Opinion Magazine
Number of visits: 9457736
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નૂરી: દિલ કી પ્યાસ બુઝા જા રે …

રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 October 2023

રાજ ગોસ્વામી

તમને મનોમોહન કૃષ્ણ યાદ છે? કદાચ નામથી ચહેરો યાદ ન આવે તો થોડી વધારાની હિન્ટ; ફિલ્મ ‘દીવાર’માં પોલીસ ઓફિસર રવિ વર્મા(શશી કપૂર)ના બોસ ડી.સી.પી. નારંગ યાદ છે, જે શહેરના અપરાધીઓની સૂચિમાં તેના ભાઈ વિજય(અમિતાભ બચ્ચન)નો ફોટો રવિને બતાવે છે? ફિલ્મ ‘ત્રિશૂલ’માં શેઠ દિનદયાલ યાદ છે, જેની ધનવાન દીકરી કામિની(ગીતા સિદ્ધાર્થ)ને પરણવા માટે આર.કે. ગુપ્તા (સંજીવ કુમાર) પ્રેગ્નન્ટ શાંતિ(વહીદા રહેમાન)ને ત્યજી દે છે? ફિલ્મ ‘વક્ત’માં મિ. મિત્તલ યાદ છે, જેની દીકરી મીના (સાધના) સાથે ચિનોય શેઠ(રહેમાન)નો નોકર બલબીર સિંહ (મદનપુરી) શરાબના નશામાં પાર્ટીમાં બદતમીજી કરે છે? અથવા, ફિલ્મ ‘દાગ’માં મેયર દિવાન યાદ છે, જેમને ટ્રેનમાં હૃદય રોગનો હુમલો થાય છે અને જેલની સજાથી ભાગેલો સુનિલ કોહલી (રાજેશ ખન્ના) તેમની ત્યકતા દીકરી ચાંદની(રાખી)ના બાળકને પોતાનું નામ (સુધીર) આપે છે?

તમારી નજર સામે હવે તેમનો ચહેરો તરવરી ગયો હશે. હિન્દી સિનેમાના ચાહકો મનોમોહન કૃષ્ણને એક સૌમ્ય, પ્રેમાળ અને સજ્જન ચરિત્ર અભિનેતા તરીકે યાદ કરે છે. લાહોરમાં ફીઝિક્સના લેકચરરની નોકરી છોડીને મુંબઈ નસીબ અજમાવા આવેલા મનમોહન કૃષ્ણએ, તેમના આકર્ષક વ્યક્તિત્વ અને પ્રભાવશાળી અવાજથી, હિન્દી ફિલ્મોમાં પોતાનું આગવું સ્થાન ઊભું કર્યું હતું. 

તમે ઉપરની ફિલ્મોની સૂચિમાં જો એક વાત નોંધી હોય તો તે તમામ ફિલ્મોનું નિર્દેશન યશ ચોપરાએ કર્યું હતું. કૃષ્ણજી યશ અને તેમના જ્યેષ્ઠ બંધુ બી.આર. ચોપરાના ગમતા અભિનેતા હતા અને તેમની ઘણી ફિલ્મોમાં એ અચૂકપણે દેખા દેતા. ચોપરા ફિલ્મ્સ માટે યશજીએ નિર્દેશિત કરેલી કોમી કટ્ટરતા વિરોધી તેમની પહેલી સુપરહિટ ફિલ્મ ‘ધૂલ કા ફૂલ’(1959)માં, અબ્દુલ (રશીદ) ચાચાની યાદગાર ભૂમિકા માટે કૃષ્ણજીને બેસ્ટ સપોર્ટીંગ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

મનોમોહન કૃષ્ણની એક બીજી ઓળખાણની કદાચ સૌને ખબર નથી. આપણે તેની વાત કરવી છે. તમને 1979માં આવેલી યશરાજ ફિલ્મ્સની ‘નૂરી’ ફિલ્મ યાદ હશે. ફારુક શેખ અને પૂનમ ધિલ્લોન બંનેની કારકિર્દીની આ પહેલી સુપરહિટ ફિલ્મ હતી. દીવાર, કભીકભી અને ત્રિશૂલ જેવી ત્રણ બિગ બજેટ ફિલ્મો સાથે યશ ચોપરા ત્યારે ફિલ્મ નિર્માણ ક્ષેત્રે એક મોટા નિર્માતા-નિર્દેશક તરીકે સ્થાપિત થઇ ચુક્યા હતા. તે વખતે તેમણે ‘નૂરી’ નામની એક ઓછા બજેટની, પણ બોક્સ ઓફિસ પર સફળ ફિલ્મનું નિર્માણ કર્યું હતું. 

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ફિલ્મનું નિર્દેશન મનમોહન કૃષ્ણએ કર્યું હતું. બીજું આશ્ચર્ય એ છે કે નિર્દેશક તરીકે તેમની આ પહેલી અને છેલ્લી જ ફિલ્મ છે. 1979માં રિલીઝ થયેલી અને બોક્સ ઓફિસ પર સૌથી વધુ વકરો કરનારી ટોચની 10 ફિલ્મોમાં ‘નૂરી’ 7માં નંબરે હતી. તેની આગળ-પાછળ સુહાગ, જાની દુશ્મન, મિ. નટવરલાલ, ગોલમાલ, કાલા પથ્થર, સુરક્ષા જેવી તોતિંગ ફિલ્મો હતી. તેમ છતાં, મનમોહન કૃષ્ણએ બીજી કોઈ ફિલ્મનું નિર્દેશન ન કર્યું. સામાન્ય રીતે કોઈ નિર્દેશકની એક ફિલ્મ હિટ જાય પછી તેની સામે ફિલ્મોની લાઈન લાગી જાય. કૃષ્ણજીના કિસ્સામાં એવી નહોતું બન્યું. કેમ?

ગોસીપ એવી છે કે ‘નૂરી’નું અસલમાં નિર્દેશન રમેશ તલવારે કર્યું હતું, પણ ફિલ્મનાં પોસ્ટરોમાં નામ મનમોહન કૃષ્ણનું મુક્યું હતું. રમેશ તલવાર યશરાજ ફિલ્મ્સમાં સહાયક નિર્દેશક તરીકે કામ કરતા હતા. તેમના નામે બે જાણીતી ફિલ્મો બોલે છે; 1977માં ‘દૂસરા આદમી’ અને 1981માં ‘બસેરા.’ ચોપરાની કભી કભી, સિલસિલા અને ચાંદની જેવી ફિલ્મોના લેખક સાગર સરહદીના તલવાર ભત્રીજા થાય.

‘નૂરી’ ફિલ્મમાં રમેશ તલવાર સહ-નિર્માતા હતા. ‘નૂરી’નું નિર્દેશન અસલમાં તલવારે કર્યું હતું તે અફવાને લઈને કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ એક અંગ્રેજી પત્રકારે એકવાર એક ઇન્ટરવ્યૂમાં, મનમોહન કૃષ્ણને એવું પૂછી લીધું હતું કે ‘નૂરી’ના નિર્દેશન લઈને અફવા ચાલે છે તેમાં કેટલી સચ્ચાઈ છે, તો કૃષ્ણજી જવાબ આપવાને બદલે ગલ્લાં-તલ્લાં કર્યાં હતાં અને પત્રકાર ગયો તે પછી તેના એડિટરને ફોન કરીને કહ્યું હતું કે તમે કેવા ગમાર જેવા પત્રકારને મોકલ્યો હતો, બીજી વાર ન મોકલતા!

‘નૂરી’ ફિલ્મ જુઓ તો પણ તમને શંકા પડી જાય કે આ ફિલ્મ સાચે જ ચારિત્ર્ય અભિનેતા મનમોહન કૃષ્ણએ નિર્દેશિત કરી છે? તેમનામાં જો એટલી સરસ નિર્માણ કળા હતી તો તે આટલા વર્ષો સુધી ક્યાં ખોવાયેલા હતા?

ફિલ્મ ભલે લો-બજેટ હતી, પણ તેમાં એ બધા જ જાદુ હતા, જેના માટે યશ ચોપરાની ફિલ્મો જાણીતી છે; કર્ણપ્રિય સંગીત (ખૈયામ), હૃદયસ્પર્શી ગીતો (સાહિર લુધિયાનવી) સુંદર લોકેશન્સ (કાશ્મીર), ખૂબસૂરત કલાકારો (ફારુક અને પૂનમ) અને નાટ્યાત્મક વાર્તા (ફિલ્મનો અસલી ‘હીરો’ ખૈરુ નામનો પાલતું કુત્તો હતો).

ફિલ્મમાં, મનમોહન કૃષ્ણએ સઈજી નામના સૂત્રધારની ભૂમિકા કરી હતી, જેના મોઢે નૂરી નબી (પૂનમ ધિલ્લોન) અને યુસૂફ ફકીર મહોમ્મદ(ફારુક શેખ)ની બદનસીબ પ્રેમ કહાની કહેવામાં આવી હતી. ફિલ્મની વાર્તા સીધી-સાદી હતી. લેખક સાગર સરહદી ભારત-પાકિસ્તાનના વિભાજનના સાક્ષી હતા અને તેમણે એ પીડા પર ‘રાખા’ નામની એક ટૂંકી વાર્તા લખી હતી. યશ ચોપરાને તેના પરથી ‘નૂરી’ ફિલ્મ બનાવાનો વિચાર આવ્યો હતો.

ફિલ્મમાં, નૂરી તેના પિતા ગુલામ નબી (ઈફ્તેખાર) અને પાલતું કુત્તા ખૈરુ સાથે રહે છે. તેનાં લગ્ન યુસૂફ સાથે થવાનાં છે. એમાં ગામના બદમાસ બશીર ખાન(ભરત કપૂર)ને નૂરી ગમી જાય છે અને તેનો હાથ માંગે છે. પિતા ના પાડે છે. એટલે બશીર જંગલમાં ઝાડ પાડવાની દુર્ઘટનનામાં પિતાને મારી નાખે છે. એમાં થોડા મહિના માટે લગ્ન પાછળ ઠેલાઈ જાય છે અને જ્યારે નવી તારીખ નક્કી થાય છે, ત્યારે બશીર તેની જ શો-મિલમાં કામ કરતા યુસૂફને કામ સર ગામ બહાર મોકલી દે છે અને તેનો લાભ લઇને નૂરી પર બળાત્કાર કરે છે.

આ શરમ અને પીડાથી નૂરી આત્મહત્યા કરી લે છે. યુસૂફ પાછો આવે છે અને તેને પૂરી ઘટનાની જાણ થાય છે એટલે તે વેર લેવા માટે કુત્તા ખૈરુને સાથે લઈને બશીરની પાછળ પડે છે. બંને વચ્ચે લડાઈ થાય છે અને એમાં બશીર યુસૂફને ગોળી મારી દે છે. બશીર ત્યાંથી દોડે છે હવે ખૈરુ તેનો સામનો કરે છે અને છેવટે કૂતરો તેને ફાડી ખાય છે. જખ્મી યુસૂફ નૂરીનું શરીર જ્યાં પડ્યું છે તે તરફ દોડે છે અને અંતે બંનેનું કબરમાં મિલન થાય છે.

‘નૂરી’ ફિલ્મથી પૂનમ ધિલ્લોન રાતોરાત સ્ટાર બની ગઈ હતી. કાશ્મીરની એક નિર્દોષ પણ ખૂબસૂરત છોકરી માટે પૂનમ એકદમ ફિટ હતી. લોકો આજે પણ તેને નૂરી કહે છે. આગળ કહ્યું તેમ, ફિલ્મનાં ગીતો તેનું સૌથી જમા પાસું હતું. સંગીતકાર ખૈય્યામ માટે કહેવાય છે કે ભ્રહ્માંડમાં જો સ્વર્ગ હોય, તો ખય્યામ તેના સંગીત સમ્રાટ હોવા જોઈએ. ઢોલક, જલ તરંગ અને વાંસળીની મદદથી તેમણે હિન્દી સિનેમામાં અમુક અદ્વિતીય ગીતો સંગીતબદ્ધ કર્યાં છે.

‘નૂરી’માં ખૈય્યામનું સળંગ ચોથું હિટ સંગીત હતું. અગાઉ તે યશ ચોપરાની જ ‘કભી કભી’ અને ‘ત્રિશૂલ’માં સંગીતનો જાદુ બતાવી ચુક્યા હતા અને ‘શંકર હુસેન’ તેમ જ ‘ખાનદાન’નું તેમનું સંગીત પણ તે વખતે રણકી રહ્યું હતું. ‘નૂરી’માં ખૈય્યામે તેની વાર્તા અને પાત્રોની કાશ્મીરિયતને બરાબર પકડીને જાં નિસાર અખ્તરના શબ્દો પર એવું સંગીત બનાવ્યું હતું કે અજાણ્યા માણસને પણ લાગે કે આ ધૂન અને સૂર ધરતી પરના સ્વર્ગનાં જ હોવા જોઈએ.  જેમ કે ‘આ જા રે, આ જા રે ઓ દિલબર આ જા’ અને ‘ચોરી ચોરી કોઈ આયે’ આજે પણ લોકો ગણગણે છે.

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 11 ઑક્ટોબર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

નિગાર શાજી નિમિત્તે વાત મહિલા વૈજ્ઞાનિકોની

ચંદુ મહેરિયા|Opinion - Opinion|12 October 2023

નિગાર શાજી

જેટલી ચર્ચા આપણે ત્યાં ચંદ્રયાન-૩ની થઈ છે તેટલી દેશના પહેલા સૂર્ય મિશનની થતી નથી. ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠને (ઈસરો-એ) ચંદ્રયાન – ૩ પછી બહુ ટૂંકા સમયના અંતરાલમાં દેશના પહેલા સન મિશન આદિત્ય એલ વનનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરાવ્યું છે. ચંદ્રયાનની જેમ સૂર્ય મિશનમાં પણ મહિલા વૈજ્ઞાનિકોનું મોટું અને મહત્ત્વનું યોગદાન છે. સૂર્ય મિશનના પ્રોજેકટ ડાયરેકટર ૫૯ વરસનાં મુસ્લિમ મહિલા વૈજ્ઞાનિક નિગાર શાજી છે. તમિલ ગ્રામીણ પૃષ્ઠભૂમિ ધરાવતાં નિગાર શાજીના નેતૃત્વમાં દેશનું પ્રથમ સૂર્ય મિશન પાર પડ્યું છે. ખેડૂત પરિવારનાં દીકરી નિગાર શાજીએ ઈલેકટ્રોનિક એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરીંગમાં માસ્ટર્સ કર્યું છે. ૧૯૮૭માં સતીષ ધવન સ્પેસ  સેન્ટર સાથે જોડાયાં હતાં. તેઓએ યૂ.આર. રાવ સેટેલાઈટ ટીમના સભ્, પ્રત્યાયન અને આંતરગ્રહીય ઉપગ્રહ કાર્યક્રમોના નિષ્ણાત અને ભારતના રિમોટ સેન્સિંગ સેટેલાઈટ રિસોર્સ સેટ -૨ એના મદદનીશ પ્રોજેકટ ડાયરેકટર તરીકે પણ કાર્ય કર્યું છે.

અન્નપૂર્ણી સુબ્રમણ્યમ્‌

નિગાર શાજીની જેમ જ કેરળના ગ્રામીણ પૃષ્ઠભૂમિનાં મહિલા વૈજ્ઞાનિક અન્નાપૂર્ણી સુબ્રમણ્યમનું પણ સૂર્ય મિશનમાં મહત્ત્વનું પ્રદાન છે. અન્નાપૂર્ણી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિકસ, બેંગલૂરુનાં નિયામક છે. આ સંસ્થાએ અન્નાપૂર્ણીના નેતૃત્વમાં સૂર્યનું અધ્યયન કરવા માટેના મુખ્ય પેલોડ ડિઝાઈન કર્યા છે. ભૌતિકશાસ્ત્રમાં ડોકટરેટ થયેલાં ડો. સુબ્રમણ્યમનાં માર્ગદર્શન અને નેતૃત્વમાં આદિત્ય એલ -૧માં લાગેલા વી.ઈ.એલ.સી.(વિઝિબલ લાઈન એમિસિયન કોરોનાગ્રાફ)ની ડિઝાઈન તૈયાર થઈ છે. અન્નાપૂર્ણીએ ડિઝાઈન કરેલ કોરોનાગ્રાફ સૂર્યગ્રહણ દરમિયાન પણ સૂર્યને જોઈ શકશે. આ મિશનમાં પહેલીવાર સૂર્યને અંદરથી પણ જોઈ શકાશે. સૂર્ય મિશનના ભારતના પહેલા પ્રયાસમાં મહિલા વૈજ્ઞાનિકોનો સિંહફાળો ગૌરવ અને આનંદની બીના છે. 

જો કે પિતૃસત્તાક સમાજમાં વૈજ્ઞાનિક સંશોધનનો ગઢ પુરુષો માટે અનામત છે. થોડાં મહિલાઓ આ અભેધ્ય ગઢમાં ગાબડાં જરૂર પાડી શક્યાં છે અને તેમનો વિસ્તાર પણ થઈ રહ્યો છે, પરંતુ હજુ મહિલાઓ માટે વૈજ્ઞાનિક સંશોધનમાં બરાબરની હિસ્સેદારી બહુ દૂરની વાત છે. હવે વિજ્ઞાનની દુનિયામાં મહિલાઓનો માણેકથંભ રોપાયો છે અને નાસાથી નોબેલ સુધી તે પહોંચ્યાં છે. તો પણ વિજ્ઞાનમાં કારકિર્દી ઝંખતી મહિલાઓ માટે બહુ ઓછા મહિલા રોલ મોડેલ છે. લીલાવતી, આનંદીબાઈ જોશી, જાનકી અમ્માલ, અસીમા ચેટર્જી, કમલા સોહાની, અન્ના મણિ જેવાં ગઈકાલનાં અને મુથૈયા વનિતા, રિતુ કરિઘલ, સૌમ્યા સ્વામીનાથન, એન કલાઈસેલ્વી, ટેસી થોમસ, ગગનદીપ કાંગ, મીનલ ઢકાવે ભોંસલે, નિગાર શાજી અને અન્નાપૂર્ણી સુબ્રમણ્યમ જેવાં આજનાં મહિલા વૈજ્ઞાનિકોનાં નામો જરૂર સાંભરે છે. પણ તે પુરુષોએ મહિલાઓ માટે વાસી રાખેલા વિજ્ઞાન કિલ્લામાં અપવાદરૂપ છે.

વિજ્ઞાન ક્ષેત્રે મહિલાઓની ઓછી હિસ્સેદારી કે તેમની ઉપેક્ષા ભારત પૂરતી મર્યાદિત નથી પરંતુ વૈશ્વિક બાબત છે. લગભગ એકસો વીસ વરસો(૧૯૦૧થી ૨૦૧૯)માં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેડિસિનના ક્ષેત્રે ૬૧૬ લોકોને ૩૩૪ નોબેલ પુરસ્કાર મળ્યા છે. આ ૬૧૬ લોકોમાં માત્ર ૨૦ જ મહિલા છે. અત્યાર સુધીમાં માત્ર ત્રણ મહિલાઓને ફિઝિક્સનું નોબેલ મળ્યું છે. ભારતમાં યુવા વૈજ્ઞાનિકો માટે ૧૯૫૭માં સ્થાપિત પ્રતિષ્ઠિત શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ  મેળવનાર પાંચસોમાં સોળ જ મહિલાઓ છે તે પૈકી કોઈને હજુ ફિઝિક્સમાં આ એવોર્ડ મળ્યો નથી. બીજી તરફ નવાઈ પમાડે તેવું વાસ્તવ એ છે કે યુ.કે., યુ.એસ.એ.માં ૨૦ ટકાથી ઓછાં મહિલા ફિઝિક્સ ગ્રેજ્યુએટ છે જ્યારે ભારતમાં ૩૨ ટકા મહિલાઓ ફિઝિક્સ ગ્રજ્યુએટ છે ! ૪૩ ટકા મહિલાઓ સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરીંગ અને મેથ્સમાં સ્નાતક છે. જે અમેરિકા, ફ્રાન્સ, જર્મની અને બ્રિટનની તુલનામાં પણ વધારે છે. એટલે મહિલાઓમાં પ્રતિભાની ખોટ નથી.

તો પછી મહિલાઓની સંખ્યા વિજ્ઞાનના સંશોધન ક્ષેત્રે ઓછી કેમ છે ? સૌથી મોટું કારણ તો સમાજનું મહિલા વિરોધી વલણ અને પિતૃસત્તાત્મક માનસિકતા છે. ઘર ગૃહસ્થી, માતૃત્વ અને બાળઉછેરનો સ્ત્રીના માથે થોપી દીધેલો બોજ, રોજગારમાં થતો અન્યાય,  રૂઢિવાદી લૈંગિક ધારણાઓ, વધુ મહેનત અને જ્ઞાનનાં કામો પુરુષો જ કરી શકે તેવી ખોટી માન્યતા જેવાં કારણોને લીધે પણ મહિલાઓનું પ્રમાણ બહુ ઓછું હોય છે. ઈસરોના ૨૦૧૬-૧૭ના એન્યુઅલ રિપોર્ટ પ્રમાણે અંતરિક્ષ વિભાગમાં સાયન્ટિફિક એન્ડ ટેકનિકલ કેટેગરીમાં કુલ ૧૨,૩૦૦ વૈજ્ઞાનિકોમાં ૧,૮૯૦ મહિલાઓ છે. અર્થાત માંડ છ ટકા. જો સંશોધનોમાં જ પ્રવેશ વર્જ્ય હોય તો પછી પુરસ્કારમાં તો ના જ હોય ને ? વળી પુરસ્કારોમાં પારદર્શિતાનો અભાવ પણ તેમને વંચિત રાખે છે.

ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના અહેવાલ પ્રમાણે હવે વિજ્ઞાનના સંશોધન ક્ષેત્રે મહિલાઓનું પ્રમાણ વધી રહ્યું છે. વર્ષ ૨૦૦૦-૦૧માં વિજ્ઞાન સંશોધનમાં ૧૩ ટકા જ મહિલાઓ હતી જે ૨૦૧૮-૧૯માં વધીને ૨૮ ટકા થઈ છે. STEM( સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરીંગ અને મેથ્સ)ના શિક્ષણમાં મહિલાઓનો પ્રવેશ વધે તે માટે સરકાર પ્રયાસરત છે. શિક્ષણ પ્રધાના ધર્મેન્દ્ર પ્રધાનના જણાવ્યા મુજબ ૨૦૧૭-૧૮માં સ્ટેમ એજ્યુકેશનમાં ૧૦.૦૨ લાખ મહિલાઓ હતી, જેમાં બે વરસ પછી ૨૦૧૯-૨૦માં ૫૪ હજારનો વધારો થયો છે. જો કે આ  જ વરસે આ ક્ષેત્રે મહિલા રોજગારીની ટકાવારી ૧૪ ટકા જ હતી. તેથી નોકરી અને  ડિગ્રી વચ્ચે ઘણું મોટું અંતર છે.

જરૂરિયાત એ શોધખોળની જનની છે તે કહેવત પ્રમાણે ભારતીય સમાજમાં ઘરકામથી આરોગ્ય સુધીના કામોમાં મહિલાઓને જ વધુ શોધખોળ અને વિકલ્પોની જરૂર છે. ઘણી મહિલાઓએ આ બાબતે કામ કર્યું છે. પરંતુ તેમના યોગદાનને કોઈ મહત્ત્વ મળ્યું નથી. હવે મહિલાઓનાં વિજ્ઞાન ક્ષેત્રે યોગદાનની માહિતી આપતામ પુસ્તકો પ્રગટ થયાં છે. એટલે તે ખોટ પૂરી થશે.

રોયલ સોસાયટી ઓફ લંડનની સ્થાપના ૧૬૬૩માં થઈ હતી પરંતુ ૨૮૧ વરસ પછી ૧૯૪૪માં પહેલી મહિલા ફેલો બની હતી. ૧૬૬૬માં સ્થપાયેલી પેરિસ એકેડેમી ઓફ સાયન્સિસમાં મહિલાને પહેલો પ્રવેશ ૩૧૩ વરસ પછી ૧૯૭૯માં મળ્યો હતો. પરંતુ ભારતમાં ૧૯૩૪માં સ્થાપના થયાના બીજા જ વરસે (૧૯૩૫માં) ઇન્ડિયન એકેડેમી ઓફ સાયન્સિસે ઈ.કે.જી. અમ્માલને ફૈલો તરીકે પસંદ કર્યાં હતાં. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ઓફ ઇન્ડિયા(સ્થાપના ૧૯૩૫)માં ૧૯૯૫-૯૬માં ડો. મંજૂ શર્મા પ્રેસિડેન્ટ તરીકે પસંદ થયાં હતાં.

સામાજિક વિજ્ઞાનના સંશોધનોની તુલનામાં ભારતમાં વૈજ્ઞાનિક સંશોધનોમાં રાજકીય ચંચૂપાત ઓછો છે કે તે થોડો વધુ લોકતાંત્રિક છે તે બાબત વખાણવા યોગ્ય છે. મહિલાઓના પ્રવેશથી તે વધુ લોકતાંત્રિક બની શકે છે. જો કે ઈસરોના અત્યાર સુધીના તમામ ચેર પર્સન પુરુષો જ છે. તે મહેણું પણ આપણે ભાંગવાનું છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

વચલી અને નીચલી જાતિઓ સંદર્ભે આજે સાંભરે છે લોહિયા

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|12 October 2023

રાજ્યોમાં ચૂંટણી જાહેરાત 

એમને આ એક મુદ્દામાં સમેટ્યા સમેટાય એમ નથી. એ સાત ક્રાંતિના ઉદ્ગાતા હતા અને સિવિલ નાફરમાનીના સત્યાગ્રહીના ખયાલને ધોરણે ગાંધીના બગાવતી બેટા હતા

રામ મનોહર લોહિયા

અગિયારમી ઓક્ટોબર જેપી જયંતી ગઈ, અને આજે બારમીએ લોહિયા સ્મૃતિઃ રામ મનોહર લોહિયાએ બિનકૉંગ્રેસવાદનો વ્યૂહ બનાવ્યો અને 1967માં એક તબક્કા ચંડીગઢથી કલકતા(કોલકાતા)ના રેલ પ્રવાસમાં તમારે કાઁગ્રેસશાસિત રાજ્યમાંથી પસાર થવું ન પડે એવો જોગ બની આવ્યો હતો. અલબત્ત, એ ચાલચલાઉ પણ સાદા અંકગણિતનો મામલો હતો, જેમાં નાના દેશમુખ ને દીનદયાલ ઉપાધ્યાય આદિ સહભાગી હતા. લોહિયા એ પછી તરત ગયા, પણ પેલું અંકગણિત તે પછીનાં વરસોમાં જયપ્રકાશ અને બિહાર આંદોલનને પ્રતાપે કંઈક રાસાયણિક પરિમાણ હાંસલ કરી શક્યું અને નકરા બિનકાઁગ્રેસવાદને બદલે જનતા રાજ્યારોહણના યશસ્વી અલબત્ત ટૂંકજીવી પ્રયોગની ભોં ભાંગી શક્યું.

બિનકાઁગ્રેસવાદ તો માનો કે એક વ્યૂહાત્મક રણનીતિગત વાત હતી, પણ સમાજવાદ-સામ્યવાદને કારણે આપણી વર્ગસભાન રાજનીતિને વર્ણ વિશે, ખાસ કરીને વચલીનીચલી જાતિઓને એમાં સમાવેશકારી બનાવવાની વિચારણા એમને આભારી છે. આપણે ત્યાં સમતાલક્ષી નવવિધાન વાસ્તે માત્ર વર્ગસીમિત ચિંતને નહીં અટકતાં સામાજિક વાસ્તવને લક્ષમાં લેવાનું એમને અનિવાર્ય લાગતું.

સામાજિક ન્યાયની આ રાજનીતિએ લાલુ, નીતિશ, મુલાયમ તરેહના નવા નેતૃત્વને સારુ અવકાશ સરજ્યો. તેઓ સત્તા લગી પહોંચ્યા તે પૂર્વે કેટલીક કામગીરી સામાજિક ઇજનેરીની રીતે કર્પૂરી ઠાકુરે ઠીક હાથ ધરી હતી. સ્થાપિત પરિસ્થિતિમાં ઊથલપાથલ થવા લાગે ત્યારે કેવા પ્રત્યાઘાતો પડે છે એનું એક અચ્છું નિદર્શન તે ગાળામાં બિહારમાં બોલાતા એ મતલબના સૂત્રમાં જોવા મળે છે કે સવર્ણ-દલિત ભાઈ ભાઈ, બીચમે પિછડી જાતિ કહાં સે આઈ!

તમે જુઓ કે 1992ના ડિસેમ્બરની છઠ્ઠી પછી ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ આદિ પાંચ રાજ્યોની ચૂંટણી વખતનું ભા.જ.પ.નું ઉમંગી સૂત્ર – ‘આજ પાંચ પ્રદેશ, કલ સારા દેશ’ – ભોંઠું પડ્યું હતું, કેમ કે, મુલાયમ ને માયાવતી વાટે કથિત વચલીનીચલી જાતિઓ એકત્ર આવી અને હિંદુત્વ રાજનીતિ પર એ ભારે પડી હતી. ઉમા ભારતી ને ગોવિંદાચાર્યે આ વાનું પકડ્યું અને ચાલ, ચરિત્ર, તહેરો બદલવાં પડશે તે સ્વીકાર્યું, અને ભા.જ.પી. રણનીતિએ આગળ ચાલતાં મંડલમંદિર યુતિનો અભિગમ લીધો.

તેમ છતાં, સ્વાભાવિક જ, હજુ વિશાળ સમૂહ લગી પહોંચી શકાયું નથી. આર્થિક – સામાજિક  ન્યાયની રાજનીતિનો વિકલ્પ કંઈ કોમી ધ્રુવીકરણની રાજનીતિ તો હોઈ શકે નહીં. બિહારમાં નીતિશકુમારે જે સરવે કરાવ્યો એમાં 27 ટકા ઓ.બી.સી. ને 36 ટકા ઇ.બી.સી. એ આપણું દુર્દૈવ વાસ્તવ છે. આ સરવે સામે ભા.જ.પ.નો પ્રતિભાવ ગ્વાલિયરમાં બોલતાં વડા પ્રધાને કહ્યું તેમ સમાજમાં ભાગલા પડાવવાની પેરવીનો છે. યોગી આદિત્યનાથે યુ.પી.માં આવા કોઈ સરવેની ગણતરી નથી તેમ કહ્યું છે.

બે દિવસ પર જ પાંચ રાજ્યોમાં ચૂંટણી તારીખો જાહેર થઈ. ત્રીજી ડિસેમ્બરે પરિણામો આવશે ત્યારે, બને કે, ચિત્ર કંઈક ઉઘડે કે સામાજિક ન્યાયનું ક્ષેત્ર વિસ્તારવાની ઇન્ડિયા બળોની ભૂમિકા અને મંડલમંદિર યુતિની પૃષ્ઠભૂ છતાં ક્ષેત્રવિસ્તાર બાબતે ભા.જ.પ.ની દ્વિધાવિભક્ત ભૂમિકા અંગે મતદારો કેવીક રૂખ પ્રગટ કરે છે.

જયપ્રકાશ નારાયણના સંપૂર્ણ ક્રાંતિ આંદોલનનો કે રામ મનોહર લોહિયાના સપ્ત ક્રાન્તિ વલણનો પ્રભાવ આ બધી નાનીમોટી અલગ અલગ ઓળખોને સમતા ને ન્યાયને માર્ગે ‘નાગરિક’માં સ્થાપી શકે તે શક્ય છે. ભા.જ.પ. એની ઉછેરગત વાસ્તવિકતા જોતાં તે સૌને ‘હિંદુ’માં સ્થાપે તે શક્ય બલકે સહજ છે. ગાંધીની સત્યાગ્રહી ભૂમિકા અલબત્ત આ બધાને લાંઘી જતી વાત છે.

ચૂંટણીજાહેરાતવશ લોહિયાને એક મુદ્દામાં સમીતિ કરીને જોયા, પણ એમનું પ્રદાન અને ચિંતન બેઉ અસાધારણ છે. માર્ટિન લ્યુથર કિંગની સિવિલ રાઇટ્સ ચળવળમાં રોઝા પાર્ક્સનો બસ સત્યાગ્રહ, પોતાની બેઠક ગોરી જોહુકમીથી ખાલી નહીં કરવાનો શિવસંકલ્પ, એક મહત્વની ઘટના લેખાય છે. 1955માં અમેરિકાની મુલાકાત દરમિયાન એક વિચારશિબિરમાં લોહિયાએ ગાંધી અને સિવિલ નાફરમાની વિશે જે સમજાવ્યું હતું તેનું એ સીધું પરિણામ હતું, તેમ ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’માં ભારતવિદ રુડોલ્ફ દંપતીએ નોંધ્યું છે. તમે ક્યાં ક્યાં નથી, લોહિયા !

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 11 ઑક્ટોબર 2023

Loading

...102030...815816817818...830840850...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved