Opinion Magazine
Number of visits: 9457408
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતને ભયભીત કરવાના સાર્વત્રિક પ્રયત્નો થઈ રહ્યા છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|4 December 2023

રવીન્દ્ર પારેખ

બેંગ્લુરુમાં 1 ડિસેમ્બરે 68 સ્કૂલોમાં મુજાહિદ્દીન ગ્રૂપ તરફથી એક ઈ-મેઈલ, એવો પહોંચ્યો કે સ્કૂલમાં વિદ્યાર્થીઓને અને કર્મચારીઓને ઉડાવી દેવા બોમ્બ પ્લાન્ટ થયા છે. એ ઈ-મેઈલમાં એવી પણ ધમકી આપવામાં આવી કે ઇસ્લામ અપનાવો અથવા મરવા તૈયાર રહો. દેખીતું છે કે સ્કૂલોનો જીવ તાળવે ચોંટે. સ્કૂલોએ તો વિદ્યાર્થીઓને સલામત રીતે છોડી મૂક્યા, પણ ગભરાટ તો ફેલાયો જ ! વાલીઓને ખબર પડતાં એ રઘવાયા થઈને સ્કૂલે દોડી આવ્યા. સંતાનોને હેમખેમ ન જુએ ત્યાં સુધી વાલીઓનો જીવ હેઠો કેમ બેસે? સ્કૂલોએ પોલીસને જાણ કરી. પોલીસ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને એન્ટિ-સેબોટેજ ટીમ સાથે બધી સ્કૂલોમાં પહોંચી ને સ્કૂલો ખાલી કરાવી. સઘન તપાસને અંતે પોલીસ એવા નિષ્કર્ષ પર પહોંચી કે આ અફવા છે ને એમાં વજૂદ નથી. આવા ઈ-મેઈલ નવા નથી. અગાઉ પણ સ્કૂલોને આવા ઈ-મેઈલ મોકલાયા છે ને અંતે અફવા સાબિત થયા છે. અગાઉ તો આવી ધમકી મોકલનારાઓને પોલીસે ઓળખી કાઢ્યા હતા ને આ વખતે પણ ઓળખી કાઢશે એવી ખાતરી આપી છે. પોલીસે આ અંગે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. કર્ણાટકના મુખ્યમં ત્રી સિધ્ધારમૈયાએ સ્કૂલો અને મંદિરોને પૂરતું રક્ષણ આપવાની પોલીસને તાકીદ પણ કરી છે. એ પછી તો રાબેતા મુજબ જે થતું આવ્યું છે તે થશે, પણ સ્કૂલો પર, વાલીઓ- વિદ્યાર્થીઓ પર થોડા સમયમાં જે વીત્યું એની કલ્પના જ કરવાની રહે છે. ઈ-મેઈલ મુજાહિદ્દીન ગ્રૂપ તરફથી આવ્યો છે એ પરથી એ કોઈ આતંકવાદી સંગઠનનું કામ હોઈ શકે. એવું હોય તો પોલીસ એ રીતે તપાસ કરશે. ઈ-મેઇલમાં ઇસ્લામ અપનાવવાની ને તેમ નહીં થાય તો મરવાની તયારી રાખવાની ધમકી અપાઈ છે, એટલે ઇરાદો મજાકનો હોવા વિષે શંકા રહે છે. પોલીસ એ વાતને ધ્યાને લઈને તપાસ કરે એ અપેક્ષિત છે. એ ખરું કે પોલીસને શંકાસ્પદ કશું જણાયું નથી, તો પણ આ બાબતને હળવાશથી લેવા જેવી નથી. ઈ-મેઈલ આવ્યો ત્યારે વિદ્યાર્થીઓ સ્કૂલોમાં હતા. એમની પરીક્ષા હતી. એ આપવાની તૈયારી સાથે આવ્યા હશે. એમાં ઓચિંતો વળાંક આવ્યો. એ સુખદ ન હતો. એને લીધે જે તાણ અનુભવવાનું બન્યું એ ચિંતા ઉપજાવનારું છે. એ જ સ્થિતિ સ્કૂલના સ્ટાફની, વાલીઓની થઈ. કરનાર માટે એ મજાક હતી, પણ એ પાકું ન થયું ત્યાં સુધી બધાના જ શ્વાસ અધ્ધર રહ્યા. આવી મજાક કરનારને તો એ અંદાજ નહીં આવે કે એણે કેટલા જીવોની ચિંતા વધારી છે, પણ એનો તો હેતુ જ એ હતો કે ટેન્શન વધે. આમ ન થવું જોઈએ, પણ થાય છે. અગાઉ પણ થયું છે ને હવે ન જ થાય એની કશી ખાતરી નથી. પોલીસ દોડે, વાલીઓ ઊંચા જીવે રહે આ બધાંમાં આનંદ લેનારો એક વિકૃત વર્ગ છે ને કરુણતા એ છે કે એ હવે બધે જ વધતો આવે છે.

એમ લાગે છે કે આખા જગતને કુદરતી મૃત્યુ પર ભરોસો જ રહ્યો નથી, એટલે માણસનાં મૃત્યુ માટે માણસો જ પ્રયત્ન કરવા લાગ્યા છે. હિંસા એ જાણે વિશ્વનો સ્વભાવ થઈ ગયો છે. રશિયા-યુક્રેન, હમાસ-ઇઝરાયલ યુદ્ધની સાથે અન્યત્ર પણ યુદ્ધની તજવીજ ચાલી રહી છે. અરાજકતા ફેલાવવાનો ને લોહી રેડીને તેનો આનંદ લેવાનો વૈશ્વિક પ્રયત્ન ચાલી રહ્યો છે. વિશ્વને કદાચ શાંતિ ખપતી જ નથી. નિજજરની હત્યાનો આરોપ ભારતીય એજન્ટ પર મૂકીને કેનેડાએ ભારત સાથેના સંબંધો દાવ પર લગાવ્યા છે. તેનો વિવાદ શાંત પડતો નથી, ત્યાં ખાલિસ્તાની આતંકવાદી ગુરૂપતવંતસિંહ પન્નૂની હત્યાનું કાવતરું અમેરિકાએ નિષ્ફળ બનાવ્યું તેની વધામણી ભારત સામે ખાધી છે. અમેરિકાને એવું છે કે આ કાવતરું ભારતમાં ઘડવામાં આવ્યું છે. ફરિયાદીઓએ જેની હત્યા થવાની હતી તેનું નામ આપ્યું નથી, પણ અમેરિકન મીડિયાએ એ પન્નૂ છે એવા અહેવાલો પ્રદર્શિત કર્યા છે. પન્નૂએ ભારતના રાજદ્વારીઓને અને ભારતીય ગુપ્તચર સંસ્થા રોના એજન્ટોને રોકડું પરખાવ્યું છે કે એ ભલે હત્યાનો પ્રયાસ કરી લે, પણ તેમણે કાયદાનો સામનો તો કરવો જ પડશે. ભારતે પન્નૂને આતંકવાદી ઘોષિત કર્યો છે તો પન્નૂએ ભારતને કાયદેસર કાર્યવાહીની ધમકી આપી છે. પન્નૂ પોતે તો એ આરોપો નકારે છે. પન્નૂ વકીલ છે ને તેના વડવાઓ પંજાબના છે. પન્નૂ સામે માનવ વધના, હત્યાના અને ટાડાના અનેક કેસો થયેલા છે. 1991-‘92માં તેણે અમેરિકા સ્થળાંતર કર્યું અને 2007માં ‘શીખ્સ ફોર જસ્ટિસ’ નામનું સંગઠન સ્થાપ્યું, જેણે ભારતીય પંજાબની મુક્તિ તથા ખાલિસ્તાનને નામે ઝુંબેશ શરૂ કરી. એનાં પર ભારત સરકારે પ્રતિબંધ મૂક્યો ને તેને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું.

આ પન્નૂની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર મૂકવામાં આવ્યો છે. અમેરિકી એટર્ની ડેમિયન વિલિયમ્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે પ્રતિવાદીએ ભારતથી ભારતીય-અમેરિકન નાગરિકની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. જો કે, એ નાગરિક પન્નૂ જ હતો એવું નામ ફોડીને કહેવાયું નથી. નિખિલે એવી વ્યક્તિને રોકી જે ગુનેગારો સાથે સંબંધ ધરાવતો હતો, પણ તે કિલરને બદલે અમેરિકન એજન્સીનો ગુપ્તચર નીકળ્યો. આ ગુપ્તચરે નિખિલ ગુપ્તાને ‘હિટમેન’ બતાવી એક વ્યક્તિ સાથે પરિચય કરાવ્યો હતો. આ હિટમેન પણ અમેરિકન એજન્સીઓનો અંડરકવર ઓફિસર હતો. આમ નિખિલ ગુપ્તાની સંડોવણી જણાતા તેની ધરપકડ પણ થઈ છે. અમેરિકી કોર્ટમાં રજૂ થયેલ ચાર્જશીટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકારના અધિકારીએ નિખિલ ગુપ્તાને ગુજરાતમાં તેની સામે ચાલી રહેલ કેસમાં રાહતની ઓફર આપવાનું કહ્યું હતું, જેના બદલામાં તેણે પન્નૂની હત્યાની જવાબદારી ઉપાડવાની હતી. હવે અમેરિકા એ રાહ જોઈ રહ્યું છે કે આ મામલે ભારત શું કરવા જઈ રહ્યું છે. ભારત સરકારે તપાસની ખાતરી તો અલબત્ત આપી છે.

પણ, આ આખા વેપલામાં અમેરિકા ઉઘાડું પડી ગયું છે. તેણે પન્નૂ જેવા આતંકવાદીની હત્યાના કાવતરાં બદલ ભારતના અધિકારીની ધરપકડ કરી છે. એક તરફ કેનેડાને તો નિજજરની હત્યાને મામલે ભારત જોડે વાંકું પડ્યું જ છે, તેમાં પન્નૂની હત્યાનાં કાવતરાં બદલ અમેરિકાને પણ વાંકું પડ્યું છે. આમ તો અમેરિકા સંબંધ યથાવત રહેવાની વાત કરે છે, પણ સંબંધોમાં ખટાશ તો આવી જ ગઈ છે. કેનેડાને મામલે પણ અમેરિકા સમર્થન ભારતનું નહીં, પણ કેનેડાનું કરે છે, બાકી હતું તે પન્નૂની હત્યાનાં કાવતરામાં ભારતની સંડોવણી ફોડીને અમેરિકાએ પણ ભારતને છંછેડ્યું છે. એક તરફ આતંકવાદની સામે અમેરિકા, ભારતની મદદ માંગે છે ને બીજીતરફ એક આતંકવાદીની હત્યાનાં કાવતરાં બદલ ભારત સામે આંગળી ચીંધે છે. હદ તો એ છે કે પન્નૂ જેવા આતંકીને, ભારતને સોંપવાને બદલે તેને આશરો આપે છે. આ સ્થિતિ હોય તો અમેરિકા આતંકીઓની વિરુદ્ધ છે એવું કઇ રીતે માનવું? ટૂંકમાં, અમેરિકાના બતાવવાના અને ચાવવાના જુદા છે. યુ.એસ. દ્વારા ભારતીય અધિકારીનું નામ ફોડાયું નથી, એટલું જ નહીં, કોની હત્યાનું કાવતરું હતું એ મામલે પણ મગનું નામ મરી પડાયું નથી, પણ અમેરિકા દ્વારા ભારત સામે આંગળી ચીંધાઈ છે તે હકીકત છે. અમેરિકાએ એ સમજવાનું રહે કે પન્નૂ ખાલિસ્તાનીને તે ટેકો આપી રહ્યું છે, પન્નૂએ અલગ ખાલિસ્તાનને મુદ્દે સંગઠન પણ સ્થાપ્યું છે, એવી વ્યક્તિને તે આશરો આપતું હોય તો તે ભારતની સાથે રહીને આતંકવાદને ખતમ કરવા માંગે છે એ વાત મજાક નથી તો શું છે?

અમેરિકા, કેનેડાના ભારત સાથેના સંબંધો વણસવામાં કૈં બાકી રહ્યું નથી. ચીન, પાકિસ્તાન સાથે તો ભારતનું ખટકેલું જ છે. આમ મરવા પડ્યું છે, પણ પાકિસ્તાનના આતંકી હુમલાઓમાં ય ખોટ આવી નથી, જ્યારે ચીન સરહદી જમીનો પર કબજો કરીને, વસાહતો ઊભી કરીને સતત કનડગત કરી રહ્યું છે. નેપાળ સાથે પણ કૈં બહુ વહી જતું નથી. આ ઉપરાંત નક્સલવાદી પ્રવૃત્તિઓ, કોમી તણાવ જેવી બાબતો પણ દબાણ ઊભું કરતી રહે છે. એમ લાગે છે કે ભારત સરહદી દેશો સાથે તથા અમેરિકા, કેનેડા સાથે ડરીને ચાલે એવું વાતાવરણ છે, પણ વિશ્વે એ સમજી લેવાનું રહે કે તે કોઈ પણ કનડગતને વશ નહીં થાય. એ 1962નું કે 1971નું બિચારું, બાપડું ભારત નથી. તેણે વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. પાકિસ્તાન જેવાંને તો એક દિવસમાં તે કબજે કરી શકે એમ છે, પણ સામેથી હુમલો કરવામાં તે માનતું નથી. હા, સ્વમાન દાવ પર લાગશે, એ દિવસે તે શાંત નહીં રહે એટલું નક્કી છે…

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 ડિસેમ્બર 2023

Loading

આરબ-ઈઝરાયેલ યુદ્ધ, ઇસ્લામ અને ઉમ્મા

રમેશ ઓઝા|Opinion - Opinion|3 December 2023

રમેશ ઓઝા

ઇસ્લામમાં ‘ઉમ્મા’ (અરેબિક Ummaah) નામની એક કલ્પના છે જે મુસલમાનો માટે બેધારી તલવાર સાબિત થઈ રહી છે અને ક્વચિત શરમનો વિષય પણ બનતી આવી છે. ઉમ્મા એટલે અલ્લાહે પસંદ કરેલી અને અલ્લાહના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત વિશેષ કોમ જેણે અલ્લાહના આખરી અને ક્યારે ય અપ્રાસંગિક નહીં બનનારા નિત્યનૂતન પેગામ(સંદેશ)નો સ્વીકાર કર્યો છે. જે કોમે અલ્લાહનો અંતિમ અને નિત્યનૂતન પેગામ સ્વીકાર્યો હોય એ કોમ અલ્લાહને વિશેષ પ્યારી હોય એ તો સ્વાભાવિક છે. અહીં સુધી તો ઠીક છે પણ આગળ કહેવામાં આવ્યું છે કે કોઈ કોમની આનાથી વિશેષ ઓળખાણ કઈ હોઈ શકે અને આવી પરમ ઓળખ પ્રાપ્ત કર્યા પછી બીજી ઓળખોની જરૂર પણ શું છે?

આમાંથી વૈશ્વિક મુસ્લિમ બંધુત્વ (ઇસ્લામિક બ્રધરહુડ) અને વૈશ્વિક મુસ્લિમ સરોકાર(પેન ઇસ્લામિઝમ)ની કલ્પના વિકસી. તુર્કીના મુસલમાનની પીડા ભારતનાં અને જગતભરના મુસલમાને એટલા જ પ્રમાણમાં અનુભવવી જોઈએ જેટલી એ તુર્કીના મુસલમાન અનુભવે છે. તુર્કીમાં મુસલમાન જો રાજકીય, સામાજિક કે બીજા કોઈ પણ પ્રકારના સંકટમાં હોય તો ભારતનાં અને જગતભરના મુસલમાનોએ તેને પોતાનાં પરનું સંકટ સમજવું જોઈએ અને તેને પહોંચી વળવા જરૂરી પ્રયાસ કરવા જોઈએ. ટૂંકમાં મુસલમાનોની એક વૈશ્વિક બિરાદરી જેને ઇસ્લામ સિવાયની અન્ય કોઇ ઓળખ પ્રભાવી ન કરી શકે અને રાજ્યોની સીમાઓ અવરોધી ન શકે.

જગતમાં ઇસ્લામનો જે ઝડપથી પ્રસાર થયો એ એટલો તલવારના જોરે નથી થયો જેટલો મુસલમાન મુસલમાન વચ્ચે સમાનતા અને બંધુભાવને કારણે થયો છે. ઇસ્લામ જગતમાં પહેલો સંગઠિત ધર્મ હતો જેણે સમાનતા અને બંધુતાને માન્યતા આપી હતી અને ખુદા અને બંદા વચ્ચે કોઈ પુરોહિત કે પાદરીની આવશ્યકતા નકારી હતી. આ ઉપરાંત વૈશ્વિક મુસ્લિમ બિરાદરીની કલ્પના પણ રોમાંચક હતી. ઇસ્લામની આ માન્યતાને સામાજિક અને રાજકીય સ્વીકૃતિ મળી હતી. કોઇને પણ ઇસ્લામ માટે આકર્ષિત થવા માટે આ પૂરતું હતું. ઇસ્લામ માત્ર તલવારના જોરે જગતમાં પ્રસર્યો છે એમ કહેવું એ સંપૂર્ણ સત્ય નથી.

પણ હંમેશાં બનતું આવ્યું છે એમ ધર્મવચન એક જગ્યાએ અને વ્યવહારજગત એક જગ્યાએ. એમાં મુસ્લિમ હોવાની એક માત્ર ઓળખ શ્રેષ્ટ અને અંતિમ ઓળખ છે એ, મુસ્લિમ બંધુત્વ (ઇસ્લામિક બ્રધરહૂડ) અને વૈશ્વિક મુસ્લિમ સરોકાર(પેન ઇસ્લામિઝમ)એ ત્રણ રોમાંચક કલ્પના છે પણ એ વ્યવહારુ નથી. શરૂઆતનાં આકર્ષણ પછી મુસલમાનો જ્યાં રહેતા હતા ત્યાં સહિયારાપણાના અને સહઅસ્તિત્વના પ્રશ્નો પેદા થવા લાગ્યા. આને કારણે ઈસ્લામ આગ્રહી (ડિમાન્ડગ) ધર્મ તરીકે ઓળખાવા લાગ્યો.

પ્રત્યેક મુસલમાને પોતાની ઈસ્લામ સિવાયની બીજી ઓળખ ખંખેરી નાખવાની. ભૂલી જવાની. જે તે દેશમાં ઇસ્લામ પહેલાંના વારસાનો અસ્વીકાર થવા લાગ્યો અથવા અસ્વીકાર કરવો જોઈએ એવી માગણી થવા લાગી. પાકિસ્તાન તેની સ્થાપના પછી ૭૫ વરસે પણ નક્કી કરી શક્યું નથી કે પાકિસ્તાનના ઇતિહાસની શરૂઆત સિંધુ સભ્યતાથી સ્વીકારવી કે પાકિસ્તાનમાં ઇસ્લામનું આગમન થયું એ પછીથી. કેટલાક કટ્ટરપંથી મુસલમાનો પોતાને ભારતીય મુસલમાન તરીકે નથી ઓળખાવતા પણ મુસ્લીમ ભારતીય તરીકે ઓળખાવે છે. તે મુસ્લિમ છે અને ભારતનો વતની છે. મુસ્લિમ હોવું એ મુખ્ય ઓળખ છે, ભારતનો વતની હોવું એ ગૌણ છે. એક નિમિત્ત માત્ર છે. આને કારણે મુસલમાનોની વતનપરસ્તી અને રાષ્ટ્રભાવના વિષે શંકા કરવામાં આવે છે. મુસ્લિમ વિરોધીઓને આમાં ઇસ્લામને તેમ જ મુસલમાનોને બદનામ કરાવાનો મોકો મળે છે.

મુસલમાનોનું વૈશ્વીક બંધુત્વ વૈશ્વીક સરોકારમાં પરિણામે એ તો દેખીતું છે. ખિલાફત આંદોલન આનું ઉદાહરણ છે. પહેલાં વિશ્વયુદ્ધમાં વિજય મેળવ્યા પછી અંગ્રેજોએ વચનભંગ કરીને તુર્કીના ખલીફાનું રાજ અમાન્ય કર્યું તેની સામે ભારતનાં મુસલમાનોએ ખિલાફત બચાવવા આંદોલન કર્યું હતું. તુર્કીનો ખલીફા જગતભરના મુસલમાનોનો ખલીફા છે એમ મુસલમાનો માનતા હતા. ભારતીય મુસલમાનોની ભાવનાનો આદર કરીને જો હિંદુઓ મુસલમાનોને ટેકો આપે તો હિન્દુ અને મુસ્લિમો વચ્ચે એકતા સાધી શકાશે એમ માનીને ગાંધીજીએ ખિલાફતના આંદોલનને ટેકો આપ્યો હતો. મારી દૃષ્ટિએ ગાંધીજીની આ ભૂલ હતી.

આંદોલન નિષ્ફળ નીવડ્યું હતું. મુસ્તફા કમાલ આતાતુર્કના નેતૃત્વમાં તુર્કીના મુસલમાનોએ જ ખિલાફતનો વિરોધ કર્યો હતો અને ખલીફાને ભગાડી મૂક્યો હતો. તો પછી ભારતીય મુસલમાન તુર્કીના કયા મુસલમાનોની પીડામાં ભાગીદાર બન્યા હતા? વળી ખિલાફત બચાવવા માટે માત્ર ભારતનાં મુસલમાનોએ આંદોલન કર્યું હતું, જગતના બીજા મુસ્લિમ દેશોના મુસલમાનો ખલીફાની વહારે નહોતા આવ્યા.

ટૂંકમાં વૈશ્વિક મુસ્લિમ બંધુત્વ અને વૈશ્વિક મુસ્લિમ સરોકાર મુસલમાનો માટે જેટલાં રોમાંચક છે એટલાં પરિણામકારી નથી, ઊલટું નુકસાનકારક છે, પણ કોઈ ધાર્મિક મુસલમાન આ હકીકતનો સ્વીકાર નહીં કરે. કેટલાક લોકો મનોમન આનો સ્વીકાર કરશે પણ ખરા, પણ જાહેરમાં આ નહીં કબૂલે. પ્રત્યેક માણસ સમય અને સ્થળ નિર્મિત સંજોગો વચ્ચે જીવતો હોય છે. બે સ્થળ અને બે સમય એક સરખાં હોતાં નથી. સમય અને સ્થળની એક વિશિષ્ટ જરૂરિયાત હોય છે. આ સિવાય જે માટીમાં જન્મ થયો હોય એ માટીની હજારો વરસની સાંસ્કૃતિક સુગંધ હોય છે જે માણસને ઘડે છે. ભારતીય મુસલમાન અને તુર્કીના મુસલમાન વચ્ચે એટલું સામ્ય નહીં મળે જેટલું ભારતીય મુસલમાન અને ભારતીય હિંદુ વચ્ચે જોવા મળશે. આ હકીકત છે, પણ મુસલમાન આને કબૂલ કરતા નથી અને વિમાસણમાં મૂકાય છે. જેમ કે મુસ્લિમ હોવું એ પોતે જ એક અલગ રાષ્ટ્રીયતા છે અને તે ભારતીય રાષ્ટ્રીયતા કરતાં અલગ છે અને સર્વોપરી છે એમ કહીને ભારતના કેટલાક મુસલમાનોએ પાકિસ્તાનની માગણી કરી અને મેળવ્યું પણ ખરું. જો આ વાત સાચી હતી તો મોટી સંખ્યામાં મુસલમાનો ભારત છોડીને પાકિસ્તાન કેમ ન ગયા? જવું જોઈતું હતું. જો આ વાત સાચી હતી તો પાકિસ્તાનની સ્થાપના પછી માત્ર ૨૫ વરસમાં પૂર્વ પાકિસ્તાન (બંગલાદેશ) અલગ કેમ થઈ ગયું?

હવે અત્યારે જે બની રહ્યું છે એના તરફ એક નજર કરીએ. ઇઝરાયેલ પોંડીચેરીથી થોડોક જ મોટો એવો ખોબા જેવડો દેશ છે. તેની વસ્તી એક કરોડ પણ નથી. જગતમાં મુસલમાનોની વસ્તી એક અબજ ૮૦ કરોડની છે અને તે જગતની કુલ વસ્તીમાં ૨૪.૧ % નો હિસ્સો ધરાવે છે. આની સામે જગતમાં યહૂદીઓની કુલ વસ્તી એક કરોડ બાવન લાખ છે અને વૈશ્વિક વસ્તીમાં તેનો હિસ્સો માત્ર ૦.૨ ટકા છે. જગતમાં ૨૫ દેશોમાં મુસલમાનો બહુમતી ધરાવે છે અને બહોળી વસ્તી ધરાવતા હોય એવા દેશો ઉમેરીએ તો ૫૦ જેટલા દેશો છે. વૈશ્વિક વ્યાપારમાં મુસલમાનોનો હિસ્સો તેની વસ્તી જેટલો જ અંદાજે ૨૩ ટકા છે જ્યારે યહૂદીઓનો એક જ બચુકલો દેશ હોવાથી કોઈ ગણનાપાત્ર હિસ્સો નથી. આ ઉપરાંત કેટલાક આરબ દેશો પાસે ખનીજ તેલ છે. અને છતાં ય આપણે જોઈએ છીએ કે ૧૯૪૮થી આજ સુધી મુસ્લિમ દેશો ઇઝરાયેલને પરાજીત નથી કરી શકતા.

આ ‘ઉમા’ની કલ્પનાને અર્થાત્ વૈશ્વિક મુસ્લિમ બંધુત્વ તેમ જ વૈશ્વિક મુસ્લિમ સરોકારની વ્યવહારુતા સામે પ્રશ્ન ઉપસ્થિત કરે છે. એક વાત ગાંઠે બાંધી લો, કોઈ ધર્મે કહેલી દરેક વાત ચિરંતન હોતી નથી કે નિત્યનૂતન હોતી નથી. એને સ્થળ અને કાળની જરૂરિયાત પ્રભાવિત કરે જ છે. કોઈ ધર્મ આમાં અપવાદ નથી. એટલે નિત્યનૂતન ચિત્તાવસ્થા હોવી જોઈએ, ધર્મવચન નહીં. ચિત્ત સદૈવ જાગૃત રહે, ખુલ્લું રહે, નવું નવું ગ્રહણ કરતું રહે, વિકસતું રહે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 03 ડિસેમ્બર 2023

Loading

કાર્ટૂનકળા વિશે બીરેન કોઠારીનો અનોખો કાર્યક્રમ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|3 December 2023

‘કહત કાર્ટૂન…’ નામનો બિલકુલ અનોખો કાર્યક્રમ ‘સ્ક્રૅપયાર્ડ થિએટર’માં 01 ડિસેમ્બરના શુકવારે સાંજે યોજાયો હતો.

કાર્ટૂનની કળા અને કાર્ટૂનની દુનિયાનો સહજ ઢબે છતાં ઊંડાણથી પરિચય કરાવતો આ કાર્યક્રમ સ્લાઈડશોના માધ્યમથી યોજાયો હતો.

તેના માટેનું સંશોધન અને વિષય પસંદગી, તેની પરિકલ્પના અને રજૂઆત, એમ બધાં પાસાં બીરેન કોઠારીના હતા.

વડોદરાના બીરેનભાઈ પૂરા સમયના લેખક, જીવનચરિત્રકાર, સિનેમા તેમ જ સંગીતના અભ્યાસી, ગુજરાત વિદ્યાપીઠના ઇતિહાસલેખક, સંપાદક, ચિત્રકાર જેવી અનેક વિશિષ્ટ ક્ષમતાઓથી જાણીતા છે.

કાર્ટૂન પરના તેમના કાર્યક્રમ અને તેના માટેનો વ્યાસંગ ગુજરાતમાં ભાગ્યે જ બીજી કોઈ વ્યક્તિ ધરાવતી હશે એમ સલામત રીતે ધારી શકાય.

શુક્રવારનો કાર્યક્રમ આમ તો બીરેનભાઈની સૂચિત શ્રેણીનો બીજો ભાગ હતો. શ્રેણીનું આખું નામ છે कहत Cartoon : Stories from History, Politics and Society told through Cartoons’ અર્થાત ‘ઇતિહાસ, સમાજ અને રાજકારણની વાર્તા કાર્ટૂનની નજરે’.

આ શ્રેણીનો પહેલો ભાગ, નામે From British Raj to Swaraj સ્ક્રૅપયાર્ડમાં જ 27 ઑક્ટોબરે જોવા મળ્યો હતો. તેમાં બીરેનભાઈએ ભારતના ઇતિહાસમાં 1857ના જંગથી લઈને સોએક વર્ષ દરમિયાન થયેલાં નોંધપાત્ર કાર્ટૂન્સને તેના રાજકીય-સામાજિક સંદર્ભ સાથે સમજાવ્યાં હતા.

શુક્રવારનો અનેરો વિષય હતો ‘Metamorphosis’,એટલે કે ‘કાયાપલટની કમાલ’, જે પ્રક્ષકોમાંથી ઘણાં માટે અત્યાર સુધી તો કલ્પના બહારનો હતો. રૂપાંતર અથવા અંગ્રેજીમાં metamorphosis કાર્ટૂનિસ્ટ માટેની એક પ્રયુક્તિ છે.

બેથી આઠની સંખ્યામાં એકબીજાની બાજુ બાજુમાં દોરેલાં ચિત્રો દ્વારા કાર્ટૂનિસ્ટ એક વ્યક્તિને બીજી વ્યક્તિમાં, કે વસ્તુમાં રૂપાંતરિત થયેલી બતાવે છે.

દેખીતી રીતે અજૂગતી આ વાત બીરેનભાઈ પડદા પર કાર્ટૂન બતાવીને સમજાવે ત્યારે મગજમાં ઝબકારો થાય છે.

એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં કાયાપલટ Person to Person Metamorphosisના છ ઉદાહરણો બિરેનભાઈ બતાવે છે.

– તેમાંથી પહેલાં સંપુટના પહેલાં ચિત્રમાં ભારતના પૂર્વ વડા પ્રધાન વિશ્વનાથ પ્રતાપ સિંહ ચોથા કાર્ટૂનમાં રાજીવ ગાંધી બની જાય છે. રાજિન્દર પુરી(1934 થી 2015)નું આ કાર્ટૂન કાશ્મીરને લગતી કલમ 371 અંગેના વલણની છે. 

– બીજા સંપુટના પહેલાં ચિત્રમાં, ભારતના પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ છઠ્ઠા કાર્ટૂનમાં નરસિંહા રાવ બની જાય છે. સુધીર તેલંગ(1960 -2006)નું આ કાર્ટૂન જુલાઈ 2008માં મનમોહનની સરકારની સામે લાવવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્ત વિશેનું છે. 

– ત્રીજામાં પણ મનમોહન-રાવ રૂપાંતર જ છે, જે ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના અત્યારના ઉન્ની (1955-)ના કાર્ટૂનના ચોથા ચિત્રમાં બને છે. તેનો સંદર્ભ 1991 અને 1994માં રજૂ થયેલાં કેન્દ્રીય અંદાજપત્ર એટલે કે બજેટનો છે. 

– આ જ પ્રમાણે કેશવ કૉન્ગ્રેસના અર્જુનસિંહને દેવીલાલ બનાવે છે અને પી. નરસિંહા (1957-) મોદીને મનમોહન સિંગ બનાવે છે. આ બંને કાર્ટૂન્સનો અર્થાત રાજકીય સંદર્ભ છે જે કાર્ટૂનમાં શબ્દોમાં નિર્દેશિત છે, અને બીરેનભાઈ સમજાવે પણ છે. 

– હેમંત મોરપારિયાએ 2002માં દાઢીવાળા મોદીને ચોથા કાર્ટૂનમાં લાક્ષણિક મૂછ સાથેના હિટલર બનાવે છે. 

રૂપાંતરનો બીજો પ્રકાર from Person to object એટલે કે વ્યક્તિમાંથી વસ્તુ. અમેરિકા સ્થિત શ્રેયસ નવરે 2010ના વર્ષના આરંભના food inflationને લગતાં કાર્ટૂનમાં મનમોહનસિંહની પાઘડીને ચોથા કાર્ટૂનમાં ડુંગળી બનાવી દે છે. 

– શ્રેયસ ઉત્તર પ્રદેશની અરાજકતાના માહોલમાં મુલાયમસિંહ અને અખિલેશ યાદવને બે કેળાં બનાવે છે અને લખે છે banana republic. 

– ‘ગુજરાત સમાચાર’માં પણ જેમના કાર્ટૂન્સ જોવા મળે છે તે મંજુલ (1971-) ઉત્તર પ્રદેશની માર્ચ 2018ની ચૂંટણીને લગતાં કાર્ટૂનમાં યોગી આદિત્યનાથને શૂન્યમાં ફેરવે છે. 

– Alfredo નામના કલાકારના પહેલાં કાર્ટૂનની બુરખાધારી સ્ત્રી પાંચમા ચિત્રમાં રંગીન પતંગિયામાં ફેરવાય છે. કાર્ટૂનમાં એ મતલબનું એક વાક્ય છે કે આ revolution – ક્રાન્તિનો પ્રભાવ છે. 

વસ્તુથી વસ્તુ/વ્યક્તિ object to object/person રૂપાંતરનો દાખલો સુધીર નાથ(1971-)ના કાર્ટૂનમાં મળે છે કે જેમાં તેઓ કોન્ગ્રેસના ચિહ્ન એવા પંજાનું પાંચ તબક્કામાં ભારતીય જનતા પક્ષના કમળમાં રૂપાંતર બતાવે છે. શ્રેયસ નવરે કમળમાંથી ચોથા તબક્કે નરેન્દ્ર મોદી બનાવે છે. 

– શ્રેયસની એક ખૂબી સમજાવતા બીરેન કહે છે કે તે ચિત્રમાં એક ગધેડાને લાવે છે, જેનું નામ Zero છે. તે આર.કે. લક્ષ્મણના કૉમન મૅનની જેમ ઘણાં કાર્ટૂન્સમાં ડોકિયું કરે છે.

કૉમન મૅન બોલતો નથી, પણ આ Zero ‘દોઢડહપણ કરે છે’.

જેમ કે, ઉત્તર પ્રદેશની અરાજકતાવાળા કાર્ટુન્સમાં તે ‘’નિરુત્તર પ્રદેશ’ એમ બોલે છે, અને કમળમાંથી મોદીવાળા કાર્ટૂનમાં તે ‘ Lotus – What about a lot of us ?’ એ મતલબનો સવાલ કરે છે.

અજિત નિનનને બીરેનભાઈ ‘master of metamorphoses’ એટલે કે રૂપાંતરકળાના સ્વામી ગણાવે છે. તેમનું તાજેતરમાં 8 સપ્ટેમ્બરે 68 વર્ષની વયે અવસાન થયું.

નિનનના કસબના અનેક દાખલા બીરેનભાઈ બતાવે છે, જેમાંથી કેટલાક આ મુજબ છે : 

– વ્યક્તિથી પ્રાણી/પક્ષીમાં રૂપાંતર : કરુણાનિધિમાંથી કાચિંડો, બાળ ઠાકરેમાંથી બિલ્લી થઈ ગયેલો વાઘ, અર્જુનસિંહમાંથી સિંહની જેમ ત્રાડ નાખવા મથતું ગલુડિયું.

– પક્ષીમાંથી વ્યક્તિમાં રૂપાંતર : શાંતિદૂત વાજપેયીમાંથી ચાંચમાં ઑલિવની ડાળી પકડીને ઊડતું કબૂતર, અમરસિંહ જે પાર્ટીઓના માણસ હતા તે હાથમાં શરાબનો પ્યાલો પકડેલું ઘુવડ,

જયલલિતામાંથી એવી મરઘી કે જેની નીચે કેટલાંક બચ્ચાં દબાયેલાં હોય, કેજરીવાલ અને નીતિશકુમાર બંનેમાંથી શિયાળ

– વ્યક્તિમાંથી વસ્તુમાં રૂપાંતર : મુલાયમસિંહ યાદવમાંથી સાયકલ, નરેન્દ્ર મોદીમાંથી બુલડોઝર, લાલ કૃષ્ણ અડવાણીમાંથી છત્રી સાથેનો રથ, સંજય દત્તમાંથી એ.કે. 47, મનમોહન સિંહમાંથી મુંબઈ સ્ટૉક એક્સચેન્જનું બિલ્ડિંગ, માયાવતીમાંથી નાણાંકોથળી, મમતામાંથી ફેરવવા માટેની દોરી (જાળ) સાથેનો ભમરડો.

દરેક કાર્ટૂનની સૂક્ષ્મતા બીરેનભાઈ લાજવાબ રીતે બતાવે છે. મમતાનો ચહેરો ભમરડા જેવો અને ચોટલો જાળ જેવો, જે કેસરી રંગની હોય તેમ જ એને છેડે કમળની છાપ હોય. 

પહેલાં ચિત્રના અડવણીની ટાલમાંથી ચોથા ચિત્રમાં રથની છત્રી બનતી હોય. અનેક દાખલા આપી શકાય. જો કે કેટલીક વાર દુરાકૃષ્ટતા પણ લાગે, એટલે કે સામ્ય સહજ રીતે ન ધ્યાનમાં આવતું હોય, પણ સંદર્ભ અને સમજૂતીથી આકલન થતું હોય એમ પણ બને છે. 

વળી બીરેને તાકીદ પણ કરી : ‘કાર્ટૂનિસ્ટ આપણી સામે જુએ તો ચેતી જવું, એ આપણામાં કંઈ પણ જોતો હોય …’ બાય ધ વે, બિરેનભાઈ પોતે પણ કાર્ટૂન બનાવે છે. 

કાર્યક્રમનો અરધા જેવો હિસ્સો The Story of Pear King એવો હતો. તેમાં બિરેને ફ્રાન્સની હંમેશાં સમૃદ્ધ રહેલી કાર્ટૂનપ્રવૃત્તિનો એક ઐતિહાસિક તબક્કો સરસ રીતે સમજાવ્યો. આ તબક્કો તે રાજા લુઇ ફિલિપ Louis Philippe Iના 1830 to 1848ના શાસનકાળ દરમિયાનનો હતો. 

એ રાજાની રીતિનીતિ વિરુદ્ધ La Caricature અને Le Charivari નામના રાજકીય ઠઠ્ઠાચિત્રોનો જેનો વિશેષ હોય તેવા સાપ્તાહિકોએ કાર્ટૂન્સ થકી પાંચેક વર્ષ સુધી ઝુંબેશ ચલાવી. તેમાં તેમના ચિતારાઓએ રાજાને સતત pear એટલે કે જમરૂખ તરીકે દોર્યે રાખ્યો.

એટલું જ નહીં તેની આજુબાજુના માણસો અને માહોલમાં પણ તેમણે જમરૂખનાં કલ્પનો ફેલાવી દીધા. બીરેનભાઈએ આ આખો ય કિસ્સો તેના અનેક સંદર્ભો સાથે ખૂબ રોચક રીતે સમજાવ્યો. પૂરા કાર્યક્રમમાં સ્લાઇડ ઑપરેટ કરનાર બીરેનના જીવનસાથી કામિનીબહેન હતાં.

આ કાર્ટૂન કાર્યક્રમનો બૌદ્ધિક આનંદ અને તેની મહત્તા તેને પ્રત્યક્ષ જોઈને જ સમજી શકાય તેમ છે. બીરેનભાઈ પાસે કાર્ટૂનની કળા અને તેના ઇતિહાસ તેમ જ વર્તમાન અંગે બીજા કેટલાક વિષયો છે. તેમાંથી તેઓ જે વધુ હપ્તા પ્રસ્તુત કરવાના છે તેની પ્રતીક્ષા રહેવાની.

આ કાર્યક્રમથી ફરીથી એક વખત જોવા મળ્યું કે નાટ્યપ્રવૃત્તિ માટે સર્જાયેલું સ્ક્રૅપયાર્ડ થિએટર અમદાવાદમાં વૈકલ્પિક, બિનપરંપરાગત અભિવ્યક્તિ માટેની મહત્વની જગ્યા space બની રહ્યું છે. 

દેખીતી રીતે કોઈ પણ સરકારી કે સંસ્થાકીય ટેકા વિના ઠાકોર પરિવાર તેમ જ કબીર અને નેહા તેમના યુવા સાથીઓની મદદથી શહેરીજનોનું સંવેદન સંકોરવામાં તેમ જ તેમની આંતરસમૃદ્ધિને વધારવામાં નિ:સ્વાર્થ સહયોગ આપી રહ્યાં છે.

[તસવીર સૌજન્ય : સુજાત] 
02 ડિસેમ્બર 2023
[975 શબ્દો]
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

...102030...741742743744...750760770...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved