Opinion Magazine
Number of visits: 9457298
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મતદાતાને જ મત ‘દાટા’ મારે એમ બને …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|15 April 2024

રવીન્દ્ર પારેખ

લોકસભાની ચૂંટણી નજીકમાં છે, પણ મતદારો નજીકમાં જણાતા નથી. મતદારો મત આપે એ માટે જાગૃતિના પ્રયત્નો આ વખતે સૌથી વધુ છે, તો પણ મતદારોનો ઉત્સાહ જોઈએ એવો નથી. રાજકીય પક્ષો પોતપોતાની તાનમાં મસ્ત છે, છતાં અંદરખાને અસંતોષનું આંધણ પણ મુકાયેલું છે. આમ તો ભા.જ.પ.ની જીત લગભગ નક્કી છે ને એ કેવળ વડા પ્રધાનના તનતોડ પ્રયત્નોનું જ પરિણામ હશે. લોકો ઉમેદવારને મત આપે એવું ઓછું છે, પણ મત વડા પ્રધાન મોદીને જોઈને અપાય એવું વધારે છે. તે એટલે પણ કે ભા.જ.પ.ના જ ઉમેદવારો લોકોને માફક આવતા નથી. વર્ષોથી, વફાદારીથી ભા.જ.પ.માં સેવા કરી હોય ને કાઁગ્રેસમાંથી આવેલા લોકોને ટિકિટ આપી દેવાય તો વફાદારોને ચચરે તેમાં નવાઈ નથી. વફાદારોને અન્યાય થાય તે પક્ષને દેખાય કે ન દેખાય, પણ મતદારોને તો બંધ આંખે પણ એ દેખાય છે. એને સમજાય છે કે વિપક્ષમાંથી ભા.જ.પ.માં આવેલો કાર્યકર માત્ર લાભ ખાટવા જ આવ્યો છે. ત્યાં દાળ ગળી નથી એટલે અહીં જે પાણીએ મગ ચડે એ પાણીએ ચડાવવા આવ્યો છે ને સવાલ એ છે કે જે પોતાના પક્ષને વફાદાર નથી તે ભા.જ.પ.ને કેટલો વફાદાર રહેશે? મતદારો મૂરખ નથી. દાયકાઓથી સત્તા ભોગવતી કાઁગ્રેસને જો આ મતદારો ખસેડી શકતા હોય તો તેને માટે કોઈ પણ સત્તાપલટો નવાઈની વાત નથી તે દરેક પક્ષે સમજી લેવા જેવું છે.

સાચું તો એ છે કે દરેક પક્ષ સત્તા મેળવવા રઘવાયો થયો છે ને સામસામે આક્ષેપો કરીને, સામેવાળાને નીચો બતાવીને પોતાની ઊંચાઈ સિદ્ધ કરવા મથે છે, પણ મતદાતાને એની નીચાઈ દેખાયા વગર રહેતી નથી. વડા પ્રધાને કહ્યું કે વિપક્ષોને એમ છે કે મોદી આવશે તો બંધારણ પર જોખમ છે, પણ હવે તો ખુદ બાબાસાહેબ પણ ઉપરથી આવે તો બંધારણ ખતમ કરી શકે એમ નથી. એ ખરું કે બાબાસાહેબ તો કૈં ન કરે પણ, વિપક્ષોને ડર મોદીનો છે, એટલે જ તો રાહુલ ગાંધી કહે છે કે ભા.જ.પ. બંધારણને નષ્ટ કરી રહ્યું છે, ને અમે તેને બચાવવા માંગીએ છીએ. આવા સામસામા આક્ષેપોમાં પક્ષો રચ્યાપચ્યા રહે છે, પણ આવામાં મતદાતાની યાદ ભાગ્યે જ કોઈને આવે છે. નેતાઓને તો ટોળાં મળી રહે એટલું જ જોઈતું હોય છે. પ્રચાર લોકોમાં થાય છે એની ના નહીં, પણ લોકોનો મહિમા ઓછો જ થાય છે. પક્ષોને એવો ભરોસો હોય છે કે મતદાતાને તો ભોળવી લેવાશે, પણ એવાં ભોળપણમાં રહેવા જેવું નથી.

વિપક્ષો ગમે એટલા ફાંફાં મારે, પણ તેમની વચ્ચેના મતભેદો, મત ભેદી શકે એમ નથી. તેમને પોતાના પક્ષની જીત સિવાય બીજો કોઈ રસ નથી. તેઓ એ ભૂલી જાય છે કે તેમણે ભા.જ.પ.ને ટક્કર આપવાની છે, તેને બદલે તેઓ એકબીજાને ટક્કર આપવામાંથી ઊંચા નથી આવતા. આ સ્થિતિ હોય ત્યાં ભા.જ.પ.ને લાભ ન મળે તો જ નવાઈ ! આમ તો બધી જ રીતે ભા.જ.પ. મોખરે છે, પણ છેલ્લે છેલ્લે પુરુષોત્તમ રૂપાલા પ્રકરણે ગુજરાતની સ્થિતિ ડામાડોળ કરી છે. રૂપાલાની રાજપૂતો વિષેની ટિપ્પણીએ અણધાર્યો વળાંક એવો લીધો છે કે રૂપાલા હશે તો ભા.જ.પ.ને મત નહીં મળે. રાજકોટનો વિરોધ ભા.જ.પ. સામે નથી, રૂપાલા સામે છે, પણ રૂપાલા ભા.જ.પ.ના ઉમેદવાર હોય તો એ વિરોધ ભા.જ.પ. સામેનો પણ આપોઆપ જ ગણાય. રૂપાલાએ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે એકથી વધુ વખત માફી માંગી છે, પણ રાજપૂતો ને રજપૂતાણીઓ હઠ પર છે કે ઉમેદવાર બદલાય તો જ ભા.જ.પ.ને મત, અન્યથા નહીં ! વળી રાજપૂતોનો વિરોધ રાજકોટ પૂરતો સીમિત નથી. વધારામાં રાજપૂતોમાં પણ બે ભાગ પડ્યા છે. અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખે જાહેર કર્યું છે કે સમાજ ભા.જ.પ.ના સમર્થનમાં છે અને રૂપાલાને માફી આપી છે. રૂપાલાનાં સમર્થનમાં પાટીદારો છે એ ખરું, પણ જેમણે રૂપાલાનું સમર્થન કર્યું તે રાજપૂતો તો ભા.જ.પ.ના જ સમર્થકો છે ને તેમની સાથે સમાજ નથી એવો મત પણ પડ્યો છે. ટૂંકમાં, રૂપાલાએ રાજપૂતોનાં સમર્થન વગર જ ચૂંટણી લડવી પડે એ સ્થિતિ છે ને એ રીતે લડવું જરા ય સહેલું નથી. એની અસર ભા.જ.પ.ને થયા વગર નહીં રહે. આ ઉપરાંત પણ ભા.જ.પ.ના કેટલાક ઉમેદવારો સામે પ્રજાને વાંધો છે. વાત તો એવી પણ છે કે ભા.જ.પ.ના અસંતુષ્ટો જ પ્રજાનો વિરોધ વધે એની ફિરાકમાં છે. આ બધા પછી પણ વિપક્ષોનો પનો ટૂંકો પડે એમ બને. ભા.જ.પ.ની સીટો કદાચ ઘટે, પણ સત્તા પલટો થાય એ તો કોઈ ચમત્કાર વગર શક્ય નથી લાગતું.

2024ની લોકસભાની ચૂંટણીમાં દક્ષિણને બાદ કરતાં જીત લગભગ નિશ્ચિત છે. દક્ષિણમાં પણ વડા પ્રધાનના ઘણા પ્રયત્નો ભા.જ.પ.ની સ્થિતિ મજબૂત કરે એમ બને. ટૂંકમાં, થોડી સીટોની વધઘટ થાય કદાચ, પણ સરકાર ભા.જ.પ.ની બને એવી પૂરી શક્યતા છે. આ સ્થિતિ હોય ત્યારે ભા.જ.પ. ડરી ગયો હોય તેમ વર્તે એનું આશ્ચર્ય છે. ધારો કે, કાઁગ્રેસ જોર પર હોય તો પણ, તે સરકાર બનાવે એ અશક્યવત છે. આમ હોય ત્યારે રાહુલને કે કાઁગ્રેસને ભાંડવાનો કોઈ મતલબ નથી. ખરેખર તો લોકશાહી ખતરામાં છે અને ભા.જ.પ. આવશે તો બંધારણ બદલીને ઇલેક્શન જ નહીં થવા દે એવો ભય લોકોમાં છે, તેને નિર્મૂળ કરવાની જરૂર છે. ભા.જ.પ. બદલાની રાજનીતિ કરી રહ્યું છે, એવો વિપક્ષોનો આરોપ છે. તેમાં તથ્ય નથી એવું નથી. વિપક્ષમાં ભ્રષ્ટ નેતા હોય ને તેને ઇ.ડી. કે અન્ય એજન્સીઓ દ્વારા પડકારવામાં આવે કે જેલમાં ધકેલવામાં આવે તે બધી રીતે યોગ્ય હોય તો પણ, આ બધા ખેલ ચૂંટણી વખતે જ કેમ થાય છે એ સવાલ તો છે જ ! સવાલ તો એ પણ છે કે ભા.જ.પ.માં પણ ભ્રષ્ટ નેતાઓ, મંત્રીઓ છે જ, ઘણા પર તો કેસ પણ થયા છે, છતાં ત્યાં તપાસ, દરોડા કે જપ્તી નથી. ટિકિટ મળી છે એવા કેટલા ય દાગી નેતાઓ ભા.જ.પ.માં છે, તો એમના પર ઇ.ડી., સી.બી.આઇ., આઇ.ટી. જેવી એજન્સીઓનો હાથ કેમ નથી પડતો?

એ હકીકત છે કે અમેરિકી પ્રમુખની ચૂંટણી કરતાં ભારતની આમ ચૂંટણીઓ વધુ ખર્ચાળ થઈ ગઈ છે. ચૂંટણી પ્રચારમાં થનારો ખર્ચ વિધાનસભા હોય તો 20 કરોડ અને લોકસભાની ચૂંટણી હોય તો 50 કરોડ પર પહોંચ્યો છે ને ચૂંટણી પંચે આ ખર્ચ અનુક્રમે 40 લાખ અને 95 લાખ નક્કી કર્યો છે, જે દરિયામાં ખસખસ જેવો છે ને કમાલ તો એ છે કે ચૂંટણી પંચ એ જાણે પણ છે, પણ આ મર્યાદા જે તે પક્ષની સલાહ સૂચનાથી નક્કી થાય છે. એ પણ હકીકત છે કે મોટે ભાગના ખર્ચ રોકડથી થાય છે ને એમાં કાળું નાણું જ ખર્ચાતું હોય છે, જેનો હિસાબ ચૂંટણીપંચ માંગતું રહે છે ને પક્ષો તે ટાળતા રહે છે. ચૂંટણી બોન્ડથી તો 16.5 કરોડ જ પક્ષોને મળ્યા છે ને ચૂંટણીનો ખર્ચ એક લાખ કરોડને આંબતો હોય તો, સમજાય એવું છે કે બાકીનો ખર્ચ ક્યાંથી થાય છે. આમાંની કેટલીક રકમ મતની આશાએ મતદાતાઓને રાજી રાખવા રોકડ કે ભેટ રૂપે ખર્ચાતી હોય છે. આ મામૂલી રકમ કે ભેટ મતદાતાઓને કેટલી મોંઘી પડે છે તે તો ચૂંટણી પછી આવતી મોંઘવારી વખતે જ ખબર પડે છે. આ બધું મતદાતા જુએ છે, જાણે છે ને સમજે પણ છે. તે એ પણ સમજે છે કે ચૂંટણી પછી કોઈ પણ સરકાર આવે, મતદાતાએ ભાવ વધારા માટે તૈયાર રહેવાનું છે. તેના મત જ તેને એવો દાટો મારવાના છે કે તે ચીસ પણ નહીં પાડી શકે.

સો વાતની એક વાત કે આ બધું કર્યા વગર પણ ભા.જ.પ.નો હાથ ઉપર રહે તેમ છે, તો તેણે ભયભીત થવાની જરૂર શી છે? તેને બદલે તે બેકારી, મોંઘવારી, શિક્ષણ, આરોગ્ય જેવા મુદ્દે કેવી રીતે લોકોને આશ્વસ્ત કરી શકે એમ છે, તેની વાત કરે તે જરૂરી છે. મોટે ભાગના લોકો શાંતિથી જીવવા ઈચ્છે છે. કોઈ પણ ધાર્મિક કે કોમી હિંસાથી પ્રજા દૂર રહેવા ઈચ્છે છે. એને કોઈ રાજનીતિ ને તેનાં પરિણામોમાં એટલો રસ નથી, જેટલો બે ટંકનું ખાવાનું મળે ને ભડકા વગર સૂવાનું મળે એમાં છે. આ દેશમાં નેવું કરોડ લોકો એવા છે જેને સરકાર મફતમાં અનાજ આપે છે. તેમને કયો પક્ષ દલીલોમાં કોને મહાત કરે છે એમાં રસ નથી. મધ્યમ વર્ગ મફતનું મેળવતો નથી, એ રીતે તે ગરીબો કરતાં વધુ ગરીબ છે. તે સમજે છે બધું, પણ કૈં કરી શકતો નથી. તે મોંઘવારીરૂપે, ટેક્સ રૂપે ઘણા પૈસા સરકારને ભરે છે. રહ્યા અમીરો, એમને પૈસે પક્ષો સામસામે પટાબાજી ખેલતા રહે છે ને પોતાનું સામર્થ્ય સિદ્ધ કરતાં રહે છે. એમાં મતદાતાનું તો કૈં વળતું નથી. તે સાક્ષી ભાવે બધું જોઈ રહે છે, તો કેટલાક ભક્તિ ભાવે પણ જોઈ રહે છે. આ જોઈ રહેવું જ્યારે બદલાય છે, ત્યારે પરિણામો પણ બદલાય છે.

જોઈએ, મતદાતા ક્યાં સુધી જોઈ રહે છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 એપ્રિલ 2024

Loading

RIP ડેનિયલ કાહ્નમન : મગજની ‘બેવકૂફી’ના ગુરુ!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|15 April 2024

રાજ ગોસ્વામી

પશ્ચિમમાં જે કામ માનસશાસ્ત્રીનું છે, ભારતમાં તે કામ ગુરુઓ, મહાત્માઓ અને સંતોનું છે. બંને લોકો, માનવીય મગજની વાસ્તવિક પ્રકૃતિની વાત કરે છે. ફર્ક એટલો જ છે કે એક ગુરુ કે સંત ખુદના અનુભવોનું અર્થઘટન કરે છે, ખુદના વિચારો, વર્તન, લાગણીઓ, ઈચ્છાઓ અને ઇન્દ્રિયોનો અભ્યાસ કરે છે, જ્યારે એક માનસશાસ્ત્રી બીજા લોકોનાં મનનો, તેમના વિચારો, વર્તન અને લાગણીઓનો અભ્યાસ કરે છે. બંને માનવીય વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે, પણ એકનો અભિગમ સબ્જેક્ટિવ, બીજાનો ઓબ્જેક્ટિવ.

એટલે, હમણાં 27મી માર્ચે અવસાન પામેલા નોબેલ પુરષ્કાર વિજેતા માનસશાસ્ત્રી ડેનિયલ કાહ્નમનને સમાચારપત્રોએ ‘આચરણના ગુરુ’ (બિહેવ્યર ગુરુ) ગણાવ્યા ત્યારે એમાં આશ્ચર્ય થવા જેવું નહોતું. ડેનિયલે તેમનું આખું જીવન માનવ મગજ કેવી રીતે કાર્ય કરે છે તે સમજવામાં વિતાવી દીધું હતું. લોકો જે પણ નિર્ણયો કરે છે તે કેવી રીતે અને શા માટે કરે છે તેમ જ આ જટિલ દુનિયામાં તેમના વિચાર-વર્તન શેનાથી પ્રભાવિત થાય છે તે સમજવામાં તેમને બહુ રુચિ હતી.

ઇઝરાયેલી-અમેરિકન કાહ્નમનનો જન્મ 5 માર્ચ, 1934ના રોજ લિથુઆનિયન યહૂદી પરિવારમાં થયો હતો. તેમણે જેરુસલેમની હિબ્રુ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી હતી. જ્યારે ઈઝરાયેલ 1954માં એક અલગ દેશ બન્યો, ત્યારે તેમણે ઈઝરાયેલી સેનામાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે સેવા આપી હતી. 

થોડા સમય પછી તેમને મનોવિજ્ઞાન શાખામાં મોકલવામાં આવ્યા હતા. ત્યાં તેમણે ‘માન્યતાના ભ્રમ'(ઇલ્યુઝન ઓફ વેલિડિટી)નો સિદ્ધાંત આપ્યો. તેમાં તેમણે કહ્યું હતું કે જે વ્યક્તિ તેના ઓફિસર વિશે ધારણા બાંધે છે તે વધુ પડતા આત્મવિશ્વાસનો શિકાર બની શકે છે અને તેના કારણે કોઈના વિશે ખોટો નિર્ણય લઈ શકે છે. 

પાછળથી આ સિદ્ધાંત બિહેવ્યર સાઈકોલોજીમાં ખૂબ લોકપ્રિય થયો હતો. જેમ કે, એક જુગારીને એવો આત્મવિશ્વાસ હોય છે કે તેને જુગારનો બહુ અનુભવ છે એટલે તે પરિણામનું સટીક અનુમાન કરવા સક્ષમ છે, પણ હકીકત એ છે કે જુગાર સંયોગ કે નસીબનો ખેલ છે. એવી જ રીતે, શેરબજારના સફળ રોકાણકારને એવો ભ્રમ થઇ જાય છે કે ઉત્તમ શેર ખરીદવાની તેનામાં વિશેષ કુશળતા છે, પણ હકીકત એ છે કે મોટા ભાગના સફળ રોકાણકારોનું લાંબા ગાળાનું રિટર્ન સરેરાશ કરતાં થોડુંક જ ઉપર હોય છે.

ઈઝરાયેલમાં લગ્ન કર્યા પછી, ડેનિયલ યુનાઇટેડ સ્ટેટ્સમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં આવ્યા હતા. અહીં તેમણે મનોવિજ્ઞાનમાં પી.એચડી કરી હતી. તેઓ ઇઝરાયેલ પરત ફર્યા અને 1961થી 1977 સુધી હિબ્રુ યુનિવર્સિટીમાં ભણાવ્યું હતું. આ દરમિયાન ઇરા સાથેનાં તેમનાં લગ્ન તૂટી ગયાં હતાં. 1979માં તેમણે મનોવિજ્ઞાની એની ટ્રેઇઝમેન સાથે લગ્ન કર્યાં હતાં. બંનેએ સાથે મળીને ઘણું સંશોધન કર્યું  હતું. એનીનું 2018માં અવસાન થયું હતું.

ડેનિયલ કાહ્નમનનું સૌથી અગત્યનું પ્રદાન માણસની કથિત તાર્કિક શક્તિના ક્ષેત્રમાં છે. આપણે જો અણુથી લઈને પરગ્રહ સુધી જવાની ટેકનોલોજીકલ પ્રગતિને જોઈએ તો એવું લાગે કે માણસની બુદ્ધિ આ ભ્રહ્માંડમાં સૌથી સર્વશ્રેષ્ઠ છે, પરંતુ મનોવિજ્ઞાન, ન્યુરોસાયન્સ, રાજનીતિ, અર્થશાસ્ત્ર અને અન્ય વિદ્યાઓમાં આવતા સમાચારોને જોઈએ તો એવું લાગે કે માણસ જેવું બેવકૂફ પ્રાણી બીજું કોઈ નથી.

ડેનિયલે માણસના મગજના આ વિરોધાભાસને સમજાવવા માટે, 2011માં ‘થિન્કિંગ, ફાસ્ટ એન્ડ સ્લો’ નામનું બેસ્ટસેલર પુસ્તક લખ્યું હતું. મનોવિજ્ઞાનીઓએ વર્ષો પહેલાં શોધ્યું હતું કે મગજ બે હિસ્સામાં વહેંચાયેલું હોય છે; ડાબું અને જમણું. જે વ્યક્તિનું ડાબું મગજ વધુ સક્રિય હોય તો, તેનામાં તાર્કિક વિચાર કરવાની, વિશ્લેષણ કરવાની અને તથ્યો જોવાની શક્તિ વધુ હોય. જમણું મગજ જો વધુ સક્રિય હોય તો, વ્યક્તિમાં સર્જનાત્મકતા, કલ્પનાશીલતા, કળાત્મકતા વધુ હોય.

ડેનિયલ કાહ્નમને મગજનાં આવાં વિભિન્ન વિભાજનોને ફાસ્ટ એન્ડ સ્લો(તેજ અને ધીમા)માં વહેંચી નાખીને ઝંઝટ સરળ કરી નાખી હતી. તે કહે છે કે મગજ બે સિસ્ટમ પ્રમાણે વિચારો કરે છે : સિસ્ટમ-1 અને સિસ્ટમ-2. 

સિસ્ટમ-1 ઝડપથી વિચારે છે અને તેની પ્રકૃત્તિ અચેતન, લાગણીશીલ અને સહજ (કોઠાસૂઝ વાળી) હોય છે. ઝડપી વિચારોનું પરિણામ તાબડતોબ ધારણા બાંધી લેવામાં, પૂર્વગ્રહો કેળવવામાં, રીએકશનમાં આવે છે. સિસ્ટમ-2 ધીમી હોય છે અને તેમાં સભાન અને તાર્કીક રીતે વિચારો થાય છે, ચિંતન થાય છે. 

ડેનિયલે કહ્યું હતું કે આપણા નિર્ણયો પાછળ આ બંને સિસ્ટમ કામ કરે છે. મોટાભાગના લોકો ધીમી સિસ્ટમને ટાળે છે, તેમને ફટાફટ વિચારવાનું અનુકૂળ પડે છે. આપણને સૌને એવું માનવાનું ગમતું હોય છે હું તો બહુ તાર્કીક છું અને વિચાર-મંથન કરીને નિર્ણયો લઉં છું, પરંતુ વાસ્તવિકતા એ છે કે મોટાભાગના કિસ્સાઓમાં આપણે સિસ્ટમ-1ની ‘ગટ ફીલિંગ’ના આધારે તાબડતોબ ધારણા બાંધીએ છીએ અને પછી સિસ્ટમ-2ના માધ્યમથી તેને તાર્કિક ઠેરવીએ છે.

જેમ કે, કોઈ મેડિકલ ઈમરજન્સીમાં ડોકટર કાચી સેંકડમાં નક્કી કરતાં હોય છે કે તેણે શું કરવાનું છે. આગ લાગી હોય તો ફાયર બ્રિગેડનો જવાનો પળે પળે બદલાતી સ્થિતિમાં વીજળિક ગતિએ નિર્ણયો બદલતા હોય છે. રોડ પર અક્સ્માત ટાળવા માટે એક ડ્રાઈવર ‘વગર વિચારે’ જ કારને એક તરફ વાળતો હોય છે. 

‘ગટ ફીલિંગ’ વાળી સિસ્ટમમાં ભૂલો થવાની સંભાવનાઓ હોય છે, પણ તેનામાં જોખમોને કે કામના અવસરોને પારખી લેવાની ક્ષમતા પણ હોય છે. દાખલા તરીકે, ન્યુયોર્ક ટ્વીન ટાવર્સ પર હુમલો થયો ત્યારે, ઘણા લોકો 50માં કે 100માં માળેથી ‘વગર વિચારે’ કૂદી પડ્યા હતા. તેમાં તેમણે મોતથી બચવાની તક જોઈ હતી, પણ અંતત: તે પડીને જ મરી ગયા હતા. 

ડેનિયલ કાહ્નમને પુસ્તકમાં લખ્યું હતું, “આપણામાંથી પ્રત્યેકને આપણે અસલમાં છીએ તેના કરતાં અધિક તર્કસંગત છીએ તેવું લાગતું હોય છે. અને આપણે એવું માનતા હોઈએ છીએ કે આપણે જે પણ નિર્ણયો લઈએ છીએ તે લેવા માટે ઉચિત કારણો હોય છે. ઘણીવાર એનાથી ઊંધું હોય છે. આપણે કારણોમાં એટલા માટે માનીએ છીએ કારણ કે આપણે અગાઉથી જ નિર્ણય લઇ લીધો હોય છે.”

આ બંને મગજ વચ્ચે હાવી થવાની લડાઇ કાયમ ચાલતી રહે છે. આ પુસ્તક વાંચવાનો ફાયદો એટલો જ છે કે આપણે કેવી રીતે અમુક પ્રકારના નિર્ણયો કરી બેસીએ છીએ, અમુક પ્રકારની ધારણાઓમાં બંધાઈ જઈએ છીએ, પૂર્વગ્રહોને સાચા માનતા થઈ જઇએ છીએ અને કેવી રીતે આપણે આપણા વિશે, બીજાઓ વિશે અને દુનિયા વિશે “સ્ટોરીઓ” બનાવીને છીએ તે સમજવા મળે છે. 

વિચાર કરો કે યુદ્ધો કેમ થાય છે? બજારોમાં મંદી કેમ આવે છે? સામ્રાજ્યો કેમ બને છે અને પડે છે? સમાજમાં અસમાનતા કેમ રહે છે? રાજકરણમાં ધ્રુવીકરણ કેમ થતું રહે છે? ફેક ન્યુઝ અને પ્રોપેગેંડા કેમ ફેલાતા રહે છે? બળાત્કારો અને ખૂન કેમ થતાં રહે છે? કારણ કે, આ પુસ્તક સમજાવે છે તેમ, સંજોગો અને અનુભવો બદલાય છે, પણ માણસની પ્રકૃત્તિ બદલાતી નથી. માણસનું મગજ આજે પણ એ જ રીતે કામ કરે છે, જેવું તે કરોડો વર્ષો પહેલાં ગુફામાં કામ કરતું હતું. 

આ પુસ્તક આપણને આવેગોમાં આવીને નિર્ણયો લેવાની વૃત્તિ સામે સચેત કરે છે. કાહ્નમન કહે છે તેમ, “આપણને આપણા અજ્ઞાનનું જ્ઞાન નથી હોતું. આપણને બહુ ઓછો અંદાજ હોય છે કે આપણે કેટલું ઓછુ જાણીએ છીએ. આપણું મગજ તેનું અજ્ઞાન જાણવા માટે બન્યું નથી. આપણે આપણી ધારણાઓ અને નિર્ણયોમાં અતિ આત્મવિશ્વાસ રાખીએ છીએ.”

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 14 ઍપ્રિલ 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

વસંતનાં ફૂલ

સરયૂ પરીખ|Opinion - Opinion|14 April 2024

જુદા જુદા દેશ અને ધર્મવાળી, અનાયાસ મળી ગયેલી, પાંચ બેનપણીઓની કથા.

સરયુ મહેતા-પરીખ

અમેરિકાના રહેવાસના ત્રીજા દસકામાં, વ્યવસાયનાં કારણો અમને હ્યુસ્ટન, ટેક્સાસમાં લઈ આવ્યાં હતાં. નવી જગ્યામાં સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની ઈચ્છા સાથે, પુખ્ત ઉંમરના વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવતી સેવાસંસ્થા સાથે જોડાવાના આશયથી, એમના તાલીમ ક્લાસમાં ગયેલી. શનિવારે આખા દિવસનો કાર્યક્રમ હતો. હું કોઈને ઓળખતી ન હતી. લંચ સમયે, મેલીંગ નામની બહેન મળતાવડી લાગી. એણે મને એકલી જોઈ બાજુના ટેબલ પર સાથે બેસવા બોલાવી. બધા સાથે પરિચય થયો. રોબીન, ખૂબ ગોરી, માંજરી આંખોવાળી અને મીઠાં સ્મિતવાળી અમેરિકન હતી, જેણે અડતાળીસ વર્ષની ઉંમરે ટીચર બનવાનું સ્વપ્ન પૂરું કર્યું હતું અને નોકરીની રાહમાં હતી. મેલીંગ, નિવૃત્ત થયેલ શિક્ષિકા હતી. જીની, કેનેડાની હતી, પણ વર્ષોથી અમેરિકામાં એન્જિનીઅર પતિ અને બે દીકરીઓ સાથે વસતી હતી. માર્ગરેટ, અનોખી તરી આવે તેવા વ્યક્તિત્વવાળી હતી.

મેં મારું શાકાહારી ભોજન શરૂ કરતાં જ એની સુગંધ અને મસાલા વિશે અને “ભારતીય ખાણું ભાવે,” વગેરે વાતો થવા માંડી. મેં બટેટા વડા ચાખવા માટે આપ્યા. એ ટેબલ પર અમે જૂનાં ઓળખીતાં હોઈએ એવી સહજતાથી વાતોએ વળગ્યાં. મેં એમ જ હળવાશથી સૂચવ્યું કે આવતા અઠવાડિયે મારે ઘરે લંચ સમયે ભેગા થઈએ? અને મારા … આશ્ચર્ય વચ્ચે, એ બહેનો તૈયાર થઈ ગઈ! અમે એક બીજાના ફોન નંબર વગેરે લઈ લીધા.

મારે ઘરે મળવાના દિવસે, ‘સાવ અજાણ્યાની સાથે લંચ કેમ થશે!’ એ બાબત ઉત્કંઠા હતી. દરેક જણ એક વસ્તુ બનાવીને લાવવાના હતા. મને શંકા હતી કે ઓછું બોલતી જીની આવશે કે નહીં! પણ, પહેલી એ જ આવી. પછી રોબીન, માર્ગરેટ અને મેલીંગ પણ સમયસર  આવી ગયાં. વાતોનો દોર બરાબર જામ્યો. માર્ગરેટના પતિ પણ એન્જિનીઅર હતા. માર્ગરેટ ઓસ્ટ્રેલિયા પાસેનાં, ટાસ્મેનિઆ નામના ટાપુ પર ઊછરેલ. મેલીંગ પનામાની હતી અને તેના અમેરિકન પતિ ચર્ચના પાદરી હતા. અમે પાંચે કોલેજ સુધીનો અભ્યાસ કરેલા, સફળ કારકિર્દીવાળા પતિ સાથે અનેક સ્થળોએ રહેલા અને દરેક લગભગ ચાલીસ વર્ષના લગ્નજીવનમાં સુખી બહેનોનો, અણધારી જગ્યાએ, જાણે અનાયાસ મેળ પડી ગયો. છૂટા પડતાં પહેલાં અમે પોતાની ડાયરી કાઢી, આવતા મહિને કોને ત્યાં મળશું એ નક્કી કરી લીધું. પછી તો દર મહિને, મળવાનું, સાથે સાહિત્ય, કલા અને ફિલોસોફીકલ ચર્ચાઓ તેમ જ વ્યક્તિગત વાતો કરવાનો મહાવરો થઈ ગયો…. અમે પહેલેથી શું બનાવી લાવવું એ નક્કી ન કરતાં તો પણ બધું વ્યવસ્થિત થઈ પડતું. મોટો ફેરફાર એ થયો કે, મારા તરફથી કોઈ અણગમો કે આગ્રહ ન હોવા છતાં પણ, ભાગ્યે જ કોઈ અશાકાહારી ખોરાક સામેલ થતો. અમારા પાંચે જણાના પતિઓ સાથે, સાંજના ખાણા માટે, પણ ક્યારેક ભેગાં થતાં. આમ વિવિધ સંસ્કારિતાને સમજવાનો અને એમના કુટુંબના સભ્યો સાથે ક્રિસમસ કે દિવાળી ઉજવવાનો અવસર પણ મળતો.

જેની સાથે મિત્રતા અશક્ય લાગતી હતી એવી, જીની અને મારી વચ્ચેની મિત્રતા સમય સાથે દૃઢ બનતી ગઈ. એમના પતિ છપ્પન વર્ષે નિવૃત્ત થઈ ગયા પણ એનો આનંદ મળે એ પહેલાં તો એમને પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન થયું. આ આઘાતજનક વાત જીની મારી સાથે કરતી અને જીવનમાં આવેલ ઊથલપાથલમાં સમતોલન રાખવા પ્રયત્ન કરતી. બધાને એ સમાચાર કહેવાની હિંમત આવતાં બે વર્ષ નીકળી ગયાં હતાં. જીની પાસેથી હું ગૂંથતા અને સારું સીવણકામ શીખી. પાંચે જણાનું ભેગા થવાનું અનિયમિત થતું ગયું પણ હું અને જીની મહિને એકાદ વખત, કોઈ પણ આગળથી યોજના બનાવ્યા વગર, થોડા કલાકો બહાર નીકળી પડતાં. પતિની માંદગીને કારણે જીની માટે થોડા કલાકો ઘરની બહાર નીકળી જવાનું જરૂરી બની ગયું હતું.

રોબીનના પિતાજી ભારતમાં થોડો સમય રહેલા. એમના શીખેલા શબ્દો “જલ્દી જલ્દી” કે “ક્યા દામ હૈ?” એવા પ્રયોગો રસપૂર્વક કરી એ પોતાના અનુભવો અમારી સાથે વાગોળતાં. રોબીન અને એમના પતિને ધાર્મિક અને સેવા કાર્યો સાથે કરવામાં ઘણી મીઠી સંવાદિતા હતી. રોબીન એના ચર્ચમાં બહેનોના મંડળની પ્રમુખ હતી. દર વર્ષે અમે પાંચે બેનપણીઓ એના સમારંભમાં આગળના ટેબલ પર મુખ્ય મહેમાન સાથે માનથી ગોઠવાતાં. એક દિવસ ખાસ યાદ છે … એ સમયે હું વિવિધ કારણોને લઈ ચિંતિત રહેતી. એ સભા દરમ્યાન ચર્ચના વક્તાએ કહ્યું કે, “હું હંમેશાં ઈશુની સામે જઈને અમારા ભવિષ્યની “શું યોજના છે?” એવો સવાલ કરતી. પણ મનમાં જાગૃતિ થતા મેં ભગવાનની પાછળ ચાલી,…એમની યોજના સ્વીકારવાની શરૂ કરી.” આ સામાન્ય વાતની મારા દિલ પર સચોટ અસર થયેલી અને ત્યાર પછી ચિંતા વગર, પ્રામાણિક યત્ન કરવાનો અને જે મળે તેનો સહજ સ્વીકાર કરવાનો, એ મારો જીવનમંત્ર બન્યો. ભગવત્‌ ગીતામાં શીખેલ પાઠ ચર્ચમાં ઉજાગર થયો.

મેલીંગની જેવી મીઠી જિહ્વા હતી, એવું જ વિશાળ દિલ હતું. અમારા દસેક વર્ષના સહવાસમાં મેં એને ક્યારે ય કોઈ વ્યક્તિ વિશે અણગમો બતાવતા નથી સાંભળી. એમના પતિ જે ચર્ચમાં પાદરી હતા તે જ ચર્ચમાં મેલીંગ મોટી સંખ્યામાં પુખ્ત ઉંમરનાં બહેનો અને ભાઈઓને અંગ્રેજી ભણાવવાનું સેવા કાર્ય કરતી. પોતાના માતા-પિતા અને કુટુંબને અનન્ય સન્માન અને સ્નેહથી સિંચતી જોવી એ લ્હાવો હતો. એના યુવાન પુત્રને રમતા થયેલ ગંભીર ઈજા વખતે અમે સર્વ એની સાથે પ્રાર્થનામાં જોડાયાં અને મહિનાઓ સુધી તેના મનોબળનો આધાર બની રહ્યાં. હજી સુધી મારા જન્મદિવસે હું સામેથી એની શુભેચ્છા મેળવવા ફોન કરું છું, એવી અમારા વચ્ચે સરળ પ્રેમાળ ભાવના છે.

માર્ગરેટ ટાસ્મેનિઆથી આવીને દુનિયાના આ બીજે છેડે વસી હતી, પણ એનું દિલ તો એની પ્યારી જન્મભૂમિમાં જ રહેતું. એના પતિ સારા હોદ્દાની નોકરી કરતા હતા. એમના વિશાળ બંગલામાં ઘણી વખત બપોરનું જમણ અને કેટલીક સાંજની મીજબાની ભપકાદાર બની રહેતી. માર્ગરેટ એના ચર્ચમાં પ્રાર્થના મંડળમાં નિયમિત ગાતી અને ઘરે કલાત્મક ભરતકામ કરતી.

મને સાહિત્યમાં રસ તેથી હું એનો રસાસ્વાદ કરાવતી રહેતી. અમે ભગવત્‌ ગીતા, ઓશો અને બીજા હિંદુ ગ્રંથો સાથે બાઈબલ અને કુરાન વિશે પણ રસપૂર્વક ચર્ચા કરતાં. અમે દરેક સખી પોતાના ધર્મમાં સ્થિર મનવાળા હોવાથી, વિવિધ ધર્મ પ્રસંગોમાં સંપૂર્ણ રસ અને માનથી સહયોગ દેતાં. આવા સરળ અને આધ્યાત્મિક વિચારોની ચર્ચાઓના વાતાવરણમાં અમારો ખરો કસોટીનો પ્રસંગ ઉપસ્થિત થયો.

મારા પતિ અને હું માનવધર્મમાં શ્રદ્ધા હોવાનું વિશ્વાસ સાથે કહેનાર માટે કસોટીનો સમય આવેલ, જ્યારે અમારી દીકરીએ બાંગલાદેશી મુસ્લિમ સાથે લગ્ન કરવાની સંમતિ માંગી. પરિચય અને સહજ સ્વીકારથી મીઠા સંબંધો શક્ય બન્યાં. નાતજાત કરતાં, વ્યક્તિનું મૂલ્ય અમારે મન વધારે મહત્ત્વનું બની રહ્યું, એ વાત સાબિત થઈ શકી.

મારા સ્વભાવ અનુસાર બધાને સ્નેહતંતુથી બાંધી રાખવાની જવાબદારી મેં સહજ રીતે અપનાવી લીધેલી. એ વર્ષે મારી બીજી વસંત ૠતુ ટેક્સાસમાં હતી. કુદરતના ખોળે રંગીન ફૂલો છવાયેલાં હતાં. એની પૂરબહાર મૌલિકતા માણવા અમે એક દિવસ વહેલી સવારે નીકળી ગયાં. જીનીમાં ક્યાં અને કઈ રીતે જવાની આગવી સમજને કારણે મોટે ભાગે એ જ કાર ચલાવતી.

બ્લુ બોનેટ્સનાં ફૂલો મધ્યમાં અને ચારે તરફ સફેદ, લાલ અને પીળા રંગનાં કુસુમ-સાથિયા જોઈને દિલ તરબતર થઈ ગયું. બપોરના સમયે જમણ માટે એક ઘરમાં દાખલ થયાં. રસોઈ બેઠકમાં લાંબા બાંકડાઓ ગોઠવેલાં હતાં, જ્યાં ટેક્સાસના બે cowboys, બેઠેલા. ખેડૂત જેવો પહેરવેશ અને ફાંકડી હેટ અને બુટમાં શોભતા હતા. એમની પાસે અમે પાંચે સામસામા ગોઠવાયાં. એ અજાણ્યા ભાઈઓ સાથે મેલીંગ અને રોબીન મીઠાશથી વાતો કરવાં લાગ્યાં. અમે પાંચે બહેનો સેવાભાવથી કામ કરતી સંસ્થામાં જોડાયેલાં હતાં, અને એ રીતે મિત્રો બન્યા છીએ, એ વાત પણ નીકળી. જમવાનું આવ્યું અને પછી ‘ચેરી પાઈ’ અને ‘એપલ પાઈ’ પણ મંગાવવાની વાત અમે કરી રહ્યાં હતાં. બન્ને ભાઈઓનું જમણ પૂરું થતા પ્રેમપૂર્વક, ટેક્સન સ્ટાઈલથી, આવજો કરીને બહાર બિલ આપવા ઊભેલા જોયા અને પછી દૂરથી સલામ કરી જતા રહ્યા.

થોડી વારમાં વેઇટ્રેસ બહેન આવીને પૂછે કે, “ગળ્યામાં કઈ પાઈ તમારે લેવાની છે?”

અમને નવાઈ લાગી, “તમને કેવી રીતે ખબર કે અમારે પાઈ લેવાની છે?”

“પેલા બે સજ્જનો તમારું, પાઈ સહિત, પૂરું બિલ ભરીને ગયા છે.” લગભગ પચાસ ડોલર્સનું બિલ હતું.

વાહ! અમને ટેક્સન મહેમાનગતિનો અવનવો અનુભવ થયો. અમારા ધન્યવાદની પણ અપેક્ષા રાખ્યા વગર એ બન્ને ચાલ્યા ગયા હતા.

દસેક વર્ષની મિત્રતા પછી, રોબીન કોલોરાડો અને અમે હ્યુસ્ટનથી દોઢસો માઈલ દૂર, ઓસ્ટિનમાં જઈને વસ્યાં તો પણ અમારો સખીભાવ કાયમ રહ્યો. થોડા દિવસ પહેલા જ જીનીએ તેના પતિ વિષે લખ્યું કે, “બીમારી સામેની લડત સમાપ્ત થઈ છે. એમનું શાંતિપૂર્વક મૃત્યુ થયું છે.” મારા કહેવાથી, થોડા દિવસ જીની મારી સાથે રહેવા આવી અને સુસંગતનો સમય ફરી શક્ય બન્યો. ગયા વર્ષે રોબીન કોલોરાડોથી ઓસ્ટિન આવી અને અમે દસ વર્ષ પછી ફરી હ્યુસ્ટનમાં જીનીને ઘેર મધુર સખી મેળાપ મ્હાણ્યો. 

સદ્દભાવનાની સુવાસ જાણ્યે અજાણ્યે દિલથી દિલને સ્પર્શી, પ્રસરતી રહેતી હોય છે તેના અનેક અનુભવો જીવનમાં થયા છે. અમેરિકા આવી ત્યારે કોઈક લોકો એવું કહેતા કે, તમને આ પરદેશીઓ સાથે મિત્રાચારી થાય પણ મિત્રતા નહીં. મારા અનુભવમાં એવું વિધાન પાયા વગરનું સાબિત થયું છે. કેટલાક મિત્રો સાથે છેલ્લાં પાંત્રીસેક વર્ષોથી ગહેરી દોસ્તી રહી છે. એક વાત યાદ આવે છે…. એક આગંતુક ગામના મુખિયાને પૂછે છે, “આ ગામમાં કેવા લોકો છે?”

મુખી કહે, “ભાઈ, તું આવ્યો એ ગામમાં જેવા લોકો હતા ને … હા! બસ એવા જ.”

સ્વીકાર અને સમર્પણની નિર્મળ લાગણીઓ સંબંધોમાં સુવાસ લાવે છે.

અને મિત્રતાની સંવાદિતામાં હસતાં ચહેરાઓ આ જીવનને વૈભવશાળી બનાવે છે.

————-

હ્યુસ્ટનમાં એક બ્રિટિશ પાડોશીએ, અમેરિકામાં ભાગ્યે જ ઉપલબ્ધ, મધુમાલતીની કલમ તૈયાર કરીને આપી. પછી દિવસો સુધી સૂકાયેલી કલમ પર ઝીણી કૂંપળ દેખાઈ. તેનો અનન્ય આનંદ ….

•••

કૂંપળ

કરમાતી  વાસંતી  વેલ, હાય!  મારી  ધીરજ ખૂટી.
 જીવન ને મૃત્યુના ઝોલામાં, હાશ! આજ કૂંપળ ફૂટી.

ઓચિંતા એક દિન દીઠી ને મરડીને યાદ મીઠી ઊઠી.
વાવેલી બાપુએ જતનથી, વીરાએ નીરથી સીંચેલી.

કોમળ કલાઈથી ઝૂલાવી, ફૂલો હું વીણતી ગુલાબી.
અદકા આનંદથી ગૂંથેલી, તરસુ પળ પામવા વિતેલી.

•

કાળજી કરીને એને કાપી,
એક ભાવેણી ભગિનીએ આપી.
વાવી, વિલસી, પણ શિશિરે સતાવી,
મુંઝાતી શરમાતી જાય એ સુકાતી.           
પણ આજ.
પ્રીતમના  મોંઘેરા વેણ સમી,
હાશ!  નવી  કૂંપળ  ફૂટી.

•••

ઓસ્ટિન, ટેક્સાસ.
e.mail :saryuparikh@yahoo.com 
www.saryu.wordpress.com

Loading

...102030...595596597598...610620630...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved