Opinion Magazine
Number of visits: 9457827
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

India that is Bharat: ઇતિહાસ, અર્થતંત્ર, રાજકારણની શબ્દરમત એટલે નામાંતરણ વિવાદ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|10 September 2023

ઇન્ડિયા નામ જો સદંરત નીકળી જશે તો શું 14 કરોડથી વધુ ખર્ચો થઇ શકે છે?

ચિરંતના ભટ્ટ

આમ તો વિલિયમ શેક્સપીયરે રોમિયો અને જુલિએટ નાટકમાં લખ્યું હતું કે ‘અ રોઝ બાય એની અધર નેમ વુડ સ્મેલ એઝ સ્વીટ …’ આમ તો આ વાક્યનો અર્થ સમજવો અઘરો નથી. કોઇનું નામ જે પણ હોય તેનાથી તેની સિરત કે સૂરત પર કોઈ ફેર પડતો નથી. એ જ નાટકમા શેક્સપીયરે એમ પણ લખ્યું હતું કે, ‘વૉટ ઇઝ ધેર ઇન ધી નેમ’ – નામથી શું ફેર પડે છે? હવે આ પરિસ્થિતિ આપણા દેશના નામને મામલે પણ ખડી થઈ છે. પાંચમી સપ્ટેમ્બરથી ભારત કે ઇન્ડિયા એ વાળી જે દોરડાખેંચ ચાલુ થઈ છે એ એવી વાત છે જેને ગઝલની પેલી પંક્તિ લાગુ પડે – બાત નિકલેગી તો ફીર દૂર તલક જાયેગી … આપણા દેશનું સાચું નામ શું? એ મામલે એવી બબાલ ચાલુ થઈ છે કે ન પૂછો વાત. મંગળવારે G20 સમિટના આમંત્રણ મોકલાયા જેની પર અંગ્રેજીમાં ઇન્ડિયાને બદલે ભારત લખાયું હતું – પ્રેસિડન્ટ ઑફ ભારત, નહીં કે પ્રેસિડન્ટ ઑફ ઇન્ડિયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ધી પ્રાઇમ મિનિસ્ટર ઑફ ભારત તરીકે ઇન્ડોનેશિયામાં સમિટમાં હાજરી આપી.

આપણા દેશનું નામ ભારત રાખવું ઇન્ડિયા એને લઈને તો 17 નવેમ્બર 1948ના દિવસે પણ બંધારણ સભામાં ચર્ચા છેડાઈ હતી અને દસ મહિના પછી 17 સપ્ટેમ્બર 1949ના રોજ ડૉક્ટર આંબેડકરે બંધારણ સભા સામે નામને મામલે ફાઇનલ ડ્રાફ્ટ મુક્યો હતો જેમાં ભારત અને ઇન્ડિયા બન્ને નામોનો ઉલ્લેખ હતો. કેટલાકને ઇન્ડિયા નામ સામે વાંધો હતો કારણ કે તે અંગ્રેજ સામ્રાજ્યવાદની ભેટ હતું તો કેટલાકને અંગ્રેજી નામ ભારત નામના વિકલ્પ તરીકે ઠીક લાગ્યું હતું. ત્યારે પણ સેઠ ગોવિંદ દાસથી માંડીને હરિ વિષ્ણુ કામથે પોતાના વિચારો અને દલીલો રજૂ કર્યાં હતા. આંબેડકરે ત્યારે એક જ વાત પર ભાર મૂક્યો કે ભારત પછી ઇન્ડિયા આવવું જોઈએ કે નહીં તેની જ આપણે ચર્ચા કરી રહ્યા છીએ કારણ કે આપણે સ્વતંત્ર થયેલા આપણા દેશમાં બીજા ઘણાં કામો કરવાનાં છે ત્યારે શું આ ચર્ચા જરૂરી છે? બંધારણના અંગ્રેજી વર્ઝનમાં ઇન્ડિયા છે અને એક વાર ભારત શબ્દનો ઉલ્લેખ થયો છે અને હિંદીમાં ઇન્ડિયાને બદલે ભારત લખ્યું છે – તેમાં તો ટાંકવામાં આવ્યું છે – ઇન્ડિયા ધેટ ઇઝ ભારત, શેલ બી અ યુનિયન ઑફ સ્ટેટ્સ – ઇન્ડિયા એટલે ભારત, રાજ્યોનો એક સંઘ હશે.

જ્યારથી G20ના આમંત્રણો જાહેર થયા છે સરકારની ટીકા થઇ છે. આમ જોવા જઈએ તો ભારત એક સંસ્કૃત શબ્દ છે જે 2000 વર્ષ પહેલાં લખાયેલા શાસ્ત્રોમાં પણ હતું. તેમાં કોઇ પ્રદેશ કે વિસ્તારની સ્પષ્ટતા નહોતી જે સ્વાભાવિક છે – ભારત વર્ષ જે આજના ભારત દેશની સીમાઓથી કંઇ ગણું વધુ વિસ્તરેલું હતું. ભા.જ.પા.એ સત્તા પર આવીને રસ્તાઓ, શહેરો વગેરેનાં નામો તો બદલ્યા જ છે. ઇન્ડિયાનું ભારત કરવા અંગે ભા.જ.પા.ની દલીલ છે કે આ તો સામ્રાજ્યવાદી ગુલામીને પગલે મળેલું નામ છે એટલે એ બદલવું જરૂરી છે. 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન એક ખાસ સંસદીય સત્રની જાહેરાત થઇ છે અને એવી ધારણા છે કે દેશના નામબદલવા અંગે આ બેઠક હોઈ શકે છે જો કે અનુરાગ ઠાકુર જેવા અમુક મંત્રીઓએ એમ કહ્યું છે કે આ તો વિરોધ પક્ષે ફેલાવેલી અફવા છે.

ઇન્ડિયા-ભારતના મામલે રાજકીય અને ચૂંટણીલક્ષી પ્રશ્નો વધારે અગત્યના છે. વળી આપણે મૂળિયાં ભણી પાછા જવાની વાત કરીએ તે તો ચાલો સમજ્યા, આપણને એમાં કંઇ અણગમો થવો જ જોઈએ એ જરૂરી નથી. પણ વિરોધ પક્ષોએ પોતેના મહા સંગઠનને જે ઇન્ડિયા (ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ અલાયન્સ) નામ આપ્યું છે તેની સામે આ ભારતકરણનું બીડું ઝડપવામાં આવ્યું છે એ વાતને ફગાવી દેવા જેવી નથી. તમે ઇન્ડિયા વાળા અને અમે ભારત વાળા જેવી હુંસાતુંસી શરૂ કરવામાં ભા.જ.પા.ને જરા ય વાર નથી લાગવાની. આ એક ગણતરીપૂર્વકનું પગલું છે એમાં માત્ર દેશ કે ઇતિહાસ પ્રત્યેનો પ્રેમ જ કારણભૂત છે એમ માની લેવાની ભૂલ ન કરવી જોઇએ. વળી જ્યારે વિરોધપક્ષોએ પોતાનું સંક્ષિપ્ત નામ ઇન્ડિયા જાહેર કર્યું ત્યારે વડા પ્રધાને પહેલો ચાબખો મારતા કહ્યું કે ઇસ્ટ ઇન્ડિયા કંપની, ઇન્ડિયન મુજાહિદ્દીન અને પૉપ્યુલર ફ્રંટ ઑફ ઇન્ડિયામાં પણ ઇન્ડિયા નામ છે, લોકો તો ચહેરા પર ચહેરો લગાડી જ દેતા હોય છે.

આમ તો બન્ને નામો આપણા ઇતિહાસ સાથે જોડાયેલાં છે. ઇન્ડિયા નામ ઇન્ડસ નદી પરથી આવેલું છે જેને સંસ્કૃતિમાં આપણે સિંધુ નદી તરીકે જાણીએ છીએ. એ સિંધુ કે સિંધ પ્રદેશનું હિંદ, હિંદ પ્રદેશ, હિંદુસ્તાન પણ તો થયું છે. સદીઓ પહેલા ભારતના પ્રવાસે ગ્રીસ જેવા દેશો તરફથી આવેલા મુસાફરોએ ઇન્ડસ નદીની દક્ષિણપૂર્વમાં આવેલા પ્રદેશને ઇન્ડિયા તરીકે ઓળખ્યો, આ એલેક્ઝાન્ડર ધી ગ્રેટ 2જી સદીમાં ભારત અભિયાન શરૂ કર્યું તે પહેલાંથી અપાયેલું નામ હતું, એને અંગ્રેજો સાથે લેવા-દેવા નથી. ભારત નામ તો તેનાથી પણ જૂનું છે જેનો ઉલ્લેખ શાસ્ત્રોમાં છે પણ તેનો ઉપયોગ સામાજિક-સાંસ્કૃતિક ઓળખ તરીકે થતો નહીં કે ભૌગોલિક ઓળખ તરીકે. વળી મહાભારતના આદિપર્વની કથા મુજબ કણ્વ ઋષિની દીકરી શકુન્તલા જે પુરુવંશના રાજા દુષ્યંત સાથે ગાંધર્વ વિવાહ કર્યો અને પોતાના દીકરાનું નામ ભરત પાડ્યું અને નાનપણમાં વાઘનાં દાંત ગણવા માટે મશહૂર થયેલા ભરતના નામ પરથી ભારતને નામ મળ્યું, જો કે મત્સ્યપુરાણ અનુસાર મનુને ભરત કહેવાયા હતા અને જે ખંડ પર તેમનું શાસન હતું તેને ભારતવર્ષ કહેવાયું. ઇતિહાસમાં તો વૈદિક યુગની એક જાતિનું નામ ભરત હતું જે સરસ્વતી નદીને કાંઠે વસતી હતી. દુષ્યંત-શકુંતલાનો દીકરો જન્મ્યો તે પહેલાંથી આ પ્રદેશમાં ભરતજન રહેતા હતા અને આ જાતિ-સમૂહને નામે ભારતનું નામ પ્રચલિત થયું કોઈ એક વ્યક્તિને કારણે નહીં. હિન્દુશ શબ્દ તો ઇસુથી પણ 2000 વર્ષ પેહલાંની સભ્યતામાં હતો, તે હડપ્પાના સમયની વાત છે. સિન્ધ માત્ર નદી નહીં પણ સાગરના અર્થમાં પણ વપરાતો. ઇન્ડિકા શબ્દ મેગાસ્થનિજે કર્યો હતો જે પાટલીપુત્રમાં રહ્યા હતા જ્યાં હિન્દ, હિન્દવાન જેવા શબ્દો પ્રચલિત હતા. આ મામલે પણ હજી બીજા પૌરાણિક સંદર્ભો પણ છે જેમાં જૈન પરંપરા, આર્યન સંસ્કૃતિ, મહાભારત વગેરેનો સમાવેશ થાય છે.

હવે આ નામકરણનો આર્થિક ફટકો કેવો હોઈ શકે તેની પર પણ નજર કરીએ. દક્ષિણ આફ્રિકાના એક ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપ્રટી લૉયર ડેરન ઓલિવરેના એક ગણતરીના મૉડલનો ઉપયોગ કરીને એક મીડિયા ગ્રૂપે ટાંક્યું કે જો ઇન્ડિયાનું ભારત થશે તો એ ખર્ચો 14 કરોડની આસપાસ હોઈ શકે છે. વળી ઇન્ડિયા નામની, તેના ફોનેટિક્સની, તેની એક ઓળખ છે, આંતરરાષ્ટ્રીય સ્તરે એક બ્રાન્ડ છે. કોઈને બતાડી દેવાના ઉત્સાહમાં ઇતિહાસના સંદર્ભોનો ઉપયોગ કરીને બધું ફેરબદલ કરવામાં સમય ન બગાડતા જે કરવાની જરૂર છે એની પર ધ્યાન અપાય તો બહેતર રહેશે. આ નામ બદલવાનો મામલો વાજતે ગાજતે યુ.એન. પણ પહોંચ્યો છે જોઇ હવે શું થાય છે.

બાય ધી વેઃ

તાજેતરમાં એક વ્યાખ્યાનમાં જાણીતા વિવેચક, સંપાદક, ભાષાવિદ્, લેખક ગણેશ દેવીએ કંઇક એવા સંદર્ભની વાત કરી કે નામ કાઢી નાખવાથી તેનું માળખું નથી બદલાઈ જતું, નામ હોય કે ન હોય એકતા રહેવી જોઇએ. ભારતીયો કંઇ અજ્ઞાન નથી કારણ કે એક વખત પછી ઇરાદાઓ તો  બધાની નજરે ચઢશે. ટૂંકમાં આ નામ બદલાવ અભિયાનની પાછળના આશય સાચા હશે તો તરી જશે અને નહિંતર વહી જશે. તમારું નામ સૂરજ હોય અને કોઈ અચાનક જ તમને સન કહેવા માંડે તો ફાવે નહીં, તમારા બે નામ હોય એવું પણ બની શકે અને બન્ને નામ તમારી ચોક્કસ ઓળખાણની ધાર કાઢનારા હોઇ જ શકે છે. જે સારું છે, મજબૂત છે, અનિવાર્ય છે તે સચવાય એ જરૂરી છે. આ પહેલાં નામ બદલી ચૂકેલા દેશો આ છે – તુર્કીનું તુર્કીયે, હોલેન્ડનું નેધરલેન્ડ, ચેક રિપબ્લિકનું યેકિયા, સિલોનનું શ્રીલંકા, આઇરિશ ફ્રી સ્ટેટનું આયર્લેન્ડ, કેપ વર્ડેનું રિપબ્લિક ઑફ કાબો વર્ડે, સિયામનું થાઇલેન્ડ, બર્માનું મ્યાનમાર, પર્શિયાનું ઇરાન અને સ્વાઝીલેન્ડનું એસ્વાટિની નામ કરાયું છે. ભારતનું નામ બદલવાનું નથી પણ તેનું બીજું નામ સદંતર દૂર કરવાની હોહા છે. આમ તો આપણા નામોની વિવિધતા હોવા છતાં એકતા છે એ વધારે અગત્યનો મુદ્દો છે પણ જોઈએ ‘નામ ગુમ જાયેગા’ કે રહ જાયેગા.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 10 સપ્ટેમ્બર 2023

Loading

પુણ્ય તમારું અને પાપ બીજાનું ?

રમેશ ઓઝા|Opinion - Opinion|10 September 2023

રમેશ ઓઝા

એક જમાનામાં લોકોને સંતોષીમાનાં વ્રત કરવાનાં પોસ્ટકાર્ડ આવતાં. એમાં લખ્યું હોય કે આટલા મહિના દર શુક્રવારે વ્રત કરશો તો આટલો ફાયદો થશે અને જો નહીં કરો તો તમારું આ રીતનું બુરું થશે. એમાં એવું પણ લખ્યું હોય કે તમારે આ પોસ્ટકાર્ડના લખાણની નકલ કરીને પાંચ જણાને મોકલવાની છે અને જો નહીં મોકલો તો તમારું બુરું થશે. સંતોષીમાના પ્રકોપથી બચવા વ્રત પણ રાખતા અને પાંચ લોકોને વ્રત કરવા મજબૂર પણ કરતા. પોસ્ટકાર્ડ મોકલનારનું એમાં નામ ન હોય અને આગળ પાંચ જણાને મોકલનાર પણ પોતાનું નામ ન લખે. આજે પણ હજુ આવા પત્રો કે વોટ્સેપ મેસેજ આવતા હશે તો ખબર નથી. આંગણામાં પીપળો હોય અને પીપળો કે પીપળાની ડાળો નડતી હોય તો કાપે કોણ? મોટી સમસ્યા.

પીપળો કાપવા લોકો કોઈ મુસલમાન મજૂરને ગોતે. એક જમાનમાં નવા વરસની શુભેચ્છાના કાર્ડમાં ભગવાનના ફોટા રહેતા. દર વરસે ભગવાનના ફોટાવાળા પંદર-વીસ કાર્ડ એકઠા થાય એ પછી તેનો નિકાલ કેમ કરવો તેની સમસ્યા. ફાડતા ડર લાગે, ફેંકતા ડર લાગે, પૂજા કર્યા વિના ઉપેક્ષિત અવસ્થામાં ઘરમાં પડ્યા રહે તો પણ ડર લાગે. અંતે કોઈ ભાળે નહીં એમ કોઈકના ઘરના આંગણામાં પીપળાનું ઝાડ હોય તો તેના થડ પાસે અથવા મંદિરે મૂકી આવે. અમે નાના હતા ત્યારે હોળીના મહિના પહેલાથી હોળીમાં બાળવા માટે લાકડાં, છાણાં અને બીજી જલાઉ ચીજો ચોરીને એકઠી કરતા. પણ હોળીના દિવસે હોળી પ્રગટાવતા અમને વડીલો રોકતા. કારણ એ કે જીવજંતુ મરે તેનું પાપ અમને લાગે. કોઈ ગરીબને શોધીને પૈસા આપીને તેની પાસે હોળી પ્રગટાવવામાં આવે. યજ્ઞમાં પશુબલિની જગ્યાએ પશુના પ્રતિકરૂપે કોળું કાપવાનો રીવાજ છે. પણ કોળું કાપે કોણ? આખરે જીવતા પશુનું પ્રતિક ખરુંને! ગોર મહારાજ યજમાન પાસે કોળું ન કપાવે, પણ કોઈ ગરીબને ગોતી આવે. પુણ્ય તમારું અને પાપ બીજાનું. આવું તમે પણ જોયું હશે અને ધર્મસંકટનો તમે પણ અનુભવ અનુભવ કર્યો હશે. લોકો પોતાને નામે પાપ જમા થાય અને ઈશ્વર કોપાયમાન થાય તેનાથી ડરે છે.

અહીં મનમાં એક પ્રશ્ન થાય છે. આ પાપ, પુણ્ય અને ઈશ્વરનો પ્રકોપ કોના માટે છે?

સાળંગપુરના સ્વામિનારાયણ મંદિરના સંચાલકોએ મહાબલિ હનુમાનજીને સહજાનંદસ્વામીના સેવક અને દાસ બનાવી દીધા. તેમને બજરંગ બલિના પ્રકોપનો ડર ન લાગ્યો, જ્યારે કે એ જ સાળંગપુરમાં લાખોની સંખ્યામાં લોકો હનુમાનજીને પ્રસન્ન કરીને તેમનું દુઃખ દૂર કરવા આવે છે. તેમને મન હનુમાનજી દુઃખહર્તા છે. ઊલટું હનુમાનજીને સહજાનંદસ્વામીના સેવક બનાવનારાઓએ તો માન્યું હશે કે તેઓ પુણ્યકાર્ય કરી રહ્યા છે અને તેમનું તેમને ફળ મળશે. તમે ભગવાનના ફોટાવાળું કાર્ડ ગમે ત્યાં ફગાવી દેતા ડરો અને અહીં ડર્યા વિના આખેઆખા ભગવાનનું સ્તર જ નીચે ઉતારી દીધું.

તો આ પાપ કોના માટે છે, પ્રકોપ કોના માટે છે અને ભય કોના માટે છે? ક્યારે ય વિચાર્યું છે? મંદિરોમાં ખુલ્લેઆમ ધર્મનો ધંધો થાય છે. લાઈનમાં ઊભા રહ્યા વિના દર્શન કરવા હોય તો પૈસા આપીને કરી શકાય છે. વિશેષ પૂજા, વિશેષ આરતી વગેરે વિશેષ એ લોકો માટે છે જેની પાસે વિશેષ ધન છે. તેઓ ગરીબોને ઈશ્વરની વિશેષ આરાધનાથી વંચિત રાખે છે, પણ તેમને ઈશ્વરના પ્રકોપનો કે પાપનો ડર નથી લાગતો. તો શું ઈશ્વર એને જ દંડે છે જે એને પૂજે છે અને એને નથી દંડતો જે એના નામે ધંધો કરે છે? કેટલાક કોમવાદી ધર્મગુરુઓ બીજા ધર્મને અને બીજાના ધર્મના ઈશ્વરની નિંદા કરે છે ત્યારે તેમને પણ એ બીજાના ધર્મના ઈશ્વરના પ્રકોપનો ડર નથી લાગતો. તો શું ઈશ્વરનું શાસન કે આણ તેને માનનારાઓ પૂરતી જ છે? એવું પણ જોવા મળે છે કે એક જ ધર્મના સંપ્રદાયવાદીઓ એ જ ધર્મના બીજા સંપ્રદાયના ઇષ્ટદેવની ઉપેક્ષા કરે છે અને નિંદા કરે છે તો તેમાં તેમને એ ઈશ્વરના પ્રકોપનો ડર નહીં લાગતો હોય? તો આ પ્રકોપ અને ડર છે કોના માટે?

આ દેશમાં કોમવાદીઓની અછત નથી. છાશવારે તેઓ કોમી વિખવાદ પેદા કરે છે. એમાંથી રાજકીય જરૂરત હોય તો મોટા પ્રમાણમાં કોમી હુલ્લડો પણ થાય છે. આપણે જાણીએ છીએ કે સેંકડો લોકો એમાં માર્યા જાય છે. ઈશ્વરને અને ધર્મને નામે વિખવાદ પેદા કરવાનારાઓ ઈશ્વરના પ્રકોપનો ડર નથી અનુભવતા. મારી આ પ્રવૃત્તિને કારણે નિર્દોષ લોકોએ પ્રાણ ગુમાવ્યા એમ કહીને તમે એમાંથી કોઈને વિલાપ કરતા જોયા છે? ઈશ્વર મને માફ નહીં કરે એમ કહેતા કોઈને સાંભળ્યા? રતીભાર રંજ તેમના ચહેરા પર જોવા નહીં મળે અને તબિયત જોશો તો રાતી રાયણ જેવી હશે.

સ્વામીનારાયણ મંદિરની ઘટનાને લઈને નારાજ થઈ જનારાઓએ એક નજર પુરાણો પર કરવાની જરૂર છે. સનાતન ધર્મમાં આ કોઈ નવી વાત નથી. જો તમે શિવપુરાણ વાંચશો તો એમાં જોવા મળશે કે રાક્ષસોના ત્રાસથી મુક્તિ મેળવવા દેવો અલગ અલગ ભગવાન પાસે જાય છે, પણ કોઈ ભગવાન તેમને મુક્તિ અપાવી શકતા નથી અને દરેક સલાહ આપે છે કે દેવોએ શિવજી પાસે જવું જોઈએ. માત્ર શિવ ભગવાન રાક્ષસોનો નાશ કરી શકે એમ છે. જો વિષ્ણુપુરાણ વાંચશો તો એમાં વિષ્ણુની સર્વોપરિતા જોવા મળશે. પુરાણકર્તાઓએ બીજા ભગવાન નારાજ થશે અને તેમનાં પ્રકોપનો ભોગ બનવું પડશે એની ચિંતા કરી નહોતી. જેમણે પુરાણોની કથા વાંચી હશે તેમને આની જાણ હશે.

તો વાતનો સાર એ કે ઈશ્વરનો અને ઈશ્વરના પ્રકોપનો ડર એ લોકોને લાગે છે જેઓ ઈશ્વરભીરુ છે. બાકી જે લોકો ઈશ્વરના નામે ધંધો કરે છે, જે લોકો પોતાના ધર્મની સર્વોપરિતા સ્થાપીને સમાજમાં પોતાના ધર્મ માટે જગ્યા બનાવવાની હરરીફાઈમાં ઉતર્યા છે, જેઓ ચેલા અને અનુયાયી મુંડવામાં રચ્યાપચ્યા રહે છે, જેઓ ધર્મના નામે કોમી વિખવાદ પેદા કરીને સત્તાનું રાજકારણ કરે છે, જેઓ ભગવા (કે કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના ધાર્મિક વસ્ત્રો અંગીકાર કરનારા ધર્મગુરુ) વસ્ત્રો પહેરીને કુકર્મ કરે છે તેમને ઈશ્વરનો કે ઈશ્વરના પ્રકોપનો ડર લાગતો નથી. નજર કરી જુઓ આજુબાજુ.

અને વિડંબના જુઓ! ઈશ્વરભીરુ લોકો આ લોકોને પોતાના રાહબર અને તારણહાર સમજે છે. ભગવાન બુદ્ધે કહ્યું હતું; તું જ તારો દીપક બન. અંતરાત્માને અહર્નિશ સાક્ષી રાખો અને અનીતિથી ડરો.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 10 સપ્ટેમ્બર 2023

Loading

બે ગઝલ

સાહિલ|Poetry|9 September 2023

વગઝલ 

બાંધવા જે વું કશું હોતું નથી

છોડવા જેવું કશું હોતું નથી 

સગપણો તો દૂરતાનો ખેલ છે

હાથવા જેવું કશું હોતું નથી 

રેઢા પડ જેવો વસીલો છે તો શું

લૂંટવા જેવું કશું હોતું નથી 

સ્વપ્ન તૂટ્યાં તોય મન કહેતુ રહ્યું

તૂટવા જેવું કશું હોતું નથી 

ભાગ્યનો ફૂગ્ગો ફૂટેલો હોય તો

ફૂંકવા જેવું કશું હોતું નથી 

છે તિલિસ્મિ જૂઠ જો કોઈ કહે

આપવા જેવું કશું હોતું નથી 

આંખથી સાહિલ જો વાતો થાય તો

બોલવા જેવું કશું હોતું નથી

•••

ગઝલ 

કયા તારણે

કયા કારણે 

                    ટકોરા દીધા

                     કયા બારણે

વિટાયા છીએ

કયા તાંતણે

                    થયા હિમ સમા

                     કયા તાપણે

જીવ્યાં યાદમાં

કયા સગપણે

                      બળ્યા તો બળ્યા

                       કયા ખાપણે

મળીશું ફરી

કયા ભવરણે

 (06/09/2923)
e.mail : sahilrjt1946@gmail.com
નીસા ૩/૧૫ દયાનંદ નગર, રાજકોટ-360 002

Loading

...102030...864865866867...870880890...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved