નરેન્દ્ર મોદી અને અમિત શાહે વિરોધ પક્ષના જેટલા નેતાઓને જેલમાં મોકલ્યા છે, એમાંથી જો મને રતિભાર પણ સહાનુભૂતિ ન હોય, તો એ અરવિંદ કેજરીવાલ માટે. ત્યારે પણ નહોતી જ્યારે ભારતને ભ્રષ્ટાચારમુક્ત કરવાનું મહાન આંદોલન ચાલતું હતું અને આજે પણ નથી. હકીકતમાં ભ્રષ્ટાચારમુક્ત ભારત એ દેશની જનતા સાથેની પહેલી છેતરપિંડીનો ખેલ હતો અને સબકા સાથ સબકા વિકાસ એ પ્રજા સાથેની છેતરપિંડીનો બીજો ખેલ હતો. બન્ને ખેલ આગળપાછળ ભજવાયા હતા અને બન્ને ગણતરીપૂર્વકના હતા.
તમને કદાચ જાણ નહીં હોય પણ ભારતને ભ્રષ્ટાચાર મુક્ત કરવાની બેઠકો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દિલ્હીસ્થિત વિવેકાનંદ ફાઉન્ડેશનનાં મકાનમાં થતી હતી. અરવિંદ કેજરીવાલ, બાબા રામદેવ, શ્રી શ્રી રવિશંકર, કિરણ બેદી વગેરે ત્યાં એકઠાં થતાં હતાં. આ પવિત્ર અને પારકી છઠ્ઠીના જાગતલોને લાગ્યું કે કાઁગ્રેસના ભષ્ટાચાર સામે દેશભરમાં આંદોલન કરવા માટે એક એવો ચહેરો જોઈએ, જેની શાખ નિસ્પૃહી અને પવિત્ર માણસની હોય. એવા માણસની ખોજમાં કેજરીવાલ પહેલા અમદાવાદમાં રહેતા સર્વોદય ચળવળના નેતા ચુનીભાઈ વૈદ્ય પાસે ગયા પણ ચુનીભાઈને તો સમૂળગી વ્યવસ્થામાં પરિવર્તન કરવામાં રસ હતો એટલે ત્યાં તેઓ ફાવ્યા નહીં. આ ટોળકીને વ્યવસ્થા પરિવર્તનમાં રસ નહોતો. ફરી ખોજ આદરી અને કોઈકે કહ્યું કે મહારાષ્ટ્રમાં એક અણ્ણા હજારે નામનો માણસ છે, જે ઉપવાસ કરવાનો લાંબો અનુભવ ધરાવે છે. ઉપવાસ ખેંચવાની ક્ષમતા પણ ઘણી છે. વળી તેમને વ્યવસ્થા વગેરેની ગતાગમ પણ ઓછી છે. અરવિંદ કેજરીવાલ તેમની પાસે ગયા અને કહ્યું કે દેશને ભષ્ટાચાર મુક્ત કરવો છે અને તેમાં અમને તમારા જેવા પવિત્ર અને લોકકલ્યાણ માટે સંઘર્ષરત માણસના નેતૃત્વની તેમ જ માર્ગદર્શનની જરૂર છે. જુઓ હું આઇ.આઇ.ટી.માં ભણ્યો છું, કેન્દ્ર સરકારની નોકરી છોડી દીધી છે અને મારા જેવા ઉચ્ચ શિક્ષિત અને ઉચ્ચ સ્તરે બિરાજમાન રહી ચુકેલા બીજા ઘણા લોકો છે જે તમારા નેતૃત્વમાં જાનફેસાની કરવા તૈયાર છે. અણ્ણા હજારે તૈયાર થઈ ગયા. બાળ ઠાકરેએ કહ્યું હતું એમ શ્રવણપુત્રો બાપાને કાવડમાં બેસાડીને રામલીલા મેદાનમાં પહોંચી ગયા. એ પછી જે થયું એ ઇતિહાસ તમે જાણો છો.
આખું આંદોલન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પાછળ રહીને સંચાલિત હતું. અણ્ણાના ઉપવાસ લાંબા ખેંચાયા અને તેમની જિંદગી જોખમમાં આવી ગઈ એ છતાં તેમને ઉપવાસ પર બેસાડનારાઓ સરકાર સાથે સમાધાન નહોતા કરતા. અંતે મહારાષ્ટ્રના રાજકીય નેતાઓ, મરાઠી પત્રકારો અને કર્મશીલોએ અણ્ણાની આંખ ઊઘાડી ત્યારે તેઓ ચોંકી ગયા અને અરવિંદ કેજરીવાલ અને તેમની ટોળકીની ઉપરવટ જઈને ખૂદ ઉપવાસ તોડી નાખ્યા. અણ્ણા જો ઉપવાસમાં શહીદ થઈ જાય તો દેશમાં ભડકો થાય અને તેમાં કાઁગ્રેસ હોમાઈ જાય. એક પ્રાણની શી કિંમત!
પણ આ બધા પ્યાદાં હતાં અને પ્યાદાંઓનો ખપ પૂરો થઈ ગયો હતો. પણ પ્યાદાંઓમાં મુખ્ય અરવિંદ કેજરીવાલ ભણેલ ગણેલ ચાલાક અને મહત્ત્વાકાંક્ષી હતા. આ ઉપરાંત આંદોલનમાં એવા કેટલાક લોકો પણ જોડાયા હતા, જેઓ પોતપોતાના ક્ષેત્રમાં પ્રતિષ્ઠા ધરાવતા હતા અને તેઓ ભ્રષ્ટાચારમુક્ત ભારતનાં સપનાં જોઈને ભાવનાવશ થઈને આંદોલનમાં જોડાયા હતા. તેઓ પ્રજાના હિતને વરેલા હતા, તેમનો કોઈ અંગત સ્વાર્થ નહોતો, સમાધાનો કરતા નહોતા. આ બાજુ સંઘે સબકા સાથ સબકા વિકાસના બીજા ખેલની તૈયારી શરૂ કરી દીધી હતી અને તેના મુખ્ય અભિનેતા તેના પોતાના હતા. હવે ઉછીનાં મહોરાંની જરૂર નહોતી.
દેશમાં એવા કરોડો લોકો હતા જેમને અરવિંદ કેજરીવાલ પર ભરોસો હતો. તેમને એમ લાગતું હતું કે કેજરીવાલ ખરેખર પ્રજાહિતને વરેલા છે. પ્રશાંત ભૂષણ, યોગેન્દ્ર યાદવ, એડમિરલ રામદાસ જેવા અનેક લોકો છેતરાયા હતા તો સામાન્ય પ્રજા છેતરાય તેમાં શું આશ્ચર્ય! સંઘે પોતાના અભિનેતા સાથે સબકા સાથ સબકા વિકાસનો નવો ખેલ શરૂ કર્યો, ત્યારે અરવિંદ કેજરીવાલે વિચાર્યું કે ટકોરાબંધ પ્રામાણિક માણસો અને ભ્રષ્ટાચારવિરોધી આંદોલનની મૂડી દ્વારા તેઓ નરેન્દ્ર મોદીને હરાવી શકશે. 2014ની લોકસભાની ચૂંટણીમાં તો એવું બન્યું નહીં પણ દિલહીની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સપાટો બોલાવ્યો. અરવિંદ કેજરીવાલને હવે લાગવા માંડ્યું કે તેમનો પક્ષ કાઁગ્રેસની જગ્યા લઇ લે છે અને આગળ જતાં તેઓ નરેન્દ્ર મોદીનો વિકલ્પ બની શકે એમ છે.
એવી શક્યતા જરૂર હતી પણ અરવિંદ કેજરીવાલે પ્રામાણિક અને સિદ્ધાંતવાદી નેતાઓને પક્ષમાંથી કાઢી મૂકવાની ભૂલ કરી. રાજકારણમાં પારદર્શકતા, જવાબદેહી, લોકતંત્ર, સામૂહિક નેતૃત્વ વગેરે પ્રજા સાથેની છેતરપિંડીનાં સાધનો છે, સત્તાના રાજકારણમાં એ ન ચાલે. એ સારુ તો તેમણે આર્ટીકલ 370, સી.એ.એ., એન.આર.સી., ખેડૂત આંદોલન એમ દરેક વખતે મૌન ધારણ કર્યું હતું. હિન્દુઓ નારાજ ન થાય એ સારુ તેમણે મૂલ્યો સાથે સમાધાન કર્યું હતું. સરવાળે કેજરીવાલ ન હિન્દુઓના રહ્યા ન બી.જે.પી.ના વિરોધ કરનારા સેક્યુલરોના રહ્યા. બહુ ડાહ્યો બહુ ખરડાય એના જેવું થયું.
ગાંધીજીએ કહ્યું છે કે સાધ્ય મહાન હોય પણ સાધન અશુદ્ધ હોય તો સરવાળે તેની કિંમત ચૂકવવી પડે. અહીં તો સાધ્ય અને સાધન બન્ને અશુદ્ધ હતા. ભ્રષ્ટાચારમુક્ત ભારત એ રીતસર પ્રજા સાથે છેતરપિંડીનો ખેલ હતો. જ્યારે સાધ્ય અને સાધન બન્ને અશુદ્ધ હોય ત્યારે એ જ પરિણામ આવે જે આવી રહ્યું છે. સબકા સાથ સબકા વિકાસના ખેલનું પરિણામ પણ આવું જ કોઈક પ્રકારનું આવવાનું છે.
મુજ વીતિ તુજ વિતશે ધીરી બાપુડિયા.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 માર્ચ 2024