વિરોધ પક્ષને સવાલ પૂછવાનો, ચોખવટ માંગવાનો સંપૂર્ણ અધિકાર છે. કેન્દ્ર સરકારે જવાબ આપવાને બદલે વિપક્ષના વહેવારને ‘અપમાનજનક’માં ખપાવી દીધો છે.
અંગ્રેજીમાં એક વાક્ય પ્રયોગ છે, જેનો અર્થ કંઇક એવો થાય છે, “કાં તો તમે મારી સાથે છો, અથવા તો મારા વિરોધી છો.” તાજેતરમાં લોક સભા અને રાજ્ય સભામાંથી જે રીતે સાંસદોને એક પછી એક સસ્પેન્ડ કરવામમાં આવ્યા છે, એમાં સત્તાપક્ષે આ વાક્ય પ્રયોગને બદલી નાખ્યો છે, “કાં તો તમે મારી સાથે છો, અથવા તો તમે છો જ નહીં.” 142 સાંસદોને સંસદના ચેમ્બર્સ, ગેલેરી અને લૉબીમાં પ્રવેશવાની મનાઇ ફરમાવવામાં આવી છે. આ સાંસદોમાં 96 લોક સભાના છે અને 45 રાજ્ય સભાના છે. વિપક્ષી દળોએ સંસદમાં થયેલી બબાલ પછી સુરક્ષામાં ચૂક અંગે ગૃહ મંત્રી અમિત શાહનું નિવેદન માંગ્યું. આ માંગવાનો તેમને પૂરો અધિકાર છે છે અને આ માંગ કરતા તેમણે સંસદ પરિસરમાં પ્રદર્શન પણ કર્યું. જો કે આ આખી ઘટનામાં એક લોચો એ પડ્યો કે તેમણે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરના ચાળા પાડ્યા અને એમાં વિરોધ પક્ષોની ગરિમામાં ગાબડું પડ્યું એ ચોક્કસ પણ સવાલ કર્યો એટલે સસ્પેન્ડ કરી દેવાયા એમાં લોકશાહીની કિંમત થઇ ગઇ એવું તો ગમે કે ન ગમે માનવું તો પડે.
અભિવ્યક્તિની સ્વતંત્રતા વાળી બંધારણની વાતને જાણે ગંભીરતાથી લેવાનું ચૂકાઇ જવાયું હોય એમ લાગે છે. સરકારને સવાલ કરવાની સત્તા જ જો છીનવી લેવાય તો લોકશાહીનું શું? સરકાર અને વિપક્ષો વચ્ચે મડાગાંઠ સર્જાઇ છે અને આ કંઇ પહેલીવાર બન્યું હોય એમ નથી. આટલા બધા સાંસદોને સસ્પેન્ડ કરી દેવાયા હોય એ ચોક્કસ પહેલીવાર બન્યું છે. વિપક્ષ કોઇ ચોક્કસ સવાલ ઉઠાવે અને સરકાર તેનો સ્પષ્ટ જવાબ આપવાનું ટાળે એ કંઇ નવી વાત નથી. આ પહેલાં તો સંસદની કાર્યવાહીમાં વિક્ષેપ કરનારા સાંસદોને સાત દિવસ માટે સસ્પેન્ડ કરાયા હોય એવું પણ બન્યું છે પણ ત્યારે એ આંકડો માત્ર બે સાંસદોનો હતો. તાજેતરમાં જે થયું છે તે વિરોધ પક્ષના મહત્ત્વનો છેદ ઉડાડનારો અભિગમ હોય એમ લાગે છે જે લોકશાહી વિરોધી પગલું છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.
એક લોકશાહી રાષ્ટ્ર તરીકે ચર્ચા, વિચાર-વિમર્શ એ લોકશાહીના ધબકારા સમાન છે. સાંસદીય લોકશાહીની વિશેષતા શું? વિપક્ષનાં ફરજ અને અધિકાર છે કે તેના સવાલના જવાબ ચૂંટાયેલી સરકાર આપે અને આ સાંસદોએ સવાલ ઉઠાવી પોતાના અધિકારનો ઉપયોગ કર્યો. કેન્દ્રમાં સત્તાએ બેઠેલી સરકારે તેમના સવાલના જવાબ આપવાને બદલે તેમને સસ્પેન્ડ કરીને જાણે પોતે લોકશાહીના સિદ્ધાંતો પ્રત્યેની પોતાની જ કટિબદ્ધતાની ઠેકડી ઉડાડી હોય એવો ઘાટ કર્યો. વિરોધપક્ષ વિનાની સંસદ હોય એવા મનસૂબા ધરાવતી કેન્દ્ર સરકારે જાણીજોઇને આમ કર્યું હોવાની ચર્ચાએ પણ જરા અવાજ કરી લીધો. વળી નવી સંસદમાં પ્લેકાર્ડ ન વાપરવાના નિયમના ઉલ્લંઘનને પણ આગળ કરવામાં આવ્યું. સત્તાધીશો અને સત્તા તરફીઓ ભલે કોઇપણ દલીલ કરે પણ જે રીતે 142 સાંસદોને સસ્પેન્ડ કરાયા એમાં સવાલ ઉઠાવશે એને ચૂપ કરી દેવાશે વાળો અભિગમ દેખાયો. આ અભિગમ લોકશાહી માટે ઔચિત્યપૂર્ણ નથી. કમસનસીબે સંસદમાં જે રીતે કામગીરી થાય છે તેમાં એવી કોઇ યોગ્ય પ્રક્રિયા નથી જે વિવાદિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે અનુસરી શકાય. અસહમતિની ભાવના હોય તો જ સંસદીય લોકશાહી સારામાં સારા પરિણામ આપી શકે છે. વિરોધ પક્ષને સવાલ પૂછવાનો, ચોખવટ માંગવાનો સંપૂર્ણ અધિકાર છે. કેન્દ્ર સરકારે જવાબ આપવાને બદલે વિપક્ષના વહેવારને ‘અપમાનજનક’માં ખપાવી દીધો છે. આમ કરવાથી શું ગૃ હમંત્રી અને વડા પ્રધાન સરમુખત્યારશાહી સરકાર હોવાનું સાબિત નથી કરી રહ્યા? દેશની બંધારણીય ઇમારતમાં પણ જો વિરોધ પક્ષોને પ્રશ્ન કરવાનો અધિકાર ન રહે તો લોકશાહી પર કેટલું બધું દબાણ હશે તેની કલ્પના માત્ર જ કરવી રહી. આ પ્રકારને સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવે ત્યારે જાણે એક એવો સંદેશ જાય કે સરકારના નિર્ણયો, ચૂક કે નીતિઓ અંગે કોઇને પણ સવાલ કરવાની છૂટ નથી. વિપક્ષ જો સર્જનાત્મક ટીકા ટિપ્પણી કરવાનું સદંતર બંધ જ કરી દે તો લોકશાહી કામ કરે છે કે નહીં એ પ્રશ્ન પણ ખડો થાય. નવી શરૂઆતના પ્રતીક તરીકે જેને નવાજવામાં આવી હતી તેવી સંસદની ઇમારત પર આ સસ્પેન્શનની ઘટના એક કાળા ધાબાં જેવી છે. સાંસદોને સસ્પેન્ડ કરવામાં કેન્દ્ર સરકારની કોઇ ચોક્કસ વ્યૂહરચના હોવાની શક્યતાઓ છે એવા આક્ષેપ પણ કરાયા છે.
આ પહેલાં 1989ની 15મી માર્ચે 63 સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરાયા હતા જ્યારે ઇંદિરા ગાંધીની હત્યાના રિપોર્ટ અંગે સવાલ કરાયા હતા. પણ ત્યારે પણ તેમને એ અઠવાડિયાના બાકીના ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતા. આ વખતે કેન્દ્ર સરકારે 142 સભ્યોને આખા સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા છે. અહીં પ્રશ્ન એ પણ નથી કે કેટલા સાંસદોને સસ્પેન્ડ કરાયા છે પણ કયા મુદ્દે તેમને સસ્પેન્ડ કરાયા છે તે જ બાબત સૌથી મોટો પ્રશ્ન છે. સંસદમાં જે હુમલો થયો, ભલે તે જીવલેણ ન હતો પણ તેને કારણે જે અરાજકતા ફેલાઇ તેને આગળ ધરી સુરક્ષાના પ્રશ્ન અંગે જો વિપક્ષો ગૃહ મંત્રીને સુરક્ષા લક્ષી સવાલ કરે તેમાં ખોટું શું છે? હા સંસદમાં પ્લેકાર્ડ લઇને દેખાવો કરવામાં પણ નિયમનો ભંગ થયો જ છે, પણ વિપક્ષ અને સરકાર વચ્ચે જો યોગ્ય સમજણ હોય, એક તાર્કિક વાતચીતનો દોર સંધાઇ શકે એમ હોય તો જ નિયમોનું અમલીકરણ પણ શક્ય બને છે. સાંસદોને સસ્પેન્ડ કરી દેવાથી સંસદની ગરિમા નથી સચવાઇ જતી. આમ કરવાથી તો લોકશાહીની સ્થિતિ બદતર થાય છે.
આ સસ્પેન્શન અંગે રાજકીય વિશ્લેષકોએ પણ પ્રશ્ન ખડા કર્યા છે. તેમના મતે સાંસદોને પૂરો અધિકાર છે કે તે સરકારને જવાબદાર ઠેરવે અને તેમની પાસેથી જવાબ માંગે. વડા પ્રધાન જો વિરોધપક્ષો સાથે સંવાદ સાધવાનું નકારતા હોય તો તે લોકશાહીને વખારે નાખવા જેવો અભિગમ છે. લોકશાહી એટલે કે બહુમતી અને લઘુમતી વચ્ચે સંવાદ પણ જો તેને રોકી દેવાય તો તે સામ્રાજ્યવાદી, સરમુખત્યાર વલણ ધરાવતી સરકાર હોવાની નિશાની છે.
આટલી મોટી સંખ્યામા સાંસદોને સસ્પેન્ડ કરવા ગંભીર મુદ્દો છે. સંસદના મહત્ત્વપૂર્ણ કામકાજ પર આ આખી ઘટનાની ઘેરી અસર પડશે. સાંસદોએ પણ કદાચ ક્યાંક ચૂક કરી હશે પણ આખા સત્ર માટે તેમનું સસ્પેન્શ એટલે સરકારનું એમ કહેવું કે આ સાંસદો વિના પણ બિલ પસાર થઇ શકે છે, નિર્ણયો લેવાઇ શકે છે. લોકશાહીના હિતમાં સરકાર અને વિપક્ષ-બન્નેએ સંયમ, પરસ્પર સન્માન અને એકબીજાને બોલવા દેવાની મોકળાશ આપવાની તાતી જરૂર છે. જરૂર છે કે બન્ને ગૃહમાં વિપક્ષના સાંસદોને પોતાની દલીલ યોગ્ય રીતે રજૂ કરી શકે તેનું તંત્ર ગોઠવાય. અત્યારે માત્ર નો-કૉન્ફીડન્સના મોશનથી જ સાંસદો કોઇ ચોક્કસ બાબતે દલીલનું દબાણ કરી શકે છે. કદાચ સમય પાક્યો છે કે સંસદમાં વિપક્ષોના અવાજ માટે પણ દિવસો નિયત કરવામા આવે. રાષ્ટ્રીય સ્તરે આ ઘટના એક ચેતવણી સમાન છે જે સાબિત કરે છે કે સંસદગૃહ જે કોઇપણ પ્રકારની ચર્ચા માટેનો સર્વોચ્ચ મંચ છે, તેની લોકશાહી જોખમમાં છે. સંસદ એ દેશનું પ્રતિબિંબ છે એ જો આપણે જાણતા હોઇએ તો આપણે વિચારવું રહ્યું કે જે ત્યાં પ્રતિબિંબિત થઇ રહ્યું છે તે શું દેશમાં તો તીવ્રતાથી નહીં વર્તાવા લાગેને?
બાય ધી વેઃ
ભા.જ.પા.ની સરકારમાં આ બધું કંઇ પહેલીવાર નથી થઇ રહ્યું. મહુઆ મોઇત્રાએ પોતાનું પદ છીનવાયું તે અંગે ઉચ્ચ અદાલતમાં સરકારને પડકારી છે. આ પહેલાં રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ પણ લઇ લેવાયું હતું. સત્તારૂઢ ભા.જ.પા. સરકાર પોતાની સરકારની આ પ્રકારની કામગીરીને યોગ્ય ઠેરવવા વિરોધ પક્ષોને ભ્રષ્ટ અને સત્તા ભૂખ્યા ગણાવે છે. પણ શું ભા.જ.પા.માં જોડાયેલ દરેક વ્યક્તિ નૈતિક મૂલ્યોને મામલે એકદમ સાફ છે? એવા પણ કિસ્સા થયા છે જ્યાં કોઇની સામે ઇ.ડી. કે સી.બી.આઇ. કામગીરી ચાલુ કરે, તે વ્યક્તિ ભા.જ.પા.માં જોડાય અને સરકારી તપાસ એન્જસીઝની તપાસ અટકી જાય. આપણા દેશનું આ પણ એક સત્ય છે. વિરોધ પક્ષ અને કેન્દ્ર સરકાર બન્ને પક્ષોએ ઉગ્ર વલણ અપનાવ્યું છે. આ કારણે થતાં સમય અને જાહેર મૂડીનાં નુકસાનનું પ્રમાણ કળવું અઘરું છે પણ એ નુકસાનકારક છે એ સરળતાથી સમજી શકાય એવી બાબત છે. સંસદમાં ચર્ચા થાય તેને પ્રોત્સાહન મળવું જરૂરી છે અને તેના ઉકેલ લોકશાહી રાષ્ટ્રમાં ન શોધાય તે રૂડું ન ગણાય એ ચોક્કસ.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 ડિસેમ્બર 2023