Opinion Magazine
Number of visits: 9554856
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

દીપક મહેતા|Opinion - Literature|22 September 2025

ગ્રંથયાત્રા – 14

કવિ નાનાલાલ, નરસિંહરાવ દિવેટિયા, ઝવેરચંદ મેઘાણી, મંજુલાલ મજમુદાર જેવા ચાર ચાર અગ્રણી સાક્ષરોએ એક જ પુસ્તકની પ્રસ્તાવના લખી હોય, અને તે પણ માત્ર ‘શુભેચ્છા’ દર્શાવતી, એક-બે પાનાંની નહિ, પણ પુસ્તકના વિષયની તલસ્પર્શી ચર્ચા કરતી, એવું બને? હા, એક પુસ્તકની બાબતમાં તો બન્યું જ છે. એ પુસ્તક તે શાંતિ ચૂનીલાલ બરફીવાળા સંપાદિત ‘રાસકુંજ.’ ગુજરાતના રાસ-ગરબાનો આટલો મોટો, આટલો વ્યાપક, આટલો વ્યવસ્થિત સંચય તેનાથી પહેલાં પ્રગટ થયો નહોતો અને તેના પછી પણ પ્રગટ થયો નથી. આ પુસ્તકના પહેલા ભાગની કુલ ત્રણ આવૃત્તિ પ્રગટ થઇ હતી, અને ત્રણે આવૃત્તિની પ્રસ્તાવના જુદા જુદા સાક્ષરોએ લખી હતી. રાસકુંજની પહેલી આવૃત્તિ ૧૯૨૮માં પ્રગટ થઇ હતી, અને એ જમાનામાં તેની ૨૦૦૦ નકલ છપાઈ હતી, જે માત્ર છ મહિનામાં વેચાઈ ગઈ હતી. તેમાં કુલ ૬૪ કવિઓની ૧૭૩ કૃતિઓ સમાવવામાં આવી હતી. આ સંપાદનની એક આગવી વિશિષ્ટતા છે તેમાં કરેલી કૃતિઓની ગોઠવણી. પહેલી પંક્તિ કે લેખકના નામના અકારાદિ ક્રમે નહિ, પણ જુદા જુદા ઢાળોના ગુચ્છ બનાવીને તેમાં કૃતિઓને ગોઠવી છે. જેમ કે ‘વહેલા આવજો હો લાલ’ એ ગીતના ઢાળની છ કૃતિઓ અહીં છે. આવા લગભગ ૭૫ જુદા જુદા ઢાળ સંપાદકે તારવ્યા છે. આ આવૃત્તિમાં સૌથી વધુ કૃતિઓ – ૨૮ – કવિ નાનાલાલની છે. પુસ્તકના આરંભે તેમનો ફોટો મૂક્યો છે. તેના મથાળે લખ્યું છે : ‘રાસયુગના અધિષ્ઠાતા’ અને નીચે લખ્યું છે : ‘મહાકવિ શ્રી ન્હાનાલાલ દલપતરામ.’ આ આવૃત્તિમાં લગભગ વીસ પાનાંની કવિ નાનાલાલની પ્રસ્તાવના છે. તેમાં કવિએ કહ્યું છે : “રાસ એટલે ગુજરાતણની સર્વોત્તમ રસકલા. રાસમાં તો ગુજરાતણનો સકલ રસાત્મા છે.” પછી તેમણે નરસિંહ મહેતાથી શરૂ કરી ૧૯૧૦માં પોતાનો પહેલો રાસ સંગ્રહ છપાયો ત્યાં સુધીના મુખ્ય મુખ્ય કવિઓના રાસની અછડતી ચર્ચા કરી છે. નાનાલાલ માટે સહજ નહિ એવી નમ્ર રીતે તેઓ કહે છે : “સુંદર મનોહારી રાસોનો ઉમંગ ઉછાળતો ઉપાડ એમાં નથી. મારા રાસથી મારી રસભાવના હજી તો પરિતર્પાઈ નથી.” ‘રાસકુંજ’ પહેલાં પ્રગટ થયેલા બીજા કેટલાક રાસસંગ્રહો વિષે પણ તેમણે લખ્યું છે. આ આવૃત્તિ માટે નાનાલાલે માત્ર પ્રસ્તાવના જ લખેલી એવું નહોતું. બીજી ઘણી રીતે પણ સંપાદકને તેઓ મદદરૂપ થયા હતા. પોતાની પ્રસ્તાવનામાં સંપાદક લખે છે : “શ્રી ન્હાનાલાલ કવિએ કરેલા ઉપકારો યોગ્ય શબ્દોમાં દર્શાવવા અશક્ય છે. પ્રસ્તાવના લખી રાસકુંજને અલંકૃત કરી છે એ મદદ તો સૌ કોઈ જાણે એવી છે. પણ રાસકુંજની હસ્તપ્રત બારીકાઈથી તપાસી જઈ છપાવવામાં કાળજીપૂર્વક અથઇતિ દેખરેખ રાખી, સંગ્રાહિકાની ખામીઓ ને તેની હઠીલાઈ ભણી દુર્લક્ષ કરી, નિઃસ્વાર્થ મદદ તેમણે આપી ન હોત તો જે સ્વરૂપે રાસકુંજ પ્રગટ થાય છે તે સ્વરૂપે એ કદાપિ પ્રગટ થાત નહિ.”

હવે જુઓ આ જ પુસ્તકના આ જ ભાગની ૧૯૩૪માં પ્રગટ થયેલી બીજી આવૃત્તિ. અહીં કવિ નાનાલાલની પ્રસ્તાવના તો નથી જ, પણ તેમની એક પણ કૃતિ પુસ્તકમાં જોવા મળતી નથી. સંપાદકે પ્રસ્તાવના ન છાપવા અંગે કશો ખુલાસો કર્યો નથી, પણ પહેલી આવૃત્તિમાં નાનાલાલની ૨૮ કૃતિઓ હતી અને આ બીજી આવૃત્તિમાં એક પણ કૃતિ નથી તે અંગે પ્રસ્તાવનામાં એક ફૂટનોટમાં આટલું જ કહ્યું છે : “મહાકવિ શ્રી ન્હાનાલાલના રાસો એમની રજા ન મળવાથી આ આવૃત્તિમાં લઈ શકાયા નથી.” (પા. ૫૧) 

૧૯૨૮થી ૧૯૩૪ વચ્ચેના છ વર્ષમાં એવું તે શું બન્યું હશે કે નાનાલાલ આ સંપાદકથી અને તેમની ‘રાસકુંજ’થી આટલી હદે વિમુખ થઈ ગયા હશે? ચોક્કસ જવાબ મળવો અઘરો છે, પણ એક અનુમાન થઈ શકે. રાસકુંજના સંપાદક શાન્તિબહેન અને તેમના પતિ ચૂનીલાલ બરફીવાળા બંને તે વખતની મુંબઈની કાઁગ્રેસની પ્રવૃત્તિઓમાં આગળ પડતો ભાગ લેતાં હતાં. (મુંબઈના અંધેરી પરામાં જે રસ્તા પર ‘બરફીવાળા લોજ’ નામના મકાનમાં તેઓ રહેતાં એ રસ્તાને પાછળથી ‘ચૂનીલાલ બરફીવાળા રોડ’ નામ અપાયું છે.) ૧૯૬૩માં પ્રગટ થયેલા રાસકુંજના બીજા ભાગની પ્રસ્તાવનામાં શાન્તિબહેન લખે છે : “રાસકુંજની બીજી આવૃત્તિ છેક ૧૯૩૪માં પ્રગટ થઈ શકી. કારણ કે રાષ્ટ્ર ચળવળમાં અંધેરીમાં અને પાર્લાની છાવણીમાં કૈંક આગળ પડતો ભાગ લીધો. તેની અસર તબિયત પર થઈ; વળી જેલયાત્રા કરી, તેથી તબિયત વધારે બગડી.” એટલે કે ૧૯૩૦ની ચળવળ વખતે શાન્તિબહેન ગાંધી રંગે પૂરેપૂરા રંગાઈ ગયાં હતાં. એ પહેલાં ગાંધીજી અને નાનાલાલ વચ્ચે ‘દૂઝણી ગાય’વાળો પ્રસંગ બની ગયો હતો અને નાનાલાલ માત્ર ગાંધીજીથી જ નહિ, ‘ગાંધીવાળાઓ’થી પણ વિમુખ થઈ ગયા હતા. એવી મનોદશામાં ગાંધી રંગે રંગાયેલાં શાંતિબહેનને પોતાનાં પ્રસ્તાવના અને કૃતિઓ છાપવા માટે નાનાલાલે પરવાનગી ન આપી હોય તેમ બને? આ સંદર્ભમાં બીજી એક વાત પણ સૂચક બને તેવી છે. રાસકુંજના પહેલા ભાગની બીજી આવૃત્તિની પ્રસ્તાવના લખવા માટે સંપાદકે પસંદગી કરી છે ગાંધીજીએ જેમને ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ આપેલું તે ઝવેરચંદ મેઘાણીની. ‘રાસકુંજ’ની પહેલી આવૃત્તિ ૧૯૨૮માં પ્રગટ થઈ તેની સાથે જ તેનું જોડિયું પુસ્તક ‘રાસકુંજની સરિગમ’ પણ પ્રગટ થયું હતું. તેમાં બધાં જ ગીતોનાં નોટેશન્સ આપવામાં આવેલાં. હવે, ‘રાસકુંજની સરિગમ’ પુસ્તકની વિસ્તૃત પ્રસ્તાવના લખી છે નરસિંહરાવ દીવેટિયાએ. શાસ્ત્રીય સંગીતની તેમની જાણકારી જોતાં તેમની પસંદગી યોગ્ય જ ગણાય, પણ તેમાંના કેટલાક વિચારો નાનાલાલના વિચારોનો વિરોધ કરનારા છે. આ વાતથી નાનાલાલ નારાજ થયા હોય એમ બને? રાસકુંજની બીજી આવૃત્તિમાં મેઘાણીની પ્રસ્તાવના ઉપરાંત ‘આશીર્વાદ’ શીર્ષકથી નરસિંહરાવભાઈનું  લખાણ પણ છપાયું છે. તેમાં તો તેમણે નાનાલાલનો સ્પષ્ટ રીતે વિરોધ કર્યો છે. લખે છે : “ગુજરાતના ગરબાને ‘રાસ’ સંજ્ઞા કાંઇક અર્ધદર્શનથી જ અપાઈ છે, અને તે પણ ગુજરાતી સાહિત્યમાં તો પાછલાં થોડાં વર્ષોથી જ. રા. ન્હાનાલાલ કવિયે પોતાના ગરબીસંગ્રહ ‘ન્હાના ન્હાના રાસ’ એ સંજ્ઞાથી પ્રથમ છપાવ્યા તે પૂર્વે રાસગરબો અથવા ગરબી એ સમીકરણ ગુજરાતી સાહિત્યમાં જાણવામાં  આવ્યું નહોતું.” રાસકુંજના પહેલા ભાગની ૧૯૫૪મા પ્રગટ થયેલી ત્રીજી આવૃત્તિમાંથી મેઘાણીની પ્રસ્તાવના કાઢી નાખવામાં આવી છે, પણ તેમની દસ કૃતિઓ પુસ્તકમાં સમાવી છે. એ આવૃત્તિની પ્રસ્તાવના મંજુલાલ મજમુદારે લખી છે. ૧૯૬૩માં પ્રગટ થયેલા બીજા ભાગની પ્રસ્તાવના પણ તેમણે જ લખી છે. પુસ્તકના બંને ભાગમાં મળીને કુલ ૬૪૫ કૃતિઓ સમાવવામાં આવી છે. નાનાલાલ, નરસિંહરાવ, મેઘાણી જેવા સાક્ષરો તો આ પુસ્તકને આવકારે, પણ અગેય અને વિચારપ્રધાન કવિતાના પ્રખર પુરસ્કર્તા બલવન્તરાય ઠાકોરે પણ તેને આ શબ્દોમાં આવકાર આપ્યો હતો : ”સૌ. શાન્તિબહેન બરફીવાળાએ જે જાતની કવિતાઓ સંગ્રહી છે તે એ જાતમાંની ઉત્તમ કવિતાઓ. ભાગ્યે કોઈ એ જાતની ખરેખર સારી કવિતા રહી ગઈ હોય એટલો મોટો સંગ્રહ એમણે કર્યો છે.” 

પણ બીજા અનેકની બાબતમાં બન્યું છે તેમ શાંતિબહેન અને તેમનું રાસકુંજ પુસ્તક આજે તો સાવ ભૂલાઈ ગયાં છે. ‘નવ કરશો કોઈ શોક’, બીજું શું?

XXX XXX XXX

21 સપ્ટેમ્બર 2025
e.mail : deepakbmehta@gmail.com

Loading

સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|21 September 2025

મૂડીવાદી જમણેરી રાજકારણીઓને ખબર છે કે ઇમિગ્રન્ટ્સ અર્થતંત્ર માટે જરૂરી છે પણ તેમનો વિરોધ આ રાજકારણીઓને નેરેટિવ ઘડવા માટે જરૂરી છે

ચિરંતના ભટ્ટ

એક વખત હતો જ્યારે અંગ્રેજોને હકાલી કાઢવા માટે આપણે એટલે કે આપણા સ્વાતંત્ર સંગ્રામીઓએ સાઇમન ગો બૅકના નારા બોલાવ્યા હતા અને હવે માળું ત્યાં આપણને – સીધી રીતે તો નહીં પણ આડકતરી રીતે વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો છે. અત્યારે લંડન, બર્લિન કે ડબલિનની શેરીઓમાં જનારા કોઈને પણ એક પરિવર્તનનો અહેસાસ થશે. ઇમિગ્રેશન – જે એક સમયે અર્થશાસ્ત્ર અને માનવતાવાદી ફરજના માળખામાં ચર્ચાનો વિષય હતો – તે હવે પશ્ચિમના રાજકારણનો મુખ્ય મુદ્દો બની ગયો છે. યુરોપના અંતિમવાદી જમણેરી પક્ષોએ ભલે સરકારો પર સંપૂર્ણપણે કબ્જો ન કર્યો હોય, પણ તેમણે નેરેટિવ પર તો પર કબ્જો કરી લીધો છે. હવે તો મધ્યમમાર્ગી – કેન્દ્રવાદી નેતાઓ પણ અવરોધ, દેશનિકાલ અને “કડક કાર્યવાહી”ની ભાષા બોલી રહ્યા છે.

વિદેશમાં વસતા ભારતીયો માટે આ પરિવર્તન માત્ર એક અમૂર્ત ખ્યાલ નથી. અહીં બે પ્રશ્નો ઊભા થાય છે જે સીધા ભૂ-રાજકારણ એટલે કે જિઓ-પૉલિટીક્સને સ્પર્શે છે : ભારતીયો આ પ્રતિક્રિયાનો સામનો કરી રહ્યા છે? અને જો યજમાન દેશો ઇમિગ્રન્ટ્સ પ્રત્યે પ્રતિકૂળ બને તો શું તેઓ પોતાની અર્થવ્યવસ્થાને પણ નુકસાન પહોંચાડશે?

યુરોપનો કઠોર વળાંક

2024ની યુરોપિયન સંસદની ચૂંટણીઓ અંતિમવાદી-જમણેરી પક્ષો માટે ભલે જંગી જીત ન હતી, પણ આ રણે એક બારીક ફેરફાર તો વર્તાયો: કડક ઇમિગ્રેશન નીતિઓનું મુખ્ય પ્રવાહમાં લાગુ થઇ. જર્મનીના AfD પક્ષે તાજેતરમાં સ્થાનિક ચૂંટણીઓમાં જોરદાર ઉછાળો જોયો, જ્યારે ઇટાલી આશ્રય શોધનારાઓને ઑફશોર પ્રોસેસિંગ માટે દબાણ કરે છે. યુ.કે. – લેબર પાર્ટી હેઠળ પણ – અવરોધક નીતિને જીવંત રાખી છે, અને ફ્રાન્સ સાથે “વન-ઇન, વન-આઉટ” દેશનિકાલ કરાર શરૂ કર્યો છે. રિમૂવલની પહેલી ફ્લાઇટમાં, એક ભારતીય નાગરિક હતો.

સમગ્ર કોન્ટિનેન્ટમાં, ઇમિગ્રેશનની નીતિનું નવું વ્યાકરણ અટકાવવાની નીતિને આસાપસ ઘડાઇ રહ્યું છે તેમ લાગે છે. યુરોપમાં ઇમિગ્રન્ટ્સ માટેની કરુણા જરા બાજુમાં મુકવામાં આવી છે અને ઝ઼ડપી વાપસી, આશ્રય આપતા પહેલાં કડક ચકાસણી, વધુ ઑફશોર ડીલ્સ એ 2025નું યુરોપ છે. 

અમેરિકાની બેવડી ફ્રેમ

એટલાન્ટિકની પેલે પાર, પરિસ્થિતિ વધુ વિવાદાસ્પદ છે. એક તરફ, યુ.એસ.ને હજી પણ ઇમિગ્રન્ટ્સની જરૂર છે – અને ભારતીયો તે યાદીમાં ટોચ પર છે. ત્યાં 2.7 મિલિયનથી વધુ ભારતીય ઇમિગ્રન્ટ્સ રહે છે, જેઓ ટૅક, મેડિસીન અને આંત્રપ્રિન્યોરશીપમાં પ્રભુત્વ ધરાવે છે. ભારતીય અમેરિકનો યુ.એસ.માં સૌથી ધનિક ઇમિગ્રન્ટ સમૂહ છે. ત્યાંની કંપનીઝમાં સી.ઈ.ઓ. અને ફાઉન્ડર્સની યાદીમાં ભારતીયોનું પ્રતિનિધિત્વ વધુ છે. એક અબજ ડોલરથી વધુના કિંમતના લગભગ ચારમાંથી એક અમેરિકન સ્ટાર્ટ-અપમાં ભારતીય સ્થાપક છે. ભારતીયો વિના, સિલિકોન વેલી આજે જે છે તે સિલિકોન વેલી ન હોત એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.

અને છતાં, શંકા યથાવત છે. તાજેતરના વર્ષોમાં દક્ષિણ એશિયાઈ અને હિન્દુઓ વિરુદ્ધ હેટ ક્રાઇમ્સ વધ્યા છે. FBI ડેટા અનુસાર એશિયન વિરોધી નફરત હજી પણ કોવિડ કોરોનાવાઇરસના પહેલાના સમયથી ઘણું ઊંચા સ્તરે છે. દરમિયાન, યુ.એસ.નું રાજકારણ ઇમિગ્રેશનને સરહદી કાફલાઓ અને “આક્રમણ” સુધી ઘટાડી દે છે. રિપબ્લિકન દીવાલોની માંગ કરે છે, ડેમોક્રેટ્સ કરુણા અને નિયંત્રણ વચ્ચે ઝોલા ખાય છે, પરંતુ બંને પક્ષોએ ઇમિગ્રન્ટ્સને અનિશ્ચિતતાના વાતાવરણમાં છોડી દીધાં છે.

ભારતીયની કેવી છાપ?

જ્યારે આપણે ઇતિહાસ જોઈએ છીએ, ત્યારે આ તણાવ વાહિયાત લાગે છે. ભારતીયો હંમેશાં જે દેશમાં ગયા છે તે તમામે દેશોને તેમણે સમૃદ્ધ બનાવ્યા છે. પૂર્વ આફ્રિકામાં, ભારતીયોએ રેલવે અને વાણિજ્યનું નિર્માણ કર્યું. ગલ્ફમાં, ભારતીયોએ લેબર પર ચાલતી અર્થવ્યવસ્થાઓને ટકાવી રાખી છે. બ્રિટનમાં, ભારતીયોએ નાકે કે ચાર રસ્તે દુકાનો શરૂથી માંડીને અબજ પાઉન્ડના વ્યવસાયો સુધી બધું જ બનાવ્યું. અમેરિકામાં, ભારતીયો માત્ર હેલ્થકેર સિસ્ટમને શક્તિ પૂરી પાડે છે તેમ નથી પણ આવતીકાલને આકાર આપતી ટૅક કંપનીઓ પણ ચલાવે છે.

ટોની રોબિન્સન જેવા બ્રિટિશ રાજકારણીઓ જ્યારે પણ ઇમિગ્રન્ટ્સનો વિરોધ કરે છે ત્યારે શીખો અને ભારતીયોની અનિવાર્યતા પર ભાર મૂકે છે – તેમના મતે આ અગત્યની લઘુમતીઓ છે જે શાંતિથી પોતાનું કામ કરે રાખે છે. આ રાજકારણીઓને ખબર છે કે આ ભારતીયો ત્યાં જે રીતે કામ કરે છે તેમાં અર્થતંત્રને ટેકો મળે છે, તેમાં ગુણાકાર થાય છે (ડ્રેન ઑફ વેલ્થ વાળું તો અંગ્રેજો કરતા હતા – આપણી એવી ફિતરત નથી)– તેઓ કોઇ નુકસાન નથી કરતા. ત્યાંના લીડર્સ આ આખી વાત સ્વીકારે છે પણ તેમના સ્વીકારનો અવાજ કાને પડે એવો નથી, જાહેરમાં તો તેઓ ઇમિગ્રન્ટ્સને મેનેજ કરવું પડે એવા જોખમમાં ખપાવે છે.

આ રોષ કેમ?

જો અર્થતંત્રમાં ઇમિગ્રન્ટ્સ નડતાં નથી તો પછી આ રોષ શા માટે? સીધો જવાબ છે રાજકારણ. અત્યારના જમણેરી પક્ષો અજ્ઞાની નથી. તેઓ મૂડીવાદી છે, તેઓ જાણે છે કે ઇમિગ્રન્ટ્સ અર્થંતંત્રની વૃદ્ધિમાં ફાળો આપે છે. પરંતુ રાજકારણીઓને પોતાનું નેરેટિવ ચલાવવા કંઇક તો જોઇએ. આ કિસ્સામાં તેમને માટે લટકવાનું આ દોરડું ઇમિગ્રન્ટ્સ બની જાય છે. તેઓ પોતાના મુદ્દાઓમાં મતદારોની નોકરીઓ, ફુગાવો અને સાંસ્કૃતિક પરિવર્તન અંગેની ચિંતાઓ માટે એક લાગણીશીલ શૉર્ટહેન્ડ તરીકે ઇમિગ્રેશનના નેરેટિવનો ઉપયોગ કરે છે.

ઇંગ્લિશ ચેનલમાં મુઠ્ઠીભર હોડકાં, અથવા ઓવરસ્ટેયર્સનો વધારો જેવી બાબતોને એક એક “રાષ્ટ્રીય કટોકટી” તરીકે તેનું કદ વધારીને મતદારો સામે રજુ કરાય છે. રાજકારણને આંકડાઓ સાથે કંઇ લેવાદેવા નથી – રાજકારણ પ્રતીકોનો ખેલ છે. અને આ પ્રતીકાત્મક યુદ્ધમાં, કામઢા, કૌશલ્ય ધરાવતા એવા ભારતીયો પણ, જેઓ ભાગ્યે જ ગેરકાયદેસર ક્રોસિંગમાં જોવા મળે છે, તેઓ કોલેટરલ બની શકે છે. જો કે ગમે કે ન ગમે આપણે એ યાદ રાખવું જોઇએ કે આપણે ત્યાંથી ખોટા કાગળિયા કરી ત્યાં પહોંચી જનારા અથવા તો ત્યાં જવા માટે છેતરાઇ જનારા ભારતીયો પણ છે. સમસ્યા છે ખરી પણ જોખમ કહી શકાય એવી નથી. તમે જાણો જ છો ખોટી રીતે વિદેશ પહોંચી ગયેલા ભારતીયો ત્યાં કેવી જિંદગી જીવતા હોય છે? તેમને ચૂપચાપ કામ કરી – જે મજૂરી પ્રકારનુ હોય છે – પૈસા ભેગાં કરીને પોતાને ગામ મોકલવામાં જ વ્યસ્ત હોય છે.

પશ્ચિમ માટે જોખમો

અહીં વાસ્તવિક વિરોધાભાસ છે: જો પશ્ચિમ શત્રુતામાં વધુ ઝુકે, તો આ દેશો પોતાની સમૃદ્ધિને નબળી પાડવાનું જોખમ ઉઠાવે છે. વિદ્યાર્થી વિઝા પર પ્રતિબંધ મૂકવાથી સંસદમાં તાળીઓ પડી શકે છે, પરંતુ તે યુનિવર્સિટીઓને અબજોની ફીસથી વંચિત રાખે છે. હાઇલી પ્રોફેશનલ કામદારોને દૂર કરવાથી એવાં ક્ષેત્રો નબળા પડે છે જેમાં પહેલેથી જ શ્રમની અછત છે. ઇમિગ્રન્ટ સમુદાયોને સુરક્ષિત કરવામાં નિષ્ફળ રહેવાથી બ્રેઇન ડ્રેઇન થાય છે, કારણ કે પછી આ લોકો કેનેડા, ઑસ્ટ્રેલિયા અથવા સિંગાપોર જેવા દેશો તરફ નજર કરવાનું શરૂ કરે છે.

ટ્રમ્પ-યુગના H-1B વિઝા પરના કડક નિયંત્રણો દરમિયાન આપણે જોયું કે ભારતીય ઇજનેરોએ કેનેડાની વધુ મૈત્રીપૂર્ણ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ પસંદ કરવાનું શરૂ કર્યું. બ્રિટને પણ શોધી કાઢ્યું છે કે ભારતીય વિદ્યાર્થીઓ માટે આશ્રિતો પર અંકુશ મૂકશે તો તેઓ એવી પ્રતિભા ગુમાવશે જેને જેની તેમને કદર છે તેવું તેઓ કહી ચૂક્યાં છે. જે અર્થવ્યવસ્થાઓ ઇમિગ્રન્ટ્સ માટે દરવાજા બંધ કરશે તેઓ પોતાના ભવિષ્યના દરવાજા પણ બંધ કરી રહી છે એ સ્પષ્ટ છે.

ભારતનો હિસ્સો

નવી દિલ્હી માટે, આ હવે માત્ર કોન્સ્યુલર કાર્યવાહી નથી – આ એક વ્યૂહરચના છે. જ્યારે ભારતીય ડાયસ્પોરાને મંદિરની તોડફોડ, હેટ ક્રાઇમ્સ, અથવા વિઝા માટેની પ્રતિકૂળતાનો સામનો કરવો પડે ત્યારે ભારત સરકાર મૌન ન સેવી શકે. કોન્સ્યુલેટો ઇનિશ્યલ વૉર્નિંગ સિસ્ટમ તરીકે સેવા આપવી જોઈએ, ફક્ત ઔપચારિક ચોકીઓ તરીકે નહીં. હોટલાઇન, મંદિરની સુરક્ષા, અને પ્રી-ડિપાર્ચર બ્રિફિંગ્સ ઘટનાઓ ઘટી જાય તે પછી વિચારવાની બાબતો ન હોઇ શકે; આ તમામ માધ્યમો ઢાલ છે.

કારણ કે જ્યારે વિદેશમાં વસતા ભારતીયો અસુરક્ષિત અનુભવે છે, ત્યારે એ સ્થિતિ માત્ર તેમની સમસ્યા નથી – તે ભારતની સૉફ્ટ પાવરની સમસ્યા છે. જ્યારે ડાયસ્પોરા અસુરક્ષાનો અનુભવ થાય છે ત્યારે તે ભારત અને બાકીના વિશ્વ વચ્ચેના સેતુની ભૂમિકામાં વિશ્વાસ ખોઇ બેસે છે.

આગળનો રસ્તો

ઇમિગ્રન્ટ વિરોધી ભાવના અચાનક નથી ઊભી થઇ અને તે અચાનક અદૃશ્ય થઇ જશે એવું પણ નથી થવાનું. ઇમિગ્રન્ટ વિરોધી નેરેટિવ્ઝ આગામી વર્ષોમાં સમગ્ર યુરોપ અને અમેરિકામાં ચૂંટણીઓ, શેરી વિરોધ અને નીતિના યુ-ટર્ન્સને બળ આપશે. આ વિરોધોમાં ભારતીયો ટાર્ગેટ નથી, પરંતુ તેઓ આ વિરોધી વલણથી મુક્ત પણ નથી.

આ સ્થિતિમાં કોણે શું કરવું?

યજમાન દેશો એ આ બાબતોની કાળજી લેવી જોઇએ: બોર્ડર કન્ટ્રોલને એકીકરણ સાથે જોડો. લઘુમતીઓને સુરક્ષિત કરો, હેટ ક્રાઇમ્સ પર કાર્યવાહી કરો, અને તેમણે એ યાદ રાખવાની જરૂર છે કે ઇમિગ્રન્ટ્સ વિના તેમની અર્થવ્યવસ્થાઓ નબળી પડી શકે છે. ભારત વિદેશ નીતિના ભાગ રૂપે ડાયસ્પોરાની સલામતીમાં રોકાણ કરીને યોગ્ય નિર્ણય લઇ શકે છે. વિદેશમાં વસતા ભારતીયોએ સતર્ક રહેવું, ઘટનાઓ નોંધવી અને ત્યાંના સ્થાનિક સમુદાયોમાં સારી રીતે જોડાયેલા રહેવું.

બાય ધી વેઃ 

અત્યારે પશ્ચિમી રાષ્ટ્રો સામે પસંદગીનો પ્રશ્ન છે. તેઓ ધારે તો ચૂંટણી જીતવા માટે ઇમિગ્રન્ટ્સને હથિયાર બનાવી શકે છે – અથવા ભવિષ્યને હાથવગું રાખવા જીતવા માટે ઇમિગ્રન્ટ્સને કારી શકે છે. જમણેરી નેતાઓ પ્રતિકૂળતાના આર્થિક જોખમો જાણે છે, છતાં મતદારોને આંકડાઓમાં નહીં પણ નેરેટિવમાં રસ પડે છે – એ જ રીતે તેમના ઝુકવાને બદલી શકાય છે તેવું આ રાજકારણીઓ જાણે છે. વિદેશમાં વસતા ભારતીયોએ પણ એ સંદેશ સ્પષ્ટ કરવો જોઇએ કે તેઓ જ્યાં રહ્યા છે એ દેશને તેમણે સમૃદ્ધ બનાવ્યો છે.:  આફ્રિકામાં રેલવેથી માંડીને સિલિકોન વેલીના ઇનોવેશન કોરિડોર સુધી ભારતીયોએ ઘણું કર્યું છે અને એ નક્કર પુરાવાઓની વિરુદ્ધ જવું એ ટૂંકી દૃષ્ટિનો દ્રોહ સાબિત થશે અને અન્ય રાષ્ટ્રો માટે આત્મ વિનાશક સાબિત થશે ઇમિગ્રેશન કટોકટી નથી. વાસ્તવિક કટોકટી ત્યારે આવશે જ્યારે રાષ્ટ્રો ભૂલી જશે કે ઇમિગ્રન્ટ્સને કાઢી મૂકવા એમના પોતાના દેશની વૃદ્ધિ અટકાવવાનો માર્ગ છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 સપ્ટેમ્બર 2025

Loading

ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

સુમન શાહ|Opinion - Opinion|21 September 2025

સુમન શાહ

ગુજરાતી ભાષા અન્તર્નિહિત (in-built અથવા જન્મજાત) સર્જકતા વિશે મેં અગાઉ કેટલીક વાતો કરેલી. એવી કે એ પ્રકારની વાતો આપણા સૌના સહભાગી વિચારવિમર્શ માટે ઉપકારક ગણાય.

દરેક વ્યક્તિ પોતાના ભાષિક સામર્થ્ય – competence – અનુસાર, રજૂઆત – performance – કરતી હોય છે. સામર્થ્ય અને રજૂઆત એકબીજાનાં પૂરક છે, એકબીજામાં સુધારાવધારા કરી આપે.

તદનુસાર, આપણાં વર્તન ઘડાય છે, આપણાં સાહિત્યસર્જન કે લેખન પણ. એ વિશેની જાગૃતિ વધે અને સઘળાં વર્તન સાવધાનીથી થાય એ આ લેખમાળા પાછળનો આશય છે. 

અહીં મિત્રો પાસે ચર્ચાની અપેક્ષા છે. ભાષાવિજ્ઞાનની રીતે વાત કરવા એનું જ્ઞાન જોઈશે. પરન્તુ સાદી સમજની ભૂમિકાએ સામાન્ય ચર્ચા તો કરી જ શકાય.

૧

ગુજરાતી ભાષામાં સંખ્યાબંધ શબ્દો અને કહેવતો કે રૂઢિપ્રયોગોનાં મૂળ જ્ઞાનેન્દ્રિયો અને શરીરનાં અંગાંગ સાથે જોડાયેલાં છે. સાર્થ જોડણીકોશમાં, કાન આંખ નાક જીભ મૉં હાથ કે પગ અધિકરણો જુઓ, એ દરેકની સંખ્યા ગણો; ચૉંકી જવાશે. અને તે પછી વિચારો કે માતૃભાષાની આ જન્મજાત સમ્પદાનો આપણે કેટલો ઉપયોગ કરીએ છીએ.  

૨

કોઈ બે જણ વચ્ચે થયેલા ઝઘડાની ચર્ચામાં જોડાયા પછી તમે એમ કહી દો છો કે 

– એ જાણે ને એ જાણે! 

— ત્યારે તમે એ બે-માંથી પહેલી વાર કયા ‘એ’ને ‘એ’ કહો છો અને બીજી વાર કયા ‘એ’ને ‘એ’ કહો છો?

— તમને આ પ્રયોગ બરાબર લાગે છે? કે અસરકારક? 

૩

રમણ ભાગી ગયો. રમણ જતો રહ્યો. 

એ બે-માંનું દરેક વાક્ય કેવાક સંજોગોમાં પ્રયોજી શકાય? 

— વિચારો અને થોડાક શબ્દોમાં એ સંજોગ વર્ણવો. 

૪

ભાત સારા થયા છે, જીરાને કારણે વધારે સ્વાદિષ્ટ લાગે છે. 

સાડીની આ ભાત મને ન ગમી. 

જીભમાં ભાત પડી છે એટલે બોલતાં નથી ફાવતું. 

વિદેશમાં લોકો ભાત ભાતના જોવા મળે છે. 

— ‘ભાત’ સાથેના અન્ય પ્રયોગો જણાવો.

૫

ભુલાઈ જઈ રહ્યું છે. 

— આ વાક્યમાં દર્શાવાયેલી ક્રિયાનું દાખલો આપીને વર્ણન કરો. 

= = =

(210925A’bad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...87888990...100110120...

Search by

Opinion

  • ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 
  • આસ્થા અને ભ્રમ વચ્ચે જન્મેલી સચ્ચાઈ; પંથની  ગાથાનો એક છૂપો પક્ષ
  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved