22 મે, 2024ને રોજ મહારાષ્ટ્ર હાયર સેકન્ડરી સર્ટિફિકેટ(HSC)નું 93.37 ટકા પરિણામ આવ્યું, એમાં પણ સાયન્સનું પરિણામ 97.82 ટકા, કોમર્સનું 92.18 ટકા અને આર્ટ્સનું 85.88 ટકા આવ્યું. આટલું ઊંચું પરિણામ આવ્યું હોવા છતાં, મલાડ કોલેજની એક 17 વર્ષની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી. તે એટલે કે તેને 90 ટકા માર્કસની અપેક્ષા હતી, પણ તેટલા ટકા ન મળતા તે હતાશ થઈ ને તેણે જીવન ટુંકાવી લીધું. જો કે, તેના 78 ટકા તો આવ્યા જ હતા, પણ આત્મહત્યા કરી લેતાં તેનો કોઈ અર્થ રહ્યો નહીં. એક સમય હતો જ્યારે કોઈના 78 ટકા આવે તો તેને માટે અહોભાવ થતો ને હવે 90 ટકા લાવનારા ગધેડે ગવાય છે. આ ઊંચું પરિણામ કુદરતી છે કે તે મેનેજ કરવામાં આવે છે તે ઉઘાડું રહસ્ય છે. આમ તો ઊંચું પરિણામ આનંદનો વિષય ગણાય, પણ તે હતાશા પણ જન્માવે છે ને તેની આડઅસરો જોવા – તપાસવા જેવી છે.
ધોરણ 10 અને 12નું ઊંચું પરિણામ આપીને ગુજરાત શિક્ષણ બોર્ડ ભયંકર ગરમીમાં એ.સી. કેબિનોમાં ઘોરતું હોય એમ બને, પણ આ ઊંચાં પરિણામોએ આગળના વર્ગોમાં પ્રવેશના જે પ્રશ્નો ઊભા કર્યા છે, તે અભૂતપૂર્વ હોય તો નવાઈ નહીં. આ વખતનું ધોરણ 10નું ગુજરાત શિક્ષણ બોર્ડનું પરિણામ 82.56 ટકા આવ્યું ને ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ, 91.93 ટકા અને વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા આવ્યું. સામાન્ય પ્રવાહમાં 91થી 100 ટકાની શ્રેણીમાં 1,034 વિદ્યાર્થીઓ છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં 91થી 100 ટકા મેળવનારની શ્રેણીમાં 5,508 વિદ્યાર્થીઓ છે. માત્ર સુરતની વાત કરીએ તો સી.બી.એસ.ઈ.માં 99 ટકાથી પણ વધુ માર્કસ મેળવનારની સંખ્યા 4ની હોય તો બોર્ડમાં કેટલા હશે તે કલ્પી શકાય એવું છે. ગુજરાત શિક્ષણ બોર્ડનું પરિણામ વધારે લાગતું હતું, ત્યાં સી.બી.એસ.ઇ.નું પરિણામ તો તેને પણ ટપી જાય તેવું આવ્યું. ધોરણ 10નું ગુજરાત બોર્ડનું પરિણામ 82.56 ટકા છે, જ્યારે સી.બી.એસ.ઇ.નું 10નું પરિણામ 93.60 ટકા છે. પરિણામોનો અને માર્કસનો આવો ફુગાવો અગાઉ જોવાયો નથી. 91 ટકાથી વધુ માર્કસ મેળવનાર ગુજરાતમાં 23,247 છે, જ્યારે સી.બી.એસ.ઇ.માં એ સંખ્યા 47,983ની છે. એ ખરું કે 23,247નો આંકડો ગુજરાતનો છે, જ્યારે 47,963નો આંકડો દેશનો છે, એટલે સ્વાભાવિક રીતે જ તે આંકડો મોટો હોવાનો, પણ દેશમાં 91 ટકાથી વધુ ટકા લાવનારની સંખ્યા 50 હજારની નજીક હોય એ આશ્ચર્ય અને આઘાતજનક નથી?
આખા દેશમાં ભણાવનારમાં કે ભણનારમાં એવું કૈં અભૂતપૂર્વ બન્યું નથી કે આવાં અભૂતપૂર્વ પરિણામ આવે. આ વખતે પણ પ્રશ્નપત્રોમાં ગરબડો હતી, પરીક્ષામાં ચોરીઓ થઈ હતી, જે તે વિષયના પરીક્ષકો મળ્યા ન હતા, આમાં અસામાન્ય હતું તે એ કે આ વખતે લોકસભાની ચૂંટણી સામે હતી ને પરિણામો વહેલાં જાહેર કરવાની જાહેરાતો થઈ ચૂકી હતી, એમાં ય સમય તો ન જ સચવાયો, પણ પરિણામો જાહેર કરવાની ઉતાવળ તો હતી જ, બને કે એમાં જ કૈં ઊંધું મરાયું હોય. પરિણામ આપી દેવાની ઉતાવળમાં માર્કસ આડેધડ મુકાયા હોય એમ બને. જો કે, પરિણામ તો આખા દેશમાં 90 ટકાની આસપાસ આવ્યાં છે, તો બધે જ ઊંધું મરાયું હોય એવું તો ન હોય. એ જે હોય તે, પણ આ કુદરતી નથી એટલું નક્કી ! વહેમ તો એવો પડે છે કે આ બધું ખાનગી સ્કૂલ-કોલેજોને ઉત્તેજન આપવા થઈ રહ્યું છે.
ગુજરાતની વાત કરીએ તો સરકાર શિક્ષણનું ખાનગીકરણ કરીને સરકારી સ્કૂલો બંધ થાય તેવી પેરવીમાં છે. મોટે ભાગે સરકારી સ્કૂલોમાં સાધારણ કુટુંબનાં વિદ્યાર્થીઓ એટલે ભણે છે કે ફીનો બોજ ઘર પર ન પડે, પણ એ બોજ સરકાર પણ ઉઠાવવા તૈયાર નથી. આમ તો એ ખર્ચ પ્રજાના ટેક્સમાંથી જ થાય છે, પણ સરકારને તે ગજવામાંથી કાઢવો પડતો હોય તેમ તે એ જવાબદારીમાંથી હાથ કાઢી લેવા માંગે છે. જતે દિવસે ખાનગી સ્કૂલ-કોલેજો જ ચાલે તેની વેતરણમાં સરકાર છે. એમાં આ વખતના પરિણામો એ રીતે સેટ થયાનું લાગે છે કે ઊચ્ચ ટકા મેળવવા છતાં વિદ્યાર્થીઓને ખાનગીમાં જવાની ફરજ પડે. ગુજરાતની વાત પણ જવા દઈએ ને માત્ર સુરતનો જ ને તે પણ 11 સાયન્સમાં એડમિશન પૂરતો જ વિચાર કરીએ, તો જે ચિત્ર ઊભું થાય છે તે કૈંક આવું છે –
આ વખતે ધોરણ 10માં A-1 ગ્રેડમાં એટલે કે 91 ટકાથી 100 ટકાની શ્રેણીમાં 4,870 વિદ્યાર્થીઓ આવ્યા છે. અન્ય શ્રેણીની તો વાત જ નથી, માત્ર 91 ટકાથી ઉપરના જ આટલી સંખ્યામાં છે. હવે નજીવી ફી ભરીને ગ્રાન્ટેડ સ્કૂલોમાં એડમિશન લઈ શકાય, એવા 11 સાયન્સના 14 વર્ગો છે. એમાં દરેક વર્ગમાં 60 વિદ્યાર્થીઓ સમાવી શકાય કે બહુ બહુ તો બીજી 20 સીટ વધે તો પણ 1,120 વિદ્યાર્થીઓથી વધુ વિદ્યાર્થીઓ સમાવી ન શકાય. જો 91 ટકાથી વધુ માર્કસવાળા 4,870માંથી 1,120, 14 વર્ગોમાં સમાવાય તો પણ, 3,750 વિદ્યાર્થીઓ ગ્રાન્ટેડ સ્કૂલોમાં પ્રવેશથી વંચિત રહે એમ બને. મેરિટ 90 ટકાથી ઉપર હોય ને 90 ટકાથી વધુ ટકા લાવનાર 3,750 વિદ્યાર્થીઓ જ પ્રવેશ ન મેળવી શકે તો એનો કોઈ અર્થ ખરો? 50 ટકાવાળો તો પ્રવેશથી વંચિત રહે જ, પણ 91 ટકાવાળો પણ પ્રવેશ વગર ફાંફાં મારે એવી સ્થિતિ આ વખતના પરિણામોએ સર્જી છે. શિક્ષણ વિભાગને આનો ખ્યાલ જ ન હોય એવું તો ન બને ને એવું બન્યું છે કે સેંકડો વિદ્યાર્થીઓ 90થી વધુ ટકા હોવા છતાં એડમિશનથી વંચિત રહે.
ધારો કે, એક વર્ગમાં કુલ 80 વિદ્યાર્થીઓ સમાવવાની છૂટ અપાય છે, તેમાં બધા 90 ટકાવાળા જ સમાવાય એવું પણ નથી. ગયે વર્ષે 75 વિદ્યાર્થીઓ સમાવવાનું નક્કી થયેલું, તેમાં 25 વિદ્યાર્થીઓ જે તે સ્કૂલના, 6 વિદ્યાર્થીઓ અન્ય શાળાના ને 44 જુદી જુદી કક્ષાના અનામત વિદ્યાર્થીઓ હોય એવું નક્કી થયેલું. એ હિસાબે 90 ટકાવાળા તો 31 (25+6) વિદ્યાર્થીઓ જ સમાવાય, બાકીના 44 વિદ્યાર્થીઓ અનામત કક્ષાના સમાવવાના હોવાથી, ને તે 90 ટકાવાળા જ હોય એવું જરૂરી નથી, એ સ્થિતિમાં દરેક સ્કૂલમાં 91 ટકાથી વધુ ટકાવાળા 31 વિદ્યાર્થીઓથી વધુ સમાવી ન શકાય. એટલે કે 75નો વર્ગ હોય તો ગ્રાન્ટેડ સ્કૂલોના 14 વર્ગમાં 91થી વધુ ટકાવાળા 434 (31×14) વિદ્યાર્થીઓ જ પ્રવેશ મેળવી શકે ને 3,436 (4,870-434) વિદ્યાર્થીઓ 91 ટકાથી વધુ માર્કસ હોવા છતાં ગ્રાન્ટેડ સ્કૂલોમાં પ્રવેશ ન મેળવી શકે.
હવે પાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલોની સ્થિતિ જોઈએ. તેનાં ધોરણ 10માં ભણતા 3,798 વિદ્યાર્થીઓ પાસ થયા છે ને તેની 11માં ધોરણની 18 સ્કૂલમાં સીટ 1,400 જ છે. એટલે તે પોતાનાં જ 2,398 વિદ્યાર્થીઓને સુમન હાઈસ્કૂલો પ્રવેશ આપી શકે એમ નથી. સંખ્યા દરેક સ્કૂલમાં બમણી વધારાય તો પણ સેંકડો વિદ્યાર્થીઓ પોતાની જ સ્કૂલમાં એડમિશન ન મેળવે એવી હાલત છે. ટૂંકમાં, 91 ટકાથી વધુ માર્કસ લાવવા છતાં ગ્રાન્ટેડ સ્કૂલોમાં સાયન્સમાં એડમિશનનાં ફાંફાં છે ને 10 વર્ષ જે સ્કૂલમાં ભણ્યા હોય એવા હજારો વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલમાં જ પ્રવેશ મેળવી શકે એમ નથી.
તો, આ સ્થિતિ છે – બોર્ડનાં ઊંચાં પરિણામોની. આ સ્થિતિમાં થશે શું, તે જોઈએ. સેંકડો વિદ્યાર્થીઓ ગ્રાન્ટેડ સ્કૂલોમાં પ્રવેશ નહીં મેળવી શકે ને તેમણે નોન-ગ્રાન્ટેડ સ્કૂલોમાં ઊંચી ફી ભરીને એડમિશન લેવું પડશે. જો આર્થિક સ્થિતિ સારી નહીં હોય, તો પોતાનાં ઊંચાં પરિણામ છતાં વિદ્યાર્થીએ અભ્યાસ છોડવો પડશે. સાયન્સમાં પ્રવેશની બધી પાત્રતા છતાં, વિદ્યાર્થીઓનાં આગળ ભણવાનાં સપનાં રોળાય એમ પણ બને. આ સ્થિતિ વિદ્યાર્થીઓમાં હતાશા જન્માવે ને તે ડિપ્રેશનનો શિકાર બને ને કોઈ અજુગતું પગલું ભરે એ શક્યતા પણ નકારી ન શકાય. તો, સવાલ એ થાય કે ઊંચું પરિણામ આવાં પરિણામો માટે અપાય છે?
ઊંચું પરિણામ જોઈને રાજી થતાં સાહેબો ને બોર્ડના અધિકારીઓ વિદ્યાર્થીઓમાં હતાશા જન્મે એની ચિંતા કે કલ્પના કરે છે ખરા? સવાલોનો સવાલ તો એ છે કે આખા દેશનાં સતત ઊંચાં પરિણામો ને માર્કસના ફુગાવાથી શિક્ષણ જગત સિદ્ધ શું કરવા માંગે છે? વિદ્યાર્થીઓને વધુ માર્કસ આપીને ભણતા અટકાવવાનો ઇરાદો અણી શુદ્ધ નથી. અહીં તો સાયન્સ સંદર્ભે ધોરણ 11માંના પ્રવેશની માત્ર સુરતની જ વાત કરી છે, અન્ય શહેરોમાં પ્રવેશની શી સ્થિતિ હશે એની તો કલ્પના જ કરવાની રહે છે. વારુ, ઊંચાં પરિણામની આવી જ સ્ફોટક સ્થિતિ ધોરણ 12ની પણ છે. 12માંમાં પણ વધુ ટકા લાવનાર ઘણા વિદ્યાર્થીઓને ગ્રાન્ટેડ કોલેજમાં એડમિશન મળવાની મુશ્કેલીઓ જ છે. એવા વિદ્યાર્થીઓએ પણ ખાનગી કોલેજોમાં લાખો રૂપિયા ફીના ખર્ચીને ભણતર પૂરું કરવાનું રહે અને આર્થિક સ્થિતિ સારી નહીં હોય તો ભણવાનું છોડીને નાનીમોટી નોકરીથી જ સંતોષ માનવાનો રહે ને એ જો સહન ન થાય તો ડિપ્રેસ્ડ મૂડમાં વીતવાનું રહે. આમ તો પાત્રતા શિક્ષણ વિભાગની છે, પણ એ ઢાંકણીમાં પાણી નહીં જ લે, એ કામ એ વિદ્યાર્થી, વાલી કે શિક્ષક પાસેથી કરાવે એમ બને. હવે તો 90 ટકાવાળાએ પણ આપઘાત કરવાના દા’ડા આવ્યા છે, એ શિક્ષણ જગતની બલિહારી નથી તો બીજું શું છે?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 27 મે 2024