Opinion Magazine
Number of visits: 9741737
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અહિંસાના છ સિદ્ધાંતો 

માઈકલ નેગલર [અનુવાદ : આશા બૂચ]|Gandhiana|5 May 2024

માઈકલ નેગલર બર્કલી વિશ્વવિદ્યાલયના શિષ્ટ સાહિત્યના માનદ્દ પ્રાધ્યાપક છે, જ્યાં તેમણે ‘પીસ અને કોન્ફ્લિક્ટ સ્ટડીઝ પ્રોગ્રામ’ની રચના કરીને ઉચ્ચ કક્ષામાં અહિંસા વિષય પર શિક્ષણ આપ્યું. તેઓ મેટા સેન્ટર ફોર નોનવાયોલન્સના સ્થાપક છે અને ધ સર્ચ ફોર નોન વાયોલન્ટ ફ્યુચર, ધ નોન વાયોલન્સ હેન્ડબુક, અને થર્ડ હાર્મની : નોન વાયોલન્સ એન્ડ ધ ન્યુ સ્ટોરી ઓફ હ્યુમન નેચર જેવાં પુસ્તકોના લેખક પણ છે. માઈકલ નેગલરને ભારત બહાર ગાંધીમૂલ્યોના પ્રસાર માટે જમનાલાલ બજાજ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે યુનાઇટેડ નેશન્સ, અમેરિકાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પીસ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ તથા જાહેર સભાઓમાં વક્તવ્યો આપ્યાં છે. તેઓ 1970ની સાલથી બ્લ્યુ માઉન્ટન સેન્ટર ઓફ મેડિટેશન આશ્રમ – ઉત્તર કેરોલાઇના ખાતે નિવાસ કરી રહ્યા છે.

અહિંસાના છ સિદ્ધાંતોનું વિવરણ તેમના જ શબ્દોમાં:

અહિંસા અન્યાયને પરાજિત કરવા માટે સલામત, અસરકારક અને કાયમ ટકી રહે તેવો માર્ગ છે, પરંતુ બીજા વિજ્ઞાનની માફક એને માટે પણ પૂરતી જાણકારી, હિંમત અને દૃઢ નિશ્ચય કરવાની ક્ષમતાની જરૂર રહે છે. 

નીચે મેં છ સર્વસાધારણ માર્ગદર્શિકા આપી છે, જે અહિંસક પગલાંને સલામત અને અસરકારક રીતે અમલમાં મુકવા મદદરૂપ થઇ શકે. સાથે જ આપણને સાંસ્કૃતિક વારસામાં મળેલ અહિંસક આચારનો પણ આધાર લીધો છે. તમે જોઈ શકશો કે આ માર્ગદર્શિકા બે મુખ્ય મુદ્દા પરથી લેવામાં આવી છે :

આપણે કોઈ વ્યક્તિના વિરોધી નથી, માત્ર તેઓ જે કર્મ કરે છે તેના વિરોધી છીએ 

સાધન અંતે સાધ્યમાં પરિણમે છે; હિંસાથી કદી સારું પરિણામ ન મેળવી શકાય 

સિદ્ધાંત 1. બધાનો આદર કરો – તમારા સહિત 

આપણે બીજાનો જેટલો વધુ આદર કરીએ તેટલા વધુ પ્રમાણમાં તેમને બદલવા માટે સમજાવી શકીએ. માનહાનિનો એક સાધન તરીકે કદી ઉપયોગ ન કરવો, કે કોઈ માનહાનિ કરે તે ન સ્વીકારવું, કેમ કે તેનાથી દરેકનું ગૌરવ હણાય છે. યાદ રહે, તમારી અનુમતિ વિના કોઈ તમારા ગૌરવનો ભંગ ન કરી શકે.

અહિંસક માર્ગ દ્વારા સંબંધો સુધારવા એ તેની સહુથી મોટી સફળતા છે, જે હિંસાનો માર્ગ કદી સિદ્ધ ન કરી શકે. ગાંધી માનતા કે આત્યંતિક હિંસાના બનાવોમાં પણ દુષ્કર્મ કરનારને નહીં પણ દુષ્કર્મને ધિક્કારવું સંભવ છે. 1942માં જ્યારે ભારત બ્રિટનના તાબા હેઠળ હતું ત્યારે તેમણે પોતાના સાથીઓને સલાહ આપી :

“જો આપણે એક સ્વતંત્ર રાષ્ટ્ર હોત તો જાપાનીઝ લશ્કરને આપણા દેશમાં પ્રવેશતું અટકાવવા માટે આપણે અહિંસક માર્ગ લીધો હોત. હાલની સ્થિતિમાં જાપાનીઝ જેવા આપણી ધરતી પર ઉતરી આવે કે તરત અહિંસક પ્રતિકાર શરૂ કરી શકાય. આ રીતે અહિંસક પ્રતિકાર કરનારા તેમને તમામ પ્રકારની મદદ આપવાનો ઇન્કાર કરશે, ખુદ પાણી આપવાનો પણ. કેમ કે પોતાના દેશને છીનવી લેનારને મદદ કરવી એ તેમની ફરજનો ભાગ નથી. પરંતુ જો જાપાનીઝ લશ્કર માર્ગમાં ભૂલું પડી જાય અને જો કોઈ પાણી વિના તરફડતું હોય તો અહિંસક પ્રતિકાર કરનારા કોઈને પોતાના દુ:શ્મન ન માનતા હોવાને કારણે માનવતાને ખાતર એ તરસ્યા માણસને જરૂર પાણી આપશે. ધારો કે જાપાનીઝ કોઈ પ્રતિકારકને પાણી આપવા ફરજ પાડે તો તેનો વિરોધ કરતાં એ મોતને ભેટવા પણ તૈયાર રહેશે.”

સિદ્ધાંત 2. હંમેશ રચનાત્મક વિકલ્પનો સમાવેશ કરો : 

નક્કર પગલાં માત્ર પ્રતીકાત્મક સૂત્રો કરતા હંમેશાં વધુ શક્તિશાળી સાબિત થાય છે, ખાસ કરીને જ્યારે એ પગલાં રચનાત્મક વિકલ્પના રૂપમાં હોય છે : જેમ કે શાળાઓ સ્થાપવી, ગ્રામોદ્યોગ શરૂ કરવા, સહકારી ખેતી સંગઠનની સ્થાપના કરવી, સમાજ ઉપયોગી બેંકની વ્યવસ્થા શરૂ કરવી, વગેરે. બકમિન્સ્ટર ફુલરે કહ્યું છે, “પ્રવર્તમાન વાસ્તવિકતા સાથે લડવાથી કોઈ પરિસ્થિતિમાં બદલાવ ન લાવી શકાય. કોઈ પરિસ્થિતમાં પરિવર્તન લાવવું હોય તો એક એવો નવો નમૂનો બનાવો જે વિદ્યમાન પદ્ધતિને કાલગ્રસ્ત બનાવી દે.”

ગાંધીએ પોતાના સમાજને સુચારુ ઢંગથી ચલાવવા 18 કાર્યક્રમ આપ્યા, જેનાથી બ્રિટિશ રાજને રુખસદ આપવી સહેલી પડે અને પોતાના ગણતાંત્રિક વહીવટનો પાયો નાખી શકે. રચનાત્મક કાર્યોના ઘણા ફાયદા છે :

એ પ્રજાને પોતાને ખપની વસ્તુઓ અને સેવાઓ જાતે બનાવીને રાજ્ય પર આધારિત રહેવામાંથી મુક્ત કરે છે. જ્યાં સુધી તમે તમારી મૂળભૂત જરૂરિયાતો પર તમારા રાજ્યકર્તાઓ પર આધારિત રહેશો ત્યાં સુધી તેમના જુલમી શાસનથી મુક્ત નહીં થઈ શકો.

તમે માત્ર અન્યના દુર્વર્તનનો પ્રત્યાઘાત જ નથી આપતા, પરંતુ તે પરિસ્થિતિનો હવાલો સંભાળો છો. સક્રિય પગલાં ભરવાથી તમારી નિષ્ક્રિયતા, ભય અને લાચારી દૂર કરવામાં મદદ થાય છે. 

એ તમારી ચળવળને સાતત્ય બક્ષે છે, કેમ કે જ્યારે સીધો પ્રતિકાર કરવો સલાહભર્યું ન હોય ત્યારે રચનાત્મક કાર્યો ચાલુ જ રહે છે. 

આ દિશામાં થયેલા અભ્યાસો સૂચવે છે કે સાથે મળીને કાર્ય કરવું એ લોકોને સંગઠિત કરવા માટે સહુથી વધુ અસરકારક માર્ગ છે. તેનાથી સામાજિક ગઠન થાય છે અને સામાન્ય પ્રજાને ખાતરી આપે છે કે તમારી ચળવળ સમાજ વ્યવસ્થા માટે જોખમકારક નથી. 

સહુથી વધુ મહત્ત્વની વાત તો એ છે કે જ્યારે દમનકારી સરકારનું પતન થાય ત્યારે જરૂરી હોય તેવું માળખું રચનાત્મક કાર્યો પૂરું પાડે છે. ઘણી જુલ્મી સરકારોને સ્થાનભ્રષ્ટ કરવામાં બળવાખોરો સફળતા મેળવતા હોય છે, પણ, એની જગ્યાએ બીજી એવી જ જુલ્મી સત્તા એ સ્થાન લઇ લેતી જોવા મળે છે. 

એક ઉપયોગી નિયમ અનુસરવા લાયક છે : જ્યાં શક્ય હોય ત્યાં રચનાત્મક બનો, જ્યાં જરૂરી હોય ત્યાં અવરોધક બનો.

સિદ્ધાંત 3. દૂરના ભવિષ્યનો વિચાર કરો : 

માઈકલ નેગલર

અહિંસક પગલાં હંમેશાં સકારાત્મક પરિણામ લાવે છે, ક્યારેક આપણા ધાર્યા કરતાં પણ વધુ. 1950ની સાલમાં જ્યારે ચીન દુષ્કાળની કપરી સ્થિતિમાંથી પસાર થઇ રહ્યું હતું ત્યારે યુ.એસ.ની ફેલોશીપ ઓફ રીકન્સીલિએશન શાખાએ વધારાની ખોરાક સામગ્રી ચીન મોકલવા માટે રાષ્ટ્રપ્રમુખ આઇઝન હોવરને પત્રો લખવાની ઝુંબેશ આદરી હતી. લગભગ 35,000 અમેરિકનોએ તેમાં ભાગ લીધેલો. રાષ્ટ્રપ્રમુખને પાઠવેલો અમારો સંદેશો આઈઝાયાના સરળ શિલાલેખમાંથી લીધેલો હતો : “જો તમારા દુ:શ્મનો ભૂખે મરતા હોય તો તેમને ખોરાક પૂરો પાડો.” તેમના તરફથી અમને કોઈ પ્રતિભાવ ન સાંપડ્યો. પરંતુ અમને 25 વર્ષ પછી જાણવા મળ્યું કે કોરિયા અને ચીન વચ્ચેની લડાઈ સમયે ચીન પર બોમ્બ વર્ષા થતી અમે અટકાવી હતી. મુખ્ય અધિકારીઓની મિટીંગમાં પ્રમુખ આઇઝનહોવરે જાહેર કર્યું: “આદરણીય શ્રોતાજનો, 35,000 અમેરિકન લોકો ઈચ્છે કે આપણે ચીનના લોકોને ખોરાક પૂરો પાડીએ, તો આ સમય તેના પર બૉમ્બ વરસાવવાનો નથી.”

હિંસા ક્યારેક સફળ થાય છે, તે એ અર્થમાં કે તે અમુક પ્રકારનો બદલાવ લાવવાની ફરજ પાડે છે, પરંતુ લાંબે ગાળે એ વધુ કંગાલિયત અને અરાજકતા તરફ દોરી જાય છે. આપણને આપણા કર્મ પર કોઈ કાબૂ નથી હોતો, પણ આપણે કયાં સાધનો વાપરીએ તેના પર કાબૂ હોય છે, ખુદ આપણી લાગણીઓ અને મનની સ્થિતિ પર પણ અંકુશ રાખી શકીએ. આ નુસખો હાથવગો રાખવા જેવો છે : હિંસા ક્યારેક ‘કામ આવે છે’, પણ એ કોઈ પરિસ્થિતિ કે સંબંધો સુધારવામાં ક્યારે ય સફળ નથી થતી. અહિંસા ક્યારેક ‘કામ આવતી’ જણાય છે, અને હંમેશાં સફળતા અપાવે છે.  

હંમેશાં સ્પષ્ટ ધ્યેયને નજર સામે રાખો. માનવીની ગરિમા જેવા પાયાના મુદ્દાઓને વળગી રહો અને તમારા સિદ્ધાંતો વિશે ચોકસાઈપૂર્વક ધ્યાન આપો, પણ, તે સિવાયની બાબતો માટે યુક્તિઓ બદલવા કે સમાધાન કરવા તૈયાર રહો. યાદ રહે કે તમારા પ્રતિવાદીઓ ભલે એમ માનતા હોય છતાં તમે સત્તાની સાઠમારીમાં નથી સામેલ થયા. તમે ન્યાય અને માનવ ગરિમા જાળવી રાખવા જેવા સહિયારા લક્ષ્ય સાધવા માટે વાટાઘાટ કરી રહ્યા છો. અહિંસક લડાઈમાં તમે બધા યુદ્ધ હારી જાઓ, છતાં તમામ લડાઈ જીતતા રહો એ સંભવ છે!

સિદ્ધાંત 4. બંને પક્ષને જીત મળે તેવો ઉપાય શોધો 

તમે સંબંધોને ફરી બાંધવા માગો છો, નહીં કે ‘જીત’નો આંક વધારવા. આપણે માનીએ છીએ કે સંઘર્ષની સ્થિતિમાં એક પક્ષને જીતવા માટે બીજા પક્ષે હારવું જરૂરી છે, જે સાચું નથી. આથી આપણે વિજેતા થવાનો પ્રયત્ન ન કરવો જોઈએ કે બીજા પર સવાર  થવાની કોશિશ ન કરવી જોઈએ, આપણે બોધપાઠ શીખીને બધા માટે લાભદાયી હોય તેવો માર્ગ શોધો છો.

મોન્ટગોમરી – અલાબામામાં શ્વેત-અશ્વેતને અલગ રાખવાના કાયદાઓ પર ચાલતી વાટાઘાટો દરમિયાન માર્ટિન લ્યૂથર કિંગ જુનિયરે એક નિરીક્ષણ કર્યું, જે પોતાના પુસ્તક ‘Stride Toward Freedom – The Montgomery Story’માં નોંધ્યું છે. એ શહેરની બસ કંપનીના એટર્ની, કે જેણે આફ્રિકન-અમેરિકન લોકોની વિપૃથક્કરણ કરવાની માગને રોક લગાવી હતી તેણે પોતાના વિરોધ પાછળનું ખરું કારણ છતું કર્યું : “આપણે જો નીગ્રો પ્રજાની આ માગણીનો સ્વીકાર કરીશું તો તેઓ શ્વેત પ્રજા પર અશ્વેત પ્રજાએ જીત મેળવી એવું અભિમાન ધરાવતા થશે; અને આપણે એવું કદી નહીં સહી લઈએ.”

આ ઘટના ઉપર વિચાર કરતાં ડૉ. કિંગે ચળવળમાં ભાગ લેનારાઓને ક્રૂર આનંદ ન માણવાની અને અભિમાન ન કરવાની સલાહ આપેલી અને યાદ અપાવ્યું : “અહિંસા દ્વારા આપણે વિજેતાઓની માનસિકતા ભોગવવાની લાલચથી બચવા માંગીએ છીએ.” ‘વિજેતાઓની માનસિકતા’ મારા વિરુદ્ધ તમે એવા પુરાણા ચાલક બળ પર આધારિત છે, પરંતુ અહિંસક વ્યક્તિ જીવનને સહિયારી ઉત્ક્રાંતિ તરીકે જુએ છે જે પ્રેમભર્યા સમાજની રચના કરે છે જેમાં બધાનો સમાન વિકાસ થાય. વિજયનો ક્રૂર આનંદ મેળવવાની વૃત્તિ સંઘર્ષને અંતે જે કંઈ સારું પ્રાપ્ત થયું હોય તે ગુમાવી દે છે.

સિદ્ધાંત 5. તાકાતનો કાળજીપૂર્વક અમલ કરો. 

આપણે, ખાસ  પશ્ચિમના લોકો એમ માનવને ટેવાયેલા છીએ કે “તાકાત બંદૂકના નાળચામાંથી પેદા થાય છે.” ધમકી અને ક્રૂર અમાનવીય શક્તિથી એક પ્રકારની તાકાત જરૂર ઊભી થાય છે, પણ આપણે જો તેને વશ થવાનો ઇન્કાર કરીએ તો એ તદ્દન શક્તિવિહીન થઇ જાય. શાંતિ વિષય પર સંશોધન કરનાર કેનેથ બોલ્ડીંગ લખે છે કે શક્તિને ત્રણ મુખ હોય છે, તાકાત ઉપરાંત બીજા બે છે તે ‘વિનિમયની તાકાત’ અને ‘સમન્વયની તાકાત’ અથવા અહિંસાની તાકાત.

આ ત્રીજા પ્રકારની શક્તિ સત્યમાંથી પેદા થાય છે. માની લો કે તમે અન્યાય દૂર કરવા માટે અરજી કરી રહ્યા છો. કદાચ તમે તમારી માગ સંતોષવા મક્કમ, પણ વિનંતીપૂર્વક અરજી કરી હોય, અને છતાં સામો પક્ષ તેનો જરા પણ પ્રતિભાવ ન આપતો હોય. ત્યારે ગાંધી કહે છે તેમ, “માત્ર દિમાગ સાથે વાત ન કરો, પણ હૃદય બદલવા તરફ આગળ ધપો” અન્યાયી વ્યવસ્થાથી ભોગવવી પડતી યાતનાઓ પોતે સહન કરીને અન્યાયને સ્પષ્ટ રીતે છતો કરી શકીએ. એ આપણને સત્યાગ્રહ અથવા તો સત્યની તાકાતને અમલમાં મુકવા માટે પ્રવૃત્ત કરે છે. કેટલાક  આત્યંતિક કિસ્સાઓમાં પોતાના જીવનના ભોગે પણ આ પગલું ભરવું પડે, અને તેથી જ તો આપણા લક્ષ્ય માટે સ્પષ્ટ દર્શન હોવું અત્યંત આવશ્યક છે. આ તાકાતનો અમલ કાળજીપૂર્વક કરવો રહ્યો.

ઇતિહાસ અને આપણા પોતાના અનુભવો પણ સાક્ષી પૂરે છે કે અહિંસક પગલાં દ્વારા આપણે આપણા પ્રતિવાદી પર જબરદસ્તી નથી કરતા, છતાં આવા પ્રકારની સમજાવટ આપણા પ્રતિવાદીની આંખો ઉઘાડે છે. આમ છતાં કેટલાક એવા સંયોગો ઊભા થતા હોય છે, જ્યારે કોઈ પ્રકારની જબરદસ્તીનો ઉપયોગ કરવો પડે. જેમ કે કોઈ સરમુખત્યાર પોતાના પદનો ત્યાગ કરવા અનિચ્છા દર્શાવે. એ વ્યક્તિ સત્તાનો દુરુપયોગ કરીને મોટી સંખ્યામાં લોકોને જે યાતના આપી રહ્યો હોય તેનો અંત લાવવા તરત પગલાં ભરવાં જોઈએ. આમ છતાં આ કાર્યને પાર પાડવા યુક્તિપૂર્વકનું આયોજન અને અહિંસક પદ્ધતિનો ઉપયોગ કરવાની કાળજી રાખવી જોઈએ. પરંતુ જો સમય અનુકૂળ હોય, તો આપણે ધૈર્ય અને સમજાવટની તાકાતનો સહન કરવા માટે, નહીં કે જખમ પહોંચાડવા માટે ઉપયોગ કરવો જોઈએ. સમજાવટ મારફત જે પરિવર્તન આવે છે કાયમ ટકી રહે તેવું હોય છે : જેમને સમજાવટથી બદલવામાં આવે છે તેઓ હંમેશાં સમજપૂર્વક કામ કરશે, જ્યારે જેમના પર જબરદસ્તી કરવામાં આવે છે તેઓ કાં તો ફરી એ જ માર્ગે પાછા જવાની  અથવા બદલો લેવાની તકની રાહ જોતા જ ઊભા હોય છે.

સિદ્ધાંત 6. આપણા વારસાની દેણગીનો હક્ક જાળવો.

અહિંસા એક એવી તાકાત છે જે હંમેશાં અસ્તિત્વ ધરાવતી આવી છે; ગાંધીએ કહ્યું છે તેમ એ “આ પર્વતો જેટલી પુરાણી” તાકાત છે. તમે જ્યારે હિંમતપૂર્વક, દૃઢ નિશ્ચયથી અને સ્પષ્ટ પૂર્વયોજિત યોજનાથી તેનો ઉપયોગ કરશો, ત્યારે તમારા ધ્યેયને તાત્કાલિક સિદ્ધિ ન મળે તો પણ તમે મોટે ભાગે સફળ થશો એટલું જ નહીં (તાજેતરના અભ્યાસ મુજબ અહિંસક ચળવળની સફળતા બે ગણી વધુ શક્યતા ધરાવે છે) પરંતુ તમે આપણા ભવિષ્યનો જેના પર આધાર છે એવા માનવ સંબંધોનું રૂપાંતર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હશે એ નિશ્ચિત છે.

આ છ સિદ્ધાંતો એ માન્યતા પર રચાયા છે કે આખી જીવસૃષ્ટિ એકબીજા સાથે સંલગ્ન છે, અને તે એક સંપૂર્ણ એકમ છે. જ્યારે આપણને આપણી ખરી જરૂરિયાતોનું ભાન થાય છે ત્યારે અહેસાસ થાય છે કે આપણે કોઈ સાથે પ્રતિસ્પર્ધામાં નથી ઉતરવાનું. માર્ટિન લ્યુથર કિંગે કહેલું તેમ, “હું કદી પણ જેવો છું તેવો ન થઈ શકું જ્યાં સુધી તમે જેવા છો તેવા ન થઇ શકો. અને તમે જેવા હોવા જોઈએ તેવા ન થઈ શકો જ્યાં સુધી હું જેવો હોવો જોઈએ તેવો ન બની શકું.” 

e.mail : 71abuch@gmail.com

Loading

આ ચૂંટણીમાં સહિયારા ભારત અને હિંદુ ભારત વચ્ચે મુકાબલો થવાનો છે

રમેશ ઓઝા|Opinion - Opinion|5 May 2024

રમેશ ઓઝા

આઈડિયા ઓફ ઇન્ડિયા અથવા ભારત વિશેની એક કલ્પના સો-દોઢસો વરસ દરમ્યાન વિકસી હતી અને અત્યાર સુધી લગભગ સર્વમાન્ય લાગતી હતી, પણ અત્યારે તેની સામે પ્રચંડ પડકાર પેદા થયો છે અને દેશમાં યોજાઈ રહેલી સામાન્ય ચૂંટણીમાં તેનું ભવિષ્ય નક્કી થવાનું છે. શું છે આ આઈડિયા ઓફ ઇન્ડિયા? હું મારી સમજ મુજબ આનો એક જ વાક્યમાં જવાબ આપું કે કોઈની ય કોઈના ઉપર સરસાઈ વિનાનું ભારત. દેખીતી રીતે આવા ભારતમાં નાગરિક સ્વાતંત્ર્ય, માનવીય આદર, દરેક પ્રકારની સમાનતા, ન્યાય, કાયદાનું રાજ, દરેક ધર્મ માટે આદર, મૂલ્યનિષ્ઠા, વિજ્ઞાનનિષ્ઠા, બંધારણીય મૂલ્યોનો આદર વગેરે હોવાનાં. આ બધાં ગુણો ભારતીય સમાજ ધરાવતો હતો એવું નથી, પણ એ જીવનમાં ઉતારવાનો ઉદ્દેશ હતો. ભારતની આવી કલ્પના કરનારાઓએ એ પણ જોયું કે સદીઓથી સામાજિક, ધાર્મિક અને રાજકીય (ખરું પૂછો તો શાસકીય) સરસાઈનો આપણે (અને આખું જગત) અનુભવ કરતા આવ્યા છીએ અને તેમાં શીખવા એ મળ્યું છે કે એ દ્વારા કોઈનું ય ભલું થયું નથી.

સરસાઈ બે રીતે મળી શકે. એક સંખ્યા દ્વારા અને બીજી પરંપરાગત અધિકાર દ્વારા. જેમ કે બ્રાહ્મણોની દેશમાં સાડા ત્રણ ટકાની વસ્તી છે, પણ તે હિંદુ સમાજ ઉપર આધિપત્ય ધરાવે છે. આમાં સંખ્યા ગૌણ છે. એમ તો જો કોઈ સમાજના લોકો સત્તા ધરાવતા હોય તો એ સમાજના લોકો પણ તેટલો સમય ચડિયાતાપણાનો અનુભવ કરતા હોય છે, પણ એ પરપ્રકાશિત હોય છે. સત્તાનો સૂર્ય ડૂબ્યો નહીં કે સાન ઠેકાણે આવી નહીં. સંખ્યા અને અધિકારજન્ય આધિપત્ય લાંબા સમયનું આધિપત્ય છે અને તેની સામે લાંબી લડત આપવી પડે છે. અત્યાર સુધી આપણે આપી પણ ખરી, પણ એ પછી પણ તેનો પરાજય થયો નથી અને અત્યારે તો આઈડિયા ઓફ ઇંડિયા સામેનો પડકાર જોતા એમ લાગે છે કે કદાચ આપણી કલ્પનાના ભારતનો પરાજય પણ થાય! સંખ્યા અને અધિકારજન્ય આધિપત્ય વચ્ચે ધરી રચાઈ છે.

ભારત વિશેની કલ્પનાએ જ્યારે આકાર લેવાનું શરૂ કર્યું ત્યારે તેને આકાર આપનારાઓને લાગ્યું કે કોઈના પણ ચડિયાતાપણાને સ્વીકારવામાં જોખમ છે. ભારતનો અને જગતનો ઇતિહાસ એમ કહે છે કે આમાં આધિપત્ય સ્વીકારનારાઓનું અથવા તાબે થયેલી પ્રજાનું તો ભલું થયું નથી, આધિપત્ય જમાવનાર અથવા તાબે કરનારાઓનું પણ ભલું થયું નથી. ભારતમાં મુસ્લિમ શાસનનો ઇતિહાસ તપાસીએ. કેટલાક હિંદુઓને એમ લાગે છે કે મુસલમાનોનું શાસન પક્ષપાતી હતું, એમાં મુસલમાનોને અધિક માપ આપવામાં આવતું હતું અને હિંદુઓને હાન્સિયામાં રાખીને અન્યાય કરવામાં આવતો હતો. ઘડીભર આ વાત સ્વીકારી લઈએ તો ભારતીય ઉપખંડના મુસલમાન પ્રત્યેક સામાજિક-રાજકીય માપદંડોમાં અગ્રેસર હોવા જોઈતા હતા, પણ જોવા એનાથી ઊલટું મળે છે. કેટલાક મુસલમાનો (આખે આખી મુસ્લિમ કોમ) તો હિંદુઓની પછાત કોમ કરતાં પણ પછાત છે. બીજી બાજુ પારસીઓને કોઈ ઝૂકતું માપ મળ્યું નથી, સંખ્યા મામૂલી છે અને છતાં ય તેઓ દરેક મોરચે અગ્રેસર છે. સત્તા અને સંખ્યાની સરસાઈ વિકાસ, સુખાકારી કે સમૃદ્ધિની કોઈ ગેરંટી આપતાં નથી. પાકિસ્તાનમાં સામાન્ય મુસલમાનો સુખી છે? બંગલાદેશમાં સુખી છે? ઇસ્લામિક દેશોમાં મુસલમાનો કઈ બાબતે અગ્રેસર છે? કેટલા નોબેલ પારિતોષિક મુસ્લિમોની સરસાઈ ધરાવતા મુસ્લિમ દેશોનાં મુસલમાનોને મળ્યાં છે?

માટે ભારતની કલ્પના કરનારાઓને એમ લાગ્યું હતું કે ચડિયાતાપણાને રવાડે ચડવા જેવું નથી. સંખ્યા કે સત્તા સુખ અને સમૃદ્ધિની કોઈ ગેરંટી આપતાં નથી, ઊલટું નુકસાન પહોંચાડે છે. તે માથાભારેપણાનો કેફ ચડાવે છે અને પ્રજા દાદાગીરી કરીને પોતાની તાકાત દેખાડવા મૂલ્યવાન જીવન વેડફે છે. આઝાદી પહેલાં કાઠિયાવાડમાં આ જોવા મળતું હતું. માથાભરેપણું એ સંખ્યા અને સંખ્યાજન્ય સત્તાનું અવિભાજ્ય લક્ષણ છે. આજકાલ આ જ જોવા મળી રહ્યું છે. પણ કેટલાક લોકોને એમ લાગે છે કે હિંદુઓને તેમની સરસાઈ કે ચડિયાતાપણું બતાવવાનો મોકો મળ્યો છે તો એનો ઉપયોગ શા માટે ન કરવામાં આવે? બીજાએ કર્યું તો આપણે કેમ ન કરીએ? એક હજાર વરસ સુધી આપણને (હિંદુઓને) સતાવવામાં આવ્યા તો આજે જ્યારે મોકો મળ્યો છે તો આપણે પણ તેમને તેમની જગ્યા બતાવી આપવી જોઈએ. આવી માનસિક વૃત્તિ અને રાજકીય વલણ દેશહિતમાં તો નથી જ હિંદુહિતમાં પણ નથી. પેશ્વાઓની સરસાઈ હતી ત્યારે હિંદુઓને શું મળ્યું? અનેક હિંદુ રાજવીઓની જે તે પ્રદેશોમાં સત્તા હતી, તપાસ કરી જુઓ હિંદુ રિયાસતોમાં હિંદુઓને શું મળ્યું? અરાજકતા સિવાય કોઈને કશું મળ્યું નહોતું અને અરાજકતાનો શિકાર સૌથી વધુ હિંદુઓ થયા હતા.

સુખ અને સમૃદ્ધિનો માર્ગ ઉદ્યમનો છે. દૂર અને વિશાળ દૃષ્ટિ, ભાવનાની જગ્યાએ બુદ્ધિપૂર્વક વિચારવાની આવડત, ધીરજ, સ્વસ્થતા, સૌને સાથે રાખીને ચાલવાની આવડત, તકને પારખવાની શક્તિ વગેરે ગુણો સુખ અને સમૃદ્ધિ આપે છે. રાજા આપણો છે કે સરકાર આપણા લોકોની છે એટલે સફળતા નથી મળી જતી. ઇતિહાસમાં આવું એક ઉદાહરણ બતાવો. આમ જે લોકોમાં વિચારવાની આવડત હતી અને જે લોકોને “આપણે” અને “બીજા”ને નામે સમાજમાં વિખવાદ પેદા કરીને રાજકારણ નહોતું કરવું એવા લોકોએ સહિયારા ભારતની કલ્પના વિકસાવી અને લોકો સુધી પહોંચાડી. ભારતની પ્રજાને કહેવામાં આવ્યું કે સુખ અને સમૃદ્ધિ સંખ્યાના બળમાં કે સત્તાના બળમાં નથી, સહયોગ અને વિજ્ઞાનનિષ્ઠામાં છે.

અને આવું વિચારનારા અને લોકો સુધી આ વાત પહોંચાડનારા કોણ હતા? ૯૯ ટકા હિંદુઓ. એ વાતમાં કોઈ શંકા નથી કે ભારતની કલ્પના મુખ્યત્વે હિંદુઓએ વિકસાવી છે. ભારતનું બંધારણ ઘડનારા લોકોમાં ૯૦ ટકા હિંદુઓ હતા. શું એ હિંદુઓ હિંદુઓના દુ:શ્મન હતા? સરદાર વલ્લભભાઇ પટેલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ડૉ. આંબેડકર, કનૈયાલાલ મુનશી દેશદ્રોહી હતા અથવા ઓછી બુદ્ધિ ધરાવતા હતા? ભારતમાં હિંદુઓની મોટી સંખ્યા હોવા છતાં અને તેઓ પોતે હિંદુ હોવા છતાં અને વળી હિંદુ હોવાનો ગર્વ લેતા હોવા છતાં હિંદુઓના ચડિયાતાપણાનો મોહ તેમણે સેવ્યો નહોતો. તેમનો ઈરાદો બહુમતી કોમને સંખ્યાભાન કરાવીને સત્તા પર કબજો કરવાનો નહોતો, પણ દેશની સમગ્ર પ્રજાનાં કલ્યાણ કરવાનો હતો.

અત્યારે યોજાઈ રહેલી ચૂંટણીમાં સહિયારા ભારત અને હિંદુ ભારત વચ્ચે મુકાબલો થવાનો છે. અને તેની સાથે પ્રજાના વિવેકની પણ કસોટી થવાની છે. જોઈએ શું થાય છે! સંસારચક્ર છે તેમાં સંકટ આવતાં જ રહેતાં હોય છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 05 મે 2024

Loading

ચૂંટણી 2024: પરિણામ આવતા પહેલા સ્વીકારી લેવામાં ખરી નિષ્ફળતા મતદાતાઓની છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|5 May 2024

  મતદાતાઓના ઉત્સવમાં ઉત્સાહ ઘટી રહ્યો છે, લોકશાહી સંકોરાઇ રહી છે કારણ કે જેનું પરિણામ ખબર હોય એ મેચમાં કોઇને રસ નથી હોતો.

ચિરંતના ભટ્ટ

જ્યારે પણ કોઇ સ્પર્ધા યોજાય, એ દોડની હોય કે પછી ચિત્રની હોય કે પછી સંગીતની હોય કે આપણને બધાને ટી.વી. સામે ખોડી રાખતી ક્રિકેટ મેચ હોય – એની ખરી મજા ત્યારે આવે જ્યારે તેનાં પરિણામની આતુરતા હોય. કોઇ સ્પર્ધા, તંદુરસ્ત એટલે ‘હેલ્ધી કોમ્પિટિશન’ ત્યારે કહેવાય જ્યારે રસાકસીનો જંગ જામે, કોણ જીતશે, સામેના પ્રતિસ્પર્ધીને કોણ કેવી રીતે માત આપે છે, તેની વ્યૂહરચના શું છે એવા વિચારોનું મંથન સતત ચાલતું રહે. ચૂંટણી પણ આવી જ એક સ્પર્ધા છે, એક એવી મેચ છે જેનાં પરિણામમાં રાષ્ટ્રનાં કરોડો નાગરિકોનું ભવિષ્ય રહેલું છે. કમનસીબે કહો કે સદ્નસીબે કહો, આપણને આ સ્પર્ધામાં જાત-ભાતના ખેલ જોવા મળે છે. કાવા-દાવા, આક્ષેપો, દળ-બદલુઓનું ચલક-ચલાણું પેલે ઘેર ભાણુંની રમત વગેરે વગેરે. આટલો બધો રસાકસી ભર્યો જંગ થવાનો હોય, દેશનું સુકાન કોના હાથમાં જશે એ નક્કી થવાનું હોય એટલે સ્વાભાવિક છે કે તેનાં પરિણામો અંગેની ઉત્સુકતા જબરદસ્ત હોય અને હોવી જ જોઇએ કારણ કે મજાની વાત એ છે કે આ ખેલના દર્શકોને કારણે ખેલનું પરિણામ બદલાઈ જવાની પૂરી શક્યતા રહે છે. મતદાતાઓ – આ ખેલના દર્શકોના હાથમાં જ આ રમતનું સૌથી મોટું શસ્ત્ર રહેલું છે. મતદાન એ કર્તવ્યનિષ્ઠ નાગરિકોનું શસ્ત્ર તો છે જ પણ લોકશાહીની ગાડીને પાટે રાખનારું સૌથી મોટું પરિબળ છે.

આટલી લાંબી કથા કરવા પાછળનો ખરો આશય તો એ સવાલ કરવાનો છે કે શું તમને લાગે છે કે 2024ની ચૂંટણીમાં આવી ‘હેલ્ધી’ સ્પર્ધા છે? ‘આયેગા તો મોદી હી …’ વાળું રટણ જાણે ચૂંટણીના રસાકસીના ખેલનો રસ ચુસીને એવો ઘોંઘાટ કરે છે કે હવે માથમાં વાગે છે. મોદી સરકાર આવે,  ન આવે, 400 બેઠકો સાથે ન આવે – કંઇ પણ થઇ શકે છે, મુદ્દો એ છે કે ચૂંટણીનો માહોલ એક તરફી બની ગયો છે, બનાવી દેવાયો છે અને એટલે જ બૂમ-બરાડા પાડતા કે ચર્ચામાં ઉગ્ર થઇ જનારા લોકો ભલે કોઇની પણ તરફેણમાં હોય પણ કોઇને પણ ચૂંટણની પ્રક્રિયામાં પહેલા જેટલો રસ રહ્યો નથી. હવે સુરતની જ વાત કરીએ તો 7મી મેએ ત્યાં મતદાનની તારીખ છે પણ શહેરને તો વગર ચૂંટણીએ સાંસદ મળી ગયા છે. બિનહરીફ ચૂંટાયેલા ભા.જ.પા.ના મૂકેશ દલાલ મત ગણતરીના છ અઠવાડિયા પહેલા 2024ની ચૂંટણીના સૌથી પહેલા વિજેતા જાહેર કરાઇ દેવાયા છે. કાઁગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને સુરેશ પડસાલાના મામલે જે થયું એ જગ જાહેર છે. ગાયબ, હાજર, રદ્દ જેવા શબ્દોથી આ કિસ્સાઓ વણાયા છે. સુરતના નવ ઉમેદવારોમાંથી આઠ જણાએ પોતાના નામ પાછા ખેંચી લીધા અને ભા.જ.પા.ને બગાસું ખાતા પતાસું આવ્યું.  હવે આ મામલે વિગતોનું પિષ્ટપેષણ નથી કરવું પણ સવાલ એમ થાય કે માળું મેચ રમાય એ પહેલાં વિજેતા ટીમ જાહેર થઇ જાય તો પછી આખા ખેલની પ્રક્રિયા કેટલી નકામી થઇ પડે. વળી આમાં સાચું નુકસાન હારેલી કે જીતેલી ટીમનું નથી પણ જે લોકો મેચની ટિકિટ લઇને બેઠા હતા એમનું છે એટલે કે નાગરિકોનું – આવામાં મતદાતાઓનું મહત્ત્વ શું અને કેટલું? વળી રમ્યા વગર જીતની ખુશી મનાવવાની ચૂંટણીના ઉમેદવારને પણ કેટલી મજા આવશે?

લોકશાહી રાષ્ટ્રમાં ચૂંટણીની મહત્તા ઘટતી દેખાય એનાથી મોટી ખતરાની ઘંટી બીજી કોઇ હોઇ જ ન શકે. વળી છેલ્લાં કેટલાંક વર્ષોમાં એવું પણ થયું છે કે લોકોએ મત આપીને ચૂંટેલી સરકાર હોવા છતાં ય સરકારો તોડી પાડવામાં આવી હોય. આ વર્ષની શરૂઆતમાં જ આપણે જોયુ કે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં મતદાન અધિકારીએ હરીફ ઉમેદવારના મત ભા.જ.પા.ના ઉમેદવાર માટે ચોર્યા હતા. કેજરીવાલ પણ જેલમાં બેઠા છે. આ પહેલાં આપણે પહેલાં પણ વાત કરી હતી કે ભા.જ.પા. વિરોધ પક્ષ ટકે જ નહીં એવી રીતે કામ કરે છે.

ઇંદિરા ગાંધી પણ માથા ભારે નેતા હતાં અને સરમુખત્યાર અભિગમ ધરાવતાં હતાં પણ તેમની સામે લડત આપનારા પ્રતિસ્પર્ધીઓ મજબૂત હતા, તેમને ખોખલા કરવા માટે રાજકારણીઓ છેલ્લે પાટલે જઇને નહોતા બેઠાં. મતદાન કેટલું થશે, મતોનો ઝૂકાવ જોવાની આતુરતા – ચૂંટણી વખતે એક અલગ પ્રકારની તાણ સર્જાતી. હવે તો સત્તા પક્ષે પોતાની જીત થવાની જ છે એમ ધારી લીધું છે. મોદીએ દક્ષિણમાં પોતાનો સિક્કો જમાવવા મહેનત કરી જ છે, એ કોઇ નકારતું નથી પણ માળું જેનું પરિણામ ખબર છે એ મેચની કોઇ ટિકિટ શું કામ લે? લોકો પોતાના મતને હળવાશથી લઇ રહ્યા છે એમ લાગે છે. વળી મતદાનની પ્રક્રિયાના પ્રશ્નો પણ છે. કોઇનું યાદીમાં નામ છે તો ફોટો કોઇ બીજાનો છે, કોઇનું નામ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કરાવવાનું આવે તો ધીરજની કસોટી લેવાઇ જાય, યાદીમાં નામ હોવા છતાં મત આપવા જાય તો એ નામે મત અપાઇ ગયો હોવાનું પણ ગઇ ચૂંટણીમાં બન્યુ જ છે. ઇ.વી.એમ.ને લઇને નવા સવાલો છે. આ બધા ગુંચવાડાઓની વચ્ચે માળા બિનહરીફ ચૂંટાયેલા સાંસદ છે. આ નિશાની છે કે ધીરે ધીરે ચૂંટણીનું મહત્ત્વ ઓછું થઇ રહ્યું છે. I.N.D.I.A. ગઠબંધનમાં ભેગાં થયેલા પક્ષ જ્યારે એમ દાવો કરે કે તેમને ડર છે કે 2024ની ચૂંટણી કદાચ ભારતની છેલ્લી ચૂંટણી હશે ત્યારે તેમની ઠેકડી ઉડાડવાને બદલે એકવાર તો આ વાત પર ગંભીરતાથી વિચાર કરવો જ જોઇએ.

માળું આ રશિયા જેવું ન થવું જોઇએ. દર વર્ષે ચૂંટણી થાય ખરી પણ પુતિનની જીત નક્કી જ હોય. મોટા ભાગના વિપક્ષી નેતાઓ ત્યાં કાં તો જેલમાં છે કાં તો તેમને દેશ નિકાલ કરવામા આવ્યા છે, કોઇની પર ચૂંટણી લડવાનો પ્રતિબંધ મુકાયો છે તો કોઇ ઉમેદવારનું તો મૃત્યુ જ થઇ ચૂક્યું છે. તાજેતરમાં રશિયાની ચૂંટણીમાં પુતિન 87 ટકા મત મેળીને જીત્યા અને પુતિનના સૌથી આકરા ટીકાકાર એલેક્સી નવલ્ની રહસ્યમય સંજોગોમાં જેલમાં મૃત્યુ પામ્યા.

એક તરફ રશિયામાં પુતિને પોતાની જાતને કાયમી પ્રમુખ જાહેર કરી દીધા છે બીજી તરફ 2024ની ચૂંટણી હજી પતી નથી અને સભાઓમાં નરેન્દ્ર મોદીએ 2047ની વાત કરવાની શરૂ કરી દીધી છે. ભા.જ.પા.ની નારેબાજી, પ્રચાર સામગ્રી બધામાં એક જ વ્યક્તિ કેન્દ્રમાં છે. મોદીના ટેકેદારો કે સમર્થકો પોતાની જાતને ગર્વથી ભક્ત ગણાવે છે. વ્યક્તિ પૂજાથી ચાલતા રાજકારણમાં લોકશાહી નથી બચતી. જો કે મારા મતે આ માટે મોદીનો વાંક કાઢવાને બદલે એ લોકોનો વાંક કાઢવો જોઇએ જે સત્તા પર બેસનારાઓને સવાલ કરવાનું છોડી દે છે. જે પોતાના મતાધિકાર, પોતાની લોકશાહીને હથેળીમાંથી રેતીની માફક સરકવા દે છે. કોઇ આટલું મોટું માથું બન્યું છે કારણ કે આપણે આવું થવા દીધું છે. આપણે આપણા રાજકારણીઓને, આપણા સત્તાધીશોની ચૂંટીએ છીએ એ ભૂલી જઇને ‘વાંસળીવાળો’ વાર્તામાં જેમ હતું એમ જે ધૂન સંભળાય છે એને સ્વીકારી લઇએ છીએ અને તેની પાછળ ચાલવા માંડીએ છીએ. ભૂલ આપણી છે પણ એ સમજવા માટે આંખ ખુલવાને હજી કેટલી હદે લોકશાહીનું પતન જોવું પડશે એ એક મોટો સવાલ છે. આમ થવા પાછળ ભા.જ.પા. કે નરેન્દ્ર મોદી કરતાં કંઇક ગણો વધારે વાંક આપણો, મતદાતાઓનો છે. આપણે ઘણું બધું ચલાવી લીધું છે, ચલાવી લઇએ છીએ, સવાલ કરવાની જરૂર નથી લાગતી.

લોકશાહીને માત્ર ચૂંટણી સાથે લાગેવળગે છે એમ નથી. લોકશાહીનું મૂલ્ય છે કારણ કે એ એકમાત્ર એવી સરકાર રચે છે જે સ્વતંત્રતા, સમાનતા અને ન્યાયની ખાતરી આપી શકે છે. આ ત્રણ પાસાં ત્યારે જ સમાજમાં સ્થપાઇ શકે જ્યારે સત્તા પર પણ મર્યાદાઓ લદાઇ હોય. લોકોનું શાસન બંધારણ થકી થતું હોય છે, થવું જોઇએ – જેમાં તેમના મૂળભૂત હકો સચવાતા હોય છે. ચૂંટાયેલા નેતાઓને તેમના વહેવાર માટે જવાબદાર ઠેરવવામાં આવે છે – પછી તે સારો હોય કે ખરાબ. કમનસીબે અત્યારે આપણી પાસે આપણા મત સિવાય કશું જ બચ્યું નથી. આપણે નક્કી કરવું પડશે કે ભારતીયોને અગ્રિમતા આપતા સત્તાધીશો ચૂંટવા કે પછી ધ્રુવીકરણના રાજકારણને પસંદ કરતા સત્તાધીશો પસંદ કરવા.

વડા પ્રધાને મુસલમાનો વિશે જે પણ કંઇ સભામાં કહ્યું એ કોઇ પણ રાષ્ટ્રના પ્રમુખને શોભે એવું નહોતું જ. બીજી બાજુ વિદેશમાં તેમને ભારતની લોકશાહીની સ્થિતિ વિશે પુછાય છે ત્યારે તે ભોંઠા પડે છે. કાઁગ્રેસના મુદ્દાઓમાં દમ છે પણ ત્યાં મજબૂત ચહેરો નથી જેની પર લોકો વિશ્વાસ મૂકે. આપણી લોકશાહીની ઓળખ  સમો એક મહત્ત્વનો પ્રસંગ – ઉત્સવ કસ વગરનો, નિરસ થઇ ગયો છે. આપણો વોટ આપણું લોકતાંત્રિક શસ્ત્ર છે. શસ્ત્ર વાપરીએ, સારા ઉમેદવારને જીતાડીએ. એવા પક્ષ કે વ્યક્તિઓને આગળ કરીએ જે  સમાજમાં સમાનતા અને સ્વતંત્રતાને પ્રાધાન્ય આપતા હોય.

બાય ધી વેઃ 

ભા.જ.પા.એ સામે પક્ષે કોઇ બચે એવું કંઇ બહુ રાખ્યું નથી ત્યારે નાગરિકો કરતાં પોતાને ઉચ્ચ ગણતા પક્ષ અને સત્તાધીશોને મતાધિકારની શક્તિ બતાડવી જરૂરી છે. પડકારો ઓછા નથી પણ એનો અર્થ એવો પણ નથી કે પ્રતિકૂળ સંજોગોને વિસ્તરવા દેવાના. મતદાતાઓ પોતાનો મત કોઇને કેમ આપે છે એ એમણે પોતાની જાતને પૂછવાનો વખત આવી ગયો છે. તમારે એવી મેચના હિસ્સા કેમ થવું છે જેનું પરિણામ પહેલેથી જ ફિક્સ હોય. આપણી પાસે આ ખેલ બદલવાની ક્ષમતા છે તો તેનો ઉપયોગ કરવો જ જોઇએ. લોકશાહી તાજ છે, ગજવામાં મુકવાની પાવતી નથી. સત્તાને હાથવગી ગણનારા રાજકારણીઓને એ યાદ કરાવવાનો વખત આવ્યો છે કે તેમની જીતનું કારણ આપણે છીએ, તેમનો અહમ્‌ નહીં. મોંઘવારી, બેરોજગારી, ગરીબી આ પ્રશ્નોના નક્કર ઉકેલ મળવા જરૂરી છે, ધર્મને નામે દેકારા કરીશું તો સમસ્યાઓ નહીં ઉકેલાય – કોઇ વાદથી જવાબો કે ઉકેલ નથી મળતા માત્ર સમયનો વ્યય થાય છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 મે 2024

Loading

...102030...741742743744...750760770...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved