Opinion Magazine
Number of visits: 9666144
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટૅક ટ્રેન્ડ્ઝ 2023થી 2024 : ડિજીટલ સેવાઓની સરળતા સાથે છેતરપીંડીની શક્યતાઓ અનિવાર્ય અનિષ્ટ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|31 December 2023

વળી ટેક્નોલૉજીએ આણેલા ફેરફારમાં ટ્વિટરની ઊડી ગયેલી ચકલી હવે એક્સ થઇને બેઠી છે. તો ગેમિંગની દુનિયામાં મિક્સ્ડ રિયાલિટીની બોલબાલા છે. સ્કૂલમાં કોડિંગ શીખવાડવામાં હવે કંઇ નવું નથી રહ્યું. ઓટોમેશન, રોબોટિક્સ, ડ્રાઇવર લેસ કાર્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ વગેરે બધું જ બદલાતી ટેક્નોલૉજીની ભેટ છે.    

ચિરંતના ભટ્ટ

2023નો આજે છેલ્લો દિવસ. આ વર્ષ હાંફતું, હંફાવતું એના અંત સુધી પહોંચી ગયું. આ વર્ષમાં વિવિધ સ્તરે જાત-ભાતની ઘટનાઓ થઇ, પણ ટૅક્નોલૉજીના ફલક પર જેટલાં પરિવર્તનો, સંશોધનો અને પરિણામ જોયાં એ કદાચ આ પહેલાં એક સાથે એક જ વર્ષમાં થયાં હોય એવું ક્યારે ય નથી થયું. ડિજીટલ વિશ્વમાં સામાન્યમાં સામાન્ય માણસે પણ પ્રવેશ કરી લીધો છે અને તેના ઉપયોગની સરળતાએ ધૂતારાઓને પણ મોકળું મેદાન આપ્યું છે. 2023માં સૌથી પહેલાં તો AI – આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સે આપણા બધાની રોજિંદી જિંદગીમાં પગ પેસારો કર્યો અને પછી તેનાં કારમાં પરિણામો પણ દેખા દેવા માંડ્યાં. ડીપ ફેક વીડિયોએ ગામ ગજવ્યું. આ ડિપ ફેકની ચુંગાંલમાં રશ્મિકા મંદાના, આલિયા ભટ્ટથી માંડીને ભલભલાનું નામ ભેરવાયું. ડીપ ફેકને કારણે એટલી હો-હા થઇ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, કેન્દ્રીય સ્તરે AIના ‘ડાર્ક આસ્પેક્ટ્સ’ સામે પગલાં લેવાય એ દિશામાં અને તેનાથી સાવચેત રહેવાની વાત પર ભાર મૂક્યો. આજે એવા ટેક ટ્રેન્ડ્ઝની ચર્ચા કરીએ જે આ વિતેલા વર્ષમાં ગાજ્યા અને એવી બાબતો પર પણ નજર કરીએ જે ટેક્નોલૉજીની દુનિયામાં પોતાની પકડ મજબૂત કરે તેવી શક્યતા છે.

AI – એ.આઇ. સાંભળીને હવે અજુગતું નથી લાગતું અને એક સમયે માત્ર કલ્પના લાગતી બાબતો આજે વાસ્તવિકતા બની ચૂકી છે. A.I. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ – નામે સ્ટીવન સ્પિલબર્ગે 2001માં એક ફિલ્મ બનાવી હતી જે ખાસ્સી ચર્ચાઇ હતી. આજે એ ફિલ્મમાં જે હતું તેના કરતાં કંઇકગણું વધારે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રે થઇ ચૂક્યું છે. આજે ઓપનAI, ચેટ-જી.પી.ટી. કદાચ કામ કરનાર દરેક વ્યક્તિ કે પ્રોજેક્ટ લખવા બેઠેલા દરેક વિદ્યાર્થીના લેપટોપ પર ચાલુ રહેતી વિન્ડો હશે. અંગ્રેજી લખાણનું વ્યાકરણ તપાસવાનું હોય કે કોઇ બીજી માહિતીને જરા અલગ રીતે લખવાની હોય ચેટ-જી.પી.ટી. હાથ વગું હોય એટલે લોકો નાની મોટી ચિવટ અને તસ્દી લેવાનું જાણે ટાળવા લાગ્યા છે. જો કે એમ કરવામાં જોખમ તો ખરું કારણ કે તમે ચોકસાઇથી કામ નથી કર્યું એ પારખુ નજરને તો ખબર પડી જ જવાની છે. આમ તો ચેટ-જી.પી.ટી.એ પ્રવેશ કરીને પોતાનું સ્થાન બનાવ્યું તેને લગભગ બે વર્ષ થઇ ગયાં, પણ આ વર્ષે તેનો ઉપયોગ થાય છે એ સ્વીકારવામાં લોકોને કંઇ વાંધાજનક નથી લાગતું. વળી કેબ સર્વિસ કંપની ઓલાએ એક નવું AI આધારિત ટૂલ જનરેટ કર્યું કૃત્રિમ જે દસ ભારતીય ભાષામાં પરિણામ આપે છે. હૉસ્પિટલ્સમાં પણ AI આધારિત સેવાઓ પર કામ ચાલુ થઇ ગયું છે જેથી દર્દીની મેડિકલ હિસ્ટ્રી જોઇને તેને કયા મેડિકલ પ્રશ્નો ખડા થઇ શકે છે તેની સ્પષ્ટતા પહેલેથી જ થઇ જાય. વળી AI જનરેટેડે આસિસ્ટન્ટ તમારું કન્સલ્ટેશન કરીને નિદાન આપે એવા દિવસો જરા ય દૂર નથી. જરૂર વગર ડૉક્ટરનું મ્હોં નહીં જોવું પડે એવું પણ આપણે ત્યાં થાય એમ બને.

ડીપ ફેકની વાત તો આપણે પહેલાં પણ કરી અને કઇ રીતે જાણીતા ચહેરાઓનો ઉપયોગ કરીને બેહુદા વીડિયોઝ વાઇરલ કરાયા તેના સમાચારથી આપણે વાકેફ છીએ. વળી AIની મદદ લઇને લોકો અવાજની પણ આબેહૂબ નકલ કરી શકે છે. શાહરૂખ ખાનનો કોઇ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમની વાત કરતો વીડિયો હતો જેમાં તેના અવાજને AIથી બનાવી તેને મોંઢે એવી વાત કહેવડાવાઇ હતી જે તેણે ક્યારે ય કહી જ નહોતી. અળવીતરાઓ AIની મદદ લઇને ફાટીને ધૂમાડે ગયા છે અને વધુ આવા કૌભાંડો થશે જ એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. વળી AIની મદદ સારાં કામ માટે તો લેવાતી જ હોય છે. તાજેતરમાં જ વિદેશમાં એક વ્યક્તિને AIની મદદથી તેના મૃત પિતાના અવાજમાં સંદેશો મેળવવાનું નસીબમાં થયું – તેને માટે આ કેટલી લાગણીશીલ ક્ષણ હશે, તેની તો કલ્પના માત્ર જ કરવી રહી. AIએ આ વર્ષે સેન્ટર સ્ટેજ લીધું છે અને આગલાં વર્ષોમાં તેનો રોલ મોટો ને મોટો થતો જવાનો છે એ ચોક્કસ.

ટેક્નોલૉજીના વધતા ઉપયોગને મામલે છેતરપીંડી કરનારાઓ પણ એટલા જ આગળ પડતા છે. વૉટ્સએપ – જે હવે તો આપણી રોજિંદી વાતચીતનો એક અવિભાજ્ચ હિસ્સો છે – તેનાથી થતી ચોરીના કિસ્સા પણ 2023માં ખૂબ વધ્યા. વૉટ્સએપ પર એવો મેસેજ આવે કે – તમે લાઇટનું બિલ નથી ભર્યું અને જો આજે સાંજ સુધીમાં નહીં ભરો તો તમારા ઘરની બત્તી ગૂલ થઇ જશે, અથવા તો શું તમે ઇન્ટરનેશનલ કંપની માટે કામ કરવા માગો છો? તમે અમારે માટે રિવ્યૂઝ લખીને દિવસના 3,000 કમાઇ શકશો, એ પણ ઘેર બેઠાં, વગેરે વગેરે. ફેસબૂકે વૉટ્સએપ ખરીદી લઇને તેના કમર્શ્યલાઇઝેશનની શરૂઆત કરી ત્યારે એ નક્કી હતું કે સ્કેમ્સર્સ પાસે લોકોનો અંગત ડેટા જશે જ અને તેનો ખોટો ઉપયોગ થવાનો જ છે. બેરોજગારી હોય ત્યારે ‘ઇઝી મની’ કોને ન જોઇતા હોય અને એમાં ધુતારાઓને મજા પડી ગઇ અને પછી શરૂ થયા વૉટ્સએપ કૌભાંડ. આંતરરાષ્ટ્રીય કે લોકલ નંબરથી આવતા મેસેજિઝ પર કોઇ એક કામ સોંપવામાં આવે અને પછી પૈસાની લેવડ-દેવડે વાત પહોંચે ત્યારે નાના ટ્રાન્ઝેક્શન પછી અચાનક જ ખાતામાંથી લાખો રૂપિયા ચાંઉ થઇ ગયા હોવા ઘણા કિસ્સા આપણે ત્યાં બન્યા છે.

ક્યૂ.આર. કોડનો ઉપયોગ એવો વધ્યો છે કે આપણે પાકિટ લીધા વગર બહાર જતા રહીએ છીએ કારણ કે સ્કેન કરીને પૈસા તો ચૂકવી દેવાશે તેવી આપણને ખાતરી હોય છે. પણ તાજેતરમાં જ બેંગાલૂરુમાં એક 30 વર્ષના પ્રાધ્યાપકે જ્યારે પોતાનું વૉશિંગ મશિન વેચવા કાઢ્યું ત્યારે ખરીદી કરનારે તેમની પાસે ક્યૂ.આર .કોડ માગ્યો જેથી સ્કેન કરીને પૈસા ટ્રાન્સફર થઇ શકે. પણ જેવો ક્યૂ. આર. કોડ આપ્યો ત્યાં તો ગણતરીની મિનિટોમાં પ્રોફેસરના ખાતામાંથી 63,000 રૂપિયા ગાયબ થઇ ગયા. છેલ્લા કેટલાક મહિનામાં ક્યૂ.આર. કોડથી થતી છેતરપીંડીના ઘણા બનાવો બન્યા. પહેલાં ઓ.ટી.પી. આપવાની વાતે આ થતું હતું અને હવે ક્યૂ.આર. કોડ સ્કેન કરાવીને પૈસા ચોરી કરાય છે. ડિજીટલ ભારત માટે પડકારો પણ એટલા જ મોટાં છે.

વળી ડિજીટલ ઇન્ડિયામાં ડેટિંગ પણ ડિજીટલી થવા માંડ્યું. પ્રેમમાં છેતરાવ નહીં એમ તો બને નહીં પણ ડેટિંગ એપના જમાનામાં એપ્સ દ્વારા છેતરાયા હોય એવા બે તૃતિયાંશ ભારતીયો છે. નેટફ્લિક્સ પર એક ડૉક્યુમેન્ટરી છે ‘ટિંડર સ્વિન્ડલર’ – ટિંડર એપ પર છોકરીઓને મળી એમના પૈસે તાગડધિન્ના કરનારા એક બહુ દેખાવડા પણ મહા ઠગ કહી શકાય એવા છોકરા વિષે તેમાં વાત કરાઇ છે. ભારતમાં તો ગુરુગ્રામમાં અનેક છોકરીઓએ ડેટિંગ એપનો ઉપોયગ કરીને ડઝનેક છોકરાઓને લૂંટી લીધાના સમાચાર ગાજ્યા હતા.

વળી ટેક્નોલૉજીએ આણેલા ફેરફારમાં ટ્વિટરની ઊડી ગયેલી ચકલી હવે એક્સ થઇને બેઠી છે. તો ગેમિંગની દુનિયામાં મિક્સ્ડ રિયાલિટીની બોલબાલા છે. સ્કૂલમાં કોડિંગ શીખવાડવામાં હવે કંઇ નવું નથી રહ્યું. ઓટોમેશન, રોબોટિક્સ, ડ્રાઇવર લેસ કાર્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ વગેરે બધું જ બદલાતી ટેક્નોલૉજીની ભેટ છે. 2024માં ડેટા માઇનિંગનું મહત્ત્વ હજુ વધશે, વર્કસ્પેસ વધારેને વધારે ડિજીટલ બનશે.

સરળતાને હળવાશથી લેવાની ભૂલ કરી તો આપણી જિંદગી ચલાવનારી ટેક્નોલૉજી આપણી પર જ રાજ કરવા માંડે એવું થઇ જ શકે છે. સાઇબર અટેક્સ, સાઇબર વૉરફેર વધુને વધુ સલુકાઇ ભર્યા બનતા જશે અને પ્રગતિ તરફ દોડતી દુનિયામાં યુદ્ધ દ્વારા પોતાની સત્તા સિદ્ધ કરનારાઓ ઓછા નથી અને આમ કરવા માટે પણ ટેક્નોલૉજીનો ઉપયોગ વધુને વધુ વિસ્તરતો જશે.

બાય ધી વેઃ

એક સમયે અંગ્રેજી ફિલ્મોમાં જોવા મળતી બાબતો આજે વાસ્તવિક્તા બની છે. સરળતા અને સવલત સાથેનાં જોખમ નાનાં નથી. આપણે આધુનિકીકરણ તરફ હરણફાળ ભરતા હોઇએ ત્યારે સાવચેતીનું પ્રમાણ પણ વધારતા જઇએ એ જરૂરી છે. હૉલીવૂડમાં એવી ફિલ્મો બની છે જ્યાં ટેક્નોલૉજી જ્યારે હાવી થાય ત્યારે શું થઇ શકે તેની વાસ્તવિકતા દર્શાવી છે. ‘હર’, ‘મ્યૂટ’, ‘તાઉ’, ‘મૂન’, ‘નર્વ’, ‘કૅમ’, ‘રેડી પ્લેયર ઓન’, ‘ઇન્સેપ્શન’, ‘એક્ઝિટન્સ’, ‘આફ્ટર યાંગ’ વગેરે એવી ફિલ્મો છે જેમાં વિજ્ઞાન અને ટેક્નોલૉજી કઇ હદે જઇ શકે છે તેની વાર્તાઓ કહેવાઇ છે. નેટફ્લિક્સ પર બ્લેક મિરર નામની સિરીઝ ડિજીટલ એજના એટલા બધા પાસાંઓ પર પ્રકાશ પાડે છે કે તેના એપિસોડ્સ જોયા પછી થોડો સમય માટે મગજને શાંત કરવું પડે. જે સ્ક્રીન પર છે તે રિયલ લાઇફમાં પણ આવી શકે છે અને તે ક્યાંક કોઇને વિચાર આવ્યો હશે ત્યારે સ્ક્રીન પર આવ્યું હશે એ સમજ મગજમાં રાખીને ટેક્નોલૉજીનો ઉપયોગ કરવો રહ્યો. ટેક્નોલૉજીના ઉપયોગથી કશું પણ શક્ય છે એ સ્વીકારવું રહ્યું. માણસના જન્મથી માંડીને મૃત્યુ પછી તેને જીવતો રાખવામાં ટેક્નોલૉજી પોતાનો રોલ ભજવશે, ખાધા વિના ભરાયેલાં પેટ અને સંગાથ વિના કરાયેલી વાતો પણ ટેક્નોલૉજીનું સત્ય છે. આવા સંજોગોમાં માણસાઇ અને માણસ સાથેની કડી જળવાશે તો AI જનરેટેડ થેરાપિસ્ટની જરૂર ઓછી પડશે એ ચોક્કસ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 31 ડિસેમ્બર 2023

Loading

ઇંગ્લેન્ડમાં ગુજરાતી સાહિત્યનાં ચાળીસ વર્ષ

સંજય સ્વાતિ ભાવે|Diaspora - Reviews|31 December 2023

પુસ્તક પરિચય

‘ચાળીસીએ ઓચ્છવ’ મુખપૃષ્ઠ

‘ચાળીસીએ ઓચ્છવ’ એ વક્તવ્ય-સંચયનું લાંબું પેટામથાળું તેનો વિષય સ્પષ્ટ કરે છે – ‘યુનાઈટેડ કિંગ્ડમમાં ચાળીસ વર્ષમાં રચાયેલાં વિવિધ ગુજરાતી સાહિત્ય સ્વરૂપોનાં લેખાંજોખાં’. પુસ્તક 16 ઑગસ્ટ 2018ના રોજ, ઇંગ્લેન્ડની ગુજરાતી સાહિત્ય અકાદમીએ યોજેલા પરિસંવાદમાં અભ્યાસીઓએ રજૂ કરેલાં વક્તવ્યો પરથી બન્યું છે.

તેમાં માતૃભાષા માટે વસાહતીઓની આસ્થા અને 12 ફેબ્રુઆરી 1977 સ્થપાયેલી અકાદમીની કાર્યનિષ્ઠા પ્રગટે છે. વક્તવ્યોમાં સાહિત્યની સમજ, વિષય માટેની સજ્જતા અને સંભવત: મર્યાદિત સામગ્રી છતાં પણ ખાંખતથી કરેલો સ્વાધ્યાય દેખાય છે. કેતન રૂપેરાનું આ સવાસો પાનાંનું સંપાદન વ્યાખ્યાનો પર આધારિત પુસ્તક કેવું અભ્યાસપૂર્ણ અને સંયત રીતે આકર્ષક બનાવી શકાય તેનો એક નમૂનો છે.

‘બ્રિટનની ગુજરાતી કવિતા’ પરના વક્તવ્યમાં અકાદમીના મહામંત્રી કવિ પંચમ શુક્લ ગઈ અરધી સદીમાં દેશના અનેક શહેરોમાં કાવ્યક્ષેત્રે સક્રિય વિવિધ જૂથો વિશે શહેરોનાં નામ સાથે માહિતી આપે છે. ‘અકાદમીએ જાતજાતની રીતે કાવ્ય સાથે પોતાનાં મૂળિયાં જોડી રાખ્યાં’ તેની વિગતો પંચમ ટૂંકમાં આપે છે.

‘મહત્ત્વના અંગ’ તરીકે ‘મુશાયરા’ની નોંધ લીધા પછી પ્રમુખ કવિઓ અને કૃતિઓના ઉલ્લેખો મળે છે. વિસ્તાર અને કવિતાના જ છંદ સાથેના જોડાણની માહિતી રસપ્રદ બને છે. સામયિકો અને કાવ્યવિષયોની વાત આવે છે. નોંધપાત્ર નિરીક્ષણોમાં એક છે : ‘ગુજલીશ’ નામાભિધાન ધરાવતી આંગ્લ-ગુજરાતીમાં ‘સંકર-4 બ્રાન્ડને ગઝલો લખાય છે. તેમાં બ્રિજરાતી સેન્સિબિલિટી છે.’

શાળાકાળથી કથાસાહિત્ય લખનાર વલ્લભ નાંઢા ‘નવલકથા જેવા સાહિત્યસ્વરૂપનું ખેડાણ ઓછું થયું છે’ એમ જણાવીને આ સ્વરૂપનો 1984થી લઈને સુરેખ આલેખ આપે છે. તેમની દૃષ્ટિએ ‘ચર્ચાક્ષમ નવલકથાઓ’નો ‘આંકડો પંદર-સત્તરથી માંડ આગળ વધે’. તેમાંથી સાત નવલકથાઓની તેમણે વિગતે સમીક્ષા કરી છે જેમાં તેમની પોતાની ‘કાળજે કોતરાયેલી પીડા’ આવી જાય છે. પાંચેક કૃતિઓ વિશે ટૂંકી નોંધ મળે છે. નવલકથાકારોમાં ‘ફાવટ આવી નથી’ અને ‘તેમની સૂઝ  કેળવાઈ નથી’ એવી નુકતેચીની પણ વલ્લભભાઈ કરે છે.

તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા વાર્તાકાર અનિલ વ્યાસ સાઠ ઉપરાંતના લેખકોને સમાવતાં પાંચ વાર્તાસંગ્રહોને આધારે સરવૈયું રજૂ કરે છે. તેમાં તે દસેક કર્તાઓ અને તેમની નોંધપાત્ર કૃતિઓ  તપાસે છે. ત્યાર બાદ તેઓ બે નિરીક્ષણો આપે છે – ભારતના સર્જકો વિવેચકો દ્વારા ડાયાસ્પોરાની નવલિકાઓની ઉપેક્ષા અને વસાહતી સર્જકના કૌટુંબિક-સંઘર્ષને ચાતરીને થતું તેના લેખનનું મૂલ્યાંકન. વાર્તાકારો માટે તેમના બે રચનાત્મક સૂચનો છે : ‘Healthy વતનઝૂરાપો’ અને ‘વર્તમાન સાહિત્ય સાથેનો સંપર્ક’.

આત્મકથા સાહિત્ય પરના વક્તવ્યમાં વ્યવસાયે તબીબ કૃષ્ણકાન્ત બૂચ ત્રણ પુસ્તકોનો વાચનીય પરિચય આપે છે. ‘આલીપોરથી OBE-આપવીતી’ના લેખક ‘અદ્દભુત વ્યક્તિ અહમદ લુણાત ‘ગુલ’ છે. નવસારી જિલ્લાના અલિપોરથી 1963માં બ્રિટન આવેલા અહમદભાઈને સમાજસેવાના કામ માટે Order of the British Empire(OBE)થી સન્માનિત છે.

રમણભાઈ પટેલના પુસ્તક ‘મારા અબ્રામાનું મીઠું ઝરણું’ નામે છે. તેમણે વિલાયતમાં ગુજરાતી ભાષાના શિક્ષકની નોકરી ઉપરાંત ‘અનેક જ્ગ્યાએ ઠેબાં ખાધાં’ તેનું બયાન છે. ઊંચા ગજાની વ્યક્તિ’ દીપક બરડોલીકરની આત્મકથા બે ભાગમાં છે – ‘ઉછાળાં ખાય છે પાણી’ અને ‘સાંકળોનો સિતમ’. આ પુસ્તકોની વાત ‘ટૂંકાણમાં થઈ શકે તેમ નથી’ એમ કૃષ્ણકાન્તભાઈએ કહ્યું હોય તો પણ તેમણે લેખકના ઘટનાપૂર્ણ જીવનની પ્રતીતિજનક ઝલક તેઓ આપી શક્યા છે.

નાટકનાં સરવૈયામાં વ્યવસાયે ગ્રંથપાલ અને દુકાનદાર વ્યોમેશ જોશી ત્રણ તબક્કાની છણાવટ તે દરમિયાન થયેલાં નોંધપાત્ર નાટકોનાં મીતાક્ષરી સ્મરણો સાથે કરે છે. તે લખે છે : ‘પહેલો તબક્કો 1960-80, પછી બીજો 80-90 અને ત્રીજો 90 પછીની નવી સદી સુધીનો. ’પહેલા તબક્કાનો તખ્તો રમેશ પટેલે સ્થાપેલા ‘નવકલા કેન્દ્ર’ને કારણે વિકસ્યો.

તેના પછીના દોરમાં ‘બધાં  કૉમર્શિયલ નાટકો’ આવ્યાં. ત્યાર બાદ નટુ પટેલ ઉર્ફે ‘નટુભાઈ નાટકિયા’ ફેડરેશન ઑફ પાટીદાર’ અને મંચનકલાઓ માટે એન.સી. અકાદમી સ્થાપી, જેના નેજા હેઠળ ‘જુદાં જ સ્તરનાં નાટકો આવ્યાં’. નટુભાઈનાં સમજ, નિસબત અને મહેનતપૂર્વકના રંગકર્મ વ્યોમેશ વિશેષ આદરથી લખે છે. વ્યોમેશના મતે ‘એના પછીનો દોર’ થોડો થોડો મંદ થતો  જાય છે, અને પછી હવેનું તો તમે પેપરમાં વાંચતા જ હશો.’ વ્યાખ્યાનના રેકૉર્ડિંગમાં જે પ્રશ્નોત્તરી છે તે પણ સંપાદકે સમાવી છે.

શિક્ષિકા આશાબહેન બૂચ એટલે ‘ગુજરાતી ડાયસ્પોરિક સમાજનું એક વડેરું નામ’. તેમણે ‘પાંચ શ્રેણીના નિબંધો’નું સરવૈયું આપ્યું છે – ‘વિચારપ્રધાન નિબંધો, ચરિત્રચિત્રણ, પ્રવાસવર્ણનો, અહેવાલ અને માહિતીપ્રદ નિબંધો’. તેમણે જે પ્રમુખ નિબંધકારોના લેખનનો પરિચય આપ્યો છે તેમાં બળવંત નાયક, વિપુલ કલ્યાણી, અમૃત દેસાઈ, દીપક બારડોલીકર, વલ્લભ નાંઢા અને ઇમ્તિઆઝ પટેલનો સમાવેશ થાય છે. ‘ઓપિનિયનના અંકોની પટારી ખોલીએ તો અનેક નિબંધો હાથમાં આવે’ એમ કહીને આશાબહેને વિવિધ વિષય અને નિબંધકારોનો ઉલ્લેખ કર્યો છે.

‘અકાદમી દ્વારા ચાલેલાં ભાષાશિક્ષણ પ્રકલ્પ’ એ સંસ્થાનું અત્યંત મહત્ત્વનું પ્રદાન. તેના વિશે ‘વિલાયતમાંના એક ઉત્તમ ગુજરાતી શિક્ષક’ વિજયાબહેન ભંડેરીએ વાત કરી છે. તેમાં અકાદમીએ સાતત્યપૂર્વક હાથ ધરેલી અભ્યાસક્રમો, પાઠ્યપુસ્તકો પરીક્ષાઓ અને શિક્ષક તાલીમ શિબિરો અંગે રસપ્રદ માહિતી આપી છે.

‘ઉત્તર વિલાયતની ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ અને તેમની પ્રવૃત્તિઓ’ વિશેનું વક્તવ્ય વિલાયતના એક ઊંચેરા શહેરી’ અહમદભાઈ લુણત ‘ગુલ’ દ્વારા અપાયું. તેનો મુખ્ય હિસ્સો યૉર્કશાયરના બાટલી (Batley) નગરની સાહિત્યિક પ્રવૃત્તિઓનો 1971થી લઈને અત્યાર સુધીનો આલેખ આપે છે.

વ્યવસાયે ગ્રંથપાલ એવાં લેખક, અનુવાદક અને ગાયક ભદ્રાબહેન વડગામા બ્રિટનમાં ગુજરાતી સુગમ સંગીતના ચાર દાયકાની ઝાંખી આપે છે. સહુ પ્રથમ તેઓ ચંદુ મટાણીને ‘બ્રિટનના પુરુષોત્તમ ઉપાધ્યાય’ તરીકે બિરદાવીને શ્રુતિ આર્ટ્સ’ સંસ્થા થકી તેમણે કરેલી પ્રવૃત્તિઓને યાદ કરે છે. અકાદમીએ પણ મહત્ત્વના ફાળા તરીકે યોજેલા માતબર કલાકારોના કાર્યક્રમોનો તે ઉલ્લેખ કરે છે.

નવરાત્રીના ગરબા અને સંપ્રદાયોના સંત્સંગમાં ‘ભજનોની લ્હાણ’ને ભદ્રાબહેન ચૂકતાં નથી. ‘શિશુકુંજ’ અને અન્ય સંસ્થાઓનાં બાળગીતો, જૂથોના નેજા હેઠળની નૃત્યનાટિકાઓ અને ‘ખલીફા સંગીતકારો’નો સમાવેશ અહીં થયો છે.

વિપુલ કલ્યાણીના આવકાર લેખનો પહેલો અરધો હિસ્સો રણજિતરામ વાવાભાઈ મહેતા અને ભીખુ પારેખના અવતરણોથી વ્યાપેલો છે. ત્યાર બાદ તેઓ અકાદમીના ભાષાશિક્ષણ ઉપક્રમ વિશેની વાત ‘2002માં  અકદામીએ પરીક્ષાઓ સ્થગિત કરવી પડી’ એમ લખીને પૂરી કરે છે. જો કે તેઓ એમ પણ નોંધે છે આ ઉપક્રમમાં ‘અકાદમીનું સૂત્ર : ‘ગુજરાતી સાંભળીએ – ગુજરાતી બોલીએ – ગુજરાતી વાંચીએ – ગુજરાતી લખીએ – ગુજરાતી જીવીએ’ ધમધમતું રહ્યું.’

અતિથિ વિશેષ સ્થાનેથી અદમ ટંકારવી ડાયસ્પોરા સાહિત્યનો ટૂંકો ઓવરવ્યૂ આપે છે. અને અંતે નોંધે છે : ‘વિપુલભાઈએ જે ‘જોખાં’ કરવાની વાત કરી છે તે પ્રક્રિયા ક્યારેક  નિર્મમ  કે આત્મગ્લાનિ ઉપજાવનાર બની રહે, પણ આપણા સર્જનને સત્ત્વશીલ, પ્રાણવાન બનાવવા માટે તે અનિવાર્ય છે.’

વિપુલ કલ્યાણીનું ઉમાશંકર જોશી વિશ્વ ગુર્જરી અવૉર્ડ (2018) મળ્યા બદલ ચાળીસીના પરિસંવાદ દરમિયાન સન્માન કરવામાં આવ્યું. એના પ્રતિભાવ તરીકે તેમણે આપેલા પ્રવચન વાંચવા મળે છે .તેમણે એ મતલબની વાત કરી કે આ સન્માન તેમનું એકલાનું નહીં સંસ્થા સાથે જોડાયેલા સહુ કાર્યકરોનું પણ છે.

એકસો અઠ્ઠાવીસ પાનાંના પુસ્તકમાં એકવીસમા પાને આવતી અનુક્રમણિકામાં સોળ વક્તાઓ અને તેમના વિષયોનો ઉલ્લેખ છે, પણ પુસ્તકમાં વક્તવ્યો ચૌદ છે. દરેક વક્તાનો તસવીર સહિત સમુચિત પરિચય છે. જે બે વિષય પરના વક્તવ્યો નથી, તે વક્તાઓનો પણ યથાક્રમ પરિચય આપીને પછી સૌજન્યભરી સ્પષ્ટતા સાથેની સંપાદકીય નોંધ છે : ‘વિષયાન્તરને કારણે આ વક્તવ્ય લઈ શક્યાં નથી તેનો રંજ છે.’

કેતન રુપેરા

સંપાદકીય લેખ ‘ગુજરાતીતા – સમ અને સમાન ભૂમિકાએ’ સંપાદકની વસાહતી સાહિત્ય અંગેની વિભાવના રજૂ કરે છે. કોઈ સંપાદક પોતે જે પુસ્તક પર કામ કરે તેમાં કેવાં ઊંડા ઊતરી શકે છે તે આ લેખમાંથી દેખાય છે (કેતનભાઈને અમદાવાદમાં ઘણી વાર ‘યુ.કે.ની ટ્રૅડિશનલ ફ્લૅટ કૅપ’ પહેરેલા પણ જોયા છે, જે વિષય સાથે તાદાત્મ્ય સાધવા માટે હશે, એમ માનવાનું મન થાય).

વળી કેતને ગયા પાંચેક વર્ષમાં ડાયસ્પોરા સાહિત્યના પાંચ પુસ્તકોના સંશોધનપૂર્ણ સંપાદનથી લઈને પુસ્તક નિર્માણ સુધીની કામગીરી નિભાવી છે, અને આ સિદ્ધિ મેળવનાર સંભવત: તેઓ એકલા જ છે. દરેક વક્તવ્ય સાથે તેમણે ચોરસ અને ત્રિકોણાકારના બૉક્સેસમાં મૂકેલી સામગ્રી અને પાંચ પરિશિષ્ટો નોંધપાત્ર છે. 

પરિસંવાદની બેઠકોનાં સંચાલકો તરીકે નયનાબહેન પટેલ અને શૂચિબહેન ભટ્ટનાં વક્તવ્યો પણ પુસ્તકમાં સમાવાયાં છે. નયનાબહેને તેમની વાતના આખરે કહ્યું છે : ‘અહીં થોડાં કાળાં માથાં સિવાય વધારે સફેદ માથાં જ દેખાય છે. કાળાં માથાં વધારે લાવવા માટે અથાગ મહેનત અને પ્રયોગો કરવા પડશે.’ પણ પહેલાં એ કાળાં માથાંવાળાંએ શરૂ કરવા પડશે. બાકી ચાળીસીએ ધોળાં તો પરિપક્વતાની નિશાની ગણાઈ શકે.

‌‌‌‌‌‌‌—————————–

‘ચાળીસીએ ઓચ્છવ’, સંપાદક : કેતન રુપેરા પ્રકાશક : હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ, યુનાઈટેડ કિંગ્ડમ સ્થિત ગુજરાતી સહિત્ય અકાદમી, પહેલી આવૃત્તિ – 2023; રૂ. 200, £ 5 (UK) 

મુખ્ય વિક્રેતા : ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ માર્ગ, અમદાવાદ 

સંપર્ક : 79-26587949, 9879762263

31 ડિસેમ્બર 2023 
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 31 ડિસેમ્બર 2023
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

રાષ્ટૃની રચના રાજકીય માર્ગે નહીં પણ આધ્યાત્મિક માર્ગે થાય છે

રમેશ ઓઝા|Opinion - Opinion|31 December 2023

અર્નેસ્ટ રેનન

અર્નેસ્ટ રેનન નામના ફ્રેન્ચ ફિલસૂફે ૧૮૮૨ની સાલમાં કહ્યું હતું કે ખરા રાષ્ટ્રની રચના રાજકીય માર્ગે નથી થતી પણ આધ્યાત્મિક માર્ગે થાય છે. અર્થાત્ તેના કહેવા મુજબ રાષ્ટ્રવાદ એ આધ્યાત્મિકતા છે. પહેલી નજરે આ કથન થોડું અટપટું લાગશે પણ પછી તેણે પોતે જ તેમના એ ખૂબ વખણાયેલ ભાષણમાં કહ્યું હતું કે રાષ્ટ્રનાં નિર્માણમાં જેમ અતિતને યાદ રાખવો જરૂરી છે એમ ભૂલવો પણ જરૂરી છે. યાદ રાખવા કરતાં ભૂલવાની જરૂર વઘારે છે અને વ્યાપક માનવીય હિતમાં કડવી યાદોને ભૂલવી અને દફનાવવી એ આધ્યાત્મિકતા છે.

ઘડીભર આપણે રાષ્ટ્રને બાજુએ રાખીને પરિવારની ક્લ્પના કરીએ. કોઈ પરિવાર એવો હોય છે જેની પાસે મીઠી સાથે કડવી યાદો ન હોય? એવો એક પણ પરિવાર નહીં મળે. દરેક પરિવાર પાસે કડવીમીઠી યાદો હોય છે. પણ તમને પરિવારોમાં પ્રેમભાવ ત્યાં જ જોવા મળશે જ્યાં પરિવારના સભ્યો કડવી યાદોને ભૂલવા તૈયાર હોય. અંગૂઠા ઉપર અંગૂઠો મૂકનારા પરિવારોમાં સંપ જોવા નહીં મળે. અને એ પણ જોવા મળશે કે એવાં પરિવારો સુખી હશે. જ્યાં કંકાસ હોય ત્યાં સુખ સમૃદ્ધિ અને શાંતિ નથી હોતાં. કંકાસને કડવી યાદોને પંપાળવા સાથે સંબંધ છે. વળી તમે એ પણ જોયું હશે કે જે પરિવારમાં સમજદાર, વિવેકી, ઉદાર અને માફ કરવા જેટલું વિશાળ દિલ ધરાવનારો માણસ હોય એ પરિવાર જ સંપથી જીવતો હશે અને સુખી હશે.

રેનનના ઐતિહાસિક વ્યાખ્યાન પછી બરાબર ૧૦૧ વરસે ૧૯૯૩માં બેનેડિક્ટ એન્ડરસનનું એક પુસ્તક પ્રકાશિત થયું હતું જેનું શીર્ષક જ બોલકું છે. એ પુસ્તક છે; ઇમેજિન્ડ કૉમ્યુનિટીઝ : રિફલેક્ષન ઓન ઓરિજીન એન્ડ સ્પ્રેડ ઓફ નેશનાલિઝમ. એ પુસ્તકમાં એન્ડરસને કહ્યું છે કે રાષ્ટ્રવાદની ભાવના પેદા કરવા માટે અને તેને સ્વીકાર્ય બનાવવા માટે ઇમેજિન્ડ (સોનેરી કલ્પનાઓનો વરખ ચડાવેલી) પ્રજાની જરૂર હોય છે અને તે પાછી રાજકીય પ્રજા હોવી જોઇએ. માત્ર ભારતીય પ્રજા રાષ્ટ્રનું નિર્માણ ન કરી શકે, ભારતીય પ્રજા રાજકીય પણ હોવી જોઈએ. વરખ પેદા કરવાની, વરખ ચડાવવાની, વરખને જ સત્ય માનવાની અને મનાવવાની પ્રક્રિયા માત્ર ભારતીય પ્રજા ન કરી શકે, રાજકીય ભારતીય પ્રજા જ કરી શકે અને માટે ઇમેજીન્ડ કૉમ્યુનિટીઝ. આના દ્વારા વતન માટેના પ્રેમને રાષ્ટ્રીય ભાવનામાં પરિવર્તિત કરી શકાય અને દુભાયેલી ભાવનાનો રાજકીય લાભ પણ લઇ શકાય. પ્રેમ અને ભાવનામાં ફરક છે.

દેખીતી રીતે ઈમેજીન્ડ કોમ્યુનિટીને ઈમેજિન્ડ દુ:શ્મનની પણ જરૂર પડે. કલ્પનાના વરખ અને વરખને સત્ય માનવાની અને મનાવવાની જરૂર ત્યાં પણ પડે છે. માટે રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે રાષ્ટ્રવાદ નિર્દોષ ક્લ્પના નથી, પણ એ તો માનવજાત માટે જોખમી છે. તેમણે ગાંધીજીના નરવા રાષ્ટ્રવાદને પણ પડકાર્યો હતો અને અસહકારનાં આંદોલનનો વિરોધ કર્યો હતો. આજે આપણને તેનો અનુભવ થઈ રહ્યો છે. આપણે મહાન પણ દુ:શ્મન કે દુ:શ્મનો દ્વારા પીડિત.

હવે અર્નેસ્ટ રેનનનાં કથન પર પાછા ફરીએ. તેણે કહ્યું હતું, રાષ્ટ્રવાદ આધ્યાત્મિકતા છે. મહાન ઘટનાઓને યાદ રાખવાની સાથે શરમજનક ઘટનાઓ ભૂલશો નહીં તો રાષ્ટ્રનું નિર્માણ નહીં થાય. મીઠી યાદોને વાગોળવા સાથે કડવી યાદોને ભૂલશો નહીં તો રાષ્ટ્રનું નિર્માણ નહીં થાય. આવાં ગુણો એ જ વ્યક્તિ ધરાવે જેની અંદર આઘ્યાત્મિકતા હોય. આઘ્યાત્મિકતાનો અર્થ ઇશ્વર સાથે એકાકાર થવું એટલો જ નથી થતો, ગ્રંથિમુક્ત થવું એ પણ આઘ્યાત્મિકતા છે. હકીકતમાં ગ્રંથિમુક્ત થયા વિના ઇશ્વર સાથે પણ એકાકાર નથી થવાતું. આમ જો રાષ્ટ્ર સાથે એકાકાર થવું હોય તો કેટલીક ચીજો યાદ રાખવા સાથે કેટલીક ચીજો ભૂલવી પણ પડશે.

આચાર્ય વિનોબાજી

અહીં વિનોબા ભાવેની યાદ આવે છે. તેઓ કહેતા કે મારું જીવન અને જીવનનું મિશન હૃદયોને જોડવા માટે છે. તેઓ મોટા બહુશ્રુત વિદ્વાન હતા. એવા મૌલિક કે ગાંધીજી ધર્મસંકટ અનુભવતા હોય ત્યારે તેમનાથી ઉંમરમાં ૨૬ વરસ નાના વિનોબાની સલાહ લેતા. વિનોબાએ દરેક ધર્મનો ઊંડો અભ્યાસ કર્યો હતો અને દરેક ધર્મનો સરળ ભાષામાં સાર આપ્યો છે. એમાં તેમણે રેનને કહેલો અભિગમ અપનાવ્યો છે. જેટલું યાદ રાખવા જેવું હોય, જેટલું વાગોળવા જેવું હોય, જેટલું માનવજાત માટે પથ્યકારક બની શકે એવું હોય, જેટલું માનવહૃદયોને જોડવામાં ઉપયોગી હોય એને સ્વીકારવું અને આત્મસાત કરવું. જે તે કોમના વારસામાંથી એવું કેટલુંક અલગ તારવવું જે સકળ માનવજાતનું સહિયારું બની શકે. આને વાગોળવાનું. બાકી હૃદયોને તોડવામાં ઉપયોગી નીવડે એવી ચીજોનો કોઈ પાર નથી, પણ તેને યાદ કરવાથી શો લાભ? વિનોબાએ વિવિધ ધર્મોનો જે સાર આપ્યો છે એ સાત્ત્વિક સાર છે. અંતે માણસ અધૂરો છે એટલે સમાજ અધૂરો છે, તેની સર્વે કૃતિઓ અને પ્રવૃત્તિઓ દોષયુક્ત છે. જેને અસાર ગ્રહણ કરવો છે તેને પર્યાપ્ત માત્રામાં કચરો મળી રહેશે. ઘણાં ઇતિહાસકારોએ અમુક રીતે ઇતિહાસ લખીને ઊકરડા પેદા કરી આપ્યા છે.

પણ તેનું ગ્રહણ કરવાથી લાભ શો? તેનું ગ્રહણ કરવાથી કોઇને લાભ થયો છે? માટે રેનનનાં કથન વિષે વિચારજો : રાષ્ટ્રવાદ આધ્યાત્મિકતા છે. નરવા રાષ્ટ્ર માટે જેટલી જરૂર યાદ રાખવાની છે એટલી ભૂલવાની પણ છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 31 ડિસેમ્બર 2023

Loading

...102030...844845846847...850860870...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved