Opinion Magazine
Number of visits: 9457461
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘લોકોને કઈ રીતે ખબર પડે કે આઝાદી આવી છે?’

રમેશ સવાણી|Opinion - Opinion|26 November 2023

[ભાગ-6]

રમેશ સવાણી

વિધાનસભામાં લોકોના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ, પરંતુ સરકારની વાહવાહી થાય તેવા જ પ્રશ્નો પૂછવામાં આવે છે. મુખ્ય મંત્રી જ આવું આયોજન કરે છે. ગુજરાતમાં, સત્તાપક્ષના ધારાસભ્યો પોતાની મેળે પ્રશ્નો પણ પૂછી શકતા નથી, તેવું વાતાવરણ 2002 પછી નિર્માણ કરવામાં આવ્યું છે. 2022 તથા 2023માં ગુજરાત વિધાનસભામાં સત્તાપક્ષના ધારાસભ્યોએ લોકોને વેઠવી પડતી મુશ્કેલીઓ અંગે મોં ખોલ્યું નથી ! ધારાસભ્યોને પોતાના ધંધામાં જ રસ છે, પૈસા બનાવવામાં જ રુચિ છે. તેઓ સેવા માટે ચૂંટાયા નથી, મલાઈ તારવી લેવા માટે જ પરિશ્રમ કરે છે. પરંતુ 1950માં આ સ્થિતિ ન હતી. તે વેળાએ ધારાસભ્યો કંઈક જુદી માટીના હતા. લોકોને વેઠવી પડતી મુશ્કેલીઓ / સરકારી સેવકોની જવાબદારી / સુરક્ષા / શિક્ષણ / આરોગ્ય સવલત / રસ્તાઓ / ખેડૂતોની વેદનાઓ વગેરે માટે અવાજ ઉઠાવવા પરિશ્રમ કરતા હતા !

સોનગઢ, વળા, લાઠી, લિલિયાના ધારાસભ્ય છગનભાઈ પટેલે 22 માર્ચ 1950ના રોજ સૌરાષ્ટ્ર રાજ્યની વિધાનસભામાં રજૂઆત કરી હતી : “સરકારી નોકરો સરકાર તેમ જ પ્રજા પ્રત્યે જે રીતનું વર્તન રાખીને કામ કરવું જોઈએ તેવી રીતે નથી કરતા. તેઓ નોકરીના સમય દરમિયાન બેસી રહે છે અને સરકાર અને પ્રજાને મુશ્કેલી થાય તેવી સ્થિતિ ઊભી કરવા પ્રયત્ન કરે છે. તેના સંબંધમાં અહીં સુધી માહિતી ન હોય અને બિલકુલ જ ખ્યાલ ન આવે એમ લાગતું નથી, થોડાઘણાં પગલાં લેવાયા હોય છતાં વાતાવરણ ઘણું જ કલુષિત રહે છે. જ્યારે આઝાદી આવી તે પહેલા લોકોના દિલમાં આશા, તમન્ના જાગ્રત થયેલ હતી, તે આપણે તુરત જ પૂરી ન કરી શકીએ તે સમજી શકાય તેવું છે, પણ સરકારી નોકરો વફાદારીથી વર્તે તેમાં કાંઈ મુશ્કેલીઓ બબ્બે વર્ષથી દેખાતી હોય, તે તુરત દૂર કરવી જોઈએ, જેથી પ્રજાને ખ્યાલ આવે કે આ નોકરો હવે પ્રજાના નોકરો થયેલ છે. બધા નોકરિયાત હવે આઝાદી મળ્યા પછી પ્રજાના નોકરો છે તેવી અસર પ્રજાના દિલ ઉપર ન પડે ત્યાં સુધી આ તંત્ર આપણું છે એવો ખ્યાલ ગ્રામજનતાને પણ ક્યાંથી આવે? નોકરિયાતો તેના તે જ હોય તો ગ્રામલોકોને આ ખ્યાલ ક્યાંથી આવે? વાતાવરણ સારું કરવા જે પ્રયાસ થાય છે તેને ખૂબ ઝડપ આપવાની જરૂર છે, જેથી ગ્રામલોકોને ખબર પડે કે આઝાદી આવી છે અને આપણું રાજ આપણે ભોગવી રહ્યા છીએ … પોલીસ ખાતું, પ્રજાના રક્ષણ માટે છે તેવી છાપ હજી પ્રજા ઉપર પાડી શક્યું નથી …””

“ગામડાંની નિશાળોમાં મોટા ભાગના શિક્ષકો બાળકોને બરાબર ભણાવતા નથી. સરકારને આ માટે ઘણા સૂચનો થયા છે, સૌરાષ્ટ્રમાં મોટી વસ્તી ગામડાંમાં વસે છે, ગામડાંની અજ્ઞાન જનતા કેળવણી માટે ફરિયાદ કરે છે કે કરોડો રૂપિયા સરકાર કેળવણી પાછળ ખર્ચે છે, તે ક્યાં ખર્ચાય છે? ગામડાંમાં વધારે શિક્ષકો રાખવા જોઈએ તેને બદલે આમ કેમ છે? ગામડાંના શિક્ષકો રીસાણા હોય તેમ લાગે છે, શું તેને કાંઈ પગાર કે સગવડ નથી મળતી? ગામડાંના બાળકો મોટી સંખ્યામાં ભણવા આવે, બાળકોને સારામાં સારું શિક્ષણ આપે તેઓ પ્રબંધ થવો જોઈએ.”

“ગામડાંમાં વૈદકીય રાહત જે રીતે અપાય છે તે સંતોષકારક નથી. ગામડાંમાં દર વર્ષે બે મહિના એવા જાય છે કે જેથી ખેડૂતોને ભારે મુશ્કેલી પડે છે. એક બાજુ દિવાળી ટાણું હોય, ઘઉંના વાવેતર શરૂ કરવાના હોય અને બીજી બાજુ મેલેરિયાની સીઝન નીકળે. આપણા પ્રદેશમાં એવું એક પણ ગામ નહીં હોય કે જ્યાં મેલેરિયા ન હોય. ખેડૂતો-મજૂરો સૌને લાગુ પડે છે અને કામના દિવસોમાં કામ અટકી પડે છે. તે વખતે પાંચ દસ ગાઉ દોડધામ થાય. ઇન્જેક્શન ફી, વાહન ભાડું અને ડોક્ટરની વિઝીટ ફી એમ ત્રણ થરી ફી ખેડૂતને ભારે પડે છે. આ દિશામાં શું કરવું જોઈએ? વેળાસર સસ્તી યોજના અમલમાં મૂકવી જોઈએ … સોરઠ જિલ્લાના પ્રભાસ પાટણમાં લોકોના ઉપયોગ માટે જે પાણીની વાવ છે તે વાવના પાણીથી લોકોને વાળાનું દર્દ થાય છે, એ વાત સરકારના લક્ષ ઉપર આવી છે કે નહીં? આવી હોય તો તે સંબંધે સરકારે શું ઉપાયો લીધા છે? વનસ્પતિ ઘી રૂપિયા 1 કે સવાનું મળતું હોવાથી 3 રૂપિયાવાળા ચોખ્ખાં ઘી તરીકે વેચે છે. નીતિનું ધોરણ ખૂબ નીચું લાવવા વનસ્પતિ ઘીએ જબરજસ્ત ફાળો આપ્યો છે. વનસ્પતિ ઘી ખૂબ વપરાશમાં આવતું હોવાથી ખેતી ઉપયોગી પશુઓ બળદ, ગાયો વગેરેને ફટકો પડ્યો છે. વહેલી તકે વેજીટેબલ ઘીને બંધ કરી પશુધનને રક્ષણ આપવું જોઈએ.”

“(4 ઓક્ટોબર 1950) ગઢડા અને ઢસા વચ્ચેના વાહન વ્યવહારમાં ચોમાસામાં સીતાપરી નદી, રસનાળિયો તથા સાદરડીના નેરા વગેરે લઈને ખૂબ મુશ્કેલી આવે છે તો તેના બેઠા પુલ બાંધી ઢસા ગઢડા વચ્ચેનો વાહન-વ્યવહાર ચાલી શકે તેવી સગવડ કરી આપવા સરકાર કૃપા કરશે? ભાવનગરથી રાજકોટ જતી સડકમાં સણોસરા પાસે નદી આડી આવે છે. સડકનો ખૂબ જબરો ઢાળ છે, જેથી સામે કાંઠે જવા અને ખાતરના ભર્યા ગાડાં લઈ જવામાં મુશ્કેલી પડે છે. તેની તપાસ કરી, પુલ કે એવું કાંઈ કરી, એ વેઠવી પડતી મુશ્કેલી દૂર કરવા સરકાર કૃપા કરશે?”

“(9 ઓક્ટોબર 1950) અનાજનું ઉત્પાદન વધારવા માટે હિન્દ સરકાર અને સૌરાષ્ટ્ર સરકાર તરફથી અનેક પ્રયત્નો થઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર સરકારે અનાજ ઉત્પાદન વધારવા ખાતર, બળદ, કોસ, વ્રત, બિયારણ વગેરે માટે અનેક જાતની તગાવી (ધીરાણ-લોન) છૂટે હાથે આપવાની સગવડ કરી છે. પરંતુ ખેતીમાં નકરો પૈસો જરૂરી નથી. ખેતીના કામકાજમાં પૈસા સિવાય માણસો જોઈએ, પશુ જોઈએ, લોઢું-લાકડું-સૂતર જોઈએ. જ્યાં સુધી ગાડાનું ધોંસરું પૈડાં ઊંધા હોય ત્યાં સુધી એક પગલું ન ભરી શકે. ખેતી માટે જુદા જુદા અનેક જાતના સાધનો જોઈએ. આ વસ્તુઓ પૂરી પાડવા માટે સૌરાષ્ટ્ર સરકારે પૂરતો પ્રયત્ન કરવો જોઈએ. ખેડૂતોને લોખંડનો ક્વોટા નામનો જ મળે છે. લોખંડનો ક્વોટા ખૂબ વધારવાની જરૂર છે, તે વગર ખેડૂતને રખડવું પડે છે. પૂરતાં પ્રમાણમાં સાધનો નહીં મળતાં ખેડૂત પૂરેપૂરી રીતે ખેતી પણ કરી શકતો નથી. ખેતી એટલા પૂરતી ઓછી થાય છે અને અનાજ વધારે ઉત્પન્ન કરવામાં સફળતા મેળવી શકતા નથી. ખેડૂતને સાધનો પૂરાં પાડવા જોઈએ. લોખંડ ખેડૂતોને મળતું નથી અને મકાનોમાં ખૂબ લોખંડ વપરાય છે, ખેડૂતોને માટે આજે આ જીવન મરણનો પ્રશ્ન છે. એટલે વહેલામાં વહેલી તકે આ સગવડ કરવાની જરૂર છે. બહારથી આપણે ખૂબ જ અનાજ મંગાવીએ છીએ પણ સાધનની પૂરી સગવડ મળે તો તે ઘણો ઓછો મંગાવવું પડે ! લોખંડનો ક્વોટા માળબંધ મહેલ, મકાનોને આપવાના બદલે ખેડૂતોને વધારે આપવું જોઈએ … અહીં એક સભ્યએ કહ્યું કે ‘સૌરાષ્ટ્ર સરકાર આવ્યા પહેલાં ઘણું સારું હતું !’ અગાઉ અગાઉ કાઠિયાવાડના રાજ્યોમાં ફક્ત હવા અને પાણી ઉપર વેરો ન હતો. બાકી પ્રજા ઉપર એટલા બધા વેરા હતા કે ખેડૂત ખેતરનું કામ કરીને સાંજે ઘરે પહોંચ્યો હોય ત્યારે વેઠમાં જવાની બીક તો તેના ઉપર ઊભી જ હોય. ખેડૂત ભલે સાજો ન હોય તો પણ તાલુકદાર સાહેબ ઓર્ડર કરે કે તુરત તેને વેઠ માટે ગાડું જોડવું પડે. તેના તાલુકદાર કહે તો ખેડૂતના બૈરાં કે બહેન દીકરીએ ગાર (લીંપણ) પણ કરવી પડે ! કોઈ અમંગળ થયું હોય તો ઘેર રાબડી કરવી પડે. સૌરાષ્ટ્ર થયા પહેલા ગામડાંના લોકોની આ દશા હતી. શું આ બધું સારું હતું? સૌરાષ્ટ્રની 40 લાખની પ્રજા તરફથી 45 સભ્યોને અહીં ભૂમિકા ભજવવા માટે મોકલ્યા છે તે ભૂમિકા આપણે બરાબર ભજવવી જોઈએ.”

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

માણસાઇ એક સેક્યુલર મૂલ્ય છે

રમેશ ઓઝા|Opinion - Opinion|26 November 2023

રમેશ ઓઝા

જેના પર ભરોસો મૂકી શકાય એવો શ્રદ્ધેય માણસ ધાર્મિક હોવો જરૂરી છે? શું માણસાઈ અને ધાર્મિકતા એકબીજાથી અલગ ન કરી શકાય એવાં અવિભાજ્ય છે અથવા એકના વિના બીજાનું અસ્તિત્વ સંભવી જ ન શકે એવાં અવિનાભવી છે? તમારો અનુભવ શું કહે છે? ઘડીભર માની લો કે તમે હિન્દુ કન્યાનાં હિન્દુ પિતા છો અને તેનાં હિન્દુ યુવક સાથે સગપણનો પ્રસ્તાવ આવ્યો છે. તમે એ યુવક હિન્દુ છે, દેખાવડો છે અને સુખી છે એટલું જોઈને પ્રસ્તાવ મંજૂર રાખશો કે પછી તે અને જે ઘરે દીકરી જવાની છે એ પરિવાર કેટલો સંસ્કારી છે એ પણ જોશો? આપણે દરેક સામેના પક્ષની માણસાઈની અલગથી ચકાસણી કરીએ છીએ. આને અર્થ એ થયો કે ધર્મ અને ધાર્મિકતા માણસાઈની ગેરંટી આપતાં નથી. આનો બીજો અર્થ એ થયો કે માણસાઈ એક ધર્મનિરપેક્ષ મૂલ્ય છે અર્થાત્ માણસાઇ એક સેક્યુલર મૂલ્ય છે. તેને ધાર્મિક હોવાપણા સાથે કે ન હોવાપણા સાથે કોઈ સંબંધ નથી. અને આ વાત દરેક ધર્મને લાગુ પડે છે, દરેક પ્રજાને લાગુ પડે છે અને ઇતિહાસના કોઈ પણ સમયખંડને લાગુ પડે છે.

માનવીય જીવનમાં જો માણસાઈ સૌથી મૂલ્યવાન જણસ હોય અને એ જો સેક્યુલર હોય એટલે કે ધર્મનિરપેક્ષ હોય તો પછી ધર્મનો શું ખપ? કોઈ ધર્મ પાપ કરવાનું શીખવતો નથી. દરેક ધર્મ સારાં કર્મો કરવાનું અને એ રીતે પુણ્ય કમાવાનું કહે છે. મોક્ષની, નિર્વાણની, મુક્તિની, કયામતના દિવસે રહેમની સીડી સારાં કર્મો દ્વારા જ ચડી શકાય છે. તો પછી દેખીતી રીતે માણસાઈ ધર્મજન્ય હોવી જોઈતી હતી, પણ અનુભવ એમ કહે છે કે માણસાઈ આપણે કોઈ વ્યક્તિના ધાર્મિક હોવાપણામાં નહીં, પણ ધર્મની બહાર જે તે વ્યક્તિના વહેવારમાં શોધીએ છીએ. ઊલટો એવો અનુભવ પણ થાય છે કે અતિ ધાર્મિક માણસ વહેવારમાં ખોટો હોય, સ્વાર્થી હોય અને કોઈને ય પણ છેતરવામાં લાજતો ન હોય.

ટૂંકમાં ધર્મ જો માણસાઈની ગેરંટી ન આપતો હોય અને માણસાઈ ધર્મનિરપેક્ષ સ્વતંત્ર ગુણ હોય તો પછી ધર્મનો શું ખપ? ધર્મિક માણસ મૂલ્યપરાયણ હોય એની કોઈ ખાતરી નથી. ધર્મપરાયણ માણસ અનિવાર્યપણે મૂલ્યપરાયણ ન હોવો જોઈએ? હોવો તો જોઈએ, પણ એવું બનતું નથી. કેમ? આ લાખ રૂપિયાનો સવાલ છે?

ધર્મનું એક આધ્યાત્મિક પાસું છે જે માળખાથી મુક્ત છે અને ધર્મનું એક અસ્મિતાકીય પાસું છે જે માળખાબદ્ધ છે. કોઈ સાચો હિંદુ સાચા હિંદુ બનવા માટેની યાત્રા શરૂ કરે તો એ સાચા માણસ બનવા સુધી પહોંચી જશે. એનું અસ્મિતાકીય હિંદુપણું ખરી જશે. અને જ્યાં સુધી માળખાબદ્ધ અસ્મિતાકીય હિંદુપણું ખરી ન જાય ત્યાં સુધી એ હિંદુ માણસ બની શકવાનો નથી. અને કોઈ પણ ધર્મનો કોઈ પણ સાધક જ્યાં સુધી શુદ્ધ માણસ ન બને ત્યાં સુધી એ મુક્તિનો અધિકારી બનવાનો નથી. આ વાત માત્ર હિન્દુ માટે સાચી નથી, દરેક વ્યક્તિ માટે સાચી છે પછી તે ગમે તે ધર્મનો હોય. એટલે તો સંતો અને સૂફીઓ એક મુકામે પહોંચી જાય છે. બન્નેનું મુકામ એક જ છે, અલગ અલગ નથી.

પણ ધર્મનું અસ્મિતાકીય માળખાબદ્ધ પાસું વધારે પ્રબળ છે અને વર્તમાન યુગમાં એ વધારે પ્રબળ બની રહ્યું છે. આનું મુખ્ય કારણ એ છે કે એ તમને ચોક્ક્સ ધર્મના અનુયાયી હોવાની અને એ અનુયાયીઓના સમૂહનો હિસ્સો હોવાની સુરક્ષા આપે છે. સમૂહનો હિસ્સો બનવાથી માણસ તરીકેની વ્યક્તિગત જવાબદારીઓ અને માનવીય ધર્મથી મુક્તિ મળી જાય છે. લોકોનાં આવાં પલાયનપારાયણ માનસનો રાજકારણીઓ, ધર્મગુરુઓ અને પુરોહિતો લાભ લે છે. ડરાવો અને વાડામાં પૂરી રાખો. રાજકારણીઓ વિધર્મીથી ડરાવે છે અને પુરોહિતો નર્કનો તેમ જ ૮૪ લાખ યોનિમાં પુનર્જન્મનાં ચકરવાથી ડરાવે છે. ધર્મનું રાજકારણ કરનારા રાજકારણીઓ સુરક્ષાની ગેરંટી આપે છે અને પુરોહિતો તેમ જ ધર્મગુરુઓ સદ્દગતિની ગેરંટી આપે છે. પણ આ બેમાંથી કોઈ માણસાઇની ગેરંટી આપતાં નથી.

ધર્મનું આધ્યાત્મિક પાસું માણસાઈની ખોજ કરનારું પાસું છે, માણસાઈને સમૃદ્ધ કરનારું પાસું છે, અસ્મિતામુક્ત કરનારું પાસું છે, ભયમુક્ત કરનારું પાસું છે, ઈશ્વર સાથે અને માણસ માણસની વચ્ચે એકત્વ સાધનારું પાસું છે. અસ્મિતાકીય માળખાબદ્ધ ધાર્મિકતાથી બિલકુલ સામેના છેડાનું છે. માટે દરેક ધર્મના કોમવાદીઓ (ફરીવાર કહું છું દરેક ધર્મના કોમવાદીઓ) પોતાના ધર્મના હાર્દને તમારી સમક્ષ રજૂ નહીં કરે. ઈશુનાં વચન, મહમ્મદનાં વચન, બુદ્ધનાં વચન, મહાવીરનાં વચન, વેદો તેમ જ ઋષિઓનાં વચન, સંતોનાં વચન, સૂફીઓનાં વચન, મરમીઓનાં વચન જે તે ધર્મના હાર્દરૂપ છે. પણ કોમવાદીઓ તેને તમારી સમક્ષ રજૂ નહીં કરે. એ તેમને માફક આવતાં નથી. એ વચનો માણસને અસ્મિતામુક્ત કરે છે, એ વચન માણસને ભયમુકત કરે છે, એ વચન માણસને માણસ સાથે જોડે છે, એ વચન દીવાલોને તોડે છે.

મારા વાચકમિત્ર, તારે ચાર કામ કરવાં જોઈએ. એક, તારા ધર્મનો હાર્દ શું છે અને શું કહે છે અથવા શીખવે છે એની તપાસ કર. જો તું તારા ધર્મ માટે ગૌરવ અનુભવે છે તો તેનાં અમૂલ્ય હાર્દ માટે અનુભવે છે કે બાહ્ય માળખાં માટે? બીજું, બીજાના ધર્મના હાર્દ પર (હાર્દ પર, બાહ્ય માળખા પર નહીં) પણ એક દૃષ્ટિ કરી જો. એના ધર્મના હાર્દ અને તારા ધર્મના હાર્દ વચ્ચે કેટલો તફાવત છે એ તું પોતે ચકાસી જો. ત્રીજું, તમારા ધર્મના અને એ સાથે વિધર્મીઓના ધર્મના કોમવાદીઓનાં કથન પર એક નજર કરી જો. તેમણે ક્યારે ય તેમના ધર્મના હાર્દની વાત કરી છે? કોમવાદનો લગભગ પોણા બસો વરસનો ઇતિહાસ છે અને એમાં તમને કોઈ ધર્મના કોઇ કોમવાદીનું પોતાનાં ધર્મના હાર્દને સ્પર્શતું હોય એવું એક પણ નિવેદન નહીં મળે. ગેરંટી. તમે પોતે ચકાસી જુઓ. ઘણું કરીને તેઓ એના વિષે જાણતા પણ નહીં હોય. કોમવાદી માનસ વિકસાવવા માટે તેની જરૂર પણ નથી, ઊલટું બાધારૂપ છે. અને ચોથું, માણસ તરીકેનો એક જ જન્મ મળ્યો છે તો માણસાઈની આરાધના કરવાની કે નીચતાની? વિચારી જો. તારું જીવન છે, તારે માર્ગ નક્કી કરવાનો છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 26 નવેમ્બર 2023

Loading

ડીપફેકનું અસલી-નકલી : શું નૈતિક, શું અનૈતિક?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|26 November 2023

રાજ ગોસ્વામી

તમને ‘મહાભારત’માં અશ્વસ્થામા નામનો હાથી મરાયો છે કે નર, તેના જવાબમાં ધર્મરાજ યુધિષ્ઠિરનો બહુચર્ચિત જવાબ ‘નરો વા કુંજરો વા” યાદ છે ને? ફેક-ન્યૂઝની આધુનિક દુનિયામાં કામ કરતા લોકો તર્ક આપે છે કે માણસનું મન પ્રાચીન સમયથી જ કાચી-પાકી માહિતીઓથી ભરમાતું રહ્યું છે (જેવું દ્રોણાચાર્ય સાથે થયું હતું), આજે ટેકનોલોજીએ એ ક્ષમતાને વધુ ધાર કાઢી આપી છે એટલું જ. ટેકનોલોજી કેવી ધાર કાઢે છે તેનો એક નવો અનુભવ પણ સામે આવ્યો છે.

હમણાં, દિવાળી પહેલાં ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પર અભિનેત્રી રશ્મિકા મંદાનાનો એક નકલી વીડિયો વાઈરલ થયો હતો, જેમાં તેના ચહેરાને એક બ્રિટિશ-ભારતીય અભિનેત્રી ઝારા પટેલના વીડિયો પર ફિટ કરી દેવામાં આવ્યો હતો. એ પછી કેટરીના કૈફની આગામી ફિલ્મ “ટાઈગર-3ના શુટિંગનો એવો જ એક નકલી વીડિયો વાઈરલ થયો. એ સમજાવાની જરૂર નથી કે બંને વીડિયોમાં અભિનેત્રીઓનાં અંગ-ઉપાંગને નિશાન બનાવામાં આવ્યાં હતાં.

આને લઈને વિવાદ ઊભો થતાં, કેન્દ્ર સરકારે નિર્દેશ જારી કરીને સોશિયલ મીડિયાને 24 કલાકમાં બંને વીડિયો ઉતારી લેવાનું કહ્યું હતું. ઓકટોબર મહિનામાં હોલિવૂડના જાણીતા અભિનેતા ટોમ હેન્કસે તેના ચાહકોને જાગૃત કર્યા હતા કે દાંતની એક જાહેરખબરમાં, તેના જેવા જ દેખાતા એક પાત્રનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હોલિવૂડમાંથી જ, અભિનેત્રી સ્કારલેટ જોહ્ન્સનના ચહેરાને એક એડલ્ટ વીડિયોમાં વાપરવામાં આવ્યો હતો.

આને ડીપફેક ટેકનોલોજી કહે છે. આર્ટીફીસિયલ ઈન્ટેલીજન્સ(એ.આઈ.)ની દુનિયાનો આ નવો આવિષ્કાર છે. તેમાં ડીપફેક ટેકનોલોજીની મદદથી એવી નકલી ઘટનાઓ ઊભી કરવામાં આવે છે, જે ક્યારે ય ઘટી ન હોય અને તેમાં વ્યક્તિના દેખાવને ડિજિટલી બદલવામાં આવે છે અને એક ભ્રામક  વીડિયો બનાવામાં આવે છે. એટલું જ નહીં, ડીપફેક ટેકનોલોજી અસલી લાગે તેવા ફોટો અને અવાજ પણ સર્જી શકે છે.

ડીપફેકનો વિચાર 2017માં પ્રચલિત થયો હતો, જ્યારે અમેરિકન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટના એક વપરાશકર્તાએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં પોર્નોગ્રાફિક વીડિયોઝ પર સેલિબ્રિટીઓના ચહેરાઓ ચિપકાવામાં આવ્યા હતા. આનાથી દર્શકોને ચાલાકીથી છેતરવાની તકનીકી ક્ષમતા વિશે લોકોમાં ચિંતા જાગી હતી.

ત્યારથી, ડીપફેક ટેકનોલોજી વધુ અદ્યતન અને સુલભ બની છે. હવે એવી ઘણી એપ્લિકેશનો અને વેબસાઇટ્સ છે જે વપરાશકર્તાઓને ન્યૂનતમ પ્રયત્નો અથવા તકનીકી કુશળતા સાથે ડીપફેક વીડિયો બનાવી આપે છે.

ડીપફેક ટેકનોલોજી અત્યારે એટલા માટે બહુ ચર્ચામાં છે કારણ કે સામાન્ય માણસ તેને અસલી માની બેસી તેટલી તેની ચોકસાઈ હોય છે. જેમ જેમ તેની ટેકનોલોજીમાં સુધારો થશે, તેમ તેમ તેને પકડવાનું અઘરું બનતું જશે અને આપરાધિક પ્રવૃત્તિઓમાં પણ તેનો વ્યાપક ઉપયોગ થવાની શંકા છે. એટલે પોલીસ અને અદાલતો માટે પણ મોટું સંકટ પેદા થવાનું છે.

ડીપફેક મુખ્યત્વે મનોરંજનની દુનિયાની ટેકનોલોજી છે, પરંતુ તેને લઈને સંભવિત ગુનાહિત ગેરઉપયોગની સાથે સાથે નૈતિકતાના પ્રશ્નો પણ ઊભા થયા છે. આપણે ત્યાં અને વિદેશમાં એવી ઘણી ફિલ્મો આવી છે, જેમાં અભિનેતાના પરફોર્મન્સને ડિજિટલ ટેકનોલોજીની મદદથી “સુધારવા”માં આવ્યું હોય. જેવી રીતે લોકો મોબાઈલ એપ્સની મદદથી તેમની સેલ્ફીને ફિલ્ટર કરે છે, તેવી રીતે ફિલ્મ સર્જકો વીડિયો એડિટિંગ કરે છે.

જાન્યુઆરી 2023માં, બ્રિટનના એક ટેલિવિઝન નેટવર્ક પર “ડીપફેક નેબર્સ વોર” (ડીપફેક પાડોશીઓની લડાઈ) નામની કોમેડી સિરીઝ રજૂ થઇ હતી. તેમાં જાણીતી સેલિબ્રિટીઓ એકબીજા સાથે ઝઘડતી હોય એવું બતાવાયું હતું. નામ પરથી જ સ્પષ્ટ છે તેમ, તે તમામ સેલિબ્રિટીઓ ડીપફેક ટેકનોલોજીથી બનાવામાં આવી હતી. પરંતુ ધારો કે એવો કોઈ ખુલાસો કર્યા વગર જ તમને આવું કશું જોવા માટે લલચાવામાં આવે તો તે યોગ્ય કહેવાય? ફિલ્મો કે ટેલિવિઝનની સિરિયલો કાલ્પનિક હોય છે તે સાચું, પણ તેમાં અસલી કલાકારોને બદલે ડિજિટલ કલાકારો હોય, તો પણ તે “અસલી મનોરંજન” કહેવાય?

ધારો કે, કોઈ ફિલ્મ કે લાઈવ વીડિયોમાં, તેમાં સંલગ્ન કલાકારોની જાણ બહાર (જેવી રીતે રશ્મિકા મંદાના કે કેટરીના કૈફના કિસ્સામાં બન્યું હતું) કોઈ એક ચીજમાં ફેરફાર થાય, તો અંગત રીતે તેમની પ્રાઈવસીનું ઉલ્લંઘન તો કહેવાય, પણ સાર્વજનિક દર્શક તરીકે આપણા માટે એ વીડિયો અસલી કહેવાય કે કપટ કહેવાય?

ડીપફેક ટેકનોલોજી આપણી સમક્ષ એક નૈતિક સંકટ ઊભું કરે છે : વાસ્તવિકતા ક્યાં પૂરી થાય છે અને કપટ ક્યાં શરૂ થાય છે? આર્ટીફીસિયલ ઈન્ટેલીજન્સના ઉદય સાથે આપણે એક એવી દુનિયામાં પ્રવેશી રહ્યા છીએ, જ્યાં નૈતિકતાવાદીઓ, કાયદા ઘડનારાઓ અને ડિજિટલ કન્ઝ્યુમર્સ સામે સતત એક પ્રશ્ન રહેશે કે તેઓ જે જોઈ રહ્યા છે તે અસલી છે કે નકલી?

ડીપફેકને સિન્થેટીક મીડિયા પણ કહે છે. તેમાં ફોટાઓ, વીડિયો અથવા ઓડિયો રેકોર્ડિંગ્સમાં શક્તિશાળી અલ્ગોરિધમ્સ અને ન્યુરલ નેટવર્ક્સ દ્વારા હાથચાલાકી (મેનિપ્યુલેશન્સ) કરવામાં આવે છે અને એવી ચીજો અથવા વ્યક્તિઓને બતાવવામાં આવે છે, જે મૂળ પ્રોડક્ટમાં ક્યારે ય હોય નહીં. બીજી રીતે કહીએ તો, તેમાં “નકલી વાસ્તવિકતા”નું નિર્માણ કરવામાં આવે છે.

આ “નકલી વાસ્તવિકતા” કાનૂનની દૃષ્ટિએ અને નૈતિકતાની દૃષ્ટિએ પડકારયુક્ત છે; તમે જે જુવો છો તે તમને વાસ્તવિક નજર આવે છે, પણ વાસ્તવમાં તે બનાવટી છે. આ ફેક-ન્યૂઝ જેવું છે. સોશિયલ મીડિયાના પ્રસારની સાથે છેલ્લા એક દાયકામાં વિશ્વમાં ફેક ન્યૂઝ અથવા પ્રોપેગેન્ડા અથવા મિસઇન્ફોર્મેશનનું ચલણ વધી ગયું છે, જેમાં મુખત્વે રાજકીય ફાયદાઓ માટે મતદારોને અમુક પ્રકારના સમાચારો, માહિતીઓથી ભ્રમિત કરવામાં આવે છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી જ ફેક-ન્યૂઝ પર રચાઈ હતી.

ડીપફેક ટેકનોલોજીની ચિંતા પણ એ જ છે કે રાજકીય મકસદ હાંસલ કરવા માટે જનતાને ફેક-વીડિયોથી ભ્રમિત કરવામાં આવશે. દુનિયાનો એક મોટો વર્ગ આજે પણ લખાયેલા શબ્દને બદલે આંખે દેખાતા દૃશ્યને વધુ સાચું માને છે. દાખલા તરીકે, તમે જે પક્ષના સમર્થક હો તેના વિરોધી પક્ષના નેતા કઢંગી હાલતમાં પકડાયા એવા તમે સમાચાર વોટ્સએપ પર ‘વાંચો’ અને તેનો વીડિયો ‘જુવો,’ તો બેમાંથી કોને વધુ અધિકૃત માનશો?

ડીપફેક ટેકનોલોજીની મદદથી રાજકારણીને બદનામ કરતો વીડિયો વાઈરલ કરી શકાય, કોઈને અપરાધમાં સંડોવી દેવા કે બચાવી લેવા માટે વીડિયો પેદા કરી શકાય કે પારિવારિક-સામાજિક અણબનાવમાં કોઈની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટે પણ વીડિયો બનાવી શકાય. તમને 1971નો નગરવાલા કેસ યાદ છે, જેમાં રુસ્તમ સોહરાબ નગરવાલા નામના માણસે, દિલ્હીની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કેશિયર વેદ પ્રકાશ મલ્હોત્રાને વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના અવાજમાં ફોન કરીએ 60 લાખ રોકડ કઢાવી લીધી હતી? આજે ડીપફેક ટેકનોલોજીની મદદથી કોઇપણ વ્યક્તિના અવાજની અદ્દલ નકલ કરી શકાય છે.

ટૂંકમાં, ડીપફેક ટેકનોલોજીની મદદથી તમે ધારો તેવી ‘વાસ્તવિકતા’ પેદા કરી શકો છો. એટલે એક નૈતિક પ્રશ્ન વાસ્વિકતાની અસલી પ્રકૃતિઓ પણ ઊભો થાય. શું નકલી છે અને શું અસલી છે? ‘મહાભારત’નું જ બીજું ઉદાહરણ છે કે વેદ વ્યાસનો શિષ્ય સંજય અંધ રાજા ધૃતરાષ્ટ્રને પાંડવો-કૌરવો વચ્ચેના યુદ્ધનો આંખે દેખ્યો અહેવાલ આપે છે. સંજયે એ અહેવાલ આપવામાં ઘાલમેલ કરી હોત, તો ધૃતરાષ્ટ્રને અસલિયતની ખબર પડત? આપણા કેસમાં આપણે ધૃતરાષ્ટ્ર છીએ અને ડીપફેક આધુનિક સંજય છે. ફરક એટલો જ છે કે ‘મહાભારત’નો સંજય પ્રામાણિક હતો, ડીપફેકનો સંજય ધૂર્ત છે.

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 26 નવેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...752753754755...760770780...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved