Opinion Magazine
Number of visits: 9457761
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જી-20ના માંડવે શી જિનપિંગ કેમ રિસાયા?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|11 September 2023

રાજ ગોસ્વામી

તમે આ વાંચતા હશો, ત્યારે દિલ્હીમાં ભારત માટે અતિ મહત્ત્વનું જી-20 શિખર સંમેલન સંપન્ન થઇ રહ્યું હશે. 2022માં, બાલી-ઇન્ડોનેશિયામાં યોજાયેલા 17માં જી-20 સંમેલનમાં, ભારતે રોટેશન પ્રમાણે 2023ના સંમેલનનું યજમાનપદ સ્વીકાર્યું હતું. તે વખતે આપણે લખ્યું હતું કે જી-20 વિશ્વની સૌથી આગળ પડતી અર્થવ્યવસ્થાઓનો સમૂહ છે. તેનાં રાષ્ટ્રોનું વૈશ્વિક જી.ડી.પી.માં 85%, વૈશ્વિક વેપારમાં 75% અને વૈશ્વિક વસ્તીમાં 66% યોગદાન છે.

મૂળમાં આ અમેરિકા, કેનેડા, જર્મની, ઇટાલી, ફ્રાન્સ, જાપાન અને બ્રિટન દેશોનું જી-7 જૂથ હતું, પરંતુ વૈશ્વિક આર્થિક મંદી ટાળવાના આશયથી 1999માં તેનું કદ વધારીને 20નું કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત, તેમાં અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરતાં આતંકવાદ, જળવાયુ પરિવર્તન અને હવે સ્વાસ્થ્ય જેવા અન્ય વિષયો પણ સામેલ થતાં ગયા છે અને એ રીતે જી-20 કુટનીતિનું એક સમાવેશી મંચ બની ગયું હતું.

આ સમૂહમાં 19 દેશ સભ્યો છે, સમૂહનું 20મું સભ્ય યુરોપિયન યુનિયન છે. તેમાં ભારત ઉપરાંત ફ્રાન્સ, ચીન, કેનેડા, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, અમેરિકા, યુનાઇટેડ કિંગ્ડમ, તુર્કી, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકા, સાઉદી અરેબિયા, રશિયા, મેક્સિકો, જાપાન, ઇટાલી, ઇન્ડોનેશિયા અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે.

જી-20 સંમેલનનું આયોજન વર્ષમાં એકવાર કરવામાં આવે છે, જો કે 2008થી શરૂ કરીને જી-20 સંમેલનનું આયોજન 2009 અને 2010માં બે વાર કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં સમૂહના સભ્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને આમંત્રિત કરવામાં આવ્યા છે અને અન્ય કેટલાક દેશોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પછી, તમામ દેશોના વડાઓ બેસીને ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરે છે.

નવી દિલ્હીમાં ભરાઈ ‘જી-20’ શિખર પરિષદના કેટલાક અગ્રેસરો : (ડાબેથી) વિશ્વ બેન્કના પ્રમુખ અજય બાંગા, બ્રાઝિલના પ્રમુખ લુલા ‘દ સિલ્વા (Luiz Inácio Lula da Silva), ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, દક્ષિણ આફ્રિકાના રાષ્ટૃપતિ માતામેલા સિરિલ રામાફોઝા તથા યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્‌ અમેરિકાના રાષ્ટૃપતિ જો બાઇડન

દિલ્હીમાં 20 દેશોના લગભગ 40 નેતાઓએ સંમેલનમાં ભાગ લીધો છે. વડાપ્રધાન મોદીએ શિખર સંમેલનને ઐતિહાસિક ગણાવ્યું છે કારણ કે પહેલીવાર આટલી મોટી સંખ્યામાં દેશો તેમાં સામેલ થઇ રહ્યા છે. જો કે, શિખર સંમેલનની ચમકદમક નીચે થોડાં અંધારાં કુંડાળા પણ પડ્યાં છે, જેની નોંધ પણ લેવી પડે તેમ છે.

દિલ્હી જી-20 સમૂહનું યજમાન છે એ આ વર્ષના સૌથી મોટા સમાચાર છે અને એ સમાચારની અંદર જ બીજા સૌથી મહત્ત્વના સમાચાર એ છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સંમેલનથી દૂર રહ્યા છે. એમ તો છ તારીખ સુધી અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનનું પણ ઢચુપચુ હતું કારણ કે ફર્સ્ટ લેડી જિલ બાઈડનને કોવિડનો ચેપ લાગ્યો હતો, પણ રાષ્ટ્રપતિનો ખુદનો ટેસ્ટ નેગેટિવ આવતાં તેમણે દિલ્હી આવવાની હામી ભરી હતી.

પુતિન યુક્રેનના યુદ્ધમાં ભરાયેલા છે. તેમણે અગાઉથી જ વડા પ્રધાન મોદીને ફોન કરીને તેઓ જી-20 સંમેલનમાં હાજર રહી નહીં શકે તેની જાણ કરી હતી. તેમની જગ્યાએ રશિયાનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે કર્યું હતું.

સૌથી મોટું આશ્ચર્ય શી જિનપિંગનની ગેરહાજરીનું છે. ચીને તેમના સ્થાને વડા પ્રધાન લી કુઆંગને સંમેલનમાં ભાગ લેવા મોકલ્યા હતા. ઘરમાં લગ્ન લેવાયાં હોય અને ગામના ચાર મોટા પરિવારોમાંથી એકની ગેરહાજરી જેમ મંડપમાં ચર્ચાનો અને ગોસિપનો વિષય બને, તેવી રીતે શી જિનપિંગની દિલ્હીમાં ગેરહાજરી શંકા-કુશંકાઓનો મુદ્દો બની હતી. ચીની રાષ્ટ્રપતિએ છેલ્લે 2019માં ભારતની મુલાકાત લીધી હતી, જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મલ્લપુરમમાં તેમનું સ્વાગત કર્યું હતું.

શી જિનપિંગ ‘રિસાઈ’ ગયા છે એ વાત કેટલી મહત્ત્વની છે તેની સાબિતી યજમાન ભારત અને મહેમાન અમેરિકા તેમ જ રશિયાએ તેના પર આપેલી પ્રતિક્રિયા છે. પહેલાં તો પુતિનની સાથે શી પણ નથી આવતા એ સંયોગ ગેરસમજ પેદા કરે તેવો છે એવું લાગતાં ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવએ રશિયન સમાચાર સંસ્થા તાસ સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે રશિયાએ ચીન સાથે મેળાપીપણામાં આવું નથી કર્યું.

આ મામલે વ્હાઇટ હાઉસે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. વ્હાઇટ હાઉસના અધિકારી જેક સુલિવાને 5 સપ્ટેમ્બરે કહ્યું હતું કે ચીન પાસે સંમેલનમાં ભાગ લેવાનો અને રંગમાં ભંગ પાડવાનો બંને  વિકલ્પ છે.  ખુદ રાષ્ટ્રપતિ બાઈડને પણ આ અંગે ‘નિરાશા’ વ્યક્ત કરી હતી.

ત્રીજી પ્રતિક્રિયા ભારત તરફથી આવી હતી. વિદેશ મંત્રી એસ. જયશંકરે એ.એન.આઈ. સમાચાર સંસ્થા સાથે વાત કરતાં જિનપિંગની ગેરહાજરીની ‘સામાન્ય’ ગણાવતાં કહ્યું હતું, “મને લાગે છે કે જી-20માં અલગ-અલગ સમયે અમુક રાષ્ટ્રપતિઓ કે વડા પ્રધાનો કોઈને કોઈ કારણોસર ગેરહાજર રહ્યા છે, પરંતુ તે પ્રસંગે તેમાં તે દેશના પ્રતિનિધિ હોય છે અને પોતાના દેશની વાત મૂકે છે. મને લાગે છે કે દરેક નેતા પૂરી ગંભીરતાથી સંમેલનમાં આવે છે.”

છેલ્લા એક દાયકાથી ચીનના રાષ્ટ્રપતિ પદે રહેલા શી જિનપિંગ બીજી વખત જી-20 સંમેલનમાં ગેરહાજર રહ્યા છે. પહેલીવાર 2021માં તે સંમેલનથી દૂર રહ્યા ત્યારે કોવિડનો રોગચાળો ચરમસીમા પર હતો. તે વખતે ચીનની કડક ‘ઝીરો કોવિડ નીતિ’ હેઠળ તેમણે એકપણ વિદેશ યાત્રા કરી નહોતી.

તે એક સંમેલનને જો અપવાદ ગણીએ તો, આ વખતે દિલ્હીમાં ગેરહાજર રહેવાનો તેમના નિર્ણયના ઘણા રાજકીય સૂચિતાર્થો છે કારણ કે તેમણે કોઈ મજબૂરીમાં નહીં, પરંતુ હેતુપૂર્વક આવવાનું ટાળ્યું છે. જિનપિંગ જી-20માં પહેલીવાર રિસાયા છે. કેમ?

જિનપિંગે આ નિર્ણય પાછળના કારણનો જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે સરહદ પર ચીન અને ભારત વચ્ચેના સંબંધોમાં તાજેતરમાં ખટાશ આવી ગઈ છે. લદ્દાખ ક્ષેત્રમાં સરહદ પરનો વિવાદ ત્રણ વર્ષ પહેલા સૈનિક ટકરાવમાં ફેરવાઈ ગયો હતો, જેમાં 20 ભારતીય અને ચાર ચીની સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો. ત્યારથી, બંને દેશોએ તોપખાના, ટેન્કો અને ફાઇટર એરક્રાફ્ટ સહિત ભારે લશ્કરી હાજરી સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા પર તેમની સ્થિતિ મજબૂત કરી છે.

ચીનના મુખ્ય ભૂ-રાજનૈતિક હરીફ અમેરિકા સાથે ભારતની વધતી જતી વ્યૂહાત્મક ભાગીદારી પર બેઇજિંગનું બરાબર ધ્યાન છે. બંને દેશોએ એકબીજાના પત્રકારોને હાંકી કાઢ્યા છે અને વેપારમાં તણાવ વધ્યો છે. ભારતે તાજેતરમાં જ ચીનને વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ તરીકે પાછળ છોડી દીધો છે. ટેકનોલોજી, અવકાશ સંશોધન અને વૈશ્વિક વેપારમાં બંને એશિયન દિગ્ગજો પ્રતિસ્પર્ધી બન્યા છે. આ ઉપરાંત, ભારતના કટ્ટર હરીફ પાકિસ્તાન સાથે ચીનના ગાઢ સંબંધો અને વિવાદિત કાશ્મીર ક્ષેત્ર પર તેનું વલણ ભૂ-રાજનીતિને વધુ જટિલ બનાવે છે.

ચીનની દાંડાઈ કેટલી છે તે એ વાત પરથી સાબિત થાય છે કે જી-20ની બેઠકના પંદર દિવસ પહેલાં જ ચીને તેનો નકશો જારી કર્યો હતો, જેમાં સમગ્ર અરુણાચલ પ્રદેશને ચીનનો હિસ્સો ગણાવ્યું હતું. ચીન દર વર્ષે આવો નકશો જારી કરતું રહે છે એટલે તેના દાવામાં કશું ‘નવું’ નહોતું, પરંતુ રાજકીય વિશ્લેષકો કહે છે કે દિલ્હીમાં જી-20નો મંડપ બંધાયો હોય, તે જ વખતે આ નકશો જારી કરવો તે એટલી નિર્દોષ વાત પણ નથી.

એશિયન સોશિયલ પોલિસી ઇન્સ્ટિટ્યૂટ (એ.એસ.પી.આઈ.) ખાતે દક્ષિણ એશિયા ઇનિશિયેટિવનાં નિર્દેશક ફરવા આમેર કહે છે કે જી-20 સંમેલનથી દૂર રહેવાના શી જિનપિંગના નિર્ણયમાં ભારતની યજમાન તરીકેની તેની ભૂમિકા પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ હોઈ શકે. ચીન નથી ઈચ્છતું કે ભારત જી-20ના સફળ સંમેલન યોજવાનો દાવો ખાટી જાય અને દક્ષિણ ગોળાર્ધ તેમ જ હિમાલયના દેશોનો અવાજ બને.

આમેર કહે છે કે રાષ્ટ્રપતિ શીનો નિર્ણય અપેક્ષિત હતો. એવું સહેજેય અનુમાન કરી શકાય કે ચીન ભારતને નેતૃત્વની બાગડોર સોંપવા ઇચ્છુક નથી, ખાસ કરીને એશિયા ક્ષેત્રમાં અને તેના પડોશમાં. ચીન આ પ્રદેશમાં તેની પ્રબળ ભૂમિકા અને પ્રભાવ જાળવી રાખવાનો ઈરાદો સેવે છે. ભારત તેમાં આડખીલી છે. જિનપિંગ ભારતના વધતા પ્રભાવને સ્વીકારવા માંગતા નથી.

જિનપિંગે ગયા ઓક્ટોબરમાં ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીની 20મી કાઁગ્રેસના પ્રથમ દિવસે સંકેત આપ્યો હતો કે ભારત સાથેના સંબંધો સુધરશે નહીં. તેઓ જી-20માં હાજર નથી રહ્યા તેનો અર્થ એ થાય કે ભારતે સરહદ પર તનાવ માટે તૈયાર રહેવું પડશે. સામે પક્ષે ભારત પણ તેનું વલણ સખ્ત કરશે. સરવાળે ભારત-ચીનના સંબંધોની ખાઈ વધુ પહોળી થશે.

લાસ્ટ લાઈન :

“આંતરરાષ્ટ્રીય સંબંધો અને માફિયા વચ્ચે વધારે પડતી જ સમાનતા હોય છે”

− નોમ ચોમ્સ્કી, અમેરિકન રાજકીય વિચારક

(પ્રગટ ‘ક્રોસલાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 10 સપ્ટેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

દેવીદેવતાઓ દર્શન માટે છે, દેખાડા માટે નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|11 September 2023

રવીન્દ્ર પારેખ

શ્રાવણથી હિન્દુ તહેવારોની મોસમ બેસે છે. કૃષ્ણજન્મોત્સવ પણ હવે ખાસા દિવસ ચાલે છે. જો કે, એની અગાઉથી ગણેશોત્સવની તૈયારીઓ શરૂ થઈ જાય છે. આમ તો ગણેશ ચતુર્થીને આઠેક દિવસ બાકી છે, પણ ભાગ્યે જ કોઈ સડક ગણપતિના મંડપ વગરની હશે. ક્યાંક તો મંડપો મુખ્ય માર્ગો પર એટલી ખરાબ રીતે ઉતારી દેવાયા છે કે કેટલી ય સડકો એકમાર્ગી થઈ ગઈ છે. એવામાં ક્યાંક આગ લાગે તો ફાયર ફાઇટર્સ પહોંચી ન શકે એવી સ્થિતિ છે. આમ તો મહાપાલિકાના ફાયર વિભાગે ગાઈડલાઇન બહાર પાડી છે, પણ એનું કોણ કેટલું પાલન કરે છે તે સૌ જાણે છે. એક તો આખું શહેર મોહેંજો ડેરો જેવું ખોદકામથી ઊપસી આવ્યું હોય તેવું, મેટ્રોને કારણે લાગે છે, તેમાં ગણેશોત્સવના મંડપો, સરઘસો અરાજક્તામાં વધારો જ કરતા હોય છે. આમાં ક્યાંક શુદ્ધ ધાર્મિક ભાવના પણ હશે જ, પણ મોટે ભાગે તો એમાં સ્પર્ધા, દેખાડો અને ઘોંઘાટ જ કેન્દ્રમાં છે. મહોલ્લાઓ કે રોડ, ઉજવણાં માટે પહેલાં તો ઉઘરાણાં કાઢે છે. પછી દર્શન માટે ફી રખાય છે. જ્યાં લાઈનો વધારે ત્યાં ફી પણ વધુ હોય છે. એમાં ક્યાંક રખાતા મનોરંજક કાર્યક્રમોને ધર્મ જોડે ભાગ્યે જ કશી લેવાદેવા હોય છે. અગાઉ જુગાર રમાયાના કે મંડપમાં દારૂ પીવાયાના બનાવો પણ નોંધાયા છે. એ પછી વિસર્જનને દિવસે હવે તો કૃત્રિમ તળાવો કે દરિયામાં વ્યવસ્થા થાય છે, છતાં ક્યાંક મૂર્તિઓ રઝળવાની, ખંડિત થવાની ઘટનાઓ પણ બને છે, ત્યારે પ્રશ્ન થાય કે આપણો ધર્મ ગણેશની આવી અવદશાની અનુમતિ આપે છે? જો નહીં, તો જે થાય છે એમાં કયો ધર્મ સચવાય છે? વરઘોડાઓ કે સરઘસો કે જુલૂસો લગભગ દરેક ધર્મમાં ઓછુંવત્તું વર્ચસ્વ ભોગવતાં રહે છે ને ક્યારેક વિખવાદનું કારણ પણ બને છે.

ગણેશોત્સવ પતે કે નવરાત્રિના દિવસો આવે છે. ભક્તો માતાજીની ભાવપૂર્ણરીતે સ્થાપના-વંદના કરે છે. તમામ રાત્રિનું આગવું મહાત્મ્ય છે, પણ બધે જ એ સચવાય છે? નવરાત્રિ નિમિત્તે થતા ગરબાએ તેની સાત્ત્વિકતા ગુમાવી દીધી છે ને તેને બદલે યાંત્રિકતા ઉમેરી લીધી છે. ગરબા હવે વ્યવસાય છે. ગરબા શીખવાના ક્લાસિસ ચાલે છે ને તે ય મહિનાઓથી ! તેની ફી હોય છે ને ત્યાં ગરબા ઉપરાંત ઘણાં એવા અનર્થો સર્જાય છે કે નવરાત્રિ, લવરાત્રિમાં પરિણમે છે. ગરબાના ટ્રેડિશનલ ડ્રેસ કે તેનાં ઘરેણાંઓનો પણ સારો એવો વ્યવસાય છે. કોઈને એમાં બે પૈસા મળતા હોય, તેનો તો શો વાંધો હોય, પણ નવરાત્રિ જો ધાર્મિક તહેવાર હોય તો આપણાં એ તહેવારમાં ખરેખર ધર્મ કેટલો તે પ્રશ્ન તો રહે જ છે. એની સામે શેરીઓમાં કે સોસાયટીઓમાં માતાજીની મૂર્તિ કે ફોટો મૂકીને ગરબા ગવાતા હતા તેથી ઓછો આનંદ આવતો હતો એવું તો ન હતું, તો મેદાનોમાં, ઓડિટોરિયમમાં ધૂમ ટિકિટ ખર્ચીને જે ઝળહળ ઘૂમે છે એથી માતાજી વધુ પ્રસન્ન થાય છે એવું ય નથી, પણ જે મોંઘું હોય, જેમાં વધુ ટાપટીપ હોય તેને જ આપણે ધર્મ માની લીધો છે. બધેથી ભાવના ઘટતી ગઈ છે ને ભાવ વધતો આવે છે. દરેક બાબતમાં દેખાડો અનિવાર્ય થઈ પડ્યો છે. એ કુદરતી નથી, પણ કોઈને આંજી નાખવા કે બતાવી દેવા કે ઉશ્કેરવા ધર્મનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. એમ લાગે છે કે ધર્મ માનવા કરતાં મનાવવાની બાબત વધારે છે.

આપણે દર્શન અને દેખાડા વચ્ચેનો ભેદ સમજવાની જરૂર છે. હવે તો નજીકથી અને દૂરથી દર્શન કરવાના ભાવ નક્કી થાય છે, પછી ઊહાપોહ થાય છે તો ભાવમાં ફેર પણ પડે છે. દૂરથી અને નજીકથી દર્શન આપવાના ભાવ ભગવાને નક્કી નથી કર્યા ને ખરેખર તો દેવદેવીનાં દર્શન હોય, પણ આપણે તેમને પ્રદર્શનમાં મૂકી દીધાં છે, એટલે કેટલાંક તીર્થસ્થાનોમાં ભક્તો ચોક્કસ તહેવારે એટલી ભીડ કરતાં હોય છે કે નાસભાગમાં સેંકડો માણસો મૃત્યુ પામે છે. આડે દિવસે પણ મંદિરોમાં ભગવાન દર્શન આપે જ છે, પણ ચોક્કસ વાર-તહેવારે ભગવાનને ઘેરી વળવામાં જ ભક્તોને સાર્થક્ય અનુભવાતું હોય એમ બને.

ખરખર તો ધર્મ અંગત બાબત હોવી જોઈએ. એના જાહેર દેખાડાને વકરાવવામાં ન આવે તો છાશવારે ધાર્મિક લાગણીઓ દુભાયા કરે છે એ ઘટે. એક કાળે ધાર્મિક અનુષ્ઠાનો કે યજ્ઞયાગ જાહેરમાં થતાં હતાં, પણ જપતપ તો એકાંતમાં, વનમાં જ થયાં છે. રાજામહારાજાઓ પણ રાજકાજ છોડીને વનમાં તપ કરવા ગયા છે. એના વરઘોડાઓ ભાગ્યે જ નીકળ્યા હશે. આજે તો અમુક ઉપવાસ થાય તો લાંબા વરઘોડાઓ નીકળે છે. આસ્થા કરતાં ધર્મ, વ્યવસ્થામાં વધુ ગોઠવાઈ ગયો છે.

અત્યારે તો સનાતન ધર્મને નામે રાજકારણીઓ રોટલા શેકી રહ્યા છે. તમિલનાડના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ પર અભદ્ર ટિપ્પણી કરીને તેનો નાશ કરવાની વાત કરી છે. એમ કરીને ઉદયનિધિએ સનાતન ધર્મીઓને ઉશ્કેરવાનું જ કર્યું છે. કોઈકે તો ઉદયનિધિનું માથું લાવનાર માટે લાખોનું ઈનામ પણ જાહેર કર્યું છે. અમદાવાદના એક વકીલે તો એ મંત્રી અને મુખ્યમંત્રી સામે FIR નોંધવા પોલીસ કમિશનરને અરજી પણ કરી છે. એવી તો ઘણી ફરિયાદો ઉદયનિધિ સામે થઈ છે ને તે અંગે ખુલાસો એવો આવ્યો છે કે ધાર્મિક માન્યતાને ઠેસ પહોંચાડવાનો કોઈ ઇરાદો નથી, પણ ધર્મને નામે જે ભેદભાવ કરવામાં આવે છે તે અંગે વિચારો પ્રદર્શિત કર્યાં છે. ઘણીવાર બને છે એવું કે ધર્મ અને રાજકારણ અલગ રહેતાં નથી અને ધર્મની તરફેણ કરનાર કે તેની વિરુદ્ધ મત આપનાર બંને, મોડાવહેલાં રાજકારણથી દૂષિત થઈને રહે છે. એટલું છે કે ઉદયનિધિએ હિન્દુ ધર્મનું અપમાન કરીને ધાર્મિક સંઘર્ષને નિમંત્રણ આપ્યું છે. સનાતન ધર્મને ખતમ કરવાની વાત જ અનધિકાર ચેષ્ટા છે. એમાં ભેદભાવની વાત કરતાં ધર્મ પ્રત્યેની નફરત વધુ ભાગ ભજવે છે.

થોડા દિવસ પર સાળંગપુરનાં હનુમાનનો વિવાદ સામે આવ્યો. સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ સ્વામીને મહાન બતાવવા, હિન્દુ દેવીદેવતાઓ વિષે અતાર્કિક વાતો ફેલાવતા રહે છે. કોઈ પણ કાળે સ્વામીની સેવા હનુમાનજી કરે એ શક્ય જ નથી, તો એવા ભીંત ચિત્રો 54 ફૂટ ઊંચા હનુમાનજીની પ્રતિમા હેઠળ મૂકવાથી શો અર્થ સરે? કોઈ પણ ધર્મ કે સંપ્રદાય સત્યથી વિપરીત તો કેવી રીતે હોય? એ તો સારું છે કે ગુજરાતના મુખ્ય મંત્રીની દરમિયાનગીરીથી વિવાદાસ્પદ ભીંતચિત્રો દૂર થયા ને વિવાદનો સુખદ અંત આવ્યો, પણ સગા બાપ કરતાં તેના દીકરાને કોઈ રીતે ઉંમરમાં મોટો ન કરી શકાય એ તો ખરું કે કેમ?

કોણ જાણે કેમ પણ સંપ્રદાયો પોતાની લીટી લાંબી બતાવવા બીજી લીટીઓ ટૂંકી કરવાની કોશિશો કરતા રહે  છે, પણ ધર્મ વધુ વ્યાપક તો જ બને જો, તે અન્ય ધર્મોની નિંદા કરવાથી દૂર રહે. આપણે વિવિધતામાં એકતા સ્વીકારીએ છીએ, પણ ધર્મના વૈવિધ્યને પ્રમાણતા નથી. કોઈ ધર્મ ક્યારે ય અધર્મની પુષ્ટિ કરતો નથી, પણ વર્ચસ્વ અધર્મનું જ વધતું આવે ત્યારે આઘાત લાગે છે. માતાનો મહિમા બધા જ ધર્મો કરે છે, પણ સ્ત્રીઓનો ધર્મસ્થાનોમાં પ્રવેશ આજે પણ ક્યાંક સરળ-સહજ નથી. જે માતાએ ભાવિ સંતને જન્મ આપ્યો હોય તેનું મોઢું જોવાનો બાધ સહ્ય કેવી રીતે હોય? ધર્મને એક, અદ્વિતીય, અખંડ અને વ્યાપક સહજ રીતે થવા દેવાનો હોય, તેને બદલે તેને ઝનૂનથી ફેલાવવાની કોશિશો થાય તો ધર્મમાં ફાંટા પડે છે. ધર્મ પ્રચારનો મહોતાજ નથી, પણ તે પ્રચારથી વ્યાપક થવાને બદલે સંકુચિત થાય છે, એ સમજાય ત્યારે મોડું થઈ ચૂક્યું હોય છે. વધુ ફેલાય છે તો ધર્મ એક રહેવાને બદલે સંપ્રદાયોમાં વિભાજિત થતો જાય છે ને એ વિભાજન વધુ ઝનૂન દર્શાવે તો વધુ વિભાજનમાં પરિણમે છે. એ વિભાજનને વૈવિધ્યની રીતે જોવાને બદલે, તે જેમાંથી અલગ થાય છે, તેની સામે જ શત્રુતા કેળવવા માંડે છે. હિન્દુ ધર્મમાં પણ સંપ્રદાયો, પંથો વધ્યા છે. શૈવ અને વૈષ્ણવ પંથોની જેમ જ ઇસ્લામમાં શિયા-સુન્ની, ખ્રિસ્તીમાં કેથોલિક-પ્રૉટેસ્ટન્ટ, જૈનમાં શ્વેતાંબર-દિગંબર, બૌદ્ધમાં હિનયાન-મહાયન એમ બીજા ધર્મોમાં પણ ફાંટા પડતા જ ગયા છે. હિન્દુ ધર્મનો કોઈ એક સ્થાપક નથી, પણ જે ધર્મના સ્થાપક એક જ છે, એ પણ ધર્મને એક રાખી શક્યા નથી. આમ તો સ્થાપ્યો ત્યારે ધર્મ એક જ હતો, પણ પછી અનુયાયીઓમાં મતમતાંતરો વધે છે તો ફાંટા પણ પડતા આવે છે. પછી તો સ્પર્ધા જ કેન્દ્રમાં આવી રહે છે. કેટલાક સંપ્રદાયોમાં તો ગાદી માટે હિંસા ને ખૂન સુધી વાત પહોંચી છે. આ બધું શું ધર્મ શીખવે છે? એવું શીખવે તો એ ધર્મ હોય ખરો?

આપણે જેને ઈશ્વર માનીએ છીએ એ બહુ ઉદાર અને દયાળુ છે. એવું ન હોત તો એક પણ નાસ્તિક જગતમાં બચ્યો ન હોત ! જો ઈશ્વર જુદા વર્ગને – નાસ્તિકોને – સ્વીકારી શકતો હોય તો એના સંપ્રદાયોમાં કેમ એ ઉદારતા કે કરુણા નથી? કેમ એ એટલા સગવડિયા છે કે હિન્દુ હોવા છતાં બીજા અવર્ણોને ન સ્વીકારવા પડે એટલે, પોતે હિન્દુ હોવાનું પણ નકારે છે? આજે દરેક ધર્મે પ્રદર્શનને બદલે દર્શનનો મહિમા કરવાની જરૂર છે. આત્મનિરીક્ષણ ન હોય ત્યાં ધર્મ દેખાડો થઈને રહી જાય છે ને એ બીજું કૈં પણ હોય, ધર્મ નથી –

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 સપ્ટેમ્બર 2023

Loading

અંજલિ : સદગત જશીબહેન નાયક

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|10 September 2023

જશીબહેન નાયક

અમદાવાદના સરસપુર વિસ્તારના સરસ્વતી સમાં શિક્ષિકા જશીબહેન નાયકનું 105 વર્ષની વયે 9 સપ્ટેમ્બરે શનિવારે સવારે નવના સુમારે ઇંગ્લેન્ડના લિવરપૂલ શહેરમાં અવસાન થયું. તેઓ તેમના તબીબ ચિરંજીવી પ્રશાન્તને ઘરે રહેતાં હતાં.

ભાવનગરમાં 18 નવેમ્બર 1918ના રોજ જન્મેલાં જશીબહેન નાયક વાત્સલ્યમય શિક્ષક, ઉત્તમ શાળા સંચાલક અને ગદ્યલેખક હતાં. તેઓ અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલાં સરસ્વતી વિદ્યાલયનો જાણે એક સદી સુધી પર્યાય હતાં.

સરસપુરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર સભાગૃહની નજીક આવેલી ‘જશીબહેનની શાળા’ના સંકુલમાં અત્યારે બાળમંદિરથી બારમા ધોરણ સુધીની છ શાળાઓમાં પાંચેક હજાર બાળકો ભણે છે. આ શાળાઓનું સંચાલન સરસ્વતી વિદ્યામંડળ નામનું  ટ્રસ્ટ કરે છે.

જશીબહેન 18 નવેમ્બર 2018 ના રોજ જ્યારે એકસો એકમા વર્ષમાં પ્રવેશ્યાં ત્યારે સંસ્થાએ સરસ ઉજવણી કરી હતી. એ અવસર સંસ્થાની મૂળ શાળાના અમૃતપર્વનો  પણ હતો.

મૂળ શાળા તે ‘પતરાંની શાળા’, જે શિક્ષણવિદ્દ રઘુભાઈ નાયકે સ્થાપી હતી. રઘુભાઈ (1907-2003) વીસમી સદીના ગુજરાતના આદ્ય આધુનિક કેળવણીકાર. તેઓ 1976માં પદ્મશ્રીથી સન્માનિત થયા. રઘુભાઈએ આઝાદીની ચળવળમાં જેલ વેઠી હતી, રવીન્દ્રનાથ પાસે શાંતિનિકેતનમાં શિક્ષણ મેળવ્યું હતું, જર્મનીની ફ્યૂબર્ગ યુનિવર્સિટીમાંથી ડૉકટરેટ પ્રાપ્ત કરી હતી, સારી નોકરી માટેના પ્રસ્તાવ સ્વીકાર્યા ન હતા.

ગામડાંમાં શિક્ષણનું કામ કરવાના ઉદ્દેશ્યથી ભાવનગરની અનોખી શાળા ‘ઘરશાળા’માં નજીવા પગારે આચાર્ય બન્યા. સંસ્થાના સ્થાપક અને કેળવણીકાર હરભાઈ ત્રિવેદીનાં દીકરી એવાં શિક્ષિકા જશીબહેન સાથે લગ્ન કર્યાં.

રઘુભાઈ દેશનાં પાટનગરમાં ગુજરાતી બાળકોને ભણાવવા માટે શરૂ કરવામાં આવેલી સરદાર પટેલ વિદ્યાલયમાં પહેલાં આચાર્ય બન્યાં, કારણ કે એ વખતના દૂરંદેશી અર્થમંત્રી અને ગૃહમંત્રી રાજપુરુષ એચ.એમ. પટેલ રઘુભાઈની કેળવણીકાર તરીકેની ક્ષમતાને બરાબર પારખી ગયા હતા. રઘુભાઈએ અનેક સિદ્ધિઓ  મેળવી અને શિક્ષણક્ષેત્રે દેશભરમાં ખ્યાતિ પામ્યા.

રઘુભાઈએ સ્થાપેલી પહેલી શાળા તે સરસ્વતી વિદ્યાલય. આદર્શવાદી રઘુભાઈનું ધ્યેય અમદાવાદનાં અભાવગ્રસ્ત બાળકોને ભણાવવાનું હતું. વાત એમ હતી કે કાળુપુર સ્ટેશનની પાછળના વિસ્તારમાં, બંધ પડી ગયેલી માધુભાઈ મિલનાં કમ્પાઉન્ડનાં કેટલાંક મકાનો અને ગોડાઉનોમાં પતરાંના શેડમાં કારખાનાં ચાલતાં.

તેમાંથી બે-ત્રણ શેડમાં એક શાળા ચાલતી હતી. સગવડો અને સંખ્યાને અભાવે બંધ પડવા આવેલી એ શાળા રઘુભાઈએ તેના સંચાલક પસેથી લઈ લીધી. તેના માટે તેમણે પોતાના અને મિત્રો પાસેથી ઉછીના લીધેલા પચીસ હજાર રૂપિયા ચૂકવ્યા.

નવરચનાનું રઘુભાઈએ કામ શરૂ કર્યું એટલે સરસપુરમાં ડઝનેક મિલોનાં સાયરનો, ધૂળ, ધૂમાડા અને કોલસાની રજ વચ્ચે આવેલાં બિસ્માર મિલ કમ્પાઉન્ડમાં જ ઘર માંડ્યું. દમની બીમારી ધરાવતાં જશીબહેન આઠ મહિનાના દીકરા પ્રશાન્તને લઈને પતિને સાથ આપવા લાગ્યાં.

ભાવેણાની આનંદદાયી ‘ઘરશાળા’, સુખી ગૃહજીવન, વ્યાવસાયિક કારકિર્દી અને સ્નેહીઓને છોડી દીધાં. પાણી, અનાજ, જાજરૂ-બાથરૂમ, વીજળી, આવકનાં અભાવો સહિતની અનેક મુશ્કેલીઓ વેઠીને ઘરસંસાર ચલાવ્યો, સાથે શાળા પણ વિકસાવી.

નાયક દંપતીએ સરસ્વતી શાળાને વિષય શિક્ષણ ઉપરાંત બાળકના સર્વાંગીણ રુચિસંપન્ન  વિકાસ સાધવા માટેની ‘નૂતન શિક્ષણ’ની વિભાવના મુજબ આકાર આપ્યો. શાળાની જમીન રેલવેએ સ્ટેશનના વિસ્તરણ માટે સંપાદિત કરી. એટલે ખૂબ મહેનતથી 1959માં નવી જમીન મેળવી જ્યાં શાળાની બે મોટી ઇમારતો અત્યારે ઊભી છે.

શાળામાં ઉત્તમ શિક્ષકો તો રોક્યા જ. ઉપરાંત તેને સંગીત, નૃત્ય, નાટ્ય, સામયિક, ભીંતપત્ર, રમતગમત, સમાજકકાર્ય, વિદ્યાર્થીમંડળ જેવી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવી. તેની માહિતી શિક્ષણક્ષેત્ર પરનાં પીઢ લેખક  હરિત પંડ્યાએ આલેખેલાં રઘુભાઈનાં વાચનીય ચરિત્ર ‘સપનાં થયાં સાકાર’માં મળે છે. આ પુસ્તક ઑસ્ટ્રેલિયાના અગ્રણી શિક્ષણવિદ ફ્રેડા વિટલૅમે (1920-2018) લખેલાં રઘુભાઈના ‘લાઇટ ઇન ધ ઇસ્ટ’ (1996) નામના જીવનચરિત્ર પર આધારિત છે.

જશીબહેનનાં સંસ્મરણો ‘સ્મરણયાત્રા’ (2001) પુસ્તક તરીકે વાંચવા મળે છે.તેમાં તેમણે શાળાની શરૂઆતનાં કપરાં વર્ષોનાં પ્રસંગો વિશે સહજભાવે અને શાળાને મદદરૂપ થનાર અનેક નાની-મોટી વ્યક્તિઓ વિશે કૃતજ્ઞતાથી લખ્યું છે.

ઉપેક્ષા કે ગેરસમજનો ભોગ બનેલાં વિદ્યાર્થીઓની કથાઓ ‘કાળી વાદળી ઉજળી કોર’(1987) સંચયની વાર્તાઓમાં મળે છે. આ પુસ્તક તેમણે ‘વિશાળ વડલા સમા વિદ્યાર્થીભક્ત ગુરુદેવ, કુટુંબવત્સલ પિતાશ્રી’ને અર્પણ કર્યું છે.

સરસ્વતી વિદ્યાલયની સુવાસ પ્રસરતાં અસારવા વિસ્તારના લોકોની માગણીને પગલે ત્યાં શરૂ થયેલી શાળામાં 1958 સુધી છ વર્ષ માટે આચાર્યપદે રહ્યાં. તે પછી અઢાર વર્ષ  દિલ્હીમાં સરદાર પટેલ વિદ્યાલયમાં રઘુભાઈ સાથે સહઆચાર્ય તરીકે 1976 સુધી રહ્યાં.

જશીબહેન અને રઘુભાઈ નાયક

મુંબઈથી વર્ષો પહેલાં બી.એ. થઈ ચૂકેલાં તેમણે ભણાવવાની સાથે ભણવાનું ફરીથી શરૂ કર્યું. મૉન્ટેસરી ટ્ર્રેઇનિન્ગ કોર્સ કરીને પછી એમ.એડ. સુધી ભણ્યાં. ચાલીઓ-ખોલીઓમાં વસતાં વિદ્યાર્થીઓ તેમ જ  પોતાનાં સંતાનો પ્રશાન્ત અને ઇરા વચ્ચે ભેદ ન રાખ્યો.

રઘુભાઈને 1952માં ફુલબ્રાઇટ સ્કૉલરશીપ હેઠળ અમેરિકા જવાનું થયું ત્યારે એક વર્ષ આખી શાળાનું સંચાલન કર્યું. જશીબહેન પોતે ભાષા, સમાજવિદ્યા અને સંગીતના શિક્ષિકા હતાં.

નવેમ્બર 2018માં જશીબહેનની અમદાવાદના પોલિટેકનિક વિસ્તારમાં આવેલી મૈત્રી સોસાયટી ઘરે મુલાકાત લીધી. તેમણે ખુરશીમાં સીધાં બેસીને મીઠા અને ધીમા અવાજે કહેલી સરસ  સાંભરણો સાંભળવા મળી.

જશીબહેન એકસોએકમાં વર્ષે પણ વિદ્યામંડળનાં પ્રમુખ તરીકે સંસ્થાની બેઠકોમાં હાજરી આપતાં. શાળાનાં બાળકોની નૃત્યનાટિકામાં માર્ગદર્શન આપતાં. એ જ્યાં હોય ત્યાંથી સંસ્થાના માસિક ‘ઘરશાળા’ માટે લેખો લખાવી મોકલતાં. લાંબો પ્રવાસ ખેડી શકતાં. એ લગભગ 2008થી દર વર્ષે છ-આઠ મહિના લિવરપૂલમાં તેમનાં તબીબ ચિરંજીવી પ્રશાંતભાઈને ત્યાં રહેતાં. તેમણે પુત્રને તેના સાઠમા જાન્મ દિવસે ‘સ્મૃતિના અસવાર’ પુસ્તક અર્પણ કર્યું છે. આ પુસ્તકમાં ‘શ્રમજીવનમાં છૂપાયેલ રત્નોનું આલેખન’ છે.

જશીબહેનની યાદોમાં વારંવાર આવતા તે શાળામાં કરાવેલાં ગીત-સંગીતનાં કાર્યક્રમો. શાળાની પ્રાર્થના સહિત અનેક વાર રવીન્દ્રસંગીત ચાલતું. તદુપરાંત પ્રહ્લાદ પારેખની ‘વર્ષામંગલ’ની રચનાઓ હતી. એ બધું દિલ્હીમાં ચાલુ રહ્યું, અને તેમાં ઉમેરાઈ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ પરની નૃત્યનાટિકાઓ.

તેની સ્ક્રિપ્ટ્સ્ લખવા માટે બહેન ખૂબ મહેનત લેતાં. કાર્યક્રમોની પદ્યરચનાઓ જાણીતા કવિઓ પાસે પોતાના માર્ગદર્શન હેઠળ કરવાતાં. તેમાંની એકની પંક્તિઓ જશીબહેન બોલી બતાવે છે :‘ભારતમેં જન્મા થા ઐસા પુરુષ મહાન, લોગ ઉસે કહતે થે લોહે કા ઇન્સાન’.

મુલાકાત દરમિયાન કેટલીય યાદો ઉઘડી હતી : રઘુભાઈએ ઇન્દિરા ગાંધીને પુનાની ‘પીપલ્સ સ્કૂલ’માં કેટલોક સમય ભણાવેલાં, દિલ્હીની સ્કૂલમાં રાજેન્દ્રપ્રસાદ આવેલાં, સરદાર પરની સ્ક્રિપ્ટ માટે પાર્લામેન્ટની લાઇબ્રેરીમાં જતાં, અસારવા વિદ્યાલયની શાળામાં જશીબહેન સાઇકલ પર જતાં-આવતાં.

જશીબહેનનું એક સ્મરણ છે : ‘એક વખત રઘુભાઈ રસોડામાં ચમચીઓ ગણતા હતા. કોઈએ અંચબો વ્યક્ત કર્યો. એટલે તેમણે કહ્યું કે ‘એ સ્કૂલમાં ધ્યાન આપે તો મારે ઘરમાં થોડુંક ન આપવું જોઈએ’. જશીબહેન-રઘુભાઈના લગ્નની પચીસમી વર્ષગાંઠે સ્નેહરશ્મિએ હાઇકુ કર્યું : 

‘વીતી વસન્ત –

રૂસણે તારે તો-

હજી તે તાજી !’ 

‘પતરાંવાળી સ્કૂલ’ના કમ્પાઉન્ડમાં રહેતો, મદદ કરતો, જશીબહેનનાં બાળકોને વહાલ કરતો ‘કાબુલીવાલા જેવો’ ગફૂર પઠાન યાદ છે. અમદાવાદનાં અનેક તોફાનોમાં ‘કોણજાણે કેમ’ પણ શાળા સલામત રહી.

ભાગલા વખતે સિંધી હિજરતીઓનાં ધાડાં આવતાં. તેમને માટેનાં રાહતકામમાં રઘુભાઈએ શાળાને સામેલ કરી. તે વિશે જશીબહેને ‘સ્મરણયાત્રા’માં તો લખ્યું છે. પણ તે દિવસો એમને વારંવાર બધાને ખાસ કહેવા જેવા લાગે છે.

તેમાં રઘુભાઈએ એક સાવ બેસહારા હિજરતી ભાઈને  ચા બનાવીને શાળામાં કાયમ આપી જવાનું સોંપ્યું હતું તે પણ જશીબહેનને સાંભરે છે. જશીબહેનને યાદ છે તે ‘પતરાંની શાળા’માં ભણતાં મહેનતકશોનાં બાળકોનું અમદાવાદ. શ્રમજીવીઓ માટે શિક્ષણની સરસ્વતી જ્યાં વહે છે, વસે છે તે જશીબહેન નાયકનું અમદાવાદ. શ્રમજીવી વર્ગના સંતાનો માટે આજે સારું શિક્ષણ મુશ્કેલ બની ગયું છે ત્યારે જશીબહેન – રઘુભાઈ જેવા ભેખધારીઓ ખાસ યાદ આવે છે. 

__________________________________

સૌજન્ય : ડૉ.અશ્વિનકુમાર, પ્રા.જિતેન મૅકવાન, મનીષ પટેલ (ZCAD Group) અને સરસ્વતી વિદ્યામંડળ
આધાર : ‘નવગુજરાત સમય’ દૈનિકમાં નવેમ્બર 2018 માં પ્રસિદ્ધ થયેલો મારો લેખ
 લેખકે આધારરૂપ દર્સાવેલા આ લેખની લિંક :
https://opinionmagazine.co.uk/shahernaan-saraspurnaan-saraswati-samaam-shikshikaa-jasibahen-nayak-ekaso-ekmaam-varshmaam-praveshee-rahyaan-chhe/
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

...102030...862863864865...870880890...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved