Opinion Magazine
Number of visits: 9457506
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિક્ષકો વગર શિક્ષણ આપવામાં ગુજરાત મોખરે છે … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|11 December 2023

રવીન્દ્ર પારેખ

ગુજરાત સરકાર કોઈ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવવાની ફિરાકમાં હોય તેમ તેણે, બને ત્યાં સુધી શિક્ષકો પૂરતી સંખ્યામાં સ્કૂલોને અપાઈ ન જાય તેની કાળજી રાખી છે. શિક્ષક વગર શિક્ષણ આપવાના પ્રયોગમાં ગુજરાત મોખરે છે. શિક્ષણ નીતિ નવી આવે તો પણ, શિક્ષકો વગર અમલમાં મૂકવામાં સરકારને કોઈ અડચણ આવતી નથી, એનું આશ્ચર્ય છે. સ્કૂલો હોય તો બંધ થાય, વર્ગો હોય તો જર્જરિત હોય, વિદ્યાર્થીઓ નિયમિત આવતા હોય પણ શિક્ષક સમ ખાવા પૂરતો પણ ન હોય, વર્ગો ખુલ્લામાં એકાદ શિક્ષક દ્વારા માંડ લેવાતા હોય, શિક્ષણનાં ઠેકાણાં ન હોય, પણ પરીક્ષાઓ લેવાતી હોય, પાસિંગ માર્કસ આવતા ન હોય, અરે ! પરીક્ષાઓ ન થઈ હોય, તો પણ વિદ્યાર્થીઓ ઉપલા વર્ગમાં પહોંચ્યા હોય … જેવી અનેક મુશ્કેલીઓ વચ્ચે શિક્ષણ એટલે ચાલે છે કે શિક્ષણ વિભાગની જીવાદોરી ચાલતી રહે, એના અધિકારીઓનાં પગાર, પેન્શન અટકે નહીં !

એ ખરું કે કેટલાક શિક્ષકો વફાદારીથી નોકરી નથી કરતા, પણ બધા જ બિનવફાદાર છે એવું નથી. જે એવા હોય એમની સામે પગલાં લઈ શકાય, પણ પાડાને વાંકે પખાલીને ડામ ન દેવાય. વળી શિક્ષણ જગતમાં જ વફાદારી ખૂટે છે એવું ક્યાં છે? સરકારી ખાતાઓમાં, ખાનગી સંસ્થાઓમાં પણ કામચોરો નથી એવું કહી શકાશે? એટલે થોડા એવા હોય એટલા માત્રથી શિક્ષકો મૂકવા જ નહીં એ બરાબર નથી ને એમાં વિદ્યાર્થીઓનો શો વાંક છે કે એમણે ઓછા શિક્ષકોથી ચલાવવું પડે?  સાધારણ રીતે 30 વિદ્યાર્થીએ એક શિક્ષક હોવો જોઈએ, પણ સેંકડો વિદ્યાર્થીએ પણ એક શિક્ષક ન હોય એવી સ્કૂલો ગુજરાતમાં શોધવી મુશ્કેલ નથી. એક મંત્રીને ત્રીસ સુરક્ષાકર્મીઓ ફાળવવાનો વાંધો નથી આવતો, પણ ત્રીસ વિદ્યાર્થીઓ માટે એક શિક્ષક ફાળવવાનું સરકારને પરવડતું નથી- એવા મતલબના મેસેજમાં તથ્ય છે.

વારુ, શિક્ષકો મળતા નથી એવું નથી. ટેટ-ટાટ પાસ હજારો ઉમેદવારોને કાયમી નોકરી માટે આંદોલન કરવું પડે એ કરુણતા છે. જે કાયમી નોકરીની પાત્રતા ધરાવે છે એમને જ્ઞાન સહાયકની કે પ્રવાસી શિક્ષકની કામચલાઉ નોકરીની ઓફર અપાય એ શરમજનક એટલે પણ છે કારણ, કાયમી કરવા માટે તો એમની પરીક્ષાઓ લીધી અને એમાં એ પાસ પણ થયા ને હવે એમને કામચલાઉ નોકરીમાં રાખવાની યોજના કરીને સરકાર, ભાવિ શિક્ષકોનો ભરોસો તોડી રહી છે. રાજ્યમાં 32,000 કાયમી શિક્ષકોની ઘટ છે, છતાં એ જગ્યા ભરવાને બદલે કામચલાઉ નોકરી અપાય છે, તે એટલે કે કાયમી નિમણૂક અપાય તો નિવૃત્તિ પછીના પેન્શન વગેરે લાભો આપવા પડે. એ લાભ આપવાની, પેન્શન વગેરે લાભોની ખાતરી મેળવી ચૂકેલા મંત્રીઓ અને અધિકારીઓની દાનત નથી તે દુખદ છે.

કોઈ કંજૂસ વેપારી પોતાના કારીગરોને ઓછામાં ઓછો લાભ પણ કેવી રીતે ન મળે એની જે રમત કરે, એવા પેંતરા સરકાર કરે છે. ગુજરાતના શિક્ષણ વિભાગે ત્રણેક વર્ષમાં મંજૂર મહેકમમાં મોટો કાપ મૂકીને 40,000 જગ્યા ઘટાડી દીધી. આ ઘટાડા છતાં 22,721 જગ્યાઓ તો હજી ખાલી જ છે. આ યુક્તિથી 32,000 કાયમી શિક્ષકોની ઘટ, 22 હજાર પર લાવી દેવાઈ છે. આવતે વર્ષે વળી મંજૂર મહેકમ ઘટાડીને કાયમી શિક્ષકોની ઘટ 12 હજાર પર લાવી દેવાય તો નવાઈ નહીં ! 2021-‘22માં પ્રાથમિક શિક્ષકોનું મહેકમ સરકારના જ અહેવાલ મુજબ 2,44,211નું હતું ને શિક્ષકોની ખાલી જગ્યાં 13,270 હતી. 2023-‘24માં શિક્ષકોનું મહેકમ 2.44 લાખ પરથી 2.04 લાખ પર આવી ગયું. સીધો 40,000નો ઘટાડો. આટલા ઘટાડા છતાં, શિક્ષકોની ખાલી રહેલી જગ્યા તો 22,721ની છે જ ! શિક્ષકોની જગ્યા ઘટાડી દેવા છતાં, ભરતી ન થતી હોવાને કારણે આટલી જગ્યાઓ ખાલી રહેવા પામી છે. શિક્ષણ વિભાગે 30થી ઓછા વિદ્યાર્થીઓવાળી સ્કૂલો, નજીકની એકાદ કિલોમીટરના એરિયાની સ્કૂલોમાં મર્જ કરી. એ સ્કૂલના શિક્ષકો પણ નજીકની સ્કૂલમાં ટ્રાન્સફર થયા, એટલે મંજૂર જગ્યાઓમાં ઘટાડો થયો. એનું પરિણામ એ આવ્યું કે ગામડાંની ઘણી સ્કૂલો બંધ થઈ. આ ખેલ તો છેલ્લાં 6 વર્ષથી ચાલે છે ને ગમ્મત એ છે કે કેરળ સહિતનાં 6 રાજ્યોમાં શિક્ષકોની કાયમી ઘટ જેવી કોઈ સમસ્યા જ નથી. ઘટનો આ આખો ખેલ ગુજરાત સરકારની આગવી નીપજ છે.

વિદ્યાર્થીઓ ઓછા થાય તો શિક્ષકોની સંખ્યા ઘટે એ સમજી શકાય, પણ વિદ્યાર્થીઓ વધતા હોય, તો પણ શિક્ષકો ઘટે એ ચમત્કાર કેવળ ગુજરાત સરકાર જ કરી શકે. સંસદમાં ગયા સોમવારે રજૂ થયેલ રિપોર્ટમાં 2019થી ’22 સુધીમાં સરકારી સ્કૂલોમાં 1.23 કરોડ વિદ્યાર્થીઓ વધ્યા, જ્યારે ખાનગી સ્કૂલોમાં એ ત્રણ વર્ષોમાં 99.37 લાખ વિદ્યાર્થીઓ ઘટ્યા. ગુજરાતની વાત કરીએ તો એ ત્રણ વર્ષો દરમિયાન સરકારી સ્કૂલોમાં 2.75 લાખ વિદ્યાર્થીઓ વધ્યા અને ખાનગી સ્કૂલોમાં 5.53 લાખ વિદ્યાર્થીઓ ઘટયા. આ આંકડાઓ એટલું તો સૂચવે છે કે સરકારી સ્કૂલોમાં છેલ્લાં ત્રણેક વર્ષમાં ગુજરાતમાં વિદ્યાર્થીઓ લાખોની સંખ્યામાં વધ્યા છે. જો આ સાચું હોય તો શિક્ષકો વધવા જોઈએ, તેને બદલે ઘટ્યા. 40,000 શિક્ષકો ઘટાડવા છતાં, શિક્ષકોની ખાલી જગ્યા તો 22 હજારથી વધુની રહી જ ! આ આખી કસરત 32 હજાર શિક્ષકોની ઘટ, કાગળ પર 22 હજારની બતાવવા તો નથી થઈને એવો વહેમ પડે. બીજી વાત નોંધવા જેવી એ છે કે આ આંકડા સાચા હોય તો ખાનગી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ દેશમાં અને રાજ્યમાં લાખોની સંખ્યામાં ઘટ્યા છે. સરકારી સ્કૂલો બંધ કરવા છતાં ને ખાનગી સ્કૂલોને ભરપૂર લાઇસન્સ આપવા છતાં, સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ વધ્યા છે અને ખાનગીમાં ઘટ્યા છે તે સૂચક છે. શિક્ષણનું ખાનગીકરણ સરકારને માફક આવતું હોય તો પણ, દેશને અને ગુજરાતને માફક આવ્યું નથી તે સ્વયં સ્પષ્ટ છે. ખરેખર તો સરકારે આ સંકેતોની નોંધ લઈને આગળની સ્ટ્રેટેજી નક્કી કરવાની રહે.

એટલું છે કે ભાવિ શિક્ષકો અને કાર્યરત સરકારી શિક્ષકો સરકારની ગતિવિધિથી સંતુષ્ટ નથી. અન્ય રાજ્યોમાં કાયમી જગ્યાઓ ખાલી નથી, તો ગુજરાતમાં કાયમી જગ્યા ભરવાને બદલે કામચલાઉનો ચાલતો ખેલ લાંબો ચાલવાનો નથી તે સરકારે સમજી લેવાનું રહે. શિક્ષકોની જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી પણ, હવે તો જૂની થવા આવી છે, પણ સરકાર તે તરફ ધ્યાન આપતી નથી. એ માંગ ઉપરાંત કેટલાક પડતર પ્રશ્નોને મુદ્દે 9 ડિસેમ્બરે શિક્ષકોએ વિરોધ પ્રદર્શિત કરવા રાજ્યમાં જુદા જુદા 11 શહેરોમાં એક લાખ શિક્ષકોની પદયાત્રા યોજી. અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચાએ મેગા પદયાત્રાનું આયોજન કર્યું, જેમાં શિક્ષકો સહિત 70થી વધુ સંગઠનો જોડાયાં. આ વિરોધનું મુખ્ય કારણ એ છે કે 2005 પહેલાં નોકરીમાં જોડાયેલા સરકારી શિક્ષકો સહિતના કર્મચારીઓનો ઓલ્ડ પેન્શન યોજનામાં સમાવેશ થયો નથી. સરકાર સમાવેશ કરવાને મામલે સંમત તો થઈ, પણ તેનો ઠરાવ કરવાની તેને આજ સુધી ફુરસદ મળી નથી. અમદાવાદ, સૂરત, નવસારી, ભાવનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને અન્ય વિસ્તારના હજારો શિક્ષકોએ પ્લેકાર્ડ અને બેનર્સ સાથે પદયાત્રાઓ અને મહાપંચાયતો યોજી, જેમાં પેન્શન ઉપરાંત બદલીના નિયમો, શિક્ષકોની કાયમી ભરતી, 4,200 ગ્રેડ પે જેવા પડતર પ્રશ્નોની વાત મુખ્ય હતી. શિક્ષકોનાં આ આંદોલનની અનિવાર્યતા સામે કોઈ પ્રશ્ન જ નથી, પણ શિક્ષણની ગુણવત્તા અંગેની ચિંતા પણ શિક્ષકોએ કરવાની રહે જ છે. NCERT કે GCERT દ્વારા અભ્યાસક્રમોમાં કે પાઠ્યપુસ્તકોમાં મનસ્વી ફેરફારો સામે પણ શિક્ષકો સજાગ અને સભાન રહે એ અપેક્ષિત છે. શિક્ષકોને સોંપાતી શિક્ષણેતર જવાબદારીઓને લીધે વર્ગશિક્ષણ ખોરંભાય છે તે વાતો પણ આંદોલનનું એક કારણ છે – એવી પ્રતીતિ સરકારને કરાવવાની હજી બાકી છે.

સરકારને કદાચ એમ હશે કે શિક્ષકોનું કામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાસેથી લેવામાં આવે તો તેમની જરૂર જ ન રહે, પણ એ ભૂલવા જેવું નથી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખરેખર તો ઇન્ટેલિજન્સનું પરિણામ છે. ઇન્ટેલિજન્સ જ ન હોત તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું સપનું ય પડે એમ ન હતું. એકલવ્યે ગુરુ વગર જ્ઞાન મેળવ્યું, પણ પ્રેરણામૂર્તિ તો ગુરુ જ હતા. ટૂંકમાં, શિક્ષણ માટે શિક્ષક અનિવાર્ય છે, એ વાત સરકાર સુધી પહોંચે તે જરૂરી છે. કમનસીબી એ છે કે શિક્ષક, કારકૂની માટે નહીં, પણ શિક્ષણ માટે અનિવાર્ય છે – એ વાત સરકારને સમજાવવી પડે એ હદે શિક્ષણનું ધોવાણ થયું છે, વધારે શું કહેવું?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 ડિસેમ્બર 2023

Loading

કૉઁગ્રેસે બી.જે.પી. પાસેથી ધડો લેવો જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|10 December 2023

રમેશ ઓઝા

ચૂંટણી જાહેર થાય એ પછી કયા પક્ષ માટે, કે ગઠબંધન માટે, કેટલી અનુકૂળતા છે અને કેટલી પ્રતિકૂળતા છે એનું આખું તર્કશાસ્ત્ર જો ચૂંટણીનું પ્રત્યક્ષ પરિણામ ધારવા કરતાં વિપરિત આવે તો એ પછી બદલાઈ જતું હોય છે. આવો અનુભવ ભારતના પત્રકારોને અને રાજકીય નિરિક્ષકોને ૧૯૮૯થી થઈ રહ્યો છે. મંડલ, કમંડલ અને એ બન્નેમાં મધ્યમવર્ગની વગ વિસ્તરી એ પછીથી ચૂંટણીકીય પરિણામો વિશે ખાતરીપૂર્વક કહેવું મુશ્કેલ બની ગયું છે. ૧૯૮૯ પહેલાં સર્વે અને એક્ઝીટ પોલ સાચા પડતાં હતાં કારણ કે સમાજ આજ જેટલો સંકુલ નહોતો. લોકોની આકાંક્ષાઓ અને સ્વાર્થને અનુલક્ષીને સમીકરણો બદલાતા રહે છે. માટે ચૂંટણી પહેલા મલ્લીનાથી કરનારા પત્રકારો અને રાજકીય સમીક્ષકોને શીર્ષાસન કરવું પડે છે.

સર્વસાધારણ અભિપ્રાય એવો હતો કે કૉંગ્રેસ ભારે બહુમત સાથે તેલંગાણા મેળવશે, પાતળી બહુમતી સાથે મધ્ય પ્રદેશ મેળવશે, ઠીક ઠીક બહુમતી સાથે છત્તીસગઢ જાળવી રાખશે અને રાજસ્થાનમાં પરાજિત થશે. એ પછી વળી અનુમાન કરવામાં આવ્યું હતું કે રાજસ્થાનમાં કાઁગ્રેસ ભારે મુકાબલો કરી રહી છે અને લડાઇ હિન્દીભાષી પત્રકારોનો પ્રિય શબ્દપ્રયોગ વાપરીએ તો લડાઇ કાંટે કી હોગી.

પણ એવું બન્યું નહીં. એક માત્ર તેલંગાણા છોડીને કૉંગ્રેસ નિષ્ફળ નીવડી અને બધાં અનુમાનો ખોટાં પડ્યાં. તેલંગણામાં વિદાય લેતા મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવનો ભદ્દી રીતે નજરે પડે એવો ઉઘાડો પરિવારવાદ અને ઊપરથી ભ્રષ્ટાચાર એવો હતો કે લોકોની અંદર અભાવ પેદા થયો હતો. સામે બી.જે.પી.એ કાઁગ્રેસને હરાવવા કે.સી.આર.ને નકલી લડાઇ દ્વારા છૂપો ટેકો આપ્યો હતો જેનો લાભ કાઁગ્રેસને મળ્યો હતો. હવે કે.સી.આર.ના બી.જે.પી. અને ઇન્ડિયા એલયાન્સથી સમાન અંતર રાખીને રાષ્ટ્રીય નેતા બનવાનાં સપનાં પર પાણી ફરી વળ્યું છે. કે.સી.આર. પોતે બેમાંથી એક બેઠક પર પરાજિત થાય છે. કે.સી.આર. દેવગોવડાના માર્ગે લોકસભાની ચૂંટણી માટે બી.જે.પી. સાથે સમજૂતી કરશે. તેમની પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.

રાજસ્થાનમાં કૉંગ્રેસ ભલે જીતે નહીં, પણ જબરદસ્ત લડત આપશે એવા અનુમાનનું કારણ એ હતું કે રાજસ્થાનમાં બી.જે.પી.નાં કદાવર નેતા વસુંધરા રાજે સિંધિયાને બી.જે.પી.ના કેન્દ્રીય નેતૃત્વએ કિનારે કર્યાં હતાં અને તેને કારણે તેઓ નારાજ હતાં. તેઓ અંદરખાનેથી મુખ્ય પ્રધાન ગેહલોતને મદદ કરી રહ્યાં છે એમ માનવામાં આવતું હતું. બીજું કાઁગ્રેસના કેન્દ્રીય નેતાઓએ મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને સચીન પાયલોટ વચ્ચે સમજૂતી કરાવી હતી અને તેઓ બન્ને જાહેરમાં તો રામ લક્ષ્મણની માફક બંધુભાવનું પ્રદર્શન કરતા હતા. પણ પરિણામ જોતાં બે ચીજ નજરે પડી રહી છે. વસુંધરા રાજે કાં તો એટલાં નારાજ નહોતાં જેટલાં માનવામાં આવતું હતું અથવા તેમની વગ નરેન્દ્ર મોદીની લોપ્રિયતા અને અમિત શાહની રણનીતિ સામે ઝાંખી પડી છે. બી.જે.પી. કોને મુખ્ય પ્રધાન બનાવે છે એના પરથી આનો જવાબ મળી રહેશે. બીજું રાજસ્થાનની ત્રણ દાયકા જૂની પરંપરા છે કે કોઈ પક્ષને રાજસ્થાનના મતદાતાઓ બીજી મુદ્દત આપતા નથી. એટલે પણ બી.જે.પી.નો વિજય આશ્ચર્યજનક નથી.

મધ્ય પ્રદેશમાં કાઁગ્રેસના પરાજયનું કારણ વધારે પડતો વિજયનો ભરોસો લાગે છે. પ્રારંભથી જ પક્ષ એમ માનીને ચાલતો હતો કે મધ્ય પ્રદેશમાં વિજય નિશ્ચિત છે. કાઁગ્રસના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથ તો એવી રીતે વર્તતા હતા કે જાણે મુખ્ય પ્રધાનપદની વરમાળા તેમના ગળામાં છે. આ સિવાય ભલે મોડે મોડેથી પણ નરેન્દ્ર મોદીને અને અમિત શાહને સમજાઈ ગયું હતું કે મામા ઉર્ફે શિવરાજ સિંહ ચૌહાણ વિના વૈતરણી પાર ઉતરે એમ નથી. બી.જે.પી.એ મામાને રાજી કરીને તેમને સુકાન સોંપી દીધું હતું અને મામાએ નૈયા પાર ઊતારી હતી. પણ વિજય મેળવ્યા પછી શિવરાજ સિંહ ચૌહાણને મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે કે કેમ એ સવાલ છે. જો ન બનાવે તો આશ્ચર્ય નહીં પામતા.

છત્તીસગઢનાં પરિણામ ખરેખર આશ્ચર્યજનક છે. રાજ્યના મુખ્ય પ્રધાનનું શાસન પ્રસંશનીય હતું. ખરું પૂછો તો આજના યુગમાં દાખલારૂપ હતું. ત્યાં બી.જે.પી.નો વિજય થયો છે. આદિવાસીઓએ મોટા પ્રમાણમાં બી.જે.પી.ને મત આપ્યા છે એ બતાવે છે કે હિન્દુત્વનું રાજકરણ જંગલ સુધી પહોંચ્યું છે.

એકંદરે જોઈએ તો કાઁગ્રેસે બી.જે.પી. પાસેથી ધડો લેવો જોઈએ. આત્મવિશ્વાસનો દેખાવ અને આત્મવિશ્વાસ પર ભરોસો એ બે જૂદી વસ્તુ છે. બી.જે.પી. આત્મવિશ્વાસનો દેખાવ કરે છે પણ તેનાં પર ભરોસો રાખીને પક્ષ સુસ્ત નથી રહેતો. હાર નજરે પડતી હોવા છતાં છેલ્લા બોલ સુધી પૂરી તાકાત સાથે લડવામાં તે માને છે. કર્ણાટકમાં આ જોવા મળ્યું હતું અને મધ્ય પ્રદેશ તેમ જ છત્તીસગઢમાં તેણે હારને વિજયમાં ફેરવી દીધી. બી.જે.પી. પાસે આર.એસ.એસ.ની કેડર છે અને કાઁગ્રેસ પાસે ગ્રામીણસ્તરે સંગઠનનો અભાવ છે. કાઁગ્રસે નીચેથી પક્ષબાંધણી કરવી પડે એમ છે.

રહી વાત ૨૦૨૪ની તો ૨૦૨૪ની લડત ઇન્ડિયા એલયન્સ માટે ધારે છે એટલી આસાન નહીં હોય એ આ પરિણામોએ બતાવી આપ્યું છે. વિરોધીઓએ નરેન્દ્ર મોદીની ત્રીજી મુદ્દત માટે મનોમન તૈયારી કરવી રહી.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 10 ડિસેમ્બર 2023

Loading

આપણે  

‘બાબુલ’|Poetry|10 December 2023

ક્યાંક લોકો મરે છે આપણે ચૂપ રહો 

દુનિયા જોયા કરે છે આપણે ચૂપ રહો

આભ આખું લગાવે આગ ચોગમ અહીં

ખાક પાણી ભરે છે આપણે ચૂપ રહો

ભૂખ તો ક્યાં ય ખોવાઇ બચપણ જેમ અહીં

છોકરાં કરગરે છે આપણે ચૂપ રહો

ગામ છોડી થવાના બાપડા હિજરતી

જીવ સૌ નો ડરે છે આપણે ચૂપ રહો

હાયકારા ચિત્કારો વંચિતો દફન છો

માત રોયા કરે છે આપણે ચૂપ રહો

દેહ ખંડેર છે, માંહ્યલો ય મૃત બાબુલ

શાંતિ ખોયા કરે છે આપણે ચૂપ રહો

e.mail : fdghanchi@hotmail.com

Loading

...102030...734735736737...740750760...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved