Opinion Magazine
Number of visits: 9457523
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્થપતિઓ શહેર છેડે થોડાં ખંડેરો ચણી દો ને 

યોગેશ પટેલ|Diaspora - Features, Opinion - Opinion|26 October 2023

[ગુજરાતી સાહિત્ય અકાદમી’ને ઉપક્રમે, શનિવાર, 07 ઑક્ટોબર 2023ના યોજાઈ ઑનલાઈન સભામાં, યુનાઇટેડ કિંગ્ડમમાં ચાળીસ વર્ષમાં રચાયેલાં વિવિધ ગુજરાતી સાહિત્ય સ્વરૂપોનાં લેખાંજોખાં કરતાં પુસ્તક ‘ચાળીસીએ ઓચ્છવ’નું લોકાપર્ણ અવસરના અતિથિ વિશેષ યોગેશભાઈ પટેલનું પ્રવચન]

•

આમંત્રણ બદલ આભાર. 

યોગેશ પટેલ

ઇતિહાસની વાત કેતનભાઈએ કરી તેના સંદર્ભે મારે એક વાત ઉમેરવી છે. ઇતિહાસ લખવા બેસીએ તો આપણે ઘણું કહેવું હોય, અને તેથી જ ઘણું રહી જાય. કહેવાનો આશય એ છે કે આ પુસ્તકમાં પણ થોડી ઓછપ રહી ગઈ હોય તે શક્ય છે. ફરિયાદ ના કરાય. કારણ કે આ પુસ્તક એક દસ્તાવેજી નોંધ છે. તમને સૌને અભ્યાસપૂર્ણ લેખો બદલ અભિનંદન આપવા જ પડે. કામ ઘણું સારું થયું છે અને તમને જે ઉપલબ્ધ માહિતિ છે તેના પરથી તમે સૌએ એનું વિશ્લેષણ પણ સારુ કર્યું છે. 

સ્વાભાવિક રીતે મારા મનમાં જ્યારે અકાદમીની કલ્પના આવી ત્યારે મેં અને કુસુમબહેન શાહે શરૂ કરેલા મંડળથી આગળ વધી ખૂબ કામ થાય એવી ઝંખના હતી. સાથેસાથે મારું કામ અમુક હદ સુધી જ રહે તે વિશે હું જાગૃત હતો. તેથી ૧૯૭૭માં જ્યારે અકાદમીની સ્થાપના કરી ત્યારથી મેં પાર્શ્વમાં ભૂમિકા રાખી. વિપુલભાઈ જેવો મશ્કેટિયર તમને મળી જાય તો કાર્ય ઘણું સરળ થઈ જાય. ૧૯૭૪માં હું જ્યારે આ દેશમાં આવ્યો ત્યારે અહીં કશી પ્રવૃત્તિ ન હતી. એક મંડળ જેવું કશું ઊભુ કરવાનો પ્રયત્ન થયેલો, પરંતુ તે પણ ખોરવાયેલું હતું. ભારતથી હું ગુજરાતી સાહિત્યનાં ઊહાપોહના વાતાવરણમાંથી આવેલો. સુરેશ જોષી મારા ગુરુ અને રતિલાલ ‘અનિલ’ મુરબ્બી. ‘કંકાવટી’ના દફતરમાં અમે લેખકો દર રવિવારે મળતા. બધાને ખબર તેથી બારગામથી આવીને મિત્રો જોડાતા. ભાગ લેતા. આમ અમે સાહિત્યની ખૂબ ચર્ચાઓ કરતા. ખૂબ વાંચતા. ખૂબ વિશ્લેષણ કરતા. એમાંથી જે શીખીને આવ્યો હતો તે લઈને આવ્યો હતો. હું માત્ર અંગ્રેજી સાહિત્યના પોસ્ટ-કોલોનિયલ પ્રવાહમાંથી જ નહોતો આવ્યો. તેથી નયનાબહેને અહીંના સાહિત્યકારો વિષયક જે હાંસિયાનો ઉલ્લેખ કર્યો છે તે હું સમજી શકું છું. આનો પડઘો ‘અસ્મિતા’ સામયિકની મારી ઘણી પ્રસ્તાવનાઓમાંથી તમને મળી આવશે. એમાં ઉઠાવેલા સવાલો હજુ બદલાયા નથી. તેથી જ અનિલભાઈ વ્યાસે જે ત્રણચાર મુદ્દા પ્રતિ આપણી આંગળી ચીંધી છે તે અગત્યના છે. 

તો એક બે ઉદાહરણ જે નથી તે જોઈએ. 

તમને કદાચ મારા વાર્તાસંગ્રહ ‘પગલાંની લિપિ’ના મહત્ત્વ વિશે ખબર નહિ હોય, પરંતુ તમને આશ્ચર્ય થશે કે એંશીના દાયકાના ત્રણ ગુજરાતી ઉત્તમ વાર્તાસંગ્રહમાં એને પસંદ કરી, લગભગ નેવુમાં ભરાયેલ ‘ગુજરાતી સહિત્ય પરિષદ’ના જ્ઞાનસત્રમાં, એને વિશે ચર્ચા થયેલી, જે ‘પરબ’ના અંકમાં પ્રગટ થયેલી. મારા અહીં કાવ્યસંગ્રહને બ્રિટનની આર્ટ કાઉન્સિલે પુરસ્કાર આપ્યો હતો. બીજી કોઈ ભાષા માટે એ પહેલી વાર બન્યું. આ દેશમાં ‘ગુજરાત સમાચાર’ દ્વારા વિવેચનનો મેં પહેલીવાર પરિચય કરાવેલો. ડાહ્યાભાઈ પટેલની ખૂબ મહેનત પછી શોઘેલી કવિતાનો આસ્વાદ એમાં વાંચીને ત્યારે રઘુવીરભાઈ પણ કહ્યા વગર ના રહી શક્યા કે ડાહ્યાભાઈની પહેલી વાર એમણે કવિતા વાંચી, જેથી એમને થયું કે એ કવિ છે! 

આવું જ પરીક્ષા યોજના વિશે કહેવાય. જગદીશભાઈ દવેને ક્યારેક પૂછજો. આરંભથી જ જ્યારે અકાદમી રચી ત્યારે પરીક્ષા વિશે વિગતે વિચારેલું. હું અકાદમીથી દૂર હતો ત્યારે પણ વિપુલભાઈ લઈ ગયા હતા મુખ્ય પ્રધાનોને મળવા. આવું તો ઘણું ભૂલાયું છે. થાય. સમયનો કારભારો છે. ઘણું છે, પરંતુ એ હવે તમારી યાદીમાં નથી. ધ્યાન એટલે દોરું છું કે ઘણું નથી લખાતું કારણ કે આપણને ઘણીવાર એ વિદિત નથી હોતું. ઇતિહાસનો એ સ્વભાવ છે કે તે સબ્જેક્ટિવ હોય છે, ઑબ્જેક્ટિવ નથી હોતો. આજકાલના અભિપ્રાય પરસ્ત પત્રકારની  જેમસ્તો! સત્ય, સત્ય નથી હોતું; ગાંધીજીની વાત ખોટી છે, સત્ય માત્ર વ્યક્તિગત હોય છે. તેથી જરૂર ચેતજો. અંગ્રેજોએ આપણો ઇતિહાસ લખાવ્યો, પણ પછી એને સુધારવાની વાત આવે ત્યારે રાજકારણ શરૂ થઈ જાય ‌ ‌છે! મારો અહીં રાજકારણનો આશય નથી. જે ભેગુ થયું છે તેમાં ઉમેરો. સ્વપ્ન મારું, પાયો મારો પરંતુ મહેનત વિપુલભાઈની, સાથે કુસુમબહેનનો ટેકો, અને ડાહ્યાભાઈનો આર્થિક સથવારો, તે આ અકાદમી. પંકજ વોરાનો પ્રવેશ, પછી વિપુલભાઈનો. વિપુલભાઈ વ્યાપક અર્થમાં સંગઠન કરી શકે. અકાદમી ભલે મેં કલ્પી, પણ વિપુલભાઈ વગર એ જે છે તે ના જ હોઈ શકે. કારણ કે એ સાચા અર્થમાં ભેખધારી છે. વિપુલભાઈની ધગશ અને અન્યને માટેની કર્મઠતા એ એક શક્તિ હતા. અકાદમીના પ્રલંબનું એ જ રહસ્ય છે. કુસુમબહેન અને મેં પસંદ કરેલ માર્ગ અમારી ધારણા મુજબ વિપુલભાઈએ જીવંત રાખ્યો છે.

તેથી જ એમનું સન્માન આ પુસ્તકમાં સામેલ છે તે યોગ્ય છે.

અંતે નયનાબહેન પટેલથી એક ડગ આગળ જઈ ને અફસોસ પ્રગટ કરવો છે કે જે ગુજરાતી સાહિત્યકારો પરદેશના ગુજરાતી સાહિત્યકારોને નીચી નજરે જુએ છે. તેમને પૂછો, બંધુઓ તમે શું કર્યુ છે? ગુજરાતી સાહિત્યને સુરેશ જોષી પછી આગળ વધારવા શું નવું કર્યું? વૉન્ડલ નદીમાં પૅનીવૉર્ટ નામની વીડનો અત્યારે ઉપદ્રવ છે. શું ગુજરાતી સાહિત્યમાં ગઝલ પૅનીવૉર્ટ બની છે?

અને એ પણ નોંધવુ રહ્યુ કે અમે અંગ્રેજીમાં લખનારા ભારતીયોને જુદો અનુભવ છે. ભારતના અંગ્રેજી લેખકો અમારી ખૂબ મહેનત પછી પ્રાપ્ત થયેલ સફળતાને માન આપે છે. ખૂબ અભ્યાસ અને વૈશ્વિક સાહિત્ય લક્ષી જાગૃતિ અને તેનાં ગતિવિધિ-પ્રવાહોનું જ્ઞાન જરૂરી છે. 

અને છેલ્લે એક કવિતા …

આ ઉપદ્રવમાં

રેતીના માનવો

શીશીમાં એમનો સમય

સમજવાને બદલે

ખંડેરોને તોડી

પોતાની પેઢી ભૂલીને

શીદના માવડિયા હોવાનો

ઢોંગ કરી

તાંડવ રચવા ઊભા થઈ ગયા છે?

સારું છે થોડા માણસો હજુ

નવાં ખંડેરો ઊભા કરવા ઝઝુમે છે.

આ સાથે ઉમાશંકરભાઈની એક પંક્તિ યાદ આવે છે; સ્મૃતિદોષની શક્યતા છે.

સ્થપતિઓ શહેર છેડે થોડાં ખંડેરો ચણી દો ને 

એમાં એમણે એ જ વાત કરી છે. એમના મનમાં કદાચ અમદાવાદ હશે. જે પ્રજા પાસે ઇતિહાસ નથી તે પ્રજાની ઓળખ શી?

તમારા આ આહવાનને મારી શુભેચ્છા … ઈતિ અલમ

Loading

ચાળીસીએ ઓચ્છવ

કેતન રુપેરા|Diaspora - Reviews, Opinion - Opinion|26 October 2023

વિહંગાવલોકી સમાલોચના[i]

અકાદમી પ્રમુખશ્રી વિપુલ કલ્યાણી, જેમની ઉપસ્થિતિમાં અને જેમના હસ્તે ‘ચાળીસીએ ઓચ્છવ’ પુસ્તકનું લોકાર્પણ થવાનું છે એવા શ્રી યોગેશભાઈ પટેલ અને શ્રી કાન્તિભાઈ નાગડા, અકાદમીનાં સૌ હોદ્દેદારો-સભ્યો અને ઓનલાઇન જોડાયેલા સૌ સાહિત્ય-રસિકો …

‘ચાળીસીએ ઓચ્છવ—યુનાઇટેડ કિંગ્ડમમાં ચાળીસ વર્ષમાં રચાયેલાં વિવિધ ગુજરાતી સાહિત્ય સ્વરૂપોનાં લેખાંજોખાં’ નામે આ પુસ્તકના સંપાદક તરીકે, આમ તો ‘સંપાદકીય’ લખ્યા પછી નવું કશું કહેવાનું રહેતું નથી.

કેતન રુપેરા

ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યની આ સંપાદકની કંઈક સમજણ છે એવું માનીને ગુજરાતી સાહિત્ય અકાદમીએ અને પ્રમુખશ્રીએ ‘વિહંગાવલોકી સમાલોચના’ કરવાનું કહ્યું છે — એ બાબતે મારે કહેવું જોઈએ કે ડાયસ્પોરા સાહિત્ય અંગે પાયાની કેટલીક સમજણ પછી, જે સમજણ વધી છે એ પણ ખુદ અકાદમીએ સોંપેલાં પુસ્તકોનું સંપાદન કરતાં કરતાં જ; અને એવું જ સંપાદન માટે પણ કહી શકાય. જે સંપાદનક્ષમતા વિપુલભાઈએ જે તે તબક્કે ભાળી હશે અને એ જોઈને એક પછી એક પુસ્તકોનાં કામ[1] સોંપતાં ગયાં … એ કામ કરતાં કરતાં વિકસેલી ક્ષમતાથી જ પછીનાં પુસ્તકોમાં સંપાદન થયું.

આમ, ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય માટેની સંપાદકીય સમજણ અને એ સંબંધિત પુસ્તકો, બંને સમાંતરે અને એકમેકના સહયોગથી આગળ વધ્યાં છે. આદાન અને પ્રદાન — બંને બાજુએથી સતત ચાલું રહ્યું છે.

આદાનપ્રદાનના આ ક્રમ-ઉપક્રમને આગળ વધારતાં જો બ્રિટનમાં સર્જાયેલા વિવિધ સાહિત્ય સ્વરૂપોની સમાલોચના કરવાની થાય તો અભ્યાસની રીતે એ પીએચ.ડી. – વિદ્યાવાચસ્પતિથી ઓછાં સમય અને સજ્જતા માગી લેતો વિષય ખરેખર જ નથી.

… અને આમ લાગે છે તો તેનાં માટેનાં ભૌગોલિકથી લઈને સાંસ્કૃતિક કારણો પુસ્તકના સંપાદકીયમાં લખ્યાં છે, એટલે તેને અહીં દોહરાવતા નથી, એ એક વાત.

‘ચાળીસીએ ઓચ્છવ’ મુખપૃષ્ઠ

અને બીજી, કેટલીક વાતો-વિગતો જે અનેક વખત ચર્ચાઈ ચુકી છે, લખાઈ ચુકી છે કે ‘ડાયસ્પોરા સાહિત્ય એટલે શું’, ‘‘ખરા અર્થમાં’ ડાયસ્પોરા સાહિત્ય એટલે શું?’  ‘ભૌગોલિક રીતે દૂરદેશાવરમાં બેસીને લખાયું એને ડાયસ્પોરા સાહિત્ય કહેવાય કે વતનમાં છતાં ડાયસ્પોરિક લાક્ષણિકતા પ્રગટ કરતું હોય એને ડાયસ્પોરા સાહિત્ય કહેવાય … ?’ વળી, એનાં વિવિધ સ્વરૂપો વગેરેની ભાષાભિવ્યક્તિથી લઈને એની શાસ્ત્રીયતા, વ્યવહારુતા, એની કક્ષા, એનું ઊંડાણ … વગેરેની ચર્ચાથી હું મુક્ત રહીશ.

કેમ કે ગુજરાતમાં બેસીને એ અંગે હું કંઈક એવું કહી શકું કે જે યુ.કે. સહિત વિશ્વભરના અન્ય દેશોમાંથી ઓનલાઇન જોડાયેલા ડાયસ્પોરા લેખકો-સાહિત્યકારોને ખબર ન હોય, એ શક્ય નથી.

… તો, અભ્યાસની કે વક્તવ્યની મર્યાદારૂપી આ પાળ બાંધી દીધા પછી જે વિચાર આવે છે તેને એક શૅરિંગ કે ગમતાનો ગુલાલ તરીકે જોઉં છું. તે શું?

એ વિચાર કરતાં લાગે કે ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય આજના જે સ્વરૂપે-સ્તરે પહોંચ્યું છે તેમાં પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે ભૂમિકાઓ જણાઈ આવે છે. પહેલાં પરોક્ષ ભમિકાની વાત કરીએ.

પરોક્ષમાં મુકી શકાશે આફ્રિકાની ગુજરાતી વસાહતનું પત્રકારત્વ અને સાહિત્ય.

બ્રિટનના સાહિત્યની વાત કરતાં “આફ્રિકા કેમ?” એવો પ્રશ્ન મોટા ભાગના લોકોને નહીં જ થયો હોય. કેમ કે આપણે જાણીએ છીએ કે હાલ બ્રિટનમાં વસતા ગુજરાતીઓનો મોટો સમૂહ સીધા ગુજરાતથી ગયેલા ગુજરાતીઓ કરતાં, વાયા આફ્રિકા બ્રિટનમાં વસેલા ગુજરાતીઓની પહેલી, બીજી અને ત્રીજી પેઢીનો વધારે છે. … અને આફ્રિકાની વાત કરતાં પહેલું નામ આવે ‘ઇન્ડિયન ઓપીનિયન’, મો.ક. ગાંધીના અધિપતિપણા હેઠળ નીકળેલું ‘ઇન્ડિયન ઓપીનિયન’. અહીં અધિપતિપણા હેઠળ એટલા માટે કે ‘ઇન્ડિયન ઓપીનિયન’ ગાંધીભાઈએ પોતાની કમાયેલી મૂડીથી શરૂ કરેલું પણ એમાં ક્યારે ય તંત્રી તરીકે પોતાનું નામ મુક્યું નહોતું. વિવિધ તબક્કે હેન્રી પોલાક, આલ્બર્ટ વેસ્ટ અને પાછલા અરસામાં મણિલાલ ગાંધી એના તંત્રી રહ્યા …

મહત્તમ ગુજરાતીઓનું બ્રિટનાગમન વાયા આફ્રિકા

‘ઇન્ડિયન ઓપીનિયન’ના ઉદ્દેશો જાહેર કરતાં ગાંધીભાઈએ લખ્યું હતું કે “સમ્રાટ એડવર્ડની યુરોપિયન અને હિંદી પ્રજાઓને એકમેકની વધારે નજીક લાવવી; જાહેર મતનું ઘડતર કરવું; ગેરસમજનાં કારણો દૂર કરવાં; હિંદીઓ સમક્ષ તેમના પોતાના દોષો રજૂ કરવા; અને તેઓ જ્યારે પોતાના હકો મેળવા માટે આગ્રહ રાખે છે ત્યારે તે સાથે તેમને તેમના કર્તવ્યનો માર્ગ ચીંધવો.”

૧૯૦૧માં ભારત પરત ફરતાં પહેલાં પારસી રુસ્તમજીના ઘરે ગાંઘીભાઈનો વિદાય સમારંભ, ડર્બન

આ ઉદ્દેશ જો ધ્યાનથી વાંચીએ-સાંભળીએ અને બ્રિટન તથા ગુજરાતીઓ એવો સહસંબંધ સ્થાપીએ તો ગુજરાતીઓનો (કે વ્યાપકપણે હિંદીઓ-ભારતીયોનો) બ્રિટન, બ્રિટિશ હકુમત, બ્રિટિશ પ્રજા સાથેનો સંબંધ સ્પષ્ટ થઈ જાય છે કે ગાંધીજી દ્વારા ભલે જે તે અરસામાં દક્ષિણ આફ્રિકામાં આ માટેના પ્રયત્નો થયા હતા પણ આજના બ્રિટનમાં આ ઉદ્દેશ ઘણો ખરો પાર પડ્યો છે.

બ્રિટનમાં વસતા હિંદીઓમાં જાહેર મતનું ઘડતર થયું છે. હિંદી અને બ્રિટિશ પ્રજા વચ્ચે ગેરસમજનાં કારણો દૂર થઈ રહ્યાં છે. હિંદીઓ-ગુજરાતીઓ પોતાના હકો મેળવવા માટે તેમનું કર્તવ્ય પણ બજાવી રહ્યા છે …, પરંતુ વક્તવ્યનો આપણો વિષય સાહિત્ય અને એની આસપાસ છે, એટલે અહીં સ્પષ્ટતા કરવી જોઈશે કે ગાંધીજીનું ‘ઇન્ડિયન ઓપીનિયન’ એ સાહિત્યિક અખબાર ન જ હતું, મુખ્યત્વે પત્રકારત્વના દૃષ્ટિકોણનું અખબાર હતું એટલે આફ્રિકાની રાજદ્વારી બાબતો, હિંદુસ્તાનના સમાચાર, અહેવાલો વગેરે મુખ્યપણે હતાં, પરંતુ પત્રકારત્વ અને સાહિત્ય, બંનેનો ઉદ્દેશ જ્યાં મળે છે તે લોકશિક્ષણ, લોકઘડતર છે. અને એ ભૂમિકા ‘ઇન્ડિયન ઓપીનિયન’ પોતાના વિષય વૈવિધ્યથી સુપેરે પાર પાડતું હતું.

મો. ક. ગાંધીના અધિપતિપણા હેઠળનું 
‘ઇંડિઅન ઓપિનિઅન’, નમૂના દાખલ અંક – ૦૪-૦૨-૧૯૦૫

સ્વચ્છતા, આરોગ્ય, ધર્મ, ચરિત્ર લેખન સંબંધિત લખાણો અને હિંદી પ્રજાએ અન્ય ભાષામાં પ્રકાશિત થયેલાં છતાં વાંચવા જોઈએ એવા વિષયના અનુવાદો પણ ‘ઇન્ડિયન ઓપીનિયન’માં જોવા-વાંચવા મળે છે. આફ્રિકા બેઠા એમણે એ જમાનામાં અમેરિકાના બુકર ટી. વોશિંગ્ટન, રશિયાના ટોલ્સ્ટોય, ઇટાલીનાં ફ્લોરેન્સ નાઇટિંગેલ, ગ્રીસના સોક્રેટિસ, ઇજિપ્તના કમાલ પાશા અને ભારતના ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવાં કેટલાં ય ચરિત્રો આલેખ્યા હતા.

‘ગાંધીજીનો અક્ષરદેહ’ના ત્રીજા ખંડમાં એના સંપાદકે નોંધ્યું છે કે “આ ગાળામાં ગાંધીજીએ અંગત અથવા જાહેર રીતે કરેલાં લખાણો અને વક્તવ્યોનું મુખ્ય લક્ષણ બ્રિટિશ બંધારણમાંનો એમનો એકધારો વિશ્વાસ, બ્રિટિશ રૈયત તરીકે મળતા હકોની કદર, અને બ્રિટિશ સામ્રાજ્ય રાષ્ટ્રોનો એક પરિવાર છે એવો ભરોસો એ છે.” (पृ. ९) નોંધવા જેવી વાત એ છે કે 1901માં જ્યારે ગાંધીભાઈ ભારત આવે છે ત્યારે વિદાયભાષણમાં કહે છે, “દક્ષિણ આફ્રિકામાં આપણને ગોરા લોકોના દેશની કે ગોરા બંધુસમાજની જરૂર નથી પરંતુ એક સામ્રાજ્યના બધા નિવાસીઓના બંધુસમાજની જરૂર છે.” (पृ. १०) એટલે પછી જ્યારે ગાંધીભાઈ દક્ષિણ આફ્રિકા પરત ફરે છે ને 1903માં અખબાર, નામે ‘ઇન્ડિયન ઓપીનિયન’ શરૂ કરે છે, એ પહેલાં ‘એક સામ્રાજ્યના બધા નિવાસીઓના બંધુસમાજની’ ભૂમિકા એમના મનમાં બંધાઈ ગયેલી હોય છે.

આફ્રિકામાં ‘ઇન્ડિયન ઓપીનિયન’ પછી પ્રકાશિત થયેલાં અથવા એની અસર તળેનાં અન્ય પ્રકાશનો મારે જોવાંનાં નથી થયાં. પણ એનાં વિશે જાણવાનું જરૂર થયું છે. ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રીના લેખોનો સંચય સંપાદિત કરવાનો થયો — એક ગુજરાતી, દેશ અનેક … તે વાટે આ અખબારોનો પરોક્ષ પરિચય થયો. ડાહ્યાભાઈનાં જ શબ્દોમાં વાત મુકું : “કેન્યામાં મોમ્બાસાથી પ્રકાશિત થતાં ‘કેન્યા ડેઈલી મેઇલ’ની યાદ આવે અને એ અખબાર વર્ષો સુધી ટકી રહ્યું. એ જ રીતે ટી.એ. ભટ્ટનું ‘આફ્રિકા સમાચાર’ ગુજરાતી વસાહતીઓને સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે દિશાસૂચક બનતું રહ્યું. સાહિત્યિક ભાષાકીય રસરૂચિ કેળવતું રહ્યું. આ પ્રદેશોમાંથી, હાલ, અન્યત્ર વસેલી ગુજરાતી કોમમાં આજે પણ આ અખબારોનાં નામ લેવાયાં કરે છે.” (પ્રકરણ : 38, આફ્રિકાની ગુજરાતી વસાહતનું રાજકારણ અને પત્રકારત્વ) આ બહુ મહત્ત્વનું નિવેદન છે ડાહ્યાભાઈનું. આ પ્રદેશોમાંથી, હાલ, અન્યત્ર વસેલી ગુજરાતી કોમમાં આજે પણ આ અખબારોનાં નામ લેવાયાં કરે છે એટલે આફ્રિકાથી બ્રિટન કે યુરોપના કોઈ પણ દેશમાં ગયેલી પેઢીમાં આ અખબારોનાં નામ હજુ લેવાય છે.

જોમો કેન્યાટા લિખિત Mount Facing Kenyaનું મુખપૃષ્ઠ

ઇંડિઅન ઓપિનિઅન-ટાન્ગાનિકા હેરાલ્ડ-ટ્રાન્ઝિશન

 

આફ્રિકાના દેશોમાં પત્રકારત્વના અગ્રણી નામો પૈકી પ્રાણલાલ શેઠ-મણિલાલ દેસાઈ-રજત નિયોગી

ડાહ્યાભાઈ આગળ લખે છે, “’આફ્રિકા સમાચાર’ના તંત્રીપદે રહેલા હારૂન અહેમદને આફ્રિકાની ગુજરાતી કોમ સહેલાઈથી ભૂલી નહીં શકે. 2003માં વિદાય થયેલા પ્રાણલાલ શેઠ અંગે પણ અનેકો ઋજુભાવે સ્મરણ કરતા રહ્યાં છે. … અન્ય અખબારોમાં ‘ટ્રાન્ઝિશન’, ‘ઇસ્ટ આફ્રિકા ક્રોનિકલ’, ‘કેન્યા ડેઇલી મેઇલ’, ‘હિંદ પ્રકાશ’, ‘ટાન્ગાનિકા ઓપિનિયન’ અને ‘ટાન્ગાનિકા હેરાલ્ડ’ વગેરે રહ્યાં.” મણિલાલ દેસાઈ, જગન્નાથ પંડ્યા, કલ્યાણજી નરસિંહ જાની, હીરાભાઈ વી. પટેલ, રણધીર ઠાકર, રજત નિયોગી વગેરે એનાં તંત્રી કે સંપાદકો હતાં.

જોમો કેન્યાટા લિખિત Mount Facing Kenyaનું મુખપૃષ્ઠ

… અને આફ્રિકાના પત્રકારત્વ અને સાહિત્યની વાત આટોપતાં ડાહ્યાભાઈ છેલ્લે લખે છે, “કેન્યાના જોમો કેન્યાટાએ ગાંધીજીની અસર તળે બ્રિટનના અખબારોમાં લેખો વાટે આઝાદીનો સંદેશો ફેલાવેલો. ગાંધીજીના પુસ્તક ‘હિન્દ સ્વરાજ’નો દાખલો લઈ કેન્યાની પ્રજાનું માનસ દર્શાવવા, જોમો કેન્યાટાએ Facing Mount. Kenya પુસ્તક લખ્યું.”

આ રીતે જે તે અરસામાં જે તે પેઢીને આફ્રિકાનાં પત્રો અને એમાં પ્રકાશિત સામગ્રીનું વાંચન-મનન કરવાનું થયું અને તેનાથી એમનો જે પિંડ બંધાયો અને પછી બ્રિટન જઈને વસવાનું થયું અને ત્યાં વિવિધ સાહિત્ય-સ્વરૂપનું સર્જન થયું … એ રીતે આફ્રિકાના પત્રોની આજના બ્રિટનમાં થયેલા ગુજરાતી સાહિત્યના સર્જનમાં પરોક્ષ ભૂમિકા છે. અને એમાં ય ‘ઇન્ડિયન ઓપીનિયન’ માટે તો કહી શકાય કે ગાંધીજીનું ‘ઇન્ડિયન ઓપીનિયન’ એ માત્ર ગુજરાતી નહીં, સમગ્ર ભારતીય ડાયસ્પોરા સાહિત્યનું પિતામહ છે.

⁕⁕⁕

હવે પ્રત્યક્ષ ભૂમિકાની વાત કરીએ તો તેમાં ઉપલકપણે ચાર વિભાગો પાડી શકાય.

૧. વિપુલ કલ્યાણીનું ‘ઓપિનિયન’

૨. ગુજરાતી સાહિત્ય અકાદમીના ‘અસ્મિતા’ના અંકો અને દશાબ્દી વિશેષાંક ‘આહ્વાન’

૩. બ્રિટનમાં સર્જાયેલાં વિવિધ સાહિત્ય-સ્વરૂપો અંગેનાં પુસ્તકો. જેમાં, કવિતા-વાર્તા-નિબંધો-નવલકથા-આત્મકથા વિશેનાં પુસ્તકોનો ઉલ્લેખ કરી શકાય.

4. ‘ગરવી ગુજરાત’, ‘ગુજરાત સમાચાર’, ‘ગુજરાત ટાઇમ્સ’ વગેરે અખબારોમાં પ્રકાશિત સાહિત્ય-સ્વરૂપો

સમય-મર્યાદાને ધ્યાને લેતાં અત્યારે પહેલાં બે વિભાગોની જ વાત કરીશું.

ત્રીજો, જે પુસ્તકોનો વિભાગ છે તેમાં બળવંત જાની સંપાદિત ડાયસ્પોરા પુસ્તકોની શ્રેણીથી લઈને અન્ય લેખકો-સંપાદકો જેમ કે, વિપુલ કલ્યાણી, દીપક બારડોલીકર, ભાનુશંકર ઓધવજી વ્યાસ, અહમદ ગૂલ, બળવંત નાયક, વલ્લભ નાંઢા, અનિલ વ્યાસ, રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’, રમણભાઈ પટેલ, ભદ્રા વડગામા અને અન્ય ઘણાં નામોનો ઉમેરો થઈ શકે. આ બધાંમાંથી પસાર થઈને તેના વિશેનાં વિચાર-અભિવ્યક્તિ ધોરણે આવવું એ હાલ તો બહુ મોટા ગજાનું કામ બની રહે‌ છે.

ગુજરાતી સાહિત્ય અકાદમી પ્રકાશિત ‘અસ્મિતા’ના કેટલાક અંકો અને દશાબ્દી વિશેષાંક ‘આહ્વાન’નું મુખપૃષ્ઠ

બીજું કે એમાંનું કેટલુંક ‘ઓપિનિયન’ અને ‘અસ્મિતા-આહ્વાન’માં અગાઉ પ્રકાશિત થયેલું છે, એટલા પૂરતું એને અલંગ ચર્ચાનો વિષય રાખીએ છીએ.

ચોથો વિભાગ, ‘ગરવી ગુજરાત’, ‘ગુજરાત સમાચાર’, ‘ગુજરાત ટાઇમ્સ’ વગેરે અખબારોમાં આવતી પૂર્તિઓમાં પ્રકાશિત કવિતા, નવલિકા કે અન્ય સાહિત્ય-સ્વરૂપો હાલ પૂરતા પહોંચની બહાર હોઈ એમાં પ્રવેશી શકાયું નથી. ભવિષ્યમાં કોઈ નિમિત્તે એ અલગ ચર્ચાનો વિષય પણ બની શકે.

વિપુલ કલ્યાણીના તંત્રીપણા હેઠળ પ્રકાશિત 
‘ઓપિનિયન’ સામયિક વિવિધ તબક્કે, વિવિધ સ્વરૂપે 

એટલે, હાલ, પહેલાં ‘ઓપિનિયન’.

2003-2005માં પત્રકારત્વના અભ્યાસ દરમિયાન ‘ઓપિનિયન’નો સૌપ્રથમ વખત પરિચય થયો એ વાતને વીસેક વરસ થઈ ગયાં. એટલે ‘ઓપિનિયન’ વિશે ચોક્કસ જ સ્વતંત્ર અવલોકન મૂકી શકાય, પણ જેણે ‘ઓપિનિયન’ને એનાં આરંભકાળથી જોયું-વાંચ્યું હોય એવી કોઈ વ્યક્તિનું આલેખન ટાંકું તો એ આંખે દેખ્યો અહેવાલ પણ બની રહેશે.

‘ઓપિનિયન’નાં 20 વર્ષ પૂરાં થવામાં હતાં ત્યારે ડાહ્યાભાઈએ ‘ઓપિનિયન’ના જ એક લેખમાં લખ્યું હતું, “સામયિકની શરૂઆતના દિવસોમાં કેટલાક લોકોએ અદેખાઈમાં આવી જઈ, સામયિકનું ‘બાળમરણ’ ભાખ્યું હતું, પરંતુ તંત્રીની હિંમત-ધગશ અને પત્રકારત્વ પરત્વેનો પ્રેમ, તેમ જ મિત્રો-લેખકો-વાચકોના સાથસહકારથી, સામયિક બે બે દાયકાઓથી નિયમિત રીતે પ્રગટ થતું રહ્યું છે.” આ 2014માં લખાયેલા લેખની વાત છે. એટલે હવે તો ત્રણ દાયકા થવા આવ્યા એમ કહેવું જોઈશે.

ડાહ્યાભાઈ આગળ લખે છે, “લગભગ પંદર વર્ષ સુધી સામયિક મુદ્રિત થઈને દર મહિનાની ૨૬ તારીખે નિયમિત પ્રકાશિત થતું રહ્યું. બસો ઉપરાંત લવાજમી ગ્રાહકો સમેતના અનેક વાચકો સુધી તે પહોંચતું કરાતું હતું. ત્યાર પછીના ડિજિટલ અવતાર(2010)માં પણ બહોળા વાચકો મળ્યા. સામયિકના આ બંને સ્વરૂપોમાં, દરેક અંક અમુક નિશ્વિત કથાવસ્તુ લઈને આવતો. હવેના ત્રીજા અવતારમાં opinionmagazine.co.uk થકી, on-line સામયિકે પણ દુનિયાભરમાં બહોળો વાચકવર્ગ મેળવ્યો છે.”

આ ત્રીજા અવતારમાં પછી તો, બીજી પણ કેટલીક સુવિધાઓ ઉમેરાઈ છે. સાંપ્રત ઘટનાઓને લગતા લેખો Opinion મથાળા હેઠળ ઉપરાંત. Diaspora અંગે વિશેષ વિભાગ, Gandhiana નામે દુનિયાના કોઈ પણ ખૂણેથી આવતી ગાંધીજી અને ગાંધીવિચાર વિષયક સામગ્રી, Poetryમાં કાવ્યો.  તળ ગુજરાત વિષયક Samantar Gujarat વિભાગ, અને આમાંનું કશું પણ જો અંગ્રેજીમાં હોય તો English Bazzar Patrika … આ બધું તો હતું જ, પણ એપ્રિલ 2023થી એમાં વિશેષ ઉમેરો થયો છે તે ‘સાંકળિયું’. ‘મિલાપ’, ‘વિશ્વમાનવ’, ‘નિરીક્ષક’ અને ‘ઓપિનિયન’… ગુજરાત અને વિશ્વભરમાં ક્યાં ય પણ વસતા ગુજરાતીઓ જેનાં પર ગર્વ લઈ શકે તેવાં આ સામયિકો સામયિકના મુદ્રિત અંકો ડિજિટલ સ્વરૂપે, લેખક અને શીર્ષક પ્રમાણે સર્ચ કરી શકાય એ રીતે હવે ‘ઓપિનિયન’ની સાઇટ પર ઉપલબ્ધ છે. અને ગયા મહિનાથી જે તે લેખ પર કેટલી વખત ક્લિક થઈ એ, POST VIEWSની સંખ્યા પણ જાણી શકીએ છીએ.

ડાહ્યાભાઈની વાત આગળ ચલાવીએ તો, “આ ત્રણે અવતારોમાં તંત્રી/સંપાદક વિપુલ કલ્યાણી સતત કાર્યશીલ રહ્યા છે અને દુનિયાના દરેક ખૂણામાંથી આવતાં લેખો, કથાવસ્તુ કેન્દ્રિત પોતીકી સામગ્રી પ્રકાશિત કરતા રહ્યા છે. … અને મને લાગે છે કે છેલ્લા ત્રણ દાયકા જેટલા સમયમાં ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યનું સાતત્યપૂર્વકનું સાક્ષી બની રહ્યું હોય તો તે ‘ઓપિનિયન’ છે.

‘ઓપિનિયન’ના પહેલા અંક(23 એપ્રિલ, 1995)માં ગાંધીજીનું ‘ઇન્ડિયન ઓપીનિયન’-1903 અને ગુજરાતી ભાષાનું પહેલું અખબાર ‘શ્રી મુમબઈના સમાચાર’-1882ને યાદ કરીને વિપુલ કલ્યાણીએ તંત્રીલેખની માંડણી કરી હતી. લેખના અંતે તંત્રીએ લખ્યું હતું કે, “આપણા સમાજના અસંખ્ય સવાલો, આપણા સમાજની ખાસિયતો, આપણી દેણગી, આપણું સાહિત્ય, આપણી વાત, આપણા જીવનમાં બનતી ઘટનાઓ, જનજીવનમાં આવતા પલટાઓને ઓપિનિયનમાં નવા ચીલા પાડીને સમાવી લેવાની અમારી ઝંખના છે. સર્જક અને વાચક વચ્ચે પારસ્પરિક સંબંધ ઘનિષ્ટ કરતા કરતા ઓપિનિયનનું કલેવર બાંધવાનો અમારો યત્ન રહેશે. સામાન્ય માણસની ખેવના, તેનો સંઘર્ષ, તેતે થતા અન્યાયો નીડરતાથી પણ વિનયપૂર્વક રજૂ કરવામાં આ સામયિક પહેલ કરશે.”

જેઓ પણ ‘ઓપિનિયન’ની સામગ્રી અને વિપુલભાઈના કામથી પરિચિત છે, એમને અનુભવાશે કે સાડા અઠ્યાવીસ વરસ પછી પણ આ વાત એટલી જ સાચી ઠરી રહી છે.

હવે આપણે હળવે હળવે ‘અસ્મિતા’ અને ‘આહ્વાન’ના અંકોનું ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યમાં પ્રદાનની વાત પર આવી રહ્યા છીએ તો એમાં જ મુદ્રિત એક વિગતથી ‘ઓપિનિયન’ની વાત આટોપું અને ‘અસ્મિતા-આહ્વાન’ની વાત આરંભું …

‘અસ્મિતા’ના આઠમા ને ઓગણીસો છન્નુના અંકમાં ચંદ્રકાન્ત બક્ષીએ ‘ઇંગ્લિશ ગુજરાતી અસ્મિતા’ શીર્ષક હેઠળના લેખમાં લખ્યું છે, “ગુજરાતી ભાષા માટે ઇન્ગલેન્ડમાં એક માણસે જે કામ કર્યું છે એનું મૂલ્યાંકન થયું નથી, અને હવે મર્દનું કૃતિત્વ મૂલ્યાંકનથી પર ચાલ્યું ગયું છે. નામ : વિપુલ કલ્યાણી.”

મજાની, રસપ્રદ અને તારણ કાઢવા જેવી વાત એ છે કે આ અંક 1996માં પ્રકાશિત થયો હતો, એટલે ‘ઓપિનિયન’ને શરૂ થયાનને હજુ વરસ જ થયું હતું. ત્યારે સમજવાનું એ છે કે એક વરસના ‘ઓપિનિયન’ના અંકોને આધારે આ મૂલ્યાંકન ન હોય. આ મૂલ્યાંકન વિપુલ કલ્યાણીએ ‘ઓપિનિયન’ પહેલાંથી, અકાદમી વતી ગુજરાતી ભાષા, સાહિત્ય, શિક્ષણ અને ગુજરાતી સમાજ માટે કરેલાં કાર્યો અંગેનું છે.

ખેર, એ પછી તો 2018માં વિપુલ કલ્યાણીને મળેલા ઉમાશંકર વિશ્વ-ગુર્જરી સન્માનની વિગત અને તેનો વિપુલ કલ્યાણીએ આપેલો પ્રતિભાવ ‘ચાળીસીએ ઓચ્છવ’ પુસ્તકમાં સમાવ્યો જ છે.

⁕

વર્ષ ૨૦૧૯થી ૨૦૨૨ દરમિયાન, યુનાઈટેડ કિંગ્ડમ સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી પ્રણિત ગુજરાતી ડાયસ્પોરા પુસ્તકો

યુ.કે. સ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ થકી વર્ષ 1984થી વાર્ષિક મુખપત્ર તરીકે ‘અસ્મિતા’નું પ્રકાશન શરૂ થયું. 1996 સુધીનાં 12 વરસના ગાળામાં તેનાં આઠ અંકો પ્રકાશિત થયા. પ્રકાશનના ત્રીજા વર્ષે અકાદમીની સ્થાપનાને દશ વર્ષ પૂરાં થતાં હોઈ તે વર્ષે ‘અસ્મિતા’ને બદલે ‘આહ્વાન’નો દશાબ્દી મહોત્સવ વિશેષાંક પ્રકાશિત થયેલો.

‘ચાળીસીએ ઓચ્છવ’ના કામના સંદર્ભમાં મારે વિશેષ રૂપે તો અકાદમી યોજિત વિવિધ ભાષા-સાહિત્ય પરિષદના અહેવાલો જ વાંચવાનાં થયાં, પણ દોઢસોથી લઈને સવા ચારસો પાનાંના અને કનૈયાલાલ મુનશીથી લઈને મનુભાઈ પંચોળી ‘દર્શક’ સુધીની વિભૂતિઓના મુખપૃષ્ઠથી શોભતા આ અંકોમાંથી પસાર થતાં, અડસઠે જ કોઈ સામગ્રી પર અટકી પડ્યા તો એક અવલોકન અને અનુભૂતિ ચોક્કસ થાય. નજર ફરે ત્યાં ઠરી જ જાય. કવિતા કે વાર્તા કે નિબંધની એક એક રચના, એક એક કૃતિની પસંદગી તેનાં ઉચ્ચ ધોરણોને આધીન થયેલી જણાય. આ અંકોનું પુન:પ્રકાશન થાય તો ભાગ્યે જ કોઈ કૃતિને છોડી શકાય. એવા આ માતબર અંકોના વિવિધ તબક્કે સંપાદક યોગેશ પટેલ, વિપુલ કલ્યાણી, વિનોદ કપાસી, જગદીશ દવે અને દીપક બારડોલીકર હતા.

આ બધાંનું સરવૈયું માંડતા, અને સમય-સાતત્યને કેન્દ્રમાં રાખીને બ્રિટનમાં સર્જાયેલા સાહિત્ય સ્વરૂપોનાં લેખાજોખાંની વાત આટોપવી હોય તો એક વાક્યમાં ‘ઇન્ડિયન ઓપીનિયનથી ઓપિનિયન’ એમ કહી શકાય.

… મને લાગે છે સમય પૂરો થવામાં છે ને વિહંગ, કોઈ પક્ષીની યાત્રા એમ કંઈ જલદી પૂરી ન થાય. એટલે એ અધૂરી યાત્રાએ, આપણી ‘વિહંગાવલોકી સમાલોચના’ અહીં પૂર્ણ કરું છું. 

Email: ketanrupera@gmail.com

[1]  યુગાન્ડા મહીં એશિયન નર-નાર (વનુ જીવરાજ, 2019) • સૌગાત – પાંચ ભાષાનાં કાવ્યો (અનુ. દીપક બારડોલીકર, 2019) • ઘડતર અને ચણતર (ઘનશ્યામ ન. પટેલ, 2020) • એક ગુજરાતી દેશ અનેક (ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી, 2020) • અમે તો પંખી પારાવારનાં (દાઉદભાઈ ઘાંચી, 2021)

[i]  સંપાદકને સોંપવામાં આવેલા વિષયની પોતાની રજૂઆતની એક શિસ્તબદ્ધ જરૂરિયાત અને તેને સમયમર્યાદામાં પૂર્ણ કરવાની ઇચ્છાને ધ્યાને રાખતા વક્તવ્ય અગાઉથી રેકોર્ડ કરીને અકાદમીને મોકલી આપવામાં આવ્યું હતું. બોલાયેલા વક્તવ્યને લિખિત સ્વરૂપ આપતાં તેને તદાનુસાર ઢાળવામાં આવ્યું છે.

Loading

હવે એમની ભૂમિકા આદેશની નહિ, અનુમોદના અને અનુશંસાની છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|26 October 2023

ભાગવતનું વિજ્યાદશમી સંબોધન

પ્રકાશ ન. શાહ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પોતાની સ્થાપનાના સો વરસની નજીક ઢૂંકું ઢૂંકુ છે ત્યારે ચોક્કસ જ ગૌરવમિશ્ર આશ્વસ્તિનો એક અચ્છો ઓડકાર લઈ શકે કે દિલ્હીમાં મોદી સરકાર છે. વાજપેયીની નહીં એવી એ અમારી / આપણી સરકાર છે.

મંગળવારે નાગપુર ખાતે સરસંઘચાલક મોહન ભાગવતના વિજ્યાદશમી અભિભાષણમાં જી20ના આયોજન પ્રકારના ઘટનાક્રમથી ભારતની વિશ્વપ્રતિભા ઊંચકાઈ રહ્યાનો આનંદ વરતાતો હતો. બીજા પણ એવા આનુષંગિક ઉલ્લેખો એમના વક્તવ્યમાં હતા. એકંદરે, સરસંઘચાલક સ્વયંસેવકને આદેશ અને સલાહસૂચન કરતાં વધુ તો અનુમોદના અને અનુશંસાના મિજાજમાં જણાતા હતા. કંગના રણાવત જ્યારથી દેશ આઝાદ થયાનું માને છે, ત્યારથી એટલે કે 2014થી અને તે પછીના સંખ્યાબંધ દશેરા ઉત્સવોમાં સરસંઘચાલક સામાન્યપણે એજન્ડા સેટ કરવાની છાપ આપતા હતા. પણ 2023ની સંઘ શતાબ્દી આડે બે વરસ માંડ છે અને લોકસભાની ચૂંટણી આડે છ મહિના જ છે ત્યારની, એમની રજૂઆતમાં એકંદરે સરકારની કદર બૂઝવાનો ખયાલ જણાય છે.

સંઘને અનિવાર્યપણે વરતાતી રહેલી શત્રુખોજમાં મોહન ભાગવતને ‘કલ્ચરલ માર્ક્સિસ્ટો’ અને ‘વોક’ આ વખતે નજરે ચડ્યા છે, કિસાન ઉઠાવ વખતે ન.મો.ને જેમ ‘આંદોલનજીવી’ જડી રહ્યા હતા. વચ્ચે ‘અર્બન નક્સલ’ તરીકે કોઈને નિશાન પર લેવાનો સોલો ઊપડી આવે છે. ‘વોક’ આમ તો આફ્રિકીઅમેરિકી સ્લેંગ પ્રયોગ છે. એમાં જાગૃતિને નામે કશીક પજવણીનો ખાયલ છે તેમ તમે જાડી રીતે કહી શકો. ‘કલ્ચરલ માર્કિસસ્ટ’ એ પ્રયોગ અંગે એક સાદી સમજૂતી એ છે કે દુનિયા આખીને કમ્યુનિષ્ટ-માર્કિ્સસ્ટ બનાવવાનું સમણું ભોઠું પડ્યું ત્યારે બાકી દુનિયામાં પ્રાગતિકતાએ એવે તેવે નિમિત્તે ખરાખોટા મુદ્દા ઉઠાવી (અને ‘લિબરલિઝમ’ને નામે ને બહાને) ગોંધળ ને અરાજકતા ઊભા કરતાં રહેવું તે આ મંડળીની ખાસિયત કહો તો ખાસિયત, ધંધો કહો તો ધંધો છે.

મોહન ભાગવત

સંઘ પરિવારની ગળથૂથીગત શત્રુખોજમાં મુખ્ય પાત્ર કોણ છે તે સુવિદિત છે. વ્યૂહાત્મક ગણતરીસર (કે કિંચિત પુનર્વિચાર સહ એમાંથી હરવું હોય તો વિકલ્પે એને ‘અર્બન નક્સલ’થી માંડીને ‘કલ્ચરલ માર્કિસ્ટ’ સહિતનાં પાત્રો જડી રહે છે. જો કે, મારે મતે આપણા રાજકારણમાં આજે જે વર્તુળોની પકડ અને પ્રભાવ છે એમની કાર્ય-તાસીરમાં બે મહત્ત્વના વેશનમૂના માલૂમ પડે છે. જૂના ગ્રીસમાં જેને ડેમેગોગ (ભાષણખોર બરાડાબહાદુર) અને સોફિસ્ટ (ભળતાસળતા દલીલડાહ્યા) કહેવાતા.

પણ આ સામસામા હોઈ શકતા બાવાહિંદી પેંતરાથી હટીને જરી પાયાની રીતે વિચારીએ તો આયુષ્ય સોમું વરસ બે વરસના અંતરેથી ટકોરા દઈ રહ્યું છે ત્યારે સંઘે થોડી વધુ વૈચારિક અંતરખોજ કરવાની જરૂર છે. હમણાં હમણાં એ ઢાંચાઢાળ ‘રાષ્ટ્ર, રાષ્ટ્ર’ને બદલે ધર્મ, સંસ્કૃતિ, સભ્યતા પ્રકારના પ્રયોગોને આગળ કરે છે. વચ્ચે ‘સેંગોલ’નું નિમિત્ત લઈને એણે જે ઊહાપોહ કર્યો હતો તેમાં આ વસ્તુ જોવા મળી હતી.

જો એનું વલણ કેવળ વ્યૂહાત્મક તર્કાતર્કીનું ન હોય તો સાવરકર – ગોળવલકરના ‘રાષ્ટ્ર’થી હટીને ઉત્તર દીનદયાલના ‘ધર્મ’ ચિંતનમાં અંતરમતથી પ્રવેશવા જેવું છે. 19મી સદીના યુરોપમાંથી એ ‘રાષ્ટ્ર’ નામની સેમેટિક સંકલ્પના લઈ આવ્યો અને સંસ્થાનવાદના વિરોધમાં એક સાંસ્થાનિક વિચારમાળખું લઈ આવ્યો તે એને સમજાતું નથી.

મોહન ભાગવત એમના વક્તવ્યમાં એકંદરે સ્વસ્થ ને અનાકુલ જણાતા હતા. અલબત્ત, આંબેડકરને એમણે યાદ કર્યા એ સમુચિત જ હતું. માત્ર, આંબેડકરના બંધારણ સભાના જે ભાષણને એમણે સંભાર્યું એમાં એક પ્રજા તરીકે વીરપૂજા (હીરો-વર્શિપ) આપણી નિર્બળતા છે એવો જે ભક્તજોગ સંદેશ હતો તે ભાગવતને અભિપ્રેત હશે કે કેમ એ આપણે અલબત્ત જાણતા નથી. પાંચ છ વરસ પર વિજ્ઞાનભવન વ્યાખ્યાનો સાથે ભાગવતે જે દોર શરૂ કરવાની છાપ આપી હતી, તે આગળ લઈ, ઉત્તર દીનદયાલ સાથે સંવાદ ઊભો કરે તો વાત બને તો બને. એ દુઃસાધ્ય હશે, અસાધ્ય નથી. છેવટે તો, મન હોય તો માળવે જવાય.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 25 ઑક્ટોબર 2023

Loading

...102030...790791792793...800810820...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved