Opinion Magazine
Number of visits: 9457458
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પણ પેલા કલિંગબોધનું શું : એ તો ગોત્યો જડતો નથી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|11 January 2024

હાશ, છાતી પરથી ડુંગર સમાણો પાણો ઉપડી ગયો !

મહારાષ્ટ્રનો અધિકાર ગુજરાતે વાપર્યો એ ગેરકાયદે ગણાય તે મુદ્દો તો હિમદુર્ગનું એકદશાંશમું ટોચકું માત્ર છે. મુદ્દાની વાત, ગુનેગારો સાથે સરકારી મેળાપીપણાની અને સંડોવણીની છે.

પ્રકાશ ન. શાહ

બિલ્કિસનો પત્ર વાંચ્યો તમે ? એ લખે છેઃ ‘આજે મારા માટે ખરેખર નવું વરસ છે.’ રાહતના આંસુએ  રડતી બિલ્કિસે છેલ્લા દોઢ વરસમાં પહેલીવાર બાળુડાંને ગળે લગાડ્યાં છે. એને લાગે છે કે છાતી  પરથી જાણે ડુંગરકદ પાણો ઉપાડી લેવામાં આવ્યો છે, ‘અને ફરીથી હું નિરાંતે શ્વાસ લઈ શકું છું.’  બિલ્કિસ પ્રકરણ ગેંગરેપ અને હત્યાની એવી દાસ્તાં છે જેમાં સીધા સંડોવાયેલાઓએ જ માત્ર નહીં પણ, કમનસીબે, ગુજરાતના વ્યાપક જનસમુદાયે સુ્દ્ધાં અરેરાટીનો આછો અણસાર અનુભવ્યાનું તમારી ને મારી જાણમાં નથી. આ લખું છું ત્યારે મને નિવૃત્ત પોલીસ વડા ગિલ સાથેની વાતચીતનું સ્મરણ થાય છે.

ગુજરાતમાં શાંતિ સ્થાપન માટે વિશેષ અધિકાર સહિત એમને 2002માં મોકલવામાં આવ્યા હતા. આવ્યા ત્યારે એમની કને જૂની અનુભવમૂડી હતી કે આવી અશાંતિના એક દોર પછી આઠદસ  દિવસમાં લોકઉદ્રેક શમી જાય છે. આગલા અનુભવોએ આશ્વસ્ત અને સજ્જ ગિલે અહીં કામ તો ઠીક પાર પાડ્યું પણ એમને કશોક ખટકો રહી ગયો હતો એનો ખયાલ એમની વિદાયક્ષણોમાં આવ્યો.

અમારી વચ્ચે એકબે બેઠકનું અંતર હશે એટલે મેં ચિઠ્ઠીમાં પૂછ્યુંઃ ‘તમને આટલા ગાળા પછી  લોકમાનસ કેવું લાગે છે?’ એમણે હાથમાં લીધી, વાંચી મને સીધો ઉત્તર આપવાની કદાચ સુવિધા  નહોતી. પણ એનો ખંગ એ વિદાયવચનો વાસ્તે ઊભા થયા ત્યારે એમણે વાળ્યોઃ ‘સામાન્યપણે  હિંસક ઘટનાક્રમ પછી જે ઉશ્કેરાટ ને હિંસક ધિક્કારલાગણી ઓસરી જતાં હોય છે – થોડા દિવસોમાં – તે અઠવાડિયાના અઠવાડિયા પછી પણ જેમના તેમ છે. શાંતિસ્થાપનની મારી કામગીરી પતી છે છતાં નથી પતી. કારણ, અહીં હું એ કલિંગબોધ નથી જોતો જે મેં અન્યત્ર જોયેલ છે.’

કલિંગબોધનો અમાનવીય અભાવ કઈ હદે સંસ્થીકૃત થઈ ગયો છે એનો નાદર નમૂનો અગિયાર ગુનેગારોને પંદરમી ઓગસ્ટના શુભ દિને (અલબત્ત, સારું ચોઘડિયું જોઈને સ્તો)  સજામાફી જાહેર કરી છોડી મેલ્યા એ બીનામાં છે. વસ્તુતઃ, કેમ કે ગુજરાતના વ્યવસ્થાકીય રંગઢંગ જોઈ કેસ સરખો નહીં ચાલે એ ગણતરીએ તે મહારાષ્ટ્ર મોકલાયો હતો. ત્યાં સજા જાહેર થઈ હતી. સજામાફી મહારાષ્ટ્ર સરકાર અંતર્ગત આવતો મુદ્દો હતો. છતાં ગુજરાત સરકારે બિલકુલ જાણતે છતે સર્વોચ્ચ અદાલતની આ અગાઉની બેન્ચને પણ ખરી માહિતીથી વંચિત રાખી.

સર્વોચ્ચ અદાલતની હાલની બેન્ચના શબ્દોમાં ગુનેગારો સાથે તંત્રનું મેળાપીપણું હતું. કાયદાની  જોગવાઈ પ્રમાણે મહારાષ્ટ્રમાં જ ચાલવી જોઈતી અદાલતી કામગીરી ગુજરાતમાં ચલાવાય નહીં એવી દેખીતી ટેકનિકલ ભૂમિકાએ હમણાં તો સજામાફી રદ્દ થઈ છે. પણ બધી કાનૂની વિગતો અને સુપ્રીમકોર્ટની ટિપ્પણીઓ જોઈએ તો સમજાય છે કે નકરી ટેકનિકલ રીતે દેખાય છે એ તો હિમદુર્ગનું એકદશાંશમું ટોચકું માત્ર છે.

અપીલ માટે એક સાથે જે ત્રણ મહિલાઓ આગળ આવી એમના આપણે વતનની આબરૂ ખાતર ઓશિંગણ રહીશું. ‘સાઝી દુનિયા’ના રૂપરેખા વર્મા એંસીએ પણ કડેધડે છે. પૂર્વસાંસદ સુહાસિની અલી જોડાયાં – આઝાદ હિંદ ફોજ ખ્યાત કેપ્ટન લક્ષ્મીના દીકરી હોવાપણું કોઈ જેવી તેવી વાત તો નથી સ્તો. અને હાલ, વન્સ અપોન અ ટાઇમ એન.ડી.ટી.વી.ના રેવતી લાલ પણ હતાં – કેમ કે  2002માં એમની કામગીરી સર એ ચશ્મદીદ પૈકી હતાં. ઉપરાંત પોતાને છેડેથી મહુઆ મોઇત્રા અને નિવૃત્ત પોલીસ અધિકારી મીરા ચઢ્ઢા પણ જોડાયાં. સલામ એમને.

કેટલી સાદી વાત છે, રુલ ઓફ લૉ કહેતાં કાયદાનું શાસન ! અને આઇડિયોલોજીના અફીણિયાં ને સૈંયા ભયે કોતવાલિયા શું શું કરી શકે તે આપણે જોઈ રહ્યાં છીએ. ક્યાં સુધી જોતાં રહીશું, કોને ખબર. ખરું જોતાં કાયદાના શાસનને પાયાના ખયાલ તરીકે સ્વીકારીએ તો તરત સમજાઈ રહેશે કે જે  પણ અકરણીય છે એને કથિત ધરમમજહબ કે કથિત વિચારધારાકીય ધોરણે વાજબી ઠરાવી શકાય નહીં. સવાલ નાગરિક સમાજના શીલ અને  સમજનો છે, અને તો જ આપણે નિરાંતે શ્વાસ લઈ શકીએ.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 10 જાન્યુઆરી 2024

Loading

ટ્વેલ્થ ફેઈલ : શિસ્ત વગરની ટેલેન્ટ, રોલર સ્કેટર બૂટ પહેરલા વાનર જેવી છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|11 January 2024

રાજ ગોસ્વામી

આઈ.પી.એસ. અફસર મનોજ શર્મા અને તેમની સિવિલ સર્વન્ટ પત્ની શ્રદ્ધા શર્માનાં જીવન તેમ જ કારકિર્દીના સંઘર્ષ પર આધારિત, ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ, ટ્વેલ્થ ફેઈલ, દેશના લાખો લોકો માટે પ્રેરણાનો સ્રોત બની ગઈ છે.

મધ્ય પ્રદેશનો ગ્વાલિયર પ્રદેશ, ચંબલ નદીની ખીણોમાં રહેતા ડાકૂઓ માટે જાણીતો છે, પરંતુ અહીં રહેતા મનોજ શર્મા નામના એક છોકરાએ તમામ પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે લડીને પોલીસ ઓફિસર બનવાનું સ્વપ્ન પૂરું કર્યું હતું. તે બારમા ધોરણમાં નાપાસ થયો હતો કારણ કે એક પોલીસ અધિકારીના કારણે તેને પરીક્ષામાં ચોરી કરવા મળી નહોતી, પરંતુ એ પોલીસ અધિકારીની નિષ્ઠા તે છોકરાને સ્પર્શી ગઈ હતી અને તેણે નક્કી કર્યું કે તે મોટો થઈને તે અફસર જેવો બનશે.

જો કે, અફસરે તેને સલાહ આપી હતી કે તેના માટે તેણે પરીક્ષામાં ચોરી કરવાનું બંધ કરવું પડશે. મનોજ શર્માએ તે પોલીસ અફસરની વાતને ગાંઠે બાંધી લીધી હતી અને ભણવામાં કોઈ શોર્ટ-કટ આપવાના બદલે જાત મહેનત અને પ્રમાણિકતાનો કઠિન રસ્તો અપનાવ્યો હતો. એ રસ્તા પર અનેક અડચણો આવી હતી, પરંતુ મનોજે હાર માન્યા વગર ધ્યેય પ્રાપ્તિ માટે તેનો સંઘર્ષ ચાલુ રાખ્યો હતો.

ફિલ્મમાં, અટલ બિહારી વાજપેયીની પ્રેરણાદાયી કવિતા ‘હાર ન માનુંગા’ અને અબ્દુલ કલામની સ્ટ્રીટ લાઈટમાં ભણવાની ઘટનાઓનો સમયાંતરે ઉલ્લેખ થતો રહે છે. આ એવા વિદ્યાર્થીઓ માટે એક બોધપાઠ છે જે પોતાની નિષ્ફળતા માટે ગરીબીને દોષી ઠેરવે છે. આ ફિલ્મ એ વાત પર પણ ભાર મૂકે છે કે ભાષા સફળતા માટે અવરોધ ન હોવી જોઈએ કારણ કે ભારતમાં, વિશેષ કરીને સિવિલ સર્વિસની પરીક્ષાઓમાં, હિન્દી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ વિશે પૂર્વગ્રહો છે.

આ ફિલ્મમાંથી છ બોધપાઠ લેવા છે :

૧. ઈચ્છા શક્તિ : જીવનમાં કઈંક કરવા માટે આપણી પાસે ઈચ્છા અને ઈરાદો હોવો જોઈએ. આ એક જ બાબત આપણને આગળ ધકેલે છે. મહત્ત્વનું આ ‘ઉદેશ્ય’ને ઉચિત રીતે પારખવાનું અને જીવનમાં તેનો અમલ કરવાનું છે, કારણ કે ઘણીવાર આ એક જ સમજણ આપણને દોડતા રાખે છે અને કપરા સમયમાંથી ઉગારે છે. મનોજનની યાત્રામાં એવા અવસર પણ આવે, જ્યારે પ્રયાસો કરવાનું બંધ કરી દેવાનું મન થાય છે, પણ ત્યારે તે જાતને જો યાદ અપાવે છે કે મેં આ ‘શા માટે’ શરૂ કર્યું હતું. આ એક શબ્દ- ‘શા માટે’ – લાંબા જીવનનો મંત્ર છે, એ આપણને આગળ જવામાં મદદ કરે છે, જીવન જીવવાનું પ્રયોજન બને છે.

૨. ફોકસ : મનોજનો એક મિત્ર મોજ-મસ્તી અને અતિઆત્મવિશ્વાસમાં છકી જાય છે, પણ મનોજ તેના કામમાંથી નજર હટાવતો નથી. એકાગ્રતા આંતરિક અવસ્થા છે, બાહ્ય નહીં. બહારના વિક્ષેપ કાનમાં પડતા બંધ થઈ જાય ત્યારે નહીં, બલકે મગજના અવાજો બંધ થઈ જાય ત્યારે એકાગ્રતા આવે. કશું પણ શીખવા, સમજવા કે આત્મસાત કરવા માટે મૌન થવું પડે. ઘણા લોકો બાહ્ય શાંતિ વચ્ચે પણ એકાગ્ર થઈ શકતા નથી કારણ કે તેઓ અંદરથી અશાંત છે. આપણે જ્યારે બોલતા હોઈએ ત્યારે નહીં, પણ સાંભળતા હોઈએ ત્યારે કશું શીખીએ છીએ. એટલા માટે અમુક લોકો મોટેથી બોલીને લેશન કરતા હોય છે, જેથી તેમનો અવાજ તેમના માથામાં ચાલતા ઘોંઘાટ પર હાવી થઈ જાય. તેનાથી વિપરીત, એવા ઘણા લેખકો, સર્જકો, કલાકારો, વિજ્ઞાનિકો છે, જે બહારના ઘોંઘાટ વચ્ચે પણ કામમાં એકાગ્ર રહી શકે છે, કારણ કે તેમનું મગજ અંદરથી એટલું શાંત હોય છે કે બાહ્ય વિક્ષેપો તેમને વિચલિત કરી શકતા નથી.

૩. હિંમત : હિંમત એટલે ડરનો અભાવ નહીં. ડરનો સામનો એટલે હિંમત. ડર છે એટલે જ હિંમત છે. મનોજ શર્મામાં નાપાસ થવાનો, ધ્યેય પ્રાપ્તિમાં નિષ્ફળ જવાનો ડર છે અને એટલે જે તે હિંમત એકઠી કરી રાખે છે. આપણે સૌને જીવનના કોઈને કોઈ તબક્કે અલગ-અલગ રીતે ડરનો અનુભવ થયો હશે. કોઈને નિષ્ફળતાનો ડર લાગ્યો હશે, કોઈને બીજાની હાજરીમાં બેવકૂફ સાબિત થવાનો ડર લાગ્યો હશે, કોઈને રિજેક્શનનો ડર લાગ્યો હશે તો કોઈને વંદા-ગરોળીનો ડર લાગ્યો હશે. આમાંથી ઘણા ડર ‘અતાર્કિક’ હોય છે. ડરનો ડર ન લાગે તેને જ હિંમત કહે છે. ડર નોર્મલ થઈ જાય તે હિંમતની શરૂઆત છે. નાનપણમાં પહેલીવાર સાઇકલ પર બેઠા ત્યારે બહુ ડર લાગ્યો હતો, પરંતુ એનો વારંવાર સામનો કર્યો એટલે હિંમત આવી ગઈ. સાઇકલ પરથી પડી જવાની સંભાવના આજે પણ એટલી જ છે, પણ એવું થાય તો શું કરવું તે આવડી ગયું છે. ડરની સમજ પડે તેનું નામ હિંમત.

૪. સંઘર્ષનો આનંદ : મજા બે પ્રકારની હોય છે : એક, નિરર્થક મજા અને બે, સાર્થક મજા. નિરર્થક મજા એટલે જે ધ્યાન ભટકાવે, જે વાસ્તવિકતાને ભૂલવામાં મદદ કરે, જે ટાઈમ પાસ મનોરંજન કરે તે. મનોજના મિત્રની સ્થિતિ આવી છે. સાર્થક મજા એટલે જીવનનાં સંકટ નિપટાવામાં, પોતાની ક્ષમતાઓમાં આત્મવિશ્વાસ વધારે, સ્કિલ્સને ધાર કાઢે, બહેતર બનવામાં મદદ કરે તે. મનોજ બીજા વર્ગમાં આવે છે. આપણી મજાનો સ્રોત શું છે તેના પરથી આપણા જીવનની દિશા અને દશા નક્કી થાય છે. આપણે જો સમસ્યાઓનાં સમાધાન શોધીને, અડચણો દૂર કરીને મજા લેતા હોઈએ તો જીવનમાં દૂર સુધી જઈએ છીએ અને આપણે જો મનોરંજનની મજાને જીવનનો હેતુ બનાવીએ તો આપણું પતન જલદી થાય છે. આપણે પડકારોનો સ્વીકાર કરીએ તો એમાં સ્ટ્રેસ વધી જાય, પણ આપણે જ્યારે પડકારો જીતી જઈએ ત્યારે એની સિદ્ધિનો અહેસાસ અનોખો હોય. આપણું કષ્ટ પડકારોમાંથી નથી આવતું, એ આવે છે પડકારોથી મોઢું છુપાવામાંથી. એટલા માટે ટૂંકા ગાળાની મજામાં બરબાદ થઈ જવા કરતાં લાંબા ગાળાની મજામાં ખર્ચાઈ જવું જોઈએ.

૫. લક્ષ્ય પ્રાપ્તિ : પૌરાણિક રોમના સ્ટોઇક ફિલોસોફર સેનેકાએ કહ્યું હતું કે, “તમે ક્યા બંદર પર લાંગરવા ઈચ્છો છો એની જ જો ખબર ન હોય, તો અનુકૂળ પવન હોય તો ય શું ફરક પડે છે.” આ વાત જીવનમાં એટલી જ લાગું પડે છે. જીવનમાં શું કરવું છે એ જ જો ખબર ન હોય, તો ગમે એટલા અવસર મળે અથવા ગમે એટલા મદદગાર લોકો મળે તે શું કામના? મનોજની વાર્તા અને ચરિતાર્થ કરે છે. આપણું લક્ષ્ય સ્પષ્ટ હોય, આપણે કોઈ હેતુ માટે જીવતા હોઈએ, તો તમામ પ્રતિકૂળતાઓને પણ આપણે પાર પાડી શકીએ. ક્યાં જવું છે એની જ સ્પષ્ટતા ન હોય, તો તમામ અનુકૂળતાઓ પણ વ્યર્થ રહે. જે લોકોને કેમ જન્મ્યા, કેમ જીવ્યા અને કેમ મરી ગયા તેનો અંદાજ ન હોય તે દિશાવિહીન જહાજ જેવા છે. એ તરતા તો રહે, પણ કેમ તરે છે એની ખબર ન હોય.

૬. શિસ્ત : કોઇપણ ક્ષેત્રમાં સફળ થવા માટે અથવા ધાર્યું પરિણામ મેળવવા માટે ટેલેન્ટ જરૂરી હોય છે, પણ એકલી ટેલેન્ટથી કામ નથી ચાલતું. ટેલેન્ટને સફળ થવા માટે શિસ્ત જોઈએ. સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી એક સમયે રેકોર્ડ પાર્ટનરશીપમાં હતા. બન્નેમાં અદ્દભુત ટેલેન્ટ હતી. સચિને તેને ધાર કાઢવા માટે સખત પરિશ્રમ અને શિસ્તનો સહારો લીધો હતો. એ નિવૃત્ત થયો ત્યારે દુનિયાના શ્રેષ્ઠતમ ક્રિકેટર્સમાં તેનું સ્થાન હતું. તેના જેટલી જ ટેલેન્ટ હોવા છતાં, વિનોદ એ ઊંચાઈ પર પહોંચી ન શક્યો, કારણ કે તેનામાં એ શિસ્તનો અભાવ હતો. શિસ્ત એટલે શું? જે ચીજ ઉચિત અને અનિવાર્ય હોય, તેને કરવા માટે જાતને ફરજ પાડવી તેનું નામ શિસ્ત. કોઈપણ ક્ષેત્ર હોય, સફળતા અને નિષ્ફળતા વચ્ચેનો ફર્ક ટેલેન્ટનો નહીં, શિસ્તનો હોય છે. ટેલેન્ટ આપણને મોટિવેટ કરે, પરંતુ એમાં સાતત્ય શિસ્તથી જ આવે. શિસ્ત વગરની ટેલેન્ટ, રોલર સ્કેટર બૂટ પહેરલા વાનર જેવી છે. ગતિ તો હોય, પણ વાનરને ખબર ન પડે કે તે આગળ વધી રહ્યો છે, પાછળ જઈ રહ્યો છે કે આજુબાજુમાં ખસી રહ્યો છે. મનોજ અને તેનો મિત્ર બંને ટેલેન્ટેડ છે, પરંતુ માત્ર મનોજમાં જ ટેલેન્ટની સાથે શિસ્ત છે, જયારે મિત્ર રોલર સ્કેટર પહેરેલો વાનર છે.

(પ્રગટ : “ગુજરાતમિત્ર” / “મુંબઈ સમાચાર”; 07 જાન્યુઆરી 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

શાણા શાસકો માટે ધર્મ અને બીજી ઓળખો ગૌણ હોય છે

રમેશ ઓઝા|Opinion - Opinion|11 January 2024

રમેશ ઓઝા

જે વાચકોએ અયોધ્યાની મુલાકાત લીધી હશે તેમને જાણ હશે કે અયોધ્યામાં બે પાંચ નહીં સેંકડોની સંખ્યામાં મંદિરો છે. જે નથી ગયા તે એક વાર જઈને ખાતરી કરી આવે. અહીંયા સીતામાતાએ રસોઈ કરી હતી, અહીંયા કૈકેયી કોપિત થયાં હતાં, અહીં રાજા દશરથનો મહેલ હતો, વગેરે વગેરે. ભગવાન રામ સાથે સંકળાયેલાં હોય એવાં સેંકડો મંદિરો અયોધ્યામાં છે. ૧૯૯૨ની સાલમાં હું મારાં બાને લઇને અયોધ્યા ગયો હતો અને દરેક મંદિરે દર્શન કરવાનાં મારાં બાના આગ્રહને પરિણામે કંટાળીને હું ગુસ્સે થઈ ગયો હતો એ ઘટના પણ મને યાદ છે. કાશીમાં તો અયોધ્યા કરતાં પણ વધુ મંદિરો છે. ઓછામાં ઓછાં ત્રણ ગણાં હશે. આદિકેશવ ઘાટથી લઇને અસ્સી ઘાટ સુધી ભ્રમણ કરશો તો લગભગ દર ત્રીજા મકાનમાં મંદિર જોવા મળશે. આવું જ મથુરામાં અને અન્યત્ર યાત્રાસ્થાનોએ. બ્રાહ્મણોએ પોતાનાં જીવનનિર્વાહ માટે જ્યાં ત્યાં નિમિત્ત શોધીને નાનાંમોટાં મંદિરો બંધાવ્યાં હતાં અને તેની સાથે આસ્થા જોડી હતી.

હવે સવાલ એ છે અને એનાં તરફ મારા એક મિત્રએ ઘ્યાન દોર્યું છે કે એમાંનાં કેટલાં મંદિરો પ્રાચીન છે? પ્રાચીન એટલે એટલાં પ્રાચીન કે જ્યારે ઇસ્લામનો ઉદય પણ નહોતો થયો અને કોઈ મુસલમાને ભારતમાં પગ પણ નહોતો મૂક્યો, એ પહેલાંનાં મંદિરો. અર્થાત્ ઇસ્વી સનની સાતમી શતાબ્દી પહેલાંનાં મંદિરો. માંડ એકાદ બે મળી શકે અને એ બાબતે પણ શંકા છે. જ્યાં જ્યાં પ્રાચીનતાનો દાવો કરવામાં આવે છે ત્યાં કારબન ડેટિંગ કરીને ખાતરી કરી લેવી જોઈએ. વધુમાં વધુ ૯૫ : ૫ની સરેરાશ મળે. સોમાંથી પાંચ પ્રાગ ઇસ્લામિક પ્રાચીન મંદિર અને ૯૫ ભારતમાં મુસલમાનો આવ્યાં એ પછીનાં.

હવે આનો અર્થ શું થયો? ભારતનાં ૯૫ ટકા મંદિરો ભારતમાં મુસલમાનો આવ્યાં એ પછી બંધાયાં છે. કાર્બન ડેટિંગ કરીને એની પણ ખાતરી કરી શકાય છે. જ્યારે વિજ્ઞાન ઉપલબ્ધ છે તો માન્યતાનો આશારો શા માટે લેવાનો ? હા, એમાં કોઇને બદનામ કરવાનો અને ઠોકાવાનો તેમ જ સત્તાકીય રાજકીય એજન્ડા હોય તો જુદી વાત છે. પ્રિય વાચક, જો તારા ગામમાં એક સમયે નવાબી રાજ હતું તો સ્વયં ખાતરી કરી લે કે કયા નવાબે તારાં ગામનું મંદિર તોડ્યું હતું. મારું ગામ નવાબી શાશન હેઠળ હતું અને દરેક મંદિરના પૂજારીઓને નવાબ તરફથી વર્ષાસન મળતું હતું. ગામની ગાયો માટે નવાબે ગૌચરણની જમીન આપી હતી જે હિન્દુ દેશપ્રેમીઓ ખાઈ ગયા છે. નવાબી હેઠળનાં દરેક ગામનો લગભગ આ જ ઇતિહાસ હશે અને એની મને સો ટકા ખાતરી છે. 

તો આનો અર્થ એ થયો કે ભારતમાં ૯૫ ટકા મંદિરો મુખ્યત્વે મધ્યકાલીન યુગમાં મુસલમાનોનું રાજ હોવા છતાં બંધાયાં છે, જ્યારે કે ઇસ્લામમાં મૂર્તિપૂજા વર્જ્ય છે. બૂતપરસ્તીની નિંદા કરતી આકરી આયાતો કુરાનમાં મળી રહેશે અને હદીસ પણ તેની સાક્ષી આપશે. ઇસ્લામના આદેશની વિરુદ્ધ જઈને મુસ્લિમ શાસકોએ મંદિરો બંધાવા દીધાં છે અને કેટલેક સ્થળે મદદ પણ કરી છે. આવું કેમ બન્યું હશે? અને આ પ્રશ્નનો ઉત્તર જો તમારે શોધવો હોય તો તે સંઘસાહિત્ય વાંચવાથી નહીં મળે. ભગવાને બુદ્ધિ આપી છે એનો ઉપયોગ કરવો પડશે. બુદ્ધિ બહુ અમૂલ્ય જણસ છે, એ વેડફવા માટે નથી અને કોઈનાં ચરણોમાં ધરી દેવા માટે તો બિલકુલ નથી. સમાજમાં વિભાજન પેદા કરીને સત્તા ભોગવવા માગનારા લોકો બે કામ કરે છે. એક અનુકૂળ આવે એવું ધર્મવચન શોધે છે અને પછી એ ધર્મવચનનો કોઈ શાસકે ઉપયોગ કર્યો હોય તો એવી કોઈ અપવાદરૂપ ઘટનાને પ્રચાર દ્વારા નિયમ તરીકે સ્થાપિત કરે છે. કુરાનમાં મૂર્તિપૂજા વર્જ્ય છે અને તેને અનુસરીને મુસલમાનોએ મંદિરો તોડ્યાં હતાં. એ પછી પ્રચારનો મારો શરૂ થાય. એમાં મુસ્લિમ વિરોધી તામસિક માનસ ધરાવનારાઓ હોંશે હોંશે જોડાય અને બુદ્ધિના બારાદાનો પ્રચારને સાચો માનીને જોડાય. 

પણ સવાલ તો બાકી રહે જ છે કે ઇસ્લામમાં મૂર્તિપૂજા વર્જ્ય હોવા છતાં અને દેશમાં અનેક ઠેકાણે તેમનું એક ચક્રી શાશન હોવા છતાં (એટ લીસ્ટ કાશી, મથુરા અને અયોધ્યામાં તો મુસલમાનોનું રાજ હતું જ) આટલાં બધાં મંદિરો કેમ બંધાયાં? અને બંધાયાં તો કેમ બચી શક્યા? આનું શું રહસ્ય છે? તેમને હિંદુઓ માટે કે હિંદુઓનાં મંદિરો માટે પ્રેમ હતો એવું નથી. અને જો હોય તો એકાદ કોઈ શાસકને હોય, બધાને ન હોય.

આનો ઉત્તર એ છે કે મુસ્લિમ શાસકો ભારતમાં બને એટલો લાંબો સમય રાજ કરવા માગતા હતા, ઇસ્લામનો પ્રચાર તેમનો ઉદ્દેશ નહોતો. તેમને એટલું ભાન હતું કે જો રાજ્યમાં શાંતિ અને પ્રજાકીય સૌહાર્દ જાળવી રાખવા હોય તો કોઈની શ્રદ્ધા સાથે ચેડાં નહીં કરવા જોઈએ. દરબારમાં રોજ સવારે ઇસ્લામ અને તુર્કીના મુસલમાનોના ખલીફા તરફ નિષ્ઠાનો કલમો પઢી લીધો અને વાત પૂરી. એ પછી વ્યવહાર જોવાનો. રાજકીય સ્વાર્થ જોવાનો. તમને ખબર છે? એ સમયે અનેક મૌલવીઓ ફરિયાદ કરતાં હતા કે મુસ્લિમ બાદશાહોનું મુસ્લીમ શાસન નામ પૂરતું છે. તેઓ ઈસ્લામ અને ખલિફા સાથે છેતરપીંડી કરે છે. આવા નકલી ઇસ્લામિક રાજ્ય કરતાં તો કાફિરોનું રાજ સારું. પાકિસ્તાનની સ્થાપના પછી મહમ્મદ અલી ઝીણા સામે પણ મૌલવીઓએ આ જ દલીલ કરી હતી.

કોઇને સતાવો, એક પ્રજાને બીજી પ્રજા સામે ઊભી કરો, બદનામ કરો, અંગત ભાવનાઓને દુભાવો તો રાજ કરવા તો મળે પણ લાંબો સમય રાજ કરવા ન મળે. ઔરંઝેબ આનું ઉદાહરણ છે. બાબરથી લઇને શાહજહાં સુધીના મુઘલ શાસકો એકંદરે વ્યવહારિક મધ્યમ માર્ગ અપનાવતા હતા એટલે બસો વરસ રાજ કરી શક્યા હતા. ઔરંગઝેબે મધ્યમ માર્ગ છોડ્યો અને ધીરે ધીરે મુઘલ સામ્રાજ્યનો અંત આવ્યો. પેશ્વાઓએ સવર્ણ અવર્ણ ભેદ કર્યો અને પેશવાઈ ડૂબી ગઇ. મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને કાંગ્રેસે મધ્યમ માર્ગ અપનાવ્યો તો દેશને આઝાદી પણ મળી અને દેશે ગણનાપાત્ર વિકાસ પણ કર્યો. ટૂંકમાં શાસનની ચિરંજીવીતા અને યશ એને મળે છે જે મધ્યમ માર્ગે ચાલે છે. ઇતિહાસ આમ કહે છે.

મુસલમાનો અને પેશ્વાઓ છોડો અહીં અંગ્રેજોના શાસનને પણ યાદ કરી લઈએ. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સંચાલકોએ બ્રિટિશ સરકારને ચોખ્ખું કહી દીધું હતું કે ભારતમાં ધર્માંતર કરાવતા મિશનરીઓને છુટ્ટો દોર આપીને ભારતમાંથી વહેલી તકે ઉચાળા ભરવા છે કે પછી લાંબો સમય ભારતમાં પગ ભરાવીને પૈસા કમાવા છે? નક્કી કરી લો. જો પૈસા પ્યારા હોય તો મિશનરીઓને અંકુશમાં રાખો. બન્ને સાથે ન ચાલે. બ્રિટિશ સામ્રાજ્યે પૈસાને પ્યારો ગણ્યો હતો અને મિશનરીઓ પર અંકુશ મૂક્યો હતો. શાણા શાસકો માટે ધર્મ અને બીજી ઓળખો ગૌણ હોય છે. પણ આ વાત શાણા શાસકોને લાગુ પડે છે.

જો મુસ્લિમ અને અંગ્રેજ શાસકો માટે ધર્મ કેન્દ્રમાં હોત તો બે સંભાવના હતી. કદાચ ભારતમાં હિન્દુઓ લઘુમતીમાં હોત અથવા આતતાયી શાસકોની શાસનદોરી ટૂંકી નીવડી હોત. શું થયું હોત એ કહેવું મારા માટે મુશ્કેલ છે. પણ એવું બન્યું નહીં કારણ કે તેમના શાસનના કેંદ્રમાં દીર્ઘજીવી શાસન અને સમૃદ્ધિ હતાં અને તે પ્રજાકીય સૌહાર્દ દ્વારા જ શક્ય છે.

દરમિયાન એક વાર કાશી, મથુરા અને અયોધ્યા જઇને હિન્દુ મંદિરોની સંખ્યા ગણી આવો. ઓછામાં ઓછાં ત્રણેક હજાર મંદિરો મળશે. તેને મુસ્લિમ શાસકોએ બંધાવાં દીધાં હતાં અને જે બંધાયાં હતાં તેને તોડ્યાં નહોતાં. નહીંતર ત્રણ હજાર મંદિરો કેવી રીતે હોય! અને છેલ્લી વાત. અયોધ્યાનો ચૂકાદો આપતાં સર્વોચ્ચ અદાલતે સર્વસંમતિ સાથે ચૂકાદો આપ્યો હતો કે બાબરી મસ્જિદની જગ્યાએ મંદિર હોવાનાં અને તેને તોડ્યું હોવાના કોઈ પુરાવા નથી.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 11 જાન્યુઆરી 2024

Loading

...102030...696697698699...710720730...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved