2024ની લોકસભાની ચૂંટણીના બે મહિના પહેલાં, કેન્દ્ર સરકારને એક મોટો ઝટકો વાગ્યો છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે, સરકારની મહત્ત્વાકાંક્ષી ચૂંટણી બોન્ડ યોજનાને ગેરબંધારણીય ગણાવીને રદ્દ કરી નાખી છે. તેને એપ્રિલ 2019થી લાગુ કરવામાં આવી હતી. કોર્ટે રાજકીય પક્ષોને ચૂંટણી બોન્ડમાંથી મળેલું ભંડોળ પરત કરવાનો આદેશ પણ કર્યો છે.
કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને કહ્યું છે કે 12 એપ્રિલ, 2019થી અત્યાર સુધી ચૂંટણી બોન્ડ કોણે કેટલી રકમનાં ખરીદ્યા છે તેની માહિતી આપે. આ માહિતી પહેલાં ચૂંટણી પંચને આપવામાં આવશે. આ માહિતી પછી જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. કોર્ટે કહ્યું કે ચૂંટણી બોન્ડની આવી ખરીદીથી માત્ર કાળાં નાણાંને પ્રોત્સાહન મળશે.
પાંચ સભ્યોની બેંચ વતીથી સર્વસંમતીથી ચુકાદો આપતાં, ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા ડી.વાય. ચંદ્રચુડે કહ્યું હતું, “પ્રાથમિક સ્તરે, રાજકીય દાન આપનારાઓને સત્તાની નજીક જવા મળે છે. તેમની આ પહોંચ નીતિ નિર્માણ પર પણ પ્રભાવ પાડી શકે. એ વાતની પણ સંભવાના છે કે ધન અને રાજનીતિ વચ્ચે સાંઠગાંઠના કારણે રાજકીય પક્ષ અને દાનકર્તા વચ્ચે પરસ્સ્પર લાભની વ્યવસ્થા નિર્માણ થશે.”
આ બોન્ડ યોજના અને તેની તમામ જોગવાઈઓને સાગમટે રદ્દ કરીને સુપ્રીમ કોર્ટે કોઈ વૈકલ્પિક ફંડિંગ યોજના સૂચવી નથી. તેનો અર્થ એ થયો કે ચૂંટણી બોન્ડ પહેલાંની રોકડ દાન અથવા કોર્પોરેટ દાનની વ્યવસ્થા પાછી આવશે.
કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે લોકતાંત્રિક હિસ્સેદારીને પ્રોત્સાહન આપતી તમામ માહિતી નાગરિકો માટે ઉપલબ્ધ હોવી જોઈએ. આ જ કારણથી જ મતદારોને ચૂંટણીના ઉમેદવારોની વ્યક્તિગત વિગતો આપવામાં આવે છે, જેથી તેઓ ઉચિત નિર્ણય લઇ શકે. આવી માહિતી જાહેર કરવાથી ઉમેદવારો અને તેમના પરિવારોની ગોપનિયતાના અધિકારનું ઉલ્લંઘન થાય છે તેવો તર્ક આપી શકાય, પરંતુ જાહેર હિતમાં એવું કરવું વધુ જરૂરી હોય છે.
ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારો વિશેની અંગત માહિતી જાહેર કરવાની જોગવાઈને રાજકીય પક્ષો સુધી વિસ્તારી શકાય છે. મત આપતી વખતે મતદાર ઉચિત પક્ષને પસંદ કરી શકે તે માટે તેને રાજકીય પક્ષોના ભંડોળ વિશેની માહિતી હોય તે જરૂરી છે.
30 ઓક્ટોબરના રોજ, સુનાવણી શરૂ થયાના એક દિવસ પહેલાં, ભારતના એટર્ની જનરલ આર. વેંકટરમાનીએ આ યોજનાને ટેકો આપ્યો હતો અને સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે આ યોજના રાજકીય પક્ષોને અપાતા દાનમાં “સ્વચ્છ નાણાં”ના ઉપયોગને પ્રોત્સાહન આપે છે.
એટર્ની જનરલે એવી પણ દલીલ કરી હતી કે નાગરિકોને વાજબી પ્રતિબંધો વગર બધું જાણવાનો અધિકાર ન હોઈ શકે. તેનો સંદર્ભ એવી દલીલ સાથે છે કે રાજકીય પક્ષોએ દાન તરીકે તેમને કેટલા પૈસા મળ્યા છે તેની વિગતો જાહેર કરવી જોઈએ.
2019માં, સુપ્રીમ કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં ચૂંટણી પંચે કહ્યું હતું કે ચૂંટણી બોન્ડ રાજકીય ભંડોળમાં પારદર્શિતાને ખતમ કરી નાખશે અને વિદેશી કોર્પોરેટ સત્તાઓ તેનો ઉપયોગ ભારતીય રાજકારણને પ્રભાવિત કરવા માટે કરશે. ચૂંટણી પંચે એમ પણ કહ્યું હતું કે કેટલા ય મુખ્ય કાયદાઓમાં સુધારાના પગલે ફક્ત રાજકીય પક્ષોને ભંડોળ આપવાના હેતુથી જ શેલ કંપનીઓઓ ખોલવાની સંભાવના વધશે.
ચૂંટણી બોન્ડ એ રાજકીય પક્ષોને ભંડોળ પૂરું પાડવા માટે વપરાતું નાણાંકીય સાધન છે. તે એક વચન પત્ર જેવું છે જે ભારતનો કોઈપણ નાગરિક અથવા કંપની ભારતીય સ્ટેટ બેંકની પસંદગીની શાખાઓમાંથી ખરીદી શકે છે અને તેમની પસંદગીના કોઈપણ રાજકીય પક્ષને અજ્ઞાત રૂપે દાન કરી શકે છે.
ભારત સરકારે 2017માં ચૂંટણી બોન્ડ યોજનાની જાહેરાત કરી હતી, અને 29 જાન્યુઆરી, 2018ના રોજ લાગુ કરી હતી. આ યોજના હેઠળ, ભારતીય સ્ટેટ બેંક રાજકીય પક્ષોને ભંડોળ પૂરું પાડવા માટે બોન્ડ જારી કરતી હતી. જેની પાસે બેંકમાં ખાતું હોય અને કેવાયસીની વિગતો ઉપલબ્ધ તેવી કોઇપણ વ્યક્તિ તેને ખરીદી શકતી હતી. ચૂંટણી બોન્ડમાં ચુકવણીકારનું નામ નથી હોતું.
આ યોજના હેઠળ, ભારતીય સ્ટેટ બેંકની નિયુક્ત શાખાઓમાંથી 1,000 રૂપિયા, 10,000 રૂપિયા, એક લાખ રૂપિયા, દસ લાખ રૂપિયા અને એક કરોડ રૂપિયાનાં મૂલ્યના ચૂંટણી બોન્ડ ખરીદી શકાતા હતાં. ચૂંટણી બોન્ડની માન્યતા 15 દિવસની હતી, જે દરમિયાન તેનો ઉપયોગ ફક્ત લોક પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ નોંધાયેલા રાજકીય પક્ષોને દાન આપવા માટે થઈ શકતો હતો.
આ યોજનાની શરૂઆત કરતી વખતે સરકારે કહ્યું હતું કે ચૂંટણી બોન્ડ દેશમાં રાજકીય ભંડોળની વ્યવસ્થાને સાફ કરશે. અર્થાત્ કાળું નાણું અને ભ્રષ્ટાચાર દૂર કરશે. જો કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં વારંવાર મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે ચૂંટણી બોન્ડમાં દાતાઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે તેનાથી તો કાળાં નાણાંને પ્રોત્સાહન મળી શકે છે. એવી પણ ટીકા થઇ હતી કે આ યોજનાની રચના મોટા કોર્પોરેટ ગૃહોને તેમની ઓળખ જાહેર કર્યા વિના નાણાં દાનમાં આપવામાં મદદ કરવા માટે કરવામાં આવી હતી.
આ યોજનાને પડકારતી બે અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. પ્રથમ અરજી એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ અને બિનનફાકારક સંગઠન કોમન કોઝ દ્વારા 2017માં સંયુક્ત રીતે દાખલ કરવામાં આવી હતી અને બીજી અરજી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી) દ્વારા 2018માં દાખલ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે આ યોજના ભારતીય અને વિદેશી કંપનીઓ માટે રાજકીય પક્ષોને અમર્યાદિત રીતે પૈસા આપવાનો દરવાજો ખોલે છે, જેનાથી દેશમાં મોટા પાયે ચૂંટણી ભ્રષ્ટાચારને કાયદેસરતા મળી છે.
ભારતીય રિઝર્વ બેંકે પણ વારંવાર ચેતવણી આપી હતી કે ચૂંટણી બોન્ડનો ઉપયોગ કાળું નાણું, મની લોન્ડરિંગ અને સરહદ પારની છેતરપિંડીઓને પ્રોત્સાહન આપવા માટે થઈ શકે છે. ચૂંટણી બોન્ડ્સને “અપારદર્શક નાણાંકીય સાધન” ગણાવતા આર.બી.આઈ.એ કહ્યું હતું કે આ બોન્ડ્સ ચલણની જેમ ઘણી વખત હાથ બદલે છે, તેથી તેની ગુપ્તતાનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે થઈ શકે છે.
અરજીઓમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ચૂંટણી બોન્ડ યોજનાને છુપી રાખવાથી નાગરિકોના “જાણવાના અધિકાર”નું ઉલ્લંઘન થાય છે. અગાઉ, સુપ્રીમ કોર્ટે જ આ અધિકારને બંધારણની કલમ 19 (1) (એ) હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતાનું એક પાસું ગણાવ્યું હતું.
ચૂંટણી બોન્ડ યોજનાને બજેટમાં મૂકવામાં આવી હતી અને બજેટ મની બિલ હોવાથી રાજ્યસભા તેમાં કોઈ ફેરફાર કરી શકતી નથી. સરકાર પર એવો આરોપ હતો કે રાજ્યસભામાં સરકાર પાસે બહુમતી ન હોવાથી આ વિષયને નાણાં વિધેયકમાં મૂકવામાં આવ્યો હતો જેથી તેને સરળતાથી પસાર કરી શકાય.
ચૂંટણી બોન્ડ સામે બીજો આરોપ એ હતો કે તેનો સૌથી વધુ લાભ સત્તાધારી પક્ષને થયો છે. એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ(એ.ડી.આર.)ના અહેવાલ મુજબ, 2016-17 અને 2021-22 વચ્ચેના પાંચ વર્ષમાં કુલ 7 રાષ્ટ્રીય અને 24 પ્રાદેશિક પક્ષોને ચૂંટણી બોન્ડમાંથી કુલ 9,188 કરોડ રૂપિયા મળ્યા હતા.
તેમાંથી, એકલી ભારતીય જનતા પાર્ટીનો હિસ્સો લગભગ 5,272 કરોડ રૂપિયા હતો. એટલે કે, ભા.જ.પ.ને કુલ દાનમાંથી લગભગ 58 ટકા ચૂંટણી બોન્ડ દ્વારા મળ્યું હતું. આ સમયગાળા દરમિયાન કાઁગ્રેસને ચૂંટણી બોન્ડમાંથી લગભગ 952 કરોડ રૂપિયા મળ્યા હતા જ્યારે તૃણમૂલ કોંગ્રેસને 767 કરોડ રૂપિયા મળ્યા હતા.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એ.ડી.આર.ના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે આ સંબંધમાં કરવામાં આવેલી વ્યવસ્થા અનુસાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને એ ખબર પડે કે કોણે ડોનેશન આપ્યું છે, કારણ કે સી.બી.આઈ. સરકાર હસ્તક છે.
ભૂષણે જણાવ્યું હતું કે ચૂંટણી બોન્ડના નિયમમાં જણાવાયું છે કે ઇ.ડી. બેંક પાસેથી દાતાઓ વિશે માહિતી મેળવી શકે છે. ઇ.ડી. પણ કેન્દ્ર હેઠળ છે. આવી સ્થિતિમાં, જો ઇ.ડી. ચૂંટણી બોન્ડ વિશે જાણી શકતી હોય, એસ.બી.આઇ.ને એ માહિતી, જો સરકાર એ જાણી શકતી હોય, તો તો સામાન્ય નાગરિક કેમ ના જાણી શકે?
ઘણા નિષ્ણાતો માને છે કે ગુરુવારના સુપ્રીમ કોર્ટના ચુકાદાએ ચૂંટણી બોન્ડ્સને અટકાવી દીધા છે, પરંતુ આ યોજનાઓને કારણે થયેલા કથિત ભ્રષ્ટાચારના તળિયે પહોંચવાના પ્રયાસો હજુ બાકી છે. જેમ કે, રાજકીય પક્ષોને પૈસા આપવા માટે કેટલી બનાવટી કંપનીઓ ઊભી કરવામાં આવી હતી અને તેનાથી તેમને શું ફાયદો થયો તેની તપાસ કોણ કરશે? શું સરકાર તેના માટે પંચની રચના કરશે?
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને સરકાર કેવી રીતે લેશે? શું તે દિલ્હી સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નરના હકોના કેસની જેમ સંસદમાં વટહુકમ લાવશે? સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ કહે છે કે, “સરકાર એવું નહીં કરી શકે. એક વટહુકમથી જજમેન્ટને ખારીજ કરી ના શકાય. એવો કોઈ કાનૂન નથી જે જજમેન્ટને રદ્દ કરી શકે. વટહુકમથી નવી ફંડિંગ યોજના લાવી શકાય, પણ આ યોજના તો હવે કાયમ માટે ગઈ.” સરકાર નવી યોજના લાવશે? સિબ્બલ કહે છે કે, “મને લાગતું નથી. વર્તમાન યોજનાની માહિતી 13 માર્ચ સુધી ઉપલબ્ધ હશે અને ત્યાં સુધીમાં તો ચૂંટણી આચાર સંહિતા લાગુ થઇ હશે.”
લાસ્ટ લાઈન:
“આજનો સૌથી મોટો રોગ ભ્રષ્ટ્રાચાર છે અને તેનો ઉપાય પારદર્શિતા છે.”
– બોનો
(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 19 ફેબ્રુઆરી 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર