Opinion Magazine
Number of visits: 9554891
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નબુમા, ગરબો સ્થાપવા આવોને !

રમજાન હસણિયા|Opinion - Opinion|22 September 2025

રમજાન હસણિયા

ગામની સૌથી છેલ્લી શેરી ને એ શેરીમાં સૌથી છેલ્લું ઘર અમારું ! પ્રેમજીબાપાએ ભરચોમાસે માને આપેલ એ આશરો સત્તર વર્ષ સુધી અકબંધ રહ્યો. એ શેરીમાં વાણિયાના ઘર વધારે, પણ સાથોસાથ બે ઘર દરબારના એકાદ ઘર પટેલનું અને એક અમારું પણ ખરું. એ નાનકડી શેરી અમારી આનંદભૂમિ. 

કેટકેટલાં અભાવો વચ્ચે ખૂબ મજા કરી, એની વાત તો ક્યારેક નિરાંતે પણ અત્યારે તો હૈયે સાંભરી આવ્યા નબુમા. અમારી પડખે રહેતાં એક પટલાણી. બહુ ઓછું બોલે, એમને સંતાન નહિ, ચહેરા પર ઝાઝા ભાવ પણ ન દેખાય એટલું તટસ્થ એમનું મોં. તેઓ કાંઈ ઉત્સાહી ને એવા નહિ પણ એક વરસ એમણે નવરાત્રિમાં ગરબાની સ્થાપના કરેલી. પાંચ કે સાત વર્ષની માનતા લીધેલી.  સ્થાપના કરેલી એટલે માત્ર ઘરની એક દીવાલે પાટલો માંડીને ગરબામાં અડધા સુધી ઘઉં ભરી દીવડો પેટાવી એમાં મુક્યો એટલું જ. આખી શેરીના છોકરાઓને એમણે એ ક્ષણે ઘરમાં તેડાવેલાં. એમાં સૌથી આગળ તો હું જ હોઉં. મને આરતી આવડે, સ્તુતિ આવડે ને ગરબા પણ આવડે. ક્યાંથી શીખ્યો એનો કોઈ જવાબ નથી. ઘરમાં તો લાઈટ પણ નહિ, રેડિયો પણ નહિ ને છતાં બધું કડકડાટ મોઢે. આરતી નબુમા ઉતારે પણ ગાયક તો અમારું બાળવૃંદ. એમાં થોડાક ‘ઓમ જયોમ જયોમ મા જગદંબે’ વાળા જ. એક એક કડીએ તાન ચડે ને ‘ત્રમ્બાવટી નગરી’વાળી પંક્તિઓ, ‘સવંત સોળે પ્રગટ્યા ગંગાને તીરે, મા રેવાને તીરે ઓમ … ‘આદિ પંક્તિઓમાં તો રુંવાળા ઊભા થઈ જાય. તાળીઓના આવર્તનમાં એ ઉત્સાહ અભિવ્યક્ત થાય. એ પછી વિશ્વંભરી સ્તુતિ ગાઈએ. ત્યારે વસંતતિલકા છંદની કાંઈ ખબર નહિ પણ ભાવ બહુ આવે. ‘ખોટો ખરો ભગવતી પણ હું તમારો’ કહેતા અમે માતાજી સાથે પોતાનો અનુબંધ બાંધી લઈએ. કોઈને વાંસો તો નથી આવી ગયો ને એ પણ વચ્ચે વચ્ચે આંખ ખોલી જોઈ લઈએ. ઘરેથી કહી રાખ્યું હોય કે કોઈને વાંસો આવે તો વાળ ખોલી નાખવા. માએ કરેલી ભોઈમાની કેવી કેવી અદ્દભુત વાતો અત્યારે યાદ આવે છે. ખેર બાળકોને તો સૌથી વધુ રસ પ્રસાદમાં હોય. થાળ પણ અમે જ ગાઈએ ને પ્રસાદ પણ અમે જ વહેંચીએ. કોઈ ટેપ કે કેસેટ તો હોય નહીં , ગરબા અમારે જ ગાવાના. કેટલા ગરબા યાદ હતા એની યાદી બહુ લાંબી થાય. અમે બે ત્રણ જણ ગાઈએ ને બાકીના ઝીલાવે. ડોસીમાઓ સાથે બેઠા ગરબા ગાઈએ ને પછી વગર ઢોલે કેવળ તાળીઓના તાલે ગરબા પણ રમીએ. ‘અંબા અભય પદદાયિની રે ..’ મારો પ્રિયમાં પ્રિય ગરબો. બાલમંદિરના એક બહેન બહુ મધુર કંઠે ગરબા ગાતાં. એમની પાસેથી એ ગરબો સાંભળી સાંભળીને હું શીખેલો. એમાં ‘અંબા હિંડોળેથી ઉતર્યા રે, સિંહે થયા અસવાર ભીડભંજની, ‘હેમ હિંડોળે હિંચકે રે,’ ‘ભક્ત કરે છે પોકાર’, આ બધું આંખ સામે દેખાય. માતાજી જે રીતે ભક્તને ઉગારે એ સાંભળી, જોઈ આંખ ભીંની થાય. પીરાનપીરની વાર્તામાં પણ તેઓ વહાણ ઉગારી કિનારે લાવતા. માતાજી ને પીરાનપીર કોઈ જુદા તત્ત્વો છે એવું ક્યારે ય યાદે નહોતું આવતું, આજે ય નથી આવતું. 

‘રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે’ એ ગરબો એટલે ગમતો કેમ કે એમાં આવતા દેવો સાથે એમની પત્નીઓનાંનામ પણ આવતાં. ‘તું કાળીને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા’ ગરબામાં દરેક યુગમાં કયા કયા નામે માતાજી ઓળખાયા એ યાદ રાખવાની મજા પડતી. સુધામાસી, હેમલતા મા, કુસુમકાકી, લાડુબા,આજુબાજુની શેરીમાંથી આવતાં બહેનો ભાવથી ગરબા ગાય. કોઈને આવડે તો ગવડાવે પણ ખરા. ક્યારેક ગામની ગરબી જોવા પણ જઈએ. નુમાકાકા એટલે કે નૂરમામદ શેરમામદ નવરાત્રિમાં નરસિંહ મહેતાની હૂંડી ગાય, એ સાંભળવાની ને વચ્ચે વચ્ચે બેસી જઈ ફરી ઊભા થઈ ગરબા લેતા ભાઈઓને જોવાની બહુ મજા પડતી. ગામની એક ગરબી ભાઈઓની દેરાસરના ચોકમાં થતી ને અંબેમાના મંદિરે બહેનોની ગરબી જુદી થતી. દરબાર સમાજના બહેનો ત્યાં વિશેષ હોય. ઢોલના તાલે ગામના જ ભાવિકો રમતાં રમતાં ગરબા ગાય ને પાછળ સૌ ઝીલે. ભાવસભર રીતે આખી પ્રક્રિયા ચાલે. ગરબે ઘુમતાં બધા ભેદ ભૂંસાઈ જાય ! 

એક બાળકની આંખોએ જોયેલી ને હૈયે કોતરાઈ ગયેલી આ નવરાત્રિ હવે ક્યાં શોધું ? નબુમાને ક્યાં જઈને કહું કે, ‘નબુમા  ગરબો સ્થાપવા આવોને’ !

સૌજન્ય : રમજાનભાઈ હસણિયાની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 September 2025

રવીન્દ્ર પારેખ

શિક્ષણને મામલે ઘણી બધી રીતે હવે ખોટાઉદેપુર થઈ ગયું છે. અગાઉ પણ એક પ્રાથમિક શાળામાં કલેકટરે સામાન્ય જ્ઞાનની તપાસ કરેલી ને તેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું ઘોર અજ્ઞાન પ્રગટ થતાં તેની જાણકારી શિક્ષણ વિભાગ સુધી પહોંચેલી. હવે ફરી એક વખત છોટાઉદેપુરને એસ.એફ. હાઈસ્કૂલના નવ શિક્ષકોએ ચર્ચામાં લાવી મૂક્યું છે.

સરકારની ગ્રાન્ટ પર નભતી રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ૨૭,૦૦૦ શિક્ષકોની ઘટ છે. તેમાંથી ૭,૫૦૦ જગ્યા ભરવા ટેટ-૧ અને ટેટ-૨ પાસની શિક્ષણ સહાયક તરીકે ભરતી કરીને તેમને જુદી જુદી શાળાઓમાં નિમણૂક આપવામાં આવી છે. અનેક તકલીફો વચ્ચે નિમણૂક પામેલા શિક્ષણ સહાયકોને કાયમી જગ્યાઓ પર પૂરા પગારે તો રખાતા નથી, પણ એવા શિક્ષકોની નોકરી હજી તો માંડ શરૂ થઈ છે, ત્યાં જે અનુભવો તેમને થઈ રહ્યા છે, તેનો એક નમૂનો છોટાઉદેપુરની એસ.એફ. હાઈસ્કૂલે પૂરો પાડ્યો છે. નગરપાલિકા સંચાલિત એસ.એફ. હાઈસ્કૂલમાં એકાદ મહિના પર જ નોકરીએ હાજર થયેલા નવ શિક્ષણ સહાયકોએ પોલીસ સ્ટેશનથી લઈ રાજ્ય પોલીસ વડા-DGP સુધી લાંચ માંગ્યાની લેખિત અરજી પુરાવાઓ સાથે કરી છે. આ શિક્ષકોએ ગુરુવારે ગાંધીનગરમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં ખૂલીને પોતાની વાત મૂકી હતી.  

ફરિયાદ થતાં નગરપાલિકાના સત્તાધીશો સામે ૫ સભ્યોની તપાસ સમિતિ પણ મૂકવામાં આવી છે. લાંચ માંગવાના આક્ષેપો થતાં આચાર્યશ્રી માંદગીની રજા પર ઊતરી ગયા છે. જો કે, નગરપાલિકાના ઉપપ્રમુખે તમામ આક્ષેપોને ખોટા ગણાવ્યા છે ને એમને એ આપનું વિપક્ષી કાવતરું લાગ્યું છે. તપાસ સમિતિ સત્ય બહાર લાવે તો સાચુંખોટું ખબર પડે અથવા તો કંઇ જ ખબર ન પડે એમ બને, પણ જે વિગતો છે એને નિષ્પક્ષ રીતે જોઈએ તો સત્ય બહાર આવે કે ન આવે, સમજાય એવું તો છે.

DEOને મળેલી અરજી મુજબ શિક્ષકો પાસેથી લાંચ રૂપે પૈસાની માંગણી કરવામાં આવી હતી ને જો એ પૈસા ન આપે તો એમના પર ધાકધમકી કરીને કાર્યવાહી કરવાનું પણ જણાવવામાં આવ્યું હતું. નગરપાલિકાના ઉપપ્રમુખના કહેવા મુજબ જે આક્ષેપો કરવામાં આવ્યા છે, તે આમ આદમી પાર્ટીના નેતાના છે. પચીસ વર્ષ પછી પ્રથમ વાર ભા.જ.પ.નું બોર્ડ બન્યું છે, તેને બદનામ કરવા આવા આક્ષેપો કરવામાં આવ્યા છે એવું નગરપાલિકાનું માનવું છે.

૯ શિક્ષકોના કહેવા મુજબ ૧૫/૦૯/૨૦૨૫ને રોજ આચાર્યનો ફોન આવે છે, શાળા સમય પછી નગરપાલિકાના હોદ્દેદારો સાથે મીટિંગ છે – એની જાણ કરતો ! શિક્ષકો નગરપાલિકા પહોંચ્યા, તો પ્રમુખની ચેમ્બર પાસે તેમનો ફોન લઈ લેવામાં આવ્યો. મીટિંગ પહેલાં પણ આચાર્યે એક શિક્ષકને બોલાવીને કહ્યું હતું કે નગરપાલિકાને તમારી પાસેથી ફૂલ નહીં તો ફૂલની પાંખડીની આશા છે. એ મીટિંગમાં પણ આચાર્યે શિક્ષકોને ફૂલ નહીં ને ફૂલની પાંખડી આપવાની વાત દોહરાવી. જો પાંખડી નહીં અપાય તો નોકરી ગુમાવવાની તૈયારી રાખવાની ચીમકી પણ આપવામાં આવી. અગાઉ આ રીતે એક શિક્ષકે લાંચ આપવાની ના પાડી તો તેનું નામ દઈને એને છોકરીની છેડતી કે એટ્રોસિટી વગેરેમાં કેવી કેવી રીતે ફસાવી શકીશું ને એને એવો લાલ શેરો મારીશું કે બીજે નોકરી કરવાને લાયક નહીં રહે, એવો ધમકીભર્યો ચિતાર આ શિક્ષકોને આપવામાં આવ્યો.  

આ પાંખડી હજાર બે હજારની નહીં, પણ લાખોમાં આપવાની વાત હતી. તે એટલા પરથી ખબર પડે છે કે અગાઉ શિક્ષકો પાસેથી આ રીતે ૪૦થી ૪૫ લાખ લેવામાં આવ્યા હોવાની કબૂલાત પણ શાળાએ કરી છે. નિમણૂકો થઈ ચૂકી હતી, એટલે નોકરી જોઈતી હોય તો લાંચ આપો, એમ તો કહેવાય એમ નથી, પણ નોકરી ટકાવવી હોય તો લાખો રૂપિયા આપવાનું કહેવામાં આવ્યું. આ રૂપિયા કેમ આપવાના હતા, તો કે અંગ્રેજી માધ્યમની શાળા બનાવવી છે ! અંગ્રેજી માધ્યમની સ્કૂલ ચાલુ કરવી હોય તો સરકાર એટલી ગરીબ નથી કે ગ્રાન્ટ ન આપી શકે, સરકાર એની ગ્રાન્ટ આપે છે ને આપે જ, પણ આ ભિક્ષુકો ગરીબ શિક્ષકો પાસેથી લાખોની ભીખ માંગે છે ! આ એવું તંત્ર છે જે શિક્ષકો પાસેથી ઉઘરાવેલી લાંચમાંથી શાળા બનાવવા માંગે છે. ધારો કે આ શિક્ષકો લોન લઈને લાંચ આપે તો પણ, સ્કૂલ બને જ એની કોઈ ગેરંટી નથી. એમનો હેતુ જ જુદો છે, કારણ એમને દાન નથી જોઈતું, લાંચ જોઈએ છે ને શિક્ષકો લાંચ ન આપે તો ખોટા કેસો કરાવીને તેમને સસ્પેન્ડ કરાવવાની ધમકી અપાઈ છે. એક સાહેબે તો એવી ધમકી પણ આપી કે આદિવાસી છોકરીઓ દ્વારા ખોટા કેસ ઊભા કરી ફસાવી દેવાશે.

શિક્ષણ સહાયક તરીકે માંડ નોકરી મેળવી શકેલા આ શિક્ષકો માલેતુજારોના દીકરાઓ નથી. તેમની આર્થિક સ્થિતિ એવી નથી કે આટલી મોટી ભીખ સ્કૂલને આપી શકે. બીજી તરફ માંડ મળેલી નોકરીને પડતી મૂકે એવી લક્ઝરી પણ એમને પોષાય એમ નથી. ત્રણસો-ચારસો કિલોમીટર દૂરથી તેઓ નોકરી કરવા આવ્યા છે ને તેમને માથે ઘરની જવાબદારીઓ છે. આવી હાલતમાં જેમ તેમ નોકરીમાં ગોઠવાયા હોય ને તેમને લાંચ આપવા ફરજ પાડવામાં આવે તો માથું ઊંચક્યા સિવાય બીજો રસ્તો નથી ને તે જ તેમણે કર્યું છે.

બીજી તરફ નગરપાલિકામાં ભા.જ.પ.નું બોર્ડ પહેલી વાર આવ્યું છે, એટલે જાત બચાવવા સામેથી આ શિક્ષકો સામે પડ્યું છે. પાલિકા ઉપપ્રમુખે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં આ શિક્ષકો વિરુદ્ધ અરજી કરી છે. અરજીમાં જણાવાયું છે કે શિક્ષકોએ પૈસા માંગવાની અને ધમકી આપવાની જે ફરિયાદ કરી છે તે ખોટી છે. ઉપપ્રમુખે એ વાતનો પણ છેદ ઉડાડ્યો કે શિક્ષકો સાથે તેમની કે અન્યની કોઈ મીટિંગ થઈ છે. એવી કોઈ મીટિંગ થઈ નથી, એટલું જ નહીં, આખો કારસો આમ આદમી પાર્ટી સાથે મળીને ભા.જ.પ. શાસિત પાલિકાની છાપ ખરડવા ગોઠવાયો છે. ઉપપ્રમુખના કહેવા મુજબ ખોટા આક્ષેપો કરીને શિક્ષકોએ તેમની પ્રતિષ્ઠા અને આબરૂને દાવપર લગાડી છે. આ શિક્ષકોએ જુદાં જુદાં કારણોસર રજા મૂકીને ગાંધીનગરમાં મીટિંગ કરી છે તેની પણ તપાસ થવી જોઈએ એવું કહેવાયું છે.

સામસામે ફરિયાદોમાં સાચું કોણ તે તો સમય જતાં ખબર પડશે, પણ શિક્ષકોની વાતમાં વજૂદ જણાય છે. માની લઈએ કે આપ પાર્ટી સાથે મળીને ભા.જ.પ.ની પાલિકાને બદનામ કરવા આયોજન થયું હોય, પણ દૂરથી આવેલા આ શિક્ષકોને નવી નવી નોકરી બહુ મુશ્કેલીઓ વેઠ્યા પછી મળી છે. એ લોકો એટલા અક્કલ વગરના ન હોય કે આપ સાથે મળીને ભા.જ.પ.ની છાપ ખરડવા માંડ મળેલી નોકરીને દાવ પર લગાવે. ભા.જ.પ.ની ઈમેજ ખરડવાથી એમને લાભ શો કે તેઓ એવું કરે? એને ખબર હોય જ કે આવા વેપલામાં નોકરી જાય ને એમને બીજી નોકરી સામે કરી રાખી નથી કે આ છૂટે તો તેની બહુ પડેલી ન હોય.

વધારે સાચું તો એ લાગે છે કે આચાર્ય અને નગરપાલિકાએ શિક્ષકો પાસેથી લાંચ માંગી હોય ને ધમકાવ્યા પણ હોય. શરમ જેવું તો હવે ક્યાં ય બચ્યું નથી એટલે પિસ્તાળીસ હજારનો પગાર ન હોય, તેની પાસેથી પિસ્તાળીસ લાખની લાંચ માંગ્યાનો સંકોચ ન થાય ! સૌથી દુ:ખદ એ છે કે સૌથી વધુ વિવેક અને શરમ જેમાં હોવાં જોઈએ તે શિક્ષણક્ષેત્ર આટલું ઉઘાડું અને નિર્લજ્જ થયું છે. એટલું સારું છે કે નોકરીનો ભય રાખ્યા વગર કે સંચાલકોની માંગને વશ થયા વગર આ નવ શિક્ષકો આવી ઉઘાડી લૂંટની સામે પડ્યા છે.

એ સ્કૂલનું નસીબ ફૂટેલું હશે તો જ તે આવા શિક્ષકો વગર રહેશે. આવા શિક્ષકો વગર બાળકોનું ભવિષ્ય અંધકારમય જ હશે. આ સંચાલકો કેવા વિદ્યાર્થીઓ પેદા કરવા માંગે છે? એમણે એમના જેવા જ ભ્રષ્ટ અને શોષણખોર વિદ્યાર્થીઓ પેદા ન કરવા હોય તો એ આવા સ્વમાની શિક્ષકોને એની ગરજે રાખશે. રાખવા જોઈએ. આજે સૌથી વધુ દાવ પર લાગ્યું હોય તો માણસનું સ્વમાન ! કોઈને સ્વમાન બચ્યું જ ન હોય એમ કરોડરજ્જુ વગરનાં માણસો ચોમેર જણાય છે. એ જીવે છે, કારણ એમના શ્વાસ ચાલે છે, બાકી એમની મરણતિથિ તો ક્યારની વીતી ચૂકેલી છે ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 સપ્ટેમ્બર 2025

Loading

લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|22 September 2025

હેમન્તકુમાર શાહ

અમદાવાદમાં ઓઢવ વિસ્તારમાં ગઈ કાલે રવિવારે યોજાયેલી એક માલધારી ચિંતન શિબિરમાં ભાષણ આપતાં જણાવેલા મુખ્ય મુદ્દા :

(૧) ૧૯૪૫ પછી દુનિયામાં લગભગ ૧૨૦ દેશો આઝાદ થયા. એમાંથી એક પણ દેશમાં  આઝાદ થતાંની સાથે લોકશાહી આવી નહોતી. માત્ર  ભારતમાં જ લોકશાહી આવી તેનું કારણ કાઁગ્રેસ છે. કાઁગ્રેસ કે જવાહરલાલ નેહરુને તાનાશાહી લાવતાં કોઈ રોકી શકે તેમ નહોતું. છતાં લોકશાહી આવી કારણ કે ગાંધી, નેહરુ, સરદાર અને આંબેડકર લોકશાહીમાં માનતા હતા. ભારતની લોકશાહી એ કાઁગ્રેસની દેણ છે, એને ટકાવવા માટે લડત આપવી એ આપણા સૌની ફરજ છે. 

(૨) બજાર એકદમ નિર્દય છે. જેની પાસે પૈસા હોય, બજાર એનો જ ભાવ પૂછે છે. ખિસ્સામાં પૈસા ન હોય તો બજાર તમને મારી નાખશે. તો શું જે “અમે ભારતના લોકો”એ આ ભારત બનાવ્યું છે એમાં ગરીબોએ મરી જવાનું? કે પછી સરકારે એમની કાળજી રાખવાની? સરકાર એમની દરકાર રાખે એને કોઈ ભેટ ન કહેવાય, એ તો સરકારની ફરજ છે. 

(૩) સરકારની આ ફરજ બંધારણમાં પ્રકરણ ચારમાં લખવામાં આવી છે. ગરીબો, વંચિતો, મહિલાઓ, વિકલાંગો, વૃદ્ધો, બાળકોની દરકાર સરકારે લેવાની છે એમ એ પ્રકરણમાં લખવામાં આવ્યું છે. 

(૪) એમાં એમ પણ લખવામાં આવ્યું છે કે બહુ થોડા લોકોના ખિસ્સામાં બહુ બધા પૈસા ભેગા થઈ જાય નહીં. માલેતુજાર લોકોનું ધનીપણું ઓછું કરવું એ સરકારનું કામ છે.

(૫) આપણા જે અધિકારો બંધારણમાં લખેલા છે તે સૌથી મહત્ત્વના છે. લોકમાન્ય તિલકના એ શબ્દો હંમેશાં યાદ રાખો કે “સ્વતંત્રતા એ મારો જન્મસિદ્ધ અધિકાર છે.” આ સ્વતંત્રતા બંધારણ આપતું નથી, આપણે જાતે ભારત નામનું રાજ્ય બનાવીને એના બંધારણમાં આપણી સ્વતંત્રતા લખી છે. આપણે મનુષ્યો છીએ માટે આપણને સ્વતંત્રતા છે જ, એ સરકારો છીનવી ન લે તેની આપણે નિરંતર કાળજી રાખીએ. 

(૬) સરકારને સવાલ પૂછવો અને જવાબ મેળવવો એ આપણો હક છે. લશ્કર પણ સરકારનો ભાગ છે. એટલે એને પણ સવાલ પૂછી શકાય. લશ્કર કંઈ પવિત્ર ગાય નથી. સરકારના ૫૦.૬૫ લાખ કરોડ રૂપિયાના બજેટમાં લશ્કરનું બજેટ ૬.૮૧ લાખ કરોડ રૂપિયાનું છે. સૌથી વધુ બજેટ એનું જ છે. એ મારા, તમારા, આપણા સૌના પૈસા છે. એટલે ઉરી, પુલવામા અને પહેલગામ જેવી ઘટનાઓ વિશે અને તેનો પ્રતિકાર કેવી રીતે કેટલો થયો એને વિશે સવાલો પૂછવાનો આપણને સૌને અધિકાર છે. 

(૭) ૧૯૯૯-૨૦૦૦માં ગુજરાતમાં ૨૬ લાખ પરિવારો ગરીબ હતા. અત્યારે સરકાર ૭૦ લાખ પરિવારોને દર મહિને  પાંચ કિલો મફત અનાજ આપે છે. ગરીબી કેટલી બધી વધી! શું આને વિકાસ કહેવાય? 

(૮) સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, ન્યાય અને વ્યક્તિનું ગૌરવ લોકશાહીમાં સ્થાપવા માટે આપણે ભારત બનાવ્યું છે કે જેનો આજે જે નકશો છે તે તેના પાંચ હજાર વર્ષના ઇતિહાસમાં કદી નહોતો. આ ભારત કંઈ આપણે ગુલાબજાંબુ ખાવા નથી બનાવ્યું!

તા.૨૨-૦૯-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...86878889...100110120...

Search by

Opinion

  • ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 
  • આસ્થા અને ભ્રમ વચ્ચે જન્મેલી સચ્ચાઈ; પંથની  ગાથાનો એક છૂપો પક્ષ
  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved