Opinion Magazine
Number of visits: 9665806
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારા લોક

મૂળ અરબી કાવ્યઃ સૈમર ઍબુ હૌવૉશ [Samer Abu Hawwash] (પૅલૅસ્ટિAbu Hawન્યન કવિ અને અનુવાદક) [ગુજરાતી અનુવાદઃ રૂપાલી બર્ક]|Opinion - Literature|23 March 2024

સૈમર ઍબુ હૌવૉશ

હુડા ફકરેદીન

રૂપાલી બર્ક

મૂળ અરબી કાવ્યઃ સૈમર ઍબુ હૌવૉશ [Samer Abu Hawwash] (પૅલૅસ્ટિAbu Hawન્યન કવિ અને અનુવાદક) [ગુજરાતી અનુવાદઃ રૂપાલી બર્ક]

અંગ્રેજી અનુવાદઃ હુડા ફકરેદીન [Huda Fakhreddine] (અનુવાદક, લેખક, યુનિવર્સિટી ઑવ પૅન્સિલવૅન્યામાં અરબી સાહિત્યના અસોસિયેટ પ્રૉફૅસર)

°

ત્યાં, એક ભૂમિ પર, અમને કહેવામાં આવ્યું,

નથી એ અમારી ભૂમિ,

એક આકાશ નીચે, અમને કહેવામાં આવ્યું, 

નથી એ અમારું આકાશ,

મૃત્યુ જીવે છે મારા લોક.

*
ખબર નથી કઈ રીતે અમે પહોંચ્યા અહીં,

જવા માટે જગા નથી બીજી કોઈ.
નિરાશાની ચરમસીમાએ

ડાયસ્પૉરાના દેવને અમે વિનવીએ છીએઃ

આ મૂંઝવણ સમજવા મદદ કરો, કહીએ છીએ અમે.

નથી ઠેસ પહોંચાડવી અમારે રણની લાગણીને

કે નથી ડહોળવી પહાડની શાંતિ,

વળી, શહેરની દીવાલો છે ઊંચી અને ઘણી.

જવું ક્યાં અમારે?

એક બગીચામાં — સૌથી સુંદર બગીચો નહીં,

ને શું ખબર અમારો કે નહીં,

ના વૃક્ષ, ના ફળ, ના પંખીના માળા

અમારા આત્માના ખંડેરમાં 

— અમે જડ્યા અમને.

અમારો બગીચો, કહ્યું અમે.

સોયથી બખોલો ખોદી

વેગળી સ્મૃતિઓના છાંયડામાં

સંતાયા અમે સળગતા સૂર્યથી,

જીવનની સ્મૃતિઓ, અમને કહેવામાં આવ્યું, અમારી નથી.

આવ્યા નહોતા અમે કોઈ દિશા કે સ્થળથી,

પડ્યાં હતાં કોઈ મરતાં તારાની ધૂળ જેવા,

કેવળ એક બ્રહ્માંડીય સંયોગ,

વિષાદના તારા સાથે ગોઠવાતો જતો સૂર્ય.

અમને કશો ખ્યાલ નથી શું હતું આદિમાં

ને શું હશે અંતમાં.

અમે અહીં છીએ એ સિવાય કશું યાદ નથી,

બ્રૅડના સુકાયેલા ટૂકડામાં,

સુકાયેલા વિશ્વમાં,

અને સુકાયેલી નદીઓ અને માતાઓના આંસુમાં ભાગ પડાવીએ છીએ.

*

નથી અમારો કોઈ રંગ

— અને બધાં જ રંગો અમારા છે —

ના સખત નાકનકશો,

ના ભાષા,

ના પ્રક્ષેપણ બિંદુ,

ના આખરી દિશા. 

આ ગ્રહના પ્રત્યેક ઍરપૉર્ટ પર અમારામાંના એક કોઈક અપરિચિતને

વર્ણવતો હોય છે આ પૃથ્વી પરના અમારા અસ્તિત્ત્વની વ્યાધિ.

*

અમે રોમાંચક જિંદગી જીવી રહ્યા છીએ.

દરેક દિવસ એક સાહસ છે,

દરેક શ્વાસ એક ચમત્કાર.

અને મરીએ છીએ જ્યારે, આખરે, ખૂબ મરીએ છીએ.

વિસ્થાપનથી કંટાળેલા,

ડાય્સપૉરાથી ભયભીત,

આકાશની છાતીમાં એક નવા રોમાંચક દિવસ માટેનો

પર્યાપ્ત કોલાહલ પૂરો પાડે છે 

અમારો વિનાશ.

 *

કોઈ દેવે અમને વચન આપેલું નથી,

ગ્રંથોમાં અમારા નામ નજરઅંદાજ કરાયેલા છે.

આકાશે ચડતા બગડી ગયેલા ઍલવૅટર ભણી

અમને હકાલતા પ્રેતાત્માઓનો પીછો કરવા અમને છોડી દેવાયા હતાં.

*

સંતાનોનાં નામ હાથપગ પર લખી રાખે છે મારા લોક,

જેથી નરસંહાર પછી એમને શોધી શકાય.

દૂર ખેતરોમાં નજર ફેલાવતા,

માર્ગમાંના ચીસ પાડતા દરેક પત્થરને,

દરેક અશક્ય ડાળને અડકતા,

આશા સેવે છે કોઈ ચિહ્નની, કોઈ ધ્વનિની,  

કોઈ ગીતની, કોઈ પ્રાર્થનાની,

જે એ જ અંધકારમાં એમનું પુનર્મિલન કરાવી આપે.

 °°°°

સૅબૅસ્ચ્યન સનચૅઝ–શિલિંગ સાથે હુડા ફકરેદીનની મુલાકાત

સવાલ : સૈમર ઍબુ હૌવૉશના કાવ્ય ‘મારા લોક’નો તમારો અનુવાદ ધ્યાન ખેંચનારો છે. એટલે કે હાલ ગાઝામાં અરેરાટી ઉપજાવનારી જે અકથનીય ઘટનાઓ બની રહી છે એની સૌથી નજીકનો શાબ્દિક પ્રયાસ છે. આ કાવ્યનો અનુવાદ કરવા પાછળનો ખાસ હેતુ શો હતો? હૌવાશના કાવ્ય ‘મારા લોક’નો અનુવાદ કરવાનો નિર્ણય કર્યો તે પૂર્વે એમના સર્જન સાથે તમારો કેવો નાતો રહ્યો છે?

જવાબ : ગાઝાથી આવતા સમાચાર મેળવતા રહેવા અને આવા કપરા સમયમાં હિંમત રાખવાના બનતા પ્રયત્નો કરતા રહેવા સિવાય હું ઝાઝું કશું કરી શકતી નથી. વિશેષ કરીને અમૅરિકી સંસ્થાઓમાં જ્યારે હું અને મારા જેવા બીજા પર આ પ્રવર્તમાન નરસંહારનો વિરોધ માત્ર કરવાને કારણે દબાણ અને ધાકધમકીનો મુકાબલો કરી રહ્યા છીએ. છેલ્લાં કેટલા સમયથી માત્ર પૅલૅસ્ટિનયન સાહિત્યનો ઉત્સવ મનાવવા બદલ અને સત્યનિષ્ઠાથી અરબી સાહિત્યનો અભ્યાસ કરવા બદલ અમને ધમકીઓ મળી રહી છે અને અમારી સામે દ્વેષી ઝુંબેશો ચલાવવામાં આવી રહી છે. નરસંહારમાં જ્યારે ૩૦,૦૦૦ પૅલૅસ્ટિનયનો સંહાર થતો હોય ત્યારે અમે ચૂપ રહીએ એવી અપેક્ષા રખાતી હોય અને અમને કહેવામાં આવતું હોય કે અમારી બૌદ્ધિક રુચિના દાયરામાં આ આવતું નથી, એવામાં અમે એ સ્વીકારી લઈએ તો અમે દંભી અને તકવાદી જ કહેવાઈએ.

ગાઝાથી આવતી અને ગાઝા વિષેના કાવ્યોનો અનુવાદ કરી આવા સમયમાં હું આશ્વાસન મેળવું છું. આ કાવ્યોની મને જરૂર છે. કાવ્યોને મારી જરૂર નથી. સૈમરે આ કાવ્ય અરબીમાં પ્રકાશિત કર્યું તે પહેલાં મને વંચાવ્યું અને એણે મારું ધ્યાન જકડી લીધું. આ કાવ્ય ખૂબ સહજ અને પ્રત્યક્ષ રીતે પૅલૅસ્ટાઈનની અકથનિય ભયાવહ પરિસ્થિતિની સામે થાય છે. સૈમર સામી છાતીએ અકથનીય પરિસ્થિતિ સાથે બાથ ભીડે છે અને નરી વાસ્તવિક્તાને બયાન કરે છે. આ વાસ્તવિક્તા અકલ્પનીયની સાથે હકીકત પણ છે. આ કાવ્યમાં વાસ્તવિક્તાનો આ વિરોધાભાસ સમાયેલો છે. દૃશ્યને ચોકઠામાં જકડી, ગોઠવી અને પોતાના માટે બોલવા દે એવી નિર્મળ કાચ જેવી સાદી, સહજ ભાષામાં કાવ્ય સિદ્ધ કરે છે.

ઘણાં વર્ષોથી હું સમૈરનું લેખન વાંચતી આવી છું. મારા પુસ્તક ‘ધ ઍરબિક પ્રોઝ પોયમ: પોયટિક થિયરી ઍન્ડ પ્રૅકટીસ’ પર કામ કરી રહી હતી તે દરમ્યાન ચાર વર્ષ પહેલાં સમૈર સાથે મારો સંપર્ક થયો હતો. આ પુસ્તકના એક અધ્યાય માટે મેં એમના અમુક કાવ્યોનો અનુવાદ કર્યો હતો. એમાંના અમુક ‘એસિમટોટ બ્લોગ’ પર પ્રકાશિત છે. તે વખતથી અમે મિત્રો બન્યા અને આ નિરાશાજનક સમયમાં ઘણી વખત એકબીજાના સંપર્કમાં રહીએ છીએ. આક્રોશ, લાચારી અને અરેરાટીની અમારી સહિયારી લાગણીને વાચા આપતાં નવાં કાવ્યો મને મોકલતા રહે છે. એમની શાંત અને સ્થિર ભાષા અરેરાટીને નાટ્યત્મક્તા વિના પ્રતિક્રિયા આપે છે. આક્રોશ કે વિલાપ કરતાં પણ આ ઘણી વખત વધુ દર્દનાક સાબિત થાય છે.

સવાલ : તમારી સાથેના આ પૂર્વેની મુલાકાતથી પુરવાર થયું હતું કે અરબી કવિતાના સ્વરૂપ અને છંદ પર તમે વિદ્વતાપૂર્ણ અને નિપુણ પકડ ધરાવો છો. હૌવૉશ પોતાના કા વ્યોમાંવાપરતા અમુક કાવ્યાત્મક યુક્તિઓ વિષે અને એનો તમે અંગ્રેજી અનુવાદ કેવી રીતે કર્યો એ અમને જણાવી શકો છો? ઔપચારિક ધોરણે આ કાવ્યનો અનુવાદ કરતી વખતે સૌથી મોટો પડકાર કયો હતો?

જવાબ : અરબી સંદર્ભે સમૈરનું ‘મારા લોક’ ગદ્ય કાવ્ય છે. એમાં છંદ કે પ્રાસ નથી પરંતુ રેખાંકિત છે. મૌન અને વિરામના ઉપયોગથી કવિ અર્થ ઉપજાવે છે. અગાઉ મેં ક્યાંક કહ્યું છે એમ સફળ ગદ્ય કાવ્ય નિરાકાર હોતું નથી પરંતુ એનો પોતાનો આકાર રચે છે અને સફળતાપૂર્વક આ સિદ્ધ કરવું વધારે અઘરું છે. અહીં ચાવીરૂપ શબ્દ છે માળખું. કાવ્યમાં કવિ તણાવ સર્જે છે અને ખંડન દ્વારા એનો ચાપ રચે છે. કાવ્યનું ઉદ્ભવ વાક્ય છે “એક ભૂમિ પર, અમને કહેવામાં આવ્યું, નથી એ અમારી ભૂમિ.” કાવ્યમાં ખંડન ખડકાતા જાય છે : “નથી ખબર કઈ રીતે અમે પહોંચ્યા અહીં,” “એક બગીચામાં — સૌથી સુંદર બગીચો નહીં,” “આવ્યા નહોતા અમે કોઈ દિશા કે સ્થળથી,” “અમે અહીં છીએ એ સિવાય કશું યાદ નથી,” “નથી અમારો કોઈ રંગ,” “કોઈ દેવે અમને વચન આપેલું નથી…” પૃષ્ટિની દુર્લભ ઘડીઓ આંચકો આપનારી છે, જેવી કે “મરીએ છીએ જ્યારે, ખૂબ મરીએ છીએ.” પરાકાષ્ઠા કાવ્યના છેલ્લાં ફકરામાં હચમચાવી નાખતી પુષ્ટી સાથે થાય છે : 

“સંતાનોના નામ હાથપગ પર લખી રાખે છે મારા લોક, 

જેથી નરસંહાર પછી એમને શોધી શકાય.” 

નિર્વિવાદ નરસંહારમાં “મારા લોક” લખે, જુએ, સ્પર્શે અને આશા સેવે છે. ખંડનની હારમાળાથી બનેલાં પૅલૅસ્ટિન્યન જીવનનો અંત આવે છે ક્યાંક પુનર્મિલન માટેની તૈયારી સાથે “એ જ અંધકારમાં” આ નર્કાગારની પાર. અતિ રૂઢ બનેલી આશા સાથે આ કાવ્યનો અંત થતો નથી. જીવન અને મરણની વાસ્તવિક્તાઓ અને સીમાઓને ઓળંગતા સ્થિતિસ્થાપક્તા અને ખંત છે. હકિકતે એ સ્થિતિસ્થાપક્તા અને ખંતમાં રૂપાંતરિત થતી નિરાશા છે, કારણ વગરના જીવનનું વાસ્તવ છે કે પછી એવું જીવન જે કારણ છે, જે પૅલૅસ્ટાઈન અને એના લોકોનો કિસ્સો છે. 

સવાલ : અરબી સાહિત્યમાં ૨૦મી સદીની પ્રગતિમાં તમારી કુશળતા છે માટે હું વિચારું છું શું તમે આધુનિક અરબી કવિતામાં પૅલૅસ્ટાઈન અને પૅલૅસ્ટિન્યન કવિઓની ભૂમિકા વિશે વધુ જણાવી શકશો? અંગ્રેજી બોલતી દુનિયામાં અમે એ જ કવિઓ વિશે જાણીએ છીએ જેમને અનુવાદ થકી પ્રાધાન્ય મળેલું છે જેવા કે મેહમુદ ડાર્વિશ, પરંતુ આ તો સાવ ઉપરનું પડ છે.

જવાબ : તોફિક અલ-સૈયૅઘ, ઈબ્રાહિમ તુકાન, ફદવા તુકાન, જબરા ઈબ્રાહિમ જબરા, સમિહ અલ-કાસિમ, સલમા ખદરા અલ-જૈયુસી, મ્યુઈન બસૈસો, હુસેન અલ-બરઘુટી, મૌરિદ અલ-બરઘુટી, ઝકારિયા મોહમ્મદ, અને મોહમ્મદ અલ-અસદ આપણી વચ્ચે નથી રહ્યાં. એમણે અરબી આધુનિક ચળવળના ઉદયમાં ચિતન અને વ્યવહાર દ્વારા યોગદાન આપ્યું. અરબીમાં અને ડાયસ્પૉરાની ઘણી બધી ભાષાઓમાં લખતાં હાલ હયાત એવાં ઘણાં બધાં, ઘણા વધુ પૅલૅસટિન્યન કવિઓના નામની યાદી આપણે બનાવી શકીએ છીએ.

આધુનિક અરબી સાહિત્યમાં પ્રધાનતત્ત્વ તરીકે, રૂપક તરીકે, અનુભૂતિ તરીકે, કારણ તરીકે પૅલૅસ્ટાઈન અગ્ર સ્થાન ધરાવે છે. ૧૯૪૮નું નક્બા કે આફતને પરિણામે અરબ વિશ્વમાં અને એની બહાર સમૂહ વિસ્થાપનને લીધે દેશવટા અને નિર્વાસિતપણાની અનંત પરિસ્થિતિમાં પૅલૅસ્ટિન્યન લોકોને ભાગે આવ્યું. આથી, ૨૦મી સદીના ઉતરાર્ધમાં નવાં વલણો અને ચળવળોને જન્મ આપ્યો. બહોળા અર્થમાં અરબી સાંસ્કૃતિક સર્જન સંદર્ભે સ્થાયી અને ઊંડી અસરવાળા પરિણામો આવ્યાં. 

આપણી નજર સમક્ષ પૅસૅસ્ટિન્યન લોકોનો નરસંહાર ચાલી રહ્યો હોય એવા સમયે આ અભૂતપૂર્વ હિંસાના અને સમગ્ર અરબ સંસ્કૃતિ સામેની આક્રમક્તાના સ્વીકારમાંથી ઉદ્ભતો ના હોય એવો અરબી કવિતા કે સાહિત્ય કે સંસ્કૃતિનો અભ્યાસ કે એની સાથે સંકળાવવામાં સહભાગીતા અને કપટીપણું પુરવાર થાય છે. 

સવાલ : એવું શું છે પૅલૅસ્ટાઈન અંગે જેનાથી એને આ દરજ્જો મળે છે અને અરબી સાંસ્કૃતિક નિર્માણ માટે આ ભૂમિકા ભજવવા દે છે? પચાસ વર્ષ પૂર્વે હતી એ જ ભૂમિકા એ હજુ ભજવે છે? આ છેલ્લા થોડાક મહિનો સુધી ઈઝરાયલ સાથે ખાડીના વિવિધ દેશોની પુનર્મૈત્રીને કારણે ઘણાને લાગતું હતું કે અરબ વિશ્વમાં પૅલૅસ્ટાઈનની રાજકીય ભૂમિકા ઘટવા લાગી હતી. જો કે, સરકારો દ્વારા ચલાવાતી નીતિ વધારે લાગે છે ના કે અરબ વિશ્વમાં સામાન્ય મતનું પ્રતિનિધિત્વ. સાંસ્કૃતિક વર્તુળમાં શું આ જ બનવા પામેલું કે પછી પૅલૅસ્ટાઈનનું સ્થાન અકબંધ રહ્યું છે? છેલ્લા અમુક મહિનાથી ઘણાંએ નોંધ્યું કે ઈઝરાયેલ સાથે વિવિધ ખાડીના દેશોની સુલેહની નીતિને કારણે અરબ વિશ્વમાં પૅલૅસ્ટાઈનની રાજકીય ભૂમિકા ઘટી ગઈ હતી. જો કે, આનું કારણ અરબ વિશ્વમાં પ્રવર્તતો સામાન્ય મત નહીં પરંતુ સરકારો દ્વારા અમલી બનાવાયેલી નીતિનું પ્રતિનિધિત્વ છે એવી માન્યતા છે. શું સાંસ્કૃતિક વર્તુળમાં આવું બન્યું છે કે પછી પૅલૅસ્ટાઈનએ સ્થાન ગુમાવેલું જ નથી?

જવાબ : સાંસ્કૃતિક વર્તુળમાં પૅલૅસ્ટાઈને કદી સ્થાન નથી ગુમાવ્યું. અરબ સરકારો, રાજાશાહીઓ, અને આધિકારીક સંસ્થાઓએ અવારનવાર પૅલૅસ્ટિન્યન લોકોને નિરાશ કર્યાં છે તેમ છતાં પૅલૅસ્ટિન્યન લોકો હંમેશાં અરબ વિશ્વના અરબ સાંસ્કૃતિક જીવનનો અભિન્ન હિસ્સો રહ્યાં છે અને રહેશે. હજુ પણ અરબ સાંસ્કૃતિક પડદા પર દરેક સાહિત્યિક અને કલાત્મક ચળવળ નિર્વિવાદપણે સંપાદકો, પ્રકાશકો, સિદ્ધાંતવાદીઓ, કવિઓ, નવલકથાકારો અને સાંસ્કૃતિક કર્મશીલોની ભૂમિકામાં પૅલૅસ્ટિન્યન અવાજો અને અનુભવો થકી આકાર પામે છે.

રાજકીય સ્તરે, અરબ સરકારો દ્વારા ત્યજવામાં આવવું અને વિશ્વાસઘાત થવા વિષે આપણે બધાં જાણીએ છીએ, પરંતુ આધિકારીક સરકારી વલણ અને અરબ વિશ્વમાં લોકલાગણીની વચ્ચેના દેખીતા વિરોધાભાસથી એ રંગાયેલું છે. આ નરસંહારે પીડાદાયક ઢબે આ વિખવાદનું પુન:સમર્થન કર્યું છે. હવે પછી બધું બદલાઈ જશે, ફક્ત અરબ વિશ્વમાં નહીં પરંતુ સમગ્ર દુનિયામાં. ગાઝા આપણા સમયની નિર્ણાયક ઘડી છે. હવે પછી ગાઝા જ ન્યાયાધીશ હશે, આપણી માનવતાનું કે એમાંનું જે કાંઈ બચશે એનું માપ હશે.

સ્રોત: asymptotejournal.com
e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

‘રમતું’તું રાત્ય દંન જીભે જેનું નામ’

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|23 March 2024

પ્રાદ્યાપક મધુસૂદન કાપડિયાને મન પ્રદ્યુમ્ન તન્ના ‘અનગળ અચરજનો કવિ’ છે, અને તેથી સ્વાભાવિપણે ‘એકત્ર’ના પોર્ટલમાં એ લખે છે :

“પ્રદ્યુમ્નનો એક કાવ્યસંગ્રહ ‘છોળ’, પણ એકે હજારાં. પ્રદ્યુમ્ન સર્વાંશે ઊર્મિકવિ છે. એણે માત્ર ગીતો જ લખ્યાં છે. સમ ખાવા છએક છાંદસ-અછાંદસ કૃતિઓ એની પાસેથી મળી છે. પ્રદ્યુમ્નની કવિતાનો પ્રદેશ છે પ્રકૃતિ, પ્રણય, ગ્રામજીવન, વનવગડો અને વ્રજ. પ્રકૃતિસૌન્દર્ય તો અહીં મહોરી ઊઠ્યું છે. પ્રદ્યુમ્નના જ કાવ્યાત્મક શબ્દોમાં : ‘આ સૂરજ, ચાંદો ને અગણિત તારા. આ તેજ-છાયાની આવજા અને રંગ-સુગંધ-રસની છાકમછોળ. પોણી પૃથ્વી આવરતાં ને ભીતર વડવાનળ ભરી બેઠાં આ જીવતાં-જાગતાં જળ … આ ગગનચુંબી હિમશિખરો, ઊંડાં કરાડ-કોતરો ને ધીખતાં રણ. આ તળાવ-સરોવરો ને કોટિ કોટિ સરિત સરવાણીઓ થકી સિંચાતી અને ફૂલે-ફળે અને ધાને છલકાતી ધરા. આ ગાઢ અરણ્યો ને પણે સીમ, ખેતર અને પાદરે કોળતી વનરાજિ … આ સ્ફુરતા સૂડા-કુવેલ ને પણે ગ્હેંકતા મોર. આ ભાંભરતી ધેનુ ને પણે હણહણતા અશ્વ. આ ગુંજરતાં મધપૂડા ને પણે ઊભરાતાં કીડિયારાં …’”

•••

પ્રદ્યુમ્ન તન્ના

આવા ભાતીગળ કવિ, ચિત્રકાર, ફોટોગ્રાફર પ્રદ્યુમ્ન તન્નાને, ગઈ સદીના છઠ્ઠા દાયકામાં મુંબઈમાં, ભારતીય વિદ્યા ભવનના કોઈક કવિતાલક્ષી અવસરે, જોયા સાંભળ્યા હોય તેમ આછેરું સાંભળે છે. 

એ તો મારો પ્રભાવક વિદ્યાર્થી કાળ. અને છતાં આ જણ સાથે ન થયું ઝાઝું આદાનપ્રદાન; અને સ્વાભાવિકપણે સંપર્ક, સંસર્ગનો તો સવાલ નહોતો. 

એ મેળાપ થયો દાયકાઓ કેડે અહીં યુરોપમાં. 

પ્રદ્યુમ્નભાઈ રોઝાલ્બાબહેન અને પરિવાર સંગે વસે ઈટલીના નયનરમ્ય નગર કૉમોમાં. એમને પ્રવાસનો શોખ. સરસ ચિત્રકાર. ફોટોગ્રાફીનો અવ્વલ કસબ હાથવગો. પતિ-પત્ની બને મજાના કળાકારો. એટલે દેશપરદેશે જોડાજોડ જ હોય. વિલાયત આવ્યાં હોય, અમેરિકે ગયાં હોય; ભારત પણ હર્યાંફર્યાં હોય. યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્‌ અમેરિકાના ફિલાડેલ્ફિયા શહેરના વસવાટી તેમ જ “ગુર્જરી ડાયજેસ્ટ” સામિયકના તંત્રી-સંપાદક કિશોરભાઈ દેસાઈ મારા મિત્ર. અને એમના જ સૌજન્યે આ દંપતી જોડે ઘનિષ્ટતાનો તંતુ બંધાયો. અને પછી તે ઘટ્ટ બનતો ગયો.

પ્રદ્યુમ્નભાઈ આ મુલકે ઘણી વાર આવ્યા હશે; પરંતુ છેલ્લા ત્રણેક વારના પ્રવાસમાં એમનો સંપર્ક વધ્યો, અમે નજીક આવ્યા.

સન 2000માં બેડફર્ડશરના મુખ્ય શહેર બેડફર્ડ ખાતે ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની છઠ્ઠી ભાષા-સાહિત્ય પરિષદ મળતી હતી. લૉર્ડ મેઘનાદ દેસાઈ વરાયેલા અધ્યક્ષ હતા. ગુણવંતરાય આચાર્યની શતાબ્દીને ધ્યાનમાં લઈને આ પરિષદસ્થળને ‘ગુણવંતરાય આચાર્ય નગર’ નામ અપાયું હતું. ભારતથી જાણીતાં માનીતાં સાહિત્યકારો ભોળાભાઈ પટેલ, જયન્ત મ. પંડ્યા, ઇલા આરબ મહેતા, વર્ષા અડાલજા તેમ જ મનહર મોદી અતિથિ તરીકે ઉપસ્થિત હતાં. ઇટલીથી રોઝાલ્બાબહેન અને પ્રદ્યુમ્નભાઈ તન્ના પણ સામેલ હતાં. અમેરિકાથી પુરુષોત્તમ મિસ્ત્રી પણ હતા. 

આ પરિષદ ત્રણ દિવસ બેસવાની હતી. બીજા દિવસના રાત્રીકાર્યક્રમમાં ફોટોગ્રાફર પ્રદ્યુમ્નભાઈ તન્નાએ સ્લાઇડ શો દ્વારા કુદરતનાં જૂજવાં રૂપો, સાગરકાંઠાનાં દૃશ્યો અને કેમેરાનો કસબ દર્શાવ્યાં હતાં. ભોળાભાઈએ આ પ્રસંગે કવિ પ્રદ્યુમ્નભાઈના ‘પ્રસાર’ દ્વારા પ્રકાશિત કાવ્યસંગ્રહ ‘છોળ’નું જાહેર લોકાર્પણ કર્યું હતું.     

અને પછી યોજાયો પાણીદાર મુશાયરાનો અવસર. દેશવિદેશનાં કવિશાયરો જોડાજોડ ઇટલીથી પધારેલા કવિ પ્રદ્યુમ્ન તન્ના ય મુશાયરામાં સરિક હતા.

વિદેશથી પધારેલાં અન્ય મહેમાનોની પેઠે તન્ના દંપતીએ પણ થોડુંક વધારે રોકાણ અહીં કરેલું. એમના યજમાન હતા જ્ઞાનદેવ શેઠ. વેમ્બલીના ઇલિંગ રોડ પરે જ એમનું રહેઠાણ. પરિણામે આ ઇલિંગ રોડ પરની લાઇબ્રેરીમાં, તેમ જ પડખેના સડબરી વિસ્તારની લાઇબ્રેરીમાં રોઝાલ્બાબહેન અને પ્રદ્યુમ્નભાઈનાં કળાકસબ વિશે જાહેર કાર્યક્રમોની ગોઠવણ થઈ હતી. અને એક સાંજે યજમાન શેઠ દંપતીએ તન્ના દંપતીને હળવામળા સારુ જાહેર મિલનનો અવસર ગોઠવી પણ કાઢેલો.

આજે કેટલાને સાંભરતો હશે “ઓપિનિયન” માંહેનો પ્રદ્યુમ્નભાઈનો એ પ્રતિસંવાદ ખડો કરતો લેખ ?− “‘ઈ તો સાંયડી રોપી છે, ભલા !’ : માતૃભાષાનું સ્વરૂપ, સૌષ્ઠવ અને સાતત્ય”. આ લેખનો ઉત્તરાર્ધ મહેન્દ્રભાઈ મેઘાણીને પસંદ આવ્યો હશે અને એમણે એમની કળા-કસબ-સૂઝે ‘અડધી સદીની વાચનયાત્રા ભાગ – 1’માં 21મે પાને તેને લીધો છે. અને પછી તો એ ચોમેરે ફરી વળ્યો છે.

પ્રદ્યુમ્નભાઈ લખતા હતા તેમ, આ માર્ચ 2000ના અંક પહેલાંના દસ-પંદર અંકોમાં ‘માતૃભાષાના વિવિધ પાસાંઓને સ્પર્શતાં, તજ્જ્ઞો, સાહિત્યકારો અને રસિક વાચકોનાં મંતવ્યો અને પ્રતિભાવો’ છપાતા હતા તેના પ્રતિસંવાદે આ લેખ આપણને મળ્યો છે.

આમ એમની હયાતી દરમિયાન, “ઓપિનિયન’માં એમના સરસ મજાનાં ગદ્ય લખાણો લેખરૂપે અને કાગળરૂપે આવ્યા કર્યા છે. ક્યારેક કોઈક તેનું સંપાદન કરે અને પુસ્તકાકારે પ્રગટ કરે તો એમની બળૂકી તળપદી ભાષાની મહેક સર્વત્ર પ્રસરતી અનુભવાશે, તેની ખાતરી. 

કવિ પ્રદ્યુમ્ન તન્નાનાં કેટકેટલાં કાવ્યો, ઇટાલિયન કવિઓની કૃતિઓના કાવ્યમય અનુવાદો પણ અહીં “ઓપિનયન”ને પાને જડેલાં જોવાં મળે છે.

પ્રદ્યુમ્નભાઈએ 30 ઑગસ્ટ 2009ના વિદાય લીધી, તેના પહેલાના બે’ક અઠવાડિયા જેવો સમય હશે. એ સાજામાંદા રહેતા હતા. એમનો ફોન આવ્યો. કહે, મારી પાસે એમનું ગદ્ય લખાણ છે; ‘ઓપિનિયન’માં ય પ્રગટ થયું છે. તે સઘળું, ફોટોનકલ કરીને મારે સત્વરે ‘પ્રસાર’ને – જયન્તભાઈ મેઘાણીને – મોકલી આપવું. મોકલી અપાયું. એમની ઈચ્છા એને આધારે પુસ્તક પ્રગટ કરવાની હતી, તે દેખીતું સ્પષ્ટ હતું. … ખેર ! પરંતુ આજ લગી તેમ થઈ શક્યું નથી, તે એક નોખી વાત બને છે. આ લખાણોનું સંપાદન કરીને એક સોજ્જું પુસ્તક કરી શકાય તેવાં બળુકાં એ લખાણો છે.

પ્રદ્યુમ્નભાઈ તથા રોઝાલ્બાબહેનનાં અત્યન્ત આગ્રહે, એકદા, ભારત પ્રવાસે જતાં કૉમો જઈ ચડ્યો. મિલાનોથી કૉમો રેલગાડીથી પહોંચ્યો. સ્ટેશને પ્રદ્યુમ્નભાઈ તેડવા જાતે આવ્યા હતા. તોમ્માસો જરોસ્સી [Tomaso Grossi] વિસ્તારે આવેલાં એમના નિવાસસ્થાને મને હંકારી ગયા. ઈટલીની ઉત્તર સરહદે આલ્પસ ગિરિમાળા. આ પર્વતના ખીણપ્રદેશમાં નયનરમ્ય કૉમો સરોવર. અને તેને કાંઠે આપણું આ કૉમો નગર વસેલું છે. આ કૉમો સરોવરને કાંઠે, વળી, બેલાનો નામે ગામ. ત્યાં ઓગણીસમી સદીમાં તોમ્માસો જરોસ્સી નામે જાણીતા ઇટાલિયન કવિ જન્મેલા. આ વિખ્યાત કવિની સ્મૃતિમાં નામાંકરણ થયું છે તેવા કૉમો નગરના આ વિસ્તારમાં ગુજરાતીના એક અવ્વલ કવિનો આવાસ. પોરસાઈ જવાય તેવી હકીકત. 

બે દિવસ રોકાયો હોઈશ. વળી સવારે પરવારીને કવિ-ફોટોગ્રાફર મને કૉમો નગર, કૉમો સરોવરની ઝલક માણવા પગપાળા લઈ ગયા. ખૂબ હેરવ્યો, ફેરવ્યો. સ્થાનિક ચીઝ અને બ્રેડની બનાવટોની ઝાંખી કરાવવાનું ય આ મુઠ્ઠી ઊંચેરા શહેરી ચૂક્યા નહોતા.

આશરે અડધી સદી જેવડો સમય તે ઈટલીમાં વસવાટ કરતા હતા અને છતાં, એમણે ઈટલીનું નાગરિકત્વ લીધું નહોતું. અંત લગી એમણે ભારતીય નાગરિકત્વ જાળવી રાખેલું, એવી એમની હિંદ માટેની ગૌરવભરી ચાહના. આને પરિણામે માંદગી ટાણે દવાદારૂનો જે લાભ નાગરિકને સાંપડે તે પણ એ ય તે જતો કરેલો ! આને કારણે આર્થિક મોંઘારતનું પલ્લું નીચે ઢળતું રહેલું. પરિવારને આની ચિંતા રહેતી; પણ પ્રદ્યુમ્નભાઈ પોતાના વિચારોમાંથી લગીર પણ પાછા ખસ્યા નહોતા.

•••   

વારુ, આ લખાણને આરંભે, મિત્ર મધુસૂદન કાપડિયાનું એક અવતરણ ઉછીનું લીધું છે.  મધુસૂદનભાઈની એ કલમ જાણે કે બે કાંઠે સભર સભર વહેણ શી નદીની જેમ વણથંભી વહ્યાં કરે છે. એમાંનું આ લખાણ આવર્યાં વિના ગમ નથી પડવાની; લો ત્યારે :

પ્રદ્યુમ્ન ચિત્રકાર છે તેની પ્રતીતિ તો એક જ કાવ્યમાં થઈ જશે :

અડકી ગઈ
નેણ અચિંતી રંગની છાકમછોળ!

આ એક જ કાવ્યમાં રંગરંગનો બહુરંગી ફુવારો ઊછળે છે. ભૂરાં આભ, સોનલવરણાં ખેત, રૂપેરી વ્હેણ, જાંબલી ડુંગરા, રાનસૂડાનું લીલું ઝૂમખું, ખડમોરની કાબરી ડોક, પીળચટી થોરવાડ, એમાં વળી જળે-થળે પોતાની આભા ફેલાવતી રાતીચોળ, હીરાગળ ચૂંદડી.

ઋતુઓમાં પ્રદ્યુમ્નને પ્રિય છે ઉનાળો. ‘તાપ’, ‘બપોરે’, ‘ધોમ’, ‘ભાદરવી બપોર’ વગેરે કાવ્યોમાં ઝળાંહળાં તડકાનાં તેજ અને ઝાંઝવાંનાં છલ નિરૂપાયાં છે. છતાં ઋતુકાવ્યોમાં સૌથી ઉત્તમ કૃતિ છે વર્ષાનું ગીત ‘ઘટા’ — ‘માથે ઝભુંબ ઝળુંબ લળુંબ ઝળુંબ સરતી સાવનઘટા’. પ્રણયકાવ્યોમાં ઊર્મિનો ઉદ્વેક હૃદયની તંત્રીઓને રણઝણાવે છે — ‘અરી ઝટપટ કોરા કેશ મહીં સઈ ચંદણ-કાંગસી ફેરવો / કંઈ કેટલે કાળ ફરીથી મનમાન્યાને હેરવો!’ પ્રણયકાવ્યની આત્મલક્ષિતા, બલકે અંગતતા આહ્લાદક છે:

રમતું’તું રાત્ય દંન જીભે જેનું નામ
ઈ જીવતો ને જાગતો જો આવી મળ્યો આમ
તો ઝબ્બ લીધો ઝાલી, હવે છોડે ઇ બીજાં
સઈ! અમી નહીં! અમી નહીં!

અને

‘કોણ કહે વ્રજ વિસરાયું વ્રજ વિલસે રે કણકણમાં!’

વ્રજનાં ગીતો પ્રિયકાન્તની યાદ આપે તેવાં ઉત્કૃષ્ટ કક્ષાનાં છે. મોરલીનાં ગીતો તો બેમિસાલ છે. કવિની કલ્પના આપણને વૈકુંઠ સુધી લઈ જાય છે:

તમીં પાછાં તે વાંસ થઈ વાધો હો વાંસળી! પાછાં તે વાંસ થઈ વાધો,
વાધી વાધીને ઠેઠ ઊંચે અંકાશ વસ્યા વૈકુંઠની ભાળ જઈ લાધો હો વાંસળી!

વ્રજગીતોમાં ‘જાવ જાવ જાદવજી જૂઠા!’ અમર રહેવા સર્જાયું છે.

પ્રદ્યુમ્નનાં ગીતોની પદાવલિ તળપદી ગ્રામજીવનની બોલી, તેના લહેકા, તેના સંવાદો, તેના લયમધુર રણકાની સમૃદ્ધિથી સભર છે. ક્યારેક તો જાણે લોકગીત જ જોઈ લો:

ભૂરી ડુંગર ઓળ્ય રે — ધ્રાંગડ! સૂડાં લીલાં લોલ્ય રે — ધ્રાંગડ!
 
ચાંચે રાતી ચોળ્ય રે — ધ્રાંગડ! ચૂગે ઊભાં મોલ્ય રે — ધ્રાંગડ!
 
ઉગમણાંની કોર્ય રે — ધ્રાંગડ! વાગતાં ઢમક ઢોલ્ય રે — ધ્રાંગડ!

•••

‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : 7’માં ડૉ. રમેશ ર. દવે, પોતાના અધિકરણમાં, લખે છે :

‘સૌરાષ્ટૃના ભાવનગર પાસેના અધેવાડા અને અઠવાડાના મૂળ વતની પણ ઓગણીસમી સદીના અંત ભાગે વ્યવસાય અર્થે ગુજરાત-મહારાષ્ટૃના સરહદી ગામ દહાણુમાં વસેલા પરિવારમાં જન્મ-ઉછેર પામેલા આ કવિને, નવલકથાકાર પિતા અરવિંદભાઈ અને પગવાજું વગાડતાં-વગાડતાં હાલરડાં, લોકગીતો, રંગભૂમિનાં ગીતો અને સમકાલીન સુખ્યાત કવિઓનાં ગીત ગાતાં માતાની છાયામાં સાહિત્યસંસ્કાર મળ્યા છે. સંગીતનો વ્યવસાય કરનારા નાના ભાઈ અનિરુદ્ધ તન્નાની સાથે યુવાન વયે કવિતા-સંગીતનો કરેલો સથવારો પણ એમને કાવ્યસર્જન સંદર્ભે, ખાસ કરીને લયસાધના અંગે ખપ લાગ્યો છે.’ 

ગુજરાતના છેક દક્ષિણ ભાગમાં આવેલા દહાણુમાં 07 જુલાઈ 1929ના જન્મ થયો. મધુસૂદનભાઈ કાપડિયા લખતા હતા, ‘૧૯૩૮માં તન્ના કુટુંબે મુંબઈને વતન બનાવ્યું. એ જ પ્રદ્યુમ્નનું પણ ભારતમાંનું થાનક. કારકિર્દીનો આરંભ મુંબઈનીકાપડની મીલોમાં ડીઝાઈન બનાવવાથી થયો હતો. અવનવી ડિઝાઈનોના સર્જનમાંથી ચિત્રકળા ખીલી. ચિત્રકળાના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ મેળવીને ઈટાલી ગયા. ત્યાં ચિત્રકળા ઉપરાંત ફોટોગ્રાફીની કળા પણ વિકસાવી. મુંબઈમાં અને અમદાવાદમાં કાવ્યસર્જન માટે પ્રદ્યુમ્નને ઉમદા વાતાવરણ મળ્યું. અનેક ઉત્તમ સમકાલીન કવિઓ અને કળાકારો સાથે માત્ર પરિચય નહીં પણ સ્નેહસંબંધ અને આત્મીયતા સુધ્ધાં સ્થપાઈ. રાજેન્દ્ર, નિરંજન, પ્રિયકાન્ત, હરીન્દ્ર, સુરેશ દલાલ, મકરંદ દવે, દિલીપ ઝવેરી જેવા કવિઓ; સુરેશ જોશી, જયંત પારેખ, રસિક શાહ, અને ‘કુમાર’ના તંત્રી બચુભાઈ રાવત જેવા વિદ્વાનો; ભૂપેન ખખ્ખર, જ્યોતિ ભટ્ટ અને ગુલામ મોહમ્મદ શેખ જેવા ચિત્રકારો, ગુલામ મોહમ્મદ તો કવિ પણ; વળી અજિત અને નિરૂપમા શેઠ જેવા સંગીતકારો/ગાયકો; સુનીલ કોઠારી જેવા નૃત્યવિશારદ — આ સૌનો અપાર સ્નેહ પ્રદ્યુમ્ને ઝીલ્યો. આ સૌની સાથે કાવ્યપઠન અને કાવ્યતત્ત્વની ચર્ચાવિચારણા વર્ષો સુધી ચાલી. આ પ્રેરક અને પોષક વાતાવરણમાં પ્રદ્યુમ્નની કાવ્યસર્જનની સરવાણી સમૃદ્ધ થઈ.’

•••

પ્રદ્યુમ્નભાઈએ ખુદ લખ્યું છે, ‘1965ના સપ્ટેમ્બર દરમિયાન હું અને રોઝાલ્બા નેપલ્સમાં પરણ્યાં. ઝાઝા અંતર અને ખર્ચની સમજી શકાય એવી બાધાને લઇ એકેય કુટુંબી એ ટાણે હાજર રહી શક્યું નહોતું. પત્નિ સંગ ભારત પાછા ફરતાં સંજોગવશાત્, ત્રણેક વર્ષો નીકળી ગયાં. પહેલી જ વાર ઘેર આવતી પરદેશી વહુને જોવા કુટુંબ આખુયભેળુ મળ્યું. રોઝાલ્બાને ત્યારે અંગ્રેજીઆવડતું નહોતું. આમ થતી રહેતી પૂછા હું એને ઇટાલીયનમાં કહી સંભળાવતો અને એણે દીધો ઉત્તર ગુજરાતીમાં. બાપુએ રમૂજમાં સવાલ કર્યો ‘દીકરી ! તારે ગામ કોઇ ન જડ્યો તે મારા દીકરાનો હાથ ઝાલ્યો?!’ સવાલને સમજતાની સાથે જ બાપુ સંગ આંખ પરોવતી એ બોલી, ‘બાપુજી ! ભાગ જાતું’તું મારે રસ્તે થઇ, ઓળખ્યું ને ઝબ્બ લીધું ઝાલી. હવે છોડે ઇ બીજા !’ સ્થળ-કાળ, દેશ-વિદેશ, રહેણી-કરણી, ધર્મ અને ભાષાની ભિન્નતાને સાંકળતા પ્રેમોદ્ ગાર થકી નીપજ્યું છે આ વ્રજ ગીત.’

અમીં નહીં !અમીં નહીં !

          રમતું’તું રાત્ય દંન જીભે જિનું નામ

ઇ જીવતો ને જાગતો જો આવી મળ્યો આમ

          તો ઝબ્બ લીધો ઝાલી, હવે છોડે ઇ બીજાં

                    સઇ ! અમીં નહીં ! અમીં નહીં !

જેટલું સુગાળવી નજર નિહાળી રિયાં

           આવતાં ને જાતાં સહુ લોક

એટલું હસીને અમીં જૂઠી મરજાદનાં

           ઓઢણ ઉતાર્યાં છડેચોક !

એ જી ઊભી બજાર બીચ વીંટ્યો કાળો કામળો

             કે ઓર કો’ મલીર હવે ઓઢે ઇ બીજાં

                       સઇ ! અમીં નહીં ! અમીં નહીં !

ઘેર ઘેર થાય ભલે વાત્યું વગોવણીની

              જીવને ના છોભ જરી થાતો,

જગના વે’વારથી વેગળો તે વ્હાલપનો

           જોઇ બૂઝી બાંધ્યો છે નાતો !

એ જી ભવભવના ભાગ લીધાં આંકી લેલાડ

           કે ચાંદલો ગમે તે હવે ચોડે ઇ બીજાં

                  સઇ ! અમીં નહીં ! અમીં નહીં !

૧૯૮૭

[‘છોળ’ પાનું 105]

હેરૉ; સપ્ટેમ્બર /ઑક્ટોબર 2022
E.mail : vipoolkalyani.opinion@btinternet.com
પ્રગટ : ‘ચિત્રકળા અને સાહિત્યના સંગમ પ્રદ્યુમ્ન તન્ના : સંપાદક – અભિજિત વ્યાસ : પહેલી આવૃત્તિ – 14/02/2024 : પૃ. 89 – 94 

Loading

ઊડે શબ્દ રંગ

જુલી સોલંકી 'સચેત'|Opinion - Opinion|22 March 2024

ઊડે શબ્દોના રંગો આજ મારી કલમ કળાએ;

મન મહીં વિચારો સ્પર્શ્યા આજ શબ્દોની રૂપાએ.

સમસ્યાઓ રહી આજ જીવન સંગ સાથી બનીને;

એ સમસ્યાના ઉકેલ શોધ્યા મારી કલમ વેળાએ. ઊડે શબ્દોના રંગો …

મૂંઝવણ મહીં વિચારોનો ઢગલો ખડો થઈને ઊભો;

ત્યારે નવા સાહિત્યના રંગે, મારા શબ્દોથી રંગાયો. ઊડે શબ્દોના રંગો …

જીવન મહીં પ્રેમનું દીપક, પ્રકાશ બનીને ખીલી ઉઠ્યા;

લાગણીના રૂપેરી રંગો એ, મારી કળાએ ખીલી ઉઠ્યા. ઊડે શબ્દોના રંગો …

લાલ રંગ બનીને શુભ મારા આંગડિયે આજ પધાર્યાં;

શબ્દોની મહેફિલ ચહેરે ખુશીઓ લાવીને એ હસાવ્યા. ઊડે શબ્દોના રંગો …

શબ્દે શબ્દ ઉમેરાતા કવિતાઓ આજ રચાઈ ગઈ;

અનેક રંગોથી શબ્દોની ડાયરી આજ લખાતી ગઈ. ઊડે શબ્દોના રંગો …

પ્રકૃતિની સોળે કળાએ માનવી આજ નીરખી ઊઠ્યો; 

સાહિત્ય મહીં રંગીન દુનિયા નિહાળીને હરખી ઊઠ્યો.

ઊડે શબ્દોના રંગો આજ મારી કલમ કળાએ;

મન મહીં વિચારો સ્પર્શ્યા આજ શબ્દોની રૂપાએ.

e.mail : julisolanki110@gmail.com

Loading

...102030...752753754755...760770780...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved