Opinion Magazine
Number of visits: 9741744
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાષ્ટ્રીય રાજકારણથી છેટે રહેલા દક્ષિણી પક્ષોને રિઝવવા ભા.જ.પા.એ લગાડેલું એડી ચોટીનું જોર કેટલું લેખે લાગશે?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|24 March 2024

રામ મંદિરમાં દક્ષિણ ભારતનો પ્રભાવ, વિકાસના પ્રોજેકટ, મંદિરોની મુલાકાત, લાંબા હાર અને ભાષાની વાત, રેલીઓ અને સભાઓ દ્વારા 2024ની ચૂંટણીમાં દક્ષિણ ભારતમાં છવાઇ જવા માટે ભા.જ.પા.એ બનતા બધા જ પ્રયત્નો કર્યા છે

ચિરંતના ભટ્ટ

ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ છે, આચાર સંહિતા લાગુ થઇ ચૂકી છે. આ બધું થાય એ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ ભારત તરફના આંટાફેરા વધારી દીધા હતા. હજી દસ વર્ષ પહેલાં સુધી તો ભારતીય જનતા પાર્ટી – ભા.જ.પા.ને એક હિંદી બેલ્ટની પાર્ટી ગણવામાં આવતી અને તેની પહોંચ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં રહેતી. 2014માં સત્તામાં આવ્યા પછી પહેલાં તો ઉત્તર-પૂર્વિય રાજ્યો તરફ ભા.જ.પા.એ કાબૂ મેળવ્યો અને આ વર્ષે ભા.જ.પા.નું લક્ષ્ય રહ્યુ છે દક્ષિણ ભારત અને ત્યાં પગદંડો જમાવવામાં ભા.જ.પા.એ એડી ચોટીનું જોર લગાડ્યું છે. આખા ભારતમાં જેની પહોંચ હોય એવો પક્ષ બનવું હોય અને 370 બેઠકો પર જીત મેળવવી હોય તો દક્ષિણ ભારતમાં જમાવટ કરવી ભા.જ.પા. માટે બહુ જ અનિવાર્ય છે.

મહારાષ્ટ્ર અને બિહારમાં તો વિરોધ પક્ષ સાથે ભા.જ.પા.ને સારી એવી ઝિંક ઝીલવી પડે એમ છે અને એવામાં દક્ષિણ ભારતના કર્ણાટકમાં જ્યાં એન.ડી.એ. ગઠબંધને 2019ની ચૂંટણીમાં 28માંથી 26 બેઠકો મેળવી હતી ત્યાં પણ એવો જ હાલ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આચાર સંહિતા લાગુ પડી તે પહેલાંના અઠવાડિયે દક્ષિણ ભારતમાં કેરળમાં રોડ શો કર્યો અને તમિલનાડુમાં રેલી કરીને પ્રચાર પૂરો કર્યો તે પહેલાં લગભગ બેએક ડઝન વખત દક્ષિણ ભારતની મુલાકાત લીધી. આ મુલાકાતોમાં વિરોધીઓ પર સપાટો બોલાવવામાં મોદીએ કંઇ બાકી નથી રાખ્યું, ખાસ કરીને તમિલનાડુની ડી.એમ.કે. પાર્ટી અને તેલંગાણામાં બી.આર.એસ. પાર્ટી. વળી આંધ્ર પ્રદેશમાં તેમણે પૂર્વ મુખ્ય મંત્રી ચંદ્રાબાબુ નાયડુ અને પવન કલ્યાણને સાથે સ્ટેજ પર રાખ્યા જે રાજ્ય સ્તરે ભા.જ.પા.ના સાથી રહ્યા છે. રામ મંદિરમાં દક્ષિણ ભારતનો પ્રભાવ, વિકાસના પ્રોજેકટ, મંદિરોની મુલાકાત, લાંબા હાર અને ભાષાની વાત, રેલીઓ અને સભાઓ દ્વારા 2024ની ચૂંટણીમાં દક્ષિણ ભારતમાં છવાઇ જવા માટે ભા.જ.પા.એ બનતા બધાં જ પ્રયત્નો કર્યા છે. ભા.જ.પા.ને લાગે છે કે કેરળ, તમિલનાડુ અને તેલંગાણામાં પહોંચી વળાશે. પ્રાદેશિક પક્ષો અને કાઁગ્રેસનો ગઢ રહેલું દક્ષિણ ભારત કેટલું કેસરી થાય છે તે જોવું રહ્યું. ભા.જ.પા.એ ચાર મુખ્ય રાજ્યોમાં અપનાવેલી વ્યૂહરચના સમજીએ.

કેરળની વાત કરીએ તો ભા.જ.પા.ની ત્યાં પકડ મજબૂત થવાને કારણે સી.પી.આઇ.(એમ.)ના સુકાન હેઠળની એલ.ડી.એફ. અને કાઁગ્રેસની યુ.ડી.એફ. – એમ માત્ર બે પાર્ટી વચ્ચે થતી લડાઇને બદલે આ વખતે ત્રિકોણિયા જંગની શક્યતાઓ વર્તાય છે. મોદી સરકારની ભા.જ.પા. ઉમેદવારોને પસંદ કરવામાં હંમેશાં બહુ ચકોર રહી છે જેમ કે કેરળમાં ભા.જ.પા.એ કેન્દ્રીય મંત્રીઓ રાજીવ ચંદ્રશેખર અને વી. મુરલીધરનને આગળ કર્યા છે તો કાઁગ્રેસનાં પદ્મજા વેણુગોપાલન અને અનિલ એન્થોનીનું ભા.જ.પા.માં જોડાવું પણ ભા.જ.પા.નું સ્થાન મજબૂત કરનારી બાબત છે. વળી કેરલા જનપ્રકાશમ (સેક્યુલર) ચિફ પી.સી. જ્યોર્જે પોતાની પાર્ટી ભા.જ.પા. સાથે ભેળવી દીધી છે. હવે આ બધાં સંધાણ અને જોડાણની વચ્ચે યુ.ડી.એફ. અને એલ.ડી.એફ.ના મતભેદ જાહેર થઇ જાય છે એમાં વિરોધ પક્ષની નબળાઇ ભા.જ.પા.ને જોર પૂરું પાડનારી સાબિત થાય છે. ભા.જ.પા.એ કેરળમાં પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા જેવા મુસલમાન સંગઠનનો વિરોધ દર્શાવીને નવી પેઢીને પણ પોતાની તરફ ખેંચી છે ,તો છેલ્લે વિકાસને મામલે ત્યાં કસારગોડ-થિરુવનન્તપુરમ સિક્સ લેન હાઇ-વે, કોચી મેટ્રો, કોચિન શિપયાર્ડ અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પણ ભા.જ.પા.ની મજબૂત કરવામાં કામ લાગ્યા છે. મોદી સારી પેઠે જાણે છે કે ભારતીય સીમાઓના આર્થિક એજન્ડા માટે દક્ષિણનો સાથ જરૂરી છે કારણ કે દેશના જી.ડી.પી.માં દક્ષિણી રાજ્યોનો નોંધપાત્ર ફાળો છે.

તમિલનાડુમાં 2014માં ભા.જ.પા. 5.5 ટકા વોટના હિસ્સા સાથે થોડીઘણી સફળતા મેળવી શકી જે 2019માં તો 3.66 ટકા વોટ શેર પર આવીને અટકી. તામીલનાડુમાં એ.આઇ.એ.ડી.એમ.કે.નો પ્રભાવ ઝાંખો કરવો સહેલો નથી રહ્યો. વળી ભાષાના અવરોધો અને મજબૂત નેતૃત્વ ન હોવાથી પણ તામીલનાડુમાં ભા.જ.પા. માટે છવાઇ જવું અઘરું જ રહ્યું છે. આ વખતે ભા.જ.પા.એ મીડિયા થકી લોકો સુધી પહોંચવાનો ખાસ્સો પ્રયત્ન કર્યો છે તો સાથે અન્નામલાઇએ નીચલા સ્તરે કરેલી કામગીરી, વિરોધ પક્ષને મામલે કોઇ મજબૂત નામ ન હોવાને કારણે પણ ભા.જ.પા.ની સારી એવી આશા બંધાઇ છે. વળી ભા.જ.પા.એ પી.એમ.કે, એ.આઇ.એ.ડી.એમ.કે. જેવા પક્ષો સાથે હાથ જોડ્યા છે અને અન્ય પક્ષો સાથેની વાતચીત પણ સતત ચાલુ રાખવામાં આવી કારણ કે ટેકેદાર પક્ષોને આધારે જાતિ આધારિત રાજકારણમાં ભા.જ.પા. પોતાનો પ્રભાવ પાડી શકે.

આંધ્ર પ્રદેશ ભા.જ.પા. માટે અઘરું રાજ્ય રહ્યું છે કારણ કે 2019માં પચ્ચીસમાંથી ચોવીસ બેઠકો પર લડ્યા પછી પણ ભા.જ.પા.ના હાથમાં કંઇ ન આવ્યું. 2024 માટે ભા.જ.પા., ટી.ડી.પી. અને જનસેનાએ હાથ મેળવ્યા છે અને ભા.જ.પા. રાજ્યમાં નોંધપાત્ર બેઠકો પર, લોકસભાની સાત અને વિધાનસભાની વીસ બેઠકો, પર નજર રાખીને બેઠી છે. જો કે ટી.ડી.પી. ભા.જ.પા.ને આટલી બધી બેઠક ઓફર ન કરે એમ બને. ભા.જ.પા.ને વાય.એસ.આર.સી.પી. સાથેના સીધા જંગમાંથી જીતની ખાસ્સી આશા છે અને ટી.ડી.પી. માટે પણ આ ચૂંટણી ખરાખરીને જંગ છે અને પક્ષે મતદારોને પોતાને છેલ્લો મોકો આપવા અપીલ કરી છે.

તેલંગાણાની વાત કરીએ તો ભા.જ.પા. 2019માં સત્તરમાંથી ચાર બેઠકો પર જીત મેળવીને વોટ શેરની ટકાવારીમાં વધારો કરી ચૂકી હતી. આ વર્ષે ભા.જ.પા.ને સત્તરમાંથી બાર બેઠકો પર જીતની આશા છે. વળી ધરપકડો કરવામાં ઉત્સાદ ભા.જ.પા.એ કે ચંદ્રશેખર રાવની દીકરી કે કવિથાની ધરપકડ કરીને પોતાનો પ્રભાવ વિસ્તાર્યો. રેવન્થ રેડ્ડી ભા.જ.પા., મોદી, અને ગુજરાત મોડલના સતત વખાણ કરતા રહ્યા છે.

દક્ષિણ ભારતના સાંસ્કૃતિક પ્રચારમાં પણ નરેન્દ્ર મોદીએ કોઇ કચાશ નથી રાખી. દક્ષિણ ભારતમાં પ્રચલિત એવા લાંબા હાર પહેરવાથી માંડીને સ્થાનક તહેવારોની ઉજવણીમાં ભાગ લેવો, ત્યાંની ભાષા અને બોલીઓનો પ્રચાર પ્રસાર કરવો વગેરે એ જ દિશાનાં પગલાં છે.  ચારેય રાજ્યોના મહત્ત્વનાં મંદિરોની મુલાકાત તો મોદીએ જાન્યુઆરીમાં અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ લીધી હતી.  અયોધ્યા રામ મંદિરમાં પણ દક્ષિણી પ્રભાવ બહુ દેખીતો છે જે પણ દક્ષિણ ભારતના મતદાતાઓને રિઝવવા માટે જ છે. દક્ષિણ ભારતના કાળા પથ્થરમાંથી બનેલી શ્રીરામની મૂર્તિ બનાવનાર કલાકાર અને મંદિરના કમાડ બનાનારા કારીગરો દક્ષિણ ભારતીય છે. વળી જ્યારે અયોધ્યામાં પ્રસંગ ઉજવાયો ત્યારે દક્ષિણ ભારતીય નાદસ્વરમનું સંગીત વાગતું હતું અને મંદિર ભલે ઉત્તર ભારતીય શૈલીમાં બન્યું હોય પણ તેના કલાકારો અને સામગ્રી દક્ષિણ ભારતમાંથી આવી. વળી કાશી તામિલ સંગમમનું ઉદ્ઘાટન પણ તો ઉત્તર-દક્ષિણ વચ્ચે સેતુ રચવાની જ પહેલ છે.

પડકારો હોવા છતાં ભા.જ.પા. તેલંગાણા, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં આક્રમક લડાઇ આપવા કટિબદ્ધ છે. વોટ શેર અને સસંદીય પ્રતિનિધિત્વને બહેતર બનાવવા માટે ભા.જ.પા.એ ચાવીરૂપ મતવિસ્તારો પર ધ્યાન આપ્યું છે. ભા.જ.પા.એ દક્ષિણની જનતા અને પ્રાદેશિક પક્ષોને રિઝવવા માટે ચાણક્ય નીતિના પુસ્તકમાં હશે તેના કરતાં ચારગણા હથકંડા અપનાવ્યા છે. ઉત્તર – દક્ષિણનું વિભાજન જે વર્ષોથી પ્રાદેશિક અને રાષ્ટ્રીય રાજકારણમાં ગણતરીમાં લેવાતું રહ્યું છે તેમાં આવેલા ફેરફાર બહુ ચોકસાઇની ચોપાટ રમીને લાવવામાં આવ્યા છે અને આવામાં 2024ની ચૂંટણીમાં દક્ષિણ ભારતમાં ભા.જ.પા.નું પ્રદર્શન જોવું રસપ્રદ રહેશે એ ચોક્કસ.

બાય ધી વેઃ

મજાની વાત એ છે કે દક્ષિણ ભારત જાણે અલગથી એક દેશ હોય એવો અભિગમ ધરાવતું આવ્યું છે. ના, એમ નહીં કે તે બાકીના ભારત સાથે જોડાયેલું નથી રહ્યું પણ પોતાના એટલે કે પ્રાદેશિક રાજકારણમાં સતત છાકો બોલાવનારા દક્ષિણ ભારતીય રાજકારણીઓ રાષ્ટ્રીય રાજકારણમાં બહુ ઓછા દેખાયા છે. ઉત્તરનું રાજકારણ તેમને આર્યનોનું રાજકારણ લાગે છે અને પોતાના મૂળિયાં દક્ષિણી નેતાઓને અતિ પ્રિય છે. આમ જોવા જઇએ આપણને ઘણા રાષ્ટ્રપતિ દક્ષિણ ભારતમાંથી મળ્યા છે તો નરસિંહા રાવ અને દેવગૌડા દક્ષિણ ભારતીય વડા પ્રધાન હતા પણ એ ગઠબંધન અને સંજોગોને આધારે વડા પ્રધાન પદે પહોંચ્યા હતા. દક્ષિણ ભારતીય રાજ્યોની જનતાને પોતાના હાથમાં રાખવામાં સ્થાનિક નેતાઓ જરા ય પાછી પાની નથી કરતા અને એટલે જ ત્યાંના લોકોને પણ રાષ્ટ્રીય રાજકીય નેતાઓમાં બહુ રસ નથી રહેતો. દક્ષિણ ભારતમાં જાતિ આધારિત રાજકારણ, ભ્રષ્ટાચાર, સગાંવાદ, અને ધ્રુવીકરણ બહુ મોટા પાયે હોવાથી દરેક રાજ્યના પોતાના પ્રશ્નો છે. વળી ભા.જ.પા.નો હિંદુવાદ દરેક દક્ષિણ ભારતીય માનસિકતા સાથે નથી બંધ બેસતો તો હિંદીને અધિકૃત અને રાષ્ટ્રીય ભાષા તરીકે આગળ કરનારા પક્ષ સામે પોતાની દરેક પ્રાદેશિક ભાષાને ચાહનારા દક્ષિણ ભારતીયોને વાંધો હોય એ પણ સ્વાભાવિક છે. હિંદી રાજકારણ અને ભેદભાવને કારણે દક્ષિણ ભારતીય નેતાઓ હંમેશાં હાંસિયામાં ધકેલાયા હોવાની ફરિયાદો પણ અનેક વખત થઇ છે. અહીં પ્રાદેશિક પાર્ટીના નેતાઓ જેમને ભગવાન સરીખું માન મળે છે તેઓ હવેલી લેતા ગુજરાત ખોયું વાળો ઘાટ ન થાય એટલે રાષ્ટ્રીય રાજકારણની ભાંજગડમાં પડવાનું બને ત્યાં સુધી ટાળતા આવ્યા છે. આ વર્ષે ભા.જ.પા.ના પ્રયાસો પછી  2024માં રાજકીય લેન્ડસ્કેપમાં ચોકઠા કેવા ગોઠવાય છે તે જોવું રહ્યું.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 માર્ચ 2024

Loading

અરવિંદ કેજરીવાલ બાદ સબ કા સાથ સબ કા વિકાસના ખેલનું શું હશે પરિણામ?

રમેશ ઓઝા|Opinion - Opinion|24 March 2024

રમેશ ઓઝા

નરેન્દ્ર મોદી અને અમિત શાહે વિરોધ પક્ષના જેટલા નેતાઓને જેલમાં મોકલ્યા છે, એમાંથી જો મને રતિભાર પણ સહાનુભૂતિ  ન હોય, તો એ અરવિંદ કેજરીવાલ માટે. ત્યારે પણ નહોતી જ્યારે ભારતને ભ્રષ્ટાચારમુક્ત કરવાનું મહાન આંદોલન ચાલતું હતું અને આજે પણ નથી. હકીકતમાં ભ્રષ્ટાચારમુક્ત ભારત એ દેશની જનતા સાથેની પહેલી છેતરપિંડીનો ખેલ હતો અને સબકા સાથ સબકા વિકાસ એ પ્રજા સાથેની છેતરપિંડીનો બીજો ખેલ હતો. બન્ને ખેલ આગળપાછળ ભજવાયા હતા અને બન્ને ગણતરીપૂર્વકના હતા.

તમને કદાચ જાણ નહીં હોય પણ ભારતને ભ્રષ્ટાચાર મુક્ત કરવાની બેઠકો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દિલ્હીસ્થિત વિવેકાનંદ ફાઉન્ડેશનનાં મકાનમાં થતી હતી. અરવિંદ કેજરીવાલ, બાબા રામદેવ, શ્રી શ્રી રવિશંકર, કિરણ બેદી વગેરે ત્યાં એકઠાં થતાં હતાં. આ પવિત્ર અને પારકી છઠ્ઠીના જાગતલોને લાગ્યું કે કાઁગ્રેસના ભષ્ટાચાર સામે દેશભરમાં આંદોલન કરવા માટે એક એવો ચહેરો જોઈએ, જેની શાખ નિસ્પૃહી અને પવિત્ર માણસની હોય. એવા માણસની ખોજમાં  કેજરીવાલ પહેલા અમદાવાદમાં રહેતા સર્વોદય ચળવળના નેતા ચુનીભાઈ વૈદ્ય પાસે ગયા પણ ચુનીભાઈને તો સમૂળગી વ્યવસ્થામાં પરિવર્તન કરવામાં રસ હતો એટલે ત્યાં તેઓ ફાવ્યા નહીં. આ ટોળકીને વ્યવસ્થા પરિવર્તનમાં રસ નહોતો. ફરી ખોજ આદરી અને કોઈકે કહ્યું કે મહારાષ્ટ્રમાં એક અણ્ણા હજારે નામનો માણસ છે, જે ઉપવાસ કરવાનો લાંબો અનુભવ ધરાવે છે. ઉપવાસ ખેંચવાની ક્ષમતા પણ ઘણી છે. વળી તેમને વ્યવસ્થા વગેરેની ગતાગમ પણ ઓછી છે. અરવિંદ કેજરીવાલ તેમની પાસે ગયા અને કહ્યું કે દેશને ભષ્ટાચાર મુક્ત કરવો છે અને તેમાં અમને તમારા જેવા પવિત્ર અને લોકકલ્યાણ માટે સંઘર્ષરત માણસના નેતૃત્વની તેમ જ માર્ગદર્શનની જરૂર છે. જુઓ હું આઇ.આઇ.ટી.માં ભણ્યો છું, કેન્દ્ર સરકારની નોકરી છોડી દીધી છે અને મારા જેવા ઉચ્ચ શિક્ષિત અને ઉચ્ચ સ્તરે બિરાજમાન રહી ચુકેલા બીજા ઘણા લોકો છે જે તમારા નેતૃત્વમાં જાનફેસાની કરવા તૈયાર છે. અણ્ણા હજારે તૈયાર થઈ ગયા. બાળ ઠાકરેએ કહ્યું હતું એમ શ્રવણપુત્રો બાપાને કાવડમાં બેસાડીને રામલીલા મેદાનમાં પહોંચી ગયા. એ પછી જે થયું એ ઇતિહાસ તમે જાણો છો.

આખું આંદોલન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પાછળ રહીને સંચાલિત હતું. અણ્ણાના ઉપવાસ લાંબા ખેંચાયા અને તેમની જિંદગી જોખમમાં આવી ગઈ એ છતાં તેમને ઉપવાસ પર બેસાડનારાઓ સરકાર સાથે સમાધાન નહોતા કરતા. અંતે મહારાષ્ટ્રના રાજકીય નેતાઓ, મરાઠી પત્રકારો અને કર્મશીલોએ અણ્ણાની આંખ ઊઘાડી ત્યારે તેઓ ચોંકી ગયા અને અરવિંદ કેજરીવાલ અને તેમની ટોળકીની ઉપરવટ જઈને ખૂદ ઉપવાસ તોડી નાખ્યા. અણ્ણા જો ઉપવાસમાં શહીદ થઈ જાય તો દેશમાં ભડકો થાય અને તેમાં કાઁગ્રેસ હોમાઈ જાય. એક પ્રાણની શી કિંમત!

પણ આ બધા પ્યાદાં હતાં અને પ્યાદાંઓનો ખપ પૂરો થઈ ગયો હતો. પણ પ્યાદાંઓમાં મુખ્ય અરવિંદ કેજરીવાલ ભણેલ ગણેલ ચાલાક અને મહત્ત્વાકાંક્ષી હતા. આ ઉપરાંત આંદોલનમાં એવા કેટલાક લોકો પણ જોડાયા હતા, જેઓ પોતપોતાના ક્ષેત્રમાં પ્રતિષ્ઠા ધરાવતા હતા અને તેઓ ભ્રષ્ટાચારમુક્ત ભારતનાં સપનાં જોઈને ભાવનાવશ થઈને આંદોલનમાં જોડાયા હતા. તેઓ પ્રજાના હિતને વરેલા હતા, તેમનો કોઈ અંગત સ્વાર્થ નહોતો, સમાધાનો કરતા નહોતા. આ બાજુ સંઘે સબકા સાથ સબકા વિકાસના બીજા ખેલની તૈયારી શરૂ કરી દીધી હતી અને તેના મુખ્ય અભિનેતા તેના પોતાના હતા. હવે ઉછીનાં મહોરાંની જરૂર નહોતી.

દેશમાં એવા કરોડો લોકો હતા જેમને અરવિંદ કેજરીવાલ પર ભરોસો હતો. તેમને એમ લાગતું હતું કે કેજરીવાલ ખરેખર પ્રજાહિતને વરેલા છે. પ્રશાંત ભૂષણ, યોગેન્દ્ર યાદવ, એડમિરલ રામદાસ જેવા અનેક લોકો છેતરાયા હતા તો સામાન્ય પ્રજા છેતરાય તેમાં શું આશ્ચર્ય! સંઘે પોતાના અભિનેતા સાથે સબકા સાથ સબકા વિકાસનો નવો ખેલ શરૂ કર્યો, ત્યારે અરવિંદ કેજરીવાલે વિચાર્યું કે ટકોરાબંધ પ્રામાણિક માણસો અને ભ્રષ્ટાચારવિરોધી આંદોલનની મૂડી દ્વારા તેઓ નરેન્દ્ર મોદીને હરાવી શકશે. 2014ની લોકસભાની ચૂંટણીમાં તો એવું બન્યું નહીં પણ દિલહીની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સપાટો બોલાવ્યો. અરવિંદ કેજરીવાલને હવે લાગવા માંડ્યું કે તેમનો પક્ષ કાઁગ્રેસની જગ્યા લઇ લે છે અને આગળ જતાં તેઓ નરેન્દ્ર મોદીનો વિકલ્પ બની શકે એમ છે.

એવી શક્યતા જરૂર હતી પણ અરવિંદ કેજરીવાલે પ્રામાણિક અને સિદ્ધાંતવાદી નેતાઓને પક્ષમાંથી કાઢી મૂકવાની ભૂલ કરી. રાજકારણમાં પારદર્શકતા, જવાબદેહી, લોકતંત્ર, સામૂહિક નેતૃત્વ વગેરે પ્રજા સાથેની છેતરપિંડીનાં સાધનો છે, સત્તાના રાજકારણમાં એ ન ચાલે. એ સારુ તો તેમણે આર્ટીકલ 370, સી.એ.એ., એન.આર.સી., ખેડૂત આંદોલન એમ દરેક વખતે મૌન ધારણ કર્યું હતું. હિન્દુઓ નારાજ ન થાય એ સારુ તેમણે મૂલ્યો સાથે સમાધાન કર્યું હતું. સરવાળે કેજરીવાલ ન હિન્દુઓના રહ્યા ન બી.જે.પી.ના વિરોધ કરનારા સેક્યુલરોના રહ્યા. બહુ ડાહ્યો બહુ ખરડાય એના જેવું થયું.

ગાંધીજીએ કહ્યું છે કે સાધ્ય મહાન હોય પણ સાધન અશુદ્ધ હોય તો સરવાળે તેની કિંમત ચૂકવવી પડે. અહીં તો સાધ્ય અને સાધન બન્ને અશુદ્ધ હતા. ભ્રષ્ટાચારમુક્ત ભારત એ રીતસર પ્રજા સાથે છેતરપિંડીનો ખેલ હતો. જ્યારે સાધ્ય અને સાધન બન્ને અશુદ્ધ હોય ત્યારે એ જ પરિણામ આવે જે આવી રહ્યું છે. સબકા સાથ સબકા વિકાસના ખેલનું પરિણામ પણ આવું જ કોઈક પ્રકારનું આવવાનું છે.

મુજ વીતિ તુજ વિતશે ધીરી બાપુડિયા.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 માર્ચ 2024

Loading

ચલ મન મુંબઈ નગરી—240

દીપક મહેતા|Opinion - Opinion|23 March 2024

મુંબઈના ગોરા સૈનિકો અને તેમની પત્નીઓ : સુખદુઃખ મનમાં ન આણીએ    

કંપની સરકારના લશ્કરના એક અંગ્રેજ સિપાઈની પત્ની મિસિસ પોસ્તાન્સે ‘દેશી’ સૈનિકો વિષે જેટલા આદર અને ઉત્સાહથી લખ્યું, એટલા આદર અને ઉત્સાહથી ‘ગોરા’ સૈનિકો વિષે લખ્યું છે ખરું? હા કે નામાં જવાબ આપતાં પહેલાં તેમણે ગોરા સૈનિકો વિષે જે લખ્યું છે તેમાંથી થોડું જોઈએ.

આમ જોઈએ તો આ બંને પ્રકારના સૈનિકો માટે વાતાવરણ નવું છે, અનુભવો નવા છે, મર્યાદાઓ ઘણી છે. અને છતાં દેશી સૈનિક આ બધાને અનુકૂળ થઈ જાય છે. કશા કચવાટ કે બબડાટ વગર. આ રીતે અનુકૂળ થવા માટે કદાચ તેની પ્રારબ્ધમાંની, કે કહો તો ઈશ્વરમાંની શ્રદ્ધા કામ આવે છે. (‘ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે’.) બીજું, અગવડો અને અભાવો વચ્ચે જીવવા તે ટેવાયેલો છે. જ્યારે ગોરો સૈનિક? સતત અભાવો વિષે, અગવડો વિષે વિચાર્યા અને બોલ્યા કરે. વાતે વાતે ઝગડો કરે – દેશી સૈનિક સાથે તો ખરો જ, પોતાના ઉપરી ગોરા અધિકારી સાથે પણ. દેશી સૈનિક તેના ભગવાનથી ગભરાતો રહે છે. ગોરા સૈનિકને એવો કશો છોછ હોતો નથી. એ દારૂની લતે ચડી જાય છે, સતત અસંતોષમાં જીવ્યા કરે છે, વારે વારે પોતાના ઉપરીનો અનાદર કરે છે. ગોરા સૈનિકની પત્ની ઝગડાળું અને કંકાસિયણ હોય છે. અને એ નીતિ-અનીતિની ઝાઝી પરવા કરતી નથી.

લશ્કરના ગોરા અફસરો માટે સજાવેલું ડાઈનિંગ ટેબલ

દેશી સૈનિકો કરતાં ગોરા સૈનિકોને ઘણી વધુ સગવડો મળે છે. પરણેલા સૈનિકોને અલગ આવાસ મળે છે. વિલાયતથી આવતી ખાવાપીવાની અનેક વસ્તુઓ પાણીનાં મૂલે મળે છે. અને છતાં એને કોઈ વાતે સંતોષ નથી. મોટા ભાગના ગોરા સૈનિકો દારૂની લતે ચડી જાય છે. વધુ પડતો દારુ ઢીંચવાથી આવતાં માઠાં પરિણામની તેમને ખબર તો હોય છે. છતાં તેઓ દારૂની લત છોડી શકતા નથી. તેમાંથી ઉપરી-અધિકારી પણ તેને બચાવી શકતો નથી.

ગુજરાતીમાં કહેવત છે કે એક તાવડી તેર વાનાં માગે. પણ આર્મીના કેમ્પની ભૂખ તો ઘણી વધુ. એટલે તો ત્યાં તેર નહિ, તેત્રીસ વાનાંની રોજ જરૂર પડે. રોજેરોજ સીધું સામાન લઈને હમાલોની આવનજાવન ચાલુ જ હોય. ઘણી વાર તેમાંના એક-બે મજૂર પકડાય, ગાંજો, ચરસ કે અફીણ સંતાડીને કેમ્પમાં ઘૂસાડવા જતા હોય અને પકડાય. પણ આ બધું હોય કોને માટે? દેશી સૈનિકો માટે? ના. ગોરા સૈનિકો માટે. પાણીના ભાવે સારામાં સારો શરાબ કેન્ટીનમાંથી ખરીદી શકાય. પણ તેનાથી સંતોષ ન થાય. એટલે ‘કિક’ મેળવવા માટે આવા ગેરકાયદેસર પદાર્થો છાનીછપની રીતે મગાવતા હોય. પકડાયેલ મજૂર મોટે ભાગે ‘સાહેબ’ને વફાદાર. પકડાય ત્યારે કોને માટે આ બધું લાવ્યો છે તેનું નામ ન જ કહે. કદાચ વફાદારી ઓછી. એક વાર નામ આપે તો પછી કાયમ માટે આ કેમ્પનો ‘ધંધો’ બંધ થઈ જાય એટલે પણ નામ ન આપતો હોય. કાયદેસર રીતે તો આ રીતે જપ્ત થયેલો ‘માલ’ કેમ્પના ચોકિયાતોએ બાળી નાખવાનો હોય. પણ ઘણી વાર તે જેણે મગાવ્યો હોય તેને જ પહોંચી જાય!

મદિરા અને મદિરાક્ષી

એક તો હિન્દુસ્તાનની આબોહવા જ અનેક રોગોને નોતરે તેવી. તેમાં વળી દારુ ઉપરાંત આવાં જાતજાતનાં વ્યસનો. એટલે ગોરા સૈનિકોમાં મરણનું પ્રમાણ મોટું. તમને થશે કે આ ગોરા સૈનિકોની પત્નીઓ તેમને આવા જીવલેણ વ્યસનોથી બચાવવા કશું કરતી નહિ હોય? ના. જે કાંઈ સારું કે માઠું થાય તેને દેશી સૈનિકો કરમની બલિહારી માને છે. તેવી જ રીતે ગોરા સૈનિકની પત્ની મોટે ભાગે પતિના મરણને ‘સ્વાભાવિક’ માની લે છે. હેમલેટની માએ પતિના અવસાન પછી થોડા જ દિવસમાં તેના ભાઈ સાથે લગ્ન કરી લીધાં હતાં. ગોરા સૈનિકની પત્ની પણ થોડાક દિવસ પછી ‘કેમ્પ’ના બીજા કોઈ સૈનિક સાથે લગ્ન કરી લે છે. અમે અંજારમાં હતાં ત્યારે આ રીતે નશાનો ભોગ બનીને એક સૈનિક મરી ગયો. પત્ની ખાસ્સી દેખાવડી. તેને દફનાવ્યો તે પહેલાં જ બીજા ત્રણ સૈનિકો તેની પાસે પહોંચી ગયા હતા. દિલાસો આપવા નહિ, પણ તેના હાથની માગણી કરવા. અને અઠવાડિયા પછી તેમાંના એક સાથે પેલી બાઈએ ફરી લગ્ન કરી લીધાં. ત્રણ-ત્રણ વાર લગ્ન કર્યાં હોય તેવી સ્ત્રીઓ પણ કેમ્પમાં જોવા મળે.

આ રીતે બે-ત્રણ વાર લગ્ન કરવાં એ ‘કેમ્પ’ની ગોરી સ્ત્રીઓ માટે અસાધારણ બાબત નથી. ઘણી વાર તો પતિની હયાતીમાં જ બીજું ‘લફરું’ ચાલતું હોય અને દવા કે દારૂનો ભોગ બનીને પતિ ક્યારે સ્વર્ગે (કે નરકે) સિધાવે તેની બંને પ્રેમી પંખીડાં રાહ જોતાં હોય. અને હા, સૈનિકો અને કેમ્પની સ્ત્રીઓનાં લગ્ન વખતે તેમની ઉંમરમાં મોટો તફાવત હોય તો તે ક્યારે ય આડો આવતો નથી. ચાલીસ વરસનો સૈનિક બાર-તેર વરસની છોકરીને પરણે તો તેથી કોઈને નવાઈ લાગતી નથી. પેલી છોકરીનાં માબાપને પણ વાંધો હોતો નથી. એટલું જ નહિ, લગ્ન વખતે હાજર રહીને તેઓ તેમને ખુશી ખુશી આશીર્વાદ પણ આપે છે!

ઘોડેસવાર ગોરો અફસર

જો કે મારે અહીં ઉમેરવું જોઈએ કે આમાં બધો વાંક સ્ત્રીઓનો છે એવું નથી. એમની દશા જોઈને થોડી દયા પણ આવે, હોં. એક તો અહીંની તોબા પોકરાવતી ગરમી, લગભગ બારે મહિના. ‘પરણેલા સૈનિકો’ને મળતી ખાસ સગવડ – માત્ર એક, અલાયદી ઓરડીમાં રહેવાનું. મનોરંજનનાં સાધનો લગભગ નહિ. ‘કેમ્પ’ની બહાર જઈને કોઈ કામ કરવાનો તો વિચારે ન કરાય. રસોઈ કરવા માટે અને બીજાં ઘરકામ માટે મહિને બે રૂપિયાના પગારે કંપની બહાદુર પોર્ટુગીઝ છોકરાને નોકર તરીકે રાખે. એટલે રસોઈ અને બીજાં ઘરકામ તો કરવાનાં હોય નહિ. એટલે આખો દિવસ કરવું શું, એ મોટો સવાલ. એટલે પછી ‘ટાઈમપાસ’ માટે કાં કૂથલી, કાં દારૂ કે બીજું કોઈ વ્યસન. સાંજ પડે જાય ક્યાં? ભાંગ્યુંતૂટ્યું અંગ્રેજી આવડતું હોય એવી ‘આયા’ને લઈને જાય બજારમાં. ખાવાપીવાનું બધું તો કેમ્પમાંથી મળે, એટલે બજારમાંથી ખરીદે શું? પતિને માટે અને પોતાને માટે દેશી દારુ કે અફીણ, ગાંજો. બજારથી પાછી ફરે ત્યારે જુએ કે પતિ તો પહેલેથી જ નશામાં ધુત છે. એટલે પછી બન્ને વચ્ચે ચાલે ગાળાગાળી, ઝગડાઝગડી કે હાથાપાયી! અને ક્યારેક તો એકને કે બંનેને ગંભીર ઈજા પણ થાય અને દોડવું પડે લશ્કરના દવાખાને. ઈજાના કારણમાં મોટે ભાગે તો ડોક્ટર જ ‘અકસ્માત’ લખી નાખે! હવે આ બધા સામે ઝઝૂમતી સ્ત્રી દારૂને રવાડે ચડે કે બીજા કોઈ પુરુષ સાથે છાનગપતિયાં કરવા લાગે તો તેમાં બધો વાંક એ બાઈનો જ છે એમ તો કેમ કહેવાય?

એટલે બધો વાંક પુરુષોનો છે, એમ ને? ના. તેમનો પણ નથી. ગોરો સૈનિક જેનાથી જરા ય ટેવાયેલો નથી તેવી ભારે અકળાવનારી ગરમીમાં તેણે દિવસ-રાત પસાર કરવાં પડે છે. જ્યારે ડ્યૂટી ન હોય ત્યારે બહાર ફરવાનો તો વિચાર પણ ન આવે. પોતાની ઓરડીમાં ખાટલા પર આળોટતો જેમતેમ સમય પસાર કરે. કંટાળાને મારવા જાય કેન્ટીનમાં અને ત્યાંથી લઈ આવે ‘બાટલી.’ કેન્ટીનમાંથી રોજ કેટલો દારુ ખરીદી શકાય તે સરકારે નક્કી તો કર્યું છે. પણ એ નક્કી કરતી વખતે ગ્રેટ બ્રિટનમાંની આબોહવાને જ ધ્યાનમાં રાખી છે. હવે, ત્યાંની કાતિલ ઠંડીમાં જેટલા દારૂની જરૂર પડે તેટલાની અહીંના ગરમ વાતાવરણમાં ન જ પડે. પણ આ વાત નથી સમજતી કંપની સરકાર કે નથી સમજતા અંગ્રેજ સૈનિકો. દારુ સાથે સિગારેટ પણ હોય જ. અને અ બધાથી થાકે-કંટાળે ત્યારે સૈનિક ઘોરવા લાગે. ગરમીને લીધે ગળે શોષ પડે એટલે જાગે. જાય પાછો કેન્ટીનમાં, લાવે બાટલી. જોતજોતામાં ખાલી કરે. આ કેન્ટીન ચલાવે ‘દેશી’ માણસો. બે-પાંચ ફદિયાં વધુ આપો તો વધારાની એક-બે બાટલી પણ સરકાવી દે! આ વાત આ દેશમાંના સરકારી અધિકારીઓ જાણે છે. ગ્રેટ બ્રિટનમાં બેઠેલા સાહેબો પણ જાણે છે. પણ જે ‘સગવડો’ બ્રિટનમાં મળે, તે જ પરદેશમાંના સૈનિકોને પણ આપવી પડે એવો નિયમ એટલે એમના ય હાથ હેઠા! દારૂથી પાયમાલ થઈને કેટલાયે સૈનિકો જાન ખોઈ બેસે છે. પણ સરકારી ચોપડે તેમના મરણનું કારણ ‘દારૂનું વ્યાસન’ નહિ, ‘ક્લાઈમેટને કારણે’ એવું જ નોંધવામાં આવે છે! એટલે જ તો કહે છે ને કે કાયદો ગધેડો હોય છે.

અલબત્ત, આનો અર્થ એવો નથી જ કે ગ્રેટ બ્રિટનની બહારના ગોરા સૈનિકોને માથે દારૂબંધી લાદવી. એમ કરવાથી તો બકરું કાઢતાં ઊંટ પેસશે. દારૂની લત એવી હોય છે કે એ ગમે ત્યાંથી નશો શોધી જ લે. એટલે સારો, વિલાયતી દારૂ ન મળે તો ગમે તે ‘દેશી’ પીશે, તો વધારે સૈનિકો મરશે. એક કરવા જેવું કામ એ છે કે અત્યારે કેન્ટીનમાં માત્ર ‘હાર્ડ લીકર’ જ મળે છે. તે ઉપરાંત ‘બીર’ જેવાં હળવાં પીણાં પણ મળી રહે તેવી સગવડ કરવી જોઈએ. જો કે આમ કરવામાં પણ એક મુશ્કેલી તો છે જ. ‘હાર્ડ ડ્રિંક’થી ટેવાયેલા સૈનિકો બીર ખરીદવાને બદલે ગામની બજારમાંથી વધુ માદક, પણ જોખમી પીણાં ખરીદવા લાગશે.

અલબત્ત, દારૂની આવી લત મોટે ભાગે સોલ્જરોમાં જોવા મળે છે. ઊંચી પદવીના અફસરોમાં નહિ. એક જમાનામાં લશ્કરના અફસરો સવારે દસ વાગ્યે ‘બ્રાન્ડી-પાણી’નો ગ્લાસ ભરે તે રાત લગી ખાલી કરે ને ભરે, ફરી ફરી ભરે, એવું કહેવાતું. પણ હવે એવું નથી. બચતનું મહત્ત્વ પણ અફસરોને સમજાયું છે. એટલે ફિજુલખર્ચી બને તેટલી ઓછી કરે છે. પરિણામે ઘરમાં શાંતિ, તબિયતનો બગાડો ઓછો. જૂના જમાનાના અફસરો આવા આજના અફસરોને ‘પેલ એલ’ તરીકે ઓળખે છે.

કંપની સરકારના લશ્કરના સૈનિકો

ગ્રેટ બ્રિટનમાં બેઠેલા બડેખાંઓને એક સવાલ થવો જોઈએ, પણ કોણ જાણે કેમ નથી થતો. દારૂને રવાડે ચડ્યા વગર પણ દેશી સૈનિકો બહાદુરીપૂર્વક કઈ રીતે લડી શકે છે? એક જવાબ એ છે કે દરેક જગ્યાએ કુદરત જે આપે તે ત્યાંના માણસો માટે સારું હોય છે. આવા ગરમ પ્રદેશોમાં થતા મરી-મસાલા દેશી સૈનિકો માટે પૂરતા હોય છે. લોર્ડ ક્લાઈવ જેવા ધુરંધરે નોંધ્યું છે કે માત્ર કાંજી પીને દિવસો ગુજારનારા કંપની સરકારના લશ્કરના દેશી સૈનિકો બહાદુરીપૂર્વક લડે છે. આ સૈનિકો સામે ચાલીને કહે છે કે ભાત રાંધ્યા પછી જે પાણી વધે તે અમને આપો, અને રાંધેલો ભાત ગોરા અફસરોને ખાવા આપો.

મને ખબર છે કે ગોરા સૈનિકો કાંઈ આ રીતે ફક્ત કાંજી પર રહી શકે નહિ. પણ ગ્રેટ બ્રિટનમાંની રહેણીકરણી અને હિન્દુસ્તાનમાંની રહેણીકરણી વચ્ચે સુમેળ સાધવાની, બન્નેમાંથી થોડું થોડું અપનાવવાની જરૂર છે. અત્યારે તો શું થાય છે કે અહીં મરે નહિ તો ગોરો સૈનિક મરવા પડે ત્યારે સ્વદેશ ભેગો થાય છે. ત્યાં જઈને સરકારી ખર્ચે ચાલતી લશ્કરી હોસ્પિટલમાં દાખલ થઈ જાય છે, મરણ ન આવે ત્યાં સુધી પેન્શન પર જીવે છે. આ સૈનિકોને આપણે કહીએ : ‘સુખદુઃખમનમાં ન આણીએ રે.’

પણ હવે લશ્કરની વાતો પૂરી. હવે પછી જશું મુંબઈની આસપાસનાં કેટલાંક સ્થળોની સહેલગાહે, અલબત્ત મિસિસ પોસ્તાન્સની આંગળી પકડીને.

e.mail : deepakbmehta@gmail.com 

XXX XXX XXX

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે; 23 માર્ચ 2024)

Loading

...102030...781782783784...790800810...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved