Opinion Magazine
Number of visits: 9736171
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેશને નહીં, ભા.જ.પ.ને / અદાણી-અંબાણીને મોદીજીની જરૂર છે !

રમેશ સવાણી|Opinion - Opinion|30 December 2025

સોશિયલ મીડિયામાં, 29 ડિસેમ્બર 2025ના રોજ BJP IT Cellનો આ મેસેજ જોવા મળ્યો :

“એકવાર તમે આ વાંચી લો, પછી તમે તેને 100 લોકોને મોકલશો : મહાત્મા બુદ્ધ પરિણીત હતા. જો કે, તેઓ પોતાની પત્નીને છોડીને સત્યની શોધમાં નીકળ્યા હતા. તેમની પત્નીનું નામ યશોધરા હતું.

મહાવીર સ્વામીએ પણ લગ્ન કર્યા હતા. જો કે, તેઓ પણ પોતાની પત્નીને છોડીને સાધુ બન્યા હતા. તેમની પત્ની એકાંત જીવન જીવતી હતી. તેમની પત્નીનું નામ યશોદા હતું.

મોદીએ પણ લગ્ન કર્યા હતા. જો કે, તેમણે પોતાની પત્નીને છોડીને દેશની સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમની પત્ની પણ એકાંત જીવન જીવી રહી છે. તેમની પત્નીનું નામ યશોદાબહેન છે.

યશોધરા, યશોદા અને યશોદાબહેન!

મહાત્મા બુદ્ધ, મહાવીર અને મોદી !

દુર્યોધન અને રાહુલ ગાંધી – બંને પોતાને અયોગ્ય હોવા છતાં, ફક્ત રાજવી પરિવારમાં જન્મ લઈને શાસન કરવાનો હકદાર માને છે.

અર્જુન અને યોગી આદિત્યનાથ – બંને ધર્મના માર્ગે ચાલીને ટોચ પર પહોંચ્યા … જ્યાં તેમણે પોતાની ક્ષમતાઓ દર્શાવી.

કર્ણ અને મનમોહન સિંહ – બુદ્ધિશાળી અને સક્ષમ હોવા છતાં, અધર્મને ટેકો આપવાને કારણે તેઓ જીવનમાં ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરી શક્યા નહીં.

ધૃતરાષ્ટ્ર અને સોનિયા – બંને તેમના પુત્રો પ્રત્યેના પ્રેમમાં આંધળા છે.

એક ધનવાન વ્યક્તિ પ્રધાન મંત્રી બની શકે છે.

નેહરુએ આ સાબિત કર્યું.

વડા પ્રધાનની કોઈ જરૂર નથી, ડૉ. મનમોહન સિંહે આ સાબિત કર્યું. 

વડા પ્રધાન બન્યા વિના પણ દેશ પર શાસન કરી શકાય છે, સોનિયા ગાંધીએ આ સાબિત કર્યું.

જો કે, એક ચા વેચનાર વડા પ્રધાન બની શકે છે અને તે બધા કરતાં વધુ સારી રીતે કામ કરી શકે છે, અને ભારત માતાનો ધ્વજ આખી દુનિયામાં લહેરાવી શકે છે. નરેન્દ્ર મોદીજીએ આ સાબિત કર્યું.

આખું બ્રહ્માંડ એક વ્યક્તિને નમન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે … ભગવાન પણ વિચારી રહ્યા હશે કે મેં ‘મોદી’ બનાવવા માટે કઈ માટીનો ઉપયોગ કર્યો?

બસ વિચારો … જે વ્યક્તિ અમેરિકાને નમન કરાવી શકે છે, ભૂખ્યા અને નગ્ન દેશ પાકિસ્તાનમાં ગભરાટ ફેલાવી શકે છે, ચીન જેવા વિશ્વાસઘાતી દેશના અખબારોની હેડલાઇન્સમાં દેખાઈ શકે છે. તો ભાઈ, તે ચોક્કસપણે ભારતને વિશ્વગુરુ બનાવી શકે છે. 

દેશને મોદીની જરૂર છે !”

•••

થોડાં મુદ્દાઓ :

[1] મહાત્મા બુદ્ધ, મહાવીરે પત્નીનો ત્યાગ કરી, માનસી સોનીની જાસૂસી કરાવી ન હતી ! પ્રો. મફતલાલ પટેલે મોદીજી માટે અડવાણીને ફરિયાદ કેમ કરી હતી? ‘પોતાની પત્નીને છોડીને મોદીજીએ અનેકને પીઠ પાછળ છરી મારી છે : કેશુભાઈ પટેલ, અડવાણીજી અને અનેક ! આને ‘દેશની સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું’ તેમ ન કહી શકાય?

[2] મહાત્મા બુદ્ધ, મહાવીર સાથે ભારતને ઐતિહાસિક મોંઘવારી, બેરોજગારીની ભેટ આપનાર મોદીજી સાથે સરખામણી કરી શકાય? મોદીજીએ ઈલેક્ટોરલ બોન્ડમાં ભ્રષ્ટાચાર કર્યો એટલે જ સુપ્રીમ કોર્ટે તે યોજના બંધ કરીને? મોદીજીએ નિષ્ફળ નોટબંધી કરીને અર્થતંત્રને ખોરવી નાખ્યું ને? મોદીજીએ જ ડોલરના મુકાબલે રૂપિયાની આબરુ 90ને પાર કરી મૂકીને? ટ્રમ્પના કહેવાથી જ ‘ઓપરેશન સિંદૂર’ આટોપી લીધું ને? આમાં બુદ્ધ અને મહાવીરનું અપમાન નથી? 

[3] વિપક્ષના નેતાને દુર્યોધન કહેવો તે ઉચિત છે? જો ઉચિત છે તો દુર્યોધનના પક્ષના અમુક નેતાઓને મોદીજીએ પોતાના મંત્રી કેમ બનાવ્યા છે? મુખ્ય મંત્રી કેમ બનાવ્યા છે? 

[4] યોગી આદિત્યનાથ ધર્મના માર્ગે ચાલીને ટોચ પર પહોંચ્યા? કે અધર્મ આચરીને ટોચે પહોંચ્યા? વળી તેમણે કઈ ક્ષમતાઓ બતાવી? ફેઈક એન્કાઉન્ટર એ ક્ષમતા કહેવાય? કાવડયાત્રીઓ પર હેલિકોપ્ટરથી સરકારી પુષ્પવર્ષા કરવી તે ક્ષમતા કહેવાય? કુંભમેળામાં શ્રદ્ધાળુઓ કચડાઈ મરે તે ક્ષમતા કહેવાય? 

[5] મનમોહન સિંહે ક્યા અધર્મને ટેકો આપેલ? તેઓ જીવનમાં ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરી શક્યા હતા તેવી મોદીજી હજુ પણ પ્રાપ્ત કરી શક્યા નથી. મનમોહન સિંહનાં પુસ્તકો વિદેશની યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં છે; મોદીજીના મનની વાતની કોઈ યુનિવર્સિટીને ખબર પણ નથી ! 

[6] સોનિયાજી પુત્ર પ્રેમમાં આંધળા હોત તો રાહુલ ગાંધીને વડા પ્રધાન બનાવી શક્યા હોત, નાયબ વડા પ્રધાન બનાવી શક્યા હોત ! 

[7] શું નેહરુ ધનવાન વ્યક્તિ હતા એટલે વડા પ્રધાન બની શક્યા હતા? નેહરુની સ્વતંત્રતા આંદોલનમાં કોઈ ભૂમિકા ન હતી? તેઓ 9 વરસ કરતાં વધુ વખત જેલમાં રહ્યા તે ધનવાન વ્યક્તિના કારણે? 

[8] વડા પ્રધાનની કોઈ જરૂર નથી, એ ડૉ. મનમોહન સિંહે આ સાબિત કર્યું. બરાબર. તો મનમોહન સિંહના સમયે પેટ્રોલ-ડીઝલના ભાવ હતા તે 2025માં કેમ નથી? કાચું તેલ સસ્તું થયું છતાં? મનમોહન સિંહના સમયે રૂપિયાની જે વેલ્યૂ હતી તે 2025માં 90ને વટી ગઈ તેવું કેમ બન્યું? મોંઘવારી, બેરોજગારી મનમોહન સિંહના સમય કરતાં વધી કેમ ગઈ? ચૂંટણીપંચ ચાપલૂસ કેમ બની ગયું? મનમોહન સિંહના સમયે સુપ્રીમ કોર્ટના ચાર જજોએ પ્રેસ કોન્ફરન્સ કરી લોકશાહી બચાવોનો અવાજ ઊઠાવ્યો ન હતો !

[9] વડા પ્રધાન બન્યા વિના પણ દેશ પર શાસન કરી શકાય છે, એ સોનિયા ગાંધીએ સાબિત કર્યુ હોય તો વડા પ્રધાન બનાવીને RSS શાસન કરી શકે છે; એમ કહી શકાય? 

[10] ચા વેચનાર વડા પ્રધાન બની શકે છે, બરાબર. પણ તે બધા કરતાં વધુ સારી રીતે કામ કરી શકે છે, તેવું કઈ રીતે કહી શકાય? શું તેમણે કુપોષણ દૂર કર્યું? ભૂખમરો દૂર કર્યો? શું તેમણે 80 કરોડ લોકોને મફત અનાજની લાચારીમાંથી મુક્ત કર્યા? શું તેમણે ચીન સામે લાલ આંખ કરી? મોદીજી ભારત માતાનો ધ્વજ આખી દુનિયામાં લહેરાવી શકે છે, એવું કઈ રીતે કહી શકાય?

[11] આખું બ્રહ્માંડ એક વ્યક્તિને નમન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, આમ કહેવું એ અજ્ઞાન નથી? અંધભક્તિ નથી? ભગવાન નહીં પણ અદાણી-અંબાણી જાણે છે કે ‘મોદી’ બનાવવા માટે કઈ માટીનો ઉપયોગ કર્યો છે !

[12] મોદીજીએ કઈ બાબતમાં અમેરિકાને નમતું કર્યું? ભૂખ્યા પાકિસ્તાનમાં શું ગભરાટ ફેલાવ્યો? વગર આમંત્રણે બિરયાની ખાવા ભૂખ્યા પાકિસ્તાનમાં મોદીજી શા માટે ગયા હતા? ચીનના અખબારોની હેડલાઇન્સમાં ચમકે તેથી ભારત વિશ્વગુરુ બની જાય? દેશને નહીં, ભા.જ.પ.ને તથા અદાણી-અંબાણીને મોદીજીની જરૂર છે !

30 ડિસેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મેસી બનવાની કહાની : કમજોર કદથી કદાવર કરિયર સુધી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|30 December 2025

રાજ ગોસ્વામી

આંતરરાષ્ટ્રીય ફૂટબોલના સ્ટાર ખેલાડી લિયોનેલ મેસી તાજેતરમાં ત્રણ દિવસ માટે ભારતની યાત્રાએ હતો. આ તેની પહેલી ભારત મુલાકાત હતી. તેણે કોલકત્તા, હૈદરાબાદ, દિલ્હી અને મુંબઈમાં સાંસ્કૃતિક અને ખેલ સંબંધી કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. કોલકત્તામાં (જે ફૂટબોલના ખેલ માટે ગાંડું છે), મેસીને જોવા/મળવા માટે તેના ચાહકોએ જે ભીડ અને ધમાલ કરી હતી તેના સમાચાર તમે વાંચ્યા જ હશે.

મેસીએ તેની અસાધારણ પ્રતિભા, સાતત્ય અને વિનમ્ર વ્યક્તિત્વના બળ પર ખેલ જગતમાં એક અલગ સ્થાન મેળવ્યું છે. તેને ફૂટબોલ ઇતિહાસના મહાનતમ ખેલાડીઓમાં ગણવામાં આવે છે. આજે મેસી કેવળ એક ફૂટબોલ ખેલાડી જ નથી, બલકે ખેલ જગતમાં અનુશાસન, સમર્પણ અને ઉત્કૃષ્ઠતાનું પ્રતિક છે. 

દુનિયા ભરમાં લિયોનેલ મેસીને લઈને ફૂટબોલના ચાહકો પાગલ છે. તે તેની પ્રતિભા, સંઘર્ષ અને સાદગીના દુર્લભ મિશ્રણનું પરિણામ છે. ફૂટબોલ મેદાન પર મેસી જે કરે છે, તે ઘણી વખત અસંભવને સંભવ બનાવી દે છે.

પરંતુ મેસીની કહાની માત્ર ખેલ-જીવનનું વર્ણન નથી, તે આપણા ખુદના જીવનને સમજવાની અને જીવવાની એક નવી દૃષ્ટિ આપે છે. તેની કહાની બતાવે છે કે ઉત્કૃષ્ઠતા કોઈ એક ક્ષણમાં નથી રચાતી, બલકે વર્ષોની મૌન મહેનત, અપમાન સહન કરવાના સામર્થ્ય અને પોતાના પર અડીખમ વિશ્વાસથી બને છે.  

મેસીનું બાળપણ જ જીવનનો પ્રથમ બોધપાઠ આપે છે; દરેક માણસ સમાન પરિસ્થિતિઓથી શરૂઆત નથી કરતો. જે વયમાં બાળકો સપનાં જોવાનું શીખે છે, એ જ વયમાં મેસીને એવું કહેવામાં આવ્યું હતું કે તેનું શરીર તેનાં સપનાંમાં સાથ નહીં આપે; તેનામાં ગ્રોથ હોર્મોનની કમી હતી. તેનો ઈલાજ મોંધો હતો અને સંશાધનો સીમિત હતાં. મેસી માટે સ્પષ્ટ સંકેત હતો કે જીવનમાં એક ‘સાધારણ સફળતા’થી આગળ જવું તેના માટે શક્ય નથી. પરંતુ તેની પાછળની કહાનીએ સાબિત કર્યું કે તમારી સીમાઓ ઘણીવાર તમારી નથી હોતી, તે બીજાઓની કલ્પના હોય છે.

મેસીનો જન્મ આર્જેન્ટિનાના રોસારિયો શહેરમાં એક મધ્યમ વર્ગીય, મહેનતકશ પરિવારમાં થયો હતો. તેના પિતા, જોરજ મેસી, એક ફેક્ટરીમાં કામ કરતા હતા અને મા સેલિયા કુચિની પાર્ટ-ટાઈમ સમય માટે કામ કરીને પરિવારની સંભાળ કરતી હતી. ઘરમાં કોઈ ખેલાડી નહોતો કે નહોતાં સંશાધન – પણ જે હતું, તે પરિવારનો વિશ્વાસ.  

બાળપણમાં મેસી ખૂબ શાંત, શરમાળ અને અંતર્મુખી હતો. તે વધુ બોલતો નહોતો, અને જે કહેવું હોય તે પગના ઈશારાથી કહેતો હતો. પરિવારે કદી આ મૌનને નબળાઈ સમજી નહોતી. પરિવર્તનનો આ પહેલો મોટો પાઠ છે; દરેક બાળક એકસરખું નથી હોતું, અને દરેક પ્રતિભા ઘોંઘાટ કરીને નથી જન્મતી.

આર્જેન્ટિનામાં, આપણા બંગાળની જેમ, ફૂટબોલના ખેલની એક તંદુરસ્ત સંસ્કૃતિ છે. અન્ય લાખો બાળકોની જેમ, મેસીને પણ બાળપણથી જ આ ખેલનો રંગ લાગ્યો હતો. તેની ફૂટબોલ યાત્રા પરિવારની અંદરથી જ શરૂ થઈ. તેના પિતા તેના પ્રથમ કોચ બન્યાં, અને દાદી સેલિયા તેની સૌથી મોટી પ્રેરણા. કહેવાય છે કે મેસી આજે પણ ગોલ કર્યા પછી આકાશ તરફ આંગળી ઉઠાવી દાદીને યાદ કરે છે. આ સંકેત દર્શાવે છે કે ભાવનાત્મક સહારો કોઈપણ સફળતાનું મૂળ હોય છે.

શિક્ષણના સ્તરે મેસી કોઈ ‘ટોપર’ વિદ્યાર્થી નહોતો, પરંતુ પરિવારે અભ્યાસને ક્યારે ય અવગણ્યો નહોતો. તેનાં પ્રારંભિક વર્ષોમાં શાળાનું અને ખેલકૂદનું સંતુલન જાળવાયું હતું. એમાંથી જીવનનો એક ઊંડો પાઠ મળે છે; શિક્ષણ માત્ર માર્ક્સ માટે નથી, તે અનુશાસન અને ટાઈમ-મેનેજમેન્ટ શીખવા માટે પણ જરૂરી હોય છે. સ્કૂલમાં શીખવા મળેલું અનુશાસન પાછળથી તેના વ્યાવસાયિક જીવનનું મજબૂત પીઠબળ બન્યું હતું.

જ્યારે ગ્રોથ હોર્મોનની બીમારી સામે આવી, ત્યારે પરિવારે સૌથી મુશ્કેલ નિર્ણય લેવાનો આવ્યો; સારવાર કે સપનું? આર્થિક સ્થિતિ નબળી હતી, સારવાર મોંઘી હતી, પરંતુ પરિવારે હાર ન માની. પરિવારે પ્રેમાળ સંબંધીઓ, ક્લબો અને દરેક શક્ય માર્ગથી મદદ ઊભી કરવાની કોશિશ કરી.

મેસીના શારીરિક વિકાસ માટે રોજ ગ્રોથ હોર્મોનનાં ઈન્જેક્શન લેવાં પડતાં હતાં, જેનો ખર્ચ ઉઠાવવો પરિવાર માટે મુશ્કેલ હતો, પરંતુ બાર્સેલોના ફૂટબોલ ક્લબે તેની પ્રતિભાને જોઈને સારવારનો ખર્ચ ઉઠાવ્યો અને તેને સ્પેન બોલાવ્યો.

13 વર્ષની વયે મેસીનું સ્પેન જવું માત્ર તેના માટે નહીં, પરંતુ સમગ્ર પરિવાર માટે બલિદાન હતું. માતા અને ભાઈબહેન આર્જેન્ટિનામાં રહ્યાં, પિતા મેસીની સાથે ગયા. આ નિર્ણય દર્શાવે છે કે સફળતા ઘણી વખત વ્યકિતગત નહીં પણ પરિવારના ત્યાગનું પરિણામ હોય છે.

ગ્રોથ હોર્મોનની કમીના કારણે મેસીનું કદ નાનું રહ્યું, શરીર નબળું કહેવાયું, પરંતુ તેણે નબળાઈને આડે ન આવવા દીધી; તેનું આ જ કદ તેની ઝડપ, સંતુલન અને ડ્રિબ્લિંગની શક્તિ બની ગયું. મેદાન પર મેસીને અવારનવાર ‘કમજોર કદ’ વાળો ખેલાડી કહેવામાં આવતો. પરંતુ તેણે શરીરની આ ખામીને પોતાની શક્તિમાં ફેરવી દીધી; તે તેજ ગતિએ શરીરને વાળી શકતો હતો, તે જબરદસ્ત સંતુલન જાળવી શકતો હતો અને બોલ પર તેનું અદ્ભુત નિયંત્રણ હતું.

મેસીએ અલગ-અલગ પ્રસંગોએ કહ્યું છે કે બાળપણમાં તેની આ બીમારીને તેણે ‘ન્યાય કે અન્યાય’ તરીકે જોઈ નહોતી. તેના માટે તે ફક્ત એક સચ્ચાઈ હતી, જેનો તેણે સામનો કરવાનો જ હતો. તેણે એ પણ સ્વીકાર્યું હતું કે શરૂઆતમાં તેને કે આ સમસ્યાની ગંભીરતાનો અંદાજ નહોતો, પણ  પરિવારે કદી તેને ડર લાગે તે રીતે પ્રસ્તુત કરી નહોતી.

મેસીનો સંદેશ સ્પષ્ટ રહ્યો છે: જો આસપાસના લોકો તમને સામાન્ય માને, તો તમે પણ જાતને સામાન્ય જ માનવા લાગો છો. ઊંધું પણ બને; લોકો જો તમારામાં ખામી જોવા લાગે, તો તમે પણ એવું જ માનો. મેસીએ એ પણ કહ્યું છે કે તેને યોગ્ય તાલીમ મળી એટલે તેની તકનીક, સંતુલન અને બોલ પરનું નિયંત્રણ સટીક બન્યું.

અંતરરાષ્ટ્રીય સ્તરે મેસીનો સંઘર્ષ કદાચ તેની વાર્તાનો સૌથી માનવીય હિસ્સો છે. ક્લબ ફૂટબોલમાં દેવતાની જેમ પૂજાતા મેસીને દેશ વતી રમતી વખતે અનેક પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો. તેણે હાર, ટીકા, અને દેશદ્રોહ જેવા શબ્દોની પરવા નહોતી કરી. એક વખતે તેણે નિવૃત્તિની જાહેરાત પણ કરી હતી, પરંતુ તેણે પાછા આવીને ટીકાઓ વચ્ચે રમવું પડ્યું હતું; આ શીખવે છે કે થાકવું સ્વાભાવિક છે, પરંતુ રોકાવું વિકલ્પ હોવું જોઈએ, બાધ્યકારક નહીં. 2022નો વર્લ્ડ કપ મેસીની કહાનીનો અંત નથી, પરંતુ તેનો સાર છે. આ જીત પુરવાર કરે છે કે જીવન તરત ન્યાય નથી કરતું, પરંતુ સતત પ્રયત્નને અવગણતું પણ નથી. દુ:ખદ દિવસો એક દિવસ અર્થ પામી લે છે – બસ ધીરજ હોવી જરૂરી છે.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 28 ડિસેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સ્ફુલ્લિન્ગ (7) આજકાલનાં સાહિત્યિક સમ્પાદનો

સુમન શાહ|Opinion - Literature|29 December 2025

આજકાલનાં કેટલાંક સાહિત્યિક સમ્પાદનો ભયાવહ છે. એનાં ૩ કારણો છે: 

૧: પહેલું કારણ –  

સુમન શાહ

પોતે કઈ દૃષ્ટિથી સમ્પાદન કર્યું છે એની એ સમ્પાદકો જાણ નથી કરતા. બાકી, કોઈપણ સમ્પાદન ચૉક્કસ દૃષ્ટિથી થવું જોઈએ. દાખલા તરીકે, સમજુ માણસ શાકમાર્કેટમાં ગયો હોય તો એને ભાન હોય છે કે પોતે રીંગણ, અને તે પણ એકદમ લીલાં, નાનાં અને તાજાં લેવા ગયો છે. એવી ચૉક્કસ દૃષ્ટિમતિને કારણે પત્ની અને પરિવારજનોને એ પ્રિય થઈ પડે છે. એવી સાર્થક દૃષ્ટિ વિનાના સાહિત્યક્ષેત્રના સમ્પાદકો જે હાથ ચડે તે લઈ લે છે. રીંગણાં બટાકા ભીંડા ગલકાં ગાજર કે મૂળા બધું જ ઉપાડી લે છે. એમ ઉપાડી લીધેલા કે ઉઠાવી લીધેલા માલને સમ્પાદન ન કહેવાય; એ જથ્થો હોય છે, જેને બાચકો કે ઢગલો કહેવાય. એટલે જ કેટલાક સમ્પાદકો આરામથી અગાઉના સમ્પાદનોમાંથી કૃતિઓ ઉપાડી લેતા હોય છે! એ ચોરીચપાટી છે, પણ એમ કરતાં તેઓ શરમાતા નથી. 

સમ્પાદક પોતાની દૃષ્ટિ સ્પષ્ટ નથી કરતો એ કારણે લેખકો પણ એને પોતાની કોઈપણ કૃતિ સમ્પાદિત કરવાની છૂટ આપી દે છે. સમ્પાદકીય દૃષ્ટિમતિ નથી હોતી તેથી કોઈ કોઈ લેખકો સામે ચાલીને પોતાની કૃતિઓ સમ્પાદકના ચરણે ધરે છે! લેખક તરીકેના પોતાના શીલને – writerly charecterને – બાજુએ મૂકનારા એ લેખકો ય શરમાતા નથી. વળી, દૃષ્ટિહીન સમ્પાદનોથી મૂળ લેખકોને તેમ જ વાચકોને કશો જ લાભ થતો નથી. આખો તરીકો સૌના સમયની બરબાદી કરનારો પુરવાર થાય છે.  

૨: બીજું કારણ – 

આ સમયમાં અનેક સમ્પાદકો જનમી રહ્યા છે. કેટલાકના ઊજળા દિવસો આથમી ગયા હોય છે, તેઓ પોતાના જૂના મુગટમાં એક પીછું ‘સમ્પાદક’-નું ખોસવાની લાલચના માર્યા મથ્યા કરે છે. અલબત્ત, જો એમની પાસે સાહિત્યજ્ઞાન હોય, તો એનો લાભ મળી શકે, નહિતર, એમના ચીમળાઇ ગયેલા મહિમાને આધારે એ સમ્પાદનોને તપાસવાનો વારો આવે. કેટલાક એવા છે જેઓને કારકિર્દી દરમ્યાન સારું સર્જન કે અર્થપૂર્ણ સમીક્ષા કરતાં આવડ્યું નથી. તેઓને સમ્પાદનનું કામ સરળમાં સરળ દેખાતું હોય છે, એટલે મંડી પડે છે.  

એ જો સમ્પાદક થવા નીકળ્યો છે, તો ગુજરાતી સાહિત્યના ઇતિહાસનો જાણકાર તો હોવો જ જોઈએ ને! આજકાલના મોટાભાગનાઓને જે સાહિત્યપ્રકાર માટે સમ્પાદન કરતા હોય તેના ઇતિહાસનું જ્ઞાન નથી હોતું. જેમ કે, આધુનિક ટૂંકીવાર્તાનું સમ્પાદન કરતો હોય તો એને ખબર હોવી જોઈએ કે આધુનિક ટૂંકીવાર્તાનો પ્રારમ્ભ અને મધ્ય શો હતો, અને જો થયું જ હોય, તો અવસાન શું હતું. કેટલાકને તો ખબર જ નથી હોતી કે આધુનિક ટૂંકીવાર્તાનું અવસાન થયું છે કે કેમ. એ કારણે ઉતાવળે ઉતાવળે તેઓ અનુ-આધુનિકતાના ઘોડે ચડી જતા હોય છે. એ ઘોડો શું છે એનું ય એમને ભાન હોતું નથી. એ જ અજ્ઞાનને કારણે એમને પોતાના ભાઇબન્ધની નબળી રચના અને નીવડેલા સાહિત્યકારની ઐતિહાસિક મૂલ્ય ધરાવતી રચના વચ્ચેનો ભેદ પરખાતો નથી. એ સમ્પાદકો પક્ષાઘાતી છે. તેઓ જાણ્યે-અજાણ્યે ખોટા ઇતિહાસ લખવા માટેની સામગ્રી પૂરી પાડતા હોય છે.

૩: ત્રીજું કારણ –

આમ, આજકાલનાં સમ્પાદનોમાં સમ્પાદકીય દૃષ્ટિનો અને ઇતિહાસના જ્ઞાનનો અભાવ છે. તેમછતાં, જેમની રચનાઓ લેવાઇ હોય છે તેઓ કૉલર ઊંચો રાખીને વટ પાડતા ફરે છે, જેમની નથી લેવાઇ હોતી તેઓ વ્યથિત રહે છે. આ ત્રીજા કારણે તો એ સમ્પાદનો ભારે ભયાવહ છે. કેમ કે એથી સાહિત્યસમાજમાં ભ્રાન્ત ઉચ્ચાવચતા ઊભી થાય છે, જે દુ:ખદ છે. ઉપરાન્ત, સાહિત્ય-વ્યવહાર પણ નથી સચવાતો – સમ્પાદકો મહેનતાણું લે છે પણ મૂળ લેખકને પુરસ્કાર નથી અપાતો, સમ્પાદક એમ કહીને છૂટી પડે છે કે એ કામ મારું નથી, પ્રકાશકનું છે. મૂળ લેખકને ક્યારેક તો સમ્પાદનનું પુસ્તક પણ નથી અપાતું! પરિણામે, સાહિત્યિક વિકાસ રુંધાય છે.

+ +

ધારો કે કોઈ સમ્પાદક ગઝલકાવ્યોનું સમ્પાદન કરવા માગે છે. એ દૃષ્ટિહીન હશે તો એને કશી જ મુશ્કેલી નહીં પડે, કેમ કે આપણે ત્યાં ગઝલોનો તો જ્યાં નજર નાખો ત્યાં જૂનો, નવો કે નવીનતમ ફાલ જોવા મળે છે. એની પાસે ગઝલ-સાહિત્યના ઇતિહાસનું જ્ઞાન નહીં હોય તો એ કયા ગઝલકારનો મહિમા કરશે અને કયાનો નહીં કરે? સમજાય એવું છે કે એથી કેટલા ય ગઝલકારો બાકી રહી જશે અને વાતાવરણમાં એક બેદિલી ફેલાશે. એ સમ્પાદક સામે ફરિયાદો જરૂર થશે, પણ એ શેનો સાંભળે? 

ઓછામાં ઓછા બે દાયકા દરમ્યાન મેં જોયું છે કે આવાં ઢંગધડા વગરનાં સમ્પાદનો સામે ઘણી ઘણી ફરિયાદો થઈ છે, પણ ભાગ્યેજ કોઈ સમ્પાદકે સુધારા-વધારા કર્યા છે. ગુજરાતી સમ્પાદન-સાહિત્યની કડક આલોચના થવી જોઈએ.  

+ +

સમગ્ર સાર એ કે આજકાલનાં એવાં સમ્પાદનોની નીવડેલાઓએ જાહેરમાં હોળી કરવી જોઈએ અને નવોદિતોએ એ સમ્પાદકોનો જાહેરમાં બહિષ્કાર કરવો જોઈએ.

= = =

(291225Abad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...59606162...708090...

Search by

Opinion

  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved