Opinion Magazine
Number of visits: 9457141
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દિવસરાત કાઁગ્રેસ, કાઁગ્રેસ અને કાઁગ્રેસ

રમેશ ઓઝા|Opinion - Opinion|14 May 2024

રમેશ ઓઝા

સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પછી તો વડા પ્રધાને કમાલ જ કરી. ચૂંટણીસભામાં કહી નાખ્યું કે અદાણી અને અંબાણી કાઁગ્રેસને પૈસા આપી રહ્યા છે અને એ પણ કેટલા? ટેમ્પો ભરીને. કાઁગ્રેસે ટેમ્પો ભરીને આ બે ઉદ્યોગપતિઓ પાસેથી પૈસા લીધા છે એટલે રાહુલ ગાંધી આ બે જણની ટીકા કરતા નથી જે પહેલાં તો દિવસરાત કરતા હતા. આ પહેલાંનો પ્રચાર પણ ભારત જેવા મહાન દેશના વડા પ્રધાનને શોભે એવો નહોતો. કાઁગ્રેસ સત્તામાં આવશે તો તમારી પાસે જો બે ભેંસ હશે તો એક ભેંસ લઈ જશે. કાઁગ્રેસ આવશે તો મહિલાઓનું મંગળસૂત્ર આંચકી લેશે. કાઁગ્રેસ આવશે તો તમારો અડધો અડધ બાપીકો વારસો લઈ લેશે. કાઁગ્રેસ આવશે તો અન્ય પછાત કોમ માટેના અનામતના કોટા મુસલમાનોને આપી દેશે. કાઁગ્રેસ આવશે તો અયોધ્યાના રામમંદિર પર તાળાં લાગશે. કાઁગ્રેસ આવશે તો આમ થશે અને તેમ થશે. દિવસરાત કાઁગ્રેસ, કાઁગ્રેસ અને કાઁગ્રેસ.

નીકળ્યા તો હતા ભારતને કાઁગ્રેસમુક્ત કરવા અને અત્યારે કાઁગ્રેસ આવશે એનો ડર બતાવવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં કાઁગ્રેસનો પ્રજાને ડર બતાવવામાં નથી આવી રહ્યો, પોતે કાઁગ્રેસથી ડરી રહ્યા છે. એટલે તો ચૂંટણીની પૂર્વસંધ્યાએ કાઁગ્રેસ પક્ષ પર ઇન્કમટેક્ષે ૧,૮૦૦ કરોડ રૂપિયાની વસૂલીની નોટિસ બજાવી હતી અને કાઁગ્રેસનાં બેંક એકાઉન્ટ્સ સ્થગિત કર્યા હતા અને હજુ પણ સ્થગિત છે.

પણ અદાણી અને અંબાણી પર પાછા ફરીએ કારણ કે વડા પ્રધાનનું એ કથન જેટલું ગમ્મત કરનારું છે એટલું ગંભીર પણ છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા એ પહેલાં દેશમાં કેટલા લોકોએ અદાણીનું નામ સાંભળ્યું હતું? અને ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા એ પછીથી આ દેશમાં અદાણીનું નામ કોણ નથી જાણતું? નરેન્દ્ર મોદીના પ્રધાનોને કોઈ નથી ઓળખતું, પણ અદાણીને સૌ ઓળખે છે. જે રીતે અદાણી અને અંબાણીને, વિશેષ કરીને અદાણીને ખેરાત કરવામાં આવી છે એની કોઈ કલ્પના પણ ન કરી શકે. પોર્ટ તો કે અદાણી. એરપોર્ટ અદાણી, કોલમાઈન્સ અદાણી, વીજળી અદાણી, મુંબઈમાં ધારાવીની ઝૂંપડપટ્ટીની ૨૭ એકર જમીન તો કે અદાણી. ૨૦૦૨ની સાલમાં અદાણી જૂથ ત્રણ હજાર કરોડ (૩૦ અબજ) રૂપિયાની કુલ સંપત્તિ ધરાવતું હતું. ૨૦૧૩માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા એ પૂર્વે અદાણી જૂથની કુલ સંપત્તિ વધીને ૬૪૨.૭૭ અબજ રૂપિયા સુધી પહોંચી હતી અને અત્યારે ૨૦૨૪ની સાલમાં અદાણીની સંપત્તિ દસ ગણી વધીને ૬,૬૦૦ અબજ રૂપિયા સુધી પહોંચી છે. માત્ર બે દાયકામાં ત્રીસ અબજ રૂપિયા ૬,૬૦૦ અબજ રૂપિયામાં ફેરવાયા એ શું આવડત અને પરિશ્રમનું પરિણામ હતું? આજ સુધી આવો આવડત ધરાવતો ઉદ્યોગપતિ જગતમાં થયો નથી એટલે એને તો વાણિજ્યનાં પાઠ્યપુસ્તકોમાં સ્થાન મળવું જોઈએ. ૨૦૦૨માં વિશ્વના સૌથી શ્રીમંતોની ૫૦૦ લોકોની યાદીમાં અદાણીનું નામ પણ નહોતું એ અત્યારે ૨૦૨૪માં ૧૭મું સ્થાન ધરાવે છે. આ બધું નરેન્દ્ર મોદીની કૃપાથી થયું છે અને એટલે તેમને મોદાણી તરીકે ઓળખાવવામાં આવે છે. શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાના જવાબદાર લોકોએ કહ્યું કે ભારતના વડા પ્રધાને અમારે ત્યાંની મુલાકાત વખતે અદાણી માટે લોબિંગ કર્યું હતું અને એટલે અમારે નાછૂટકે અદાણીની તરફેણ કરવી પડી હતી. ફ્રાંસના ભૂતપૂર્વ પ્રમુખે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ અનિલ અંબાણી માટે લોબિંગ કર્યું હતું એટલે નાછૂટકે અમારે રાફેલનો સોદો અંબાણીને આપવો પડ્યો હતો. હજુ કેટલાં પ્રમાણ જોઈએ છે? હિડનબર્ગે અદાણીની કંપનીઓની માર્કેટ વેલ્યુ ફૂગાવેલી છે એમ કહ્યું ત્યારે ભારતના નાણાં પ્રધાન તેમની વહારે આવ્યા હતા અને કહ્યું હતું કે આ તો દેશની બદનામી કરવાનું કાવતરું છે.

તો પછી રહી રહીને વડા પ્રધાને અદાણી અને અંબાણીને કાઁગ્રેસના તંબુમાં કેમ ધકેલ્યા? શું અદાણી અંબાણી (મુખ્યત્વે અદાણી) સાથેનો ઘરોબો અત્યારે યોજાઈ રહેલી ચૂંટણીમાં મોંઘો પડી રહ્યો છે? કે પછી આ બન્ને ઉદ્યોગપતિઓને ચૂંટણી પછી ભારતમાં કોણ શાસન કરવાનું છે અને કઈ રીતની રાજકીય ઊથલપાથલ થવાની છે એ સમજાઈ ગયું છે? તેમને માટે કોઈ ક્ષમતાવાન પ્રોફેશનલ એજન્સી પાસે લાખ બે લાખ કે તેનાથી પણ વધુ મતદાતાઓની સેમ્પલ સાઈઝ સાથે ખાનગી સર્વેક્ષણ કરાવવું અઘરું નથી. આવું ખાનગી સર્વેક્ષણ વડા પ્રધાને પણ કરાવ્યું હોય એમ બની શકે. ૨૦૦૪ની સામાન્ય ચૂંટણીમાં મતદાનનો છેલ્લો રાઉન્ડ પૂરો થયો એ જ દિવસે અનિલ અંબાણી (ત્યારે અંબાણીબંધુઓ સાથે હતા) કાઁગ્રેસના નેતા સોનિયા ગાંધીને મળવા ગયા હતા અને પછી ત્રીજા દિવસે ચૂંટણીમાં એન.ડી.એ.નો પરાજય થયો હતો. જે આપણે નથી જાણતા અને જાણવા માટે તેમને ૪થી જૂન સુધી રાહ જોવી પડે એમ નથી. પ્રજાના મૂડને જાણવાની તેમની પાસે યંત્રણા છે. માત્ર ભારતમાં નહીં, જગત આખામાં આમ બની રહ્યું છે. આજે કુબેરપતિઓના હાથ તમે કલ્પના પણ ન કરી શકો એટલી હદે લાંબા થઈ ગયા છે. શાસકો તો તેમના ખાંધિયા છે.

તો શક્યતા એવી છે કે અદાણી-અંબાણીને ભળાઈ ગયું છે કે ચૂંટણીમાં શું પરિણામ આવવાનું છે અને એ વડા પ્રધાન પણ જાણે છે. અથવા અદાણી સાથેનો ઘરોબો મોંઘો પડી રહ્યો છે. આમાંથી પહેલું અનુમાન છે અને બીજી વાસ્તવિકતા છે. રાહુલ ગાંધીએ ઉપરાઉપર નરેન્દ્ર મોદીના અદાણી અંબાણી સાથેના સંબંધ વિષે બોલે છે અને મોદીનું નામ અદાણી સાથે એટલી હશે જોડી દીધું છે કે હવે આખો દેશ કહી રહ્યો છે કે મોદી અદાણી અંબાણી (વિશેષ કરીને અદાણી) માટે કામ કરે છે. પૈસા મળ્યા પછી રાહુલ ગાંધીએ અદાણી-અંબાણી વિષે બોલવાનું બંધ કરી દીધું છે એ વડા પ્રધાનની વાત ખોટી છે. જે દિવસે વડા પ્રધાને આમ કહ્યું એ જ દિવસે અને તેના આગલા દિવસે અને તેના આગલા દિવસે રાહુલ ગાંધીએ અદાણીની માળા નરેન્દ્ર મોદીના ગળામાં પહેરાવી હતી. હવે ડરીને વડા પ્રધાને એ ફાંસીના ફંદા જેવી માળાને રાહુલ ગાંધીના ગળામાં ફગાવવાનો પ્રયાસ કર્યો છે.

વડા પ્રધાન જ્યારે બોલે છે ત્યારે તેમનાં કથનમાંથી શું નિષ્પન્ન થશે તેની ચિંતા તેઓ કરતા નથી. અત્યાર સુધી તેમને એવી જરૂર પણ નહોતી કારણ કે ગોદી મીડિયા વડા પ્રધાનની ખિદમત કરતા રહે છે અને ભક્તોની બૌદ્ધિક ક્ષમતા વિષે વડા પ્રધાન આશ્વસ્ત છે. એને કારણે આગળપાછળ વિચાર્યા વગર કાંઈ પણ બોલે. એક ટેમ્પો ભરીને પૈસા આ બે ઉદ્યોગપતિઓએ કાઁગ્રેસને આપ્યા છે એમ વડા પ્રધાને કહ્યું છે. સાહેબ, તો પછી નોટબંધીનું શું થયું? જો ટેમ્પો ભરાય એટલા રોકડા રૂપિયા કુબેરપતિઓ આજે પણ ધરાવે છે તો નોટબંધી શું પ્રજાને હેરાન કરવા માટે, નાના વેપારધંધાને તોડી નાખવા માટે અને એ રીતે ઉદ્યોગપતિઓને મદદ કરવા માટે લાવવામાં આવી હતી? બીજું, વાઘના જડબામાંથી પણ હું ભ્રષ્ટાચારનું કાળું નાણું ખેંચી કાઢીશ એવી બધી જે વાત કરી હતી તેનું શું? વાઘોના જડબામાં ટેમ્પો ભરાય એટલું કાળુ નાણું છે અને એ સિવાયનું કેટલું હશે કોને ખબર! બધું તો કાઁગ્રેસને નહીં જ આપી દીધું હોય, બીજું દસ ટ્રક રોકડું કાળું નાણું તેમની પાસે હોવું જોઈએ. આ સિવાય બીજા ઉદ્યોગપતિઓ પાસે પણ હશે એ તો જુદું. ઈશ્વરના અવતાર સમાન વડા પ્રધાને દેશમાં આટલું બધું રોકડ કાળું નાણું કેટલાક હાથોમાં એકઠું કેમ થવા દીધું? ઇ.ડી., આઈ.બી., સી.બી.આઈ., આવકવેરા ખાતું અને બીજી એજન્સીઓ સૂતી હતી? એ શું રાજકીય વિરોધીઓને સતાવવા માટે છે? કે પછી ટ્રકો ભરાય એટલું રોકડ નાણું એકઠું કરવા દેવા સામે કોઈ લાભ મળતો હતો?

વાત એમ છે કે વડા પ્રધાન ઘાંઘા થઈ ગયા છે. કોઈ ગાયકને રાગ ન મળે, સમ હાથ ન લાધે અને જે હાલ થાય એવા હાલ વડા પ્રધાનના થતા નજરે પડે છે. એમાં પ્રચાર કરવાની અનુકૂળતા ખાતર ચૂંટણીપંચ પર દબાવ નાખીને ચૂંટણી નિરાંતે સાત તબક્કામાં લંબાવી એ હવે ફાયદામાંથી નુકસાનમાં ફેરવાઈ ગઈ છે. કોઈ કારી હાથ લાગતી નથી એટલે લંબાણ અકળાવે છે. આગલો તબક્કો પછીના તબક્કા પર માઠી અસર પેદા કરે છે. તો હકીકત એ છે કે વડા પ્રધાન અકળાયા છે. સંભાવના એ છે કે આગળ કહ્યું એમ અદાણી અને અંબાણીને ચૂંટણીનાં પરિણામોનો અંદેશો મળી ગયો છે અને તેમણે સોડ બદલવાનું શરૂ કરી દીધું છે. વડા પ્રધાન આ જાણે છે અને તેમની ગમગીનીમાં વધારો થયો છે. એક નજર શેરબજાર પર પણ ર કરી જુઓ.

બાકી જેને ઉછેર્યા હોય એના ઉપર કોઈ અમસ્તો આરોપ કરે કે તેઓ દુ:શ્મન સાથે મળી ગયા છે? અને હા, કલ્પના કરો કે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની અત્યારે મનોદશા કેવી હશે! આટઆટલી સેવા કરી, બોન્ડ્સ ખરીદી ખરીદીને આપ્યા, સાહેબની સેવા કરવા મીડિયા ખરીદ્યાં, પોતાનાં વિમાન અને હેલીકોપ્ટર સાહેબના હવાલે ધરી દીધાં, વિદેશમાં નરેન્દ્ર મોદીને દેશના અત્યાર સુધીના વિઝનરી વડા પ્રધાન તરીકે ઓળખાવ્યા અને આવો બદલો! અને વળી વડા પ્રધાને ન્યુઝ પણ એવા આપ્યા કે ખિદમત કરનારી ચેનલોમાં બતાવી પણ ન શકાય! આ સમજવું અઘરું નથી. સ્વાર્થ અને સ્નેહ સાથે ન રહી શકે. તેમની વચ્ચે સ્વાર્થનો સંબંધ હતો. નહોતો કોઈ સ્નેહ કે નહોતી દેશની કે પ્રજાની ચિંતા.

Loading

જીવન

નંદિતા મુનિ|Opinion - Opinion, Poetry|14 May 2024

આજે ફરીથી ટર્કિશ કવિ નાઝિમ હિકમતના એક કાવ્ય Yaşamak ne güzel şeyનો અનુવાદ. 

જીવન સુંદર વસ્તુ છે.

કેવી સુંદર વસ્તુ છે જીવવું એ.

સમજણપૂર્વક, એક રસિક નિષ્ણાતની જેમ, પુસ્તકની જેમ,

એક પ્રેમગીતની જેમ, 

આશ્ચર્યચકિત બાળકની માફક.

એક એક કરીને, ને તો ય એક સાથે જીવવાનું,

જાણે રેશમનું વસ્ત્ર વણવું.

જાણે એક સાથે આનંદનિમગ્ન થઈને ગાન કરવું કોઇ મહાકાવ્યનું.

સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર 

Loading

વ્યક્તિવાદી સમાજમાં આધુનિક પેઢી ઈમોશનલી તકલાદી બની રહી છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|13 May 2024

રાજ ગોસ્વામી

મૂળ ભારતનાં પણ અત્યારે કેનેડામાં રહેતાં અખબારી લેખક રૂપા સુબ્રમણ્યમે, ‘ધ ફ્રી પ્રેસ’ નામના ઇન્ટરનેટ અખબારમાં પહેલી એપ્રિલે એક ચોંકાવનારી સ્ટોરી લખી છે. પહેલી એપ્રિલ છે એટલે સ્ટોરી વાંચીને એપ્રિલ ફૂલ જોક હોવાની શંકા જાય, પરંતુ સ્ટોરી એટલી ગંભીર છે કે એવી શંકાને તાબડતોબ ખારીજ કરવી પડે.

સ્ટોરી ઝોરાયા થેર બીક નામની એક નેધરલેંડની ડચ છોકરી વિશે છે. તે ડિપ્રેશન, ઓટિઝમ (માનસિક વિકાસ સંબંધી બીમારી) અને બોર્ડરલાઈન પર્સનાલિટી ડિસૉર્ડર(લાગણીઓ સાથે પનારો પાડવાની ક્ષમતાનો અભાવ)થી પીડાય છે. તેણે ચાલુ મે મહિનામાં ઈચ્છામૃત્યુ સ્વીકારવાનું નક્કી કર્યું છે. અને તેની ઉંમર 28 વર્ષની છે. તેને 40 વર્ષનો એક ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રોગ્રામર બોયફ્રેન્ડ પણ છે.

જેને અંગ્રેજીમાં યુથનેશિયા કહે છે, અને જેનો મૂળ ગ્રીક અર્થ ‘સુખથી મૃત્યુ’ થાય છે તે ઈચ્છામૃત્યુની વાત આવે ત્યારે આપણા મનમાં એવી વ્યક્તિનું ચિત્ર ખડું થાય છે જે અસાધ્ય બીમારીનો શિકાર હોય અને જેની ઘણી ઉંમર થઇ ગઈ હોય.

પરંતુ રૂપા સુબ્રમણ્યમના આ લેખે, પશ્ચિમના એવા વર્ગમાં ઈચ્છામૃત્યુના વધતા જતા ચલણ પર ચર્ચાને જન્મ આપ્યો છે જે યુવાન છે અને ડિપ્રેશન, સ્ટ્રેસ, આર્થિક અનિશ્ચિતતા અને સોશિયલ મીડિયાના વ્યસનથી ગ્રસિત છે. 

ઝોરાયા જર્મનીની સરહદે આવેલા એક નાનકડા ડચ ગામની છોકરી છે. તેને મોટા થઈને માનસશાસ્ત્રી બનવું હતું, પણ ન તો તે સ્કૂલ પૂરી કરી શકી કે ન તો કારકિર્દી બનાવી શકી. તે ઉપર જણાવી તે બીમારીઓથી નાનપણથી પીડાતી હતી. હવે તે થાકી ગઈ છે. 

તેના ડોકટરોએ હાથ ઊંચા કરી દીધા છે. એટલે જ તેણે મરવાનું નક્કી કર્યું છે. તે કહે છે, “મેં પહેલેથી નક્કી કર્યું હતું કે જો આનો ઈલાજ નહીં થાય તો લાંબુ ખેંચી નહીં શકું.” તેની આ હતાશાનું પ્રદર્શન કરવું હોય તેમ, તેણે તેના ડાબા હાથના બાવડે જીવન-વૃક્ષ(ટ્રી ઓફ લાઈફ)નું ટેટૂ કોતારાવ્યું છે, પણ ઊંધું- મૂળિયાં ઉપર અને ડાળખીઓ નીચે.

ઝોરાયાએ રૂપા સુબ્રમણ્યમને ટેક્સ્ટ મેસેજમાં કહ્યું હતું, “જીવન-વૃક્ષનો અર્થ વિકાસ અને નવા પ્રારંભનો થાય છે. મારું વૃક્ષ ઊંધું છે, તેનાં પાંદડાં ખરી રહ્યાં છે અને તે સુકાઈ રહ્યું છે. એક વાર વૃક્ષ સુકાઈ જાય પછી, પક્ષી ઊડી જાય છે. હું જીવનમાંથી મુક્ત થઇ રહી છું.”

ઝોરાયાએ બધી જ તૈયારીઓ કરી લીધી છે. ઘરમાં જ તેની મુક્તિ આકાર લેશે. “કોઈ સંગીત નહીં વાગે,” તેણે લખ્યું હતું, “હું લિવિંગ રૂમમાં સોફા પર જ વિદાઈ લઈશ. ડોકટર ઉતાવળ નહીં કરે. તે આવીને બેસશે અને કોફી પીશે, જેથી માહોલ હળવો થાય. પછી મને પૂછશે કે હું તૈયાર છું. હું સોફા પર બેસીશ. તે મને ફરી એકવાર મારા નિર્ણય અંગે પૂછશે. પછી મને વિદાયની શુભેચ્છા આપીને પ્રોસેસ ચાલુ કરશે.”

ડોક્ટર તેને પહેલાં બેહોશીની દવા આપશે પછી બીજી ડ્રગ આપશે જેનાથી ઝોરાયાનું હૃદય કામ કરતું બંધ થઇ જશે. તે પછી એક રીવ્યુ કમિટી તપાસ કરશે કે ડોકટરે નિયમોનું પાલન કર્યું છે કે નહીં. કમિટીના અહેવાલના આધારે ડચ સરકાર પ્રમાણપત્ર આપશે કે ઝોરાયા થેર બીકનું જીવન કાનૂની રીતે સમાપ્ત થયું છે. 

ઝોરાયાએ તેના બોયફ્રેન્ડને અંત સુધી હાજર રહેવા કહ્યું છે. તેની કોઈ અંતિમ વિધિ કરવામાં નહીં આવે. તેના પરિવારમાં ખાસ કોઈ છે નહીં, અને તેના મિત્રોને અંતિમ વિધિમાં આવવાનું ગમશે નહીં. ઝોરાયા અને તેના બોયફ્રેન્ડે ભેગા મળીને જંગલમાં એક ‘સરસ જગ્યા’ શોધી રાખી છે ત્યાં તેનાં અસ્થિને વિખેરી દેવામાં આવશે. 

નેધરલેંડની થીઓલોજી યુનિવર્સિટી કામ્પેનમાં નીતિશાસ્ત્રી સ્ટેફ ગ્રોઈનેવુડે રૂપા સુબ્રમણ્યમને કહ્યું હતું કે ડોકટરો અને માનસશાસ્ત્રીઓએ ઈચ્છામૃત્યુને એટલું સામાન્ય બનાવી દીધું છે કે હવે તે ના છૂટકાનો ઉપાય રહ્યો નથી. અગાઉ ડોકટરો આટલી જલદી સારવારમાંથી હાથ ઊંચા કરી દેતા નહોતા, પરિણામે માનસિક પરેશાનીઓથી પીડિત યુવાનોમાં આ ચલણ વધતું જાય છે.”

આમાં મહત્ત્વનો મુદ્દો યુવા પેઢીમાં વધતી માનસિક સ્વાસ્થ્યની સમસ્યાનો છે. પશ્ચિમના દેશોમાં યુવાનોમાં ડિપ્રેશન અને ઍંગ્ઝાયટીનું પ્રમાણ ઘણું ઊંચું છે. ભારત સહિતના પૂર્વીય સમાજોમાં સુખ-દુઃખની સમસ્યાઓ તો છે, પરંતુ પશ્ચિમની સરખામણીમાં ભાવનાત્મક ઉતાર-ચઢાવ ઓછો છે.

પશ્ચિમના ઘણા સ્વાસ્થ્ય નિષ્ણાતો માને છે કે ભાવનાત્મક બાબતોમાં પશ્ચિમ અને પૂર્વનો અભિગમ ભિન્ન છે. પશ્ચિમ વ્યક્તિવાદી અને ભોગવાદી સમાજ છે. અહીં દરેક વ્યક્તિ પોતાનું સુખ શોધે છે અને દુઃખને નિષ્ફળતા ગણીને નિરાશ થાય છે.

પૂર્વમાં લોકો સમૂહવાદી અને સેવાભાવી છે. અહીં લોકો પરિવારનું સુખ પહેલાં જુવે છે અને અંગત સુખ-દુઃખને જીવનના અનિવાર્ય પણ અસ્થાયી ચક્ર તરીકે જુવે છે. આપણા માટે સુખી જીવનનો અર્થ એ નથી કે એમાં કોઈ દુઃખ ના હોય. એનો અર્થ એટલો જ કે તે દુઃખ અર્થપૂર્ણ હોય. આપણે સુખી જીવન માટે નહીં, સાર્થક જીવન માટે સંઘર્ષ કરીએ છીએ એટલે આપણે દુઃખમાં પણ સુખ જોઈ શકીએ છીએ. ભારતમાં જ્યારે કોઈ એમ કહે કે ‘સુખી રહો,’ ત્યારે તે આશીર્વાદમાં ‘સાર્થક જીવો’નો ભાવ હોય છે. 

સુખ અને દુઃખના આ પાયાના તફાવતના કારણે પશ્ચિમની યુવા પેઢીમાં માનસિક ક્ષમતા નબળી પડી ગઈ છે જ્યારે આપણે ત્યાં સહનશીલતા સલામત છે. 

તરુણોમાં માનસિક સમસ્યાઓ કેમ વધી રહી છે? સુખ-સુવિધાઓ વધી છે પણ યુવાનોમાં એંગ્ઝાઇટી, ડિપ્રેશન, હતાશા, નકારાત્મકતામાં કેમ ઉમેરો થઈ રહ્યો છે? ‘બેડ થેરાપી’ નામના એક લોકપ્રિય પુસ્તકની લેખિકા અબિગેઇલ શ્રિયર કહે છે કે બની બેઠેલા મેન્ટલ હેલ્થ નિષ્ણાતોએ આજની પેઢીને માયકાંગલી બનાવી દીધી છે અને પેરેંટ્સને અપરાધભાવથી ભરી દીધા છે. માનસિક સ્વાસ્થ્યના નામે એક મોટો ધંધો વિકસી ગયો છે અને એમાં આખી પેઢી સહન કરી રહી છે.

પુસ્તકમાંથી મહત્ત્વનાં પાંચ તારણો :

૧. બાળકો શું “ફીલ” કરે છે અને તેઓ શું “વિચારે” છે તેની સતત ચિંતા કરવાથી નકારાત્મક અસરો પડી છે. લાગણીઓને વધુ પડતી પંપાળવાથી બાળકો આળાં થઈ ગયાં છે. બાળકો મનથી કોમળ નહીં કઠોર થવાં જોઈએ.

૨. બાળકોની જરા અમથી સમસ્યાઓને હલ કરવા માટે દોડી જવાની વૃત્તિથી તેઓ જાતે કશું કરી શકવા માટે અક્ષમ થઈ ગયાં છે, અને પોતાને કશું પણ થાય તો રાઈનો પહાડ કરી મૂકે છે. તેમને એવું માનવાની ટેવ પડી ગઈ છે કે દુનિયા તેમની આસપાસ ગોળ ફરે છે. એટલે તે સ્વાર્થી અને આત્મમુગ્ધ બની ગયાં છે.

૩. એક મજબૂત માનસિક સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસનો વિકાસ કરવા માટે જરૂરી છે કે બાળકો જાતે હાથપગ મારે અને જખ્મી થાય. વિચારો અને લાગણીઓનું વિશ્લેષણ કરવાથી માનસિક વ્યથાઓમાંથી મુક્ત ના થવાય, તેના માટે  જાતને કંફર્ટ ઝોનમાંથી બહાર કાઢીને જીવન જીવવા માટેના પડકારો ઝીલવા જોઈએ.

૪. સુખી થવાનો એક માત્ર રસ્તો સુખનું નિર્માણ કરવાનો છે. તેના માટે રોજ સવારે ઊઠીને મહેનત કરવી પડે. સુખની અવસ્થા સ્થાયી નથી. સતત મહેનત કરવાથી જે સંતોષ અને ખુશી આવે છે તે સુખનું કારણ બને છે.

૫. સૌથી સુખી અને સુલઝેલાં છોકરાં એ પરિવારમાંથી આવે છે જ્યાં પેરેંટ્સ ખૂબ પ્રેમાળ છે પણ નિયમો ય એટલા જ સખ્ત છે. “છોકરાંને કશું કહેવાનું નહીં”ની માનસિકતાથી તેમનું જ અહિત થયું છે.

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 12 મે 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...568569570571...580590600...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved