Opinion Magazine
Number of visits: 9457298
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અભી તો મૈં જવાન હું: 93 વર્ષના શરીરમાં 45 વર્ષની તંદુરસ્તી!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|6 May 2024

આ સાથે જે ચિત્ર છે તે ભાઈનું નામ રિચાર્ડ મોર્ગન છે. અથવા, તેમને ભાઈ નહીં અને સિનિયર સિટીઝન કહીએ તો પણ ચાલે. તેઓ 93 વર્ષના છે, પણ એ ભાઈ જેવા વધુ અને સિનિયર સિટીઝન જેવા ઓછા દેખાય છે. ઇન ફેક્ટ, વિજ્ઞાનીઓએ તેમને ‘45’ વર્ષના ગણાવ્યા છે. મેડિકલ વિજ્ઞાન માટે રિચાર્ડ મોર્ગન એક પડકાર છે. 93 વર્ષનો એક માણસ કેવી રીતે તેની ઉંમરને ‘ખાઈ’ જાય? આયર્લેન્ડમાં રહેતા રિચાર્ડે 70 વર્ષની ઉંમર પછી શરીરની કસરત શરૂ કરી હતી અને 20 વર્ષમાં ઘડપણને માત આપી છે.

ઘડપણને લઈને બાયોલોજીમાં ઘણા પ્રશ્નો અનુત્તર છે. જેમ કે – શરીરમાં કણના સ્તરે જીર્ણતાની બુનિયાદી પ્રક્રિયા શું છે? અલગ અલગ પ્રજાતિઓમાં અને માણસો-માણસોમાં આવરદાનો ગાળો અલગ કેમ છે? ઘડપણ સંબંધી રોગોને જો રોકી શકીએ તો, ઘડપણની ગતિ ઓછી થઇ જાય? દવાઓ અને થેરાપિઓથી ઘડપણ અટકાવી શકાય? ઘડપણની ગતિમાં સામાજિક અને માનસિક પરિબળોની ભૂમિકા છે અને કેવી છે? અને એક સૌથી અગત્યનો પ્રશ્ન : માંસપેશીઓ જીર્ણ થાય છે એટલે ઘડપણ આવે છે, કે પછી ઘડપણ આવે છે એટલે માંસપેશીઓ જીર્ણ થાય છે.

આ છેલ્લા પ્રશ્નનો ઉત્તર મોર્ગનભાઈએ આપ્યો છે અને વિજ્ઞાનીઓ હવે તેમને મોડેલ બનાવીને એ તપાસી રહ્યા છે કે મોર્ગને વ્યાયામ કરીને કેવી માંસપેશીઓને યુવાન બનાવી છે અને ‘રિવર્સ એજિંગ’ સિદ્ધ કર્યું છે. રિચાર્ડ મોર્ગનની વાર્તા વૈજ્ઞાનિક તપાસનો વિષય તો છે જ, આપણા જેવા સામાન્ય લોકો માટે પ્રેરણાદાયી પણ છે.

અમેરિકન ફીઝિયોલોજીક્લ સોસાઈટીના સામાયિક, જર્નલ ઓફ એપ્લાઇડ ફીઝિયોલોજીના અંકમાં, રિચાર્ડ મોર્ગનના વ્યાયામ, ડાયેટ અને ફીઝિયોલોજીનો અભ્યાસ પ્રગટ થયો છે. રિચાર્ડ મોર્ગન આયર્લેન્ડના રહેવાસી છે.

વ્યવસાયે તેઓ બેકરી ચલાવે છે પણ શોખથી રમતવીર છે અને ચાર વખત ઇન્ડોર રોવિંગ (નૌકાયાન) વર્લ્ડ ચેમ્પિયન રહી ચુક્યા છે. તેઓ રોવિંગ મશીન પર દસ વખત દુનિયાનાં ચક્કર મારી ચુક્યા છે.

અગત્યની વાત એ છે કે 70 વર્ષ સુધી તો તેઓ તેમના નિયમિત વ્યવસાયમાં વ્યસ્ત હતા. ત્યાં સુધી તો તેમને વર્કઆઉટ કરવાની જરૂરિયાત મહેસૂસ થઇ નહોતી. મોટાભાગના લોકોનું પણ એવું જ હોય છે. આપણે કામો અને જવાબદારીઓથી એટલા લદાયેલા હોઈએ છીએ કે આપણી તંદુરસ્તી આપણી પ્રાથમિકતા નથી રહેતી. 

મોર્ગનને નિવૃત્તિ પછી અચાનક ખાલીપો લાગવા માંડ્યો હતો. નવરાશના કારણે તેઓ તેમના પૌત્ર સાથે રોવિંગની પ્રેક્ટિસમાં જતા હતા. ત્યાં કોચે તેમને રોવિંગ મશીન પર હાથ અજમાવાનું કહ્યું હતું અને તેમાંથી તેમની ‘જવાની’ની સફર શરૂ થઇ હતી. “મેં તો શૂન્યથી શરૂઆત કરી હતી અને અચનાક મને લાગ્યું કે આમાં તો બહુ મજા આવે છે,” એમ મોર્ગન કહે છે.

વ્યાયામથી સમયની ઘડિયાળ ઊંધી તો ન ચાલે, પરંતુ શરીરને ચુસ્ત રાખવાનું એક રૂટિન વૃદ્ધત્વની સાથે આવતી અમુક અસરોને નિશ્ચિતપણે અટકાવી શકે છે. મોર્ગનના કિસ્સામાં એવું થયું હતું. 

મોર્ગન એક દિવસમાં આશરે 40 મિનિટ માટે અને અઠવાડિયામાં સરેરાશ 18.5 માઇલ રોવિંગ કરે છે. મોર્ગન વજન ઊંચકવાની તાલીમ પણ લે છે અને સ્નાયુઓની તાકાત વધારવા માટે ઓછી તીવ્રતા અને ઉચ્ચ-તીવ્રતાવાળાં વર્કઆઉટ્સ કરે છે. ઉપરાંત, મોર્ગન પ્રોટીનથી ભરપૂર આહાર લે છે, જે સ્નાયુ નિર્માણ અને ચયાપચયને શ્રેષ્ઠ સ્થિતિમાં રાખવા માટે મહત્ત્વપૂર્ણ છે. 

હકીકતમાં, 2004ના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે શારીરિક પ્રવૃત્તિ કરનારા 65 અને તેથી વધુ ઉંમરના લોકોમાં કસરત ન કરતા લોકો કરતાં મૃત્યુ થવાનું જોખમ 28% ઓછું હોય છે. વધુમાં, 2022ના એક અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે અઠવાડિયામાં 75થી 149 મિનિટની કસરતમાં ભાગ લેનારા પુખ્ત વયના લોકોમાં મૃત્યુ થવાનું જોખમ 19% ઓછું હતું. તે જ અભ્યાસમાં, જે લોકો અઠવાડિયામાં 150થી 299 મિનિટ માટે મધ્યમ વ્યાયામ કરતા હતા તેમનામાં મૃત્યુનું 21%થી 23% ઓછું જોખમ હતું.

93 વર્ષે, મોર્ગનનું વજન 74 કિલો છે અને તેમાં 80 ટકા જેટલું વજન સ્નાયુઓનું છે. આ ઉંમરે આવા શક્તિશાળી સ્નાયુઓનાં કારણે જ સંશોધકોને તેમનામાં રસ પડ્યો હતો. 

સંશોધકોએ તેમને આયર્લેન્ડમાં યુનિવર્સિટી ઓફ લિમેરિક ખાતે ફિઝિયોલોજી લેબમાં બોલાવ્યા હતા. તેમની ઊંચાઈ, વજન, શરીરના રેશિયો માપવામાં આવ્યો હતો અને તેમના આહારની પણ વિગતવાર માહિતી લેવામાં આવી હતી. તે સાથે, તેમના મેટાબોલિઝમ, હૃદય અને ફેફસાંની પણ તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને રોઇંગ મશીન પર 2,000 મીટર દોડવાનું કહેવામાં આવ્યું અને તેમના હૃદયના ધબકારા, સ્નાયુઓ અને ફેફસાં પર નજર રાખવામાં આવી હતી. 

સંશોધકો માટે તે એક અવિસ્મરણીય અનુભવ હતો. મોર્ગનનું શરીર 80% સ્નાયુ અને માત્ર 15% ચરબીનું બનેલું હતું, જે દાયકાઓ નાના વ્યક્તિ માટે પણ તંદુરસ્ત માનવામાં આવે છે. રેસ દરમિયાન, તેમના હૃદયના ધબકારા પ્રતિ મિનિટ 153 ધબકારા સુધી પહોંચી ગયા હતા, જે તેમની ઉંમર માટે અપેક્ષિત મહત્તમ હૃદયના ધબકારા કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. 

મોર્ગનના કિસ્સા પરથી સંશોધકોએ ચાર મહત્ત્વની બાબતો તારવી છે :

સાતત્ય : મોર્ગનના રૂટિનમાં સાતત્યની ભૂમિકા મોટી છે. આ રોવિંગ ચેમ્પિયન દરરોજ 40 મિનિટ માટે કસરત કરે છે. સંશોધકોનું માનવું છે કે કસરત પ્રત્યે આ સમર્પણથી જ મોર્ગનને ઘરડે ઘડપણ જવાની મળી છે.

વૈકલ્પિક ટ્રેનિંગ : મોર્ગનની અલગ અલગ રીતની ટ્રેનિંગ પણ તેમની સફળતામાં એક મહત્ત્વપૂર્ણ પરિબળ હતું. આખું અઠવાડિયું, તેમણે તેમના વર્કઆઉટ્સની તીવ્રતાને વારાફરતી બદલી હતી. લગભગ 70% વર્કઆઉટ્સ સરળ હતા, લગભગ 20% મુશ્કેલ પરંતુ સહન કરાય તેવા હતા, અને અંદાજે 10% મહત્તમ પ્રયત્નોથી કરવામાં આવ્યા હતા. નાનાં-નાનાં પણ તીવ્ર વર્કઆઉટ્સથી ઓક્સિજનનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં મદદ મળી, ખાસ કરીને તેમના કાર્ડિયો-શ્વસન સ્વાસ્થ્યને ફાયદો થયો.

વેઇટ ટ્રેનિંગ : વજન ઊંચકવા અને અદુકડા ઊઠવા-બેસવા(સ્કેટિંગ)ની ટ્રેનિંગથી સ્નાયુઓની તાકાતમાં અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. મોર્ગને અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ સ્નાયુઓ થાકી જાય ત્યાં સુધી ડમ્બબેલ્સના ત્રણ સેટ્સ પૂરા કર્યા હતાં. 

ઉચ્ચ પ્રોટીનવાળો આહાર : મોર્ગનનો આહાર પ્રોટીનથી ભરપૂર છે. તેઓ દરરોજ તેમના શરીરના વજનના પાઉન્ડ દીઠ આશરે 1 ગ્રામ પ્રોટીન ખાય છે, જે તેમના કદના વ્યક્તિ માટે સામાન્ય આહાર કરતાં વધારે છે. સ્નાયુ બનાવવામાં અને અસાધ્ય રોગોને અટકવવા માટે પ્રોટીન એક મહત્ત્વપૂર્ણ પોષક તત્ત્વ છે. 

આ અભ્યાસ દર્શાવે છે કે વૃદ્ધાવસ્થામાં પણ નિયમિત કસરત હૃદય, સ્નાયુઓ અને ફેફસાંને મજબૂત કરી શકે છે અને યુવાનની જેમ તંદુરસ્ત રહેવું શક્ય છે. જો કે સંશોધકોનું કહેવું છે કે મોર્ગનમાં કેટલાક આનુવંશિક ફાયદા હોઈ શકે છે, પણ એ વાત નક્કી છે કે 93 વર્ષની ઉંમરે આટલું સારું શરીર તેમની તંદુરસ્ત દિનચર્યાને આભારી છે. 

આનો અર્થ એ થયો કે મોર્ગનની જેમ તમે કોઈ પણ ઉંમરે કસરત શરૂ કરી શકો છો અને ઉચ્ચ પ્રોટીનવાળો આહાર લો, તો તમે તંદુરસ્ત રહી શકો છો. મોર્ગનની વાર્તા આપણને શીખવે છે કે ઉંમર એક સંખ્યા માત્ર છે અને સ્વાસ્થ્યની સંભાળ લેવાનું શરૂ કરવામાં ક્યારે ય મોડું થતું નથી. 

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 05 મે 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અહિંસાના છ સિદ્ધાંતો 

માઈકલ નેગલર [અનુવાદ : આશા બૂચ]|Gandhiana|5 May 2024

માઈકલ નેગલર બર્કલી વિશ્વવિદ્યાલયના શિષ્ટ સાહિત્યના માનદ્દ પ્રાધ્યાપક છે, જ્યાં તેમણે ‘પીસ અને કોન્ફ્લિક્ટ સ્ટડીઝ પ્રોગ્રામ’ની રચના કરીને ઉચ્ચ કક્ષામાં અહિંસા વિષય પર શિક્ષણ આપ્યું. તેઓ મેટા સેન્ટર ફોર નોનવાયોલન્સના સ્થાપક છે અને ધ સર્ચ ફોર નોન વાયોલન્ટ ફ્યુચર, ધ નોન વાયોલન્સ હેન્ડબુક, અને થર્ડ હાર્મની : નોન વાયોલન્સ એન્ડ ધ ન્યુ સ્ટોરી ઓફ હ્યુમન નેચર જેવાં પુસ્તકોના લેખક પણ છે. માઈકલ નેગલરને ભારત બહાર ગાંધીમૂલ્યોના પ્રસાર માટે જમનાલાલ બજાજ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે યુનાઇટેડ નેશન્સ, અમેરિકાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પીસ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ તથા જાહેર સભાઓમાં વક્તવ્યો આપ્યાં છે. તેઓ 1970ની સાલથી બ્લ્યુ માઉન્ટન સેન્ટર ઓફ મેડિટેશન આશ્રમ – ઉત્તર કેરોલાઇના ખાતે નિવાસ કરી રહ્યા છે.

અહિંસાના છ સિદ્ધાંતોનું વિવરણ તેમના જ શબ્દોમાં:

અહિંસા અન્યાયને પરાજિત કરવા માટે સલામત, અસરકારક અને કાયમ ટકી રહે તેવો માર્ગ છે, પરંતુ બીજા વિજ્ઞાનની માફક એને માટે પણ પૂરતી જાણકારી, હિંમત અને દૃઢ નિશ્ચય કરવાની ક્ષમતાની જરૂર રહે છે. 

નીચે મેં છ સર્વસાધારણ માર્ગદર્શિકા આપી છે, જે અહિંસક પગલાંને સલામત અને અસરકારક રીતે અમલમાં મુકવા મદદરૂપ થઇ શકે. સાથે જ આપણને સાંસ્કૃતિક વારસામાં મળેલ અહિંસક આચારનો પણ આધાર લીધો છે. તમે જોઈ શકશો કે આ માર્ગદર્શિકા બે મુખ્ય મુદ્દા પરથી લેવામાં આવી છે :

આપણે કોઈ વ્યક્તિના વિરોધી નથી, માત્ર તેઓ જે કર્મ કરે છે તેના વિરોધી છીએ 

સાધન અંતે સાધ્યમાં પરિણમે છે; હિંસાથી કદી સારું પરિણામ ન મેળવી શકાય 

સિદ્ધાંત 1. બધાનો આદર કરો – તમારા સહિત 

આપણે બીજાનો જેટલો વધુ આદર કરીએ તેટલા વધુ પ્રમાણમાં તેમને બદલવા માટે સમજાવી શકીએ. માનહાનિનો એક સાધન તરીકે કદી ઉપયોગ ન કરવો, કે કોઈ માનહાનિ કરે તે ન સ્વીકારવું, કેમ કે તેનાથી દરેકનું ગૌરવ હણાય છે. યાદ રહે, તમારી અનુમતિ વિના કોઈ તમારા ગૌરવનો ભંગ ન કરી શકે.

અહિંસક માર્ગ દ્વારા સંબંધો સુધારવા એ તેની સહુથી મોટી સફળતા છે, જે હિંસાનો માર્ગ કદી સિદ્ધ ન કરી શકે. ગાંધી માનતા કે આત્યંતિક હિંસાના બનાવોમાં પણ દુષ્કર્મ કરનારને નહીં પણ દુષ્કર્મને ધિક્કારવું સંભવ છે. 1942માં જ્યારે ભારત બ્રિટનના તાબા હેઠળ હતું ત્યારે તેમણે પોતાના સાથીઓને સલાહ આપી :

“જો આપણે એક સ્વતંત્ર રાષ્ટ્ર હોત તો જાપાનીઝ લશ્કરને આપણા દેશમાં પ્રવેશતું અટકાવવા માટે આપણે અહિંસક માર્ગ લીધો હોત. હાલની સ્થિતિમાં જાપાનીઝ જેવા આપણી ધરતી પર ઉતરી આવે કે તરત અહિંસક પ્રતિકાર શરૂ કરી શકાય. આ રીતે અહિંસક પ્રતિકાર કરનારા તેમને તમામ પ્રકારની મદદ આપવાનો ઇન્કાર કરશે, ખુદ પાણી આપવાનો પણ. કેમ કે પોતાના દેશને છીનવી લેનારને મદદ કરવી એ તેમની ફરજનો ભાગ નથી. પરંતુ જો જાપાનીઝ લશ્કર માર્ગમાં ભૂલું પડી જાય અને જો કોઈ પાણી વિના તરફડતું હોય તો અહિંસક પ્રતિકાર કરનારા કોઈને પોતાના દુ:શ્મન ન માનતા હોવાને કારણે માનવતાને ખાતર એ તરસ્યા માણસને જરૂર પાણી આપશે. ધારો કે જાપાનીઝ કોઈ પ્રતિકારકને પાણી આપવા ફરજ પાડે તો તેનો વિરોધ કરતાં એ મોતને ભેટવા પણ તૈયાર રહેશે.”

સિદ્ધાંત 2. હંમેશ રચનાત્મક વિકલ્પનો સમાવેશ કરો : 

નક્કર પગલાં માત્ર પ્રતીકાત્મક સૂત્રો કરતા હંમેશાં વધુ શક્તિશાળી સાબિત થાય છે, ખાસ કરીને જ્યારે એ પગલાં રચનાત્મક વિકલ્પના રૂપમાં હોય છે : જેમ કે શાળાઓ સ્થાપવી, ગ્રામોદ્યોગ શરૂ કરવા, સહકારી ખેતી સંગઠનની સ્થાપના કરવી, સમાજ ઉપયોગી બેંકની વ્યવસ્થા શરૂ કરવી, વગેરે. બકમિન્સ્ટર ફુલરે કહ્યું છે, “પ્રવર્તમાન વાસ્તવિકતા સાથે લડવાથી કોઈ પરિસ્થિતિમાં બદલાવ ન લાવી શકાય. કોઈ પરિસ્થિતમાં પરિવર્તન લાવવું હોય તો એક એવો નવો નમૂનો બનાવો જે વિદ્યમાન પદ્ધતિને કાલગ્રસ્ત બનાવી દે.”

ગાંધીએ પોતાના સમાજને સુચારુ ઢંગથી ચલાવવા 18 કાર્યક્રમ આપ્યા, જેનાથી બ્રિટિશ રાજને રુખસદ આપવી સહેલી પડે અને પોતાના ગણતાંત્રિક વહીવટનો પાયો નાખી શકે. રચનાત્મક કાર્યોના ઘણા ફાયદા છે :

એ પ્રજાને પોતાને ખપની વસ્તુઓ અને સેવાઓ જાતે બનાવીને રાજ્ય પર આધારિત રહેવામાંથી મુક્ત કરે છે. જ્યાં સુધી તમે તમારી મૂળભૂત જરૂરિયાતો પર તમારા રાજ્યકર્તાઓ પર આધારિત રહેશો ત્યાં સુધી તેમના જુલમી શાસનથી મુક્ત નહીં થઈ શકો.

તમે માત્ર અન્યના દુર્વર્તનનો પ્રત્યાઘાત જ નથી આપતા, પરંતુ તે પરિસ્થિતિનો હવાલો સંભાળો છો. સક્રિય પગલાં ભરવાથી તમારી નિષ્ક્રિયતા, ભય અને લાચારી દૂર કરવામાં મદદ થાય છે. 

એ તમારી ચળવળને સાતત્ય બક્ષે છે, કેમ કે જ્યારે સીધો પ્રતિકાર કરવો સલાહભર્યું ન હોય ત્યારે રચનાત્મક કાર્યો ચાલુ જ રહે છે. 

આ દિશામાં થયેલા અભ્યાસો સૂચવે છે કે સાથે મળીને કાર્ય કરવું એ લોકોને સંગઠિત કરવા માટે સહુથી વધુ અસરકારક માર્ગ છે. તેનાથી સામાજિક ગઠન થાય છે અને સામાન્ય પ્રજાને ખાતરી આપે છે કે તમારી ચળવળ સમાજ વ્યવસ્થા માટે જોખમકારક નથી. 

સહુથી વધુ મહત્ત્વની વાત તો એ છે કે જ્યારે દમનકારી સરકારનું પતન થાય ત્યારે જરૂરી હોય તેવું માળખું રચનાત્મક કાર્યો પૂરું પાડે છે. ઘણી જુલ્મી સરકારોને સ્થાનભ્રષ્ટ કરવામાં બળવાખોરો સફળતા મેળવતા હોય છે, પણ, એની જગ્યાએ બીજી એવી જ જુલ્મી સત્તા એ સ્થાન લઇ લેતી જોવા મળે છે. 

એક ઉપયોગી નિયમ અનુસરવા લાયક છે : જ્યાં શક્ય હોય ત્યાં રચનાત્મક બનો, જ્યાં જરૂરી હોય ત્યાં અવરોધક બનો.

સિદ્ધાંત 3. દૂરના ભવિષ્યનો વિચાર કરો : 

માઈકલ નેગલર

અહિંસક પગલાં હંમેશાં સકારાત્મક પરિણામ લાવે છે, ક્યારેક આપણા ધાર્યા કરતાં પણ વધુ. 1950ની સાલમાં જ્યારે ચીન દુષ્કાળની કપરી સ્થિતિમાંથી પસાર થઇ રહ્યું હતું ત્યારે યુ.એસ.ની ફેલોશીપ ઓફ રીકન્સીલિએશન શાખાએ વધારાની ખોરાક સામગ્રી ચીન મોકલવા માટે રાષ્ટ્રપ્રમુખ આઇઝન હોવરને પત્રો લખવાની ઝુંબેશ આદરી હતી. લગભગ 35,000 અમેરિકનોએ તેમાં ભાગ લીધેલો. રાષ્ટ્રપ્રમુખને પાઠવેલો અમારો સંદેશો આઈઝાયાના સરળ શિલાલેખમાંથી લીધેલો હતો : “જો તમારા દુ:શ્મનો ભૂખે મરતા હોય તો તેમને ખોરાક પૂરો પાડો.” તેમના તરફથી અમને કોઈ પ્રતિભાવ ન સાંપડ્યો. પરંતુ અમને 25 વર્ષ પછી જાણવા મળ્યું કે કોરિયા અને ચીન વચ્ચેની લડાઈ સમયે ચીન પર બોમ્બ વર્ષા થતી અમે અટકાવી હતી. મુખ્ય અધિકારીઓની મિટીંગમાં પ્રમુખ આઇઝનહોવરે જાહેર કર્યું: “આદરણીય શ્રોતાજનો, 35,000 અમેરિકન લોકો ઈચ્છે કે આપણે ચીનના લોકોને ખોરાક પૂરો પાડીએ, તો આ સમય તેના પર બૉમ્બ વરસાવવાનો નથી.”

હિંસા ક્યારેક સફળ થાય છે, તે એ અર્થમાં કે તે અમુક પ્રકારનો બદલાવ લાવવાની ફરજ પાડે છે, પરંતુ લાંબે ગાળે એ વધુ કંગાલિયત અને અરાજકતા તરફ દોરી જાય છે. આપણને આપણા કર્મ પર કોઈ કાબૂ નથી હોતો, પણ આપણે કયાં સાધનો વાપરીએ તેના પર કાબૂ હોય છે, ખુદ આપણી લાગણીઓ અને મનની સ્થિતિ પર પણ અંકુશ રાખી શકીએ. આ નુસખો હાથવગો રાખવા જેવો છે : હિંસા ક્યારેક ‘કામ આવે છે’, પણ એ કોઈ પરિસ્થિતિ કે સંબંધો સુધારવામાં ક્યારે ય સફળ નથી થતી. અહિંસા ક્યારેક ‘કામ આવતી’ જણાય છે, અને હંમેશાં સફળતા અપાવે છે.  

હંમેશાં સ્પષ્ટ ધ્યેયને નજર સામે રાખો. માનવીની ગરિમા જેવા પાયાના મુદ્દાઓને વળગી રહો અને તમારા સિદ્ધાંતો વિશે ચોકસાઈપૂર્વક ધ્યાન આપો, પણ, તે સિવાયની બાબતો માટે યુક્તિઓ બદલવા કે સમાધાન કરવા તૈયાર રહો. યાદ રહે કે તમારા પ્રતિવાદીઓ ભલે એમ માનતા હોય છતાં તમે સત્તાની સાઠમારીમાં નથી સામેલ થયા. તમે ન્યાય અને માનવ ગરિમા જાળવી રાખવા જેવા સહિયારા લક્ષ્ય સાધવા માટે વાટાઘાટ કરી રહ્યા છો. અહિંસક લડાઈમાં તમે બધા યુદ્ધ હારી જાઓ, છતાં તમામ લડાઈ જીતતા રહો એ સંભવ છે!

સિદ્ધાંત 4. બંને પક્ષને જીત મળે તેવો ઉપાય શોધો 

તમે સંબંધોને ફરી બાંધવા માગો છો, નહીં કે ‘જીત’નો આંક વધારવા. આપણે માનીએ છીએ કે સંઘર્ષની સ્થિતિમાં એક પક્ષને જીતવા માટે બીજા પક્ષે હારવું જરૂરી છે, જે સાચું નથી. આથી આપણે વિજેતા થવાનો પ્રયત્ન ન કરવો જોઈએ કે બીજા પર સવાર  થવાની કોશિશ ન કરવી જોઈએ, આપણે બોધપાઠ શીખીને બધા માટે લાભદાયી હોય તેવો માર્ગ શોધો છો.

મોન્ટગોમરી – અલાબામામાં શ્વેત-અશ્વેતને અલગ રાખવાના કાયદાઓ પર ચાલતી વાટાઘાટો દરમિયાન માર્ટિન લ્યૂથર કિંગ જુનિયરે એક નિરીક્ષણ કર્યું, જે પોતાના પુસ્તક ‘Stride Toward Freedom – The Montgomery Story’માં નોંધ્યું છે. એ શહેરની બસ કંપનીના એટર્ની, કે જેણે આફ્રિકન-અમેરિકન લોકોની વિપૃથક્કરણ કરવાની માગને રોક લગાવી હતી તેણે પોતાના વિરોધ પાછળનું ખરું કારણ છતું કર્યું : “આપણે જો નીગ્રો પ્રજાની આ માગણીનો સ્વીકાર કરીશું તો તેઓ શ્વેત પ્રજા પર અશ્વેત પ્રજાએ જીત મેળવી એવું અભિમાન ધરાવતા થશે; અને આપણે એવું કદી નહીં સહી લઈએ.”

આ ઘટના ઉપર વિચાર કરતાં ડૉ. કિંગે ચળવળમાં ભાગ લેનારાઓને ક્રૂર આનંદ ન માણવાની અને અભિમાન ન કરવાની સલાહ આપેલી અને યાદ અપાવ્યું : “અહિંસા દ્વારા આપણે વિજેતાઓની માનસિકતા ભોગવવાની લાલચથી બચવા માંગીએ છીએ.” ‘વિજેતાઓની માનસિકતા’ મારા વિરુદ્ધ તમે એવા પુરાણા ચાલક બળ પર આધારિત છે, પરંતુ અહિંસક વ્યક્તિ જીવનને સહિયારી ઉત્ક્રાંતિ તરીકે જુએ છે જે પ્રેમભર્યા સમાજની રચના કરે છે જેમાં બધાનો સમાન વિકાસ થાય. વિજયનો ક્રૂર આનંદ મેળવવાની વૃત્તિ સંઘર્ષને અંતે જે કંઈ સારું પ્રાપ્ત થયું હોય તે ગુમાવી દે છે.

સિદ્ધાંત 5. તાકાતનો કાળજીપૂર્વક અમલ કરો. 

આપણે, ખાસ  પશ્ચિમના લોકો એમ માનવને ટેવાયેલા છીએ કે “તાકાત બંદૂકના નાળચામાંથી પેદા થાય છે.” ધમકી અને ક્રૂર અમાનવીય શક્તિથી એક પ્રકારની તાકાત જરૂર ઊભી થાય છે, પણ આપણે જો તેને વશ થવાનો ઇન્કાર કરીએ તો એ તદ્દન શક્તિવિહીન થઇ જાય. શાંતિ વિષય પર સંશોધન કરનાર કેનેથ બોલ્ડીંગ લખે છે કે શક્તિને ત્રણ મુખ હોય છે, તાકાત ઉપરાંત બીજા બે છે તે ‘વિનિમયની તાકાત’ અને ‘સમન્વયની તાકાત’ અથવા અહિંસાની તાકાત.

આ ત્રીજા પ્રકારની શક્તિ સત્યમાંથી પેદા થાય છે. માની લો કે તમે અન્યાય દૂર કરવા માટે અરજી કરી રહ્યા છો. કદાચ તમે તમારી માગ સંતોષવા મક્કમ, પણ વિનંતીપૂર્વક અરજી કરી હોય, અને છતાં સામો પક્ષ તેનો જરા પણ પ્રતિભાવ ન આપતો હોય. ત્યારે ગાંધી કહે છે તેમ, “માત્ર દિમાગ સાથે વાત ન કરો, પણ હૃદય બદલવા તરફ આગળ ધપો” અન્યાયી વ્યવસ્થાથી ભોગવવી પડતી યાતનાઓ પોતે સહન કરીને અન્યાયને સ્પષ્ટ રીતે છતો કરી શકીએ. એ આપણને સત્યાગ્રહ અથવા તો સત્યની તાકાતને અમલમાં મુકવા માટે પ્રવૃત્ત કરે છે. કેટલાક  આત્યંતિક કિસ્સાઓમાં પોતાના જીવનના ભોગે પણ આ પગલું ભરવું પડે, અને તેથી જ તો આપણા લક્ષ્ય માટે સ્પષ્ટ દર્શન હોવું અત્યંત આવશ્યક છે. આ તાકાતનો અમલ કાળજીપૂર્વક કરવો રહ્યો.

ઇતિહાસ અને આપણા પોતાના અનુભવો પણ સાક્ષી પૂરે છે કે અહિંસક પગલાં દ્વારા આપણે આપણા પ્રતિવાદી પર જબરદસ્તી નથી કરતા, છતાં આવા પ્રકારની સમજાવટ આપણા પ્રતિવાદીની આંખો ઉઘાડે છે. આમ છતાં કેટલાક એવા સંયોગો ઊભા થતા હોય છે, જ્યારે કોઈ પ્રકારની જબરદસ્તીનો ઉપયોગ કરવો પડે. જેમ કે કોઈ સરમુખત્યાર પોતાના પદનો ત્યાગ કરવા અનિચ્છા દર્શાવે. એ વ્યક્તિ સત્તાનો દુરુપયોગ કરીને મોટી સંખ્યામાં લોકોને જે યાતના આપી રહ્યો હોય તેનો અંત લાવવા તરત પગલાં ભરવાં જોઈએ. આમ છતાં આ કાર્યને પાર પાડવા યુક્તિપૂર્વકનું આયોજન અને અહિંસક પદ્ધતિનો ઉપયોગ કરવાની કાળજી રાખવી જોઈએ. પરંતુ જો સમય અનુકૂળ હોય, તો આપણે ધૈર્ય અને સમજાવટની તાકાતનો સહન કરવા માટે, નહીં કે જખમ પહોંચાડવા માટે ઉપયોગ કરવો જોઈએ. સમજાવટ મારફત જે પરિવર્તન આવે છે કાયમ ટકી રહે તેવું હોય છે : જેમને સમજાવટથી બદલવામાં આવે છે તેઓ હંમેશાં સમજપૂર્વક કામ કરશે, જ્યારે જેમના પર જબરદસ્તી કરવામાં આવે છે તેઓ કાં તો ફરી એ જ માર્ગે પાછા જવાની  અથવા બદલો લેવાની તકની રાહ જોતા જ ઊભા હોય છે.

સિદ્ધાંત 6. આપણા વારસાની દેણગીનો હક્ક જાળવો.

અહિંસા એક એવી તાકાત છે જે હંમેશાં અસ્તિત્વ ધરાવતી આવી છે; ગાંધીએ કહ્યું છે તેમ એ “આ પર્વતો જેટલી પુરાણી” તાકાત છે. તમે જ્યારે હિંમતપૂર્વક, દૃઢ નિશ્ચયથી અને સ્પષ્ટ પૂર્વયોજિત યોજનાથી તેનો ઉપયોગ કરશો, ત્યારે તમારા ધ્યેયને તાત્કાલિક સિદ્ધિ ન મળે તો પણ તમે મોટે ભાગે સફળ થશો એટલું જ નહીં (તાજેતરના અભ્યાસ મુજબ અહિંસક ચળવળની સફળતા બે ગણી વધુ શક્યતા ધરાવે છે) પરંતુ તમે આપણા ભવિષ્યનો જેના પર આધાર છે એવા માનવ સંબંધોનું રૂપાંતર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હશે એ નિશ્ચિત છે.

આ છ સિદ્ધાંતો એ માન્યતા પર રચાયા છે કે આખી જીવસૃષ્ટિ એકબીજા સાથે સંલગ્ન છે, અને તે એક સંપૂર્ણ એકમ છે. જ્યારે આપણને આપણી ખરી જરૂરિયાતોનું ભાન થાય છે ત્યારે અહેસાસ થાય છે કે આપણે કોઈ સાથે પ્રતિસ્પર્ધામાં નથી ઉતરવાનું. માર્ટિન લ્યુથર કિંગે કહેલું તેમ, “હું કદી પણ જેવો છું તેવો ન થઈ શકું જ્યાં સુધી તમે જેવા છો તેવા ન થઇ શકો. અને તમે જેવા હોવા જોઈએ તેવા ન થઈ શકો જ્યાં સુધી હું જેવો હોવો જોઈએ તેવો ન બની શકું.” 

e.mail : 71abuch@gmail.com

Loading

આ ચૂંટણીમાં સહિયારા ભારત અને હિંદુ ભારત વચ્ચે મુકાબલો થવાનો છે

રમેશ ઓઝા|Opinion - Opinion|5 May 2024

રમેશ ઓઝા

આઈડિયા ઓફ ઇન્ડિયા અથવા ભારત વિશેની એક કલ્પના સો-દોઢસો વરસ દરમ્યાન વિકસી હતી અને અત્યાર સુધી લગભગ સર્વમાન્ય લાગતી હતી, પણ અત્યારે તેની સામે પ્રચંડ પડકાર પેદા થયો છે અને દેશમાં યોજાઈ રહેલી સામાન્ય ચૂંટણીમાં તેનું ભવિષ્ય નક્કી થવાનું છે. શું છે આ આઈડિયા ઓફ ઇન્ડિયા? હું મારી સમજ મુજબ આનો એક જ વાક્યમાં જવાબ આપું કે કોઈની ય કોઈના ઉપર સરસાઈ વિનાનું ભારત. દેખીતી રીતે આવા ભારતમાં નાગરિક સ્વાતંત્ર્ય, માનવીય આદર, દરેક પ્રકારની સમાનતા, ન્યાય, કાયદાનું રાજ, દરેક ધર્મ માટે આદર, મૂલ્યનિષ્ઠા, વિજ્ઞાનનિષ્ઠા, બંધારણીય મૂલ્યોનો આદર વગેરે હોવાનાં. આ બધાં ગુણો ભારતીય સમાજ ધરાવતો હતો એવું નથી, પણ એ જીવનમાં ઉતારવાનો ઉદ્દેશ હતો. ભારતની આવી કલ્પના કરનારાઓએ એ પણ જોયું કે સદીઓથી સામાજિક, ધાર્મિક અને રાજકીય (ખરું પૂછો તો શાસકીય) સરસાઈનો આપણે (અને આખું જગત) અનુભવ કરતા આવ્યા છીએ અને તેમાં શીખવા એ મળ્યું છે કે એ દ્વારા કોઈનું ય ભલું થયું નથી.

સરસાઈ બે રીતે મળી શકે. એક સંખ્યા દ્વારા અને બીજી પરંપરાગત અધિકાર દ્વારા. જેમ કે બ્રાહ્મણોની દેશમાં સાડા ત્રણ ટકાની વસ્તી છે, પણ તે હિંદુ સમાજ ઉપર આધિપત્ય ધરાવે છે. આમાં સંખ્યા ગૌણ છે. એમ તો જો કોઈ સમાજના લોકો સત્તા ધરાવતા હોય તો એ સમાજના લોકો પણ તેટલો સમય ચડિયાતાપણાનો અનુભવ કરતા હોય છે, પણ એ પરપ્રકાશિત હોય છે. સત્તાનો સૂર્ય ડૂબ્યો નહીં કે સાન ઠેકાણે આવી નહીં. સંખ્યા અને અધિકારજન્ય આધિપત્ય લાંબા સમયનું આધિપત્ય છે અને તેની સામે લાંબી લડત આપવી પડે છે. અત્યાર સુધી આપણે આપી પણ ખરી, પણ એ પછી પણ તેનો પરાજય થયો નથી અને અત્યારે તો આઈડિયા ઓફ ઇંડિયા સામેનો પડકાર જોતા એમ લાગે છે કે કદાચ આપણી કલ્પનાના ભારતનો પરાજય પણ થાય! સંખ્યા અને અધિકારજન્ય આધિપત્ય વચ્ચે ધરી રચાઈ છે.

ભારત વિશેની કલ્પનાએ જ્યારે આકાર લેવાનું શરૂ કર્યું ત્યારે તેને આકાર આપનારાઓને લાગ્યું કે કોઈના પણ ચડિયાતાપણાને સ્વીકારવામાં જોખમ છે. ભારતનો અને જગતનો ઇતિહાસ એમ કહે છે કે આમાં આધિપત્ય સ્વીકારનારાઓનું અથવા તાબે થયેલી પ્રજાનું તો ભલું થયું નથી, આધિપત્ય જમાવનાર અથવા તાબે કરનારાઓનું પણ ભલું થયું નથી. ભારતમાં મુસ્લિમ શાસનનો ઇતિહાસ તપાસીએ. કેટલાક હિંદુઓને એમ લાગે છે કે મુસલમાનોનું શાસન પક્ષપાતી હતું, એમાં મુસલમાનોને અધિક માપ આપવામાં આવતું હતું અને હિંદુઓને હાન્સિયામાં રાખીને અન્યાય કરવામાં આવતો હતો. ઘડીભર આ વાત સ્વીકારી લઈએ તો ભારતીય ઉપખંડના મુસલમાન પ્રત્યેક સામાજિક-રાજકીય માપદંડોમાં અગ્રેસર હોવા જોઈતા હતા, પણ જોવા એનાથી ઊલટું મળે છે. કેટલાક મુસલમાનો (આખે આખી મુસ્લિમ કોમ) તો હિંદુઓની પછાત કોમ કરતાં પણ પછાત છે. બીજી બાજુ પારસીઓને કોઈ ઝૂકતું માપ મળ્યું નથી, સંખ્યા મામૂલી છે અને છતાં ય તેઓ દરેક મોરચે અગ્રેસર છે. સત્તા અને સંખ્યાની સરસાઈ વિકાસ, સુખાકારી કે સમૃદ્ધિની કોઈ ગેરંટી આપતાં નથી. પાકિસ્તાનમાં સામાન્ય મુસલમાનો સુખી છે? બંગલાદેશમાં સુખી છે? ઇસ્લામિક દેશોમાં મુસલમાનો કઈ બાબતે અગ્રેસર છે? કેટલા નોબેલ પારિતોષિક મુસ્લિમોની સરસાઈ ધરાવતા મુસ્લિમ દેશોનાં મુસલમાનોને મળ્યાં છે?

માટે ભારતની કલ્પના કરનારાઓને એમ લાગ્યું હતું કે ચડિયાતાપણાને રવાડે ચડવા જેવું નથી. સંખ્યા કે સત્તા સુખ અને સમૃદ્ધિની કોઈ ગેરંટી આપતાં નથી, ઊલટું નુકસાન પહોંચાડે છે. તે માથાભારેપણાનો કેફ ચડાવે છે અને પ્રજા દાદાગીરી કરીને પોતાની તાકાત દેખાડવા મૂલ્યવાન જીવન વેડફે છે. આઝાદી પહેલાં કાઠિયાવાડમાં આ જોવા મળતું હતું. માથાભરેપણું એ સંખ્યા અને સંખ્યાજન્ય સત્તાનું અવિભાજ્ય લક્ષણ છે. આજકાલ આ જ જોવા મળી રહ્યું છે. પણ કેટલાક લોકોને એમ લાગે છે કે હિંદુઓને તેમની સરસાઈ કે ચડિયાતાપણું બતાવવાનો મોકો મળ્યો છે તો એનો ઉપયોગ શા માટે ન કરવામાં આવે? બીજાએ કર્યું તો આપણે કેમ ન કરીએ? એક હજાર વરસ સુધી આપણને (હિંદુઓને) સતાવવામાં આવ્યા તો આજે જ્યારે મોકો મળ્યો છે તો આપણે પણ તેમને તેમની જગ્યા બતાવી આપવી જોઈએ. આવી માનસિક વૃત્તિ અને રાજકીય વલણ દેશહિતમાં તો નથી જ હિંદુહિતમાં પણ નથી. પેશ્વાઓની સરસાઈ હતી ત્યારે હિંદુઓને શું મળ્યું? અનેક હિંદુ રાજવીઓની જે તે પ્રદેશોમાં સત્તા હતી, તપાસ કરી જુઓ હિંદુ રિયાસતોમાં હિંદુઓને શું મળ્યું? અરાજકતા સિવાય કોઈને કશું મળ્યું નહોતું અને અરાજકતાનો શિકાર સૌથી વધુ હિંદુઓ થયા હતા.

સુખ અને સમૃદ્ધિનો માર્ગ ઉદ્યમનો છે. દૂર અને વિશાળ દૃષ્ટિ, ભાવનાની જગ્યાએ બુદ્ધિપૂર્વક વિચારવાની આવડત, ધીરજ, સ્વસ્થતા, સૌને સાથે રાખીને ચાલવાની આવડત, તકને પારખવાની શક્તિ વગેરે ગુણો સુખ અને સમૃદ્ધિ આપે છે. રાજા આપણો છે કે સરકાર આપણા લોકોની છે એટલે સફળતા નથી મળી જતી. ઇતિહાસમાં આવું એક ઉદાહરણ બતાવો. આમ જે લોકોમાં વિચારવાની આવડત હતી અને જે લોકોને “આપણે” અને “બીજા”ને નામે સમાજમાં વિખવાદ પેદા કરીને રાજકારણ નહોતું કરવું એવા લોકોએ સહિયારા ભારતની કલ્પના વિકસાવી અને લોકો સુધી પહોંચાડી. ભારતની પ્રજાને કહેવામાં આવ્યું કે સુખ અને સમૃદ્ધિ સંખ્યાના બળમાં કે સત્તાના બળમાં નથી, સહયોગ અને વિજ્ઞાનનિષ્ઠામાં છે.

અને આવું વિચારનારા અને લોકો સુધી આ વાત પહોંચાડનારા કોણ હતા? ૯૯ ટકા હિંદુઓ. એ વાતમાં કોઈ શંકા નથી કે ભારતની કલ્પના મુખ્યત્વે હિંદુઓએ વિકસાવી છે. ભારતનું બંધારણ ઘડનારા લોકોમાં ૯૦ ટકા હિંદુઓ હતા. શું એ હિંદુઓ હિંદુઓના દુ:શ્મન હતા? સરદાર વલ્લભભાઇ પટેલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ડૉ. આંબેડકર, કનૈયાલાલ મુનશી દેશદ્રોહી હતા અથવા ઓછી બુદ્ધિ ધરાવતા હતા? ભારતમાં હિંદુઓની મોટી સંખ્યા હોવા છતાં અને તેઓ પોતે હિંદુ હોવા છતાં અને વળી હિંદુ હોવાનો ગર્વ લેતા હોવા છતાં હિંદુઓના ચડિયાતાપણાનો મોહ તેમણે સેવ્યો નહોતો. તેમનો ઈરાદો બહુમતી કોમને સંખ્યાભાન કરાવીને સત્તા પર કબજો કરવાનો નહોતો, પણ દેશની સમગ્ર પ્રજાનાં કલ્યાણ કરવાનો હતો.

અત્યારે યોજાઈ રહેલી ચૂંટણીમાં સહિયારા ભારત અને હિંદુ ભારત વચ્ચે મુકાબલો થવાનો છે. અને તેની સાથે પ્રજાના વિવેકની પણ કસોટી થવાની છે. જોઈએ શું થાય છે! સંસારચક્ર છે તેમાં સંકટ આવતાં જ રહેતાં હોય છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 05 મે 2024

Loading

...102030...576577578579...590600610...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved