Opinion Magazine
Number of visits: 9665052
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસ બનો, નાગરિક બનો

રમેશ ઓઝા|Opinion - Opinion|6 October 2024

રમેશ ઓઝા

આ લેખ લખવા પાછળનો હેતુ કોઈને ઊંચા કે નીચા દેખાડવાનો નથી. એ જ રીતે આ લેખ લખવા પાછળનો હેતુ પશ્ચિમ એશિયામાં એક વરસથી ચાલી રહેલા યુદ્ધનું સમર્થન કે નિંદા કરવાનો પણ નથી. નિંદા તો દરેક યુદ્ધની કરવી જોઈએ, પણ લોકો સ્વબચાવના નામે યુદ્ધનું સમર્થન કે બચાવ કરતા હોય છે જે રીતે અમેરિકા ઇઝરાયેલનો બચાવ કરે છે. આ લેખ લખવા પાછળનો હેતુ ભારતનાં હિંદુ અને મુસલમાનોને જગતની અને માનવ સભ્યતાની કોરી વાસ્તવિકતાથી પરિચિત કરાવવાનો છે, જેથી એ કશુંક શીખવા ઈચ્છતા હોય તો શીખી શકે. મારા વાચકોને મારાં લખાણો વાંચીને એટલું તો ધ્યાનમાં આવ્યું હશે કે મારો ઉદ્દેશ હંમેશાં માણસની અંદર રહેલી માણસાઈને જગાડવાનો હોય છે અને માણસાઈ ધર્મ કે બીજી કોઈ પણ ઓળખથી નિરપેક્ષ છે. હું કાઠિયાવાડી ભાષામાં કહું તો પાથીએ પાથીએ તેલ નાખતો રહું છું. તેની કોઈ અસર થાય છે કે નહીં, રામ જાણે.

ઇઝરાયેલ સાથેનું યુદ્ધ શરૂ થયું તેને સાતમી ઓકટોબરે એક વરસ પૂરું થશે અને તમે જુઓ છો કે જય કે પરાજય કોઈનો ય થયો નથી. અહીં એ નિમિત્તે આપણે શું ધડો લેવો જોઈએ એની વાત કરવી છે.

યહૂદીઓ પર શું વીત્યું એ તમે જાણો છો, એટલે તેની વિગતોમાં જવાની જરૂર નથી. બીજા વિશ્વયુદ્ધ પછી વિજેતા રાષ્ટ્રોએ પેલેસ્ટાઇનમાં ઇઝરાયેલ નામના યહૂદીઓ માટેના રાષ્ટ્રની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. યહૂદીઓ સદીઓથી પોતાનાં મૂળ વતનમાં જઇને વસવા ઝૂરતા હતા અને અમેરિકા અને યુરોપના ખ્રિસ્તીઓ યહૂદીઓથી પોતાનો પીંડ છોડાવવા માગતા હતા. યહૂદીઓ અને ખ્રિસ્તીઓ વચ્ચે અણગમો અને અથડામણનો લાંબો ઇતિહાસ છે. વિજેતા રાષ્ટ્રો વિજેતા હતા, સમૃદ્ધ હતા અને પોતાને વિશ્વમાં સૌથી વધુ સભ્ય ગણાવતા હતા એટલે પેલેસ્ટાઇનનું પેટ ચીરીને તેની અંદર ઇઝરાયેલની સ્થાપના કરવામાં પેલેસ્ટાઇનનાં લોકોની મરજી કે રાજીપાની ચિંતા કરવાની જરૂર તેમને નહોતી લાગી. જો એવી થોડી તસ્દી લીધી હોત તો છેલ્લાં ૭૫ વરસથી બન્ને બાજુએ લોહી રેડાઈ રહ્યું છે એ કદાચ નિવારી શકાયું હોત.

પણ સંખ્યાની, લશ્કરી કે આર્થિક શક્તિની તાકાત ધરાવનારાઓ એટલા મુશ્તાક હોય છે કે તેમને આવી કોઈ જરૂર લાગતી નથી. કોઈને વિશ્વાસમાં લેવા જેટલી સાદી માણસાઈજન્ય સભ્યતા દાખવવી એ તેમને નબળાઈ લાગે છે. તેઓ દાદાગીરીને મર્દાનગીમાં ખપાવે છે જેની કિંમત દાયકાઓ સુધી સામાન્ય લોકો ચૂકવે છે.

૧. અહીં ભારતનાં હિંદુઓ માટે એક ધડો :

કેટલાક હિંદુઓ ભારતમાં હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરવા માગે છે. જે લોકો ભારતમાં હિંદુ રાષ્ટ્ર સ્થાપવા માગે છે તેમણે સો વરસમાં ક્યારે ય વિધર્મીઓ સાથે સંવાદ કર્યો કે તેમની કલ્પનાનું હિંદુ રાષ્ટ્ર કેવું હશે અને તેમાં વિધર્મીઓનું શું સ્થાન હશે? શા માટે તેમને વિશ્વાસમાં લેવામાં નથી આવતા? આનું કારણ સંખ્યાની ખુમારી હોય તો એ ખોટી ખુમારી છે. એક તો એ કે દરેક હિંદુ હિંદુ રાષ્ટ્રનો પુરસ્કર્તા નથી. તેના સમર્થકો કરતાં વિરોધ કરનારા હિંદુઓ વધારે છે. બીજું એ કે કોઈને કાયમ માટે દબાવીને રાખી શકાતા નથી, પછી એ બહુમતીમાં હોય કે લઘુમતીમાં. ઇઝરાયેલ અત્યંત શક્તિશાળી દેશ છે પણ ઇઝરાયેલમાં ભાગ્યે જ કોઈ યહૂદી ભય વિના જીવતો હશે. બીજી બાજુ ઇઝરાયેલમાં જેટલી યહૂદીઓની વસ્તી છે તેનાં કરતાં તેનાં અસ્તિત્વને નકારનાર પડોશી મુસ્લિમ દેશોની મળીને મુસ્લિમ વસ્તી અનેક ગણી છે. નથી મુસલમાનોની સંખ્યા નિર્ણાયક વિજય અપાવતી કે નથી ઇઝરાયેલની લશ્કરી અને આર્થિક તાકાત નિર્ણાયક વિજય અપાવતી.

તો તાકાત ક્યાં છે? તાકાત માણસાઈમાં છે. એકબીજાને સાંભળવામાં છે, સમજવામાં છે, સંવાદ કરવામાં છે, વિશ્વાસમાં લેવામાં છે, આપ-લે કરવામાં છે, સહઅસ્તિત્વની સંભાવનાઓ શોધવામાં છે. આ નબળાઈ નથી. તમે જોઈ રહ્યા છો કે પશ્ચિમ એશિયામાં દરેક પ્રકારની તાકાત નિષ્ફળ નીવડી છે. કોઈ શાંતિથી જીવી નથી શકતું. આની જગ્યાએ પેલેસ્ટેનીઓને વિશ્વાસમાં લીધા હોત તો?

હવે બીજી વાત :

૨૦૧૯નાં આંકડા મુજબ ઇઝરાયેલની કુલ વસ્તી ૯૮ લાખ છે જેમાં યહૂદીઓની સંખ્યા ૬૭ લાખ છે. ૩૦ લાખ મુસ્લિમ, ખ્રિસ્તી અને અન્ય કબીલાઈ પ્રજા છે જેમાંથી મુસ્લિમ અને કબીલાઈઓને ખદેડવામાં આવી રહ્યા છે. બીજી બાજુ ઇઝરાયેલની સ્થાપના જ્યાં કરવામાં આવી છે એ પશ્ચિમ એશિયામાં મુસલમાનોની કુલ વસ્તી ૩૫ કરોડની છે. કેટલી? ૩૫ કરોડ. ક્યાં ૬૭ લાખ અને ક્યાં ૩૫ કરોડ! આ સિવાય ખનીજ તેલની આવકને કારણે એ દેશો આર્થિક રીતે પ્રમાણમાં સમૃદ્ધ છે. ટૂંકમાં પશ્ચિમ એશિયામાં મુસ્લિમ અને યહૂદી વસ્તીનું પ્રમાણ અનુક્રમે ૯૮:૨ છે. આમ છતાં ય આપણે જોઈએ છીએ કે મુસ્લિમ દેશો ઇઝરાયેલને પરાજિત કરી શકતા નથી. અત્યાર સુધીમાં દસેક નાનાં-મોટાં યુદ્ધો થયાં છે જેમાં મુસ્લિમ દેશોનો એક પણ વાર વિજય થયો નથી.

બહુ સંક્ષેપમાં જણાવી દઉં કે શું ચાલી રહ્યું છે. ઇઝરાયેલની સ્થાપના થઈ એ પછીથી લગભગ ૧૯૯૦ સુધી આરબ-ઇઝરાયેલ અથડામણ સુન્ની મુસ્લિમ દેશો અને ઇઝરાયેલ વચ્ચે ચાલતી હતી. શિયાઓની વસ્તી ધરાવતું ઈરાન યુદ્ધમાં તો જોડાતું નહોતું, ઇઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધ ધરાવતું હતું. ઈરાનમાં પહેલવી વંશના છેલ્લા રાજા મહમ્મદ રઝા શાહનું શાસન હતું અને તે અમેરિકાના ખોળામાં હતો. ૧૯૭૯માં ઈરાનમાં ઇસ્લામિક ક્રાંતિ થઈ અને આયાતોલ્લાહ ખોમૈની(શિયા ધર્મગુરુ)નું શાસન આવ્યું. ઈરાનની અમેરિકા સાથે અથડામણ શરૂ થઈ અને ખૌમેનીએ અમેરિકા અને ઇઝરાયેલને શેતાનનાં રાષ્ટ્ર જાહેર કર્યાં અને તેને નકશામાંથી મિટાવી દેવાનો સંકલ્પ જાહેર કર્યો.

૧૯૯૦ પછી જગત બદલાવા લાગ્યું. અમેરિકાની મધ્યસ્થીથી પહેલાં ઇઝરાયેલ અને ઈજીપ્ત વચ્ચે સમજૂતી થઈ અને ૧૯૯૩માં ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન લીબરેશન ઓર્ગેનાઈઝેશન વચ્ચે સમજૂતી થઈ. સામ્યવાદી દેશોનું પતન થયું અને વૈશ્વિક રાજકારણમાં સ્વાર્થની નવી રેખાઓ ખેંચાવા લાગી, નવાં સમીકરણો રચાવા લાગ્યાં. રશિયા, ચીન અને ઈરાન અલગ અલગ અને ક્યારેક અનૌપચારિક રીતે મળીને અમેરિકાને પરેશાન કરવા માંડ્યા. આ ત્રણ મળી જાય એવી પણ અમેરિકાને અને ઇઝરાયેલને ફાળ છે. ઈરાને ધીરે ધીરે ઈરાક, સિરિયા, યમન, લેબેનોન, પેલેસ્ટાઇન અને ગાઝા પટ્ટીમાં શિયા મુસલમાનોની ધરી રચી જે એક્સીસ ઓફ રેઝિસ્ટન્સ તરીકે ઓળખાય છે. અહીં દરેક જગ્યાએ હમાસ, હિજબુલ્લાહ, હોથિસ જેવા ત્રાસવાદી અથવા મીલીશિયા જૂથોને ઈરાન મદદ કરે છે અને કદાચ વાયા ઈરાન રશિયા પણ મદદ કરે છે. ઈરાને અક્ષરસઃ ઇઝરાયેલને ઘેરી લીધું છે.

પણ એ પ્રદેશના સુન્ની દેશો શું કરે છે? પહેલા ઈરાન તમાશો જોતું હતું અને અત્યારે સુન્ની દેશો તમાશો જોઈ રહ્યા છે. શિયા અને સુન્નીઓ ઇઝરાયેલ અને યહૂદીઓ સામે જેટલી દુશ્મની અને નફરત ધરાવે છે એનાં કરતાં ઘણી વધુ પરસ્પર ધરાવે છે. શિયાઓને સુન્ની દીઠ્યા ગમતા નથી અને સુન્નીઓને શિયા દીઠ્યા ગમતાં નથી.

૨. અહીં ભારતનાં મુસલમાનો માટે એક ધડો :

ઇસ્લામ જગતનો શ્રેષ્ઠ ધર્મ છે, સંપૂર્ણ ધર્મ છે, જગત ઇસ્લામમાં માનનારાઓ અને નહીં માનનારાઓ વચ્ચે વહેંચાયેલું છે અને બાકીની બધી ઓળખ ગૌણ છે, નહીં માનનારાઓની ભૂમિ દારુલ હર્બ છે ને તેને દારુલ ઇસ્લામ(ઇસ્લામમાં માનનારાઓની ભૂમિ)માં પરિવર્તિત કરવી એ પ્રત્યેક મુસલમાનની ફરજ છે, ઇસ્લામ અને મુસ્લિમ હોવા સિવાયની દરેક ઓળખ ગૌણ છે, મુસલમાન ભૌગોલિક રાષ્ટ્રીયતા નથી ધરાવતા વૈશ્વિક રાષ્ટ્રીયતા (પાન ઇસ્લામીઝમ) ધરાવે છે અને જગતના તમામ મુસલમાનો એક છે (વૈશ્વિક મુસ્લિમ બંધુત્વ) વગેરે જે દાવા કરવામાં આવે છે તેનું શું થયું? ૩૫ કરોડ મુસલમાન ૬૭ લાખ યહૂદીઓને પરાસ્ત નથી કરી શકતા! ક્યાં ગયાં વૈશ્વિક રાષ્ટ્રીયતા, વૈશ્વિક બંધુત્વ અને મુસ્લિમ એકતા? ભારતનાં મુસલમાનોએ આ પ્રશ્ન પોતાની જાતને પૂછવો જોઈએ. ભારતથી અલગ થયા પછી માત્ર પચીસ વરસમાં પાકિસ્તાનનાં બે ફાડિયાં થયાં અને બન્ને બાજુ મુસલમાન હતા.

જે એકતા ઇતિહાસમાં ક્યારે ય સિદ્ધ થઈ નથી તેની વાતો કરીને ભારતનાં મુસલમાનો હિંદુ કોમવાદીઓને ઝૂડવા માટે હથિયાર આપે છે. પેગંબરના અવસાન પછી માત્ર ત્રણ દાયકામાં શિયા અને સુન્ની એમ બે ભાગલા પડ્યા હતા અને તેમાં પેગંબરના વારસોનું લોહી રેડાયું હતું. ક્યા છે એકતા? ક્યારે હતી એકતા? એક તો ઉદાહરણ બતાવો. હિંદુ કોમવાદીઓ પણ આ હકીકત સુપેરે જાણે છે, પણ કેટલાક મુસલમાનો વૈશ્વિક મુસ્લિમ બંધુત્વ(ઉમ્મા)ની વાતો કરીને મુસલમાનોની વફાદારી વિષે શંકા કરવાની હિંદુ કોમવાદીઓને તક આપે છે. હિન્દુત્વનું આખું રસાયણ મુસલમાનોની દેશબહારની વફાદારી પર રચવામાં આવ્યું છે. આવો બકવાસ બંધ કરશો તો હિન્દુત્વનો ફૂગો એની મેળે ફૂટી જશે.

૩. અને એક ધડો દરેક ભારતીય માટે :

ઓળખ આધારિત એકતા ઝાંઝવાનાં જળ જેવી છે. જગતમાં કોઈ પણ જગ્યાએ, કોઈ પણ યુગમાં કોઈ પણ ઓળખ આધારિત એકતા સધાઈ નથી. એક ઉદાહરણ શોધી કાઢો. બીજું, દરેક દેશ, દરેક શાસક અને દરેક પ્રજા પોતાની સામેનાં સ્થળ અને કાળના સંદર્ભમાં પોતાનો સ્વાર્થ જોઇને નિર્ણયો લે છે. પશ્ચિમ એશિયામાં આ જ બની રહ્યું છે. ૧૮૫૭ના વિદ્રોહ વખતે પણ આવું જ જોવા મળ્યું હતું. હિંદુ હોય કે મુસલમાન, કેટલીક રિયાસતોએ અંગ્રેજો સામે વિદ્રોહ કર્યો હતો અને કેટલીકે અંગ્રેજોને મદદ કરી હતી. દરેકે પોતાનો સ્વાર્થ જોયો હતો. નહોતી એમાં રાષ્ટ્રભક્તિ કે નહોતો એમાં રાષ્ટ્રદ્રોહ. માટે ઇતિહાસમાં બનેલી ઘટનાઓને ત્રાજવે જે તે પ્રજાને કે ઈતિહાસ પુરુષોને તોળવાનો ધંધો બંધ કરવો જોઈએ. આ બધી આજકાલની પરિભાષામાં ટૂલકીટ છે. ઓજાર છે. ઓળખ અને ઇતિહાસ બન્ને શાસકો તેમ જ ધર્મગુરુ માટે ટૂલકીટ છે. ઘડીભર આ વિષે વિચારો.

તો ઉપાય શું? માણસ બનો, નાગરિક બનો, સર્વાંગીણ વ્યાપક હિતનું ધ્યાન રાખો, સૃષ્ટિનું પણ ધ્યાન રાખો. આમાં વ્યાપક બનવું પડે એમ છે અને એ અઘરું પડે એ હું જાણું છું. પણ કોઈના હાથનું હથિયાર ન બનવું હોય તો બીજો વિકલ્પ નથી.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 06 ઑક્ટોબર 2024

Loading

માણસ આજે (૫)

સુમન શાહ|Opinion - Opinion|5 October 2024

અમિતાભ બચ્ચન ‘કે.બી.સી.’-માં માહિતીને જ્ઞાન કહે છે, એમને મને ઇન્ફર્મેશન, નૉલેજ છે. હકીકત એ છે કે સામાન્ય જન માટે માહિતી તો જ્ઞાનની માત્ર શરૂઆત છે. એટલું જ નહીં, બચ્ચન એમ કહે છે કે એ જ્ઞાનથી ધન મળે છે. એમના પ્રશ્નોના સાચા ઉત્તરદાતાને રૂપિયા ૭ કરોડ, ૧ કરોડ, ૫૦ લાખ કે છેવટે ૧૦ હજાર મળી શકે છે. 

વૈકલ્પિક પ્રશ્નોના એકાદ કલાકના કાર્યક્રમમાં માણસ ‘ઢેર સારા ધનરાશિ લે કે જાયે’, એ તો સારું જ છે ને વળી! 

પણ શોમાં બેઠેલી જનતા, શો જોનારા દર્શક-શ્રોતા પ્રજાજનો, બધા જ ટૅક્નિશ્યન્સ, બચ્ચન પોતે, એક બજારમાં બેઠા હોય એવું લાગે છે, ભલે એ બજાર ઍક્ચ્યુઅલ નથી, વર્ચ્યુઅલ છે. 

બચ્ચન પ્રશ્નો પૂછે છે એટલી સંખ્યામાં કે એથી નાની સંખ્યામાં વિવિધ કમ્પનીઓની જાહેરાતો કરે છે. જાહેરાતો કાર-ઇન્સ્યૉરન્સ, બૅન્ક, ટૂથપેસ્ટ, પંખા, સિમૅન્ટ, તાળું કે જરઝવેરાત બનાવનારી કમ્પનીઓ માટે હોય છે. જાહેરાતો ચતુરાઇથી કરવામાં આવે છે – આપ કે ખેલ કી ગાડી આગે બઢાને કે લિયે … કલ્યાણ ભવ … આપ હી કી તરહ સ્માર્ટ … વગેરે.

બચ્ચન આ ઉમ્મરે પણ દોડતા પ્રવેશે છે. સામે બેઠેલી જનતા બચ્ચન માટે ઊભા થઈ તાળીઓ સાથે એમના દર્શનનો આનન્દ વ્યક્ત કરે છે, જાણે બચ્ચન કોઈ વિભૂતિ હોય. વારંવાર બચ્ચન પણ તાળીઓ ઉઘરાવે છે. જનતાએ આપેલો ઉત્તર, ખરેખર તો, સહિયારો હોય છે, બલકે એ ઉત્તર લઘુતમ સાધારણ પદ્ધતિથી મળેલી ઓછીવત્તી ટકાવારી હોય છે! પણ બચ્ચન એ જનતાને ‘બડી જ્ઞાની જનતા’ કહીને તેનાં ભરપેટ વખાણ કરે છે.

સ્વબચાવ માટે પોતાના એ કામને બચ્ચન ‘નોકરી’ કહે છે. પણ પગાર કેટલો તે નથી જણાવતા. કહેવાય છે કે ૧૦-મી સીઝનમાં દરેક ઍપિસોડ માટે રૂપિયા ૩ કરોડ લેતા હતા, હવે ૫ કરોડ લે છે. સીઝન ૧૫-માં ૧૦૦ ઍપિસોડ થયેલા, સીઝન ૧૬ ચાલુ છે, ૪૦ ઍપિસોડ થયા છે, હિસાબ ગણો તો, એમની કમાણીનો!  પેલા કેટલાયે કન્ટેસ્ટન્ટ્સમાંથી કોઈને હજી ૭ કરોડ તો શું, માંડ ૧ કરોડ મળ્યા છે. બચ્ચનને પૂછો તો કહેશે, કહે છે પણ ખરા, કે પેટ કે લિયે કરના પડતા હૈ. કેવું અને કેવડું મોટું હશે એમનું એ પેટ?

ફિલ્મ-અભિનેતા બચ્ચનનો હું પ્રશંસક છું. આ શો-માં એમના શુદ્ધ ઉચ્ચારો, મિત્રતાભર્યું વર્તન, એમને યોગ્ય પ્રશ્નકાર ઠેરવે છે. જો કે, આખ્ખા શો દરમ્યાન હું સતત ‘સારા’ પ્રશ્નની રાહ જોતો હોઉં છું, અને અલબત્ત, આવે ત્યારે ઘડીભર મને સારું પણ લાગે છે. 

કે.બી.સી.’-ના કમ્પ્યુટરને પ્રશ્નો પૂરા પાડનારી વ્યક્તિ કે ટીમ માટે મને માન થાય છે.

આ માહિતીયુગમાં એ કામ મુશ્કેલ નથી તો પણ શ્રમ માગી લેનારું તો છે જ. 

શો-થી માહિતીનું પ્રસારણ જરૂર થાય છે, પણ એથી પ્રજાના જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે એમ નહીં કહી શકાય; એટલું તો સામાન્ય દર્શક-શ્રોતા પણ સમજે છે. એ માહિતી ઉઘાડા રૂપે ગેમ છે, પ્રચ્છન્ન રૂપે વેપાર છે. “સોની” અને સંલગ્ન કમ્પનીઓ કેટલું લાભે છે, તે કોઈ જાણતું નથી.

એ માહિતી-જાળની – ઇન્ફર્મેશન નેટવર્કની – આવી સમીક્ષા કરીએ તો સમજાય કે શો મનુષ્યની જ્ઞાનપિપાસા પર નહીં પણ ધન-લાલસા અથવા લાલચ અને લોભવૃત્તિ પર ચાલે છે. એ જાળથી કમ્પનીઓના હેતુઓની દિશામાં ગ્રાહકોની દોરવણી થાય છે, ગ્રાહક-વર્ગ વિસ્તરે છે. શો-નું એ ગુપ્ત સત્ય છે, દેખાતું નથી, કેમ કે, બધું મનોરંજન અને મૉજમજાની રીતે થાય છે.

+ +

હરારીએ પોતાના તાજેતરનાં પુસ્તક “Nexus”-માં અનેક માહિતી-જાળની વાત, ચર્ચા અને ભરપૂર સમીક્ષા પીરસી છે. ‘નેક્સસ’ એટલે જોડાણ માટેની કડી અથવા અનેક કડીઓ. વિષયવસ્તુ સાથે હરારી પોતે જોડાયા છે, આ પુસ્તકના માધ્યમથી પોતાના વિચારો સાથે વાચકોને જોડવા ચાહે છે. 

પુસ્તકનું પેટા-શીર્ષક છે, A brief history of information networks from the stone age to AI. માહિતી-જાળની પાષાણયુગથી AI સુધીની વાતમાં હરારી એનું સ્વરૂપ, કાર્ય, એની ગૂંથણીનાં પરિબળો, એનો સારામાઠો પ્રભાવ અને એનાં પરિણામોની રસપ્રદ વિવેચના કે તીખી ટીકાટિપ્પણી કરે છે. 

પુસ્તકમાં ૩ વિભાગ છે : Human Networks, Inorganic Network, Computer Politics. 

Prologue-માં, પ્રસ્તાવનામાં, હરારી પહેલા જ વાક્યમાં કહે છે : આપણે આપણી પ્રજાતિને Homo sapiens કહીએ છીએ, એટલે કે, the wise human, શાણો મનુષ્ય; પણ એ નામને શોભે એવું જીવ્યા છીએ ખરા?

હરારી જણાવે છે કે છેલ્લાં ૧ લાખ વર્ષથી મનુષ્યે અઢળક શક્તિ હાંસલ કરી છે, એ સત્તાધીશ થયો છે, પણ એ સત્તાને શાણપણ નહીં કહેવાય. કહે છે, ખરેખર તો, એ ૧ લાખ વર્ષ દરમ્યાનની શોધખોળો અને સિદ્ધિઓએ મનુષ્યજાતિ માટે અસ્તિત્વની કટોકટી સરજી છે. 

તેઓ કહે છે કે આપણી જ શક્તિના દુરુપયોગને કારણે આજે આપણે પર્યાવરણપરક પતનને માર્ગે છીએ. આપણે AI જેવી, એવી નૂતન ટૅક્નોલૉજિનું સર્જન કરવામાં વ્યસ્ત છીએ, કે જે આપણા નિયન્ત્રણમાંથી છટકી જઈને આપણને ગુલામ બનાવવાની કે વિલુપ્ત કરવાની ક્ષમતા ધરાવે છે. 

કહે છે, આ અસ્તિત્વપરક પડકારો સામે આપણે મનુષ્યો સંગઠિત થઈએ તો પણ આન્તરરાષ્ટ્રીય તંગદિલી તો સરજાઇ જ રહી છે, ગ્લોબલ કોઑપરેશન વધુ ને વધુ મુશ્કેલ બની રહ્યું છે, દેશો એકબીજાની સ્પર્ધાએ ચડીને, કયામત આપણને નજીક વરતાય એવાં વિનાશક શસ્ત્રોનો સંઘરો કરી રહ્યા છે, અને નવ્ય વિશ્વયુદ્ધ અસંભવ નથી ભાસતું. 

હરારી પૂછે છે : If we sapiens are so wise, why are we so self-destructive? આપણે માણસો જો આટલા શાણા છીએ, તો શા માટે આટલા આત્મવિનાશક છીએ?

(ક્રમશ:)
(04Oct24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચલ મન મુંબઈ નગરી—267

દીપક મહેતા|Opinion - Opinion|5 October 2024

 મુંબા દેવ્યૈ નમોનમ:

જય દેવી જય દેવી, જય મહાલક્ષ્મી 

આદ્ય શક્તિ તું મહાજનની,

દિવ્ય શક્તિ કાત્યાયની,

મુંબાપુરી નિવાસિની,

મુંબા દેવ્યૈ નમોનમ:

ફરી એક વાર મુંબઈમાં નવરાત્રીના ગરબાની રમઝટ શરૂ થઈ ગઈ છે, ત્યારે ચાલો, આપણે મુલાકાત લઈએ મુંબઈનાં બે વિશિષ્ટ શક્તિ મંદિરોની. આ મુંબઈ શહેરને સૌથી વધુ પોતીકી લાગે એવી દેવી તે તો મુંબાદેવી. આપણા શહેરને પોતાનું નામ આપનારી એ દેવી. મૂળે તો માછીઓની, કોળીઓની દેવી. ભૂતકાળમાં બીજાં કેટલાંક નામે પણ ઓળખાતું હતું આ શહેર. ગ્રીક લોકો તેને હેપ્ટેસિનીઆ તરીકે ઓળખતા. પોર્ટુગીઝ લોકો તેને ‘બોમ્બીયમ’ કહેતા. ઈ.સ. ૧૫૩૮માં દ ક્રિસ્ટો નામનો પ્રવાસી તેને ‘બોઆવિડા’ કહે છે. તો બારાબોસા નામનો બીજો એક મુસાફર લગભગ એ જ અરસામાં તેને ‘થાણા-મયામ્બુ’ તરીકે ઓળખાવે છે. ઈ.સ. ૧૭૫૦ની આસપાસ મુંબઈનો ઉલ્લેખ ‘બુઆં બહીઆ’ તરીકે થયો છે. અંગ્રેજોએ નામ આપ્યું બોમ્બે. તો વળી હિન્દીભાષીઓ આ શહેરને ‘બમ્બઈ’ કહેતા. મરાઠી અને ગુજરાતી બોલનારા તો પહેલેથી તેને મુંબઈ જ કહેતા આવ્યા છે. અને એનું અસલ નામ પણ મુંબાઈ કે મુંબઈ. 

શ્રી મુંબાદેવી

એ નામ મળ્યું કોળી લોકોની કુળદેવી મુંબા-આઈ પાસેથી. આ મુંબા-આઈ તે કદાચ મહાઅંબા આઈ, પાર્વતીનું એક રૂપ. અથવા બિન-આર્ય જાતિઓ જે અનેક દેવ-દેવીઓની પૂજા કરતી તેમાંની કોઈ દેવી પણ તે હોઈ શકે. એક દંતકથા પ્રમાણે શિવજીની સૂચનાથી પાર્વતીએ માછણ તરીકે અવતાર લીધો, જેથી કઠોર પરિશ્રમ કરવાનો ગુણ તેમનામાં વિકસે. આ રીતે અવતાર લઈને પાર્વતી કોળી લોકોની સાથે રહેવા આવ્યાં. એ કોળી લોકો તેમને ‘મુંબા’ તરીકે ઓળખવા લાગ્યા. માછીઓ અને માછણો પાસેથી તેઓ મહેનત, એકાગ્રતા, સાહસ વગેરેના પાઠ શીખ્યાં. પછી પાછા જવાનો વખત આવ્યો. પણ કોળી લોકો તેમને જવા દેવા રાજી નહોતા. એટલે ખુદ શિવજી આવ્યા અને કહ્યું કે ‘મહાઅંબા’ની મૂર્તિ રૂપે પાર્વતીજી સદાકાળ માટે તમારી સાથે રહેશે. એટલે કોળીઓએ મુંબાદેવીનું મંદિર બનાવ્યું. કોળીઓ તેમને આઈ (માતા) તરીકે પૂજતા એટલે તે મુંબાઈ દેવીનું મંદિર કહેવાયું. 

 

મુંબાદેવીનું મંદિર અને તળાવ – ૧૯મી સદીમાં

આજે જ્યાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ઊભું છે એ જગ્યાએ મુંબા-આઈ કે મુંબાદેવીનું અસલ મંદિર આવેલું હતું. લોકો એ વિસ્તારને ‘બોરીબંદર’ તરીકે ઓળખતા કારણ એ વખતે ત્યાં બંદર હતું અને ત્યાંથી બોરી કહેતાં કોથળાઓમાં ભરેલો માલસામાન આવતો-જતો. દરિયા કાંઠે વસતા કોળીઓએ પોતાની કુળદેવીનું મંદિર પણ દરિયા નજીક બાંધ્યું હોય તો તે સમજી શકાય તેમ છે. આ અસલ મંદિર ઈ.સ. ૧૬૭૫માં બંધાયેલું એમ મનાય છે. પણ અંગ્રેજોના સેન્ટ જ્યોર્જ કિલ્લાની સાવ નજીક ઉત્તર દિશાની દીવાલની લગોલગ એ મંદિર હતું એટલે સલામતીની દૃષ્ટિએ અંગ્રેજોને જોખમ લાગ્યું. એટલે ૧૭૩૭માં તેમણે મંદિર ત્યાંથી ખસેડીને ફાંસી તળાવને કિનારે નવું મંદિર બનાવ્યું. એ તળાવને કાંઠે ગુનેગારોને જાહેરમાં ફાંસી અપાતી હતી એટલે લોકો તેને ફાંસી તળાવ કહેતા. આજના આઝાદ મેદાનના એક ખૂણામાં એ તળાવ આવેલું હતું. પછી વખત જતાં મુંબાદેવીનું મંદિર આજના ઝવેરી બજાર પાસે ખસેડ્યું. એ મંદિર તે આપણે જેને મમ્માદેવી કે મુમ્બાદેવી તરીકે ઓળખીએ છીએ તે મંદિર. જો કે આજે અહીં જે મંદિર છે તે પણ અસલનું મંદિર નથી. ફરીથી બંધાયેલું છે. બીજાં ઘણાં મંદિરોની જેમ આ મંદિરની બાજુમાં પણ એક તળાવ હતું. હરજીવનદાસ વિઠ્ઠલદાસનાં વિધવા પૂતળીબાઈએ એ તળાવ ઈ.સ. ૧૭૭૪માં પોતાને ખર્ચે બંધાવી આપેલું. આ લખનારે નાનપણમાં તે તળાવ જોયેલું એ બરાબર યાદ છે. પછી વખત જતાં બીજાં ઘણાં તળાવોની જેમ એ તળાવ પણ પુરાઈ ગયું.  

તો બીજી એક દંતકથા પ્રમાણે એક વખત આ શહેરમાં મુંબારક નામના રાક્ષસનો ત્રાસ ખૂબ વધી ગયો હતો. એટલે બ્રાહ્મણોએ બ્રહ્માજી પાસે ધા નાખી. એટલે મુમ્બારકનો વધ કરવા બ્રહ્માજીએ અષ્ટ ભુજાવાળી મુંબાદેવીને અહીં મોકલી. દેવીને હાથે હાર્યા પછી એ રાક્ષસ દેવીને પગે પડ્યો અને વિનંતી કરી કે હવે પછી તમે મારું નામ ધારણ કરો. દેવીએ એ માગણી સ્વીકારી અને ત્યારથી એ મુંબાદેવી તરીકે ઓળખાતાં થયાં. રાક્ષસે બીજું પણ એક વરદાન માગ્યું: મારે આપનું એક ભવ્ય મંદિર અહીં ચણાવવું છે. તો એ માટે અનુજ્ઞા આપો. દેવીએ પ્રસન્ન થઈ એ માગણી પણ સ્વીકારી અને એ રાક્ષસે બંધાવ્યું મુંબાદેવીનું મંદિર. એટલું તો નક્કી કે મુંબાદેવી અને મુંબઈ વચ્ચે ખૂબ નિકટનો સંબંધ છે. 

મહાલક્ષ્મીનું મંદિર ૧૯મી સદીમાં 

વાર તહેવારે મુંબઈનાં ઘણાં મંદિરોની બહાર ભાવિકોની લાઈન લાગતી હોય છે. પણ સૌથી લાંબી લાઈન લાગતી હોય છે મહાલક્ષ્મી મંદિરની બહાર. આ મંદિર જ્યાં આવેલું છે એ જગ્યાનું અસલ નામ હોર્નબી વેલાર્ડ. વેલાર્ડ એટલે પાળ, નાનો બંધ. આપણે જાણીએ છીએ કે મૂળ તો મુંબઈ સાત ટાપુઓમાં વહેંચાયેલું હતું અને એ સાતે દરિયાના પાણીથી અલગ અલગ હતા. વરલીની ખાડીનું પાણી ભરતી વખતે ઠેઠ પાયધુની સૂધી પહોંચતું. આ પાણીને રોકવા માટે ગવર્નર હોર્નબીએ ૧૭૮૨માં દરિયા આડે પાળ કે નાનો બંધ બાંધવાની યોજના ઘડી. દૂર દૂરથી મોટા પથરા હોડીઓમાં ભરીને અહીં ઠલવાવા લાગ્યા. દિવસ દરમ્યાન રોજ થોડું થોડું કામ આગળ વધે. પણ રાત પડે ને એ કરેલું કામ ધોવાઈ જાય! જે બ્રિટિશ ઈજનેરો કામ કરતા હતા તે વિમાસણમાં પડી ગયા કે આમ કેમ થાય છે?

અને આ સવાલનો જવાબ મળે છે એક દંતકથામાંથી. આ બંધ બાંધવાના કામમાં જોડાયેલા એક એન્જિનિયર તે રામજી શિવજી પ્રભુ. એક રાતે તેમને ત્રણ દેવીઓએ સપનામાં દર્શન દીધાં અને કહ્યું કે જ્યાં તમારું આ કામ ચાલે છે ત્યાં, નીચે દરિયામાં અમારું રહેઠાણ છે એટલે તમારો આ બંધ ક્યારે ય બાંધી શકાશે નહિ. ત્યારે એ રામજીએ દેવીઓને વિનવ્યાં કે કૈંક તો રસ્તો હશે, કૈંક તો ઉપાય હશે. દેવીઓએ કહ્યું કે હા, એક ઉપાય છે. અમને દરિયામાંથી બહાર કાઢીને નજીકની ટેકરી ઉપર અમારી સ્થાપના કરી મંદિર બંધાવો તો તમારું કામ થાય. પણ પથ્થરની ભારેખમ ત્રણ-ત્રણ મૂર્તિઓને દરિયામાંથી બહાર કાઢવી શી રીતે? છતાં રામજીએ એક નુસખો અજમાવ્યો. નજીકના માછીમારો પાસેથી મોટી જાળ લઈને દરિયામાં નાખી. અને સૌના આશ્ચર્ય વચ્ચે ત્રણે મૂર્તિઓ જાળમાં આવી ગઈ. આ ત્રણ દેવીઓ તે મહાલક્ષ્મી, મહાકાળી, અને મહાસરસ્વતી. રામજી તો રાજીનો રેડ. સરકારને જણાવ્યું કે હવે આ બંધ બાંધવાનું કામ પૂરું કરવાની હું ખાતરી આપું છુ, પણ એક શરતે: બાજુની ટેકરી પર મને એક મંદિર બાંધવા દેવું. અને એ બાંધવા માટેની ટેકરી પરની જગ્યા સરકારે મને આપવી. સરકારે આ દરખાસ્ત સ્વીકારી અને જોતજોતામાં બંધ બાંધવાનું કામ પૂરું થઈ ગયું! પછી રામજીએ પેલી ટેકરી પર ૮૦ હજાર રૂપિયાના ખર્ચે મંદિર બંધાવીને તેમાં પેલી ત્રણે મૂર્તિઓની સ્થાપના કરી. આ મંદિર તે મહાલક્ષ્મીનું મંદિર. પણ આ ત્રણ મૂર્તિઓ દરિયામાં ગઈ કઈ રીતે? તો કહે છે કે જ્યારે મૂર્તિભંજક વિધર્મીઓએ મુંબઈ પર આક્રમણ કર્યું ત્યારે તેઓ આ મૂર્તિને ભાંગી ન નાખે તેટલા ખાતર પૂજારીએ તેને દરિયામાં પધરાવી દીધી હતી.

આવી દંતકથાઓ માનવી કે ન માનવી એ દરેક વ્યક્તિએ નક્કી કરવાનું હોય. પણ આ દંતકથાઓ ન માનીએ તો ય એટલું તો માનવું જ પડે કે મુંબાદેવીનું અને મહાલક્ષ્મીનું મંદિર એ બન્ને મુંબઈ શહેરની આગવી ઓળખ જેવાં છે. 

આજની વાતની શરૂઆત મુંબાદેવીની આરતીથી કરી હતી. તો છેવટે મહાલક્ષ્મીની આરતી :

जय देवी जय देवी जय महालक्ष्मी।

वससी व्यापकरुपे तू स्थूलसूक्ष्मी॥

करवीरपुरवासिनी सुरवरमुनिमाता।

पुरहरवरदायिनी मुरहरप्रियकान्ता।

कमलाकारें जठरी जन्मविला धाता।

सहस्त्रवदनी भूधर न पुरे गुण गातां॥

जय देवी जय देवी…॥

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 05 ઓક્ટોબર 2024

Loading

...102030...537538539540...550560570...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved