Opinion Magazine
Number of visits: 9561015
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અસત્ય જ હવે સત્યનો વિકલ્પ છે કે શું?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 November 2023

રવીન્દ્ર પારેખ

દિવાળી નજીક છે ને એક મોટો વર્ગ તેની ઉજવણીનો આનંદ લઈ રહ્યો છે, તો બીજી તરફ બધું ભવ્ય ભવ્ય થઈ રહ્યું છે. રામ મંદિર વખતે ફરી દિવાળી થવાની છે ને એમ ઉત્સવોની ખોટ ભારતને નહીં પડે એવું લાગે  છે. આમ તો વાક્બારસે સરસ્વતીનો, ધનતેરસે લક્ષ્મીનો મહિમા થાય છે. એ પણ છે કે લક્ષ્મીનો થાય છે એટલો મહિમા સરસ્વતીનો થતો નથી. એમાં ગમ્મત એ છે કે ખોટે રસ્તે સરસ્વતી આવતી નથી, પણ લક્ષ્મી તો ખોટે રસ્તે પણ આવતી હોય છે. લક્ષ્મી કયે રસ્તે આવે છે તે હવે બહુ મહત્ત્વનું રહ્યું નથી. એ જ રીતે વાણીના વ્યભિચારની પણ બહુ નવાઈ રહી નથી. પ્રજા પણ હવે શાસ્ત્રને વિકલ્પે શસ્ત્ર રાખતી થઈ છે. વાત વાતમાં છરી મારી દેવાની પણ નવાઈ નથી. આજે તો બાર તેર વર્ષનો છોકરો પણ છરી હુલાવી દેવાની વીરતા પ્રાપ્ત કરી ચૂક્યો છે. આપણાં ઘણાં બાળકો સ્વસ્થ છે ને શાસ્ત્રને પ્રમાણે છે, પણ ચિંતાનો વિષય એ છે કે બાળકના હાથમાં છરી આવી છે ને હુલાવવા સુધી તો તે આવી જ ગયો છે.

પાટણના એક પાર્લર પાસે કોઈ યુવકનો હાથ અડી જતાં બે યુવકો વચ્ચે બોલાચાલી થઈ અને વાત એવી વધી પડી કે પિતા અને બે પુત્રોએ છરાના ઘા મારીને યુવકની હત્યા કરી નાખી. આમ ન બનવું જોઈએ, પણ બન્યું છે, બને છે. આવી તો એટલી ઘટનાઓ છે કે બધા જ છરી લઈને ફરતા હોવાનો વહેમ પડે. આના પરથી એટલું સમજાય છે કે ધીરજ, સહિષ્ણુતા, શાંતિ જેવી બાબતો હવે અવગુણ ગણાય છે. જે વાતે વાતે ઉશ્કેરાય, હુમલો કરે કે હત્યા કરી નાખે તે જ વીર ગણાતો હોય તો નવાઈ નહીં ! હવે અકળ, ભેદી અને કાવતરાંખોર માણસની જ બોલબાલા હોય તેમ તેને વધુ ફૂટેજ મળે છે. એક જમાનામાં ફિલ્મોથી લોકો બગડે છે એવું કહેવાતું. એમાં એટલી હિંસા આવતી કે શાંત વાસ્તવિક જીવન પર એનો પ્રભાવ પડવાનો ભય ઊભો થતો. વાસ્તવિક જીવન એટલું તનાવપૂર્ણ અને ઘાતકી થયું છે કે ફિલ્મો એનું અનુકરણ કરે એમ બને. ફિલ્મમાં કોઈ ભેદી પ્લાન ઘડતું ને અંતે એનો ભેદ ઊઘડતો તો પ્રેક્ષકો ચકાચૌંધ થઈ જતા, પણ એક ઘટના અમદાવાદની એવી સામે આવી છે કે ચામડીનાં ચોસલાં પડી જાય. ફિલ્મી કાવતરાં તો એની આગળ વામણાં લાગે.

આગ્રાનો અનિલસિંઘ ચૌધરી નામનો એક યુવક 17 વર્ષ પહેલાં એક કાર અકસ્માતમાં મૃત્યુ પામેલો તે અમદાવાદથી રાજકુમાર ચૌધરીને નામે પકડાયો. આ કહેવાતા રાજકુમારે અમદાવાદમાં પડોશી છોકરીને પ્રેમ કર્યો ને લગ્નપણ કર્યાં ને બે સંતાનનો પિતા પણ બન્યો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને શાબાશી આપવી પડે કે 17 વર્ષથી મૃત મનાતી વ્યક્તિને જીવતી પકડી. રાજકુમારને તેની પત્ની એ અંગે પૂછતી રહેતી કે આગ્રામાં તેનું કુટુંબ છે તો તે અહીં આવતું નથી કે નથી તો પતિ એને આગ્રા લઈ જતો. એને જ્યારે ખબર પડી કે એનો પતિ તો 17 વર્ષ પહેલાં કાર અકસ્માતમાં ગુજરી ગયો છે તો તેની હાલત કેવી થઈ હશે, તેની કલ્પના જ કરવાની રહે છે.

આગ્રામાં રહેતો આ રાજકુમાર ઉર્ફે અનિલસિંઘ 31 જુલાઈ, 2006ને રોજ ગાડી લઈને નીકળે છે અને ટોલ નાકા પરથી એક ભિક્ષુકને જમાડવાની લાલચે સાથે લે છે. હોટેલમાં જમાડે છે. ભિખારી પેટ ભરીને જમે છે, ગાડીમાં બેસે છે ને એકાએક ગાડી સળગી ઊઠે છે. ભિખારી કોલસો થઈ જાય છે. રજિસ્ટ્રેશન નંબર પરથી ગાડીના માલિક તરીકે વિજયપાલસિંઘ ચૌધરીનું નામ ખૂલે છે ને તે ગાડીમાંથી મળી આવેલાં ભિખારીનાં શબની અનિલસિંઘ તરીકે ઓળખ કરે છે. અનિલની અંતિમવિધિઓ થાય છે. પિતા, પુત્ર અનિલસિંઘનું બેસણું રાખે છે ને જગજાહેર થઈ જાય છે કે કારમાંથી મૃત મળી આવેલો પુત્ર અનિલસિંઘ જ હતો. અનિલસિંઘને નામે 80 લાખનો વીમો હતો તે વીમાની રકમ ને કારની વીમાની રકમ વીમા કંપનીઓ દ્વારા ચૂકવી દેવાય છે. અનિલસિંઘ અમદાવાદ આવી જાય છે ને અહીં જ વસી જાય છે. પેલા ભિખારીનો પત્તો તો લાગ્યો ન હતો એટલે એની તપાસ ચાલતી હશે ને સત્તર વર્ષે ભિખારી તો નથી મળતો, પણ અસલી અનિલસિંઘ અમદાવાદ પોલીસ શોધી કાઢે છે.

વાત એવી હતી કે અનિલસિંઘ, તેના પિતા વિજ્યપાલસિંઘ સાથે મળીને એવું કાવતરું કરે છે કે અનિલસિંઘનું મૃત્યુ થયાનું લાગે. મૃત્યુ થયું છે એવું સાબિત થાય તો 80 લાખનો વીમો પાકે. કાર અકસ્માતમાં અનિલ બળી મર્યો છે એવું બતાવવાનું આયોજન થયું. એને માટે કારમાં બળવા કોઈ માણસ જોઈએ, એટલે ટોલ નાકા પરથી ભિખારી શોધી કઢાયો. એને ભોજનમાં ઘેનની દવા ખવડાવીને કારમાં ગોઠવાયો, ત્યારે એને બિચારાને શી ખબર કે એને વધેરવા તૈયાર કરાઇ રહ્યો છે. અનિલસિંઘ, તેનાં પિતા અને મળતીયાઓએ કાર સળગાવી દીધી. ડ્રાઇવિંગ સીટ પર ભિખારી પૂરો બળી ગયો છે તેની ખાતરી કરીને કાવતરાંખોરો ઘર ભેગાં થયાં. પછી તો અનિલસિંઘ અમદાવાદમાં રાજકુમાર થઈ ગયો ને તેણે અહીં આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે બનાવટી દસ્તાવેજો ઊભાં કરીને જીવવાનું શરૂ કરી દીધું. માણસ કઇ હદે હેવાન કે રાક્ષસ થઈ શકે તેનો અનિલસિંઘ જીવંત નમૂનો છે. રાક્ષસ પણ શરમાય એવી હેવાનિયત કરવામાંથી આજનો માણસ ચૂકતો નથી ને પૈસા ખરચતાં કૈં પણ કરાવી લેવાના વિશ્વાસે માણસને હેવાન બનવામાં મદદ કરી છે. આધારકાર્ડ, પાનકાર્ડ મહત્ત્વના દસ્તાવેજો છે, પણ થોડા પૈસામાં આ બધું જ હવે તૈયાર થઈ શકે છે. એને લીધે દસ્તાવેજોએ એનું મૂલ્ય ગુમાવ્યું છે. એ આજના જમાનાની તાસીર છે કે ખોટું જ હવે ખરું થઈ ગયું છે ને એનું પ્રમાણ સતત વધતું આવે છે.

હજી ઘણા પ્રમાણિક ને સત્યપ્રિય લોકો છે જ, પણ ઘણા અપ્રમાણિક અને અસત્યપ્રિય પણ છે જ ! ભ્રષ્ટાચાર જ શિષ્ટાચાર હોય એવું વાતાવરણ છે. પ્રદૂષણ હવામાં જ નથી, દવામાં પણ છે. ઘી, તેલ, ડ્રાયફ્રૂટ્સ, મીઠાઇ, દૂધ, માવામાં હજારો કિલો ભેળસેળ ને જીવાતના સમાચારો પ્રગટ થતા જ રહે છે. કાલના જ સમાચાર છે કે સુરત-વલસાડથી 1,863 કિલો ઘી-તેલનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે, તો અમદાવાદના નરોડા, બોપલ, ઓઢવના વેપારીઓ પાસેથી ફૂડ વિભાગે બે ડેરી પ્રોડક્ટ સહિત 2,619 કિલો તેલનો જથ્થો જપ્ત કર્યો છે. બોક્સ પેકિંગના કાજુમાંથી ઇયળ નીકળતાં સાઉથ બોપલની માધવ ટ્રેડિંગ નામની દુકાન સીલ કરાઈ છે. એ કરુણતા છે કે માણસને માટે માણસો જ મોત ઊભું કરી રહ્યાં છે ને એ મામલે તપાસનું નાટક પણ થાય છે, પણ પરિણામો અંગે તંત્રોને બહુ લેવા દેવા નથી, એવી સમજ એક વર્ગમાં પ્રવર્તે છે.

બીજી તરફ રાજકીય પક્ષો સત્તામાં આવવા કે સત્તામાં ટકી રહેવા સામસામા આક્ષેપો કરવામાંથી જ ઊંચા નથી આવતા. એમને પ્રજાનું હિત હૈયે ઓછું જ વસે છે ને વસે છે એમાં પણ રાજકીય લાભ ખાટવાની વૃત્તિ પડેલી હોય છે. બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમાર મુખ્ય મંત્રી તરીકેનો દીર્ઘકાળ ધરાવે છે, પણ એમનો સત્તાનો લોભ ઘટતો નથી. એ કોઈ પણ પક્ષમાં હોય, તે મહત્ત્વનું નથી, મહત્ત્વની સત્તા છે. તાજેતરમાં વિધાનસભામાં મુખ્ય મંત્રી તરીકે વસ્તી નિયંત્રણ સંદર્ભે નીતીશે એવી અણછાજતી ટિપ્પણી કરી કે હવે માફી માંગતા પાર નથી આવતો. સ્ત્રીઓ શિક્ષિત થઈ છે, ત્યારથી વસ્તી નિયંત્રણમાં તેમનું યોગદાન વધ્યું છે, એ મતલબની વાત તેમણે વિધાનસભામાં કરી, પણ એવી રીતે કરી કે તે અભદ્ર બની રહી. એનો અર્થ તેમને પણ, અભણ હોય તેમ બીજે દિવસે સમજાયો. એ પણ કોઈએ ધ્યાન દોર્યું ત્યારે ! એમણે એ અંગે ગૃહમાં અને ગૃહની બહાર માફીઓ માંગી, પણ ભા.જ.પ.ને એથી સંતોષ નથી. એને તો નીતીશનાં રાજીનામાંથી ઓછું કૈં ખપતું નથી. નીતીશ તો વિપક્ષી ગઠબંધન INDIAના પણ મહત્ત્વના સભ્ય છે, પણ એમની અભદ્ર ટિપ્પણી અંગે કોઈ વિપક્ષી સભ્યે પ્રતિક્રિયા ન આપી, એ પણ એટલું જ અભદ્ર છે. નીતીશકુમારે અશ્લીલ ટિપ્પણી કરી છે, એમાં કોઈ બે મત નથી, નીતીશકુમાર પોતે એ વાતે શરમિંદા છે, તો વિપક્ષનો કોઈ નેતા એ મામલે મૌન ન તોડે એ કોઈ રીતે યોગ્ય નથી. આ મામલે વડા પ્રધાને નીતીશની અને વિપક્ષની વાજબી રીતે જ ધૂળ ખંખેરી છે. વિધાનસભામાં મહિલા સભ્યોની ઉપસ્થિતિમાં થયેલી ટિપ્પણી અક્ષમ્ય છે. એ પછી પણ વિપક્ષની કોઈ પ્રતિક્રિયા નથી એ વિપક્ષની તરફેણમાં જતી વાત નથી. નીતીશની ટિપ્પણી એમને તો નડશે જ, પણ વિપક્ષ પર પણ પ્રભાવ પાડશે જ, ખાસ તો ટિપ્પણી અંગે સેવાયેલાં મૌનને મામલે. જો કે, બિહાર વિધાનસભામાં અનામત સંશોધન બિલ પસાર કરી દેવાયું છે ને ભા.જ.પે. એને ટેકો પણ આપ્યો છે, શરૂઆતમાં ભા.જ.પે. વિધાનસભામાં હોબાળો તો કર્યો, પણ અનામત સંશોધન બિલ મંજૂર થવા દીધું તે સૂચક છે. બને કે અભદ્ર ટિપ્પણી અંગે વિધાનસભામાં હવે મગનું નામ મરી ન પણ પડે.

આમ વિકાસ વિકાસ અને વિદેશી છાપને નામે ઘણું રોઝી ચિત્ર ભારતનું ઉપસાવાય છે, ગરીબોને મદદ પણ થાય છે, પણ હિંસા, ષડયંત્ર, ભેળસેળ, લાંચ રૂશ્વત, બળાત્કાર, આત્મહત્યા, હત્યા, વાણી વિલાસ જેવી ઘણી બાબતો જન માનસ પર કાળો કેર વર્તાવી રહી હોય એવું નથી લાગતું? એક તરફ વધતી જતી ધાર્મિક ઉત્તેજના ને બીજી તરફ ઉત્તરોત્તર લદાતાં જતાં નિયંત્રણો, સંવેદનશીલ વ્યક્તિનું જીવવું હરામ કરી રહ્યાં છે. સરકારના તમામ પ્રયત્નો છતાં દંભ, જૂઠાણાં, હિંસા ને ભ્રષ્ટતાનો છેડો નથી દેખાતો તે પ્રવર્તમાન સમયની સૌથી મોટી પીડા છે. વધારે શું કહેવું?

000 

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 નવેમ્બર 2023

Loading

પત્રકારોનાં ડિજિટલ ઉપકરણોની ‘પ્રાઇવસી’ સુનિશ્ચિત કરવી જરૂરી 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|9 November 2023

સર્વોચ્ચ અદાલતની તાકીદ

મુક્ત સમાચાર અને સ્વતંત્ર અભિપ્રાયની સોઈ વિના મીડિયાની ભૂમિકા બેમતલબ બની રહેશે અને સરવાળે સરકાર સહિત સૌએ વેઠવાનું રહેશે.

પ્રકાશ ન. શાહ

જોઈએ, મહિના પછી સામાન્ય સરકારશ્રીનો વાન કેવોક ઉઘડે છેઃ સર્વોચ્ચ અદાલતે એડિશનલ સોલિસિટર જનરલને કહ્યું છે કે, પત્રકારોના ડિજિટલ ઉપકરણો મનમુરાદ કબજે ન લેવાય તે માટે ચોક્કસ માર્ગદર્શક સિદ્ધાંતો ઘડવા જરૂરી છે. આમ તો, સર્વોચ્ચ અદાલતે ઠાવકાઈથી કહ્યું છે કે, તમે કહો તો અમે ઘડી આપીએ. પણ આ કામગીરી ખરું જોતાં સરકાર તરફથી થવી જોઈએ.

ફાઉન્ડેશન ફોર મીડિયા પ્રોફેશનલ્સ અને કેટલાંક સુપ્રતિજ શિક્ષણસેવીઓએ કરેલી જનહિત યાચિકાના સંદર્ભમાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને એક મહિનાની મુદ્દતમાં માર્ગદર્શક રૂપરેખા રજૂ કરવા કહ્યું છે, ત્યારે એ સંભારવું જરૂરી છે કે 2017માં સર્વોચ્ચ અદાલતના નવ, રિપીટ, નવ ન્યાયમૂર્તિઓની બેન્ચે બંધારણની 21મી કલમ અને આનુષંગિક જોગવાઈઓ લક્ષમાં રાખી ‘રાઇટ ટુ પ્રાઇવસી’ પર મહોર મારી છે. ખાનગીપણાનો આ અધિકાર બંધારણીય ખોળાધરીપૂર્વકનો છે એમ પણ ત્યારે અસંદિગ્ધપણે કહેવાયું હતું.

આજે છ વરસ પછી વાસ્તવિકતા એ છે કે, સરકારી એજન્સીઓની ઘોંસ ને ભીંસ સામે પત્રકાર માત્રનાં ડિજિટલ ઉપકરણો, પછી તે લેપટોપ હોય કે મોબાઈલ અગર કોમ્પ્યૂટર, અસહાય ને અરક્ષિત છે. એડિશનલ સોલિસિટર એસ.વી. રાજુએ તબિયતથી કહ્યું કે, હાલના ક્રિમિનલ પ્રોસીજર કોડમાં સંબંધિત બધી જ જોગવાઈઓ છે અને પત્રકારો તેને ધોરણે વળતું રક્ષણ માગી શકે છે. વળતી વાસ્તવિકતા જોડે એ છે કે, સરકારી એજન્સીઓ જ્યારે ત્રાટકે છે અને બધું કબજે લે છે ત્યારે જે તે ડિજિટલ ઉપકરણધારીને કશું જ રક્ષણ મળતું નથી. સમાચાર સ્રોતથી માંડી તેની અંગત ને જાહેર ઉપયોગની કેટલી બધી માહિતી એમાં સંઘરાયેલી હોય છે, પણ ઉપકરણ કબજે લેવાય ત્યારે તે બેક અપ પણ લઈ શકતો નથી એ દુર્દૈવ વાસ્તવ છે.

આખો સવાલ ખરું જોતાં રાજ્યને પદરના ગરાસ પેઠે જોતી સરકારી માનસિકતાનો અને એને જોરે ઠેકાઠેક કરતી એજન્સીઓની મનસ્વિતાનો પણ છે. માર્ગદર્શક રૂપરેખાની તાકીદ કરતાં જસ્ટિસ કિશન કૌલ અને જસ્ટિસ સુધાંશ ધુલિયાએ કરેલ ટીકાટિપ્પણ આ સંદર્ભમાં અધોરેખિતપણે ટાંકવાં જોગ છે. એમણે કહ્યું કે, પોલીસ, ઇ.ડી. (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) અને સી.બી.આઈ. એવી રીતે પેશ આવે છે કે જાણે સત્તા સઘળી એના ખિસ્સામાં છે. આજે ફોર્થ એસ્ટેટ – ચોથી જાગીર ગણાતા પત્રકારત્વની કામગીરી આ સંજોગોમાં વાણી અને અભિવ્યક્તિના અધિકારની દૃષ્ટિએ કેવી સ્થિતિમાં મુકાઈ શકે તે વિચારતાં કંપારી વછૂટે છે.

ખરી વાત જો કે, એ છે કે, પત્રકારત્વ પોતે પણ અત્યારે કટોકટી અને પડકારમાંથી પસાર થઈ રહ્યું છે. સત્તામાનસ તરફથી ઊભા થતાં નાનામોટા અવરોધ મુક્ત માહિતી અને સ્વતંત્ર અભિપ્રાયની એની કામગીરીને ખોડંગાવી શકે તે કોઈપણ કાળે થતું રહેતું હોય છે. બીજી પાસ, સોશિયલ મીડિયાના વિકાસ સાથે ઊભી થયેલી વિલક્ષણ પરિસ્થિતિ એ છે કે બંને મીડિયા એકબીજાની સચ્ચાઈ અને સ્વતંત્રતાનાં સામસામાં પ્રતિમાન પૂરાં પાડે છે. એક બાજુ, છપાયેલમાં ભરોસો મૂકતું પરંપરામાનસ અને બીજી બાજુ વિકલ્પે ઊભરી રહેલ સોશિયલ મીડિયા, આ બંને એકમેકનાં પૂરક બની રહી, એકબીજાને અંગે સંસ્કારક (કરેક્ટિવ) ભૂમિકા ભજવી શકે તે જરૂરી છે. પરંપરામાનસ પ્રિન્ટ મીડિયાને કેટલેક અંગે ફેરમૂલવવા તરફ વળી રહ્યું છે એ પણ વાસ્તવિકતા છે. આ સંજોગોમાં ડિજિટલ ઉપકરણો બાબતે ભીંસ અને ઘોંસની, સર્વોચ્ચ અદાલતની ભાષામાં કહીએ તો કરોડરજ્જુ સોંસરી કંપારીને, સરકારી એજન્સીઓની તાસીર પત્રકારત્વની છબીને નકો નકો બનાવી મૂકે એથી ખોવાનું સમાજે છે, અને લાંબે ગાળે સમાજના હિસ્સા તરીકે રાજકીય-શાસકીય અગ્રવર્ગે પણ, ટૂંકનજરી લાભગાળો પસાર થયા પછી વેઠવાનું રહે છે. કારણ કે, સાચા સમાચારને સ્વસ્થ સ્વતંત્ર અભિપ્રાય વિનાના શૂન્યાવકાશમાં એક તબક્કે ખુદ સરકારોને પણ અંધારામાં આથડવું રહે છે.

એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુના માધ્યમથી સર્વોચ્ચ અદાલતે મોકલેલ સંદેશ પકડાય તે એના સહિત સૌના હિતમાં હશે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 08 નવેમ્બર 2023

Loading

માની ગ્યા મેક્સી, The Very Big Show મેક્સી!

કેતન રુપેરા|Opinion - Opinion|9 November 2023

સાવ સાચું કહું, મેક્સી?

તું ભલે ભારતનો જમાઈ રહ્યો … ખોટું લાગે તો જીવનસંગિની વિનીના હાથની બે રોટલી વધારે ખાઈ લેજે; ઓસ્ટ્રેલિયા જીતે એવું હું અને મારા જેવા અનેક ભારતીય ક્રિકેટપ્રેમીઓ બિલકુલ નહોતા ઇચ્છતા …

… પણ એકલવીર બનીને તું જે ઢબે રમી રહ્યો હતો, રમતાં રમતાં જ ક્રિકેટની રમતને એ સ્તરે લઈ ગયો હતો કે પછી તો અફઘાનિસ્તાન જીતે કે ઓસ્ટ્રેલિયા, એ વાત ગૌણ બનતી ગઈ અને A Gentleman’s Gameને તારા તરફથી એક ભેટ મળી ગઈ.

ટેસ્ટ મેચના ક્લાસ અને ટી-ટ્વેન્ટીનાં ટોળાં, ટેસ્ટ મેચની શાખ અને ટી-ટ્વેન્ટીના ખણખણિયા વચ્ચે ચગદાઈને ‘બોરિંગ’ બનતી જતી પચાસ-પચાસ ઓવર્સની એક દિવસીય ક્રિકેટ મૅચને તેં હજુ થોડાં વરસો વધુ કાઢી નાખશે એટલો, હવામાંના શુદ્ધ ઓક્સિજન જેવો ‘પ્રાણવાયુ’ આપી દીધો. સાતમીની રાત્રે જીતની બધી આશા છોડીને સૂઈ ગયેલા ઓસ્ટ્રેલિયાવાસીઓને આઠમીની સવારે સરપ્રાઇઝ આપી દીધી!

બાકી, અફઘાનિસ્તાન જેવી અફઘાનિસ્તાનની ટીમે,

બોમ્બમારા વચ્ચે અથડાઈ-ઘડાઈને તૈયાર થયેલી ટીમે,

પહેલી વન ડે ઇન્ટરનેશનલ રમ્યાને હજુ દોઢેક દાયકો માંડ થયો છે એવી ટીમે,

ટુર્નામેન્ટમાં કુલ દસમાં નવમા ક્રમાંકે પ્રવેશ પામેલી ટીમે, ક્રિકેટના મેદાનમાં ય રણમાં ઊંટ જેવી ઝડપે મજલ કાપીને ભૂતકાળમાં વર્લ્ડકપ વિજેતા રહેલી ત્રણ ત્રણ ટીમોને ૨૦૨૩ના આ વર્લ્ડકપમાં હરાવી દીધી હોય!

જ્યારે મોટા ભાગની મેચો વનસાઈડેડ બની રહી હતી ત્યારે તેની આ ટીમો સામેની જીતે જ સેમી ફાઈનલમાં પ્રવેશની સમગ્ર પ્રક્રિયાને રોમાંચક બનાવી દીધી હોય!

જ્યારે “ઇન્ડિયા, ધેટ ઇઝ ભારત” જેવું ભારત પણ અશ્વિન જેવા મેચ વિનર અને અનુભવી સ્પિનરને ટીમ કોમ્બિનેશનનાં કારણોથી બહાર બેસાડતું હોય ત્યારે ’૬૦-૭૦ના દાયકાની ભારતીય ટેસ્ટ ટીમની યાદ અપાવતા દમામપૂર્વક ચાર ચાર સ્પિનરને રમાડતી હોય, અને પોતે પાછી ઇંગ્લેન્ડ, ન્યુઝિલેન્ડ અને દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર્સને જરા ય મચક ન આપતી હોય!

વળી, જીતે તો પશ્તૂનનો અટ્ટન ડાન્સ અને હારે તો ચહેરા પર બહુ ભાર નહીં એવી સ્પોર્ટ્સમેન સ્પિરિટથી રમતી હોય …

ક્રિકેટપ્રેમી તરીકે આવી જિંદાદિલ ટીમના ફેન બની જવાનાં કારણો‌ ઓછાં હોય તે પાછું એક બે નહીં, છ છ વર્લ્ડકપ પહેલાંના જમાનામાં, છેક ૧૯૯૬માં જેણે ૨૫ બોલમાં ૪૫ રન કરી એ વખતના ફાસ્ટેસ્ટ બૉલરના છક્કા છોડાવી દીધા હોય એવો મેન્ટલી ટફ અજય જાડેજા આ ટીમનો મેન્ટર હોય …

તો કોઈ પણ ક્રિકેટપ્રેમી ભારતીય માટે આ ટીમનું ભારત પછી તરતના નંબરની ચહીતી ટીમ ન બનવાનું કોઈ કારણ બાકી રહેતું નથી.

આવી અસાધારણ અફઘાનિસ્તાનની ટીમને મેક્સી, તારી ઓસ્ટ્રેલિયાની ટીમ હરાવી દે, જેની સાથે રમતના મેદાનમાં ટીમ ઇન્ડિયાની વિશ્વમાં બીજા નંબરની રાઇવલરી ચાલી આવતી હોય એવી તારી ટીમ અફઘાનિસ્તાનને હરાવી દે એ તો ભારતીય ક્રિકેટપ્રેમીને કેમનું સહેવાય?!

પણ, પણ અને પણ મેક્સી, રૂઢિપ્રયોગ વાપરીએ તો ‘એકલા હાથે’ અને અક્ષરસઃ કહીએ તો બલે બે હાથે, પણ ફુટવર્કનો સહેજેય ઉપયોગ કર્યા વગર, સારા બેટધર હોવા-કહેવડાવવા માટે અનિવાર્ય એવા ફુટવર્કનો ઉપયોગ કર્યા વગર, પગની માંસપેશીઓ ખેંચાઈ જવાના કારણે થતી પીડાના કારણે પગને સહેજેય હલાવ્યા-ચલાવ્યા વગર, જાણે પગ રીતસરના ખિલ્લાથી જમીન પર ખોડી દીધા હોય એ રીતે રમીને જે તબિયતથી તેં અફઘાનિસ્તાનની ટીમને હરાવી છે … માની ગ્યા મેક્સી!

બાકી, ‘ક્રેમ્પિંગ’ના કારણે ઘણા ક્રિકેટરોને મેદાન છોડીને આરામ-સારવાર માટે જતા જોયા છે. ૯૧ રનમાં ૭ વિકેટ્સ પડી ગયા પછી જે સંજોગોમાંથી અને જે રીતે તેં ટીમને ઉગારી હતી અને પછી જે મુકામે પહોંચાડી હતી એ પછી વધુ પીડા સહન ન કરતાં, ડ્રેસિંગ રૂમમાં ચાલ્યો ગયો હોત ને કોઈ વિકેટ પડતાં ફરી રમવા આવ્યો હોત તો કોઈ ઓસ્ટ્રેલિયન તને વ્યક્તિગત હિત માટે રમે છે એમ ન કહેત.

એ પછી રમતાં રમતાં કદાચ આઉટ પણ થઈ ગયો હોત તો કોઈ ઓસ્ટ્રેલિયન તને ‘દેશવિરોધી’ કહીને ટ્રોલ ના કરત, અને એ કારણે ઓસ્ટ્રેલિયા હારી પણ ગયું હોત તો તારા કે તારી ટીમના કોઈ ખેલાડીના ઘર પર પથ્થરમારો ન થયો હોત … પણ દર્દ સહીને, પીડા ભોગવીને પણ તેં રમવાનું ચાલુ રાખ્યું. સિંગલ-ડબલ લેવા માટે દોડવું શક્ય ન બન્યું ત્યારે માત્ર ચોગા-છક્કા મારીને રમવાનું ચાલુ રાખ્યું. એ વળી, વધારે પડકારજનક કામ નહીં?!

પણ, ક્રિકેટની રમતમાં અપનાવવા જેવા અને જીવનમાં ય ન અવગણવા જેવા ગુણો—ગમે એટલી વિકટ પરિસ્થિતિ આવે કે ગમે એટલી વિકેટો પડે પણ ફસડાઈ પડવું નહીં, જીત માટે ઉતાવળા કે ઘાંઘા થવાને બદલે ફટકો મારવા માટે નબળા બોલની રાહ જોવી, વચ્ચે વચ્ચે આવતી નાની નાની તકલીફો-પીડાને વશ થઈ હથિયાર કે બેટ હેઠું મૂકી દેવાને બદલે જેટલું આગળ ખેંચાય એટલું ખેંચતા જવું, બધા ખમતીધર સાથીદારો ખડી પડ્યા હોય ત્યારે નબળો સાથીદાર મળી આવે તો એની મદદ ન લેવાને બદલે જેટલી પણ મળે એટલી મદદ હસતા મુખે લેતાં રહીને એ સમયમાં પોતાને સજ્જ-સક્ષમ બનાવતા રહેવું, પોતાની પીડા કે મર્યાદાને બહુ પંપાળવાને બદલે જે શક્તિ કે વિશેષતા છે એના પર જોર આપવું … જેવાં ભલે રમતનાં કૌશલ્યો પણ છેવટે તારા વ્યક્તિત્વનાં ગુણો ‘ગ્લેડિયેટર’ સરીખા અંદાજથી તેં બતાવી દીધા!

ગ્લેન મેક્સવેલ  — અસહ્ય પીડા, અપૂર્વ ઇનિંગ્સ — અફઘાનિસ્તાન વિ. ઓસ્ટ્રેલિયા, 7 નવેમ્બર 2023

એક દિવસીય ક્રિકેટમાં તારી સૌથી વધુ એવી સવાસોની સ્ટ્રાઈક રેટ ગણો કે થોડા દિવસો પહેલાં નેધરલેન્ડ સામે ૪૦ બૉલમાં જ કરેલી વર્લ્ડકપ ઇતિહાસની સૌથી ઝડપી સદી, બિગ બૅશ કે આઈ.પી.એલ.માં ચોગા-છક્કાની રમઝટથી તેં તારી ફ્રેન્ચાઈઝીઓને અનેક વખત અપાવેલી જીત ગણો‌ કે પાર્ટ ટાઈમ સ્પિનર અને જાંબાઝ ફિલ્ડર તરીકે અનેક વાર તેં પલટેલા મૅચનાં પાસાં … આ બધું યાદ રહેશે, મેક્સી. જરૂર યાદ રહેશે, પણ બેવડી સદી કરવી છે એવા કોઈ જ ગણિત વગર ૨૦૧ રન નોટ આઉટ રહી તારી ટીમને તેં અપાવેલી જીત કાયમી સ્વરૂપે યાદ રહેશે. વન-ડે મેચના ઇતિહાસમાં અમારા સચીનની પહેલી બેવડી સદી પછી બેવડી સદીઓની લાગેલી લંગાર વચ્ચે તારી બેવડી સદી અદ્વિતીય બની રહેશે. કેમ કે સાવ હારની કગારે, ૦.૪૦ ટકાએ પહોંચી ગયેલી જીતની સંભાવના પછી પણ સો ટકા સફળતાએ પહોંચાડેલી જીત તરીકે યાદ રહેશે.

આ પ્રસંગે ન ભૂલવા જેવી કે ખાસ યાદ કરવી જોઈએ એવી એક વાત પણ કરી લઉં. શિખર સર કરીએ ત્યારે, એ પહેલાંની કોઈ પળે ખાઈમાં ખાબક્યા હોઈએ એને યાદ કરવાની મજા જ કંઈક ઓર હોય છે. ૨૦૧૯ના વર્લ્ડકપમાં ઇજા પછી તેં ક્રિકેટમાંથી એક-સવા વરસનો બ્રેક લીધો. કોઈ પણ ક્ષેત્રમાં અવ્વલ સ્તરે પહોંચ્યા કે ક્યાં ય ન પહોંચ્યા છતાં ય બહુ ઓછા લોકો આવું અઘરું કામ કરી શકે છે, એવા ડિપ્રેશનના કારણ સાથેનો બ્રેક લીધો. કેપ્ટન એરોન ફિન્ચ અને ટીમ મૅનેજમેન્ટે તારી આ પારદર્શિતાને વખાણી અને પછી તો તારા એમાંથી બહાર આવવામાં ય તને સાથ આપ્યો. અને એ પછી પહેલાં કરતાં ય વધારે આક્રમકતા સાથે તું મેદાનમાં આવ્યો!

તારી અને ઓસ્ટ્રેલિયાની આ વિશિષ્ટ સિદ્ધિમાં માત્ર પ્રતિભા કે મહેનત નહીં, પરસ્પર વિશ્વાસ અને ‘ક્રિકેટ ઓસ્ટ્રેલિયા'(CA)ની મજબૂત સિસ્ટમનો ય ફાળો છે. આવી સિસ્ટમ ક્રિકેટ રમતા સૌ દેશોને મળે … દેશ-દુનિયા, સંસ્થા-સંગઠનો અને કંપનીઓ-ટ્રસ્ટોનાં ‘અ’થી શરૂ થઈ ‘જ્ઞ’ સુધીના કદી ન ઉકલનારા પ્રશ્નો અને સમસ્યાઓની વચ્ચે પણ આનંદ અને રોમાંચની આવી પળો સૌને ફળે.

The Very Big Show, મેક્સી!

(લખ્યા તા. 08/09-11-‘23)
 (Photo Courtesy: AP, AFP, ESPN-Cricinfo) 
e.mail : ketanrupera@gmail.com

Loading

...102030...864865866867...870880890...

Search by

Opinion

  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો
  • જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારાત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
  • ચલ મન મુંબઈ નગરી —319

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved