓ ઘેરી કરી દીધી છે. ખાસ કરીને જો યુ.એસ.એ. અને ચીન જો સીધા સંઘર્ષમાં ઉતરે તો પછી ત્રીજું વિશ્વ યુદ્ધ થયું જ સમજો. યુક્રેન અને રશિયા વચ્ચે તો સંઘર્ષ ચાલી જ રહ્યો છે અને તેમા અધૂરામાં પૂરું હમાસ અને ઇઝરાયલ વચ્ચે પણ હિંસક તણાવ પેદા થયો. આ સંજોગોમાં એ સમજવું પણ જરૂરી છે કે આ બન્ને યુદ્ધ કે સંઘર્ષમાં જે ચાર રાષ્ટ્રો સીધે સીધા એકબીજાની સામે છે તે ખરેખર તો જે દેખાય છે તેના કરતાં વધુ મોટા સત્તા સંઘર્ષનો હિસ્સો છે. વિશ્વમાં સત્તાની શતરંજની બાજીને પલટી નાખીને નવી વ્યવસ્થા ખડી કરવાના ઈરાદા ધરાવતા રાષ્ટ્રો એક યા બીજી રીતે રશિયા યુક્રેન તથા હમાસ ઇઝરાયલના સંઘર્ષ સાથે સંકળાયેલા છે.

ટૂંકમાં અત્યારે ચાલી રહેલા બન્ને યુદ્ધની કિંમત ચૂકવવાનો વારો તેમને ટેકો આપતા દેશોનો આવશે અને તે ભારે પડશે. જેમ કે ચીન અને રશિયા બન્નેને યુ.એસ.એ. સામે વાંધો છે અને ઇઝરાયલ – ગાઝા વચ્ચેના સંઘર્ષને મામલે બન્ને દેશોએ સ્પષ્ટ કહી દીધું છે કે સાત દાયકા જૂના વિવાદને ઉકેલવો જોઈએ અને પેલેસ્ટાઇનનું સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર થવું જ જોઈએ. એક તરફ યુ.એસ.એ. અને ઇઝરાયલ છે તો બીજી તરફ પેલેસ્ટાઇન તરફી વલણ રાખનાર ચીન છે. ટૂંકમાં ઇઝરાયલમાં ઘટેલી ઘટનાઓએ સાબિત કરી દીધું છે આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને ન્યાયના મામલે વિશ્વ એક તાંતણે નથી બંધાયેલું. અમુકે ઇઝરાયલને ટેકો આપ્યો તે બીજાઓએ હમાસે ઇઝરાયલ પર જે આતંકી હુમલો કર્યો તેને પણ યોગ્ય ઠેરવ્યો. પણ યહૂદીઓ અને આરબો વચ્ચેનો આંતરરાષ્ટ્રીય સંઘર્ષ આપણને ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ ધકેલી જનારું એક માત્ર કારણ નથી. ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો સંઘર્ષ ઘણાં વર્ષોની અકળામણનું કારણ છે પણ આજે સિરિયા, લેબેનોન અને ઇરાન આ આગમાં ઘી હોમી તેને વધુ ભડકાવવાનું કામ કરી રહ્યા છે. એવું ય બને કે ઇઝરાયલને એક સાથે પાંચ મોરચે યુદ્ધ શરૂ કરવું પડે.

યુ.એસ.એ. અને અન્ય સાથી દેશો યુદ્ધના સંજોગો તીવ્ર ન બને તે માટે હિઝબુલ્લા આતંકીઓ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. પરંતુ એ ગણતરી રાખવી પણ જરૂરી છે કે હિઝબુલ્લાને મુખ્યત્વે આર્થિક ટેકો આપવામાં ઇરાનનો હાથ છે અને માટે જ તે ઇઝરાયલ પર હુમલો કરવામાં પાછું વળીને ન જુએ તે સ્વાભાવિક છે. યુ.એ.ઇ.એ ચેતવણી આપી હોવા છતાં સિરિયાએ ઇઝરાયલ પર બોમ્બ શેલિંગ શરૂ કરી જ દીધું છે. ઇઝરાયલી વડા પ્રધાને ઇરાનના ન્યુક્લિયર પ્રોગ્રામ અંગે લાંબા સમયથી ચેતવણી આપી છે અને ઇરાન પર હુમલો કરવાની ધમકી પણ આપી છે. જો કે હમાસે કરેલા હુમલાને પગલે ઇઝરાયલી જે વાત હજી સુધી માત્ર વ્યૂહાત્મક ધમકીમાં આપતું હતું તેની પર હવે વાસ્તવિકતામાં પગલાં લે એવી શક્યતાઓ વધી છે. જો ઇઝરાયલને એક પણ પુરાવો મળ્યો કે હમાસના આતંકી હુમલા પાછળ ઇરાનનો હાથ છે તો પછી ચિંતા માત્ર એક કે બે રાષ્ટ્રની નહીં આખી દુનિયાની વધી જશે. આવામાં ટર્કી જેવા દેશો પણ છે જેમણે ઇઝરાયલ પર હમાસે કરેલા હુમલાને અકસ્માતમાં ખપાવ્યો અને ઇઝરાયલે સામે જે સત્તાવાર સૈન્યના હુમલાથી જવાબ આપ્યો તેને ઘાતકી અને અન્યાયી ગણાવ્યો.

ઇરાન આડકતરી રીતે અન્ય યુદ્ધ ખડા કરાવે છે અને એ રીતે એ પોતાની સત્તા સાબિત કરવા માગે છે. વિશ્વ વ્યવસ્થા – વર્લ્ડ ઓર્ડરને બદલવા માટે મિડલ-ઇસ્ટના દેશો થનગની રહ્યા છે. પશ્ચિમી દેશો એટલે કે યુ.એસ.એ. અને યુરોપને ટોચ પર રાખતો વર્લ્ડ ઓર્ડર હવે તેમને માફક નથી આવતો. ઇરાનને બેઇજિંગ અને મોસ્કો તરફથી ટેકો મળે છે. પોતાને મળનારા ટેકાના જોર પર જો ઈરાન વધારે ઠેકડા મારવા જશે તો યુ.એસ.એ.ને ના છૂટકે યુદ્ધમાં ઢસડાવું પડશે. ઇઝરાયલને યુ.એસ.નો ટેકો મળશે અને ઇરાનની ન્યુક્લિયર ક્ષમતાઓ પણ છતી થઇ જશે.

રશિયા યુક્રેન વચ્ચેના તંગ સંબધોનાં મૂળિયાં ઊંડાં છે પણ રશિયાએ જે રીતે યુક્રેન પર અચાનક જ ચઢાઈ કરીને યુદ્ધ છેડ્યું તેનુ જોખમ આખા યુરોપ પર છે. રશિયાએ યુક્રેન પર કરેલો હુમલો સરહદો અને સીમા રેખાઓને બળજબરીથી બદલવાનો ઇરાદો ધરાવે છે. યુક્રેનની સરકાર પશ્ચિમી દેશોને સાવધાન રહેવા અપીલ કરે છે કારણ કે યુક્રેન એક માત્ર અવરોધ છે જે રશિયાને બાલ્ટિક રાજ્યો પર હુમલો કરવામાં નડે છે. NATOનો ભાગ હોય એવા દેશો આમ પણ રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાને કારણે હેરાન થયા જ છે. જેમ કે રોમાનિયા અને પોલિશ સરહદના વિસ્તારોમાં થયેલું નુકસાન. હમાસે ઇઝરાયલ પર કરેલા હુમલામાં ગાઝા, તહેરાન અને મોસ્કો વચ્ચેની કડી જોડવા અને જોવા માટે બહુ ઊંડા અભ્યાસની પણ જરૂર નથી.

તાઇવાનને મામલે ચીન અને યુ.એસ.એ. વચ્ચેનો સંઘર્ષ પણ નવો નથી. વળી 2022માં યુ.એસ. હાઉસ સ્પીકર નેન્સી પોલેસીએ તાઇવાનની મુલાકાત લીધી એમાં ચીન અને યુ.એસ. વચ્ચે પરિસ્થિતિ વધારે તંગ બની. અત્યારે ચીન અને યુ.એસ. સીધા સંઘર્ષમાં ઉતરે એવી શક્યતા પાંખી છે, પણ ચીનને પોતાના સૈન્યનું બજેટ સુરક્ષા સમસ્યાઓનો બહાના હેઠળ સારી પેઠે – લગભગ 7.5 ટકા વધારી દીધું છે.  સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના મતે વિશ્વ માનવ ઇતિહાસના સૌથી ખતરનાક સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે, જેમાં ઓપરેશનલ ન્યુક્લિયર વૉરહેડ્ઝની સંખ્યા ગયા વર્ષ કરતાં વધીને લગભગ 12 હજાર કરતાં પણ વધુ થઇ ગઇ છે. ચીને રશિયા અને ઇરાન સાથે રાખેલી સારાસારી સ્પષ્ટ સંકેત છે કે આ રાષ્ટ્રો પશ્ચિમી મૂલ્યોનો વિરોધમાં એક સાથે છે. ચીન ભલે સીધા સંઘર્ષને ટાળે પણ દક્ષિણ ચીની સમુદ્રમાં જે લશ્કરી હિલચાલ કરી એને કારણે ટેન્શન વધ્યું જ છે. વળી વૈશ્વિક સુપરપાવર તરીકે ચીનનું મહત્ત્વ વધ્યું છે એટલે જો યુદ્ધના સંજોગો આવે તો શસ્ત્રોનો પુરવઠો આપવાથી માંડીને ભારત – મિડલ ઇસ્ટ – યુરોપ ટ્રેડ કોરિડૉરના પ્રસ્તાવને ખારીજ કરવામાં પણ ચીનની અગત્યની ભૂમિકા હશે. ઉત્તર-પૂર્વિય એશિયામાં સલામતના સમીકરણ પણ અસ્થિર છે. ઉત્તર કોરિયા, રશિયાની નજીક આવ્યું છે તો જાપાન અને રશિયા વચ્ચેના સબંધો વણસ્યા છે.

ભૌગોલિક રાજકીય પરિબળોને જોતાં એ સ્પષ્ટ છે કે વિશ્વ પહેલાં કરતાં કંઇ ગણા વધારે અનિશ્ચિત સંજોગોનો સામનો કરી રહ્યું છે. પશ્ચિમી દેશોના વિરોધીઓ વચ્ચેના સમાન હિતોનો ટકરાવ દિવસે ને દિવસે વધુ સ્પષ્ટ થઇ રહ્યો છે. યુદ્ધ જેવી અણધારી કટોટકી ત્રાટકવાના ચોકઠા દેખીતી અને ન જોઈ શકાય તેવી સ્થિતિમાં ગોઠવાઈ રહ્યા છે. ત્રીજું વિશ્વ યુદ્ધ છેડાશે તો તેમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, સાયબર વૉર અને આર્થિક સંઘર્ષ સૌથી વધુ જટિલ અને અણધાર્યા હશે. યુદ્ધ અંતે તો રાજકીય અને આર્થિક સત્તા અને સલામતી માટે જ છેડાતા હોય છે. કોરોનાવાઈરસના રોગચાળા પછી વિશ્વ પર આર્થિક અસ્થિરતાના વાઈરસ પણ ફરી વળ્યો છે. આતંકવાદી સંગઠન હોય કે પોતાની સત્તા ટોચ પર મૂકવા દોડતા રાષ્ટ્રો હોય, દરેક પોતાના વિરોધી દેશની નબળાઈઓ અને મર્યાદાઓથી વાકેફ છે અને તેનો જ ઉપયોગ કરી તેઓ પોતાના પાયાને મજબૂત કરવા યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં ઝંપલાવી ચૂક્યા છે અથવા તે માટે સાબદાં થઈ રહ્યા છે. 

બાય ધી વેઃ

ભારતે G20 સમિટ સફળતાથી પાર પાડ્યું છે અને હવે વૈશ્વિક સ્તરે ભારત પાસેથી દેશોને ઘણી અપેક્ષાઓ છે. પડકારો સતત વધી રહ્યા છે અને ભારતે ક્યારે કયા દેશને ટેકો આપવો તે તેના ભવિષ્યના આર્થિક વહેવાર પર ઘેરી અસર કરી શકે છે. આપણે એક દેશ તરીકે ત્રીજા વિશ્વ યુદ્ધ માટે તૈયારી છીએ કે કેમ એ બાજુની વાત છે કારણ કે આપણે એ માટે તૈયાર ન હોઈએ તો પણ જરૂર પડ્યે સાથી રાષ્ટ્રો માટે એ કરવું પણ પડે. રાજદ્વારી સંબંધો અને શાંતપૂર્વકના સંવાદો દ્વારા યુનાઇટેન નેસન્સ જેવા મધ્યસ્થીને પગલે યુદ્ધ ટાળી શકાય એવી થોડી ઘણી શક્યતાઓ તો હજી બચી છે, પણ આ વાત ઝનૂનથી પોતાની સત્તા સાબિત કરવા માગતા રાષ્ટ્રોએ સમજવી પડશે. ઇઝરાયલી લેખક યુવલ નોઆ હરારીએ એક ઇન્ટરવ્યુમાં તાજેતરમાં જ એ વાત કરી છે કે આ જવાબદારીથી વર્તવાનો સમય છે. કોઈની જે પણ ક્ષમતા હોય આ તેના પ્રદર્શનનો નહીં પણ ખોરવાયેલી વ્યવસ્થાને બેઠી કરવાનો વખત છે નહીંતર ત્રીજું વિશ્વ યુદ્ધ થશે અને આજે આપણી પાસે જે પ્રકારના શસ્ત્રો અને ટેક્નોલૉજી છે તેને પગલે માણસજાતનો ખાત્મો બોલાતા વાર નહીં લાગે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 ઑક્ટોબર 2023

Loading

સ્પેશ્યલ મેરેજ એક્ટ મુજબના અધિકાર સર્વોચ્ચ અદાલતે સમલિંગીઓને આપવા જોઈતા હતા

રમેશ ઓઝા|Opinion - Opinion|22 October 2023

રમેશ ઓઝા

વેપાર જેટલી સેક્યુલર પ્રવૃત્તિ બીજી એકે ય નથી. તમારે કોઈ ચીજ વેચવી હોય અને સામેવાળો ખરીદવા માગતો હોય અને જો તેની પાસે પૈસા હોય તો તમે એ કોણ છે એની ચિંતા કરતા નથી. અને જો એ ખરીદનાર કોઈ ખાસ પ્રકારની કોમનો સભ્ય હોય અને એ કોમની ખાસ પ્રકારની જરૂરિયાત હોય તો એને માટે જરૂરિયાતની ચીજનું ખાસ ઉત્પાદન કરીને માર્કેટ વિકસાવામાં આવે છે. આને માટે કેટલીક એજન્સીઓ અસ્તિત્વમાં આવી છે જે સમાજનું બારીકાઇથી નિરીક્ષણ કરે છે અને માર્કેટની સંભાવના શોધી આપે છે. આવી એજન્સીઓને છેલ્લા બે ત્રણ દાયકાથી ધ્યાનમાં આવવા માંડ્યું કે વધુને વધુ સંખ્યામાં લોકો પોતાની જાતીય સંવેદના અને જાતીય પસંદગી (sexual orientation) શરમાયા વિના અને સમાજની ઐસીતૈસી કરીને ગભરાયા વિના વ્યક્ત કરી રહ્યા છે. ઊઘાડી રીતે આની કબૂલાત કરનારાઓની સંખ્યા વધી રહી છે. ભારત જેવા પ્રમાણમાં રૂઢિચુસ્ત દેશમાં પણ તેમનું પ્રમાણ વધી રહ્યું છે.

જે લોકો સ્ત્રી-પુરુષ વચ્ચેના જાતીય સંબંધો(heterosexual)ની વ્યાખ્યામાં બેસતા નથી અને તેમની જાતીય પસંદગી અલગ પ્રકારની છે એવા કેટલા લોકો હશે અને તેમની જો કોઈ ખાસ જરૂરિયાત હશે તો એ કઈ રીતની હશે, એનું માર્કેટ નક્કી કરવા એજન્સીઓ સર્વે કરવા માંડી. તમે શું માનો છો? આવા કેટલા લોકો હશે? વિવિધ એજન્સીઓએ કરેલા સર્વેનું સર્વસાધારણી કરો તો લગભગ દસ ટકા લોકો ખુલ્લેઆમ કબૂલ કરે છે કે તેઓ સમલિંગી છે અથવા બન્ને પ્રકાના સંબંધો (bisexual) ધરાવે છે અથવા ટ્રાન્સ જેન્ડર છે. બીજા દસ ટકા લોકો સ્પષ્ટ જવાબ આપતા નથી એનો અર્થ એ થયો કે તેઓ ભલે બહાર ન આવ્યા હોય, પણ તેમની જાતીય પસંદગી અલગ પ્રકારની હોઈ શકે છે. પણ દસ ટકાનો આંકડો નિશ્ચિત છે, કદાચ વધુ પણ હોય.

માર્કેટ જેનો સ્વીકાર કરે છે એનો સમાજને સ્વીકાર કરવામાં મુશ્કેલી પડે છે. દસ ટકા લોકોની જાતીય પસંદગી માન્યતાપ્રાપ્ત જાતીય પસંદગી કરતાં જૂદી હોય તો પણ તેનો સ્વીકાર કરવામાં બળ પડે છે. દસ ટકા એ કોઈ નાની સંખ્યા નથી. વાસ્તવિકતા કાને અથડાઈ રહી હોવા છતાં તેનો સ્વીકાર નથી કરવો.

સર્વોચ્ચ અદાલતના પાંચ ન્યાયમૂર્તિઓએ ચાર અલગ અલગ ચુકાદાઓમાં હાથ ઊંચા કરવાનું કામ કર્યું છે. કાયદો ઘડવાનું કામ અમારું નથી, અમારું કામ તો કાયદાનું અર્થઘટન કરવાનું છે. માટે ન્યાય જોઈતો હોય તો લોકો પાસે જાવ જેઓ કાયદાઓ ઘડે છે. કાયદો ઘડાયા પછી અમે તેનું અર્થઘટન કરીને કહેશું કે કાયદો ભેદભાવ વિનાનો ન્યાયી છે કે અન્યાયી. કાયદો બંધારણ સુસંગત છે કે વિસંગત. આનો અર્થ એ થયો કે પહેલાં કાયદો ઘડનારાઓને અન્યાય કરવા દો પછી અમે ન્યાય આપીશું. પણ કાયદો ઘડનારાઓ કાયદો ઘડે જ નહીં તો? તો શું ન્યાય માગનારાઓએ ન્યાયના શૂન્યાવકાશમાં જીવન વ્યતીત કરવાનું? આ ચુકાદો બેહુદો છે અને એ કઈ રીતે બેહુદો છે એ જોઈએ.

દેશમાં આધુનિક શિક્ષણના પરિણામે આધુનિક જીવનમૂલ્યો વિકસ્યાં એ પછી પારંપારિક લગ્નસંસ્થા સામે પ્રશ્નો થવા લાગ્યા. જો હિંદુ યુવક કે યુવતી મુસ્લિમ કે બીજા વિધર્મી યુવક કે યુવતી સાથે લગ્ન કરવા માગતો હોય તો તેણે કયા ધર્મની લગ્નવિધિ કરવી? એમાં તો કોઈ એકે ધર્માન્તરણ કરવું પડે અને લગ્ન માટે પોતાનો ધર્મ છોડવો પડે એ તો અન્યાય કહેવાય. ટૂંકમાં આંતરધર્મીય લગ્નોત્સુકોની સંખ્યા વધવા લાગી. કેટલાક નાસ્તિક હતા અને તેઓ લગ્નમાં ધર્મને વચ્ચે લાવવા માગતા નહોતા. આ સિવાય આનાથી પણ મહત્ત્વનો સવાલ હતો. દરેક ધર્મના પારિવારિક કાયદાઓ (Personal Laws) સ્ત્રીઓને અન્યાય કરનારા છે અને કોઈ સ્ત્રીએ તેનો શિકાર ન બનવું હોય તો? પછી ભલે યુવક અને યુવતી એક જ ધર્મના હોય અને કદાચ ધાર્મિક પણ હોય. અન્યાય કરનારા ધાર્મિક-સામાજિક રિવાજોને નકારવાનો અને તેનાથી બચવાનો અધિકાર મળવો જોઈએ કે નહીં?

આઝાદી પછી આ સવાલ ઉપસ્થિત થવા લાગ્યો. ત્યારના શાસકો બહેરા અને અસંવેદનશીલ નહોતા. સ્ત્રીઓને અને બીજાઓને ભલે અન્યાય થાય પણ આપણો ધર્મ મહાન એવો નશો કરાવતા નહોતા. પરિણામે ૧૯૫૪માં સ્પેશિયલ મેરેજ એક્ટ ઘડવામાં આવ્યો જેમાં ધર્મ અને ધર્મ આધારિત સામાજિક રીવાજો ક્યાં ય આડા આવતા નથી. સ્પેશિયલ મેરેજ એક્ટ ધર્મ આધારિત રિવાજોને નકારવા માટે નથી, પણ નાગરિકના પોતાની મરજી મુજબ અને પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્નના અધિકાર માટે છે. એવી જ રીતે સ્પેશિયલ મેરેજ એક્ટ લગ્નોત્સુકોની લૈંગિકતાને સ્વીકારવા કે નકારવા માટે નથી, પણ હમણાં કહ્યું એમ નાગરિકના પોતાની મરજી મુજબ અને પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાના અધિકાર માટે છે. સ્પેશિયલ મેરેજ એક્ટ નાગરિકને પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો જે અધિકાર આપે છે એ અધિકાર સર્વોચ્ચ અદાલતે સમલિંગીઓને પણ આપવો જોઈતો હતો. આમાં નવો કાયદો ઘડવાનો સવાલ ક્યાં આવ્યો?

ટૂંકમાં મને એમ લાગે છે કે સર્વોચ્ચ અદાલત સમલિંગીઓને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ ન્યાય આપી શકતી હતી. સમાજના દસ ટકા લોકોને (અને કદાચ તેનાથી પણ વધુ) ક્યાં સુધી અન્યાય કરવાનો?

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 ઑક્ટોબર 2023

Loading

...102030...887888889890...900910920...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી —319
  • સેલ્સમેનનો શરાબ
  • નફાખોર ઈજારાશાહી અને સરકારની જવાબદારી  
  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved