Opinion Magazine
Number of visits: 9665751
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વરાજ સૈનિકોએ આ રાની પરજમાં ભળી જઈ જાગૃતિ અને નવસંસ્કારનું કામ કીધું

Swaraj Sainikoe Aa Raani ParajmaaM Bhadee Jaie Jagruti Ane NavsaNskaarnuM Kaam KeedhuN|Opinion - Opinion|22 May 2024

પ્રકાશ ન. શાહ

જોતજોતામાં વેડછી સ્વરાજ આશ્રમને સો વરસ થઈ ગયાં! નવેક દિવસ પર, તેરમી મેના રોજ અશોક ચૌધરી અને સાથીઓના સદ્દભાવથી આ શતવર્ષી નિમિત્તે ‘સ્વરાજની સંકલ્પના’ આસપાસ થોડા વિચારો રજૂ કરવાનું બન્યું, ત્યારે સ્વાતંત્ર્ય ચળવળ અને સ્વરાજ નિર્માણના દાયકાના દાયકા ચિત્તપટ પર કેમ જાણે ચિત્રપટ પેઠે ઊતરી આવ્યા હતા.

ઘણી વાર એમ લાગે છે કે આપણે વિસ્મૃતિના અજબ જેવા દોરમાંથી પસાર થઈ રહ્યા છીએ. આ લખું છું ત્યારે સાંભરે છે કે ગુજરાતના અલગ રાજકીય એકમની સ્થાપનાને પચાસ વરસ થયાં તે નિમિત્તે 2010માં રાજ્ય સરકારે તંત્ર મારફતે ગામોગામ ઠામોઠામ ઉજવણીનો પરિપત્ર કાઢેલો.

શું શું કરી શકાય, એના એક સૂચન રૂપે એમાં ગુજરાત રાજ્યના ઉદ્દઘાટક રવિશંકર મહારાજને યાદ કરવાનીયે વાત હશે એટલે સુરત કને કોઈ તાલુકા મથકે જે પ્રસંગનું આયોજન થયું એમાં શ્રી શ્રી રવિશંકરની છબિ મૂકાયાના હેવાલો હતા. કેમ કે વેડછી પંથકની વાત કરું છું, સુરત ભણીનો આ દાખલો લગરીક શૂળ પેઠે સાંભરી આવ્યો. પણ આવાં દૃષ્ટાંત તમને વડોદરા-અમદાવાદ-રાજકોટ આસપાસ નહીં જ જડે એમ ખાતરીપૂર્વક કહી શકાતું નથી.

ગમે તેમ પણ, આપણે વેડછીની વાત કરતા હતા – એ વેડછીની, જેનો સોજ્જો અભ્યાસ ગુજરાતના શીર્ષ સમાજશાસ્ત્રી આઈ.પી. દેસાઈએ વારાણસીના ગાંધિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટડીઝના કહ્યે હાથ ધર્યો હતો. વેડછી આમ તો જૂના વારાના સુરત મહાલનું કહો કે છેવાડાનું ગામ. સ્વરાજ ચળવળમાં વધારે ચમકેલું નામ બારડોલીનું, જેણે વલ્લભભાઈને ‘સરદાર’ બનાવ્યા.

એ તો જો કે જરી મોડેથી, 1928માં, પણ જેમાં વલ્લભભાઈની હૂંફે પણ જુગતરામ દવે જેવાના તપે સાંસ્થાનિક સંક્રાન્તિમાંથી સ્વરાજ નિર્માણનો રોડમેપ કહેવાય એવું કાંક ઉપજાવી જાણ્યું એ તો બારડોલીથીયે વળી અંતરિયાળ વેડછી : ત્યાંથી જે બની આવ્યું તે સમાજશાસ્ત્રી આઈ.પી.ના શબ્દોમાં ‘વેડછી મુવમેન્ટ’ (વેડછી આંદોલન) એવી ઓળખ પામ્યું છે.

કોણ હતા આ જુગતરામ જે વેડછી પ્રયોગના પર્યાયપુરુષ રૂપે ઉભર્યા? મૂળ લખતરના પણ દક્ષિણ ગુજરાતમાં વેડછીના વતની થઈને રહ્યા, જેમ હળવદના બબલભાઈ ખેડા પંથકમાં થામણાના થઈને રહ્યા. કરાંચીમાં ઉચ્ચ ભણતરની તક હતી, પણ ‘કાલેલકરના લેખો’ વાંચ્યા પછી ગામડું સાદ દેતું હતું – અને એ બબલભાઈને છેવટ જતાં થામણા લઈ ગયું.

જુગતરામ મુંબઈના હાજી મોહમ્મદના ‘વીસમી સદી’માં કામ કરતા હતા ત્યાંથી સ્વામી આનંદના સંપર્કે કાલેલકર પાસે પહોંચ્યા અને ગ્રામસેવા ને શિક્ષણના ક્ષેત્રે સ્વરાજ સૈનિક થઈને રહ્યા. બારડોલી અને ખેડૂતોની વાત આપણે એક ઇતિહાસવસ્તુ તરીકે ખાસી કરતા હોઈએ છીએ, પણ એને અતિક્રમીને વેડછીની વાત કરીએ ત્યારે આપણા ભારતીય સમાજમાં જે આખાના આખા પ્રજાવર્ગો લગભગ છૂટી ગયા જેવા હતા – પેલું કહે છે ને કે દસાડા દફતરમાં નામ જ નહીં, એવું કાંક – તે પૈકી આદિવાસીઓ પણ છે સ્તો.

જુગતરામભાઈ દવે

આમ તો એ કાળી પરજ તરીકે ઓળખાય પણ સમાનતાલક્ષી નવયુગી સંદર્ભમાં એમને વાજબી રીતે જ ‘રાની પરજ’ શી નવી ઓળખ મળી. જે કેટલાક સ્વરાજ સૈનિકોએ આ રાની પરજમાં ભળી જઈ જાગૃતિ અને નવસંસ્કારનું કામ કીધું, એમાં જુગતરામ દવે (આમ તો ધીરે ધીરે એ જુ’કાકા એટલે જુગતરામ કાકા તરીકે પંકાયા) એક મોખરાનું નામ છે.

ખેડૂતોની વાત આપણે કરીએ છીએ પણ જમીનદારો તળે ચંપાતા હાળીઓની તો વાત જ કરતા નહોતા. આદિવાસીઓ વચ્ચે રચનાત્મક કામ અને પાયાના શિક્ષણ વાટે જુગતરામ કાકા અને સાથીઓએ હાળીને હળપતિ બનાવ્યા. એમને શિક્ષિત કરવાની કોશિશે સ્વાતંત્ર્ય લડતના સમર્થક સમ્પન્નોને ચિંતામાંયે નાખ્યા હતા કે આ લોકો ભણશે તો આપણાં કામ કોણ કરશે. એમની જાગૃતિ વર્ગસંઘર્ષ નો’તરશે એવીયે ફરિયાદ સરદાર સુધી પહોંચી હતી.

સરદારે જો કે ફરિયાદીઓને સમજાવ્યું કે જુગતરામ ને બીજા છે તો ન્યાય ને સમન્વયની એમની રીતે સંઘર્ષ નિવારી શકાશે. કેટલીક વાર જુગતરામ અને એમના સાથીઓએ ઉજળિયાતોનો વિરોધ વેઠીને સમજાવટ છતાં મક્કમતા સાથે કામ પણ લીધું હશે.

તમે જુઓ, આ જે જાગૃતિ આવી, ખાદી કામની સંગઠના થઈ, જંગલ સહકારી મંડળીઓ બની, શિક્ષણ પ્રસર્યું, આદિવાસી બાળકોના સરળ સામાજિકીકરણની કોશિશ રૂપ ‘બાલવાડી’નું હવે ભારતસ્વીકૃત દૃષ્ટાંત ઉભર્યું, ગાંધીની સ્વરાજ લડત સાથે આદિવાસી જાગૃતિની અનોખી ગાંઠ બંધાઈ, કેટલી મોટી વાત હશે !

ઉમાશંકર જોશીએ એકવાર જુ’કાકા વિશે વાત કરતાં જયપ્રકાશને જરા જુદી રીતે સંભાર્યા હતા કે પોતે એમને મળ્યા ત્યારે જે.પી.એ પૂછ્યું કે હમણાં કોઈ નવી રચના? તો, હિંદીમાં ‘રચના’ એ પ્રયોગ કોઈ કૃતિ માટે તેમ પ્રત્યક્ષ કાર્ય એમ બેઉ અર્થમાં થાય છે : ઉમાશંકરે કહ્યું જુ’કાકા અમારામાંથી છટકી ગયેલા રચનાકાર છે. કેવળ એક જ રચના ‘અંતરપટ આ અદીઠ’ થકી પણ એ કવિ તરીકે સુપ્રતિષ્ઠ થઈ ગયા હતા.

પોતે જેલમાં છે એટલે ભીંતની આડશને એમણે અંતરપટ કહી છે. આ અંતરપટ, મને લાગે છે, કથિત ઉજળિયાત અને આદિવાસી વચ્ચેનુંયે છે. તે ગયા વિના ‘ચેન પડે નહીં ચિત્ત’ એવો ઘાટ છે. જો કે, જુગતરામ કાકાના જીવનકાર્યને સંભારું ત્યારે રવીન્દ્રનાથની એમણે ગુજરાતીમાં ઉતારેલી રચના મને હંમેશ પ્રધાનપણે સાંભરે છે : ચરણ આપના ક્યાં વિરાજે … નીચાંમાં નીચાં, દૂબળાં બાપડાં જ્યાં – ચરણ આપના ત્યાં વિરાજે, ચરણ આપનાં ત્યાં!

pastedGraphic.png

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 22 મે 2024

Loading

“યે હો ક્યા રહા હૈ?”

રમેશ ઓઝા|Opinion - Opinion|21 May 2024

રમેશ ઓઝા

“યે હો ક્યા રહા હૈ?” મને ખાતરી છે કે ૧૪મી અને ૧૫મી તારીખે એક ભક્તે બીજા ભક્તને આવો સવાલ કર્યો હશે અને બીજા ભક્તે જવાબમાં કહ્યું હશે કે “મુઝે ભી કુછ સમઝમેં નહીં આ રહા હૈ.” ૧૪મી તારીખે વડા પ્રધાને તેમની પાળીતી ચેનલોનાં પત્રકારોને મુલાકાત આપતા કહ્યું હતું કે હિંદુ મુસલમાનનું કોમવાદી રાજકારણ? છી! છી! છી! આવું ગંદુ રાજકારણ મેં જિંદગીમાં ક્યારે ય કર્યું જ નથી અને જો હું કરું તો જાહેરજીવનમાં રહેવાની કોઈ લાયકાત હું ધરાવતો નથી. એ પછી એમનું હંમેશનું કથન. મુસલમાનો સાથે તો બાળપણનો સંબંધ છે. ઇદના દિવસે મુસલમાનના ઘરે ભોજન કરતો હતો, સેવૈયા ખાતો હતો, તાજીયાના જુલુસમાં ભાગ લેતો હતો વગેરે વગેરે. અને છેલ્લે રાહુલ ગાંધીએ હજુ અઠવાડિયા પહેલાં ભવિષ્ય ભાખ્યું હતું એમ થોડું રુદન. રાહુલે કહ્યું હતું કે ચૂંટણીનાં ભા.જ.પ. માટે અઘરા રાઉન્ડ શરૂ થશે એ પહેલાં રુદન પણ જોવા મળશે અને મળ્યું. અનપ્રેડીક્ટેબલ વડા પ્રધાન પ્રેડીક્ટેબલ બની ગયા છે.

૧૫મી તારીખના ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં પહેલાં પાને વડા પ્રધાનની આ હેડલાઈન હતી અને એ જ અખબારનાં એ જ દિવસનાં અંદરનાં પાને અન્યત્ર જગ્યાએ કરેલી મુસલમાનોની નિંદા હતી. જો મુક્ત પત્રકારત્વનો જમાનો હોત તો આ બન્ને સમાચાર એક જ સ્થળે બાજુબાજુમાં છપાયા હોત.

પણ આ કથન આશ્ચર્યજનક છે. ૨૩ વરસથી તેઓ સતત હિંદુ-મુસ્લિમ કરે છે અને એ આ જગતમાં કોણ નથી જાણતું? હકીકતમાં તેમની ઓળખ જ એ છે અને તેને કારણે તો તેમને ભક્ત મળ્યા છે. ભક્તને એ જ ભગવાન ભાવે જે એના મનોરથ પૂરા કરતો હોય. માત્ર ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે હિંદુ-મુસ્લિમ નહોતું કર્યું, કારણ કે ત્યારે તેમને દિલ્હી પહોંચવું હતું. બાકી યુ ટ્યુબ પર સર્ચ કરશો તો મુસલમાનોને ગાળો દેનારી સો ક્લિપ્સ તો સહેજે મળશે. પંદર-વીસ ક્લિપ્સ તો આ વરસની જ મળી રહેશે. દસેક ક્લિપ્સ ચૂંટણીપ્રચાર શરૂ થયો એ પછીની મળી રહેશે. રાજસ્થાનમાં બાંસવાડાનું તેમનું ભાષણ સાંભળી લો. આવું જ ભક્તોને ભ્રમિત કરી દે એવું ચોંકાવનારું કથન ૮મી મેના રોજ તેમણે તેમના મિત્ર અદાણી અને અંબાણી વિષે કર્યું હતું. એ બન્નેએ ટેમ્પો ભરીને પૈસા કાઁગ્રેસને આપ્યા છે. પોતાના ભાઈબંધની વફાદારી વિષે આમ કહ્યું હતું. ભક્તોને હજુ તો એની કળ વળી નહોતી ત્યાં આ બીજું નિવેદન. માટે ભક્તોએ એકબીજાને ફોન કરીને પૂછ્યું હશે કે યે હો ક્યા રહા હૈ?

આવી રીતે સૂર બદલવાનું કારણ શું? જો કે વિરોધાભાસની તેમણે ક્યારે ય ચિંતા કરી નથી; પછી એ મનરેગા હોય, જી.એસ.ટી. હોય, આધાર કાર્ડ હોય, ખેડૂતોને ટેકાના ભાવ હોય, પેન્શન હોય, ભષ્ટાચાર હોય, ચીન હોય કે બીજું કાંઈ પણ હોય. નરેન્દ્ર મોદી ભારતના પહેલા વડા પ્રધાન છે જેમનાં પોતાનાં જ પરસ્પર વિરોધી નિવેદનોનો એક કોશ બને. આજ કુછ, કલ કુછ. જરૂરિયાત બદલાઈ કે ભાષા બદલાઈ. એક જ અભિપ્રાયને વળગી રહેવું કે ટેકીલા રહેવું એ નમાલાઓનો ગુણ છે, ભડવીર તો સભાએ સભાએ જુદું બોલે. તેમના આ ખાસ ગુણના કારણે મોદી કી ગારંટીની મતદાતાઓ ઉપર કોઈ અસર થતી નથી. પણ આ વખતે અદાણી – અંબાણીનાં નામ પોતાનાં મુખેથી લીધાં અને મુસલમાનો સાથે મોહબ્બત કરવાની જે વાત કરી એ રાબેતાનાં પરસ્પર વિરોધી નિવેદનો કરતાં ઘણું વધુ છે.

શા માટે?

એક કારણ એવું દેખાય છે કે વિશ્વદેશો ભારતની ચૂંટણી પર નજર રાખી રહ્યા છે અને નરેન્દ્ર મોદી ૨૦૦૨ની કોમવાદી અને તિરસ્કૃત ભાષા પર ઉતરી આવ્યા છે એવું જગતનાં અખબારો લખવા માંડ્યા છે. સરકારો કહેવા લાગી છે કે ભારતમાં લોકતંત્ર જળવાઈ રહેશે અને ચૂંટણી મુક્ત અને ન્યાયી હશે એવો અમને વિશ્વાસ છે. આવું કેમ કહ્યું? આ પહેલાં તો ક્યારે ય આવું કોઈ દેશે ભારતનાં લોકતંત્ર અને ચૂંટણી વિષે કહ્યું નહોતું? વગોવણી એટલી હદે થઈ રહી છે કે ભારતના વિદેશ પ્રધાને કહેવું પડ્યું કે ભારતનાં લોકતંત્રની બીજા દેશોએ ચિંતા કરવાની જરૂર નથી, એ આમરી અંગત બાબત છે. હજુ થોભો, રશિયા પાસે કહેવડાવવામાં આવ્યું કે અમેરિકા ભારતની ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

હવે સમસ્યા એ છે કે નરેન્દ્ર મોદીને સત્તા પણ જોઈએ છે અને જગતને ચોરે પાંચમાં પૂછાવું પણ છે. જવાહરલાલ નેહરુને અહીં આંબી જવા છે અને આગળ નીકળી જવું છે. હવે ઓર્દેગોન(તુર્કીના વડા)ને તો આદર મળે નહીં, આદર તો સભ્ય માણસને જ મળે! એટલે હવે જ્યારે ૫૪૪ બઠકોમાંથી ૩૭૮ બેઠકો પર મતદાન થઈ ચુક્યું છે ત્યારે પ્રમાણમાં અજાણ્યો રાગ માણસાઈ આલાપવામાં જોખમ નથી. અને વળી પક્ષના કાર્યકર્તાઓ, સાયબર સેલ અને ભક્તો તો છે જે ઝેર ફેલાવવા માટે. તો બદલાયેલા સૂર પાછળનું પહેલું કારણ જગતમાં ભૂંડા લાગવાથી બચવાનું હોઈ શકે છે.

બીજું કારણ એ છે કે ન કરે નારાયણ અને જો બહુમતી ન મળે અને બીજાના સથવારે સરકાર ચલાવવી પડે તો ઘમંડ, મનમાની, દાદાગીરી અને ઉન્માદ છોડીને વચ્ચે આવવું પડે અને ત્યારે એ બહુ વસમું લાગે. એનાં કરતાં અત્યારથી જ વચ્ચે શા માટે ન આવવું? તમે જોયું હશે કે ગોદી ચેનલો વચ્ચે આવવા માંડી છે અને રાહુલ ગાંધી તેમ જ વિરોધ પક્ષોના નેતાઓને તેમ જ તેમના ચૂંટણી પ્રચારને બતાવવા લાગી છે. દેશમાં ઉન્માદ પેદા કરવાના ગુનેગાર તેઓ બનવા માગતા નથી. આમ પણ આગળ કહ્યું એમ બે તૃતીયાંશ બેઠકોની ચૂંટણી તો થઈ ગઈ છે. તો આ બીજું એટલું જ પ્રબળ કારણ છે.

અને જો જનતાજનાર્દન રૂઠે અને પરાજય થયો તો? તો તો ડહાપણ અને માણસાઈ જ તારી શકે. કઢીચટ્ટાઓ એક એક કરીને ભાગી જાય. અત્યારે જ મૂકેશ અંબાણીની ચેનલો અને ગૌતમ અદાણીની ચેનલો અપમાન સહન કરીને પણ નરેન્દ્ર મોદીને સાથ આપે છે અને બીજી બાજુ પવન જોઇને બીજાને સાથ આપવા માંડ્યા છે. કઢીચટ્ટાઓનો સ્વભાવ છે કઢી ચાટવાનો, એ કોની છે એનાથી તેમને કોઈ ફરક પડતો નથી.

Loading

બંધ કરો આ રમત

રોનક ચંદ્રકાન્તભાઈ જોષી ‘રાહગીર’|Opinion - Opinion|21 May 2024

વર્ષો પછી ભીંતો પણ બોલી હવે બંધ કરો આ રમત,

કાંઈ મળ્યું નથી, ને મળવાનું પણ નથી છોડો મમત.

આડોશી પાડોશી સાથે મક્કમ રીતે જોડાયેલ ભલે છું,

જેટલું સાંભળ્યું સમજ્યું છે એટલું આચરવું ગમત.

દુનિયા છે બેધારી તલવાર જેવી એટલે ખામોશ છું,

અહીં તો સ્વયં સાથે જ છે રાતદિન કશ્મકશ લડતઃ

જિંદગીના રંગ રૂપની એ ધૂપછાંવનો અહેસાસ છે,

એટલે તરોતાજા ઝિંદા – નહિતર હોત જડભરત.

અહેસાસને મહેસૂસ એ રીતે કર્યો છે મેં જીવનમાં,

જેમ રામે રાખી હતી માઁ સમાન મંથરા માટે નફરત.

જીવન છે સુખ દુઃખનું મેદાન એમાં જ જીવવું પડે,

દુનિયા ભલેને ફરે આપણી સામે લઈને કરવત.

e.mail : ronakjoshi226@gmail.com

Loading

...102030...696697698699...710720730...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved