Opinion Magazine
Number of visits: 9665884
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અર્થશાસ્ત્રીઓને હરીફાઈનું વળગણ, બજારમાં તો ઈજારા છે!

રોબર્ટ સ્કિદેલસ્કી [ભાવાનુવાદ : હેમંતકુમાર શાહ]|Opinion - Opinion|5 March 2024

સત્તા અને અર્થશાસ્ત્ર: ભાગ-4

રોબર્ટ સ્કિદેલસ્કી

નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ અર્થતંત્રને સામાન્ય રીતે સત્તાવિહીન બાબત તરીકે ચીતરે છે. તેમાં તેઓ બજારના ઈજારાને જ એકમાત્ર અપવાદ ગણે છે. એ બાબતે તેઓ માર્ક્સવાદીઓ કરતાં જુદા પાડે છે. માર્ક્સવાદીઓ તો બજારમાં જે ઇજારો છે તેને મૂડીની તમામ પ્રકારની માલિકીમાં જે ઈજારા છે તેનું એક અંતિમ સ્વરૂપ જ ગણે છે. બજારને સ્પર્ધાત્મક ગણીને અર્થશાસ્ત્રીઓ સત્તાને અદૃશ્ય બનાવી દેવામાં મદદ કરે છે.

ઈજારદાર એ છે કે જે કિંમત પર અસર ઊભી કરવા માટે મોટા જથ્થામાં વસ્તુ ઉત્પન્ન કરે છે કે વેચે છે કે ખરીદે છે. તમે ઇચ્છો તે પ્રમાણે વસ્તુ કે સેવાની કિંમતમાં વધારો કરી શકો તે સત્તાનું જ એક સ્વરૂપ કહેવાય; બજારમાં જો તમે એકલા જ એ વસ્તુ આપનારા હોવ તો તમે આસાનીથી એમ કહી શકો કે ભાવવધારો એ તમારી રીત છે અથવા એ જ તમારો ધોરીમાર્ગ છે. બજારમાંનું વલણ જ ઈજારા ઊભા કરવાનું હોય છે એ વાત આધુનિક અર્થશાસ્ત્રના પિતા ગણાતા એડમ સ્મિથ દ્વારા સ્વીકારવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, “એક જ ચીજનો વેપાર કરનારા લોકો ભાગ્યે જ ભેગા મળે છે, પરંતુ તેમની વચ્ચેની વાતચીત લોકો સામેનાં કાવતરાંમાં અથવા કોઈક રીતે ભાવવધારામાં પરિણામે છે.”

એડમ સ્મિથ સમજી ગયા હતા કે બજારમાં કેટલાક ઈજારદાર હોય જ છે અને તેઓ ભાવ પર નિયંત્રણ રાખવાની પોતાની સત્તા ધરાવે છે; અને તેથી અર્થતંત્રમાં હરીફાઈથી ઉત્પાદનનાં સંસાધનોની કાર્યક્ષમ વહેંચણી થાય છે એવો જે સિદ્ધાંત છે તે તરત જ ભોંયભેગો થઈ જાય છે. દા.ત. જો કોઈ પાણી પર ઈજારો ધરાવે તો પાણી પુરવઠો આપનારા પાસે માત્ર પૈસા જાય છે એવું નથી, પણ ભાવવધારો કરવા માટે તે બિન-જરૂરી રીતે પાણીનો પુરવઠો પણ નિયંત્રિત કરે છે.

હેમન્તકુમાર શાહ

વધુમાં, બજારમાં ઈજારો હોય તો રાજકીય લોબીંગ માટેની ઈજારદાર પેઢી કે કંપનીની તાકાતમાં જોરદાર વધારો થાય છે. જો કોઈ ઉદ્યોગમાં એક કરતાં વધારે પેઢીઓ અથવા કહો કે કંપનીઓ હોય તો, જો એક જ પેઢી પોતાને માટે સાનુકૂળ સ્થિતિ ઊભી કરવા માટે રાજકીય સ્તરે લોબીંગ કરે તો તેનો લાભ બાકીની બધી પેઢીઓને મળે છે એટલે ફક્ત તેની પોતાની તાકાતમાં જ વધારો થાય એવું બનતું નથી. જો કે, જો ઈજારદાર પેઢી કે કંપની એક જ હોય છે તો રાજકીય લોબીંગનો બધો જ લાભ તેને મળી જતો હોય છે.

અર્થશાસ્ત્રીઓને ઈજારા વિષે વાત કરવામાં કોઈ જ સમસ્યા નડતી નથી, ઈજારાનો અર્થ માત્ર એટલો જ છે કે કોઈ એક વસ્તુ કે સેવાના બજારમાં એક જ ઉત્પાદક કે વેચનાર કે ખરીદનાર છે. જો કે, અર્થશાસ્ત્રીઓ આર્થિક જીવનમાં એવી ઇજારદાર પેઢીનું મહત્ત્વ બહુ ઓછું છે એમ કહેવાનું પસંદ કરે છે. અર્થશાસ્ત્રનાં પાઠ્યપુસ્તકોમાં શરૂઆત પૂર્ણ હરીફાઈના બજારથી જ થાય છે અને ઈજારાના સિદ્ધાંતને તે પછી જ સમજાવવામાં આવે છે.

એનું કારણ એ છે કે 18મી સદીના એડમ સ્મિથના જમાનાથી અર્થશાસ્ત્રીઓ ઈજારાને બજાર એક કલંક કે બજારની અપૂર્ણતા તરીકે જ જુએ છે અને અન્યથા, તેઓ તેને બજારની એક ઇચ્છનીય પરિસ્થિતિ ગણાવે છે. આમ, અર્થશાસ્ત્રમાં જે મોડેલ ખડું કરવામાં આવે છે તેમાં શું સારું છે અને ખરાબ છે તેને વિષે જે વાત કરવામાં આવે છે તે અહીં છતી થઈ જાય છે.

ઈજારા પર એડમ સ્મિથે હુમલો કરેલો. એને અનુસરીને જે સરકારો મુક્ત બજાર પ્રત્યે પ્રતિબદ્ધ હોય છે તે સરકારો પણ છડેચોક જે ઈજારા દેખાતા હોય તેમની સામે નિર્ણાયક પગલાં લેતી રહી છે. સૌથી પ્રખ્યાત ઉદાહરણ છે 1911નું અમેરિકાનું. ત્યાં તે વખતે ઈજારા-વિરોધી શેરમેન કાયદો આવ્યો અને સ્ટાન્ડર્ડ ઓઈલ નામની કંપનીના ટુકડા કરવામાં આવ્યા હતા. તાજેતરમાં ઈજારા સામેનું આ સખ્તાઈભર્યું વલણ સાવ જ હળવું કરી નાખવામાં આવ્યું છે.

ખાસ કરીને બજાર પરના નિયમનના કિસ્સાઓમાં એમ જ બન્યું છે. ઈજારાવાળી પેઢીની તાકાત ઓછી કરવા માટે જે ખરેખરી હરીફાઈની જરૂર હોય તેને બદલે માત્ર તેનો ખતરો જ બતાવી શકાય છે. જો અનેક ધારણાઓ સાચી છે એમ માની લઈએ તો પછી, કોઈ વસ્તુ કે સેવાના બજારમાં એક જ પેઢી કે એક જ કંપની હોય તો પણ તેને નવી આવનારી પેઢીઓનો ડર તો લાગે જ કારણ કે બજાર તો હરીફાઈવાળું હોય જ.

સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે જો બજારમાં હરીફાઈ હોય તો બજારની પોતાની કોઈ સત્તા કે તાકાત રહેતી જ નથી. બજારલક્ષી વૈશ્વિકીકરણ માટે સૌથી મજબૂત દલીલ આ જ કરવામાં આવતી રહી છે.

રિચાર્ડ કૂપર નામના એક અમેરિકન આર્થિક સાહસિક એમ કહે છે કે, “વૈશ્વિક સ્તરના સ્પર્ધાત્મક વાતાવરણમાં વ્યાપક આર્થિક ક્ષમતા તમામ પક્ષકારો માટે વિકલ્પો ઊભા કરે છે; અને વિકલ્પો હાજર હોય તો કોઈ એક જ પક્ષકારની ક્ષમતા ઈચ્છિત ધ્યેયો પ્રાપ્ત  કરવા માટે મહત્ત્વની રહેતી જ નથી; સિવાય કે ગ્રાહકોની નજરે તેની કામગીરી સારી હોય.”

આ એક અત્યંત આદર્શવાદી ચિત્ર છે, વાસ્તવિક વૈશ્વિક ચિત્ર તો તદ્દન જુદું જ છે. વાસ્તવમાં તો મહાકાય કંપનીઓ બજારોની અંદરોઅંદર ભાગબટાઈ કરી લે છે, ક્યાં મૂડીરોકાણ કરવું તેની તેઓ માંહોમાંહે પસંદગી કરી લે છે. નાણું એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને તેઓ પોતાની જ પેટા કંપનીઓ પાસેથી ઊંચા ભાવે વસ્તુઓની ખરીદી કરીને તેઓ જ્યાં ઈચ્છે ત્યાં જ કરવેરા ચૂકવે છે. આને અર્થશાસ્ત્રમાં transfer pricing કહેવામાં આવે છે. આ કહેવાતી સ્પર્ધાનો દુરુપયોગ છે અને મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ તેનો એક જ ઉપાય બતાવે છે અને તે છે કે બજારમાં વધુ હરીફાઈ હોવી જોઈએ.

બજારની સત્તા વિષે બજારમાં જે વધુ જટિલ છે અને વધુ દેખાય છે તે તો અલ્પહસ્તક ઈજારો છે. તેમાં બહુ ઓછી મોટી પેઢીઓ કે કંપનીઓએ કોઈ એક વસ્તુ કે સેવાનું બજાર કબજે કરેલું હોય છે. કાર, તેલ, ટેલિફોન, ઉડ્ડયન વગેરે ક્ષેત્રોમાં અલ્પહસ્તક ઈજારા જ દેખાય છે. એમાં કોઈ એક જ પેઢી કે કંપનીનો ઈજારો છે એવું હકીકતમાં નથી. દરેક કંપની જાણે છે કે વસ્તુના ભાવ કે ઉત્પાદન વિષે તે જે કોઈ નિર્ણય લેશે તેનો પડઘો બીજી પેઢીઓ પાડશે જ. એટલે કેટલીક પેઢીઓ હાથ મિલાવે છે અને કાર્ટેલ રચે છે. તેઓ જો તેમની વચ્ચે સહકાર સાધે તો તે ઇજારો જ કહેવાય. આ ઈજારો નજરે દેખાય તેવો હોતો નથી. તેમાં કંપનીઓ વસ્તુના ભાવ અંગે છૂપી સમજૂતી કરે છે કે જેથી તેમની વચ્ચે ભાવની  બાબતમાં સામસામે યુદ્ધ જામે નહિ, કારણ કે તેમને તેનો જ સૌથી મોટો ડર હોય છે.

આમ છતાં આર્થિક સત્તા ક્યાં કેટલી છે તેને વિષે અર્થશાસ્ત્રીઓ ઝાઝો અભ્યાસ કરતા નથી. એનું એક કારણ એ છે કે વસ્તુના ભાવ વિશેનું મોડેલ આવા અલ્પહસ્તક ઈજારામાં નક્કી કરી શકાતું નથી. તેમાં વસ્તુના ભાવ કેટલા રહેશે તે સૈદ્ધાંતિક રીતે નક્કી થઈ શકતું નથી. એટલે અર્થશાસ્ત્રીઓ પછી એવું કહેવાનું વલણ ધરાવે છે કે વહેલાં કે મોડા કાર્ટેલ તૂટી પડશે કારણ કે એકબીજાને છેતરવાથી આર્થિક લાભ થાય છે એમ સમજીને કંપનીઓ તેમની વચ્ચે થયેલી સમજૂતીઓનો ભંગ કરે છે અને પછી તેમ થવાથી કંપનીઓ વચ્ચે સ્પર્ધાની રમત ફરીથી શરૂ થઈ જાય છે. એટલે કે છેવટે તો બજારમાં હરીફાઈ થાય છે જ એમ અર્થશાસ્ત્રીઓ કહે છે. પરંતુ વ્યવહારમાં આવું ભાવયુદ્ધ થતું હોતું નથી.

ખરેખર તો અનેક અભ્યાસો એમ બતાવે છે કે અલ્પહસ્તક ઈજારામાં વસ્તુઓ અને સેવાઓના અનેક ઉદ્યોગોમાં કંપનીઓ વચ્ચે ભાવ માટે હરીફાઈ થતી જ નથી અને તેમણે નક્કી કરેલા ભાવો સ્થિર રહે છે.   

સ્રોત: 

લેખકનું પુસ્તક: What is Wrong with Economics? 
પ્રકરણ: Economics and Power.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઈશ્વર અલ્લાહ તેરો નામ, ગાંધીનું આ નથી કામ

અંકિત દેસાઈ|Gandhiana, Opinion - Opinion|4 March 2024

અંકિત દેસાઈ

હમણાં ગાંધીને નાના, ભૂલ ભરેલા કે તદ્દન ખોટા એવા સાબિત કરવાની હોડ છે. હોડ શેની, વોટ્સેપ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ અને ઈન્સ્ટાગ્રામ યુનિવર્સિટીના પોસ્ટ ગ્રેજ્યુએટ્સ યુવાનોમાં તો ગાંધીને ગાળો દેવી એ ટ્રેન્ડ છે. ગાંધી વિશે આમ બીજું કશું ય જાણતા નહીં હોય, પરંતુ એક સવાલ પહેલો કરશે, ‘તો પછી ગાંધીએ સરદાર પટેલને વડા પ્રધાન શું કામ નહીં બનવા દીધા?’ પણ એ સવાલ પૂછનારાઓ જ સરદારના અન્ય ગુણો, તેમનાં કાર્યો કે તેમની ગાંધીમાંની શ્રદ્ધા વિશે તસુભાર નહીં જાણતા હોય. અને જાણતા હોય તો માત્ર ને માત્ર રાજકીય દૃષ્ટિકોણથી સીમિતપણે, જેટલી હાલના રાજકારણને જરૂર છે એટલા જ જાણતા હશે. દુઃખ એ બાબતનું હોય છે કે રાજકીય કારણોસર શું કામ કોઈને ધિક્કરવા કે પ્રેમ કરવા?

ગાંધીને ગાળો દેવાની ફેશન અંતર્ગત સોશિયલ મીડિયામાં ગાંધી વિરુદ્ધમાં અનેક બાબતો આપણને જોવા મળે. એમાંની કેટલીકને સાવ ખોટા સંદર્ભમાં સમજાવાઈ હોય તો કેટલીક વાતો મૂળમાં જ ખોટી હોય. જો કે ગાંધીજીએ જીવનમાં કોઈ ભૂલો જ નહીં કરી હોય એવું પણ ન બની શકે. ગાંધીએ ભૂલો કરી જ છે. રાધર, ગાંધીએ પોતે કહ્યું છે કે હું એક જ બાબત પર બે જુદાં જુદાં મંતવ્યો આપું તો મારું બીજું મંતવ્ય સાચું માનવું! અને ગાંધી જ શું, જાહેર જીવનમાં જીવતી સૌ કોઈ વ્યક્તિએ અમુક આક્ષેપો, અમુક ગાળો, અમુક ધિક્કારોનો સામનો કરવાનો જ હોય. એટલે ગાંધી કંઈ એમાં બાકાત ન રહી શકે. પણ એ જ રીતે ગાંધીની ભૂલોની સામે કંઈ તેમણે કરેલા અનેક સામાજિક, શૈક્ષણિક (કેળવણી) કે ઈવન આર્થિક (ખાદી, મેક ઈન ઇન્ડિયા!) કાર્યોને હાંસિયામાં ન ધકેલી શકાય. એને નાનાં સાબિત ન કરી શકાય. કે નહીં તો એ કાર્યોને અવગણીને આગળ વધી શકાય.

ગાંધીએ સરદાર પટેલની જગ્યાએ નહેરુને વડા પ્રધાન તરીકે પસંદ કર્યા અથવા જિદ્દ કરી એ જો તેમની ભૂલ હોય તો એ જ ગાંધીએ સરદાર પટેલ, નહેરુ, રાજેન્દ્ર પ્રસાદ, લાલ બહાદુર શાસ્ત્રી કે મોરારજી દેસાઈ જેવા અસંખ્ય સ્વાતંત્ર્યસેનાનીઓ અને પછીથી દેશના વહીવટદારો તૈયાર કર્યા એ આપણે ભૂલી જવાનું? એનીવેઝ, ગાંધી મહાન હતા તો કેટલા મહાન હતા કે ગાંધીએ ભૂલો કરેલી તો કેટલી મોટી કરેલી એવી કોઈ સાબિતીઓમાં હમણાં નથી પડવું. અહીં વાત કરવી છે એક મજાના ફેક્ટ વિશે.

વાત એવી હતી કે પાછલાં વર્ષોમાં રાજકીય સનાતનીઓ એવું કહી રહ્યા છે કે ‘રઘુપતિ રાઘવ રાજા રામ…’ ભજનધૂનમાં ‘ઈશ્વરઅલ્લાહ તેરે નામ’ જેવું તૂત ગાંધીજીએ પરાણે ઘૂસાડી દીધું છે. આ આખી વાતને ખૂબ ચગાવવા માટે અને ગાંધી કેટલા ખોટા અને તુચ્છ હતા એવું બતાવીને નવી પેઢીનું બ્રેઈનવોશ કરવા માટે બાકાયદા એક વીડિયો બનાવવામાં આવ્યો, જેમાં એક નાનકડું છોકરુ તેના વડીલને કહી રહ્યું છે કે ‘રઘુપતિ રાઘવ રાજારામ’ ભજનમાં ‘ઈશ્વર અલ્લાહ તેરે નામ’ ઘૂસાડીને ગાંધીએ સનાતન ધર્મ સાથે બહુ મોટો દગો કર્યો છે! એ વીડિયો પાછો એક ચોક્કસ ઈકો સિસ્ટમ દ્વારા વ્હોટ્સેપ પર પૂરબહારમાં વાઈરલ પણ કરાયો. જે જોઈને નવી પેઢી તો ઠીક, પણ જેમના વડવાઓ ગાંધીથી પ્રેરાઈને સ્વાતંત્ર્ય સંગ્રામમાં પડ્યા હશે એવા વડીલોએ પણ ગાંધીને પેટ ભરીને ગાળો દીધી!

હવે વાતાવરણ જ એવું બનાવાયું છે કે હિન્દુત્વને જો કોઈએ સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું હોય તો એ ગાંધી છે! જો કે અમુક ચોક્કસ વર્ગના લોકોને અને હિન્દુત્વના કહેવાતા ઠેકેદારોને ગાંધી શું કામ પસંદ નથી કે તેમને ગાંધી શું કામ આંખોમાં કણાંની જેમ ખૂંચે છે એ જુદી ચર્ચાનો વિષય છે. કારણ કે આશ્ચર્યની વાત એ પણ છે કે ગાંધી જીવતા હતા, ત્યારે ય અને આજે ય જેમને ગાંધી સામે વાંધો હતો એમને ઝીણા સામે કોઈ વાંધો નથી. ગાંધીની હત્યાના અનેક પ્રયાસો કરનારાઓએ ઝીણાનો વાળ પણ વાંકો કરવાનો પ્રયત્ન નથી કર્યો. કારણ કે ઝીણાએ ક્યારે ય રાજકારણ અને અંધશ્રદ્ધા મુક્ત શુદ્ધ સનાતનની હિમાયત જ નથી કરી!

‘ઈશ્વર-અલ્લાહ તેરે નામ’ પર પાછા આવીએ. કહેવાની વાત એ છે કે ‘રઘુપતિ રાઘવ રાજા રામ’માં ‘ઈશ્વર અલ્લાહ તેરો નામ’ એવું ગાંધીજીએ ઘુસાડ્યું નથી. હા, ગાંધીજી આશ્રમમાં સર્વધર્મ પ્રાર્થના કરાવતા ખરા. વળી, ગાંધીજીની પરવાનગીથી એક મજાની ‘આશ્રમ ભજનાવલિ’ પણ તૈયાર થયેલી. વળી, ગાંધીજીની ઉપસ્થિતિમાં એવા પણ પ્રયોગો થયા છે કે મંચ પર ગાંધીજીની સાથે દરેક ધર્મના, ખાસ તો હિન્દુ અને મુસ્લિમ સમુદાયના એક એક પ્રતિનિધિઓ પ્રાર્થનામાં જોડાય. પરંતુ આશ્રમમાં વર્ષો સુધી ગવાયાં એ ભજનોમાં કે પછી ગાંધીજીના પ્રવાસો દરમિયાન સવાર-સાંજ ગવાતી પ્રાર્થનાઓમાં એકબીજાના શબ્દો કે વાક્યોની ક્યારે ય ભેળસેળ નથી કરાઈ.

ગાંધી આમેય કંઈ ભેળસેળિયા હિન્દુ નહોતા. તેઓ ગીતાનો પાઠ શીખીને ગીતા પર ભાષ્ય લખનારા હતા. રોજ સવારે અને સાંજે નિયમિત પ્રાર્થના કરનારા હતા. રામમાં અતૂટ શ્રદ્ધા ધરાવનારા હતા અને તેમના પ્રખર હિન્દુ (કટ્ટર નહીં) હોવાનો સૌથી મોટો પુરાવો તો એ કે ગોડસેએ તેમની છાતીમાં જ્યારે ગોળી ધરબી દીધી ત્યારે પણ ઉચાટ પામ્યા વિના જીવનની છેલ્લી અને સૌથી કપરી ક્ષણે ‘હે રામ’ કહેનારા હતા! હા, તેઓ સર્વધર્મ સમભાવની વાત જરૂર કરતા, પરંતુ એ સર્વધર્મ સમભાવની હિમાયતમાં તેમણે ક્યારે ય સનાતન બાબતોને તોડી મોરોડી નથી.

તો પછી આ ઈશ્વર અલ્લાહ તેરે નામ જેવા શબ્દો ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ભજનમાં ઘૂસ્યા કઈ રીતે? તો કે આતંકવાદી શહીદ સુહરાવર્દીએ કલકત્તામાં ડાયરેક્ટ ઍક્શનના આદેશ આપ્યા પછી કલકત્તામાં હિન્દુઓની કત્લ થયા પછી નોઆખલી સહિત દેશભરમાં જે કોમી હુલ્લડો ફાટી નીકળ્યા, ત્યારે ગાંધીજી એકલપંડે કલકત્તા અને નોઆખલીના પ્રવાસે નીકળી પડ્યા હતા. એ પ્રવાસ દરમિયાન તેઓ બંગાળના અનેક ગામોમાં શાંતિ સ્થપાય એ માટે ફર્યા હતા. એ શાંતિયાત્રામાં તેઓ લગભગ રોજ એક દંગા પીડિત ગામમાં આંટો મારતા, ત્યાંના પીડિતોને મળતા, ત્યાંની નુકસાનીનો તાગ મેળવતા અને ખાસ તો ત્યાં પ્રવચનો અને પ્રાર્થનાઓ કરાવતા.

એ દરમિયાન ૨૨મી જાન્યુઆરી ૧૯૪૭ના દિવસે ગાંધીજીનો ઉતારો પનિયાલા નામના ગામમાં હતો. એ દિવસે કસ્તૂરબાની પૂણ્યતિથિ પણ હતી. ગાંધીનો સનાતન પ્રેમ જાણવો હોય તો અહીં એક ઉદાહરણ મળે છે. કસ્તૂરબાની પૂણ્યતિથિએ ગાંધીજી અચૂક આખી ગીતાનું પારાયણ કરતા! કર્મકાંડ બાબતે રેશનલ કહી શકાય એવા ગાંધીજી કસ્તૂરબાની પૂણ્યતિથિએ ગીતાપાઠ કદાચ એટલે જ કરતા હશે કે ગીતાપાઠથી તેમને ધરપત મળી રહે અને કસ્તૂરબાનો અભાવ તેમને ઓછો પીડે! તો એ દિવસે સાંજની પ્રાર્થનામાં મનુબહેન ગાંધીએ ભજન ગાવાનું હતું. થયેલું પાછું એવું કે સાંજની પ્રાર્થના શરૂ થઈ ત્યાં જ વરસાદ તૂટી પડેલો, પણ પ્રાર્થનાનો નિયમ ચુસ્ત હોઈ, વરસાદમાં ન તો ગાંધીજી મંચ પરથી ઊઠ્યા કે નહીં પ્રાર્થનામાં આવેલા લોકો! મનુબહેન ગાંધી એમ પણ નોંધે છે ‘એ દિવસે પ્રાર્થનામાં મુસલમાન પુરુષોની સંખ્યા સારી એવી હતી.’

પ્રાર્થના ગાતી વખતે મનુબહેને ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ભજન ઉપાડ્યું અને એમાં તેમણે ‘ઈશ્વર અલ્લાહ તેરે નામ’ ઉમેરીને ગાયું. એ ધૂન ગાતી વખતે મનુબહેનને ફડક હતી કે હું આવું ગાઉં છું તો મુસલમાન પુરુષોને અને બાપુને કેવું લાગશે? પરંતુ ધૂન ચાલતી હતી ત્યારે પ્રાર્થનામાં બેઠેલા લોકોએ પણ ધૂનને સરસ રીતે, આનંદ સાથે ઝીલી અને બાપુએ પણ પ્રાર્થના પછીના પોતાના પ્રવચનમાં ધૂનનાં વખાણ કર્યાં.

જો કે ‘ઈશ્વર અલ્લાહ તેરે નામ’ને મનુબહેને પણ કંઈ પોતાની રીતે ધૂનમાં સ્થાન આપ્યું નહોતું! એ તો પ્રાર્થના સ્થળેથી પાછા ફરતી વખતે ગાંધીજીએ મનુબહેનને પૂછ્યું કે તું ક્યાંથી શીખી? કે તેં જાતે બનાવી? ત્યારે મનુબહેને કહ્યું કે ‘પોરબંદરના સુદામા મંદિરના સભાગૃહમાં એક બ્રાહ્મણ મહારાજ પોતાની કથા પૂરી થયા પછી આ ધૂન ગવડાવતા. એ કથામાં દરેક કોમના લોકો ભાગ લઈ શકતા હતા. ત્યાં એ ધૂન સાંભળેલી, જે મને આજે સૂઝી!’

મનુબહેનની વાત સાંભળીને ગાંધીને બહુ રાજીપો થયેલો. તેમણે ખાસ તો એમ કહ્યું કે સુદામા મંદિરમાં અને તે પણ બ્રાહ્મણે અલ્લાહનું નામ બહુ સ્વાભાવિકતાથી લીધું એ ગમ્યું. આવું કલુષિત વાતાવરણ તો છેલ્લાં પાંચસાત વર્ષોમાં જ વધી ગયું છે. તું હમણાં આ ભજન રોજ ગાજે!’ જો કે ગાંધીજીને ખબર નહોતી કે તેમની હયાતીના છેલ્લાં પાંચસાત વર્ષોમાં કલુષિત થયેલું હંમેશાં કલુષિત જ રહેવાનું છે. એ તો ઠીક એ વાતાવરણ ભારતના રાજકારણનો મુખ્ય વિષય બની રહેવાનો છે. અને કલુષિતતામાં ને કલુષિતતામાં જ બંને તરફના લોકો માટે પોતાનો ધર્મ એ આચરણનો વિષય નહીં, પરંતુ શક્તિપ્રદર્શનનો રાજકીય વિષય બની રહેશે!

ગાંધીજીને એ પણ ક્યાં ખબર હતી કે ભવિષ્યમાં ભારતની જ કોઈક પેઢી એવું પણ માનશે કે ભારત અને પાકિસ્તાનના ભાગલા માટે ગાંધીજી જવાબદાર છે. અને આ ગાંધીજીએ જ હિન્દુ સમાજને અન્યાય કર્યો છે. ગાંધીજીને એ પણ ક્યાં ખબર હતી કે આ રઘુપતિ રાઘવ રાજા રામ ભજનમાં ઈશ્વર અલ્લાહ તેરે નામ ભેળવીને ગાવામાં પણ તેમની ટીકા કરવામાં આવશે. બલકે ગાંધીજીને તેમની હત્યાના એક વર્ષ પહેલાં સુધી એ પણ ખબર નહોતી કે પોરબંદરના સુદામા મંદિરમાં આવું સરસ ભજન પણ ગવાય છે.

e.mail : ankitdesaivapi@gmail.com
ankitdesai.in
પ્રગટ : “નવનીત સમર્પણ”; જાન્યુઆરી 2024; પૃ. 89-92

Loading

પરીક્ષા જ જીવન છે અને જીવન પરીક્ષા સિવાય કૈં નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|4 March 2024

રવીન્દ્ર પારેખ

કોણ જાણે કેમ પણ ભણવાનું થાય કે ન થાય, પરીક્ષા ચાલ્યા જ કરે છે. એડમિશન જોઈએ, તો પરીક્ષા. પીએચ.ડી. કરવું છે, તો એન્ટ્રન્સ ટેસ્ટ. નોકરી જોઈએ તો પરીક્ષા. નોકરીમાં પ્રમોશન જોઈએ તો પરીક્ષા, એમ ડગલે ને પગલે વ્યક્તિએ પરીક્ષાનો સામનો કરવાનો આવે છે. આ પરીક્ષાઓ આપનારા ગરબડ કરે એટલું પૂરતું નથી, પરીક્ષા લેનાર પણ છબરડા વાળે છે. એકને બદલે બીજા વિષયનું પેપર અપાઈ જાય કે એકને બદલે પરીક્ષાર્થી બીજું જ પેપર લખી આવે ને પાસ પણ થઈ જાય એની નવાઈ નથી. આ બધું અપવાદોમાં હોય તો પણ, કોઈક સ્તરે ગરબડ ન હોય એવું ભાગ્યે જ બને છે ને એનો વ્યાપ પ્રિ-પ્રાઈમરીથી લઈને યુનિવર્સિટી સુધીનો હોઈ શકે છે. એ તો ઠીક, પણ ખાતાકીય પરીક્ષાઓમાં કે યુ.પી.એસ.સી. (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) કે જી.પી.એસ.સી. (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) પરીક્ષાઓમાં પણ ભારોભાર બેદરકારી જોવા મળે છે, ત્યારે પ્રશ્ન થાય કે પરીક્ષા આપનાર કે લેનાર કોઈ વાતે ગંભીર કેમ નથી? કૈં પણ સારું હવે અકસ્માત ગણાય એવી સ્થિતિ છે. લગભગ તમામ સ્તરે ભ્રષ્ટતા, બેદરકારી ને બેફિકરાઈ વખતોવખત જોવા મળે છે. એમાં ક્યાંક પૈસાનો છાક પણ ભાગ ભજવતો હશે, પણ આ બધું એક વિધિ થઈને રહી ગયું છે.

શૈક્ષણિક પરીક્ષાઓમાં છબરડાની નવાઈ નથી, પણ જી.પી.એસ.સી.ની પરીક્ષામાં કયા પ્રકારની બેદરકારી ચાલે છે તેનું એક જાણીતા અખબારે 29 ફેબ્રુઆરી, 2024ને રોજ સંશોધન પ્રગટ કર્યું, તે ચોંકાવનારું છે. યાદ રહે કે આ જોખમ બીજે નહીં, પણ જી.પી.એસ.સી.ની પરીક્ષામાં ઊભું થયું છે, જે કોઇની કેરિયરને દાવ પર લગાવી શકે છે. આમ તો ગુજરાતી જોડણી કોઈ છાપામાં સાચી લખાય તો આઘાત લાગે, પણ પરીક્ષાઓમાં સાચી જોડણીને લગતો સવાલ પુછાય છે, એમ જ જી.પી.એસ.સી.માં પણ પુછાયો. તેના જવાબમાં એક ઉમેદવારનો જવાબ સાચો ગણાયો ને બીજાનો એ જ જવાબ ખોટો ગણાયો. એવો જ એક સવાલ વિધાન વાક્યને પ્રશ્ન વાક્યમાં ફેરવવાનો હતો. તેમાં પણ, સાચા જવાબમાં, એકને સાચો ગણાયો ને બીજાને ખોટો ગણાયો. એક સવાલ કોઈ સામયિકના તંત્રીને શુભેછા પત્ર પાઠવવાનો હતો. તેનો જવાબ બરાબર લખાયો, પણ પેપર તપાસનારે તેને ઝીરો આપતા એવી નોંધ મૂકી કે ઉમેદવાર પ્રશ્નને સમજ્યો નથી ને નિબંધની માહિતી પ્રાસંગિક નથી, જ્યારે હકીકત એ છે કે પેપર ચેકર સાહેબ જ પ્રશ્ન સમજ્યા નથી ને પત્રને નિબંધ ગણીને સાચા જવાબને ઝીરો આપ્યો છે. એ પરીક્ષકને શું કહેવું જે લખાયેલ જવાબને જોતાં નથી અને ‘ક્વેશ્ચન નોટ એટેમ્પ્ટેડ’ જેવી વાહિયાત ટિપ્પણી કરે છે. એક ઉમેદવારે અંગ્રેજીના પેપરના સેકશન-એના જવાબમાં સેકશન બી-નો જવાબ લખ્યો તો એને ઝીરો આપ્યો ને સેકશન-બીના જવાબમાં સેકશન એ-નો જવાબ લખ્યો તો એનો જવાબ માન્ય ગણીને 10 માર્ક્સ આપ્યા. આવું કોઈ સાધારણ પરીક્ષક પણ, ભાનમાં હોય તો ન કરે. એક જ જવાબને એક જ પરીક્ષક, એક વિદ્યાર્થીને માટે સાચો ગણે ને બીજા વિદ્યાર્થીને માટે ખોટો ગણે એમાં ઘોર બેદરકારી સિવાય કૈં નથી. આવું એકથી વધુ કિસ્સામાં બને એ શરમજનક છે. આવા પરીક્ષક સામે તાત્કાલિક રીતે કાનૂની રાહે પગલાં ભરાવા જોઈએ. બન્યું તો એવું પણ છે કે જેનો ક્રમાંક આગળ હોય તેવા ઉમેદવારોને વધુ માર્ક્સ અપાયા છે.

જી.પી.એસ.સી.ની ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલકી સેવા વર્ગ-1,2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-1,2(2021)ની મુખ્ય પરીક્ષામાં ઉમેદવારોએ લખેલ જવાબો તપાસવામાં ગંભીર બેદરકારી બહાર આવી છે. આ ઉમેદવારોનું મેરિટ મુખ્ય પરીક્ષાનાં પરિણામ અને ઇન્ટરવ્યૂ પરથી નક્કી થાય છે, એમાં પણ પરીક્ષામાં સારો દેખાવ ન હોય તો વાત ઇન્ટરવ્યૂ સુધી પણ પહોંચતી નથી, એ પરથી પણ આ પરીક્ષાઓ કેટલી મહત્ત્વની છે તે સમજી શકાય એમ છે, એવી પરીક્ષામાં એક એક માર્ક માટે તીવ્ર સ્પર્ધા હોય, ત્યારે પેપર ચેકર બેદરકારીથી પેપર તપાસે તો તે અપરાધ છે ને તેવા પરીક્ષકની સાથે તે જ રીતે વર્તવાનું રહે. ખરા જવાબના માર્ક ન અપાય ને ખોટાના અપાય તે બધી રીતે અક્ષમ્ય છે.

આ વાત કેટલાક ઉમેદવારોના ધ્યાને આવી અને ક્લાસ 1-2(મુખ્ય)ના 128 ઉમેદવારોએ ઉત્તરવહીઓ રજૂ કરીને પરિણામ જ હાઇકોર્ટમાં પડકાર્યું ને એમાં જે મેરિટમાં હતા તે ઉમેદવારોએ પણ ટેકો આપ્યો, એટલે કામ થોડું સરળ થયું. ઉમેદવારોએ સામેથી પોતાની ઉત્તરવહીઓ આપી ને એમ 600 ઉત્તરવહીઓ ભેગી કરવામાં આવી. ઉમેદવારોએ એસ.ઓ.પી.ની માંગ કરી ને મોડેલ આન્સર કીને આધારે પેપર તપાસાય તેવો આગ્રહ રાખ્યો. આર.ટી.આઇ. હેઠળ વિગતો માંગવામાં આવી તો જાણવા મળ્યું કે શિક્ષણ બોર્ડની જેમ જ જી.પી.એસ.સી. કે યુ.પી.એસ.સી.માં રિ-એસેસમેન્ટની વ્યવસ્થા નથી. મુખ્ય પરીક્ષા પછી ઉમેદવારોને આન્સર કી અપાય છે ને જે ઉમેદવારો પરિણામથી રાજી ન હોય તે અરજી કરી શકે છે. બોર્ડની પરીક્ષામાં મોડેલ આન્સર કી હોય છે, એવું જી.પી.એસ.સી.ની વર્ગ 1,2ની પરીક્ષામાં નથી. જી.પી.એસ.સી. કોઈ આન્સર કી તૈયાર કરતું નથી. આર.ટી.આઇ.ના જવાબમાં એવું પણ બહાર આવ્યું કે વર્ણનાત્મક પ્રશ્નપત્ર માટે કોઈ મોડેલ આન્સર કી તૈયાર કરવામાં આવતી નથી. જો બોર્ડની પરીક્ષામાં મોડેલ આન્સર કીથી પેપરોની ચકાસણી થતી હોય તો જી.પી.એસ.સી. જેવી પરીક્ષામાં મોડેલ આન્સર કી તૈયાર ન કરાય ને પરીક્ષકની મુનસફી પર ઉમેદવારને છોડી દેવાય એ બરાબર નથી – જો પરીક્ષક એક જ જવાબને, એકને માટે સાચો ને બીજાને માટે ખોટો ગણતો હોય ત્યારે તો ખાસ ! કમ સે કમ મોડેલ આન્સર કી-થી ઉમેદવારોનું મૂલ્યાંકન સરખી પદ્ધતિએ તો થાય. એમ થશે તો મૂલ્યાંકનમાં કોઈ પ્રકારનું સમાન ધોરણ જી.પી.એસ.સી. જેવી મહત્ત્વની પરીક્ષામાં જળવાશે.

એ અત્યંત દુ:ખદ છે કે જી.પી.એસ.સી. જેવી પરીક્ષામાં પરીક્ષક પેપર ચકાસણીની બાબતે જરા પણ ગંભીર નથી. ઉમેદવારોનું ભવિષ્ય જેના પર અવલંબિત છે તેમને અન્યાય ન થાય એની કાળજી જી.પી.એસ.સી.ના આયોજકોએ લેવી જોઈએ. આ બધું મફતમાં થતું નથી. દરેક વખતે ફી ઉઘરાવાય છે. અનેક પ્રકારની ફોર્માલિટીસ પૂરી કરવામાં આવે છે. ઉમેદવારો ખેંચાઈ-તણાઈને દૂર દૂર પરીક્ષાઓ આપવા દોડે છે, એ આશાએ કે પરીક્ષામાં સફળતા મળે તો ઇન્ટરવ્યૂ નીકળે ને તેમાં દા’ડો વળે તો નોકરીનું ઠેકાણે પડે ને વર્ષોની મહેનત રંગ લાવે. આ બધું સાધારણ ઉમેદવાર માટે હાથવગું નથી. હવે તો ઉચ્ચ શિક્ષણનો ખર્ચ લાખોમાં આવતો હોય છે. એ ભણતર માટે લોન લેવાઈ હોય છે. એ ભરપાઈ કરવાની ચિંતા સાધારણ કુટુંબની ઊંઘ હરામ કરતી હોય છે. એમાં વળી એક ભય ઉંમર પુરાઈ જવાનો હોય છે. ઉંમર વીતી જાય તો નોકરીની તકો ઘટી જતી હોય છે. આખું કુટુંબ એ આશ પર બેઠું હોય છે કે દીકરા કે દીકરીને યોગ્ય નોકરી મળી જાય તો વર્ષોથી ઊંચો રહેલો જીવ હેઠો બેસે ને જી.પી.એસ.સી. જેવી પરીક્ષાના પરીક્ષકો ખરાને ખોટું ગણી માર્ક ન આપે ને ખોટાને ખરું ગણી માર્ક આપે તો જે લાયક છે તેનું જાણ્યે-અજાણ્યે કેવું અહિત કરે છે તેની તેમને કલ્પના જ નથી. એવા પરીક્ષકની સામે કડકમાં કડક પગલાં ભરવામાં જી.પી.એસ.સી.ના અધિકારીઓએ જરા જેટલો પણ વિલંબ કરવા જેવો નથી. એ તો સારું છે કે ઉમેદવારો એક થયા ને એમણે ઉત્તરવહીઓ ભેગી કરીને વાત હાઇકોર્ટ સુધી પહોંચાડી. એનો તો જે ચુકાદો આવવાનો હશે તે આવશે, પણ આવી વાતો ઘણુંખરું બહાર આવતી નથી ને આવે તો તેનો યોગ્ય નિકાલ થતો નથી.

એમ લાગે છે કે ઠેર ઠેર નાની મોટી વાતના દેખાડામાં જ પ્રજા એવી વ્યસ્ત થઈ ગઈ છે કે દેખાડો જ જીવન થઈ ગયું છે. જીવન ઉપરછલ્લું થઈ ગયું છે. લોકો જાણે ઉપર ઉપરથી જ જીવે છે ને ઊંડે ઊતરવાની કે સારું-ખરાબ જોવાની કે તેને લગતું ચિંતન કે ચિંતા કરવાની કોઈને પડી જ ન હોય એમ સૌ વર્તે છે. એક તરફ ટેકનોલોજી માણસ પર રાક્ષસી રીતે સવાર થઈ રહી છે ને બીજી તરફ માણસ વધુને વધુ બેફિકર, બેદરકાર અને બેજવાબદાર થઈ રહ્યો છે. આવામાં પણ એક વર્ગ જીવવા માટે સતત સંઘર્ષ કરી રહ્યો છે. જીવનમાં સફળ થવા માટેની તેની કોઈ કારી ફાવતી નથી ને ચોતરફ અન્યાયનો ભોગ બનવાનું આવે છે. એ વર્ગ નાનો નથી ને સહાનુભૂતિની જરૂર એને છે. એને આંસુ આવે તો છે, પણ તે બતાવી શકતો નથી ને ધારો કે બતાવે તો એ જોવાની કોઈને ફુરસદ નથી …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 માર્ચ 2024

Loading

...102030...775776777778...790800810...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved