Opinion Magazine
Number of visits: 9665937
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

COP28: પુનઃપ્રાપ્ય ઊર્જાથી ચાલતી દુનિયાનો દાવો સહેલો, અમલીકરણ અઘરું

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|17 December 2023

ધનિક દેશો સૌથી વધારે પ્રદૂષકોનું ઉત્સર્જન કરે છે અને એક મક્કમ અભિગમ એમ પણ છે કે ધનિક દેશો માટે COP28ની હા-એ-હા એક દંભથી વધારે કંઇ જ નથી

ચિરંતના ભટ્ટ

બુધવારે COP28 સમિટની પૂર્ણાહુતિ થઇ અને ત્યારથી રિન્યુએબલ એનર્જી એટલે કે પુનઃપ્રાપ્ય ઊર્જાનો મુદ્દો ચર્ચાઇ રહ્યો છે. વૈશ્વિક સ્તરે ઊર્જાની બચતની દિશામાં સહિયારા પ્રયાસો અંગેની કટિબદ્ધતા આ સમિટનું તારણ છે એમ કહી શકાય. સૌથી પહેલા તો ટૂંકમાં એ સમજીએ કે COP28 છે શું? યુનાઇટેડ નેશન્સની ક્લાઇમેટ ચેન્જ પરિષદ જે નવેમ્બરથી ડિસેમ્બર દરમિયાન આ વર્ષે દુબઇમાં યોજાઇ તેને માટે COP28 – કોન્ફરન્સ ઑફ પાર્ટીઝ શબ્દ વપરાય છે. યુનાઇટેડ નેશન્સની આ ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ દર વર્ષે યોજાય છે જેમાં અલગ અલગ દેશો પર્યાવરણને બહેતર બનાવવાની દિશામાં થતા અને ભવિષ્યમાં થઇ શકે તેવા પ્રયત્નો, પર્યાવરણની કટોકટી સામે લડવા કે ટકી રહેવા શું કરવું તેની ચર્ચા અને 2050 સુધીમાં ઝીરો-એમિશન – પ્રદૂષકોનું ઉત્સર્જન સદંતર અટકે તે માટે કોણે શું બદલવું અને કેવી રીતે આ નિર્ણયો અમલમાં મુકવા તેની વાત થાય છે. 70 હજારથી વધુ પ્રતિનિધિઓએ આ વર્ષે COP28માં ભાગ લીધો જેમાં બિઝનેસ વિશ્વના અગ્રણીઓ, આવનારી કાર્યરત પેઢી, આબોહવાના નિષ્ણાતો, વૈજ્ઞાનિકો, સ્થાનિકો, પત્રકારો અને અન્ય ભાગીદારો જોડાયા.

આ વર્ષના COP28માં 200 જેટલા દેશોએ અશ્મિગત ઇંધણનો ઉપયોગ ઘટાડવાની નિર્ણયને સંમતિ આપી છે જેથી ભવિષ્યમાં ખડી થનારી ક્લાઇમેટ ચેન્જની મહા-આફતને ટાળી શકાય. ભલેને આ આ સંમતિ વિસ્તાર પૂર્વક એવી કોઇ ખાતરી નથી આપતી કે કોલસો, તેલ અને ગેસનો ઉપયોગ ધીમે ધીમે સાવ બંધ કરી દેવો. પણ આ સમજૂતી કરાર એવો સંકેત ચોક્કસ આપે છે કે અશ્મિગત ઇંધણથી દૂર જવાની બાબતે આખી દુનિયા એકમત છે. તેનો અર્થ એમ કે પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉપયોગમાં વધારા અને ઉત્સર્જનમાં કાપ મૂકતી તમામ પહેલને પ્રોત્સાહન પૂરું પાડવું અને એ માટેના સંસાધનો રચવાં, ભેગાં કરવાં વગેરે.

આ બધી જ સાંભળવામાં સારી લાગે, ભવિષ્ય બહેતર લાગે એવી બાબતો છે એ ચોક્કસ પણ શું COP28 અંતે જે ધારણાઓ સાથે થઇ હતી તે સિદ્ધ કરી શકે એ રીતે થઇ ખરી? કદાચ ના, પણ એક ભારતીય તરીકે આપણે એ બાબતે ખુશ થવું જોઇએ કે આપણે એક દેશ તરીકે વિકાસલક્ષી જરૂરિયાતોને પૂરી પાડવાનું લક્ષ્ય પણ પૂરું કરી શકીશું અને સાથે વૈશ્વિક સ્તરે ક્લાઇમેટ-પર્યાવરણને લગતા જે પણ ધ્યેય છે તેને અનુસરવામાં પણ કાચા નહીં પડીએ.

ભારત અને આખા વિશ્વ માટે COP28ની અસરોની ચર્ચા કરવી જરૂરી છે. આપણે અશ્મિગત ઇંધણ, ખૂટતા કુદરતી સ્રોતો વગેરે વિશે વર્ષોથી સાંભળીએ છીએ. અશ્મિગત ઇંધણનો ઉપયોગ ટાળવાનાં કારણો અંગે આપણે સ્કૂલની સ્વાધ્યાપોથીઓનાં પાનાં ભર્યા છે. પણ આજે 2023માં પણ આપણે અશ્મિગત ઇંધણના ઉપયોગ ટાળવાની ચર્ચાઓ પર જ અટકેલા છીએ. સદ્દભાગ્યે એમ છે કે હવે વૈજ્ઞાનિક સ્તરે આગળ વધી ગયેલી દુનિયા પાસે નક્કર વિકલ્પો છે, ટૅક્નોલૉજી છે, પરિણામ આપે એવા સંશોધનો પણ કરાયા છે. છતાં પણ COP28માં થયેલી વાતો બધી જ નક્કર વાસ્તવિકતામાં ફેરવાઇ જશે એવું માની લેવાની ભૂલ ન કરી શકાય. 200 જેટલા દેશ ભેગા થયા હોય એટલે વાસણ તો ખખડવાનાં જ. અમુક દેશોને એનો વાંધો હતો કે ફોસિલ ફ્યુઅલ ફેઝ -આઉટ – એટલે કે અશ્મિગત ઇંધણને તબક્કાવાર બંધ કરવાની વાત રજૂ કરતા શબ્દપ્રયોગનો ઉપયોગ ન થયો. જો એ શબ્દ વપરાયો હોત તો એ ફેઝ-આઉટ – ધીમે ધીમે તેનો ઉપયોગ બંધ કરવાની સમય મર્યાદા બાંધી શકાઇ હોત જો કે એમ માનવું ચોક્કસ ભૂલ ભરેલું છે કારણ કે દરેક રાષ્ટ્ર માટે એ સમય મર્યાદા એક સરખી ન હોઇ શકે. વળી અત્યારે જે સ્થિતિ છે તે જોતાં નજીકના ભવિષ્યમાં અશ્મિગત ઇંધણનું ઉત્પાદન અને ઉપયોગ બન્ને અચાનકથી અટકાવી શકાય કે ઓછાં કરી શકાય એવું લાગતું નથી પણ 2050ની જે સમય મર્યાદા COP28માં બાંધવામાં આવી છે તેને માટે આ અનિવાર્ય માપદંડ છે.

હવે કોલસાની વાત આવી ત્યારે સ્ટોરેજની સગવડ અને કાર્બન કેપ્ચર ન હોય તો કોલસાથી ચાલતા નવા પાવર પ્લાન્ટ ન ખોલવાની બાબતનો ભારત સહિતના કેટલાક દેશોએ એ વાતનો વિરોધ કર્યો. હવે આ પ્રકારના વાંધા તો ઓઇલનું ઉત્પાદન કરતા દેશો પણ લેશે કારણ કે તેમનું તો આખું અર્થતંત્ર તેના ઇંધણ પર ટકેલું છે. ફેઝ-ડાઉનની વાત તો કરી પણ એ થાય છે કે કેમ, બરાબર થાય છે કે નહીં એ કેવી રીતે માપવામાં આવશે એની કોઇ ચોખવટ નથી. હવે મિથેનના ઉત્સર્જ પર કાપ મૂકવાની વાતમાં પણ ભારત સહિતના ઘણા દેશોએ વિરોધ દર્શાવ્યો કારણ કે ખેતી પ્રધાન દેશને મિથેનનું ઉત્સર્જન ઘટાડવું હોય તો ખેતી કરવાની પદ્ધતિઓ ધરમૂળથી બદલવી પડે. ભારત માટે આ સહેલું નથી કારણ કે આપણા અર્થતંત્રનો મોટો હિસ્સો ખેતી પર આધાર રાખે છે. મિથેન ઉત્સર્જન ઘટાડવાની વાત થઇ પણ તેના કોઇ માપદંડ, પ્રમાણ, કે લક્ષ્ય નક્કી નથી કરાયા.

એ ખાસ નોંધવાનું કે ચીન અને ભારત – બે દેશ જે વિશ્વના સૌથી મોટા ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જક છે તેમણે COP28ના કરારો પર સહી નથી કરી, એમાં બીજા 130 દેશોનો સમાવેશ થાય છે. G20માં લીડર્સ ડેક્લેરેશનમાં આ બન્ને દેશોના હસ્તાક્ષર છે અને તે પણ પુનઃપ્રાપ્ય ઊર્જાની ક્ષમતા વધારવાનો કરાર છે. ભારત અને ચીન પાસે આ દિશામાં કામ કરવાની યોજનાઓ પણ છે. ભારત તો પુનઃપ્રાપ્ય ઊર્જાનું વિશાળ માર્કેટ ધરાવનારા દેશોમાં ત્રીજા ક્રમાંકે છે. પવન અને સૂર્ય ઊર્જાની માંગ વધી છે, તેના ઉત્પાદન માટે વધુને વધુ કામ પણ થઇ રહ્યું છે અને કઇ રીતે આ ઊર્જાઓ પેદા કરવી, સંઘરવી અને તેની વહેંચણી કરવાની કામગીરી વાજબી કિંમતે થાય તે માટે પણ વધુને વધુ પહેલ લેવાઇ રહી છે. પરંતુ આ તમામ પર જે-તે દેશના નિયમો, આર્થિક સધ્ધરતા અને માળખાંકીય સુવિધાઓથી માંડીને દરેક બાબતનો પ્રભાવ રહે છે.

ભંડોળ સૌથી મોટી સમસ્યા છે. વિકાસશીલ દેશોને વાજબી ઊર્જા મેળવવા માટેના સ્રોત ખડા કરવા ભંડોળની જરૂર હોય તે સ્વભાવિક છે. આ ચિંતા યુનાઇટે અરબ અમિરાત્સ કે યુ.એસ.એ. જેવા દેશોને ન હોય. ભારતની વાત કરીએ તો આપણને જ અંદાજે 293 બિલિયન ડૉલર્સની જરૂર છે. એટલું ભંડોળ હશે તો 2030 સુધીમા આપણે પુનઃપ્રાપ્ય ઊર્જાની ક્ષમતા ત્રણ ગણી કરી શકીશું. વળી જો નેટ ઝીરો એમિસનના ધ્યેયને સિદ્ધ કરવો હશે તો આપણને 101 બિલિયન ડૉલર્સ બીજા જોઇશે. આ એક સમસ્યા થઇ, આ ઉપરાંત વૈશ્વિક સ્તરે દરેક રાષ્ટ્ર જે અશ્મિગત ઇંધણનો ઉપયોગ બંધ કે ઓછો કરવાની દિશામાં વિચારે છે તે તમામ માટે ઊર્જાનું વહન – ટ્રાન્સપોર્ટેશન – કિંમતોને લગતી અચોક્કસતા, માપદંડ નિયત કરતી નીતિઓ, લેબરની અછત જેવી ઘણી બધી બાબતો આ તબક્કાવાર પરિવર્તનમાં તોતિંગ અવરોધ બની શકે છે.

આપણી પાસે એક રાષ્ટ્ર તરીકે પ્લાન ચોક્કસ છે, વળી તેને લાગુ કરવાની ક્ષમતા પણ. પરંતુ નીતિ વિષયક પરિવર્તનો, પર્યાવરણ – જે છે તેને જાળવવાની કામગીરી, પુનઃપ્રાપ્ય ઊર્જાના સ્રોતો ખડા કરવા માટે જે વ્યવસ્થા જોઇએ તેની કિંમતોમાં સ્થિરતા જેવી ઘણી બાબતો પણ આપણે કામ કરવાની જરૂર છે. ધનિક દેશો સૌથી વધારે પ્રદૂષકોનું ઉત્સર્જન કરે છે અને એક મક્કમ અભિગમ એમ પણ છે કે ધનિક દેશો માટે COP28ની હા-એ-હા એક દંભથી વધારે કંઇ જ નથી.

બાય ધી વેઃ 

સાંભળવામાં સારું લાગે એ અમલ કરવામાં એટલું જ કપરું હોય છે. વૈશ્વિક સ્તરે જે સ્પર્ધા ચાલે છે, જીઓ-પૉલિટિકલ તણાવ ચાલે છે તે જોતાં પોતાના વ્યાપાર-વાણિજ્યની રક્ષા કરવી દરે રાષ્ટ્ર માટે અગ્રિમતા બની જશે. ધનિક રાષ્ટ્રો સપ્લાય ચેન પર કાબૂ ધરાવે છે અને તેઓ ધારે તો આખું તંત્ર ખોરવાઇ જાય એ રીતે પગલાં લઇ જ શકે છે. જો આ દેશો આડા ફાટે તો વિકાસશીલ દેશો પર તેની ડોમિનો ઇફેક્ટ થાય અને તેઓ પોતાના ધ્યેય સિદ્ધ કરવામાં ઊણા ઉતરે. જો વૈશ્વિક સ્તરના રાજકીય નેતાઓ આ પર્યાવરણીય પરિવર્તનને લગતી પ્રતિજ્ઞાઓ વિશે ગંભીર હોય તે તેમણે યોગ્ય સ્થળે રોકાણ કરવાં પડશે, ખાનગી રોકાણકારોનો ઉપયોગ સાચી દિશામાં કરવો પડશે જેથી 2030 સુધીમાં 30 ટ્રિલિયન ડૉલર્સનું ગ્રીન ઇન્વેસ્ટમેન્ટ થઇ શકે. આ પરિવર્તન સસ્તું નથી પણ આપણ કુદરતી આફતોની જે કિંમત ચૂકવવી પડે છે તેન કરતાં તો આ ઓછી જ કિંમત છે એ ચોક્કસ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 ડિસેમ્બર 2023

Loading

સાધ્ય સાથે શાસકોને સંબંધ છે અને સાધન સાથે ન્યાયતંત્રને

રમેશ ઓઝા|Opinion - Opinion|17 December 2023

રમેશ ઓઝા

સર્વોચ્ચ અદાલતની પાંચ ન્યાયમૂર્તિઓની બંધારણીય બેન્ચે સર્વાનુમતે જમ્મુ અને ક્સ્શ્મીરને વિશેષ દરજ્જો આપનારા બંધારણના આર્ટીકલ ૩૭૦ને રદ્દ કરવાના કેન્દ્ર સરકારનાં પગલાંને માન્યતા આપી છે. પાંચ જજોની બેન્ચમાં ત્રણ જજો માટેનો ચુકાદો મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડે લખ્યો હતો. એમાં કહેવામાં આવ્યું છે કે મૂળમાં આર્ટીકલ ૩૭૦ જમ્મુ અને કાશ્મીરના વિલિનીકરણ પૂરતો વચગાળાની જરૂરિયાતના ભાગરૂપે ઘડવામાં આવ્યો હતો અને તેનું સ્વરૂપ તાત્કાલિક જરૂરિયાતનું હતું. માટે જમ્મુ અને કશ્મીરના રાજ્યપાલને આર્ટીકલ ૩૭૦ને રદ્દ કરવાનો બંધારણીય અધિકાર છે.

અહીં એક સાદો સવાલ ઉપસ્થિત થાય છે. આટલાં વર્ષોમાં જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન શું ૨૦૧૯માં પહેલીવાર નહોતું આવ્યું હતું? રાષ્ટ્રપતિ શાસન અનેકવાર લાદવામાં આવ્યું છે. હકીકત તો એ છે કે જમ્મુ અને કાશ્મીરે ચૂંટાયેલી સરકાર ઓછી જોઈ છે, રાષ્ટ્રપતિ શાસન જ વધારે જોયું છે. એવું તે બને કે આર્ટીકલ ૩૭૦ને રદ્દ કરવાનો આવો સાવ સરળ ઉપાય અત્યાર સુધી કોઈ કેન્દ્ર સરકારને, કોઈ કાયદા પ્રધાનને, કોઈ સોલિસિટર જનરલને, કોઈ એટર્ની જનરલને, કોઈ બંધારણવિદ્દને, કોઈ રાજકીય પક્ષને ન સૂઝ્યો? ખૂદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે અને જન સંઘ તેમ જ ભારતીય જનતા પક્ષે આ સાવ સરળ ઉપાય હાથવગો છે એમ કહ્યું નથી. અટલ બિહારી વાજપેયીની સરકાર કેન્દ્રમાં હતી ત્યારે તે આ ઉપાય વાપરી શકી હોત. ત્યારે પણ જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન હતું. આજથી ઊલટું જે જમાનમાં મેધાવી લોકો દરેક જગ્યાએ બિરાજમાન હતા ત્યારે કોઈને ય વિચાર ન આવ્યો કે આર્ટીકલ ૩૭૦ રદ્દ કરવાનો ઉપાય તો બસ ખિસ્સામાં છે. કહો રાજ્યપાલને અને કરો રદ્દ!

૭૫ વરસથી ભારત સરકાર ઈચ્છે છે કે જમ્મુ અને કાશ્મીર ભારતનાં અન્ય રાજ્યોની માફક ભારતીય સંઘરાજ્યનો સંપૂર્ણ હિસ્સો બની જાય. જો જમ્મુ અને કાશ્મીરના મહારાજ હરિ સિંહે તેમનાં રાજ્યનાં ભારતમાં જોડાણ કરવામાં વિલંબ ન કર્યો હોત તો આર્ટીકલ ૩૭૦ની જરૂર પણ ન પડત. દુર્ભાગ્યે જોડાણ સંપૂર્ણ ન થઈ શક્યું એટલે આર્ટીકલ ૩૭૦નો આશરો લેવો પડ્યો. એ વચગાળાનો ખરો, પણ એમાં એક પક્ષકાર જમ્મુ અને કાશ્મીરની પ્રજા પણ છે. આપણે કોઈ સાથે લેવડદેવદ કરવા માટે જેમ પાકો કરાર કરતાં પહેલાં કાચી સમજૂતીનો મુસદ્દો (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ) બનાવીએ છીએ એમ. એ તો દેખીતું છે કે જ્યાં સુધી બીજો પક્ષકાર સંમતિ ન આપે ત્યાં સુધી એમ.ઓ.યુ. એગ્રીમેન્ટમાં ન ફેરવાઈ શકે.

આર્ટીકલ ૩૭૦ને રદ્દ કરવાનો ઉપાય આટલો સરળ હોત તો અત્યાર સુધીના શાસકો શું ગાંડા હતા? અને એમાં અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીનો પણ સમાવેશ થાય છે. કોઈને ન સુઝ્યો એ તોટકો અત્યારની સરકારને સુઝ્યો?

આને કહેવાય શીર્ષાસન. ભારત રાષ્ટ્રનું અને બંધારણ ઘડનારાઓનું અંતિમ લક્ષ આર્ટીકલ ૩૭૦નો એક દિવસ અંત લાવવાનું હતું? જવાબ છે હા. અંતિમ લક્ષ જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં સંપૂર્ણ વિલિનીકરણનું હતું? જવાબ છે હા. તેમનું અંતિમ લક્ષ જમ્મુ અને કાશ્મીર ભારતનાં બીજાં રાજ્યોની માફક સમાન સ્તરે ભારતીય સંઘનો હિસ્સો બને એ હતું? જવાબ છે હા. તો પછી જમ્મુ અને કાશ્મીર માટે આર્ટીકલ ૩૭૦ વચગાળાનો અને તાત્કાલિક જરૂરિયાતના ભાગરૂપે હતો? જવાબ છે હા. બસ આટલું પૂરતું છે. આર્ટીકલ ૩૭૦ વચગાળાની વ્યવસ્થા હતી અને અંતિમ લક્ષ તેનો અંત લાવવાનો હતો તો પછી એ ગમે તે માર્ગે લાવવામાં આવ્યો હોય એનાથી શું ફરક પડે છે?

આ માર્ગ આગલા શાસકોએ નહોતો અપનાવ્યો કારણ કે તેમને જયપ્રકાશ નારાયણ જેવા અંતરાત્માના રખેવાળોનો ડર લાગતો હતો. તેમને નાગરિક સમાજનો ડર લાગતો હતો. તેમને સ્વતંત્ર મીડિયાનો ડર લાગતો હતો અને સૌથી વધુ તેમને સ્વતંત્ર ન્યાયતંત્રનો ડર લાગતો હતો. આપણું કર્યું ઊંધું વાળે તો? સાદી સમજ કહે છે કે સાધ્ય સાથે શાસકોને સંબંધ છે અને સાધન સાથે ન્યાયતંત્રને. ન્યાયતંત્રનું કામ જ સાધન પર નજર રાખવાનું છે. શાસકો તો ઘણું બધું સાધ્ય કરવા ઈચ્છે છે અને એમાં તેમને શોર્ટકટ પણ જોઈએ છે, પરંતુ ન્યાયતંત્ર તેમને તેમ કરવા દેતું નથી. કોઈ માર્ગ ગેરકાનૂની અને ગેરબંધારણીય ન હોવો જોઈએ એ એક વાત અને કાનૂની તેમ જ બંધારણીય હોય તો પણ કોઈને અન્યાય કરનાર ન હોવો જોઈએ એ બીજી વાત. આ જોવાનું કામ અદાલતનું છે. ટૂંકમાં સાધન પર નજર રાખવાનું કામ ન્યાયતંત્રનું છે, મુખ્યત્વે સર્વોચ્ચ અદાલતનું છે. આગલા શાસકો બેવકૂફ નહોતા કે તેમને આવો નાનકડો તોટકો ન સૂઝે.

તો વાતનો સાર એ છે કે સર્વોચ્ચ અદાલતે સાધ્યનો આશરો લઈને સાધનને ચકાસવાની તેની જે ફરજ છે એ તરફ આંખ આડા કાન કર્યાં છે. આ ફરક છે વીતેલાં વર્ષોનાં સમાજકારણમાં અને આજનાં સમાજકારણમાં. આજે પારકી છઠ્ઠીનાં જાગતલો નથી. આજે નાગરિક સમાજ દુર્બળ છે. આજે મીડિયા ગોદમાં છે અને ન્યાયતંત્રની કરોડરજ્જુ મેરુદંડનું સ્વરૂપ ધરાવતી નથી. અને સર્વોચ્ચ અદાલતે આવું પહેલીવાર નથી કર્યું. અયોધ્યાના મામલામાં અને મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારને તોડવામાં આવી ત્યારે પણ આવું જ શીર્ષાસન કર્યું હતું.

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર ગેરબંધારણીય રીતે તોડી હતી, રાજ્યપાલ અને સ્પીકરે પક્ષપાત કર્યો હતો એ બધી વાત સાચી પણ ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું એટલે અમે શું કરીએ? જો રાજીનામું ન આપ્યું હોત તો અમે તેમને પાછા ગાદીએ બેસાડી શકત. અરે સાહેબ, તમારા કહેવા મુજબ જે ગેરબંધારણીય માર્ગે અને પક્ષપાત દ્વારા સત્તા છીનવીને બેઠા છે તેમને હટાવવાના ખરા કે નહીં? બીજું મહિનાઓથી મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર સર્વોચ્ચ અદાલતના આદેશને ગણકારતા નથી એ બાબતે સર્વોચ્ચ અદાલતે શું કર્યું? સાધનની બાબતમાં આંખ આડા કાન કરવામાં આવ્યા. આવું જ અયોધ્યાની બાબતે. કોઈ મુસ્લિમ શાસકે અયોધ્યામાં રામમદિર તોડ્યું હોવાનાં પૂરાવા નથી એમ સર્વોચ્ચ અદાલતે સ્વીકાર્યું છે, પણ મસ્જીદ અન્યત્ર બંધાશે. ફરી સાધનની બાબતે આંખ આડા કાન. વળી આ ત્રણેય ખટલામાં ચુકાદાઓ અત્યારના મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડે લખ્યા હતા. અદાલતની બહાર મહાન વાતો કરો અને અદાલતમાં શીર્ષાસન કરો!

દરમ્યાન આર્ટીકલ ૩૭૦ આ પહેલાં જ આગલા શાસકોએ ક્રમશઃ અને સિફતપૂર્વક નિસ્તેજ કરી નાખ્યો હતો એટલે એ બંધારણમાં લગભગ નિષ્પ્રાણ અવસ્થામાં જ પડ્યો હતો. માત્ર હવે તેનાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 ડિસેમ્બર 2023

Loading

ચલ મન મુંબઈ નગરી—227

દીપક મહેતા|Opinion - Opinion|16 December 2023

મુંબઈના ગવર્નરના ઘરના બાગમાં હરણ, વાંદરા અને ગધેડા

રોજે રોજ ભરતીનાં પાણીમાં ડૂબી જતો મુંબઈનો એક રસ્તો            

કલકત્તાના લોર્ડ બિશપ રેવરન્ડ રેગિનાલ્ડ હેબરની સાથે મુંબઈના પ્રવાસમાં આગળ વધીએ. હેબર પતિ-પત્ની ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટનની સાથે પ્રવાસમાં જોડાયાં તે પછી તેમની વચ્ચેનો ઘરોબો વધ્યો. પણ એ અંગે હેબરના શબ્દોમાં જ વાત સાંભળીએ. ચોથી જૂને નોતરું આપીને ગવર્નરે અમને ઘરે બોલાવ્યાં. એટલે અમે પરળ ખાતે આવેલા ગવર્નર્સ હાઉસ ગયાં. હકીકતમાં, મુંબઈમાં ગવર્નરનાં ત્રણ રહેઠાણ છે. પહેલું કોટ કહેતાં ફોર્ટની અંદર આવેલું વિશાળ, પણ હવે ત્યજી દેવાયેલું રહેઠાણ. આ ઘર છે મોટું, સગવડ ભરેલું પણ ખરું, પણ હવે તેનો ઉપયોગ ફક્ત જાહેર સમારંભો કે જાહેર દરબાર ભરવા પૂરતો જ થાય છે. મોટું છે તો ય આ મકાન આજે ગરીબડું દેખાય છે. જો કે આવી દશા ફોર્ટમાં આવેલાં બીજાં મોટાં મકાનોની પણ જોવા મળે છે. 

માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન – યુવાન વયે 

શહેરથી આઠેક માઈલ દૂર આવેલા મલબાર પોઈન્ટ ખાતે એક નાનકડું પણ રૂપકડું કોટેજ આવેલું છે. તે દરિયાથી એટલું નજીક છે કે ભરતી વખતે દરિયાની વાછંટ એ કોટેજને ભીંજવી દે છે. ઉનાળાના દિવસોમાં ગવર્નર એલ્ફિન્સ્ટન મોટે ભાગે અહીં રહેવા આવે છે. આખા શહેરનો અને તેના સમુદ્ર કાંઠાનો અદ્ભુત કહી શકાય એવો નજારો અહીંથી જોવા મળે છે. મલબાર પોઈન્ટ પરથી નીચે ઉતરીએ તો રસ્તાની જમણી બાજુએ યુરોપિયનોના બંગલા દેખાય છે. અહીંનાં હવા-પાણી આખા મુંબઈમાં સૌથી સારાં હોવાનું મનાય છે. તેનાથી આગળ વધીએ તો એક નાનું ગામડું આવે છે, જ્યાં મુખ્ય વસ્તી બ્રાહ્મણોની છે. એ વસ્તીની વચમાં બાણગંગા તરીકે ઓળખાતું સુંદર તળાવ આવેલું છે. જેને માટે ‘ભવ્ય’ સિવાય બીજો શબ્દ વાપરી ન શકાય એવાં પગથિયાં ઊતરીને એ તળાવ સુધી પહોંચાય છે. 

મલબાર હિલ – ૧૮૫૦થી ૧૮૭૦ના અરસામાં

પણ ગવર્નરનું સત્તાવાર રહેઠાણ તો મુંબઈથી લગભગ છ માઈલ દૂર, પરળ ખાતે આવેલું છે. આ મકાન અંદરથી બહુ રૂપકડું છે. કોતરણીવાળા લાકડાનાં પગથિયાં અને સુશોભિત છત. અહીં એકની ઉપર બીજો, એમ બે વિશાળ ખંડ આવેલા છે, જે લગભગ ૭૫થી ૮૦ ફીટ લાંબા છે. તેમાંનું રાચરચીલું પણ ખૂબ સરસ છે. નીચેનો ઓરડો ડાઈનિંગ-રૂમ તરીકે વપરાય છે. આશરે ૬૦ વરસ પહેલાં આગલા માલિક પાસેથી સરકારે આ મકાન ખરીદી લીધું હતું. મકાનની પાછળ આવેલા બાગમાં જાતજાતનાં હરણ જોવા મળે છે. આ ઉપરાંત અહીં છે ખાસ કચ્છથી લાવવામાં આવેલ ગધેડા, સુમાત્રાથી લાવેલા ખાસ જાતના વાંદરા. 

અહીંથી લગભગ અડધા માઈલ પછી દરિયા કાંઠાને અડીને નાળિયેરીનું વન આવેલું છે. તેની વચ્ચેથી પસાર થતા રસ્તા પર લગભગ ત્રણ માઈલ ચાલીએ એટલે માહિમ નામના ગામના બંદરે પહોંચીએ. આ ગામમાં બધા ધરમના લોકો વસે છે, પણ સૌથી વધુ વસતી પોર્તુગાલી ખ્રિસ્તીઓની છે. પણ તેમના દેખાવ અને પહેરવેશ એવા છે કે એ ‘દેશી’ઓ સાથે પૂરેપૂરા ભળી જાય છે. વળી અહીં ખ્રિસ્તી કોલેજના અવશેષો જોવા મળે છે, અને પોર્તુગાલીઓએ બાંધેલું એક ચર્ચ આજે પણ અહીં ઊભું છે એના પરથી કહી શકાય કે એક જમાનામાં અહીં સૌથી મોટી વસતી પોર્તુગાલી ખ્રિસ્તીઓની હશે. અલબત્ત, માહિમમાં હિંદુ મંદિર અને મુસ્લિમ મસ્જિદ પણ આવેલાં છે. માહિમ ગામ આડેધડ વિકસેલું છે, પણ અહીં કિલ્લો પણ બંધાયેલો છે એ જોઈને કહી શકાય કે એક જમાનામાં માહિમ સારું એવું માલદાર હશે. 

સાલસેટથી પાછા ફરતાં થયેલો એક અનુભવ તો લાંબા વખત સુધી યાદ રહેશે. સાલસેટ બાજુએથી એક કોઝ-વે બંધાયો છે, પણ તે માહિમના ટાપુ સુધી જતો નથી, અડધે સુધી જ જાય છે. એટલે પછીની મુસાફરી હોડીમાં કરીને માહિમ બંદર પહોંચવું પડે છે. વળી જેટલો બંધાયો છે તેટલા કોઝ-વેનો ઘણોખરો ભાગ નીચાણવાળો છે. એટલે ભરતીને વખતે તે દરિયાનાં પાણીમાં ગરક થઈ જાય છે. સાલસેટ છેડે પાંચ ઘોડા ગાડી ઊભી હોય છે જે તમને કોઝ-વેના છેડા સુધી લઈ જાય છે. એ છેડે ઊભેલી હોડીઓમાં બેસીને માહિમ બંદરે પહોંચાય છે. 

માહિમ – ૧૯મી સદીના પૂર્વાર્ધમાં 

હવે થયું એવું કે ભરતી વખતે કોઝ-વે દરિયાના પાણીમાં ડૂબી જાય છે એ વાતની અમને ખબર નહોતી. એટલે અમે તો અમારી ગાડીઓને કોઝ-વેના સૌથી દૂરના છેડા સુધી લઈ ગયા હતા. અમારી પહેલાં જે લોકો ગયા તે તો મછવામાં બેસીને સામે પાર પહોંચી ગયા. અમારા ગાડીવાનોએ તો ઘોડાને છોડીને છુટ્ટા મૂકી દીધા અને પોતે ટોળું વળીને ગામગપાટા મારવા લાગ્યા. અમે બધા કોઝ-વે પર આમથી તેમ લટાર મારવા લાગ્યા. થોડા વખત પછી અમને લાગ્યું કે અમે ચાલતા હતા તે રસ્તો નાનો ને નાનો થતો જતો હતો. આમ કેવી રીતે બને? જરા ધ્યાનથી જોયું તો જણાયું કે રસ્તાનો ઘણો ભાગ ભરતીના પાણી નીચે ગરક થઈ ગયો હતો! હવે અમે જરા ગભરાયા. ત્યાંના રહેવાસીઓને પૂછ્યું કે ભરતીનાં પાણી કેટલાં ઊંચાં ચડે છે, અને રસ્તાનો કેટલો ભાગ ડૂબી જાય છે? પણ જવાબ મળ્યો : ‘અમને ખબર નથી.’ એ લોકો અને અમારા ગાડીવાળા તો સાવ નચિંત હતા, પણ અમારી ચિંતા વધતી જતી હતી. અમે બરાબરના ફસાયા હતા. 

ભરતીનાં પાણી ઓસરે અને ઘોડા ગાડીઓને લેવા માટે તરાપો આવે ત્યાં સુધી રાહ જોવાય નહિ. એટલે અમે તાબડતોબ ઘોડા જોડવા કહ્યું. પણ એ કાંઈ સહેલું તો નહોતું જ. વળી રસ્તો એટલો સાંકડો હતો કે ઘોડા જોડતાં પહેલાં ગાડીવાને જાતે ગાડીને ઊંધી દિશામાં ફેરવવી પડતી અને પછી ઘોડો જોડાતો. આ બધામાં તો ઘણી વાર લાગી. આ બધું પત્યું ત્યાં સુધીમાં તો પાણી માથોડાભર થઈ ગયું હતું. જો કે આસપાસનું દૃષ્ય તો મજેનું હતું. રાત પડી ચૂકી હતી. માથા પર ચંદ્ર ખીલ્યો હતો. તારા ટમટમતા હતા. અને દરિયાનાં પાણી તેમનું પ્રતિબિંબ ઝીલતાં હતાં. પણ અત્યારે એ દૃષ્ય માણવાનું કોઈને સૂઝે તેમ નહોતું. કારણ દરિયાનાં પાણીથી ઘેરાયેલા રસ્તા પરથી છૂટવાનો કોઈ ઉપાય જણાતો નહોતો.

બરાબર એ જ વખતે એક નાની નાવડી આવતી દેખાણી. અમે બધાં તેમાં ચડી ગયાં. ખલાસીઓએ બને તેટલી ઝડપથી નાવ હંકારી અને અમને સામે કાંઠે હેમખેમ પહોચાડી દીધાં. હા, અમારી ગાડીઓ, તેને જોડેલા ઘોડા, ગાડીવાનો, તો હજી પેલે છેડે જ હતા. દરિયામાં ઓટ આવી ત્યારે એ બધા માહિમ બંદરે આવી પહોંચ્યાં. પરમ કૃપાળુ પરમાત્માનો પાડ માનવો રહ્યો કે એ રાતે ભરતી હતી, પણ દરિયો શાંત હતો. જો પવન ફૂંકાયો હોત અને દરિયો ગાંડો થયો હોત તો? તો કદાચ આ શબ્દો લખવા માટે હું હયાત ન હોત!

ચોમાસું મોડું બેસે તો અહીંના લોકો રીતસર ગભરાવા લાગે છે અને જાત જાતની વાતો વહેતી થાય છે. અમે મુંબઈ હતા તેના આગલા બે વરસ વરસાદ નજીવો થયેલો અને દુકાળ જેવી દશા થઈ હતી. આથી ઘણા લોકો કહેતા કે દુકાળ પડે ત્યારે લાગલાગટ ત્રણ વરસ પડે. એટલે આ વરસે પણ દુકાળના દહાડા જોવા પડવાના. તો આરબ વેપારીઓ કહેવા લાગ્યા કે આગલાં બે વરસ રાતા સમુદ્રમાં જેવા વાયરા વાઈ રહ્યા હતા, તેવા જ આ વરસે પણ વાઈ રહ્યા છે. એટલે આ વરસે પણ દુકાળ પડવાનો. 

પણ મુંબઈનાં નસીબ પાધરાં, કે થોડા દિવસ પછી વરસાદ શરૂ થયો. મુંબઈમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં. ખેડૂતો ખુશ ખુશ અને તરત વાવણી શરૂ કરી દીધી (પ્રિય વાચક : આ વાત મુંબઈની છે હોં – દી.મ.) જો કે કલકત્તાના વરસાદ કરતાં મુંબઈનો વરસાદ ડાહ્યો હતો. ત્યાંના કડાકાભડાકા કે વીજળીના ચમકારા અહીં નહોતા. અહીં તો એકધારો વરસાદ મૂંગો મૂંગો વરસતો હતો. ઠેર ઠેર ખાબોચિયામાં દેડકાઓ કૂદાકૂદ અને ડ્રાંઉ ડ્રાંઉ કરતા હતા. મને કહેવામાં આવેલું કે ચોમાસામાં મુંબઈની હવામાં ભેજ પુષ્કળ વધી જાય છે. પણ મને એવું ન લાગ્યું. કલકત્તા જેટલી ઝડપથી અહીં કાગળો અને ચોપડીઓને ફૂગ લાગતી નહોતી, અને લોઢાની વસ્તુઓને કાટ લાગતો નહોતો. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ મુંબઈ મને ગમવા લાગ્યું.

૧૫મી ઓગસ્ટની સવારે અમે મુંબઈ છોડ્યું. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કેપ્ટન બ્રૂક્સના નેજા નીચે અમે ડિસ્કવરી નામના વહાણમાં મુસાફરી શરૂ કરી. અમે નીકળવાના હતા તે દિવસે સવારે ગવર્નર એલ્ફિન્સ્ટને ફોર્ટમાં આવેલા ગવર્નર્સ હાઉસમાં અમારા માનમાં ખાસ બ્રેકફાસ્ટનું આયોજન કર્યું હતું. સરકારના તેમ જ લશ્કરના બધા મોટા અધિકારીઓને તે માટે આમંત્ર્યા હતા. બ્રેકફાસ્ટ પછી તેમાંના ઘણા અફસરો દરિયા કાંઠા સુધી અમને વળાવવા આવ્યા હતા. તો કેટલાક તો અમારી સાથે વહાણ પર ચડ્યા હતા. હા, ફરી કલકત્તા જઈને મારું કામ શરૂ કરી શકીશ એ વાતનો આનંદ મને જરૂર હતો. પણ સાથે સાથે મુંબઈ છોડતાં જીવ થોડો ચચરતો હતો. અમે ધાર્યા કરતાં ઘણો વધારે ઉષ્માભર્યો આવકાર અમને મુંબઈમાં મળ્યો. 

જલભૂષણ બંગલો 

એક ખુલાસો: 

લેખકે અહીં ગવર્નરનાં ત્રણ રહેઠાણની વાત કરી છે તેમાં મલબાર હિલ ખાતેનું બીજું રહેઠાણ તે હાલનું રાજભવન નહિ. એ તો સત્તાવાર નિવાસસ્થાન બન્યું છેક ૧૮૮૩માં. પણ ગવર્નર એલ્ફિન્સ્ટને મલબાર પોઈન્ટ પર ‘પ્રેટી કોટેજ’ નામનો એક બંગલો બંધાવ્યો હતો અને ૧૮૨૦થી ૧૮૨૫ સુધી તેઓ ઘણી વાર ત્યાં રહેવા જતા. આજના રાજભવનમાં આવેલા જલભૂષણ બંગલાની જગ્યાએ આ બંગલો આવ્યો હતો. અસલી જલભૂષણ બંગલો પણ આજે રહ્યો નથી. તેને તોડીને નવેસરથી બાંધવામાં આવ્યો જેનું ઉદ્ઘાટન ૨૦૨૨ના જૂનમાં થયું હતું. આજે ગવર્નર રહેઠાણ માટે જ્લભૂષણ બંગલો વાપરે છે. પોતાના બંગલા માટે એલ્ફિન્સ્ટને ફ્રાન્સથી ફર્નિચર મંગાવેલું તેમાંનું કેટલુંક આજે ગવર્નરની ઓફિસના ખંડમાં જોવા મળે છે. – દી.મ.) 

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx 

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 16 ડિસેમ્બર 2023)

Loading

...102030...861862863864...870880890...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved