Opinion Magazine
Number of visits: 9557707
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પતન તાનાશાહીની અનિવાર્ય નિયતિ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|11 August 2024

રમેશ ઓઝા

ગયા જાન્યુઆરી મહિનામાં બંગલાદેશની લોકસભાની ચૂંટણીમાં શેખ હસીના વાજેદના પક્ષે એક પછી એક ચોથી વાર પ્રચંડ વિજય મેળવ્યો ત્યારે તેમણે અને બીજા કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે માત્ર છ મહિનામાં તેમણે વડાં પ્રધાનપદ તો ગુમાવવું પડશે, પણ દેશ છોડીને પણ નાસવું પડશે. સમયનો ખેલ અદ્ભુત છે, પણ આ ખેલ તેમણે પોતે પોતાના માટે રચ્યો હતો એટલે દયા ખાવાની જરૂર નથી. આવું જ બે વરસ પહેલાં, ૨૦૨૨ના જુલાઈ મહિનામાં શ્રીલંકામાં બન્યું હતું. ત્યાંથી પણ રાજપક્સે બંધુઓએ દેશ છોડીને ભાગવું પડ્યું હતું અને તેમના માટે પણ કોઈએ દયા નહોતી ખાધી. વાવો તે લણો!

શું હસીના વાજેદનું પતન અનામત વિરોધી આંદોલનના કારણે થયું છે? ના, બંગલાદેશની સર્વોચ્ચ અદાલતે ૨૭મી જુલાઈએ કુલ ૫૬ ટકાની અનામતની જોગવાઈને ઘટાડીને સાત ટકાની કરી નાખી હતી અને એ પછી આંદોલન શાંત પડવા લાગ્યું હતું. સંપૂર્ણપણે શાંત પડી પણ જાત જો આંદોલનકારીઓને રઝાકાર, દેશદ્રોહી, બંગલા અસ્મિતાના દુશ્મન, ઇસ્લામવાદી, ત્રાસવાદી, વિદેશી એજન્ટ વગેરે શબ્દો દ્વારા નવાજ્યા ન હોત. આ સિવાય શેખ હસીનાના પક્ષ અવામી લીગના છાત્ર સંગઠનના ગુંડાઓ આંદોલનકારીઓને રસ્તા પર મારતા હતા, ગાળો દેતા હતા અને પોલીસ પક્ષપાત કરતી હતી અને કુલ મળીને તેમને અપમાનિત કરવામાં આવતા હતા. આને કારણે રોષ ભભૂક્યો હતો અને મેડમને જીવ બચાવવા દેશ છોડીને નાસવું પડ્યું હતું.

ટૂંકમાં અનામત તો એક બહાનું હતું, એક નિમિત્ત કારણ માત્ર હતું, મૂળ કારણ તો શેખ હસીના વાજેદની તાનાશાહી હતું. ૨૦૦૯માં ૧૪ પક્ષોનો મોરચો રચીને તેમણે લોકશાહી માર્ગે સત્તા મેળવી હતી, પરંતુ એ પછી તેમણે ધીરેધીરે પહેલાં પોતાના જ મોરચાના સાથી પક્ષોને અને એ પછી વિરોધ પક્ષોને ખતમ કરીને તાનાશાહીનો માર્ગ અપનાવ્યો હતો. તેમણે બંગલાદેશને લગભગ વિરોધપક્ષમુક્ત કરી નાખ્યું હતું. ૨૦૧૪ની ચૂંટણી ઠીકઠીક પ્રમાણમાં એકપક્ષીય હતી, ૨૦૧૯ની ચૂંટણી ૨૦૧૪ કરતાં વધારે એકપક્ષીય હતી અને ૨૦૨૪ની ચૂંટણી તો સાવ જ એકપક્ષીય હતી. એ પછી તેઓ બંગલાદેશને વિરોધમુક્ત કરવા માંડ્યાં હતાં. પોતાનો પક્ષ, ચૂંટણીપંચ, ન્યાયતંત્ર, એકંદરે વહીવટીતંત્ર, મીડિયા, યુનિવર્સિટીઓ, શિક્ષણસંસ્થાઓ પર કબજો જમાવ્યો હતો. બધાં તેમનાં ગુલામ હતા. કોઈએ અવાજ નહીં ઉઠાવવાનો. બંગલાદેશમાં જે વિસ્ફોટ થયો તેનું મૂળ કારણ શેખ હસીના વાજેદની તાનાશાહી હતું, અનામત તો નિમિત્ત કારણ હતું.

શેખ હસીના વાઝેદ

આ સિવાય બંગલાદેશ મુક્તિસંગ્રામમાં ભાગ લેનારા લોકોનાં ત્રીજી પેઢીનાં સંતાનો માટે  સરકારી નોકરીમાં ત્રીસ ટકા બેઠકો અનામત રાખવામાં આવે એવી જોગવાઈ વાહિયાત હતી. ત્રીસ ટકા એ કોઈ મામુલી પ્રમાણ નથી અને એ પણ ત્રીજી પેઢી માટે! તેની પાછળનો ઈરાદો શેખ હસીનાના બંગલા અસ્મિતાના રાજકારણનું સમર્થન કરનારાઓને લાભ આપવાનો હતો અને તેના વિરોધીઓને લાભથી વંચિત રાખીને દંડવાનો હતો. તેમને જાણ હતી કે આ જોગવાઈ ન્યાયસંગત તો નથી, તર્કસંગત પણ નથી એટલે તેમણે ૨૦૧૮ની સાલમાં વિદ્યાર્થીઓએ જ્યારે આંદોલન કર્યું ત્યારે કોઈ પણ પ્રકારનો પ્રતિકાર કર્યા વિના ૩૦ ટકા અનામતની જોગવાઈ રદ કરી નાખી હતી. આની પાછળનું કારણ ૨૦૧૯ની ચૂંટણી જીતવાનું હતું. એકવાર ચૂંટણી જીત્યા પછી રસ્તા ક્યાં ઓછા છે! ૨૦૧૯ અને એ પછી ૨૦૨૪ની ચૂંટણી જીત્યા પછી અનુકૂળતા નજરે પડી ત્યારે તેમના એક સમર્થકે અનામતની જોગવાઈને રદ્દ કરવાના સરકારના આદેશને વડી અદાલતમાં પડકારવામાં આવ્યો. બધું જ પટકથા મુજબ હતું. વડી અદાલતના જજે એકાદ-બે સુનાવણી કરી ન કરી અને ૩૦ ટકા અનામતની જોગવાઈ પાછી બહાલ કરી આપી. અનામતની જોગવાઈ પાછી પણ આવે અને એ પણ ન્યાયતંત્ર દ્વારા એટલે કોઈને કશું કહેવાનું રહે નહીં.

આની પાછળનો ઈરાદો સમર્થકોને સરકારમાં ઉપરથી નીચે સુધી સર્વત્ર ગોઠવવાનો અને વિરોધીઓને બહાર રાખવાનો હતો. લોકોને મેસેજ જવો જોઈએ કે શેખ હસીના વાજેદ બંગલાદેશનો વર્તમાન છે અને આપણું ભવિષ્ય છે. શેખ હસીના એટલે બંગલાદેશ અને બંગલાદેશ એટલે શેખ હસીના. સામે હસીનાના પ્રતિસ્પર્ધી અને ભૂતપૂર્વ વડાં પ્રધાન બેગમ ખાલેદા ઝીયાને લગભગ ખતમ કરી નાખ્યાં છે. તેમના પર મુકદમા ચલાવવામાં આવ્યા, જેલની સજા કરવામાં આવી એમ દરેક રીતે તેમને સતાવવામાં આવી રહ્યાં છે. ૨૦૧૪થી બેગમ ખાલેદા ઝીયા કાં જેલમાં છે અથવા તેમનાં મકાનમાં નજરકેદ છે. આજે સ્થિતિ એવી છે કે બંગલાદેશમાં થયેલી ક્રાંતિનો અને આવી રહેલાં પરિવર્તનનો લાભ ખાલેદા ઝીયા લઈ શકશે એમ લાગતું નથી. રાજકીય રીતે જ નહીં, શારીરિક અને માનસિક રીતે પણ તેમને ખતમ કરી નાખવામાં આવ્યાં છે.

આ બધું જ બંગલા અસ્મિતાનાં નામે કરવામાં આવતું હતું. બંગાળી પ્રજા મહાન છે, કારણ કે બંગાળી સંસ્કૃતિ મહાન છે, બાંગ્લા ભાષા મહાન છે. સામે પક્ષે ઇસ્લામની વાત કરનારાઓએ ઇસ્લામના નામે બંગલાદેશને પશ્ચિમ પાકિસ્તાનનું સંસ્થાન બનાવી દીધું હતું અને બંગલા અસ્મિતાને હાંસિયામાં ધકેલી દીધી હતી. બંગલાદેશના વતની હોવા છતાં જેઓ ઇસ્લામવાદીઓ છે એ હકીકતમાં ગદ્દાર છે. બંગલાદેશના ગુનેગાર છે અને ગુનેગારોને માફ કરવાના ન હોય. જો તેઓ પાછા સત્તામાં આવશે તો બંગાળી ભાષા અને સંસ્કૃતિનું શું થશે એનો વિચાર કર્યો છે? એક હું છું જે તમારી રક્ષા કરવાનું સામર્થ્ય ધરાવું છું. વાચકોને કદાચ અત્યારે વિસ્મરણ થઈ ગયું હશે, પણ બંગબંધુ તરીકે ઓળખાતા અને બંગલાદેશને મુક્તિ અપાવનારા, શેખ હસીનાના પિતા શેખ મુજીબુર રહેમાન પણ તાનાશાહીના માર્ગે ગયા હતા એટલે તેમની હત્યા થઈ હતી.

ડરાવો, પોરસાવો અને બાંયધારી આપો. શ્રીલંકામાં પણ આ જ જોવા મળ્યું હતું. હું છું એટલે તમે તમિલોથી સુરક્ષિત છો. મેં તેમને તેમની જગ્યા બતાવી આપી છે. માટે મારી આંગળી પકડો, મારી આંગળી નિર્ભયતાની ગેરંટી આપે છે. સમસ્યા એ છે કે આંગળી પકડનારાને ભૂખ પણ લાગે છે. તે બે આંખ અને બે કાન પણ ધરાવે છે. ભલે થોડી મંદ, પણ બુદ્ધિ પણ ધરાવે છે. એક દિવસ એ જાગે છે અને જાગે છે ત્યારે સમૂહમાં જાગે છે.

શેખ હસીનાએ દેશમાં જે પ્રકારનો શૂન્યાવકાશ પેદા કર્યો છે એ જોતાં લાગતું નથી કે કમ સે કમ એક દાયકા સુધી બંગલાદેશમાં સ્થિતિ થાળે પડશે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 11 ઑગસ્ટ 2024

Loading

આપણા અનુ-આધુનિક સાહિત્ય વિશે ફરી એક વાર… (૭)  

સુમન શાહ|Opinion - Literature|11 August 2024

સુમન શાહ

આપણો સર્જક કે વિવેચક જો આધુનિક ‘પછી’-નું તે ‘અનુ-આધુનિક’ એમ સમજીને ચાલતો હોય તો એ સમજ સમયવાચી છે. આપણને એમ લાગે ખરું કે આપણે ત્યાં આધુનિક સાહિત્ય અમુક દાયકામાં આછરી ગયું અને તે પછી અનુ-આધુનિક સાહિત્ય શરૂ થયું. તેમછતાં, એ સમયનિર્દેશોથી કશો વિશેષ પ્રકાશ પડતો નથી.

આપણે સમજવું જોઈશે કે આવી કોઈપણ સંજ્ઞા સમયવાચી હોવા ઉપરાન્ત મુખ્યત્વે ગુણવાચી હોય છે. અનેક સંકેતોમાં ‘આધુનિક’ કે ‘અનુ-આધુનિક’ સાહિત્ય તેના ગુણવિશેષોથી એમ કહેવાતું હોય છે. આપણે એ ગુણવિશેષો જાણતા હોઈએ, જે તે કૃતિઓનું સઘન અધ્યયન કરતા હોઇએ, તો આપણને તેના પૂર્ણ સ્વરૂપનું જ્ઞાન થાય.

અનુ-આધુનિક સાહિત્યના એ ગુણવિશેષો કયા તે અહીં દર્શાવવાની જરૂરત નથી; એ વિશે આપણે ત્યાં ઘણું લખાયું છે; જિજ્ઞાસુએ ત્યાં પ્હૉંચી જવું.

મુદ્દો એ છે કે કૃતિઓના વાચન વિના તેમ જ તેને વિશેની સમીક્ષાત્મક જાણકારી વિના આધુનિક અને અનુ-આધુનિક સાહિત્ય માટે મતામતી કરવી કે પક્ષાપક્ષી કરવી, ઠીક નથી. કેમ કે એથી રાજકારણ સરજાશે. પક્ષકારના તેમ જ વિપક્ષકારના દુશ્મનો વધશે. એથી સરવાળે, રૂડા જીવનસમયનો નાશ થશે અને ભ્રાન્તિ સરજાશે કે આપણે કેવી તો મહાન ચર્ચાઓ કરી રહ્યા છીએ ! માટે, એથી બચવું કે જોડાયા હોઈએ તો છૂટા થઈ જવું અથવા તો પછી એમાં પડ્યા રહીને ખુવાર થવું, એટલા જ વિકલ્પો બચે છે.

સાહિત્યને બે વર્ગમાં જોઈ શકાય છે :

૧

વાચકને કલાસૌન્દર્ય અને રસાનુભવ આપનારું સાહિત્ય — લિટરેચર ઑફ ઍસ્થેટિક ઍક્સપીરિયન્સ. એટલે કે, રસાનુભવનું સાહિત્ય. આપણા મોટાભાગના આધુનિક સાહિત્યને આ વર્ગમાં મૂકી શકાય.

૨

વાચકને ધાર્મિક સાંસ્કૃતિક કે સામાજિક તન્ત્રોની સાફસફાઇ માટે અનુનય કરનારું સાહિત્ય — લિટરેચર ઑફ ઍસ્થેટિક અપીલ. એટલે કે, અનુનયનું સાહિત્ય. આપણા મોટાભાગના અનુ-આધુનિક સાહિત્યને આ વર્ગમાં મૂકી શકાય.

તેમછતાં, રસાનુભવનું સાહિત્ય અને અનુનયનું સાહિત્ય, છે તો સાહિત્ય, રાજ્યબંધારણનો ચૉપડો નથી, તેથી, બન્નેમાં બન્નેના ગુણ હશે. આધુનિક સાહિત્યમાં તન્ત્રોની ઓછીવત્તી ય સાફીસૂફીની શક્યતા નહીં હશે, એમ નથી. એ જ રીતે, અનુ-આધુનિક સાહિત્યમાં ઓછીવત્તી ય રસાનુભવની શક્યતા નહીં હશે, એમ નથી. 

અને જુઓ, કોઈપણ સાહિત્યકૃતિના બંધની સંરચનામાં ફોરગ્રાઉન્ડિન્ગ અને બૅકગ્રાઉન્ડિન્ગની ડિઝાઇન હોય છે. બને છે એવું કે લેખકની સર્જક-કલ્પના અનુસાર, રચનાનો બંધ સરજાતો હોય છે. 

તદનુસાર, એની કોઈ રચનામાં આધુનિકતાસૂચક ગુણવિશેષો આગળ થયા હોય, એટલે કે એ ગુણવિશેષોનું ફોરગ્રાઉન્ડિન્ગ થયું હોય; પરન્તુ ત્યારે બૅકગ્રાઉન્ડમાં અનુ-આધુનિકતાપરક ગુણો ન હોય એવું ન હોય, બલકે એ પાછળના ગુણોએ જ પેલા ગુણોને આગળ થવા દીધા હોય. 

તદનુસાર, એની કોઈ રચનામાં આધુનિકતાસૂચક ગુણવિશેષો આગળ થયા હોય, એટલે કે એ ગુણવિશેષોનું ફોરગ્રાઉન્ડિન્ગ થયું હોય, પરન્તુ ત્યારે બૅકગ્રાઉન્ડમાં અનુ-આધુનિકતાપરક ગુણો ન હોય એવું ન હોય, બલકે એ પાછળના ગુણોએ જ પેલા ગુણોને આગળ થવા દીધા હોય.

પરિણામે, એ-નો-એ જ લેખક એક વાર અનુ-આધુનિક વરતાય, તો બીજી વાર આધુનિક વરતાય. 

એટલું જ નહીં, એવા એકથી વધુ લેખકોને કારણે તે સમયનું સાહિત્ય આધુનિક લાગે કે અનુ-આધુનિક લાગે. 

પરન્તુ, જે કંઇ લાગે તેના મૂળમાં ગુણવિશેષો હોય છે, ન કશું બીજું. 

સમસામયિક ચર્ચાઓમાં આ મૂળની જાણકારીની ભારે અછત છે. એ અછતને સોશ્યલ મીડિયાની દેણ ગણીને બાજુએ નહીં મુકાય. એ મૂળની જાણકારી પ્રસરાવવી તે અધ્યાપકો અને સમીક્ષકોનો ધર્મ છે; એથી જ્ઞાત થવું તે લેખકો અને ચર્ચકોનો ધર્મ છે. બાકી, જો એમ નહીં થશે તો વર્તમાન તેમજ ભાવિ પેઢીઓ અજ્ઞાનને માર્ગે દોરવાશે. 

અને એટલે હું એને સમસામયિક પેઢીએ કરેલો મહા પ્રજ્ઞાપરાધ ગણીશ. 

= = =

(10 Aug 24: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બાંગ્લાદેશના હાલ બેહાલઃ  કેન્દ્ર સરકાર માટેના પડકારો અને બોધપાઠની યાદી વધુ અઘરી બની

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|11 August 2024

મોદી સરકારે બળતા ઘરોની વચ્ચે સ્થિરતા રાખીને વ્યૂહાત્મક પગલાં લેવાં પડશે, નહીંતર ત્યાંની ઝાળ અહીં શું ભડકો કરી જશે એ સમજાય તે પહેલાં પરિસ્થિતિ વણસી જશે.

ચિરંતના ભટ્ટ

બાંગ્લાદેશ ભડકે બળી રહ્યો છે. 15 વર્ષથી સત્તા પર બેઠેલાં શેખ હસીનાએ વડાં પ્રધાનપદેથી રાજીનામું આપી દેશ છોડી દઇને ભારતમાં શરણ લીધી છે. બાંગ્લાદેશમાં અરાજકતા હજી પણ યથાવત્ છે, ત્યાંથી આવતી વીડિયો અને તસવીરો મગજ ચકરાવે ચઢાવી દે તેવાં હોય છે. અંદાજે 440 લોકો મોતને ભેટ્યાં છે, જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે અને રિપોર્ટ્સ અનુસાર હજી સાચા આંકડા બહાર નથી આવ્યા. 1971ના યુદ્ધમાં ભાગ લેનારાઓના પરિવારોને નોકરી માટે અપાતી 30 ટકા અનામતના મુદ્દે વિદ્યાર્થીઓએ અવામી લીગ સામે વિરોધી પ્રદર્શનો શરૂ કર્યા અને પરિણામ આપણી સામે છે.  સત્તા ગુમાવ્યા પછી દેશ છોડવાનો વારો આવ્યો હોય એવું બાંગ્લાદેશના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે. આમ તો સીંદરી બળે પણ વળ ન છોડે વાળા ઘાટની માફક શેખ હસીનાને છેક છેલ્લે સુધી એમ હતું કે બળપ્રયોગ વધારીને, વિરોધોને નાથીને પણ સત્તા નથી છોડવી, પણ સેનાના વરિષ્ઠ અધિકારીઓ નહોતા ચાહતા કે હિંસામાં માર્યા ગયેલાઓની અને ઈજાગ્રસ્તોની સંખ્યા વધે. આખરે એવો તબક્કો આવ્યો જ્યારે સામાન્ય લોકો, વિરોધીઓએ સેનાના નીચેના અધિકારીઓ અને જવાનોમાં ભળી જવાનું નક્કી કર્યું. આ તબક્કે સ્પષ્ટ થઇ ગયું કે હવે સંજોગો સત્તારૂઢ પક્ષના હાથની બહાર છે.

શેખ હસીના વાઝેદ

શેખ હસીના એક સરમુખત્યાર છે એમાં કોઇ બેમત નથી. આ વખતે બાંગ્લાદેશમાં જે રીતે ચૂંટણી થઇ અને કોઇ લડત વિના, વિરોધપક્ષ વિના શેખ હસીનાએ પોતાને વડાં પ્રધાન જાહેર કરી દીધાં (ચૂંટણીપંચની રચનાની માંગ કરતા નાગરિકોની વાત સાંભળ્યા વિના) એ પછી તેમને સત્તા પરથી હટાવી દેવાને મામલે દેશનો મિજાજ વધુ ઘેરો થઇ રહ્યો હતો. એમાં ય આ વખતે વિરોધીઓ સામે સેના ઉતારી, વિરોધીઓને માટે ‘રઝાકાર’ શબ્દ વાપર્યો પછી તો શેખ હસીનાનું આવી જ બન્યું હતું કારણ કે લોકો હવે તો કોઇપણ કાળે તેમને વડાં પ્રધાન પદેથી હકાલી કાઢવા જ માગતા હતા. ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી, ખાડે ગયેલું અર્થતંત્ર આ બધાની જ્વાળાઓ વડવાનલની માફક બાંગ્લાદેશમાં પ્રસરેલી જ હતી અને શેખ હસીનાએ એક વડાં પ્રધાન તરીકે આ પ્રશ્નોનો ઉકેલ લાવવાની કોઇ તસ્દી નહોતી લીધી. બાંગ્લાદેશને મામલે શેખ હસીના માટે હાથનાં કર્યાં હૈયે વાગ્યાં જેવો જ ઘાટ છે.

ભારતે ક્યાં કાળજી રાખવી?

ભારતના દૃષ્ટિકોણથી જોઇએ તો હવે સંજોગો આકરા છે અને એકથી વધુ પડકારો આપણી સામે છે. શેખ હસીના પોતાના દેશવાસીઓ માટે સરમુખત્યાર હતા પણ તેમના વલણને કારણે ભારત વિરોધી અને ધાર્મિક અંતિમવાદીઓ કાબૂમાં રહેતા હતા. વળી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ખાસ કરીને એનર્જી અને કનેક્ટિવિટીને મામલે વ્યાપારી અને વિકાસલક્ષી સંબંધો સારા હતા. વળી સરહદ વ્યવસ્થામાં પણ ભારતને બાંગ્લાદેશનો ટેકો મળતો જેને લીધે માનવ તસ્કરી, નકલી નોટો અને ડ્રગ્ઝના વ્યાપાર જેવા ગુનાઇત કૃત્યો પર કડક નિયંત્રણ રહેતું. આ મામલે હવે શું થશે તેની કોઇ સ્પષ્ટતા નથી. બાંગ્લાદેશમાં વચગાળાની જે પણ સરકાર આવે એમાં BNP અને જમાત-એ-ઇસ્લામી જેવા ભારત વિરોધી તત્ત્વો હોવાની વકી છે અને એમ થશે તો મોદી સરકારની ચિંતાઓ તો વધવાની જ. બાંગ્લાદેશનો ઉપયોગ ભારત વિરોધી કૃત્યો કરવા માટે ન થાય તેની તકેદારી પણ રાખવી પડશે. અફઘાનિસ્તાનમાં 2021માં તાલીબાને ફરી કબ્જો જમાવ્યો પછી પાકિસ્તાનને મજા પડી છે, હવે બાંગ્લાદેશમાં પણ ભારત વિરોધી તત્ત્વો બેઠા થશે તેવી કેન્દ્ર સરકારને ચિંતા થાય તે સ્વાભાવિક છે. આપણે ત્યાં પાછા મમતા બેનર્જી જેવાં નેતાઓ પણ છે જે બાંગ્લાદેશીઓને ટેકો આપવાને નામે પગ પર કુહાડી મારવાની સ્થિતિ ખડી કરી શકે એમ છે. ભારતને ઢાકા સાથે આતંકવાદીઓને નાથવા માટે અને સુરક્ષા લક્ષી જે પણ સહકારી સમજૂતી રહી છે તેનું આગળ શું થશે એની પણ ચિંતા કરવાની રહી. બાંગ્લાદેશના રાજકારણમાં જે નાટ્યાત્મક વળાંકો આવ્યા છે એમાં ચીને શું કાંકરીચાળો કર્યો છે એની પૂરી ખબર મેળવીને ચાંપતી નજર રાખવી પડશે. શેખ હસીનાએ ચીન સાથે સારાસારી જ રાખી હતી. ચીને બાંગ્લાદેશમાં કરેલા રોકાણને લીધે ભારતના સુરક્ષાના મુદ્દાઓમાં કોઇ અવરોધ ન આવે એની પણ તકેદારી રાખી હતી. હવે આ ત્રિરાશીઓનું શું થશે એ પણ ભારત માટે ચિંતાનો વિષય છે. આમ તો વિકાસને મામલે ચીનને રસ હોવા છતાં – ખાસ કરીને તીસ્તા પ્રોજેક્ટમાં – શેખ હસીનાને ભારત સાથે જ આગળ વધવું હતું પણ હવે એ મામલે પણ કોઇ સ્પષ્ટતા નથી. ભારત માટે વધારાની ચિંતા બાંગ્લાદેશમાં વસતા હિંદુઓની સલામતી પણ છે.

પાડોશીઓને મામલે ભારત કમનસીબ!

એક દેશ તરીકે આપણું નસીબ પાડોશીઓને મામલે ખાડે ગયેલું છે. એક માન્યતા એવી પણ છે કે ચીન જ આપણા પાડોશી દેશોને યેનકેન પ્રકારેણ આપણા વિરોધી બનાવે છે અથવા તો ત્યાં સ્થિરતાના પ્રશ્નો ખડા કરે છે.  2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાનનું રાજ ફરી આવ્યું અને ત્યારથી આર્થિક કટોકટી, આતંકવાદ અને માનવાધિકારના મુદ્દે દેશ બદતર હાલતમાં છે. પાકિસ્તાન સાથે આપણા સંબધો વિશે આપણે જાણીએ જ છીએ પણ ત્યાં આંતરિક સ્થિરતા દિવાસ્વપ્ન જેવી છે. 2024ની પાકિસ્તાનમાં થયેલી ચૂંટણી વિવાદોથી ઘેરાયલી રહી. અર્થતંત્રને મામલે પાકિસ્તાનમાં મોટાંમસ ગાબડાં છે – મોંઘવારી, ચલણની પડતી, દેવાનો બોજ અને ઊર્જાની અછત – આ છે પાકિસ્તાનની સ્થિતિ.  વળી ચીન અને પાકિસ્તાન BRI પ્રોજેક્ટથી જોડાયેલા છે પણ એમાંને એમાં પાકિસ્તાન ચીનના દેવાના બોજ હેઠળ કંગાળ થઇ ગયો છે. મ્યાનમારમાં પણ આંતરિક સ્થિરતા નથી અને ત્યાંની સત્તા મિલીટરી જનતા પાસે છે જેને લોકશાહી સાથે કંઇ લેવા-દેવા નથી. બાંગ્લાદેશમાં જે અત્યારે થઇ રહ્યું છે તે શ્રીલંકામાં 2022માં થઇ ચૂક્યું છે. શ્રીલંકાને માથે પણ સૌથી વધુ દેવું ચીનનું જ છે અને આજે દેશ નાદારીમાં ધકેલાઇ ગયો છે. શ્રીલંકા હંબરટોટા પોર્ટ દેવાને કારણે જ તો ચીન પાસે ફસાઇ ગયું. નેપાળ સાવ નાનકડો હોવા છતાં ય આ દેશમાં ચીન પ્રેમી રાજકારણી વડા પ્રધાન થઇને બેઠા છે. કે.પી. શર્મા ઓલી ચીન તરફી છે એવું દૃઢતાપૂર્વક મનાય છે. તેમણે ભૂતકાળમાં પણ ભારત સાથે સંબંધો બગાડ્યા છે. મૉલદીવની મુઈજ્જુ સરકારને ચીનનો ટેકો છે એમ કહેવાય છે. જેવી આ સરકાર સત્તા પર આવી એટલે ઇન્ડિયા આઉટ અભિયાનને હવા મળી હતી. મૉલદીવ અને લક્ષદ્વીપ વાળી બબાલ તો આપણને ખબર જ છે. વળી મૉલદીવમાં સરકાર બની એટલે રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવ્યા પણ માળા એ ચીન પણ ગયા. ટૂંકમાં ભારતની આસપાસના દેશોમાં અરાજકતા અને અસ્વસ્થતા છે જેની ઝાળ ભારતને લાગ્યા વિના રહે એમ નથી.

દોસ્તી સાચવવાની લ્હાયમાં દુશ્મનો ઊભા થઇ રહ્યા છે ત્યારે ભારતે બહુ સાવચેતી રાખવાની જરૂર છે.  ચીન તો લાગ જોઇને જ બેઠો છે કે ક્યારે ક્યાંથી ભારતને નુકસાન પહોંચાડી શકાય. ટૂંકમાં મોદી સરકારે બળતા ઘરોની વચ્ચે સ્થિરતા રાખીને વ્યૂહાત્મક પગલાં લેવા પડશે નહીંતર ત્યાંની ઝાળ અહીં શું ભડકો કરી જશે એ સમજાય તે પહેલાં પરિસ્થિતિ વણસી જશે.

બાય ધી વેઃ 

શેખ હસીના અને બાંગ્લાદેશની ચિંતા આપણે આપણા દેશની સ્થિરતા માટે કરવી જ પડશે. પરંતુ બાંગ્લાદેશમાં જે પણ થયું છે તેમાંથી મોદી સરકારે પણ અમુક બોધપાઠ શીખવા પડશે. વિરોધીઓને ચૂપ કરી, હાંસિયામાં ધકેલી દેવાની ભૂલ ન કરવી જોઇએ નહીંતર વાસ્તવિકતા દેખાતી બંધ થઇ જાય અને પછી મ્હોંભેર પડવાનો વારો આવે. હસીનાએ મીડિયાનું દમન કરેલું એવા સરમુખત્યાર પગલાં લેવાની ભૂલ ક્યારે ય ન કરવી. નોકરીમાં અનામત જેવા પ્રશ્નો બહુ કાળજીથી સંબોધવા નહીંતર વાતનું વતેસર થતા વાર નથી લાગતી. બેરોજગારી હોય પણ વિકાસ થતો હોય તો ખુશ ન થવું કારણ કે બેરોજગાર યુવાનો બંડ પોકારવાનું ઈંધણ સાબિત થઇ શકે છે. હસીનાએ વિરોધીઓને રઝાકાર કહ્યા, સરકાર સામે સવાલ ઉઠાવનારાઓ વિશે બોલવામાં છેલ્લી પાયરીએ ન બેસવું. આવકમાં અસમાનતા બહુ મોટું જોખમ છે, ખાસ કરીને જ્યારે વંચિતોને મહત્ત્વ ન અપાય ત્યારે કારણ કે તેમને સામાજિક તણાવ પેદા કરવામાં બહુ વખત નહીં લાગે. પોતાના જ લોકો સામે બળનો ઉપયોગ ટાળવો કારણ કે ઘણીવાર સંજોગો એટલા વકરી શકે છે કે સમાધાનની શક્યતાઓ જ નથી બચતી. નવી પેઢીને સત્તાના બણગાં કે પરિવારના વારસાની વાતો પચવાની નથી. તમારા પ્રચારનું સત્ય ચકાસતા રહો નહીંતર ખોટી માહિતીઓ તમને આંધળા બનાવી દેશે. વળી ભારતે એ પણ યાદ રાખવું જોઇએ કે મિત્ર કહ્યા પછી એ હદે કોઇને ટેકો ન આપવો કે એને બચાવવામાં આપણે ડુબવાનો વારો આવે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 ઑગસ્ટ 2024

Loading

...102030...561562563564...570580590...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved