Opinion Magazine
Number of visits: 9457825
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—210

દીપક મહેતા|Opinion - Opinion|19 August 2023

હિંદુસ્તાનનું પહેલું રેલવે સ્ટેશન લાકડાનું બનેલું  હતું  

ગવર્નરના બંગલામાં આજે ચાલે છે હાફકિન ઇન્સ્ટિટ્યૂટ  

સ્થળ : મુંબઈ મરાઠી ગ્રંથ સંગ્રહાલય, દાદર, મુંબઈ 

પાત્રો : ગોવિંદ નારાયણ માંડગાંવકર, સ.ગં. માલશે, નાચીઝ દી.મ.

ગોવિંદરાવ : જુઓ, આજે સૌથી પહેલા હું તમને એક સવાલ પૂછીશ : બોરી બંદરનું સ્ટેશન જ્યાં બંધાયું છે ત્યાં જ કેમ બંધાયું? 

માલશે : આપ વિક્ટોરિયા ટર્મિનસની વાત કરો છો?

દી.મ. : આપ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની વાત કરો છો?

ગોવિંદરાવ : એ બધાં નામ તો પછી આવ્યાં. અસ્સલ નામ તો બોરી બંદર. પણ એ ત્યાં જ કેમ બાંધ્યું ગ્રેટ ઇન્ડિયા પેનેનસુલા રેલવે કંપનીએ? 

દી.મ. : એ તો કંપનીના ઈજનેરોને એ જગ્યા સારી લાગી હશે એટલે.

ગોવિંદરાવ : ના જી. તમે એક વાત નોંધ્યા નથી લાગતા : સ્ટેશન ટ્રેનનું પણ તેના નામમાં ‘બંદર’ છે. જુઓ, એ વખતે રેલવે માટેનાં એન્જિનથી માંડીને નાના સ્ક્રૂ સુધીનો બધો જ સામાન ગ્રેટ બ્રિટનથી લાવ્યા હતા, કારણ તેમાંનું કશું જ એ વખતે આપણા દેશમાં બનતું નહોતું. પણ આટલો બધો સામાન વહાણોમાં આવે તે ઉતારવો ક્યાં? 

દી.મ. : વહાણમાં કેમ? સ્ટીમરોમાં કેમ નહિ?

ગોવિંદરાવ : કારણ એ વખતે સ્ટીમરો હતી જ નહિ! જ્યાં પહેલું રેલવે સ્ટેશન બાંધવાનું હતું તે જગ્યાથી થોડે દૂર ખડકાળ દરિયા કિનારો હતો. નાના મછવા ત્યાં નાંગરતા. પણ તેમાં ચડ-ઉતર કરનારાઓને ખડકોને લીધે ભારે અગવડ પડતી. એટલે પહેલાં તો એ બધા ખડકો તોડીને દૂર કર્યા. પછી ત્યાં કામચલાઉ ‘જેટી’ બનાવી. સૌથી પહેલાં રેલના પાટા લાવ્યા અને બોરી બંદરથી રેલવે સ્ટેશનની જગ્યા સુધી કામચલાઉ પાટા નાખ્યા. પછી બીજો સામાન આવતો ગયો તેમ તેમ એ પાટાની મદદથી તેને સ્ટેશન બાંધવાની જગ્યા સુધી લઈ ગયા. પછી બોરી બંદર સ્ટેશનથી થાણે સુધી પાટા નાખ્યા. પછી ટ્રેનનાં એન્જિન અને ડબ્બા લાવ્યા, વહાણમાં જ હોં! એ વખતે આજના જેવાં કોઈ સાધન-સગવડ નહિ. એટલે બધું કામ મજૂરો જ કરતા. રેલવે લાઈન નખાઈ ગઈ, સ્ટેશન બંધાઈ ગયું, પછી પેલા દરિયા કિનારાથી સ્ટેશન સુધીના પાટા ઉખેડી નાખ્યા. અને હા, એ પહેલું બોરી બંદર સ્ટેશન કાઈ ઈંટ-ચૂનાનું બનેલું નહોતું.

દી.મ. : તો શેનું બનેલું હતું? 

ગોવિંદરાવ : લાકડાનું.

દી.મ. : કેમ લાકડાનું? રેલવે કંપની પાસે પાકું સ્ટેશન બાંધવાના પૈસા નહોતા?

માલશે : ના, એવા વાત નથી. પણ પહેલાં બોમ્બેમાં ઘણાં મકાન લાકડાનાં જ બંધાતાં. અને ગ્રેટ બ્રિટનમાં પણ એમ જ હતું. મહેતા, તમે જૂની અંગ્રેજી કાદમ્બરીઓ – સોરી, તમે તેને શું કહો? હા, નવલકથા – તો વાંચી જ હશે.

દી.મ. : હા, ૧૯મી સદીનું જે કાંઈ હોય તેમાં મને પહેલો રસ પડે.

માલશે : તો એક વાત તમારા ધ્યાનમાં આવ્યા જ હશે. તેમાંની ઘણી નવલકથામાં આગનો બનાવ આવતો હોય છે અને તેને લીધે પાત્રોના જીવનમાં અને તેથી કથામાં પણ, મોટો અણધાર્યો વળાંક આવતો હોય છે. પણ પછી જેમ જેમ ટાઈમ આગળ વધ્યો તેમ તેમ જીવનમાં અને તેથી નવલકથામાં આગના પ્રસંગ ઓછા થતા ગયા. જો કે ૧૮૦૩માં કોટ વિસ્તારમાં બહુ મોટી આગ લાગેલી અને તેમાં ઘણાં બધાં મકાન બળીને ખાખ થઈ ગયેલાં, કારણ એ લાકડાનાં બનેલાં હતાં.

દી.મ. : ઓકે, હવે સમજ્યો. પણ પેલા લાકડાના બોરી બંદર સ્ટેશનના ફોટા જોવા મળે કે નહિ?

ગોવિંદરાવ : ના. 

દી.મ. : પણ કેમ?

માલશે : કારણ એ વખતે હજી આપણા દેશમાં ફોટોગ્રાફીની માંડ શુરુઆત થયેલી, અને તેમાં ય આઉટ ડોર ફોટોગ્રાફી તો વધુ મોડી આવી. પણ લાકડાના ભાયખળા સ્ટેશનનો એક ફોટો મેં જોયો હતો એવું યાદ છે.

લાકડાનું બનેલું ભાયખળા સ્ટેશન

દી.મ. : હા, જી. એ ફોટો તો મેં બી જોયેલો છે. પણ અમારે કેવી મજા? મોબાઈલમાં જ કેમેરા, એક નહિ, બે-ચાર! હાલતાં-ચાલતાં, ઊઠતાં-બેસતાં બસ, મન થાય ત્યારે ફોટા પાડ્યે રાખો!

માલશે : અને પાંચ-પંદર દિવસ પછી ડિલીટ કરતા જાવ!

ગોવિંદરાવ : તમને બીજી એક મજેની વાત કહું, મહેતા. ૧૮૭૮માં જ્યાં વિક્ટોરિયા ટર્મિનસનું આલિશાન મકાન બાંધવાનું શુરુ થયું એ જગ્યાએ લાકડાનું બોરી બંદર સ્ટેશન આવેલું નહીં હતું. એ આવેલું હતું આજના સી.એસ.એમ.ટી. અને મસ્જિદ બંદર સ્ટેશનની વચ્ચે.

દી.મ. : પણ સ્ટેશનની જગ્યા બદલી કેમ?

માલશે : જેથી ટ્રેન વહેવાર ખોરવાય નહિ.

ગોવિંદરાવ : એટલે સુ કર્યા કે પહેલાં વી.ટી.નું આલેશાન મકાન બાંધ્યું, પ્લાટ ફોરમ વગેરે બાંધ્યા, અને પછી લાકડાના બોરી બંદરથી નવા વી.ટી. સુધી પાટા નાખ્યા અને ટ્રેનોને નવા સ્ટેશન સુધી દોડતી કરી. થોડા વખત પછી પેલું જૂનું, લાકડાનું સ્ટેશન તોડી પાડ્યું. 

માલશે : આ મહેતાએ ભાયખળાનાં નામ લીધા તેના પરથી એક વાત યાદ આવ્યા. એક વખત હતો જ્યારે મુંબઈમાં પીવાના પાણીના ઘણા જ તકલીફ હતા. વસતી ઓછી હતી ત્યાં સુધી તો કૂવા-વાવડીના પાણીથી લોકો જેમતેમ કામ રોડવતા. પણ પછી વસતી વધતી ગઈ તેમ પાણીની હાલાકી વધવા લાગી. એટલે શહેરમાં જુદી જુદી જગ્યાએ સખી-દાની પુરુષોએ તળાવ ખોદાવ્યાં. આવા એક તળાવ ભાયખળામાં શેઠ માણેકજી ખરશેદજીએ ખોદાવેલા. એ કાંઈ મોટા શાહુકાર નહિ હતા. સ્મોલ કોઝ કોર્ટમાં તીસરા જજ હુતા.

ભાયખળા સ્ટ્રીટ ૧૯૨૩

ગોવિંદરાવ : એ જમાનામાં ધીમે ધીમે ભાયખળાના મહત્ત્વ વધતા જતા હતા. ગોરા સૈનિકોનાં છોકરા અને છોકરીને ભણાવવા માટે અહીં બે અલગ નિશાળ હતી. છેક ૧૭૧૯માં એ શુરૂ થઈ હતી. જો કે એ શુરૂ થઈ હતી કોટ વિસ્તારમાં આવેલી ગોરા સૈનિકો માટેની બરાકની પાસે. પછી ૧૮૩૮માં બે નવાં મકાન ભાયખળામાં બાંધી તેને અહીં ખસેડી. આ સ્કૂલો માટેનાં બે મકાન બાંધવાનો કુલ ખરચ ૬,૧૯૦ રૂપિયા જેટલો આવ્યો હતો. તેનાથી થોડે દૂર રણમલ લાખા નામના એક લુવાણાએ મોટું મંદિર બંધાવેલું. તેની પાછળ ૫૦-૬૦ હજાર રૂપિયા ખરચેલા એમ કહેવાય છે. 

માલશે : પછી તો ભાયખળાથી માજગાંવ સુધી મોટા, સુંદર બંગલા અંગ્રેજો, પારસીઓ, ગુજરાતી વાન્યાઓ, મુસલમાનો, અને યહૂદીઓએ બંધાવ્યા. મોટો બંગલો. એની સાથે મોટો, સુંદર બગીચો. એમાં પાણીનાં ઝરણાં, ફુવારા. ક્યાંક નાનું તળાવ બનાવી તેમાં રંગબેરંગી માસળી તરતી મૂકે. 

ગોવિંદરાવ : અને મલબાર હિલ પરનો ગવર્નરનો બંગલો તો પછી બન્યો. તેના અગાઉ પરળમાં આવેલા એક મોટા બંગલામાં ગવર્નર સાહેબ રહેતા.

ગવર્નર્સ હાઉસ, પરળ

દી.મ. : છેક પરળ કેમ?

માલશે : કારણ એ વખતે પરળ તો હવા ખાવાનું સ્થળ ગણાતું. ત્યાંનાં હવાપાણી એકદમ ચોખ્ખાં. બીજા કેટલાક શાહુકારોના બંગલા પણ ત્યાં આવેલા હતા. 

દી.મ. : આ જગ્યા વિષે મને થોડી ખબર છે. અસલ તો અહી વૈજનાથ મહાદેવનું મોટું મંદિર આવેલું હતું. પોર્ટુગીઝોએ મુંબઈનાં ઘણાં મંદિર તોડ્યાં એમ આ મંદિર પણ તોડી નાખ્યું અને એની જગ્યાએ જેસુઈટ પાદરીઓને રહેવા માટે આલીશાન મકાન બાંધ્યું. કાર્સટેન નેબુર નામના એક પ્રવાસીને તો તે એટલું ગમી ગયેલું કે તેણે લખ્યું છે કે આ ઈમારતનું નામ The Peerless, એટલે કે ‘અપ્રતિમ’ પાડવું જોઈએ. પણ એક નાટકમાં ગીત આવતું હતું ને કે :

પીપળ પાન ખરંતાં હસતી કુંપળિયાં 

મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયાં.

તેમ અંગ્રેજોનું રાજ થયા પછી આ ઈમારત કંપની સરકારે લઈ લીધી. જેમના નામ પરથી હોર્નબી રોડ અને હોર્નબી વેલાર્ડ નામ પડેલાં એ ગવર્નર વિલિયમ હોર્નબી આ મહેલ જેવા મકાનમાં રહેવા આવનાર પહેલા ગવર્નર હતા. પછી ગવર્નરનું ઘર ફરી બદલાયું અને પહોચ્યું મલબાર હિલ. જ્યાં આજે પણ મહારાષ્ટ્રના ગવર્નર વસે છે.

માલશે : પરળની ઈમારતમાં પછીથી હાફકીન ઇન્સટિટ્યૂટ શુરૂ થઈ, જે આજે પણ ત્યાં જ છે.

દી.મ. : હા, આગલા ભાગમાં નવી ઊંચી ઈમારત બાંધી છે, પણ તેની પાછળ હજી સુધી તો અસલ ઈમારત જળવાઈ રહી છે.

શિવડીનો કિલ્લો

ગોવિંદરાવ : તમને એક બીજા વાત કહું. અસલ તો આ પરળનો અલગ ટાપુ હતો. એ વખતે હજી અંગ્રેજોની સત્તાના પાયા બહુ ઊંડા ગયેલા નહિ હતા. સીદીઓ, મરાઠાઓ, મોગલો, દરિયાઈ ચાંચિયાઓ અવારનવાર મુંબઈ પર ચડી આવતા. તેમનાથી બચવા માટે કંપની સરકારે જુદી જુદી જગ્યાએ નાના-મોટા કિલ્લા બાંધેલા. પરળના ટાપુને છેડે આ રીતે બાંધેલો કિલ્લો તે શિવડીનો કિલ્લો. એ બંધાયો ઈ.સ. ૧૬૮૦માં. પરળના ટાપુને છેડે આવેલી એક ટેકરી પર કંપની સરકારે એ બાંધેલો. એના પરથી પૂર્વમાં દરિયા ઉપર અને બીજી બાજુ લાંબે સુધી ભૂમિ ઉપર નજર રાખી શકાતી. ત્યાં લશ્કરના પચાસ સૈનિકો સતત પહેરો ભરતા. ઉપરાંત, ત્યાં આઠ તોપ પણ બેસાડવામાં આવી હતી. છતાં ૧૬૮૯માં સીદીઓ વીસ હજાર સિપાઇઓની સેના લઈને આવ્યા અને આ શિવરીનો કિલ્લો તો જીતી લીધો, પણ સાથોસાથ મઝગાંવ અને માહિમના કિલ્લા પણ સર કર્યા. અને તેમણે માહિમના ગામ પર હુમલો કરી લૂંટ ચલાવી. જો કે ૧૭૭૨માં પોર્ટુગીઝ સેના મુંબઈ પર ધસી આવી ત્યારે આ જ શિવડીના કિલ્લાએ તેને શિકસ્ત આપી પાછી તગેડી મૂકી હતી. 

માલશે : પછી જ્યારે બહારના આક્રમણની બીક ન રહી અને કંપની સરકાર સલામત બની ત્યારે શિવડીના કિલ્લાને કેદખાનું બનાવવામાં આવ્યો. પછી ત્યાં બોમ્બે પોર્ટ ટ્રસ્ટના ગોડાઉન બન્યા. 

દી.મ. : દાયકાઓ સુધી બીજા ઘણાખરા કિલ્લાની જેમ શિવડીનો કિલ્લો પણ ખંડેર બની રહ્યો. હવે છેલ્લા થોડા વરસથી સમારકામ, રંગરોગાન કરી, થોડી નવી જરૂરી સગવડ ઊભી કરી તેને એક ‘ટુરિસ્ટ સ્પોટ’ બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. 

માલશે : આ મુંબઈ શહેરની એક ખાસ વાત છે. એને ગઈ કાલ કરતાં આજ અને આવતી કાલમાં વધુ રસ છે. અને એટલે જ્યાં જળ ત્યાં સ્થળ, અને જ્યાં સ્થળ ત્યાં જળ એમ સતત બદલાતું રહે છે. રાજ કપૂરના પેલા જાણીતા ગીતમાં કહ્યું છે ને: ‘ચલના જીવન કી કહાની, રુકના મૌત કી નિશાની.’ અને મુંબઈ તો ફક્ત ચાલતું નથી, દોડતું રહે છે.

દી.મ. : હા જી. આપણી આ બધી વાતોમાં સમય પણ ક્યાં દોડતો ગયો તેની ખબરે ન પડી. પણ હવે વધુ વાતો કરવા મળશું આવતા શનિવારે. 

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

(પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 19 ઓગસ્ટ 2023)

Loading

ચાલો, હરારી પાસે -16 : LLMs 

સુમન શાહ|Opinion - Opinion|19 August 2023

સુમન શાહ

મનુષ્ય અને કમ્પ્યૂટર વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાઓ અતિ વેગે વિકસી રહી છે.

‘એ.આઈ.’ સિસ્ટમ્સ માનવભાષા સમજી શકે છે એ તો ખરું, પણ નૉંધપાત્ર હકીકત એ કે માનવભાષાનું સંસૃજન કરી શકે છે. કોઇક સહજ – નેચરલ – ભાષાની ઉત્પાદક સામગ્રીને – ઇન્પુટ્સને – પ્રોસેસ કરે છે અને પોતે જેને પામ્યું હોય એ પછીના શબ્દની આગહી કરે છે, અને તે પછીનાની, અને તે પછીનાની … એ અર્થમાં એ સંસૃજન પર સંસૃજન કરી જાણે છે.

એ સંસૃજન વધારે શક્ય બન્યું છે, LLMsને કારણે – લાર્જ લૅન્ગવેજ મૉડેલ્સને કારણે. હાલ એમાં OpenAI સર્જિત GPT – 3, 4 વગેરે તેમ જ Google-સર્જિત BERT, LaMDa અને PaLM મૉડેલ્સ સવિશેષે જાણીતાં છે.

‘લાર્જ લૅન્ગ્વેજ મૉડેલ્સ’ ‘એ.આઈ.’-નો ઘણો શક્તિશાળી પ્રકાર છે. એમાં ભાષાઓને ટૅક્સ્ટ અને કોડના લાર્જ એટલે કે અતિ વિશાળ ડેટાસૅટ્સથી તાલીમ અપાઈ હોય છે.

તેથી ટ્રૅડિશનલ ‘એ.આઈ.’ મૉડેલ્સથી આ મૉડેલ્સ વધારે પરિષ્કૃત હોય છે.

‘એ.આઈ.’-ના વેગવર્ધકોએ -.ઍક્સેલરેટર્સે.- એનું કદ વિસ્તાર્યું હોય છે. એથી ઘણી મોટી માત્રાના ટૅક્સ્ટડેટાને પ્રોસેસ કરી શકાય છે, કેટલીયે વાર એ ડેટા ઇન્ટરનેટથી ખૅંચી લેવાયા હોય છે.

એનાં એ ઑલ્ગોરીધમ્સ ડીપ લર્નિન્ગ હોય છે – ઊંડું શીખવાની ક્ષમતાવાળા. તેથી ધ્વનિ, અભિવ્યક્તિ તેમ જ અર્થ વચ્ચેના સૂક્ષ્મ ફર્કને, એટલે કે ભાષાના નુઆન્સિસને, એ ઝટ શીખી લે છે અને એકદમ સુસંગત તેમ જ ઉપકારક પ્રતિભાવો પેદા કરે છે. મેં અગાઉના લેખમાં કહેલું કે એને ‘ચાંદલો’ જેવા સંસ્કૃતિ સાથે જોડાયેલા શબ્દની પતીજ નહીં પડે, પણ આ મૉડેલ્સ એવી ચીજોને પણ ઓળખી બતાવે, તો નવાઈ પામવાનું કારણ રહેશે નહીં.

‘લાર્જ લૅન્ગ્વેજ મૉડેલ્સ’ અનેક રીતે વિશિષ્ટ છે :

એક નિષ્ઠાવાન યુવતી કે યુવક એવાં કામોમાં મચી પડે છે જેથી બાપોતી મિલકતમાં વધારો થાય છે. કાદચ એ જ રીતે આ મૉડેલ્સ આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સના જ ક્ષેત્રની પ્રગતિ થાય તે માટેનાં સંશોધનોની વ્યવસ્થાઓ પૂરી પાડે છે. જેમ કે, કેવાંક સંશોધનો થાય તો ‘એ.આઈ.’ વિકસે, સહજ ભાષાઓને માટેની પ્રક્રિયાઓ વિકસે, મશીન લર્નિન્ગ વિકસે, વગેરે.

સ્હૅજ ફંટાઈને પણ આ ક્ષણે સમજી લેવાની જરૂર છે કે ‘મશીન લર્નિન્ગ’ શું છે. કેમ કે મશીન લર્નિન્ગની તાલીમ માટે ય ‘લાર્જ લૅન્ગ્વેજ મૉડેલ્સ’-નો વિનિયોગ થાય છે. તેથી મશીનો માનવ્યવહારોને સમજી શકે છે અને વિવિધ આગાહીઓ કરી શકે છે.

મશીન લર્નિન્ગ ‘એ.આઈ.’-નો સબસૅટ છે, ઉપ વ્યવસ્થા. એ આપણાં કમ્પ્યૂટરોને, એટલે કે મશીનોને, કશી અલગ રીતે પ્રોગ્રામ્ડ કર્યા વિના, તેઓ જાતે પ્રગતિ કરી શકે એવું સામર્થ્ય આપે છે. મશીન લર્નિન્ગ ઑલ્ગોરિધમ્સને ડેટાથી તાલીમ અપાઈ હોય છે, એટલે પછી એને શીખવવું પડતું નથી કે ડેટાને આમ વાપર કે તેમ વાપર. મશીન શાણું થઈ જાય છે.

જેમ કે, કૂતરા અને બિલાડીની છબિઓના ડેટાસૅટ પર વિકસાવાયેલું મશીન લર્નિન્ગ ઑલ્ગોરિધમ, એવી તાલીમ પછી, જો નવી છબિઓના સમ્પર્કમાં મુકાશે તો તરત કૂતરા અને બિલાડીને જુદાં દર્શાવી શકશે, એટલું જ નહીં, તે પછી પણ, નવી નવી છબિઓને ઓળખીને એ બન્નેને જુદાં દર્શાવી શકશે. ટૂંકમાં, કમ્પ્યૂટરોને કહેવું નહીં પડે, જાતે જ બધું કરવા માંડશે.

મશીન લર્નિન્ગ ઉપ વ્યવસ્થા ઝડપથી વિકસી રહેલું ક્ષેત્ર છે. એના વિકાસ માટેના નવા ને નવા તરીકા નિરન્તર ઉમેરાઈ રહ્યા છે.

‘લાર્જ લૅન્ગ્વેજ મૉડેલ્સ’-ની વાત સાથે પાછા જોડાઈ જઈએ. ’એ.આઇ.’-નાં એના વડે સંસૃજનકારી મૉડેલ્સ સરજાય છે. દાખલા તરીકે, ચૅટબોટ્સ કે વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ્સ. એથી મનુષ્યો સાથેની એની આન્તરક્રિયાઓ વધારે ‘કુદરતી’ અનુભવાય છે.

કોઈપણ નવી માહિતીમાં ગુંથાયેલી ભાત અને તેની સાથેના સમ્બન્ધોને એ બહુ ઝડપથી અપનાવી શકે છે. આપણ સાહિત્યકારોને રસ પડે પણ ચિન્તા ય થાય એવી વાત એ છે કે એ સુપેરે સર્જનાત્મક ટૅક્સ્ટનાં રૂપ સરજી શકે છે, એટલે કે કાવ્યો, લેખનો, સંગીતી ચીજો, પત્રો, અને ઇમેઇલ્સ તો ખરા જ ખરા.

કેમ કે એની પાસે માનવભાષાની સંરચના સમજવાની ક્ષમતા હોય છે. ઉપરાન્ત, ‘નેચરલ લૅન્ગ્વેજ પ્રોસેસિન્ગ’-થી નેચરલ – સહજ – ભાષાની ચૉક્કસાઇ વિશે સુધારા કરી જાણે છે, મશીન ટ્રાન્સલેશન્સ કરી જાણે છે, કોઈપણ ટૅક્સ્ટના સંક્ષેપો કરી જાણે છે. એટલું જ નહીં, આપણા મુશ્કેલ કે વિચિત્ર સવાલોના જવાબ ઘડી પળમાં આપી શકે છે, અલબત્ત, માહિતીના રૂપમાં.

મેં એક વાર પૂછ્યું કે ‘હુ ઍન્ડ વ્હૉટ ઇઝ સુમન શાહ ઇન ગુજરાતી લિટરેચર?’ તો, જવાબ ન આપી શક્યું, દિલગીરી દર્શાવી. કેમ કે એની પાસે ‘સુમન શાહ’-ની નહીં પણ ‘સુમનચન્દ્ર ગોવિન્દલાલ શાહ’-ની માહિતી હતી. મારા એ નામે એણે મારી સાહિત્યિક કારકિર્દીની ઘણી સાચી વાતો પીરસી દીધી. મેં એને કહ્યું કે મારાં પુસ્તકો ‘સુમન શાહ’ નામે છે, તો એણે ‘સૉરિ’ લખીને ઉમેર્યું કે, ‘આઈ વિલ કરેક્ટ ઇટ’. આ સવાલજવાબ મેં ગુજરાતી ભાષામાં ઇચ્છ્યા હોત તો પણ એ એટલી જ સારી રીતે કરી શક્યું હોત.

ઉત્તરોત્તર વિકસતાં જશે આ ‘લાર્જ લૅન્ગ્વેજ મૉડેલ્સ’ એટલે કમ્પ્યૂટર સાથેના આપણા વ્યવહારમાં હજી ઘણાં મોટાં પરિવર્તનો આવશે, ક્રાન્તિ સરજાશે. કેમ કે, એને વધારે ચૉક્કસ અને વધારે ઉપકારક માહિતીઓ માટે તૈયાર કરાયાં હશે. ખાસ તો એ વાસ્તવિક અને સર્જનાત્મક લાગે એવાં વસ્તુ – કન્ટેન્ટ – માટે પ્રયોજાશે; વપરાશકારોને કુદરતી દીસે અને પકડી રાખે એવા ઇન્ટરફેસિન્ગને વધારે તાદૃશ કરી દેશે.

હરારી “21 Lessons for the 21st Century”-માં લખે છે, ‘LLMs બે-ધારી તલવાર છે’, કહે છે, ‘They can be used for good or evil. It is up to us to decide how we will use them.’ (P. 117). કહે છે કે ‘આ મૉડેલ્સ આપણાં જીવનોને અંકુશમાં લઈ શકે એટલાં બધાં શક્તશાળી બની જશે’. કહે છે, ‘They could decide what information we see, what decisions we make, and even what we think.’ (P. 118).

હરારી માને છે કે ટૅક્નોલૉજિના વિકાસને કારણે નવતર વિચારધારાઓ જનમશે અને સમાજ ઘણો બદલાશે. આ મૉડેલ્સ પાસે એ બદલાવોને વેગીલા બનાવવા માટેનું સામાર્થ્ય છે, જે વિકસી રહ્યું છે. જો કે એ ખોટી માહિતી પણ પ્રસરાવશે, બનાવટી સમાચારો પણ ઘડી કાઢશે, લોકમાનસને વાપરશે અને દોરશે પણ ખરું. આગવી કાર્યદક્ષતા વડે આ મૉડેલ્સ મનુષ્યનાં જ ગણાય એવાં વિલક્ષણ ક્ષેત્રો પણ સર કરશે.

સરવાળે, બુદ્ધિમત્તા અને ચેતનાનાં ખરાં સ્વરૂપો શું છે એ પ્રશ્નો પણ જાગશે.

હરારી ઉમેરે છે, આ મૉડેલ્સ માણસ હોવા વિશેની આપણી સમજણને જ પડકારે છે !

= = =

(08/19/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

વાસી સ્વતંત્રતા દિવસ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|18 August 2023

રવીન્દ્ર પારેખ

15 ઓગસ્ટ ગઈ, જેમ અંગ્રેજો ગયા, એમ જ ! હવે વાસી સ્વતંત્રતા દિવસ ઊજવું છું. આપણે તો વાસી તહેવારો પણ ઊજવીએ છીએ. વાસી ઉતરાણ, વાસી બળેવની જેમ જ વાસી સ્વતંત્રતા દિવસ ! આ દિવસ એટલે અટવાતા ધ્વજનો નિકાલ કરવાનો દિવસ ! નેતાઓના ભાષણો લૂંછવાનો દિવસ ! 15મીએ તો આખો દિવસ ફિલ્મો પણ દેશભક્તિની જ આવી. દેશપ્રેમનાં ગીતો પણ બહુ ગવાયાં. હવે એટલું છે કે મોબાઇલમાં ને ત્યાંથી માઇક પર ઓડિયો શેર થઈ શકે છે, એટલે બહુ ગાવું પડતું નથી. જનગણમન પણ વગાડી દેવાય કે પત્યું ! ગાવાની ઝંઝટ જ નહીં ! શું છે કે હવે બધું જ રેડીમેઇડ છે. રાષ્ટ્રધ્વજનો લીલો રંગ ઉપર આવે કે નીચે એ ય યાદ રાખવું પડતું નથી. ટી.વી. પર તો એ ફરક્યા જ કરતો હોય છે. વરસાદ પડતો હોય ને ટી.વી. અટકી પડ્યું હોય તો જ કોઈને પૂછવું પડે ને એ પણ એના નેતાને પૂછીને કન્ફર્મ કરી દે, એટલે કોઈ પ્રોબ્લેમ જ નહીં ! જ્યારથી મોબાઈલ આવ્યા છે, આખો દિવસ દેશભક્તિ અપલોડ ને ફોરવર્ડ થતી રહે છે, બાકી, પહેલાં તો ધ્વજવંદન થાય કે 15મી લગભગ પૂરી જ થઈ જતી. જો કે, આ તકલીફ પણ 15મી પૂરતી જ ! પછી તો વરસ સુધી નિરાંત !

હવે એટલું સુખ થઈ ગયું છે કે બધું એકાદ દિવસ જ યાદ રાખવું પડે છે. મધર્સ ડે પર માને યાદ કરો કે મા પણ ખુશ ને સંતાનો ય રાજી ! એવું જ ફાધર્સ ડેનું ! એ તો સારું છે કે ફાધર્સ ડે આવે છે, બાકી, ફાધરને કોણ પૂછે? ને ફાધર-ફેધરમાં ગોટાળા થાય તે નફામાં ! ટીચર્સ ડે આવે છે તો ટીચર ફીચરમાં દા’ડો નીકળી જાય છે. સારું છે કે કોઈએ ‘નાઈટ ડે’ નથી કાઢ્યો, નહિતર ક્યારે મનાવવો એ સવાલ થઈ પડે. હવે તો દિવસો જ એટલા થઈ ગયા છે કે વરસ ઓછું પડે છે. બધા દિવસ ઉજવવા હોય તો તહેવારો ને વહેવારો અડધા કરવા પડે. સવારે 15મી ઓગસ્ટ ને સાંજે રક્ષાબંધન, સવારે ગણેશોત્સવ ને રાત્રે ઋષિપાંચમ એન્ડ સો ઓન …

આમ તો આપણે દુનિયાની ત્રીજી ઈકોનોમી બનવા જઇ રહ્યાં છીએ ને 5G ને AIના જમાનામાં લેટેસ્ટ ટેક્નોલોજીથી સમૃદ્ધ પણ છીએ, દુનિયા આપણી પ્રગતિને, આપણા રકાસને, સોરી, વિકાસને આશાભરી નજરે જોઈ રહી છે, ત્યારે કોને દેશ માટે ગૌરવ લેવાનું મન ન થાય ! જો કે, આ તો વડા પ્રધાને વિદેશ જઇ જઈને મહામહેનતે ઉપસાવેલી વૈશ્વિક પ્રતિભા છે, બાકી, આપણા આયનામાં ઉપસેલી આકૃતિ તો આપણે જ  જાણીએને ! એ ખરું કે પ્રકૃતિ આપણા વિકાસને મોડોવહેલો માપનો કરીને જ જંપે છે. હિમાચલ, ઉત્તરાખંડ, સિમલામાં ભીનાશે જે વિનાશ નોતર્યો છે, તેની સામે આંખ આડા કાન કરીએ તો પણ, એ તો સામેથી આવીને દેખા દે જ છે.

ગુજરાતના દરેક ધારાસભ્યને રસ્તા પર થીંગડાં મારવા બે કરોડની ગ્રાન્ટ આપવાનું સરકારે ઠરાવ્યું છે, એ જુદી વાત છે કે નેતાઓનાં નામનાં બાંકડા લોકો અગાશીમાં કે દુકાનોમાં તાકા કે સાડીઓ મૂકવા રાખી લે છે. તાત્પર્ય એ કે આખું કોળું દાળમાં જતું નથી. કૈંક તો થાય છે. ઘણા બધા પ્રોજેક્ટ્સ પાર પડે છે. મેટ્રો, બી.આર.ટી.એસ., વંદે ભારત, બુલેટ ટ્રેન, કચ્છ સુધી વહેતી નર્મદા, 370ની નાબૂદી, ત્રણ તલાક, સર્જિકલ સ્ટ્રાઈક, કાઁગ્રેસી સરકારોની ટીકા, ગાંધી કરતાં સરદારને આગળ કરવાની વૃત્તિ … વગેરે દ્વારા આઝાદી પછીનાં અને ખાસ તો મોદી સરકારનાં વખતમાં થયેલાં કાર્યોની નોંધ લેવી જ પડે.

કેન્દ્ર સરકારે લાખો ગરીબોનું કોરોના કાળથી માંડીને આજ સુધી પેટ પાળ્યું છે ને લાખો લોકોનાં ખાતાં ખોલાવી પૈસા જમા આપ્યા છે. આવું વિદેશમાં શક્ય નથી, ત્યાં કશું મફત મળતું નથી. એ આ જ દેશમાં શક્ય છે. એની આડ અસર એ થઈ કે લોકો આળસુ થયા અને મફતનું શોધતા થયા. મોદી સાહેબે તો કહેલું કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી. ‘ખાતો નથી’ એ સાચું, પણ ખાનારા તો ખાય જ છે. એવું નથી કે કાઁગ્રેસી સરકારમાં અપ્રમાણિકતા, કામચોરી, ભ્રષ્ટાચાર ન હતાં, પણ તેનું પ્રમાણ અગાઉ ક્યારે ય ન હતું એટલું આજે છે. બળાત્કાર, છેડતીને લગતા બનાવોની સંખ્યા શરમજનક રીતે વધી રહી છે. દેશમાં 13.13 લાખ સ્ત્રીઓ ગુમ છે. આ બધું વિકાસની આડે આવે છે.

2020થી નવી શિક્ષણ નીતિ લાગુ છે, પણ તેનો અમલ કરનારા શિક્ષકોને કાયમી ધોરણે રાખવાને બદલે જ્ઞાનસહાયકોથી કામ લેવામાં રમત રમાઈ છે. આ જ્ઞાનસહાયકો 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર જ રખાય તો તે કાયમી થાય જ નહીં. કાયમી ન થાય એટલે તેને રિટાયરમેન્ટ વખતે પેન્શન વગેરે લાભો આપવાથી બચી શકાય. 5 વર્ષની ટર્મ પૂરી કરનાર કોર્પોરેટર, ધારાસભ્ય કે સાંસદ દરેક સેવાનું અલગ અલગ પેન્શન મેળવી શકે, પણ 30-35 વર્ષની સળંગ નોકરી કરનાર શિક્ષક પેન્શનને પાત્ર ન ગણાય એ કેવું? ગુજરાત સરકાર શિક્ષકોને મામલે આવી કંજૂસાઈ કરતી હોય તો શિક્ષણ નીતિ ગમે એટલી ઉત્તમ હોય તો ય તેનો અર્થ રહેતો નથી. નવી બંધાતી સડક, નવા બંધાતા પુલ, નવાં બંધાતાં રહેઠાણોનાં બાળમરણ હવે સ્વયં સિદ્ધ હકીકતો છે. કોલેજ એડ્મિશનમાં વેડફાતી ટર્મ, સતત વધતી ફી, શિક્ષણનું કથળતું સ્તર, એ પછી પણ વધતી આવતી શિક્ષિત બેકારોની સંખ્યા – આ બધાંથી ત્રાસીને યુવાધન વિદેશ તરફ વળી ગયું છે.

સવાલોનો સવાલ એ છે કે દેશ ઝડપથી વિકાસ કરી રહ્યો છે, તો અહીંનો યુવાન વિદેશ જવા કેમ પ્રેરાયો છે? દેશના અમીરો અહીં કમાઈને વિદેશ સ્થાયી થઈ રહ્યા છે. 2023માં 6,500 અમીરો ભારત છોડવાનું મન બનાવી ચૂક્યા છે. આ આંકડો ગયા વર્ષ કરતાં હજાર ઓછો છે. આ બધાં તો માલેતુજારો છે, તે કેમ દેશ છોડે છે? એનાં કારણોમાં કાયદાની જટિલતા અને ટેક્સની ગૂંચ ગણાવાય છે. એ સાચું છે કે ભારતીય કર માળખું અનેક વિસંગતિઓથી ભરેલું છે, એકતરફ આ દેશ ઝડપી વિકાસ કરી રહ્યો હોય ને બીજીતરફ અમીરો કાયદા અને કરના ત્રાસને કારણે દેશ છોડતા હોય તો ફેરવિચારણા જરૂરી બને છે.

ભારતીય યુવાનો ને અમીરો કાયમી ધોરણે વિદેશ સ્થાયી થાય ને એ વિદેશમાં મંત્રી કે અન્ય પદો પર બિરાજે તો તેનાં ભારતીય મૂળથી આપણે પોરસાઈએ છીએ. ત્યારે, એ વિચાર નથી આવતો કે આવી શક્તિ ધરાવનારને આપણે જ તો વિદેશ જવાનાં કારણો પૂરાં પાડ્યાં છે. યુવાનો ભારતનું નાગરિકત્વ છોડીને વિદેશ જઇ રહ્યા હોય ત્યારે એમના વગર આ દેશ કેવી રીતે વિકાસ કરશે એ વિચારવાની જરૂર ખરી કે કેમ? 2022માં 2.25 લાખ ભારતીયોએ વિદેશી નાગરિકત્વ અપનાવ્યું છે. એનાં અન્ય કારણો હશે, પણ મુખ્ય કારણ આર્થિક કમાણીનું છે. યુવાનો આમ તો વિદેશ ભણવા જાય છે, પણ ત્યાંની સમૃદ્ધિ જોઈને પછી ત્યાં જ સ્થાયી થઈ જાય છે. એવા 90 ટકા યુવાનો પાછા આવવા નથી માંગતા. એમનો ય સ્વાર્થ હશે જ, પણ એમને રોકી રાખનારું કોઈ આકર્ષણ આ દેશમાં કેમ નથી એ મુદ્દે આત્મનિરીક્ષણની જરૂર વર્તાય છે. એવું નથી કે દેશ માટે જતું કરનારાં લોકો નથી. છે ને ઘણાં છે. એમનાં પુણ્યે જ તો કદાચ આ દેશ ટકેલો છે !

એવું નથી કે સરકાર કૈં કરતી નથી. ‘આયુષ્યમાન ભારત’ યોજના અંગે ભારતના કમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ(કેગ)નો રિપોર્ટ છે કે 3,446 એવા દરદીઓ પાછળ 6.9 કરોડ રૂપિયા ખર્ચાયા જે ઓલરેડી ગુજરી ચૂકેલા હતા ને આવું કૈં પહેલીવાર નથી થયું. આ અગાઉ પણ CJIના રિપોર્ટમાં એવું આવ્યું હતું કે સાડા સાત લાખથી વધુ દરદીઓ એક જ મોબાઈલ પર રજિસ્ટર થયા હતા ને તે પણ એવા નંબર પર જે અમાન્ય હતો. આવી અપ્રમાણિકતા ને ભ્રષ્ટતાનું પરિણામ એ આવે છે કે જેને માટે આવી યોજનાઓ લાગુ થાય છે, એમના સુધી તો લાભ પહોંચતો જ નથી ને જેને જરૂર નથી એવા લોકો જ જરૂરતમંદને નામે પોતાની હોજરી ઠાંસતાં રહે છે. આ સ્થિતિમાં ‘મેરા ભારત મહાન’ કોઈ કહે કે આખો દિવસ પંદરમી ઓગસ્ટે દેશભક્તિનાં ગીતો વગાડે તો તેમાં ભરોસો પડે ખરો? આજે સૌથી વધુ ખૂટે છે તે વિશ્વસનીયતા. રાજકીય પક્ષોને તો સત્તા સિવાય બીજો કોઈ રસ જ નથી. શાસકો વિપક્ષને ભાંડીને, તેને તોડીને કેવી રીતે ટકી રહેવાય ને વિપક્ષો કેવી રીતે સત્તામાં અવાય તે સિવાય બીજી ચિંતા ભાગ્યે જ કરે છે. ટૂંકમાં, દેશ છે, પણ દેશદાઝ નથી. એ કમનસીબી છે કે ચારે બાજુએ સચ્ચાઈને ભોગે દેખાડો જ વર્ચસ્વ ભોગવે છે.

સારું છે કે દેશની ત્રણે સેનાઓમાં એવો દેખાડો નથી પ્રવેશ્યો. એ લોકો સેવા કરે છે, સેવાનો અભિનય નથી કરતાં. એ તો જીવ આપીને પણ દેશની રક્ષા જ કરે છે. જરા વિચારો કે આપણે આચરીએ છીએ એવી બેવફાઇ, ભ્રષ્ટતા આપણા સૈનિકો આચરે તો લાગે છે કે સમાવા માટે આપણને ધરતી પણ મળે? તો, વફાદારી, પ્રમાણિકતા, સચ્ચાઈ એ શું સૈનિકોએ જ બતાવવાની છે? એ વફાદારી એમણે એવાં લોકો માટે બતાવવાની છે, જે ઘણુંખરું ભ્રષ્ટ, દુષ્ટ ને નિકૃષ્ટ છે? કમાલ છે ને કે આપણા જેવાં માટે આપણે એમને શહીદી વહોરવા સરહદે ધકેલીએ છીએ ! આપણે એટલા નસીબદાર તો છીએ કે આપણા પર જ થૂંકી નથી શકતા, બાકી, લાયકાત તો …

 000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 ઑગસ્ટ 2023

Loading

...102030...887888889890...900910920...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved