Opinion Magazine
Number of visits: 9457685
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજકારણ કેમ માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 September 2023

રાજ ગોસ્વામી

જાન્યુઆરી 2022માં જેમનું અવસાન થયું હતું તે વિયેતનામી ઝેન ગુરુ તિક ન્યાત હન્હએ, 1987માં, એક પુસ્તક લખ્યું હતું, ‘બીઈંગ પીસ.’ શીર્ષક પરથી સમજાય છે તેમ, આ પુસ્તકમાં આપણી આસપાસમાં ચાલતી ઊથલાપાથલ વચ્ચે શાંતિ અને સ્વસ્થતાથી કેવી રીતે રહી શકાય તેની વાતો છે. વિયેતનામમાં બે દાયકા સુધી (એક બાજુ ચીન અને સોવિયત અને બીજી તરફ અમેરિકાના સમર્થનથી) લોહિયાળ યુદ્ધ ચાલ્યું હતું. તિક ન્યાત હન્હ આ લડાઈના સાક્ષી હતા, અને એ અનુભવના આધારે તેમણે ‘બીઈંગ પીસ’ નામનું આધ્યામિક ક્લાસિક પુસ્તક લખ્યું હતું.

એ યુદ્ધમાં ચારેતરફ હિંસા ચાલતી હતી અને લોકો એકબીજાના દુ:શ્મન થઇ ગયા હતા, ત્યારે તિક ન્યાત હન્હએ સંસારમાં માણસોથી લઈને પશુ-પંખીઓ અને પ્રકૃતિ એકબીજા સાથે જોડાયેલાં છે તે વાત પર ભાર આપવા માટે ધ ઓર્ડર ઓફ ઇન્ટરબીઈંગ નામનો એક સમુદાય સ્થાપ્યો હતો. તેનો ઉલ્લેખ કરીને તેઓ આ પુસ્તકમાં લખે છે;

“બે વૈશ્વિક વિચારધારાઓ વચ્ચેના સંઘર્ષમાંથી જન્મેલા વિયેતનામ યુદ્ધ દરમિયાન ઓર્ડર ઓફ ઇન્ટરબીઇંગનો જન્મ થયો હતો. વિચારધારાઓ અને સિદ્ધાંતોના નામે લોકો મરી જાય છે અથવા મારી નાખે છે. જો તમારી પાસે બંદૂક હોય, તો તમે એક, બે, ત્રણ, પાંચ લોકોને ગોળી મારી શકો છો; પરંતુ જો તમારી પાસે કોઈ વિચારધારા હોય અને તે જ અંતિમ સત્ય છે તેમ માનીને તેને વળગી રહો, તો તમે લાખો લોકોને મારી શકો છો. માનવજાત દૃષ્ટિકોણો પ્રત્યેની આસક્તિથી પીડાય છે; ‘તમે જો આ શિક્ષાનું પાલન નહીં કરો, તો હું તમારું માથું કાપી નાખીશ.’ સત્યના નામે આપણે એકબીજાને મારીએ છીએ. દુનિયા આ સ્થિતિમાં અટવાઈ ગઈ છે.”

તિક ન્યાત હન્હએ એમાં એક અગત્યની વાત કહી હતી, જે આપણને આજે પણ એટલી જ લાગુ પડે છે; ‘માનવજાત દૃષ્ટિકોણો પ્રત્યેની આસક્તિથી પીડાય છે.’ આસક્તિ માત્ર ખાવા-પીવાની કે ઇન્દ્રિય સુખની જ નથી હોતી, આસક્તિ વિચારો, વિચારધારાઓ, માન્યતાઓ, અભિપ્રાયો, મતો અને દૃષ્ટિકોણોની પણ હોય છે. આપણે આપણા વિચારોને ખૂબ પ્રેમ કરીએ છીએ. હું મારા વિચારને બીજામાં વિચાર કરતાં સર્વશ્રેષ્ઠ માનું છું. હું એ વિચારને બીજા પર થોપું તો જ તેની શ્રેષ્ઠતા જળવાઈ રહે છે અને એમાંથી જ સંઘર્ષ સર્જાય છે.

એટલા માટે રાજકારણ માણસના માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જર્મન વિચારક ફ્રેડરિક નિત્શેનું એક પ્રચલિત સૂત્ર છે; એક રાજકારણી માણસોને બે વર્ગમાં વિભાજીત કરી દે છે : સાધન અને દુ:શ્મનમાં. નિત્શે રાજકીય જનઆંદોલનોની વિરુદ્ધમાં હતો. તે માનતો હતો કે રાજકારણીઓ તેમની સત્તા માટે અમુક લોકોને તેમના સમર્થક (સાધન) બનાવી દે છે, અને અમુક લોકોને દુ:શ્મન બનાવી દે છે. જેથી આંદોલન વ્યાજબી ઠરે. નિત્શેને એકલ વ્યક્તિની ક્ષમતામાં વિશ્વાસ હતો પણ રાજકારણીઓ તેને ટોળામાં ભેળવી દઈ તેને નપુંસક બનાવી દે તે પસંદ નહોતું.

નિત્શે રાજકારણને નફરત કરતો હતો. એ માનતો હતો કે પાર્ટી પોલિટિક્સ વ્યક્તિની વિચારવાની શક્તિને હણી નાખે છે. નિત્શે બ્લેક એન્ડ વ્હાઇટ, ગૂડ એન્ડ બેડ, હોટ એન્ડ કોલ્ડ એવા દ્વૈતમાં માનતો નહોતો. એ કહેતો હતો કે ચીજો મિક્સ એટલે કે ગ્રે હોય છે, તેને આવી રીતે બે જ દૃષ્ટિએ ન જોવાય. એ કહેતો હતો કે તમામ રાજકીય વિચારધારાઓ અંતત: હિંસક જ હોય અને એમાં લોકોનો ભોગ લેવાય છે. એ અર્થમાં નિત્શે એક અરાજકતાવાદી હતો. 

2017માં ડચ સંશોધકોએ રાજકારણના સમાચારો અને માણસોની સુખાકારી વચ્ચે શું સંબંધ છે તે જાણવા માટે એક અભ્યાસ કર્યો હતો. તેમણે શોધી કાઢ્યું હતું કે ટેલિવિઝનમાં જેટલા નકારાત્મક સમાચારો આવતા હતા, તેના દર્શકોમાં સરેરાશ સુખનો ભાવ 6.1 ટકા ઘટતો હતો.

અમેરિકન સાઈકોલોજીકલ એસોસિયેશનના એક અભ્યાસ અનુસાર, રોજે રોજ રાજકીય સમાચારોને ’આરોગવા’નો સ્ટ્રેસ લોકોના માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીને નકારાત્મક અસર કરી શકે છે. રાજકારણ લોકોના જીવનમાં ભારે સ્ટ્રેસનું કારણ બની શકે છે. રાજકારણ ચૂંટણીની મોસમ દરમિયાન દર પાંચ વર્ષે લોકોને અસર કરે છે તેવું નથી – તે આપણા રોજ બ રોજના જીવનમાં ઘૂસી ગયું છે, અને આપણને તેની ખબર નથી.

લોકો રાજકરણના સમાચારો પ્રત્યે આટલા આસક્ત હોય છે તેનું કારણ એ છે કે રાજકારણ બુનિયાદી રૂપે તર્ક કે વિવેકબુદ્ધિ આધારિત નહીં, પણ લાગણીઓ આધારિત હોય છે. માણસો લાગણીઓથી પ્રેરિત હોય છે અને પોતાની લાગણીઓને ઉચિત ઠેરવવા માટે બુદ્ધિનો સહારો લે છે. આને વિચારોની આસક્તિ કહે છે. આપણે એવું માનીએ છીએ કે આપણા વિચારો વાસ્તવિક છે અને આપણે તે પ્રમાણે વર્તીએ છીએ, પરંતુ વિચારોની અવરજવર અનંત હોય છે. તે સ્થાયી નથી હોતા, પરંતુ આપણે આપણને ગમતા વિચારો સાથે લગાવ પેદા કરીને તેને કાયમી બનાવીએ છીએ.

બીજી રીતે કહીએ તો, આપણે આપણા વિચારોના કંટ્રોલમાં હોઈએ છીએ અને આપણે કેવી રીતે વિચારીએ છીએ તે અનુસાર આપણે લોકો, પરિસ્થિતિઓ અને ચીજવસ્તુઓ પ્રત્યે લાગણીઓ અને દૃષ્ટિકોણ કેળવીએ છીએ. આ પ્રકારના દૃષ્ટિકોણ વાસ્તવિકતાનું નિરૂપણ નથી કરતા, પણ આપણને અનુકૂળ હોય તે રીતે તેનું અર્થઘટન કરે છે.

જૂઠ અને કલ્પના વચ્ચે એક જ બારીક તફાવત છે. જૂઠ એટલી એવી વાત, જે આપણને ખબર છે કે સાચી નથી, અને છતાં બીજી વ્યક્તિને છેતરવા માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. કલ્પના એટલે એવી વાત, જેને આપણે સાચી માનીએ છીએ, અને બીજી વ્યક્તિ પણ એમાં માને, એટલા માટે તેનો પ્રચાર કરીએ છીએ.

દાખલા તરીકે રાજકીય વિચારધારાઓ એક રીતે જૂઠ છે, કારણ કે આપણે તેની સચ્ચાઈને તટસ્થ રીતે પુરવાર ના કરી શકીએ, પરંતુ કરોડો લોકો તેમાં માનતા થઈ જાય, તો પછી તેને જૂઠ કહેવું અઘરું થઈ જાય છે. બીજી રીતે કહીએ તો, જે જૂઠમાં બહુ બધા લોકો સાગમટે માનતા થઈ જાય, પછી તે ‘સત્ય’ બની જાય છે. રાજકીય વિચારો એટલે જ પ્રચલિત હોય છે. એટલા માટે રાજકીય પક્ષો અને સરકારો હંમેશાં ખૂબસૂરત ભવિષ્યની કલ્પનાઓ ઘડીને સમુદાયો પર પ્રભાવ કાયમ કરે છે. માણસ વિચારધારાઓની કલ્પનાઓમાં માને છે, અને એટલે જ એક વિચારધારા બીજી વિચારધારા સામે યુદ્ધ પણ કરે છે.

રાજકારણમાં બહુમતી લોકોને આત્યંતિક, સામા છેવાડાનાં વલણ વધુ પસંદ હોય છે. આપણે કોઈ વિચાર કે વ્યક્તિની અત્યન્ત વાહવાહી કરીએ છીએ અથવા અત્યંત ટીકા કરીએ છીએ. આપણે ભાગ્યે જ આપણને ગમતી કે ન ગમતી વાત અથવા વ્યક્તિ માટે સંતુલિત સ્ટેન્ડ લઇ શકીએ છે.

બુનિયાદીરૂપે આપણે કબીલાઈ વૃત્તિવાળા છીએ. આપણે આ કે તે કબીલામાં આપણું સ્થાન શોધી લઈએ છીએ. આ ઈવોલ્યુશનરી વૃત્તિ છે. આપણી આઇડેન્ટિટી આપણા ગ્રૂપ પર નિર્ભર કરે છે, એટલે આપણે આ કે તે તરફનું સ્ટેન્ડ લઈએ છીએ. એમાં વિચારોની ગુણવત્તા ગૌણ બની જાય છે.

આખી દુનિયા અભિપ્રાયો પર ચાલે છે. પૃથ્વી પર જેટલા લોકો છે તેટલા અભિપ્રાયો છે. દરેકને દરેક વસ્તુઓ અને દરેક વ્યક્તિઓ વિશે અભિપ્રાયો છે. અભિપ્રાયો ધારણાઓ અને પૂર્વગ્રહો પેદા કરે છે અને આપણને એક પરપોટામાં કેદ કરે છે. દરેક વિશે અભિપ્રાયો હોવા અને બધું કેમ ચાલે છે તે જાણવું અનિવાર્ય નથી. બહુ જાણીએ એટલે બહુ સમજણ આવે એવું નથી. ઘણીવાર કશું ન જાણવાનું પણ મહત્ત્વનું હોય છે.

અસલમાં જાણકાર માણસને ખબર છે કે શું જાણવું જરૂરી છે અને શું બિનજરૂરી. ગણિતમાં કહે છે કે વેરિયેબલ્સ (સંખ્યા, તત્ત્વો) જો અનંત હોય, તો પ્રોબ્લેમ સોલ્વ જ ન થાય. જો મર્યાદિત અને સૂચક વેરિયેબલ્સ હોય, તો જ દાખલો સોલ્વ થાય. તેવી રીતે આપણામાં જો અનંત અભિપ્રાયો હોય, તો તે અંતત: નિરર્થક સાબિત થાય છે, કારણ કે તેથી નિર્ણય પર આવવાનું મુશ્કેલ થઈ જાય છે. અભિપ્રાયોમાંથી આઝાદી એ સુપરપાવર છે.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 10 સપ્ટેમ્બર 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ક્યાં છે સાર્થક સંવાદ-પહેલ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|11 September 2023

સવારે સવારે મુખપોથીએ ચારેક વરસ પર પ્રકાશિત એક તસવીરની યાદ અપાવી, અને આ લખવાનો ધક્કો વાગ્યો. તસવીર, જો કે, ઘણાં વરસ પહેલાંની, 1955ની, છે અને એમાં ફિલસૂફ બર્ટ્રાન્ડ રસેલ ને વિદુષી રોમિલા થાપર લંડનની એક સભામાં મંચ પર જોડાજોડ બેઠેલાં છે. રસેલ વક્તા છે અને અધ્યક્ષતા રોમિલા કરી રહ્યાં છે.

આ જૂની તસવીર 2019માં કેમ એકાએક ફરતી થઈ હશે? એવું બનેલું કે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી કહેતાં જે.એન.યુ.ના સત્તાવાળાઓએ એ દિવસોમાં રોમિલા પર સત્તાવાર પત્ર પાઠવી એમનો સી.વી. માંગ્યો હતો. ત્યારે ખાસાં સિત્યાસી વરસ વટી ગયેલાં રોમિલા જે.એન.યુ.નાં પ્રોફેસર એમરિટસ છે. યુનિવર્સિટીએ એમને આજીવન સન્માનરૂપે આ પદ અર્ઘ્યવત્ એનાયત કરેલું છે. પણ 2016-’17થી ચોક્કસ સંજોગોમાં જે.એન.યુ. અને કેન્દ્રીય સત્તાપ્રતિષ્ઠાન વચ્ચે જે વિશેષ પરિસ્થિતિ નિર્માણ થઈ છે એમાં એલાને જંગને ધોરણે પ્રોફેસર એમરિટસનો સી.વી. માંગવાની હવાલદાર માનસિકતા પ્રગટ થતી હતી. તે વખતે આ વિદુષીનાં કદ ને કાઠીની એક ઝાંખી રૂપે કોઈકે એ તસવીર ફરતી કરી હશે.

અહીં રોમિલા થાપરનાં ઇતિહાસજ્ઞાન વિશે અને એને પડકારતા મુદ્દા, કશાંયની ખરાઈખોટાઈ કરવાનો આશય નથી. એ સ્વતંત્ર ચર્ચાનો વિષય છે. માત્ર, અધ્યાપકીય અદબના સંદર્ભમાં આટલો ઉલ્લેખ કર્યો છે એટલું જ.

જે.એન.યુ. વિવાદની વિગતોમાં નહીં જતાં અહીં જે વિગતમુદ્દો દર્જ કરવા ઇચ્છું છું તે એ છે કે જ્યારે રાષ્ટ્રવાદ ને દેશદ્રોહ જેવાં ટીકાત્મક અવલોકનો જે.એન.યુ. સામે ઉછળ્યાં ત્યારે ત્યાંના અધ્યાપક સંઘે 2016ના ફેબ્રુઆરી-માર્ચમાં એક સરસ વ્યાખ્યાનમાળા યોજી, રાષ્ટ્રવાદને લગતાં વ્યાખ્યાનોની. આ બધાં વ્યાખ્યાનો યુટ્યૂબ પર છે અને What The Nation Really Needs to Know (Harper Collins) એ શીર્ષકે ગ્રંથસ્થ પણ થયાં છે. એમાં એક વ્યાખ્યાન રોમિલા થાપર અગર મૃદુલા મુખર્જી કે પ્રભાત પટનાયક આદિનાં વિચારવલણોથી જુદું પડતું, બીજા કે કંઈક અંશે ત્રીજા વિચારનુંયે છે. આમેય આ સઘળાં વ્યાખ્યાનો ઢાંચાઢાળ નથી પણ પોતપોતાની રીતેભાતે વિલસે છે. પણ હું વાત બીજા બલકે ત્રીજા પ્રકારનાં વિચારવલણવાળા વ્યાખ્યાનની કરતો હતો. વ્યાખ્યાતા હતા મકરંદ પરાંજપે. જે.એન.યુ.ના સેન્ટર ફૉર ધ ઇંગ્લિશ સ્ટડીઝ સાથે એ સંકળાયેલા છે અને વર્તમાન શાસન દરમ્યાન કેટલોક સમય સિમલાના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઍડવાન્સ્ડ સ્ટડીઝના નિયામક પણ હતા. હવે એમનું આ વ્યાખ્યાન એક સ્વતંત્ર પુસ્તકરૂપે વિકસી આપણી સામે આવ્યું છે – JNU, Nationalism and Indias’ Uncivil War.

ભીખુ પારેખે Debating Indiaના પહેલા જ પ્રકરણમાં આપણે ત્યાંની વાદપદ્ધતિનો અચ્છો ખયાલ આપ્યો છે. હકીકતે, એક અર્થમાં તે અમર્ત્ય સેનના The Argumentative Indianની સાથે મૂકીને વાંચવાવિચારવાવાગોળવા જેવું પુસ્તક છે. ભીખુ પારેખે ઠીક જ કહ્યું છે, પ્રાસ્તાવિક વચનોમાં, કે સેનનું પ્રસ્તુત શીર્ષક આપણા જાહેર વિમર્શના એક હિસ્સા રૂપ બની ગયું છે. અલબત્ત, સેને કરેલી ચર્ચા બહુધા આપણી પરંપરામાં બે વિચારકો અગર વિચારશાળાઓ વચ્ચે પ્રવર્તતા મતભેદો ફરતે છે. બીજી બાજુ, આપણે ત્યાં વિશાળ સમુદાય સમક્ષ  ધારાધોરણસર ચાલતી અને અંતે એક નિર્ણય પર ઠરતી જાહેર ચર્ચાનીયે પ્રણાલિ છે. (કેમ કે, પર્યુષણના દિવસોમાં લખી રહ્યો છું, ગણધરવાદનું સહજ સ્મરણ થઈ આવે છે.)

એન.સી.ઈ.આર.ટી. – નૅશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રીસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગે એના લાંબા કાળમાં અભ્યાસક્રમ ને પાઠ્યપુસ્તકલેખન વિશે જે પદ્ધતિ વિકસાવવાની કોશિશ કરી છે એમાં પિયરરીવ્યૂ પ્રકારની જોગવાઇઓથી સહવિચાર અને વિમર્શનો ઠીકઠીક અવકાશ રહેતો આવ્યો છે. હમણાં હમણાં જો કે વિચારધારાકીય પ્રશ્નવશ ઊહાપોહ ચાલે છે. ચાલુ પાઠ્યક્રમને કોરોનાકાળની અનવસ્થાને લઈને તેમ જ કંઈક ટુંકાવવાની ભૂમિકાએ સત્તાવાર રજૂઆત મુજબ ‘રેશનલાઇઝ’ કરવાની કોશિશ થઈ છે. ઇતિહાસ વિશે જરી વિશેષ ઉત્સાહ હશે તોપણ બીજા વિષયોમાંયે કંઈ ને કંઈ વિવાદી મુદ્દા માલૂમ પડે છે. રેશનલાઇઝ કર્યા પછી પણ દાવો તો મૂળ પુસ્તકનો જ હોઈ લેખકોનાં નામ યથાવત્ રાખ્યાં છે. હવે કેટલાક લેખકોએ એમનાં નામ પૂર્વવત્ ચાલુ રાખવા અંગે અસંમતિ અને નારાજગી વ્યક્ત કર્યાના હેવાલો છે. એમનું કહેવું એમ છે કે સમગ્ર ચિત્ર રેશનલાઇઝ કરી ટુંકાવાતાં જે સામે આવે છે એનાથી જાગતો પ્રતિભાવ ટુંપાવાયાંનો છે. એ સંજોગોમાં એની સાથે અમારાં નામ પૂર્વવત સાંકળવામાં કોઈ શિષ્ટાચારનો ખયાલ હોય તોપણ અમને તે અન્યાયકારી વરતાય છે; કેમ કે જે તે ઝોક નવા સંજોગોમાં ઊપસે છે તે અમને અભિમત નથી.

બીજી પાસ, આ અંગે તરેહવાર જાહેર ચર્ચા ચાલે છે જેમાં વિગતવિશદ સહભાગિતા કરતાં વધુ તો વિચારધારાવશ અથવા ખરું પૂછો તો નકરી પક્ષગત સામાસામી વરતાય છે. અમર્ત્ય સેન ને ભીખુ પારેખે નિતાન્ત ભારતીય પરંપરાનો જે ચિતાર પોતપોતાને છેડેથી આપ્યો છે એની સામે આ એક વરવું ચિત્ર ઉપસાવે છે. જે. કૃષ્ણમૂર્તિ જે અર્થમાં અનલર્નિંગ પર ભાર મૂકે છે એ અર્થમાં નહીં તોપણ આપણે કેવળ અનધ્યયનવશ આસપાસના કોલાહલમાંથી જે ખયાલો અધ્ધરપધ્ધર બાંધ્યા હોય એની અફરાતફરીનો માહોલ બને છે એટલા એક સાદા મુદ્દાસર અનલર્નિંગ જરૂરી બને છે.

નમૂના દાખલ, આપણા જાહેર વિમર્શમાં લગભગ પર્યાયી ટીકા બલકે આળરૂપ બની રહેલ ‘ડાબેરી’ સંજ્ઞા જુઓ. બિપનચંદ્રે રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય ચળવળને સમજવાની દૃષ્ટિએ પાયાનું કામ કર્યું છે. એને ડાબેરી કહી ઉતારી પાડવાનું વલણ હાલ જે માનસ બન્યું છે એનું ઉત્તમ નિદર્શન પૂરું પાડે છે. બિપનચંદ્રનું સ્થાપિત સામ્યવાદી પક્ષ સાથે એક સંધાન જરૂર રહ્યું, પણ એમનું એક મોટું અર્પણ રૂઢ કંઠીબંધો સામ્યવાદી મત ગાંધીની ગજભૂમિકાને રજ કરીને જોતો હતો એને વિગતવિશદ ઠમઠોરવાનું ને ગાંધીપ્રદાનની મૂલ્યવત્તા સ્થાપી આપવાનું છે. ભારતમાં સામ્યવાદી હિલચાલના અગ્રપુરુષ લેખે ઇતિહાસપ્રતિષ્ઠ શ્રીપાદ અમૃત ડાંગેની માર્કસવાદ-સામ્યવાદ અંગેની સમજની દામોદર કોસંબી સરખા માર્કસવાદી ઇતિહાસકારે બરાબરની ખબર લીધી છે. ઉમાશંકર અને દર્શકને પોતપોતાની વિચારચર્યામાં માર્ક્સીય કુમક મળેલી છે એનાં ઓસાણ આપણને ભાગ્યે જ હોય છે. ત્રિઉર પૈકીના રામપ્રસાદ શુક્લના માર્ક્સસેવનની આપણને કદાચ ખબર જ નથી. મતલબ, ગાંધીવાદી-માર્કસવાદી જેવા પ્રયોગો ખપના હોય તોપણ આપણી સમજ એક નુઆન્સ્ડ અભિગમ – સૂક્ષ્મ અર્થચ્છાયાવિવેક માગે છે.

પણ જાહેરજીવનમાં ક્યાં છે નુઆન્સ્ડ અને ધોરણસરના સંવાદવિવાદ? જો સરકાર, સત્તાપક્ષ અને એનાં બૌદ્ધિક અગર બૌદ્ધિકવત્ મંડળો સંવાદ વાસ્તે ખુલ્લાં પેશ આવતાં હોત તો કદાચ એવૉર્ડ વાપસીનો આખો અધ્યાય જ લખાયો ન હોત. કમનસીબે, હજી પણ સત્તાવલણ ‘ટૉકિંગ ટુ’ નહીં પણ ‘ટૉકિંગ ઍટ’ તરેહનું છે. બે’ક મહિના પર ઍવૉર્ડ વાપસી મુદ્દે પરિવહન, પ્રવાસન અને સંસ્કૃતિ અંગેની સંસદીય ખડી સમિતિનો હેવાલ સદનના પટલ પર મુકાયો તે આ સંદર્ભમાં જોવા જેવો છે. રાજ્યસભાના દસ અને લોકસભાના એકત્રીસ મળી કુલ એકતાલીસમાંથી ઓગણચાલીસ સાંસદોની તોતિંગ બહુમતીએ કહ્યું છે કે એવૉર્ડ વાપસી જેવા ‘અણછાજતા બનાવો’ એવૉર્ડની એકંદર આબરૂ અને મોભાને હાણ પહોંચાડે છે અને એવૉર્ડ-સન્માનિત અન્ય પ્રતિભાઓને ઝાંખી પાડે છે. આનું વારણ શું. તો કહે, એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે સન્માનિત પ્રતિભાઓની આગોતરી સંમતિ ઉપરાંત બાંહેધરી પણ મળી રહે કે ભવિષ્યમાં તેઓ તે પરત નહીં કરે. એટલું જ નહીં એ પણ સ્પષ્ટ થઈ જવું જોઈએ કે ‘એવૉર્ડ પરત કરનારને ભવિષ્યમાં આવા કોઈ એવૉર્ડ બાબતે લક્ષમાં લેવામાં નહીં આવે.’

જે બે સાંસદો જુદા પડ્યા એમણે કહ્યું છે કે એવૉર્ડવાપસી એક વિરોધરીતિ છે તે આપણે સમજવું જોઈએ. આ ઉપરાંત આપણે એક સમિતિ તરીકે ખરેખર તો સરકારને આગ્રહપૂર્વક ભલામણ કરવી જોઈએ કે એણે વિરોધ પાછળના વાસ્તવિક મુદ્દાને સમજી એના ઉકેલનો પ્રયાસ કરવો જરૂરી છે.

અહીં દેશની વડી સાહિત્ય અકાદેમી સંબંધે થોડીક જિકર જરૂરી બને છે. સંબંધિત સહુને ખયાલ હોવો જોઈએ કે અકાદેમી એક સ્વાયત્ત સંસ્થા છે. જવાહરલાલ નેહરુ વડાપ્રધાનના હોદ્દાની રૂએ નહીં પણ લેખક તરીકે એના પહેલા ચુંટાયેલા પ્રમુખ હતા. સરકારે  ત્યારે અકાદેમી સ્થાપવાની પહેલ જરૂર કરી હતી, પણ વાંસોવાંસ વિધિવત્ સ્પષ્ટતા પણ કરી હતી કે 1860ના સોસાઇટી ઍક્ટ મુજબ નોંધાયેલી આ સ્વતંત્ર સંસ્થા હશે. એનું સ્વતંત્ર અસ્તિત્વ છે અને એના પર બેસતા લેખકો રાજ્યના પ્રતિનિધિ નથી. સરસ કહ્યું હતું જવાહરલાલે કે વડા પ્રધાન નેહરુ અને અકાદેમી પ્રમુખ નેહરુ જુદા પડે તો હું અકાદેમી પ્રમુખ સાથે રહેવું પસંદ કરીશ.

આજે આ એવૉર્ડવાપસી અંગેનો હેવાલ અકાદેમી સમક્ષ એક પડકારતક લઈને આવે છે. તે શું એ હેવાલ સંદર્ભે સ્વતંત્ર સંવાદભૂમિકા લઈ પોતાનું હોવાપણું પુરવાર કરશે? દેશનો જાહેર વિમર્શ એકહથ્થુ એકલઠ્ઠ હંકારાઈ રહ્યો છે, મૅન્યુફૅક્ચર્ડ કન્સેન્ટનો માહોલ બની રહ્યો છે ત્યારે, કાશ, અકાદેમી કશીક સાર્થક સંવાદપહેલ કરી શકે!

પ્રગટ : ‘પ્રમુખીય’, “પરબ”; સપ્ટેમ્બર 2023
e.mail : prakash.nireekshak@gmail.com

Loading

ચાલો, હરારી પાસે – 19 : ‘એ.આઇ.’ જોડે મારી વાતચીત 

સુમન શાહ|Opinion - Opinion|11 September 2023

સુમન શાહ

મને ખબર છે, અને તમે લોકો પણ નૉંધી લો, કે ‘એ.આઈ.’ ધર્મ વંશ જાતિ કે સામાજિક જૂથ જેવા કશા ય ભેદ નથી ધરાવતું. એ પરિવાર સમાજ કે રાષ્ટ્ર સાથે પણ નથી જોડાયેલું. એ આબાલવૃદ્ધ સૌનું છે, સાર્વત્રિક છે, સર્વવ્યાપી છે.

અને ખાસ નૉંધો કે ‘એ.આઈ.’-નું નર, નારી કે નાન્યેતર એવું એકે ય લિન્ગ નથી. એ ઇન્ટેલિજન્સ છે, બુદ્ધિ, એટલે એને ગુજરાતીમાં આપણે નારીવાચક લિન્ગ અને એકવચનમાં પ્રયોજી શકીએ છીએ. એ પણ જવાબ આપતી વખતે ‘પેલો’ કે ‘પેલી’ નહીં કહે, સામાન્યપણે, બધાં લિન્ગ અને વચન ભેગાં આવી જાય એવો શબ્દ વાપરશે – them.

હમણાં મેં મનુષ્યના ભાવજગત વિશે ‘એ.આઈ.’ જોડે થોડીક વાતચીત કરી. પણ એ પહેલાંની આ બે વાતચીત સાંભળો :

એક વાર મેં ‘એ.આઈ.’-ને કહ્યું કે – એ વ્યક્તિ સાથે એ મારી ભૂલ થઇ હતી. તો કહે, ભૂલનો સ્વીકાર કરવો સારી વાત છે. પણ વધારે સારું એ કહેવાશે કે ભૂલ શી હતી તે પણ કહો, એમ પણ કહો કે એ ભૂલ ભવિષ્યમાં નહીં કરો. વળી, ભૂલ તમારી હતી, એની જવાબદારી એને માથે ન ઢોળો, ભૂલનો સ્વીકાર તમે કરો, બલકે ક્ષમા માગો. સમજો કે તમારી ભૂલમાંથી શીખવાનું તમારે છે. મને ‘એ.આઈ.’ કહે, યાદ રાખો કે ભવિષ્યમાં એ શીખ કે એ જ્ઞાનમાં તમે વધારો કરશો. મૉડેસ્ટ બનો, ડંફાશ ન હાંકો કે તમે જગ જીતી ગયા છો. તમારી મર્યાદાઓને ઓળખો અને રાંક રહો.

મને ‘એ.આઈ.’ સન્ત લાગેલું !

એક આ બીજી વાતચીત પણ સાંભળી લો : એક વાર મેં એને એક પ્રશ્ન કરેલો, પણ એને વાર લાગેલી. પણ પછી ઉત્તર આપવાની સાથે મને જણાવ્યું કે પોતાને ખરું શું છે તે નક્કી કરતાં મૉડું થયું, પણ એ ખરું જ હતું. એણે જણાવ્યું તે આ – the code I ran to determine that fact indeed returned True.

એટલે મેં એનાં વખાણ કર્યાં : You are expert in decoding the codes. તો એણે નમ્રતાપૂર્વક સરસ જવાબ આપ્યો : Thank you ! I am still under development, but I am learning to decode codes.

મને વધુમાં એણે જણાવ્યું તે આ કે – હું વિવિધ પ્રકારની ટૅક્નિક્સ પ્રયોજી શકું છું, જેવી કે frequency analysis, pattern matching, and trial and error. ઉમેર્યું કે, I can also use online tools to help me decode codes.

એની એ વૈવિધ્યભરી શોધપદ્ધતિ જોઈને મને થયું કે પી.એચડી. થવા – ડૉક્ટર ઑફ ફિલોસૉફી થવા – નીકળેલો આપણો ગુજરાતીનો વિદ્યાર્થી આમાંની કે એમાં છે એના જેવી કોઈપણ ટૅક્નિક અજમાવતો હશે ખરો?

‘એ.આઈ.’ પાસેથી શીખવા જેવું શું છે એ વિશે વિસ્તારથી વાત કરવાનો છું, માટે આ સવાલને હાલ બાજુએ મૂકીએ.

Pic courtesy : veeForu

મને એની એ વૈવિધ્યભરી શોધપદ્ધતિમાં રસ પડ્યો એટલે મેં વિચાર્યું કે એની જોડે માણસના વિવિધ ભાવો વિશે વાતચીત કરું, કેમ કે ભાવજગત જ સાહિત્ય અને કલાઓ જ્યાંથી જન્મે છે તેની મૂળ ધરા છે.

મને થયું કે સૌ પહેલાં હું ‘એ આઈ ’-ને પૂછું કે એ ગુસ્સો કરે કે કેમ; એટલે ક્રોધવિષયક પ્રશ્ન કર્યો : If sombody says you bad words, what will be your reaction?

એણે ડહાપણપૂર્વક કહ્યું : એ ભલે મને ખરાબ શબ્દો કહે, હું એને નહીં કહું. હા, મને ખબર છે કે ખરાબ શબ્દો અપમાનકારક છે. હું એ સમજવાની કોશિશ કરીશ કે એવા શબ્દો એણે કેમ વાપર્યા, ઉપરાન્ત, વિચારી જોઈશ કે એને હું કઈ રીતે ઉપયોગી બની શકું એમ છું. છતાંપણ જો એ અસભ્ય વરતાશે તો હું એની ઉપેક્ષા કરીશ.

પછી એણે મને – Here are some tips on how to respond to someone who says bad words to you : એ ટિપ્સ આ પ્રમાણે છે :

— શાન્ત અને એકાગ્રચિત્ત થઈ જાઓ. તમે પણ એમ જ કરશો તો વાત વધારે બગડશે.

— સમજવાની કોશિશ કરો કે એ વ્યક્તિ ખરાબ શબ્દો કયા કારણે કહી રહી છે. એ ગુસ્સામાં છે? ફ્રસ્ટ્રેટેડ છે? કશી વાતે ગભરાઈ ગઈ છે? 

— જો તમને ઠીક લાગે, સલામતીભર્યું, તો એની જોડે વાત કરો, પૂછો એને કે એની વાણી એવી હાનિકારક કેમ છે.

— હમેશાં યાદ રાખો કે સામાવાળાની વર્તણૂક માટે તમે જવાબદાર નથી. તમારી જાતને કેમ કરીને કન્ટ્રોલમાં રાખવી, એટલું જ તમારા હાથમાં છે.

પછી મેં એને પ્રેમ એટલે કાવ્યશાસ્ત્ર જેને રતિ નામનો સ્થાયી ભાવ ગણે છે એ વિશે સીધો આવો સવાલ કર્યો : Suppose for a while, if anybody tells you, ‘I love you’, how would you receprocate?

તો કહે, It depends, અમારો સમ્બન્ધ શું છે ને શી વસ્તુસ્થિતિ છે. જો અમારી વચ્ચે રોમૅન્ટિક રીલેશનશિપ છે અને મને એમ લાગે, તો હું જરૂર રેસિપ્રોકેટ કરું, કહું કે I love you. એમ પણ ઉમેરું કે મારે મન તારું કેટલું મૂલ્ય છે, હું તારી કેટલી કાળજી કરું છું. વધુમાં ‘એ.આઈ.’ કહે, I might also give a hug or a kiss.

વધુમાં એણે મને એમ પણ કહ્યું કે – પણ જો મને એમાંનું કંઇપણ ફીલ ન થતું હોય, તો હું એને પ્રામાણિક નિખાલસતાથી કંઇક આવું જણાવી દઉં – મને ગમે, પણ મને નથી લાગતું કે હું તારા પ્રેમમાં છું. હું નમ્રતા અને સમજદારી દાખવું પણ સાથોસાથ, મારી પોતાની લાગણીઓ વિશે પ્રામાણિક પણ રહું.

એણે મને એ પછી જણાવ્યું તે વધારે મહત્ત્વનું છે : કહે, હું માત્ર એક લાર્જ લૅન્ગ્વેજ મૉડેલ છું, અને પ્રેમ વગેરે ભાવો અનુભવવાને સમર્થ નથી. એટલે, હું I love you શબ્દોનો અર્થ જરૂર જાણું છું, એની અંદર રહેલી લાગણીને પણ વખાણું છું પણ એ લાગણી જાતે અનુભવવાની મારી કોઈ શક્તિ નથી. હું એ વ્યક્તિને બહુ બહુ તો Thank you for saying that કહી શકું, કહું જ, પણ હું એને I love you તો ન કહી શકું.

મને થાય, પ્રેમમાં પડવા માગતા આપણે મનુષ્યો આટલી સાદી સમજ ધરાવતાં હોઈએ તો કેવું સારું થાય. પણ આપણે ચોખવટ નથી કરતાં, ડખો કરીએ છીએ, અથવા થવા દઇએ છીએ, પણ એકબીજાંને દુ:ખ તો જરૂર પ્હૉંચાડીએ છીએ …

‘એ.આઈ.’ માનવીય ભાવો નથી અનુભવી શકતું, પોતાની એ મર્યાદા સ્વીકારે છે, છતાં એની પાસે એવી ઘણી માહિતી છે જેને આપણે દુનિયાદારીનું ડહાપણ કહીએ છીએ. એની પાસે એ માહિતીને રજૂ કરવાની સરસ રીત પણ છે જેને આપણે વિનયવિવેક કહીએ છીએ.

ગુજરાતી માણસને કેટલાકોએ ‘વિવેકબૃહસ્પતિ’ કહેવા લગીનો અવિવેક દાખવ્યો છે, બાકી એનો સાદો અર્થ તો એટલો જ છે કે એ વ્યવહારડાહ્યો છે અને મોટે ભાગે તે પણ આપમતલબે કરીને …

= = = 

(09/10/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...861862863864...870880890...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved