Opinion Magazine
Number of visits: 9665887
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વંદું વિદ્યાસભાને, આજે 175મા સ્થાપના દિને

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|26 December 2023

સંજય ભાવે

ગુજરાતમાં નવજાગૃતિ અને જ્ઞાનપ્રકાશ લાવવામાં ગુજરાત વિદ્યાસભા સંસ્થાનો અગ્રગણ્ય અને અમૂલ્ય ફાળો છે. તેના સંચાલન હેઠળ ચાલતી શ્રી હરિવલ્લભદાસ આર્ટસ કૉલેજમાં અધ્યાપક હોવું એ મારા માટે અહોભાગ્ય અને ગૌરવની વાત છે.

ગુજરાત વર્નાક્યુલર સોસાયટી એવું આદ્ય નામ ધરાવતી આ સંસ્થાની સ્થાપના અંગેજ સરકારે અમદાવાદમાં નીમેલા આસિસ્ટંટ જજ એલેક્ઝાન્ડ કિન્લોક ફાર્બસે 26 ડિસેમબર 1846ના દિવસે કરી. સોસાયટીનો ઉદ્દેશ આ પ્રમાણે હતો : ગુજરાતી ભાષા-સાહિત્યનો ઉત્કર્ષ કરવો, ઉપયોગી જ્ઞાનનો પ્રચાર કરવો અને સામાન્ય રીતે કેળવણીની વૃદ્ધિ કરવી.

એલેકઝાન્ડર ફાર્બસ

ફાર્બસે કવિશ્વર દલપતરામને વઢવાણથી અમદાવાદ બોલાવ્યા અને તેમની સાહિત્યિક પ્રતિભાને સંસ્થાના કામમાં પ્રયુક્ત કરી. શહેરના શ્રેષ્ઠીઓ, અભ્યાસીઓ અને સમવિચારી સરકારી અધિકારીઓને પણ તેમાં સાંકળ્યા.

સંસ્થાનો સાત મુદ્દાનો કાર્યક્રમ આ મુજબ હતો : સામયિકનું પ્રકાશન, ગ્રંથાલય સેવા, ગુજરાતી શબ્દકોશની રચના, હસ્તપ્રત સંગ્રહ, સહશિક્ષણ, પાઠ્યપુસ્તકોની રચના અને નવાં પુસ્તકોનું લેખન-પ્રકાશન. સંસ્થાનું નામ 1946માં  ગુજરાત વિદ્યાસભા કરવામાં આવ્યું. જેનો ઇતિહાસ પાંચ ભાગમાં લખાયો હોય એવી પણ જૂજ સંસ્થાઓમાંની એક વિદ્યાસભા છે. 

વિદ્યાસભાએ ગુજરાતમાં સમાજની સુધારણા અને પ્રગતિ માટેની નીચે મુજબની પાયાની પ્રવૃત્તિઓ પહેલવહેલી શરૂ કરી : 

·       ગુજરાતની પહેલી કન્યાશાળા હરકુવરભાઈ શેઠાણી કન્યાશાળા (સ્થાપના 30 એપ્રિલ 1958) જે આજે પણ શહેરના ખાડિયા વિસ્તારમાં રાવબહાદુર રણછોડરાય છોટાલાલ કન્યાશાળા તરીકે શિક્ષણરત છે. 

·       અમદાવાદની, અને સંભવત: ગુજરાતની પહેલી પબ્લિક લાઇબ્રેરી તે ભદ્ર ટેલિફોન એક્સચેન્જ સામેની હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ (સ્થાપના 5 સપ્ટેમ્બર 1855)

·       ગુજરાતી ભાષાનું  પહેલું માસિક ‘બુદ્ધિપ્રકાશ’ (શરૂઆત 15 મે 1854) જે અત્યારે પણ અવિરત છે.

·       ગુજરાત વિદ્યાસભા અને તેની આર્ટ્સ કૉલેજે અત્યાર સુધી સંશોધન, પ્રકાશન, રાષ્ટ્રીય સેવા યોજના, રંગભૂમિ, ઇન્ડોલૉજિ, જાહેર જીવન જેવાં અનેક ક્ષેત્રોમાં માતબર પ્રદાન કર્યું છે.  

વિદ્યાસભાએ 1955માં શહેરના મિર્ઝાપૂર વિસ્તારમાં શરૂ કરેલી શ્રી હરિવલ્લભદાસ કાળિદાસ આર્ટ્સ કૉલેજ વર્ષોથી ગુજરાતની એક પ્રતિષ્ઠિત અને અગ્રણી કૉલેજ ગણાય છે. આ કૉલેજમાં અધ્યાપક હોવા માટે હું ખુદને ખૂબ ખુશકિસ્મત સમજું છું. 

દલપતરામ કવિ

નદીનો પટ અને કાંઠો, કૉલેજ સંકુલમાં માટીવાળું ખુલ્લું મેદાન, તેના તરફ ખુલ્લાં વિસ્તૃત કૉરિડૉર, ત્રણ-ત્રણ અગાશીઓ, સૌથી ઊપર એક મોટું ધાબું, અને માથે ખુલ્લું આકાશ … શહેરમાં આવી elemental touch – પંચ તત્ત્વોને સ્પર્શતી, તડકો અને છાંયો, હૂંફ અને શીતળતા કુદરતી સ્વરૂપમાં જ આપતી કૉલેજ મને મળી છે. 

દરરોજ તેના ચાર માળના તોતિંગ, અડીખમ અને ભવ્ય વાસ્તુ સામે જોઈને મનોમન નતમસ્તક થાઉં છું. સદ્દભાગ્યે અત્યારે પણ માટી જળવાયેલી હોય તેવાં તેનાં પ્રાંગણમાં આનંદશંકર ધ્રુવ, ઉમાશંકર જોશી, નગીનદાસ પારેખ, યશવંત શુક્લ, એસ્તેર સોલોમન, ઇલાબહેન પાઠક, નિરંજન ભગત જેવાં અનેક વિદ્યાજનોનાં પગલાં પડ્યાં છે. એ શ્રી હરિવલ્લભદાસ કાળિદાસ આર્ટસ કૉલેજની માતૃસંસ્થા વિદ્યાસભાને આજે પ્રણામ.

વર્ષ 1996ના માર્ચમાં શ્રી હરિવલ્લભદાસ કાળિદાસ આર્ટ્સ (એચ.કે. આર્ટ્સ) કૉલેજના અધ્યાપક તરીકેનો ઇન્ટરવ્યૂ આપ્યો અને પસંદ થયો. ઇન્ટરવ્યૂ લેનારામાં બીજી પાંચેક વ્યક્તિઓ સાથે વિદ્યાસભાના માનાર્હ સંયોજક યશવંત શુક્લ અને કૉલેજના એ વખતના આચાર્ય હીરુભાઈ ભટ્ટ હતા.

મને પૂછવામા આવ્યું કે ‘તમે આ કૉલેજમાં શા માટે જોડાવા માગો છો ?’ આ સર્વસામાન્ય સવાલ સંચાલકોની અને મુલાકાત દરમિયાન હાજર શિક્ષણ ખાતાના પ્રતિનિધિની દૃષ્ટિએ મારી બાબતમાં વધુ પ્રસ્તુત હતો.

એટલા માટે કે હું અમદાવાદની જ એક કૉલેજમાં પૂરા સમયની સુરક્ષિત નોકરીમાં હતો. ઇન્ટરવ્યૂ અંગેજી વિષય માટેનો હતો. એટલે મેં જવાબ આપ્યો હતો : ‘A full-time  lecturer’s job, I already have, but joining this college means associating myself with Gujarat Vidyasabha which is a century-long tradition of learning and research.’ મારો જવાબ ઠીક વજનદાર હતો. એટલે સવાલ આવ્યો : ‘Tell us about Vidyasabha.’ 

અપેક્ષિત સવાલનો તૈયારી અને પ્રતીતિ સાથે જવાબ આપ્યો, જેમાં ફાર્બસ, એ સમયના ‘સકલ અને દલપતરામની વાત કરી. વિદ્યાસભાએ પ્રસિદ્ધ કરેલા ગુજરાતના ઇતિહાસની અને ‘બુદ્ધિપ્રકાશ’ માસિક વિશે કહ્યું. 

વિદ્યાસભાની નિશ્રામાં ચાલતી એ વખતે ભદ્ર ટેલિફોન એક્સચેન્જની સામે છુપાયેલી ગુજરાતની પહેલી પબ્લિક લાઇબ્રેરી હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ અને અમારી કૉલેજના તોતિંગ વાસ્તુના પડખામાં છુપાયેલા ‘ભો.જે.’ તરીકે ઓળખાતા ભોગીલાલ જેશંગભાઈ અધ્યયન સંશોધન મંદિર વિશે હું બોલ્યો.

મને બોલવામાં આત્મવિશ્વાસ અને આનંદ હતા. એટલા માટે કે અંગ્રેજી, મરાઠી અને ગુજરાતી ભાષાસાહિત્યમાં મારા રસને કારણે મને બિનધાર્મિક, ઐહિક અને વ્યાપક માનવતાવાદી વિદ્યાપરંપરા તેમ જ પ્રવૃત્તિઓ વિશે વાંચવું (મારા જેવા બીજા કેટલાક મિત્રોની જેમ) ગમે છે. ઇંગ્લેન્ડની અને ભારતમાં પૂના, મુંબઈ અને કોલકાતાની થોડીક વિદ્યાસંસ્થાઓનો મને આછોપાતળો પરિચય પણ ખરો. 

અંગ્રેજીમાં જ લખવાની લ્હાય એ વખતે ઘણી. હું માત્ર અંગ્રેજીમાં લખતો. 1989થી બરાબર દસ વર્ષ – અત્યારે પણ જેના માટે મને ખૂબ માન છે તે – ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ની અમદાવાદ આવૃત્તિમાં નાટ્યાવલોકનો અને સાહિત્ય-સંસ્કૃતિ પરના લેખો લખતો, સરાસરી અઠાવાડિયે એક. 

મૂળ વિદ્યાપ્રવૃત્તિમાં રસ અને તેમાં આવા મોભાદાર કદરદાન પ્રકાશનમાં સ્પેસ મળી. એટલે સંસ્થાઓ, વ્યક્તિઓ, પુસ્તકો વિશે દિલથી કલમ ચલાવતો. તેના ભાગ રૂપે મેં 1992માં  ભો.જે. વિદ્યાભવન વિશે ‘એક્સપ્રેસ’માં લખ્યું. સહસંપાદકે મથાળું સરસ આપેલું ‘Far from the madding crowd’. તે જ રીતે હિમાભાઈ વિશે લખ્યું.

પછી ખબર નહીં કેવી રીતે પણ અભિલેખાવિદ હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી વિશે ‘એક્સપ્રેસ’માં ફીચર કર્યું અને ‘અખંડ આનંદ’માં તેમના વિશે ચરિત્ર લેખ કર્યો. આ બધાં માટે ગ્રંથાલયોમાંથી પુસ્તકો મેળવીને ઠીક ઠીક વાંચ્યાં હતાં, રસથી વાંચ્યાં હતાં.

યશવંત શુક્લ

એચ.કે. કૉલેજમાં જોડાયો તેના બીજા જ વર્ષે ગુજરાત વિદ્યાસભાનું દોઢસોમું વર્ષ આવ્યું. એટલે મેં ‘એક્સપ્રેસ’માં વિદ્યાસભા વિશે બે ભાગમાં લેખ 23 અને 24 ડિસેમ્બર 1997ની આવૃત્તિમાં લખ્યો. તેમના મથાળાં હતાં The one-of-a-kind institution nears it sesqui centenary અને Sabha keeps it flag flying high. 

એચ.કે. કૉલેજમાં અધ્યાપક હોવાનું જેટલું સદ્દભાગ્ય છે તેટલું જ, બલકે તેનાથી ચપટીક વધુ સદ્દભાગ્ય તેના ગ્રંથાલય થકી ન્યાલ થવાનું છે. તેનું નામ યથાર્થ રીતે જ શ્રી યશવંત શુક્લ ગ્રંથાલય છે. તેમાં પ્રત્યક્ષ પ્રવેશ વિના કૉલેજનો મારો ભાગ્યે જ કોઈ દિવસ જાય છે. મનોમન પણ તેને હંમેશાં યાદ કરતો રહું છું. અરે, પેરિસમાં હતો ત્યારે પણ આ ગ્રંથાલયને યાદ કરવાનું, અને અત્યારે કોઈ કૉલેજને મળતાં મળે એવાં નિષ્ઠાવાન ગ્રંથપાલ તોરલબહેન પટેલને ફોન કરવાનું થયું હતું. 

કૉલેજમાં જોડાયો તે જ વર્ષના કૉલેજના વર્ષિક અંકમાં ‘આપણી કૉલેજનું ગ્રંથાલય’ નામનો ઠીક મોટો લેખ લખ્યો હતો. એના માટેનાં કામ દરમિયાન મેં પુસ્તક-ખજાનો જોયો તેનો આનંદ આજે પણ યાદ છે. 

સ્નાતક કક્ષાની કૉલેજ તરીકેની આ ગ્રંથાલયની સમૃદ્ધિના મૂળ ગુજરાત વિદ્યાસભાની ગ્રંથાલય સેવા અને પુસ્તક પ્રકાશનના ઉપક્રમમાં રહેલાં છે. હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના વખતે દલપરામે લખ્યું છે: 

‘જુઓ પુસ્તકસ્થાન જે ભદ્ર પાસે  

રચ્યું રૂડું વિદ્યા વધે તેવી આશે’ 

બિલકુલ હોવું જોઈએ તેવું નાટ્યગૃહ જેના પ્રાંગણમાં હોય તેવી અમદાવાદની એકમાત્ર કૉલેજ ઘણાં વર્ષો સુધી અમારી એચ.કે. હતી. સૌમ્ય જોશી સાથેનાં નાટકનાં વર્ષોએ મારી આંતરસમૃદ્ધિ વધારી.

વીતેલાં પચાસેક વર્ષના લોકઆંદોલનોમાં કૉલેજની સામેલગીરી અને અને આપત્તિ-રાહતમાં કૉલેજે બજાવેલી કામગીરીનો હું દૂરથી અને નજીકથી બંને રીતે સાક્ષી છું. ઘણાં વર્ષો આ કૉલેજની liberal democratic tradition પણ મેં અનુભવી છે. સાબરમતીનાં પાણી વહેતાં રહ્યાં છે.

આ કૉલેજમાં દૂર દૂરથી બસોમાં બેસીને આવતાં અભાવગ્રસ્ત અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓએ મારા પગ ધરતી પર રાખ્યાં છે, મને મારાં પ્રદાન અને મારી પાત્રતા કરતાં વધુ પ્રેમાદર આપ્યાં છે. 

મારી એચ.કે. આર્ટસ કૉલેજની માતૃસંસ્થા સ્થપાઈ ત્યારે તેનું નામ ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ હતું. તેની સ્થાપના વેળાએ દલપતરામે વાંછ્યું હતું તે હું પણ વાંછું છું : 

  ‘સોસાઈટી તું થજે અવિનાશિની’ 

 e.mail : sanjaysbhave@yahoo.com

Loading

આદિવાસી બાળકો શિક્ષણ પામે જ નહીં એ માટે સરકાર ઘણી મહેનત કરી રહી છેન…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|25 December 2023

રવીન્દ્ર પારેખ

ગયા જૂનમાં ભૂસ્તર અને ખનીજ વિભાગના કમિશનર ધવલ પટેલે છોટા ઉદેપુરની છ શાળાઓની મુલાકાત લીધી, તેમાં આદિવાસી વિસ્તારની પાંચ સ્કૂલોના દેખાવે તેમને નિરાશ કર્યા. એની પીડા તેમણે રાજ્યના શિક્ષણ સચિવને લખેલા પત્રમાં ઠાલવી : ‘આ ગરીબ આદિવાસી બાળકો પાસે શિક્ષણ માટે કોઈ વિકલ્પ નથી. એમને આ પ્રકારનું સડેલું શિક્ષણ આપીને આપણે તેમની સાથે અન્યાય કરી રહ્યા છીએ … બાળકો અને વાલીઓ આપણા પર આંધળો વિશ્વાસ મૂકે છે. એમની સાથે આ પ્રકારનું છળ કરવું એ નૈતિક અધ:પતનની પરાકાષ્ઠા છે … આ બાળકો આઠ વર્ષ આપણી સાથે રહે અને તેમને આપણે સરવાળા-બાદબાકી ન શિખવાડી શકીએ તો (એ) આપણી ઘોર અસમર્થતાનું જ દ્યોતક છે.’ પત્રના આ અંશો એમ સૂચવે છે કે આદિવાસી વિદ્યાર્થીઓમાં શિક્ષણ (અપવાદો હશે) કથળેલું છે ને એ દિશામાં થતા પ્રયત્નો અપૂરતા છે. શિક્ષકોમાં જ ઘણી અધૂરપ હોય તો વિદ્યાર્થીઓમાં એ વર્તાય તેમાં નવાઈ નથી. આ વિદ્યાર્થીઓ શિક્ષિત થાય જ નહીં ને મજૂરી કરીને જ જીવન ગુજારે એવો પ્રયત્ન થતો દેખાય છે. આ અંગે શિક્ષણ મંત્રી એક જ રાગ આલાપતા જોવા મળે છે. સવાલ કોઈ પણ હોય, એમનો આવો જવાબ/બચાવ લગભગ નક્કી હોય છે, ‘હકીકતલક્ષી રિપોર્ટ મેળવીશું અને શિક્ષણ સુધારવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે.’

ખરેખર તો આવું કેમ છે એની તળિયાઝાટક તપાસ થવી જોઈએ, પણ આજનું શિક્ષણ કોઈ અધિકારી કે મંત્રીના તુક્કાઓ પર, અધકચરા પ્રયોગો પર ને ગમે ત્યારે U-ટર્ન લેવાની રીતે ચાલે છે. સરકાર પોતે કહે છે કે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કુલ 32,634 શિક્ષકો/આચાર્યોની ઘટ છે. પ્રાથમિક શાળાઓમાં 19,128 ઓરડાઓની અછત છે. આ હકીકત 2020-21માં 927 નવા ઓરડા બન્યા પછીની છે. 14 જિલ્લાઓ એવા છે, જ્યાં એક પણ ઓરડો બન્યો નથી. આદિવાસી જિલ્લાઓની વાત કરીએ તો ડાંગમાં 154, દાહોદમાં 1,688, નર્મદામાં 183, છોટા ઉદેપુરમાં 576, બનાસકાંઠામાં 1,532, વલસાડમાં 759, નવસારીમાં 352, તાપીમાં 162, અરવલ્લીમાં 734 ઓરડાઓની ઘટ છે. 22 શાળાઓ એવી છે, જ્યાં વીજળી જ નથી. સરકાર બોલે તો છે ગુણવત્તાયુક્ત શિક્ષણનું ને શિક્ષકોની ઘટ પૂરવાનું, પણ તે થૂંક ઉરાડવા જેવું જ છે, કારણ આ વાતને છ મહિનાથી વધુનો સમય થયો, પણ શિક્ષકોની 32 હજારથી વધુની ઘટ છે તે છે જ ! આ વર્ષે જ્ઞાનસેતુ પ્રોજેક્ટ મોટે ઉપાડે શરૂ કરવાની વાત સરકારે કરી ને એને રદ્દ પણ કરી. થોડા વખત પછી વળી U ટર્ન લઈને, સ્કૂલને વિકલ્પે જ્ઞાનસેતુ સ્કોલરશિપ યોજના શરૂ થઈ. આવા તો કૈં કૈં એટેકો શિક્ષણ વિભાગને આવતા જ રહે છે ને એ ઠરેલ વિચારણાના અભાવનું પરિણામ છે.

ગુજરાત શિક્ષણ બોર્ડના એક સભ્યે થોડા વખત પર કહેલું કે શિક્ષકો પાસે ભણાવવા સિવાયના બીજા 18 કામો કરાવાય છે. છ મહિના પછી એ કામમાં વધારો થયો છે કે ઘટાડો તેની સ્પષ્ટતા સરકાર કરી શકે એમ છે? શિક્ષકોની ઘટ હોય ને શિક્ષણ સિવાયનાં કામો શિક્ષકો પાસેથી લેવાતાં હોય, કેટલી ય સ્કૂલો એકાદ શિક્ષકથી જ ચાલતી હોય, એક જ ઓરડામાં એકથી વધુ ધોરણના વિદ્યાર્થીઓ ઠાંસેલા હોય, વિદ્યાર્થીઓના અભાવનું કારણ આગળ કરીને શાળાઓનું મર્જર કરાતું જતું હોય, તો સરકાર એ કહી શકે એમ છે કે ગુણવત્તાયુક્ત શિક્ષણ કઇ રીતે ને ક્યારે અપાય? કેવળ અરાજકતા એ જ શાલેય શિક્ષણનું લક્ષણ છે. કેટલી ય સ્કૂલો બંધ થઈ છે એ સ્થિતિમાં આદિવાસી બાળકોને દૂરની સ્કૂલે મોકલવાને બદલે, તેનાં વાલીઓ તેને ખેતરે કે બીજે મજૂરી કરવા મોકલી દે, તો આદિવાસી બાળકો શિક્ષિત થશે એવું સરકારને કઈ રીતે લાગે છે?

એવું નથી કે આદિવાસી વિદ્યાર્થીઓ માટે સરકારે કૈં વિચાર્યું નથી. વિચાર્યું છે ને ઘણું વિચાર્યું છે, પણ અમલમાં અલ્લાયો હોય તો વિચાર, પ્રચારથી આગળ ન જાય તે સમજી લેવાનું રહે. એક અખબારનાં તાજાં સંશોધન મુજબ આદિજાતિ શિક્ષણ માટે વર્ષે આશરે 221 કરોડની ગ્રાન્ટ વપરાય છે. ગુજરાતમાં 14 જિલ્લાઓમાં આદિવાસી વસ્તી ઠીક ઠીક પ્રમાણમાં છે. આ વિસ્તારોમાં 33 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલો અને 42 કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ તથા 13 મોડેલ સ્કૂલો મળીને કુલ 29 હજાર વિદ્યાર્થીઓ ભણે છે. એમને માટે 221 કરોડ ગ્રાન્ટના ખર્ચાતા હોય તો વિદ્યાર્થી દીઠ 70,000થી વધુ રકમ ખર્ચાતી હશે એવો અંદાજ સહેજે મૂકી શકાય. આ સ્થિતિ હોય તો વિદ્યાર્થી બાદશાહીથી ભણતો હશે એમ લાગે, પણ હકીકત એ છે કે વિદ્યાર્થી બાદશાહીનો નહીં, બદશાહીનો શિકાર છે. રોકડી વાસ્તવિકતા એ છે કે ચૌદેક હજાર વિદ્યાર્થીઓને સ્ટડી ટેબલ જ નથી. રેસિડેન્શિયલ સ્કૂલોમાં 2,500 વિદ્યાર્થીઓને સૂવા માટે પલંગ નથી. રકમ ફાળવાઈ હોવા છતાં વિદ્યાર્થીઓ ભૌતિક સગવડોથી વંચિત છે. આદિજાતિ શાળાઓ રાજ્યમાં 102 છે, તેમાંની 88 શાળાઓ ગુજરાત રાજ્ય ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત છે. એમાંની 44 શાળાઓમાં સ્ટડી ટેબલ, પલંગ, ખુરશી સાથે એટેચ્ડ ડાઈનિંગ ટેબલ, ત્રણ વિદ્યાર્થીઓ બેસી શકે એવી પાટલી, પર્સનલ લૉકર જેવી વસ્તુઓની દોઢેક વર્ષથી માંગણી સંચાલકો દ્વારા મૂકવામાં આવી છે, પણ આદિજાતિ વિકાસ વિભાગની ઊંઘ ઊડતી નથી ને સખત ઠંડીના દિવસોમાં વિદ્યાર્થીઓએ જમીન પર બેસીને ભણવું ને જમવું પડે છે. સીધી વાત એટલી છે કે જેટલો ખર્ચ બતાવાઈ રહ્યો છે, એટલી સગવડ વિદ્યાર્થીઓને મળતી નથી. ગ્રાન્ટ ફાળવાઈ હોય ને સગવડ વિદ્યાર્થીઓ સુધી પહોંચતી જ ન હોય, તો એ રકમ ક્યાં અને શેમાં વપરાય છે એનો ખુલાસો થવો ઘટે.

આદિજાતિ વિભાગના કેબિનેટ મંત્રી કુબેર ડિંડોર સાહેબ રિપોર્ટ મેળવવાના ને શિક્ષણ સુધારવાના મણકા ફેરવ્યા કરે છે, પણ તેમના જ જિલ્લાની GLRS ખેરવા અને મોડેલ સ્કૂલ સંતરામપુરમાં વિદ્યાર્થીઓને ભણવા, જમવા માટે ટેબલો નથી, લૉકર કે પાટલીઓ નથી. આ શાળાના સંચાલકોએ લાંબા સમયથી આ જરૂરિયાત માટે રજૂઆત કરી છે. આદિજાતિ વિકાસ માટે રાજ્યને કેન્દ્ર તરફથી વિશેષ ગ્રાન્ટ મળે છે, છતાં આદિવાસી વિદ્યાર્થીઓની જરૂરિયાતો, પૂરી ન થતી હોય તો એ રકમ ક્યાં વપરાય છે તેની તપાસ થવી જોઈએ. આ રકમનું શું થતું હશે તેની કલ્પના કરવાનું બહુ અઘરું નથી. સવાલ તો એ પણ છે કે આ બધાંનું ઓડિટ થાય છે કે કેમ?

આદિજાતિ વિસ્તારના બાળકો માટે શુભ આશયથી ગુજરાતના મુખ્ય મંત્રી અને વડા પ્રધાને રેસિડેન્શિયલ સ્કૂલો શરૂ કરાવી, પણ હાલત એવી છે કે ટેબલ, ખુરશી, પલંગ, ઓઢવા-પાથરવાની પૂરતી સુવિધા વગર વિદ્યાર્થીઓએ ઠંડીમાં, જમીનને જ પથારી કે પાથરણું માનીને મન મનાવવું પડે છે. કોને લીધે વિદ્યાર્થીઓને આ વેઠવાનું આવે છે તે અકળ છે. જરૂરી સાધનો માટે ગ્રાન્ટ વપરાતી હોય ને સાધનોના અભાવમાં વિદ્યાર્થીઓએ, મુશ્કેલીઓ વચ્ચે જ રહેવું પડતું હોય તો કોની હોજરી આ વિદ્યાર્થીઓનું પેટ કાપીને ભરાય છે તેની તપાસ થવી ઘટે. આ મામલે આદિજાતિ વિકાસ વિભાગના અગ્ર સચિવ કહે છે કે બાળકો સુવિધાથી વંચિત, તંત્રની ખામીને કારણે રહ્યાં છે. એમના કહેવા મુજબ વિભાગે ફર્નિચર ખરીદવાની કોશિશ કરી હતી, પણ સફળતા મળી ન હતી, એટલે ફરી સેન્ટ્રલી ખરીદવાની કોશિશો થઈ છે. જિલ્લા સ્તરે ભાવો આવ્યા છે, પણ તે વધારે છે એટલે નેગોશિએશન ચાલી રહ્યું છે. એ ક્યારે પૂરું થશે તે તો સાહેબે કહ્યું નથી, પણ જે ચાલે છે એમાં અક્ષમ્ય ઢીલાશથી વધારે કૈં નથી. જો દોઢેક વર્ષથી માંગણી થઈ હોય ને હજી નેગોશિએશન જ ચાલ્યા કરતું હોય તો તે બરાબર નથી.

– તો, આદિજાતિ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કહે છે કે તેમણે જિલ્લાની વિવિધ 17 શાળાઓની મુલાકાત લીધી ને ગાદલાં, ચાદરો બદલવાની સૂચના આપી છે. એમણે જ કહ્યું છે કે બાળકો સુવિધાથી વંચિત ન રહે એ જોવાની જવાબદારી અમારી છે. તેમણે એ પણ કહ્યું કે તેઓ તબક્કાવાર સુધારો લાવવા માંગે છે. આ શાળાઓને અત્યાધુનિક લાઇબ્રેરી અને કોમ્પ્યુટર લેબથી સજ્જ કરવાનું પણ મંત્રીશ્રીએ કહ્યું છે. સાહેબની આવી વાતોથી હસવું આવે છે. તેમણે તબક્કાવાર સુધારો કરવાનું કહ્યું છે, પણ બગાડો તબક્કાવાર થયો હોય તો સુધારો તબક્કાવાર થાય, પણ આખું કોળું જ દાળમાં ગયું હોય ત્યારે તબક્કા ક્યાંથી ને કેવી  રીતે નક્કી કરવા એ પ્રશ્ન જ છે. એમના કહેવા મુજબ સુવિધાઓ આપવાની જવાબદારી તેમની હોય તો, સંચાલકોએ દોઢ વર્ષથી માંગણીઓ મૂકી છે, એ પૂરી થવામાં વિલંબ કેમ થાય છે? નવી શિક્ષણ નીતિ 2020થી લાગુ થઈ છે. 2023થી કોમ્પ્યુટર એક વિષય તરીકે તમામ વર્ગોમાં ઉમેરવામાં આવ્યો છે. આદિજાતિ વર્ગની વાત જવા દઇએ તો પણ, રાજ્યની 19,639 પ્રાથમિક શાળાઓમાંથી 13,924 શાળાઓમાં કોમ્પ્યુટર લેબ જ નથી કે નથી અલગથી કોમ્પ્યુટરનો શિક્ષક ! માર્ચથી પરીક્ષાઓ થવાની હોય તો વિદ્યાર્થીઓએ શું ભણીને, શેની પરીક્ષા આપવાની છે, તે ડિસેમ્બર પૂરો થવા આવ્યો છતાં નક્કી નથી ને મંત્રીશ્રી હજી તો કોમ્પ્યુટર લેબથી સ્કૂલો સજ્જ કરવાની વાત કરે છે. ટૂંકમાં, વાત જ ચાલ્યા કરે છે. આમ થશે ને તેમ થશે વગેરે … તેમને પૂછવાનું થાય – ‘અરે ! એ તે ક્યારે? ભસમ સહુ થૈ જાય પછીથી?’

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 25 ડિસેમ્બર 2023

Loading

સમન્સ

અરૉરા લૅવીન્સ મૉરાલિસ [અનુવાદઃ રૂપાલી બર્ક]|Poetry|25 December 2023

ગઈ રાત્રે સ્વપ્નમાં જોયું

પૃથ્વીના બારસો ખૂણેથી

દસ હજાર દાદીઓ

આવી પહોંચી 

બુલૅટ અને માંસ વચ્ચેની

બોંબ અને કુટુંબ વચ્ચેની

એક શ્વાસ ઊંડી જગામાં.

સરકારો માટે રાહ જોવી વ્યર્થ છે, એમણે કહ્યું

શાંતિ સ્થાપનારા વિમાન વાટે આવવાના નથી

પ્રત્યેક જિંદગી અમૂલ્ય છે, માટે અમે આગળ ઊભા રહીશું

એવું કહેનારા આગેવાનો ક્યાં છે?

પ્રત્યેક હૃદયને અમે હથેળીઓ વચ્ચે સાચવીશું, દાદીઓ બોલી

ધરતીનાં, પાણીનાં ગીતો ગાઈશું

એવું સુંદર ગીત કે વેર બદલાઈ જશે વિલાપમાં 

શોકાતુર બધાં એકમેકને બાથ ભરશે

અને હાનિ ભણીની દરેક વૃત્તિ શોકમાં ફેરવાશે.

દસ હજાર પૂરતા નથી

એટલે અમે મોકલ્યું છે આ સ્વપ્ન

પારેવાનાં ટોળાં માફક

પૃથવીની ઊંઘમાં.

જાગો. પગરખાં પહેરી લો.

હું મલમપટ્ટા લઈને આવું છું

સાથે મારી વાડીનાં સુગંધીદાર  જામફળ ભરેલી થેલી પણ

કદાચ મને એ ધૂન યાદ છે

મળો પેલે ખૂણે 

ચાલો જઈએ.

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

...102030...849850851852...860870880...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved