Opinion Magazine
Number of visits: 9457393
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાહિત્ય પરિષદમાં ક્રિયાકાંડ થાય તે જ્ઞાની કવિ અખાનું / ગાંધીજીનું અપમાન છે !

રમેશ સવાણી|Opinion - Opinion|6 December 2023

રમેશ સવાણી

પ્રસિદ્ધ મરાઠી કવિ યશવંત મનોહરે, સાહિત્યના એક કાર્યક્રમમાં સરસ્વતીની પૂજા કરવામાં આવેલ તે કારણે સાહિત્ય સન્માન સ્વીકારવાનો જાન્યુઆરી 2021માં ઈન્કાર કર્યો હતો ! તે વિદર્ભ સાહિત્ય સંઘ દ્વારા લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ માટે પસંદગી પામ્યા હતા. તેમણે કહ્યું હતું કે “દેવીનું ચિત્ર શોષણનું પ્રતીક હતું જે શિક્ષણ અને જ્ઞાન મેળવવા મહિલાઓને તથા શૂદ્રોને રોકતું હતું. હું સાહિત્યના કાર્યક્રમોમાં ધર્મની તરફેણમાં નથી ! એક પુરસ્કાર માટે હું મારા આજીવન વિચારો, મારું લેખન અને મારાં મૂલ્યોને એક બાજુ મૂકી શકું નહીં. એટલે મારે વિનમ્રતાથી અસ્વીકાર કરવો પડ્યો ! મહિલાઓની કેળવણી માટે સાવિત્રીબાઈ ફૂલે અને બીજાં લોકોનું યોગદાન છે, પરંતુ સરસ્વતી દેવીનું આ બાબતે યોગદાન અંગે જણાવો. જો કોઈ મને તર્કથી સંતોષ આપી શકે તો હું મારા આ પગલાં બાબતે વિચારું. દરેક લેખક / કવિ / કલાકાર / રાજનેતા અને મહારાષ્ટ્ર સરકારને અનુરોધ કરીશ કે આવી સાહિત્યિક કે સાર્વજનિક કાર્યક્રમમાં દેવી સરસ્વતીની જગ્યાએ સાવિત્રીબાઈ ફૂલેની તસ્વીર અને બંધારણની પ્રત રાખવાનું વિચારે !”

મહારાષ્ટ્રના કવિમાં આ ચેતના છે. સાહિત્યના કાર્યક્રમમાં ધર્મને / તેના કર્મકાંડને દૂર રાખવા માટે તે બોલી શકે છે. ગુજરાતમાં સ્થિતિ જુદી છે. જ્ઞાની કવિ અખાનું અપમાન થાય તેવું વર્તન ગુજરાતી સાહિત્યકારોનું હોય છે. તેમની આંગળીઓમાં નંગની વીંટીઓ અને કાંડે લાલ-પીળા દોરા બાંધેલા હોય છે ! લાભ પાંચમે, 18 નવેમ્બર 2023ના રોજ, ગુજરાતી સાહિત્ય પરિષદમાં કર્મકાંડ / પૂજાપાઠ યોજાઈ હતી ! 

પરંતુ યશવંત મનોહરની જેમ ગુજરાતી લેખક મંડળે હિમ્મત દાખવી છે ! ગુજરાતી લેખક મંડળના પ્રમુખ મનીષી જાની / ઉપપ્રમુખ પ્રતિભા ઠક્કર / મંત્રી મનહર ઓઝાએ, 5 ડિસેમ્બર 2023ના રોજ, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ / મહામંત્રી તથા અન્ય હોદ્દેદારોને પત્ર લખ્યો છે : “આપ સહુ જાણો છો કે ગુજરાતી લેખક મંડળ લેખકોના હિત, હક અને ગૌરવ માટે કાર્યરત સંસ્થા છે. ગુજરાતી લેખક મંડળ સાહિત્ય પરિષદનું સંસ્થાકીય સભ્યપદ ધરાવે છે અને સંસ્થાના મોટાભાગના સભ્યો પરિષદનું આજીવન સભ્યપદ ધરાવે છે. તાજેતરમાં પરિષદ ખાતે હોદ્દેદારોની હાજરીમાં પૂજાપાઠ અને ક્રિયાકાંડનો જે કાર્યક્રમ થયો તેથી દુઃખદ આશ્ચર્યથી આ પત્ર લખીએ છીએ.”

“કોઈપણ જાહેર સંસ્થા જે લોકશાહી ઢબે ચાલતી હોય, ખાસ કરીને ચૂંટણીની પ્રક્રિયા સાથે જોડાયેલી હોય ત્યાં લોકશાહીનાં પાયાનાં મૂલ્યો જેવાં કે સમાનતા / બંધુતા / બિનસાંપ્રદાયિકતા અગત્યની ભૂમિકા ભજવે છે અને તેમાં પણ આપણાં જેવાં વૈવિધ્યપૂર્ણ ભાષા, ધર્મ અને રીતરિવાજોથી સમૃદ્ધ દેશમાં કોઈ પણ પ્રકારનું એકાંગીપણું, ખાસ કરીને ધર્મને લઈ દર્શાવાય તે સમાજ માટે ઘાતક નીવડે એવું આપણે સહુ કોઈ જાણીએ છીએ. અને એમાં ય આપણે સહુ લેખકો-સર્જકો હોઈએ અને સમાજ સાથે કંઇક નિસ્બત છે એમ માનતા હોઈએ ત્યારે, કોઈ એક ધર્મના ક્રિયાકર્મો સંસ્થામાં થાય તે હરગીઝ ચલાવી ન લેવાય. આ પગલું સમાજના વૈવિધ્યપૂર્ણ વારસામાંથી આવતા આપણા લેખકો-સર્જકોના ગૌરવભંગ સમાન છે. જેને અમે ગુજરાતી લેખક મંડળ તરીકે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ.”

“અમને એવું લાગે છે કે એક વાર આવી ગૌરવભંગ સમાન ઘટનાઓ બને તે માટે જવાબદાર નિર્ણય કરનારાઓની જાણ સંસ્થાના સહુ આજીવન સભ્યોને થાય તે જોવાની ફરજ પણ સંસ્થાના હોદ્દેદારોની બને છે.”

“આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે ચોક્કસ નીતિ-નિયમો, પરિષદ ઘડે અને તેની જાણકારી ઠરાવ રૂપે તેના મુખપત્ર ‘પરબ’માં પ્રગટ કરે અને સાથે સાથે આગામી ભોપાલ ખાતે યોજાનારા અધિવેશનમાં તે રજૂ થાય એવી અપેક્ષા અમે રાખીએ છીએ.”

“આ આગાઉ મોટાપાયે ગેરકાયદેસર વૃક્ષછેદન પરિષદના પરિસરમાં થયું હતું ત્યારે, કેટલાંક લેખકોના વ્યક્તિગત ઊહાપોહ થયા પછી જ તે અંગે તપાસ સમિતિની રચના થઈ હતી અને દોષિતોને ચૂપચાપ ‘વિનયપૂર્વક’ પરિષદના હોદ્દા પરથી રુખસદ અપાઈ હતી. કાયદાકીય રીતે વૃક્ષછેદન તે ગુનો બને છે અને છતાં ય પૂરવાર થયેલા દોષિતોને ‘સવિનય’ સજા વિના છોડી દેવાયા હતા તે પણ યોગ્ય ન જ હતું. પણ આ ઘટના તો વૃક્ષછેદન કરતાંયે વધુ ગંભીર છે. આ તો પરિષદનાં મૂળિયાં જ નેસ્તનાબૂદ કરવા તરફની પહેલ છે.”

“ગાંધીજી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા એનું ગૌરવગાન આપણે સહુ કાયમ કરતાં રહ્યાં છીએ. આ દુર્ઘટનાને લઈ ગાંધીજીને ખાસ એ માટે યાદ કરવા રહ્યા કે, તેઓ જાહેર જીવનમાં આવ્યા બાદ પોતે હિન્દુ છે તેનું ગૌરવ અનેક વાર વ્યક્ત કરતાં હતા, છતાં ક્રિયાકાંડની વાત તો બાજુએ રહી, પણ કોઈ મંદિરના પગથિયાં પણ ચઢ્યા ન હતા, તેની નોંધ આપણે આ ક્ષણે લેવી રહી.”

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

નોબેલ પારિતોષિક વિજેતાઓનાં વક્તવ્યો ગુજરાતીમાં.

કિશોર વ્યાસ|Diaspora - Reviews, Opinion - Literature|6 December 2023

આ મજાનું પુસ્તક સાહિત્યક્ષેત્રે નોબેલ પારિતોષિક વિજેતાઓનાં વક્તવ્યોનું સંપાદન આપે છે. યુનાઈટેડ કિંગ્ડમમાં ભાષા સાહિત્યનું સાતત્યપૂર્ણ કામ કરી રહેલી ગુજરાતી સાહિત્ય અકાદમીનું આ પ્રકાશન એની સાહિત્યપ્રીતિ અને સૂઝનો સંકેત કરનારી છે. આ બધા નોબેલ પારિતોષિક વિજેતા સર્જકોની રચનાઓને સ્પર્શ કરવો એ જ એક મોટી ઘટના છે. આવી કૃતિઓના વાચનમનનથી અંધકારભર્યા ઓરડામાં અજવાળું થઈ ઊઠે. સર્જકોને પણ નવી દિશાઓ તરફ જવાની પ્રેરણા મળે એવું આ પુસ્તકનું વિત્ત છે. આ પુસ્તક વિપુલ કલ્યાણીને અર્પણ કરવામાં પણ એક ઔચિત્ય રહેલું છે. આ સાહિત્યપ્રેમીએ ચાર-સાડાચાર દાયકાથી વિદેશમાં રહીને પણ ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ અને ડાયસ્પોરા સાહિત્યક્ષેત્રે સમર્પણશીલ કામ કર્યા જ કર્યું છે.

અહીં ૧૯૯૧થી ૨૦૧૬ સુધીનો સમયગાળો પસંદ કરાયો છે.સહસ્રાબ્દીના સંધિકાળની આસપાસનાં વર્ષોની આ પસંદગી પણ ઉચિત લાગે છે. આ પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પણ એક અર્થમાં ભારે જવાબદારીનું કામ છે કેમ કે આ સર્જકોનો શબ્દ વિશ્વસ્તરે પોંખાયેલો હોય ત્યારે એના અનુવાદમાં ગફલત ના રહે એ પણ સાવચેતી રાખવી રહે. આથી એવા યોગ્ય અનુવાદકોની શોધ સંપાદકોના પુરુષાર્થ પ્રતિ અંગુલિનિર્દેશ કરે છે. એટલે જ અહીં અશોક વિદ્વાંસ, પીયૂષ જોશી, રંજના હરીશ, બકુલા ઘાસવાલા જેવાં જાણીતાં અનુવાદકોની સાથે હરીશ મીનાશ્રુ કે પ્રતિષ્ઠા પંડ્યા જેવાં કવિતા સ્વરૂપ સાથે ગાઢ રીતે સંકળાયેલા સર્જકોનાં નામો મળે છે. આ પુસ્તકનું આયોજન ચુસ્ત છે. નોબેલ પ્રાપ્ત થયાનું વર્ષ, એની ભાષા અને દેશ, સર્જક્ની તસવીર તો ખરી જ, એ સાથે વ્યાખ્યાનમાંથી તારવેલું એના નોંધપાત્ર અવતરણને બોક્સમાં મૂક્યું છે. વ્યાખ્યાનનો ભાવાનુવાદ કરનારનો સંક્ષિપ્ત પરિચય સંપર્ક સાથે રજૂ કર્યો છે, જેમાં પુસ્તક આયોજનની કુશળતા દૃષ્ટિગોચર થાય છે.

આ પુસ્તકની પ્રસ્તાવના ઘણી અભ્યાસપ્રદ છે. સંપાદકોએ લખેલા આ પરિચયલેખમાં નોબેલ પારિતોષિક વિજેતાઓની આંખે સાહિત્ય પદાર્થ શું છે? એક સર્જક લેખે આ તમામ સર્જકોનું આત્મભાન, સમાજદર્શન, દૃષ્ટિબિંદુ, સર્જનપ્રક્રિયા, ભાષા અને ભાવકોની જે સારરૂપ વાત નોંધી છે એ આ પુસ્તકની નોંધપાત્ર રિદ્ધિસિદ્ધિઓને રજૂ કરી રહે છે. વિવિધ દેશોના સર્જક્ની કેફિયતમાં સાંસ્કૃતિક, સામાજિક વાતાવરણ અને ભાષાનું વૈવિધ્ય આગવી શૈલી રૂપે આવે છે.

અમેરિકન ગીત-સંગીત પરંપરામાં નવીન કાવ્યકલ્પનોને કારણે નોબેલ જીતનારા બોબ ડિલન ત્યાંના પ્રસિદ્ધ ગાયક બડી હોલીના પ્રભાવની વાત કરે છે. એ પછી લોકગીત-લોકસંગીતની અસર વિશે નોંધ આપે છે ત્યારબાદ તેઓના ચિત્તમાં વસી ગયેલાં, શાળામાં વાંચેલાં પુસ્તકોમાંથી ત્રણ પુસ્તકો મોબી ડીક (હર્મન મેલવિલ), ઓલ ક્વાએટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ (એરિક મારીયા રેમાર્ક) અને ધ ઓડિસી(કવિ હોમર)ની વિગતે વાત કરે છે. વિશ્વપ્રસિદ્ધ નાટ્યકાર હેરોલ્ડ પિન્ટર રાજસત્તા અને પ્રજાયાતનાની વાતને કેન્દ્રમાં રાખે છે. એ પાબ્લો નેરુદાની પંક્તિઓને ટાંકીને સામાન્ય જનતા પરના બોંબમારાના હૃદયવિદારક વર્ણનનું સ્મરણ કરે છે. ટોની મોરિસન વૃદ્ધ સ્ત્રીની વાર્તાથી જ પોતાના વક્તવ્યને ગૂંથે છે. દારિયા ફોએ પોતાના લિખિત વક્તવ્યને આકૃતિમાં ઢાળ્યું છે. સાહિત્યની આ વિરાટ પ્રતિભાઓની પોતાની સર્જનયાત્રાની વાત મૂકવાની રીતિઓ કેવી વિલક્ષણ છે એનો અહીં અંદાજ મળે છે.

આ નોબેલ પારિતોષિક વિજેતાઓની યાદીમાંથી વાચક પસાર થાય ત્યારે એ વાચક સાહિત્યવિશ્વની રોમાંચિત યાત્રાની સફરે નીકળી પડે એવી છે. અહીં એલિસ મુનરો (કેનેડા), પેટ્રિક મોટિયાનો (ફ્રાંસ), ઓરહાન પામુક (તુર્કી), ગુન્ટર ગ્રાસ (જર્મની), વી.એસ. નાયપોલ (યુ.કે.) જેવા જુદાજુદા અનેક દેશોનું પ્રતિનિધિત્વ કરતાં સર્જકોનો ભેટો શક્ય બને છે. કેટલાંક વકતવ્યો વિદ્વત્તાથી છલકાતાં છે. કેટલાંક રૂપકાત્મક, અર્થઘન છે તો ચીનના સર્જક ઓ મો યાન મા સાથેનું તાદાત્મ્ય સંભારી સર્જન પ્રવાહોની વાત કહેતા જાય છે. સાવ સાદીસીધી રીતે આ ઉત્તમ કથન કેવું કરી શકાય એનો નમૂનો સર્જક આપે છે.

આપણે ત્યાં જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જકોની કૃતિઓ વિશે, સાહિત્ય અકાદમી, દિલ્હીનાં શ્રેષ્ઠ પુસ્તકોની સમીક્ષાનાં પુસ્તકો થયાં છે પણ નોબેલ જેવા વિશ્વસ્તરનું સન્માન પામેલા સર્જકોની કેફિયત એના સર્જનવિચારો, પૃથક્કરણ, વાતાવરણને આ પુસ્તક મૂકી આપે છે. આવું અમૂલ્ય ઉમેરણ આપણી ભાષામાં સુલભ કરાવવા બદલ સંપાદકો અને અનુવાદકો અભિનંદનના અધિકારી છે. ગુજરાતી વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સાહિત્યરસિકોએ આ પુસ્તકને વધાવી લેવું જોઈએ.

સાહિત્યત્વ – સંપાદક : અદમ ટંકારવી, પંચમ શુકલ; સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક વિજેતાઓનાં વક્તવ્યો, પ્રકાશક : ગુજરાતી સાહિત્ય અકાદમી, યુ.કે. પ્રથમ આવૃત્તિ ૨૦૨૨, ડેમી, પૃ.૪૩૨, કિં. રૂ. ૬૭૫.

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 નવેમ્બર 2023; પૃ. 20-21  

Loading

આ પણ પ્લાસ્ટિક!

સુરેશ જાની|Opinion - Opinion|6 December 2023

અશ્વત્થ હેગડે! તે દિવસે ‘કતાર (UAE)’ ખાતેની તમારી લેબોરેટરીની મુલાકાત લેનાર એ ખબરપત્રીને તમે પાછળ લઈ ગયા અને એક નાની તપેલીમાં પાણી ઉકળવા મુક્યું. પાણી ઉકળ્યું એટલે તમે પ્લાસ્ટિકની હોય તેવી જ દેખાતી એ બેગને તેમાં નાખી. થોડીક વાર આડી તેડી વાતો કરતાં અને પાણી સશેકું થતાં તમે તેના દેખતાં એ પી ગયા!

આશ્ચર્ય પામી ગયેલા ખબરપત્રીને તમે કહ્યું, “રસ્તે રખડતી ગાયોના ફૂલી ગયેલા પેટ અને મરવાના વાંકે જીવતી એ માતાઓને જોઈને મારું હૃદય દ્રવી જતું. કેટલાંય વર્ષોથી એવી બેગ રસ્તે રખડતી ગાયો શી રીતે ચાવતી હશે એની અસમંજસ મને રહેતી હતી. પણ ૨૦૧૨માં મારા માદરે વતન મેન્ગલોરમાં પ્લાસ્ટિકની પાતળી કોથળીઓ વાપરવા પર પ્રતિબંધ મુકાયો, ત્યારથી તો આ વિચાર મારા મન પર સવાર થઈ ગયો હતો. બાયો-કેમિકલ એન્જિનિયર હોવાના સબબે મને  હંમેશ એ જ વિચાર આવતો હતો કે, આ સમસ્યાનો કેમિકલ ઉકેલ ન આવી શકે?”

‘કતાર’ ખાતે ઉદ્યોગો અને વેપારી સંસ્થાઓને કેમિકલ ટેસ્ટિંગની સેવા આપતી તમારી લેબોરેટરીમાં જાતજાતના પ્રયોગો બાદ એક દિવસ અચાનક તમને એ જાદુઈ ફોર્મ્યુલા મળી ગઈ. બટાકા, સાબુદાણા, મકાઈનો સ્ટાર્ચ, કેળા, બીજા એક બે પદાર્થો અને તેલના સંયોજન પર વિશિષ્ઠ કેમિકલ પ્રોસેસના અખતરાઓ કરતાં કરતાં, તે દિવસે તમારી ટેસ્ટ ટ્યુબમાં સાવ પારદર્શક એવો કોઈ પદાર્થ જામેલો તમને દેખાયો.

આની જ તો તમે રાહ જોતા હતા ને? એ પદાર્થમાં ચાર ચાર વર્ષની અથાક મહેનતનો મળેલો બદલો તમે હરખથી નિહાળી રહ્યા.

છ જ મહિનામાં તમારા બાયો કેમિસ્ટ્રીની આવડતના પ્રતાપે તમે પ્લાસ્ટિકની બેગનો ‘ઓર્ગેનિક’ ઉકેલ એવી ‘એન્વી-ગ્રીન બેગ’ બનાવવા માટેની પેટન્ટ તમારા હાથમાં હતી. કર્ણાટક રાજ્યના નિષ્ણાતો સમક્ષ આવી કોથળીઓ બનાવવાના પ્રોજેક્ટ માટેની દરખાસ્ત તમે મૂકી. અનેક નિષ્ણાતોની ચકાસણી બાદ તમને બન્ગલરૂમાં એનો ઉદ્યોગ સ્થાપવાની પરવાનગી પણ મળી ગઈ. ભારતની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાસ્ટિક અને શ્રીરામ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે બહુ સઘન ચકાસણી બાદ તમારી બનાવટની કોથળીને પ્રમાણિત કરી છે. કર્ણાટક પોલ્યુશન બોર્ડનું પ્રમાણ પત્ર પણ તમે મેળવી શક્યા છો.

આ સિદ્ધિને ત્રણ વર્ષ વીતી ગયાં અને માંડ પચીસ વર્ષની ઉમરમાં જ, તમે મહિનાના ૧,૦૦૦ ટન આવી કોથળીઓનું ઉત્પાદન કરતા થઈ ગયા છો. ૬૦ માણસોના સ્ટાફને પણ તમારી ફેક્ટરી રોજી પૂરી પાડે છે. આમ તો પ્લાસ્ટિકની કોથળી કરતાં તમારી બેગની કિમત ૩૫ ટકા જેટલી વધારે છે. (૧૩” x ૧૬”ની સાઈઝની તમારી કોથળીની પડતર કિમત ૩/- રૂ. હોય છે, જ્યારે આ જ સાઈઝની પ્લાસ્ટિકની કોથળીની કિમત  ૨/-  રૂ.) પણ કપડાંની થેલી સાથે રાખવામાં આળસુ બની ગયેલા (!) ગ્રાહકોને સરસ મજાનો ‘લીલો’ ઉકેલ તમે અપાવી દીધો છે. વેપારીઓને પણ ‘ખાંડ, મસાલા, વિ. માટે કાગળની કોથળી કરતાં આ સસ્તો વિકલ્પ છે.’ – એ તમે સમજાવી શક્યા છો.

અલબત્ત હાલમાં તો તમારા કારખાનાનો મોટા ભાગનો માલ કતાર અને અબુ ધાબીમાં જ વેચાય છે. પણ ભારતમાં પણ વેપારીઓ ધીમે ધીમે આ બાબત જાગૃત થતા જાય છે. ‘મેટ્રો’ અને ‘રિલાયન્સ’ના સ્ટોરોમાં નજીકના ભવિષ્યમાં આ થેલીઓ વપરાવાની ચાલુ થઈ જશે, એમ તમને આશા છે.

ઊકળતાં પાણીમાં તો તમારી આ કોથળી પંદર સેકન્ડમાં જ ઓગળી જાય છે. સામાન્ય ઉષ્ણતામાને પણ એક જ દિવસમાં આ કોથળીઓ પાણીમાં પૂરેપૂરી ઓગળી જાય છે. જમીનમાં દાટી દેવામાં આવે તો છ જ મહિનામાં કીડાઓ અને બેક્ટેરિયા એનું રૂપાંતર ખાતરમાં કરી નાંખે છે. ગાયો બકરીઓ એને આરામથી આરોગી શકે છે!

તમે શોધેલી પદ્ધતિમાં બધા ઓર્ગેનિક પદાર્થોને પ્રવાહી રૂપમાં ફેરવવામાં આવે છે, અને પછી છ તબક્કાની પ્રોસેસ બાદ પારદર્શક અને મજબૂત લોંદા જેવું રો મટિરિયલ તૈયાર થઈ જાય છે. એને મશીનમાંથી પસાર કરતાં કોથળીઓના મટિરિયલનો રોલ તૈયાર થઈ જાય છે, જેમાંથી વિવિધ સાઈઝની કોથળીઓ બનાવી શકાય છે. એમની ઉપર રંગબેરંગી પ્રિન્ટિંગ પણ કરી શકાય છે. એમ પ્રિન્ટ કરવા માટેના ઓર્ગેનિક રંગ પણ તમે આવી જ રીતે વિકસાવ્યા છે. તમે બનાવેલી કોથળી એટલી તો મજબૂત છે કે, ગરમ ઈસ્ત્રી અડાડવા છતાં એ ચોંટી કે બળી જતી નથી.

કોથળીઓ બનાવવા માટેની યોગ્ય કાચી સામગ્રી પેદા કરવા માટે ખેડૂતોને પણ તમે તૈયાર કર્યા છે. ખાસ કરીને સાબુદાણા માટે જરૂરી ટેપિયોકા(કસાવા)નાં બી પણ તમે એમને મેળવી આપો છો.

કોણ કહે છે, ‘ભારતના એન્જિનિયરો પોતાની આગવી શોધ કરી શકતા નથી?’
સંદર્ભ –
http://www.thebetterindia.com/77202/envigreen-bags-organic-biodegradable-plastic/
http://www.odditycentral.com/news/indian-company-makes-edible-100-biodegradable-plastic-bags.html
e.mail : surpad2017@gmail.com

Loading

...102030...739740741742...750760770...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved