Opinion Magazine
Number of visits: 9665751
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લદ્દાખની ઠંડીમાં આંદોલનની ગરમી : આસમાનથી બચ્યા અને ખજૂર પર અટક્યા?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|25 March 2024

રાજ ગોસ્વામી

માર્ચ મહિનામાં લદ્દાખમાં તાપમાન માઇનસ ડિગ્રી સુધી જાય છે, પરંતુ બાકી દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને ગરમી વધી રહી છે ત્યારે, લેહમાં પણ રાજકીય ગરમીનો પારો ચઢી રહ્યો છે. ત્યાં પર્યાવરણવાદી સોનમ વાંગચુક દ્વારા શરૂ કરવામાં આવેલી ‘આમરણ’ ભૂખ હડતાળ હવે એક મોટો રાજકીય મુદ્દો બની રહી છે. તેમણે છઠ્ઠી માર્ચે ભૂખ હળતાળ શરૂ કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે તેમનો વિરોધ 21 દિવસના તબક્કામાં થશે.

એક સમય હતો જ્યારે દેશભરની ચેનલો સોનમ વાંગચુકનો ઇન્ટરવ્યુ લેવા માટે લદ્દાખની મુલાકાત લેતી હતી. આમિર ખાને તેમના જીવન પર ‘3 ઇડિયટ્સ’ ફિલ્મ બનાવી ફિલ્મો હતી. હવે એ જ સોનમ વાંગચુક શૂન્યથી 10 ડિગ્રી તાપમાનમાં ખુલ્લા આકાશમાં 21 દિવસની ભૂખ હડતાળ પર છે. લદ્દાખના લોકોને અમલદારશાહી નહીં, પરંતુ લોકોનું શાસન જોઈએ છે.

છેલ્લાં બે વર્ષથી લદ્દાખના લોકો તેમની જમીન, નોકરીઓ અને વિશિષ્ટ ઓળખની સુરક્ષા માટે રાજ્યનો દરજ્જો અને બંધારણીય બાંયધરી માટે આંદોલન કરી રહ્યા છે. તેમની ચાર પ્રમુખ માંગણીઓ છે :

1. લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો 

2. છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ 

3. લદ્દાખમાં જાહેર સેવા આયોગની સ્થાપના 

4. લદ્દાખ માટે બે સાંસદો

લદ્દાખની વસ્તી આશરે ત્રણ લાખ છે. લેહ અને કારગિલના જોડિયા જિલ્લાઓનો વહીવટ અગાઉ અનુક્રમે માત્ર બે નાયબ કમિશનરો દ્વારા કરવામાં આવતો હતો. તેનાથી વિપરીત, લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશનું સંચાલન લેફ્ટનન્ટ ગવર્નર, એક સલાહકાર, એક મુખ્ય સચિવ, ત્રણ કમિશનર સચિવો, ચાર સચિવો, એક આઇ.જી. લદ્દાખ પોલીસ, ડી.આઇ.જી., બે એસ.એસ.પી., પાંચ એસ.પી. અને અગાઉની રાજ્ય સેવાઓના પુષ્કળ અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે, જેના પરિણામે અમલદારશાહીમાં ગૂંચવણ પેદા થાય છે.

આશ્ચર્ય એ છે કે, ચાર વર્ષથી વધુ સમય પછી, કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં ભરતીના ગેઝેટેડ નિયમો નથી, નિવાસસ્થાનની સ્પષ્ટતા નથી અને લદ્દાખમાં સ્વદેશી જનજાતિઓનો અંદાજ – પરંતુ તેની પાસે એક ઔદ્યોગિક નીતિ છે જે પ્રદેશની નાજુક ઇકોલોજી માટે ચિંતા ઊભી કરે છે.

સોનમ વાગચુંગ લદ્દાખ પ્રદેશને ભારતીય બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવા અને તેને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે ભૂખ હડતાળ પર છે. કેન્દ્ર સરકાર સાથેની વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ વાંગચુકે 6 માર્ચે ભૂખ હડતાળ શરૂ કરી હતી. આ માટે તેમણે લેહમાં નવાંગ દોર્જે મેમોરિયલ પાર્કની પસંદગી કરી છે. લદ્દાખના જુદા જુદા ભાગો સહિત દેશભરના લોકો આ ઉપવાસને સમર્થન આપી રહ્યા છે.

19 ફેબ્રુઆરી 2024ની વાતચીતના થોડા સમય પહેલા કેન્દ્ર સરકારે એક ઉચ્ચસ્તરીય સમિતિની પણ રચના કરી હતી. વાટાઘાટોનો આ રાઉન્ડ 19થી 23 ફેબ્રુઆરી સુધી ચાલ્યો હતો, પછી ફરીથી 4 માર્ચે, પરંતુ કોઈ સમજૂતી થઈ ન હતી.

છઠ્ઠી અનુસૂચિ આદિવાસી અધિકારોના રક્ષણની જોગવાઈ કરે છે. છઠ્ઠી અનુસૂચિ હેઠળના વિસ્તારો સ્વાયત્તતા પણ ધરાવે છે અને જમીન અને અન્ય કુદરતી સંસાધનોના સંદર્ભમાં કાયદા અને નિયમો બનાવી શકે છે. જમ્મુ અને કાશ્મીરને વિશેષ સત્તાઓ આપતી બંધારણની કલમ 370ને કેન્દ્ર દ્વારા રદ્દ કરવામાં આવ્યા બાદ લદ્દાખ 2019માં કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું હતું.

આ મહિનાની શરૂઆતમાં લેહથી બોલતા, સોનમ વાગચુંગે વિરોધ પહેલાં તેમના સંબોધનમાં બે અપીલો કરી હતી; પહેલી આપીલ તમામ લોકોને સરળ જીવન જીવવાની હતી અને બીજી અપીલ કેન્દ્ર સરકારને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં લદ્દાખને સામેલ કરવાના તેના વચનને પૂર્ણ કરવા અને આ પ્રદેશને રાજ્યનો દરજ્જો આપવા માટેની હતી.

સોનમ વાંગચુક પર્યાવરણની પણ ચિંતા કરે છે. તેમણે કહ્યું હતું “અમે લદ્દાખની ટેકરીઓને બચાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. ભારતીય બંધારણમાં એક ખૂબ જ વિશેષ જોગવાઈ છે, જેને કલમ 244ની છઠ્ઠી અનુસૂચિ કહેવામાં આવે છે. તે લદ્દાખ જેવા આદિવાસી પ્રદેશના લોકો અને સંસ્કૃતિઓને સુરક્ષા પૂરી પાડે છે અને અન્ય લોકોની દખલ વિના આ સ્થળોનો વિકાસ કેવી રીતે કરવો તે નિશ્ચિત કરે છે શકે છે.”

સોનમ વાંગચુકના અંદોલનને ટેકો આપનાર સ્થાનિક રહેવાસી થિનલેસ દોર્જેએ એક હિન્દી મીડિયાને કહ્યું હતું કે અંદોલનને ટેકો આપવા માટે દરરોજ લગભગ એક હજાર લોકો ભૂખ હડતાળ સ્થળ પર આવી રહ્યા છે. સમર્થનમાં આવેલા તમામ લોકો લદ્દાખના સ્થાનિક રહેવાસીઓ અને નાગરિક સમાજ સાથે સંકળાયેલા લોકો છે.

3 ફેબ્રુઆરીના રોજ લેહમાં કડકડતી ઠંડીમાં ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો લોકોએ કેન્દ્ર સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કરવા માટે ભાગ લીધો હતો. પ્રદર્શન ઉપરાંત લદ્દાખ બંધ રહ્યું હતું. તેમાં એપેક્સ બોડી લેહ (એ.બી.એલ.) અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ(કે.ડી.એ.)એ બંધ અને પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું. આ બંને સામાજિક, ધાર્મિક અને રાજકીય સંગઠનો છે જે લદ્દાખની ચાર માંગણીઓ માટે આંદોલનનું નેતૃત્વ કરી રહ્યાં છે.

બી.બી.સી.એ લદ્દાખમાં કરેલી તપાસમાં લોકો તરફથી ખબર પડી હતી કે કેન્દ્રશાસિત પ્રદેશની રચના પહેલા લદ્દાખના લોકો જમ્મુ-કાશ્મીર પબ્લિક સર્વિસ કમિશનમાં ગેઝેટેડ પદ માટે અરજી કરી શકતા હતા, પરંતુ હવે આ પ્રક્રિયા બંધ થઈ ગઈ છે.

2019 પહેલાં, જમ્મુ અને કાશ્મીર સર્વિસ સિલેક્શન બોર્ડ નોન-ગેઝેટેડ નોકરીઓ માટે ભરતી કરતું હતું અને તેમાં લદ્દાખમાંથી પણ ઉમેદવારો રહેતા હતા. પરંતુ હવે આ નિમણૂકો સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કરવામાં આવે છે.

આ કમિશન એક બંધારણીય સંસ્થા છે જે કેન્દ્ર સરકાર માટે ભરતી કરે છે. અલગ કેન્દ્રશાસિત પ્રદેશની રચના થઈ ત્યારથી, લદ્દાખમાં નોકરીઓ માટે નોન-ગેઝેટેડ ભરતી ઝુંબેશ મોટા પાયે હાથ ધરવામાં આવી નથી, જેના કારણે લદ્દાખના યુવાનો ગુસ્સે થયા છે.

કેન્દ્ર સરકારે કલમ 371ની તર્જ પર વિશેષ જોગવાઈઓ લંબાવવાની પેશકશ કરી છે, પરંતુ તેણે છઠ્ઠી અનુસૂચિની માંગને સ્વીકારી નથી. અત્રે એ યાદ રાખવા જેવું છે કે 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ અને કાશ્મીરના પુનર્ગઠનની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે લદ્દાખ અને કારગિલ બંનેએ આ નિર્ણયને આવકાર્યો હતો કારણ કે ત્યારે તેઓ આને સંપૂર્ણ રાજ્ય તરફ એક પગલાં તરીકે જોતા હતા.

પરંતુ લદ્દાખ લેફ્ટનન્ટ ગવર્નરના નેતૃત્વ હેઠળ વિધાનસભા વિનાનું કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું ત્યારે લોકોનો ઓસરી ગયો હતો. જો કે, તેઓ એવી આશા પર અડગ રહ્યા કે બંને જિલ્લા પરિષદોને છઠ્ઠી અનુસૂચિ હેઠળ સમાન દરજ્જો મળશે.

જો કે, તેમાં પણ કોઈ પ્રગતિ ના થતાં વાંગચુક તેમ જ લેહ એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ ગયા વર્ષથી એક થયા હતા.  તેમણે તેમનો પ્રથમ મોટો વિરોધ જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2023માં યોજ્યો હતો, જેમાં વાંગચુકે ગયા જૂનમાં બીજો “આબોહવા ઉપવાસ” શરૂ કર્યો હતો. 3 ફેબ્રુઆરી 2024ના રોજ, બંને સંગઠનોએ લેહમાં બંધનું એલાન કર્યું હતું અને તે વખતે સાંસ્કૃતિક ઓળખ, પર્યાવરણ, સ્થાનિક લોકો માટે નોકરીમાં અનામત અને લેહ અને કારગિલ માટે એક-એક સંસદીય બેઠકની માંગ સાથે હજારો લોકો એકત્ર થયા હતા.

લોકસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ લદ્દાખનું અંદોલન પણ રાજકીય ગરમી પકડી રહ્યું છે. વાંગચુકને પણ લાગે છે કે આ જ એક સમય છે જ્યારે તેઓ દેશનું, સરકારનું અને રાજકીય પક્ષોના ધ્યાન તેમની માંગણીઓ તરફ ખેંચી શકે છે.

તેમને લાગે છે કે સરકારને ચૂંટણીની ચિંતા છે, લાદ્દાખીઓની નહીં. એટલા માટે વાંગચુકના સમર્થકો 24મી માર્ચે દેશભરમાં ભૂખ હડતાળ પણ કરવા જઈ રહ્યા છીએ. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ તેમની સાથે જોડાઈ રહી હોવાનો તેમનો દાવો છે. તેમને લાગે છે કે કેન્દ્ર સરકાર વચન પાળશે નહીં અને તે લોકો રાહ જોતા રહી ગયા હતા. ચાર વર્ષમાં વિવિધ બેઠકોમાં આ મુદ્દાઓ પર ઘણી વખત ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ 4 માર્ચે સ્પષ્ટ ઇન્કાર કરવામાં આવ્યો હતો.

વાંગચુકે કહ્યું છે કે, “જમ્મુ-કાશ્મીરમાં પુનઃસ્થાપના થઈ રહી છે, પરંતુ લદ્દાખમાં નહીં. જ્યાં સુધી સરકાર તરફથી આશ્વાસન નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન નહીં રોકીએ. કાઁગ્રેસે અમને આ વચન આપ્યુ છે, પરંતુ ભા.જ.પ. એમ નથી કહેતો કે તે પોતાનું વચન પૂરું કરશે. આ મુદ્દો તેમના ઘોષણાપત્રમાં પણ હતો, પણ તે તેને પૂરો નથી કરતા.”

તેમણે કહ્યું હતું કે, “લદ્દાખમાં ભારેભાર ગુસ્સો છે. અમારું આંદોલન ચાલુ છે. લદ્દાખ એક સંવેદનશીલ સરહદ છે, પરંતુ કેન્દ્ર આ બાબતે ગંભીર જણાતું નથી. કેન્દ્રએ વર્ષ 2019માં લદ્દાખના લોકોનું દિલ જીતી લીધું હતું, પરંતુ હવે એવું લાગે છે કે તેમણે અમને આસમાનમાંથી બચાવીને ખજૂર પર અટકાવી દીધા છે.”

એક્સ (અગાઉ ટ્વીટર) પર એક પોસ્ટમાં વાંગચુકે લખ્યું છે, “આ સરકાર ભારતને ‘લોકશાહીની માતા’ કહેવાનું પસંદ કરે છે, પરંતુ જો ભારત લદ્દાખના લોકોને લોકશાહી અધિકારોથી વંચિત રાખતું હોય અને તેને નવી દિલ્હીથી નિયંત્રિત અમલદારોને આધીન રાખતું હોય, તો તેને લદ્દાખના સંદર્ભમાં લોકશાહીની સાવકી માતા જ કહી શકાય.”

લાસ્ટ લાઈન:

“જેને ખુદની વંશાવલી ખબર નથી તે હરામીથી બહેતર નથી, જેને પોતાના દેશનો ઇતિહાસ ખબર નથી તે શરણાર્થીથી બહેતર નથી.”

 – લદ્દાખી કહેવત

(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામે લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 24 માર્ચ 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પુસ્તક નિર્દેશ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|25 March 2024

‘માતૃભાષા મોરી મોરી રે …’,  સંપાદક : અનિતા તન્ના અને રમેશ તન્ના, પ્રકાશક : લેખક પોતે, પાનાં 328, રૂ.325, સંપર્ક : 9824034475, 8849609083

આ પુસ્તકમાં ‘જુદાં જુદાં ક્ષેત્રની વ્યક્તિઓએ માતૃભાષા ગુજરાતી વિશે વ્યક્ત કરેલા હૃદયભાવનો સંચય’ છે. પુસ્તકના અઠ્ઠાવન લેખકોમાં સંપાદક દંપતી અને કેટલાક સાહિત્યકારો ઉપરાંત ગૃહિણી, શિક્ષક, પત્રકાર, સમાજસેવક, ગાયક, અભિનેતા, ચિકિત્સક, વ્યાવસાયિક, પૂર્વ સનદી અધિકારી, સરકારી અધિકારી, ચિત્રકાર ઇત્યાદિનો સમાવેશ થાય છે.

આપણા સમયના આ મહત્ત્વના દસ્તાવેજી પુસ્તકનો વિશેષ છે કે તેમાં માત્ર ગૌરવગાન નથી, ક્રિટિકલ દૃષ્ટિકોણ અને વ્યાપક પરિપ્રેક્ષ્ય પણ છે. અધઝાઝેરા લેખો અભ્યાસપૂર્ણ અને ગંભીર છે. તેમાં ભાષા અને માતૃભાષાના અનેકાનેક પાસાંની ચર્ચા છે, જેમ કે ભાષાઓનો લોપ, માતૃભાષા માટેની ચળવળો, અંગ્રેજીનો પ્રભાવ, શહેરીકરણ, પાઠ્યપુસ્તકો, બાળઉછેર, ડાયેસ્પોરા અને બીજા અનેક.

કનુ પટેલના મુખપૃષ્ઠથી ઓપતાં આ પુસ્તકમાં દરેક લેખકના અત્યારના પાસપોર્ટ સાઇઝના ફોટા ઉપરાંત તેમના બાળપણની અને તેમની માતાની એક એક મધ્યમ કદની તસવીરો છે.  

* * * * * 

‘એવર ગ્રીન ઓલ્ડી‘, લેખક : વિરલ વૈશ્નવ, પ્રકાશક : લે. પોતે, પાનાં 304, રૂ. 350, સંપર્ક : 9909904664 

અભાવો વચ્ચે ભણીગણીને શહેરમાં નોકરી કરીને પરિવારને ટેકો કરતી નાયિકા પોતાની કથા અહીં પ્રથમ વ્યક્તિ એકવચન એટલે કે ‘હું’ દ્વારા કહે છે.

સોળ વર્ષની ઉંમરે છાત્રાલયમાં થયેલા જાતીય સતામણીના આઘાતજનક અનુભવ પછી તે જુદી જુદી નોકરીઓ દરમિયાન પુરુષોથી ખૂબ ચેતીને ચાલે છે.

પણ ત્રીસેક વર્ષની ઉંમરે જ્યારે તે એક પ્રતિષ્ઠિત કંપનીમાં નવી નોકરી લે છે ત્યારે તેના પિસ્તાળીસેક વર્ષના ‘સર’નો તેને ઇન્ટરવ્યૂના દિવસથી ખૂબ સારો અનુભવ થાય છે. આ ખાનદાની, દાક્ષિણ્યપૂર્ણ, સંસ્કારી, તંદુરસ્ત અને દેખાવડા બૉસે ઝગડાળુ પત્ની સાથે ફારકત લેવાની અને નાયિકા સાથેના તેના સંબંધને ઘનિષ્ઠ બનવાની પ્રક્રિયને લેખકે સમાંતરે વર્ણવી છે.

અંતે નાયિકા તેને ખૂબ આધાર આપનારા ‘સર’ સાથે ઉંમરનો તફાવત બાજુ પર રાખીને, માતાપિતાને મનાવીને લગ્ન કરે છે. એકંદરે વાચનીય નવલકથાનો મોટો હિસ્સો ‘હું’ અને ‘સર’ના સંબંધોના વિગતવાર રસપ્રદ નિરૂપણમાં રોકાય છે. 

‘કોઈ પણ પાત્ર, સ્થળ, વસ્તુ કે વાર-તહેવારનાં નામ વગરની નવલકથા’ લખવાનો લેખકનો પ્રયોગ નવીન છે. 

* * * * * 

‘બૃહદારણ્યક ઉપનિષદ’, લેખક : મૃદુલા મારફતિયા, પ્રકાશક : ગૂર્જર, પાનાં 60, રૂ.110

‘કદાવર અને મહત્તાયુક્ત ઉપનિષદના પ્રત્યેક અધ્યાયના મહત્ત્વના મુદ્દાઓની’ લેખિકાએ છણાવટ કરી છે. તેમણે સંસ્કૃતમાં ડૉક્ટરેટ મેળવ્યાં બાદ ઘરસંસારની જવાબદારી નિભાવવાની સાથે સાત ઉપનિષદો પર પુસ્તકો લખ્યાં.પ્રસ્તુત પુસ્તક વૃદ્ધાવસ્થાની અનેક શારિરીક અને માનસિક વિટંબણાઓ વચ્ચે પૂરું કર્યું જેનું મરણોત્તર પ્રકાશન પરિવારજનોએ કર્યું.

લેખિકાનું નોંધપાત્ર મંતવ્ય છે : ‘મૂળે સંસ્કૃત ભાષાની જાણકારીનો આભાવ, અધ્યાત્મવિદ્યાનો શુષ્ક (મનાતો) અને કઠિન વિષય, સંક્ષિપ્ત અને પ્રતીકાત્મક એવી આર્ષવાણી ઇત્યાદિને કારણે ઉપનિષદનું અધ્યયન આજે અત્યંત મુશ્કેલ બની રહે છે.’ 

* * * * * 

‘દાદા દાદી આવ્યાં, વાતો મજાની લાવ્યાં‘, લેખક : પ્રહ્લાદ સુથાર ,પ્રકાશક : લેખક પોતે, પાનાં 128, રૂ.140 

સત્ત્યાવીસ બાળવાર્તાઓના સચિત્ર સંગ્રહમાં કેટલીક વાર્તાઓ રસપ્રદ છે. એક વાર્તામાં શાળાએ જતાં કિશોરોમાં ભૂતપ્રેતનો ડર ઊભો કરનાર એક મોટેરાનો એક વિદ્યાર્થી સાફ વિરોધ કરે છે.

ગામડાંની શાળાનાં એક શિક્ષિકા મહામારીને પગલે આખા ગામને શાળાના માસ્ક પહેરતું કરે છે. એક માજી ભર તડકે પરબ માંડીને વટેમાર્ગુઓને વિનામૂલ્યે પાણી પિવડાવે છે. 

કેટલાંક પક્ષીઓ વિશે વાર્તા કથન દ્વારા માહિતી અપાઈ છે.દાદીના છીંકણીના બંધાણ પર દાદા-દાદી વચ્ચેના કજિયાની વાત પણ છે. પુસ્તકને અંતે સદાચાર અંગેની વીસ સૂક્તિઓ ચિત્રો સાથે મૂકવામાં આવી છે.     

પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર : 98797 62263

પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 24 માર્ચ 2024
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

રાષ્ટ્રીય રાજકારણથી છેટે રહેલા દક્ષિણી પક્ષોને રિઝવવા ભા.જ.પા.એ લગાડેલું એડી ચોટીનું જોર કેટલું લેખે લાગશે?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|24 March 2024

રામ મંદિરમાં દક્ષિણ ભારતનો પ્રભાવ, વિકાસના પ્રોજેકટ, મંદિરોની મુલાકાત, લાંબા હાર અને ભાષાની વાત, રેલીઓ અને સભાઓ દ્વારા 2024ની ચૂંટણીમાં દક્ષિણ ભારતમાં છવાઇ જવા માટે ભા.જ.પા.એ બનતા બધા જ પ્રયત્નો કર્યા છે

ચિરંતના ભટ્ટ

ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ છે, આચાર સંહિતા લાગુ થઇ ચૂકી છે. આ બધું થાય એ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ ભારત તરફના આંટાફેરા વધારી દીધા હતા. હજી દસ વર્ષ પહેલાં સુધી તો ભારતીય જનતા પાર્ટી – ભા.જ.પા.ને એક હિંદી બેલ્ટની પાર્ટી ગણવામાં આવતી અને તેની પહોંચ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં રહેતી. 2014માં સત્તામાં આવ્યા પછી પહેલાં તો ઉત્તર-પૂર્વિય રાજ્યો તરફ ભા.જ.પા.એ કાબૂ મેળવ્યો અને આ વર્ષે ભા.જ.પા.નું લક્ષ્ય રહ્યુ છે દક્ષિણ ભારત અને ત્યાં પગદંડો જમાવવામાં ભા.જ.પા.એ એડી ચોટીનું જોર લગાડ્યું છે. આખા ભારતમાં જેની પહોંચ હોય એવો પક્ષ બનવું હોય અને 370 બેઠકો પર જીત મેળવવી હોય તો દક્ષિણ ભારતમાં જમાવટ કરવી ભા.જ.પા. માટે બહુ જ અનિવાર્ય છે.

મહારાષ્ટ્ર અને બિહારમાં તો વિરોધ પક્ષ સાથે ભા.જ.પા.ને સારી એવી ઝિંક ઝીલવી પડે એમ છે અને એવામાં દક્ષિણ ભારતના કર્ણાટકમાં જ્યાં એન.ડી.એ. ગઠબંધને 2019ની ચૂંટણીમાં 28માંથી 26 બેઠકો મેળવી હતી ત્યાં પણ એવો જ હાલ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આચાર સંહિતા લાગુ પડી તે પહેલાંના અઠવાડિયે દક્ષિણ ભારતમાં કેરળમાં રોડ શો કર્યો અને તમિલનાડુમાં રેલી કરીને પ્રચાર પૂરો કર્યો તે પહેલાં લગભગ બેએક ડઝન વખત દક્ષિણ ભારતની મુલાકાત લીધી. આ મુલાકાતોમાં વિરોધીઓ પર સપાટો બોલાવવામાં મોદીએ કંઇ બાકી નથી રાખ્યું, ખાસ કરીને તમિલનાડુની ડી.એમ.કે. પાર્ટી અને તેલંગાણામાં બી.આર.એસ. પાર્ટી. વળી આંધ્ર પ્રદેશમાં તેમણે પૂર્વ મુખ્ય મંત્રી ચંદ્રાબાબુ નાયડુ અને પવન કલ્યાણને સાથે સ્ટેજ પર રાખ્યા જે રાજ્ય સ્તરે ભા.જ.પા.ના સાથી રહ્યા છે. રામ મંદિરમાં દક્ષિણ ભારતનો પ્રભાવ, વિકાસના પ્રોજેકટ, મંદિરોની મુલાકાત, લાંબા હાર અને ભાષાની વાત, રેલીઓ અને સભાઓ દ્વારા 2024ની ચૂંટણીમાં દક્ષિણ ભારતમાં છવાઇ જવા માટે ભા.જ.પા.એ બનતા બધાં જ પ્રયત્નો કર્યા છે. ભા.જ.પા.ને લાગે છે કે કેરળ, તમિલનાડુ અને તેલંગાણામાં પહોંચી વળાશે. પ્રાદેશિક પક્ષો અને કાઁગ્રેસનો ગઢ રહેલું દક્ષિણ ભારત કેટલું કેસરી થાય છે તે જોવું રહ્યું. ભા.જ.પા.એ ચાર મુખ્ય રાજ્યોમાં અપનાવેલી વ્યૂહરચના સમજીએ.

કેરળની વાત કરીએ તો ભા.જ.પા.ની ત્યાં પકડ મજબૂત થવાને કારણે સી.પી.આઇ.(એમ.)ના સુકાન હેઠળની એલ.ડી.એફ. અને કાઁગ્રેસની યુ.ડી.એફ. – એમ માત્ર બે પાર્ટી વચ્ચે થતી લડાઇને બદલે આ વખતે ત્રિકોણિયા જંગની શક્યતાઓ વર્તાય છે. મોદી સરકારની ભા.જ.પા. ઉમેદવારોને પસંદ કરવામાં હંમેશાં બહુ ચકોર રહી છે જેમ કે કેરળમાં ભા.જ.પા.એ કેન્દ્રીય મંત્રીઓ રાજીવ ચંદ્રશેખર અને વી. મુરલીધરનને આગળ કર્યા છે તો કાઁગ્રેસનાં પદ્મજા વેણુગોપાલન અને અનિલ એન્થોનીનું ભા.જ.પા.માં જોડાવું પણ ભા.જ.પા.નું સ્થાન મજબૂત કરનારી બાબત છે. વળી કેરલા જનપ્રકાશમ (સેક્યુલર) ચિફ પી.સી. જ્યોર્જે પોતાની પાર્ટી ભા.જ.પા. સાથે ભેળવી દીધી છે. હવે આ બધાં સંધાણ અને જોડાણની વચ્ચે યુ.ડી.એફ. અને એલ.ડી.એફ.ના મતભેદ જાહેર થઇ જાય છે એમાં વિરોધ પક્ષની નબળાઇ ભા.જ.પા.ને જોર પૂરું પાડનારી સાબિત થાય છે. ભા.જ.પા.એ કેરળમાં પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા જેવા મુસલમાન સંગઠનનો વિરોધ દર્શાવીને નવી પેઢીને પણ પોતાની તરફ ખેંચી છે ,તો છેલ્લે વિકાસને મામલે ત્યાં કસારગોડ-થિરુવનન્તપુરમ સિક્સ લેન હાઇ-વે, કોચી મેટ્રો, કોચિન શિપયાર્ડ અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પણ ભા.જ.પા.ની મજબૂત કરવામાં કામ લાગ્યા છે. મોદી સારી પેઠે જાણે છે કે ભારતીય સીમાઓના આર્થિક એજન્ડા માટે દક્ષિણનો સાથ જરૂરી છે કારણ કે દેશના જી.ડી.પી.માં દક્ષિણી રાજ્યોનો નોંધપાત્ર ફાળો છે.

તમિલનાડુમાં 2014માં ભા.જ.પા. 5.5 ટકા વોટના હિસ્સા સાથે થોડીઘણી સફળતા મેળવી શકી જે 2019માં તો 3.66 ટકા વોટ શેર પર આવીને અટકી. તામીલનાડુમાં એ.આઇ.એ.ડી.એમ.કે.નો પ્રભાવ ઝાંખો કરવો સહેલો નથી રહ્યો. વળી ભાષાના અવરોધો અને મજબૂત નેતૃત્વ ન હોવાથી પણ તામીલનાડુમાં ભા.જ.પા. માટે છવાઇ જવું અઘરું જ રહ્યું છે. આ વખતે ભા.જ.પા.એ મીડિયા થકી લોકો સુધી પહોંચવાનો ખાસ્સો પ્રયત્ન કર્યો છે તો સાથે અન્નામલાઇએ નીચલા સ્તરે કરેલી કામગીરી, વિરોધ પક્ષને મામલે કોઇ મજબૂત નામ ન હોવાને કારણે પણ ભા.જ.પા.ની સારી એવી આશા બંધાઇ છે. વળી ભા.જ.પા.એ પી.એમ.કે, એ.આઇ.એ.ડી.એમ.કે. જેવા પક્ષો સાથે હાથ જોડ્યા છે અને અન્ય પક્ષો સાથેની વાતચીત પણ સતત ચાલુ રાખવામાં આવી કારણ કે ટેકેદાર પક્ષોને આધારે જાતિ આધારિત રાજકારણમાં ભા.જ.પા. પોતાનો પ્રભાવ પાડી શકે.

આંધ્ર પ્રદેશ ભા.જ.પા. માટે અઘરું રાજ્ય રહ્યું છે કારણ કે 2019માં પચ્ચીસમાંથી ચોવીસ બેઠકો પર લડ્યા પછી પણ ભા.જ.પા.ના હાથમાં કંઇ ન આવ્યું. 2024 માટે ભા.જ.પા., ટી.ડી.પી. અને જનસેનાએ હાથ મેળવ્યા છે અને ભા.જ.પા. રાજ્યમાં નોંધપાત્ર બેઠકો પર, લોકસભાની સાત અને વિધાનસભાની વીસ બેઠકો, પર નજર રાખીને બેઠી છે. જો કે ટી.ડી.પી. ભા.જ.પા.ને આટલી બધી બેઠક ઓફર ન કરે એમ બને. ભા.જ.પા.ને વાય.એસ.આર.સી.પી. સાથેના સીધા જંગમાંથી જીતની ખાસ્સી આશા છે અને ટી.ડી.પી. માટે પણ આ ચૂંટણી ખરાખરીને જંગ છે અને પક્ષે મતદારોને પોતાને છેલ્લો મોકો આપવા અપીલ કરી છે.

તેલંગાણાની વાત કરીએ તો ભા.જ.પા. 2019માં સત્તરમાંથી ચાર બેઠકો પર જીત મેળવીને વોટ શેરની ટકાવારીમાં વધારો કરી ચૂકી હતી. આ વર્ષે ભા.જ.પા.ને સત્તરમાંથી બાર બેઠકો પર જીતની આશા છે. વળી ધરપકડો કરવામાં ઉત્સાદ ભા.જ.પા.એ કે ચંદ્રશેખર રાવની દીકરી કે કવિથાની ધરપકડ કરીને પોતાનો પ્રભાવ વિસ્તાર્યો. રેવન્થ રેડ્ડી ભા.જ.પા., મોદી, અને ગુજરાત મોડલના સતત વખાણ કરતા રહ્યા છે.

દક્ષિણ ભારતના સાંસ્કૃતિક પ્રચારમાં પણ નરેન્દ્ર મોદીએ કોઇ કચાશ નથી રાખી. દક્ષિણ ભારતમાં પ્રચલિત એવા લાંબા હાર પહેરવાથી માંડીને સ્થાનક તહેવારોની ઉજવણીમાં ભાગ લેવો, ત્યાંની ભાષા અને બોલીઓનો પ્રચાર પ્રસાર કરવો વગેરે એ જ દિશાનાં પગલાં છે.  ચારેય રાજ્યોના મહત્ત્વનાં મંદિરોની મુલાકાત તો મોદીએ જાન્યુઆરીમાં અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ લીધી હતી.  અયોધ્યા રામ મંદિરમાં પણ દક્ષિણી પ્રભાવ બહુ દેખીતો છે જે પણ દક્ષિણ ભારતના મતદાતાઓને રિઝવવા માટે જ છે. દક્ષિણ ભારતના કાળા પથ્થરમાંથી બનેલી શ્રીરામની મૂર્તિ બનાવનાર કલાકાર અને મંદિરના કમાડ બનાનારા કારીગરો દક્ષિણ ભારતીય છે. વળી જ્યારે અયોધ્યામાં પ્રસંગ ઉજવાયો ત્યારે દક્ષિણ ભારતીય નાદસ્વરમનું સંગીત વાગતું હતું અને મંદિર ભલે ઉત્તર ભારતીય શૈલીમાં બન્યું હોય પણ તેના કલાકારો અને સામગ્રી દક્ષિણ ભારતમાંથી આવી. વળી કાશી તામિલ સંગમમનું ઉદ્ઘાટન પણ તો ઉત્તર-દક્ષિણ વચ્ચે સેતુ રચવાની જ પહેલ છે.

પડકારો હોવા છતાં ભા.જ.પા. તેલંગાણા, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં આક્રમક લડાઇ આપવા કટિબદ્ધ છે. વોટ શેર અને સસંદીય પ્રતિનિધિત્વને બહેતર બનાવવા માટે ભા.જ.પા.એ ચાવીરૂપ મતવિસ્તારો પર ધ્યાન આપ્યું છે. ભા.જ.પા.એ દક્ષિણની જનતા અને પ્રાદેશિક પક્ષોને રિઝવવા માટે ચાણક્ય નીતિના પુસ્તકમાં હશે તેના કરતાં ચારગણા હથકંડા અપનાવ્યા છે. ઉત્તર – દક્ષિણનું વિભાજન જે વર્ષોથી પ્રાદેશિક અને રાષ્ટ્રીય રાજકારણમાં ગણતરીમાં લેવાતું રહ્યું છે તેમાં આવેલા ફેરફાર બહુ ચોકસાઇની ચોપાટ રમીને લાવવામાં આવ્યા છે અને આવામાં 2024ની ચૂંટણીમાં દક્ષિણ ભારતમાં ભા.જ.પા.નું પ્રદર્શન જોવું રસપ્રદ રહેશે એ ચોક્કસ.

બાય ધી વેઃ

મજાની વાત એ છે કે દક્ષિણ ભારત જાણે અલગથી એક દેશ હોય એવો અભિગમ ધરાવતું આવ્યું છે. ના, એમ નહીં કે તે બાકીના ભારત સાથે જોડાયેલું નથી રહ્યું પણ પોતાના એટલે કે પ્રાદેશિક રાજકારણમાં સતત છાકો બોલાવનારા દક્ષિણ ભારતીય રાજકારણીઓ રાષ્ટ્રીય રાજકારણમાં બહુ ઓછા દેખાયા છે. ઉત્તરનું રાજકારણ તેમને આર્યનોનું રાજકારણ લાગે છે અને પોતાના મૂળિયાં દક્ષિણી નેતાઓને અતિ પ્રિય છે. આમ જોવા જઇએ આપણને ઘણા રાષ્ટ્રપતિ દક્ષિણ ભારતમાંથી મળ્યા છે તો નરસિંહા રાવ અને દેવગૌડા દક્ષિણ ભારતીય વડા પ્રધાન હતા પણ એ ગઠબંધન અને સંજોગોને આધારે વડા પ્રધાન પદે પહોંચ્યા હતા. દક્ષિણ ભારતીય રાજ્યોની જનતાને પોતાના હાથમાં રાખવામાં સ્થાનિક નેતાઓ જરા ય પાછી પાની નથી કરતા અને એટલે જ ત્યાંના લોકોને પણ રાષ્ટ્રીય રાજકીય નેતાઓમાં બહુ રસ નથી રહેતો. દક્ષિણ ભારતમાં જાતિ આધારિત રાજકારણ, ભ્રષ્ટાચાર, સગાંવાદ, અને ધ્રુવીકરણ બહુ મોટા પાયે હોવાથી દરેક રાજ્યના પોતાના પ્રશ્નો છે. વળી ભા.જ.પા.નો હિંદુવાદ દરેક દક્ષિણ ભારતીય માનસિકતા સાથે નથી બંધ બેસતો તો હિંદીને અધિકૃત અને રાષ્ટ્રીય ભાષા તરીકે આગળ કરનારા પક્ષ સામે પોતાની દરેક પ્રાદેશિક ભાષાને ચાહનારા દક્ષિણ ભારતીયોને વાંધો હોય એ પણ સ્વાભાવિક છે. હિંદી રાજકારણ અને ભેદભાવને કારણે દક્ષિણ ભારતીય નેતાઓ હંમેશાં હાંસિયામાં ધકેલાયા હોવાની ફરિયાદો પણ અનેક વખત થઇ છે. અહીં પ્રાદેશિક પાર્ટીના નેતાઓ જેમને ભગવાન સરીખું માન મળે છે તેઓ હવેલી લેતા ગુજરાત ખોયું વાળો ઘાટ ન થાય એટલે રાષ્ટ્રીય રાજકારણની ભાંજગડમાં પડવાનું બને ત્યાં સુધી ટાળતા આવ્યા છે. આ વર્ષે ભા.જ.પા.ના પ્રયાસો પછી  2024માં રાજકીય લેન્ડસ્કેપમાં ચોકઠા કેવા ગોઠવાય છે તે જોવું રહ્યું.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 માર્ચ 2024

Loading

...102030...750751752753...760770780...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved