Opinion Magazine
Number of visits: 9561653
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દિવાળી 2023: વિકાસ, ધર્મ, વૈશ્વિક ધોરણો આ તમામ પર નજર રાખી કામ કરતી કેન્દ્ર સરકાર

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|12 November 2023

છેલ્લાં નવ વર્ષમાં ભારતમાં માળખાંકીય સુવિધાઓને મામલે એટલું બધું કામ કરવામાં આવ્યું છે કે એટલા ઝડપથી ભારતના શહેરોની સ્કાયલાઇનમાં ક્યારે ય પરિવર્તન જોવા નહોતું મળ્યું. નવા એરપોર્ટ, નવા રસ્તા, નવા પૂલો, સ્માર્ટ સિટીઝ, ફ્રેટ કોરિડૉર્સથી માંડીને રેલવેમાં, ન્યૂ એનર્જીમાં તમામમાં મોટે પાયે રોકાણો થયાં છે અને એ કામ ધાર્યા કરતાં વધુ ઝડપથી આગળ વધ્યા છે

ચિરંતના ભટ્ટ

સૌથી પહેલાં તો સૌને દિવાળીની ખોબલે ખોબલે શુભેચ્છાઓ. સારા દિવસે કોઈને વખોડવા નહીં એમ કોઈએ ન શીખવ્યું હોય તો પણ ખબર તો હોવી જ જોઈએ. આ કેમ કહ્યું એનો અંદાજ લેખ પૂરો વાંચી લેશો ત્યાં સુધીમાં તો આવી જ જશે. અત્યારે જે પેઢી તેની ચાળીસ પાર કરી ચૂકી છે, અથવા જે પેઢી પચ્ચીસ પછીના દાયકામાં પ્રવેશી રહી છે તે તમામને માટે દેશમાં પરિવર્તનના માહોલ જોવાનો લાહવો છે. આ ચોક્કસ દાયકાનો ઉલ્લેખ એ માટે કે એક પેઢીને બે-ત્રણ દાયકામાં પ્રવૃત્ત કામગીરીમાં ગતિ ઘટાડવાની છે તો બીજી પેઢીને આગામી બે-ત્રણ દાયકામાં વધુ કાર્યરત થવાનું છે, તેમાં ય ખાસ કરીને વ્યવસાયિક સ્તરે. આપણો દેશ, આખી દુનિયા મોટા પાયે પરિવર્તનોમાંથી પસાર થઈ રહી છે – ક્યાંક ખૂબ જ સારા તો ક્યાંક ખરાબ તો ક્યાંક બહુ જ ખરાબ. ગમે કે ન ગમે આપણે બધા જે પણ થઈ રહ્યું છે તેના મૂક અથવા તો કોઈ ન સાંભળતું હોય એવો બબડાટ કરનારામાં શ્રોતાઓ કે દર્શકો કહો તો એમ – એ સમુદાયમાં ગણાઈએ જ છીએ.  સરકારોની તેજી મંદી અને માર્કેટની પણ તો સાથે યુદ્ધો, આકરા વિશ્લેષણ અને વિરોધીઓના કાવાદાવા, અર્થતંત્રના બદલાવ, પર્યાવરણના બદલાવ આ બધું જ આપણે જીવી રહ્યા છે, આપણી સમાંતર ચાલી આ બધું જ ચાલી રહ્યું છે.

આ બધાની વચ્ચે એક નામ છે નરેન્દ્ર મોદી – આપણા વડા પ્રધાન – એમના શાસનને આવતા વર્ષે દસ વર્ષ પૂરાં થશે અને એમાં બીજા ઉમેરાશે એવું તો લોકો સમ ખાધા વિના ય પૂરી ખાતરીથી કહે છે. આ નામે ગામ ગજવ્યું છે, ગમતું – ન ગમતું, ગળે ઉતરી જાય એવું, ગળે ડચૂરો ભરાય એવું બધું જ કરીને જાણે ‘આર્ટ ઑફ વૉર’વાળા પુસ્તકની ફિલસૂફીથી રાજકારણની શતરંજમાં સતત ધુંઆધાર ચાલ રમતાવનું તેમણે નક્કી જ રાખ્યું છે. અણનમ નરેન્દ્ર મોદીને તેમના આ અભિગમ માટે સલામ તો ભરવી જ રહી.

થોડા વખતે પહેલાં એક હેશટેગ ટ્રેન્ડ થયો જે હતો #9YearsOfGatiAndPragati – ગતિ અને પ્રગતિનાં નવ વર્ષ. છેલ્લા નવ વર્ષમાં ભારતમાં માળખાંકીય સુવિધાઓને મામલે એટલું બધું કામ કરવામાં આવ્યું છે કે એટલા ઝડપથી ભારતના શહેરોની સ્કાયલાઇનમાં ક્યારે ય પરિવર્તન જોવા નહોતું મળ્યું. નવા એરપોર્ટ, નવા રસ્તા, નવા પૂલો, સ્માર્ટ સિટીઝ, ફ્રેટ કોરિડૉર્સથી માંડીને રેલવેમાં, ન્યૂ એનર્જીમાં તમામમાં મોટે પાયે રોકાણો થયા છે અને એ કામ ધાર્યા કરતાં વધુ ઝડપથી આગળ વધ્યા છે. જ્યાં ખાનગી સાહસ સાથે ભાગીદારીની જરૂર પડી ત્યાં એમ કરાયું તો જ્યાં કેન્દ્ર સરકારે પોતાની રીતે કામ કરવાનું નક્કી કરેલું ત્યાં એ રીતે કામ કરવામાં આવ્યું. સતત નવું, જે પણ થાય તે વૈશ્વિક ધોરણની ગુણવત્તાને સમાંતર જ હોય એવું કામ કરવામાં મોદી સરકારે પાછળ વળીને નથી જોયું. સાથે ધર્મનું જે પત્તું હંમેશાંથી ભા.જ.પા.ને ફળ્યું છે તે નાના પાયે ખેલવાનું નેવે મૂકીને નક્કર કામગીરી રૂપે કાશી વિશ્વનાથ, કેદારનાથ, સોમનાથ, ચાર ધામ પ્રોજેક્ટ, કાશ્મીરમાં મંદિરોનો પુનરુદ્ધાર, વિદેશોમાં મંદિરોની સ્થાપના બધાંની સાથે અયોધ્યા રામ મંદિરની વિચારને વાસ્તિવકતામાં ફેરવી દેવામાં આવ્યો. 2024ની ચૂંટણીમાં કોઈ કસર છોડવી ન હોય એ રીતે કેન્દ્ર સરકારે કામગીરી ચાલુ રાખી છે. વળી બધાં જ પ્રોજેક્ટ નાના ગાળાના નથી, લાંબા ગાળાના છે અને તે ચાલે પણ લાંબા એ પ્રકારના જ છે – એટલે સઘળું માત્રને માત્ર ચૂંટણી લક્ષી જ છે એમ કહેવું પણ અયોગ્ય રહેશે. કેટલાક એવા પ્રોજેક્ટની ટૂંકમાં વાત કરીએ જેને લઈને લોકોને અપેક્ષાઓ અને આશ્ચર્ય બન્ને રહ્યા છે.

વિકાસ અને ધર્મ સાથે ગર્વ જોડી શકાય એ રીતે કેન્દ્ર સરકારે કામ હાથે લીધા છે.  ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટ જ્યારે પૂરો થશે ત્યારે તે વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ હશે. હવે ભારતમાં આવી અજાયબી હશે એવી કલ્પના કરવી પણ એક સમયે મુશ્કેલ હતી. આ બ્રિજને એન્જિનિયરિંગ માર્વેલનું લેબલ તો અત્યારથી જ મળી ગયું છે. સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લેનારા તમામ ત્યાંની સવલતના વખાણ કરતાં થાકતાં નથી. ભલેને ટિકિટ વગેરેના ગોટાળાની વાતો સમાચારમાં ચગે, મુલાકાતીઓને માટે પોતાની સગવડની ઉપર બીજો બધો ઘોંઘાટ જ હોય છે અને એ પણ સત્તાએ બેઠેલાઓ ખૂબ સારી પેઠે જાણે છે. બ્રહ્મપુત્રા નદી પર બનેલો બોગબીલ બ્રિજ એ એશિયાનો બીજો સૌથી લાંબો રેલ – રોડ પ્રોજેક્ટ છે જેને કારણે આસામના ટિન્સુકિઆ અને અરુણાચલ પ્રદેશના નહારલગુન વચ્ચેના પ્રવાસમાં દસ કલાકથી વધુ સમય બચે છે. ૧૦,૦૦૦ ફૂટે આવેલી, નવ કિલોમિટરથી લાંબી અટલ ટનલ મનાલી અને લાહૌલને જોડે છે – આ ટનલને આટલી ઊંચાઈએ આવેલી વિશ્વની સૌથી લાંબી સિંગલ ટ્યૂબ હાઇવે તરીકે વર્લ્ડ બેંકે નોંધી છે. ટનલના કૂલ 144 પ્રોજેક્ટ્સ છે જે યાત્રાના પ્રવાસમાં જે સમય લાગતો હશે તેમાં મોટો ઘટાડો કરી દેશે.  આ ઉપરાંત કેદારનાથમાં આદિ શંકરાચાર્યનું 12 ફૂટની મૂર્તિ  હોય, મોરબીમાં હનુમાનજીની 108 ફૂટની પ્રતિમા હોય કે પછી 700 કરોડના ખર્ચે બનેલું કાશી વિશ્વનાથ કોરીડૉર હોય નરેન્દ્ર મોદીની સરકારે – એટલે કે મોદીના નેતૃત્વ હેઠળ ભા.જ.પા.ની સરકારે સંસ્કાર, સંસ્કૃતિ, વારસો, વિકાસ, માળખાંકીય સવલતોથી માંડીને બધું જ જાણે ટિક કરી દીધું છે. કશું ય બાકી ન રહી જવું જોઈએ. વળી લોકોની નાડ પારખી લેનારા, લોકોને કેવા નેરેટિવની જરૂર છે એ સમજનારા નરેન્દ્ર મોદીએ નવું સંસદભવન પણ બનાવ્યું તો સુભાષ ચંદ્ર બોઝની વિશાળ પ્રતિમા ઇન્ડિયા ગેટ પર શોભશે એવી જાહેરાત પણ કરી દીધી.

લદાખની ઊંચાઈએ રેલવે ટનલ, અમદાવાદ – મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન્સ, મુંબઈમાં ટ્રાન્સ હાર્બર લિંક બ્રિજ ઉપરાંત અનેક હાઇડ્રોઇલેક્ટ્રિક બંધ, હાઇ સ્પીડ ટ્રેન્સ, પાવર પ્રોજેક્ટ્સ, નદીના નેવિગેશન પ્રોજેક્ટ, સોલાર પાવર હબ્ઝ અને મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ પર સતત આખા દેશમાં ક્યાંકને ક્યાંક કામ ચાલી રહ્યું છે. 12 મોટા બંદરો, 200 નાના બંદરો દેશની 7,500 કિલો મિટરની કોસ્ટલાઈનને સમાંતર વિકસી રહ્યા છે, અને અમુક તો ઑપરેશનલ પણ છે. સાગરમાલા પ્રોજેક્ટ – બંદરોના વિકાસના પ્રોજેક્ટ પાછળનો હેતુ છે વ્યાપારની લોજિસ્ટિક કિંમતો ઓછી કરવી. આ પ્રોજેક્ટ બે-ચાર વર્ષનો નથી, સ્વતંત્ર ભારતને 100 વર્ષ પૂરાં થશે ત્યાં સુધીમાં આ બધું પાર પડ્યું હશે.

સરકાર આધુનિક રીતે ગતિશીલતાના માળખા સતત ઉમેરો થાય, તેની ગુણવત્તા સારી હોય તે બનાવવામાં સ્વાસ્થ્ય, સલામતી, આર્થિક અને સામાજિક મૂલ્યો, પર્યાવરણ, સસ્ટેનેબલિટી તમામ સાથે સંતુલન સાચવી લેવાય તેની તકેદારી રાખીને કામ કરી રહી છે.

કુલ 131 એરપોર્ટ્સ, જેમાંથી 29 આંતરરાષ્ટ્રીય, 92 ડૉમેસ્ટિક અને 10 કસ્ટમ એરપોર્ટ્સ અત્યારે કાર્યરત છે અને 21 બીજા ગ્રીન ફિલ્ડ એરપોર્ટને આ વર્ષે  આ વર્ષે જૂન સુધીમાં ઇન-પ્રિન્સિપલ માન્યતા મળી ચૂકી છે. જી.ડી.પી.ના 3.3 ટકા એટલે કે 10 લાખ કરોડ 2023-24ના બજેટમાં માળખાંકીય સુવિધાઓ માટે ફાળવવામાં આવ્યા અને તેનો ઉપયોગ યોગ્ય પ્રોજેક્ટ્સમાં થાય એ માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે તે વર્તાઈ રહ્યું છે.

દિવાળીને ટાણે એ હકીકત બિરદાવવી રહી કે ભારતની પ્રગતિનું રોકેટ સડસડાટ આગળ વધી રહ્યું છે. યોજના અને અમલીકરણની ગતિ વચ્ચે સંતુલન છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતની શકલ-સૂરત બદલવા પર એડી ચોટીનું જોર લગાડીને કામ થઇ રહ્યું છે. વૈશ્વિક સ્તરે આર્થિક સ્તરે મજબૂત અને મોટી આર્થિક સત્તા તરીકેનું લેબલ 2047માં લાગે એની તૈયારીમાં કેન્દ્ર સરકાર કોઈ કચાશ નથી છોડી રહી અને તેમાં પૂરી સફળતા મળે તેવી શુભેચ્છા સાથે દિવાળીની શુભકામનાઓ.

બાય ધી વેઃ

રેલ અને રસ્તા પર થતા બેફામ અકસ્માત, પર્યાવરણમાં ન ગમે તેવો બદલાવ, રાજકીય સ્તરે ઊહાપોહ, પૂર્વગ્રહો, આક્ષેપો અને બચાવ, સ્મોગ, ટ્રાફિક, મોંઘવારી, ખેડૂતોની જમીનો જવી એવું બધું પણ થાય છે, થશે પણ સરકાર પ્રયત્નશીલ તો છે જ કે સૂકા ભેગું લીલું બળવાના મામલે જરાક તો નિયંત્રણ રખાય, કંઇક તો એવું હોય જેને લઈને દર્દ કે ફરિયાદના પોકારો કોઈ ન નાખે. કશું ય રાતોરાત નથી થતું, રાજકારણ કોઈ સંતના આશ્રમમાં થતી કામગીરીઓથી ન ચાલે એટલે ન ગમતું ગળે ઉતારીને પણ અમુક બાબતો સ્વીકારને આગળ વધવામાં મનમાં દિવાળીનો પ્રકાશ રાખીને, એક સાચા, સારા, કર્તવ્યનિષ્ઠ અને નૈતિક નાગરિક બનીશું તો રાજકારણીઓને પણ વધુ સર્તક રહેવાની ફરજ પડશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 નવેમ્બર 2023

Loading

જરા એમને કહો, દેશમાં છે 80 કરોડ ગરીબો ?

રમેશ ઓઝા|Opinion - Opinion|12 November 2023

રમેશ ઓઝા

સત્ય અને સાતત્યની ચિંતા કર્યા વિના જરૂરિયાત મુજબ બોલવું એ આપણા વડા પ્રધાનની ફિતરત છે. જ્યાં સુધી ભક્તો વાંક જોતા નથી અને શબ્દે શબ્દે નશાનો અનુભવ કરે છે ત્યાં વાંકદેખાઓની કોણ પરવા કરે છે. જ્યાં જેવી જરૂરિયાત એવી વાણી. વડા પ્રધાને છત્તીસગઢમાં એક ચૂંટણીપ્રચાર સભાને સંબોધતા દાવો કર્યો હતો કે દેશના ૮૦ કરોડ ગરીબોને મફતમાં અનાજ મળતું થાય એવી એક યોજના અમલમાં મુકવામાં આવશે અને પછી શું કહ્યું? છાતી ઠોકીને કહ્યું કે આ મોદીનો દાવો છે.

વાહ! પણ હજુ હમણાં વર્લ્ડ હંગર ઇન્ડેક્સ બહાર પડ્યો અને તેમાં બે ટંકનું ભોજન નહીં પામતા ગરોબો કયા દેશમાં કેટલા છે, વિશ્વના ૧૨૫ દેશોમાં ભૂખ નહીં સમાવી શકતા દેશોમાં કયો દેશ કયા સ્થાને છે, એનો ઈન્ડેક્સ બહાર પડ્યો હતો અને તેમાં ભારતનું સ્થાન ૧૧૧મા ક્રમે હતું. ગયા વરસે ભારતનું સ્થાન ૧૦૭મું હતું. માત્ર એક વરસમાં ચાર પગથિયાં નીચે ઊતરી ગયું. વર્લ્ડ હંગર ઇન્ડેક્સમાં ભારતનાં પાડોશી દેશો ભારત કરતાં આગળ છે.

આ ઇન્ડેક્સ બહાર પડ્યો ત્યારે ભારત સરકારે શું કહ્યું હતું ખબર છે? સરકારે કહ્યું હતું કે આ ઇન્ડેક્સ જ ખોટો છે અને ભારતને સ્વીકાર્ય નથી. ઈન્ડેક્સ બનાવનારાઓનાં ગણતરીના માપદંડો અને આધાર ક્ષતિયુક્ત છે. ભારતમાં આટલા બધા ગરીબો નથી અને કોઈ ભૂખ્યું સૂતું નથી. હવે વડા પ્રધાન કહે છે કે દેશના ૮૦ કરોડ ગરીબોને મફતમાં અનાજ પૂરું પાડવામાં આવશે. ભારતની વસ્તી અંદાજે ૧૪૦ કરોડ છે એમાંથી વડા પ્રધાન કબૂલ કરે છે કે ૮૦ કરોડ લોકો ગરીબ છે જે અનાજ ખરીદવાની ક્ષમતા ધરાવતા નથી અને માટે ભૂખ્યા સૂવે છે અથવા તેમને ભરપેટ ખાવા મળતું નથી. વડા પ્રધાનની કરુણા જાગી ઊઠી એ માટે આપણે તેમને ધન્યવાદ આપવા જોઈએ. પણ ૮૦ કરોડ લોકો? ભારતની કુલ વસ્તીના પંચાવન ટકા? આટલા બધા લોકો બજારમાંથી કે રેશનની દુકાનમાંથી અનાજ ન ખરીદી શકે એટલા બધા ગરીબ છે? આવો ભારત માટે કલંકીત આંકડો તો ગ્લોબલ હંગર ઈન્ડેક્સ બનાવનારાઓએ પણ નથી આપ્યો.

પણ આંકડો નાનો ન હોવો જોઈએ. બંદા બોલે તો છોટી બાત ન બોલે. એક બાજુ નીતિ આયોગ અને નાણાં મંત્રાલય શીર્ષાસન કરીને તેમ જ વાસ્તવિકતાઓ સાથે તોડમરોડ કરીને સાચા આંકડા છુપાવવાનો પ્રયાસ કરે અને બીજી બાજુ વડા પ્રધાન સાચા આંકડામાં થોડુંઘણું નહીં બેવડું ઉમેરણ કરે. હમણાં કહ્યું એમ બંદા બોલે તો છોટી બાત ન બોલે. બીજી વાત. આવાં વચનો (અને એ પણ વાસ્તવિક, ફુગાવીને નહીં) વિરોધ પક્ષો આપે તો તેને માટે શું કહેવામાં આવે છે? રેવડી કલ્ચર. પણ વડા પ્રધાન સ્વભાવથી મજબૂર છે. સામે લોકોને જુએ એટલે નશામાં આવી જાય છે અને પછી દે ધનાધન.

અને સામે ઓડિયન્સમાં ઉદ્યોગપતિઓ અને વેપારીઓ હોય તો? તો વડા પ્રધાન કહેશે અને કહ્યું પણ છે કે ૨૦૨૭ સુધીમાં એટલે કે તેમની ત્રીજી મુદતમાં ભારત પાંચ ટ્રિલિયન અમેરિકન ડોલર્સ(૪૧,૬૬,૩૬,૦૦,૦૦,૦૦,૦૦૦ રૂપિયા)નું અર્થતંત્ર ધરાવતો દેશ બની જશે. અર્થાત્ વિશાળ અર્થતંત્ર ધરાવતો વિશ્વનો ત્રીજા નંબરનો દેશ બની જશે. બેરોજગારી વધી રહી છે, સંપત્તિનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે, આર્ટીફિસિયલ ઇન્ટેલિજન્સના આ યુગમાં લોકોના હાથમાંથી કામ છૂટી રહ્યું છે અને ભારતનું અર્થતંત્ર પાંચ ટ્રિલિયન ડોલર્સનું થઈ જશે. અત્યારનો જે વિકાસદર છે એ જોતા ભારતને પાંચ ટ્રિલિયન ડોલર્સનું અર્થતંત્ર બનતાં આજથી ઓછામાં ઓછા બે દાયકા લાગશે અને એ પણ કોઈ પી.વી. નરસિંહ રાવ કે ડૉ મનમોહન સિંહ જેવો દૃષ્ટિસંપન્ન વડો પ્રધાન મળે તો. નરેન્દ્ર મોદીનો એક દાયકો વીતી ગયો છે અને અર્થતંત્ર નીચે ગયું છે, ઉપર નથી ગયું.

મનરેગા(મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી)ની નરેન્દ્ર મોદીએ ઠેકડી ઊડાડી હતી; વડા પ્રધાન બનતા પહેલાં અને પછી પણ. તેમણે કહ્યું હતું કે મનરેગા કાઁગ્રેસની નિષ્ફળતાનું સ્મારક છે. દેશનો આર્થિક વિકાસ કરીને ગ્રામીણ ભારતમાં રોજગારી પેદા કરવાની જગ્યાએ કાઁગ્રેસે ગ્રામીણ બેરોજગારીનો સ્વીકાર કરી લીધો છે અને લોકોને દયા પર જીવતા કર્યા છે. અત્યારે નરેન્દ્ર મોદીની સરકાર મનરેગના પ્રેમમાં છે અને દર વર્ષે બજેટમાં નાણાંની ફાળવણી વધારવામાં આવી રહી છે. દસ વરસ થઈ ગયા, દેશનો આર્થિક વિકાસ કરીને ગ્રામીણ ભારતમાં રોજગારી પેદા થઈ શકી નથી. આ વરસે તો મનરેગા માટે ફાળવવામાં આવેલા પૈસામાંથી ૯૩ ટકા પૈસા છ મહિનામાં જ ખર્ચાઈ ગયા. લોકોને ગમે એવું ગમે તે બોલીએ તો બુદ્ધિશાળી લોકો કાન આમળે.

વડા પ્રધાને ૮૦ કરોડ લોકોને મફતમાં અનાજ આપવાની જરૂર નથી. જરૂર એ વાતની છે કે દેશમાં ગરીબોની સાચી સંખ્યા સ્વીકારવી જોઈએ (અને તે ૮૦ કરોડ તો નથી જ) અને ગરીબીનાં કારણ શોધવાં જોઈએ અને સ્વીકારવાં જોઈએ. કારણો તો જગજાહેર છે, પણ સ્વીકારવામાં આવતાં નથી. તેમને કામ મળે એ રીતની આર્થિક નીતિ અપનાવવી જોઈએ. અને સૌથી મોટી વાત એ છે કે જાહેર વિતરણ વ્યવસ્થા(પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સીસ્ટમ)ને સુધારવી જોઈએ. લોકો એટલા માટે નથી ભૂખ્યા રહેતા કે દેશમાં અનાજ ઓછું છે, લોકો એટલા માટે ભૂખ્યા રહે છે કે તેમના સુધી અનાજ પહોંચતું નથી અને જો પહોંચે છે તો તે પોષણક્ષમ હોતું નથી. લોકો પાસે રેશનીંગની દુકાનેથી અનાજ ખરીદવા પૈસા પણ છે. હા, મુક્ત બજારમાંથી અનાજ ખરીદી શકે એટલા પૈસા તેમની પાસે હોતા નથી. લોકો છતે પૈસે પોષણ પામતા નથી. શાસકો અને સ્થાપિત હિતો જાહેર વિતરણ સેવાને લકવાગ્રસ્ત બનાવીને જાણીબૂજીને ગરીબ લોકોને બજારને હવાલે કરી રહ્યા છે. આવું જ ટેલીકોમ, એસ.ટી., એર સર્વિસ, હોસ્પિટલો, શાળાઓ સાથે કરવામાં આવ્યું હતું. સરકારી સેવાઓને લકવાગ્રસ્ત કરી નાખવાની અને લોકોને વિકલ્પહીન કરીને બજારમાં ધકેલવાના. જે ટકી શકે એ ટકી જાય, અને જે ન ટકી શકે એ પોતાનું ફોડી લે. શું વડા પ્રધાન આ નથી જાણતા? ભારતની અનાજ વિતરણની સમસ્યા આખું જગત જાણે છે અને વડા પ્રધાન નથી જાણતા?

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 નવેમ્બર 2023

Loading

અગિયાર ગીતકાવ્યો

પ્રીતમ લખલાણી|Poetry|11 November 2023

-1-

આકાશ કેમ આપું?

પાંપણથી દડતું આકાશ કેમ આપું?

સવાર ને સાંજ કે બપ્પોરે દેખાતાં નિતનવા રંગભર્યા અજવાળે વ્યાપું!….

આવતા ને જાતા ચણું સમણાંની મેડી!

મનગમતી  વેળા  લઉં  હરખથી  તેડી!

લાંબા  ટૂંકા  પડછાયે  સૂરજને  માપું!  …

સવાર ને સાંજ કે બપ્પોરે દેખાતાં નિતનવા રંગભર્યા અજવાળે વ્યાપું! ….

મધરાતે  ખોલું  હું તો  નીંદરની  ડેલી!

સુખની  સવાર  કેવી  કરતી  રે  કેલી!

સોનેરી દહાડા કંઈ આમ જ હું કાપું! …

સવાર ને સાંજ કે બપ્પોરે દેખાતાં નિતનવા રંગભર્યા અજવાળે વ્યાપું! ….

•

-2-

આભમાં ચાંદો ઊગ્યો

મારે મોભારે મોરલો ટહુક્યો કે આભમાં ચાંદો ઊગ્યો!

                 રે સખી! મારા આભલિયે ચાંદો ઊગ્યો! …

      આંખ્યું ચોળીને જોયું મુખડું એનું રે સખી!

                         અમથી જ્યાં બારી મેં ખોલી!

      વરસો પછી આ મારી ભીનેરી પાંપણ પર

                         સુખની  ખેલાઈ રહી હોલી!

રાત પડખાં ફેરવતા જાગી ‘ને મનડાંમાં સૂરજ ઊગ્યો!

                  રે સખી! મારા મનડાંમાં સૂરજ ઊગ્યો! …

મારે મોભારે મોરલો ટહુક્યો કે આભમાં ચાંદો ઊગ્યો!…….

       ધોળે  દિવસે  રે જાણે દીવો કર્યો રે મેં તો

                         મનડાંનાં  એક  એક  ગોખે!

       મને જોવાને આવ્યો ત્રિભુવનનો નાથ એવું

                         આંગણિયે લોક મને પોંખે!

લીમડાની ડાળ ડાળ મ્હોરી  કે  બાવરો ચાંદો ઝૂક્યો!

                 કે સખી! મારો બાવરિયો ચાંદો ઝૂક્યો! …

મારે મોભારે મોરલો ટહુક્યો કે આભમાં ચાંદો ઊગ્યો!…….

                રે સખી! મારા આભલિયે ચાંદો ઊગ્યો! …

•

-3-

ઉઘાડે માથે ..

ઉઘાડે માથે હું શેરીમાં નીકળું ને ખોંખારો ખાય ચોરો ઈચ્છું એવું!…

ખોંખારે  ખોંખારે  ઠેસ મને  લાગે  ને  સૈયર  કહે રે મને કેવું કેવું?…

ઓસરીની થાંભલીના ટેકે ઊભી ને જોઉં જર્જર ભીડાયેલી ડેલી!

હમણાં આવીને મને કહેશે રે સૈયર કે માણીગર આવ્યો થા ઘેલી!

આંખ્યુંમાં એક્કેયે આંસુ નથી ને તો ય કાજળ લૂછું રે કેમ જેવુંતેવું….

ખોંખારે ખોંખારે  ઠેસ  મને  લાગે  ને સૈયર  કહે રે મને કેવું કેવું?…

ચિઠ્ઠી  લખીને  ભૂંસુ, ભૂંસીને  ફરી  લખું  એવું  કાં અંદરથી થાતું?

આડી પડું તો મારું મનડું ખિલખિલ થૈ વ્હાલમનું ગીત‌ અહીં ગાતું!

એકલડી ઝૂરુ ને લાજી મરું રે મારે કોઈથી કશુંય નથી લેવું દેવું!…

ખોંખારે  ખોંખારે  ઠેસ  મને  લાગે ને સૈયર  કહે રે મને કેવું કેવું?…

•

-4-

ઊંડતા પારેવડાની પાંખો

સખી! તારી આંખોને લોકો સહુ કહેતા હતા કે,

       એ તો ગુલમ્હોરની લીલીછમ્મ સાખો

હું તો કહું છું તારી આંખો છે મારે મન, 

                ઊડતા પારેવડાની પાંખો! 

મળવાના કૉલ તારે દેવા જો હોય 

                તો મેના-પોપટથી કહાવજો

શેરીમાં મળવાનું થાય તો આ આંખોથી

                છાનાં ઈશારા વહાવજો  

સખી! તને મારા સોગંદ અગર  મનની વાતોને

          ગળે ટૂંપો દઈને હવે રાખો રે રાખો

     એ તો ગુલમ્હોરની લીલીછમ્મ સાખો

છલકાતી ગાગર ને ભીંજાતી ચોળીઃ

                 તમે એવી તે કેવી લાજ કાઢી

કે ખેતરને શેઢે તમને જોતાં રે વેંત અમે

                નજરું ઢાળી ને દીધી વાઢી

આંખોના ચેનચાળા સમજી ન શકીએ કંઈ

મનડાને મીઠા રે બોરાંની જેમ તમે ચાખો..

      એ તો ગુલમ્હોરની લીલીછમ્મ સાખો

•

-5-

એક છોકરી

એક રૂપાળી છોકરી મને ફૂલ ધરી ગઈ       

         ભૂલભૂલમાં કે વ્હાલમાં

                         એની ખબર ક્યાં છે?…

લાભેશુભેથી  ભીંતે લખેલા રેલાણા રે

           ઘર બધાએ નદીઓના રે વેશે!

શ્વાસોમાં ઊછળતો દરિયો હાંફતો

        ખેંચી જાય છે  મને પરીઓના

                                       કોઈ દેશે!..

હૈયા સરસું ફૂલને સૂતા જાગતા રાખ્યું

            મદમાતી હર ચાલમાં

                         એની ખબર ક્યાં છે?…

ઝાંઝરિયુથી રણકે સૂની શેરીયું એ     

        પનિહારીઓના હર પગલે પગલે

                                  તળાવ જાગે!

ઝાકળ જેવા સમણાઓ બેચાર 

      સરકતા જળમાં ત્યારે કમળથી કાં

                                    વમળ ભાગે?

મારામાંથી મુજને લઈ જાય છે ક્યાં 

                   આજ – કાલમાં

                         એની ખબર ક્યાં છે?… 

•

-6-

એક પાન લીલું

આંગણની ડાળમાં છે એક પાન લીલું!

અંબરથી  ધોધમાર  વરસે તે ટહુકાને તોય હું તો હરખાતી ઝીલું!…

ચારેકોર  ઊભું  છે  લીલુંછમ  વન  હું તો  એકલડું સુક્કું રે ઝાડ!

દૂર દૂરથી  મુંને   તાકીને    સંતાતા     વાદળમાં    કેવા   પહાડ!

આસપાસમાં અહીં કોઈ નથી બાઈ! હું તો સપનાં જોઈને રે ખીલું!..

અંબરથી ધોધમાર વરસે તે ટહુકાને તોય હું તો હરખાતી ઝીલું!…

ખળખળતા ઝરણાંને કાખમાં લિયે છે રે અહીં તહીં ઊભું આકાશ!

વૈશાખી  વાયરાના  વેગીલા  તોરમાંથી  ઝંખું  હું  હરપળ ભીનાશ!

આષાઢી  લાગણીના  એકાદા વરતારે જીવતર થઈ જાયે રંગીલું!…

અંબરથી ધોધમાર વરસે તે ટહુકાને તોય હું તો હરખાતી ઝીલું!….

•

-7-

કરવી નથી રે જાતરા …

શિયાળુ સવારના કુમળા આ તડકાઓ લાગે છે કેમ અહીં આકરા?

ઓસરીની કોરે હું વીણું છું ઘઉં તોયે આંખોમાં અટવાતા કાંકરા!…

ચકાનો હાથ ઝાલી ચકી આવી છે મારા ફળિયામાં ચણવાને ચણ!

આભે અકારો થઈ વેરે સૂરજ એની ખફગીની સહુને સમજણ!

મનમાં ને મનમાં  હું  મલકું  ને  ખેરવે  છે માથા પર કેસુડો વાયરા!…

ઓસરીની કોરે હું વીણું છું ઘઉં તોયે આંખોમાં અટવાતા કાંકરા!…

ટપટપ ટપ એક પછી એક ખર્યાં પાંદડાંને લિલ્લેરી ડાળ કેમ સાંધે?

ક્રાઉં ક્રૌઉં વચ્ચે ક્યાં એકકેયે ટહુકો મારી ચૂંદડીના છેડલાને બાંધે?

ઉંબરા ભરોસે ઘર  રેઢું  મૂકીને  ક્યાંય  કરવી  નથી રે મારે જાતરા!…

ઓસરીની કોરે હું વીણું છું ઘઉં તોયે આંખોમાં અટવાતા કાંકરા!…

•

-8-

કરશું રે પ્રીત   

ચારેપા ભીંતો છે ભીંતો છે ભીંત!..

બાઈ! હવે આપણે તો ઊજવી એકાંતને

                     કરશું રે પ્રીત અને ગાશું રે ગીત!…

કલબલતી ડાળોમાં ઝાકળ આવીને આજ

                      કળીઓની પાંપણને ખોલે!

એક પછી એક એક ડોલંતી પાંદડીઓ,

                         પવન સાથે રે કૈંક બોલે!

ખળખળતાં ઝરણાં પર ભૂરા રે આભનું

                    વરસે છે હેત એની નોખી રે રીત!…

બાઈ! હવે આપણે તો ઊજવી એકાંતને

                      કરશું રે પ્રીત અને ગાશું રે ગીત!…

આખીયે રજનીમાં ચાંદનીથી વાત કરી

                      નેવાં સૂરજ ને જગાડતા!

ઓસરીમાં ગોટમોટ પોઢ્યા અંધારને તો

                    ટમટમતા દીવડા ભગાડતા!

બારીએ  બેઠેલું  લહેરે  પારેવડું  રે

                  તરસે છે આજ ભીનું ભીનું સંગીત!…

બાઈ! હવે આપણે તો ઊજવી એકાંતને

                      કરશું રે પ્રીત અને ગાશું રે ગીત!…

ચારેપા ભીંતો છે ભીંતો છે ભીંત!…                    

•

-9-

કાનમાં કહેવું શું રે?

કાનમાં કહેવું શું રે સજન એટલા ક્યાં છો દૂર?

છલકાતી ગાગરમાં ભરું જમના સાથે પ્રેમનું હું તો પૂર!…

ફળિયે બેસી એમ વિચારું તાકતી મને કેમ હવે આ ઓસરી પળેપળ?

અજવાળાની આંગળી ઝાલી નીકળી પડું સાવ રે ડેલી સોંસરી પળેપળ!

ભરબપોરે ઘેન ચડે ને નવરાશે હું લથબથ ભીનાં સપનામાં ચકચૂર!

છલકાતી ગાગરમાં ભરું જમના સાથે પ્રેમનું હું તો પૂર!….

અંતરિયામાં વાંસળી સાથે હાથતાળી દઈ જાય છે કેવું સાંજલ ટાણું!

સાવ બસુરું તરબતર નભ હોય એમાં ક્યાં છેડવું મારે પ્રીતનું ગાણું?

આભલું પણ મલકીને અહીં કંઈ ન કહે કેવળ છેડે આતમ ભીના સૂર!

છલકાતી ગાગરમાં ભરું જમના સાથે પ્રેમનું હું તો પૂર!

•

-10-

કેમ હરિ ના બોલે?

બોલાવું  પ્રેમે  જો આજે  કેમ  હરિ ના બોલે?

મનડું  મારું  નાહકનું  શું  એમ  મૌનમાં  ડોલે!…

એના પગલે પગલે શોધે

                મંઝિલ મારગ મારો!

હેતે  હેતે સાંધું  ડગલો

                જીવતરનો પરબારો!

ઝાકળ ન્હાતી કળીકળીઓ ઊડવા પાંખો ખોલે!..

મનડું   મારું   નાહકનું   શું  એમ  મૌનમાં  ડોલે!…

લીલાં વનનાં સૂડાને શીદ

                  સૂનો વગડો લાગે?

પાન ખર્યાંની વેળા જંગલ

                  દઝાડતી કાં આગે?

સુખદુઃખની હર પળેપળો તો ચડી ગઈ છે ઝોલે!..

મનડું   મારું  નાહકનું   શું  એમ  મૌનમાં  ડોલે!…

•

-11-

કોરી પાંપણે વરસાદ

કોરી પાંપણે પડ્યો વરસાદી છાંટો!

કોરું રે મન કોરી ચુનરી છે વરસોથી કોની કને બંધાવું દખડાનો પાટો?…..

         એકલતા પજવે દિનરાત મને એવી કે

                            મેળો પણ લાગે અકારો!

          પળે પળે વ્હાલમને યાદ કરી ઝૂરું શું

                     આમ જ આ વીતશે જન્મારો?

          રોજ રોજ જોઉં મારી કોરી હથેળિયું  તેં     

                 સખીયું ને કેમ કહું મહેંદી રે વાટો?…..

કોરું રે મન કોરી ચુનરી છે વરસોથી કોની કને બંધાવું  દખડાનો પાટો?…..

           ગાતાં પવનનું ગીત વાયરાના હોઠોથી

                            કેમ કરી આંચકું રે બોલો?

           હું તો બજારે આજ નીકળી છું વેચવાને

                          દખનાં એંધાણ તમે તોલો?

           કમખાના મોરલા જો ગમતીલું બોલે તો

                પૂરો થૈ જાય મારા જીવતરનો આંટો!….

કોરું રે મન કોરી ચુનરી છે વરસોથી કોની કને બંધાવું દખડાનો પાટો?…..

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

...102030...862863864865...870880890...

Search by

Opinion

  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો
  • જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારાત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
  • ચલ મન મુંબઈ નગરી —319

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved