Opinion Magazine
Number of visits: 9665751
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ફીને મામલે કેટલીક સ્કૂલોને માફી જ આપવી પડે એમ છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|5 April 2024

રવીન્દ્ર પારેખ

ગ્રાન્ટેડ સ્કૂલો કે ખાનગી સ્કૂલો ફી વસૂલવામાં ભાગ્યે જ કોઈ સંકોચ અનુભવે છે. ફી વાજબી રાખવાની વાતો ચર્ચાય છે ખરી, પણ ફી ભાગ્યે જ વાજબી હોય છે. ફી ઓછી હોય તો એક યા બીજે બહાને ઉઘરાણી ચાલ્યા જ કરતી હોય છે. આ બધું શિક્ષણને નામે ચાલે છે, પણ હેતુ તો કમાણીનો જ હોય છે. સારી સ્કૂલો હવે અપવાદોમાં હોય તો હોય, બાકી, સ્કૂલ માત્રનો હેતુ નફાકારક ધંધાનો જ છે. કોઈ વેપારી જીવદયામાં માનતો હશે, પણ સ્કૂલો શક્ય તેટલી માનવીય સંવેદનાઓથી પર થઈ ગઈ છે. એની ઉપર પગારદાર તંત્રો હોય છે ખરાં, પણ તે સજીવ કે સક્રિય ભાગ્યે જ હોય છે. તે તો પરિપત્રો કાઢીને અને ડેટા ક્લેક્ટ કરીને જ સંતુષ્ટ છે. તંત્રો આમ તો માણસોથી ચાલે છે, પણ તે યાંત્રિક જ વધુ હોય છે ને એનો લાભ સ્કૂલો ઉઠાવતી હોય છે.

આમ તો નામ દઈને સ્કૂલોની વાત કરવી છે, પણ તે ઉપરાંત બીજી ઘણી સ્કૂલો એવી હશે જ, એટલે આટલી જ સ્કૂલો આવી છે એવું કોઈ ન માને. આવી તો એક કહેતાં અનેક મળી આવે એમ છે. આ વર્ષે બોર્ડની પરીક્ષા વખતે કેટલીક શાળાઓએ ફીને મામલે પરીક્ષાર્થીઓને હૉલ ટિકિટ ન આપી તે વાત જાણીતી છે, એવી જ વાત સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી માઉન્ટ મેરી સ્કૂલની પણ છે. એ સ્કૂલના સંચાલકોએ આ અઠવાડિયે 200 જેટલા વિદ્યાર્થીઓને વાર્ષિક પરીક્ષા આપતા રોક્યા. શિક્ષણ વિભાગના નીતિ નિયમોની ઉપરવટ જઈને આ પગલું લેવામાં આવ્યું. કારણ કોઈ પણ હોય, પણ શાળા વિદ્યાર્થીઓને પરીક્ષા આપતા રોકે એ અક્ષમ્ય છે. જુદા જુદા વર્ગના 200 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષા એટલે ન આપવા દેવાઈ, કારણ તેમના વાલીઓએ ફી ભરી ન હતી. ફી ભરાઈ ન હતી એટલે શાળાના સંચાલકોએ પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડની બહાર જ રોકી દીધા. 8 વાગ્યે પરીક્ષા શરૂ થઈ, પણ નવ વાગ્યા સુધી વિદ્યાર્થીઓને દાખલ થવા દેવાયા નહીં ને એમ એમનું ભવિષ્ય દાવ પર લાગ્યું.

કોઇ વિદ્યાર્થીની મહિનાની, તો કોઇની ત્રણ મહિનાની ફી બાકી હતી, પરીક્ષા ન આપવા દેવાતા વાલીઓએ સ્કૂલનો સંપર્ક કર્યો તો તેમને કહેવામાં આવ્યું કે ફી નહીં ભરાય ત્યાં સુધી પરીક્ષા આપવા નહીં દેવાય, જોઈએ તો સર્ટિફિકેટ લઈને બીજે જાવ. ગરીબ વાલીઓનાં બાળકો માટે આટલી જ લાગણી સ્કૂલની બચી હતી. વાલીઓ નારાજ થયા, પણ તે સિવાય તેઓ કૈં કરી શકે એમ ન હતા. આ વાત ત્યાંનાં પૂર્વ કોર્પોરેટર સુધી પહોંચી. તેમણે સુરતના જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરી કે ફીને મામલે સ્કૂલના સંચાલકોએ 200થી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષા આપતા અટકાવ્યા છે. વિદ્યાર્થીઓ એથી અપમાનિત થયા છે અને તેમને માનસિક ત્રાસ વેઠવો પડ્યો છે. આ મામલાને ગંભીરતાથી લઈ, જિલ્લા શિક્ષણાધિકારી સંચાલકો સામે પગલાં ભરે એવી માંગણી કરવામાં આવી. જિલ્લા શિક્ષણાધિકારીએ પગલાં લીધાં હશે એમ માનીએ. એવું જાણવા મળ્યું છે કે વિદ્યાર્થીઓને પાછળથી પરીક્ષા આપવા દેવામાં આવી હતી. જો કે, આવા બનાવોથી સ્કૂલ ખાસી ઘડાયેલી છે, એટલે તેને બહુ અસર ન થાય એમ બને.

ગયા જાન્યુઆરીમાં જ માઉન્ટ મેરી સ્કૂલ, ચાલુ ટર્મમાં જ 1,500 વિદ્યાર્થીઓને પડતાં મૂકીને પાંચેક દિવસના ગોવાના પ્રવાસે ઊપડી ગઈ હતી. આ મામલે પણ જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ થઈ હતી ને તેમણે આની તપાસ કરવાનું એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને સોંપ્યું હતું. એ પછી શું થયું તે નથી ખબર. શું છે કે ફરિયાદો થતી રહે છે, તપાસ પણ સોંપાતી રહે છે, પણ પછી શું થાય છે તે વાત બહાર આવતી નથી, એ સ્થિતિમાં આ બધું ઔપચારિક જ બની રહે છે. વાત એટલી જ નથી, કોરોનામાં શહેરમાં સ્કૂલો બે અઠવાડિયા સુધી બંધ રાખવાનું ફરમાન હતું, ત્યારે માર્ચ, 2020માં માઉન્ટ મેરી સ્કૂલ ચાલુ હતી. રાજ્ય સરકારનો શાળા, કોલેજો બંધ રાખવાનો સ્પષ્ટ આદેશ હતો, તેની અવગણના કરીને આ સ્કૂલ ચાલુ રહી હતી. વાલીઓએ પણ શાળા બંધ રાખવાની રજૂઆત કરી હતી, પણ સ્કૂલ ચાલુ રહેતાં વાલીઓ, બાળકો પરનું જોખમ જોઈને ચિંતામાં મુકાઇ ગયા હતા. કહેવાનું એ છે કે આ સ્કૂલ ચર્ચામાં રહી છે ને આદેશોનું પાલન ન થઈ જાય એની ફિકરમાં હોય એમ બને.

ફી વસૂલવાની જેટલી કાળજી સ્કૂલો રાખે છે, એટલી વિદ્યાર્થીઓની પણ રખાય તો ગમે. વિચાર તો એવો પણ આવે છે કે વધારાનો ટેક્સ નાખીને પણ, પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક સુધીનું સમગ્ર શિક્ષણ તમામ સ્તરે સરકારે મફત કરી દેવું જોઈએ, જેથી ખાનગી, સરકારી જેવા ભેદ જ ન રહે ને સૌને સમાન સ્તરે શિક્ષણ મળે, પણ કદાચ સરકાર જ ઈચ્છે છે કે સરકારી, ખાનગી જેવા ભેદ રહે. એવું ન હોય તો આ મુદ્દે ગંભીરતાથી વિચારવા જેવું છે.

આમ તો ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’નું કીર્તન વારંવાર થતું રહે છે, પણ વ્યવહારમાં તે ઓછું જ ખપમાં લેવાય છે. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં વિજયનગર ગ્રાન્ટેડ સ્કૂલ આવેલી છે. તેને માટેની ફરિયાદ જિલ્લા શિક્ષણાધિકારી સુધી ગઈ છે. ફરિયાદ એ માટે થઈ છે કે સ્કૂલે વિદ્યાર્થિનીઓ પાસેથી પણ ફી વસૂલી છે. રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં વિદ્યાર્થિનીઓ પાસેથી સ્કૂલ ફી કે બોર્ડની પરીક્ષા ફી વસૂલવાની હોતી નથી. સરકાર દ્વારા જ જે તે વિદ્યાર્થિનીની ફી જે તે સ્કૂલોને ચૂકવાતી હોય છે. આ નિયમ છતાં, વિજયનગર સ્કૂલ દ્વારા વિદ્યાર્થિની દીઠ ફી પેટે હજાર રૂપિયા વસૂલવામાં આવ્યા. આ મામલે વાલી મંડળ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરવામાં આવી. ફરિયાદને આધારે સંબંધિત કચેરી દ્વારા તપાસ થઈ, તો વિદ્યાર્થિનીઓ પાસેથી ફી વસૂલાઈ હોવાનું પુરવાર થયું. કચેરી દ્વારા એ ફી પરત કરવાની તાકીદ કરવામાં આવી. સ્કૂલે ફી પરત કરવાની ખાતરી તો આપી છે, પણ સવાલોનો સવાલ એ છે કે આમ ફી વસૂલાય જ કેવી રીતે, જ્યાં સરકારી નિયમ મુજબ ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થિનીઓ પાસેથી ફી વસૂલવાની જ નથી? ફરિયાદ થઈ તો ફી પરત કરવા સુધી વાત આવી. બને કે આ રીતે અગાઉ પણ ફી વસૂલાઈ હોય. જો અગાઉ ફી વસૂલાઈ હોય તો તેની તપાસ પણ થવી જોઈએ ને તેનો નિર્ણય પણ તાકીદે થવો જોઈએ. જો અગાઉ ફી ન વસૂલાઈ હોય તો આ વખતે જ કેમ વસૂલાઈ તેનો ખુલાસો થવો જોઈએ. એવું તો નથી થયું ને કે વિદ્યાર્થિનીઓ પાસેથી ફી વસૂલાઈ હોય ને સરકારે ચૂકવેલી ફી પણ ગજવે ઘલાઈ હોય? એ અત્યંત દુ:ખદ છે કે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા થતી તપાસ અને તે અંગેનો તેમનો નિર્ણય જવાબદારોને પાઠ ભણાવવાનો હોતો નથી. આ કિસ્સામાં કચેરીએ સાબિત કર્યું કે વિદ્યાર્થિનીઓ પાસેથી ફી વસૂલાઈ છે, તો તે પરત કરવાની તાકીદ કરીને કચેરીએ સંતોષ માની લીધો. જેમણે અનધિકૃત રીતે ફી વસૂલી છે, એ જવાબદારો અંગે કચેરીએ કૈં કહેવાનું નથી? યાદ રહે કે સરકાર પાસેથી ફી આવે છે એ જાણવા છતાં આ ફી વસૂલાઈ છે. આ કૃત્ય અજાણતાં કે ભોળપણથી થયું નથી, તો આવું કરનારને એમ જ છોડી કેવી રીતે દેવાય? આવું અન્ય શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં નહીં જ થતું હોય એમ માનવાને કારણ નથી. એ બધે તળિયાઝાટક તપાસ થવી જ જોઈએ અને જવાબદારો સામે શિક્ષાત્મક પગલાં પણ લેવાવાં જોઈએ.

એમ લાગે છે કે આખું શૈક્ષણિક તંત્ર ગમે ત્યાંથી વધુને વધુ કમાણી કેમ થાય એની યોજનાઓમાંથી જ ઊંચું નથી આવતું. એમાં શિક્ષણ તો હવે છેલ્લે પણ નથી રહ્યું. હાલ તો વાલીઓ પાસેથી અનેક બહાને પૈસા ખંખેરીને સ્કૂલો સક્રિય છે, શિક્ષકો કામચલાઉ ધોરણે રહીને કે ભણાવીને, ઈતર પ્રવૃત્તિઓથી પીડિત છે, વિદ્યાર્થીઓ કૈં પણ ન કરે તો પણ પાસ થાય એવી વ્યવસ્થાનો શિકાર છે ને આખું શિક્ષણ તંત્ર વિદ્યાર્થીને કોઈ પણ ભોગે પાસ કરીને ખદેડવાની ફિરાકમાં છે, ત્યાં ભણવું-ભણાવવું મરવાને વાંકે જ જીવતું હોય તેમાં નવાઈ નથી …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 એપ્રિલ 2024

Loading

સાવધાન ઈ.ડી., સાવધાન આઈ.ટી. સમજો, તમે ચૂંટણીખેલાડી નથી 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|4 April 2024

ચાલુ ચૂંટણી જંગે

પૂર્વ ચૂંટણી કમિશનર એસ.વાય. કુરેશીએ સંબંધિત સૌને એમનો ધર્મ સંભારી આપ્યો છે કે, અમ્પાયર અણી ટાંકણે મૌન રહી શકે નહીં : અસમાન સ્પર્ધામાં તંત્ર ભાગીદાર બની શકે નહીં.

પ્રકાશ ન. શાહ

આપ સાંસદ સંજય સિંહનું દિલ્હી સરકારની એક્સાઈઝ નીતિના વિવાદી મુદ્દા વચ્ચે જામીન પર છૂટવું એ આ દિવસોમાં એક કરતાં વધુ રીતે ધ્યાનપાત્ર બની રહેશે. ધ્યાનપાત્ર જ માત્ર નહીં, કંઈક આશ્વસ્તકારી પણ. 

વાત એમ છે કે આઈ.ટી. અને ઇ.ડી. – આયકર અને પ્રવર્તન – તંત્રો ચૂંટણીના દિવસોમાં અગર તો રાજકીય પક્ષો વચ્ચેની સ્પર્ધાના માહોલમાં કોઈક એવે છેડેથી કામ લે છે જેમાં સત્તાપક્ષ તરફે વિપક્ષ ભીંસ અને ધોંસનો અનુભવ કરે. દેખીતી રીતે જ, આચારસંહિતાનો આરંભ થઈ ગયો હોય અને ચૂંટણીના ઘડિયા ગણાતા હોય એ સંજોગોમાં નાણાંસ્રોત બાબતે વિપક્ષ મૂંઝવણમાં મુકાઈ જાય તે ચૂંટણી માટેની સમાન તકના મુદ્દે બંધારણીય નૈતિકતાનો ને લોકશાહીનાં સામાન્ય ધારાધોરણોનો ચોખ્ખો ભંગ છે, અને આખી ચૂંટણી પ્રક્રિયાને તે પસંદગીની તકને બદલે લગભગ એકતરફી બનાવી મૂકે છે.

સંજય સિંહને જામીન મળ્યા, સર્વોચ્ચ અદાલતની સીધી પૃચ્છાના ઉત્તરમાં પ્રવર્તન નિર્દેશાલયે વાંધો ન લીધો (વાંધો ન લઈ શક્યું), એનો અર્થ ખાસ તાણ્યાતૂણ્યા વગર એટલો તો થઈ જ શકે કે પ્રતીકાત્મક રીતે માનો કે કોઈ કેસ બનતો હોય તોપણ એની કશી તાત્કાલિકતા નથી. પૂરા કદના કેસથી વિશેષ તો એ એક અવરોધ કારવાઈ છે જેમાં આયકર કે પ્રવર્તન તંત્રો શાસન ને સત્તાપક્ષનાં દોરવ્યાં દોરાતાં હોઈ શકે.

શાસન ને સત્તાપક્ષ આવી ઘોર પક્ષિલ ને બિનલોકશાહી ચેષ્ટા કરે છે એ કોઈ હવાઈ અનુમાન નથી. 2014થી આજ સુધી રાષ્ટ્રીય કે પ્રાદેશિક સ્તરે આવા કિસ્સાઓનો એક તપાસ હેવાલ આ દિવસોમાં આપણી સામે આવ્યો છે તે પ્રમાણે વિપક્ષનાં પચીસેક મોટાં માથાં, એમના પર ભ્રષ્ટાચારના આક્ષેપોની ખરીખોટી ભીંસ વચ્ચે સત્તાપક્ષમાં જોડાઈ ગયા છે, અને એમનાં પૈકી તેવીસ પરના સઘળા આક્ષેપો હાલ બાષ્પીભૂત માલૂમ પડે છે – બલકે, પંચમહાભૂતમાં ભળી ગયા છે.

સંજય સિંહના કેસનો ઉલ્લેખ આરંભે કર્યો પણ પરિસ્થિતિની ગંભીરતા એ વિગત પરથી સમજાય છે કે દેશના બે મુખ્ય મંત્રીઓ (કેજરીવાલ – ચાલુ હેમંત સૌરેન – હમણાં લગીના) સામી ચૂંટણીએ જેલબંધ છે. મુખ્ય વિપક્ષ (કાઁગ્રેસ) પર જૂની જંગી વસૂલીથી માંડી ખાતાંરૂંધ(એકાઉન્ટ્સ ફ્રિઝ)નો કોરડો વિંઝાયેલ છે. પૂર્વ ચૂંટણી કમિશનર એસ.વાય. કુરેશી સહિત પોતાનું નામ નહીં આપતા બીજા બે પૂર્વ ચૂંટણી કમિશનરોએ સાફ શબ્દોમાં કહ્યું છે કે ઇરાદાપૂર્વકની અસમાન સ્પર્ધા વચ્ચે અમ્પાયર (ચૂંટણીપંચ) મૌન રહી શકે નહીં.

શેષનનું હોવું તો માનો કે એક વિલક્ષણ વાત હતી, પણ 2009 અને 2019ના ચૂંટણીક્રમમાં આચારસંહિતાના પ્રવર્તન ને ચૂંટણી ઝુંબેશ દરમિયાન એવું બન્યું છે કે ચૂંટણીપંચ દરમિયાન થયું હોય. કહ્યું ને અમ્પાયર મૌન રહી શકે નહીં. આઈ.ટી. કે એન્ફોર્સમેન્ટ પ્રકારની ઇરાદાપૂર્વકની તવાઈ બાબતે કુરેશીએ પંચે લક્ષમાં રાખવા જોગ સાદો સિદ્ધાંત પણ બોલી બતાવ્યો છે કે જે નિર્ણયો વાટ જોઈ શકતા હોય તેને વાટ જોતાં રાખી શકાય છે.

અલબત્ત, કબૂલવું જોઈએ કે નાગરિક છેડેથી વિચારતાં આપણી એ એક ચિરવિમાસણ રહી છે કે ચોખ્ખાઈની રીતે સત્તાપક્ષ ને વિપક્ષ વચ્ચે પસંદગી ક્યાં છે. પણ ‘ડેવિલ એન્ડ ડીપ સી’ના વિતંડામાં ગયા વગર આવે વખતે નહીં ગમતે છતે પણ એક વિવેક કરવો અનિવાર્ય બની રહે છે. સત્તાપક્ષ જ્યારે રીતસરની રાજકીય લૉન્ડ્રીનું અગર ધાકધમકી અને પ્રલોભનનું રાજકારણ ખુલ્લા ખેલ ફરુખાબાદીની તરજ પર રમતો હોય ત્યાર વિપક્ષ પરત્વે આપણા શુદ્ધિઆગ્રહને એક હદમાં મ્યાન રાખવો રહે છે. બને કે આ સુખદ પસંદગી ન હોય. પણ સત્તાપક્ષની તાસીર જોતાં વિપક્ષ પરત્વે કંઈક દરગુજર કરવાની અપેક્ષા રહે એમાં કશું અસ્વાભાવિક નથી. ‘નોટા’ પ્રકારનો વિકલ્પ છે એ સાચું, પણ એકલદોકલ નૈતિક ઉદ્રેકનું મૂલ્ય પ્રમાણતે છતે અસરકારક રસ્તો તો સ્પષ્ટ વિરોધમતનો જ વરતાય છે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 04 ઍપ્રિલ 2024

Loading

ન્યાય તોળનારાનાં ત્રાજવાં અને માપ ન્યાયી છે ખરા ?

રમેશ ઓઝા|Opinion - Opinion|4 April 2024

રમેશ ઓઝા

દેશનાં જાહેરજીવનમાં, ધર્મ અને ધર્મિક જીવનમાં અને વ્યવસાયિક જીવનમાં આટલી બધી નિર્લજ્જતા અને નિર્દયતા કેમ જોવા મળી રહ્યાં છે, અને એ પણ ભારત જેવા દેશમાં? મારા એક મિત્રએ મને આ સવાલ કર્યો હતો અને મને ખાતરી છે કે તમે પણ મનોમન આવો પ્રશ્ન કરતા હશો. બે દાયકા પહેલાં જો કોઈએ આવી કલ્પના પણ કરી હોત તો આપણે કહેત કે આવું પાકિસ્તાન જેવા મજહબમાં અટવાઈ ગયેલા અને પરિણામે નિષ્ફળ નીવડેલા દેશમાં બને અથવા અમેરિકા જેવા ભોગવાદી દેશમાં બને, ભારતમાં આવું ન બને. ભારત મર્યાદાઓમાં માનનારો દેશ છે અને એ રીતની ભારત ખ્યાતિ ધરાવે છે.

ઈ.ડી. અને ઈ.બી.(એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને ઈલેક્ટોરલ બોન્ડ્સ)નાં કારનામાં બહાર આવી રહ્યાં છે. પહેલા શિકાર પસંદ કરવામાં આવે. એ પછી ઇ.ડી. અથવા સી.બી.આઈ. દરોડા પાડે, કેસ દાખલ કરે, ધરપકડ કરે. થોડા દિવસ પછી એ શિકાર ઈલેક્ટોરલ બોન્ડ્સ ખરીદે અને બી.જે.પી.ને આપવામાં આવે. અંતે શિકારને જવા દેવામાં આવે. ધરપકડ કરી હોય તો છોડી મૂકવામાં આવે અને કેસ નબળો પાડવામાં આવે. થોભો, ઈલેક્ટોરલ બોન્ડ્સ ખરીદીને જે માણસ છુટ્યો હોય તેનો પાછો રાજકીય હરીફ સામે ઉપયોગ કરવામાં આવે. છૂટવા માટે તેણે એ પણ કહેવું જરૂરી છે કે તેણે ફલાણા પક્ષની ફલાણી વ્યક્તિને લાંચ આપીને લાભ મેળવ્યો હતો. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા તેમ જ સંજય સિંહ સામેની કારવાઈ આનું ઉદાહરણ છે. માત્ર આ ત્રણ નહીં, બીજા અનેક લોકો આ રમતના શિકાર છે. ઈલેક્ટોરલ બોન્ડ્સ આપીને જે માણસ છૂટે તેનો બીજાને ફસાવવા માટે ઉપયોગ કરવામાં આવે.

મંગળવારે સર્વોચ્ચ અદાલતના એક ખંડમાં આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને જામીન પર છોડવાને લગતો કેસ ચાલતો હતો અને બીજા ખંડમાં બાબા રામદેવ સામે વારંવારની ચેતવણી છતાં લોકોને ગેરમાર્ગે દોરનારી જાહેરખબરનો કેસ ચાલતો હતો. દિનેશ અરોરા નામના એક માણસે ઇ.ડી. સમક્ષ કબૂલ કર્યું હતું કે તેણે દારૂનો ઠેકો મેળવવા બે કરોડ રૂપિયા સંજય સિંહને આપ્યા હતા. આ દિનેશ અરોરા હમણાં કહી એવી રમતનું પ્યાદું છે. મંગળવારની સુનાવણીમાં સંજય સિંહના વકીલ અભિષેક મનુ સિંઘવીએ ત્રણ પ્રશ્ન ઉઠાવ્યા જેને સર્વોચ્ચ અદાલતના જજોએ સ્વીકાર કરીને ઈ.ડી.ના વકીલોને કહ્યું કે આ ત્રણ સવાલોના જવાબો લંચ પછી સુનાવણી શરૂ થાય ત્યારે આપવામાં આવે. પહેલો સવાલ એ કે સંજય સિંહ છ મહિનાથી જેલમાં છે. હવે કઈ ચીજની પૂછતાછ કરવાની બાકી રહી ગઈ છે? બીજો સવાલ એ કે સંજય સિંહે બે કરોડ રૂપિયા દારૂના ઠેકેદાર પાસેથી લીધા હતા તો તેમાંથી કેટલા રૂપિયા હાથ લાગ્યા? આરોપી છ મહિનાથી તમારા કબજામાં છે તો ઓકાવી તો શક્યા જ હશો. ત્રીજો સવાલ એ કે દિનેશ અરોરાની કુલ નવ વખત પૂછપરછ કરવામાં આવી હતી જેમાં પહેલી આઠ પૂછપરછમાં એક પણ વાર સંજય સિંહનું નામ કોઈ જગ્યાએ આવતું નથી અને છેલ્લી નવમી પૂછપરછમાં કેવી રીતે આવ્યું અને એ પણ સંજય સિંહની ધરપકડ કરવામાં આવી એની પહેલાં? કેમ આઠ વખત સંજય સિંહનું નામ નહોતું લેવાયું? ધરપકડ કરવા માટે નામ ઉમેરવામાં આવ્યું? લંચ પછી અદાલત પાછી બેઠી અને ઇ.ડી.ના વકીલે માત્ર એક જ વાક્ય કહ્યું કે સંજય સિંહને જામીન આપવામાં આવે તેની સામે ઇ.ડી.ને કોઈ વાંધો નથી. ઈ.ડી. પાસે આ ત્રણ પ્રશ્નોનો જવાબ નહોતો. બોલતી બંધ થઈ ગઈ.

બાબા રામદેવના કાંડ વિષે તો હું આ કોલમમાં લખી ચૂક્યો છું. ખોટા દાવાઓ કરતી અને એ રીતે દેશની પ્રજાને ગેરમાર્ગે દોરતી પતંજલિની જાહેરખબરો આપવાનું બંધ કરી દેવાનો સર્વોચ્ચ અદાલતનો આદેશ આ સંન્યાસી માનતો નહોતો. સર્વોચ્ચ અદાલતના આદેશની ઐસીતૈસી! એલોપથી છેતરપિંડીનું શાસ્ત્ર છે એમ જાહેરમાં અને જાહેરખબરોમાં કહેવામાં આવે પણ કેન્દ્ર સરકાર ચૂપ. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને પ્રશ્ન પૂછ્યો હતો કે તો પછી એલોપથીનું શિક્ષણ શા માટે આપવામાં આવે છે અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જેવી સંસ્થાઓ શું કામ ચલાવો છો? માત્ર બાબા નહીં, સરકાર પણ ચૂપ! અને તમને ખબર તો હશે જ કે આ જ બાબા રામદેવના ભાગીદાર બાલકૃષ્ણને હ્રદયરોગનો હુમલો આવ્યો ત્યારે તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા અને એલોપથીનો ઈલાજ કરવામાં આવ્યો હતો.

વારંવારની ચેતવણી પછી પણ બાબા સર્વોચ્ચ અદાલતને ગણકારતા નહોતા. મંગળવારે બાબાને સમજાઈ ગયું કે હવે સર્વોચ્ચ અદાલતની ધીરજ ખૂટી ગઈ છે એટલે તેમણે અદાલતમાં માફી માગી હતી. હસતા હસતા કોઈ માણસ માફી માગે એવું દૃશ્ય તમે આ પહેલા ક્યારે ય નહીં જોયું હોય. ક્યાંથી આવે છે આવી નિર્લજ્જતા અને કોણ પોષે છે એને?

સામાન્ય ચૂંટણીની પૂર્વસંધ્યાએ કોઈની મનફાવે એ રીતે ધરપકડ કરવામાં આવે, કોઈના બેંક એકાઉન્ટ સ્થગિત કરવામાં આવે, કોઈ પર ટેક્સની વસૂલીની નોટિસ મોકલવામાં આવે છે, જેમના પર ભ્રષ્ટાચારના આરોપ કર્યા હતા તેને બી.જે.પી.માં પ્રવેશ આપવામાં આવે છે, ભૂંડી ઘટના બને તો મોઢું ફેરવી લેવામાં આવે છે અને કેટલાક તો તેનો બચાવ કરે છે વગેરે તમે રોજ જુઓ છો. હવે સંયુક્ત રાષ્ટ્રસંસ્થાએ, અમેરિકાએ અને જર્મનીએ ભારતની ટીકા કરી છે અને ભારતનાં લોકતંત્રના ભવિષ્ય વિષે ચિંતા કરી છે. હા, ચીન, રશિયા અને ઉત્તર કોરિયાના શાસકોએ ભારતના શાસકોની નિંદા નથી કરી. ઇન્ડિયા ઈઝ ઇન અ ગૂડ કંપની.

પણ સવાલ એ છે કે આવી નિર્લજ્જતા ક્યાંથી આવે છે અને કોણ પોષે છે?

જવાબ બહુ સરળ છે. પાણી માપવામાં આવી રહ્યું છે. દેશની જનતાનું કે તે કેટલી હદે મૂર્ખ છે અને મુસ્લિમની પીડામાં કેટલી હદે સુખનો અનુભવ કરે છે. પાણી દેશની લોકતાંત્રિક સંસ્થાઓનું માપવામાં આવી રહ્યું છે કે તેમાં બેઠેલા લોકો કેટલી હદે ઝૂકે છે, ડરે છે અને વેચાય છે. પાણી મીડિયાનું અને હરીશ સાળવે જેવા લાભાર્થીઓનું માપવામાં આવી રહ્યું છે કે તેઓ કેટલી હદે બુટ ચાટે છે. પાણી વિશ્વસમાજનું માપવામાં આવી રહ્યું છે કે તેઓ તેમના આર્થિક સ્વાર્થને ધ્યાનમાં રાખીને કેટલી હદે ભારતમાં લોકશાહીના પતનને સ્વીકારે છે. જો બહુ વાંધો ન આવે તો ત્રીજી મુદ્દતમાં હજુ નીચે જવાનું સાહસ કરી શકાય. અને પાણી માપનારાઓમાં શાસકોનો, પાળીતા ઉદ્યોગપતિઓનો અને ધર્મગુરુઓનો એમ ત્રણેયનો સમાવેશ થાય છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 04 ઍપ્રિલ 2024

Loading

...102030...741742743744...750760770...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved