Opinion Magazine
Number of visits: 9457461
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હવે પછીનો ટાર્ગેટ ભારતનું બંધારણ હશે

રમેશ ઓઝા|Opinion - Opinion|2 November 2023

રમેશ ઓઝા

સોમવારે રાત્રે એપલ આઈ.ફોન વાપરનારા પચીસેક જેટલા વિરોધ પક્ષના નેતાઓને અને પત્રકારોને એપલ તરફથી સાવધાનીનો મેસેજ આવ્યો કે તમે જે કાંઈ છો અને જે કાંઈ કરો છો એને કારણે સ્ટેટ સ્પોન્સર્ડ એટેકર્સ તમને ટાર્ગેટ કરી રહ્યા છે. એક એક શબ્દ ધ્યાનમાં લો. સ્ટેટ સ્પોન્સર્ડ એટેકર્સ. એવા લોકો જે સરકાર માટે અને સરકારની સંમતિ સાથે ખાસ લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે. કોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે? એપલે કહ્યું છે કે તમે જે કાંઈ છો અને જે કાંઈ પ્રવૃત્તિ કરો છો તેને ધ્યાનમાં લઈને તમને ટાર્ગેટ કરવામાં આવતા હોય એવી સંભાવના છે, માટે સાવધાન રહો.

કોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે? રાહુલ ગાંધીને, તેમના નજીકના સહાયકોને, રણનીતિ ઘડનારા કાઁગ્રેસના નેતાઓને, મહુઆ મોઇત્રાને, સિતારામ યેચુરીને, અખિલેશ યાદવને, ‘ધ વાયર’ નામના ડિજીટલ પોર્ટલના સ્થાપક અને સંપાદક સિદ્ધાર્થ વરદરાજન્‌ જેવા ખુદ્દાર પત્રકારોને. જો સાવધાનીનો મેસેજ આઈ.ફોન વાપરનારા કેટલાક સામાન્ય લોકોને ગયો હોત તો સમજી શકાત કે આ એપલનો ફોલ્સ એલાર્મ છે અથવા સાવધાનીનો રૂટીન મેસેજ છે. અહી તો એવા લોકોને જ માત્ર મેસેજ ગયો છે જેનાથી શાસકોને ભય છે, પાછા નિશાન બનાવનારા સ્ટેટ સ્પોન્સર્ડ છે અને નિશાન બનાવવાનું કારણ “તમે જે કાંઈ છો અને જે કાંઈ કરો છો” એ છે. શું સૂચવે છે આ? જેનામાં સામાન્ય બુદ્ધિ હશે તેને આ સમજાતા વાર નહીં લાગે. જો ૨૦૨૧માં પેગાસસની ઘટના ન બની હોત તો એક વાર ભારતના શાસકોને શંકાનો લાભ પણ આપત, પણ પેગાસસ પછી શંકાનો લાભ આપવો મુશ્કેલ છે. એમાં ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીનો પડકાર નજીક છે.

અહીં પેગાસસની યાદ તાજી કરી લઈએ. પેગાસસ એક જાસૂસી કરનારું સ્પાઈવેર છે જેના દ્વારા ટાર્ગેટ કરવામાં આવેલ વ્યક્તિઓ પર જાસૂસી કરી શકાય છે. પેગાસસ ઈઝરાયેલી એક કંપની બનાવે છે અને તેને ઇઝરાયેલની સરકારનો આદેશ છે કે તે પેગાસસ સ્પાઈવેર દુનિયાની જે તે સરકાર સિવાય કોઈને એટલે કે કોઈ પણ ખાનગી વ્યક્તિને કે એજન્સીને કે કોર્પોરેટ કંપનીને વેચી ન શકે. જો આ દુનિયામાં દરેક વ્યક્તિ બીજી વ્યક્તિની જાસૂસી કરવા માંડે તો દુનિયામાં જીવવું મુશ્કેલ બની જાય. દુનિયા દોજખ બની જાય. સરકારોની વાત જૂદી છે. સરકારોને રાષ્ટ્રીય સુરક્ષા માટે ચાંપતી નજર રાખવી પડે એટલે માત્ર સરકારોને સ્પાઈવેર વેચી શકાય. આ સિવાય “જવાબદાર” સરકારો મનફાવે એમ ગમે તેની જાસૂસી નથી કરતી. કોઈને ટાર્ગેટ બનાવીને નજર રાખવા માટે દરેક દેશની સરકારી સંહિતા હોય છે અને “જવાબદાર શાસકોએ” એ સંહિતાનું પાલન કરવું પડે છે.

પણ ૨૦૨૧ની સાલમાં ઘટસ્ફોટ થયો કે ભારતમાં રાહુલ ગાંધી પર, તેમના નજીકના સાથોદારો પર, કેટલાક વિરોધ પક્ષના નેતાઓ પર, રવીશ કુમાર, પરંજોય ગુહા ઠાકુરતા અને સિદ્ધાર્થ વરદરાજન્‌ જેવા ખુદ્દાર પત્રકારો પર, અદાલતોના જજો પર અને શાસક પક્ષના પસંદગીના નેતાઓ પર નજર રાખવામાં આવી રહી છે. તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને તેમના પર પેગાસસ સ્પાઈવેર દ્વારા જાસૂસી કરવામાં આવી રહી છે. આશ્ચર્ય એ વાતનું છે કે સર્વોચ્ચ અદાલતના બીકાઉ મુખ્ય ન્યાયમૂર્તિ રાજન ગોગોઈ પર યૌનશોષણનો આરોપ કરનારી યુવતી પર પણ નજર રાખવામાં આવતી હતી. રાષ્ટ્રીય સુરક્ષામાં એ યુવતી કઈ રીતે જોખમરૂપ હતી એ કોઈ સમજી શક્યું નથી. આ બાજુ પેગાસસ બનાવનારી કંપનીએ જાહેરાત કરી કે તેણે દુનિયાની સરકારો સિવાય કોઈ પણ ખનાગી વ્યક્તિને કે એજન્સીઓને પેગાસસ સ્પાઈવેર વેચ્યાં નથી. હજુ એક આશ્ચર્યની વાત. જે અશ્વિની વૈષ્ણવ અત્યારે કોમ્યુનિકેશન અને ઈલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ખાતના પ્રધાન છે અને આજે એપલ એલર્ટનો બચાવ કરી રહ્યા છે એ જ અશ્વિની વૈષ્ણવ પર પણ પેગાસસ દ્વારા નજર રાખવામાં આવતી હતી. હા, તેઓ સ્વયં પેગાસસના ટાર્ગેટ હતા.

ટૂંકમાં પેગાસસ સ્પાઈવેર બનાવનારી કંપની કહે છે કે અમે સરકારને અને માત્ર સરકારને જ સ્પાઈવેર વેચ્યાં છે તો એનો અર્થ એ થયો કે ભારતનાં વર્તમાન શાસકો પેગાસસ સ્પાઈવેરનો ઉપયોગ રાજકીય વિરોધીઓ સામે કરતી હતી. અને એ જોતાં આઈ.ફોનનો ઉપયોગ કરનારા રાજકીય નેતાઓને અને પત્રકારોને ટાર્ગેટ કરવામાં આવ્યા હોય એવી પૂરી શક્યતા છે. લોકો લગભગ એ જ છે જે પેગાસસનાં ટાર્ગેટ હતા. પણ સવાલ એ છે કે સ્ટેટ સ્પોન્સર્ડ એટેકર્સ કોણ છે? એટેકર્સ સ્ટેટ સ્પોન્સર્ડ છે. કોણ છે? વિચારો કોણ હશે એ? આ સરકાર જાય તો સૌથી વધુ નુકસાન કોને થવાનું છે?

આ ઘટનાનો બચાવ થઈ શકે એમ નથી. આ લોકશાહી પરનો કુઠારાઘાત છે. ગમે તે થાય અમે હવે સત્તા છોડવા માગતા નથી કે બીજાને સત્તા સુધી પહોંચવા દેવા માગતા નથી. શામ, દામ, દંડ, ભેદ, એમ દરેક માર્ગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેઓ આ દેશમાં એક પક્ષનું રાજ સ્થાપિત કરવા માગે છે. ઈલેક્ટોરલ બોન્ડથી આની શરૂઆત થઈ હતી. આને કારણે કોર્પોરેટ કંપનીઓનું ૮૦ ટકા નાણું બી.જે.પી.ને જાય છે. સત્તા અને પૈસાના જોરે વિરોધ પક્ષના નેતાઓને ખરીદવામાં આવે છે, તેની સરકારોને તોડવામાં આવે છે, ડરાવવામાં આવે છે, ઇ.ડી.નો દુરુપયોગ કરવામાં આવે છે, જેલમાં પૂરવામાં આવે છે, મીડિયાને ધરવીને ગોદમાં બેસાડવામાં આવી રહ્યા છે અને ચૂંટણીપંચ જેવી લોકતાંત્રિક સંસ્થાઓને કબજે કરવામાં આવી રહી છે. અને હવે જાસૂસી કરવામાં આવી રહી છે. અંગત જીવનનાં નાગરિકના મૂળભૂત અધિકાર પર તરાપ મારવામાં આવી રહી છે. એમાં કોઈ શંકા નથી કે હવે પછીનો ટાર્ગેટ ભારતનું બંધારણ હશે.

કોની પાસે ધા નાખવી! સર્વોચ્ચ અદાલત ઈલેક્ટોરલ બોન્ડ અને પેગાસસ જેવી મહત્ત્વની બાબતને પ્રાથમિકતાથી હાથ ધરતી નથી. અર્ણવ ગોસ્વામીને જામીન પર છોડવા માટે સમય છે, પણ લોકશાહીનો પ્રાણ બચાવવા માટે સમય નથી! સર્વોચ્ચ અદાલતે દેશની લોકશાહીનું જતન કરનારી પ્રજાને સૌથી વધુ નિરાશ કરી છે.  

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 02 નવેમ્બર 2023

Loading

નવ ગઝલ

પ્રીતમ લખલાણી|Poetry|1 November 2023

1.   

ક્યાં છે કંઈ પણ કામ કવિશ્રી લખો કવિતા 

ખાલી છે બસ જામ, કવિશ્રી લખો કવિતા

કોઈ ડાળ પર એક પાન પણ નથી લીલેરું

છે તીડોનું ગામ કવિશ્રી લખો કવિતા

કોતરવું હો કૈંક ઊછળતા મોજા પર તો 

ખડક સમું છે નામ, કવિશ્રી લખો કવિતા

નામ, દામ,ને ગામ બધુયે ગયું નરકમાં 

શબ્દો ચારે ધામ, કવિશ્રી લખો કવિતા

ગઝલ પ્રીતમની સાંભળવાને વનવાસેથી 

પાછા ફરશે રામ, કવિશ્રી લખો કવિતા

•

2. 

સાવ રમકડાં જેવો કૃત્રિમ માણસ છે, ભાઈ સાચવજે!

ધોળે દિવસે બળબળ બળતું ફાનસ છે, ભાઈ સાચવજે! 

છમ્મલીલાં વૃક્ષોને પણ ક્ષણ-ક્ષણ છાની છાની વ્હેરે 

સમય નામની તેજ ધારની કાનસ છે, ભાઈ સાચવજે!

શ્વાસ છૂટતાં વ્હેંત જ પડશે પડદો આખા તખ્તા પર 

જીવન નામે પળ બે પળનું ફારસ  છે, ભાઈ સાચવજે!

શ્રદ્ધા ને વિશ્વાસથી જેની પૂજા કરે છે ઝૂકી ઝૂકી  

મૂર્તિ તે ભગવાન નહીં મૃત આરસ છે, ભાઈ સાચવજે!

અડતાંની સાથે જ થશે ચોપાસ બધું યે ઝળુંઝળું 

‘પ્રીતમ’ સાચો શબદ તો એવો પારસ છે, ભાઈ સાચવજે!

••

3.    

ભીતરની બારી તું ખોલ મારા સાયબા  

મનડાની વાત ફરી બોલ, મારા સાયબા

ઝીણું ઝરમરતું આ વરસે છે આભલું,

અમથી તું છત્રી ના ખોલ, મારા સાયબા

ગમતાનો ચોમેરે ઊડતો ગુલાલ કરી, 

સંગે વગાડ આજે ઢોલ, મારા સાયબા

ખુદને ખુદાથી હો મબલખ કંઈ વાત તો

એકાંતી હિલ્લોળે ડોલ, મારા સાયબા 

પ્રીતમ ગુંજે છે લીલી ડાળીએ ટહુકાઓ,

ખુશ્બોથી એને ના તોલ, મારા સાયબા       

•••

4.

ગામ, પાદર, સીમ છોડી મોર ક્યાં ખોવાઈ ગ્યો ?

મંજરીથી નાતો તોડી મોર ક્યાં ખોવાઈ ગ્યો ? 

હું સમંદર પારથી ટહુકામાં આવી ડૂબવા 

તટ ઉપર છોડીને હોડી મોર ક્યાં ખોવાઈ ગ્યો ?

ઓઢણી, ચોળી, કમરબંધ, ઝાંઝરી ને વેણીના 

ભોળી આંખે સ્વપ્ન ખોડી મોર ક્યાં ખોવાઈ ગ્યો ?

આભને ધરતીની વચ્ચે રેશમી ટહુકા સમો 

ગુંજતો સંબંધ જોડી મોર ક્યાં ખોવાઈ ગ્યો ?

લાગણીને કાઠે ‘પ્રીતમ’ જોયો તો પાણી પીતાં 

પણ બધા પરપોટા ફોડી મોર ક્યાં ખોવાઈ ગ્યો ?

••••

5.

આંખમાં આભ તો સાવ નાનું પડ્યું,

એક પંખી છે આવીને મનમાં વસ્યું!

કૈંક મરજીવા ગઝલોના દરિયે ડૂબ્યા 

આજ લગ છે હજી કોને મોતી જડ્યું? 

આભ ફેલાતું હો હર કદમ પર ભલે

વીંઝતું પાંખ પંખી કદી કયાં નડ્યું?

છે હવાના હિલોળે ચડ્યું છાપરું 

રાતભર આ ફળી નીંદરે કયાં ચડ્યું?

બે પતંગોને યુ્દ્ધે ચડી જોઇને 

આભ જોતું રહે ના કદી છે રડ્યું

•••••

6.

ગામ પાદર છૂટિયાને યુગ થયો,

આપણાાં દિલ તૂટિયાને યુગ થયો

સાવ કોરી બાળપણની પાટીમાં,

એકડા બે ઘૂંટિયાને યુગ થયો

રોજ આંબલ ડાળ બોલાવે મને,

કાતરા બે ચૂંટિયાને યુગ થયો

હેતભીની સીમની વડવાઈએ,

એમ ભેગા ઝૂલિયાને યુગ થયો

રાહ જોતી મીટ માાંડીને હવે,

શેઢે ઝાંઝર વાગિયાને યુગ થયો

સાંજ ટાણે રોજ ફળિયે હીંચતા,

લાગણીમાં ખૂલિયાને યુગ થયો

દીકરી મૂકી ગયો પરદેશ હું,

કંકુથાપા નિરખિયાને યુગ થયો

સાદ પાડે સીમ શેઢો થા પરત,

મોલ લીલા વાઢિયાને યુગ થયો

ગામ જઈને પાળિયાને શું કહું

ઘૂળમાં પગ મૂકિયાને યુગ થયો

વાટ જોતી નેજવેથી મા હજી,

પાણી અંજળ ખૂટિયાને યુગ થયો

••••••

7.   

બારી તું ખોલે અને ટહુકે ગઝલ 

મૌન રહી બોલે અને ટહુકે ગઝલ

કેમ છો પૂછે પવનને ડાળીઓ 

સૌ ચઢે ઝોલે અને ટહુકે ગઝલ 

સહેજ અમથું આભ ગોરંભાયને

મોરલો બોલે અને ટહુકે ગઝલ 

કાઢે હડીયું ધોરિયા ઘેલા બની 

લ્હેરાતા મોલે અને ટહુકે ગઝલ 

રાસ  પ્રીતમ ચાંદની સાથે રમે

ઢબૂકતા ઢોલે અને ટહુકે ગઝલ

•••••••

8.   

આભ પરથી સોનવરણી તાજગી ખરતી રહી 

ગાય ઝાંકળ ભીનાં લીલાં ઘાસને ચરતી રહી

કો  ‘અચાનક આવજો’ કીધા વિના ચાલ્યું ગયું 

આંખમાં તસવીર આખી જિંદગી ફરતી રહી!

આંખમાં લઈ એક સુક્કીભઠ્ઠ નદી કેરી મમત 

રેત પનિહારી નિરંતર બેડલે ભરતી રહી !

ખુદ ગઝલ આખી ય શેકાઈ વિરહની આગમાં – 

કોઈ ઇંધણ જેમ મૂંગાં હીબકાં ભરતી રહી !

સૂર છૂટી ગ્યા તૂટ્યો જ્યાં તાર તો પણ હે પ્રીતમ 

આગળી તો એની મેળે સાજ પર સરતી રહી !

••••••••

9.

કયાં હવે છે દોસ્ત! સપનાનું નગર?

ચોર નજરે ઊભું ગપ્પાનું નગર!                 

યાદ આવે સાતમી તાલી મને,

ચૂપ બેઠું કેમ થપ્પાનું નગર?

કેમ કરતાં સાચવીશું આપણે,

ભાગ્યમાં જો હોય પત્તાનું નગર!

જો જરા ખોદો વિચારોને, પછી,

આંખ સામે હો હડપ્પાનું નગર.

વૃક્ષ પાછળ એકલું ઊભી મને,

દૂરથી જોયા કરે છાનું નગર!

•••••••••

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

પહેલી નવેમ્બરની સફર … ‘જે જે વિક્ટોરિયા’થી ‘ગદ્દર!’

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|1 November 2023

1858ની પહેલી નવેમ્બરે રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો બહાર પડ્યો એને વધાવતાં આપણા પ્રેમશૌર્યના કવિ નર્મદે કહ્યું હતું : દેશ મેં આનંદ ભયો જે જે વિક્ટોરિયા…

છ-સાત દાયકા પાછળ કિશોરાવસ્થાનાં ઉંબર વરસોમાં ઝાંખું છું તો જીર્ણશીર્ણ નર્મકવિતામાં વાંચેલી, કંઇક અનલાઇક નર્મદ-પંક્તિ સાંભરે છે. (હજી યુગાવર્ત ટ્રસ્ટ અને રમેશ મ. શુકલનો પ્રતિબદ્ધ પ્રવેશ થયો નહોતો ત્યારની આ વાત છે.) 1858ની પહેલી નવેમ્બરે રાણી વિક્ટોરિયાનું જાહેરનામું – એ વરસોમાં જો કે પ્રોક્લેમેશનને ઢંઢેરો કહેતા – આવ્યું એને વધાવતાં આપણા પ્રેમશૌર્યના કવિએ કહ્યું હતું : દેશ મેં આનંદ ભયો જે જે વિક્ટોરિયા.

નર્મદ વિશે બાળચિત્તની છાપ કે આ તો જોસ્સાનો જણ, જેમ દલપતરામ ધીરે ધીરે સુધારાના સારવાળા. એમને તો 1857 વિશે ફરિયાદ પણ હોય કે દૂધમાં માખી પડે ને જાન ગુમાવે અને સાથે સાથે દૂધને પણ બગાડે તેમ આ ફિતૂરે કીધું. પણ આપણો નર્મદ, વીર નર્મદ, એ ઊઠીને એમ કહે કે જે જે વિક્ટોરિયા?

કંપની સરકારમાં સર્વ વાતે સુવાણ હોય એવું તો હતું નહીં, અને એ પહેલાંનો ગુજરાતના મોટા ભાગના હિસ્સાનો મરાઠા રાજનો અનુભવ શિવ છત્રપતિના હિંદવી સ્વરાજ કરતાં કંઇક જુદો, છેક જ અસુખકર હતો. એટલે દેશમાં વ્યવસ્થાનું સ્થપાવું એ નિશ્ચે જ એક મોટી વાત હતી. માટે સ્તો જે જે વિક્ટોરિયા.

હવે હિંદમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની રાજવટ નથી રહેતી અને બ્રિટિશ તાજનો સીધો અખત્યાર શરૂ થાય છે તે મતલબની આ સત્તાવાર જાહેરાત પહેલી નવેમ્બરે અલાહાબાદના એક ખાસ દરબારમાં થઇ હતી, કેમ કે દિલ્હી સહિત બાકીનું ઉત્તર ભારત ઠેકઠેકાણે અશાંતિગ્રસ્ત હતું. ભલે એક દિવસ પૂરતું પણ રાજધાનીનું માન ત્યારે અલાહાબાદને મળ્યું હતું. (અમદાવાદમાં આ અવસર વિક્રમ સંવત 1915માં બેસતા વરસને દિવસે કલેક્ટર બંગલે ઊજવાયો ત્યારે દલપતરામે ગાયું હતું કે ‘રાણીજીના રાજથી થિર થૈ અમે સુખિયા થયા.’)

વારુ રાણીના ઢંઢેરામાં શું શું હતું એની તપસીલમાં નહીં જતાં નમૂના દાખલ બે’ક વાનાં, મુખ્તેસર : એક તો, ધાર્મિક શ્રદ્ધા અને પૂજાના મામલે બિનદખલ. સત્તાવનમાં હિંદુ-મુસ્લિમ લશ્કરીજનો ભડકેલા હતા અને ખ્રિસ્તી મિશનરીઓની પ્રવૃત્તિનાયે પ્રશ્નો હતા, તે લક્ષમાં લઇને આ બિનદખલ નીતિ જાહેર કરાઇ હતી. એ જ પ્રમાણે ડેલહાઉસીએ બિનવારસી ઠકરાતો પરબારી રાજ હસ્તક લેવાની જે નીતિ અખત્યાર કરી હતી તેને રુખસદ આપી જે તે ઠકરાત યોગ્ય વારસ હસ્તક જાય એનો ખયાલ રખાશે એમ પણ આ ઢંઢેરામાં કહેવાયું હતું.

મરાઠા અમલના છ દાયકા કેવા વીત્યા હશે એનું ચિત્ર મગનલાલ વખતચંદે અમદાવાદના ઇતિહાસમાં થોડા જ શબ્દોમાં સચોટ આપ્યું છે : ‘આઠ લાખની વસતીવાળા ભર્યાભાદર્યા અમદાવાદને મુશ્કેલીથી શ્વાસ લેતું લગભગ મુડદું કરીને અંગ્રેજોને સોંપ્યું …’ ટૂંકમાં અઢારમી સદીની અંધાધૂંધી અને ઓગણીસમી સદીના પૂર્વાર્ધ પરના એના ઓછાયાએ સરજેલી અનવસ્થા સામે રાણીનું રાજ (એની મર્યાદાઓ છતાં) આશ્વસ્તકારી અનુભવાનું હતું. 1859માં હોપ વાચનમાળાની સાતમી ચોપડી માટે લખવાનું થયું ત્યારે દલપતરામે આ લોકલાગણીને વાચા આપવાની તક ઝડપી હતી :

ઝેર ગયાં ને વેર ગયાં, વળી કાળા કેર ગયા કરનાર,

પર નાતીલા જાતીલાથી, સંપ કરી ચાલે સંસાર;

દેખ બિચારી બકરીનો પણ, કોઈ ન પકડે જાતાં કાન,

એ ઉપકાર ગણી ઇશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન.

એક જરા જુદી રીતે આખી વાતને જોઇએ તો ‘ગુજરાતી પિંગળ’ની રચના અને તે વાટે છંદ સૃષ્ટિની વ્યવસ્થા ને વિધાન એ દલપતરામનું મોટું કામ છે. એની ઉપરાછાપરી આવૃત્તિઓ થતી ગઇ ત્યારે કેશવ હર્ષદ ધ્રુવ શા સહૃદય અભ્યાસીએ સોજ્જું સૂચવ્યું કે હવે આપણે એને ‘દલપત પિંગળ’ જ કહીશું … અંગ્રેજ અમલનો જે વિશેષ, વ્યવસ્થા ને વિધાન, તે અને દલપતરામ આમ જાણે સાથે ચાલતા ન હોય!

નવી વાતો પણ બની – જેમ કે મુંબઇથી થાણા કે કલ્યાણ એમ ગણતર માઇલો પૂરતી રેલવે લાઇન હવે સપાટાબંધ આગળ ચાલી. એણે શહેરો ને ગામડાંને જોડ્યાં. રેલવે પ્રકારના ઘટનાક્રમથી વિલાયતબેઠા માર્ક્સને એ વાતે હરખ હતો કે ઇંગ્લેન્ડ-યુરોપથી નવયુગી સુધારાનો એક ઇતિહાસક્રમ શરૂ થયો છે તે હિંદને અજવાળશે. ઇંગ્લેન્ડનો સાંસ્થાનિક સ્વાર્થ ને શોષણ નથી; પરંતુ તે હિંદમાં પ્રગતિ સારુ ઇતિહાસના કરણરૂપ પણ છે.

મુશ્કેલી એ થઇ કે ગામડું શહેરના સંપર્કમાં મૂકાયું તે સાથે એની કૃષિપ્રધાન તાસીર શહેરો અને સાંસ્થાનિક સરકારની જરૂરિયાત મુજબના ઉત્પાદનની રીતે બદલાઇ. અન્ન ઉત્પાદન બાજુએ મૂકાતું ગયું ને રોકડિયા પાકની બોલબાલા થઇ. કાચો માલ ઓછા ભાવે ખરીદતી ને પાકો માલ મોંઘામૂલે માથે મારતી ગોરી ઈજારાશાહીનો યુગ બેઠો. ગુજરાતને સુપરિચિત હોઇ શકતા રોમેશ ચંદ્ર દત્ત – વડોદરા સ્ટેશને ઉતરી સરકીટ હાઉસને રસ્તે આગળ વધતાં આર.સી. દત્ત રોડ સાંભરે છે ને? – તરફથી એ કાળના આર્થિક ઇતિહાસનો જે દસ્તાવેજી આલેખ મળ્યો છે તે સંસ્થાનવાદ હેઠળની અનવસ્થા અને શોષણમૂલક યંત્રણા વિશે નિર્ભ્રાન્ત કરનારો છે. બાય ધ વે, ગાંધીએ ‘હિંદ સ્વરાજ’માં જે ચુનંદા ગ્રંથો સંભાર્યા છે તે પૈકી એક આ પણ છે.

બેશક, ઢંઢેરાની આગળપાછળના દસકાઓમાં નવી દુનિયા ખૂલતી આવતી હતી. 1844માં સુરતમાં માનવ ધર્મ સભા, 1848માં અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (વિદ્યાસભા), 1857માં મુંબઇ યુનિવર્સિટી, 1875માં આર્યસમાજ, 1885માં ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસ … ‘જે જે વિક્ટોરિયા’ પરત્વે નિર્ભ્રાન્તિ, પુનર્વિચારની આ મથામણો વચ્ચે દરિયાપારથી 1913માં એક અવાજ ઊઠ્યો. સાન્ફ્રાન્સિસ્કોથી ‘ગદ્દર’ના પ્રકાશન સાથે, અને તે પણ નવેમ્બરની પહેલીએ. એને વિશે વળી ક્યારેક.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 01 નવેમ્બર 2023

Loading

...102030...781782783784...790800810...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved