Opinion Magazine
Number of visits: 9666083
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—227

દીપક મહેતા|Opinion - Opinion|16 December 2023

મુંબઈના ગવર્નરના ઘરના બાગમાં હરણ, વાંદરા અને ગધેડા

રોજે રોજ ભરતીનાં પાણીમાં ડૂબી જતો મુંબઈનો એક રસ્તો            

કલકત્તાના લોર્ડ બિશપ રેવરન્ડ રેગિનાલ્ડ હેબરની સાથે મુંબઈના પ્રવાસમાં આગળ વધીએ. હેબર પતિ-પત્ની ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટનની સાથે પ્રવાસમાં જોડાયાં તે પછી તેમની વચ્ચેનો ઘરોબો વધ્યો. પણ એ અંગે હેબરના શબ્દોમાં જ વાત સાંભળીએ. ચોથી જૂને નોતરું આપીને ગવર્નરે અમને ઘરે બોલાવ્યાં. એટલે અમે પરળ ખાતે આવેલા ગવર્નર્સ હાઉસ ગયાં. હકીકતમાં, મુંબઈમાં ગવર્નરનાં ત્રણ રહેઠાણ છે. પહેલું કોટ કહેતાં ફોર્ટની અંદર આવેલું વિશાળ, પણ હવે ત્યજી દેવાયેલું રહેઠાણ. આ ઘર છે મોટું, સગવડ ભરેલું પણ ખરું, પણ હવે તેનો ઉપયોગ ફક્ત જાહેર સમારંભો કે જાહેર દરબાર ભરવા પૂરતો જ થાય છે. મોટું છે તો ય આ મકાન આજે ગરીબડું દેખાય છે. જો કે આવી દશા ફોર્ટમાં આવેલાં બીજાં મોટાં મકાનોની પણ જોવા મળે છે. 

માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન – યુવાન વયે 

શહેરથી આઠેક માઈલ દૂર આવેલા મલબાર પોઈન્ટ ખાતે એક નાનકડું પણ રૂપકડું કોટેજ આવેલું છે. તે દરિયાથી એટલું નજીક છે કે ભરતી વખતે દરિયાની વાછંટ એ કોટેજને ભીંજવી દે છે. ઉનાળાના દિવસોમાં ગવર્નર એલ્ફિન્સ્ટન મોટે ભાગે અહીં રહેવા આવે છે. આખા શહેરનો અને તેના સમુદ્ર કાંઠાનો અદ્ભુત કહી શકાય એવો નજારો અહીંથી જોવા મળે છે. મલબાર પોઈન્ટ પરથી નીચે ઉતરીએ તો રસ્તાની જમણી બાજુએ યુરોપિયનોના બંગલા દેખાય છે. અહીંનાં હવા-પાણી આખા મુંબઈમાં સૌથી સારાં હોવાનું મનાય છે. તેનાથી આગળ વધીએ તો એક નાનું ગામડું આવે છે, જ્યાં મુખ્ય વસ્તી બ્રાહ્મણોની છે. એ વસ્તીની વચમાં બાણગંગા તરીકે ઓળખાતું સુંદર તળાવ આવેલું છે. જેને માટે ‘ભવ્ય’ સિવાય બીજો શબ્દ વાપરી ન શકાય એવાં પગથિયાં ઊતરીને એ તળાવ સુધી પહોંચાય છે. 

મલબાર હિલ – ૧૮૫૦થી ૧૮૭૦ના અરસામાં

પણ ગવર્નરનું સત્તાવાર રહેઠાણ તો મુંબઈથી લગભગ છ માઈલ દૂર, પરળ ખાતે આવેલું છે. આ મકાન અંદરથી બહુ રૂપકડું છે. કોતરણીવાળા લાકડાનાં પગથિયાં અને સુશોભિત છત. અહીં એકની ઉપર બીજો, એમ બે વિશાળ ખંડ આવેલા છે, જે લગભગ ૭૫થી ૮૦ ફીટ લાંબા છે. તેમાંનું રાચરચીલું પણ ખૂબ સરસ છે. નીચેનો ઓરડો ડાઈનિંગ-રૂમ તરીકે વપરાય છે. આશરે ૬૦ વરસ પહેલાં આગલા માલિક પાસેથી સરકારે આ મકાન ખરીદી લીધું હતું. મકાનની પાછળ આવેલા બાગમાં જાતજાતનાં હરણ જોવા મળે છે. આ ઉપરાંત અહીં છે ખાસ કચ્છથી લાવવામાં આવેલ ગધેડા, સુમાત્રાથી લાવેલા ખાસ જાતના વાંદરા. 

અહીંથી લગભગ અડધા માઈલ પછી દરિયા કાંઠાને અડીને નાળિયેરીનું વન આવેલું છે. તેની વચ્ચેથી પસાર થતા રસ્તા પર લગભગ ત્રણ માઈલ ચાલીએ એટલે માહિમ નામના ગામના બંદરે પહોંચીએ. આ ગામમાં બધા ધરમના લોકો વસે છે, પણ સૌથી વધુ વસતી પોર્તુગાલી ખ્રિસ્તીઓની છે. પણ તેમના દેખાવ અને પહેરવેશ એવા છે કે એ ‘દેશી’ઓ સાથે પૂરેપૂરા ભળી જાય છે. વળી અહીં ખ્રિસ્તી કોલેજના અવશેષો જોવા મળે છે, અને પોર્તુગાલીઓએ બાંધેલું એક ચર્ચ આજે પણ અહીં ઊભું છે એના પરથી કહી શકાય કે એક જમાનામાં અહીં સૌથી મોટી વસતી પોર્તુગાલી ખ્રિસ્તીઓની હશે. અલબત્ત, માહિમમાં હિંદુ મંદિર અને મુસ્લિમ મસ્જિદ પણ આવેલાં છે. માહિમ ગામ આડેધડ વિકસેલું છે, પણ અહીં કિલ્લો પણ બંધાયેલો છે એ જોઈને કહી શકાય કે એક જમાનામાં માહિમ સારું એવું માલદાર હશે. 

સાલસેટથી પાછા ફરતાં થયેલો એક અનુભવ તો લાંબા વખત સુધી યાદ રહેશે. સાલસેટ બાજુએથી એક કોઝ-વે બંધાયો છે, પણ તે માહિમના ટાપુ સુધી જતો નથી, અડધે સુધી જ જાય છે. એટલે પછીની મુસાફરી હોડીમાં કરીને માહિમ બંદર પહોંચવું પડે છે. વળી જેટલો બંધાયો છે તેટલા કોઝ-વેનો ઘણોખરો ભાગ નીચાણવાળો છે. એટલે ભરતીને વખતે તે દરિયાનાં પાણીમાં ગરક થઈ જાય છે. સાલસેટ છેડે પાંચ ઘોડા ગાડી ઊભી હોય છે જે તમને કોઝ-વેના છેડા સુધી લઈ જાય છે. એ છેડે ઊભેલી હોડીઓમાં બેસીને માહિમ બંદરે પહોંચાય છે. 

માહિમ – ૧૯મી સદીના પૂર્વાર્ધમાં 

હવે થયું એવું કે ભરતી વખતે કોઝ-વે દરિયાના પાણીમાં ડૂબી જાય છે એ વાતની અમને ખબર નહોતી. એટલે અમે તો અમારી ગાડીઓને કોઝ-વેના સૌથી દૂરના છેડા સુધી લઈ ગયા હતા. અમારી પહેલાં જે લોકો ગયા તે તો મછવામાં બેસીને સામે પાર પહોંચી ગયા. અમારા ગાડીવાનોએ તો ઘોડાને છોડીને છુટ્ટા મૂકી દીધા અને પોતે ટોળું વળીને ગામગપાટા મારવા લાગ્યા. અમે બધા કોઝ-વે પર આમથી તેમ લટાર મારવા લાગ્યા. થોડા વખત પછી અમને લાગ્યું કે અમે ચાલતા હતા તે રસ્તો નાનો ને નાનો થતો જતો હતો. આમ કેવી રીતે બને? જરા ધ્યાનથી જોયું તો જણાયું કે રસ્તાનો ઘણો ભાગ ભરતીના પાણી નીચે ગરક થઈ ગયો હતો! હવે અમે જરા ગભરાયા. ત્યાંના રહેવાસીઓને પૂછ્યું કે ભરતીનાં પાણી કેટલાં ઊંચાં ચડે છે, અને રસ્તાનો કેટલો ભાગ ડૂબી જાય છે? પણ જવાબ મળ્યો : ‘અમને ખબર નથી.’ એ લોકો અને અમારા ગાડીવાળા તો સાવ નચિંત હતા, પણ અમારી ચિંતા વધતી જતી હતી. અમે બરાબરના ફસાયા હતા. 

ભરતીનાં પાણી ઓસરે અને ઘોડા ગાડીઓને લેવા માટે તરાપો આવે ત્યાં સુધી રાહ જોવાય નહિ. એટલે અમે તાબડતોબ ઘોડા જોડવા કહ્યું. પણ એ કાંઈ સહેલું તો નહોતું જ. વળી રસ્તો એટલો સાંકડો હતો કે ઘોડા જોડતાં પહેલાં ગાડીવાને જાતે ગાડીને ઊંધી દિશામાં ફેરવવી પડતી અને પછી ઘોડો જોડાતો. આ બધામાં તો ઘણી વાર લાગી. આ બધું પત્યું ત્યાં સુધીમાં તો પાણી માથોડાભર થઈ ગયું હતું. જો કે આસપાસનું દૃષ્ય તો મજેનું હતું. રાત પડી ચૂકી હતી. માથા પર ચંદ્ર ખીલ્યો હતો. તારા ટમટમતા હતા. અને દરિયાનાં પાણી તેમનું પ્રતિબિંબ ઝીલતાં હતાં. પણ અત્યારે એ દૃષ્ય માણવાનું કોઈને સૂઝે તેમ નહોતું. કારણ દરિયાનાં પાણીથી ઘેરાયેલા રસ્તા પરથી છૂટવાનો કોઈ ઉપાય જણાતો નહોતો.

બરાબર એ જ વખતે એક નાની નાવડી આવતી દેખાણી. અમે બધાં તેમાં ચડી ગયાં. ખલાસીઓએ બને તેટલી ઝડપથી નાવ હંકારી અને અમને સામે કાંઠે હેમખેમ પહોચાડી દીધાં. હા, અમારી ગાડીઓ, તેને જોડેલા ઘોડા, ગાડીવાનો, તો હજી પેલે છેડે જ હતા. દરિયામાં ઓટ આવી ત્યારે એ બધા માહિમ બંદરે આવી પહોંચ્યાં. પરમ કૃપાળુ પરમાત્માનો પાડ માનવો રહ્યો કે એ રાતે ભરતી હતી, પણ દરિયો શાંત હતો. જો પવન ફૂંકાયો હોત અને દરિયો ગાંડો થયો હોત તો? તો કદાચ આ શબ્દો લખવા માટે હું હયાત ન હોત!

ચોમાસું મોડું બેસે તો અહીંના લોકો રીતસર ગભરાવા લાગે છે અને જાત જાતની વાતો વહેતી થાય છે. અમે મુંબઈ હતા તેના આગલા બે વરસ વરસાદ નજીવો થયેલો અને દુકાળ જેવી દશા થઈ હતી. આથી ઘણા લોકો કહેતા કે દુકાળ પડે ત્યારે લાગલાગટ ત્રણ વરસ પડે. એટલે આ વરસે પણ દુકાળના દહાડા જોવા પડવાના. તો આરબ વેપારીઓ કહેવા લાગ્યા કે આગલાં બે વરસ રાતા સમુદ્રમાં જેવા વાયરા વાઈ રહ્યા હતા, તેવા જ આ વરસે પણ વાઈ રહ્યા છે. એટલે આ વરસે પણ દુકાળ પડવાનો. 

પણ મુંબઈનાં નસીબ પાધરાં, કે થોડા દિવસ પછી વરસાદ શરૂ થયો. મુંબઈમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં. ખેડૂતો ખુશ ખુશ અને તરત વાવણી શરૂ કરી દીધી (પ્રિય વાચક : આ વાત મુંબઈની છે હોં – દી.મ.) જો કે કલકત્તાના વરસાદ કરતાં મુંબઈનો વરસાદ ડાહ્યો હતો. ત્યાંના કડાકાભડાકા કે વીજળીના ચમકારા અહીં નહોતા. અહીં તો એકધારો વરસાદ મૂંગો મૂંગો વરસતો હતો. ઠેર ઠેર ખાબોચિયામાં દેડકાઓ કૂદાકૂદ અને ડ્રાંઉ ડ્રાંઉ કરતા હતા. મને કહેવામાં આવેલું કે ચોમાસામાં મુંબઈની હવામાં ભેજ પુષ્કળ વધી જાય છે. પણ મને એવું ન લાગ્યું. કલકત્તા જેટલી ઝડપથી અહીં કાગળો અને ચોપડીઓને ફૂગ લાગતી નહોતી, અને લોઢાની વસ્તુઓને કાટ લાગતો નહોતો. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ મુંબઈ મને ગમવા લાગ્યું.

૧૫મી ઓગસ્ટની સવારે અમે મુંબઈ છોડ્યું. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કેપ્ટન બ્રૂક્સના નેજા નીચે અમે ડિસ્કવરી નામના વહાણમાં મુસાફરી શરૂ કરી. અમે નીકળવાના હતા તે દિવસે સવારે ગવર્નર એલ્ફિન્સ્ટને ફોર્ટમાં આવેલા ગવર્નર્સ હાઉસમાં અમારા માનમાં ખાસ બ્રેકફાસ્ટનું આયોજન કર્યું હતું. સરકારના તેમ જ લશ્કરના બધા મોટા અધિકારીઓને તે માટે આમંત્ર્યા હતા. બ્રેકફાસ્ટ પછી તેમાંના ઘણા અફસરો દરિયા કાંઠા સુધી અમને વળાવવા આવ્યા હતા. તો કેટલાક તો અમારી સાથે વહાણ પર ચડ્યા હતા. હા, ફરી કલકત્તા જઈને મારું કામ શરૂ કરી શકીશ એ વાતનો આનંદ મને જરૂર હતો. પણ સાથે સાથે મુંબઈ છોડતાં જીવ થોડો ચચરતો હતો. અમે ધાર્યા કરતાં ઘણો વધારે ઉષ્માભર્યો આવકાર અમને મુંબઈમાં મળ્યો. 

જલભૂષણ બંગલો 

એક ખુલાસો: 

લેખકે અહીં ગવર્નરનાં ત્રણ રહેઠાણની વાત કરી છે તેમાં મલબાર હિલ ખાતેનું બીજું રહેઠાણ તે હાલનું રાજભવન નહિ. એ તો સત્તાવાર નિવાસસ્થાન બન્યું છેક ૧૮૮૩માં. પણ ગવર્નર એલ્ફિન્સ્ટને મલબાર પોઈન્ટ પર ‘પ્રેટી કોટેજ’ નામનો એક બંગલો બંધાવ્યો હતો અને ૧૮૨૦થી ૧૮૨૫ સુધી તેઓ ઘણી વાર ત્યાં રહેવા જતા. આજના રાજભવનમાં આવેલા જલભૂષણ બંગલાની જગ્યાએ આ બંગલો આવ્યો હતો. અસલી જલભૂષણ બંગલો પણ આજે રહ્યો નથી. તેને તોડીને નવેસરથી બાંધવામાં આવ્યો જેનું ઉદ્ઘાટન ૨૦૨૨ના જૂનમાં થયું હતું. આજે ગવર્નર રહેઠાણ માટે જ્લભૂષણ બંગલો વાપરે છે. પોતાના બંગલા માટે એલ્ફિન્સ્ટને ફ્રાન્સથી ફર્નિચર મંગાવેલું તેમાંનું કેટલુંક આજે ગવર્નરની ઓફિસના ખંડમાં જોવા મળે છે. – દી.મ.) 

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx 

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 16 ડિસેમ્બર 2023)

Loading

નીતિ અને અર્થશાસ્ત્ર

રોબર્ટ સ્કિદેલસ્કી [ભાવાનુવાદ : હેમંતકુમાર શાહ]|Opinion - Opinion|16 December 2023

ભાગ – ૧

રોબર્ટ સ્કિદેલસ્કી

જ્હોન મેનાર્ડ કેઇન્સ કહે છે કે “મૂળભૂત સમસ્યા…..એક એવી સામાજિક વ્યવસ્થા ઊભી કરવાની છે કે જે આર્થિક રીતે અને નૈતિક રીતે કાર્યક્ષમ હોય.”

લાયોનેલ રોબિન્સ દ્વારા આ શબ્દો સાથે અર્થશાસ્ત્રમાંથી નીતિને બહાર ફેંકી દેવાઈ : “કોઈ આર્થિક ધ્યેયો નથી, માત્ર આપેલાં ધ્યેયો સિદ્ધ કરવા માટેનાં આર્થિક અને બિન-આર્થિક સાધનો છે ….. અર્થશાસ્ત્ર નિશ્ચિતતાથી કહી શકાય તેવી હકીકતો સાથે સંબંધ ધરાવે છે, નીતિને મૂલ્યો અને ફરજો સાથે સંબંધ છે. એમને સાંકળવાનો માર્ગ એમને નિકટ લાવવાનો છે.” એ બંને “સંવાદમાં એક જ જગ્યાએ નથી.” નોબેલ ઈનામ વિજેતા જ્યોર્જ જોસેફ સ્ટિગ્લર (૧૯૧૧-૯૧) પણ એવા જ વિચારો ધરાવતા હતા. તેમણે લખેલું કે “સામાજિક ભૂલો” સુધારવા માટે અર્થશાસ્ત્રને ગણિતની જરૂર છે, નીતિની નહિ.

અર્થશાસ્ત્રીઓની જૂની પેઢી ધ્યેયની તાર્કિકતા, સ્વાર્થમાં નીતિ અને સાધનોમાં નૈતિકતા જેવા મુદ્દા વિશે મૂંઝવણ અનુભવતી હતી. જો કે, આવા પ્રશ્નો પર ધ્યાન આપવામાં આવે તો તે યોગ્ય વિશ્લેષણ કરવામાં અવરોધ બને છે એમ ધીમે ધીમે વધુ ને વધુ સમજવામાં આવતું ગયું. કેમ્બ્રિજ ખાતેના રાજકીય અર્થતંત્ર (political economy) વિષયના પ્રાધ્યાપક આલ્ફ્રેડ માર્શલ દ્વારા ૧૯૦૩માં નૈતિક વિજ્ઞાનના અભ્યાસક્રમમાંથી અર્થશાસ્ત્રની બાદબાકી કરી નાખવામાં આવી. તેમને એવી પ્રતીતિ થઈ હતી કે અધ્યાત્મશાસ્ત્ર (metaphysics) સારા લોકોને અર્થશાસ્ત્રનો અભ્યાસ કરતાં રોકે છે. રોબિન્સ દ્વારા કહેવામાં આવ્યું હતું તેમ અર્થશાસ્ત્ર માત્ર સાધનોની કાર્યક્ષમતા સાથે જ સંબંધિત બનતું ગયું. 

દા. ત. યુદ્ધ લડવા માટે ઓછા અને વધુ કાર્યક્ષમ રસ્તા છે. યુદ્ધ થવું જોઇએ કે નહીં અને તે જે રીતે લડવામાં આવે છે તેની નૈતિકતા એ એવી બાબત છે કે જેના વિશે અર્થશાસ્ત્રીઓ અંગત મંતવ્યો ધરાવી શકે છે. પરંતુ કોઈ અર્થશાસ્ત્રી જો ‘વૈજ્ઞાનિક’ સલાહ આપે તો તેને વિશે અર્થશાસ્ત્રીઓએ કશી માથાકૂટ કરવી જોઇએ નહિ. જો એ વ્યક્તિગત રીતે યુદ્ધ સાથે કે તે લડવાની પદ્ધતિઓ સાથે સંબંધિત ન રહેવાનું પસંદ કરે તો પણ, એ નૈતિક મુદ્દો છે અને અર્થશાસ્ત્રની બહારનો મુદ્દો છે. અર્થશાસ્ત્ર વિષયમાં મનુષ્યના નૈતિક કે અનૈતિક વર્તન જેવું કશું છે જ નહિ, માત્ર કાર્યક્ષમ અને બિન-કાર્યક્ષમ વર્તન હોય છે. બહુ બહુ તો, નૈતિક સૂત્રો કાર્યક્ષમતાના સાધન તરીકે કામ લાગે. જેમ કે, ‘પ્રમાણિકતા એ શ્રેષ્ઠ નીતિ છે.’

સ્પષ્ટ છે કે આધુનિક અર્થશાસ્ત્રના પિતા ગણાતા એડમ સ્મિથ સ્વહિતના સ્વાર્થી મતલબથી વિક્ષુબ્ધ હતા. તેમણે ‘સહાનુભૂતિ’ના અલગ હેતુ વિશે વાત કરી હતી પણ તેમના અનુગામીઓએ એ મુદ્દો જ પડતો મૂક્યો હતો. તેમને એ મુદ્દો આનુમાનિક વ્યવસ્થા(deductive system)ના તર્કને ગૂંચવી નાખનારો લાગ્યો હતો. કાર્લ માર્ક્સને વિતરણના ન્યાય સાથે સંબંધ હતો. જ્હોન સ્ટુઅર્ટ મિલ દ્વારા એવો સવાલ ઉઠાવવામાં આવ્યો કે સારી જિંદગી માટે “કેટલું હોવું પૂરતું છે?” પરંતુ લાયોનેલ રોબિન્સના ખ્યાલમાં આવી બાહ્ય નૈતિક બાબતો કાઢી નાખવામાં આવી. તેમના અર્થશાસ્ત્રમાં વ્યક્તિઓ સ્વાર્થથી ભરપૂર છે, તેમને સામાજિક સંબંધો છે જ નહિ. પરંતુ એ વ્યક્તિઓ વિવિધ અનંત ઈચ્છાઓ ધરાવે છે અને તેમનું બજેટ ઓછું છે અને તેથી તેઓ એકસાથે બધી ઈચ્છાઓ પરિપૂર્ણ કરી શકતા નથી. તેથી તેમણે પસંદગીઓ કરવી પડે છે. અર્થશાસ્ત્ર આ રીતે આવી પસંદગીઓ વિશેના તર્કનો અભ્યાસ કરે છે.

લોકો ખરેખર કેવી રીતે વર્તે છે અથવા તેમણે કેવી રીતે વર્તવું જોઈએ તે વર્ણવવાનો આ મોડેલનો ઈરાદો છે કે નહિ તે મુદ્દો અહીં છે જ નહિ. બેમાંથી એકેયમાં નીતિ સામેલ છે જ નહિ, માત્ર ગણિત (artithmatic) સામેલ છે. જો લોકોને સારી વસ્તુઓને બદલે ખરાબ વસ્તુઓ વાપરવાની ઈચ્છા થાય તો અર્થશાસ્ત્રમાં તેને માત્ર માંગમાં ફેરફાર થયો એમ જ ગણવામાં આવે છે. અને એમાં અર્થશાસ્ત્ર માત્ર એટલું જ પૂછે છે કે ખરાબ વસ્તુઓ પ્રાપ્ત કરવાનો હેતુ સિદ્ધ કરવા કયાં સાધનો યોગ્ય છે. સાધનો કે હેતુઓનું નૈતિક મૂલ્ય અર્થશાસ્ત્રમાં અપ્રસ્તુત છે. 

આવા બધા વિચારો અર્થતંત્ર વિશેના અગાઉના વિચારોથી ખાસ્સા ઊંધા હતા. મધ્ય યુગીન વ્યવસ્થાનું પતન થતું ગયું તેમ તેમ મૂડીવાદની સાથે સાથે વૈજ્ઞાનિક અર્થશાસ્ત્ર વિકસતું ગયું. મધ્ય યુગીન વિચારધારાના કેન્દ્રમાં મૂલ્યનો પ્રશ્ન હતો, પ્રશંસા કે ગૌરવ માટે શું યોગ્ય છે અને શું અયોગ્ય છે તે મહત્ત્વનું હતું, સીધીસાદી ભાષામાં કહીએ તો શું સારું છે અને શું ખરાબ છે તે મહત્ત્વનું હતું. અર્થશાસ્ત્ર એની ખોજનો એક ભાગ હતું. પરંતુ સારી બાબતો અને ખરાબ બાબતો વિશેની ચર્ચા થાય એમાં એક લાભ હતો અને તે એ હતો કે ભૌતિક વસ્તુઓનું મૂલ્ય (value) સમતોલ કરી શકાય છે – એટલે કે તેના ખર્ચ અને લાભને નાણાંના એક જ માપદંડ દ્વારા નિર્ધારિત રીતે દર્શાવી શકાય છે. એટલે ભૌતિક ચીજોના મૂલ્યનો પ્રશ્ન આરંભથી જ નાણાંકીય ભાવના સંદર્ભમાં દર્શાવી શકાય છે. એટલે આર્થિક વસ્તુઓના ભાવ પણ નૈતિક વ્યવસ્થામાં આ વસ્તુઓનું શું સ્થાન છે તે વ્યક્ત કરે તેમ બને, અને તેના સંદર્ભ સાથે તેની સમજૂતી પણ મળે. 

આજે આપણે જોઈએ છીએ કે અર્થશાસ્ત્ર જેમ જેમ પુખ્ત થતું ગયું તેમ તેમ તેમાંથી નૈતિક બાબતો પડતી મૂકાતી ગઈ. મૂલ્ય (value) અને કિંમત (price) વચ્ચેના સંબંધની ચર્ચા મૂલ્યમુક્ત ગણિતમાં સરી પડી. વ્યવહાર માટે મિલકત છે એવો ખ્યાલ અદૃશ્ય થઈ ગયો, સાધનોની નૈતિકતા કાર્યક્ષમતામાં સામેલ થઈ ગઈ; અને ધ્યેયની નૈતિકતા ધર્મ અને નીતિશાસ્ત્રની બાબત છે એમ કહેવામાં આવ્યું. આજે સવાલ એ છે કે અર્થશાસ્ત્રીઓની સામાજિક ભૂલોના ઉપાય માટે પર્યાપ્ત શક્તિશાળી એવો નૈતિક સંવાદ આપણી પાસે છે કે નહિ. 

(ક્રમશ:)

સ્રોત: અમેરિકાની યેલ યુનિવર્સિટીના અધ્યાપક દ્વારા ૨૦૨૦માં લખવામાં આવેલા પુસ્તક ‘What is Wrong with Economics?’નું પ્રકરણ-૧૨ ‘Ethics and Economics’.

સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

લોકાયની નારાયણ દેસાઈ : શતાબ્દી વર્ષ–પ્રવેશે

પ્રકાશ ન. શાહ|Opinion - Literature|15 December 2023

પ્રમુખીય

પ્રકાશ ન. શાહ

બસ, હવે થોડા દિવસ – અને નારાયણ દેસાઈ(૨૪-૧૨-૧૯૨૪ − ૧૫-૩-૨૦૧૫)ના શતાબ્દી વર્ષમાં પ્રવેશીશું. હમણાં મેં એમના જન્મદિવસની જિકર કરી, પણ પિતા મહાદેવ દેસાઈની વિશ્વવિશ્રુત ડાયરીમાં એનો ઉલ્લેખ સરખો નથી; કેમ કે એ તો ગાંધીચર્યા અંગેની હતી.

પિતાની ડાયરીમાં પોતાની જન્મનોંધ નથી એનું વેર પુત્ર નારાયણે અનોખી રીતે લીધું, જીવનચરિત્રના લેખનમાં આપણે ત્યાં એક પ્રતિમાન રૂપ ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ લખીને. નારાયણભાઈને દર્શક એવૉર્ડ અપાયો ત્યારે એ હાજર રહી શકે તેમ નહોતા એટલે એમના વતી (પુત્ર નચિકેતાના સંકોચવશ) પ્રતિભાવ વાંચવાનું મારે હિસ્સે આવ્યું હતું. પિતૃચરિત્રમાં પોતે નીવડી આવ્યા એનો યશ નારાયણભાઈએ આ પ્રતિભાવમાં મૈથિલીશરણ ગુપ્તને ટાંકીને ખુદ પિતાને જ આપ્યો અને એક રીતે પેલું વત્સલ વેરવર્તુળ જાણે પૂરું થયું :

राम तुम्हारा चरित स्वयं ही काव्य है,
कोई कवि बन जाय सहज संभाव्य है ।

૧૯૯૨-૯૩ની વાત આ તો છે. વચલાં વર્ષોમાં પ્રવૃત્તિલક્ષી લેખન, જેમાં પદયાત્રાની વાસરીથી માંડી ચેક ને બાંગ્લા પ્રજાઓની લોકલડતનુંયે આલેખન હોય, ચાલતું રહ્યું હશે એની વચ્ચે ૧૯૬૭માં ‘સંત સેવતાં સુકૃત વાધે’ એ ગાંધી આસપાસનાં સંસ્મરણોનું પુસ્તક આવ્યું તે સાથે સાહિત્યમાં એમનો સિક્કો પડવા લાગ્યો. પ્રકાશક મિત્ર ભાઈદાસ પરીખે સ્વામીદાદાને એના ફરમા મોકલ્યા હશે તે એમણે ‘એક જ બેઠકે વાંચી કાઢ્યા. સાવ પી જ ગયો. આખી ચોપડી એક ઊર્મિલ કાવ્ય સમી છે. ક્યાંક તો જાણે ટેનસિનનું ‘ઇન મેમોરિયમ’ ગદ્યમાં વાંચતા હોઈએ …’ અને વાતનો બંધ વાળતાં ઉમેર્યું : ‘… મન કૂદકો મારીને ઝડપી લે એવી ચોપડી વર્ષો કે દાયકાઓ પછી મેં વાંચી હોય તો તે આ. It is a remarkable performance. A rare piece of literry art in biographical writing, besides its historical value.’

સ્વામી આનંદે ઐતિહાસિક મૂલ્ય ધરાવતા ચરિત્રલેખનની જે સાહિત્યકળાની વાત કરી છે એનુ અનુત્તમ ઉદાહરણ અલબત્ત આકર ગાંધીચરિત્ર (‘મારું જીવન એ જ મારી વાણી’) : ઑક્ટોબર ૧૯૯૯થી જાન્યુઆરી ૨૦૦૩ સુધીની એટલે કે ત્રણ વરસ અને ચાર મહિનાની એકાસને ચાલેલી આ લેખનતપસ્યા એક જુદો જ ઇતિહાસ છે. હમણાં એની તપસીલમાં નહીં જાઉં.

માત્ર, એટલું સંભારું, સાભિપ્રાય સંભારું કે બૃહદ્દ ચરિત્ર, કહો કે મહાકાવ્યોપમ ફલક પરનું કામ પાર પાડ્યા પછી આ હાડના શિક્ષકને એમ થયું કે નહીં વાંચી શકનારાઓ અને વાંચવાનો સમય નહીં કાઢી શકનારાઓ ગાંધીને જાણશે કેવી રીતે. આયુષ્યના અવશેષે, લગભગ એંશીમે, ખરું જોતાં અવશેષે નહીં પણ ચરમોત્કર્ષે, આ સંદર્ભમાં એમણે પરંપરાગત કથા-માધ્યમને નિયોજવાનું વિચાર્યું. લેખાયનના એક દોર પછી આમ એમનું લોકાયન શરૂ થયું.

નારાયણ દેસાઈ

આ દોર ચાલુ હતો અને ૨૦૦૭માં એમને ૨૦૦૪નો મૂર્તિદેવી એવૉર્ડ આવી મળ્યો. વીસે વરસે આ એવૉર્ડ ગુજરાતમાં આવ્યો હતો. ૧૯૮૭માં દર્શકની મનહર ને મનભર નવલકથા ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ પોંખાઈ હતી, અને હવે ‘મારું જીવન એ જ મારી વાણી.’ એક જો સ્વરાજસંગ્રામના ગાંધીયુગને વિશ્વસંદર્ભમાં જીવતો કરતી નવલકથા હતી, તો બીજી ખુદ ગાંધીની મહાકથા.

આ નિમિત્તે હું સામયિક નોંધ લખતો હોઈશ અને લંડનથી ‘ઓપિનિયન’–ખ્યાત વિપુલ કલ્યાણીનો ગુજરાતઆંગણે સમાનધર્મા સ્નેહીમિત્રો જોગ પત્ર આવી મળ્યો. એમણે ‘વિનમ્ર અરજ’ ગુજારી હતી કે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે નારાયણ દેસાઈ હોવા જોઈએ. મિત્ર વિપુલ કલ્યાણીએ આ પત્રમાં ડૉ. ધીરુભાઈ ઠાકરને સાભિપ્રાય ટાંક્યા હતા : ‘નારાયણ દેસાઈ ઘણું છે. પણ એ સર્વથી અધિક, વિશ્વવિભૂતિ ગાંધીના ભવ્યોજ્જવલ જીવનને અક્ષરબદ્ધ કરીને ગુજરાતી સાહિત્યમાં તેની ચિરપ્રતિષ્ઠા કરનાર સમર્થ ચરિત્રકાર પણ છે. તેમની એ અક્ષરસેવા ગાંધીની સાથે ચિરસ્મરણીય બની છે.’ અને ‘ચાર ભાગમાં વિસ્તરેલું ‘મારું જીવન એ જ મારી વાણી’ ગુજરાતી ચરિત્રસાહિત્યની જ નહીં પરંતુ સમગ્ર અર્વાચીન ગુજરાતી સાહિત્યની અને સંસ્કારજીવનની મહત્ત્વની ઘટના ગણાવી જોઈએ.’

મૂર્તિદેવી એવૉર્ડ નિમિત્તે નોંધ લખતાં આ યોગ આવી મળ્યો એવો ઝડપ્યો – પ્રમુખપદ માટે એમના નામને બિનસંસ્થાકીય છેડેથી મેં પ્રગટ સમર્થન આપ્યું; કેમ કે એમની જે અભિનવ ઓળખ – એક લોકાયની તરીકેની સ્તો, એનું મને અદકું આકર્ષણ હતું. પછી તો, સંસ્થાકીય છેડેથી મિત્રો બંધારણીય પ્રક્રિયા મુજબ આગળ વધ્યા. આવે અવસરે રઘુવીરભાઈની સહજ મધ્યસ્થીથી સુવાણ પણ હોય જ. બીજાં પણ નામો હતાં,પણ એ સન્માન્ય સુહૃદોએ ઉમેદવારીપત્રમાં નામ મૂકવાની સંમતિ નહીં આપીને નારાયણભાઈ સારુ ગરવી ભૂમિકા સરજી. નજીકનાં વર્ષોની છતાં કદાચ યાદ નયે રહી હોય એવી આ તવારીખમાં જવાનું કારણ એટલું જ કે એક પ્રજાકીય સંસ્થા ક્યાં ક્યાંથી કેવી રીતે બળ મેળવે છે એવી, જે પ્રિયેષુ સૌભાગ્યફલા હિ ચારુતા, એનાં લોકશાહી ઓસાણ આપણને રહે.

નારાયણ દેસાઈનું પ્રમુખીય અભિભાષણ (ડિસેમ્બર ૨૦૦૭, ગાંધીનગર), શું કહેવું એને વિશે. એમાંથી કંઈક ટાંકું, એ પૂર્વે પ્રથમ પરિષદ પ્રમુખ ગોમાત્રિ સાંભરે છે :

‘બન્ધુજનો, આ યુગ, રાજકીય સાંસ્કારિક અને અન્ય વિષયના સમાજોનો છે. કોઈ સ્થાને કાઁગ્રેસો તો કોઈ સ્થાને કૉન્ફરન્સો, કોઈ સ્થાને ક્લબ નામે તો કોઈ સ્થાને એસોસિયશન નામે, સમાજો આ દેશમાં તેમ અન્ય દેશોમાં ભરાય છે, જ્યાં સર્વ પાસ આવા સતારના રણકારા સંભળાય છે, ત્યાં આપણા એકતારાનો ધ્વનિ પણ તેમાં ભળે અને સામાજિક પ્રવૃત્તિના લક્ષમાં કાંઈક વૃદ્ધિ કરે, તો તે ચિત્ર દેખીતું સુન્દર જ છે … આ સૃષ્ટિમાત્રનો જડ-ચેતન-વ્યાપી એક નિયમ છે અને તે નિયમનું નામ Rhythmic Law – તાલબન્ધ અથવા અનુપ્રાસયોજના આપીએ તો સમજાય એવું છે. આપણી સાહિત્ય પરિષદ, આખા આર્યાવર્તના એક સમાજપ્રવર્તક નૃત્યમાં આવા તાલબન્ધ નિયમના બળથી ઊભી થઈ છે…

‘… આવા તાલબન્ધ એક પાસથી દૃષ્ટિગોચર થાય છે, તો બીજી પાસથી તાલભંગનાં કઠોર ચિત્ર પણ દૃષ્ટિગોચર થયા વિના રહેતાં નથી … ધીમે ધીમે તાલભંગમાં પણ તાલબન્ધની જ સાંકળો દેખું છું … દાંડિયા રમનારા એકબીજાના દાંડિયા વડે ઝાપટે છે, તે જ રીતે તાલભંગવાળાના પ્રહારથી ઝપટાતા તાલબન્ધમાં અને તાલબન્ધને પ્રેરતા તાલભંગમાં હું કોઈ મહત્તર તાલબન્ધ દેખું છું …’

નારાયણ દેસાઈનું પ્રમુખીય અભિભાષણ તાલબન્ધની ખોજમાં, કહો કે Rhythmic Lawની મથામણમાં, સતારના રણકારા ને એકતારાના ધ્વનિ ભળી સામાજિક પ્રવૃત્તિના લક્ષમાં શોધનપૂર્વકના સાતત્યથી વૃદ્ધિ કરવાની દિશામાં હતું. દર્શકે હૈદરાબાદ અભિભાષણમાં જેમ ખંડમાંથી અખંડ ભણી જવાનો મુદ્દો કીધો હતો, ના.દે.એ તેમ ગિરા ગુર્જરીને વિશ્વગુર્જરી બનાવવાની હોંશ પ્રગટ કરી હતી. ‘મારું જીવન એ જ મારી વાણી’ની તપસ્યા એકાસને માંડી ત્યારે એમણે ‘ગિરાગુર્જરીના સાદે’ તેમ કર્યાનું કહ્યું હતું. પરિષદની વ્યાસપીઠ, રિપીટ, પરિષદની વ્યાસપીઠ પરથી એક પૂર્વપ્રમુખ ગાંધીના અનુત્તમ અનાવિલ ચરિત્રકારને વિશ્વગુર્જરીથી ઓછું તો કશું ખપે જ શાનું.

આ સંદર્ભમાં એમણે વ્યક્ત કરેલા વિચારોનો એક દીર્ઘ અંશ અહીં ઉતારું છું :

વિશ્વની ક્ષિતિજો માપનાર સાહિત્ય કેવું હોય ? એ એવું હોય કે જેની આડે કોઈ વંડી કે વાડ ન આવતી હોય. જે સાહિત્ય જાતિના, સંપ્રદાયના, ધર્મના, રંગના, લિંગના, સ્વાર્થના કે રાષ્ટ્રના ભેદોને ભૂંસી શકે તે ભાષા વિશ્વની ભાષા બને. આપણે શું આ સંમેલનમાં ગુજરાતી ભાષાને વિશ્વગુર્જરી બનાવવાનો સંકલ્પ કરી શકીએ? વિશ્વસાહિત્યકારનું સાહિત્ય વિશ્વના બરનું હોવું જોઈએ અને એને માટેની મુખ્ય શરત એ છે કે સાહિત્યકારનું વ્યક્તિત્વ એ બરનું હોવું જોઈએ. આપણે ત્યાંની ભાષાઓમાં વ્યાસ, વાલ્મીકિ, કબીર, તુલસી, જ્ઞાનેશ્વર, ચૈતન્ય વગેરે એવા વ્યક્તિત્વવાળા થઈ ગયા કે જેમનું વાઙ્ મય જાગતિક સ્તરનું હતું. સાહિત્યકાર કરતાં એનું સાહિત્ય ઊંચું હોઈ શકે કે નહીં એ વિવાદમાં પડ્યા વિના અને સાહિત્ય અને સાહિત્યકારના ચારિત્ર્યને કશો સંબંધ હોય કે નહીં એ પ્રશ્ન તમારા નિર્ણય ૫૨ છોડી, હું અહીં મારો એ વિશ્વાસ વ્યક્ત કરવા માગું છું કે આપણે જો ગુજરાતી સાહિત્યને વિશ્વસ્તરનું બનાવવું હશે, અને બનાવવું છે – તો આપણે આપણાં વ્યક્તિત્વ પણ વિશ્વસ્તરનાં કરવાં પડશે, આપણા સંકુચિત વાડા તોડવા પડશે. તેમ કરવામાં આપણી અસ્મિતા ઘટવાની નથી; બલકે તે વધુ ઊંચી ઊઠશે. 

“આપણને એકબીજાંથી અલગ રાખનારી વાડો ગમે તેટલી સગવડવાળી હોય, ગમે તેટલી લોભામણી હોય, પણ તે આપણને સીમિત અને સંકુચિત જ રાખે છે. વાડો તોડવાનું કામ આપણને ક્રાંતિકારી લાગી શકે. આ ક્રાંતિ એવી છે કે જેની શરૂઆત આપણી જાતથી જ થાય છે અને આગળ જતાં એ વર્તુળ વધતું જશે. આપણે જાણ્યે – અજાણ્યે આપણી આસપાસ કૂંડાળાં બનાવતાં હોઈએ છીએ. એ કુંડાળું પોતાના અહંકારનું હોઈ શકે, બીજા વિષે દ્વેષ કે ઈર્ષાનું હોઈ શકે, પ્રતિસ્પર્ધાનું હોઈ શકે અને એનાં ક્ષેત્રો ચંદ્રક કે પુરસ્કાર, સમ્માન કે બહુમાન, પદ કે પદાધિકાર, સમિતિઓ કે સવલતો ને સગવડો હોઈ શકે. જે સાહિત્યકાર, કર્મચારી કે હોદ્દેદાર આવાં સંકીર્ણ કૂંડાળાંમાં ફસાયેલો રહેશે તે ગમે તેટલી નામના સાથે પણ કૂપમંડૂક જ રહેશે. એને પૃથ્વીની ક્ષિતિજ સૂઝશે જ નહીં. ગાંધી આપણને કહી ગયા છે કે સત્યને પ્રેમ સિવાય બીજી કોઈ રીતે પહોંચવું અશક્ય છે. પ્રેમ પૂરેપૂરો ત્યારે જ વ્યક્ત થઈ શકે જ્યારે માણસ પોતાની જાતને શૂન્યવત્ બનાવી દે. આ પહેલું સોપાન.

“પરિષદનું પરિસર, (વિનોબાની ભાષા વાપરી કહું તો) ‘પ્રેમક્ષેત્ર’, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સુધી વિસ્તરેલું હોવું જોઈએ. સંચારનાં માધ્યમો જ્યારે આટલાં વિપુલ અને સુલભ બન્યાં છે ત્યારે પરિષદ અમદાવાદની કે વડોદરાની, ગુજરાતની કે મુંબઈની એવા પ્રશ્ન જ ન ઊઠવા જોઈએ. આવા પ્રશ્નો ઊઠે છે એનો અર્થ જ એ થાય છે કે આપણું સામૂહિક વ્યક્તિત્વ એટલું ઊણું પડે છે, આપણે સૌએ બાંયો ખોલવી પડશે. કૂંડાળામાં જે જ્યાં ઊભું હોય ત્યાંથી એને તોડવું પડશે અને ગૂંચો ઉકેલવી પડશે.

“આદિવાસી સાહિત્ય અને બિનઆદિવાસી સાહિત્ય, દલિત સાહિત્ય કે બિનદલિત સાહિત્ય, મુસ્લિમ સાહિત્ય – બિનમુસ્લિમ સાહિત્ય – આ અને આવાં વિશેષણો જે બધાંનું વિશેષ્ય, ‘સાહિત્ય’ છે, તેને સંકુચિત કરે છે, સીમિત કરે છે. એ તમામ સીમાઓથી મુક્ત થઈ અને તમામનો ઉમળકાભેર સમાવેશ કરી આપણે ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ અને સમર્થ બનાવવું છે. વિશ્વસ્તર પર જવા માટેનું એ બીજું સોપાન હશે.

“ત્રીજું સોપાન આપણું ઓશિયાળાપણું કાઢવાનું છે – ખાસ કરીને શાસન પ્રત્યેનું ઓશિયાળાપણું. શાસન આપણને આર્થિક મદદ આપતું હોય, માન-મરતબા કે પુરસ્કારો આપતું હોય તો એની ગરજે આપે. તેથી આપણે આપણી સ્વતંત્રતા ગીરવી મૂકી ન શકીએ. શાસનની દેખીતી ભૂલો કે ઇરાદાપૂર્વક શાસને ભરેલાં ખોટાં પગલાં અંગે આંખ આડા કાન કરવા, ચૂપ થઈને બેઠાં રહેવું કે એ પોતાનો વિષય નથી એમ માનીને મૌન જાળવવું એ બધું ઓશિયાળાપણામાં આવી જાય. ઓશિયાળી વ્યક્તિ પોતે તો પોતાનું સમ્માન ગુમાવે જ છે પણ જેની તે ઓશિયાળી બને છે તેને પણ નૈતિક રીતે નીચે લાવે છે. બીજાને હીન દેખાડનાર અથવા બીજા પ્રત્યે તુચ્છકારભર્યો વ્યવહાર ક૨ના૨ પોતે કદી નૈતિક રીતે ચડિયાતો સિદ્ધ થતો નથી, હેઠે જ પડે છે. એક દાખલો લઈએ. સાહિત્ય, કળા કે સંસ્કૃતિને લગતી સંસ્થાઓમાં તે-તે વિષયના કળાકારો જ ચૂંટાઈને જાય એ સર્વથા ઇષ્ટ છે. આપણે ત્યાં એને સારુ ઉમાશંકર અને દર્શક જેવાઓએ જહેમત પણ ઉઠાવી છે. જો કોઈ પણ શાસન આમ પ્રતિનિધિઓની સંસ્થાને પોતાના નીમેલા પ્રતિનિધિઓથી જ ભરવા માગે અથવા બીજી રીતે દખલગીરી કરે અને એ અંગે આ સંસ્થાઓ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ ચૂપ બેઠા રહે તો એને ઓશિયાળાપણું કે લાચારી કહેવાય. આવી લાચારીને ફગાવી દેતાં આપણે શીખીશું તો જ ગુજરાતી સાહિત્યકારનું ખમીર પ્રગટશે. અને વિશ્વગુર્જરી બનાવનાર સાહિત્યકાર ખમીરવંતો તો હોવો જ જોઈએ ને?

“આ અંગે મારી એક ચિંતા વ્યક્ત ક૨વા ઇચ્છું છું. ગુજરાતીના ‘શિષ્ટ’ સાહિત્યનો વ્યાપ હજી ઘણા મર્યાદિત વર્ગ સુધી જ પહોંચવા પામ્યો છે. આપણી કવિતા, આપણી વાર્તા, આપણી નવલકથાનું વિષયવસ્તુ મુખ્યત્વે શહેરો કે કસબાઓના મધ્યમ વર્ગના માનસથી કેટલું આગળ વધ્યું છે ? આપણી પહોંચ હજી ગામડાં સુધી ય માંડ ગઈ છે. આદિવાસી, દલિત, મુસ્લિમ સમાજનું જીવન આપણા સાહિત્યનું ક્ષેત્ર ભાગ્યે જ બનવા પામ્યું છે. નારીના પ્રશ્નો – મધ્યમ વર્ગની નારીના પ્રશ્નો સુધ્ધાં – આપણે નારીવાદી લેખિકાઓ કે કવયિત્રીઓ પૂરતા મર્યાદિત નથી રાખ્યા ? મારા આ વિધાનમાં થોડા જનરલાઈઝેશન – નો અંશ છે, એ હું સ્વીકાર કરું છું. એટલે કે આ બાબત કેટલાક અપવાદ છે, એમ આપણે દેખાડી શકીએ એમ છીએ. પણ આ અપવાદો જ શું સામાન્ય પ્રવર્તતી પરિસ્થિતિના દ્યોતક નથી ? બીજી રીતે જોઈએ તો આપણું આજનું સાહિત્ય આપણા આજના વેવિખેર થતા સમાજના દર્પણ સમું જણાય છે. એમાં અમદાવાદ શહેરના અન્ય ભાગોથી જુહાપુરા અલગ દેખાય છે, દલિતોનું દરદ એમને મુખે જ બોલે છે; અને આદિવાસી સાહિત્ય તો જાણે કે આપણી પૂર્વપટ્ટીની ટેકરીઓની પછવાડે જ લપાઈ રહ્યું હોય એમ નથી લાગતું ? કોઈક કહેશે કે આમાં એ વર્ગોની પણ નબળાઈ છે, જે વર્ગો પૂરતું માથું નથી ઊંચકતા. પરંતુ આ દલીલ તો પેલા સામ્રાજ્યવાદીઓ જેવી લાગે છે કે જે કહેતા રહેતા કે અમે તો સ્વતંત્રતા આપવા રાજી છીએ, સંસ્થાનોની વસ્તી જ એને સારુ લાયક નથી બની.

“જે પોતાને સાહિત્યકાર માને છે તેની જવાબદારી સમાજનાં અંગેઅંગ સહિત પોતાની હૃદયભાવના જોડવાની છે. ગુજરાતી સાહિત્યકારની કલમે સમગ્ર ગુજરાતનાં હર્ષશોક, વેદના-આનંદ, આશા-આશંકા, મનોકામના ને મનોરથો મુખર થવાં જોઈએ. પાંચ કરોડ જનતા વતી બોલવાની જવાબદારી ગાંધીનગરમાં વિરાજમાન કોઈ એક વ્યક્તિની નહીં, પણ ગિરાગુર્જરીના સૌ સેવકોની હોવી જોઈએ. એમ ન થાય ત્યાં સુધી ગુજરાતી સાહિત્ય ગમે તેટલો ગર્વ ભલે લે, ગૌરવ લઈ શકે નહીં.

“ગુજરાતી સાહિત્યનું ગજું આપણે વિશ્વસાહિત્ય સુધી લઈ જવું છે. એનું એક પગલું આપણા વ્યક્તિત્વને તપાસી, કઠોર આત્મપરીક્ષણ કરી, એને સ્વચ્છ, ઉદાર અને ઉદાત્ત બનાવી આખા ગુજરાતી સમાજની ઊર્મિઓને અભિવ્યક્તિ આપતું કરવું એ છે.

“આપણે આપણી ભાષા અને સાહિત્યનું સ્તર ઊંચું લાવવું હશે તો ગુજરાતની પ્રજાના ગંભીર પ્રશ્નો અંગે આપણી નિસબત કેળવવી પડશે. જે પ્રજાનાં સુખદુઃખનો ભાગીદાર થાય એ જ પ્રજાનો સાહિત્યકાર બને. જે પ્રજાનાં પાપ-પુણ્યને પોતાનાં ગણે એનામાં જ પોતાના સાહિત્યને પુણ્યશાળી બનાવવાનું સામર્થ્ય આવી શકે. આ પ્રસંગે હું મારી વ્યક્તિગત નિસબતની વાત કહેવા ઇચ્છું છું. એને વ્યક્તિગત એટલા સારુ કહું છું કે બીજા એના ભાગીદાર ન હોય તો હું તેને આપણી નિસબત કહી ન શકું. જો કે હું ઇચ્છું ખરો કે આપણા સૌની, ગુજરાતના સૌ વિચારવંતોની તે નિસબત બને. મને સન ૨૦૦૨માં જે કાંઈ બન્યું એ મહાપાતક લાગે છે, આમ કહેતાં મારું હૃદય આજે પણ ચિરાય છે. હૃદય એટલા સારુ ચિરાય છે કે એ મહાપાતકમાં મારો પણ ભાગ છે એમ મને લાગ્યા કરે છે, સમાજનો કોઈ પણ માણસ સમાજમાં એક જગાએ પણ માણસાઈને હેઠે ઉતારે એવું કૃત્ય કરે તો જે પોતાને એ સમાજનો નાગરિક માનતો હોય તે પણ એ કૃત્ય સારુ અમુક અંશે જવાબદાર બને છે. ભરેલા સરોવ૨નું પાણી કોઈ પણ જગાએ ખાલી થાય તો તેથી આખા સરોવરના પાણીની સપાટી નીચી જાય, તેમ સમાજમાં ક્યાં ય પણ પાપ થાય તો તેનાથી આખા સમાજનું નૈતિક સ્તર એટલું નીચે જાય છે. હું મારી જાતને ૨૦૦૨ના મહાપાતકનો એ અર્થમાં ભાગીદાર ગણું છું. ૨૦૦૨ના મહાપાતકમાં જે લોકો રેલગાડીમાં બળી મર્યાં, તે તથા બીજા જે મૃત્યુ પામ્યાં, જે આગમાં હોમાયાં, જેમનાં ઘર બળ્યાં, જેમનાં માસૂમ બાળકોને રહેંસી નાખવામાં આવ્યાં, જેમની દીકરીઓને આગમાં ફેંકવામાં આવી, એમને સારુ કોઈ પણ સહ્રદયને દુ:ખ થાય એ સ્વાભાવિક છે. પરંતુ આ ઘટનાના વધુ ઊંડાણમાં જઈએ તો આ ઘટનાના શિકાર બનનારાંઓ સારુ જેમ રડવું આવે એમ છે, તેમ એના શિકારી સારુ પણ રડવું આવે એમ છે. જે બળી મૂઆ કે બીજી રીતે કતલ થયાં તે તો ગયાં તે ગયાં. પણ જેણે હિંસા આચરી અને જેમણે એ હિંસા આચરવા દીધી એનો અંતરાત્મા તો આજ લગી ડંખતો હશે. એણે એને અંગે માફી નહીં માગી હોય તો પણ એના અંતરને કોઈક ખૂણે એના પાપનો ડંખ તો હશે. એના હૈયાની હોળી પેલી એક દિવસની હોળી કરતાં ઓછી નહીં હોય. હું કબૂલ કરું છું કે આ મારી શ્રદ્ધાનો વિષય છે. બાહ્ય ઘટનાઓ એને કોઈ વાર ખળભળાવી શકે છે, કોઈ વા૨ હચમચાવી શકે છે, પણ એને ઉખાડી નથી શકતી.

“આપણે એ પણ સમજવું જોઈએ કે પાપ એ મારકાપ, હત્યા, બાળઝાળ, બળાત્કાર જેવાં કર્મોથી થાય છે. પણ એ કૃતિને ટેકો આપવા સારુ જ્યારે એનું તત્ત્વજ્ઞાન બને છે ત્યારે તે પાપ બેવડાય છે. વેર વાળવું સ્વાભાવિક માનવામાં આવે છે ત્યારે વળી એ પાપ ત્રણગણું થઈ જાય છે. અને જે શરમજનક ઘટના છે તેનો જ્યારે ગર્વ લેવામાં આવે છે ત્યારે તે પાપ ચોગણું થાય છે.

“આવા ઘોર પાપમાંથી આપણે સાવ તાજેત૨ના ઇતિહાસમાંથી પણ પસાર થયાં છીએ. સમાજના પાપને હું જેટલે અંશે મારું માની શકું છું તેટલે અંશે આ પાપનો હું મને પોતાને પણ ભાગીદાર માનું છું અને એમાંથી મુક્ત થવાના મારાથી બનતા પ્રયાસો મેં કર્યાં છે. 

“આ વર્ષના પાછલા ભાગમાં એક સામાજિક પાપ બંગાળના નંદિગ્રામમાં થયું ત્યારે ત્યાંના સાહિત્યકારોએ તરત એનો વિરોધ કર્યો – કેટલાકે સ૨કારી માનચાંદ પાછાં આપીને એ વિરોધને વધુ મુખર કર્યો. ગુજરાતમાં ઘટેલી દુર્ઘટના નંદિગ્રામના ગોળીબારથી સેંકડોગણી વધારે અમાનવીય હતી. તે વખતે આપણું પણ હૈયું હચમચ્યું હતું એવું આશ્વાસન આપણે પોતાની જાતને એ ઘટના પછી લાંબે ગાળે ‘ભાવભૂમિ’ પ્રકાશિત કરીને આપી શકીએ ખરા ? ગુર્જરગિરાની ગરિમા વધારવી હોય તો એના સારસ્વતોએ આત્મસંતોષ કે આત્મવંચનાને ખંખેરી નાખીને પોતે કેટલાં પાણીમાં છે તે તપાસવું પડશે. જે સત્ય ખાતર કાંઈક ખોવા તૈયાર હશે તેનામાં જ ખમીર દેખાશે.

“મલયાલમ સાહિત્યનું વેચાણ આજે કદાચ આખા દેશના પ્રાદેશિક સાહિત્ય કરતાં વધારે હશે, એનું એકમાત્ર કારણ એ નથી કે કેરળમાં બીજા પ્રદેશો કરતાં સાક્ષરતા વધારે છે. એનું એક મોટું કારણ એ પણ છે કે ત્યાં છેલ્લા બેત્રણ દસકાથી સાહિત્યકારો સામાજિક પ્રશ્નો સાથે શ્વસે છે. સાહિત્ય જ્યારે સામાજિક સમસ્યાઓની સાચી અભિવ્યક્તિ કરતું થાય છે ત્યારે જ તે સમૃદ્ધ ને ઉદાત્ત બને છે અને પોતાના સમયનો પડકાર ઝીલવાને કાબેલ બને છે. સમાજના પ્રશ્નો સાહિત્યને જીવંત બનાવે છે અને સમાજાભિમુખ સાહિત્ય સમાજને ટટ્ટાર બનાવે છે.

“આપણે આત્મશક્તિનું ભાન કેળવવું પડશે. આપણે એવું વિચારીએ છીએ ખરા કે શાસન કરતાં સાહિત્ય વધુ શાશ્વત છે ? શેક્સપીઅરે પોતાનું પ્રથમ અગત્યનું કાવ્ય ‘વીનસ એન્ડ એડોનિસ’ સાઉથમટનના જે અર્લને અર્પણ કર્યું હતું તેને આજે કોણ યાદ કરે છે ? રાજા ભોજ કરતાં કાલિદાસની ખ્યાતિ વધુ ચિરંજીવ છે. અકબર બાદશાહ કરતાં તુલસીદાસ આજે ઘણા વધારે મોટા સમુદાયના હૈયામાં વસે છે. સાહિત્યનું ગૌરવ સાહિત્યની ગુણવત્તાથી વધે છે. તત્કાલીન શાસન દ્વારા એને અપાયેલ સમ્માનથી નહીં, એટલું જો સાહિત્યકાર સમજી જશે તો એ સાહિત્યની સાચી સેવામાં મન પરોવશે અને ઘણા ક્ષુદ્ર રાગદ્વેષોથી બચી જશે.

“સમાજના સળગતા પ્રશ્નોમાં જ્યારે સાહિત્યકાર રસ લેવા માંડશે ત્યારે એ કાંઈ જરૂરી નથી કે એ જાતે કર્મશીલ બને. વિક્ટર હ્યુગો કે ગોર્કીના સાહિત્યે અનેક કર્મશીલોની ગરજ સારી હતી. કર્મશીલનું જોમ જેટલું સાહિત્યકારની કૃતિઓમાં દેખાશે એટલી એની કૃતિઓ તેજસ્વી બનશે અને સાહિત્યકારની સંવેદનશીલતા અને લાલિત્ય જેટલાં કર્મશીલમાં આવશે તેટલી એના કર્મમાં સુસંસ્કારિતા આવશે. કર્મશીલ અને સાહિત્યકાર વચ્ચે પારસ્પરિકતાને અભાવે ઘણી વાર સાહિત્ય નિસ્તેજ અને કર્મશીલતા સંસ્કારિતામાં ઊણી ઊતરતી દેખાય છે. આખી પ્રજાની વેદના જ્યારે આપણા સાહિત્યમાં સ્થાન પામે છે ત્યારે એ સાહિત્ય ધરતી પર નક્કર પગલાં માંડતું છતાં ઊંચે આકાશમાં મસ્તક રાખી દૂરદૂરની ક્ષિતિજો ભાળતું જણાય છે.”

મારો કાર્યકાળ, સહજક્રમે સંકેલાવામાં છે ત્યારે પૂર્વપ્રમુખ ના.દે.ના શતાબ્દીપ્રવેશને સંભારી આ થોડીએક હૃદયવાર્તા સતત ચાલતી પ્રક્રિયામાં સંબલરૂપે.

પ્રગટ : “પરબ”, ડિસેમ્બર 2023; પૃ.
e.mail : prakash.nireekshak@gmail.com

Loading

...102030...862863864865...870880890...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved