Opinion Magazine
Number of visits: 9457353
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતનું મહાભારત !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|18 March 2024

રવીન્દ્ર પારેખ

અનેક અટકળો વચ્ચે મોડે મોડે પણ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે ને એ સાથે જ આચાર/લાચાર સંહિતા પણ લાગુ થઈ છે. દુનિયાની સૌથી મોટી લોકશાહી ભારતની છે ને એની ચૂંટણીનું ભગીરથ કાર્ય ચૂંટણી પંચને માથે આવ્યું છે. ચૂંટણી પંચનાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં થવાની જાહેરાત કરી છે. પહેલો તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે ને સાતમા તબક્કાની ચૂંટણી 1 જૂને પૂરી થશે. 21 રાજ્યોમાં 1 જ તબક્કે મતદાન થશે, જ્યારે યુ.પી., બિહાર અને પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 7 તબક્કામાં મતદાન થશે. ગુજરાતની વાત કરીએ તો 26 બેઠકો પર 7 મેએ મતદાન થશે ને એ જ દિવસે વિધાનસભાની 5 બેઠકો પર પણ મતદાન સંપન્ન થશે. ભારતના કુલ 96.88 કરોડ મતદાતાઓ 55 લાખ ઇ.વી.એમ. પર, 10.5 લાખથી વધુ મતદાન કેન્દ્રો પર મતદાન કરશે ને 1.5 કરોડ કર્મચારીઓ મતદાનની વિધિ સંપન્ન કરાવશે. મતદાતાઓમાં 49.72 કરોડ પુરુષો હશે ને 47.15 કરોડ મહિલાઓ હશે, તથા 1.82 કરોડ મતદાતાઓ પહેલી વખત મતદાન કરશે. 85થી વધુ ઉંમરના મતદાતાઓ તથા 40 ટકાથી વધુ દિવ્યાંગ મતદાતાઓ ઘરેથી મતદાન કરી શકશે. ગુજરાતની વાત કરીએ તો હજી બંને પક્ષના 21 ઉમેદવારોના નામ જાહેર થવાના બાકી છે. માત્ર ગુજરાતનાં જ 4.94 કરોડ મતદાતાઓ મતદાન કરશે. ગુજરાતમાં જ 10,322 એવા મતદાતાઓ છે જેમની ઉંમર 100થી વધુ વર્ષની છે. રહી વાત સુરતની તો 4,476 મતદાન મથકો પર 48,23,163 મતદાતાઓ મતદાન કરશે, જેમાં 25.23 લાખ પુરુષો અને 21.84 લાખ સ્ત્રીઓ હશે. 4 જૂને 543 સીટોનાં ચૂંટણીનાં પરિણામો જાહેર થશે.

81 દિવસ લાગુ થનારી આચાર સંહિતાની સાથે જ શું ન થઈ શકે એની મોટા ઉપાડે ચૂંટણી પંચે જાહેરાત કરી છે, પણ તેનો અમલ રાજકીય પક્ષોએ કરવાનો હોય છે ને તે કેટલો થાય છે તે સૌ જાણે છે. બીજી મહત્ત્વની વાત એ કે 81 દિવસ આચાર સંહિતા લાગુ થવાને કારણે લગભગ બધાં જ સરકારી કામો ઠપ થઈ જતાં હોય છે. એક તરફ અતિશય ખર્ચાળ ચૂંટણી ને બીજી તરફ લગભગ ત્રણેક મહિના સરકારી કામકાજની બંધી, આ બંનેની અસર થયા વગર રહેતી નથી. આ સ્થિતિમાં સુધાર થયો નથી ને થતો નથી તે ચિંત્ય છે. આમ તો એનો સીધો રસ્તો એ છે કે ચૂંટણી ઓછા તબક્કાઓમાં ને ઓછામાં ઓછા સમયમાં થાય, પણ એ તો થાય ત્યારે ખરું. બીજો એક રસ્તો તે વિધાનસભાની અને લોકસભાની ચૂંટણીઓ સાથે સાથે થાય તે છે. આ વખતે આંધ્ર, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને ઓડીસા વિધાનસભાની ચૂંટણીઓ સાથે જ થઈ રહી છે તે પરથી ભવિષ્યમાં પણ અન્ય વિધાનસભાઓ સંદર્ભે વિચારી શકાય. ચાર વિધાનસભાની ચૂંટણી જો લોકસભાની ચૂંટણી સાથે થઈ શકતી હોય તો બધી વિધાનસભાની પણ થઈ જ શકે. એટલીસ્ટ, કોશિશ તો થઈ જ શકે.

આચાર સંહિતાનું તો એવું છે કે રાજકીય પક્ષો છટકબારીઓ શોધીને ધારેલું કરી જ લેતા હોય છે. જેમ કે ચૂંટણી પંચે જાહેર કર્યું છે કે જાતિ-ધર્મને નામે ઉશ્કેરશો તો પગલાં લઈશું ને આ વખતે ઠપકો આપીને છોડી નહીં મુકાય, પગલાં જ લેવાશે. ચૂંટણી પંચ દ્વારા એવું ભારપૂર્વક કહેવાયું છે. સાંભળવામાં આ બધું સારું લાગે છે, પણ પ્રચારમાં કઈ જાતિ કે ધર્મને ટાર્ગેટ કરાય છે તે જગજાહેર છે. જોઈએ, આવનાર પચાસેક દિવસમાં કેવો પ્રચાર થાય છે ને તેનો પંચ કેવોક પડઘો પાડે છે ! જાહેરાતો તો એવી પણ થઈ છે કે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી મૂકાશે તો તેને રોકવામાં આવશે કે નાણાંની હેરાફેરી રોકવાના પ્રયત્નો પણ થશે. કલંકિત ઉમેદવારોને ચૂંટણી લડતા તો રોકી શકાય એમ નથી, કારણ એવું થાય તો મોટે ભાગના ઘરે બેસે, પણ એવા ઉમેદવારો માટે ચૂંટણી પંચે એવી સગવડ કરી છે કે ઉમેદવારે પોતે કલંકિત છે એવી ત્રણ વખત અખબારોમાં જાહેરાત આપવી પડશે. પંચ પણ કેવું કરમુક્ત મનોરંજન પૂરું પાડે છે, નહીં? કલંકિત ઉમેદવાર એક વાર નહીં, ત્રણ ત્રણ વખત છાપાંમાં જાહેરાત આપે તો એ પગ પર કુહાડો નહીં, કુહાડા પર પગ મારે છે એમ જ માનવું પડે. એવી તો ઘણી વાતો છે જેમાં અગાઉ ચૂંટણી પંચે ઉદારતા દાખવી છે ને એનો લાભ ઉમેદવારોએ/પક્ષોએ લીધો છે.

આમ જોઈએ તો આ વખતનો ચૂંટણી જંગ એન.ડી.એ. અને ‘ઇન્ડિયા’ વચ્ચેનો છે. ભા.જ.પ. અને તેના સાથી પક્ષોનું નેતૃત્વ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંભાળે છે, જ્યારે ઇન્ડિયામાં કોઈ એકનું નેતૃત્વ સ્પષ્ટ નથી. 28 વિપક્ષોનું ગઠબંધન ઉત્તરોત્તર વિખેરાતું રહ્યું છે. એક તબક્કે જેટલા વિપક્ષી નેતાઓ એટલા વડા પ્રધાન પદના દાવેદાર – એવી સ્થિતિ હતી. મમતા બેનરજી જેવી તૃણમૂલ કાઁગ્રેસની સક્ષમ મુખ્ય મંત્રીએ ગઠબંધન છોડ્યું ને 42 સીટો પર સ્વતંત્ર રીતે લડી લેવાનું નક્કી કર્યું. આ પગલું એટલે પણ સફળ ન થાય એમ બને કે સંદેશખાલી પ્રકરણે પશ્ચિમ બંગાળની ભીષણ વાસ્તવિકતાને ઉઘાડી કરી દીધી છે. વધારામાં ચૂંટણી બોન્ડમાં કાઁગ્રેસને પાછળ મૂકીને તૃણમૂલ કાઁગ્રેસ બીજા નંબરે છે તે પણ સૂચક છે. એ જ પ્રમાણે ચૂંટણી બોન્ડ દ્વારા સૌથી વધુ રકમ અંકે કરીને ભા.જ.પ. પહેલે નબરે છે તે વાત પણ તેની તરફેણમાં કેટલી જાય તે વિચારવાની રહે. આમ તો ચૂંટણી બોન્ડ વધુ પારદર્શિતા માટે શરૂ કરાયા, પણ એ પણ રાજકીય પક્ષો સાથેની સાંઠગાંઠ અને લાભાલાભને જ ખુલ્લાં કરે છે, બલકે, બીજા શબ્દોમાં કહીએ તો તેનું રક્ષણ કરે છે એમ પણ ખરું.

બિહારના નીતીશકુમારની અનીતિ એ જ નીતિ રહી છે. ભા.જ.પ. અને નીતીશ એકબીજાને ભરપૂર ધિક્કારી ચૂક્યા પછી એકબીજામાં ફરી ભળી-ગળી ગયા છે. રાજકારણમાં કોઈ સિદ્ધાંત કે નીતિ જરૂરી નથી એટલે આ બધું હવે શક્ય છે. એક તબક્કે નીતીશ, ઇન્ડિયાનું નેતૃત્વ કરે એવી સ્થિતિ હતી, પણ હવે તો તેમને જ ભા.જ.પ. સંભાળે એવી સ્થિતિ છે. કાઁગ્રેસ અને અખિલેશ યાદવે માયાવતીને વડા પ્રધાનપદની ઓફર સાથે 25 બેઠકો ધરી, પણ માયાવતીએ એ ઓફર ઠુકરાવી. મહારાષ્ટ્રમાં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે, બિહારમાં તેજસ્વી અને ઉત્તર પ્રદેશમાં અખિલેશ રાહુલ ગાંધી સાથે દોસ્તીદાવ અજમાવી રહ્યા છે, પણ ભા.જ.પ. સામે એમનો પનો ટૂંકો જ પડી રહ્યો છે તે એમને ય ખબર છે. સાચું તો એ છે કે ઇન્ડિયા ગઠબંધન પાસે ભા.જ.પ. સામે વન ટુ વન મૂકી શકાય એવાં માથાં જ નથી. રાહુલ ગાંધીને ન્યાય યાત્રામાં છે એટલો રસ કદાચ ચૂંટણીમાં નથી, એટલે ભા.જ.પ. સામે સક્ષમ એવો વિપક્ષ જ લગભગ નથી.

આમ તો કૈં ન કરે તો પણ ભા.જ.પ.ને જીતવા બહુ મહેનત કરવી પડે એમ નથી. વિપક્ષોનો કુસંપ જ ભા.જ.પ.ને વિજયી બનાવવા પૂરતો છે. એની સામે 370 નાબૂદી, સી.એ.એ., રામમંદિર, મહિલાઓને 33 ટકા અનામત જેવા ઘણા મુદ્દા ભા.જ.પ.ને જમા પક્ષે છે. એ સ્થિતિમાં ભા.જ.પ. 370 અને એન.ડી.એ.ના બીજા 39ની જીતનો દાખલો ગણે તો એ ખોટો પડે એવું લાગતું નથી. ભા.જ.પે. દક્ષિણના રાજ્યો પર વધારે ધ્યાન આપવાનું રહે. તેણે આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુના તેલુગુદેશમ્‌ સાથે અને કર્ણાટકમાં જનતા દળ યુનાઈટેડના દેવેગૌડા સાથે ચૂંટણીનું ગઠબંધન કર્યું છે. એ દિશામાં જ ભા.જ.પે. વધુ સક્રિય રહેવું પડે. એ ખરું કે ભા.જ.પે. હિંદુત્વની મતબેન્ક મજબૂત કરી છે. જો કે, વિપક્ષો પાસે પણ મોંઘવારી, બેકારી, ગરીબીના મુદ્દા છે જ, પણ દેશ સામે ધરી શકાય એવું સર્વસંમત માથું નથી ને એ તેને કોઈ ચમત્કાર વગર જીત અપાવે એવું લાગતું નથી.

હજી ઘણા દિવસો ચૂંટણીને છે ને રાજકીય પક્ષો જીતવા માટે શક્ય તે બધું જ કરી છૂટશે. દરેકને માટે જીત એ જ એક માત્ર લક્ષ્ય હશે. તે કેવી રીતે જીતાય છે, તેનું મહત્ત્વ નથી. તે જીતાય તે જ મહત્ત્વનું છે. એને જીતાડનાર પ્રજા છે. પ્રજાએ અણધાર્યાં પરિણામો પણ આપ્યાં જ છે. એ પરિણામોમાંનું એક તે 2014નું પરિણામ છે. આ એ જ પ્રજા છે જેણે દાયકાઓનાં કાઁગ્રેસી શાસનને બદલ્યું હતું ને તે વખતના વિપક્ષી ભા.જ.પ.ને સત્તા સોંપી હતી. 2024માં સ્થિતિ એ છે કે પ્રજાએ શાસન બદલવું હોય તો પણ સામે કોઈ એવું નથી જેના પર ભરોસો મૂકી શકાય. લોકશાહીમાં વિપક્ષ સબળ ન હોય તો ભવિષ્યમાં ચૂંટણી જ ન આવે  એવા દિવસો પણ આવી શકે છે. વધારે શું કહેવું?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 માર્ચ 2024

Loading

જાજરમાન સિંહરાજાના અંતિમ દિવસો

રૂપાલી બર્ક|Poetry|18 March 2024

સ્ક્રીન પર સિંહરાજાના અંતિમ દિવસોના દર્શાવાતા વીડિયો સાથે 

દર્શકોને સંબોધતા ઉત્સાહભેર ભાષ્ય તમે ચાલુ કરો છો —

“મારા જીવનનું સૌથી કરુણાજનક આ દૃશ્ય હતું. 

આ વયોવૃદ્ધ સિંહરાજા એનાં જીવનના 

છેલ્લાં ચાર દિવસોમાં શું શું અનુભવશે?

આ દૃશ્ય જોયા બાદ પ્રકૃતિની અજાયબી પર વિસ્મય થાય છે.

સામાન્યપણે જાજરમાન સિંહરાજાઓનો ઠસ્સો આપણે જોતાં હોઈએ છીએ

એને બદલે આપણી નજર સામે આ વયોવૃદ્ધ સિંહરાજા 

હાડપીંજર જેવો પાતળો અને ભારે હાંફતો દેખાય.

પાયાની લડવાની ક્ષમતાની પણ સમસ્યા છે એને.

અંતનો અણસાર એને કદાચ આવ્યો હોય એમ

સિંહરાજાએ આરામના અંતિમ સ્થળ તરીકે

પસંદ કર્યું છે આ ઘટાદાર વૃક્ષ.” 

મરણના આરે પહોંચેલા સિંહરાજાને 

વીડિયોગ્રાફર બતાવતો જાય છે હરખભેર ક્લોઝઅપમાં

 અને ઉત્તેજિત અવાજે તમે બોલતા જાવ છો —

“એના કૃષ થઈ ગયેલા પેટ પરથી ખ્યાલ આવે છે કે 

કેટલા ય દિવસથી એ ભૂખ્યો છે. 

શરીર સાવ ક્ષીણ થઈ ગયું હોવાથી શિકાર કરવાની ક્ષમતા નથી રહી.

આ ગળાકાપ સવૅના*માં વધ્યોઘટ્યો શિકારે ય ક્યાં સહેલાઈથી મળે છે?”

વીડિયોગ્રાફર ૩૬૦ ડિગ્રી કૅમૅરા ફેરવતો જાય અને તમે બોલો —

“આ ઘડીએ સિંહરાજાને વૃક્ષ નીચે શાંતિથી પડ્યા રહેવું છે 

અને એની સામે એક વખતે ગર્જના કરતા સવૅનાને નિરખ્યા કરવું છે ફક્ત.” 

શિકાર કરવા લાયક નથી એટલે ભૂખ ના હોય? 

ભર પેટ ખાધા પછી શાંતિથી પડ્યા રહેવાની જરૂર લાગે એવું એને મન છે?!

કેટલી મૂર્ખામીથી આવું માની લીધું તમે! કહેવું પડે!

દૃશ્ય-શ્રાવ્ય નિરુપણ આગળ ચાલે છે:

“વીડિયોગ્રાફર બીજા દિવસે ગયા ત્યારે

સિંહરાજા એ જ મુદ્રામાં પડેલા દેખાયા.

અત્યંત નિર્બળ થઈ ગયેલા કેટલા ય દિવસોથી 

પાણીના એક ટીપા વગર. 

શિકારી કૂતરો જો આવી ચઢે તો કદાચ આસાનીથી એનો શિકાર કરી શકે.

સિંહો મહદઅંશે એકાકી જીવન જીવતા હોય છે,

મોટા ભાગનો એમનો સમય રણમેદાનમાં પસાર થતો હોય છે

અને જૂજ સિંહો જ કુદરતી રીતે વૃદ્ધ થાય છે.

એ પરિપેક્ષ્યથી આ સિંહ નસીબવાન છે.

જો કે આ ઘડીએ પડ્યા રહેવા માટે પણ

એને વૃક્ષના થડનો ટેકો લેવાની ફરજ પડતી હોય. 

આમ છતાં એણે માથું હજુ ઊંચું રાખેલું છે.

કૅમૅરાના લૅન્સમાંથી એ કહેવું મુશ્કેલ છે

કે એના મગજમાં શું ચાલતું હશે? 

પરંતુ એની નજરમાં પરખાય છે કંઈ કેટલી ય કહાનીઓ. 

ત્રીજે દિવસે સિંહરાજા હજુ ત્યાં જ પડેલો છે. 

હવે પેટ પર સૂવાની શક્તિ પણ રહી નથી.

માત્ર પંજા અને માથું થોડાંઘણાં હલાવી શકે છે.

વીડિયોગ્રાફરને બીજા દિવસે લાગતું હતું કે સિંહરાજા રાત નહીં કાઢે.

અણધારી રીતે સિંહરાજા નિર્ધારપૂર્વક ત્રીજા દિવસ સુધી ટકી રહ્યાં.

ચોથા દિવસે વીડિયોગ્રાફર ફરી ગયા ત્યારે 

સિંહરાજા પ્રાણ ત્યાગી ચૂક્યા હતા. 

સવૅનાના એક સમયના પ્રભાવશાળી સિંહરાજા

વૃદ્ધત્ત્વના ભાગ્યથી છટકી ન શક્યા. 

કદાચ એનો અંતિમ અફસોસ એ હશે કે એની સિંહણ અને સંતાન

એના પડખે નહોતા નહીં તો યથાર્થ અંત હોત.

અંત બાદ નવી શરૂઆતની કહાનીઓ સવૅનામાં દરરોજ સર્જાય છે.

આ જ સવૅનાનું આકર્ષણ છે.” 

આટલું કહી તમે વિરમો છો.

અમને પણ સવાલ થાય છે.

આ દૃશ્ય-શ્રાવ્ય નિરુપણ

 ઉત્સાહભેર દર્શાવી સિદ્ધ શું કર્યું તમે?

રોકડી કરી એ જીવની પીડાની?

વાહ વાહ મેળવવા?

ના એને ખાવા આપ્યું

ના પાણી પાયું

નશ્વર તમે પોતે

નીકળ્યા અમર બનાવવા એને?

શીદ ને એની કબર પર મંડ્યા મહેલ ચણવા તમે?

*સવૅનાઃ  આફ્રિકાના ઘાસ મેદાન
e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

જીવન કામ છે અને કામ જીવન છે!

Opinion - Opinion|18 March 2024

રાજ ગોસ્વામી

ઉત્તર પ્રદેશના બિજનોર શહેરમાં એક ખાંડ મિલમાં કામ કરતા તેજપાલ સિંહ નામના એક માણસના નામે એક અનોખો રેકોર્ડ નોંધાયેલો છે. તેનો દાવો કરે છે કે તેણે તેની 26 વર્ષની કારકિર્દીમાં માત્ર એક જ રજા લીધી છે. તેજપાલે હોળી-દિવાળી હોય કે રવિવાર હોય, બધા દિવસોમાં કામ કર્યું છે. 1995થી નોકરી શરૂ કરનાર તેજપાલે 2003માં તેમના ભાઈના લગ્નમાં માત્ર એક જ દિવસની રજા લીધી હતી. કર્મના પૂજારી તેજપાલનો આ રેકોર્ડ ગયા અઠવાડિયે ‘ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડ્સ’માં દર્જ થઇ ગયો છે.

તેજપાલ સિંહે 26 ડિસેમ્બર, 1995ના રોજ દ્વારિકેશ સુગર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ટ્રેઈની કારકુન તરીકે નોકરી શરૂ કરી હતી અને હાલમાં તે એડિશનલ મેનેજર (પર્સનલ) તરીકે કાર્યરત છે. તેઓ કહે છે કે તેઓ હંમેશાં તેમના કામ પર સમય પહેલાં પહોંચે છે. કંપની તરફથી સાપ્તાહિક રજા, તહેવારની રજા ઉપરાંત વર્ષમાં 45 રજાઓની જોગવાઈ છે, પણ તેઓ તે રજાઓ ભોગવતા નથી.

સોશિયલ મીડિયા પર તેજપાલને લઈને સામા છેડાના અભિપ્રાય જોવા મળ્યા હતા. એક ભાઈએ લખ્યું હતું, ‘આ માણસ પાગલ છે. તેની નિંદા થવી જોઈએ. એક માણસ પાગલ હોય તો બધા લોકોએ પાગલ થઇ જવું જોઈએ! રજા ન લેવી તે વાતનું મહિમા મંડન કેવી રીતે થાય?’ બીજા કોઈકે મજાક કરી કે, ‘પત્નીથી ત્રાસેલો હશે!’

એક તરફ દુનિયામાં કર્મચારીઓની ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધારવા માટે સપ્તાહમાં 3 દિવસ રજા રાખવાની વિચારણા ચાલી રહી છે ત્યારે તેજપાલના રેકોર્ડે નવી ચર્ચાને જન્મ આપ્યો છે; વર્કોહોલિઝમ ખરાબ છે કે સારું?

મોટા ભાગના લોકો સંમત થશે કે વર્કહોલિક હોવું એ ખરાબ બાબત છે. આલ્કોહોલિક (આલ્કોહોલના બંધાણી) શબ્દમાંથી બનેલો આ શબ્દ પોતે જ એક વ્યસનનો ઘોતક છે, પરંતુ હકીકત એ પણ છે અમેરિકન જેવા વ્યવસાયિક દેશમાં તે સામાજિક રીતે સ્વીકાર્ય છે – પુરસ્કૃત પણ છે.

આપણે વર્કહોલિક વ્યક્તિની એવી કલ્પના કરીએ છીએ જે વેરણછેરણ ઓફિસમાં તેના ટેબલ પર માથું નમાવીને પસીને રેબઝેબ હિસાબો કરતો હોય અને આખી ઓફિસ ખાલી થઇ ગઈ હોય તો પણ એક વાર માથું ઊંચું કરીને ઘડિયાળમાં ના જુવે! તેને હાઈ બ્લડ પ્રેસર હોય, વારંવાર બાથરૂમ જવું પડતું હોય અને તે ક્યારે ય હસતો ના હોય.

પરંતુ લાંબા સમય સુધી કામ કરવું વર્કહોલિક હોવાની નિશાની છે? હકીકતમાં, એવા કર્મચારીઓના પણ દાખલા છે જે લાંબા કલાકો સુધી કામ કરતા હતા, પરંતુ રાતોરાત માનસિક રીતે ‘રિચાર્જ’ કરવામાં સક્ષમ હતા અને તેઓ તેમના સ્વાસ્થ્યને પણ જોખમમાં મૂકતા ન હતા. જો કે જે લોકો લાંબા કલાકો સુધી કામ કરતા હતા અને ફરજિયાત કામ કરવાની માનસિકતા ધરાવતા હતા તેમને મેટાબોલિક સિન્ડ્રોમ થવાનું જોખમ નોંધપાત્ર રીતે વધ્યું હતું.

જો તમે લાંબા કલાકો સુધી કામ કરતા હોવ, સતત કામની ચિંતા કરતા હોવ, તેમાં સ્વીચ-ઓફ કરી શકતા ના હોવ, રાતે જલદી ઊંઘી શકતા ના હોવ, તો કામ કરવાની આ બિનતંદુરસ્ત ટેવ છે. 

વર્કહોલિક્સ બે પ્રકારના હોય છે; એક, જે તેમના કામથી સંતુષ્ઠ ના હોય અને મજબૂરીમાં ઢસડબોળો કરતા હોય. હાઈ બ્લડ પ્રેસર, હાઈ બ્લડ સુગર, ઊંચું કોલેસ્ટ્રોલ, મેદસ્વી કમ્મર જેવાં મેટાબોલિક સિન્ડ્રોમની દૃષ્ટિએ તેમનામાં નબળાં સ્વાસ્થ્યના સંકેતો હોય છે. 

જે વર્કહોલિક્સ તેમના કામ ખૂબ મગ્ન અને પરિપૂર્ણ હોવાનો અહેસાસ કરતા હોય તે તંદુરસ્ત હોય છે. તેઓ લાંબા કલાકો કામ કરે કે ખૂબ મહેનત કરે કે કામને લઈને દબાવમાં રહે તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. તેમનામાં મેટાબોલિક સિન્ડ્રોમનું જોખમ એટલું જ હોય છે જેટલું તે એક 9થી5ની નોકરી કરતાં કોઈ બિન-વર્કહોલિક કર્મચારીમાં હોય. 

હકીકતમાં, વર્ક અને લાઈફ વચ્ચે સંતુલન જેવું કશું હોતું નથી. આપણે જે સમયમાં જીવીએ છીએ તેમાં રોજે ચોક્કસ સમયે મગજને કામ કરવામાંથી બંધ કરી દેવું શક્ય નથી. અસલમાં, કોરોનાની મહામારી તો કામને ઓફિસમાંથી ઘરે લઇ આવી હતી. 

એ સાચું કે કામની સાથે પારિવારિક જીવનનું પણ એટલું જ મહત્ત્વ જાળવાવવું જોઈએ, પરંતુ કામનું જીવન ક્યાં પૂરું થાય છે અને પરિવારનું જીવન ક્યાં શરૂ થાય છે તેની કોઈ નિશ્ચિત સીમા રેખા નથી. આપણે પરિવાર સાથે હોઈએ અથવા પાર્ટી કરતા હોઈએ ત્યારે પણ મગજના બેકગ્રાઉન્ડમાં ક્યાંક કામના પ્રશ્નો કે મુદ્દાઓ ચાલતા જ હોય છે અને તે ખોટું પણ નથી.

અસલ જીવનમાં દરેક વ્યક્તિની આગવી પરિસ્થિતિ અને જરૂરિયાતો હોય છે અને તે રીતે તે તેની જિંદગી અને કામ સાથે મેળ બેસાડે છે. એમાં બીજા કોઈનાં ઉદાહરણો કામ આવતાં નથી. કામ એ આપણા પરિવારો, મિત્રો, શોખ વગેરે જેટલું જ જીવનનો એક ભાગ છે. આ બધી બાબતોને સંતુલિત કરવાથી જ આપણે ખુશી મેળવીએ છીએ.

હવેની દુનિયામાં તો કામ કરવાની, કશું શીખવાની અને કશું બદલવાની એટલી જુદી જુદી રીતો ઉપલબ્ધ છે કે કામને નફરત કરવી કે પછી કામ માટે અંગત જીવનનું બલિદાન આપવું એ કોઈ અસલી સમસ્યાને બદલે માનસિકતાનો પ્રશ્ન વધુ છે.

વધુ વ્યવહારુ અભિગમ એવો હોવો જોઈએ જેમાં કામ જીવન હોય અને જીવન કામ હોય. કામ જો જીવન ના હોય તો તે શા માટે કરવું જોઈએ? અને જીવનને આપણે એક કામ તરીકે ના લેતા હોઈએ તો તેમાં સફળતા કેવી રીતે આવે? કોઈપણ કામ હોય, અને એમાં માત્ર પૈસા કમાવાની વાત નથી, તે જીવનનો જ હિસ્સો છે.

આપણે શારીરિક અને માનસિક તંદુરસ્તીને કે ઘર-પરિવારને અવગણીને કામમાં રચ્યાં પચ્યા રહીએ (જો કે એવી આર્થિક મજબૂરીવાળા પણ લાખો લોકો છે), તો એ નિશ્ચિતપણે હાનિકારક છે, પરંતુ કામ કરવાની માનસિકતા હોવી, કામમાંથી આનંદ મેળવવો, કામ કરીને આપણી આવડતને વધુ બહેતર બનાવવી, કામ કરીને કેરિયરમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવી એ એકદમ ઇચ્છવા યોગ્ય સ્થિતિ છે. 

વર્કોહોલિઝમ ત્યારે ખરાબ કહેવાય, જ્યારે એમાંથી ખુશી મળતી બંધ થઈ જાય અને ઘાંચીના બળદની જેમ આપણે ગાળામાં કામનો ઘંટ પહેરીને નિરુદ્દેશ ગોળ-ગોળ ફરતા રહીએ. 

આપણે જો કામમાં સૌથી વધુ ખુશ રહેતા હોઈએ અને એ કામ જો આપણી આસપાસનાં ચાર કે ચારસો લોકોના જીવનને સકારાત્મક રીતે પ્રભાવિત કરતું હોય, તો તેનાથી ઉત્તમ બીજું કશું નથી. કામ આપણને આપણા વિચારો અને લાગણીઓના સીમિત દાયરામાંથી બહાર કાઢે છે અને મોટા લક્ષ્ય સાથે જોડે છે. કામ આત્મસન્માન અને અત્મસંતુષ્ટિનો મહત્ત્વનો સૉર્સ છે. એવા વર્કોહોલિક હોવું સારું કહેવાય.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 17 માર્ચ 2024
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...625626627628...640650660...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved