Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9335236
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરદાર : સ્વાતંત્ર્યસંગ્રામનાં દળોના મહાન કપ્તાન

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|30 October 2024

તવારીખની તેજછાયા

જન્મ : 31-10-1875 – મૃત્યુ : 15-12-1950

1975માં એકવાર અનાયાસ જ પ્રકાશવીર શાસ્ત્રીને મળવાનું થઈ ગયું. પ્રહલાદભાઈ પટેલ – આપણા પ્રહલાદનગરવાળા. એમને ત્યાં. જનતા મોરચાની પ્રચાર જવાબદારી ભોગીલાલ ગાંધી અને મારી હતી, ભાઈદાસભાઈ પરીખ તો તત્રલુપ્તા સરસ્વતીની જેમ સાથે જ હોય. પ્રચાર સાહિત્યમાં ચિત્રકારની પીંછી પાયાની જરૂરત. રજની વ્યાસ સહાયમાં સાક્ષાત. પ્રહલાદભાઈને પ્રેસલાઇનનો પરિચય એટલે એમનુંયે અનૌપચારિક સંધાન.

આવતીકાલે સરદાર જયંતી છે એ નિમિત્તે લગરીક તવારીખવાળી કરવા સારું કલમ ઉપાડી ત્યાં પ્રકાશવીર ચિત્તમાં દોડી આવ્યા, કેમ કે આર્યસમાજી પૃષ્ઠભૂવાળા આ જનસંઘ સાંસદે ત્યારે દિલ્હીમાં વરસોવરસ સરદાર જયંતી મોટે પાયે ઊજવવાનો સિલસિલો શરૂ કર્યો હતો. રાષ્ટ્રીય સ્તરની પ્રતિભાઓને એ અવસરે નિમંત્રણ આપતા અને સરદારના સંકીર્તનનો સમો એમ બંધાતો આવતો. નેહરુના કાળમાં ઉત્તરોત્તર સરદાર સ્મૃતિ કંઈક બાજુએ રહી ગઈ એવી લાગણીવશ એમનો આ ઉપક્રમ હતો. 

વાત પણ સાચી કે એક તબક્કો કાઁગ્રેસને પક્ષે સરદારને ભૂલવાનો (‘ડિસ્ યુઝ’નો) આવી ગયો જેમ હમણેનાં વરસો ભા.જ.પ. આદિને પક્ષે એમને સંદર્ભ બહાર ઉછાળવાનો, કહો કે એમના ‘મિસ્ યુઝ’નો છે.

પ્રકાશવીરે વાતવાતમાં કહ્યું કે એક વાર અમે રાજાજીને (ભારતના પ્રથમ હિંદી ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારીને) નિમંત્ર્યા હતા. એ સરસ બોલ્યા કે વડા પ્રધાન સરદાર અને વિદેશ મંત્રી જવાહર એ એક રૂડી રચના હોત. પણ પછી એમણે એક એવી વિગત ઉમેરી કે સરદારના મહિમા મંડનની (પ્રકાશન્તરે એમને નેહરુથી ઊંચા ચિત્રિત કરવાની) અમારી ગણતરી ભોંઠી પડી. રાજાજીએ કહ્યું કે ભાગલા માટે ગાંધી કે નેહરુની એક પ્રકારની નિર્બળતા(અગર વેગળી ભૂમિકા)નો મુદ્દો ઉછાળાય છે, પણ વ્યાપક લોકમાનસ એ વિગતથી લગભગ અણજાણ જેવું છે કે વચગાળામાં લીગ સાથે સરકાર ચલાવ્યા પછી સરદાર એ તારણ પર પહોંચ્યા હતા કે ભાગલા અનિવાર્ય છે. કાઁગ્રેસને પક્ષે આ દિશામાં નિર્ણાયક પહેલ સરદારની હતી.

સરદાર અને જવાહરને સામસામે મૂકવાની અને એ રીતે ગાંધી-નેહરુ-પટેલની સ્વરાજત્રિપુટી સહિતની નક્ષત્રમાળામાં સર્જેલી એકંદરમતી તેમ ભરપડકારે સ્વરાજ સુવાણની સ્થિતિ માટેની ભૂમિકાના કંઈક અવમૂલ્યનની કોશિશ એ એક ધીખતો ધંધો રહેલ છે.

ગમે તેમ પણ, સરદારના ખાસ તરેહના ચાહકો અને એવા જ ખાસ તરેહના ટીકાકારો, બેઉ છાવણીઓમાં નિરામયતા પ્રસરાવવા સારુ એક દાખલો બસ થઈ પડશે. વલ્લભભાઈ 1950ના ડિસેમ્બરની 15મીએ ગયા. તે પછીનાં અઠવાડિયાંમાં પુનામાં હિંદુ મહાસભાનું અધિવેશન મળ્યું ત્યારે સરદારના નિધન બદલ ખેદ પ્રગટ કરતો ઠરાવ લાંબી રકઝક પછી ઉડાડી મૂકવામાં આવ્યો હતો!

(‘સંસ્કૃતિ’માં ઉમાશંકરે ટિપ્પણી કરી હતી – સરદાર કોમવાદી હતા એ ખ્યાલને પાયામાંથી ઉખાડી દેનાર આથી વધુ સારો પુરાવો બીજો શો મળી શકત?’)

સરદારે મુંબઈમાં દેહ મૂક્યાના સમાચાર આવ્યા ત્યારે લોકસભામાં એ સમાચાર આપતા જવાહરલાલે શું કહ્યું હતું, સાંભળો :

‘એ એક વિરાટની વાર્તા છે. દેશ આખો એ જાણે છે અને ઇતિહાસ પાનાંનાં પાનાં ભરીને દર્જ કરશે કે એ નવભારતના નિર્માતા હતા – અને બીજું પણ કહેશે. પણ આ ગૃહમાંનાં આપણામાંના ઘણાને તો એમને સ્વાતંત્ર્યસંગ્રામનાં દળોના એક મહાન કપ્તાન તરીકે યાદ કરશે અને જેના પર અચૂક ભરોસો મૂકી શકાય એવી નક્કર સલાહ – પછી એ મુશ્કેલીઓનો કાળ હોય કે વિજયની ક્ષણો – આપનાર તરીકે સંભારશે. જ્યારે પણ આપણે મુશ્કેલીમાં હોઈએ, આપણાં હાલંડોલં હૈયાને હામ સંપડાવનાર તરીકે એ સંભારાશે.’

નેહરુ ગૃહમાં તો બોલી શક્યા પણ અંતિમ યાત્રામાં જોડાવા મુંબઈ પહોંચ્યા ત્યાં એવા ડૂસકે ચડ્યા હતા કે કંઈ બોલી જ શક્યા નહોતા.

સાધારણપણે આપણે વલ્લભભાઈને દેશી રિયાસતોના વિલીનીકરણ માટે યાદ કરતા હોઈએ છીએ અને એ ખરેખર જ એક અસાધારણ કામ હતું. પણ એ જ મહિનાઓમાં એમણે વહીવટીતંત્રને જડબેસલાક કાર્યક્ષમપણે ગોઠવ્યું હતું તો એ બ્રિટિશરાજની સરજત, પણ એને આશ્વસ્ત કરી એમણે સાથે લીધું અને સ્વતંત્રતાનું દૃઢીકરણ કર્યું.

પણ સરદાર એ ઓળખ એમને મળી તો બારડોલીના કિસાનોની લડત સાથે. આ લડત તો ગઈ સદીનો ત્રીજો દાયકો ઊતરતે લડાઈ હતી. ત્રીજો દાયકો બેસતે 1922માં વઢવાણમાં મળેલી અંત્યજ પરિષદ, વસ્તુતઃ એમના નેતૃત્વને વ્યક્તિત્વના પૂરા ઉઘાડની રીતે એક કટ ઑફ લાઈન છે.

પરિષદમાં ભાગ લેવા એ પહોંચ્યા ત્યારે એમણે જોયું કે દલિત ભાઈબહેનોને અલાયદા બેસાડ્યાં હતાં. તરત વલ્લભભાઈએ પોતાની બેઠક એમની વચ્ચે લીધી. દરબાર ગોપાળદાસ અને ભક્તિબા સાથે હતાં. તેમણે પણ એમ જ કર્યું … સંદેશો પહોંચી ગયો!

આ જ ત્રીજો દાયકો રવિશંકર મહારાજે ખેડા જિલ્લામાં પાટણવાડિયાઓને સારુ રોજિંદી જિંદગીમાં સાધેલ સુવાણનો પણ હતો. ‘માણસાઈના દીવા’માં મેઘાણીએ એનાં સરસ ચિત્રો ઝીલ્યાં છે. મહારાજ પાછળનું મૂંગું પીઠબળ અલબત્ત વલ્લભભાઈનું હતું.

લોકશાહીમાં સરદાર થવું એ નકરી ક્ષાત્રવટ અગર મુત્સદ્દીપણાનો મામલો નથી. છેલ્લા છેલ્લા માણસ સાથે તમે જોડાઈ શકો છો? આ પ્રશ્નનો ઉત્તર આપીએ ત્યારે સમજાય કે ખેડૂતપુત્ર વલ્લ્ભભાઈને ઉમરાવપુત્ર બિસ્માર્ક સાથે સરખાવવું કેમ અણસમજભર્યું છે.

વિષય જો કે અખંડ દર્શનનો છે, પણ આ થોડુંકેક ભલે ખંડ દર્શન પણ અહીં એ આશા અપેક્ષાએ કે ગાંધી-નેહરુ-પટેલની સ્વરાજત્રિપુટીની રીતે તેમ સરદારની પોતાની પ્રતિભાની રીતે આપણે એમને ઓળખીએ. મિસ્ યુઝ અને ડિસ્ યુઝની રાજનીતિ લાગી જવાનો પડકાર આ તો છે.   

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 30 ઑક્ટોબર 2024

Loading

30 October 2024 પ્રકાશ ન. શાહ
←  भाई – मेरे आदर्श और मार्गदर्शक 
બુઘો →

Search by

Opinion

  • ‘શેતરંજ’ પર પ્રતિબંધનું પ્રતિગામી પગલું
  • જેઇન ઑસ્ટિન અમર રહો !
  • જેઇન ઑસ્ટિન : ‘એમા’
  • ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’: એક વિહંગાવલોકન
  • ગ્રામસમાજની જરૂરત અને હોંશમાંથી જન્મેલી નિશાળનો નવતર પ્રયોગ

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • નિર્મમ પ્રેમી
  • મારી અહિંસા-યાત્રા
  • ગાંધીનો હિટલરને પત્ર 
  • ઈશુનું ગિરિ-પ્રવચન અને ગાંધીજી
  • ગાંધી : ભારતની પ્રતિમા અને પ્રતીક

Poetry

  • વિમાન લઇને બેઠા …
  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !
  • હાલો…

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved