Opinion Magazine
Number of visits: 9457398
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચિપકો આંદોલનની અડધી સદી : સફળતા અને વિફળતા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|17 January 2024

ચંદુ મહેરિયા

આઝાદ ભારતના ઇતિહાસમાં ચિપકો આંદોલનનું અનોખું સ્થાન છે. તેમાં મહિલાઓની અહિંસક લડાયક ભૂમિકા અતુલનીય હતી. આ આંદોલન ન માત્ર પર્યાવરણ રક્ષાનું હતું, પરંતુ કુદરતી સંસાધનો પર કોનો અધિકાર સવિશેષ હોવો જોઈએ તે માટેનું પણ હતું. સ્વંત્રતતાની પહેલી પચીસી પછી ગાંધી – સર્વોદય અને સામ્યવાદી કાર્યકરો દ્વારા ગાંધી ચિંધ્યા અહિંસા અને સત્યાગ્રહના માર્ગે થયેલું એક એવું આંદોલન હતું જે પ્રાદેશિક ના રહેતાં દેશ-વિદેશમાં પ્રસર્યું હતું. તેણે પર્યાવરણને રાષ્ટ્રીય મહત્ત્વનો વિષય બનાવ્યો હતો અને પર્યાવરણ રક્ષામાં મહિલાઓની ભૂમિકા સંદર્ભે ઈકો-ફેમિનિઝમનો નવો સિદ્ધાંત પણ સ્થાપિત કર્યો હતો.

અડધી સદી પહેલાં ૨૭મી માર્ચ ૧૯૭૪ના રોજ ચિપકો આંદોલનનો આરંભ થયો હતો. તત્કાલીન ઉત્તર પ્રદેશ અને હાલના ઉત્તરાખંડના, ભારત તિબેટ સરહદ પરના, તાલુકા મથક જોશીમઠથી અગિયાર કિલોમીટર દૂરનું રૈણી ગામ (જિલ્લા ચમોલી) તેનું આરંભબિંદુ હતું અને ગૌરાદેવી તેના જનની હતાં. હિમાલયના વનવિસ્તારના આ ગામમાં સરકારની મંજૂરીથી ઘણાં વૃક્ષો કપાવાનાં છે તેની ચર્ચા અને વિરોધ ચાલુ હતા. એ દરમિયાન જ્યારે ગામમાં કોઈ પુરુષ હાજર ન હોય તેવું ગોઠવીને ઠેકેદારના માણસો ઝાડ કાપવા આવ્યા. આ વાતની  જાણ ગામની મહિલાઓને થતાં ગૌરાદેવીના નેતૃત્વમાં ગામની ૨૭ મહિલાઓ વિરોધ કરવા દોડી ગઈ. તેમને બીજું કંઈ ના સૂઝતાં તેમણે વૃક્ષોને બાથ ભરી લીધી અને પડકાર કર્યો કે તેને કાપતાં પહેલાં કુહાડી અમારા પર ચલાવો. શાંત અને અહિંસક સત્યાગ્રહથી કોન્ટ્રાકટરના માણસો પાછા પડ્યા અને તેઓને ચાલ્યા જવાની ફરજ પડી.

રૈણી ગામનાં મહિલાઓનો વિરોધ સ્વયંભૂ હતો એ ખરું પણ તેની પાછળ આર્થિક અને પર્યાવરણીય એવી પૃષ્ઠભૂમિ અને સંઘર્ષ પણ હતો. ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ પછી  ઉત્તરાખંડના આ હિમાલયી ક્ષેત્રમાં વિકાસ કાર્યોની શરૂઆત થઈ. સડકો અને સુરંગોનું નિર્માણ અને તે માટે વૃક્ષોનું છેદન તેમાં મુખ્ય હતા. તેને કારણે ભૂસ્ખલન, માટીનું ધોવાણ અને પૂરની ઘટનાઓ બની હતી. ૧૯૭૦નું અલકનંદા નદીનું વિનાશક પૂર લોકોની આંખ ઉઘાડનારું બન્યું. આ પૂરથી લોકોની જમીન અને જીવન નષ્ટ થતાં તેઓ સંગઠિત થયા અને સરકારની વિકાસ નીતિ સામે સવાલો ઊભા કર્યા. સરકાર અને કોન્ટ્રાકટરના વિરોધમાં ઠેરઠેર વિરોધ કાર્યક્રમો થયા. ગાંધીવાદી સામાજિક આગેવાનો સુંદરલાલ બહુગુણા અને ચંડીપ્રસાદ ભટ્ટ, સામ્યવાદી આગેવાન ગોવિંદસિંહ રાવત અને સ્થાનિક મહિલા આગેવાનો તેમાં મોખરે હતાં.

વનોનો વિનાશ કરી સરકાર વૃક્ષોને ઔદ્યોગિક હેતુ માટે બહારના ખાનગી હાથોને આપી રહી હતી. મહિલાઓ માટે જંગલ એટલે પિયર. સંકટ સમયનો આશરો. બળતણ માટેનું લાકડું, ઢોર-ઢાંખરા માટે ઘાસચારો અને રોજગારી જંગલોને કારણે મળતી હતી. પહાડી પ્રજાનું સમગ્ર જીવન તેના પર આધારિત હતું. જો એ ના રહે તો તેમનું જીવન દોહ્યલું બની જાય. વૃક્ષોને કારણે જ વરસાદ અને પાણી મળે છે. માનવ અસ્તિત્વના આધારરૂપ જમીન, વાયુ અને પાણી તેને કારણે છે. એટલે આંદોલનની મુખ્ય માંગણી પહાડી વિસ્તારોમાં લીલાં વૃક્ષોના છેદન પર પ્રતિબંધની હતી. જંગલોનો વ્યાવસાયિક હેતુ માટે ઉપયોગ રોકવાની હતી. રોજગારીના અભાવે જ્યારે પુરુષોને અન્યત્ર સ્થળાંતર કરવાની ફરજ પડે ત્યારે કુંટુંબનું જીવન  ટકાવવાનો મહિલાઓનો આધારા જંગલો હતાં. સ્થાનિક લોકો જ જંગલોને બચાવે છે તે બાબત પણ નીતિ નિર્માતોના ભેજામાં ઉતારવાની હતી.

સુંદરલાલ બહુગુણા

લગભગ દોઢસો કરતાં વધુ ગામોમાં ચિપકો આંદોલના ફેલાયું હતું. સુંદરલાલ બહુગુણાના આમરણ ઉપવાસ, પદયાત્રા, મોટા વિરોધ પ્રદર્શનો, સત્યાગ્રહો, ધરણા અને સભાઓને કારણે સરકારને ચિપકો આંદોલનકારીઓની વાત સાંભળવી પડી. હિમાલયી વનો દેશ માટે પાણી પેદા કરે છે, માટી બનાવે છે, સુધારે છે અને ટકાવે છે. એટલે લીલાં વૃક્ષોનું છેદન ૧૦થી ૨૫ વરસ સ્થગિત રાખવા અને હિમાલયી ક્ષેત્ર ઓછામાં ઓછા ૬૦ ટકા વૃક્ષાચ્છાદિત ના બને ત્યાં સુધી વ્રુક્ષોની કાપણી ના કરવી,  યુદ્ધ સ્તરે  મોટા પાયે વૃક્ષારોપણ કરવું જેવી માંગણીઓ માટે ૧૯૭૪માં યુ.પી. સરકારે આંદોલનકારી નેતાઓ સહિત નિષ્ણાતોની સમિતિ બનાવી હતી. બે વરસ પછી ૧૯૭૬માં સમિતિએ તેનો અહેવાલ આપ્યો. જેમાં માંગણીઓ વાજબી અને સાચી લાગતાં તેણે ૧,૨૦૦ વર્ગ કિ.મી.ના વિસ્તારમાં વ્યાવસાયિક વન છેદન પર ૧૦ વરસનો પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી. રાજ્ય સરકારે આ ભલામણ સ્વીકારતાં આંદોલનને મોટી સફળતા મળી. ૧૯૮૦માં તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ હિમાલય ક્ષેત્રમાં વ્યાવસાયિક વૃક્ષછેદન પર ૧૫ વરસનો પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો હતો.

ચિપકો આંદોલને પર્યાવરણ જાગ્રતિ અને સ્થાનિક લોકોનો કુદરતી સંસાધનોના ઉપયોગ પર હક અને જાળવણીની ફરજ સ્થાપિત કરી. પ્રાદેશિક આંદોલને રાષ્ટ્રીય વનનીતિ ઘડવાની દિશામાં ચર્ચા જગવી. કેન્દ્ર સરકારમાં પર્યાવરણ મંત્રાલયની રચના, ૧૯૮૦નો વન સંરક્ષન અધિનિયમ, ૧૯૮૮ની રાષ્ટ્રીય વન નીતિ ચિપકો આંદોલનને કારણે શક્ય બન્યાં હતાં.  ચિપકો આંદોલન બીજ બચાવો આંદોલન, નદી બચાવો આંદોલન, વૃક્ષારોપણ અભિયાન, પર્યાવરણ ચેતના અને જાગ્રતિ અભિયાન, ખનન વિરોધી આંદોલન, વનપંચાયત સંઘર્ષ આંદોલન, ટિહરી બંધ પરિયોજના વિરોધી આંદોલન જેવા આંદોલનોમાંથી વિસ્તરીને અંતે સમગ્ર હિમાલય બચાવોમાં પરિવર્તિત થયું તે તેની મોટી સિદ્ધિ છે. પહાડી વિસ્તારની મહિલાઓ ઘરનો ઉંબરો છોડી આંદોલનમાં મોખરે રહી તે મહિલા જાગ્રતિકરણની દિશામાં મહત્ત્વની સફળતા છે.

અપ્પિકો આંદોલન એ ચિપકો આંદોલનની કર્ણાટક આવૃત્તિ છે. કર્ણાટક, કેરળ, બિહાર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ જેવાં રાજ્યોમાં આ આંદોલન પહોંચ્યું હતું. ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, સ્વિત્ઝરલેન્ડ, કેનેડા, મેક્સિકો, ડેન્માર્ક અને મલેશિયામાં પણ વૃક્ષ છેદનના વિરોધમાં વૃક્ષોને ગળે લગાડવાનું અને તે રીતે માનવી અને વૃક્ષ વચ્ચેનો પ્રેમ અને તેના પરનો આધાર વ્યક્ત કરવાની ચિપકો આંદોલનની રણનીતિ વૈશ્વિક બની હતી. અહિંસક સત્યાગ્રહનું આ ગાંધી મોડેલ આજે પણ પ્રસ્તુત છે તે તેણે દુનિયાને દેખાડ્યું હતું.

ચિપકો આંદોલનને તેની પચાસીએ મૂલવતાં કેટલીક વિફળતાઓ પણ જણાય છે. જે વિકાસના મોડેલનો તેણે વિરોધ કર્યૉ હતો તે આજે વધુ મજબૂત બન્યું છે. ચિપકો આંદોલને ઘણી રાજકીય સંભાવનાઓ જન્માવી હતી, પરંતુ તેનો ઉપયોગ થઈ શક્યો નહીં. વૃક્ષ્છેદન પરનો પ્રતિબંધ પૂર્ણ થયા પછી તેને લંબાવવા માટે આંદોલન કંઈ કરી શક્યું નહીં. સ્થાનિક પહાડી પ્રજાને ઘાસચારા માટે ઉપયોગી પહોળાં પાનનાં ઝાડને બદલે હવે વ્યાવસાયિક ઉપયોગ માટેના શંકુ આકારના ઝાડ વધ્યાં છે. ઉત્તરાખંડમાં આકાર લઈ રહેલી ચારધામ રાજમાર્ગ જેવી અવૈજ્ઞાનિક માર્ગ નિર્માણ નીતિનો વિરોધ કરવાનું ચિપકો આંદોલનની વારસદાર નવી પેઢી કે તે કાળના હયાત નેતાઓ માટે કેમ બન્યું નથી તે પણ સવાલ છે. હિમાલયને પર્યટનનું કેન્દ્ર બનાવવા એરપોર્ટ, રેલવે, હોટલોનું નિર્માણ થવા લાગ્યું છે. મોટા બંધો, ખનિજોનું ખોદકામ, રોપ-વે, જળવિધ્યુત યોજનાઓ જેવી બાબતોએ પણ ચિપકોની સફળતાને ધોઈ નાંખી છે.

ગાંધીના માર્ગે લોકશક્તિનો વિનિયોગ કરીને મહિલાઓ, આદિવાસીઓ અને ગરીબ ગ્રામીણોનું જન આંદોલન સરકારને નમાવી શકે છે તે ચિપકોની બેમિસાલ સિદ્ધિ છે. પર્યાવરણ કર્મશીલ વંદના શિવાના શબ્દોમાં ચિપકો આંદોલન ઐતિહાસિક, દાર્શનિક અને સંગઠનાત્મક રૂપે પારંપારિક ગાંધીવાદી સત્યાગ્રહોનું વિસ્તૃત સ્વરૂપ તો હતું જ માનવ અસ્તિત્વ સામેના ખતરાને રોકવાનો સભ્ય સમાજનો સભ્ય ઉત્તર હતો.

e.mail : maheriyachandu@gmail.com

Loading

ખાતર પર દિવેલ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|16 January 2024

રવીન્દ્ર પારેખ

એ સાચું કે ભારત વૈશ્વિક શક્તિ તરીકે ઊભરી રહ્યું છે, પણ વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં તેનું  સ્થાન ઉત્તરોત્તર પતનની ગર્તામાં ધકેલાઈ રહ્યું છે. છેલ્લાં 12 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં ભારતનું  સ્થાન નથી. એની સામે ભારતનાં હરીફ ગણાતાં ચીનની, વિશ્વની 300 યુનિવર્સિટીઓમાં 24 યુનિવર્સિટીઓ છે. એ રીતે ચીન ભારતથી ઘણું આગળ છે. 140 કરોડની વિશ્વની સૌથી મોટી લોકશાહી માટે એ શરમજનક છે કે તેની એક પણ યુનિવર્સિટી વિશ્વની શ્રેષ્ઠ 300 યુનિવર્સિટીઓમાં ક્યાં ય નથી. એમાં ગુજરાત તો શોધ્યું જડે એમ નથી. જો કે, શૈક્ષણિક પતનનો મોડે મોડે પણ ખ્યાલ આવ્યો હોય કે કેમ, પણ થોડો સળવળાટ 2024ની શરૂઆતમાં જોવા મળ્યો છે, તેને શુભ સંકેત ગણવો પડે.

શુક્રવારે સુરતના એક સમાચાર એવા આવ્યા, જેમાં DEO ભગીરથસિંહ પરમારે 42 સ્કૂલના આચાર્યો સાથે બેઠક કરીને, ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા 2023માં ધોરણ દસ-બારની લેવાયેલી પરીક્ષાઓમાં, વિદ્યાર્થીઓનાં નબળાં પરિણામ અંગે શું થઈ શકે એ અંગે ચર્ચા કરી. 49 સ્કૂલો એવી છે જેનું પરિણામ શૂન્ય કે 30 ટકાથી પણ ઓછું છે. એમાં સારી વાત એ હતી કે DEOના પ્રયત્નો બોર્ડની પરીક્ષાઓનું પરિણામ સુધારવા અંગેના હતા. તેમણે આચાર્યોને એક્શન પ્લાન આપ્યો. એમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે અગાઉના પ્રશ્નપત્રો પરથી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર તૈયાર કરીને વિદ્યાર્થીઓની ઓપન બુક એક્ઝામ લેવી. એમ થશે તો વિદ્યાર્થીઓ પરીક્ષા પદ્ધતિથી ને જવાબો લખવાથી ટેવાશે. એ પછી વિદ્યાર્થીઓની બોર્ડમાં લેવાય છે એ પદ્ધતિએ પરીક્ષા લેવી. DEOએ એ ખાતરી પણ આપી કે વિષયો અને પ્રકરણો પ્રમાણે વિદ્યાર્થીઓ કેવી રીતે વધુ માર્કસ મેળવી શકે તેનું મોડ્યુલ એક્સ્પર્ટસ પાસેથી તૈયાર કરાવી જે તે સ્કૂલોને મોકલાશે ને તેની તૈયારીઓ વિદ્યાર્થીઓ પાસે કરાવવાની રહેશે.

DEOએ 49 સ્કૂલોને નોટિસ અપાયાનું કારણ આપતાં કહ્યું કે પૂરતા શિક્ષકો છતાં, શાળાનું પરિણામ નબળું આવ્યું છે. સાહેબની આ વાત સત્યથી વેગળી છે, કારણ વર્ષોથી હજારો કાયમી શિક્ષકોની જગ્યાઓ ભરાઈ નથી. જ્ઞાન સહાયકો હાજર થયા નથી ને પ્રવાસી શિક્ષકોની મુદ્દત જાન્યુઆરીમાં પૂરી થવામાં છે, એ સ્થિતિમાં કાયમી તો ઠીક, કામચલાઉ શિક્ષકોના ય ઠેકાણાં નથી, ત્યાં નબળાં પરિણામ કેવી રીતે સુધરે તે પ્રશ્ન જ છે. એમ લાગે છે કે ગુજરાત સરકાર શિક્ષકો વગર જ પરિણામો સુધારવાનો ડોળ કરી રહી છે.

જે શાળાના આચાર્યો બેઠકમાં ઉપસ્થિત ન હતા તેમને સાત દિવસમાં એક્શન પ્લાન આપવાની તાકીદ કરાઇ છે અને 2024માં પરિણામ નબળું આવ્યું તો જે તે આચાર્યો સામે પગલાં ભરવાની ફરજ પડશે એવી ચેતવણી પણ ઉચ્ચારાઈ છે. આમાં સારી વાત એ છે કે ઘણે વખતે વિદ્યાર્થીઓ અંગે વાત થઈ છે. નબળા વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળ બનાવવા, શિક્ષકો એવું કરી શકે કે એવા વિદ્યાર્થીઓને તેઓ વહેંચી લે. જેમ કે કોઈ સ્કૂલમાં દસ વિદ્યાર્થીઓ છે ને શિક્ષકો પાંચ છે તો તે બબ્બે વિદ્યાર્થીઓ વહેંચી લઈને વિશેષ ધ્યાન આપીને ભણાવે. એ ઉપરાંત જરૂર પ્રમાણે જે શાળાઓનું પરિણામ શ્રેષ્ઠ આવ્યું છે તેનાં ઉત્તમ શિક્ષકો અઠવાડિયે બે દિવસ સ્પેશિયલ ક્લાસ લે એવી ગોઠવણ કરી આપવાની ખાતરી પણ DEOએ આપી છે. સાહેબ આવું કરી શકે તો આનંદ જ થાય, બાકી, શ્રેષ્ઠ શિક્ષકો એમની સ્કૂલનું 100 ટકા પરિણામ જળવાઈ રહે તે જોવાને બદલે વધારાની મદદ કરવા તૈયાર થાય એવું ભાગ્યે જ બને.

આ 49 સ્કૂલોએ દર અઠવાડિયે કેટલો સુધારો થયો તેનો રિપોર્ટ કરવાનો રહેશે – એવી તાકીદ પણ કરવામાં આવી છે. એ રિપોર્ટ જે તે વિષયના શિક્ષકોએ કરવાનું અનિવાર્ય છે. વિષય શિક્ષકોએ જે તે વિદ્યાર્થીના વાલીનો અઠવાડિયામાં બે વખત સંપર્ક કરીને વિદ્યાર્થીનું પરિણામ સુધારવા જરૂર પડ્યે કાઉન્સેલિંગ પણ કરવાનું રહેશે. આ કડકાઈની એટલી અસર તો પડી કે સ્કૂલોએ એક્શન પ્લાન DEOને સોંપ્યો. ફેર એટલો પડ્યો કે રેગ્યુલર ક્લાસ ઉપરાંત વધારાના વર્ગો શરૂ કરાયા છે ને પેપર પ્રેક્ટિસ પણ શરૂ કરાવાઈ છે. આવો જ પ્રયત્ન અમદાવાદ DEO રોહિત ચૌધરીએ 3 જાન્યુઆરી, 2024ને રોજ કર્યો છે. તેમણે 30 ટકાથી ઓછું પરિણામ લાવનારી સકૂલોને પરિપત્ર મોકલ્યો છે, જેમાં 100 ટકા કોર્સ પૂરો કરીને ડિજિટલ પ્રશ્નપત્ર બેન્કનો મહત્તમ ઉપયોગ કરવાની તાકીદ કરાઇ છે, જેથી વિદ્યાર્થીઓ 33 ટકા ગુણ મેળવી શકે.

મોડે મોડે પણ DEO નબળાં પરિણામો અંગે ચિંતિત છે, તે જાણીને આનંદ થાય, પણ સતત મોનિટરિંગ વગર ગાડી પાટે ચડાવવાનું મુશ્કેલ છે તે સમજી લેવાનું રહે. આ સાવચેતી રાખવામાં લગભગ બધા જ DEO મોડા છે. ગયા માર્ચની પરીક્ષાનું પરિણામ તો મેમાં આવી ગયું હતું ને સાહેબો જાન્યુઆરી અડધો થવા આવ્યો ત્યારે મેદાનમાં આવ્યા છે. વળી બોર્ડની પરીક્ષાઓ માર્ચમાં લેવાની વાત છે, એટલે દોઢેક મહિનામાં જે થઈ શકે તે કરવાનું છે. જિલ્લા શિક્ષણાધિકારીઓના સૂચવાયેલા ઉપાયો પર નજર નાખીએ તો કેટલીક વાતો ધ્યાને ચડે છે.

1. સાહેબે પેપર પ્રેક્ટિસ કરાવી ઓપન બુક એક્ઝામ લેવાની વાત કરી છે. કોની એક્ઝામ લેવાની વાત છે, આ? તો કે, 10/12ના નબળા વિદ્યાર્થીઓની. એવા વિદ્યાર્થીઓ જેમને 10માં સુધીમાં થોડાં વર્ષ તો લેખિત પરીક્ષાઓ આપવાનું બન્યું જ છે. એમની સત્રાંત પરીક્ષાઓ લેવાઈ છે. દસમાંમાં બોર્ડની પરીક્ષા પદ્ધતિ મુજબ પણ એક્ઝામ્સ લેવાઈ છે. પ્રિલિમ લેવાઈ છે. વળી 12 ધોરણવાળાઓને તો પરીક્ષાઓ આપવાનો વધુ બે વર્ષોનો અનુભવ પણ મળ્યો છે, તેમાં ય દસમાની પરીક્ષા પાસ કરવાનો બોર્ડનો અનુભવ તો ઓલરેડી છોગામાં છે જ ! આ વર્ષોમાં ક્યારે ય ઓપન બુક એક્ઝામ લેવાઈ નથી, તો એની નવી ટેવ પાડવાની જરૂર ખરી? ને એ પ્રેક્ટિસ પછી બોર્ડની જે એક્ઝામ માર્ચ, 2024માં વિદ્યાર્થીઓ આપવાના છે તે તો બુક વગર આપવાની છે, તો એની ટેવ માટે સમય પૂરતો થઈ પડશે? કોઈ પણ વર્ષમાં ઓપન બુક એક્ઝામ્સ સ્કૂલનાં વર્ષોમાં લેવાઈ જ ન હોય તો એ આખો ખ્યાલ બકરું કાઢતાં ઊંટ પેઠું – જેવો તો ન થાયને તે જોવાનું રહે. નબળું પરિણામ ઓપન બુક એક્ઝામથી જ સુધારી શકાય એવું સાહેબને કેવી રીતે લાગે છે તે સમજાતું નથી. જે વિદ્યાર્થીઓને ઉત્તરો લખવાનો કે પેપરનો સામનો પહેલી વાર કરવાનો આવ્યો છે, તેમને પણ ઓપન બુક એક્ઝામનો લાભ અપાયો નથી, તો હવે છેક દસમાંમાં વિદ્યાર્થી વખતો વખત લેખિત પરીક્ષાઓ આપી ચૂક્યો છે, ત્યારે ઓપન બુક એક્ઝામનો વિચાર જ બધી રીતે નકારવા યોગ્ય છે.

2. સવાલોનો સવાલ તો એ પણ છે કે ધોરણ દસ/બારની બોર્ડની પરીક્ષા સુધી વિદ્યાર્થીઓ આવ્યા તે પરીક્ષાઓ આપ્યા વગર? કે વગર પરીક્ષાએ જ બધા દસમાં/બારમાં સુધી આવી ગયા છે? વારુ, માત્ર દસમાંની વાત વિચારીએ તો નવમા સુધી પરીક્ષાની ખબર હતી ને કોઈક રીતે પાસ પણ થયા છે. તો, દસમાંમાં આવતાં જ એકાએક પરીક્ષાઓ કેમ અપાય તે ભૂલી ગયા કે એમને ઓપન બુક એક્ઝામમાં ઉતારવા પડે? આપણું શિક્ષણનું માળખું એવું તો છે જ કે વિદ્યાર્થીઓને ભણવાનો અનુભવ કદાચ નહીં હોય, પણ પરીક્ષાનો અનુભવ તો વર્ષોનો છે.

3. માત્ર 10નાં રિઝલ્ટની જ વાત કરીએ તો 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ 2022માં 1,007 હતી, તે 2023માં 77 વધીને 1,084 થઈ. શૂન્ય ટકા પરિણામ લાવનારી શાળાઓ રાજ્યમાં 2022માં 121 હતી, તે 2023માં 36 વધીને 157 થઈ. મતલબ કે નબળાં પરિણામમાં શાળાઓએ ઠીક ઠીક વિકાસ કર્યો છે. 30 ટકાથી ઓછાં પરિણામવાળી શાળાઓ ગ્રાન્ટેડ અથવા તો સરકારી છે. એનાં વિદ્યાર્થીઓ ટ્યૂશન ક્લાસમાં જતા હતા કે વર્ગશિક્ષણ પર જ આધારિત હતા તે ખબર નથી, પણ એટલી અટકળ તો થઈ જ શકે કે આવી સ્કૂલના વિદ્યાર્થીઓ ટ્યૂશન ક્લાસમાં નહીં જઈ શકતા હોય, બાકી ક્લાસિસમાં તો પરીક્ષાનો સારો એવો અનુભવ મળી રહેતો હોય છે. એ ઉપરાંત પણ સ્કૂલો પરીક્ષાઓ તો લેતી જ હોય છે, એટલે વિદ્યાર્થીઓ એમાં બેસતા નહીં હોય તો જ પરીક્ષાનો અનુભવ નહીં હોય, એ સ્વીકારીએ તો  સવાલ એ થાય કે આ વિદ્યાર્થીઓ 10માં સુધી આવ્યા કઇ રીતે? 9 ધોરણ સુધી તો એ પાસ થયા કે એમ જ સીધા 10માંમાં આવી ગયા?

4. DEOએ વિદ્યાર્થીઓ પરીક્ષામાં વધારે માર્કસ મેળવી શકે એ માટે, એક્સપર્ટ દ્વારા મોડ્યુલ તૈયાર કરાવવાની વાત કરી છે. તેવું થાય તો સોના કરતાં પીળું, પણ જાન્યુઆરી અડધો વીતી ચૂક્યો હોય ને પરીક્ષા ધસમસતી આવી રહી હોય ત્યારે એક્સપર્ટ પાસે મોડ્યુલ તૈયાર કરાવવાનું ને તે સ્કૂલોને ને ત્યાંથી વિદ્યાર્થીઓને પહોંચાડવાનું સરળ નથી. એ મોડ્યુલ હાથમાં આવ્યા પછી વિદ્યાર્થીઓ એની તૈયારી કેવી ને કેટલી કરી શકે એ પણ વિચારવાનું રહે. ટૂંકમાં, પરીક્ષા આવી ચડી હોય ત્યારે આ આખો ઉપક્રમ પાર ન પડે તો ‘ખાતર પર દિવેલ’ થવાની શક્યતાઓ વધે જ છે.

5. એમ લાગે છે કે જે વિદ્યાર્થીઓ વર્ગમાં કે પરીક્ષામાં સતત વર્ષોથી હાજર જ ન રહ્યા હોય તેમને ઓપન બુક એક્ઝામ કે પેપર પ્રેક્ટિસની નવાઈ હોય, બાકી દસમાં સુધી પ્રશ્નપત્રોની જાણકારી વગર વિદ્યાર્થી એમ જ પાસ થયા કરે તો આપણો શૈક્ષણિક સ્તર કઇ હદે નબળો છે એ કહેવાની જરૂર ખરી?

જે સ્તરે સ્કૂલ શિક્ષણ કથળ્યું છે એ નવી શિક્ષણ નીતિને બહુ ઝડપથી જૂની કરી દે એમ બને, કારણ એ પોલિસીનો સૂચારુ રૂપે અમલ થાય એવી વ્યવસ્થા કરવાની જ શિક્ષણ વિભાગની તૈયારી ન હોય, તો એકલી પોલિસી જાતે તો સફળ ન થાયને !  રાજ્ય સ્તરે જ શિક્ષણની અમર્યાદ દુર્દશા સતત વર્તાતી હોય ત્યાં વૈશ્વિક સ્તરે ગુજરાતનું સ્થાન નિમ્ન સ્તરે પણ કેટલું નીચે હોય એની તો કલ્પના જ કરવાની રહે છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 16 જાન્યુઆરી 2024

Loading

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (27) : સમાપન-લેખ : સંસ્કૃત કાવ્યશાસ્ત્ર સમર્થ ontological corpus of poetics છે  

સુમન શાહ|Opinion - Opinion|16 January 2024

સુમન શાહ

આ પહેલાંનાં લેખોમાં, કેટલાક કાવ્યાચાર્યો વિશે વાત કરી, તે ઉપરાન્ત —

અર્થાલંકારોના વાસ્તવ, ઔપિમ્ય, અતિશય, શ્લેષ એવું વર્ગીકરણ કરનાર રુદ્રટ (નવમી શતાબ્દીનો પ્રારમ્ભ : ગ્રન્થ, “કાવ્યાલંકાર”); 

નાટક, પ્રકરણ, ભાણ, પ્રહસન, ડિમ, વ્યાયોગ, સમવકાર, બીથી, અંક, ઈહામૃગ એમ રૂપકના ૧૦ પ્રકાર દર્શાવનાર ધનંજય (દસમી સદી, ઉત્તરાર્ધ : ગ્રન્થ, “દશરૂપક”); 

અર્થના ‘વાચ્ય’ અને ‘અનુમેય’ પ્રકારો દર્શાવનાર મહિમ ભટ્ટ (અગિયારમી શતાબ્દીનો મધ્યકાળ : ગ્રન્થ, “વ્યક્તિવિવેક”);

વાઙ્મયના કાવ્ય, શાસ્ત્ર, ઇતિહાસ, કાવ્યશાસ્ત્ર, કાવ્યેતિહાસ, શાસ્ત્રેતિહાસ એમ ૬ પ્રકાર દર્શાવનાર ભોજદેવ (અગિયારમી શતાબ્દીનો પૂર્વાર્ધ : ગ્રન્થ, “સરસ્વતીકણ્ઠાભરણ”);

પૂર્વવર્તી કાવ્યાચાર્યોની કાવ્યશાસ્ત્રસમ્બન્ધી ધારણાઓનું પર્યવેક્ષણ કરનાર રુય્યક (બારમી શતાબ્દીનો મધ્ય ભાગ : ગ્રન્થ, “અલંકારસર્વસ્વ”);

વાક્યમ્ રસાત્મકમ્ કાવ્યમ્ -ના ઉદ્ગાતા અને કાવ્યનાં પૂર્વકાલીન લક્ષણોની વીગતવાર ટીકાટિપ્પણી કરનાર વિશ્વનાથ (ઇસવી સન ૧૩૦૦-૧૩૫૦ : ગ્રન્થ, “કાવ્યદર્પણ”);

—વગેરે કાવ્યાચાર્યો થઈ ગયા છે. 

આમ, વિક્રમ-પૂર્વ બીજા શતકમાં થઈ ગયેલા ભરત મુનિથી માંડીને સત્તરમી સદીમાં થઈ ગયેલા જગન્નાથ સુધીના કાવ્યાચાર્યોની પરમ્પરા કાવ્યજ્ઞાનના પિપાસુઓ માટે સદા સ્મરણીય અને પ્રેરણાદાયી નીવડે એવી સમૃદ્ધ અને બહુમૂલ્ય છે. એ સુદીર્ઘ સમયપટ દરમ્યાન નિત્ય વિકસેલા આ સંસ્કૃત કાવ્યશાસ્ત્રને હું અદ્વિતીય વારસો ગણું છું. 

મારું દૃઢ મન્તવ્ય છે કે સંસ્કૃત કાવ્યશાસ્ત્ર એક સમર્થ ontological corpus of poetics છે. એના સમર્થનમાં, મારે મારાં ૪ મન્તવ્યો રજૂ કરવાં છે : 

૧ : બે વિચારધારા :

હું એમ માનું છું કે સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં વ્યક્ત થયેલો કાવ્યવિચાર બે ધારામાં વહ્યો છે : 

પહેલી ધારા :

એમાં, કાવ્યસર્જનના પરિણામે, ભાવન સંદર્ભે સંભવતા અનુભવની પર્યેષણા થઈ છે. એ અનુભવ છે – રસાનુભવ – કલાનુભવ – ઍસ્થેટિક ઍક્સપીરિયન્સ. મુખ્ય પર્યેષકો છે, રસસૂત્રકાર ભરત, સૂત્રના ટીકાકાર લોલ્લટ, શંકુક, ભટ્ટ નાયક, અભિનવગુપ્ત, રસનો ધ્વનિતત્ત્વ સાથે સમ્બન્ધ જોડનાર આનન્દવર્ધન, અને વામન. કાવ્યકલાના અનુભવ-વિષયના એ સૌ સમર્થ દાર્શનિકો છે, કાવ્યશાસ્ત્રીઓ છે. એમણે સાગમટે ચિન્તવ્યું કે મનુષ્યજીવનના ભાવસમૂહનું ‘સંયોગાત્’ રસસમૂહમાં રૂપાન્તર થાય છે. વામને એ રૂપાન્તરની રીતિને વર્ણવી બતાવી. 

બીજી ધારા :

એમાં, એ રસાનુભવનું સર્જન જેમાં થાય છે એ માધ્યમની પર્યેષણા થઈ છે. એ માધ્યમ તે ભાષા – અલંકૃત ભાષા – કાવ્યભાષા. મુખ્ય પર્યેષકો છે, ભામહ, દણ્ડી, ઉદ્ભટ્ટ, કુન્તક અને વિશ્વનાથ. એ સૌ કાવ્યમાધ્યમના જ્ઞાતા કાવ્યશાસ્ત્રીઓ છે. એમણે ચિન્તવ્યું કે જીવન-વ્યવહારમાં પ્રયોજાતી ભાષા કેવી રીતે કાવ્યભાષા બને છે. એમણે દર્શાવ્યું કે અલંકારતત્ત્વ અને વક્રતાયુક્ત ઉક્તિ-તત્ત્વોને કારણે કાવ્યભાષા સંભવે છે. લગભગ સૌ કાવ્યાચાર્યોએ એ પણ સૂચવ્યું કે કાવ્યભાષામાં ગુણ અને દોષ કેવો તો પ્રભાવક ભાગ ભજવી શકે છે, વિશ્વનાથે એ ગુણ-દોષની સાધકબાધક ટીકા કરી.

૨ : મતભિનન્તા અને મતવૈવિધ્ય :

મારું બીજું મન્તવ્ય છે કે રસ ધ્વનિ અલંકાર રીતિ ઇત્યાદિ તત્ત્વો વિશે, એ દરેક વિશે, વિભિન્ન આગ્રહો જનમ્યા, સૈકાઓ લગી ઘુંટાયા, અને એને કારણે રસસમ્પ્રદાય વગેરે જુદા જુદા સમ્પ્રદાયો ઉદ્ભવ્યા. એ મતભિન્નતા કે મતવિવિધતા સૂચવે છે કે આ કાવ્યાચાર્યોનું સાહિત્યવિષયક દર્શન મૂળગામી હતું એટલું જ વિપક્ષ વિશે સમુદાર હતું. સર્જન અને કલાસર્જન જેવી મૂળભૂત માનવીય વૃત્તિ-પ્રવૃત્તિ વિશેનો એ વિમર્શપરામર્શ અનેકશ: સુચિન્તિત છે, આવકાર્ય છે. 

૩ : સુગ્રથિત સાહિત્યવિચાર :

મારું ત્રીજું મન્તવ્ય છે કે સંસ્કૃત કાવ્યશાસ્ત્ર એક સુગ્રથિત સાહિત્યવિચાર છે. કેમ કે —

— એમાં, કાવ્યની સુદૃઢ વ્યાખ્યાઓ અને તેનાં વિવરણ છે. એથી કાવ્યના સ્વરૂપને, નૅચરને, સમજવા માટેનું એક સુગ્રથિત માળખું રચાયું છે.

— એમાં, કાવ્યસર્જનના વસ્તુની તેમ જ રીતિની, કન્ટેન્ટ તેમ જ ફૉર્મની, ચર્ચા છે. ભાવોનું રસમાં રૂપાન્તર કરનારા ‘સયોગ’-ની ચર્ચા છે.

— એમાં, કાવ્યકલાના ફળની, ફન્કશનની, ચર્ચા છે. એ ફળ તે રસ, કલા.  

— એમાં, પ્રતિભા, વ્યુત્પત્તિ, અભ્યાસ જેવાં કાવ્યસર્જનનાં કારણસ્વરૂપ હેતુઓની, બીજા શબ્દોમાં, સર્જકની સજજ્તા અથવા પૅરાફે’નેલિયાની ચર્ચા છે. કહેવાયું છે કે કવિએ શબ્દ, છન્દ, કોષપ્રતિપાદિત અર્થ, ઐતિહાસિક કથાઓ, લોકવ્યવહાર, યુક્તિઓ અને કલાઓનું મનન કરવું જોઈશે. 

— એમાં, રસાનુભવની પ્રાપ્તિ જેવા આ શાસ્ત્રના બીજા છેડાની ચર્ચા છે. બીજે છેડે શ્રોતા કે વાચક છે. શાસ્ત્રમાં એને સહૃદય ભાવક કહ્યો છે. એની સજજ્તા માટે કહેવાયું છે કે એણે ઉત્તમ સાહિત્યકૃતિઓનું પરિશીલન કરવું જોઈશે. સહૃદયની તુલનામાં અન્ય માટે જડ, અરસિક, અવ્યુત્પન્નમતિ, અલ્પધીય વગેરે શબ્દો પ્રયોજાયા છે.

— એમાં, કાવ્યસર્જનનાં યશ વગેરે પ્રયોજનોની (કે પરિણામોની) ચર્ચા છે. 

૪ : સર્વાંગસ્પર્શી ઉદ્યમ : 

મારું ચૉથું મન્તવ્ય એ છે કે એમાં શાસ્ત્ર-સ્થાપનને માટેનો સર્વાંગસ્પર્શી ઉદ્યમ ભળ્યો છે. એ ઉદ્યમમાં વૈવિધ્ય સાથેનું સાતત્ય છે. જેમ કે —

— ભરત મુનિના “નાટ્યશાસ્ત્ર”-માં નાટક મુખ્ય વિષય છે. પરન્તુ એમણે આપેલા રસસૂત્ર અનુષંગે કાવ્ય આખ્યાયિકા ગાથા એમ વિચાર વિસ્તર્યો છે. જેમ કે, મહિમ ભટ્ટ અને ભોજ ‘કાવ્ય’ અને ‘નાટ્ય’-નો ભેદ પાડે છે. ભોજ વાઙ્મયના વક્રોક્તિ, રસોક્તિ, સ્વાભાવોક્તિ વર્ગ પાડે છે, રસોક્તિને સૌથી વધુ હૃદયગ્રાહિણી ગણે છે. કાવ્યશાસ્ત્રમાં એ પ્રકારે વાઙ્મયના અન્ય વિભાગોનો સમાસ થયો છે. 

— ચર્ચા હમેશાં શબ્દ અને અર્થ બન્નેને લક્ષમાં રાખીને થતી હોય છે. કેમ કે, વાક્યમાં કે પરિચ્છેદમાં, શબ્દ શ્રુતિ રૂપે અને અર્થ તાત્પર્ય રૂપે નિર્ણાયક ભાગ ભજવતા હોય છે.

— રસનો શબ્દશક્તિ સાથે કે કાવ્ય સાથેનો વાચ્ય-વાચક, ગમ્ય-ગમ્યક, લક્ષ્ય-લક્ષક કે ભાવ્ય-ભાવક ભાવ ચર્ચાયો છે; એથી ચર્ચાની તર્કસંગત પરિપાટીનો અંદાજ આવે છે.

— રસતત્ત્વ જ એક સત્ય છે, જુદા જુદા વિદ્વાનો એને પોતાના શબ્દોમાં પોતપોતાની શૈલીએ કે રીતેભાતે વર્ણવે છે.

— પાયામાં સ્થાયી ભાવ છે એ હકીકતનો સૌએ સ્વીકાર કર્યો છે. એના સ્વાદ્યત્વને કારણે રસ સંભવે છે. છતાં, રસને ‘પ્રતીયમાન’ ગણીને તેઓએ એ સૂક્ષ્મ તત્ત્વના સ્વરૂપની રક્ષા કરી છે.

— શબ્દ અને અર્થ ઉપરાન્ત, હમેશાં ધ્વન્યાર્થની ચર્ચા થતી હોય છે. કેમ કે, કવિતામાં કે સાહિત્ય સમગ્રમાં, શબ્દાર્થ દ્વારા હમેશાં કશુંક ધ્વનિત થતું હોય છે, સૂચવાતું હોય છે.

— જે સૂચવાય છે એ રસ અથવા કલા હોય છે, અને તે હમેશાં અનુભવનો વિષય હોય છે. આ સંદર્ભમાં કહેવું જોઈએ કે સૌ કાવ્યાચાર્યો સ્વ મતની રજૂઆત કરે છે, પણ એ સ્વ મતને તેઓ રસ અને ધ્વનિવિચારમાં પૂરેપૂરી સાવધતાથી ભેળવી દે છે, અને એ પ્રકારે વિચારવર્તુળને સમ્પન્ન કરે છે. 

— આ કાવ્યાચાર્યો વાચ્યત્વને નકારે છે, પૂછે છે કે વિભાવ અનુભાવ વ્યભિચારી ભાવના સંયોગથી રચાતી રસ-પ્રતિપત્તિ વાચ્ય શી રીતે હોઈ શકે? કેમ કે નહિતર તો અવ્યુત્પન્નચિત્ત અરસિકોને પણ રસાસ્વાદ મળે ! કાવ્યાચાર્યો હમેશાં એક જ વાત કરે છે કે સહૃદયોને જ રસાનુભૂતિ થઈ શકે. 

— કાવ્યચર્ચામાં હમેશાં કાવ્યના ‘આત્મા’-ની સ્થાપના થતી હોય છે પણ ‘કાવ્યદેહ’-ને પણ એટલો જ ધ્યાનમાં લેવાતો હોય છે; એટલું જ નહીં, દેહના અંગાંગમાં એ આત્મારૂપ તત્ત્વની ગવેષણા થતી હોય છે. આ સંદર્ભમાં, મને, મનુષ્યના ભાવસમૂહના વ્યાખ્યાતા ભરત, વક્રોક્તિના વ્યાખ્યાતા કુન્તક અને ઔચિત્યના વ્યાખ્યાતા ક્ષેમેન્દ્ર ઉત્તમ દૃષ્ટાન્તરૂપ લાગ્યા છે. 

— આ એક મહાન પાણ્ડિત્યપરમ્પરા છે – ઍરુડિશનલ ગ્રેટ ટ્રેડિશન. સૌ કાવ્યાચાર્યો પોતપોતાનો સ્વતન્ત્ર મત રચે છે. તેમછતાં, લગભગ દરેક કાવ્યાચાર્યે પૂર્વવર્તી આચાર્યોને પચાવ્યા છે. જેમ કે, સૌએ ભરત મુનિના રસસૂત્રને કેન્દ્રમાં રાખીને એ ‘સંયોગાત્’ રચાતા અને અનુભવાતા રસની પર્યેષણા કરી છે. એટલું જ નહીં, સૌએ રસતત્ત્વવિચાર અને ધ્વનિવિચારને પોતપોતાની રીતે સ્વીકાર્યો છે, તેનું સંવર્ધન કર્યું છે. રુય્યકે ભામહ, ઉદ્ભટ્ટ, રુદ્રટ, વામન, શંકુક, અને આનન્દવર્ધનના વિચાર-મન્તવ્યોની સમીક્ષા કરી છે. વિશ્વનાથે ‘કાવ્યસ્ય આત્મા ધ્વનિ’ છે, એ વિશે પ્રશ્ન કર્યો છે; દોષરહિત, ગુણસહિત અને અલંકારોથી વિભૂષિત શબ્દાર્થને કાવ્ય કહેવાય એ ચીલાચાલુ મન્તવ્યની પણ સમીક્ષા કરી છે. 

— આ કાવ્યશાસ્ત્ર સમગ્રતયા તર્કપૂત અને તર્કશુદ્ધ છે. એમાં, તર્કને સાચવનારી એટલી જ વિશદ તીક્ષ્ણ પરિભાષા છે. જેમ કે, વિભાવ, તેનાં આલમ્બન અને ઉદ્દીપન એવાં બે રૂપ, અનુભાવ, અનુભાવનો અભિનય સાથેનો સમ્બન્ધ, વ્યાખ્યાયિત ૩૩ વ્યભિચારી ભાવો, અભિનયના વાચિકમ્ આદિ પ્રકારો, વગેરે. એમાં, વર્ગ અને ઉપવર્ગને વરેલું વર્ગીકરણ છે. જેમ કે, ધનંજય રૂપકના ૧૦ પ્રકાર દર્શાવે છે, અને પ્રત્યેકની વ્યાખ્યા કરે છે. ભોજ આઠ રસમાં ‘શાન્ત’, ‘ઉદાત્ત’ અને ‘ઉદ્ધત’-ને ઉમેરે છે. વગેરે. એ પરિભાષાના જ્ઞાન વિના કાવ્યશાસ્ત્રનો બોધ શક્ય નથી.

કાવ્યશાસ્ત્ર કવિને, સર્જકને, પુણ્યાત્મા ગણે છે, એની કીર્તિને યાવચ્ચન્દ્ર દીવાકરૌ ગણે છે. પરન્તુ એમાં મને એમ ઉમેરવું ગમે છે કે આ કાવ્યાચાર્યો પણ પુણ્યાત્મા હતા, એમની કીર્તિ પણ યાવચ્ચન્દ્ર દીવાકરૌ છે. 

અસ્તુ. 

= = = = = = =

(01/15/24)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...692693694695...700710720...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved