Opinion Magazine
Number of visits: 9665937
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મણિપુર હિંસા, સોમા લૈશરામ અને ફૂટબોલ : આઓ લકીરેં મિટાયેં

ચંદુ મહેરિયા|Opinion - Opinion|24 December 2023

ચંદુ મહેરિયા

છ-આઠ મહિનાથી મણિપુર અશાંત છે, સંકટગ્રસ્ત છે. અટકી અટકીને પણ હિંસાના બનાવો ચાલુ રહે છે. તેનું તાત્કાલિક કારણ તો મણિપુરના એક બળુકા બિનઆદિવાસી જ્ઞાતિ સમુદાય મૈતેઈને રાજ્ય સરકારે આપેલ અનુસૂચિત જનજાતિના દરજ્જાને વડી અદાલતની મહોર છે. રાજ્યના આદિજાતિ કુકી સમુદાયનો મૈતેઈને એસ.ટી. ગણવા સામે વિરોધ છે. આ વિરોધ શાંત અને અહિંસક ન રહેતાં હિંસક બન્યો તે પછી બંને સમુદાયો વચ્ચે મોટાપાયે હિંસા થઈ છે. લગભગ પોણા બસો લોકોના મોત થયાં છે, બળાત્કારો થયાં, આખીને આખી વસ્તીઓ સળગાવી દેવામાં આવી, પોલીસના શસ્ત્રોની મોટાપાયે લૂંટ થઈ. હજારો લોકો વિસ્થાપિત થયા છે અને રાહત છાવણીઓમાં છે. મૈતેઈ અને કુકી વચ્ચેનો હાલનો વિવાદ વિભાજક  બની ગયો છે. મૈતેઈ મોટેભાગે ઈમ્ફાલ ઘાટીના મેદાની પ્રદેશમાં વસે છે, જ્યારે કુકી પહાડી વિસ્તારોમાં વસે છે. અગાઉ પણ એમની વચ્ચે કોઈ સોહાર્દપૂર્ણ સંબંધો નહોતા પણ અત્યારે તો અંતર એ  હદે વધ્યું છે કે હવે તો બેમાંથી કોઈ, અરે પોલીસ કે સરકારી અધિકારી-કર્મચારી સુધ્ધાં, એકબીજાના વિસ્તારમાં જઈ શકતા નથી. વિભાજન એકબીજા પ્રત્યેની નફરત અને ઘૃણા સુધી મર્યાદિત ન રહેતાં બદલાની ભાવનામાં પલટાઈ ગયું છે. બંને એકબીજાના જીવના તરસ્યા બન્યા છે. મૈતેઈ રાજકીય સહિતના તમામ ક્ષેત્રોમાં પ્રભાવશાળી છે. રાજ્યના ભા.જ.પી. મુખ્ય મંત્રી પણ  મૈતેઈ છે. એટલે હાલની હિંસા, ખાસ તો કુકીઓ પ્રત્યેની, રાજ્યપ્રેરિત નહીં તો રાજ્ય સમર્થિત હોય એમ લાગે છે. 

આઝાદી પૂર્વે મણિપુર એક રજવાડુ હતું. ૧૯૪૯માં તેનો ભારતમાં વિલય થયો. પહેલાં તે કેન્દ્રશાસિત પ્રદેશ હતો. ૧૯૭૨થી રાજ્ય બન્યું છે. મણિપુરની આશરે ૨૯ લાખની વસ્તીમાં હિંદુ અને ખ્રિસ્તી વસ્તી સરખી એટલેકે ૪૧-૪૧ ટકા છે. રાજ્યમાં ૮ ટકા મુસ્લિમો પણ વસે છે. મેદાની પ્રદેશોમાં રહેતા મૈતેઈની વસ્તી ૫૩ ટકા અને કુકી સહિતની ૬૦ જનજાતિઓની વસ્તી ૪૦ ટકા છે. રાજ્ય વિધાનસભાના ૬૦માંથી ૪૦ ધારાસભ્યો મૈતેઈ છે અને રાજ્યના વર્તમાન સહિતના લગભગ તમામ મુખ્ય મંત્રીઓ  મૈતેઈ હતા. અનુસૂચિત જનજાતિના કુકીઓને સરકારી નોકરીઓ સરળતાથી મળે છે. વળી તેઓ ખ્રિસ્તી ધર્મી છે.  હિંદુ મૈતેઈઓ પહાડી વિસ્તારમાં જમીન ખરીદી શકતા નથી અને બિનઅનામત વર્ગના હોઈ સરકારી નોકરીઓ મળતી નથી તેવી તેમની ફરિયાદ છે. કુકીઓ પર્વતીય પ્રદેશમાં અને મ્યાંમારની સરહદે વસતા હોઈ તેઓ ડ્રગ્સ વેચે છે અને ગાંજાની ખેતી કરે છે એવો મૈતેઈઓનો અને રાજ્ય સરકારનો આરોપ છે. એટલે કુકીઓની જમીનોની આકારણી અને તપાસ કરવામાં આવે છે. હવે મૈતેઈને આદિજાતિનો દરજ્જો મળતાં તેઓ પણ પહાડી વિસ્તારોમાં જમીનો ખરીદી શકશે અને કુકી જમીનવિહોણા થશે. એટલે અનામત અને જમીનનો સવાલ હાલની હિંસાના મૂળમાં છે.

આ સ્થિતિમાં શાંતિ અને સદ્દભાવનાના, બંને સમુદાયો વચ્ચેનું અંતર ઘટે અને તેમની વચ્ચેની દીવાલો તૂટે તેવા, પ્રયાસો આવશ્યક છે. જો કે તે દિશાના પ્રયાસો બહુ ઓછા છે. હાલના વિભાજક અને વિષાક્ત માહોલમાં જો કોઈ આવો પ્રયત્ન કરે તો તેણે બહિષ્કૃત થવું પડે છે. થોડા દિવસો પહેલાં રાજધાની દિલ્હીમાં પૂર્વોત્તરની સાંસ્કૃતિક વિરાસતની ઉજવણીનો કાર્યક્ર્મ નોર્થ ઈસ્ટ સ્ટુડન્ટ ફેસ્ટિવલ નામે યોજાયો હતો. ખ્યાતનામ મણિપુરી સિને અભિનેત્રી અને ગાયિકા સોમા લૈશરામે તેના સમાપન કાર્યક્રમમાં મણિપુરનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને પોતાના સંબોધનમાં મણિપુરની પીડા વ્યક્ત કરી શાંતિ અને સોહાર્દની અપીલ કરી હતી. બસ, આટલા જ કારણસર તેમના પર ત્રણ વરસ સુધી ફિલ્મોમાં અભિનય કરવા અને જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવા પર પ્રતિબંધ લદાયો હતો.

મૈતેઈ સમાજના હિતમાં કાર્યરત કાંગલેઈપાક કનબા લૂપ (કે.કે.એલ.) નામક સંગઠને મણિપુરની સ્થિતિ સામાન્ય ના થાય ત્યાં સુધી કોઈને પણ મનોરંજક કાર્યક્રમોમાં ભાગ ના લેવાનું ફરમાન જારી કર્યું છે. સોમાને પણ તેમણે વ્યક્તિગત અને જાહેર અપીલથી દિલ્હીના કાર્યક્રમથી દૂર રહેવા અપીલ કરી હતી. પરંતુ તેની ઉપરવટ જઈને તે ઉપસ્થિત રહ્યાં હતાં. એટલે તેમના પર બાન મુકાયો. એકત્રીસ વર્ષીય સોમાએ દોઢસો જેટલી મણિપુરી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને બેસ્ટ એકટ્રેસના એવોર્ડથી પુરસ્કૃત છે. પ્રતિબંધથી ક્ષુબ્ધ સોમાએ પોતાની ભૂમિકા સમજાવતાં કહ્યું કે તેઓ મણિપુરના લોકોની પીડા વ્યક્ત કરવા જ કાર્યક્રમમાં ગયાં હતાં. આ કોઈ મનોરંજક કાર્યક્રમ નહોતો. તેમણે પૂર્વોત્તરના લોકોને જ નહીં સમગ્ર ભારતને મણિપુર પ્રશ્ને અવાજ ઉઠાવવા અને હિંસા વિરુદ્ધ શાંતિ માટે લડનારા મણિપુરના સમર્થનમાં આવવા અપીલ કરી હતી. સોમા પરના પ્રતિબંધનો સિને સંગઠનો અને લોકોએ વ્યાપક વિરોધ કરતાં આખરે પ્રતિબંધ પાછો ખેંચવો પડ્યો છે. શાંતિ અને ભાઈચારાની દિશામાં પ્રતિબંધ બાધક હતો તો સોમા અને અન્યનો વિરોધ પ્રતિબંધ દૂર કરાવીને સોહાર્દ સ્થાપવામાં મદદરૂપ થશે.

ભાઈચારાની દિશામાં બીજો બનાવ અંડર ૧૬ સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન ચેમ્પિયનશીપની ફાઈનલ મેચમાં ભારતનો વિજય છે. ભારતીય ટીમના ૨૩માંથી ૧૬ ખેલાડી મણિપુરના હતા. તેમાં ૧૧ મૈતેઈ, ૪ કુકી અને ૧ મુસ્લિમ હતા. ભૂતાનના થિમ્પૂમાં રમાયેલી બાંગલાદેશ સામેની ફાઈનલમાં ફસ્ટ હાફમાં મૈતેઈ ભરતે અને સેકન્ડ હાફ્માં કુકી લેવિસે ગોલ કરી ભારતને ૨-૦થી જીતાડ્યુ હતું. મણિપુરના યુવા ફૂટબોલરો સાથે રહ્યા, ખાધું-પીધું, હસ્યા, રમ્યા, વાતો કરી અને મેચ જીતાડી. વિજ્યી ગોલ કુકી રમતવીર લેવિસે કર્યો ત્યારે તેને સૌ પ્રથમ ગળે વળગીને જીતની ખુશી વ્યક્ત કરનાર મૈતેઈ ખેલાડી ભરત હતો. રમતના મેદાનમાં મણિપુરના આપસી મતભેદોની દીવાલો સાવ ભૂંસાઈ ગઈ હતી.

મણિપુરના યુવા ફૂટબોલરો ફુટબોલને મતભેદો દૂર કરવામાં મદદ કરનાર રમત ગણે છે. તેનાં ખેલાડીઓમાં એકતાની ભાવના જાગે છે. મણિપુરના જ્ઞાતિગત તણાવો અને હિંસા વચ્ચે આ ફૂટબોલરોએ અનેક પ્રતિકૂળતાઓ અને દુ:ખોને બાજુએ હડસેલીને તેમની પ્રતિભા અને સમજથી  ના માત્ર વિજય મેળવ્યો છે,  જેમ  ફૂટબોલે તેમને જોડ્યા છે, અલગ કર્યા નથી તેવું મણિપુર પણ થઈ શકે છે તેવો સંદેશ આપ્યો છે. આ વિજય મણિપુરના લોકોની આશા અને અપેક્ષાનું પણ પ્રતીક બની રહે તો કેવું સારું ?

માંડ ૧૦ ટકા મેદાની અને ૯૦ ટકા પહાડી પ્રદેશમાં વસેલું મણિપુર માતૃપ્રધાન સંસ્કૃતિને વરેલું છે. ૮૦ ટકા આસપાસની સાક્ષરતા છતાં મણિપુરની ૪૦ ટકા વસ્તી ગરીબીની રેખા તળે જીવે છે. એટલે તેમણે અંદરોઅંદરની હિંસાનો માર્ગ છોડી ગરીબી અને બેરોજગારી જેવા અસલી મુદ્દાઓ પર પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

E.mail :  maheriyachandu@gmail.com

Loading

સાંસદોનું સસ્પેન્શનઃ બંધારણીય ઇમારતમાં લોકશાહીનાં અપમાન સાથે કેન્દ્ર સરકારની તુમાખીનું પરિણામ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|24 December 2023

વિરોધ પક્ષને સવાલ પૂછવાનો, ચોખવટ માંગવાનો સંપૂર્ણ અધિકાર છે. કેન્દ્ર સરકારે જવાબ આપવાને બદલે વિપક્ષના વહેવારને ‘અપમાનજનક’માં ખપાવી દીધો છે.

ચિરંતના ભટ્ટ

અંગ્રેજીમાં એક વાક્ય પ્રયોગ છે, જેનો અર્થ કંઇક એવો થાય છે, “કાં તો તમે મારી સાથે છો, અથવા તો મારા વિરોધી છો.” તાજેતરમાં લોક સભા અને રાજ્ય સભામાંથી જે રીતે સાંસદોને એક પછી એક સસ્પેન્ડ કરવામમાં આવ્યા છે, એમાં સત્તાપક્ષે આ વાક્ય પ્રયોગને બદલી નાખ્યો છે, “કાં તો તમે મારી સાથે છો, અથવા તો તમે છો જ નહીં.” 142 સાંસદોને સંસદના ચેમ્બર્સ, ગેલેરી અને લૉબીમાં પ્રવેશવાની મનાઇ ફરમાવવામાં આવી છે. આ સાંસદોમાં 96 લોક સભાના છે અને 45 રાજ્ય સભાના છે. વિપક્ષી દળોએ સંસદમાં થયેલી બબાલ પછી સુરક્ષામાં ચૂક અંગે ગૃહ મંત્રી અમિત શાહનું નિવેદન માંગ્યું. આ માંગવાનો તેમને પૂરો અધિકાર છે છે અને આ માંગ કરતા તેમણે સંસદ પરિસરમાં પ્રદર્શન પણ કર્યું. જો કે આ આખી ઘટનામાં એક લોચો એ પડ્યો કે તેમણે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરના ચાળા પાડ્યા અને એમાં વિરોધ પક્ષોની ગરિમામાં ગાબડું પડ્યું એ ચોક્કસ પણ સવાલ કર્યો એટલે સસ્પેન્ડ કરી દેવાયા એમાં લોકશાહીની કિંમત થઇ ગઇ એવું તો ગમે કે ન ગમે માનવું તો પડે.

અભિવ્યક્તિની સ્વતંત્રતા વાળી બંધારણની વાતને જાણે ગંભીરતાથી લેવાનું ચૂકાઇ જવાયું હોય એમ લાગે છે. સરકારને સવાલ કરવાની સત્તા જ જો છીનવી લેવાય તો લોકશાહીનું શું?  સરકાર અને વિપક્ષો વચ્ચે મડાગાંઠ સર્જાઇ છે અને આ કંઇ પહેલીવાર બન્યું હોય એમ નથી. આટલા બધા સાંસદોને સસ્પેન્ડ કરી દેવાયા હોય એ ચોક્કસ પહેલીવાર બન્યું છે. વિપક્ષ કોઇ ચોક્કસ સવાલ ઉઠાવે અને સરકાર તેનો સ્પષ્ટ જવાબ આપવાનું ટાળે એ કંઇ નવી વાત નથી. આ પહેલાં તો સંસદની કાર્યવાહીમાં વિક્ષેપ કરનારા સાંસદોને સાત દિવસ માટે સસ્પેન્ડ કરાયા હોય એવું પણ બન્યું છે પણ ત્યારે એ આંકડો માત્ર બે સાંસદોનો હતો. તાજેતરમાં જે થયું છે તે વિરોધ પક્ષના મહત્ત્વનો છેદ ઉડાડનારો અભિગમ હોય એમ લાગે છે જે લોકશાહી વિરોધી પગલું છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.

એક લોકશાહી રાષ્ટ્ર તરીકે ચર્ચા, વિચાર-વિમર્શ એ લોકશાહીના ધબકારા સમાન છે. સાંસદીય લોકશાહીની વિશેષતા શું? વિપક્ષનાં ફરજ અને અધિકાર છે કે તેના સવાલના જવાબ ચૂંટાયેલી સરકાર આપે અને આ સાંસદોએ સવાલ ઉઠાવી પોતાના અધિકારનો ઉપયોગ કર્યો. કેન્દ્રમાં સત્તાએ બેઠેલી સરકારે તેમના સવાલના જવાબ આપવાને બદલે તેમને સસ્પેન્ડ કરીને જાણે પોતે લોકશાહીના સિદ્ધાંતો પ્રત્યેની પોતાની જ કટિબદ્ધતાની ઠેકડી ઉડાડી હોય એવો ઘાટ કર્યો. વિરોધપક્ષ વિનાની સંસદ હોય એવા મનસૂબા ધરાવતી કેન્દ્ર સરકારે જાણીજોઇને આમ કર્યું હોવાની ચર્ચાએ પણ જરા અવાજ કરી લીધો. વળી નવી સંસદમાં પ્લેકાર્ડ ન વાપરવાના નિયમના ઉલ્લંઘનને પણ આગળ કરવામાં આવ્યું. સત્તાધીશો અને સત્તા તરફીઓ ભલે કોઇપણ દલીલ કરે પણ જે રીતે 142 સાંસદોને સસ્પેન્ડ કરાયા એમાં સવાલ ઉઠાવશે એને ચૂપ કરી દેવાશે વાળો અભિગમ દેખાયો. આ અભિગમ લોકશાહી માટે ઔચિત્યપૂર્ણ નથી. કમસનસીબે સંસદમાં જે રીતે કામગીરી થાય છે તેમાં એવી કોઇ યોગ્ય પ્રક્રિયા નથી જે વિવાદિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે અનુસરી શકાય. અસહમતિની ભાવના હોય તો જ સંસદીય લોકશાહી સારામાં સારા પરિણામ આપી શકે છે. વિરોધ પક્ષને સવાલ પૂછવાનો, ચોખવટ માંગવાનો સંપૂર્ણ અધિકાર છે. કેન્દ્ર સરકારે જવાબ આપવાને બદલે વિપક્ષના વહેવારને ‘અપમાનજનક’માં ખપાવી દીધો છે. આમ કરવાથી શું ગૃ હમંત્રી અને વડા પ્રધાન સરમુખત્યારશાહી સરકાર હોવાનું સાબિત નથી કરી રહ્યા? દેશની બંધારણીય ઇમારતમાં પણ જો વિરોધ પક્ષોને પ્રશ્ન કરવાનો અધિકાર ન રહે તો લોકશાહી પર કેટલું બધું દબાણ હશે તેની કલ્પના માત્ર જ કરવી રહી. આ પ્રકારને સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવે ત્યારે જાણે એક એવો સંદેશ જાય કે સરકારના નિર્ણયો, ચૂક કે નીતિઓ અંગે કોઇને પણ સવાલ કરવાની છૂટ નથી. વિપક્ષ જો સર્જનાત્મક ટીકા ટિપ્પણી કરવાનું સદંતર બંધ જ કરી દે તો લોકશાહી કામ કરે છે કે નહીં એ પ્રશ્ન પણ ખડો થાય. નવી શરૂઆતના પ્રતીક તરીકે જેને નવાજવામાં આવી હતી તેવી સંસદની ઇમારત પર આ સસ્પેન્શનની ઘટના એક કાળા ધાબાં જેવી છે. સાંસદોને સસ્પેન્ડ કરવામાં કેન્દ્ર સરકારની કોઇ ચોક્કસ વ્યૂહરચના હોવાની શક્યતાઓ છે એવા આક્ષેપ પણ કરાયા છે.

આ પહેલાં 1989ની 15મી માર્ચે 63 સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરાયા હતા જ્યારે ઇંદિરા ગાંધીની હત્યાના રિપોર્ટ અંગે સવાલ કરાયા હતા. પણ ત્યારે પણ તેમને એ અઠવાડિયાના બાકીના ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતા. આ વખતે કેન્દ્ર સરકારે 142 સભ્યોને આખા સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા છે. અહીં પ્રશ્ન એ પણ નથી કે કેટલા સાંસદોને સસ્પેન્ડ કરાયા છે પણ કયા મુદ્દે તેમને સસ્પેન્ડ કરાયા છે તે જ બાબત સૌથી મોટો પ્રશ્ન છે. સંસદમાં જે હુમલો થયો, ભલે તે જીવલેણ ન હતો પણ તેને કારણે જે અરાજકતા ફેલાઇ તેને આગળ ધરી સુરક્ષાના પ્રશ્ન અંગે જો વિપક્ષો ગૃહ મંત્રીને સુરક્ષા લક્ષી સવાલ કરે તેમાં ખોટું શું છે? હા સંસદમાં પ્લેકાર્ડ લઇને દેખાવો કરવામાં પણ નિયમનો ભંગ થયો જ છે, પણ વિપક્ષ અને સરકાર વચ્ચે જો યોગ્ય સમજણ હોય, એક તાર્કિક વાતચીતનો દોર સંધાઇ શકે એમ હોય તો જ નિયમોનું અમલીકરણ પણ શક્ય બને છે. સાંસદોને સસ્પેન્ડ કરી દેવાથી સંસદની ગરિમા નથી સચવાઇ જતી. આમ કરવાથી તો લોકશાહીની સ્થિતિ બદતર થાય છે.

આ સસ્પેન્શન અંગે રાજકીય વિશ્લેષકોએ પણ પ્રશ્ન ખડા કર્યા છે. તેમના મતે સાંસદોને પૂરો અધિકાર છે કે તે સરકારને જવાબદાર ઠેરવે અને તેમની પાસેથી જવાબ માંગે. વડા પ્રધાન જો વિરોધપક્ષો સાથે સંવાદ સાધવાનું નકારતા હોય તો તે લોકશાહીને વખારે નાખવા જેવો અભિગમ છે. લોકશાહી એટલે કે બહુમતી અને લઘુમતી વચ્ચે સંવાદ પણ જો તેને રોકી દેવાય તો તે સામ્રાજ્યવાદી, સરમુખત્યાર વલણ ધરાવતી સરકાર હોવાની નિશાની છે.

આટલી મોટી સંખ્યામા સાંસદોને સસ્પેન્ડ કરવા ગંભીર મુદ્દો છે. સંસદના મહત્ત્વપૂર્ણ કામકાજ પર આ આખી ઘટનાની ઘેરી અસર પડશે. સાંસદોએ પણ કદાચ ક્યાંક ચૂક કરી હશે પણ આખા સત્ર માટે તેમનું સસ્પેન્શ એટલે સરકારનું એમ કહેવું કે આ સાંસદો વિના પણ બિલ પસાર થઇ શકે છે, નિર્ણયો લેવાઇ શકે છે. લોકશાહીના હિતમાં સરકાર અને વિપક્ષ-બન્નેએ સંયમ, પરસ્પર સન્માન અને એકબીજાને બોલવા દેવાની મોકળાશ આપવાની તાતી જરૂર છે. જરૂર છે કે બન્ને ગૃહમાં વિપક્ષના સાંસદોને પોતાની દલીલ યોગ્ય રીતે રજૂ કરી શકે તેનું તંત્ર ગોઠવાય. અત્યારે માત્ર નો-કૉન્ફીડન્સના મોશનથી જ સાંસદો કોઇ ચોક્કસ બાબતે દલીલનું દબાણ કરી શકે છે. કદાચ સમય પાક્યો છે કે સંસદમાં વિપક્ષોના અવાજ માટે પણ દિવસો નિયત કરવામા આવે. રાષ્ટ્રીય સ્તરે આ ઘટના એક ચેતવણી સમાન છે જે સાબિત કરે છે કે સંસદગૃહ જે કોઇપણ પ્રકારની ચર્ચા માટેનો સર્વોચ્ચ મંચ છે, તેની લોકશાહી જોખમમાં છે. સંસદ એ દેશનું પ્રતિબિંબ છે એ જો આપણે જાણતા હોઇએ તો આપણે વિચારવું રહ્યું કે જે ત્યાં પ્રતિબિંબિત થઇ રહ્યું છે તે શું દેશમાં તો તીવ્રતાથી નહીં વર્તાવા લાગેને?

બાય ધી વેઃ

ભા.જ.પા.ની સરકારમાં આ બધું કંઇ પહેલીવાર નથી થઇ રહ્યું. મહુઆ મોઇત્રાએ પોતાનું પદ છીનવાયું તે અંગે ઉચ્ચ અદાલતમાં સરકારને પડકારી છે. આ પહેલાં રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ પણ લઇ લેવાયું હતું. સત્તારૂઢ ભા.જ.પા. સરકાર પોતાની સરકારની આ પ્રકારની કામગીરીને યોગ્ય ઠેરવવા વિરોધ પક્ષોને ભ્રષ્ટ અને સત્તા ભૂખ્યા ગણાવે છે. પણ શું ભા.જ.પા.માં જોડાયેલ દરેક વ્યક્તિ નૈતિક મૂલ્યોને મામલે એકદમ સાફ છે? એવા પણ કિસ્સા થયા છે જ્યાં કોઇની સામે ઇ.ડી. કે સી.બી.આઇ. કામગીરી ચાલુ કરે, તે વ્યક્તિ ભા.જ.પા.માં જોડાય અને સરકારી તપાસ એન્જસીઝની તપાસ અટકી જાય. આપણા દેશનું આ પણ એક સત્ય છે. વિરોધ પક્ષ અને કેન્દ્ર સરકાર બન્ને પક્ષોએ ઉગ્ર વલણ અપનાવ્યું છે. આ કારણે થતાં સમય અને જાહેર મૂડીનાં નુકસાનનું પ્રમાણ કળવું અઘરું છે પણ એ નુકસાનકારક છે એ સરળતાથી સમજી શકાય એવી બાબત છે. સંસદમાં ચર્ચા થાય તેને પ્રોત્સાહન મળવું જરૂરી છે અને તેના ઉકેલ લોકશાહી રાષ્ટ્રમાં ન શોધાય તે રૂડું ન ગણાય એ ચોક્કસ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 ડિસેમ્બર 2023

Loading

અયોધ્યા રામ મંદિરમાં સક્રિય ભૂમિકા ભજવનાર નેતાઓની બાદબાકી કેમ કરાઈ ?

રમેશ ઓઝા|Opinion - Opinion|24 December 2023

રમેશ ઓઝા

અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનમાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને બોલાવવામાં આવ્યા નથી. તેમને કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરી મહિનામાં અયોધ્યામાં ઠંડી બહુ હશે અને તમે સહન નહીં કરી શકો. આ જોઈને ઘણા ઉદારમતાદીઓ દુઃખી થઈ ગયા છે. જ્યારથી નરેન્દ્ર મોદી અને અમિત શાહ તેમની ઉપેક્ષા કરી રહ્યા છે ત્યારથી લિબરલો તેમના માટે આંસુ સારી રહ્યા છે.

જાણીતા પત્રકાર કરણ થાપરે હમણાં સુહેલ સેઠ સાથેની એક મુલાકાતમાં લાલકૃષ્ણ અડવાણીની શાલિનતા વિશે કહ્યું હતું કે ૧૯૯૮માં તેમણે (કરણ થાપારે) અડવાણીનો ઇન્ટરવ્યૂ કર્યો હતો અને તેમાં બી.જે.પી.એ અપનાવેલી નવી ઉદાર નીતિ વીશે પૂછ્યું હતું કે આ તો રાક્ષસના માથેથી શિંગડા હટાવીને તેના ચહેરા પર સ્મિત ઉમેરવા જેવું થયું. પ્રશ્ન ખરેખર સોંસરવો હતો. અડવાણી થોડા વિરામ માગીને બહાર ગયા. કરણ થાપરને લાગ્યું કે વોશ રૂમમાં ગયા હશે. પાંચ મિનિટ પછી પણ તેઓ આવ્યા નહીં ત્યારે કરણ થાપર શું થયું એ સમજવા બહાર ગયા તો જોયું કે અડવાણી કાઈંક વિચારતા ઊભા હતા. કરણ થાપરે શું થયું એમ પૂછ્યું ત્યારે અડવાણીએ ખિન્ન વદને કહ્યું હતું કે તમે જ્યારે મને રાક્ષસ તરીકે ઓળખાવે છો ત્યારે તમને મુલાકાત આપવાનો શો અર્થ એવું હું વિચારી રહ્યો છું. કરણ થાપરે કહેવત વિષે સ્પષ્ટતા કરી ત્યારે લાલકૃષ્ણ અડવાણીએ તેમની સાચા હૃદયથી માફી માંગી અને મુલાકાત આપી. મુલાકાત પૂરી થઈ ત્યારે ફરી એક વાર કરણ થાપરની તેમ જ સમગ્ર કૃ મેમ્બર્સની માફી માંગી. શાલિનતાનો આવો જ એક બીજો પ્રસંગ પણ કરણ થાપરે નોંધ્યો છે જે ‘ધ વાયર. ઇન’ નામના ન્યુઝ પોર્ટલ પર વાંચવા મળશે. કરણ થાપર અડવાણીની શાલિનતાથી અભિભૂત થઈ ગયા તેનું એક કારણ આનાથી બિલકુલ ૧૮૦ ડિગ્રી વિપરિત અનુભવ નરેન્દ્ર મોદી સાથે થયો હતો એ છે. નરેન્દ્ર મોદીએ બી.જે.પી.ના નેતાઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે કોઈએ કરણ થાપરને મુલાકાત કે બાઈટ આપવી નહીં. ક્ષમા અને ઉદારતા એ બે શબ્દો નરેન્દ્ર મોદીના શબ્દકોશમાં નથી.

શું લિબરલો ૧૯૯૦-૧ ૯૯૨નાં વર્ષો ભૂલી ગયા છે? હા. નરેન્દ્ર મોદીનો અભદ્ર વ્યવહાર જોઇને તેઓ અડવાણી માટે અને ખાસ કરીને અડવાણીની અંગત વ્યવહારમાંની શાલિનતા જોઇને સહાનુભૂતિ ધરાવતા થઈ ગયા છે. આવું જ અટલ બિહારી વાજપેયીનું હતું. તેઓ પણ અંગત વ્યવહારમાં ખૂબ જ શાલિન હતા. એક વાર લોકસભામાં તેમણે સામ્યવાદી પક્ષના નેતા સોમનાથ ચેટર્જી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. રાત્રે વાજેયીએ સોમનાથ દાદાને ફોન કર્યો અને રાજકીય મજબૂરીના ભાગરૂપે ટીકા કરવા માટે માફી માંગી.

ઘણાં લોકો અંગત વ્યવહારમાં શાલિન હોય છે. એ શાલિનતાની કદર કરવી જ જોઈએ પણ એ ન ભૂલવું જોઈએ કે તેમણે જીવનમાં શું કર્યું છે અથવા કરે છે. દલાઈ લામાએ તેમની આત્મકથામાં ચીનના નેતા માઓ વિષે લખ્યું છે કે માઓની શાલિનતા, આદર આપવાની તેમની રીત, માઓના ચહેરા પર તેમ જ વ્યવહારમાં પ્રગટ થતું વાત્સલ્ય જોઈને વિશ્વાસ જ ન થાય કે આ માણસ તિબેટ સાથે અને તિબેટની પ્રજા સાથે વિશ્વાસઘાત કરશે. દલાઈ લામા માઓને મળવા બીજિંગ ગયા ત્યારે તેઓ પુખ્ત વયના પણ નહોતા. માઓ દલાઈ લામાને બાજુમાં બેસાડે અને ક્યારેક જમાડે પણ ખરા. કોઈ વિદેશી મહેમાન માઓની મુલાકાતે આવે તો માઓ દલાઈ લામાને ખાસ બોલાવે અને બાજુમાં બેસાડે. દલાઈ લામાના વાંસા પર હાથ ફેરવતા જાય અને વાત કરતા જાય. દલાઈ લામાએ તેમની આત્મકથામાં લખ્યું છે કે નિર્ભિક થઈને માંઓના ખોળામાં માથું મૂકી દેવાનું ત્યારે મન થતું હતું અને આજે પણ એ વાત્સલ્ય વેરતા માઓ જૂઠા અને દંભી હતા એમ માણવાનું મન થતું નથી. ૨૦૦૭માં દલાઈ લામાને મળવાનો મને અવસર મળ્યો ત્યારે મેં પવન પાવન દલાઈ લામાને પૂછ્યું હતું કે માઓ વિષેની દુવિધા શું આજે પણ અનુભવો છો? દલાઈ લામાએ હકારમાં જવાબ આપ્યો હતો. પણ એ જ ચીને માઓનાં નેતૃત્વમાં તિબેટ સાથે અને દલાઈ લામા સાથે જે વ્યવહાર કર્યો એ નજર સામે છે.

અંગત વ્યવહારોમાં શાલિનતાનો કોઇ અર્થ નથી જો એમની જાહેર પ્રવૃત્તિ માનવીય મૂલ્યોથી વિપરિત હોય. લાલકૃષ્ણ અડવાણીએ ભારતનાં સામાજિક પોતને ઊતરડી નાખવાનું કામ કર્યું હતું. ભારતનાં સામાજિક પોતને વિદીરણ કરવાનું કામ કર્યું હતું. અયોધ્યા આંદોલનના તેઓ નાયક હતા જેમાં પાંચેક હજાર અને કદાચ એનાથી પણ વધુ લોકોએ પ્રાણ ગુમાવ્યા છે.

હકીકતમાં ભારતનાં સમાજિક પોતને ઉતરડવાનું ૧૯૨૫માં સંઘની સ્થાપના થઇ ત્યારથી શરૂ થયું છે અને તેમાં અત્યાર સુધી અનેક એક્ટરરોએ ભાગ લીધો છે. દરેકે પોતપોતાની અથવા આપવામાં આવેલી ભૂમિકા ભજવી છે.  બાબરી મસ્જિદ તૂટી એ મારાં જીવનની સૌથી દુઃખદ અને શરમજનક ઘટના છે એમ અડવાણીએ અનેક વખત કહ્યું છે અને પોતાની આત્મકથામાં પણ લખ્યું છે. પણ તેમણે કયારે ય એમ નથી કહ્યું કે પ્રાયશ્ચિત રૂપે બાબરી મસ્જિદની જમીન મુસલમાનોને પાછી આપવામાં આવે. જો મસ્જિદ તોડવી નહોતી અને તોડવામાં આવી એ માટે શરમ અનુભવો છો તો શરમ દૂર કરી શકાઈ હોત! એની જગ્યાએ જો આમંત્રણ અને ઈજ્જત મળે તો અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટનમાં જવું છે. આ બધા એક જ વેલાના તુંબડાઓ છે અને દરેકનું એક જ લક્ષ છે; હિન્દુ રાષ્ટ્રની સ્થાપના. એમાં વાજપેયીનો પણ સમાવેશ થાય છે. દરેકે સમય અને સંજોગોની માગ અનુસાર એક જ નાટકની ભૂમિકા ભજવી હતી અને ભજવે છે. માટે અંગત વ્યવહારમાં શાલિનતા જોઇને ગદગદ થઈ જવાની જરૂર નથી.

ગુજરાતી સાહિત્ય પરિષદનાં ભૂતપૂર્વ અધ્યક્ષ પ્રકાશ ન. શાહ ઇમરજ્સીમાં વડોદરાની જેલમાં હતા. તેમની સાથે સંઘના એક સિનિયર નેતા ચીમનભાઈ શુક્લ પણ હતા. એક દિવસ અચાનક ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી ઊઠાવી અને જેલમાં પૂરેલા રાજકીય કાર્યકર્તાઓને મુક્ત કર્યા, ત્યારે ચીમનભાઈ શુક્લએ પ્રકાશભાઈને કહ્યું હતું કે આ બાઈ (ઇન્દિરા ગાંધી) મૂર્ખ છે. અમે હોઈએ તો તમને (સેક્યુલર ઉદારમતાદીઓ) ન છોડીએ. દોસ્તી દાવે તમને સુવિધા આપીએ એ જૂદી વાત છે પણ છોડીએ નહીં. આ ૧૯૭૭ની વાત છે.

ટૂંકમાં અંગત વ્યવહારમાં શાલિનતા અને માનવીય મૂલ્યો માટીની પ્રતિબદ્ધતા એ બે જૂદી વસ્તુ છે. અડવાણીએ દસ વરસમાં અસંમતિનો સૂર વ્યક્ત કર્યો છે? કેમ? કારણ કે જે બની રહ્યું છે એ તેમને સ્વીકાર્ય છે. વાજપેયી હોત તો તે પણ ન બોલત. જ્યારે પણ મૂલ્યો વિનાની શાલિનતા દેખાય ત્યારે દલાઈ લામાએ જોયેલા માઓને યાદ કરવા.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 ડિસેમ્બર 2023

Loading

...102030...851852853854...860870880...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved