Opinion Magazine
Number of visits: 9457611
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગોપનીયતાનું ઉઘડાપણું: ચૂંટણી બોન્ડની માહિતી મતદાર સિવાય બધા પાસે છે!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|6 November 2023

રાજ ગોસ્વામી

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ સમક્ષ, ચૂંટણી બોન્ડની કાનૂની માન્યતા સંબંધી કેસની એક મહત્ત્વની સુનાવણી ચાલી રહી છે. ગુરુવારે, ત્રીજા દિવસની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસેથી ચૂંટણી બોન્ડ દ્વારા 30મી સપ્ટેમ્બર સુધીનાં રાજકીય ભંડોળ અંગે માહિતી માંગી છે.

કોર્ટે ચૂંટણી પંચને યાદ અપાવ્યું કે 2019માં એક આદેશ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં ચૂંટણી બોન્ડ દ્વારા દાન લેનારા તમામ રાજકીય પક્ષોની વિગતો ચૂંટણી પંચને આપવાની હતી. કોર્ટે પંચને પૂછ્યું હતું કે આ આદેશ છતાં 2019 પછી કોઈ ડેટા કેમ રજૂ કરવામાં આવ્યો નથી. પંચ હવે બેંકો અને રાજકીય પક્ષો પાસેથી ભંડોળનો ડેટા લેશે અને કોર્ટને આપશે.

આ કેસ આઠ વર્ષથી વધુ સમયથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે અને બધાની નજર તેના પર છે કારણ કે આ કેસના પરિણામની 2024ની લોકસભાની ચૂંટણી પર મોટી અસર પડી શકે છે. ચૂંટણી બોન્ડ યોજના, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળ દરમિયાન, તત્કાલીન નાણાં પ્રધાન અરુણ જેટલી દ્વારા 2017ના બજેટમાં રજૂ કરવામાં આવી હતી. આ બોન્ડ દ્વારા કોઈપણ વ્યક્તિ, સંસ્થા અથવા કંપની રાજકીય પક્ષોને દાન કરી શકે છે. તે એક પ્રકારની પ્રોમિસરી નોટ છે જે કોઈપણ ભારતીય નાગરિક અથવા કંપની દ્વારા ખરીદી શકાય છે.

ચૂંટણી બોન્ડ યોજના માત્ર ચૂંટણી સુધારા અથવા રાજકીય ભંડોળ વિશે નથી. ભારતમાં રાજકીય પક્ષો અથવા સરકાર અને મોટા ઉદ્યોગપતિઓ વચ્ચે સાંઠગાંઠના આક્ષેપો દાયકાઓથી ચાલી રહ્યા છે. આ દૃષ્ટિકોણથી, ચૂંટણી બોન્ડ યોજના લોકશાહી પ્રણાલીની શુદ્ધતા અને પારદર્શિતા તેમ જ સરકાર અને રાજકીય પક્ષોની જવાબદારી સાથે સંબંધિત છે.

ચૂંટણી બોન્ડ સંબંધિત કેટલાક પ્રશ્નો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. નાગરિકોને ખબર નથી કે કોણ દાન કરી રહ્યું છે અને કયા પક્ષને તે મળી રહ્યું છે. દાતા અનામી છે અને દેશના નાગરિકો પણ અજાણ છે કે કયા પક્ષને તે અનામી વ્યક્તિ પાસેથી કેટલું દાન મળી રહ્યું છે. નરેન્દ્ર મોદી સરકાર આ યોજનાને માહિતીના અધિકાર અધિનિયમ હેઠળ લાવવા માંગતી નથી.

બીજો મુદ્દો એ છે કે અગાઉ વીસ હજારથી વધુનું દાન અને વ્યવહારોનો હિસાબ ચૂંટણી પંચ પાસે રાખવામાં આવતો હતો. ચૂંટણી પંચે આ વિગતો જાહેર પણ કરી છે. પરંતુ ચૂંટણી બોન્ડ યોજના પછી સ્થિતિ બદલાઈ ગઈ. હવે, કોઈને ખબર નથી કે કયા રાજકીય પક્ષને કેટલા પૈસા દાનમાં આપવામાં આવ્યા છે. ચૂંટણી બોન્ડ લાવવા પાછળનું સૌથી મોટું કારણ પારદર્શિતા હોવાનું કહેવાય છે, પરંતુ જાન્યુઆરી 2018 થી, જે થઈ રહ્યું છે તે તેનાથી વિપરીત છે.

એ વાત સાચી છે કે જે પણ રાજકીય પક્ષ સત્તામાં હોય, તેને શરૂઆતથી વધુ દાન મળે છે, પરંતુ ચૂંટણી બોન્ડ્સે 2018થી સ્થિતિને સંપૂર્ણપણે બદલી નાખી છે. સત્તાધારી અને વિપક્ષમાં રહેલા રાજકીય પક્ષો વચ્ચેનું અંતર નોંધપાત્ર રીતે વધ્યું છે. પારદર્શિતાની સાથે સાથે ભ્રષ્ટાચારનો પણ મુદ્દો છે. કાઁગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ આરોપ લગાવ્યો છે કે ભા.જ.પ.ને ગુપ્ત રીતે મોટા કોર્પોરેટ જૂથો પાસેથી મોટા પાયે દાન મળે છે અને ચૂંટણી બોન્ડ લાવવા પાછળ ભા.જ.પ. સરકારનો ઇરાદો ચૂંટણી દાનમાં પારદર્શિતા લાવવાનો, ભ્રષ્ટાચાર અને કાળું નાણું સમાપ્ત કરવાનો હતો. જો કે, ભા.જ.પ. કહેતું આવ્યું છે કે કાઁગ્રેસ નથી ઇચ્છતી કે રાજકીય ભંડોળની વ્યવસ્થા પારદર્શક હોય અને તેથી જ તે તેનો વિરોધ કરે છે.

ચૂંટણી બોન્ડ યોજનાનો શરૂઆતથી જ વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ ગોપનીયતાનો છે. એટલે કે, કયા પક્ષને આ યોજના દ્વારા કોની પાસેથી કેટલા પૈસા મળ્યા એની માહિતી જાહેર કરાતી નથી. યોજનાને 2017માં જ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી, અને સુનાવણી 2019માં શરૂ થઈ હતી. એ પછી વિવિધ દલીલો વચ્ચે કેસ મુલતવી રહ્યો હતો. હવે તે અંતિમ સુનાવણી પર છે.

સુનાવણીના ત્રીજા દિવસે, ભારત સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રાજકારણીઓ અને રાજકીય પક્ષોને દાન આપતા દાતાઓની ગોપનીયતાની તરફેણમાં દલીલો કરી હતી. તેમણે કહ્યું હતું કે નામો ગોપનીય હોવાથી દાતાઓ હેરાનગતિ કે વેર ભાવનાથી સલામત રહે છે.

જવાબમાં, મુખ્ય ન્યાયમૂર્તિએ આ દલીલમાં પંક્ચર પાડતા કહ્યું હતું કે આ યોજનામાં સમસ્યા એ છે કે તેમાં “સિલેક્ટિવ ગોપનીયતા” છે. તે સંપૂર્ણ ગોપનીય નથી, કારણ કે જેની પાસે તેનો પૂરો વહીવટ છે તે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કેન્દ્ર સરકારના અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે. એટલે કાનૂનનો અમલ કરાવતી એજન્સીઓને તો બધી ખબર છે.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સૌથી મોટો મુદ્દો એ હતો કે ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષને કોણ અને કેટલું દાન આપે છે તેની લોકોને માહિતી હોવી જોઈએ કે નહીં. સરકારની એ દલીલને સ્વીકારવી અઘરી છે કે મતદારોને દાતાઓની ઓળખ જાણવાનો અધિકાર નથી.

બેંચના ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાએ કહ્યું, “આપણે ચૂંટણી બોન્ડ દ્વારા મળેલા દાનની વિગતો જાહેર કેમ ન કરી શકીએ?” તેમણે કહ્યું કે આ પૈસા વિશે બધા જાણે છે, એકમાત્ર વ્યક્તિ જેને આ વિશે જાણ કરવામાં આવતી નથી તે મતદાર છે. ન્યાયમૂર્તિ ખન્ના સરકારની એ દલીલ સાથે અસંમત હતા કે મતદારોને દાતાઓની ઓળખ જાણવાનો અધિકાર નથી.

સુનાવણી શરૂ થવાના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું. તેણે ધ્યાન દોર્યું હતું કે ચૂંટણી બોન્ડની માહિતી મેળવવાનો અધિકાર “વાજબી પ્રતિબંધો” હેઠળ આવે છે. એટલે કે, જ્યારે જરૂર પડે ત્યારે તેની માહિતીને નકારી શકાય છે. 2 નવેમ્બરના રોજ કોર્ટે કહ્યું હતું કે ચૂંટણી બોન્ડ યોજમાં કેટલીક ‘ગંભીર ખામીઓ’ છે. આને ધ્યાનમાં રાખીને વધુ સારી યોજના બનાવી શકાય તેમ છે.

અગાઉ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેટલાક ગંભીર પ્રશ્નો પૂછ્યા હતા. 1 નવેમ્બરના રોજ, સી.જે.આઈ. ચંદ્રચુડે પૂછ્યું હતું કે શા માટે સત્તામાં રહેલી પાર્ટીને જ સૌથી વધુ દાન મળે છે. કોર્ટે કહ્યું હતું કે ચૂંટણી બોન્ડ લોકો સુધી માહિતીના પ્રવાહને અવરોધી શકે છે.

આંકડા દર્શાવે છે કે પાંચ વર્ષ પહેલાં ચૂંટણી બોન્ડની શરૂઆત થઈ ત્યારથી રાજકીય પક્ષોને મળેલા દાનમાંથી અડધાથી વધુ દાન એકલા ભા.જ.પ.ને જ મળ્યું છે. ચૂંટણી બોન્ડની માન્યતાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવવાનું આ એક મુખ્ય કારણ છે. વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે મંગળવારે સુપ્રીમ કોર્ટ સમક્ષ કહ્યું હતું કે ચૂંટણી બોન્ડ યોજના કોર્પોરેટ ગૃહો પાસેથી લાંચ લેવાની એક રીત છે. તેમણે કહ્યું હતું કે, રાજકીય પક્ષો વિશેની માહિતી નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે.

સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓને ટાંકીને ભૂષણે કહ્યું હતું કે જો નાગરિકોને ઉમેદવારો વિશે જાણવાનો અધિકાર છે, તો તેમને ચોક્કસપણે એ જાણવાનો અધિકાર છે કે રાજકીય પક્ષને કોણ ભંડોળ પૂરું પાડી રહ્યું છે. ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી.આર. ગવઈ, જસ્ટિસ જે.બી. પારદીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બંધારણીય બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે.

અરજદારોમાંથી એક વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે પ્રત્યુત્તરમાં કહ્યું હતું, “કોર્પોરેટ સત્તાપક્ષને મોટું દાન આપે છે, અન્ય પક્ષોને નાનું. તેઓ સરકાર તરફથી ફાયદો લઇ રહ્યા છે. તેમને પાવરનો આનંદ મળે છે. આ પણ ભ્રષ્ટાચારનું એક સ્વરૂપ છે. જો ભ્રષ્ટાચારને નાબૂદ કરવો હોય તો આ યોજનાને તાત્કાલિક બંધ કરવી જરૂરી છે. મત આપવાનો અધિકાર ગુપ્ત છે, પરંતુ રાજકીય દાતાઓની તો દરેકને ખબર હોવી જોઈએ.”

રાજકીય ભંડોળમાં કાળા નાણાંને નાબૂદ કરીને રાજકીય પક્ષો માટે ભંડોળ એકત્ર કરવાની પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે ભારતમાં ચૂંટણી બોન્ડ રજૂ કરવામાં આવ્યા હતા. જો કે ટીકાકારોનું કહેવું છે કે ચૂંટણી બોન્ડની વિપરીત અસર થઈ છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના સહ-સ્થાપક જગદીપ છોકર કહે છે, “આ રીતે ચૂંટણી બોન્ડ શાસક પક્ષને અનુચિત લાભ આપે છે.”

બી.બી.સી. પર જારી એ.ડી.આર.ના અહેવાલ મુજબ, 2016-17 અને 2021-22 વચ્ચેના પાંચ વર્ષમાં કુલ સાત રાષ્ટ્રીય પક્ષો અને 24 પ્રાદેશિક પક્ષોને ચૂંટણી બોન્ડમાંથી કુલ 9,188 કરોડ રૂપિયા મળ્યા હતા. આ 9,188 કરોડમાંથી એકલી ભારતીય જનતા પાર્ટીનો હિસ્સો લગભગ 5,272 કરોડ રૂપિયા હતો. એટલે કે, ભા.જ.પ.ને કુલ દાનમાંથી લગભગ 58 ટકા ચૂંટણી બોન્ડ દ્વારા મળ્યું હતું. આ સમયગાળા દરમિયાન કાઁગ્રેસને ચૂંટણી બોન્ડમાંથી લગભગ 952 કરોડ રૂપિયા મળ્યા હતા જ્યારે તૃણમૂલ કાઁગ્રેસને 767 કરોડ રૂપિયા મળ્યા હતા.

એ.ડી.આર.ના અહેવાલ મુજબ, નાણાંકીય વર્ષ 2017-18 અને નાણાંકીય વર્ષ 2021-22 વચ્ચે ચૂંટણી બોન્ડ દ્વારા રાષ્ટ્રીય પક્ષોને મળેલા દાનમાં 743 ટકાનો વધારો થયો છે. બીજી તરફ, આ જ સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય પક્ષોને કોર્પોરેટ દાનમાં માત્ર 48 ટકાનો વધારો થયો છે.

આ પાંચ વર્ષમાંથી સૌથી વધુ 3,439 કરોડ રૂપિયા 2019-20(લોકસભાની ચૂંટણીના વર્ષ)માં ચૂંટણી બોન્ડ દ્વારા આવ્યા હતા. તેવી જ રીતે, વર્ષ 2021-22 માં (જેમાં 11 વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી) રાજકીય પક્ષોને ચૂંટણી બોન્ડ દ્વારા લગભગ 2,664 કરોડ રૂપિયા મળ્યા હતા.

ફેબ્રુઆરી 2017માં, કેન્દ્રીય બજેટ ભાષણ દરમિયાન, તત્કાલીન નાણાં પ્રધાન અરુણ જેટલીએ આ યોજના જાહેર કરી વખતે ચિંતા વ્યક્ત કરી હતી કે, “આઝાદીના 70 વર્ષ પછી પણ દેશ રાજકીય પક્ષોને ભંડોળ આપવાની પારદર્શક પદ્ધતિ વિકસાવી શક્યો નથી, જે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીની વ્યવસ્થા માટે મહત્ત્વપૂર્ણ છે.”

વિડંબના એ છે કે આટલા ઉદ્દાત ઈરાદો હોવા છતાં આ યોજના હવે શંકા-કુશંકાઓનો વિષય બની ગઈ છે.

લાસ્ટ લાઈન:

“સમસ્યાનું સરકારી સમાધાન એ સમસ્યા જેટલું જ ખરાબ હોય છે.”

– મિલ્ટન ફ્રાઈડમેન, નોબેલ વિજેતા અમેરિકન અર્થશાસ્ત્રી

——————————-

(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 05 નવેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પાંચ ગઝલ

સાહિલ|Poetry|6 November 2023

1.

ખાલીપામાં ટોળાયો છું

ઘરમાં છુ ને રોળાયો છું 

ક્યાં કોઈએ કંકર ફેંક્યો

અમથી અમથો ડ્હોળાયો છું 

જીવતરના જંતરમંતરમાં

ખોવાયો છું – ખોળાયો છું 

ઘટના કોઈ ઘટી ના તો પણ

વારે ઘડીએ તોળાયો છું 

ગાઢ ઘરોબો જળથી તોયે

મૃગજળમાં બોળાયો છું

ખાલીખમ કૂવાનો વારસ

પળ પળ તોયે ઢોળાયો છું 

કોની હળવી ફકે સાહિલ

લીલુંછમ હું કોળાયો છું 

………….. 

2.

કહે  પાંદડું ડાળ પરથી ખરેલું

મરેલું હંમેશાં રહે છે મરેલું 

ખુશી શી રીતે ફરકે મારા જીવનમાં

છે અસ્તિત્વ મારું પીડાને વરેલું 

બની બેઠું નભમાં જઈને સિતારો

જે અશ્રુ પ્રતીક્ષાની પળમાં સરેલું 

પરિચયનો તંતુ ભલે સહુએ તોડ્યો

રહ્યો મારો સંબંધ સહુથી ઘરેલું 

સીધી વાત સ્વીકારવામાં ય સાહિલ

મને મારા સાથે જ વાકું પડેલું

……………… 

3.

ધોરણો જેવું કશું હોતું નથી

સગપણો જેવું કશું હોતું નથી 

સમજૂતીની આંખના કોઈ ખૂણે

સમજણો જેવું કશું હોતું નથી 

એ જ ઘરને માનુ છું ઘર જ્યાં જવા

કારણો જેવું કશું હોતું નથી 

અર્થ શું એ વાદનો જો અંતમાં

તારણો જેવું કશું હોતું નથી 

પથ્થરોની આંખમાં કોણે કહ્યું

શ્રાવણો જેવું કશું હોતું નથી 

ક્યાં મળ્યો એ જીવ કે જે જીવને

વળગણો જેવું કશું હોતું નથી 

ત્યાં ય સાહિલ ક્યાં છિપાઈ છે તૃષા

જ્યાં રણો જેવું કશું હોતું નથી

……………….

4.

મજાલોમાં છે

સર્વ બ્રહ્માંડ મજાલોમાં છે

જેમ અજવાસ મશાલોમાં છે 

ક્યાં હજી પાર રણોનો આવ્યો

રેત બસ રેત પખાલોમાં છે 

મૌન જે ના કદી સંવાદ થયા

એ બધાં કોરી ટપાલોમાં છે 

પ્રશ્ન પલકારે પૂછ્યો આંખોએ

ઉત્તરો સેકડો સાલોમાં છે 

વાત નીકળે જો સહનશક્તિની

મારી ગણના ય કમાલોમાં છે

ઉત્તરો એના મળ્યાં ના મુજને

મારું હોવું જે સવાલોમાં છે 

કેમ સમજાવું જગતને સાહિલ

કેટલાં સુખ આ  મલાલોમાં છે

……… 

5.

કયા કાળ ચોઘડિયે ઈશે ઘડ્યો છે

મને મારો અવતાર ક્યાં પરવડ્યો છે 

છે ચારે તરફ મારા બિમ્બોના ઢગલા

છતાં મારો ચહેરો મને ક્યાં જડ્યો છે 

તમે જેને માની રહ્યા છો દયાળુ

જીવનભર મને એ જ ઈશ્વર નડ્યો છે 

જીવ્યો છે જે જણ ખુદના ઘરમાં પૂરાઈ

એ ચારે દિશામાં જગતને જડ્યો છે 

લટકતું જોઈ બંધ ડેલીએ તાળું

ઉઝરડાની ઉપર ઉઝરડો પડ્યો છે 

જે  મછવાને શોધી રહ્યા છો કિનારે

એ મછવો તો દરિયાના તળિયે પડ્યો છે 

જનમથી પૂજારી અહિંસાનો સાહિલ

છતાં સત્ય માટે ખુદાથી લડ્યો છે 

નીસા ૩/૧૫ દયાનંદ નગર, રાજકોટ ૩૬૦ ૦૦૨
04/11/2023
e.mail : sahilrjt1946@gmail.com

Loading

ગુજરાતી સાહિત્ય પરિષદ : ન બોલ્યામાં નવ ગુણ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|6 November 2023

રવીન્દ્ર પારેખ

આજે ગુજરાતી સાહિત્ય પરિષદની પ્રમુખની અને મધ્યસ્થ સમિતિની ચૂંટણીનું પરિણામ છે. પ્રમુખ અને મધ્યસ્થ સમિતિનાં ચૂંટાયેલા 40 સભ્યો આજે જાહેર થઈ જશે. આ બંને ચૂંટણીમાં મતપત્રકો 5 ઓક્ટોબરે રવાના કરવા માંડેલાં ને તે અમદાવાદ કાર્યાલય પર પરત મોકલવાની છેલ્લી તારીખ 4 નવેમ્બર હતી. ટૂંકમાં, આ ચૂંટણી દર વખતે આશરે મહિનો ચાલે છે. એમાં મતદાન પોસ્ટથી કે કુરિયરથી થાય છે. પરિષદના સભ્યો સાડા ચાર હજારની આસપાસ હશે ને એમાંથી 1,200થી 1,250 સભ્યો જ મતદાન કરતા હોય છે. આવું મતદાન 33 ટકાથી પણ ઓછું ગણાય, તો ય આ પ્રક્રિયા લગભગ મહિનો ચાલે છે. આટલો સમય તો લોકસભાની ચૂંટણીમાં ય નથી જતો, જેમાં લાખોની સંખ્યામાં મતદારો, મતદાન મથકે જઈને મત આપતા હોય છે. પરિષદમાં લગભગ 33 ટકા મતદાન થતું હોવા છતાં, ઘણીવાર એવું બને છે કે કેટલાક સભ્યોને મતપત્રકો પહોંચતાં જ નથી, તો કેટલાકનાં મતપત્રકો કાર્યાલયમાં છેલ્લી તારીખ વીત્યા પછી પહોંચતાં હોય એમ પણ બનતું હશે. વર્ષોથી આ પ્રથા ચાલી આવે છે. આ પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવાનું કોઈને જ મન થતું નથી એનું આશ્ચર્ય છે. આમ થવાનું એક કારણ પરિષદનું મુખ્ય કાર્યાલય અમદાવાદ છે, એ છે ને એ એક જ રહે એને માટે પરિષદનાં તંત્રોએ ઘણી મહેનત કરી છે.

પરિષદને અમદાવાદી માનસિકતા ઠીક ઠીક નડી છે. રણજિતરામ વાવાભાઈ મહેતા સૂરતના, પણ તેમણે 1905માં પરિષદની સ્થાપના અમદાવાદમાં કરી. તેમને ત્યારે ખ્યાલ નહીં હોય કે તેનું કાર્યાલય અન્ય શાખાઓમાં વિકસશે નહીં. આ લખનારે વારંવાર પરિષદની શાખાઓ અન્ય શહેરોમાં ખૂલે એ માટે પ્રયત્નો કરેલા, પણ પરિષદે એ પ્રયત્નોમાં કશો ઉત્સાહ આજ સુધી દાખવ્યો નથી. અહીંથી ફરી એકવાર પરિષદની શાખાઓ અન્ય શહેરોમાં ખૂલે એવી અપીલ કરવાની થાય છે. અમદાવાદને અન્ય શહેર/ગામના સભ્યો ખપે છે, પણ અન્ય શહેરમાં શાખા હોય એ ખપતું નથી. બેન્કની, હોટેલની, એલ.આઇ.સી.ની અન્ય શહેરોમાં શાખાઓ હોઈ શકે, પણ પરિષદની શાખાઓ અન્ય શહેરોમાં ન ખોલવાની માનસિકતા સમજાતી નથી. અમદાવાદમાં મુખ્ય કાર્યાલય હોય ને અન્ય શહેરોમાં શાખાઓ ખૂલે ને તે મુખ્ય કાર્યાલયને જવાબદાર હોય એવું થાય તો શું તકલીફ થાય એનો કોઈ ખુલાસો મળતો નથી.

જો અન્યત્ર પરિષદની શાખાઓ ખૂલે તો સભ્ય સંખ્યા પણ વધી શકે, જે તે શહેરમાં સાહિત્યિક, કલાકીય કાર્યક્રમો થઈ શકે, રસિકોનું ઇન્વોલ્વમેન્ટ વધી શકે, પણ કોઈક કારણોસર એ પરિષદને માફક આવતું નથી. પ્રમુખની ને મધ્યસ્થ સમિતિની ચૂંટણીઓ મહિના સુધી ચાલે છે, તે થોડા જ દિવસોમાં જે તે શાખાઓ પર મતદાન કરાવીને થઈ શકે. આમ થાય તો પરિષદનું કયું અહિત થાય તે સમજવાનું અઘરું છે. બંધારણમાં ફેરફાર કરીને પણ આ અંગે ઘટતા પ્રયત્નો કરવા જેવા છે.

સાચું તો એ છે કે પરિષદનો વિકાસ થાય એવું પરિષદ જ નથી ઇચ્છતી. બહારના સભ્યો વધે તે માટે સઘન પ્રયત્નો પણ ખાસ થતા નથી. જુદા જુદા શહેરોમાંથી ચૂંટાઈને આવતા સભ્યોને પણ નવા આજીવન સભ્યો બનાવવાની જવાબદારી સોંપાય તો તેમનું ચૂંટાવું પણ લેખે લાગે. મધ્યસ્થ સમિતિ સિત્તેરથી વધુ સભ્યોની થતી હશે. આ સમિતિ ત્રણ વર્ષ માટે નક્કી થાય છે. વધારે નહીં તો દરેક સભ્યો વર્ષે દસ નવા આજીવન સભ્યો બનાવે તો ત્રણ વર્ષમાં 2,100 સભ્યો થઈ શકે. પરિષદને 118 વર્ષ થયાં, પણ સભ્યો બનાવવાની વૃત્તિ ઓછી જ રહી છે. સાડા છ કરોડ ગુજરાતીઓ છતાં, પરિષદના દસેક હજાર આજીવન સભ્યો પણ ન હોય એનો પરિષદને સંકોચ નથી. બેચાર રસ લેનાર સભ્યો, પોતાની ગરજે, જે પાંચ-પચીસ સભ્યો બનાવે છે એટલાથી બધાં રાજી છે.

ચૂંટાયેલા સભ્યોની સક્રિયતા પણ મધ્યસ્થમાં કે કારોબારીમાં હાજરી આપી છૂટવાથી વિશેષ નથી. એ હાજરી પણ રજિસ્ટરમાં સહી કરવાથી આગળ ન જતી હોય એમ બને. મોટે ભાગે તો સભામાં નતમસ્તક રહીને સભ્યો, ચા પીને કે આઇસક્રીમ ખાઈને છૂટા પડી જતા હોય છે. એ સભ્યો ‘ન બોલ્યામાં નવ ગુણ’નો મહિમા ભલે કરે, પણ ‘બોલે તેનાં બોર વેચાય’ એ યાદ રાખવું પણ એટલું જ જરૂરી છે. સભ્યોની ઓછી સક્રિયતાને કારણે કેટલાંક હોદ્દેદારો પોતાનું ધાર્યું કરાવી લેતા હોય છે. કેટલાક તો પરિષદને પૈતૃક સંપત્તિ સમજીને નિર્ણયો લેતા હોય છે. ખરેખર તો એ સજ્જનો જ ઈચ્છે છે કે પરિષદ અમદાવાદી પકડની બહાર જાય નહીં, જેથી એમનું વર્ચસ્વ જળવાઈ રહે. એ જ કારણે પરિષદની શાખાઓ અમદાવાદની બહાર બની શકી નથી. કેટલાંક સભ્યો ને હોદ્દેદારો ઈચ્છે છે કે પરિષદ વિકસે જ નહીં. એમને ભય છે કે પરિષદ વિકસશે તો સ્થાપિત હિતોનું વર્ચસ્વ ઘટશે ને પરિષદ પરનો કાબૂ જશે.

નવા પ્રમુખ અને નવી સમિતિ પણ જૂની ઘરેડમાં જ ચાલવાનાં હોય, તો જૂની સમિતિ ફરી ચૂંટાઈ છે એમ જ માનવાનું રહે. અફસોસ તો એ વાતનો છે કે આજીવન સભ્યોનું પણ કોઈ મહત્ત્વ રહ્યું નથી. એ ત્રણ વર્ષે મત આપવા જ જીવંત થતાં હોય છે, એ સિવાય એમની કોઈ ભૂમિકા જ ન હોય એવી સ્થિતિ છે. ઘણા આજીવન સભ્યોની એ ફરિયાદ છે કે એમનું મહત્ત્વ મત આપવા પૂરતું જ રહ્યું છે. એ જ કારણે ઘણા સભ્યો મતદાન કરવાથી ય દૂર રહે છે. મતદાનની ઘટતી ટકાવારીમાં આ બાબત પડી હોય તો નવાઈ નહીં.

વારુ, જે નવા આજીવન સભ્યો થાય તેમને ‘પરબ’ મળવાનું તો ચાલુ થઈ જાય છે, પણ મતાધિકાર તરત મળતો નથી. આવું એટલે છે કે કોઈ, ચૂંટણીમાં જીતવા વધારે સભ્યો બનાવીને પોતાની તરફેણમાં મત ન ઉઘરાવી લે. પહેલી વાત તો એ કે એવા સભ્યો એમને એમ નથી થતા. એ ત્રણ હજાર રૂપિયા આજીવન સભ્ય ફી ભરે છે. ધારો કે કોઈ પોતાની તરફેણમાં એવું કરે છે તો તેથી પરિષદને તો એવા સભ્યોની આજીવન ફી મળે છે. એ ફી ભરનાર કે ભરાવનાર એમ જ કોઇની ફેવરમાં મતદાન કરશે? હવે તો લોકસભામાં અભણ મતદાતાઓ પણ ભોળવાતા નથી, તો સાહિત્ય રસિક ને શિક્ષિત આજીવન સભ્ય એમ જ કોઈના નામ પર ચોકડી મારશે? ને એવી કોઈ રમત હોય તો તે જે તે સભ્યની રમત છે, એની સાથે નવા આજીવન સભ્યને શી લેવા દેવા? એને ‘પરબ’ તરત મળતું હોય તો મતાધિકાર પણ તરત જ મળવો જોઈએ. તે ન કરવું હોય તો બંધારણ એમ સુધારવું જોઈએ કે એવા આજીવન સભ્યોને મતાધિકાર મળે તે પછી જ ‘પરબ’ મળવાનું શરૂ થશે.

મધ્યસ્થ સમિતિની ચૂંટણી એ જ આજીવન સભ્યો લડી શકે છે જેણે કોઈ પત્રોમાં દસ લેખો લખ્યા હોય અથવા તો તેને નામે એકાદ પુસ્તક બોલતું હોય. આ વખતે કેટલા સભ્યો એ રીતે ચૂંટણીમાં પ્રવેશ્યા એ જવા દઇએ, તો પણ દાતા સભ્યો કે સંસ્થા સભ્યોના જે તે પ્રતિનિધિઓ મધ્યસ્થમાં ઉમેરાય છે, એમની કોઈ પાત્રતા બંધારણમાં નક્કી કરવામાં આવી નથી. કોઈ દાતા સભ્ય કશી પાત્રતા વગરના સભ્યને આગળ કરે તો તે ઈચ્છવા જેવું ખરું? જે પાત્રતા મધ્યસ્થના સભ્યની નક્કી કરી હોય એ જ અન્ય કોઈ પ્રતિનિધિત્વ કરતા સભ્યની પણ હોય એવો ફેરફાર બંધારણમાં કરવાની જરૂર છે. એવા પ્રતિનિધિઓ આજીવન સભ્ય પણ હોય એ અનિવાર્ય ગણાવું જોઈએ, ન હોય તો તરત જ આજીવન સભ્ય બનાવવાનું અનિવાર્ય બનવું જોઈએ.

મધ્યસ્થની ચૂંટણીમાં 40 મત આપવાનું અનિવાર્ય ગણાયું છે એ બાબત પણ પુનર્વિચારણાને પાત્ર છે. એવું બને કે કોઈ વખત 35 જ સભ્યો મધ્યસ્થમાં ઉમેદવારી કરે છે, તો એ આપોઆપ જ ચૂંટાયેલા જાહેર થઈ શકે કે પછી બીજા પાંચ ગમે ત્યાંથી ઊભાં કરી ચાળીસ કરવા જ પડે એવું છે? એ જ રીતે 40થી વધુ સભ્યો ચૂંટણી લડતા હોય ત્યારે ચાળીસને મત આપવાનું ફરજિયાત છે. 39 કે 41 મત અપાય તો મતપત્રક રદ્દ થાય છે. આ બાબત પણ બંધારણીય સુધારો માંગે છે. મત આપવા જો પચાસ ઉમેદવારો યોગ્ય લાગતા હોય તો તે ઓછાં કરીને 40 કરવા પડે છે, એ જ રીતે 40થી ઓછાંને જ મત આપવાનું કોઈને યોગ્ય લાગતું હોય તો તેને એ છૂટ હોવી જોઈએ. તાણીતૂંસીને ચાળીસ ચોકડી કરવામાં તો ઘણા ખોટા દાખલ પડી જવાનો ભય રહેલો છે. જેટલા સભ્યોને મત મળ્યા હોય એને સૌથી વધુ મતોથી ઓછાના ક્રમે ગણતરીમાં લઈને, પહેલાં ચાળીસને વિજેતા જાહેર કરી શકાય. કહેવાનું તાત્પર્ય એ છે કે ચાળીસને ચોકડી મરાવવાનો આગ્રહ જતો કરીને ચૂંટણીમાં વધુ યોગ્યની પસંદગીનો આગ્રહ રાખવા જેવો છે.

પરિષદનું હિત જાણીને અહીં કેટલીક વાતો કરી છે. આશા છે એને પરિષદ ને એના નવાજૂના હોદ્દેદારો એ જ રીતે લેશે –

000 

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 નવેમ્બર 2023

Loading

...102030...775776777778...790800810...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved