Opinion Magazine
Number of visits: 9456261
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હે ભક્તો! બુદ્ધિનાશે વિનાશ છે!

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|9 July 2025

હેમન્તકુમાર શાહ

શ્રીમદ્ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ, અર્જુન પ્રશ્ન પૂછે છે એટલે, સ્થિતપ્રજ્ઞ મનુષ્યનાં લક્ષણો અઢાર શ્લોકોમાં ગણાવે છે. મહાત્મા ગાંધીની રોજની સાંજની પ્રાર્થનામાં આ શ્લોકોનું પણ સ્થાન હતું.

કિશોરલાલ મશરૂવાળાએ ગીતાનો જે અદ્ભુત સમશ્લોકી અનુવાદ કર્યો છે તેમાં આ અઢાર શ્લોકોમાં લગભગ વચ્ચે આવતા બે શ્લોક આ પ્રમાણે છે :

“વિષયોમાં રહે ધ્યાન, તેમાં આસક્તિ ઊપજે, 

જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ નીપજે.

ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હરે,

સ્મૃતિલોપે બુદ્ધિનાશ, બુદ્ધિનાશે વિનાશ છે.”

ગીતા પણ કહે છે કે છેવટે બુદ્ધિનો નાશ થાય ત્યારે જ આખરી વિનાશ થાય છે. આજકાલ રાજકીય ભક્તો સ્વયંનો બુદ્ધિનાશ કરી રહ્યા છે, તેઓ નરી આંખે દેશની જે વાસ્તવિકતા દેખાય છે તે જોવા પણ તૈયાર હોતા નથી. તેમની સ્મૃતિ બદલવામાં આવી રહી છે અને વિકૃત કરવામાં આવી રહી છે એટલે એમણે એમની ભક્તિમાં તર્કશક્તિ અને બુદ્ધિને કોરાણે મૂકી દીધાં છે. આ રાજકીય ભક્તોએ તેમની બુદ્ધિ તેમના એકમાત્ર નેતાને સોંપી દીધી છે કે જે વિષયોમાં આસક્ત છે, અને ભક્તોએ પોતે તેનું શરણું લઈ લીધું છે. 

પરિણામે તેઓ તેમનો બુદ્ધિનાશ કરી માત્ર તેમનો પોતાનો વિનાશ નોતરે છે એવું નથી, એ તો થાય પણ ખરો કે ન પણ થાય, તેઓ દેશનો પણ વિનાશ, ધીમી ગતિએ તો ધીમી ગતિએ, નોતરી રહ્યા છે. તેનું કારણ એ છે કે આ બુદ્ધિનાશ વ્યક્તિગત રહ્યો નથી પણ સામૂહિક સ્તરે પહોંચી ગયો છે.  

ગુજરાતની શાળાઓમાં ગીતાનો અભ્યાસ દાખલ કરવામાં આવ્યો છે. શું એમાં આ બુદ્ધિનાશ એટલે શું અને એ વિનાશને કેવી રીતે આમંત્રે તે ભણાવાશે?

ગણ્યા ગણ્યા નહીં અને વીણ્યા વીણ્યા નહીં એટલા બધા ધર્મોના કથાકારો કે પછી ભગવાધારી કે સંસારી મોટિવેશનલ સ્પીકરો આ બુદ્ધિનાશ વિશે અને તેનાથી થતા વિનાશ વિશે વાત કરશે? કથાકારોની સાથે જ જય વસાવડા, કાજલ ઓઝા વૈદ્ય, સંજય રાવલ, રમેશ તન્ના કે દીપક તેરૈયા જેવાઓ નાગરિકોના બુદ્ધિભ્રમ, બુદ્ધિભ્રષ્ટતા અને છેવટે બુદ્ધિનાશમાં કેટલો ફાળો આપી રહ્યા છે?

ગીતાના ચોથા અધ્યાયના ૩૮મા શ્લોકમાં એમ કહ્યું છે કે, “न हि ज्ञानेन सदृशम् पवित्रम् इह विद्यते.” એટલે કે ज्ञान જેટલી પવિત્ર વસ્તુ આ જગતમાં એકેય નથી. પણ બુદ્ધિને કોરાણે મૂકનારા ज्ञान કેવી રીતે પ્રાપ્ત કરી શકે? 

આ રાજકીય ભક્તો તો “मामेकं शरणं व्रज”માં શ્રદ્ધા ધરાવે છે. તેમનો નેતા કહે છે કે “માત્ર મારા શરણમાં આવી જા.” અને તેઓ તેમની બુદ્ધિનો નાશ કરીને નેતાની શરણમાં ગયેલા છે. 

તા.૦૯-૦૭-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પ્રમુખ કેનેડી : અમેરિકા તો ‘પરદેશી નાગરિકોનો દેશ’ છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|9 July 2025

સેમ્યુઅલ હંટિંગ્ટનનો ‘ક્લેશ ઓફ સિવિલાઈઝેશન્સ’નો મુદ્દો ખાસો ચગ્યો છે, પણ નરસિંહ, મીરાં, કબીર, ગાંધી આદિને સંભારીને ‘ક્લેશ વિધિન સિવિલાઈઝેશન’ની સંજીવની આપણને સાંભરતી નથી

પ્રકાશ ન. શાહ

વાત અલબત્ત 26મી જૂન 1975થી 2025ની પચાસ વરસી આસપાસ ચાલતી હશે. પણ તવલીન સિંહે એમની કોલમમાં 1963ની 26મી જૂન યાદ કરી : તે તારીખે તત્કાલીન અમેરિકી પ્રમુખ કેનેડીએ પશ્ચિમ બર્લિનમાં યાદગાર પ્રવચન કર્યું હતું. કેનેડીએ સરસ કહ્યું હતું ત્યારે કે ‘સ્વતંત્રતાના મારગમાં ઘણી મુશ્કેલીઓ રહેલી છે, અને લોકશાહી પણ કંઈ સર્વાંગસંપૂર્ણ નથી; પણ આપણે કદાપિ આપણા લોકોને મુલકમાં બાંધી રાખવા સારુ દીવાલ ખડી કરવી પડતી નથી.’

કેનેડી તે દિવસે બર્લિનમાં બોલી રહ્યા હતા. એ એવા દિવસો હતા જ્યારે સોવિયત રશિયાના પ્રભાવક્ષેત્ર એટલે કે પૂર્વ જર્મનીએ બે’ક વરસ પર (1961 અધવચ) પૂર્વ અને પશ્ચિમ જર્મની વચ્ચે 155 કિલોમીટર લાંબી દીવાલ ચણી લીધી હતી; કેમ કે પૂર્વની કંઈક બંધ દુનિયામાંથી પશ્ચિમ બર્લિનમાં અને તે વાટે યુરોપ-અમેરિકામાં ખુલ્લી દુનિયામાં નોકરીધંધાના ઉઘાડ વાસ્તે, કંઈક મુક્ત શ્વાસ સારુ જવા માટે એકધારો ધસારો ચાલુ હતો. દીવાલ ઊભી કરાઈ તે પૂર્વે સહેજે પાંત્રીસ લાખ લોકો પૂર્વ જર્મની છોડી ગયા હશે એવો અંદાજ છે.

જ્હોન કેનેડી

વસ્તુત: બેઉ બાજુએ હતા તો જર્મનો જ. પણ બીજા વિશ્વયુદ્ધને અંતે રશિયાએ અને બાકી મહાસત્તાઓએ જે વહેંચણી સમજૂતી કરી તેને અન્વયે જર્મનીના ભાગલા પડ્યા હતા અને એ રીતે પૂર્વ જર્મની સામ્યવાદી શૃંખલામાં હતું. કેનેડીએ 1963માં દીવાલનો ઉલ્લેખ કર્યો તે જેમ હકીકત હતી તેમ એક રૂપક પણ હતું.

1990માં બર્લિનની દીવાલ પણ ગઈ અને બેઉ જર્મની પણ એક થઈ ગયા. પણ હું 1985માં બંને જર્મનીમાં ફર્યો ત્યારે સામાન્ય નાગરિકને ભાગ્યે જ કલ્પના હતી કે અમે એક થઈ શકીશું. જે પણ સંવાદતકો મને મળી એમાં સાંભળવા મળતો સૂર અલગ રાજકીય એકમ પણ ભાવનાત્મક એકતા તરેહનો હતો. 

પૂર્વ જર્મનીમાં મેં જોયું કે મોટી સંખ્યામાં રૂસના યુવા સૈનિકો સતત તૈનાત હતા. પશ્ચિમ જર્મનીનાં ટી.વી. પ્રસારણ પૂર્વ જર્મનીમાં ઝીલી શકાતાં હતાં અને તે આ સૈનિકો તબિયતથી જોતા હતા. એટલે પશ્ચિમ બર્લિનમાં મીડિયાકર્મીઓ જોડે વાત કરવાનું થાય ત્યારે મેં કહ્યું કે ‘રૂસી યુવાનોને ખુલ્લી દુનિયાનો પરિચય થાય છે તે કેટલું સારું છે! વતન પાછા ફરશે ત્યારે જરૂર મુક્તિનો સ્પંદ લઈને જશે.’ 

એક બુઝુર્ગ જર્મને જો કે વિરોધસૂર નોંધાવ્યો: ‘અમારા ટી.વી. કાર્યક્રમોમાં મેટ્રોસેક્સ્યુઅલ ખટાટોપ હોય છે જે વાસ્તવમાં ‘મુક્ત સમાજ’નો એક અંશ માત્ર છે. અમારી લોકશાહીની ધડકન, એના ચડાવઉતાર, સામાન્ય માણસની રોજમર્રાની જદ્દોજહદ … બધું મેટ્રોસેક્સ્યુઅલ ઢોલનગારાં વચ્ચે દબાઈ જાય છે. એટલે પૂર્વ જર્મનીમાં તૈનાત રૂસી યુવા સૈનિકો ‘મુક્ત દુનિયા’નું વિકૃત નહીં તો પણ ખંડદર્શન લઈને જશે, એનું શું.’

આ તો સમાજદર્શન થયું. પણ સમાજ અને મુલક બંધાય કેમના, તમે પૂછશો. જવાબમાં વળી કેનેડી પાસે જઉં. એમણે એક વક્તવ્યમાં એ મુદ્દે રાજીપો ને કૌતુક પ્રગટ કીધાં હતાં કે ‘આપણો દેશ, આપણું આ અમેરિકા, વાસ્તવમાં ‘વિદેશી નાગરિકોનો દેશ’ છે. ક્યાં ક્યાંથી આવ્યા અને ઠલવાયા છીએ આપણે … યુરોપભરમાંથી, લેટિન અમેરિકાથી, વળી આફ્રિકી-અમેરિકા એશિયાઈ, કેટકેટલા.’ 

પરંતુ આ જે બહુલતાનો સમાદર, કેટલું કાઠું કામ છે. અમેરિકાની સિવિલ રાઈટ્સ ચળવળનો જ વિચાર કરો ને. દર્શકે એમના અંતિમ પર્વમાં ‘મુક્તિમંગલા’ નવલકથા લખવા માંડી હતી. 2001માં એ ગયા ત્યારે સાહિત્ય પરિષદના પત્ર ‘પરબ’માં એ પાંચ હપ્તે અટકી ગઈ હતી. એમને આ નવલકથા લખવાનું ખેંચાણ એ મુદ્દે હતું કે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં, લિંકન કાળમાં, આફ્રિકી-અમેરકી બાંધ‌વોના બચાવ બાબતે (અને ગુલામી નાબૂદીનાં દ્વાર ખોલવા બાબતે) સામસામે બે ગોરી ફોજ ટકરાઈ હતી. એક રીતે, આ કૌરવ-પાંડવના મહાભારતને કદાચ બાજુએ મૂકી દે એવું મહાભારત હતું અને છે. 

વાત લિંકનથી અટકી નથી. આગળ ચાલતાં કેનેડીના સમયમાં માર્ટિન લ્યુથર કિંગના નેતૃત્વમાં નવી ભોં ભાંગી અને પછી 2009-2017નાં વર્ષોમાં તો આફ્રિકી-અમેરિકી બરાક હૂસેન ઓબામાને આપણે પ્રમુખ તરીકે જોયા.

જે એક ચર્ચા ‘ક્લેશ ઓફ સિવિલાઈઝેશન્સ’(સેમ્યુઅલ હંટિંગ્ટન, 1996)ને ધોરણે ચાલે છે એનુંયે કંઈક વજૂદ હોઈ શકે છે. પણ તે સાથે, તમે જુઓ, પ્રજાઓ, સમાજો પોતાની અંદરની મથામણથી ગુણાત્મક રીતે આગળ વધે છે. વિનોબા જેને ક્રાંતિની લલિતકળા તરીકે ઓળખાવવાનું કદાચ પસંદ કરે એવી આ ઇતિહાસ પ્રક્રિયા ‘ક્લેશ વિધિન સિવિલાઈઝેશન્સ’ની છે. નરસિંહ, મીરાં, કબીર, ગાંધી આ બધાં ‘ક્લેશ વિધિન સિવિલાઈઝેશન્સ’ના ઉત્તમ નમૂના છે.

ગમે તેમ પણ નવી દુનિયામાં પ્રજાઓની આવનજાવન એવી ને એટલી હોવાની છે કે એમાં નાગરિક માત્રના અધિકારના સ્વીકાર-સમાદર પર સ્થિત બંધારણીય રાષ્ટ્રવાદની રૂએ જ ચાલવાપણું હોવાનું છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 09 જુલાઈ 2025

Loading

સ્વતંત્રતાનાં પગરણ સમયે

મનુબહેન ગાંધી|Gandhiana|8 July 2025

મનુબહેન ગાંધી અને ગાંધીજી

સાડા નવે ટ્રેન ઊપડ્યા પછી મેં બાપુજીને ખાવાનું આપ્યું. બધો સામાન બાજુના નાનકડા ખાનામાં મૂક્યો હતો. હું ખાવાનું લઈને આવી ત્યારે બાપુજીએ મને કહ્યું, “તું ક્યાં હતી?” મેં કહ્યું, “હું આપના માટે દૂધ ગરમ કરતી હતી.” બાપુજીએ બહાર જોવાનું કહ્યું, પણ હું સમજી નહીં. મને બાપુજીએ પૂછ્યું, “આ બીજા ખાના માટે તેં કોઈને કંઈ કહ્યું હતું?” મેં કહ્યું : “હા, બાપુજી, આપણે અહીં બધું રાખીએ તો આપને ગરબડ થશે, આથી મેં શ્રીબાબુને કહ્યું હતું કે બે ખાનાં હોય તો વધુ સારું.” 

આથી બાપુજી વધુ નારાજ થયા. “કેવો લૂલો બચાવ ? આંધળો પ્રેમ તે આનું નામ. તને ખબર છે ને કે વાઇસરોયે મને એરોપ્લેનમાં આવવાનું આગ્રહપૂર્વક કહ્યું, અને તેની મેં ના પાડી. એથી બિચારી મૃદુલાએ સ્પેશિયલ જોડાવવાની હું હા પાડું એટલા માટે પોતાની અનેક યુક્તિઓ અજમાવી, આજીજી કરી. પણ મેં સમજાવ્યું કે, એમાં કેટલી બધી ગાડીઓને મારી ગાડી માટે થોભવું પડે અને ખર્ચના ખાડામાં ઊતરવું પડે ! હિન્દુસ્તાનના હજારો ગરીબો જો એરોપ્લેનમાં ન બેસે તો મારાથી કેમ બેસાય ?”

“આથી સ્પેશિયલની તો ના જ પાડી. તેં આજે જેમ એક ખાનું વધારે માગ્યું છે તેમ જો મારા માટે સલૂન માગ્યું હોત તો તે પણ મળત. પણ એ તને અને મને શોભત? હું જાણું છું કે, તું મારા પરના પ્રેમને વશ થઈને મારી કાળજી રાખી રહી છે. પણ મારે તો તને ઊંચે ચડાવવી છે, નીચે નથી પાડવી.”

બાપુજી ખૂબ દુઃખથી—વ્યથાથી એકશ્વાસે બોલતા હતા. મારી આંખમાંથી આંસુની ધાર ચાલી. મેં મન ખૂબ મક્કમ રાખવા પ્રયત્ન કર્યો, પણ ન રહી શકયું.

બાપુજી કહે, “જો તું સમજી ગઈ હોત તો રડવું ન આવત.” મને ભય તો એ હતો કે, મારી ભૂલને માટે બાપુજી રખેને કંઈક આકરું પગલું ભરે – ઉપવાસ કરશે તો ? કારણ કે બાપુજી હંમેશાં બીજાની કરેલી ભૂલને પોતે જ ભૂલ કરી છે એમ માનતા અને એનું પ્રાયશ્ચિત્ત પોતે કરતા.

આમ કરતાં મિરજાપુર સ્ટેશન આવ્યું. માસ્તરને બોલાવ્યા. મારી બધી વાત કહી : “મારી પૌત્રી છે, બિચારી ભોળીભલી છે. મારા ઉપર પ્રેમ અને ભક્તિ રાખે છે, એટલે મને કેમ ઓછી તકલીફ થાય તે માટે પોતાની અક્કલ દોડાવ્યા કરે છે.  પણ એને ખબર નથી કે આમાં મને વધુ તકલીફ છે. હવે આ સામાન લઈ આ ખાનાનો ઉપયોગ બીજાં પૅસેંજરો માટે કરો.”

પરંતુ સ્ટેશન-માસ્તરે આજીજી કરી કે, “આપ કહો તો હું બીજો ડબો જોડી આપું.”

બાપુજી કહે, “બીજો ડબો તો જોડો જ; પણ જરૂરિયાત કરતાં વધુ ચીજો વાપરવી એ પણ હિંસા છે, ચોરી છે, પરિગ્રહ છે. અને મળતી ચીજોનો દુરુપયોગ કરાવી આ છોકરીને બગાડવા માગો છો?” અંતે સ્ટેશન-માસ્તર બિચારા શરમાઈ ગયા અને મેં તો ચુપચાપ સામાન ફેરવી નાખ્યો. અમારા ડબ્બામાં ભીડ તો થઈ છે, પણ તે બાપુજીને ગમ્યું. મને કહે, “મેં તને કેટલો મોટો પાઠ આપ્યો? તું એને સમજપૂર્વક લેવાને બદલે રડી પડી એ મને ન ગમ્યું.”

મેં કહ્યું,  મને બીક એ લાગી કે, મારા વાંકને આપ પોતે માથે ઓઢી લઈ ઉપવાસ કે કંઈક એવી જાતનું પગલું ભરો તો ?” મને પ્રેમથી થાબડીને કહે, “ એવો હું ગાંડો છું?”

**

પ્રાર્થનામાંથી આવીને બાપુજીએ પ્રવચન લખ્યું. ખૂબ ગરમીને કારણે ઠંડા પાણીને સ્પંજ કર્યો, માથા પર ઠંડા પાણીનાં પોતાં મૂક્યાં. ડૉકટર સાહેબે તો બરફ જ મંગાવ્યો હતો, પણ બાપુજીએ એવું ખોટું ખર્ચ કરવાની ના કહી અને માટલા ઉપર ભીના પાણીનો કટકો બંધાવ્યો. એ પાણીનાં જ પોતાં માથા પર મૂકાવ્યાં. એટલે અર્ધા-અર્ધા કલાકે બાપુજીનો ટુવાલ અને માટલાનો ટુવાલ બદલવાને રહે છે. ડૉ. સાહેબ મને કહે, “બાપુજીએ તારી પ્રવૃત્તિ વધારી દીધી. રોજ એક રૂપિયાને બરફ મંગાવી લે તો આખો દહાડો ચાલે ને ? અને બાપુજીને પણ ઠંડક વધુ મળશે.”

બાપુજીની સામે જ આ વાત કહી એટલે બાપુજી ખડખડાટ હસતા હસતા કહે, “તમે તો કમાઓ છો, તમારા દીકરાઓ પણ કમાય છે. પણ આ છોકરીને કે મને કોઈ પગાર દેતું નથી, એટલે એ છોકરી બરફ ક્યાંથી મંગાવે? અને આપણે ક્યાં એવાં સુંવાળાં છીએ કે એટલી બધી જરૂર પણ હોય? આ ભીનું કપડું વીંટાળીએ એટલે બરફનાં પાણીનું કામ સરે.”

08 જુલાઈ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 357

Loading

...102030...86878889...100110120...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved