Opinion Magazine
Number of visits: 9456203
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ બધા પુરસ્કાર શેના માટે?

રમેશ સવાણી|Opinion - Opinion|8 July 2025

રમેશ સવાણી

કોઈ પણ વ્યક્તિનું સન્માન થાય ત્યારે તેના ગામ / સમુદાય / દેશનું સન્માન થતું હોય છે. સન્માન માટે હંમેશાં અભૂતપૂર્વ કામગીરી / માનવ સમાજ માટે ઘસાઈને ઊજળા થવા માટે થતું હોય છે. સન્માન તો પરિશ્રમનો બદલો છે, મૂલ્યાંકન છે. 

નોબેલ પારિતોષિક જુદા જુદા ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી માટે આપવામાં આવે છે. જેમને આ સન્માન મળે છે તે વિશ્વ કક્ષાએ સન્માન પામે છે. સ્વીકૃતિ પામે છે. મેગ્સેસે પુરસ્કાર પણ જુદા જુદા ક્ષેત્રોમાં નોંધનીય કામગીરી માટે અપાય છે. જે પત્રકારત્વ ક્ષેત્રમાં રવિશકુમારને મળેલ છે. જો કે મેગ્સેસે પુરસ્કાર યોગ્ય વ્યક્તિને જ મળે છે એવું નથી. સામાજિક નેતૃત્વમાં પાંડુરંગ શાસ્ત્રીને મેગ્સેસે પુરસ્કાર મળ્યો હતો તે ખોટી પ્રચાર ઝૂંબેશના કારણે મળેલ. જો કે મોટાભાગે આ પુરસ્કારો યોગ્ય વ્યક્તિઓને મળતા હોય છે. 

દેશના વડા પ્રધાનને પણ બીજા દેશ તરફથી સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવે છે. આ પ્રકારના સન્માન / પુરસ્કાર કોઈ વિશિષ્ટ કામગીરી માટે નહીં પણ સન્માન મેળવનાર વડા પ્રધાનના હોદ્દા પર છે, એટલે આપવામાં આવે છે. આ એક પ્રોટોકોલ-રાજદ્વારી શિષ્ટાચાર છે. વડા પ્રધાન મોદીજીને જુલાઈ 2025 સુધીમાં 25 દેશોએ સર્વોચ્ચ નાગરિક સન્માન કે અન્ય સન્માનથી સન્માનિત કરેલ છે જેમાં Saudi Arabia / Afghanistan / Palestine / Maldives / United Arab Emirate s/ Bahrain / United States of America / Fiji / Papua New Guinea / Egypt / France / Greece / Bhutan / Russia / Nigeria / Dominica / Guyana / Kuwait / Barbados / Mauritius / Sri Lanka / Cyprus / Ghana / Trinidad-Tobagoનો સમાવેશ થાય છે. આ ઉપરાંત honorary doctorate degree આપવાનો પણ શિષ્ટાચાર છે. વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરનું કામ જ મોદીજી માટે પુરસ્કારની ભિક્ષા માંગવાનું હોય એવું લાગે છે !

2014માં, સધર્ન યુનિવર્સિટી તરફથી મોદીજીને માનદ્દ ડોક્ટરેટનું સન્માન આપવામાં આવેલ પણ તે સન્માન સ્વીકારવાનો તેમણે ઈન્કાર કર્યો હતો. 2016માં બનારસ હિન્દુ યુનિવર્સિટી તરફથી માનદ્દ ડોક્ટરેટ ઓફ લો સ્વીકારવાનો તેમણે ઇનકાર કર્યો હતો. ગુજરાતના મુખ્ય મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ઘણી યુનિવર્સિટીઓએ માનદ્દ ડોક્ટરેટની પદવી આપવાનો નિર્ણય  કરેલ પણ તેમણે આ સન્માન સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. કદાચ યુનિવર્સિટીના નામથી જ મોદીજી ભડકી જાય છે !

મોદીજી વડા પ્રધાન છે એટલે આ સન્માન મળે છે. તેઓ RSSના માત્ર પ્રચારક હોત આ સન્માનો મળ્યા ન હોત ! એટલે કે આ સન્માનો સત્તાથી ખરીદાયેલા છે, કોઈ વિશિષ્ટ કામગીરી માટેના નથી. એટલું જ નહીં, જ્યારે ભારતે પાકિસ્તાન સામે ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધર્યું ત્યારે આ 25 સર્વોચ્ચ નાગરિક સન્માન આપનાર દેશો ભારતની પડખે ઊભા રહ્યા ન હતાં ! મોદીજી વડા પ્રધાન બન્યા બાદ 89 દેશોના મહેમાન બન્યા. આ 89 દેશોમાંથી પણ કોઈ ભારતની પડખે રહ્યા નહીં ! ટૂંકમાં વિદેશ પ્રવાસનો અને સન્માનનો ભારતને કોઈ લાભ થયો નહીં ! આ આપણી વિદેશનીતિની ભયંકર નિષ્ફળતા હતી. ‘મોદીજીએ ભારતનો વિશ્વમાં ડંકો વગાડ્યો છે’ તે માત્ર અંધશ્રદ્ધા છે. 

સન્માન મળે સારી બાબત છે, પરંતુ તે કામગીરીના આધારે મળે તો સોનામાં સુગંધ ભળે. મોદીજીએ 2014થી 2025 દરમિયાન દેશ માટે કોઈ ઉત્કૃષ્ટ કામગીરી કરી? માનવ સમાજ માટે ઘસાઈને ઊજળા થયા? તેમણે જે વચનો આપેલ તેમાંથી એકપણ વચનનો અમલ કર્યો? શું પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા? ડોલરના મુકાબલે રૂપિયો મજબૂત બન્યો? મોંઘવારી ઘટી? બેરોજગારી ઘટી? લોકશાહી મૂલ્યો મજબૂત થયાં? લોકોના હક્કો વિસ્તૃત બન્યા? શું ન્યાયતંત્ર / ચૂંટણીપંચ સ્વતંત્રપણે કામ કરી શકે છે? શું ભષ્ટ્રાચાર સહેજ પણ ઓછો થયો? શું યૌન શોષણની ફરિયાદ પોલીસ નોંધતી થઈ? શું વિપક્ષોનું ચરિત્રહનન ઓછું થયું? શું જૂઠાણાં ઓછા થયાં? શું ખેડૂતોની આવક બમણી થઈ? શું શ્રમિકોની સ્થિતિ સુધરી? શું સમાજમાં પ્રવર્તતા ઊંચનીચના ભેદભાવો ઓછા થયા? શું સમાજમાં પ્રગતિશીલ મૂલ્યો / વૈજ્ઞાનિક અભિગમની સ્થાપના થઈ? શું મીડિયા સ્વતંત્રપણે કામ કરી શકે છે? શું સરકારી ખર્ચે યોજાતી રેલી / સભામાં પક્ષનો પ્રચાર કરવાની અનૈતિકતા ઓછી થઈ? શું કરોડો રુપિયાનો ભ્રષ્ટાચાર કરનારને સજા થઈ? શું મહિલાઓની સુરક્ષા વધી? અનુસૂચિત જાતિ-જનજાતિ / નબળા વર્ગના લોકોની પ્રગતિ થઈ? જો આ બધાં પ્રશ્નોના જવાબ ‘ના’ હોય તો આ 25 સર્વોચ્ચ પુરસ્કાર શેના માટે અપાયા હશે?

નેતાનું સાચું માપ તેમની આંતરરાષ્ટ્રીય છબીમાં નથી, પરંતુ પોતાના રાષ્ટ્ર અને તેના લોકોના ઉત્થાનમાં રહેલું છે. વડા પ્રધાનને સત્તા મળે પણ લોકો માટે એનો ઉપયોગ ન થાય તો પુરસ્કારનો કોઈ અર્થ ખરો? રાજાનો વેશ ધારણ કરવાથી રાજા બની શકાતું નથી ! વડા પ્રધાનનો હોદ્દો મળે છતાં કોરાધાકોર રહી જવાય !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સબ કા અપના અપના નોર્મલ હૈ 

રાજ ગોસ્વામી|Opinion - Opinion|8 July 2025

બહેરા દેડકાનું સાહસ …

રાજ ગોસ્વામી

એક જંગલમાં દેડકાઓનાં ટોળાં વચ્ચે ઊંચા નીલગિરી પર ચઢવાની હરીફાઈ યોજાઈ. બીજાં પ્રાણીઓ ત્યાં એકઠાં થયાં. કોઈને વિશ્વાસ નહોતો દેડકાઓ ઉપર ચઢી શકશે. તેમણે સલાહ આપી કે આવા અખતરા રહેવા દે, નહીં તો જીવ ગુમાવવો પડશે.

હરીફાઈ શરૂ થઇ. પ્રાણીઓ બોલવા લાગ્યાં; ‘કોઈ ઉપર નહીં ચઢી શકે …પડીને મરી ન જાય તો મને કહેજો …ઝાડ બહુ લીસ્સું છે અને આ લોકોમાં અક્કલ નથી.’

એકાદ બે દેડકાને બીક લાગી અને હરીફાઈમાંથી નીકળી ગયા. અમુક થોડુંક ચઢીને ગબડી પડ્યા અને મરી ગયા. જે જુસ્સાવાળા હતા તે ઝાડ પર ઊંચે ચઢ્યા. નીચેથી ટોળાંએ બૂમો ચાલુ રાખી; ‘આગળ ન ચઢતા, પડીને મરી જશો. તમારું ગજું નહીં.’ 

દેડકાઓએ વાત ન સાંભળી અને થોડા વધુ દેડકા પડીને મરી ગયા. 

પરંતુ એ બધામાં એક દેડકો ઊંચે ને ઊંચે ચઢવા લાગ્યો. તેનો જુસ્સો અને ગતિ બંને પ્રસંશનીય હતાં. નીચે રહી ગયેલા દેડકાઓ અને અન્ય પ્રાણીઓના આશ્ચર્ય વચ્ચે તે ઝાડની ટોચ પર ચડી ગયો.

બધાને નવાઈ લાગી. એ નીચે આવ્યો એટલે બધાએ તેને હરીફાઈ જીતવા માટે અભિનંદન આપ્યા, અને પછી પૂછ્યું કે ‘તને ના પાડી હતી તો’ય જાનનું જોખમ કેમ લીધું? અને તું એટલા ઊંચે ચડી શક્યો કેવી રીતે?’

વિજેતા દેડકાએ ભોળા ચહેરે તેમની તરફ જોઇને કહ્યું, ‘તમે મને ચેતવતા હતા? પણ હું તો બહેરો છું. મને એમ કે તમે બધા મારું સાહસ વધારી રહ્યા છો.’

————————–

આમિર ખાનની બહુચર્ચિત નવી ફિલ્મ ‘સિતારે જમીન પર’નો એક સંવાદ લોકપ્રિય થયો છે : સબકા અપના અપના નોર્મલ હૈ. આ ફિલ્મ, માનસિક વિકાસ સંબંધી ડાઉન સિન્ડ્રોમ અને ન્યૂરો ડાઈવર્સી જેવા જટિલ વિષય પર પ્રકાશ પાડે છે. ફિલ્મના હીરો ગુલશનને જ્યારે આવાં સ્પેશ્યલ બાળકોને કોચિંગ આપવાની સજા સંભાળવવામાં આવે છે ત્યારે, ‘આ છોકરાં તો નોર્મલ નથી’ની તેની મૂંઝવણના જવાબમાં કમ્યુનિટી સેન્ટરનો સંચાલક ગુરપાલ સિંહ કહે છે, ‘સબ અપને-અપને નોર્મલ પે ટીકે બૈઠે હૈં, કોચ સાહબ. સબકા અપના-અપના નોર્મલ હોતા હૈ. આપ કા નોર્મલ આ પકા, ઉન કા નોર્મલ ઉન કા.’

ડાઉન સિન્ડ્રોમ વાળાં બાળકોને ‘અલગ’ અને ક્યારેક તો ‘ગાંડા’ ગણીને સમાજમાં આભડછેટ કરવામાં આવે છે. લોકો તેમને એબનોર્મલ માને છે કારણ કે તેમની દૃષ્ટિએ નોર્મલ એ છે જે તેમના જેવા છે. આમિરની ફિલ્મ આ માન્યતાને તોડવા પ્રયત્ન કરે છે. તે કહે છે કે સમાજનો બહુમતી વર્ગ નક્કી કરે તે નોર્મલ ન કહેવાય. દરેક વ્યક્તિ નોર્મલ જ છે, પણ પોતાની રીતે. તેની કોઈ એક વ્યાખ્યા નથી, જેમાં સર્વેને ફિટ કરી દેવામાં આવે. નોર્મલ શું છે તે સમાજ નક્કી નથી કરતો, તે વ્યક્તિ નક્કી કરે છે; સબ કા અપના-અપના નોર્મલ હોતા હૈ.

આમ તો આ શબ્દનો ઉપયોગ મેન્ટલ હેલ્થના સંદર્ભમાં કરવામાં આવે છે. પશ્ચિમના વિકસિત સમાજોમાં તો આજે ઘણી સજાગતા આવી છે, પરંતુ ભારત જેવા દેશોમાં હજુ પણ માનસિક સ્વાસ્થ્ય સંબંધી બાબતોને નકારાત્મક રીતે જોવામાં આવે છે. આપણે ત્યાં વિકલાંગ બાળકો અને સ્ત્રીઓને સમાજમાં બીજાં જેવાં નહીં હોવાની આકરી સજા ભોગવવી પડે છે. આપણે ત્યાં સ્ત્રીઓને આજે પણ ડિપ્રેશન કે હીસ્ટેરિયા જેવી સાધારણ ફરિયાદો બદલ ‘ગાંડા’માં ખપાવી દેવામાં આવે છે.

કોઈ વ્યક્તિને સ્કિઝોફ્રેનિયા હોય તો તેનો અર્થ એ નથી કે તે મનુષ્યમાં નથી. આપણે ત્યાં તેને સાંકળોથી બાંધી રાખવાના દાખલા પણ છે. કથિત રીતે નોર્મલ લોકો જેટલી હિંસા કરે છે તેની સરખામણીમાં, માનસિક રીતે અસ્વસ્થ અમુક લોકો જ આક્રમક હોય છે, તેમ છતાં આપણે તમામ ‘ગાંડા’ને સૌથી જોખમી ગણીએ છીએ. ગાંડાઓને પથ્થરો મારવાનું ચલણ આપણે ત્યાં જ છે. 

આ બધું આપણી નોર્મલની વ્યાખ્યાને કારણે છે. સમાજે નોર્મલની એક અવસ્થા સ્વીકારી લીધી છે. જે લોકો તેમાં ફિટ થાય તે નોર્મલ, અને ન થાય તે એબનોર્મલ. પ્રકૃતિ આવા ભેદ નથી કરતી. આ માનવસર્જિત ભેદ છે. વાસ્તવમાં, લોકો નોર્મલ કે એબનોર્મલ નથી હોતા, નેચરલ હોય છે. 

અને આ વાત માત્ર વ્યક્તિની માનસિક કે શારીરિક સ્થિતિ સુધી સીમિત નથી. દરેક સામાજિક વલણના નોર્મલ હોવા અંગે સવાલો ઊભા થાય છે. નોર્મલ હોવું એ સબ્જેક્ટિવ, એટલે કે વ્યક્તિપરક હોય છે કારણ કે માપદંડો દરેક વ્યક્તિએ વ્યક્તિએ, સમાજે સમાજે અલગ હોય છે. તે સમય પ્રમાણે બદલતા રહે છે. તમારા માટે જે નોર્મલ છે તે મારા માટે નથી, અને મારા માટે આજે જે નોર્મલ છે તે ગઈકાલે નોર્મલ નહોતું. 

આપણે આપણી માન્યતાઓ, દૃષ્ટિકોણ, માહોલ, ઉછેર, અનુભવ, પરિવાર, સમાજ અને જરૂરિયાતો અનુસાર શું નોર્મલ છે તે નક્કી કરીએ છીએ. પરંતુ આ માપદંડો શાશ્વત નથી. દાખલા તરીકે, સમલૈંગિકતા બહુ લાંબા સમય સુધી બીમારી અથવા વિકૃતિ ગણાતી હતી (આજે પણ ગણાય છે), પરંતુ વૈજ્ઞાનિક સમજના વિકાસની સાથે આપણે તેને પ્રાકૃતિક સમજતા થયા છીએ.

નોર્મલ શબ્દ આપણી બોલચાલમાં અને વિચારોમાં એટલો ઘૂસી ગયો છે કે આપણને તેનો અંદાજ પણ નથી. દાખલા તરીકે, આપણે કેટલી સહજતાથી આવાં વાક્યો બોલીએ છીએ અથવા આજુબાજુમાં લોકોને બોલતાં સાંભળીએ છીએ –

‘ફલાણાનો ઉછેર નોર્મલ નથી થયો.’

‘હું નોર્મલ માણસની જેમ કેમ ખાઈ ન શકું?’

‘મને કેમ નોર્મલ વિચારો નથી આવતા?’

‘ફલાણાનો વ્યવહાર નોર્મલ કેમ નથી?’

‘આજના લોકો નોર્મલ લગ્નો કેમ નથી કરતા?’

‘ફલાણો માણસ નોર્મલ જિંદગી કેમ જીવી શકતો નથી?’

અહીં, નોર્મલ એટલે સમાજનો બહુમતી વર્ગ જે રીતે જીવે છે અથવા કરે છે તે. આપણે તે ફૂટપટ્ટી વડે બીજાને અને ક્યારેક આપણને માપીએ છીએ. આપણે એક સમાજ કે સમુદાયમાં રહેતા હોઈએ ત્યારે તેમની સાથે તંદુરસ્ત લગાવ જાળવી રાખવા માટે અમુક નિયમો અથવા રિવાજોનું પાલન કરીએ તેમાં ખોટું નથી. દાખલા તરીકે, બધા સાડી પહેરતા હોય અથવા કૂર્તો-પાયજામો પહેરતા હોય તો તે નોર્મલ કહેવાય. અથવા થાળીમાંથી હાથ વડે ખાવું નોર્મલ છે. 

પરંતુ સાડી પહેરવી કે હાથ વડે ખાવું તે મારા નોર્મલ હોવાની નિશાની નથી. તે એક શોખ અથવા પસંદગીથી વિશેષ કશું નથી. સમસ્યા ત્યારે શરૂ થાય જ્યારે વ્યક્તિગત પસંદ (જે પ્રાકૃતિક પણ હોઈ શકે) એબનોર્મલ અથવા વિકૃતિમાં ગણવામાં આવે. 

આપણે ત્યાં તો અમુક પ્રકારની સ્વભાવગત ખાસિયતોવાળા લોકોને પણ એબનોર્મલ ગણવાની ટેવ છે. દાખલા તરીકે, કોઈ વ્યક્તિ વધુ પડતી સંવેદનશીલ હોય, શરમાળ હોય અથવા અંતર્મુખી હોય તેને પણ નોર્મલમાં ગણવામાં નથી આવતી.

નોર્મલ ફેક્ટ નથી, ફિક્શન છે. તે પ્રાકૃતિક સત્ય નથી, સામાજિક કલ્પના છે. સમાજમાં ઘણાં મીથ હોય છે, તેવું તે એક મીથ છે. દરેક સમાજ નોર્મલની એક વાર્તા લખે છે અને આપણે તેમાં ફિટ થવાનું હોય છે. એ વાર્તા આપણને કહે છે કે સુખી અને સફળ જીવન કોને કહેવાય. એક ‘નોર્મલ’ માણસે કેવી રીતે જીવવું તેનું પ્રિસ્ક્રીપ્શન એ વાર્તામાં લખેલું છે. 

વાસ્તવિકતા એ છે કે આપણે સૌ અનન્ય અને અદ્વિતીય છીએ. અને આપણે કોણ છીએ અથવા કેવા છીએ, અથવા આપણા વ્યક્તિત્વનાં લક્ષણો શું છે તેનાથી કોઈ ફરક પડતો નથી. સૌનું એક સમાન સ્વાગત છે. 

અંદરથી સૌને ખબર છે કે જીવન આસાન નથી. સૌની કોઈને કોઈ કમજોરી હોય છે. છતાં, આપણે અનન્ય છીએ. આપણે સૌ આપણી રીતે અલગ છીએ. આપણા અનન્ય અનુભવો, આપણા સંજોગો, આપણું જ્ઞાન, આપણી તાકાત અને કમજોરીઓ આપણને આગવી ઓળખ આપે છે. 

આપણે મશીનમાં બનતા રોબોટ નથી, આપણે પ્રકૃતિના ખોળે ઉછરતા જીવ છીએ. દુનિયામાં કેટલાં ઝાડ છે? તેના પર કેટલાં પત્તાં છે? અને છતાં, એક પણ પત્તું તેના પાડોશી જેવું સમાન નથી. પ્રકૃતિએ પ્રત્યેક પત્તાને એક જુદો ચહેરો આપ્યો છે. તમે ક્યારે ય બજારમાં એક ખૂણે બેસીને સામેથી પસાર થતા લોકોને જોયા છે? ન જોયા હોય તો જો જો. પ્રત્યેક વ્યક્તિની ચાલ અલગ હશે. દુનિયામાં કોઇપણ બે વ્યક્તિ એક સરખું ચાલતા નથી. 

આપણે સૌ એકબીજા જેવા નોર્મલ નથી એટલે જ આપણી આગવી ઓળખ છે. આપણે એકબીજાથી અલગ છીએ એટલે જ દુનિયા આટલી ખૂબસુરત છે. આપણી કથિત એબનોર્માલિટી દુનિયા માટે ગિફ્ટ છે. દુનિયાને આપણી આગવી વાર્તાની જરૂર છે. આપણા સૌની વાર્તાઓ અલગ છે. આપણે એક સમાન નથી. સર્વસામાન્ય નોર્મલ જેવું કશું હોતું નથી. આપણે સૌ આપણું નોર્મલ બનાવીએ છીએ. સબ કા અપના અપના નોર્મલ હૈ. 

1980માં, નસીરુદ્દીન શાહની એક ફિલ્મ આવી હતી, ‘સ્પર્શ.’ તેમાં તે દૃષ્ટિહીન શિક્ષક છે અને  દૃષ્ટિહીન બાળકોની સ્કૂલમાં ભણાવે છે. તે સ્કૂલમાં બાળકોને ગાવાનું શીખવાડતી શબાના આઝમી એક દિવસ બોલે છે, ‘મૈં યહી ચાહુંગી કિ બેચારોં કો જ્યાદા સે જ્યાદા દે સકું.’

નસીર તેને ટોકે છે, ‘એક છોટી સી અર્જ હૈ. એક લફ્ઝ આપ જીતની જલ્દી ભૂલ જાયેં ઉતના અચ્છા હોગા – બેચારા. હમે મદદ ચાહિયે, તરસ નહીં. યે મત ભૂલીએ કી અગર આપ ઉન્હેં કુછ દેંગી તો વો ભી આપકો કુછ દેંગે. કિસી કા કિસી પર અહેસાન નહીં. કોઈ બેચારા નહીં. ઠીક?’

(પ્રગટ : ‘સુખોપનિષદ’ નામે સાપ્તાહિક કટાર, “ચિત્રલેખા”; 14 જુલાઈ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!

કિશોર દેસાઈ|Gandhiana|7 July 2025

કિશોર દેસાઈ

ગાંધીજીના જીવન વિશે, ખાસ કરીને તેમના હરિલાલ સાથેના સંબંધો વિશે, સાચી હકીકતોનો તટસ્થતાથી અભ્યાસ કર્યા વિના નવલકથા કે નાટક લખવામાં આવે અને પછી તેને નાટક દ્વારા પ્રજા સમક્ષ રજૂ કરવામાં આવે તે યોગ્ય છે ખરું ? આ મુદ્દા ઉપર હાલમાં પુષ્કળ વિવાદ ચાલી રહ્યો છે.

થોડા વખત પહેલાં હરિલાલ ગાંધીનાં પૌત્રી ઊર્મિ દેસાઈએ જાહેરમાં પત્ર લખીને ગાંધીજીના જીવનની હકીકતોને અવળી રીતે રજૂ કરવામાં આવે છે એવી ફરિયાદ કરી હતી. (“ગુર્જરી”ના જુલાઈ 1998ના અંકમાં એ પત્ર છપાયો હતો.) ગંભીર હકીકતદોષો તરફ ધ્યાન દોરવા છતાં તે પ્રત્યે ઉપેક્ષા રાખવામાં આવી છે એ તેમની ખાસ ફરિયાદ છે.

લોકશાહીમાં ગાંધીજી જેવી વિભૂતિને પણ ચર્ચાને ચાકડે ચડવું પડે છે. એમાં આમ તો કાંઈ ખોટું નથી. પણ કંઈક બુદ્ધિગમ્ય ચર્ચા થાય અથવા બૌદ્ધિક સ્તરે ગાંધીજીના વિચારોનું મંથન, દોહન થાય તો તે ઉપયોગી પણ નીવડે. એને બદલે વિવાદ જગાવીને પોતાનું કામ સાધી લેવાની વૃત્તિ જો રહેલી હોય તો તેની ચર્ચા થવી જ જોઈએ.

ગાંધીએ તો એનું સમગ્ર જીવન કોરી કિતાબ જેવું જગતની સામે મૂકી દીધું છે. એકલદોકલ નહીં, પણ હજારોની સંખ્યામાં વિશ્વના ખૂબ ઊંચાઈએ પહોંચેલા મહામાનવોએ ગાંધીજીને, તેમના વિચારોને, તેમના આદર્શોને, નિષ્ઠાને પ્રામાણિક સર્ટિફિકેટો આપી દીધા છે. એટલે ગણ્યાગાંઠ્યા કોઈ વેંતિયાઓ, તકસાધુઓ, લેભાગુઓ કે મુફલીસો ચારેકોર ગાંધીનો પુનરપિ પુનરપિ વધ કરીને પછી પોતાનો જય જયકાર કરીને હોબાળો મચાવે તેથી આમ તો બહુ વ્યથિત થવાની જરૂર નથી.

વર્તમાન જગતમાં તમે નિગેટિવ બનો તો તમને પ્રસિદ્ધિ વહેલી મળે છે. આમાં તમારે ગાંધી જેવું વિશ્વમાં પંકાયેલું કોઈ પાત્ર શોધી લેવાનું અને પછી એને ચર્ચાના ચાકે ચડાવવાનું. એમ કરવામાં સાચી હકીકતોની સંભાળ લેવામાં ઐસી કી તૈસી, બસ, લોકો તો કુતૂહલવશ પણ જોડાવાના જ છે. અને આમ પછી આપણું ટટ્ટુ ચાલશે જ. આવી કોઈક ફોર્મ્યુલા પર આ સમગ્ર લેભાગુ વર્ગ કામ કરતો હોય છે. એ બધાં કંઈ રિચાર્ડ ઍટનબરો નથી કે જે વીસ વીસ વર્ષો સુધી ગાંધીના જીવનને ઝીણવટથી તપાસવાની ધીરજ રાખે અને પછી જ એના પર ફિલ્મ બનાવે. કે નથી એ લોકો કોઈ સર્વપલ્લી રાધાકૃષ્ણન્, કે સિત્તેર જેટલી વિદેશી વ્યક્તિઓને મળી, ચકાસીને પછી કોઈ પુસ્તક લખે. ઈન્ટરનેટના યુગમાં ‘જર્નાલિઝમ’નું કલેવર બદલાયું છે. મોટી અને જાણીતી વ્યક્તિઓનાં જીવન વિશે કોઈ રોમાંચક કથાઓને બજારમાં મૂકવાથી વેચાણ સારું થઈ શકે છે કેમ કે વાણી સ્વાતંત્ર્યની ઢાલ નીચે એની કોઈ સજા નથી.

ગાંધીને આપણે આજે બજારુ અને આપણી નબળાઈઓથી ભરેલી લૂઝ ‘વેલ્યુઝ’થી મૂલવીએ છીએ. ગાંધી સામે ગોડસેનો મહિમા થાય, ગાંધીનું ઘસાતું બોલાય અને પેલા જાણે વીરપુરુષ હોય એમ એને તાળીઓના ગડગડાટથી વધાવી લેવાય ત્યારે આ વધારે પડતું છે એમ લાગે છે અને આપણે કેટલા બેવકૂફ છીએ તેનું ઉઘાડેછોગ પ્રદર્શન કરતા હોઈએ એમ લાગે છે. આમાં દેશદ્રોહ છે. ગાંધીને કારણે આપણે ગુલામીમાંથી બહાર આવ્યા છીએ એ ઐતિહાસિક ઘટનાને આપણે ભૂલી જઈએ છીએ.

બેશક, ગોડસે હત્યારો છે. જે હત્યા કરે તેને જો હત્યારો ન કહેવાય તો એને બીજું શું કહેવાય? એની દૃષ્ટિએ કારણો ગમે એટલા મજબૂત હોય; પણ તેથી બીજાના વિચારો જોડે સંમત ન થઈએ એટલે એને ખતમ કરી નાખવું એ વિચાર જ બહુ ખતરનાક છે. જો આપણે બધા એમ જ કરવા બેસીએ તો આપણામાંથી કેટલા બચે ?… પોતાના વિચારો વ્યક્ત કરવાનો કોઈને પણ પૂરો હક છે. અન્યના વિચારોને ધીરજપૂર્વક સહન કરવાના ઔદાર્યથી તો લોકશાહી પુખ્ત બનતી હોય છે. એની પ્રતીતિ અમેરિકામાં આપણે રોજ કરીએ છીએ.* ‘અ માઇનર બર્ડ’ નામની એક કવિતામાં ઘરઆંગણે વૃક્ષ પર બેસીને ગીત ગાતાં કોઈ પંખીને હાથની તાળીઓ પાડીને ઉડાડી મૂકવાના કૃત્યને પણ રોબર્ટ ફ્રોસ્ટે તો ગુનો કહ્યો છે. એમનાં કાવ્યની છેલ્લી બે પંક્તિ છે :

And of course there must be something wrong

In wanting to silence any song.

                                                          [Robert Frost]

ગાંધીજીની હત્યાનો પ્રશ્ન ‘ગુજરાતી વિરુદ્ધ મરાઠી’ કે ‘હિંદુ વિરુદ્ધ મુસ્લિમ’ વચ્ચેનો નથી. માત્ર સાંકડા દૃષ્ટિકોણથી એને ન જોવાય. પ્રશ્ન એ છે કે, એક ‘સિવિલાઈઝ્ડ નૅશન’ તરીકે આપણે જંગલી અવસ્થામાં રહેવા માગીએ છીએ કે વૈચારિક મતભેદ વચ્ચે પણ આપણે સહિષ્ણુતાથી અડીખમ ઊભા રહી શકીએ એવું વાતાવરણ સર્જવા માગીએ છીએ?

થોડાં વર્ષ પહેલાં એક વિદ્વાન સાથે વાત થતી હતી ત્યારે એમણે એક બાણ છોડ્યું, ‘ગાંધીજીની બ્રહ્મચર્યવૃત્તિની વાતમાં હું સંમત થતો નથી’. એમાંથી હજી તો કળ વળે તે પહેલાં એમણે બીજું બાણ છોડ્યું, ‘ગાંધીજીની નિઃસ્વાદવૃત્તિ સાથે હું સંમત થતો નથી.’

આ જાતનો એક નવો ઠઠેરો વળી હમણાં હમણાંનો ચાલે છે. અલ્યા બાબાભાઈ, ગાંધીજીની સાથે સંમત કે અસંમત થનારા આપણે કઈ વાડીના મૂળા!

દેશને આઝાદી અપાવવાનું એમનું તો એક મિશન હતું. એમાં દૃઢ મનોબળવાળાઓની એમને તાતી જરૂર હતી, એવા કે જે ધારાસણામાં સામી છાતીએ લાઠીના ઘા ઝીલી શકે. તો સાજન, કહોને, કહોને, સાજન, તમારે કયું મિશન છે ? 

પણ ઠીક છે, ગાંધીનું નામ લઈને પંગુઓ ભલે લંઘયતે ગિરિમ્. જયન્તભાઈ પંડયાએ લખ્યું છે તેમ આ બધા અવાજો ચાર દિવસના મહેમાન છે, પછી મુંબઈના દરિયામાં ડૂબી જશે. જ્યારે ગાંધીનો અવાજ સદીઓ વીંધીને પ્રવર્તશે, ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં.

પાદટીપ :

જયન્ત મ. પંડ્યા

ફિલાડેલ્ફિયામાં એક વાર્તાલાપમાં, પ્રાધ્યાપક જયન્તભાઈ પંડ્યાએ ગાંધીજી વિશે વાત કરી હતી. ‘ગાંધી આજે રેલેવન્ટ ખરા?’ એવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું કે ‘ઠગોની વચ્ચે સતવાદીનું રેલેવન્સ હંમેશાં રહેવાનું છે.’ ગાંધીને આપણે બજારુ મૂલ્યોથી મૂલવીએ છીએ એટલે આપણે ગૂંચવાઈએ છીએ. ગાંધીએ નીતિમત્તા કેળવી હતી. કોઈ પાસેથી સાદાઈ લીધી, કોઈ પાસે અહિંસા લીધી, કરુણા લીધી, બ્રહ્મચર્ય લીધું. અને પછી આખી જિંદગી એ બધાને વળગી રહ્યા.

હરિલાલ સંબંધમાં એમણે ક્યાં ય ગાંઠ નથી રાખી. સંબંધ હંમેશાં પ્રેમનો રાખ્યો છે. હરિલાલે પ્રેમ રાખ્યો પણ સાથે સાથે ધૂંધવાટ પણ રાખ્યો. એક વાર બા અને બાપુ રેલવેમાં જતા હતા ત્યારે હરિલાલ સ્ટેશન પર મળવા આવેલા. સાથે ચાર સંતરાં લેતા આવેલા તે કસ્તૂરબાને આપતાં કહ્યું કે, ‘આ તમારા માટે જ છે.’ આથી ડોસા ઉપર શું ગુજરી હશે એની આપણે તો માત્ર કલ્પના જ કરવાની રહી.

(‘ઓપિનિયન’ નવેમ્બર 1999માંથી સાભાર)
*1999.
07 જુલાઈ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 356

Loading

...102030...87888990...100110120...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved