Opinion Magazine
Number of visits: 9665887
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દલપતરામ વિશે, અને દીપક મહેતાના તેમના પરના નવા પુસ્તક વિશે

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|21 January 2024

કવીશ્વર દલપતરામની આજે જન્મજયંતી છે. દલપતરામ મારે મન ઓગણીસમી સદીના ‘સકલ પુરુષ’ છે. આ Renaissance man, આ પ્રગતિશીલ સમાજ-સાક્ષર અત્યારના ગુજરાતમાં ખૂબ પ્રસ્તુત છે. પ્રકાશ ન. શાહનું એક યાદગાર નિરીક્ષણ છે : ‘દલપતરામનું વઢવાણથી અમદાવાદ આવવું એટલે ગુજરાતનું મધ્યયુગમાંથી રેનેસાંમાં – નવજાગૃતિમાં પ્રવેશવું.’

કવીશ્વર દલપતરામ (1820-1898) ગુજરાતના જાહેરજીવનનું એક વિશાળ, પ્રેમાળ અને પ્રગતિશીલ વ્યક્તિત્વ હતા. ‘બુદ્ધિપ્રકાશ’ માસિકના જુલાઈ 1855ના પોતાનાં પહેલાં જ તંત્રીલેખમાં તેમણે લખ્યું : ‘આપણા દેશના સુધારા અર્થે મારા તન-મન-ધનથી હું ખૂબ મહેનત લેવા ઇચ્છું છું.’

એ મુજબ ખરેખર સદાકાળ તેમણે પોતાની સાહિત્યશક્તિને જનહિત માટે મનોરંજક રીતે, અભિનિવેશ વિના ઉપયોગ કર્યો. તેમણે સભાનપણે રૂડી ગુજરાતી વાણીનાં આદર-કદર કરી જાણ્યાં.

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધથી અમદાવાદ અને ગુજરાતના લોકો લાઇબ્રેરીઓમાં જતાં થયા; અખબાર વાંચતાં, દીકરીઓને ભણાવતાં, ભાષણો સાંભળતા થયા તેમાં લોકહિતચિંતક દલપતરામનો મોટો ફાળો છે.

તેમણે બાળકોને મજાની કવિતાઓ આપી અને  પહેલવહેલી વાર કવિઓને છંદ શીખવ્યા. તેમને કારણે કવિતાની ચોપડીઓ છપાવા-વેચાવા લાગી અને કવિસંમેલનો ભરાતાં થયાં. તેમણે લખાણો, ભાષણો તેમ જ કાર્યો થકી, અભણ, વહેમી, રુઢિચુસ્ત જનતાને શિક્ષણ, સાહિત્ય અને સદાચાર-પ્રેરિત સંસ્કારી જીવન તરફ વાળી.

નાતજાતના ભેદ, જ્યોતિષનાં ભ્રમ અને ભૂતપ્રેતના વહેમમાંથી લોકોને બહાર કાઢવા માટે નિબંધો લખ્યા. અમદાવાદ અને ગુજરાતમાં 1820ની સાલ સુધીમાં પાકા થયેલાં અંગ્રેજોના રાજમાં શરૂ થયેલા સમાજસુધારાને ગતિ આપવામાં દલપતરામે નોંધપાત્ર ભૂમિકા ભજવી છે.

ઉદ્યમ અને યુરોપમાંથી આવેલ હુન્નર કહેતાં યંત્રઉદ્યોગ દેશની પ્રગતિ માટે કેટલાં જરૂરી છે તેની પિછાણ તેમણે લોકોને ‘હુન્નરખાનની ચઢાઈ’ જેવી વાર્તારૂપ કવિતા અને બીજાં લખાણો થકી કરાવી. અમદાવાદ શહેરની સ્વચ્છતા અને તેનાં આયોજન તરફ લેખો દ્વારા ધ્યાન દોર્યું.

પુરાણકથાનો આધાર લઈને રચેલાં ‘વેનચરિત’ નામનાં આખ્યાનકાવ્યમાં વિધવાઓની હાલતનો ચિતાર આપીને બાળલગ્નનો વિરોધ અને વિધવા પુનર્વિવાહનું સમર્થન કર્યું.

દલપરામ ઓગણીસમી સદીમાં કાર્યરત દુર્ગારામ મહેતા, કરસનદાસ મૂળજી, મહીપતરામ રૂપરામ કે બહેરામજી મલબારીની હરોળના ઍક્ટિવિસ્ટ-સુધારક કદાચ ન લાગે. પણ તેમની પાસે સુધારા માટેની સમ્યક દૃષ્ટિ હતી.

તેમનાથી તેર વર્ષ નાના નર્મદની જેમ જોસ્સા અને કેફ સાથે ‘યાહોમ કરીને પડો’ એવી તેમની વૃત્તિ નહીં, ‘ધીરે ધીરે સુધારાનો સાર’ લોકોને ગળે ઊતારવો એ તેમની પદ્ધતિ હતી.

********

દીપક મહેતા

દલપતરામને મેં જેટલા વાંચ્યા છે તેટલા મને ગમ્યાં છે. મારે એવું દીપક મહેતાની બાબતમાં પણ છે. ચોર્યાંશી વર્ષે પણ સાક્ષરજીવનમાં સતત સક્રિય એવા ગ્રંથજ્ઞ – bookman છે. ગ્રંથસંશોધન ક્ષેત્રે, અને ખાસ તો ઓગણીસમી સદીનાં પુસ્તકોમાં, તેમનું  પ્રદાન અનન્ય છે. ‘મિડ-ડે’ દૈનિકમાં તેમની લેખમાળા ‘ચલ મન મુંબઈ નગરી’ લાંબા સમયથી ચાલી રહી છે. તેનું પુસ્તક ગુજરાતી ભાષા-ઇતિહાસ-સંશોધનનું એક ઘરેણું છે. સાહિત્યિક પત્રકારત્વ, વિવેચન, અનુવાદ અને સંપાદન ક્ષેત્રે પણ તેમણે પ્રદાન કરેલું છે. ઓગણીસમી સદી તેના ઐતિહાસિક અને સમાજશાસ્ત્રીય મહત્ત્વ છતાં સાંપ્રત ગુજરાતના વિચારજગતમાં એકંદર ઉપેક્ષિત હોવાની, અને તે જ રીતે તે કાળખંડ પર દીપકભાઈએ કરેલું કામ પણ ઉપેક્ષિત હોવાની મારી છાપ છે.

દીપકભાઈનું ‘દલપતરામ એટલે…’ નામનું નવું પુસ્તક હમણાં પંદર દિવસ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને યોજેલા પુસ્તક મેળામાંથી મળ્યું. એટલે મારા માટે જાણે સોનામાં સુગંધ ભળી. એક પ્રિય પ્રશિષ્ટ સાક્ષર વિશે સાંપ્રત આદરણીય ગ્રંથશીલે લખેલું પુસ્તક મળ્યું.

ગુજરાત સાહિત્ય અકાદમીએ પ્રસિદ્ધ કરેલાં ઉપરોક્ત પુસ્તકના 31 માર્ચ 2023ના રોજ લખેલા નિવેદનમાં દીપકભાઈ જણાવે છે : ‘આ પુસ્તકમાં સંગ્રહાયેલા લેખોમાં કવીશ્વર દલપતરામના જીવન અને લેખનને જરા હટકે જોવાનો અને નિરૂપવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.’

પુસ્તકના તમામ તેર લેખો તાજગીસભર, માહિતીપ્રદ, આધારપૂર્ણ અને વાચનીય છે. તેમના શીર્ષક આ મુજબ છે :

(1) દલપતરામ અને ફાર્બસ (2) દલપતરામ અને ‘સોસાયટી’ (3) દલપતરામ અને ‘બુદ્ધિપ્રકાશ’ (4) દલપતરામ અને ‘રાસમાળા’ (5) દલપતરામ અને ‘હોપ વાચનમાળા’  (6) દલપતરામનું પહેલું પુસ્તક (7) દલપતરામનું વિરહકાવ્ય (8) ધીરે ધીરે સુધારાનો સાદ સંભળાવતું ‘વેનચરિત્ર’ (9) દલપતરામની નાટ્યાત્મક કૃતિઓ (10) દલપતરામ અને મુંબઈ (11) દલપતરામ : ‘જેણે મુંબઈ જોઈ નહીં અફળ ગયો અવતાર’ (12) દલપતરામ અને શેરબજાર (13) દલપરામ એટલે …

દીપકભાઈએ પુસ્તકના પરિશિષ્ટમાં જે લખાણો મૂક્યાં છે તે ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થયેલા અને આજ સુધી અગ્રંથસ્થ રહેલાં છે એમ તેમણે નોંધ્યું છે. તેઓ ઉમેરે છે : ‘હકીકતમાં ‘બુદ્ધિપ્રકાશ’ના બધા જ અંકોને ઝીણા આંકે ચાળીને આજ દિન સુધી નજર બહાર રહી ગયેલી દલપતરામની ગદ્યકૃતિઓને પુસ્તક રૂપે સંગ્રહી લેવાની જરૂર છે.’ દીપકભાઈના આ નિરીક્ષણનો અર્થ એ થયો કે અકાદમીએ અનેક ખંડોમાં પ્રસિદ્ધ કરેલી દલપત ગ્રંથાવલીમાં આ કૃતિઓ નથી. ‘ગુજરાત વિદ્યાસભા’ના એકસો પંચોતેરમા વર્ષ નિમિત્તે અકાદમીએ આ કામ સંપન્ન કરવું જોઈએ.

પરિશિષ્ટમાં દલપતરામની જે અગ્રંથસ્થ કૃતિઓ મૂકવામાં આવી છે તે આ મુજબ છે :

(1) મુંબઈ વિશે (2) વડોદરા વિશે (3) રાસમાળાની વાત (4) અભિમાની રતુંધો (5) વંશપાળ અને ધર્મરાજ (6) ‘મિથ્યાભિમાન’ નાટકનાં ગીતો

ગુજરાતની નાજાગૃતિના અગ્રદૂત દલપતરામને વંદન. ગુજરાતી રાણી વાણીના વકીલના વકીલને અનેક ધન્યવાદ.

‌‌‌‌——–

‘દલપતરામ એટલે …’ (2023), પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, પાનાં 108, રૂ.220/- 

પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર પુસ્તક ભંડાર, 98797 62263  

e.mail : sanjaysbhave@yahoo.com

Loading

હજી ચાલ થોડું

અનિલ દવે ("અનુ")|Opinion - Opinion|21 January 2024

કેમ થંભી ગયો, હજી ચાલ થોડું,

ચાલ આગળ વધી હજી ચાલ થોડું

પગ ઝડપથી ઉપાડ મંઝિલ મળશે,

ત્યાં જ ફંટાઈને હજી ચાલ થોડું.

એ તરફ જો સપાટ મેદાન પાછળ,

સ્હેજ દરકારથી હજી ચાલ થોડું.

તું સમય વેડફી રહ્યો છે ઝડપ કર,

હો’ડને જીતવા હજી ચાલ થોડું.

સુખ માટે  કજાત થઈ જાવું પડશે,

ભાલ ચમકાવવા હજી ચાલ થોડું.

e.mail : addave68@gmail.com

Loading

લોકતાંત્રિક, સેક્યુલર અને સહિયારું ભારત બચાવવું હોય તો ઉદારમતવાદીઓએ પરસ્પર ઉદાર બનવાની જરૂર છે, બંધારણ એની મેળે બચી જશે

રમેશ ઓઝા|Opinion - Opinion|21 January 2024

રમેશ ઓઝા

જ્યારથી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી છે ત્યારથી બંધારણનો મહિમા કરવાનું પ્રમાણ વધી રહ્યું છે. ૨૬મી જાન્યુઆરીએ દેશભરમાં સંવિધાનયાત્રા નીકળશે અથવા બીજા એવા અનેક પ્રકારના કાર્યક્રમો થશે. બંધારણનો મહિમા કરવામાં આવે એમાં કશું જ ખોટું નથી, પણ બંધારણનો મહિમા કરવા માત્રથી ભારતનું લોકતંત્ર અથવા સહિયારું ભારત બચી જશે એમ માનવું ખોટું છે. બંધારણનાં મૂલ્યોને ભારતનાં નાગરિકો આત્મસાત કરે એ જરૂરી છે અને એ માટે બંધારણને તેની સમગ્રતામાં સમજવું પડે. બીજું, બંધારણ એ કોઈ દૈવી ગ્રંથ નથી. એ કોઈ એક મહાપુરુષે રચેલો કાલજયી ગ્રંથ નથી.

ભારતનું બંધારણ ક્રમશઃ આકાર પામ્યું છે. ૧૯૪૬-૧૯૪૯નાં વર્ષોમાં બે પ્રયાસમાં તે ઘડાયું તેનાં દોઢસો વરસ પહેલાંથી બંધારણ આકાર પામવાનું શરૂ થયું હતું. કનૈયાલાલ મુનશી અને બીજા અનેક બંધારણવિદો ૧૭૮૪માં આવેલા પીટના કાયદાથી તેની શરૂઆત ગણાવે છે. જ્યારે બંધારણસભા બંધારણ ઘડવા રચાઈ એ પહેલાં ભારતનાં બંધારણ વિષે મોટી મોટી સમજૂતી બની ચૂકી હતી. ૧૯૨૭માં મોતીલાલ નેહરુની કમિટીએ ભારતનું બંધારણ કેવું હશે એનો એક મુસદ્દો દેશની જનતા સમક્ષ અને તમામ રાજકીય પક્ષો સમક્ષ રાખ્યો હતો, જેના વિષે આ કોલમમાં મેં લખ્યું હતું. ૧૯૩૧માં કરાંચીમાં મળેલા કાઁગ્રેસના અધિવેશનમાં સ્વતંત્ર ભારતનાં બંધારણીય સ્વરૂપ વિષે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. એ અધિવેશનના પ્રમુખ સરદાર પટેલ હતા અને ઠરાવ ગાંધીજીએ ઘડ્યો અને રજૂ કર્યો હતો. એ ઠરાવમાં વચન આપવામાં આવ્યું હતું કે દેશના પ્રત્યેક નાગરિકને કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના મતદાનનો અધિકાર આપવામાં આવશે અને પ્રત્યેક નાગરિકને બંધારણ દ્વારા સુરક્ષિત મૂળભૂત નાગરિક અધિકારો આપવામાં આવશે.

ઉદ્દેશ જેઓ સ્વતંત્ર ભારતમાં આપણું સ્થાન ક્યાં હશે એવી વાજબી શંકા ઉઠાવતા હતા તેમની શંકાનું નિરાકરણ કરવાનો હતો. તેમની શંકાનું નિરાકરણ થયું હતું એવું નથી. ભારતના કેટલાક નેતાઓ છેક ૧૯૪૬ સુધી આગ્રહ સેવતા હતા કે અંગ્રેજોએ ભારત છોડીને ન જવું જોઈએ. ભારતને આઝાદી આપવાનો સમય હજુ આવ્યો નથી. જો આઝાદી આપવી જ હોય તો અમારી જગ્યા સુનિશ્ચિત કરી આપો. તેઓ કાઁગ્રેસના નેતાઓના ઈરાદાઓ વિષે શંકા ઉઠાવતા હતા અને કેટલીકવાર તો બેફામ નિવેદનો કરતા હતા. સામી બાજુએ કાઁગ્રેસના નેતાઓ વખતો વખત વચનો આપીને અને ઠરાવો કરીને સધિયારો આપતા હતા કે ભારત લોકતાંત્રિક સેક્યુલર પ્રજાસત્તાક દેશ હશે.

દેશમાં એક ત્રીજો હિન્દુત્વવાદીઓનો પક્ષ પણ હતો જેને ભારતનાં બંધારણમાં કોઈ રસ નહોતો. આઝાદ ભારતનાં બંધારણીય સ્વરૂપ વિષે તેમણે કોઈ સ્પષ્ટતા કરી નહોતી, આઝાદ ભારતમાં દલિતોનું તેમ જ બહુજન સમાજનું સ્થાન ક્યાં હશે એ વિષે તેમણે કોઈ ફોડ પાડ્યો નહોતો તો સધિયારો તો બહુ દૂરની વાત છે. વળી શંકા કરનારાઓ તેમને કોઈ પ્રશ્ન પૂછતા પણ નહોતા કે, ભાઈ, બતાવો આઝાદ ભારત કેવું હશે અને એમાં અમારું સ્થાન ક્યાં હશે? તમે તો ભારતનાં બહુમતી હિંદુઓનું પ્રતિનિધિત્વ કરતા હોવાનો દાવો કરો છો. સવાલ એ લોકોને પૂછવામાં આવતા હતા જેઓ શંકાનું નિરાકરણ કરતા હતા, ઠરાવો કરતા હતા, ખાતરી આપતા હતા, સંવાદ સાધતા હતા, હરિજન સેવક સંઘ, હિન્દુસ્તાની પ્રચારસભા જેવી સંસ્થાઓ સ્થાપીને સેતુ બાંધવાનો પ્રયાસ કરતા હતા, હરિજનોનાં મંદિરપ્રવેશ માટે સાને ગુરુજી જેવા આંદોલન કરતા હતા, મંદિરપ્રવેશ માટે કાયદાઓ ઘડતા હતા, વગેરે વગેરે. માનવીય સમાજની રચના માટે ભારતનાં લાખો સવર્ણોએ ગાંધીજીની પ્રેરણાથી જીવન ઘસી નાખ્યું હતું. એ પછી પણ તેમના ઈરાદાઓ વિષે, પ્રામાણિકતા વિષે શંકાઓ કરવામાં આવતી હતી અને ગાળો પણ આપવામાં આવતી હતી. પંઢરપુરનું મંદિર હરિજનો માટે ખુલ્લું મૂકવા માટેનો સત્યાગ્રહ જ્યારે સાને ગુરુજીએ કર્યો ત્યારે તેમને કેટલાક દલિતોએ સવાલ કર્યો હતો કે તુમ્હી કોબરા કા? કોબરા એટલે કોંકણસ્થ બ્રાહ્મણ. સાને ગુરુજીએ જવાબ આપ્યો હતો કે હોય. હા, હું કોબરા છું. સાને ગુરુજી જેવા માતૃહૃદયીને પણ ઝેરીલા કોબરા તરીકે ઓળખાવતા શરમ નહોતી આવી.

જેણે કશું જ નહોતું કર્યું, દલિતો અને વંચિતો તરફ નજર પણ નહોતી કરી, સરેઆમ ઉપેક્ષા કરી હતી તેના વિષે તેમને (દલિતોને તેમ જ બહુજન સમાજના નેતાઓએ) કશું જ કહેવાનું નથી, કોઈ ફરિયાદ નથી અને જેમણે બાથમાં લેવા હરસંભવ પ્રયાસ કર્યો તેમને ગાળો આપવામાં આવે છે. આજે પણ આપવામાં આવે છે. દલિતો અને બહુજન સમાજનો વિમર્શ આઝાદી પહેલાંના સંદર્ભોથી મુક્ત નથી થઈ શકતો અને ખરું પૂછો તો નથી કરવામાં આવતો. ૨૦૧૪ પછી થોડોક ફરક જોવા મળે છે, પણ ખાસ કોઈ મોટો ફરક જોવા મળતો નથી. જો દલિતોને, બહુજન સમાજને, વંચિતોને એમ લાગતું હોય કે તેમનું વ્યાપક હિત બંધારણીય ભારત ટકી રહે તેમાં છે તો તેમણે પહેલું કામ એ લોકોને ગાળો આપવાનું બંધ કરવું જોઈએ જેમણે હાથ લાંબો કર્યો હતો અને બાથ પહોળી કરી હતી. એ લોકો ખરા મિત્ર હતા અને છે એનો સ્વીકાર કરવો જોઈએ. બાકી એકલા હાથે સંવિધાન બચાવ યાત્રાઓ કાઢવાનો કોઈ અર્થ નથી.

ભારતના કહેવાતા ઉદારમતવાદીઓ એકબીજા પ્રત્યે અનુદાર છે અને એ તેમની સૌથી મોટી કમજોરી છે. જો ઉદારમતવાદીઓ પરસ્પર વ્યવહારમાં અનુદાર ન હોત તો આજે બંધારણ બચવવા યાત્રાઓ કાઢવી ન પડત. માટે લોકતાંત્રિક, સેક્યુલર અને સહિયારું ભારત બચાવવું હોય તો ઉદારમતવાદીઓએ પરસ્પર ઉદાર બનવાની જરૂર છે, બંધારણ એની મેળે બચી જશે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 21 જાન્યુઆરી 2024

Loading

...102030...820821822823...830840850...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved