Opinion Magazine
Number of visits: 9560752
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિક્ષણ મરે તો ચાલે, શિક્ષણ વિભાગ જીવવો જોઈએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|30 October 2023

રવીન્દ્ર પારેખ

આખો દેશ અખાડા અને દેખાડા પર ચાલે છે. ચારે તરફ ઘણું બધું થતું દેખાય, પણ ખાસ કૈં થતું ન હોય. વાતો મોટી હોય, પણ પરપોટા જેવી. હાથમાં કૈં આવતું ન હોય. યોજનાઓ બનતી રહે, પણ પરિણામ જણાય નહીં. પુલ બનતા પહેલાં તૂટતા દેખાય, મરનારના કુટુંબીજનો વળતર માટે જ જીવતાં હોય તેમ થોડાક લાખ ખટાવીને સરકાર પણ ફરજ બજાવી લેતી હોય, બુલેટ ટ્રેન જ દેશની જીવાદોરી હોય તેમ સરકાર પાટા વગર પણ દોડતી રહે, વિશ્વની ત્રીજા નંબરની ઈકોનોમી ન બને તો દેશ રસાતાળ જવાનો હોય તેમ થોડે થોડે વખતે પ્રજા માનસનું ધોવાણ થતું રહે, મણિપુર, ‘મનીપુર’ ન હોય તેમ તેની ઉપેક્ષા થતી રહે ને ઇઝરાયલ ને પેલેસ્ટાઇન યુદ્ધ પર નજર વધુ ઠરતી હોય … આવી તો ઘણી બાબતો દેશ સક્રિય હોવાની ચાડી ખાય છે, પણ વાસ્તવિકતા જુદી જ છે. એ ઉપરાંત ધાર્મિક આસ્થા તીવ્ર થતી આવે ત્યારે રામ ભરોસે ચાલતા દેશને રામ જ ચલાવશે એમ માનીને આશ્વસ્ત થવાનું રહે.

હમણાં એક નવો પવન ફૂંકાયો છે, ઇન્ડિયાને ભારતમાં કન્વર્ટ કરવાનો. ભરતખંડ તરીકેની મૂળ ઓળખ પાછી મળતી હોય તો એથી વધુ રૂડું શું? દેશ હજારેક વર્ષ ગુલામ રહ્યો. એ વખતે કાઁગ્રેસ ન હતી, તો ય આ બન્યું. એ પણ ખરું કે મોગલો અને અંગ્રેજોએ પોતાની ફેવરનો ઇતિહાસ લખાવ્યો. એ રીતે હવેની સરકાર પણ પોતાનો ઇતિહાસ લખાવવા તૈયાર થઈ છે. એવી હવા ફેલાવાય છે કે આપણા રાજાઓએ ભારે પરાક્રમ દાખવ્યું હતું, પણ એ વાત ઇતિહાસમાં નથી આવતી ને સતત મોગલો અને અંગ્રેજોની પ્રશસ્તિ જ ચાલી છે. એમાં તથ્ય છે જ, પણ પ્રશ્ન તો એ પણ થવો જોઈએ કે રાજાઓ બધું શૂરાતન અંદરોઅંદર લડવામાં જ દાખવતા હતા કે એ વિદેશી આક્રમણો સામે પણ થયા હતા? વિદેશીઓએ આક્રમણ કર્યું ત્યારે એમની સેના કરતાં આપણું સૈન્ય ઓછું હતું કે સંપ ઓછો હતો એ પણ જોવા-તપાસવાનું રહે. મીરઝાફર અને અમીચંદ રોબર્ટ ક્લાઇવને રાજ કરવાનું આમંત્રણ આપવા ગયા હતા એ સાચું હતું કે ત્યારથી જ અંગ્રેજોએ તેમની ફેવરનો ઇતિહાસ લખાવવાનું શરૂ કરી દીધું હતું? સવાલ તો એ પણ છે કે આપણા રાજાઓ શૂરવીર ને સંપીલા જ હતા તો દેશ હજાર વર્ષની ગુલામીમાં સપડાયો કેમ?

જો કે, અત્યારની તાતી જરૂર ઇન્ડિયાને ભારતમાં કન્વર્ટ કરવાની સરકારને લાગે છે. એમાં ઇતિહાસની જરૂર છે કે રાજકારણની એ પણ નવો ઇતિહાસ લખાશે ત્યારે પાકું થશે. ‘ઈન્ડિયા’ જો ‘ભારત’ થતું હોય તો તેનો રજમાત્ર વાંધો નથી. અંગ્રેજોએ પાડેલાં નામ અગાઉની સરકારોએ ચલાવ્યે રાખ્યાં જે હાલની સરકારને બદલવા જેવાં લાગે છે, તો ભલે બદલે, પણ આપણે અંગ્રેજોનું અંગ્રેજી છોડવા તૈયાર નથી તેનું શું? ગુજરાતનો સર્વે ન કરીએ તો પણ ખબર પડે એમ છે કે અંગ્રેજી માધ્યમની નવી સ્કૂલો વધુ ખૂલી છે ને ગુજરાતી માધ્યમની સ્કૂલો બંધ થતી રહી છે. ટૂંકમાં, લાગે છે તો એવું કે ગુજરાતની માતૃભાષા અંગ્રેજી થવા પર છે.

કેન્દ્ર સરકાર સાચો ઇતિહાસ ભણાવવા તત્પર છે એનો આનંદ છે ને એના પ્રભાવમાં કામ કરતી સંસ્થા નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રીસર્ચ એન્ડ ટ્રેનિંગ – NCERT-ની ઉચ્ચ કક્ષાની સમિતિ, પાઠ્યપુસ્તકોમાં  ‘ઇન્ડિયા’ છે, ત્યાં ‘ભારત’ કરવાની ભલામણ કરે છે. દેખીતું છે કે સરકાર ‘ઇન્ડિયા’નું ‘ભારત’ કરવાની ઝુંબેશ ચલાવતી હોય તો NCERT પણ પાછળ ન રહે ને GCERT-ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રીસર્ચ એન્ડ ટ્રેનિંગ તો NCERTની નકલ કરવામાં જ ધન્યતા અનુભવતી હોય તો એ સમર્થન આપે જ એમાં શંકા નથી. NCERT સરકારને પગલે ચાલે ને GCERT, NCERTને પગલે ચાલે એટલે મોડું વહેલું ‘ઇન્ડિયા’નું ‘ભારત’ થશે તો ખરું, પણ બંનેના હેતુ જુદા છે. NCERTનો હેતુ શિક્ષાત્મક છે, જ્યારે સરકારનો હેતુ રાજકીય છે, એટલે, જો રાજકીય ગણતરી ન હોય તો NCERTએ સરકારને પગલે ચાલવાની જરૂર નથી. એક તબક્કે NCERTએ આ મુદ્દો પડતો મૂકેલો, પણ વળી કોઈ દબાણ વધતાં NCERTમાં જીવ આવ્યો હોય એમ બને. સરકાર પણ INDIAનું BHARAT કરવા શુદ્ધ બુદ્ધિથી તૈયાર થઈ હોય તો એનો આનંદ જ હોય, પણ એવું નથી.

26 વિપક્ષો 2024ની ચૂંટણીને અનુલક્ષીને એક થયા ને એ સંગઠનને કાઁગ્રેસી નેતા રાહુલ ગાંધીએ I.N.D.I.A નામ આપ્યું. હવે વિપક્ષ જો INDIAનો ઉપયોગ કરે તો દેખીતું છે કે શાસકપક્ષ એનો ઉપયોગ ન કરી શકે. કરે તો એ વિપક્ષનો પ્રચાર કરવા જેવું જ થાય, એટલે દેશનું નામ ‘ભારત’ હોય તો જ માર્ગ મોકળો થાય. હવે એ જાણીને કે જાણ્યા વગર ઇતિહાસ સુધારવા NCERT બેસે તો એ શિક્ષણને બદલે સરકારને મદદ કરવા જેવું તો નથી કરતીને એ વિચારવાનું રહે. સરકારનો હેતુ તો સ્પષ્ટ જ છે, પણ NCERTનો ઇરાદો શુદ્ધ, પૂર્વગ્રહ મુક્ત અને તર્કસંગત હોય એ અનિવાર્ય છે. રાજકીય હેતુનું દાસત્વ શિક્ષણ ન કરે એ NCERTએ જોવાનું રહે. રહી વાત GCERTની તો એણે તો ચાકરી જ કરવાની છે, તો કરશે ને ધન્ય થશે.

બીજી તરફ ગુજરાત શિક્ષણ બોર્ડે પરીક્ષાની ફીમાં સીધો દસ ટકાનો વધારો ઝીંકી દીધો છે, પરિણામે દસમાં ધોરણનાં નિયમિત વિદ્યાર્થીએ હવે 390 રૂપિયા પરીક્ષા ફી ભરવાની થશે. લાખો વિદ્યાર્થીઓ પાસેથી કરોડો રૂપિયા ઉસેટવાની આ ધંધાકીય પ્રયુક્તિ સિવાય બીજું કૈં નથી. અસહ્ય મોંઘવારીથી પીડાતી પ્રજાને શિક્ષણ જગતથી કોઈ રાહત મળતી નથી એ દુ:ખદ છે. બીજી તરફ સરકારે પણ શિક્ષણ ખાતું ચલાવવાનું છે, એટલે એ પણ જીવવા માટે જે કરવું પડે એ કરે તેમાં નવાઈ નથી ને એ વાલીઓના જીવ પર ન કૂદે તો બીજું કરે પણ શું? કાયમી ગરીબીમાં જીવતી સરકાર એટલે તો કાયમી જગ્યાઓ ભરી શકતી નથી.

જો કે, એક જાહેરાત શિક્ષણ વિભાગે સારી એ કરી છે કે દિવાળી પછી તમામ જિલ્લાઓમાં DEO અને DPEOની ખાલી જગ્યાઓ ભરાશે. રાજ્યમાં જિલ્લા શિક્ષણાધિકારી-DEO અને પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી-DPEOની 60 ટકાથી વધારે જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. જગ્યા ન ભરવાનાં કારણો હતાં, પણ શિક્ષણ મંત્રી ડિંડોરે દિવાળી પછી જગ્યાઓ ભરવાનો વાયદો કર્યો છે, તો ભરાશે એવો ભરોસો રાખી શકાય. ભરાશે એવું એટલે પણ લાગે, કારણ ઓફિસો તો ચલાવવાનીને ! શિક્ષણ ખાતું ફતવો બહાર પાડે તો તે નીચે સુધી મોકલવા કે તેનો જવાબ મેળવવા DEO ને DPEO તો જોઇએને ! એટલે એ જગ્યાઓ ભરાશે એવું લાગે તો છે.

એ સારું જ છે કે ઓફિસો ચલાવવા સરકારને ઘટતો અધિકારી સ્ટાફ, ઓફિસોમાં નીમવાનું મોડું મોડું પણ સૂઝે છે, પણ 2017થી ખાલી પડેલી 32,000 કાયમી શિક્ષકોની ઘટ પૂરવાનું શિક્ષણ મંત્રીને સૂઝતું નથી.  તેને બદલે બધી રીતે લાયક ઉમેદવારોને 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર કામચલાઉ નોકરી આપવાનું નાટક, જરા પણ સંકોચ વગર સરકાર કરી શકે છે. આવું સરકાર એટલે કરે છે કે કામચલાઉ શિક્ષકોને નિવૃત્તિ પછીના પેન્શન વગેરે લાભો આપવા ન પડે, તો સરકારને સીધું એ પૂછવાનું થાય કે જે તે મંત્રીઓ, અધિકારીઓ, પેન્શન મળવાની ગણતરી વગર જ સક્રિય છે? એમની ઓફિસોમાં પી.એ. અને અન્ય અધિકારીઓ 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર લેવાયા છે? એ બધા પેન્શન અને નિવૃત્તિનાં લાભો નથી લેવાના? અરે, જે DEO અને DPEOની દિવાળી પછી ભરતીની વાત ડિંડોર સાહેબે કરી છે, એ સાહેબો 11 મહિના પછી એ જ જગ્યા માટે ફરી એપ્લાય કરવાના છે? ના, એવું નથી. એ સાહેબો તો કાયમી ભરતી મેળવવાના છે, તો સવાલ એ થાય કે એમને ફિક્સ પગારે રાખવાના છે? એવું પણ નથી, કારણ નોકરી કાયમી છે. દેખીતું છે કે એમને પેન્શન અને અન્ય લાભો પણ નિવૃત્તિ પછી મળશે જ, તો બધી કસર માસ્તરોમાં જ કેમ? કાયમી ભરતી વગર શિક્ષણનો દાટ વળી રહ્યો છે એ સરકારને દેખાતું જ નહીં હોય !? ઓફિસો ખાલી ન રહે એટલે કાયમી અધિકારીઓની સરકાર ભરતી કરે છે, પણ વર્ગખંડો શિક્ષકો વગર ખાલી રહે છે, તો સરકારનું રૂંવાડું ય ફરકતું નથી. ન જ ફરકે, કારણ રૂંવાડું ફરકવાય ચામડી તો જોઇશે ને ! વર્ગખંડોમાં શિક્ષક વગર શિક્ષણ મરવા પડે તેનો વાંધો નથી, પણ અધિકારીઓ વગર જીવાય એમ નથી, કારણ ખરો કે ખોટો શિક્ષણ વિભાગ જીવવો તો જોઈએ ને !

000 

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 30 ઑક્ટોબર 2023

Loading

કથારસ અને સારપની સુગંધનો આનંદદાયક સુમેળ 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|30 October 2023

પુસ્તક પરિચય 

‘બાલ પરિમલ’ વાર્તા સંગ્રહમાં રાજુલાની પ્રાથમિક શાળાના શિક્ષક જાગૃતિ રાજ્યગુરુએ બાળકોને મજા પડે તેવી અવનવી કલ્પનાઓ કરી છે. પાંચુ સસલો પ્રાણીઓનાં સરસ ચિત્રો દોરે છે એટલે જંગલમાં વાઘ-સિંહ સહિત કોઈ પ્રાણી એને કશું કરતાં નથી, બધાં એના લાડ કરે છે.

એક બગીચામાં મરઘી સુગંધી ફૂલોની માળા બનાવીને એના પીલાને પહેરાવે છે, અને પોતે પણ ગુલાબનું ફૂલ માથા પર લગાવે છે. ચીબરી ખેતરની રખેવાળ છે અને તે રાત્રે કૂણાં ટામેટાં ખાવા કરતાં વધારે બગાડનારા ચામચીડિયાને પકડી પાડે છે.

કાંચિડાને ઘર વગર ખુલ્લામાં રહેવાનો કંટાળો આવે છે, તે સુગરીના માળા જેવા ઘર માટે ઝંખે છે એટલે બધા પક્ષીઓ તેને ઘર બનાવી આપે છે.

ટેક્નોલૉજિના જમાનાની કલ્પનાઓ તો વળી ઑર નોખી છે. સ્વીટુ ખિસકોલી કમ્પ્યૂટર શીખે છે, અને તેની નિશાળમાં આવતાં બધાં પશુ-પંખીઓને શીખવે છે.

દલાભાઈ રબારી મંકુ માકડાને મોબાઇલ આપે છે અને તેના બદલામાં ઘેંટાં-બકરાં ચરાવવાના કામમાં તેની મદદ લે છે. હોશિયાર વાંદરો બહેરા સિંહના પગમાં સિસોટીવાળા બૂટ પહેરાવીને તેનો ભોગ બનતાં પ્રાણીઓને બચાવી લે છે. પંખીઓનાં ઇંડાં ચોરી લઈને ફોડી નાખતી ઇર્ષાળુ ટિટોડીને શકરો બાજ સી.સી.ટી.વી. કૅમેરા લગાવડાવીને પકડી પાડે છે.

સહુથી આશયપૂર્ણ કલ્પના બે વાર્તાઓમાં છે. ‘હું કોણ’માં અનુપમ લાવણ્યવતી એક દૈવી કન્યા પોતાની પાસેનો લખલૂટ ખજાનો ભારતના બધા લોકોને આપી દેવા આવી હોય છે.

બધા રાજ્યોના લોકો તેના માટે ઝગડવા લાગે છે. એટલે એ કન્યા શરત મૂકે છે કે તે કયા રાજ્યની છે. તેને જે રાજ્યના લોકો ઓળખશે તેમને ખજાનો મળશે.

કન્યા તો દેશની બધી ભાષાઓ જાણતી હોય છે, બધા જ પ્રદેશોના નૃત્યોમાં પાવરધી હોય છે, બધા રાજ્યોની વાનગી તેને બનાવતા આવડે છે, અને કોઈ પણ રાજ્યના પરંપરાગત વસ્ત્રોમાં એ એકસરખી સુંદર લાગે છે.

કોઈ રાજ્ય એને પોતાના રાજયની હોવાનો હકદાવો કરી શકતું નથી, બધાં હારે છે. આખરે એ કન્યા આપણા દેશના નકશામાંથી ભારતમાતા તરીકે પ્રગટે છે.

‘છેલ્લું ચિત્ર’માં ભગવાન એક ભલા અને દયાળુ ચિત્રકારને જાદુઈ પીંછી, અને એવું વરદાન આપે છે કે એ જે ચિત્રો દોરે તે સાચું થઈ જાય. ચિતારો હળ-બળદથી ખેતી કરી રહેલાં ગરીબ-અશક્ત ખેડૂતને જોઈને તેને ટ્રૅક્ટરનું ચિત્ર દોરીને ટ્રૅક્ટર આપે છે અને આગળ વધે છે.

એ જ રીતે ચિતારો ગરમી અને ધુમાડાભર્યા શહેરમાં વૃક્ષો અને રણમાં પાણી આપીને આગળ વધે છે. થોડા દિવસો બાદ પાછો આવે છે ટ્રૅક્ટરવાળો ખેડૂત મજૂરોનું શોષણ કરતો હોય છે, વૃક્ષો કપાઈને ઇમારતો બની ગઈ છે, પાણી ગટરોમાં જઈ રહ્યું છે.

ચિતારાની વાર્તાની માણસજાત લોભી અને વિનાશક છે. ‘ખેડૂતકાકાનું ખેતર’ વાર્તામાં એક માણસ મધપૂડા બાળી નાખે છે. ફુવારાને ઘમંડ છે કે બગીચામાં આવનાર સહુને એ ગમે છે. કાગડો ઘૂવડ પર રોફ જમાવે છે, અને જિરાફને ઊંચાઈનું અભિમાન છે.

ખીમાભાઈની વાડીમાં કાગડો કુસંપ કરાવે છે. રાહુલના જન્મદિવસે તેના દાદાએ વાવેલા આંબાની કેરીઓ શેરીના લોકો તોડી તોડીને લઈ જાય છે.

સામે પક્ષે શેરીના યુવાનો યુક્તિ કરીને આંબાને સાચવે છે. જંગલના વાંદરા તળાવમાંની માછલીઓને માટે બહારથી ખાવાનું પહોંચાડે છે. નાનકડો દેડકો અને વાંદરો દેડકા, કીડી-મકોડાને અને  પંખીઓના ઇંડાંને ખાઈ જતા સાપથી છૂટકારો મેળવે છે.

રિસાઈ ગયેલા બુલબુલને બધાં પશુપંખી મનાવી લે છે. સેવાભાવી હાથી ઉનાળાના દિવસોમાં તળાવમાંથી પોતાની સૂંઢમાં પાણી લઈ આવીને કુંડીમાં ઠાલવીને પક્ષીઓને મદદ કરે છે.

તેમાં એક વખત એક માછલીનું  બચ્ચું આવી જાય છે. પક્ષીઓ તેને સાચવી લે છે – તે તરી શકે એટલું પાણી કુંડીમાં રહેવા દે છે, અને માછલીને ખોરાક પણ લાવી આપે છે. ચોમાસે તળાવમાં પાછાં ગયા પછી માછલી સમયસર ચેતવણી આપીને હાથીને મગરથી બચાવે છે.

બાળકોને પ્રિય ફૂલજી ફુગ્ગાવાળો અકસ્માતમાં થયેલી ઇજા પછી ફરીને ફુગ્ગા વેચી શકતો નથી. મોન્ટુ પોતાની વર્ષગાંઠે મમ્મી-પપ્પા પાસેથી ફૂલજીને સાયકલ ભેટ અપાવે છે.

લેખિકાએ સમજદાર શિક્ષકો બતાવ્યાં છે. બીજાં બાળકોનો અવનવાં ટીફિનના ડબ્બાની વચ્ચે ગરીબ ધનુના પિત્તળના ડબ્બાનું કે સાવલીના બાજરીના રોટલાનું મહત્ત્વ ઉપસાવીને વિદ્યાર્થીઓને નાનમમાંથી બચાવે છે. હૃષ્ટપુષ્ટ પણ તોફાની બટુકની શારિરીક તાકાતને શિક્ષક યોગ્ય દિશાએ વાળે છે.

વર્ષોથી શિક્ષક તરીકે કાર્યરત જગૃતિબહેન જણાવે છે : ભાષા શિક્ષક તરીકે વર્ગમાં આઠથી તેર વર્ષની ઉંમરના બાળકોને એકમને અનુરૂપ નવી વાર્તા સંભળાવીને પછી વર્ગકાર્ય શરૂ  કરવાથી એમની તાર્કિક શક્તિ અને એકાગ્ર શક્તિને વેગ આપવો, એ મારી શિક્ષક તરીકેની ફરજોને ધ્યાનમાં લઈને આ વાર્તાઓ લખવા પ્રયત્ન કર્યો છે.’

એકાદ-બે ફકરામાં જ સાદી ભાષામાં કરેલાં અનેક સુંદર વર્ણનો લેખિકાની સિદ્ધિ છે. ખીમાભાઈની અને રિસાયેલા બુલબુલની વાડીઓનાં પશુપંખીઓમાં ગજબનાં વૈવિધ્ય, નિર્દોષતા અને સંપ સરસ રીતે વર્ણવાયાં છે.

પિકનિક પર જતાં બાળકોનાં સંખ્યાબંધ ડબ્બા પણ લેખિકાએ બરાબર નીરખ્યા છે. સાબરની જિંદગી કે પ્રાણીઓએ હાથીની કરેલી સારવારનાં વર્ણનો પણ આકર્ષક છે.

કરણ અને શરણ નામનાં ઝરણાંની વાત પણ સરસ રીતે કહેવાઈ છે. ‘હું કોણ?’ વાર્તામાં ભારતની ભાતીગળતા બાળકોની સામે સહજ રીતે રજૂ થઈ છે.

લેખિકાએ આપેલાં ચોટડુક, રમતિયાળ અને પ્રાસયુક્ત નામોની યાદી  બને : ચેતુ ચકલી, મીઠી મેના, શાણી સુગરી, દાદુ દરજીડો, કાબરું કબૂતર, કિટ્ટી કોયલ, પિન્ટુ પોપટ, બબલુ બુલબુલ, ચંગુ ઉંદર, ટેટુ રીંછ.

વાર્તાઓમાં ‘સૂકાય ગયા’, ‘સમજાય ગયું’ જેવા પ્રયોગો કે ‘ટેટું’, ‘ભોલું’, ’પાંચું’ ‘રોનું’ જેવા વ્યક્તિવાચક નામોમાં છે બીજા અક્ષર પરનો અનુસ્વાર બંધબેસતા નથી.

એકંદરે ભાષાની માવજતથી લખાયેલી વાર્તાઓમાં ક્વચિત ‘હેલ્પ કરીને’ કે ‘બર્થ ડે ગિફ્ટ’, ‘ક્લાસિકલ નૃત્ય’ જેવા શબ્દપ્રયોગો ખટકે છે. ‘સાવલી રંગે શ્યામ પણ ભણવામાં બહુ હોશિયાર’ જેવા વાક્યમાં, વાર્તામાં ભાગ્યે જ આવતાં conditioning અને stereotype ડોકાય છે.

જો કે આવા અપવાદ બાદ કરતાં, જાગૃતિબહેને આ મનોહર વાર્તાઓમાં કથારસ અને સારપની સુંગંધનો આનંદદાયક સુમેળ સાધ્યો છે.

‌‌‌‌‌‌‌-‌‌‌‌‌‌‌‌—-‌‌———————-

બાલ પરિમલ : બાલવાર્તા સંગ્રહ (2021), પ્રકાશક ZCAD Publication, પાનાં 120, રૂ.160/- • મો. 6358852437

[820 શબ્દો]
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 29 ઑક્ટોબર 2023
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સત્તાપ્રદર્શનના મોહમાં પર્યાવરણ અને વિકાસ વચ્ચેના સંતુલનની મર્યાદાઓનો છેદ ઉડી જાય છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|29 October 2023

વિશ્વમાં વિવિધ દેશોમાં ખેતીલાયક જમીનનું ધોવાણ થઈ રહ્યું છે, મોટી સંખ્યામાં ઝાડ કપાઈ રહ્યા છે, પાણીના પ્રવાહોની દિશા બદલાઈ રહી છે, દરિયા હોય કે ખીણ – ત્યાં પણ પુરાણ થઈ રહ્યા છે, જંગલી જાનવરો શહેરોમાં ધસી આવે છે કારણ કે તેમના પ્રાકૃતિક રહેઠાણોનો ખાત્મો બોલાઈ ગયો છે. રેલવે, બ્રિજ, કોરડોર્સ, ખાનગી અને જાહેર બાંધકામના તોતિંગ કામો જેવું કેટલું ય આ બધા માટે કારણભૂત છે. 

ચિરંતના ભટ્ટ

1978માં ડાયરેક્ટર મીરાં નાયરની ફિલ્મ આવી હતી, ગમન – એમાં મુંબઈની ફિતરત અને મિજાજને આલેખવામાં આવી હતી. સીને મેં જલન, આંખોમેં તુફાન સા ક્યૂં હૈ – ફિલ્મનું આ ગીત આજે પણ મુંબઈની દોડતી જિંદગી અને કાળી પીળી ટેક્સીથી વ્યસ્ત રસ્તાઓનું ચિત્ર ખડું કરી દે તેવું છે. આ ગીત આજે પણ એટલું જ પ્રાસંગિક છે પણ ફેર માત્ર એટલો છે કે આ વ્યસ્તતામાં પ્રદૂષણ – સ્મોગ – સ્મોક અને ફોગ – ધૂળ અને ધુમ્મસનો ઉમેરો થઈ ગયો છે.

જે રીતે દિલ્હીનું હવા પ્રદૂષણ હંમેશાં ચર્ચામાં રહ્યું છે, હવે એ રેસમાં મુંબઈ પણ જોડાયું છે. સમાચાર માધ્યમો માટે શહેરની એર ક્વૉલિટીની ચર્ચા એક મુદ્દો બન્યા હોવાનું પણ હવે નવું નથી. મુંબઈ અને દિલ્હીના આ સ્મોગનાં કારણો પણ જુદાં છે. આજકાલ મુંબઈ આ રેસમાં વધુ ઝળકે છે પણ આ વાહનોનું પ્રદૂષણ નથી. આ પ્રદૂષણ છે મુંબઈમાં કૂદકે અને ભૂસકે થઈ રહેલાં બાંધકામને કારણે! વળી ક્લાઇમેન્ટ ચેન્જનું છોગું તો મોટુંમસ છે જ. ગણતરીના દિવસો પહેલા મુંબઈના બ્રિહન્‌મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન – બી.એમ.સી.એ માર્ગદર્શિકા જાહેર કરી કે શહેરમાં બાંધકામની જે પણ તોતિંગ સાઇટ્સ છે, તેઓ જો તેમના બેરિકેડ ઊંચા નહીં કરે – 35 ફિટ જેટલા ઊંચા અથવા તો ટ્રેમ્પોલિન – તાડપત્રીથી પોતાના કન્સ્ટ્રક્શનને ઢાંકશે નહીં તો બાંધકામ કરનારાઓ પર પગલાં લેવામાં આવશે. બાંધકામ અટકાવી દેવામાં આવશે. વળી રાજ્ય સરકારના રિફાઇનર્સ હોય કે ખાનગી કંપનીઓ હોય તમામના પ્લાન્ટ્સ પર બી.એમ.સી. ચાંપતી નજર રાખશે એવી જાહેરત પણ કરાઈ છે.

દિલ્હીને વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત શહેર તરીકે એકથી વધુ વખત નવાજવામાં આવ્યું છે. દિલ્હી અને મુંબઈ બન્ને શહેરો એવા છે જ્યાં ક્રિકેટ વિશ્વ કપની મેચિઝ થતી હોય છે અને ખેલાડીઓને હજી સુધી તો આ પ્રદૂષણ નડ્યું નથી – પરંતુ ક્રિકેટર્સને આ મુદ્દાની ચર્ચા ચોક્કસ કરી છે. વળી પ્રદૂષણને કારણે શ્વાસ લેવામાં થતી તકલીફો, એલર્જીની સમસ્યાઓ વગેરે તો ખડું છે જ. મુંબઈ માટે આ હજી નવું છે પણ ગયા વર્ષે પણ એક વાર મુંબઈની હવાની ગુણવત્તા દિલ્હી કરતાં બદતર થઈ હોવાનું નોંધાયું હતું.

મુંબઈ અને દિલ્હીમાં શું હાલ છે એ તો જાણે સમજ્યા પણ વિકાસ અને પર્યાવરણને મામલે સંતુલન કરવાનું માત્ર આપણા મેટ્રો સિટીઝમાં નહીં પણ દુનિયા આખીના દેશોમાં એક બહુ મોટો પ્રશ્ન રહે છે. તાજેતરમાં જ મલેશિયા, ઇન્ડોનેશિયાના – દક્ષિણ સુમાત્રામાં પ્રદૂષણને કારણે થયેલા ધુમ્મસની સમસ્યા ખડી થઇ હતી. મેલેશિયામાં તો ઑક્ટોબરની શરૂઆતમાં જ પડોશના ઇન્ડોનેશિયાના જંગલમાં લાગેલી આગને કારણે પ્રદૂષણને પગલે સ્કૂલો બંધ કરવાની નોબત આવી હતી. ત્યાંના રહેવાસીઓ પોતાના ઘરનાં બારી-બારણાં સુદ્ધાં નથી ખોલતા અને લોકોને પાણી પીને હાઇડ્રેટેડ રહેવાની સલાહ અપાય છે. જંગલની આગ હોય કે તોતિંગ બાંધકામ – મુદ્દો એ છે કે આપણે હવે એ તબક્કે આવી ગયાં છીએ જ્યાં શ્વાસ લેવામાં ય જોખમ છે. સિંગાપોરમાં પણ આવી સમસ્યાઓ હવે દર વર્ષે થતી ઘટના છે. છેલ્લા બે દાયકાથી ઓઇલ પામ પ્લાનેટેશન માટે મોટા પાયે જંગલોનો સફાયો થયો છે અને આ કારણે આ હવાના પ્રદૂષણની સમસ્યાઓ કાયમી બાબત બની ચૂકી છે. ઇન્ડોનેશિયા અને મલેશિયા – જે ખોરાકથી માંડીને સાબુ અને લિપસ્ટિકનું સુધ્ધાં ઉત્પાદન કરે છે અને યુરોપિયન યુનિયન સહિતના અન્ય રાષ્ટ્રોમાં આ ઉત્પાદનોની નિકાસ કરે છે. આ ઉત્પાદનોની બનાવટ માટે જ પામ ઓઇલની જરૂર ખડી થાય છે. જૂન મહિનામાં યુરોપિયન યુનિયને આ અસરોને ગણતરીમાં લઇને જંગલોનો સફાયો કરવો પડે એવા ઉત્પાદનોની આયાત પર મર્યાદા બાંધવાનું પણ નક્કી કર્યું. યુ.એસ.એ. જેવા મહાસત્તા ગણાતા રાષ્ટ્રમાં પણ ક્લાઇમેટ ચેન્જને કારણે પ્રદૂષણ, બગાડ, પાણીના પ્રશ્નો, ઊર્જાની સમસ્યાઓ, જંગલોનો ખાત્મો થવાથી માંડીને પ્રાણીઓની પ્રજાતિઓ લુપ્ત થવા જેવી પર્યાવરણીય આફતો આવતી રહી છે.

પર્યાવરણના પ્રશ્નો વિશ્વમાં ક્યાં અને કેવા છેનો મુદ્દો જો વિગતે છોડાશે તો એવો ઘાટ થશે કે – બાત નિકલેગી તો ફિર દૂર તલક જાયેગી. પર્યાવરણવાદી અર્થશાસ્ત્રીઓ ‘ગ્રીન ઇકોનોમી’ની તરફેણ અને પ્રચાર-પ્રસાર કરતા રહ્યા છે. વિકાસના પ્રોજેક્ટ થાય તો એ રીતે થાય કે તે પર્યાવરણનું સંતુલન ન ખોરવી દે. વિશ્વમાં વિવિધ દેશોમાં ખેતીલાયક જમીનનું ધોવાણ થઈ રહ્યું છે, મોટી સંખ્યામાં ઝાડ કપાઈ રહ્યા છે, પાણીના પ્રવાહોની દિશા બદલાઈ રહી છે, દરિયા હોય કે ખીણ – ત્યાં પણ પુરાણ થઈ રહ્યા છે, જંગલી જાનવરો શહેરોમાં ધસી આવે છે કારણ કે તેમનાં પ્રાકૃતિક રહેઠાણોનો ખાત્મો બોલાઈ ગયો છે. રેલવે બ્રિજ, કોરડોર્સ, ખાનગી અને જાહેર બાંધકામના તોતિંગ કામો જેવું કેટલું ય આ બધા માટે કારણભૂત છે.

આપણા દેશમાં તો સુપ્રીમ કોર્ટે પણ વર્ષની શરૂઆતમાં વિકાસ અને પર્યાવરણની સુરક્ષા વચ્ચે સંતુલન જાળવવાની વાત પર ભાર મૂકતી રજૂઆત કરી હતી. અર્બન ડેવલપમેન્ટના નેજા હેઠળ થતી કામગીરી શરૂ થાય તે પહેલાં પર્યાવરણ પર તેની શી અસર હોઇ શકેની તપાસ અને માઠી અસરો ઓછામાં ઓછી થાય તે રીતેની યોજના અને નીતિઓ હોવા અંગે સુપ્રીમ કોર્ટે ચર્ચા છેડી હતી.

પર્યાવરણના પ્રશ્નો વૈશ્વિક છે, અને નવા નથી. પર્યાવરણને લગતા કાયદાને સીધો સબંધ છે સત્તાધીશો સાથે જેમણે પોતાના યોગદાન, પોતાની ફરજ અને સત્તાનો ઉપયોગ પર્યાવરણ પર માઠી અસરો રોકવા માટે કરવો જોઇએ. સંતુલિત આર્થિક વિકાસના મુદ્દાને આપણે પૂરી રીતે સમજીએ છીએનો આત્મવિશ્વાસ રાખતા પહેલાં આપણે આ બન્ને પાસાં વચ્ચેનો સંબંધ સમજવો વધુ અગત્યનો છે. આર્થિક વિકાસ એટલે માત્ર માળખાકીય વિકાસ નહીં પણ એ રીતે થતી કામગીરી જેમાં ગરીબીની નીચે જીવનારા લોકોને પણ પ્રગતિ કરવાનો મોકો મળે. સ્વાસ્થ્ય, શિક્ષણ અને રોજગારીની તક મળે. સ્વસ્થ લોકો સમાજને સદ્ધર બનાવશે અને પોતાની આસાપાસના પર્યાવરણની રક્ષાનું મહત્ત્વ તેઓ સમજશે પણ અને તે સચવાય તે માટે સત્તાધીશોને સવાલ કરી શકશે, ટેકો આપી શકશે.

બાય ધી વેઃ

સરકારો માટે મોટા પ્રોજેક્ટ શક્તિ પ્રદર્શન સાબિત થાય છે પણ કુદરતી શક્તિના સમીકરણોને ધ્યાનમાં લીધા વિના જો અંધાધુંધ વિકાસ કરવામાં આવશે તો પ્રકૃતિનો પ્રકોપ ભલભલાનો ભોગ લઈ લેશે. માનવસર્જીત કુદરતી આફતો દુનિયાના ખૂણે ખૂણે કોઈને કોઈ રીતે થતી રહે છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ – ટકાઉ વિકાસ – એક એવો શબ્દપ્રયોગ છે જેનો ઉપયોગ સત્તાધીશો બોલવા પૂરતો જ કરતા હોય છે. જમીન પરની હકીકત જુદી હોય છે જ્યાં માત્ર વિકાસને ધ્યાનમાં રખાય છે જેને પગલે પર્યાવરણનો કચ્ચરઘાણ થાય છે અને લાંબા ગાળાની અસરમાં હેરાન તો સામાન્ય લોકો જ થતા હોય છે. વિકાસ સાચા અર્થમાં સર્વાંગી હોય તો જ પર્યાવરણની સુરક્ષા થવાની શક્યતાઓ વધે. પર્યાવરણનું સ્તર આ રીતે સતત કથળશે તો જે આવનારી પેઢીઓના નામે વિકાસનાં કામ થઇ રહ્યા છે એ પેઢીઓ જ આ વિકાસને માણવા માટે સ્વસ્થ રહેશે કે કેમ તે જોવું પડશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 29 ઑક્ટોબર 2023

Loading

...102030...876877878879...890900910...

Search by

Opinion

  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો
  • જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારાત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
  • ચલ મન મુંબઈ નગરી —319
  • સેલ્સમેનનો શરાબ
  • નફાખોર ઈજારાશાહી અને સરકારની જવાબદારી  

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved