Opinion Magazine
Number of visits: 9457899
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જગતમાં કોઈ વ્યક્તિ અને કોઈ સમાજ સર્વગુણસંપન્ન નથી કે અધમ નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|29 August 2023
  • વિનોબા ભાવેએ બહુ માર્મિક ભાષામાં કહ્યું હતું કે ‘હી’ની જગ્યાએ ‘ભી’ અપનાવશો તો જીવન સાર્થક થઈ જશે

  • આપણે આપણાં પોતાનાં અને બીજાના ઓછાપણાનો પણ સ્વીકાર કરીએ છીએ. ટૂંકમાં ‘હી’ વિધ્વંસક છે 

રમેશ ઓઝા

ગયા સપ્તાહના મારા લેખમાં પારસી કોમ વિશેની અજાણી બાજુ જાણીને એક વાચકે પ્રતિક્રિયા આપી હતી કે પારસીઓ વિષે ભ્રમનિરાસન થયું. ભ્રમનું નિરાસન ત્યારે થાય જ્યારે ભ્રમ સેવ્યો હોય અને આ દુનિયામાં સૌથી મોટો ભ્રમ એ છે કે ચોક્કસ વ્યક્તિ કે ચોક્કસ કોમ સર્વગુણસંપન્ન છે અને ચોક્કસ વ્યક્તિ કે કોમ અધમ છે. માણસ આખરે માણસ હોય છે અને પારસીઓ પણ માણસ છે. પ્રત્યેક માણસ સારા-નરસા ગુણોનું પૂતળું હોય છે અને સમાજ આખરે માનવીઓનો બનેલો હોય છે, એટલે સમાજમાં પણ સારાપણું અને નઠારાપણું બન્ને હોય છે. એક સત્ય ગાંઠે બાંધી રાખો : આ જગતમાં કોઈ વ્યક્તિ અને કોઈ સમાજ સર્વગુણસંપન્ન નથી કે અધમ નથી. બન્ને છે અને એમાં આપણો પોતાનો, આપણાં પોતાનાંઓનો, આપણા સમાજનો તેમ જ માનવરચિત પ્રત્યેક સંસ્થા અને કૃતિનો પણ સમાવેશ થાય છે. 

આચાર્ય વિનોબાજી

વિનોબા ભાવેએ બહુ માર્મિક ભાષામાં કહ્યું હતું કે “હી”ની જગ્યાએ “ભી” અપનાવશો તો જીવન સાર્થક થઈ જશે અને જો “હી”માં અટવાયેલા રહ્યા તો અમૂલ્ય જિંદગી કોઈની આરતી ઉતારવામાં અને કોઈનું બુરું ઇચ્છવામાં વેડફાઈ જશે. પણ આ શીખ એ લોકો માટે છે જે પોતાની જિંદગીની કિંમત સમજે છે. જેની આરતી ઉતારો છો એની પણ કોઈ મર્યાદાઓ હશે અને જેને નીચ સમજો છો એની પણ કોઈ ઉજળી બાજુ હશે. મહાત્મા ગાંધી પણ મર્યાદાઓથી ગ્રસ્ત હતા અને તેમણે તેમની મર્યાદાઓનો ખુલ્લો સ્વીકાર પણ કર્યો છે. આ વાત ઇતિહાસમાં થયેલા અન્ય મહાપુરુષોને પણ લાગુ પડે છે. માટે વિનોબા કહેતા કે હમારી કૌમ “હી: શ્રેષ્ઠ હૈ કે હમારા ધર્મ “હી” શ્રેષ્ઠ હૈ એમ કહેવાની જગ્યાએ એમ કહેવું જોઈએ હમારા સમાજ “ભી” શ્રેષ્ઠ હૈ ઔર હમારા ધર્મ “ભી” શ્રેષ્ઠ હૈ. આમ જ્યારે તમે કહેશો ત્યારે બીજાના સારા હોવાપણાનો તમે સ્વીકાર કરો છો. તુમ ભી અચ્છે હો ઔર તુમ્હારા ધર્મ ભી અચ્છા હૈ. એટલું જ નહીં, આમ કહેતી વખતે આપણે આપણા પોતાના અને બીજાના ઓછાપણાનો પણ સ્વીકાર કરીએ છીએ. ટૂંકમાં “હી” વિધ્વંસક છે. જો તમારે તમારી અમૂલ્ય જિંદગીને એળે જવા દેવી હોય તો આવી પ્રવૃત્તિ કરો.

પારસીઓ “પણ” મહાન કોમ છે એમાં કોઈ શંકા નથી અને પારસીઓ “પણ” માનવીય મર્યાદાઓથી ગ્રસ્ત છે. પારસી કોમની મર્યાદાઓ બતાવવી હોય તો હું હજુ બીજી બે-પાંચ મર્યાદાઓ બતાવી શકું એમ છું. આ જગતમાં કોઈ સર્વગુણસંપન્ન નથી. ગુણ-અવગુણથી ગ્રસ્ત માનવી અને માનવીનો બનેલો સમાજ સમય અને સંજોગો મુજબ વર્તે છે. જો સમય અને સંજોગો અનુકૂળ હોય તો માણસ માનવીય મર્યાદાઓ સાથે બાંધછોડ કરવા લાગે છે અને સમાજ તો વળી હજુ વધુ મર્યાદાઓ સાથે બાંધછોડ કરે છે, કારણ કે તે સમૂહમાં તાકાતનો અનુભવ કરે છે. ભારતમાં અંગ્રેજો આવ્યા ત્યારે ભારતની બીજી કોઈ કોમ કરતાં પારસીઓને અંગ્રેજોની નજીક જવામાં ઓછી તકલીફ પડી હતી. જ્ઞાતિનાં બંધનો, ધાર્મિક બંધનો, પરંપરાનાં બંધનો, વેશભૂષાનાં બંધનો, ભોજનનાં બંધનો તેમને અન્ય ભારતીય કોમની તુલનામાં ઓછા નડ્યાં હતાં. પાશ્ચાત્યપણાને તેઓ ઝડપથી અપનાવી શક્યા હતા. અંગ્રેજ અને અંગ્રેજિયતના આસાન સ્વીકારને કારણે પારસીઓ અંગ્રેજોની નજીક પહોંચી ગયા હતા. દેખીતી રીતે એક વાર સત્તાની નજીક પહોંચી ગયા પછી પારસીઓ પણ મર્યાદાઓ સાથે બાંધછોડ કરવા લાગ્યા હતા. તેઓ પણ તાકાતનો, અજેયતાનો, ઐશ્વર્યનો ખોટો અનુભવ કરવા લાગ્યા હતા. આ બધું માનવસહજ છે.

પણ માનવસહજ છે એનો અર્થ એવો નથી કે એ યોગ્ય છે. પારસીઓનું કૃત્ય માનવસહજ હતું, પણ યોગ્ય તો નહોતું જ. માટે પ્રસંગ આવ્યે “ભી”ને કેન્દ્રમાં રાખીને કહેવું જોઈએ કે પારસીઓએ પણ અત્યાચારો કર્યા હતા. ભારતમાં જ્યારે મુસલમાનોનું રાજ હતું ત્યારે કેટલાક મુસલમાનો મર્યાદાઓનું ઉલ્લંઘન કરતા હતા, મરાઠાઓનું રાજ હતું ત્યારે કેટલાક મરાઠાઓ મર્યાદાઓનું ઉલ્લંઘન કરતા હતા, ક્ષત્રિય રાજવીઓનું રાજ હતું ત્યારે કેટલાક ક્ષત્રિયો મર્યદાઓનું ઉલ્લંઘન કરતા હતા અને અત્યારે કેટલાક હિંદુઓ મર્યાદાઓનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ત્રણ ચીજ છે : એક, આ માનવસહજ છે. બે, આ અપવાદ વિના સાર્વત્રિક છે એટલે કે દરેક પ્રજામાં આ જોવા મળે છે અને ત્રણ, આ નિંદનીય પણ છે.

મારા લેખમાં મૂક સંમતિ કે સ્વીકાર મોટાભાગે શરણાગતિ હોય છે એ મુદ્દો સાબિત કરવા પારસી કોમનું ઉદાહરણ આપ્યું હતું કે પારસીઓ “પણ” આવું કરતા હતા. મુદ્દો મહત્ત્વનો હતો, પારસીઓની મર્યાદા નહીં. પણ ઘડીભર વિચારો કે હું ખોતરી ખોતરીને પારસીઓની મર્યાદાઓ શોધ્યા કરું, તેની યાદી બનાવું, દિવસરાત પારસીઓની અંધારી બાજુ શોધ્યા કરું તો? તો હું “ભી” ને “હી”માં ફેરવી નાખીશ. એમાં પારસીઓનું તો થવાનું હશે તે થશે પણ હું મારી અમૂલ્ય જિંદગીનું અને મારી આવનારી પેઢીનું નખ્ખોદ કાઢવાનો એ નક્કી છે. આજકાલ કેટલાક લોકો દિવસરાત “ભી”ને “હી”માં ફેરવવાનો વ્યાયામ કરી રહ્યા છે એ જોઇને દયા ઉપજે છે. હમ “હી” અચ્છે ઔર દુસરે “હી” બુરે. એક જ જિંદગી મળી છે એટલે અમૂલ્ય છે, પણ તેઓ તેમની જિંદગીની કિંમત સમજતા નથી!

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 27 ઑગસ્ટ 2023

Loading

૧૯૪૨, ઓગસ્ટ : લોકપ્રકોપના જ્વાળામુખીનો વિસ્ફોટ

ઉષા ઠક્કર|Opinion - Opinion|29 August 2023

ડૉ. ઉષા ઠક્કર આપણી જમાતનાં એક વિદ્વાન અધ્યાપક છે. રાજ્યનીતિશાસ્ત્ર, ઇતિહાસ તેમ જ સમાજશાસ્ત્રનાં એક તજ્જ્ઞ તરીકે એમની નામના છે. એમણે અનેક સંશોધન આધારિત પુસ્તકો ય આપ્યાં છે. આઝાદીના આ 75માં વરસ અનુસંધાને આ અભ્યાસુ લેખ આપણને દિશા તો આપે છે, પણ સાથે સાથે આપણને ઇતિહાસ ભણી દોરી જઈ વિચારને માટે નક્કર વાતાવરણ પણ તૈયાર કરી આપે છે.

ઉષા ઠક્કર

૧૯૪૨નો ઓગસ્ટ મહિનો ભારતમાં અસાધારણ રાજકીય ઊથલ-પાથલનો મહિનો. દેશપ્રેમીનો સમર્પણ અને બલિદાનનો મહિનો. સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટેનું ૧૯૪રનું સૌથી છેલ્લું જન આંદોલન. આ સમયે આઝાદી માટેની અદમ્ય ઈચ્છા રાજકીય સમજૂતિઓની સીમા પાર કરી ગયેલી. શોષિત અને પીડિત પ્રજાએ બ્રિટિશ સરકાર સામે ખુલ્લો બળવો કરેલો. તે સમયને યાદ કરતાં ને સમયની ક્રાંતિરેખા અરુણા અસફઅલીએ જણાવેલું કે ‘ત્યારે તો લોકપ્રકોપના જ્વાળામુખીનો વિસ્ફોટ થયેલો અને તેમાંથી ફેંકાયેલ લાવારસનો હું તો એક ટુકડો માત્ર હતી.’ દેશની ધરતી પર આવા જ્વલંત ટુકડાઓ અને તણખાઓ હજારો-લાખોની સંખ્યામાં વેરાઈ ગયેલા. મુંબઈ (શહેર અને પ્રાંત), યુનાઈટેડ પ્રોવીન્સેઝ (યુ.પી.), સેન્ટ્રલ પ્રોવીન્સેઝ (સી.પી.), બિહાર અને ઓરિસ્સા જેવા ક્ષેત્રો આઝાદી માટેની પ્રવૃત્તિઓથી ધમધમી ઉઠેલા.

૧૯૪૦ના દાયકાના આરંભના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજકારણના પ્રવાહોએ ૧૯૪૨ના આંદોલનના ઉદ્ભવમાં અગત્યનો ફાળો આપેલો. દેશમાં ગાંધી વિચાર અનુસાર વ્યક્તિગત સત્યાગ્રહ થયેલો, પણ તેનું સ્વરૂપ મર્યાદિત હતું. સર સ્ટેફર્ડ ક્રિપ્સના આગમને આશા જગાવેલી, પણ છેવટે તો નિરાશા જ મળી. ક્રિપ્સ મિશનની દરખાસ્તોનો દેશના જાણીતા પક્ષોએ અસ્વીકાર કર્યો અને બીજું વિશ્વયુદ્ધ તો દેશની સીમાઓ સુધી પહોંચી ગયેલું. જાપાન તીવ્ર ગતિથી આગળ વધી રહેલું હતું. તેણે હોંગકોંગ, સિંગાપુર, મલાયા અને બર્મા પર વિજય મેળવી લીધેલો. અને તેની અસર ભારત પર પડી.

બિહાર અને યુ.પી. જેવા પ્રાંતોમાં લોકોને ચિંતા અને આશંકા થવા લાગી. બર્મા, સિલોન અને મલાયામાં ઘણા ભારતવાસીઓ ગયેલા. તેઓ નિયમિત રૂપે દેશમાં પોતાના કુટુંબોને પૈસા મોકલતા, જેથી કુટુંબોનો નિર્વાહ થઈ શકે અને આ રકમ નાની-સૂની નહોતી. ૧૯૪૦-૪૧ ના વર્ષમાં ૨,૦૩૮,૦૦૦ મની-ઓર્ડર તથા ૭ કરોડ ૨૫ લાખ જેટલા રૂપિયા આવેલા. ગોરખપુરના મોટા ભાગના રહેવાસીઓ હોંગકોંગ, બેંકોક, સિંગાપુર અને રંગૂનમાં કામ કરતા હતા. સગાં સંબંધીઓ દ્વારા મોકલાતા પૈસા પર જ આધાર રાખતા હતા. પણ હવે તો પરદેશમાં કામ કરના ભારતવાસીઓ જ પાછા ફરવા લાગ્યા, અંતે તે પણ નિરાશ્રિત થઈને. એક અંદાજ મુજબ લગભગ ૪,૦૫,૦૦૦ નિરાશ્રિતો કલકત્તા પહોંચ્યા, તેમાંથી ૩,૩૫,૦૦૦ ટ્રેનથી આવ્યા અને ૭૦,૦૦૦ સ્ટીમરથી ઘાયલ સિપાહીઓ થાકીને અને હારીને ઘરે પહોંચવા લાગ્યા. તેમની સ્થિતિ દયનીય હતી. આવી પરિસ્થિતિમાં અફવાઓનું બજાર ગરમ થયા લાગ્યું. એવી અફવાઓ થવા લાગી કે જાપાનનું સૈન્ય અજેય છે. બ્રિટિશ ઓફિસરો નાસી જવાના છે. આ સંજોગોમાં સામાન્ય પ્રજાનો બ્રિટિશ શાસનમાંથી વિશ્વાસ ઉઠવા લાગ્યો.

આ ઉપરાંત, દેશની પ્રજાને અસહકાર આંદોલન અને સવિનય કાનૂન ભંગ જેવી ચળવળોનો અનુભવ હતો. ૧૯૩૭ માં ચુંટાયેલી સાત પ્રાંતોમાં કાઁગ્રેસ સરકારની વિધેયાત્મક કામગીરીનો અનુભવ હતો અને સૌથી મહત્ત્વપૂર્ણ તો ગાંધીજીના અસાધારણ નેતૃત્વ હેઠળ કામ કરવાનો અનુભવ હતો.

ગાંધીજીના વિચારો અને વાતોએ પ્રજામાં હલચલ મચાવી દીધી. ગાંધીજીએ “હરિજન બંધુ”(૧૦-૦૫-૧૯૪૨)માં જણાવ્યું કે “હિંદુસ્તાનમાં અંગ્રેજોની હાજરી એ જાપાનને હિંદુસ્તાન પર ચડાઈ કરવાનું નોતરું છે. તેઓ ચાલ્યા જાચ તો લડાઈની લાલચ દૂર થાય.” અંગ્રેજોને ચાલ્યા જવાનું જણાવતાં તેમણે “હરિજન બંધુ”(૨૪.૫.૧૯૪૨)માં સ્પષ્ટ કર્યું કે “હિંદને ભગવાનના હાથમાં સોંપી દો અને આ શબ્દો વિચિત્ર લાગતા હોય તો કહું છું કે અરાજક્તાના હાથમાં સોંપો.”

કાઁગ્રેસના નેતાઓ ગાંધીજી સાથે હતા. ઓલ ઇન્ડિયા કાઁગ્રેસ કમિટીની બેઠક વર્ધામાં જુલાઈ ૧૯૪૨માં યોજવામાં આવી. ૧૪ જુલાઈના મહત્ત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો કે રોજેરોજ બનતા બનાવોએ તથા હિંદની પ્રજાને થઈ રહેલા કડવા અનુભવોએ કાઁગ્રેસીઓના એ અભિપ્રાયને સાચો ઠરાવ્યો છે કે હિંદમાંથી બ્રિટિશ અમલનો અંત આવવો જ જોઈએ. “સારામાં સારો પરદેશી અમલ પણ સ્વતઃ એક અનિષ્ટ છે તથા તાબેદાર પ્રજાને માટે નિરંતર હાનિરૂપ છે. એટલા ખાતર જ નહિ, પણ પરાધીન હિંદ પોતાનું રક્ષણ કરી શકે તેમ જ માનવજાતનું નિકંદન કાઢી રહેલા યુદ્ધના ભાવિ ઉપર અસર પાડવામાં અસરકારક ભાગ ભજાવી શકે એટલા માટે પણ, બ્રિટિશ અમલનો હિંદમાંથી અંત આવવો જોઈએ.”

કાઁગ્રેસના નેતાઓને અને ગાંધીજીને લાગવા માંડેલું કે અંગ્રેજો સત્તાપલ્ટા માટે તૈયાર નથી અને યુદ્ધ સમાપન થયા પછી પણ તેમ થવાની શક્યતા નથી. પહેલા વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી ભારતને મળેલા રોલેટ કાયદો, લશ્કરી કાયદો અને રક્તરંજિત જલિયાનવાલા બાગ. આ વાતોને પ્રજા ભૂલી નહોતી. ઓલ ઇન્ડિયા કાઁગ્રેસ કમિટીનું ઐતિહાસિક અધિવેશન ૭ અને ૮ ઓગસ્ટના મુંબઈમાં યોજવામાં આવેલું. વર્ધાના ઠરાવ અને આ અધિવેશન વચ્ચેનો સમય જનમત તૈયાર કરવા માટે ઘણો મહત્ત્વપૂર્ણ હતો. ઘણી સભાઓ અને ભાષણો ગોઠવાયા, જેમણે જનજાગૃતિ લાવવામાં અગત્યનો ફાળો આપ્યો. મુંબઈમાં ચોપાટી પર ૨ ઓગસ્ટના વલ્લભભાઈ પટેલની એક મોટી મીટિંગ થઈ. તેમાં ૫૦,૦૦૦ જેટલા લોકો ભેગા થયેલા. ગુજરાતીમાં બોલતા તેમણે કહ્યું કે આ ચળવળ ગાંધીજીએ ઉપાડેલી છેલ્લી ચળવળ છે. બ્રિટિશ સરકાર મલાયા, સિંગાપુર અને બર્માની બાબતમાં નિષ્ફળ ગઈ છે. તેમણે પ્રજાજનોને લડતમાં પૂરો સાથ આપવા માટે અસરકારક અપીલ કરી અને સ્કૂલ – કોલેજ – ફેક્ટરી અને વેપાર બંધ રાખવાનું સૂચવ્યું. મુંબઈના ગવર્નર સર આર.એલ. લમ્લેએ વાઈસરોય લોર્ડ લીનલીથગોને લખ્યું કે પટેલની મીટિંગ પછી વાતાવરણ પૂર્ણતઃ બદલાઈ ગયું, દૃષ્ટિકોણ જ ક્રાંતિકારી બની ગયો.

મુંબઈના ઓગસ્ટના અધિવેશને દેશવાસીઓ માટે નવી દિશા ઉઘાડી. દેશના વિભિન્ન ભાગોમાંથી નેતાઓ અને કાર્યકરો આ સુયોજિત અધિવેશનમાં આવેલા. વર્ધાની ૧૪ જુલાઈની મીટિંગમાં લેવાયેલા ઠરાવનું સમર્થન કરતાં અહીં નિર્ણય લેવાયો કે ભારત માટે અને સંયુક્ત રાષ્ટ્ર સંઘની સફળતા માટે પણ દેશમાં બ્રિટિશ શાસનનો અંત આવશ્યક છે. ભારતની સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર માટે ગાંધીજીના નેતૃત્વ હેઠળ વ્યાપક સ્તર પર અહિંસક સામૂહિક સંઘર્ષ કરવાનો નિર્ણય લેવાયો.

સભાપતિ મૌલાના અબ્દુલ કલામ આઝાદે કાર્યવાહી શરૂ કરેલી. જવાહરલાલ નેહરુએ ઠરાવ રજૂ કરેલો અને સરદાર પટેલે તેનું સમર્થન કરેલું. ૮ ઓગસ્ટના ભાષણમાં ગાંધીજીએ આવા શબ્દોમાં પોતાનું હૈયું ઠાલવ્યું, અને લોકોને કહ્યું કે “આ ઘડીથી સૌ કોઈ માને કે આપણે આઝાદ છીએ અને હવે તમે આ સામ્રાજ્યની એડી નીચે નહીં પણ આઝાદ છો એમ માનીને વર્તજો … ગુલામ જે ઘડીએ એમ માને કે હું સ્વાધીન છું તે જ ઘડીએ તેની જંજીર તૂટી જાણવી … હું તમને એક ટૂંકો મંત્ર આપું છું એને તમારે હૈયે કોતરી રાખજો અને તમારે શ્વાસે શ્વાસે એનો જાપ ચાલવા દેજો એ મંત્ર છે “કરેંગે યા મરેંગે’. હિંદને કાં તો આઝાદ કરીશ નહીં તો મરી ફીટશું. કાયમી ગુલામી જોવા જીવતા નહીં રહીએ.” ગાંધીજીએ ભારપૂર્વક કહ્યું કે કાયર અને ડરપોક માટે આઝાદી નથી.

૯ ઓગસ્ટના કાઁગ્રેસના અનેક નેતાઓને બ્રિટિશ સરકારે જેલમાં ધકેલ્યા. ગાંધીજીને આગાખાન મહેલ, પૂનામાં કારાવાસ અપાયો. હવે દેશની પ્રજાનો રોષ ભભૂકી ઉઠ્યો. દેશના વિભિન્ન ભાગોમાં ક્રાંતિની જ્વાળા પ્રગટી. સ્થાનિક સ્તર પર ચળવળના સ્વરૂપ વિશે લોકો નિર્ણય લેવા લાગ્યા. નવી નેતાગીરીનો ઉદય થયો. કાઁગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટી, ફોરવર્ડ બ્લોક અને અન્ય ક્રાંતિકારી જૂથો સક્રિય બન્યા. વિદ્યાર્થીઓએ મહત્ત્વ ની ભૂમિકા ભજવી. સ્રીઓએ સભા સરઘસો અને હડતાલોમાં તેમ જ જેલમાં ગયેલા સાથીઓના કુટુંબોની સારસંભાળમાં અગત્યનું યોગદાન આપ્યું.

બ્રિટિશ શાસનના બધા જ પ્રતીકો સામે જનતાનો આક્રોશ ફૂટી નિકળેલો. બ્રિટિશ સરકારના પ્રતીકો, જેમ કે સરકારી ઈમારતો, પોસ્ટ ઓફિસો, અને પોલિસ સ્ટેશનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું. ફેક્ટરીઓ અને શિક્ષણ સંસ્થાઓ સામે હડતાલો થઈ. રેલવેના પાટાઓ તથા સંદેશ વ્યવહારના સાધનોની તોડફોડ કરવામાં આવી. હિંસાનો માર્ગ અપનાવવામાં કોઈ ક્ષોભ ન રહ્યો. કેટલાય નેતાઓ, જેમ કે જયપ્રકાશ નારાયણ અને સુચેતા કૃપલાણી ભૂમિગત થયાં. ડો. રામમનોહર લોહિયા, આચાર્ય નરેન્દ્ર દેવ, અચ્યુત પટવર્ધન, શંકરરાવ દેવ અને યુસૂફ મેહરઅલી જેવા નેતાઓ સક્રિય રહ્યા. સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફૌજ અને બર્લિન રેડિયોથી પ્રસારિત થતી માહિતી જેવા પરિબળોએ પ્રજાનો ઉત્સાહ વધાર્યો. મુંબઈથી ચાલતા ભૂગર્ભ કાઁગ્રેસ રેડિયોના સમાચારોને શહેર તથા અન્ય ભાગોમાં લોકો ઉત્સાહથી સાંભળતા. ઉષાબહેન મહેતાને આ રેડિયોની ક્રામગીરીમાં ભાગ લેવા માટે ચાર વર્ષની જેલની સજા મળેલી.

થોડા સમય માટે તો લોકોએ સાતારા (મહારાષ્ટ્ર), મેદિનીપુર (બંગાલ) અને બલિયા(યુ.પી.)માં પોતાની સમાંતર સરકાર પણ સ્થાપી દીધેલી. સાતારાનો પત્રી (પ્રતિ) સરકારને પ્રયોગ થોડો લાંબો ચાલેલો. સમાજના વિભિન્ન વર્ગો ૧૯૪૨ના આંદોલનમાં સહજ રીતે જોડાઈ ગયેલા, અને તેઓ પોતાની રીતે પોતાના ક્ષેત્રમાં પ્રવૃત્તિઓ કરતા. ભૂગર્ભવાસી નેતાઓ યથાસંભવ માર્ગદર્શન અને મદદ કરતા. ભૂગર્ભ ચળવળનું કેન્દ્ર સેન્ટ્રલ ડિરેક્ટોરેટ મુંબઈમાં હતું. સરકારી બંધન હોવા છતાં ‘ક્વીટ ઇન્ડિયા’, ‘વંદે માતરમ્‌’, ‘રિવોલ્ટ’, ‘નાઈન્થ ઓગસ્ટ’ અને કાઁગ્રેસ પત્રિકાઓ છપાતી રહેતી. અમદાવાદમાં વિદ્યાર્થી સંગ્રામ સમિતિએ લડતના સમાચાર લોકોને પહોંચાડવા તથા કાર્યક્રમોની જાહેરાત કરવા વિદ્યાર્થી પત્રિકા ગુપ્ત રીતે પ્રગટ કરેલી. દરરોજની પાંચ હજાર જેટલી પત્રિકાઓ છાપીને વહેંચવામાં આવતી.

‘ભારત છોડો’ આંદોલન બ્રિટિશ સરકાર માટે પ્રચંડ આહ્વાન બનેલું વાઈસરોય લોર્ડ લીનલીથગોએ ઈગ્લંડના વડા પ્રધાન ચર્ચિલને ૩૧ ઓગસ્ટના લખ્યું કે “૧૮૫૭ના બળવા પછીના સૌથી ગંભીર વિદ્રોહનો હું સામનો કરી રહ્યો છું. અત્યાર સુધી મિલીટરી સલામતીને કારણે આપણે આ વાતના ગાંભીર્ય અને વ્યાપને દુનિયાથી છુપાવ્યા છે.”

આંદોલનકારીઓ જુદી-જુદી વિચારસરણીઓ ધરાવતા હતા. પણ ગાંધીજીનું નેતૃત્વ સર્વ સ્વીકૃત હતું. ફ્રાંસીસ જી. હચીન્સ નામના લેખકના મત મુજબ ગાંધીજી વિના દરેક જણે પોતાના સત્તાધીકાર મુજબ કામ કર્યું અને ગાંધીજીનું પોતાની ઈચ્છા અને દૃષ્ટિથી અર્થઘટન કર્યું. અનિશ્ચિત પત્રિકાઓમાં ગાંધીજીનું નામ મુક્તપણે લેવાતું હતું અને તેમની અસ્પષ્ટ સામાન્ય સૂચનાઓ ભાંગફોડની વિગતવાર યોજનાઓમાં મોખરે મુકાતી હતી. દેશના ભૂમિગત નેતાઓ અને કાર્યકર્તાઓ ગાંધીજીથી ફક્ત પ્રભાવિત જ નહોતા, તેઓ ગાંધીજી સાથે સ્નેહ અને આદરના ગાઢ બંધનમાં જોડાયેલા હતા.

૧૯૪૨ના આંદોલનના સહભાગીઓ સાથેની મુલાકાતો અને વાતચીતો દર્શાવે છે કે ૧૯૪૨ના સંઘર્ષે પ્રજાક્રાંતિનું સ્વરૂપ લીધેલું. આંદોલનમાં જોડાવા માટેના કારણ પૂછતાં ઉષાબહેન મહેતા જેવાં સ્વાતંત્ર્ય સેનાનીઓ ઘણી વાર તેમના જવાબમાં ઝવેરચંદ મેઘાણીની પંક્તિઓ કહેતાં –

“નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે. ખબર છે આટલી કે માતની હાકલ પડી છે”. અને જ્યારે માતની હાકલ સાંભળીને દેશપ્રેમીઓ સ્વાતંત્ર્ય યજ્ઞમાં પોતાની આહૂતિ આપે, ત્યારે લોક પ્રકોપના જ્વાળામુખીનો વિસ્ફોટ જ થાય.”

e.mail : ushathakkar@yahoo.com

Loading

શબ્દોની નગ્નતા ઢાંકવાનો સર્વોચ્ચ અદાલતનો પ્રયાસ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|28 August 2023

રાજ ગોસ્વામી

ભારતની સર્વોચ્ચ અદાલતે, ભાષામાંથી લૈંગિક રૂઢિપ્રયોગો (જેન્ડર સ્ટીરિયોટાઈપ્સ) દૂર કરવા એક હેન્ડબૂક જારી કરી છે. તેમાં સ્ત્રીઓ સંબંધી એવા શબ્દોની સૂચિ છે, જે આપણી આમ ભાષામાં સામાન્ય થઇ ગયા છે અને જે કાનૂનની ભાષામાં પણ જોવા મળે છે. મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચુડે આ હેન્ડબૂકનું વિમોચન કરતાં કહ્યું હતું કે, “મેં એવા આદેશ જોયા છે જેમાં મહિલાઓ માટે ચોર, રખાત જેવા શબ્દો વપરાયા છે. જ્યારે તેના કરતાં સારા અને સન્માનજનક શબ્દો ઉપલબ્ધ હતા.”

સર્વોચ્ચ અદાલતનાં સૂચન અનુસાર, અદાલતી ભાષામાં હવે કુંવારી માને બદલે ખાલી મા, ગૂડ વાઈફ અને બેડ વાઈફને બદલે ખાલી વાઈફ, રખાતને બદલે પુરુષ સાથે સંબંધ રાખનારી સ્ત્રી, પ્રોસ્ટિટ્યુટને બદલે સેક્સ વર્કર, હાઉસવાઈફને બદલે હોમમેકર લખવામાં આવશે.

શબ્દોનો આ ફેરફાર ભલે અદાલતો માટે હોય, સર્વોચ્ચ અદાલતનો આ નિર્ણય બાકી સમાજ માટે પ્રેરણાત્મક છે. આનાથી સ્ત્રીઓ માટે વપરતા એ શબ્દો પ્રત્યે જાગરૂકતા વધશે, જે તેમના માટે ઘરોમાં, કામ કરવાનાં સ્થળોએ, સડકો પર અને બજારોમાં બોલવામાં આવે છે.

ભાષા સામે એક કાયમી ફરિયાદ એ રહી છે કે તે સ્ત્રી-વિરોધી છે. કદાચ ભાષાની ઉત્પત્તિ થઇ ત્યારથી તેનો બહોળો ઉપયોગ પુરુષોના હાથમાં રહ્યો છે (પ્રાચીન સમયમાં પુસ્તકો લખવા વાળા કે ભણાવવા વાળા માત્ર પુરુષો જ હતા). એટલે તેમાં સ્ત્રીઓની ચોક્કસ ઓળખાણ માટે વિશેષ શબ્દો, વાક્યપ્રયોગો આવી ગયા છે, પણ પુરુષો માટે એવું ન થયું.

સભ્ય સમાજનો વિકાસ થયો તે પહેલાં માણસો કબીલામાં રહેતા હતા, અને જંગલના કાનૂન અનુસાર તેમની વચ્ચે સર્વોપરિતાનો સંઘર્ષ રહેતો હતો. તેમાં કબીલાની સભ્ય સંખ્યા પર હાર-જીત નક્કી થતી હતી. તે વખતે સ્ત્રીઓની ભૂમિકા પ્રજનન સંખ્યા વધારવાની હતી, જેથી કબીલાનું સંખ્યાબળ વધે. એવું ન થાય તે માટે કબીલાઓ આપસમાં સ્ત્રીઓને નિશાન બનાવતા. પરિણામે સ્ત્રીઓને ચાર દિવાલોની અંદર મહેફૂઝ રાખવાનું શરૂ થયું. તેનાથી સાર્વજનિક જીવન સંપૂર્ણપણે પુરુષોના હાથમાં આવી ગયું અને ઘરેલું જીવન સ્ત્રીઓના ભાગે.

માનવ ઈતિહાસમાં એ નોંધાયેલું છે કે શારીરિક ક્ષમતાનો વિકાસ પણ પુરુષોના પક્ષે રહ્યો અને તેમણે જ સંગઠિત સમાજની રચના કરી. તેમાં તેમણે ખાવા-પીવા, કામ કરવા અને સંગઠિત થવાની જે અલગ-અલગ વિદ્યાઓ વિકસાવી તેમાં ભાષા પણ હતી. ભાષાની ઉત્પત્તિનો ઇતિહાસ કહે છે કે એકબીજા સાથે સંદેશાઓ અને વિચારોની આપ-લે કરવાની જરૂરિયાતમાંથી ભાષાનો જન્મ થયો હતો, અને બહુધા સામાજિક બાબતો પુરુષોના વર્ચસ્વ હેઠળ હતી એટલે ભાષા પણ પુરુષ-કેન્દ્રિત રહી. સામાજિક વ્યવસ્થામાં સ્ત્રીનું સ્થાન ઉતરતું હતું એટલે ભાષામાં પણ એ સમાનતા જોવા મળી. એ કારણથી જ એક દેખીતો આજ સુધી લિંગ-ભેદ પ્રવર્તતો રહ્યો છે (લિંગ શબ્દને જ લો. આમ તો એ જેન્ડર-ન્યુટ્રલ છે, પણ તો પછી યોની-ભેદ શબ્દ કેમ નથી?)

જેમ કે ગાળો. દુનિયાની તમામ ભાષાઓમાં ગાળો છે, અને મોટાભાગની ગાળો સ્ત્રી-લક્ષી છે. સ્ત્રી કબીલાની ઈજ્જત છે અને તેને બીજાઓથી બચાવી રાખવાની છે એવી સદીઓ જૂની પુરુષસત્તાક માનસિકતાના કારણે તેનું જીવન અને ઈજ્જત-આબરૂ બધું જ સ્ત્રીની યોની સાથે જોડાઈ ગયું હતું, પરિણામે ભાષામાં એવા શબ્દો પણ વિકસી ગયા, જે સ્ત્રીને ઉતરતી માનવાની અથવા તેનું દમન કરવાની ભાવનાથી સંબંધિત છે.

ભારતમાં, આદિવાસી લેખક તરીકે પ્રખ્યાત થયેલા રાજસ્થાનના પૂર્વ ડી.આઈ.જી. હરિરામ મીણાનો એવો દાવો છે કે કોઈપણ આદિવાસી ભાષામાં સ્ત્રી વિરોધી ગાળો માટે કોઈ શબ્દ મળતા નથી. એવી જ રીતે ન તો બળાત્કાર અથવા દુષ્કર્મ માટે કોઈ શબ્દ છે. તેમનો આ દાવો જો સાચો હોય, તો આદિવાસી સમાજમાં સ્ત્રીઓ પ્રત્યે સન્માન અને સમાનતાનો ભાવ હોવો જોઈએ. તો શું માણસ જેમ જેમ સભ્ય થતો ગયો, તેમ તેમ તેની ભાષામાં સ્ત્રીઓ માટે અપશબ્દો વધતા ગયા છે?

ભાષામાં લિંગ(જેન્ડર)ને નર અને નારીના દ્વિસંગ(બાઈનરી)માં જ જોવામાં આવ્યું છે, જેના કારણે કોઈ ત્રીજા લિંગને ઓળખ મળી નથી. એ તો છેક હમણાં થોડા દાયકાઓથી જ ત્રીજા લિંગ માટે વૈકલ્પિક શબ્દો પ્રચલિત થયા છે. હજુ પણ સરકારી દસ્તાવેજોમાં તેમની ગણના ‘અન્ય’ લિંગમાં થાય છે. ભાષા પુરુષ-કેન્દ્રિત હોવાથી સ્ત્રીઓ માટેના ઘણા શબ્દો પુરુષો માટેના શબ્દોમાંથી બનાવાયા હતા. સમાજમાં લગભગ દરેક સ્તર પર પુરુષ સર્વનામનો પ્રયોગ થાય છે.

જેમ કે શિક્ષક, લેખક, અભિનેતા, મંત્રી, પ્રધાન મંત્રી, રાષ્ટ્રપતિ, સરપંચ, મુખી, ચેરમેન, અધ્યક્ષ, નેતા વગેરે શબ્દ પ્રયોગમાં બધાનું લિંગ પુરુષ છે. તેની સામે ચેરપર્સન, અધ્યક્ષા, મહોદયા, એક્ટ્રેસ, લેખિકા, શિક્ષિકા જેવા શબ્દો ચલણમાં આવ્યા છે પણ વિચારવા જેવું એ છે કે ભાષામાં એવા જેન્ડર-ન્યુટ્રલ શબ્દો કેમ નથી આવ્યા જેમાં લિંગ ભેદ ન હોય અને જેમાં ‘તે’ અને ‘તેણી’નો ગૂંચવાડો જ ન હોય? યુરોપના અમુક દેશોમાં ઘણા સમયથી જેન્ડર-ન્યુટ્રલ શબ્દો લાવવાની ચર્ચા થઇ રહી છે.

યુરોપમાં નારીવાદનો પરચમ લહેરાવનાર ફ્રેંચ લેખક અને વિચારક સિમોન દ બુવાએ તેમના પ્રસિદ્ધ પુસ્તક ‘ધ સેકન્ડ સેક્સ’માં લખ્યું હતું કે, “સ્ત્રી જન્મે સ્ત્રી નથી હોતી, તેને સ્ત્રી બનાવવામાં આવે છે.” બુવાનો તર્ક એવો હતો કે સ્ત્રીત્વ બાયોલોજી કે સાઈકોલોજીમાંથી નથી આવતું પણ સામાજિક ચલણો અને રિવાજોમાંથી આવે છે.

ઓક્સફોર્ડ રિસર્ચ ઇન ઇન્‌સાઈક્લોપીડિયા ઓફ કોમ્યુનિકેશનમાં કાર્યરત મિશેલ મેનેગાતિ અને મોનિકા રુબિન અનુસાર, “ભાષા સમાજમાં લૈંગિક અસમાનતા વધારવાનું સશક્ત માધ્યમ છે. ભાષાના કારણે જે સમાજમાં લૈંગિક અસામનતા પોષાય છે અને પછી વધતી જાય છે. જે દેશોમાં ભાષા લિંગ સૂચક નથી અથવા ઓછી છે, ત્યાં લૈંગિક સમાનતા અધિક છે.”

ભારતમાં મોટાભાગની ભાષાઓ સ્પષ્ટ રીતે લિંગ સૂચક છે. જેમ કે, ‘આઈ એમ ગોઇંગ’નું હિન્દી ‘મૈં જાતી હું’ અને ‘મૈં જાતા હું’ થાય છે (ગુજરાતીમાં ‘હું જાઉં છું’ જેન્ડર-ન્યુટ્રલ છે). એવી રીતે ‘હાવ આર યુ’નું હિન્દીમાં, સ્ત્રી માટે, ‘કૈસી હો’ અને પુરુષ માટે ‘કૈસે હો’ થાય છે. ગુજરાતીમાં દવા ‘કેવી’ છે, પણ ડોક્ટર ‘કેવો’ અથવા ‘કેવા’ છે. હિન્દીમાં સ્ત્રી ડોક્ટર માટે ‘ડોકટરની’ એવો નવો શબ્દ આવ્યો છે. ગુજરાતીમાં ‘ઘર’ નાન્યતર ( ઘર કેવું) છે, પણ બંગલો પુરુષલિંગ છે (બંગલો કેવો). ઝૂંપડી સ્ત્રીલિંગ છે, પણ છાપરું નાન્યતર છે. હિન્દીમાં શાદી સ્ત્રીલિંગ છે, ગુજરાતીમાં લગ્ન નાન્યતર છે. આશ્ચર્યજનક રીતે, હિન્દીમાં ન્યુટ્રલ જેન્ડર નથી. હિન્દીમાં પુસ્તક સ્ત્રીલિંગ છે : કિતાબ કૈસી હૈ? (ગુજરાતીમાં પુસ્તક ‘કેવું’ છે).

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામે લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 27 ઑગસ્ટ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...876877878879...890900910...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved