Opinion Magazine
Number of visits: 9741575
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તમસમાંથી જ્યોતિ ભણી

પ્રકાશ ન. શાહ|Gandhiana|22 July 2024

જ્યોતિભાઈ દેસાઈ

જ્યોતિભાઈ દેસાઈની આ કિતાબ ‘નિશંકપણે જવાબદાર’ (યજ્ઞ પ્રકાશન, વડોદરા), કંઈ નહીં તો પણ સન બયાલીસના વારાથી જલતા જિગરની સાહેદીરૂપ છે. ક્યારેક સ્વરાજસંગ્રામનો વીંછુડો ડંખતાં ડંખ્યો, અને ગાંધી-વિનોબા-જે.પી.-કૃપાએ, સ્વાતંત્ર્યોત્તર વર્ષોમાં પણ એ ડંખે કેડો ન મેલ્યો તે ન જ મેલ્યો. આમ તો જ્યોતિભાઈનું પ્રત્યક્ષ સાધનાક્ષેત્ર શિક્ષણનું રહ્યું છે. પણ ઉત્તરોત્તર એનો સંદર્ભ કેવળ સ્વરાજસંગ્રામ અને સ્વરાજનિર્માણને વટી જઈને નવા અને ન્યાયી સમાજ માટેની વિશ્વમથામણનો બની રહ્યો છે.

શિક્ષણકર્મી જ્યોતિભાઈ સંમત થશે જ કે વીસમી સદીની એક મોટી શોધ માદામ મોન્ટેસોરીનો બાળકો સાથેનો પ્રેમાળ અને અહિંસક (એથી સૃજનશીલ) શૈક્ષણિક અભિગમ છે. સમાજકર્મી જ્યોતિભાઈ વધુમાં એ પણ ઉમેરશે કે વીસમી સદીની એવી જ બીજી મોટી શોધ તે ગાંધીએ સમાજપરિવર્તન માટે અહિંસાનું જે શસ્ત્ર અને શાસ્ત્ર વિકસાવ્યાં તે છે. કદાચ, આ બેઉ વાનાં એક જ સિક્કાની બે બાજુ જેવાં છે, કે પછી એક સળંગસૂત્ર પ્રક્રિયા.

વિશ્વમાનવતાને સારુ આ નવો સૃજનધક્કો જીરવવો સહેલો નહોતો ને નથી તે કહેવાનું ન હોય. તમે ગાંધીનો કિસ્સો જ જુઓને ! આટલો મોટો શાંતિચાહક-શાંતિસાધક જડ્યો ન જડે. પણ નોબેલ સ્તરે જીવતેજીવત એને શાંતિ પારિતોષિક આપી પારિતોષિકને ખુદને ગૌરવ ન આપી શકાયું તે ન જ આપી શકાયું. શાંતિની જે એક વ્યાપક વ્યાખ્યા ગાંધીજીવનમાંથી ઊઘડતી આવી એમાં ન્યાયનો ખ્યાલ અનુસ્યૂત હતો. એ શાંતિચાહક હતા, પણ નકરા પરંપરાગત શાંતિવાદી (પેસિફિસ્ટ) નહોતા. સંસ્થાનવાદ સામે અહિંસક માર્ગે પણ રણોદ્યત એ હતા જ. યુરોપને માટે (રોમાં રોલાં તરેહના જમાતજુદેરા અપવાદો બાદ કરતાં) પોતાની સામે લડનાર શાંતિચાહક સોરવાય શાનો ! જો કે, કહે છે કે, સન સુડતાલીસ ઊતરતે (બિહાર, બંગાળની કામગીરી જોતાં) નોબેલ પેનલે ગાંધી માટે મન બનાવી લીધું હતું. પણ ૧૯૪૮ના જાન્યુઆરીમાં ગાંધીજી ગયા, અને મરણોત્તર તો અપાય નહીં. ૧૯૪૮માં કોઈને પણ શાંતિ પારિતોષિક ન અપાયું એનું રહસ્ય કદાચ આ વિગતમાં છે. આ જ ગાંધી ઘરઆંગણે કેટલાકને ન સોરવાયા. કેમ કે એ પૂરતા (અને ચોક્કસ અર્થના) રાષ્ટ્રવાદી નહોતા. પ્રગતિશીલ માનવતાને ધોરણે નિત્યવિકસનશીલ ગાંધીજીવનની આ એક ઉદાત્તભવ્ય કરુણિકા છે.

આ પુસ્તક પાછળ જ્યોતિભાઈના લેખન-ધક્કાને એના ખરા ને પૂરા અર્થમાં સમજવા વાસ્તે આટલી પ્રાસ્તાવિક વાત કરી છે. ધક્કો, દેખીતો તો, એમણે કહ્યું છે તેમ સેતલવાડે ‘બીયોન્ડ ડાઉટ’ની ભૂમિકાએ ગાંધીહત્યા બાબતે કરેલી આકર દસ્તાવેજી રજૂઆતનો છે. પણ “બીયોન્ડ ડાઉટ – અ ડોસિયર ઑન ગાંધીજી એસેસિનેશન”ના સારસર્વણે જ્યોતિભાઈ અટક્યા નથી. એમણે આપણી સ્વાતંત્ર્યચળવળનાં મૂલ્યો, ‘ભારત’ વિષયક રવીન્દ્ર દર્શન, વિવેકાનંદની વિચારણા વગેરે પૂરક ને સંસ્કારક સામગ્રી જોગવીને આખી ચર્ચાને ગાંધીહત્યા પાછળના કાવતરામાત્રમાંથી બહાર કાઢીને નવી દુનિયામાં ભારતની સાર્થક ભૂમિકા સારુ વ્યાપક વિચારવિમર્શરૂપે ઉપસાવી આપી છે.

તીસ્તા સેતલવડ

તીસ્તાબહેન અને જ્યોતિભાઈએ કરેલી સિલસિલાબંધ વિગત રજૂઆતથી જે સમજાઈ રહે છે તે તો એ કે ગાંધીહત્યામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સીધી સંડોવણી ટેકનિકલી સાબિત ન થઈ હોય તો પણ તેની જવાબદારીમાંથી એ પરબારો મુક્ત થઈ શકે તેમ નથી. નથુરામ ગોડસેનું સંઘસંધાન પાછલાં વરસોમાં નહોતું એવું એક વિધાન થતું રહ્યું છે. પણ ગોપાલ ગોડસેએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે નથુરામે અને અમે સંઘને બચાવી લેવાની કાળજી રાખી હતી. એવું જ એમણે વિશેષરૂપે તાત્યારાવ (સાવરકર) વિશે પણ કહ્યું છે. ચોક્કસ વ્યક્તિની જુબાની લેવાઈ હોત તો સાવરકરની સંડોવણી સાબિત થઈ શકી હોત એવું કપૂર કમિશનનું કહેવું છે. ગાંધીહત્યા વિષયક ચુકાદાને કપૂર કમિશનના હેવાલની સાથે મૂકીને વાંચતાં આ બધી વિગતો સુપેરે સ્ફુટ થઈ રહે છે.

જ્યાં સુધી ભાગલાના સ્વીકારનો સવાલ છે, એક પાયાની વિગત એ છે કે વચગાળામાં લીગ સાથે મળીને સરકાર ચલાવતા વાસ્તવવાદી વલ્લભભાઈને સ્પષ્ટ થઈ ગયું હતું કે સાથે રહેવું અને રાજ ચલાવવું શક્ય નથી. ગૃહ પ્રધાન પટેલ કરતાં વડા પ્રધાન નહેરુની છાપ જુદી નહોતી. વલ્લભભાઈનું લોહપુરુષત્વ અને નહેરુનું નેતૃત્વ આ સંદર્ભમાં પોતાની લાગણીઓને તેમ ગાંધીજીને ય એક ચોક્કસ ક્ષણે બાજુએ રાખી ભાગલાનો સ્વીકાર કરતાં જોવા મળે છે. સ્વાતંત્ર્યસંગ્રામની મુખ્ય ધારામાં (બલ્કે, સમાંતર ધારામાં પણ) નાખી નજરે નહીં જણાતા સંઘે પશ્ચાદ્વર્તી ધોરણે સઘળું સમુંનમું કરવાની ગણતરીએ સરદારને બાકી કૉંગ્રેસ નેતૃત્વથી અલગ તારવી સંઘે પોતાના જાહેર કરવાનો ઉધામો ખાસો કીધો છે. પણ ભાગલાના નિર્ણય પર પહોંચવામાં વલ્લભભાઈની જવાબદારી હતી તે હતી.

વિચારધારાની રીતે જોતાં કિસાન પટેલ અને બૌદ્ધિક નહેરુ, વાસ્તવવાદી પટેલ અને આદર્શવાદી નહેરુ, બેઉ પોતપોતાની રીતે હિંદુ રાષ્ટ્રના ખ્યાલ સાથે અસંમત રહ્યા છે. આ ખ્યાલને વલ્લભભાઈએ એમની નો-નોન્સેન્સ ઢબે ‘પાગલ ખ્યાલ’ પણ કહ્યો છે. નહેરુએ સંઘ પર પ્રતિબંધ મૂક્યો અને સરદારે પ્રતિબંધ ઉઠાવ્યો, એવાં સરલીકરણ સંઘ પરિવારને ફાવતાં આવે છે. સરદારે એમને કૉંગ્રેસમાં જોડાવા નિમંત્રણ આપ્યું હતું એ પણ હોંશે હોંશે (જરી વધુ જ યાદ રાખીને) સંભારે છે. માત્ર, પ્રતિબંધ ઉઠાવવા માટે સરદારે (સરકારે) રાષ્ટ્રધ્વજ અને બંધારણ સહિતની બાંહેધરીઓ માંગી લીધી હતી, એ એને ક્યાંથી યાદ હોય ? અને કૉંગ્રેસમાં જોડાવું એટલે એના બંધારણની મર્યાદામાં રહેવાનું અને એના રાજકીય વિચારો સ્વીકારવાના એનું શું ?

પણ જ્યોતિભાઈની તપાસ એકતરફી નથી. ખંત અને ખાંખતથી જોતાં-તપાસતાં એમણે તે વખતની બંને કૉંગ્રેસ સરકારો (મુંબઈ, જેમાં મોરારજીભાઈ આગળ પડતા હતા) કાવતરાની જાણ થવા છતાં પૂરી તપાસ અને પૂરી ચોંપમાં ઊણી ઊતરી હતી એ પણ દર્શાવ્યું છે. ગાંધી ગયા પછી, એક તબક્કે હૃદયરોગના હુમલાથી મૃત્યુદ્વારેથી પાછા ફરેલા સરદારનો ઉરબોલ કે “દાક્તર, મને કેમ બાપુ પાસે જતા રોક્યો ?” રાજપુરુષો અને રાજનીતિપટુઓના જે કોઈ કોઈ ઉદ્ગારો વિશ્વસાહિત્યમાં જઈ શકે તે પૈકીના છે. પણ ચાણાક્ષ અને દક્ષ વહીવટકારોએ ખાધેલું ગોથું એ ઇતિહાસવસ્તુ છે. ચૂક તે ચૂક, ઠીક જ કહ્યું છે જ્યોતિભાઈએ.

જો કે, જ્યોતિભાઈનાં દુખણાં લેતે છતે આ પ્રાસ્તાવિક વચનોને અહીં જોગવેલ દસ્તાવેજી સામગ્રી અને ‘નિ:શંક’ના દાયરામાં સીમિત નહીં રાખતાં એકબે આનુષંગિક વિચારમુદ્દા પણ ચર્ચાવા-ચીંધવા ઇચ્છું છું. ૧૯૭૬માં કટોકટીકાળે અમે સૌ મિસામાં હતા ત્યારે કોઈ સંઘી-જનસંઘી સાથી ભારે મુગ્ધતા ને અહોભાવપૂર્વક ગોડસેના અદાલત સમક્ષના નિવેદનના ફકરાના ફકરા બોલતા તે આ લખું છું ત્યારે સાંભરી આવે છે. સાથે, એ પણ સાંભરે છે કે જેલબદલી વખતે વિદાય વચનોમાં અમારે ભાગે એક જનસંઘ અગ્રણી તરફથી એવાં આકરાં વચનો પણ આવ્યાં હતાં કે “અત્યાર સુધી હું એમ માનતો હતો કે આખરી જંગ સંઘ અને સામ્યવાદીઓ વચ્ચે લડાશે. પણ હવે મને એમ લાગે છે કે આખરી જંગ અમારી અને સર્વોદયવાળાઓ વચ્ચે લડાશે.” ગાંધીના કોઈ કોઈ ચરિત્રકાર, ગઈ સદીનો પહેલો દસકો ઊતરતે લંડનમાં હિંદી વિદ્યાર્થીઓની વિજયાદશમી સભામાં સાવરકર અને ગાંધી એકમંચ હતા ત્યાંથી ૧૯૪૮ના જાન્યુઆરીની ૩૦મી લગીના સમયગાળાને સળંગસૂત્ર જોવું પસંદ કરે છે, એ અહીં સ્મરણીય છે. સાવરકરના વક્તવ્યનો સૂર દુર્ગાદશ-પ્રહરણધારિણીનો હતો, ગાંધીનો સમ થોડીકેક સીધીસાદી વાતો વાટે રામના મર્યાદા પુરુષોત્તમપણા પર ઠર્યો હશે. એકમાં પ્રાચીન ગૌરવપૂર્વક રાષ્ટ્ર-રાજ્યની વિજીગીષુ વૃત્તિનો ટંકાર હશે, બીજામાં માનવસભ્યતાનાં ધારાધોરણો અને વિકસનની ચિંતા હશે. આ બંને વક્તવ્યોના સારને મેં જાડી રીતે, અને વાજબી કારણોસર જ અવતરણ-ચિહ્નો વગર મૂક્યો છે. પણ જે વિચારરૂખ ગાંધીહત્યા સુધી પહોંચી શકી એનું એક આરંભચિત્ર એમાં જરૂર મળી રહે છે.

વસ્તુત: ‘હિંદુત્વ’ અને ‘હિંદ સ્વરાજ’ બે જુદાં જ દર્શન છે. હિંદુત્વ પ્રાચીન ગૌરવ અને પશ્ચિમવિકસ્યું ‘રાષ્ટ્ર-રાજ્ય’ લઈને ચાલે છે. ‘હિંદ સ્વરાજ’ જણે જણે ભોગવવાના સ્વરાજને ધોરણે એક પ્રજાપરક અભિગમ લઈને ચાલે છે. એક સાંસ્થાનિક સામ્રાજ્યવાદના સંદર્ભમાં ઘડાયેલ સંકીર્ણ રાષ્ટ્રવાદી ધારા છે, તો બીજી પશ્ચિમની સમાંતર ઉદાર વિચારધારા ટોલ્સ્ટોય, થોરો, રસ્કિન આદિને આત્મસાત્ કરીને આગળ ચાલતી અને રાષ્ટ્રીય લડતમાં પડતે છતે વિશ્વમાનવતાને તાકતી ધારા છે. ભારતમાં રોપાયેલી છતાં બંધાયેલી નહીં એવી આ ગાંધીધારા છે.

એક બાજુ ગાંધીમાં રહેલા ‘હિંદુ’ને રાજનીતિને હિંદુત્વરૂપે ઇસ્લામ આદિ જેવું સેમેટિક સ્વરૂપ (ખરું જોતા વિરૂપ) આપી ગાંધી અને હિંદુધર્મ બંનેની સર્જનાત્મક સંભાવનાઓ ખતમ કરતી સંઘ માનસિકતા આમૂલ પુનર્વિચાર માગી લે છે. કંઈક અંશે સંવિદ સરકારોના દોરમાં તો ઠીક ઠીક અંશે ૧૯૭૪-’૭૭ના જે.પી. જનતા પર્વમાં ખીલી શકતી શક્યતાઓ અયોધ્યા જ્વર અને ગુજરાત ૨૦૦૨ સાથે નજર સામે અળપાઈ ગયા છતાં લિબરલ લોકમત કંઈક વ્યામોહવશ પેશ આવતો હોય તો એને ઝંઝેડીને જગાડવા સારુ આ કિતાબ એકદમ સમયસરની છે. એક વાર આ રીતે પણ કરપીણ મુગ્ધતા તૂટે તો આગળ વધુ વિચાર અને ચિંતનની શક્યતાઓ ખૂલે. નેવું નાબાદ જ્યોતિભાઈની આ દિલી કોશિશને વધાવતાં બીજું તો શું કહું, સિવાય કે I am happy to bask in your glory – or, shall I say, your light !

જૂન ૨૨, ૨૦૧૬
(‘નિશંકપણે જવાબદાર’ માંથી ટૂંકાવીને)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 એપ્રિલ 2024 : ‘શિક્ષણવિદ્દ જ્યોતિભાઈ દેસાઈ વિશેષાંક’ – પૃ. 21-22

Loading

મીનુભાઈ : હૃદય સદાય જેનું સ્નેહભીનું

જ્યોતિભાઈ દેસાઈ|Gandhiana|22 July 2024

ભાઈ મોહન મઢીકરની પાયાની મહેનત વગર આ પુસ્તક – ‘હૃદય સદાય જેનું સ્નેહભીનું’ તૈયાર કરવું શક્ય જ ન હતું. બધી રસોઈ કરવાની સામગ્રી તેમ જ જરૂરી મસાલા, અને ઠીક એવું કાચું પાકું રાંધ્યા પછી વઘાર છેવટે કરવાનો હોય તેવું મારે ભાગે ગણવું જોઈએ. ભાઈ રાજુભાઈ, મારી પાછળ પડીને ઉઘરાણી કરતા રહ્યા. ‘કેટલે આવ્યા ? ક્યારે આવીએ ?’ એમનો ફોન દસ પંદર દિવસે આવ્યો જ હોય. વળી, જે કાંઈ તૈયાર કરીને હું આપું તે બધું સારી રીતે ટાઈપ કરાવીને પાછું તેનું પ્રુફ રીડીંગ મારી પાસે કરાવીને છેવટનું સ્વરૂપ નક્કી કરાવી લેવાની કાળજી પણ તેમણે લીધા કરી. એટલે જ આ પુસ્તકના સંપાદનનું કામ એ બેઉ, મીનુભાઈના ચાહકો – ભક્તોને જ આભારી છે.

મીનુભાઈ

મીનુભાઈને ન્યાય થયો છે કે કેમ એ તો પુસ્તકના વાચક નક્કી કરશે. મારું અંતરમન એમ જ કહે છે કે મીનુભાઈની જે ચોક્સાઈ અને પ્રયત્નશીલતા, તે કક્ષાએ પહોંચવાનું મારું ગજું જ નહીં. એમની પ્રાપ્ત અંગત ડાયરીઓ જ પૂરી વાંચી નથી શક્યો. વળી, એમણે તો કેટકેટલાં લખાણો, પુસ્તકો, પોસ્ટરો, ચોપાનિયાં તૈયાર કર્યાં એ બધાં જોયાં છે પણ તે સૌનો પૂરતો અભ્યાસ કરીને તેનો નિચોડ આપી શકાયો છે એમ પણ કહેવાની હિંમત કરતો નથી. યદાકદા, એમને વિશે વધુ પ્રયત્ન કરીને રજૂ કરનાર ભવિષ્યમાં કોઈ નીકળે તો જ મીનુભાઈને ખરો ન્યાય થાય.

મીનુભાઈને જુગતરામકાકાના હનુમાન તરીકે જોવાય તે યોગ્ય જ છે. છતાં પુસ્તકના કેન્દ્રમાં તો મીનુભાઈને રાખવાનો પ્રયત્ન કર્યો તેથી જુગતરામકાકા આમાં નહીં જડે. જો કે જુગતરામકાકાના પ્રોત્સાહનથી જ મીનુભાઈ પોતાની જાતને આગળ ધપાવતા રહ્યા. વળી, મીનુભાઈએ તો જાતે તેમને પોતાના આદર્શ તરીકે સ્વીકારેલા. તેથી જ મીનુભાઈ “વેડછીકરણ” ઉત્તમ સૈનિક તરીકે સામે આવે છે.

આ પુસ્તકનો આકાર અંજલિસ્વરૂપનો જ રાખવો તેવું પહેલેથી મનમાં વિચારેલું. સંભવ છે, મીનુભાઈ પણ તેવું જ ઇચ્છે. ‘મારું નામ નહીં કામ સમજે’ એવી એમની અપેક્ષા હોય ને ! એમ કહેવું યોગ્ય થશે કે આ પુસ્તકનું સ્વરૂપ ક્રમશ: ઘડાતું ગયું. એ પૂર્વનિયોજિત નહોતું. જેમ જેમ મીનુભાઈની નજીક જવાનું થયું તેમ તેમ એમને રજૂ કરવાની સૂઝ મળતી ગઈ. આ શાળા નથી, પ્રયોગશાળા છે. નઈ તાલીમની ખોજ અને વસ્ત્ર સ્વાવલંબનનાં ત્રણ પ્રકરણો મીનુભાઈના પ્રારંભિક પ્રયત્નોના ગણાવું છું. એમણે જે આત્મચિંતન કર્યું અને માર્ગદર્શન મેળવ્યું તે ‘મનોગત’ અને પત્રમંજૂષામાં સમાવ્યું. અલબત્ત, તેમાં જુગતરામકાકાની વાત ‘આશ્રમમાં જોડાવું એ સામાન્ય નોકરી નથી. તમે તમારા જીવનના વિકાસ અર્થે કામ કરો છો. અને તે અર્થે કાંઈક આર્થિક ભોગ પણ આપો છો. તેમ જ તમારા બીજા હક્કો હોય તે પણ ગુમાવવા તૈયાર છો’ – એ વાત મીનુભાઈના જીવનના ધ્યેયમંત્રરૂપ બની એમ સમજીએ તો મીનુભાઈને વધુ ઓળખી શકાશે. આ અપેક્ષાની ધૂન લઈને મીનુભાઈ કેવા થઈ શક્યા તે ‘વૃક્ષમિત્ર’, ‘ભાવિપેઢીના હિતચિંતક’ અને ‘સુરુચિનાં પ્રાણ’ પ્રકરણો દ્વારા પ્રગટ કરાયા છે.

ગણતરીમાં ન હતાં છતાં શ્રદ્ધાંજલિઓ તેમનો દાવો કરીને સ્થાન મેળવી જ ગઈ. કાવ્યાંજલિઓ અને ‘સાથીઓની નજરે’ એ બે પ્રકરણો તેથી ઊપસી આવ્યાં.

આ કામ લીધે લગભગ એક વરસ થવા આવ્યું તે બદલ મુ. ઝીણાભાઈની માફી માંગવી રહી. એમણે કદી ઉઘરાણી તો નથી કરી પણ સોંપ્યું ત્યારથી વહેલું છપાય તેમ તેઓ ઇચ્છતા એમ મને સમજાતું રહ્યું હતું. વાસ્તવમાં ઝીણાભાઈ ઘણા સરળ માણસ છે. એમને ઝટ ઓળખી શકાય છે. રાજકારણનો ઓછાયો એમના જીવન પર પડ્યો છતાં છળકપટ તેમને ભાવતાં નથી. મૂળે ઝીણાભાઈ એક લાગણીપ્રધાન જીવ છે. જુગતરાભાઈના સ્પર્શથી સામાન્યજન પ્રત્યેની હમદર્દી વધુ મેળવી અને જાતે રાષ્ટ્રીયત્વ ખીલવ્યું. તેથી જ ઉદારતા સહજ મેળવી લીધી છે. અને તેથી જ મારા જેવા વખત – કવખતે તેમની ટીકા કરનાર, એમની સાથે સજાગ રહી વર્તનારને કામ સોંપવામાં તેમને થડકાર થતો નથી. “મીનુભાઈવાળું પુસ્તક તમારે કરવાનું છે” એમ એમણે કહ્યું ત્યાર પહેલાં મારા મનમાં હતું ખરું કે એ મારે જ કરવું જોઈએને ! એટલે ભાવતું તો મળ્યું. પણ તે સાથે ઝીણાભાઈ સાથેનો સંબંધ આ પુસ્તક તૈયાર કરવા મળવાથી વધુ સરળ અને સુદૃઢ થયાનું અનુભવું છું. આવી તેમને ય ઓળખવાની તક આપવા બદલ તેમનો આભાર માનું છું.

રાષ્ટ્રને “લોકસેવકોની” જરૂર છે એવું કહીને ગાંધીજી વિદાય થયા. તેવા લોકસેવક થવાનો મીનુભાઈએ પ્રયત્ન કર્યો છે. ભાઈ વરિયાવનાં પત્ની પરસીસબહેનના શબ્દોમાં “અમારે મન તો મીનુભાઈ જ ગાંધીજી હતા. કારણ અમે ગાંધીજીને તો જોયેલ ન હતા. આ સાદો સીધો નિસ્પૃહ, નિસ્વાર્થી માનસ જ જોયેલો.”

૨૧મી સદીમાં ‘લોકસેવક’ થવા ઇચ્છનાર નવી પેઢીને મીનુભાઈના ઉદાહરણનો લાભ મળે તેવી પ્રાર્થના કરું છું. અને ‘વેડછીકરણ’ના આદર્શ સૈનિક મીનુભાઈને હજારો સલામ કરું છું.

વેડછી, ૦૨-૧૦-૦૨
(‘હૃદય સદાય જેનું સ્નેહભીનું…’ પુસ્તકનું સંપાદકીય)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 એપ્રિલ 2024 : ‘શિક્ષણવિદ્દ જ્યોતિભાઈ દેસાઈ વિશેષાંક’ – પૃ. 37

Loading

આપણા અનુ-આધુનિક સાહિત્ય વિશે ફરી એક વાર … (4) 

સુમન શાહ|Opinion - Literature|22 July 2024

સુમન શાહ

સાહિત્યકારોના નામોના નિર્દેશનું રાજકારણ નર્મદથી શરૂ થયું છે. જે લોકો સામાન્યપણે નર્મદનું નામ લેતા હતા તેઓ દલપતરામનું ન્હૉતા લેતા, અને દલપતરામનું લેતા હતા એ લોકો નર્મદનું ન્હૉતા લેતા. ન્હાનાલાલને ‘નાનિયો’ કહેનારો ય વિદ્વાન તો હતો જ !

એ રાજકારણ સામ્પ્રત લગી ચાલતું આવ્યું છે, એ માત્ર આધુનિક કે અનુ-આધુનિક સમયોમાં જ છે એવું નથી. નામો લેવાયાં-ન લેવાયાંની ફરિયાદોમાં પણ એ રાજકારણ નથી એમ નથી.

તેમછતાં, મેં મારી કારકિર્દીમાં સાહિત્યિક કારણ વિના કોઈના ય નામનો નિર્દેશ કર્યો નથી. નામ લેતી વખતે હું હમેશાં તેના સંદર્ભને મુખ્ય ગણતો હોઉં છું. બાકી, હકીકત એ છે કે સુમન શાહને ખુશ કરો કે ધમકાવો, એથી એ તમારું નામ લે? રામરામ ભજો !

શું બનતું હોય છે તેની એક સર્વસાધારણ વાત કરીએ :

૧ : નામ લેવાય તેની અને ન લેવાય તેની ફરિયાદો – એટલે કે ટીકાટિપ્પણી, નામોની જ થાય છે, નામો જે સંદર્ભે લેવાયાં હોય તેની નહીં.

૨ : જેનું નામ લેવાયું હોય એને જે-તે સંદર્ભમાં કશો જ દોષ દેખાતો નથી, એ તો બસ રાજી થઈને મ્હાલે છે. એને રાજી જોઈને બીજાઓ ચૂંકાય છે ને મનમાં આવે એ બોલવા માંડે છે. રાજગી-નારાજગી એ રાજકારણમાં ઘી હોમે છે.

૩ : જેનું નામ ન લેવાયું હોય એ બધા ભેગા થઈને તે લેખક સમ્પાદક વિવેચક કે અધ્યાપકને ઉતારી પાડે છે. એણે હાથ ધરેલા પ્રકલ્પનું સાહિત્યિક મૂલ્ય શું છે તેની વાત થતી નથી. પ્રકલ્પમાં મુકાયેલા સાહિત્યિક આશયને ય ધ્યાનમાં નથી લેવાતો. ઉતારી પાડનારાઓ વિવેચનનોને અને વિવેચકોને કોણ વાંચે છે એવી લપડાક લગાવતા જાતે ને જાતે ‘સર્જકો’ રૂપે ખડા થઈ જાય છે, ને પછી એવાઓ ભેગા થઈને કાખલી કૂટવા માંડે છે.

આખું દૃશ્ય સાવ સબ્જેક્ટિવ હોય છે, અને ચર્ચાનું સ્વરૂપ જરાપણ ઑબ્જેક્ટિવ હોતું નથી. સમજી રાખો કે આ સબ્જેક્ટિવિઝમ ચાલુ રહેશે તો ચોખ્ખાં મૂલ્યાંકનો મળવાનો સંભવ રૂંધાયેલો જ રહેવાનો છે.

મારા છેલ્લા લેખો બાબતે જણાવું કે —

પહેલો લેખ આપણા અનુ-આધુનિક સાહિત્યનું ક્ષેત્ર દર્શાવતો એક નકશો છે. એના દરેક ઇલાકાની ચર્ચા થવી જોઈતી’તી.

બીજો લેખ આપણું અનુ-આધુનિક સાહિત્ય કેટકેટલા સંદર્ભોમાં પ્રસરી રહ્યું છે તે દર્શાવે છે. એ દરેક સંદર્ભનાં સ્વરૂપ અને કાર્યની સમજ પડે તે માટે કેટલાંક નામો ‘દાખલા તરીકે’ મૂકવામાં આવેલાં. એ સંદર્ભોમાં ઊતરવાને બદલે, નામોની જ વાતો ચાલી.

મારે જણાવવું જોઈએ કે—  

૧ – હું નામો ગણવા ન્હૉતો બેઠો, સંદર્ભ આપી રહ્યો’તો. નામો સંદર્ભ અર્થે હતાં. નામો સંદર્ભના સમર્થન માટે હતાં. 

આ હતા એ બધા સંદર્ભો —  

1 અનુ-આધુનિકતાનું પ્રસરણ દર્શાવતાં, સમીક્ષાત્મક લેખનો, એ સંદર્ભ. 

2 અનુ-આધુનિકતાનું પ્રસરણ દર્શાવતાં, કેટલાંક સામયિકો, એ સંદર્ભ.

3 અનુ-આધુનિક સાહિત્યમાં જીવનપરક સાહિત્યના – લાઇફ લિટરેચરના – મહિમાનો સંદર્ભ.

4 અનુ-આધુનિકતાનું પ્રસરણ દર્શાવતા, સોશ્યલ મીડિયા પરના કેટલાક બ્લૉગ્સ, એ સંદર્ભ. 

5 અનુ-આધુનિકતાનું પ્રસરણ દર્શાવતી, કેટલીક સ્વાયત્ત મંડળીઓ, કેટલાંક સંગઠનો કે ફાઉન્ડેશનો, એ સંદર્ભ.

6 પ્રસરણશીલ અનુ-આધુનિકતાએ સાહિત્યનાં વસ્તુજગતમાં કોરાણે મુકાયેલા કે છોડી દેવાયેલા વિષયોનું સાહિત્ય, બ્લૅક તેમ જ ફૅમિનિસ્ટ લિટરેચર, સરજ્યું, એ ક્ષેત્રો સર કર્યાં.  

અને, એમાં આ મુદ્દો તો સૌ ચાતરી જ ગયા કે – આપણે ત્યાં દલિત અને નારી તત્ત્વો કેન્દ્રમાં આવ્યાં અને એ ક્ષેત્ર એ પ્રકારે સર થયું છે.

7 અનુ-આધુનિકતાનું પ્રસરણ દર્શાવતા, સ્ટેજ-શોઝ પાછળની ભાવના હવે સવિશેષે પ્રસરી રહી છે, એ સંદર્ભ.

8 પ્રસરણ દરમ્યાન, પ્રવર્તમાન સાહિત્યિક પરિદૃશ્યની એક અવ્યાખ્યાયિત આછીપાતળી પર્યેષણા – critique – શરૂ થતી હોય છે, એ મુદ્દો પણ ચાતરી ગયા.

9 અનુ-આધુનિકતાનું પ્રસરણ પરિવર્તનકારી હોય છે, એ સંદર્ભ. 

10 સાહિત્યસર્જન-લેખન જ્યારે એક ઇઝમથી – ISMથી – બીજા ઇઝમ અનુસારના વાદવિચાર જનમાવે, ત્યારે એણે આગલા ઇઝમ સાથે ડિસ્કન્ટિન્યુઇટી સાધી હોય છે, વિચ્છેદ સાધ્યો હોય છે. એ મુદ્દો પણ ચાતરી ગયા. 

11 વિચ્છેદ પરિવર્તનોથી સધાતો હોય છે, એ સંદર્ભ.

12 પહેલેથી પૂર્ણરૂપેણ અનુ-આધુનિક સાહિત્યકારો, એ સંદર્ભ.

13 ક્રમશ: લખાતી આ શ્રેણી માટે મેં કહ્યું કે લિરિકલ અને નૅરેટિવ ગણાતા સાહિત્યખણ્ડોની વાત થઈ, ડ્રામેટિકની વાત હવે પછી. એ મુદ્દા માટે ધીરજ રાખવાની હતી, પણ ચાતરી ગયા. 

જુઓ, સમસામયિક પરિદૃશ્યની નુક્તેચિની બહુધા અને બહુશ: બે જ વ્યક્તિઓ કરે છે : બાબુ સુથાર અને સુમન શાહ : એ નુક્તેચિની કેટલી તો જરૂરી છે, કેટલી તો પ્રેરણાદાયી છે, મેં આપ્યા એમ કેટલા બધા મહદંશે નૂતન સંદર્ભો, અવનવા મુદ્દા, વીગતો, પુસ્તકોના નિદેશો રજૂ કરે છે, તેની કોઈને જાણે કશી વિસાત જ નથી ! ઊલટું, મોઢાં માત્રનામો ભણી જોવા મળે છે ! 

સાર એ આવે છે કે આપણને ગમ્ભીર લખાણો વાંચતાં આવડતું નથી. એવાં લખાણોથી આપણી જ્ઞાનેન્દ્રિય પ્રેરાતી નથી. કીર્તિ, વાહ-વાહી, નામના, રૅક્ગ્નિશન, ગણના વગેરે માટેની લાલસા ચગેલી રહે છે. આપણી જૂની જરઠ આદતોનો નાશ થતો નથી. 

મને લાગે છે કે આપણે સમ્યક સાહિત્યકાર હોવાનો ડૉળ કરવાનું હવે બંધ કરવું ઘટે. 

મને એવું પણ લાગે છે કે વિદ્વદ ચર્ચાવિચારણાનો આપણે ત્યાં મારા પૂરતો અન્ત આવી ગયો છે, અને તેથી નુક્તેચિની કરતાં લેખનો હું જરૂર કરીશ, પણ સંકલ્પ કરું છું કે હવેથી હું જાહેર ચર્ચામાં નહીં જોડાઉં. જે મિત્રો મારાં લેખનો માટે નાનામોટા સરસ અને અર્થપૂર્ણ પ્રતિભાવો આપે છે તેઓ મારા આ સંકલ્પને ક્ષમ્ય ગણશે. તેઓ અંગત ધૉરણે ચર્ચા ઇચ્છશે, તો કરીશ. 

(21 Jul 24: USA)

= = =

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...655656657658...670680690...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved