રામ મંદિરમાં દક્ષિણ ભારતનો પ્રભાવ, વિકાસના પ્રોજેકટ, મંદિરોની મુલાકાત, લાંબા હાર અને ભાષાની વાત, રેલીઓ અને સભાઓ દ્વારા 2024ની ચૂંટણીમાં દક્ષિણ ભારતમાં છવાઇ જવા માટે ભા.જ.પા.એ બનતા બધા જ પ્રયત્નો કર્યા છે
ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ છે, આચાર સંહિતા લાગુ થઇ ચૂકી છે. આ બધું થાય એ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ ભારત તરફના આંટાફેરા વધારી દીધા હતા. હજી દસ વર્ષ પહેલાં સુધી તો ભારતીય જનતા પાર્ટી – ભા.જ.પા.ને એક હિંદી બેલ્ટની પાર્ટી ગણવામાં આવતી અને તેની પહોંચ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં રહેતી. 2014માં સત્તામાં આવ્યા પછી પહેલાં તો ઉત્તર-પૂર્વિય રાજ્યો તરફ ભા.જ.પા.એ કાબૂ મેળવ્યો અને આ વર્ષે ભા.જ.પા.નું લક્ષ્ય રહ્યુ છે દક્ષિણ ભારત અને ત્યાં પગદંડો જમાવવામાં ભા.જ.પા.એ એડી ચોટીનું જોર લગાડ્યું છે. આખા ભારતમાં જેની પહોંચ હોય એવો પક્ષ બનવું હોય અને 370 બેઠકો પર જીત મેળવવી હોય તો દક્ષિણ ભારતમાં જમાવટ કરવી ભા.જ.પા. માટે બહુ જ અનિવાર્ય છે.
મહારાષ્ટ્ર અને બિહારમાં તો વિરોધ પક્ષ સાથે ભા.જ.પા.ને સારી એવી ઝિંક ઝીલવી પડે એમ છે અને એવામાં દક્ષિણ ભારતના કર્ણાટકમાં જ્યાં એન.ડી.એ. ગઠબંધને 2019ની ચૂંટણીમાં 28માંથી 26 બેઠકો મેળવી હતી ત્યાં પણ એવો જ હાલ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આચાર સંહિતા લાગુ પડી તે પહેલાંના અઠવાડિયે દક્ષિણ ભારતમાં કેરળમાં રોડ શો કર્યો અને તમિલનાડુમાં રેલી કરીને પ્રચાર પૂરો કર્યો તે પહેલાં લગભગ બેએક ડઝન વખત દક્ષિણ ભારતની મુલાકાત લીધી. આ મુલાકાતોમાં વિરોધીઓ પર સપાટો બોલાવવામાં મોદીએ કંઇ બાકી નથી રાખ્યું, ખાસ કરીને તમિલનાડુની ડી.એમ.કે. પાર્ટી અને તેલંગાણામાં બી.આર.એસ. પાર્ટી. વળી આંધ્ર પ્રદેશમાં તેમણે પૂર્વ મુખ્ય મંત્રી ચંદ્રાબાબુ નાયડુ અને પવન કલ્યાણને સાથે સ્ટેજ પર રાખ્યા જે રાજ્ય સ્તરે ભા.જ.પા.ના સાથી રહ્યા છે. રામ મંદિરમાં દક્ષિણ ભારતનો પ્રભાવ, વિકાસના પ્રોજેકટ, મંદિરોની મુલાકાત, લાંબા હાર અને ભાષાની વાત, રેલીઓ અને સભાઓ દ્વારા 2024ની ચૂંટણીમાં દક્ષિણ ભારતમાં છવાઇ જવા માટે ભા.જ.પા.એ બનતા બધાં જ પ્રયત્નો કર્યા છે. ભા.જ.પા.ને લાગે છે કે કેરળ, તમિલનાડુ અને તેલંગાણામાં પહોંચી વળાશે. પ્રાદેશિક પક્ષો અને કાઁગ્રેસનો ગઢ રહેલું દક્ષિણ ભારત કેટલું કેસરી થાય છે તે જોવું રહ્યું. ભા.જ.પા.એ ચાર મુખ્ય રાજ્યોમાં અપનાવેલી વ્યૂહરચના સમજીએ.
કેરળની વાત કરીએ તો ભા.જ.પા.ની ત્યાં પકડ મજબૂત થવાને કારણે સી.પી.આઇ.(એમ.)ના સુકાન હેઠળની એલ.ડી.એફ. અને કાઁગ્રેસની યુ.ડી.એફ. – એમ માત્ર બે પાર્ટી વચ્ચે થતી લડાઇને બદલે આ વખતે ત્રિકોણિયા જંગની શક્યતાઓ વર્તાય છે. મોદી સરકારની ભા.જ.પા. ઉમેદવારોને પસંદ કરવામાં હંમેશાં બહુ ચકોર રહી છે જેમ કે કેરળમાં ભા.જ.પા.એ કેન્દ્રીય મંત્રીઓ રાજીવ ચંદ્રશેખર અને વી. મુરલીધરનને આગળ કર્યા છે તો કાઁગ્રેસનાં પદ્મજા વેણુગોપાલન અને અનિલ એન્થોનીનું ભા.જ.પા.માં જોડાવું પણ ભા.જ.પા.નું સ્થાન મજબૂત કરનારી બાબત છે. વળી કેરલા જનપ્રકાશમ (સેક્યુલર) ચિફ પી.સી. જ્યોર્જે પોતાની પાર્ટી ભા.જ.પા. સાથે ભેળવી દીધી છે. હવે આ બધાં સંધાણ અને જોડાણની વચ્ચે યુ.ડી.એફ. અને એલ.ડી.એફ.ના મતભેદ જાહેર થઇ જાય છે એમાં વિરોધ પક્ષની નબળાઇ ભા.જ.પા.ને જોર પૂરું પાડનારી સાબિત થાય છે. ભા.જ.પા.એ કેરળમાં પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા જેવા મુસલમાન સંગઠનનો વિરોધ દર્શાવીને નવી પેઢીને પણ પોતાની તરફ ખેંચી છે ,તો છેલ્લે વિકાસને મામલે ત્યાં કસારગોડ-થિરુવનન્તપુરમ સિક્સ લેન હાઇ-વે, કોચી મેટ્રો, કોચિન શિપયાર્ડ અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પણ ભા.જ.પા.ની મજબૂત કરવામાં કામ લાગ્યા છે. મોદી સારી પેઠે જાણે છે કે ભારતીય સીમાઓના આર્થિક એજન્ડા માટે દક્ષિણનો સાથ જરૂરી છે કારણ કે દેશના જી.ડી.પી.માં દક્ષિણી રાજ્યોનો નોંધપાત્ર ફાળો છે.
તમિલનાડુમાં 2014માં ભા.જ.પા. 5.5 ટકા વોટના હિસ્સા સાથે થોડીઘણી સફળતા મેળવી શકી જે 2019માં તો 3.66 ટકા વોટ શેર પર આવીને અટકી. તામીલનાડુમાં એ.આઇ.એ.ડી.એમ.કે.નો પ્રભાવ ઝાંખો કરવો સહેલો નથી રહ્યો. વળી ભાષાના અવરોધો અને મજબૂત નેતૃત્વ ન હોવાથી પણ તામીલનાડુમાં ભા.જ.પા. માટે છવાઇ જવું અઘરું જ રહ્યું છે. આ વખતે ભા.જ.પા.એ મીડિયા થકી લોકો સુધી પહોંચવાનો ખાસ્સો પ્રયત્ન કર્યો છે તો સાથે અન્નામલાઇએ નીચલા સ્તરે કરેલી કામગીરી, વિરોધ પક્ષને મામલે કોઇ મજબૂત નામ ન હોવાને કારણે પણ ભા.જ.પા.ની સારી એવી આશા બંધાઇ છે. વળી ભા.જ.પા.એ પી.એમ.કે, એ.આઇ.એ.ડી.એમ.કે. જેવા પક્ષો સાથે હાથ જોડ્યા છે અને અન્ય પક્ષો સાથેની વાતચીત પણ સતત ચાલુ રાખવામાં આવી કારણ કે ટેકેદાર પક્ષોને આધારે જાતિ આધારિત રાજકારણમાં ભા.જ.પા. પોતાનો પ્રભાવ પાડી શકે.
આંધ્ર પ્રદેશ ભા.જ.પા. માટે અઘરું રાજ્ય રહ્યું છે કારણ કે 2019માં પચ્ચીસમાંથી ચોવીસ બેઠકો પર લડ્યા પછી પણ ભા.જ.પા.ના હાથમાં કંઇ ન આવ્યું. 2024 માટે ભા.જ.પા., ટી.ડી.પી. અને જનસેનાએ હાથ મેળવ્યા છે અને ભા.જ.પા. રાજ્યમાં નોંધપાત્ર બેઠકો પર, લોકસભાની સાત અને વિધાનસભાની વીસ બેઠકો, પર નજર રાખીને બેઠી છે. જો કે ટી.ડી.પી. ભા.જ.પા.ને આટલી બધી બેઠક ઓફર ન કરે એમ બને. ભા.જ.પા.ને વાય.એસ.આર.સી.પી. સાથેના સીધા જંગમાંથી જીતની ખાસ્સી આશા છે અને ટી.ડી.પી. માટે પણ આ ચૂંટણી ખરાખરીને જંગ છે અને પક્ષે મતદારોને પોતાને છેલ્લો મોકો આપવા અપીલ કરી છે.
તેલંગાણાની વાત કરીએ તો ભા.જ.પા. 2019માં સત્તરમાંથી ચાર બેઠકો પર જીત મેળવીને વોટ શેરની ટકાવારીમાં વધારો કરી ચૂકી હતી. આ વર્ષે ભા.જ.પા.ને સત્તરમાંથી બાર બેઠકો પર જીતની આશા છે. વળી ધરપકડો કરવામાં ઉત્સાદ ભા.જ.પા.એ કે ચંદ્રશેખર રાવની દીકરી કે કવિથાની ધરપકડ કરીને પોતાનો પ્રભાવ વિસ્તાર્યો. રેવન્થ રેડ્ડી ભા.જ.પા., મોદી, અને ગુજરાત મોડલના સતત વખાણ કરતા રહ્યા છે.
દક્ષિણ ભારતના સાંસ્કૃતિક પ્રચારમાં પણ નરેન્દ્ર મોદીએ કોઇ કચાશ નથી રાખી. દક્ષિણ ભારતમાં પ્રચલિત એવા લાંબા હાર પહેરવાથી માંડીને સ્થાનક તહેવારોની ઉજવણીમાં ભાગ લેવો, ત્યાંની ભાષા અને બોલીઓનો પ્રચાર પ્રસાર કરવો વગેરે એ જ દિશાનાં પગલાં છે. ચારેય રાજ્યોના મહત્ત્વનાં મંદિરોની મુલાકાત તો મોદીએ જાન્યુઆરીમાં અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ લીધી હતી. અયોધ્યા રામ મંદિરમાં પણ દક્ષિણી પ્રભાવ બહુ દેખીતો છે જે પણ દક્ષિણ ભારતના મતદાતાઓને રિઝવવા માટે જ છે. દક્ષિણ ભારતના કાળા પથ્થરમાંથી બનેલી શ્રીરામની મૂર્તિ બનાવનાર કલાકાર અને મંદિરના કમાડ બનાનારા કારીગરો દક્ષિણ ભારતીય છે. વળી જ્યારે અયોધ્યામાં પ્રસંગ ઉજવાયો ત્યારે દક્ષિણ ભારતીય નાદસ્વરમનું સંગીત વાગતું હતું અને મંદિર ભલે ઉત્તર ભારતીય શૈલીમાં બન્યું હોય પણ તેના કલાકારો અને સામગ્રી દક્ષિણ ભારતમાંથી આવી. વળી કાશી તામિલ સંગમમનું ઉદ્ઘાટન પણ તો ઉત્તર-દક્ષિણ વચ્ચે સેતુ રચવાની જ પહેલ છે.
પડકારો હોવા છતાં ભા.જ.પા. તેલંગાણા, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં આક્રમક લડાઇ આપવા કટિબદ્ધ છે. વોટ શેર અને સસંદીય પ્રતિનિધિત્વને બહેતર બનાવવા માટે ભા.જ.પા.એ ચાવીરૂપ મતવિસ્તારો પર ધ્યાન આપ્યું છે. ભા.જ.પા.એ દક્ષિણની જનતા અને પ્રાદેશિક પક્ષોને રિઝવવા માટે ચાણક્ય નીતિના પુસ્તકમાં હશે તેના કરતાં ચારગણા હથકંડા અપનાવ્યા છે. ઉત્તર – દક્ષિણનું વિભાજન જે વર્ષોથી પ્રાદેશિક અને રાષ્ટ્રીય રાજકારણમાં ગણતરીમાં લેવાતું રહ્યું છે તેમાં આવેલા ફેરફાર બહુ ચોકસાઇની ચોપાટ રમીને લાવવામાં આવ્યા છે અને આવામાં 2024ની ચૂંટણીમાં દક્ષિણ ભારતમાં ભા.જ.પા.નું પ્રદર્શન જોવું રસપ્રદ રહેશે એ ચોક્કસ.
બાય ધી વેઃ
મજાની વાત એ છે કે દક્ષિણ ભારત જાણે અલગથી એક દેશ હોય એવો અભિગમ ધરાવતું આવ્યું છે. ના, એમ નહીં કે તે બાકીના ભારત સાથે જોડાયેલું નથી રહ્યું પણ પોતાના એટલે કે પ્રાદેશિક રાજકારણમાં સતત છાકો બોલાવનારા દક્ષિણ ભારતીય રાજકારણીઓ રાષ્ટ્રીય રાજકારણમાં બહુ ઓછા દેખાયા છે. ઉત્તરનું રાજકારણ તેમને આર્યનોનું રાજકારણ લાગે છે અને પોતાના મૂળિયાં દક્ષિણી નેતાઓને અતિ પ્રિય છે. આમ જોવા જઇએ આપણને ઘણા રાષ્ટ્રપતિ દક્ષિણ ભારતમાંથી મળ્યા છે તો નરસિંહા રાવ અને દેવગૌડા દક્ષિણ ભારતીય વડા પ્રધાન હતા પણ એ ગઠબંધન અને સંજોગોને આધારે વડા પ્રધાન પદે પહોંચ્યા હતા. દક્ષિણ ભારતીય રાજ્યોની જનતાને પોતાના હાથમાં રાખવામાં સ્થાનિક નેતાઓ જરા ય પાછી પાની નથી કરતા અને એટલે જ ત્યાંના લોકોને પણ રાષ્ટ્રીય રાજકીય નેતાઓમાં બહુ રસ નથી રહેતો. દક્ષિણ ભારતમાં જાતિ આધારિત રાજકારણ, ભ્રષ્ટાચાર, સગાંવાદ, અને ધ્રુવીકરણ બહુ મોટા પાયે હોવાથી દરેક રાજ્યના પોતાના પ્રશ્નો છે. વળી ભા.જ.પા.નો હિંદુવાદ દરેક દક્ષિણ ભારતીય માનસિકતા સાથે નથી બંધ બેસતો તો હિંદીને અધિકૃત અને રાષ્ટ્રીય ભાષા તરીકે આગળ કરનારા પક્ષ સામે પોતાની દરેક પ્રાદેશિક ભાષાને ચાહનારા દક્ષિણ ભારતીયોને વાંધો હોય એ પણ સ્વાભાવિક છે. હિંદી રાજકારણ અને ભેદભાવને કારણે દક્ષિણ ભારતીય નેતાઓ હંમેશાં હાંસિયામાં ધકેલાયા હોવાની ફરિયાદો પણ અનેક વખત થઇ છે. અહીં પ્રાદેશિક પાર્ટીના નેતાઓ જેમને ભગવાન સરીખું માન મળે છે તેઓ હવેલી લેતા ગુજરાત ખોયું વાળો ઘાટ ન થાય એટલે રાષ્ટ્રીય રાજકારણની ભાંજગડમાં પડવાનું બને ત્યાં સુધી ટાળતા આવ્યા છે. આ વર્ષે ભા.જ.પા.ના પ્રયાસો પછી 2024માં રાજકીય લેન્ડસ્કેપમાં ચોકઠા કેવા ગોઠવાય છે તે જોવું રહ્યું.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 માર્ચ 2024