Opinion Magazine
Number of visits: 9457173
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનને આંગણે ‘સ્મૃતિસંપદા’ પુસ્તકનું લોકાર્પણ …

રેખા સિંધલ (ટેનેસી)|Opinion - Opinion|2 May 2024

‘ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટન’ને ઉપક્રમે ૨૭મી એપ્રિલ, ૨૦૨૪ના શારદા-અંબા મંદિરના ઑડીટોરિયમમાં, તાજેતરમાં પ્રકાશિત થયેલા ‘સ્મૃતિસંપદા’ પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમાં લગભગ ૧૬૫થી વધુ સાહિત્ય-પ્રેમીઓએ એ પુસ્તકના ૧૨ જેટલાં હાજર રહેલાં સર્જકો સાથે સાંજ વીતાવી હતી.

અતિથિ-વિશેષ તરીકે ‘વિદેશીની’ તરીકે જાણીતાં અને માનીતાં કવયિત્રી પન્નાબહેન નાયકના હાથે આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. વર્ષોથી ‘ગુર્જરી ડાયજેસ્ટ’ નામનું ત્રૈમાસિક અમેરિકામાં પ્રકાશિત કરનાર તંત્રી-પ્રકાશક કિશોરભાઈ દેસાઈએ પણ હાજરી આપી હતી. એમણે ‘ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’ સાથે જોડાઈને આ ‘સ્મૃતિસંપદા’નું પ્રકાશન કર્યું છે. જેમાં પંદર જેટલાં ગુજરાતીઓએ પોતાની જીવનકથામાં પરદેશની ધરતી પરની એમની વિકાસ કથા લખી છે. સાહસ અને વિકાસ સાથે સંઘર્ષમય અનુભવો સ્વાભાવિક જોડાયેલા હોય. આ અનુભવોમાં વિકસેલા ગુણોના અંકુર ગુજરાતની ભૂમિમાંથી વિસ્તરી દરિયાપાર ફેલાયા છે. જીવનના કોઈપણ ક્ષેત્રે અને કોઈપણ તબક્કે આ અનુભવોનું ભાથું બળપ્રેરક બની રહે તેવું છે. આ પુસ્તકમાં પંદર લેખકોમાંથી છ હ્યુસ્ટનનાં રહેવાસીઓ છે અને કેટલાંક તો આ સાહિત્ય સરિતા સાથે વર્ષોથી જોડાયેલાં છે. જેમાંનાં એક એવાં દેવિકા ધ્રુવે, આ સંસ્થાને ‘હ્યુસ્ટનના આંગણે ઊભેલો ગુજરાતી ભાષાનો તુલસીક્યારો” કહી ગૌરવવંતી ઝલક આપી હતી. હસમુખ દોશી, કિરીટ ભક્તા, ઈ.ના પટેલ જેવા અન્ય ઘણા દાતાઓ આ અવસરમાં આર્થિક સહકાર આપી સહયોગી થયા હતા.

કાર્યક્રમની શરૂઆત સંસ્થાના સચિવ નરેન્દ્ર વેદે કેટલીક જાહેરાત સૂચનાઓ વગેરે આપ્યા પછી, બરાબર સાંજે ચારેક વાગ્યે, જ્યોત્સના વેદની સરસ્વતી વંદનાથી થઈ હતી. તે પછી સંસ્થાના પ્રમુખ નિખિલ મહેતાએ સૌનું સ્વાગત કર્યુ હતું. નૃત્યકાર ઉમા નગરશેઠની  દોરવણી હેઠળ સંસ્થાની બહેનો દ્વારા દીવડા-નૃત્યની સુંદર રજૂઆત કરવામાં આવી હતી; જેના શબ્દો હતા :  “મેં તો ઉંબર પર દીવડો મેલ્યો કે ઘર મારું ઝળહળતું”.

ત્યાર બાદ બીજા રાજ્યમાંથી આવેલાં આમંત્રિત લેખકોએ અને સ્થાનિક લેખકોએ વકતવ્ય રજૂ કર્યાં હતાં; જેમાં ફ્લોરિડાથી વિશ્વપ્રવાસીની પ્રીતિ શાહ સેનગુપ્તા, વોશિંગ્ટનથી જાણીતા અર્થશાત્રી નટવરભાઈ ગાંધી, નેશવીલથી ‘સ્મૃતિસંપદા’નાં સંપાદક રેખા સિંધલ, કૅલિફોર્નિયાથી સપના વિજાપુરા, લાસવેગાસથી જગદીશ પટેલ, હ્યુસ્ટનના નાસા કેન્દ્રમાં કાર્યરત અવકાશવિજ્ઞાની કમલેશ લુલ્લા, ઑસ્ટીનથી સરયૂ પરીખ, હ્યુસ્ટનાં દેવિકા રાહુલ ધ્રુવ,  અરવિંદભાઈ થેકડી તેમ જ મનસુખભાઈ વાઘેલાએ પોતાની કેફિયત ટૂંકમાં રજૂ કરી હતી. અતિથિવિશેષ પન્નાબહેન નાયક અને  કિશોર દેસાઈએ પણ સભાજનોને સંબોધ્યાં હતાં.

‘સ્મૃતિસંપદા’ના જે પાંચ લેખકો આવી નહોતા શક્યા તે ઇન્દુબહેન શાહ (હ્યુસ્ટન), જયંત મહેતા (નેશવીલ), બાબુ સુથાર (પેન્સિલવેનિયા) દિનેશ શાહ (ફ્લોરિડા) અને અશોક વિદ્વાંસ (ન્યૂજર્સી) દ્વારા ઈમેલથી મળેલા તેમના સંદેશાઓ, પ્રમુખ નિખિલભાઈએ વાંચી સંભળાવ્યા હતા.

હાજર રહેલાં આમંત્રિત મહેમાનોને ‘ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટન’ તરફથી સન્માન-પત્ર અને સંસ્થાના logo સાથેની વિવિધ ભેટોનો સંપુટ, સરસ મજાના વિવિધ વૈચારિક અને મનનીય સૂત્રો જેવાં કે ‘A book is a dream you hold in your hand’ સાથે આપ્યો. તે ઉપરાંત દરેક ભાગ લેનાર, સંસ્થાના સેવાભાવી કાર્યકર્તા અને દાતાને પણ ભેટોનો સંપુટ આપ્યો હતો જે સૌએ પ્રેમથી વધાવ્યો હતો.

સાંજે સાડા છ વાગ્યે, ગુજરાત અને ગુજરાતીઓને અનુલક્ષીને એક સુંદર, મજેદાર ‘શેરાક્ષરી’ની રજૂઆત કરવામાં આવી જેને પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી.  તે પછી રિદ્ધિ દેસાઈએ આભારવિધિ કર્યા બાદ આ સાહિત્યિક સંધ્યાની પૂર્ણાહૂતિ થઈ.

છેલ્લે સ્વાદિષ્ટ ભોજનને ન્યાય આપી, તૃપ્તિના ઓડકાર સાથે સૌ વિદાય થયા. તે સમયે ઘણી વ્યક્તિઓના હાથમાં ‘સ્મૃતિસંપદા’ પુસ્તકને જોઈ આનંદ રેલાયો.

તસ્વીર સૌજન્ય : જયંત પટેલ

Loading

છાણ કે સોનાની ખાણ?

સુરેશ જાની|Opinion - Opinion|2 May 2024

૨૦૧૫

બરેલી્માં મિલ્કતની લે-વેચનો ધંધો કરતા વેપારીના મોટા દીકરાએ એક ડેરી ફાર્મ શરૂ કર્યું હતું. તેમાં આધુનિક વિજ્ઞાન વાપરવાનું શીખવા તે ઇજ્જતનગરમાં આવેલી પશુ-સંવર્ધનની શોધખોળ કરતી સંસ્થામાં (IVRI) તાલીમ લેવાનું વિચારતો હતો. બી.કોમ.નું ભણતો ૧૯ વર્ષનો તેનો નાનો ભાઈ પ્રતીક પણ તેની સાથે ખાલી ફરવા જ ઇજ્જતનગર ગયો હતો. આમ તો તે સી.એ. થવા તલપાપડ હતો. તે માટેની પ્રારંભિક યોગ્યતા મેળવવાની પરીક્ષા પણ તેણે પસાર કરી દીધી હતી.

તેના ભાઈના ડેરી ફાર્મમાં છાણ અને ખાણનો કચરો બને તેટલી જલદીથી મામૂલી ભાએ વેચીને દૂર કરાતાં હતા. પણ પ્રતીકને ઇજ્જત નગરમાં એક વ્યાખ્યાનમાંથી જાણવા મળ્યું કે, આ બધાંમાંથી સેન્દ્રિય ખાતર બનાવી શકાય અને તે વાપરીને બનતી ખેત પેદાશો બજારમાં ઊંચો ભાવ કમાઈ આપે.

આ સાથે પ્રતીકના જીવનની દિશા બદલાઈ ગઈ. તેણે આ બાબત ઊંડા ઉતરવાનું નક્કી કર્યું. તે પણ  એ સંસ્થાના એક ટ્રેનિંગ કોર્સમાં જોડાઈ ગયો. છ મહિના આ જ લગન, આ જ વિષયનું વાંચન, અને અવનવા પ્રયોગો. છેવટે તેણે બાપુને કહી દીધું કે, તે સી.એ. થવાનો નથી. બાપુને આ પસંદ તો ન જ પડ્યું, પણ પ્રતીકની મા એના દીકરાની અવનવું કરવાની લગન સમજી ગઈ અને તેમણે બાપુને સમજાવી દીધા. પ્રતીકે જ્યારે તેની પહેલી પેદાશમાંથી મળેલ મોટી રકમનો ચેક બાપુના હાથમાં મુક્યો, ત્યારે એ વેપારી માણસને સમજતાં વાર ન લાગી કે,

પ્રતીકને  છાણમાંથી સોનાની ખાણ મળી ગઈ છે!

બાપુએ પ્રતીકને પરઢોળી ગામમાં સાત વીંઘા જમીન ખરીદી આપી. પ્રતીકની ગાડી હવે ધમધમાટ દોડવા લાગી. તેણે સેન્દ્રીય ખાતરનું ઉત્પાદન મોટા પાયે શરૂ કરી દીધું.

૨૦૧૭

પ્રતીક તેને મળેલી તાલીમ પરથી અવનવા કચરા વાપરી જુએ છે અને તેમને કહોવાવાની અવનવી રીતો શોધી કાઢે છે. એમાં મંદિરોમાંથી કચરા ભેગા થતાં ફૂલોનો પણ સમાવેશ થાય છે ! તેમાં લીમડાનાં પાન અને ગૌમૂત્ર વાપરીને આ ખાતરમાં જંતુનાશક તત્ત્વ પણ પ્રતીકે ઉમેર્યું છે. બે જ વર્ષમાં તે પોતાના પગ પર ઊભો થઈ ગયો, એટલું જ નહીં;  તેણે બીજી થોડીક જમીન પણ ખરીદી લીધી અને જાતે ખેતી કરવા લાગી ગયો.

પોતાની ઉન્નતિની સાથે સાથે પ્રતીકે બીજા ખેડૂતોને પણ આ રીત અપનાવવા પ્રેર્યા છે, અને તેની દોરવણી હેઠળ ૪૨ ખેડૂતો પણ સેન્દ્રીય ખાતર વાપરતા થઈ ગયા છે.  રાસાયણિક ખાતર માટે એક એકરે ૪,૫૦૦ ₹ જેટલો ખર્ચ આવતો હોય છે, જ્યારે આ ખાતર માટે માત્ર ૧,૦૦૦ ₹. જ ખર્ચ આવે છે.  આ ખાતર વાપરીને રાસાયણિક ખાતર કરતાં મોટા દાણા વાળા ઘઉં પકવી શકાય છે, અને બજારમાં તેના વધારે ભાવ પણ મળે છે. બાવીસ જ વર્ષના આ તરવરતા તોખારની સહયોગી બાયોટેક નામની કમ્પનીનું ખાતર બરેલી ઉપરાંત નોઈડા, ગાઝિયાબાદ અને શાહજહાંપુરમાં વેચાતું થઈ ગયું છે. પ્રતીક ‘ये लो खाद’ના નામથી સેન્દ્રીય ખાતર વેચે છે અને વર્ષે બાર લાખ રૂપિયા રળી લે છે.

પ્રતીકના જ શબ્દોમાં

“હું રોજ દસ કલાક સતત વાંચીને કદાચ સી.એ. થયો હોત પણ એનાથી મને એટલો આનંદ ન થયો હોત જેટલું આ કામમાં અટક્યા વિના, રચ્યા પચ્યા રહેવામાંથી મળે છે. દરેકે પોતાનો જુસ્સો શેમાં સૌથી વિશેષ છે, તે જાણી લેવું જોઈએ. તો જ કામમાં મજા આવે.”    

સંદર્ભ –

http://www.thebetterindia.com/101810/prateek-bajaj-vermicompost-ye-lo-khaad-sehyogi-biotech/
E.mail :  surpad2017@gmail.com

Loading

ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચની મર્યાદા છે, રાજકીય પક્ષો માટે નથી!

ચંદુ મહેરિયા|Opinion - Opinion|2 May 2024

ચંદુ મહેરિયા

ચૂંટણીઓ લોકતંત્રને ટકાવવા અને દ્રઢાવવાનું મહત્ત્વનું ઓજાર છે. પણ આજકાલ ચૂંટણીઓ અતિ મોંઘી અને ખર્ચાળ બની ગઈ છે. તેમાં અધધધ રૂપિયો ખર્ચાય છે. ચૂંટણીઓ લોકશાહીનું લોકપર્વ મટીને નાણાંની રેલમછેલ કરતી ઘટના (કે દુર્ઘટના) બની ગઈ છે. સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝના અનુમાન પ્રમાણે હાલની લોકસભા ચૂંટણીમાં ૧.૩૫ લાખ કરોડથી વધુ ખર્ચ થશે. જે અમેરિકી રાષ્ટ્રપતિની ગત ચૂંટણી કરતાં વધુ છે. તો આ ખર્ચ પાકિસ્તાનના વાર્ષિક બજેટનો ૧/૩ કરતાં વધુ ભાગ છે.

ભારતનો પ્રત્યેક નાગરિક પછી તે અમીર હોય કે ગરીબ ચૂંટણી લડી લોકોનો ચૂંટાયેલો પ્રતિનિધિ બની શકે તે માટે ચૂંટણી લડતા ઉમેદવારો માટે ખર્ચની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેથી એકલા ધનપતિઓ ધનબળના જોરે ચૂંટાઈ ન જાય. પણ વાસ્તવમાં ઉમેદવારો માટેની ચૂંટણી ખર્ચની સીમા એક પાખંડ લાગે છે. સીધા કે આડા માર્ગે કાળાં નાણાંના બળે આર્થિક સામર્થ્ય ધરાવતા ઉમેદવારોનું ચૂંટાવાનું પ્રમાણ વધ્યું છે. હજુ દાયકા પૂર્વે ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં ૫૮ ટકા કરોડપતિ ઉમેદવારો ચૂંટાયા હતા  દસ વરસ પછીની ૨૦૧૯ની ચૂંટણીમાં તેમાં ત્રીસ ટકાનો વધારો થયો હતો અને ૨૦૧૯થી ૨૦૨૪ની લોકસભામાં ૮૮ ટકા કરોડપતિ સાંસદો હતા.

સરકાર, રાજકીય પક્ષો અને ઉમેદવારો એમ ત્રણ લોકો ચૂંટણીમાં નાણાં ખર્ચે  છે. તેમાં સરકારી ખર્ચ તો કુલ ખર્ચમાં પંદર ટકા જ છે. ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા નિર્ધારિત કરી છે. રાજકીય પક્ષો માટે ખર્ચની મર્યાદા હોતી નથી, એટલે રાજકીય પક્ષો બેફામ નાણું વાપરે છે. ઉમેદવારો હાથીના ચાવવાના અને બતાવવાના દાંત જુદા હોય છે, તેમ સરકારી ચોપડે જુદો ખર્ચ બતાવે છે પણ વાસ્તવમાં તો અનેક ઘણા રૂપિયા વાપરે છે. ઈલેકશન વોચ અને એસોસિયેસન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સનું ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના વિજેતા ૫૧૪ સભ્યોના ઈલેકશન કમિશન સમક્ષ રજૂ થયેલા ખર્ચના આંકડાઓનું વિશ્લેષણ દર્શાવે છે કે ૫૩ સાંસદોએ નિર્ધારિત રૂ. ૭૦ લાખ કરતાં અડધા જ ખર્ચમાં ચૂંટણી લડી હતી ! માત્ર બે જ સાંસદોએ રૂ.૭૦ લાખથી વધુ ખર્ચ કર્યો હતો. ૫૧૪ સાંસદોએ નિર્ધારિત રકમના સરેરાશ ૭૩ ટકા રકમ જ ખર્ચી હતી.. ભા.જ.પ.ના ૨૯૧ સાંસદોએ સરેરાશ રૂ. ૫૧.૩૧ લાખ અને કાઁગ્રેસના ૫૧ સાંસદોએ સરેરાશ રૂ. ૫૧.૭૨ લાખ જ ખર્ચ કર્યો હતો. આ હકીકતો પરથી ખર્ચની મર્યાદા, તેના નિરીક્ષણ માટેનું તંત્ર અને ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા ખર્ચના પત્રકો લોકોની આંખોમાં ધૂળ નાંખવા બરાબર લાગે છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણ જ્યારે ચૂંટણી માટે તેમની પાસે નાણાં નથી, એટલે લોકસભા ચૂંટણી લડવાની પક્ષની ઓફર સ્વીકારી શકી નથી એમ કહે છે ત્યારે તેઓ સ્વીકારે છે કે ઉમેદવાર પંચને બતાવે છે તે ખર્ચ સાચો નથી હોતો.નાણાં મંત્રી બે કરોડ રૂપિયાના આસામી હોવાનું પી.એમ.ઓ.ની સત્તાવાર વેબસાઈટ પર જણાવ્યું હોય અને પચાસેક લાખનો જ ખર્ચ સાંસદ દીઠ થતો હોય તો નિર્મલાજીની નાણાંને અભાવે ટિકિટ નકાર્યાની વાત માની શકાતી નથી.

૧૯૫૧-૫૨માં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારના ખર્ચની સીમા પચીસ હજાર રૂપિયા  હતી. આજે આઝાદીના અમૃત કાળમાં ૨૦૨૪માં તે વધીને રૂ. પંચાણું લાખ થઈ છે. ચૂંટણી પંચ ખર્ચની સ્વીકાર્ય રકમ નક્કી કરે છે તેમાં વિસ્તાર પ્રમાણે ચૂંટણી અધિકારી ફેરફાર કરી શકે છે. ઝંડાથી ડંડા, ચાથી ચવાણુ, મંડપથી માચીસ અને હેલિકોપ્ટરથી હવન માટેની રકમ ઠરાવે છે. ઈલેકશન કમિશને એક બાય દોઢના કપડાંના ઝંડાની સ્વીકાર્ય કિંમત ૭ રૂ, ત્રણ ફૂટના ડંડાના ૧૫ રૂ., ગળાના ખેસના ૭ રૂ., એક હજાર મલ્ટિકલર પત્રિકાના રૂ. ૪૫૦૦, ફૂલહારના રૂ. ૧૨, અડધા કપ ચાના રૂ. ૧૦, કોફીના રૂ. ૨૦, હવન માટે પંડિતની દક્ષિણાના રૂ. ૧,૨૦૦ અને નાડાછડીના રૂ. ૪ નક્કી કર્યા છે. મતવિસ્તાર દીઠ અલગ સ્વીકાર્ય કિંમત પ્રમાણે ગાંધીનગર જિલ્લા ચૂંટણી તંત્રે અડધા કપ ચા કે કોફીના રૂ. ૬, મિષ્ટાન વગરની ગુજરાતી થાળીના રૂ. ૯૦ અને ૧૦૦ ગ્રામ ભજિયાં કે દાળવડાંના રૂ. ૩૦ ઠરાવ્યા છે, એ જાણીને નવાઈ લાગે છે. કદાચ સબસિડાઈઝ રેટવાળી સંસદની કેન્ટિનનું તો આ ભાવપત્રક  નથી ને ? એવો પ્રશ્ન મતદારોને થાય છે.

ઈલેકશન કમિશન ચૂંટણી ખર્ચ પર નજર રાખવા માટે ભારતીય રેવન્યૂ સર્વિસના અધિકારીઓની ખર્ચ નિરીક્ષકો તરીકે નિમણૂક કરે છે. તેઓ ઉમેદવારના ચૂંટણી પ્રચાર અને અન્યમાં વપરાયેલાં નાણાંનો હિસાબ રાખવા વીડિયોગ્રાફી પણ કરે છે. તમામ ઉમેદવારોએ ચૂંટણી પરિણામના ૩૦ દિવસમાં જિલ્લા ચૂંટણી અધિકારીને ખર્ચની વિગતો આપવાની હોય છે. જે ઉમેદવારો ખર્ચની વિગતો આપતા નથી તેને પંચ ત્રણ વરસ માટે ઉમેદવારી માટે અયોગ્ય ઠેરવે છે. જો મર્યાદાથી વધુ ખર્ચ કર્યો હોય તો પણ સજા થઈ શકે છે. જો કોઈ નાગરિકને લાગે કે ઉમેદવારે ખર્ચેલાં નાણાં કરતાં ઓછો ખર્ચ દર્શાવ્યો છે તો તે આધાર-પુરાવા સાથે ઈલેકશન પિટીશન કરી શકે છે. ગાંધીનગર મહાનગરપાલિકાના બી.જે.પી.ના વર્તમાન એકતાળીસ નગર સેવકોએ એક સરખો રૂ. ૧,૩૩,૩૮૦ ખર્ચ દર્શાવ્યો હતો. જે પહેલી નજરે જ શંકાસ્પદ લાગતાં તેમની સામે ફરિયાદ થઈ છે. ૨૦૦૯ની ચૂંટણીમાં  મહારાષ્ટ્રમાં કાઁગ્રેસના ઉમેદવાર અશોક ચવાણ સામે અખબારમાં આપેલી ચૂંટણીની જાહેરાતનો ખર્ચ ઓછો બતાવવા બદલ ફરિયાદ થયેલી છે. આ બંને અને એવી બીજી ચૂંટણી ખર્ચની ફરિયાદોનો ભાગ્યે જ સમયસર નિવેડો આવે છે.

ચૂંટણી પંચને બેનામી કે બેહિસાબી રોકડ અને બીજી વસ્તુઓ જપ્ત કરવાનો અધિકાર છે. જેથી ચૂંટણીમાં ગેરકાયદે થતા ખર્ચાઓ રોકી શકાય. ૨૦૧૯ની સમગ્ર ચૂંટણી કરતાં ૨૦૨૪માં પહેલા તબક્કાના મતદાન પૂર્વેના એકાદ માસમાં જ પંચે રૂ. ૪,૬૫૦ કરોડની જપ્તી કરી છે. ભારતની ચૂંટણીઓ પર બેનામી અને કાળાં નાણાંનો કેટલો પ્રભાવ છે તેનું આ ધ્યોતક છે. રૂ. ૪,૬૫૦માં સૌથી વધુ રૂ. ૧,૧૪૩ કરોડની કિંમતની મફત વહેંચણીની વસ્તુઓ પકડાઈ છે. તે સાબિત કરે છે કે ઉમેદવારોની સાથે મતદારો પણ ભ્રષ્ટ છે કે તેમને ભ્રષ્ટ કરવામાં આવે છે. નવેમ્બર ૨૦૨૨માં તેલંગાણાના મુનુગોડે મતવિસ્તારની પેટાચૂંટણીમાં રૂ.૬૨૭ કરોડ ખર્ચાયા હોવાની ફરિયાદ ફોરમ ફોર ગુડ ગવર્નન્સે કરી છે. આ ચૂંટણીમાં ઉમેદવારે મતદારોને ૧૦૦ ગ્રામ સોનું આપ્યાની પણ ફરિયાદ થઈ હતી.

રાજકીય પક્ષોના ખર્ચની કોઈ મહત્તમ મર્યાદા નક્કી ના થઈ હોવાથી તેના ખર્ચ પર કોઈ નિયંત્રણ નથી. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે રૂ. ૧,૨૬૪ કરોડ અને કાઁગ્રેસે રૂ. ૮૨૦ કરોડ ખર્ચ્યા હોવાનું ઈલેકશન કમિશન સમક્ષ સબમિટ કરેલ હિસાબોમાં જણાવ્યું હતું. સૌ જાણે છે કે વાસ્તવિક ખર્ચ તેના કરતાં અનેક ગણો થયો હશે. પરંતુ પોલિટિકલ પાર્ટીઝના ખર્ચની અસલિયત જાણી શકાતી નથી અને જે જાણીએ છીએ તે પણ અધધધ છે. રાજકીય પક્ષોના ખર્ચ પર નિયંત્રણના મુદ્દે તમામ રાજકીય પક્ષો એક્સંપ થઈને નકાર ભણે છે. રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ અને રાજકીય પક્ષોની ગાંધી –વૈધ્યનું સહિયારુંની નીતિને કારણે ચૂંટણીઓમાં થયા અનિયંત્રિત ખર્ચનો આજે તો કોઈ ઉકેલ જણાતો નથી.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...580581582583...590600610...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved