Opinion Magazine
Number of visits: 9457400
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચૂંટણી બોન્ડ ક્લીન બોલ્ડ : સરકાર વટહુકમ પણ લાવી નહિ શકે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|20 February 2024

રાજ ગોસ્વામી

2024ની લોકસભાની ચૂંટણીના બે મહિના પહેલાં, કેન્દ્ર સરકારને એક મોટો ઝટકો વાગ્યો છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે, સરકારની મહત્ત્વાકાંક્ષી ચૂંટણી બોન્ડ યોજનાને ગેરબંધારણીય ગણાવીને રદ્દ કરી નાખી છે. તેને એપ્રિલ 2019થી લાગુ કરવામાં આવી હતી. કોર્ટે રાજકીય પક્ષોને ચૂંટણી બોન્ડમાંથી મળેલું ભંડોળ પરત કરવાનો આદેશ પણ કર્યો છે.

કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને કહ્યું છે કે 12 એપ્રિલ, 2019થી અત્યાર સુધી ચૂંટણી બોન્ડ કોણે કેટલી રકમનાં ખરીદ્યા છે તેની માહિતી આપે. આ માહિતી પહેલાં ચૂંટણી પંચને આપવામાં આવશે. આ માહિતી પછી જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. કોર્ટે કહ્યું કે ચૂંટણી બોન્ડની આવી ખરીદીથી માત્ર કાળાં નાણાંને પ્રોત્સાહન મળશે.

પાંચ સભ્યોની બેંચ વતીથી સર્વસંમતીથી ચુકાદો આપતાં, ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા ડી.વાય. ચંદ્રચુડે કહ્યું હતું, “પ્રાથમિક સ્તરે, રાજકીય દાન આપનારાઓને સત્તાની નજીક જવા મળે છે. તેમની આ પહોંચ નીતિ નિર્માણ પર પણ પ્રભાવ પાડી શકે. એ વાતની પણ સંભવાના છે કે ધન અને રાજનીતિ વચ્ચે સાંઠગાંઠના કારણે રાજકીય પક્ષ અને દાનકર્તા વચ્ચે પરસ્સ્પર લાભની વ્યવસ્થા નિર્માણ થશે.”

આ બોન્ડ યોજના અને તેની તમામ જોગવાઈઓને સાગમટે રદ્દ કરીને સુપ્રીમ કોર્ટે કોઈ વૈકલ્પિક ફંડિંગ યોજના સૂચવી નથી. તેનો અર્થ એ થયો કે ચૂંટણી બોન્ડ પહેલાંની રોકડ દાન અથવા કોર્પોરેટ દાનની વ્યવસ્થા પાછી આવશે.

કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે લોકતાંત્રિક હિસ્સેદારીને પ્રોત્સાહન આપતી તમામ માહિતી નાગરિકો માટે ઉપલબ્ધ હોવી જોઈએ. આ જ કારણથી જ મતદારોને ચૂંટણીના ઉમેદવારોની વ્યક્તિગત વિગતો આપવામાં આવે છે, જેથી તેઓ ઉચિત નિર્ણય લઇ શકે. આવી માહિતી જાહેર કરવાથી ઉમેદવારો અને તેમના પરિવારોની ગોપનિયતાના અધિકારનું ઉલ્લંઘન થાય છે તેવો તર્ક આપી શકાય, પરંતુ જાહેર હિતમાં એવું કરવું વધુ જરૂરી હોય છે.

ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારો વિશેની અંગત માહિતી જાહેર કરવાની જોગવાઈને રાજકીય પક્ષો સુધી વિસ્તારી શકાય છે. મત આપતી વખતે મતદાર ઉચિત પક્ષને પસંદ કરી શકે તે માટે તેને રાજકીય પક્ષોના ભંડોળ વિશેની માહિતી હોય તે જરૂરી છે.

30 ઓક્ટોબરના રોજ, સુનાવણી શરૂ થયાના એક દિવસ પહેલાં, ભારતના એટર્ની જનરલ આર. વેંકટરમાનીએ આ યોજનાને ટેકો આપ્યો હતો અને સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે આ યોજના રાજકીય પક્ષોને અપાતા દાનમાં “સ્વચ્છ નાણાં”ના ઉપયોગને પ્રોત્સાહન આપે છે.

એટર્ની જનરલે એવી પણ દલીલ કરી હતી કે નાગરિકોને વાજબી પ્રતિબંધો વગર બધું જાણવાનો અધિકાર ન હોઈ શકે. તેનો સંદર્ભ એવી દલીલ સાથે છે કે રાજકીય પક્ષોએ દાન તરીકે તેમને કેટલા પૈસા મળ્યા છે તેની વિગતો જાહેર કરવી જોઈએ.

2019માં, સુપ્રીમ કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં ચૂંટણી પંચે કહ્યું હતું કે ચૂંટણી બોન્ડ રાજકીય ભંડોળમાં પારદર્શિતાને ખતમ કરી નાખશે અને વિદેશી કોર્પોરેટ સત્તાઓ તેનો ઉપયોગ ભારતીય રાજકારણને પ્રભાવિત કરવા માટે કરશે. ચૂંટણી પંચે એમ પણ કહ્યું હતું કે કેટલા ય મુખ્ય કાયદાઓમાં સુધારાના પગલે ફક્ત રાજકીય પક્ષોને ભંડોળ આપવાના હેતુથી જ શેલ કંપનીઓઓ ખોલવાની સંભાવના વધશે.

ચૂંટણી બોન્ડ એ રાજકીય પક્ષોને ભંડોળ પૂરું પાડવા માટે વપરાતું નાણાંકીય સાધન છે. તે એક વચન પત્ર જેવું છે જે ભારતનો કોઈપણ નાગરિક અથવા કંપની ભારતીય સ્ટેટ બેંકની પસંદગીની શાખાઓમાંથી ખરીદી શકે છે અને તેમની પસંદગીના કોઈપણ રાજકીય પક્ષને અજ્ઞાત રૂપે દાન કરી શકે છે. 

ભારત સરકારે 2017માં ચૂંટણી બોન્ડ યોજનાની જાહેરાત કરી હતી, અને 29 જાન્યુઆરી, 2018ના રોજ લાગુ કરી હતી. આ યોજના હેઠળ, ભારતીય સ્ટેટ બેંક રાજકીય પક્ષોને ભંડોળ પૂરું પાડવા માટે બોન્ડ જારી કરતી હતી. જેની પાસે બેંકમાં ખાતું હોય અને કેવાયસીની વિગતો ઉપલબ્ધ તેવી કોઇપણ વ્યક્તિ તેને ખરીદી શકતી હતી. ચૂંટણી બોન્ડમાં ચુકવણીકારનું નામ નથી હોતું. 

આ યોજના હેઠળ, ભારતીય સ્ટેટ બેંકની નિયુક્ત શાખાઓમાંથી 1,000 રૂપિયા, 10,000 રૂપિયા, એક લાખ રૂપિયા, દસ લાખ રૂપિયા અને એક કરોડ રૂપિયાનાં મૂલ્યના ચૂંટણી બોન્ડ ખરીદી શકાતા હતાં. ચૂંટણી બોન્ડની માન્યતા 15 દિવસની હતી, જે દરમિયાન તેનો ઉપયોગ ફક્ત લોક પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ નોંધાયેલા રાજકીય પક્ષોને દાન આપવા માટે થઈ શકતો હતો.

આ યોજનાની શરૂઆત કરતી વખતે સરકારે કહ્યું હતું કે ચૂંટણી બોન્ડ દેશમાં રાજકીય ભંડોળની વ્યવસ્થાને સાફ કરશે. અર્થાત્‌ કાળું નાણું અને ભ્રષ્ટાચાર દૂર કરશે. જો કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં વારંવાર મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે ચૂંટણી બોન્ડમાં દાતાઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે તેનાથી તો કાળાં નાણાંને પ્રોત્સાહન મળી શકે છે. એવી પણ ટીકા થઇ હતી કે આ યોજનાની રચના મોટા કોર્પોરેટ ગૃહોને તેમની ઓળખ જાહેર કર્યા વિના નાણાં દાનમાં આપવામાં મદદ કરવા માટે કરવામાં આવી હતી. 

આ યોજનાને પડકારતી બે અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. પ્રથમ અરજી એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ અને બિનનફાકારક સંગઠન કોમન કોઝ દ્વારા 2017માં સંયુક્ત રીતે દાખલ કરવામાં આવી હતી અને બીજી અરજી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી) દ્વારા 2018માં દાખલ કરવામાં આવી હતી. 

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે આ યોજના ભારતીય અને વિદેશી કંપનીઓ માટે રાજકીય પક્ષોને અમર્યાદિત રીતે પૈસા આપવાનો દરવાજો ખોલે છે, જેનાથી દેશમાં મોટા પાયે ચૂંટણી ભ્રષ્ટાચારને કાયદેસરતા મળી છે.

ભારતીય રિઝર્વ બેંકે પણ વારંવાર ચેતવણી આપી હતી કે ચૂંટણી બોન્ડનો ઉપયોગ કાળું નાણું, મની લોન્ડરિંગ અને સરહદ પારની છેતરપિંડીઓને પ્રોત્સાહન આપવા માટે થઈ શકે છે. ચૂંટણી બોન્ડ્સને “અપારદર્શક નાણાંકીય સાધન” ગણાવતા આર.બી.આઈ.એ કહ્યું હતું કે આ બોન્ડ્સ ચલણની જેમ ઘણી વખત હાથ બદલે છે, તેથી તેની ગુપ્તતાનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે થઈ શકે છે.

અરજીઓમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ચૂંટણી બોન્ડ યોજનાને છુપી રાખવાથી નાગરિકોના “જાણવાના અધિકાર”નું ઉલ્લંઘન થાય છે. અગાઉ, સુપ્રીમ કોર્ટે જ આ અધિકારને બંધારણની કલમ 19 (1) (એ) હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતાનું એક પાસું ગણાવ્યું હતું.

ચૂંટણી બોન્ડ યોજનાને બજેટમાં મૂકવામાં આવી હતી અને બજેટ મની બિલ હોવાથી રાજ્યસભા તેમાં કોઈ ફેરફાર કરી શકતી નથી. સરકાર પર એવો આરોપ હતો કે રાજ્યસભામાં સરકાર પાસે બહુમતી ન હોવાથી આ વિષયને નાણાં વિધેયકમાં મૂકવામાં આવ્યો હતો જેથી તેને સરળતાથી પસાર કરી શકાય. 

ચૂંટણી બોન્ડ સામે બીજો આરોપ એ હતો કે તેનો સૌથી વધુ લાભ સત્તાધારી પક્ષને થયો છે. એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ(એ.ડી.આર.)ના અહેવાલ મુજબ, 2016-17 અને 2021-22 વચ્ચેના પાંચ વર્ષમાં કુલ 7 રાષ્ટ્રીય અને 24 પ્રાદેશિક પક્ષોને ચૂંટણી બોન્ડમાંથી કુલ 9,188 કરોડ રૂપિયા મળ્યા હતા. 

તેમાંથી, એકલી ભારતીય જનતા પાર્ટીનો હિસ્સો લગભગ 5,272 કરોડ રૂપિયા હતો. એટલે કે, ભા.જ.પ.ને કુલ દાનમાંથી લગભગ 58 ટકા ચૂંટણી બોન્ડ દ્વારા મળ્યું હતું. આ સમયગાળા દરમિયાન કાઁગ્રેસને ચૂંટણી બોન્ડમાંથી લગભગ 952 કરોડ રૂપિયા મળ્યા હતા જ્યારે તૃણમૂલ કોંગ્રેસને 767 કરોડ રૂપિયા મળ્યા હતા. 

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એ.ડી.આર.ના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે આ સંબંધમાં કરવામાં આવેલી વ્યવસ્થા અનુસાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને એ ખબર પડે કે કોણે ડોનેશન આપ્યું છે, કારણ કે સી.બી.આઈ. સરકાર હસ્તક છે.

ભૂષણે જણાવ્યું હતું કે ચૂંટણી બોન્ડના નિયમમાં જણાવાયું છે કે ઇ.ડી. બેંક પાસેથી દાતાઓ વિશે માહિતી મેળવી શકે છે. ઇ.ડી. પણ કેન્દ્ર હેઠળ છે. આવી સ્થિતિમાં, જો ઇ.ડી. ચૂંટણી બોન્ડ વિશે જાણી શકતી હોય, એસ.બી.આઇ.ને એ માહિતી, જો સરકાર એ જાણી શકતી હોય, તો તો સામાન્ય નાગરિક કેમ ના જાણી શકે?

ઘણા નિષ્ણાતો માને છે કે ગુરુવારના સુપ્રીમ કોર્ટના ચુકાદાએ ચૂંટણી બોન્ડ્સને અટકાવી દીધા છે, પરંતુ આ યોજનાઓને કારણે થયેલા કથિત ભ્રષ્ટાચારના તળિયે પહોંચવાના પ્રયાસો હજુ બાકી છે. જેમ કે, રાજકીય પક્ષોને પૈસા આપવા માટે કેટલી બનાવટી કંપનીઓ ઊભી કરવામાં આવી હતી અને તેનાથી તેમને શું ફાયદો થયો તેની તપાસ કોણ કરશે? શું સરકાર તેના માટે પંચની રચના કરશે? 

સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને સરકાર કેવી રીતે લેશે? શું તે દિલ્હી સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નરના હકોના કેસની જેમ સંસદમાં વટહુકમ લાવશે? સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ કહે છે કે, “સરકાર એવું નહીં કરી શકે. એક વટહુકમથી જજમેન્ટને ખારીજ કરી ના શકાય. એવો કોઈ કાનૂન નથી જે જજમેન્ટને રદ્દ કરી શકે. વટહુકમથી નવી ફંડિંગ યોજના લાવી શકાય, પણ આ યોજના તો હવે કાયમ માટે ગઈ.” સરકાર નવી યોજના લાવશે? સિબ્બલ કહે છે કે, “મને લાગતું નથી. વર્તમાન યોજનાની માહિતી 13 માર્ચ સુધી ઉપલબ્ધ હશે અને ત્યાં સુધીમાં તો ચૂંટણી આચાર સંહિતા લાગુ થઇ હશે.”

લાસ્ટ લાઈન:

“આજનો સૌથી મોટો રોગ ભ્રષ્ટ્રાચાર છે અને તેનો ઉપાય પારદર્શિતા છે.”

– બોનો

(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 19 ફેબ્રુઆરી 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગાય મરી ગઈ

હિંમત ખાટસૂરિયા|Poetry|19 February 2024

ગાય મરી ગઈ

બાઈ મરી ગઈ

ગાય મરી ગઈ

અરે મરી ગઈ

ભર બજારમાં લથડી લથડી

ભૂખે પેટે તફડી તફડી

પેટ પાંસળાં ચોંટેલાં લઈ

પોળ પોળમાં રખડી રખડી

અરે, રામ છેવટે જૂઓ

આ ગાય મરી ગઈ

અને જૂઓ 

આ મંદિરમાંથી સરઘસ નીકળ્યું

ધજા પતાકા ઢોલ ધડૂકતા

અબીલ ગુલાલે ગાય મરેલી

ઢંકાઈ ગઈ

ને અંતિમ સંસ્કાર કાજ

લો ચાલી જાતરા

ઘડી જીવનની આજ સફળ થઈ

મહાજન ઉમટ્યું

બજાર સઘળી બંધ કરીને

રામધૂનની રમઝટ જામી

ધૂમ મચી ગઇ

ધરમ નામની  ધૂમ મચી ગઇ

કાળા નાણાંવાળા આવ્યા શેઠ કરમચંદ

દૂધ પાણીને ભેળવનારા

ને લોકોને છેતરનારા

ધરમદાસ પણ આવી પહોંચ્યા

આજે જેણે ઘર ડોલાવ્યા

ખેડૂ કેરાં ખેતર માંડ્યાં

વીરચંદજીયે જોડાયા

અને ભગત જેને ત્યાં

સાચોસાચ પાપ સૌ નાચ કરે છે

સૌથી આગળ સરઘસ માંહે

રહ્યા ચાલતા

ઝૂલે રેશમી ઝબ્બા ઉપર શાલ કાશ્મીરી

રાધેશ્યામ તણી સૌ માયા

રાધેશ્યામ તણી સૌ માયા.

અરે મરી ગઈ

કૂવો પૂરી ગામ બધાને

હાય અરે હેરાન કરી ગઈ

ધણી બિચારો રઝળી પડ્યો હતો

રોજી એની તૂટી ગઈ’તી

ઘેર હાંડલી પણ નહોતી રહી

હાય! બિચારાના જીવનમાં

આઝાદી ના ક્યાં ય વસી ગઈ

રોજી તૂટી રોજી ખૂટી

અને એક ઓરતની ઈજ્જત

શેઠ તણા શેતાને લૂંટી

ઘેર ભાખરી એકે નહોતી

ભૂખ્યાં બાળક ભૂખી માતા

કામ ગોતતી રોતી રોતી

ભમતી થઈ’તી હાથ પડી ગઈ

ટીલું તાણી બેઠેલા એક

શેઠપુત્રને હાથ પડી ગઈ

અને મરી ગઈ

બાળકને લઈને

બે બાળકની માટે મરી ગઈ

કૂવો પૂરી

ભૂખે અહીંયાં લથડી લથડી

હૈયે રોજે ફફડી ફફડી

પડતી મારગ ખાતી ચકરી

જીવન કેરો રાહ ચૂકી ગઈ

અરે મરી ગઈ એક મજૂરણ

નહિ મંદિરે સરઘસ નીકળ્યું

નહિ શેઠનાં હૈયાં હાલ્યાં

નહિ ભગતને ભાવ ઉમટ્યા

દેશ તણી દુબળી દુહિતાને

ચોગરદમ છે આગ ફરી ગઈ

ગાય મરી ગઈ!

હાય! બિચારી ગાય મરી ગઈ

બાઈ મરી ગઈ!

હાય!બિચારી બાઈ મરી ગઈ!

(1975)

Loading

ભલે પરણ્યાં ન હોય, પણ જાનમાં તો ગયાં હોયને !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|19 February 2024

રવીન્દ્ર પારેખ

હમણાં એક ઓડિયો ક્લિપ આવી જેમાં ફિલ્મ ‘અનાડી’નું મુકેશે ગાયેલું ગીત ‘કિસી કી મુસ્કરાહટોં પે હો નિસાર …’ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અવાજમાં સાંભળવાનું થયું. ટેકનોલોજીનો આટલો વિકાસ આશ્ચર્ય પમાડે એવો છે. કાલ ઊઠીને કોઈ વડા પ્રધાનનું ભાષણ મુકેશના અવાજમાં ઓડિયો ક્લિપમાં મોકલી આપે તો નવાઈ નહીં ! એમ લાગે છે કે આજની ટેકનોલોજી કશું અસલી રહેવા દેવા માંગતી. આખે આખા માણસો રિપ્લેસ થઈ જાય એમ બને. જીવતો અલોપ થઈ જાય અને ગુજરી ગયેલો સામે ધસી આવે એય શક્ય છે.

કાલ ઊઠીને શાસકો એવા જ માણસો રાખે જે મત આપે ને વિરોધ ન કરે તો આઘાત ન લાગવો જોઈએ. એવું થાય તો જગતમાં કોઈ એક જ પક્ષનું શાસન રહે અને આગળ જતાં ચૂંટણીનો ખર્ચ પણ બચે. એ તો થાય ત્યારે, પણ 2024માં ભારતમાં ચૂંટણી થવાની છે એ નક્કી છે ને એટલું તો છે કે પંજાબ-હરિયાણાના ખેડૂતો આજે તો વિરોધ કરી શકે છે. એ જુદી વાત છે કે વિપક્ષો દૂરથી તાપણું કરી લે. જો કે, કોઈ ગરીબને એવો સવાલ થાય છે કે વિરોધ પંજાબ કે હરિયાણાના ખેડૂતોને જ કેમ છે? બીજા રાજ્યોમાં ખેડૂતો નથી? કે એમને છે તેનાથી સંતોષ છે? કે એ વિપક્ષોથી ભોળવાતા નથી? દિલ્હી કૂચ રોકવાની કોશિશો વચ્ચે ખેડૂતો ઘાંટાઘાટ કે વાટાઘાટ કરી લે છે. એમ લાગે છે કે કોકડું, રોકડું થઈ જશે, મતલબ કે ઉકેલાઈ જશે.

આ સૌમાં ઉત્તર પ્રદેશનું રાજ્ય એકદમ સાવધ છે. આગ લાગે તે પહેલાં તેણે કૂવો ખોદી કાઢ્યો છે ને એવો ફતવો બહાર પાડ્યો છે કે કોઈ પણ સરકારી તંત્રો છ મહિના સુધી દેખાવો નહીં કરી શકે કે હડતાળ નહીં પાડી શકે. શું છે કે યુનિયનો આમ તો બહુ પ્રભાવક રહ્યાં નથી, પણ કોઈ ચૂં કે ચા ન કરી શકે એ માટે ઉત્તર પ્રદેશ સરકારે, હડતાળિયાઓની બોલતી બંધ કરી દીધી છે. થાય છે એવું કે ચૂંટણી ટાણે જ માંગણીઓ મનાવવા યુનિયનો રસ્તે ઊતરી પડતાં હોય છે ને ‘ઘરણ ટાણે જ સાપ’ કાઢતાં હોય છે. ચૂંટણી ટાણે સરકાર ઘણીવાર ઝૂકી પણ જતી હોય છે. એમ ઝૂકવું ન પડે એટલે ઉત્તર પ્રદેશ સરકારે ઘણાંની ઉત્તરક્રિયા કરી નાખી છે. એનું જોઈને અન્ય રાજ્યો ફતવા બહાર પાડે પણ ખરા. એ તો થાય ત્યારે, પણ ઉત્તર પ્રદેશ સરકારે એસ્મા એક્ટ – એસેન્શિયલ સર્વિસિસ મેનેજમેન્ટ એક્ટ લાગુ કરીને હડતાળ પર જનારની વોરંટ વગર ધરપકડ થઈ શકે એવો બંદોબસ્ત કરી લીધો છે. આવું દિલ્હી સરકારને સૂઝ્યું હોત તો ખેડૂતોએ આંદોલન સુધી જવું જ ન પડ્યું હોત ! વોટર કેનન, ટીયર ગેસ અને હવામાં ગોળીબારથી બચી શકાયું હોત તે નફામાં. ઉત્તર પ્રદેશની સરકાર જોઈએ તો લાગે કે સરકાર તો આવી જ હોવી જોઈએ. વિપક્ષો તો ઠીક, શાસકો પણ અવાજ ન કરી શકે એનું નામ શોકશાહી, નહીં, લોકશાહી ! તમે કહેશો કે આવું તે હોય? હોય નહીં, છે.

તમે પાછા પુરાવા વગર માનો એવા નથીને ! બીજે તો ખબર નહીં, પણ ગુજરાત સરકારમાં તો પક્ષની શિસ્ત એવી છે કે વિપક્ષને હોય એટલી છૂટ પણ શાસકપક્ષને નથી. વિરોધ કરવાની વાત તો ઘેર ગઈ, કોઈ ધારાસભ્યે પ્રજાની વાત સરકારને પહોંચાડવી હોય તો તે મૂકતાં પણ પરસેવો પડી જાય છે. એવે વખતે ખાનગીમાં વિપક્ષની મદદ લેવી પડે ને ભાઈબાપા કરીને પ્રજાના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવા પડે એવી હાલત છે. બન્યું એવું કે 16મી ફેબ્રુઆરીએ એક નવા ભા.જ.પ. ધારાસભ્યે સિનિયર કાઁગ્રેસી ધારાસભ્યને ગેલેરીમાં ધીમેથી કહ્યું કે હું તમને વિગતો આપીશ, જરા અમારા વતી ગૃહમાં વાત મૂકો તો અમારું પણ ભલું થાય. જોયું? પોતાની વાત મૂકવામાં પણ શાસકપક્ષના સભ્યોની હિંમત ચાલતી ન હોય તો ગુજરાતમાં લોકશાહી કેટલી જડબેસલાક છે તે કહેવાની જરૂર છે? એમ પણ બને કે એવું કશું હોય જ નહીં ને ભા.જ.પ.ના ધારાસભ્યો અમથા જ ગભરાયા કરતા હોય ! દેશની વિશ્વમાં આટલી ઊજળી છબી બની હોય ને આપણે …

આપણે સમજવું જોઈએ કે શિક્ષકોની કાયમી ભરતી કરવાની સ્થિતિમાં ગુજરાત સરકાર નથી, એવું થતું હોત તો સરકાર હાથ જોડીને બેસી રહે એવી નથી. કાળી પટ્ટી પહેરવાથી શિક્ષકોની કાયમી ભરતી થઈ જાય કે જૂની પેન્શન સ્કિમ શરૂ થઈ જાય તો સરકાર જાતે જ આખો કાળો તાકો ઓઢીને ન બેસે? તેને બદલે એણે તો ભવનમાં કાળાં વસ્ત્રો પહેરીને આવવાની જ મનાઈ ફરમાવી છે. શિક્ષકોએ સમજવું જોઈએ કે જગ્યાઓ તો ખાલી રહેવા માટે જ હોય છે. એમ તો કોલેજોમાં પણ આચાર્યની જગ્યાઓ ખાલી પડે જ છેને ! તે કૈં ભરવા માટે થોડી હોય છે ! એ તો કોઈ સિનિયર પ્રોફેસરને ચાવી સોંપી દો તો ઇન્ચાર્જ આચાર્ય ક્યાં નથી બનતા? સરકાર, રસ્તો ન હોય ત્યાંથી પણ રસ્તો કાઢે એવી સક્ષમ છે એટલે ચિંતા ન કરો.

જો કે, સરકારને ખાનગી સ્કૂલોના સંચાલકો હંફાવતા રહે છે. RTE હેઠળ વિદ્યાર્થીઓને એડમિશન આપતાં વડોદરાની ખાનગી સ્કૂલોનો હાથ પાછળ ખેંચાય છે. કારણ એની ફી તો ઓછી આવે, એને બદલે બીજાને એડમિશન આપે તો વધુ ફી આવે. એટલે જ RTE હેઠળ આવતા વિદ્યાર્થીઓની સૂગ સંચાલકોને ચડે છે ને એ RTEની વ્યવસ્થા જ સાવકી રાખે છે. આ કારણે કેટલાક વિદ્યાર્થી ત્યાંથી નીકળી પણ થઈ જાય છે ને એ જ ખાનગી સંચાલકોને જોઈતું હોય છે. આ બધું બાળકો સમજતાં નથી એવું નથી. તેઓ નાનેથી જ શીખે છે કે મેદાન વગરની ‘રમત’ કેવી રીતે રમવી? અવગુણો વગર જીવવું એટલે વગર મૂડીએ નફો રળવો એ પાઠ સ્કૂલો પાસેથી વિદ્યાર્થીઓ જોઈને શીખે છે.

આમ તો શિક્ષકોની તંગી છે ને છે તે પણ નથી જેવા જ ! થયું એવું કે સુરેન્દ્રનગરના પાટડીની ફતેપુર શાળામાં શિક્ષકો તો હતા, પણ એમને એમ કે વિદ્યાર્થીઓ નથી એટલે શિક્ષકો લોક મારીને ઘરે જતા રહ્યા. એમાં 21 બાળકો રૂમમાં જ લોક થઈ ગયાં. બાળકોએ રડારોળ કરી મૂકી, તો અવાજ સાંભળીને આજુબાજુનાઓનું ધ્યાન ગયું ને શાળાનો ગેટ તોડીને બાળકોને બહાર કાઢ્યાં. આમાં ય તમે વાંક તો શિક્ષકોનો જ જોશો, પણ એ બરાબર નથી. બાળકો સ્કૂલે આવતાં જ ન હોય ત્યાં 21, 21 બાળકો આવે એ કોઈને ય ગળે ઊતરે? શિક્ષકોને તો એમ જ કે સ્કૂલ ખાલી છે, તો એ તો ઘરે જાય જને ! એટલું સારું કે તાળું મારીને ગયા, નહિતર તો એમને એમ પણ જઈ શક્યા હોત !

એમ તો સુરતમાં પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલો છે જ ! એમાં ઘણી ભાષાનાં પુસ્તકો વર્ષની શરૂઆતથી જ નથી હોતાં ને માંગવા છતાં, વર્ષને અંતે ય ન મળવાનો સિલસિલો ચાલુ જ છે. કમાલ તો એ છે કે વગર પુસ્તકે શિક્ષકો ભણાવે છે, બાળકો ભણે છે, પરીક્ષા આપે છે ને પાસ પણ થાય છે. આ ચમત્કાર નથી તો શું છે? કદાચ પુસ્તકો હોત તો નાપાસ થયાં હોત ! દર વર્ષે ઢગલો બાળકો વગર પુસ્તકે પાસ થાય છે તે એ બધાં ડફોળ છે? એ ખરું કે યોગ્ય અભ્યાસના અભાવે ચાર વર્ષ સુધી દર મહિને હજારની મળતી સ્કોલરશિપથી બાળકો વંચિત રહે છે, પણ એનું ય લૉજિક છે. સ્કૉલરશિપના પૈસા તો બચે છે ! ને તે વિનાશમાં, સોરી, વિકાસમાં વપરાય છે…

તાજેતરમાં તેલુગુ શાળા બંધ થઈ. થાય હવે. એની રોકકળ ના કરો. ગુજરાતી માધ્યમની પણ ઢગલો સ્કૂલો બંધ થઈ ને અંગ્રેજી માધ્યમની શરૂ પણ થઈ તો શું ખાટુંમોળું થઈ ગયું? મરાઠી, ઉર્દૂ, ઉડિયા, અંગ્રેજી, હિન્દી માધ્યમની સ્કૂલો ચાલે જ છેને ! એ કેમ નથી જોતાં કે ગુજરાતી માધ્યમનો શિક્ષક મરાઠી કે ઉર્દૂ ભાષા ભણાવી આવે છે ! શિક્ષકોની આવી ક્ષમતા તમને બીજે જોવા ન મળે. તેલુગુ બંધ થઈ, બાકી, ગુજરાતીવાળો તો એ પણ ભણાવી આવે. હવે ઊઠાં ભણાવવાનું જ બંધ થઈ ગયું, નહીં તો તમે તો ઊઠાં ભણાવો છો, એવું પણ કહેશો. સ્કૂલો બંધ થઈ તે જુઓ છો, તો ચાલે છે તે નહીં જોવાનું? સિંધી, તેલુગુ બંધ કરી તેમ બાકીની સ્કૂલોનું નહીં વિચારવાનું? છ, છ ભાષાનાં માધ્યમની સ્કૂલો ચાલુ કરી તે હવે છથી એક તરફ આવવાનું કે નહીં? શિક્ષણ સમિતિ છે, ત્યાં સુધી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અધ્યક્ષ બદલ્યા જને ! ને સમિતિએ પણ રહેવું નહીં હોય, શું?

વેલ, શિક્ષકોની ઘટનું તો એવું છે કે દર વખતે શિક્ષણ મંત્રીશ્રી નામ બદલી બદલીને ભરતીની વરદી તો આપે જ છે. આજથી જ 3,000 પ્રાથમિક શિક્ષકોની ભરતીની જાહેરાત આપી છે. અલબત્ત ! તે ઓળખાશે સ્પેશિયલ એજ્યુકેટર તરીકે ! થોડા વખત પર જ જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવશે, એવું પણ મંત્રી સાહેબે કહ્યું હતું. આવી જાહેરાતો તો ગાડી ઉપડે ને સ્ટેશન આવે એમ થતી જ રહે છે, પણ ઘટનો વટ ઘટતો નથી. આવી જાહેરાત મુજબ ભરતી થઈ હોત તો વગર નોકરીએ જ ઘણા ‘સર’પ્લસ થયા હોત ! સરકાર બિઝી એટલી હોય છે કે આ ભરતી-ઓટનો ખેલ તેણે ટર્મની શરૂઆતમાં નહીં, પણ વર્ષને અંતે કરવો પડે છે. શરૂઆતથી કર્યો હોત, તો એ ભરતીનો પગાર ને એવું બધું શરૂથી જ ચૂકવવું પડ્યું હોત. એનો પગાર બચાવીને સરકારે પ્રજાના પૈસા બચાવ્યા છે તે તમે સ્વીકારો છો? ના સ્વીકારો, તો ભલે, પણ અમને સાવ ભોટ ન માનો. ના, ના, અમે પરણ્યાં ના હોઈએ, પણ જાનમાં તો ગયાં હોઈએને ! કે એ ઇજારો પણ તમારો જ છે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 ફેબ્રુઆરી 2024

Loading

...102030...656657658659...670680690...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved