Opinion Magazine
Number of visits: 9456203
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી — 300

દીપક મહેતા|Opinion - Opinion|2 August 2025

ચલ મન મુંબઈ નગરી — 300

દીપક મહેતા

૧૩ જુલાઈ, ૨૦૧૯. ચલ મન મુંબઈ નગરીનો પહેલો હપતો ‘ગુજરાતી મિડ-ડે’માં પ્રગટ થયો ત્યારે સપને ય ખ્યાલ નહોતો કે મુંબઈની આ યાત્રા આટલી લાંબી ચાલશે. ના, ધાર્મિક અનાસ્થાને કારણે આજ સુધી એકે યાત્રા નથી કરી. પણ દર અઠવાડિયે મુંબઈ વિષે લખવા બેસવું એ મારે મન યાત્રા કરતાં ય વધુ પાવન કામ છે. સાધારણ રીતે એક હપતો લખતાં બે દિવસ લાગે. પણ એને અંગે વિચારવાનું તો લગભગ સતત ચાલતું હોય. તથ્યને જોખમાવ્યા વગર લખાણને પથ્ય કેમ બનાવવું એવો પ્રયાસ સતત ચાલતો હોય છે. ઘણી વાર તેમાં સફળતા નયે મળે. કેટલીક વાર મળે. 

અખબારમાં હપતો પ્રગટ થાય તે જ દિવસે તેને FB પર વહેંચવાનું પણ પહેલા જ હપતાથી શરૂ કર્યું. અહીં પણ આ લેખો વિષે કોઈએ અણગમો વ્યક્ત કર્યો હોય તેવું ભાગ્યે જ બન્યું છે. આપણા રામને ગણિત સાથે બાળપણથી જ બારમો ચંદ્રમાં. પણ મિત્ર વિપુલ કલ્યાણીએ આજ સુધી એકેએક હપતો તેમના Opinionમાં સમાવ્યો એટલું જ નહિ, દરેક હપ્તાને સળંગ ક્રમાંક પણ આપ્યો. એટલે ખબર પડી કે આજનો આ હપતો એ ૩૦૦મો હપતો છે.  આ હકીકત  અંગે મનમાં આનંદ કરતાં આશ્ચર્ય વધારે છે. 

અમદાવાદના ‘નવજીવન સાંપ્રત’ના કર્ણધારોનું ધ્યાન પણ આ કોલમ તરફ ગયું અને તેમાંથી પસંદ કરેલા લેખોનું પુસ્તક તેમણે પ્રગટ કર્યું. પચાસેક પુસ્તકો પ્રગટ થયા પછી પહેલી વાર આ પુસ્તકનું પ્રકાશન પર્વ પણ મુંબઈમાં યોજાયું, ૨૦૨૨ના જૂનની ચોથી તારીખે. અને હવે આ પુસ્તકનો બીજો ભાગ પણ નવજીવન થોડા વખતમાં પ્રગટ કરશે. પુસ્તકની નાનકડી પ્રસ્તાવનાનું મથાળું બાંધ્યું હતું : ‘મુંબઈ, મારી મા.’ માગ્યા વગર આપે એનું નામ મા. એટલે મા પાસે માગવાનું તો શું હોય? પણ એક ઇચ્છા ખરી : પહેલો શ્વાસ મુંબઈની ધરતી પર લીધો, એમ છેલ્લો શ્વાસ પણ મુંબઈની ધરતી પર જ લેવાનું સદ્ભાગ્ય મળે. 

અને છેલ્લે આભાર આ સફરના સૌ સાથીઓનો. 

ફરી મળીશું આવતા શનિવારે. સફર અભી જારી હૈ. 

— દીપક મહેતા

* * * 

જો મારે આહુજાને મારી નાખવો હોત તો રિવોલ્વરમાંની બધી ગોળી મેં તેના શરીરમાં ધરબી દીધી હોત

મરનાર પ્રેમ આહુજાના ફ્લેટની અદાલતે મુલાકાત લીધી તે પછીના દિવસે અદાલતનું કામકાજ શરૂ થયું. ત્યારે ફરિયાદ પક્ષના વકીલે કહ્યું કે નામદાર, મારે આપને એક અરજ ગુજારવાની છે.

જજ મહેતા : શું? બોલો.

અત્યારે આરોપી નાણાવટી નેવીના તાબામાં કેદ છે. એ જગ્યાએ તેનાં જેટલાં કપડાં હોય તે બધાં જ પોલીસે જપ્ત કરવાં જોઈએ.

જજ મહેતા : પણ શા માટે? 

કારણ ડેપ્યુટી પોલીસ કમિશનર લોબોએ તેમની જુબાનીમાં કહ્યું છે કે આરોપી તેને મળવા આવ્યો ત્યારે તેનાં કપડાં પર નહોતા લોહીના ડાઘ, કે નહોતાં એ ફાટેલાં-તૂટેલાં.

જજ મહેતા: પોલીસે શું કરવું અને શું ન કરવું એ કહેવાનું કામ અદાલતનું નથી. એટલે તમારી અરજી સ્વીકારી શકાય એમ નથી. પણ તમે ચાહો તો ડેપ્યુટી પોલીસ કમિશનરને ફેર ઉલટતપાસ માટે બોલાવી શકો છો.

આભાર, યોર ઓનર!

ફેર જુબાનીમાં ડેપ્યુટી પોલીસ કમિશનર લોબોએ કહ્યું કે આરોપી નાણાવટીનાં કપડાં જપ્ત કરવા અંગે મેં કોઈ સૂચના આપી નહોતી, કારણ એમ કરવું મને જરૂરી લાગ્યું નહોતું?

કેમ?

મેં જો એનાં કપડાં પર લોહીના ડાઘ જોયા હોત અથવા તેનાં કપડાં ફાટેલાં હોત તો તે જપ્ત કરવાની સૂચના મેં આપી હોત. આવી બધી બાબતો નોંધવા માટે મારી આંખ ટેવાયેલી છે. તેણે છ-સાત મિનિટ મારી સાથે વાત કરી ત્યારે તે નહોતો ઉશ્કેરાયેલો કે નહોતો ગભરાયેલો. તેણે આખા બનાવ અંગે બહુ સ્પષ્ટતાથી વાત કરી હતી અને સામે ચાલીને સરન્ડર થયો હતો.

એ વખતે તેણે શું પહેર્યું હતો તે તમને યાદ છે?

હા. તેણે હાફ સ્લીવ શર્ટ અને સફેદ ટ્રાઉઝર્સ પહેર્યાં હતાં. 

જજ મહેતા : તમે કહ્યું કે ‘આરોપી નહોતો ઉશ્કેરાયેલો કે નહોતો ગભરાયેલો. તેણે આખા બનાવ અંગે બહુ સ્પષ્ટતાથી વાત કરી હતી.’ તમારા મન પર આવી છાપ કઈ રીતે પડી?

યોર ઓનર! મેં જે એમ કહ્યું તે મારા મન પર પડેલી છાપ નહોતી. પણ મેં જે નોંધ્યું હતું તે જ જણાવ્યું હતું. લાંબા અનુભવને કારણે આવી બધી બાબત અમારા મનમાં આપોઆપ નોંધાઈ જતી હોય છે. 

પછીના સાક્ષી હતા પોલીસ સર્જન ડો. આર.એમ. ઝાલા. તેમણે મરનારની લાશનું પોસ્ટ મોર્ટમ કર્યું હતું. એ અંગેની તબીબી અને કાનૂની વિગતો તેમણે અદાલતને જણાવી હતી. 

બચાવ પક્ષના વકીલ : મરનાર આહુજા બંદૂકની ગોળીનો ભોગ બન્યો તે પહેલાં આરોપી અને મરનાર વચ્ચે ઝપાઝપી થઈ હોય તેમ તમે માનો છો?

ડો. ઝાલા : ના. કારણ મરનારના માથામાં જે ઈજા થઈ હતી તે તેની પાછળથી છોડાયેલી ગોળીને કારણે થઈ હતી. અને એ ઈજા ફેટલ, એટલે કે જીવલેણ હતી. એટલે ઝપાઝપીનો અવકાશ જણાતો નથી. 

બચાવ પક્ષના વકીલ : મરનારની છાતી અને તેના માથા પર જે ઈજા થઈ હતી તેનાથી મોત નીપજે જ એવું નથી, પણ તે ઈજાને કારણે મોત નિપજવાની શક્યતા રહે છે એમ ન કહી શકાય?

ના. એવું ન કહી શકાય. માત્ર છાતી પરનો ઘા પણ એવો હતો કે તેથી મોત નીપજી શકે. અને માથામાં જે ઘા થયો હતો તેનું પરિણામ તો મોતમાં જ આવી શકે.

ત્યાર બાદ બોમ્બે સી.આઈ.ડી.ના ઇન્સ્પેક્ટર કાણેને જુબાની માટે બોલાવાયા હતા. તેમણે ૨૭મી એપ્રિલે, એટલે કે બનાવના દિવસે, નાણાવટીના કોલાબા ખાતેના ઘરની જડતી લીધી હતી. 

એ દિવસે તમે આરોપી નાણાવટીના ઘરમાંથી શું શું જપ્ત કર્યું હતું?

એક ક્રિસમસ કાર્ડ જેના પર મામી અને પ્રેમ(આહુજા)ની સહીઓ હતી. અને ૧૯૫૯ના વરસની મિસિસ નાણાવટીની ડાયરી. આ બે વસ્તુ મેં પંચની હાજરીમાં જપ્ત કરી હતી. 

આ સાથે અદાલતની તે દિવસની કારવાઈ પૂરી થઈ હતી.

*

બીજે દિવસે સુનાવણી વખતે કોર્ટમાં હાજર રહેવા માટે ફક્ત લાગતાવળગતા લોકોને, વકીલોને, છાપાના ખબરપત્રીઓને જ પાસ અપાયા હતા. અને પાસ વગરની કોઈ વ્યક્તિને અદાલતમાં હાજર રહેવા દેવી નહિ એવો જજ મહેતાનો કડક આદેશ હતો. પણ કેમ? કારણ એ દિવસે આરોપી નાણાવટીનું નિવેદન નોંધાવાનું હતું. સુનાવણી શરૂ થતાં પહેલાં કોર્ટ રૂમની બહારની લોબીથી માંડીને કોર્ટના મકાનના દરવાજા સુધી કડક પોલિસ બંદોબસ્ત હતો. અગિયાર વાગવામાં પાંચ મિનિટ બાકી હતી ત્યારે ઇન્ડિયન નેવીની એક સફેદ મોટર કોર્ટના કમ્પાઉન્ડમાં દાખલ થઈ. તેના ચારે કાચ ચડાવેલા હતા. કમાન્ડર નાણાવટી મોટરમાંથી ઊતરીને સીધા દાદાર ચડીને કોર્ટ રૂમમાં પહોંચી ગયા હતા. અગિયાર વાગે પહેલાં જ્યુરીના માનવંતા સભ્યો અને પછી જજ મહેતા દાખલ થયા. તેમણે કમાન્ડર નાણાવટીને પોતાનું નિવેદન રજૂ કરવા કહ્યું.

કોર્ટમાં જુબાની આપતા કમાન્ડર નાણાવટી – કલ્પના ચિત્ર

નાણાવટી : યોર ઓનર! મેં જાણી જોઇને, સમજી વિચારીને, અગાઉથી ઘડેલી યોજના પ્રમાણે પ્રેમ આહુજાનું ખૂન કર્યું એવો જે આરોપ મારા પર મૂકવામાં આવ્યો છે તે સદંતર ખોટો છે અને હું એ આરોપ મુદ્દલ સ્વીકારતો નથી. મરનાર પ્રેમ આહુજા અને મારી વચ્ચે રિવોલ્વરની ખેંચતાણ થઈ, અમારી વચ્ચે ઝપાઝપી થઈ. અને એ દરમ્યાન અકસ્માત છૂટેલી ગોળી દ્વારા પ્રેમ આહુજાનું મોત થયું. ફરિયાદ પક્ષે જે ઝીણી ઝીણી વિગતો રજૂ કરી છે તે હું સ્વીકારું છું. પણ મારે માથે જે ખૂનનો આરોપ મૂક્યો છે તે હું મુદ્દલ સ્વીકારતો નથી. મારા હાથમાંની રિવોલ્વર ઝૂંટવી લેવા તેણે મારા પર હુમલો કર્યો હતો જેનો મેં સેલ્ફ ડિફેન્સમાં પ્રતિકાર કર્યો હતો. એ દરમ્યાન અકસ્માત મારી રિવોલ્વરમાંથી ગોળીઓ છૂટી હતી. જો મારે તેને મારી જ નાખવો હોત તો રિવોલ્વરમાંની છએ છ ગોળી મેં તેના શરીરમાં ધરબી દીધી હોત.

પ્રેમ આહુજાનો બેડ રૂમ અને તેમાં આવેલી બાથ રૂમ – ખરેખરી તસવીર

ત્યાર બાદ કમાન્ડર નાણાવટીએ અગાઉ પોલીસ સમક્ષ જે નિવેદન નોંધાવ્યું હતું તે અદાલતમાં તેમને વાંચી સંભળાવવામાં આવ્યું હતું. એ સાંભળ્યા પછી નાણાવટીએ કહ્યું કે હા, મેં જ આ પ્રમાણેનું નિવેદન નોંધાવ્યું હતું. 

આ તબક્કે જજ મહેતાએ નાણાવટીને કહ્યું કે ફરિયાદ પક્ષે તમારી સામે જે પુરાવાઓ અદાલતમાં રજૂ કર્યા છે તે અંગે તમારે કાંઈ કહેવું છે? અલબત્ત, આ અંગે કશું કહેવાનું તમારે માટે ફરજિયાત નથી. કમાન્ડર નાણાવટીએ જવાબમાં કહ્યું કે આ અંગે હું કશું જ કહેવા માગતો નથી. 

ત્યાર બાદ જજ મહેતાએ કમાન્ડર નાણાવટી ઉપર મૂકવામાં આવેલા આરોપો વાંચી સંભળાવ્યા હતા. દરેક આરોપના જવાબમાં કમાન્ડર નાણાવટી એક જ વાક્ય દોહરાવતા હતા : ‘આ અંગે મારે કશું કહેવાનું નથી.’

જજ મહેતા : જુબાનીમાં એમ કહેવામાં આવ્યું છે કે જીવન જ્યોત મકાનના ચોકીદાર પુરણ સિંહે તમને જતા રોકીને પૂછ્યું હતું કે તમે આહુજાનું ખૂન શા માટે કર્યું? ત્યારે તમે જવાબ આપ્યો કે તેને મારી પત્ની સાથે લફરું ચાલતું હતું એટલે મેં એનું ખૂન કર્યું.

નાણાવટી : એક અજાણ્યા ચોકીદાર સાથે હું મારા અંગત લગ્ન જીવન અંગે વાત કરું એવું સૂચન કરવું એ તદ્દન વાહિયાત છે. 

જજ મહેતા : જુબાનીમાં કહેવામાં આવ્યું છે કે તમે પુરણ સિંહને કહ્યું કે હું પોલીસ પાસે જ જાઉં છું. તારે સાથે આવવું હોય તો ચાલ. પણ પછી તમે મોટર હંકારી ગયા.

નાણાવટી : આ વાત તદ્દન ખોટ્ટી અને ઉપજાવેલી કાઢેલી છે. 

આ તબક્કે ફરિયાદ પક્ષ તરફથી મિસિસ સિલ્વિયા નાણાવટીને જુબાની માટે બોલાવવાની માગણી થઈ જેનો બચાપક્ષે વિરોધ કરતાં કહ્યું કે આ આખા મામલા અંગે મિસિસ નાણાવટી અંગત રીતે મુદ્દલ સંડોવાયેલાં નથી. આ બનાવ બન્યો ત્યારે તેઓ તેમનાં ત્રણ બાળકો સાથે મેટ્રો થિયેટરમાં પિક્ચર જોઈ રહ્યાં હતાં. ત્યાર બાદ પણ તેઓ બનાવના સ્થળે કે પોતાને ઘરે ગયાં નહોતાં. પણ પોતાનાં સાસુ-સસરાને ઘરે ગયાં હતાં. વળી આ મુકદમ્મો કહેવાતા ખૂન અંગેનો છે. તથાકથિત લગ્નબાહ્ય સંબંધ અંગેનો નથી. એટલે મિસિસ નાણાવટીને જુબાની માટે બોલાવી શકાય નહિ. 

બંને પક્ષને સાંભળ્યા પછી જજ મહેતાએ કહ્યું : જો પબ્લિક પ્રોસીક્યુટરને એમ લાગતું હોય કે અમુક વ્યક્તિને સાક્ષી તરીક બોલાવવાથી કશો ખાસ અર્થ સરે તેમ નથી તો એવી વ્યક્તિને સાક્ષી તરીકે બોલાવવાની ફરજ પાડી શકાય નહિ. વળી બનાવ વખતે મિસિસ નાણાવટી બનાવના સ્થળે હાજર નહોતાં. એટલે તેઓ આ બનાવનાં ચશ્મદીદ ગવાહ નથી. એટલે તેમને  સાક્ષી તરીકે બોલાવવાનો આદેશ હું આપી શકતો નથી.   

કમાન્ડર નાણાવટી અને પ્રેમ આહુજા

ત્યાર બાદ બોમ્બે પોલીસની સી.આઈ.ડી. બ્રાન્ચના ઇન્સ્પેક્ટર પી.એલ. મોકાશીને જુબાની માટે બોલાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે બનાવ બન્યો તે પછી રાત્રે કમાન્ડર નાણાવટીનાં મા-બાપ સી.આઈ.ડી ઓફિસમાં આવ્યાં હતાં. તેઓ તેમની સાથે બદલવા માટેનાં કપડાં અને સૂવા માટે ચાદર, તકિયો, વગેરે લાવ્યાં હતાં જે મેં કમાન્ડર નાણાવટીને લેવા દીધાં હતાં. ત્યાર બાદ તેમનાં મા-બાપે તેમને થોડી વાર મળવા દેવાની વિનંતી કરી હતી. એટલે મારી હાજરીમાં તેમને મળવા દીધાં હતાં. બીજે દિવસે સવારે મેં આ વાત મારા ઉપરી-અધિકારીને મૌખિક રીતે જણાવી હતી. ત્યાર બાદ ઇન્સ્પેક્ટર મોકાશીને ઘેરા ભૂરા રંગનું આખી બાયવાળું શર્ટ અને લગભગ એવા જ રંગનું પેન્ટ બતાવીને કહેવામાં આવ્યું હતું કે હકીકતમાં કમાન્ડર નાણાવટી સી.આઈ.ડી. ઓફિસમાં આવ્યા ત્યારે તેમણે આ કપડાં પહેર્યાં હતાં. ઇન્સ્પેક્ટર મોકાશીએ કહ્યું કે હું ખાતરીપૂર્વક કહી શકું તેમ છું કે કમાન્ડર નાણાવટીએ એ વખતે આ કપડાં નહિ, પણ સફેદ કપડાં પહેર્યાં હતાં અને તેના પર ક્યાં ય લોહીના ડાઘ હતા નહિ.

આ તબક્કે પબ્લિક પ્રોસીક્યૂટરે કમાન્ડર નાણાવટીને જુબાની માટે ફરી બોલાવવાની માગણી કરી હતી. ત્યારે જજ મહેતાએ કહ્યું કે તમારી માગણી સ્વીકારવામાં આવે છે. પણ હવે અદાલતનો સમય પૂરો થવા આવ્યો છે. એટલે તેના પર અમલ આવતી કાલે થશે.

એ ‘આવતી કાલ’ની વાત હવે પછી. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 02 ઑગસ્ટ 2025

Loading

શ્રમ-કાયદામાં વટહુકમ થકી ફેરફારની ઉતાવળ કેમ? 

નેહા શાહ|Opinion - Opinion|2 August 2025

નેહા શાહ

અર્થશાસ્ત્રના પાયાના અભ્યાસમાં ઉત્પાદનનાં સાધનને ચાર ભાગમાં વહેંચવામાં આવે છે. જમીન (એ સાથે જોડાયેલાં બધાં પ્રાકૃતિક સંસાધનો), મૂડી, શ્રમ અને ઉદ્યોગ સાહસિકતા. આ સાથે એક શ્રમજીવી, માણસમાંથી ઉત્પાદનનાં સાધનમાં ફેરવાઈ જાય છે. શ્રમ માટેની શરતો નફાના સંદર્ભે જ નક્કી થાય અને માનવીય ધોરણો નેપથ્યમાં જતા રહેતા હોય છે! એક માણસ શ્રમનું કામ કેટલા કલાક કરી શકે? માનવીય ધોરણે કેટલા કલાક હોવું જોઈએ? આ કામ સતત ચાલતા મશીનના ઘોંઘાટમાં કરવાનું હોય, સામે ચાલતી કેમિકલ પ્રોસેસની વાસ સતત શ્વાસમાં લઈને કરવાનું હોય કે પછી ઉડતી રજકણોની વચ્ચે કરવાનું હોય કામના સ્થળની એવી  સ્થિતિને ધ્યાનમાં રાખીને કામના કલાકોનું માપ નક્કી કરજો. 

પ્રથમ વિશ્વ યુદ્ધ બાદ 1919માં વર્સેલ્સ સંધિ પછી વિશ્વ શાંતિ માટે વિશ્વ શ્રમ સંસ્થા(આઈ.એલ.ઓ.)ની સ્થાપના થઈ. સ્થાપકો માને છે કે સ્થાયી શાંતિ માટે સામાજિક ન્યાય આવશ્યક છે, અને તે માટે શ્રમિકોની પરિસ્થિતિમાં સુધારો જરૂરી છે. ઔદ્યોગિક ક્રાંતિના સમયમાં મજૂરોનાં શોષણ સામે યુરોપમાં આંદોલનો થઈ રહ્યા હતા. કામના કલાકો નક્કી કરવા તથા શ્રમિકોને આરામ અને જીવનનો આનંદ મળવો જોઈએ એવી માંગ ઉઠી. “આઠ કલાક શ્રમ, આઠ કલાક આરામ અને આઠ કલાક સામાજિક જીવન” – આ ‘વર્ક-લાઈફ બેલેન્સ’ના સિદ્ધાંત પર આધારિત માગને આધારે આઈ.એલ.ઓ.ના પ્રથમ સંમેલનમાં કામના કલાકોને આઠ સુધી મર્યાદિત કરવાનો કરાર થયો. ભારત પણ આમાં ભાગીદાર હતું. આઝાદી પછી ૧૯૪૮માં બનેલા ફેકટરી એક્ટમાં આ સમજૂતી આધારે નિયમ બન્યા.  

આ જ ફેકટરી એક્ટની મુખ્ય જોગવાઈઓમાં સુધારો કરીને ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગે પહેલી જુલાઈના રોજ એક વટહુકમ બહાર પાડ્યો છે, જેમાં ફેક્ટરી કામદારોના દૈનિક કામના કલાકો નવથી વધારીને બાર કરવાની મંજૂરી આપવામાં આવી છે. એટલે જ્યારે જરૂર હોય ત્યારે ફેક્ટરીનો માલિક શ્રમિકને બાર કલાક સુધી રોકી શકે. જો કે સપ્તાહના કામના મહત્તમ કલાકની મર્યાદા 48 કલાકમાં ફેરફાર કરવામાં નથી આવ્યો. વધુમાં, વટહુકમમાં ઓવરટાઇમના કલાકો પરની ત્રિમાસિક મર્યાદા હાલના 75થી વધારીને 125 કરવામાં આવી છે, અલબત્ત, ઓવર ટાઈમના બમણા પૈસા આપવાની જોગવાઈ કરી છે અને કામદારની લેખિત મંજૂરી પણ જરૂરી છે. પહેલા સતત પાંચ કલાક પછી રીસેસ મળી શકતી હતી હવે છ કલાક પછી મળશે. આ વટહુકમમાં સલામતીની વ્યવસ્થા અંગે કેટલીક શરતો હેઠળ મહિલાઓને રાતની પાળીમાં નોકરી કરવાની પણ મંજૂરી અપાઈ છે.  

કાયદામાં કરાયેલા આ સુધારાએ સંલગ્ન સૌ કોઈને ચિંતા સાથે આશ્ચર્યમાં મૂકી દીધા છે. મજૂર સંગઠનોએ વિરોધ કર્યો છે. એમની ચિંતાને કારણ છે. શ્રમિકો વિરામ વિના લાંબો સમય કામ કરશે તો એ ચોક્કસ ઉત્પાદન વધારશે. જ્યારે બજારમાં માંગ વધે તો એને પહોંચી વળવા પુરવઠો વધારવાનું સરળ બનશે, જે કંપનીનો નફો વધારશે અને રાજ્યમાં આર્થિક વૃદ્ધિ પણ થશે. લવચીકતા પણ વધશે – ચાર દિવસ બાર કલાક કામ કરી ત્રણ દિવસની છુટ્ટી! સાંભળવામાં આ જોગવાઈ સારી લાગે પણ જે કામની વાત છે એ ટેબલ-ખુરશી પર બેસીને કરવાનું નથી એટલે શ્રમિકોનાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પડનાર અસર અંગે પ્રશ્નો થાય. વટહુકમમાં શ્રમિકની સહમતીની વાત છે, પણ શું શ્રમિક સ્વેચ્છાએ લેખિત મંજૂરી આપે એવી પરિસ્થિતિ હોય છે ખરી? જરૂરત મંદ કામદાર માટે નોકરી ગુમાવવાનો ડર લેખિત મંજૂરી આપવા માટે પુરતો હોય છે એવું કોઈની પણ સામાન્ય બુદ્ધિ કહે છે. હવે જ્યારે કાયદાએ મહોર મારી છે ત્યારે માલિક કોઈને બાર કલાક કામ કરવા દબાણ કરશે તો એ કાયદાના દાયરામાં જ ગણાશે! એટલે ૧૯૧૯માં જે સિદ્ધાંતને શ્રમ કાયદાનો પાયો બનાવાયો હતો એ સિદ્ધાંત જ બદલવામાં આવી રહ્યો છે. 

મહિલાઓને રાત પાળીમાં કામ કરવાની મંજૂરી મળવાથી પ્રથમ દૃષ્ટિએ જાતીય સમાનતા તરફનું પગલું લાગે કારણ કે મહિલાઓને મળતી તકોમાં વધારો થશે. પણ, જે સલામતીનાં પગલાંની જોગવાઈઓ વટહુકમમાં છે તેનું પાલન થયું કે નહિ એનું ઓડીટ કોણ કરશે? મહિલા સુરક્ષા માટે આમ પણ સરકારે લીધેલાં પગલાં ઓછાં પડે છે, પોલીસ કાચી પડે છે, નિર્ભયા ફંડ વણ વપરાયેલું રહે છે ત્યારે કાગળ પર બતાવાયેલી સુરક્ષાની જોગવાઈઓના અસરકારક અમલ અંગે ચિંતા થવી સ્વાભાવિક છે. 

અત્યારે રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું નથી, એટલે વટહુકમ બહાર પાડી ફેક્ટરી એકટના આ સુધારાનો તાત્કાલિક અમલ કરાયો છે. સરકારના કહેવા પ્રમાણે આ સુધારા દ્વારા આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા, નવા પ્રોજેક્ટ્સમાં રાષ્ટ્રીય મહત્ત્વમાં રોકાણને આકર્ષવા અને રોજગારીનું સર્જન કરવા માટે ફેક્ટરીઓને છૂટછાટ આપવાનો પ્રયાસ છે. પણ, રાજ્યમાં એવી તો કઈ પરિસ્થિતિ ઊભી થઇ કે વટહુકમના માર્ગે રાતોરાત શ્રમ સંબંધી કાયદામાં ફેરફાર કરવાની જરૂર પડી? વિધાન સભાના સત્રની રાહ ના જોવાઈ? મજૂર સંગઠનો સાથે કોઈ પરામર્શ કે ચર્ચા પણ કરવામાં નથી આવી, એટલે જેમના કામની શરતોમાં બદલાવ આવ્યો છે એ વર્ગ જ વટહુકમ આવતા સુધી આખી પ્રક્રિયાથી અજાણ હતો! આવી ગુપ્ત રીતે કરેલી ઉતાવળનું શા માટે કરી હશે?

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પ્રવાસમાં શું અનુભવ્યું?

રમેશ સવાણી|Diaspora - Features, Opinion - Opinion|1 August 2025

રમેશ સવાણી

12 જુલાઈ 2025ના રોજ સવારે પરિવાર સાથે શિકાગોથી કાર દ્વારા પ્રવાસ આારંભ્યો હતો. 28 જુલાઈ 2025ના રોજ, 4,700 માઈલનો પ્રવાસ કરી બપોરે 2.40 વાગ્યે પરત આવ્યા. 

આ પ્રવાસના 17 દિવસ દરમિયાન USના કુલ – 11 રાજ્યો  Illinois / Wisconsin / Minnesota / South Dakota / Wyoming / Montana / Idho / Utah / Denver / Nebraska / Iowaમાં ફર્યા.

પ્રવાસ દરમિયાન અમે શું અનુભવ્યું? 

[1] આ પ્રવાસ દરમિયાન એક પણ ચાર રસ્તા પર પોલીસ ન જોઈ. અમદાવાદ / સુરત / વડોદરા / રાજકોટમાં તથા જિલ્લાઓમાં પોલીસ કાર / ટ્રકને ચેક કરવાના બહાને તોડ કરે છે એવું એક પણ દૃશ્ય ન જોયું ! 

[2] કોઈ સ્થળે અમેરિકન પ્રેસિડન્ટનો ફોટો ન જોયો કે તેમનું હોર્ડિંગ ન જોયું. આપણે ત્યાં મોદીજી સર્વવ્યાપી છે ! 

[3] કોઈ જગ્યાએ લોકોને ઊંચા અવાજે વાત કરતા ન જોયા. કોઈ જગ્યાએ લોકોને ઝઘડા કરતા ન જોયા. કોઈ જગ્યાએ લોકોને દાદાગીરી કરતા ન જોયાં. મોલ હોય / ગેસ સ્ટેશન / હોટલ / રેસ્ટોરન્ટ / વોશરૂમ હોય દરેક જગ્યાએ લોકો લાઈનમાં શિસ્તમાં ઊભા રહે. 

[4] કોઈ જગ્યાએ ગંદકી ન જોઈ. દરેક જગ્યાએ ગાર્બેજ-કેન હોય. કચરો તેમાં જ નાખે. રસ્તામાં ફેંકે નહીં. 

[5] અમેરિકામાં પ્રવાસન ઉદ્યોગની સફળતાનું રહસ્ય છે : સ્વચ્છતા ! દર બે કલાકે વિઝિટર સેન્ટર હોય ત્યાં ફ્રેશ થઈ શકાય. ત્યાં મિની મ્યુઝિયમ હોય. માહિતી-પેમ્ફલેટની વ્યવસ્થા હોય. ગિફ્ટ શોપ હોય. નાસ્તો / ઠંડાપીણાની સગવડ હોય. આપણે જો પ્રવાસન ઉદ્યોગ ખીલવવો હોય તો વિઝિટર સેન્ટર ન બનાવી શકીએ? 

[6] આખા અમેરિકામાં દારુ પીવાની છૂટ છે. પરંતુ કોઈ દારુ પીને કૂકડા થઈ ગયા હોય તેવું જોવા ન મળ્યું. આપણે ત્યાં જોવા મળે છે તેવાં ‘દેશી દારુ કા ઠેકા / અંગ્રેજી શરાબ કા ઠેકા’ એવા બોર્ડ જોવા ન મળ્યા. 

[7] જાહેર બગીચાઓ પુષ્કળ છે. તેમાં અદ્દભુત શિલ્પ કૃતિઓ જોવા મળી. 

[8] અમેરિકાની એક ખાસિયત છે કે અહીંના રાજ્યોમાં સૌથી મોટા શહેરમાં તેમની રાજધાની હોતી નથી. પણ નાના કે મિડિયમ શહેરમાં હોય છે. ન્યુ જર્સીનું કેપિટલ તેના સૌથી મોટા શહેર જર્સી સિટીમાં નહિ ટ્રેનટનમાં છે. ન્યુયોર્ક સ્ટેટનું કેપિટલ એના મોટા શહેર ન્યુયોર્કમાં નહિ અલ્બેનીમાં છે, પેન્સિલવેનિયાનું કેપિટલ તેના મોટા શહેર ફિલાડેલ્ફીયા કે પિટ્સબર્ગમાં નહીં પણ હેરિસબર્ગમાં છે. ઇલિનોયની રાજધાની સ્પ્રિંગફિલ્ડમાં છે નહિ કે શિકાગોમાં. આવું આપણે ન કરી શકીએ? 

[9] દૂધ / ફળો / શાકભાજી / ગ્રોસરીના સ્ટોર હોય ત્યાં પૂરતું પાર્કિંગ હોય. 

[10] ખાદ્ય ચીજવસ્તુઓમાં કોઈ ભેળસેળ ન હોય. 

[11] કોઈ જગ્યાએ પ્રદૂષણ નહીં. કોઈ જગ્યાએ અંકલેશ્વર જેવી ગંધ નહીં. કોઈ જગ્યાએ નદી પ્રદૂષિત નહીં. વટવા GIDC સાબરમતીમાં ગંદું પાણી ઠાલવે છે તેવું દૃશ્ય ન જોયું ! આવું અહીં કોઈ કરે તો લોકો અવાજ ઊઠાવે, જીવતી લાશો બની જોયા ન કરે ! 

[12] મને અહીંની ‘Food Bank’ની સેવા સૌથી વધુ ગમી. ઘણી ફૂડ બેંકો ધાર્મિક નહીં પણ માનવવાદી સિદ્ધાંતો હેઠળ કાર્ય કરે છે, જેનો ઉદ્દેશ્ય ભૂખમરો દૂર કરવાનો અને જરૂરિયાતમંદોને ખોરાક સહાય પૂરી પાડવાનો છે, પછી ભલે તે કોઈ પણ પૃષ્ઠભૂમિ / માન્યતા / ધર્મના હોય. આ એક પ્રકારની સખાવતી સંસ્થા છે જે ખોરાકની અસુરક્ષા ઘટાડવા અને મુશ્કેલીનો સામનો કરી રહેલા વ્યક્તિઓ અને પરિવારોને ખોરાકનું વિતરણ કરે છે. ભારતમાં ‘ફૂડ બેન્ક’ની ખાસ જરુરિયાત છે. 

[13] અહીં ગજબનો વિરોધાભાસ જોવા મળ્યો. કોઈ કોઈ જગ્યાએ હોમલેસ-ઘરવિહોણાં જોવા મળે. બીજી તરફ મોટા સ્ટોરમાં / ટ્રક પાછળ ‘We are hiring – અમે ભરતી કરી રહ્યા છીએ’ લખેલું જોવા મળે. રોજગારી આપનાર છે છતાં હોમલેસ કેમ? કેટલાંક પરિબળો બેઘર વ્યક્તિઓને રોજગાર મેળવવામાં આડે આવે છે. જેમ કે  સ્થિર સરનામાનો અભાવ / સંસાધનો, ટેકનોલોજી અને ડિજિટલ સાક્ષરતાનો અભાવ / સ્વચ્છતા સુવિધાઓની મર્યાદિત પહોંચ / પરિવહન સમસ્યાઓ / માનસિક અને શારીરિક સ્વાસ્થ્યનો અભાવ, માદક દૃવ્યોની લત / ભેદભાવ અને સામાજિક કલંક / મર્યાદિત કાર્ય અનુભવ અથવા કુશળતાનો અભાવ અને ગુનાહિત રેકોર્ડ વગેરે રોજગારી મેળવવામાં હોમલેસ માટે અવરોધો છે.

અમારો પ્રવાસ એટલે રખડવાનો આનંદ ! પ્રવાસ એટલે પાઠશાળા ! પ્રવાસ એટલે કૂપમંડૂકતામાંથી મુક્તિ ! Mark Twain કહે છે : ‘પ્રવાસ પૂર્વગ્રહ, કટ્ટરતા અને સંકુચિત માનસિકતા માટે ઘાતક છે !’ મતલબ કે પ્રવાસ  દ્વારા વિવિધ સંસ્કૃતિઓ અને જીવનશૈલીનો અનુભવ કરવાથી વ્યક્તિને; પૂર્વગ્રહોને દૂર કરવામાં અને વધુ સહિષ્ણુ અને ખુલ્લા મનનો દૃષ્ટિકોણ વિકસાવવામાં મદદ મળે છે. પ્રવાસના અંતે એક વિશાળ દૃષ્ટિકોણ મળે છે !

31 જુલાઈ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...56575859...708090...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved