Opinion Magazine
Number of visits: 9457171
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દક્ષિણ ભારતનું રાજકારણ અને દિલ્હી સરકારઃ કિતને દૂર, કિતને પાસ?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|16 June 2024

દક્ષિણ ભારતીય રાજ્યોમાં ધન વૈભવ, વિકાસ અને સારા વહીવટ છતાં ત્યાંના પ્રાદેશિક પક્ષોનો અભિગમ રાષ્ટ્રીય સ્તરે તેમને ધાર્યું મહત્ત્વ નથી અપાવી શકતો.

ચિરંતના ભટ્ટ

ચૂંટણીનાં પરિણામો આવી ગયાં, એક્ઝિટ પોલની ઐસીતૈસી પણ થઇ ગઇ અને જ્યાં જે અને જેને ગોઠવવાનાં હતાં એ બધું લગભગ લગભગ પાર પડ્યું છે. શપથ વિધિમાં દિપડો છે કે બિલાડી કે પછી કૂતરો એવી બધી ખબર પણ વાઇરલ થઇ અને બધું અંતે પત્યું. પણ અઢારમી લોકસભા ચૂંટણીમાં એવું ઘણું બધું થયું જે બહુ દેખીતા પરિવર્તનની શરૂઆત કહી શકાય. અહીં ભા.જ.પા.ના બહુમતની વાત નથી કે એ વાત પણ નથી કે અયોધ્યા અને રામ મંદિર વાળું પત્તું ધાર્યું પાર કેમ ન પડ્યું. અહીં આપણે આજે ફરી એકવાર દક્ષિણ ભારતનાં રાજકારણની વાત કરવાની છે. માળું દક્ષિણ ભારતનું રાજકારણ કોઇ એવા કોયડા જેવું છે જેના સાવ પ્રાથમિક લેવલ સુધી જવું પણ અઘરું છે. વળી દિલ્હીની બેઠક પર કોઇપણ બેઠું હોય, ત્યાંનું રાજકારણ દક્ષિણનાં રાજકારણમાં પોતાનો પગદંડો જમાવવામાં હંમેશાં પાછળ જ રહે છે. વળી દક્ષિણ ભારત અને ઉત્તર ભારતનાં રાજકારણમાં બહુ ફેર છે એવી ચર્ચાઓ એક કરતાં વધુ વાર થઇ ચૂકી છે. તો આ વાતને નકારતા વિધાનો પણ આવ્યા છે જેમાં એમ દાવો કરાયો છે કે દક્ષિણ અને ઉત્તર ભારતનાં રાજકારણમાં કોઇ ફેર નથી. આખરે દક્ષિણનાં રાજકારણની એવી કઇ બાબતો છે જે ઉકેલવી કે સમજવી અઘરી છે?

ભા.જ.પા. માટે દક્ષિણ ભારતમાં ઘુસવું બહુ જ અઘરું રહ્યું છે. લાંબા સમય સુધી દક્ષિણ ભારતે ભા.જ.પા.ને ઉત્તર ભારતીય પક્ષ તરીકે જ જોયો અને અથાક પ્રયત્નો પછી પણ કર્ણાટક સિવાય બીજે ક્યાં ય ભા.જ.પા.ને ધુસવા ન મળ્યું. 2019માં પણ દક્ષિણી રાજ્યોએ જ્યારે મોદી પ્રવાહમાં વહેવાનું ટાળ્યું ત્યારે ભા.જ.પા.ને તેની ગંભીરતા વધુ સારી રીતે સમજાઇ. આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો નહીં મળ્યાનો વાંધો તો હતો જ પણ તેની સામે કાઁગ્રેસે જગન મોહન રેડ્ડીના નેતૃત્વમાં એવી ગોઠવણ કરી કે બીજા કોઇ પક્ષ માટે કોઇ સંભાવનાઓ જ નહોતી. તમિલનાડુના દ્વવિડ પક્ષો સામે ભા.જ.પા.નું હિંદુત્વ ન ચાલ્યું અને સબરીમાલાના મુદ્દે કાઁગ્રેસને લાભ મળ્યો. જો કે 2024ની ચૂંટણીનાં પરિણામોમાં અમુક પરિવર્તનો નજરે ચઢ્યા.

પણ આ વખતે કર્ણાટક, તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં ભા.જ.પા.નું પ્રદર્શન સારુ રહ્યું. યૂનાઇટેડ ડેમોક્રેટિક ફ્રંટનો ગઢ કહેવાતા કેરળમાં પણ ભા.જ.પે. એક બેઠક જીતીને પંદર વર્ષથી જ્યાં જરા ય જગ્યા નહોતી મળતી એવા ગઢમાં કાંગરો તો ખેરવ્યો. જો તામિલનાડુએ ભા.જ.પા.ને બરાબરનો પડકાર આવ્યો. જોરશોરથી ચૂંટણી પ્રચાર કર્યો હોવા છતાં તામિલનાડુએ ભા.જ.પા. સામે જરા ઢીલું ન મુક્યું.

દક્ષિણી રાજ્યોમાં શિક્ષણ, વહીવટ, ભ્રષ્ટાચાર, સામાજિક શાંતિ અને સ્થિરતા અન્ય રાજ્યો, ખાસ કરીને ઉત્તર ભારત કરતાં બહેતર રહ્યા છે. દક્ષિણ અને ઉત્તરના બે મુખ્ય રાજ્યોની વાત કરીએ તો સાંઇઠના દાયકાથી તામિલનાડુ અને ઉત્તર પ્રદેશ વચ્ચે આવકને મામલે ખાસ્સો ફેર રહ્યો છે અને આજ તફાવત દક્ષિણ અને ઉત્તરમાં પૂર્ણપણે પણ નોંધાયો છે.  દક્ષિણ ભારતીયો પોતાની ભાષાથી અલગ થવાનું પસંદ નથી કરતા એ એક ઉપરછલ્લું અવલોકન છે પણ તેનો ઊંડો અર્થ એ પણ થાય કે મૂળિયાં સાથે જોડાયેલા રહીને પણ વિકાસ, પરિવર્તન અને નવું કરવાની દિશામાં દક્ષિણ ભારતીય રાજ્યોએ પાછું વળીને નથી જોયું. આમ તો પિતૃસત્તાક માનસિકતા દક્ષિણમાં પ્રબળ છે છતાં પણ મહિલાઓમાં શિક્ષણ અને કારકિર્દીને મામલે દક્ષિણ ભારત ઉત્તર ભારત કરતાં વધુ ચઢિયાતું છે. સામાજિક પરિવર્તન હોય કે જ્ઞાતિવાદના પડકાર હોય એ બધાંની નાની-મોટી લડત સાથે દક્ષિણ ભારતનું યોગદાન હંમેશાં નોંધપાત્ર રહ્યું છે. વળી ઉત્તર ભારતીય રાજ્યોમાંથી કામ-ધંધા માટે જેમ લોકો મુંબઈ કે સુરત સ્થળાંતર કરતા હોવાનું નોંધાયું છે તે જ રીતે દક્ષિણ ભારતીય રાજ્યોમાં પણ સ્થળાંતર થયું છે. રાષ્ટ્રીય અર્થતંત્ર અને ટેક્સ રેવન્યુને મામલે દક્ષિણ ભારતનો ફાળો સારો એવો અને નિયમિત છે.

દક્ષિણ ભારતના રાજ્યોમાં આટલી સ્થિરતા, આર્થિક વિકાસ હોવા છતાં ય દક્ષિણ ભારતનું રાજકારણ રાષ્ટ્રીય સ્તરે એટલું પ્રભાવી નથી રહ્યું જેટલું હોવું જોઇએ. ભારતને સ્વતંત્રતા મળી એ પછીનાં વર્ષોમાં કે કામરાજ, સી.એન. અન્નાદુરાઇ, એમ.જી. રામચંદ્રન્‌, એન.ટી. રામા રાઓ અને આધુનિક સમયમાં કે કરુણાનિધિ, જે. જયલલિતા, પી. ચિંદમ્બરમ્‌, એચ.ડી. દેવગૌડા, એસ.એમ. કૃષ્ણા, વાય.એસ. જગમોહન રેડ્ડી, એન. ચંદ્રબાબુ નાયડુ, કે. ચંદ્રશેખર રાઓ જેવા નેતાઓએ પ્રાદેશિક અને રાષ્ટ્રીય રાજકારણમાં કાઠું કાઢ્યું. છતાં પણ દક્ષિણ ભારત જાણે ખૂણો પાળીને પોતાના રાજકીય, સામાજિક અને આર્થિક વહીવટને બાકીનાં રાજકારણથી, ખાસ કરીને રાષ્ટ્રીય રાજકારણથી બચાવીને રાખવા માગતું હોય અથવા માગતું હતું એવું ચોક્કસ લાગે.

દક્ષિણ અને ઉત્તર ભારતનો ભેદ ઐતિહાસિક છે. દક્ષિણમાં દ્રવિડો તેમની ભાષા અને સંસ્કૃતિ રહ્યાં છે અને ઉત્તરમાં ઇન્ડો-યુરોપિયન ભાષા અને સંસ્કૃતિનો દબદબો રહ્યો છે. કમનસીબે એક વ્યક્તિ, એક વોટની ભારતીય રાજકીય ફિલસૂફીમાં સમૃદ્ધ દક્ષિણી રાજ્યોની રાજકીય સત્તા, ખાસ કરીને કેન્દ્રમાં ઓછી થઇ રહી છે. ઉત્તર ભારતમાં વસ્તી વધારે છે પણ આર્થિક શક્તિ પાંખી છે. દક્ષિણી રાજ્યોએ પહેલાં તો પોતાની પ્રાદેશિક ઓળખાણને કોટે વળગાડી રાખી પણ હવે આ રાજ્યોને એમ લાગે છે કે તેમનો વિકાસ અને શિક્ષણ સારા હોવા છતાં તેમને હાંસિયામાં ધકેલવામાં આવ્યા છે. જો કે આ બે ધારી તલવાર જેવું છે. પહેલાં ખૂણો પાળવો અ પછી કોઇ જોઇતું મહત્ત્વ ન આપે ત્યારે એમ કહેવું કે અમને કોઇ પૂછતું નથી એ પણ યોગ્ય તો નથી જ.

દક્ષિણમાં ભા.જ.પા.નું ઠીકઠાક પ્રદર્શન જે થયું તેમાંથી કોઇપણ રાષ્ટ્રીય પક્ષ ચાર બોધ લઇ શકે છે. સૌથી પહેલાં તો ઉત્તર ભારતીયો જે રીતે માને છે તેમ દક્ષિણ ભારત એક અલગ એકમ નથી. દરેક રાજ્યના પોતાના સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિબળો છે જે મતદાન પર હંમેશાં પ્રભાવ પાડે છે અને તેને ગણતરીમાં લેવા અનિવાર્ય છે. આ કારણો મહત્ત્વનાં કારણ રહ્યાં જેને કારણે ભા.જ.પે. દક્ષિણના દરેક રાજ્યમાં વોટ શેર અને જીતના સંદર્ભે વિરોધાભાસી પ્રદર્શન કર્યું છે. વળી પ્રાદેશિક પક્ષો ભલેને ખોટું લાગાડીને બેઠેલી વહુ જેવો વેહવાર કરે પણ તેમની અવગણના કરવાનું કોઇપણ રાષ્ટ્રીય પક્ષને પોસાય એમ છે જ નહીં. TDP અને JS આ બન્ને પક્ષે આ વાત સિદ્ધ કરી છે. વળી જે નેરેટિવ આપવામાં ભા.જ.પા. નિષ્ણાત છે તે નેરેટિવથી કે રાજનૈતિક વિધાનો કરવાથી વોટ મળી જશે પણ એ વોટ બેઠકમાં ફેરવાશે એવી કોઇ ગેરંટી નથી હોતી. આ મામલો કેરળ અને તમિલનાડુએ ભા.જ.પ.ને બરાબર સમજાવી દીધો. એક સમયે દક્ષિણ ભારતમાં ફિલ્મસ્ટાર્સના ચેહરાઓથી ચૂંટણી જીતી શકાતી હતી એવું હવે નથી રહ્યું. આ બાબતના પુરાવા ભા.જ.પા.ને કેરળ અને આંધ્રમાં ફિલ્મસ્ટાર સાથે જોડાયા પછી મળ્યા. આ ચૂંટણી પરિણામો એ વાતની સાબિતી આપે છે કે  ભા.જ.પા. માટે દક્ષિણ ભારતમાં બારી તો ખૂલી છે પણ હજી દરવાજા નથી ખૂલ્યાં.

બાય ધી વેઃ 

આપણો દેશ સામાજિક ગોઠવણમાં બહુસ્તરીય છે અને માટે જ એક ભારતમાં અનેક ભારત વસે છે એ રીતે જ આપણે રાજકીય સંજોગો પણ નાણવા પડે. દરેક ભારતને પોતાનો હિસ્સો જોઇતો હોય તે સ્વાભાવિક છે પણ એને માટે જરૂર પડ્યે હાથ મિલાવવા પણ પડે. લાંબા સમય સુધી દક્ષિણી રાજ્યોએ એવો જ અભિગમ રાખ્યો કે તેમના રાષ્ટ્રીય રાજકારણમાં બહુ મહત્ત્વ નહીં મળે તો ચાલશે કારણ કે ઘર આંગણે તેમની પકડ સખત છે, પણ સમય બદલાયો છે અને તેમનું પ્રતિનિધિત્વ રાષ્ટ્રીય રાજકારણમાં કેવી રીતે વધારવું એવો વિચાર દક્ષિણ ભારતીય રાજનેતાઓને રહી રહીને આવતો હોય તેવું લાગી રહ્યું છે.  પ્રાદેશિક પક્ષો પણ કેન્દ્રમાં પોતાની પકડ સાવ ઓછી થઇ જાય એવું તો ન જ ઇચ્છતા હોય. ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોનું મહત્ત્વ કેન્દ્રમાં સંતુલિત રહે એ જે – તે શાસક પક્ષે પણ પોતાનું સિંહાસન ડોલતું અટકાવવા માટે ગણતરીમાં લેવી પડે એવી બાબત છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 16 જૂન 2024

Loading

અત્યારે આખા જગતમાં સમુદ્રમંથન ચાલી રહ્યું છે અને તેના અંતે જાહેરજીવન, શાસનતંત્ર, લોકતંત્ર અને પત્રકારત્વ એમ ચારેય પરિષ્કૃત થશે. શરૂઆત થઈ ગઈ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|16 June 2024

રમેશ ઓઝા

આજે દરેકના મનમાં બે સવાલ છે. સામાન્ય નાગરિકો અને રાજકીય સમીક્ષકો સહિત દરેક આ બે સવાલ પૂછી રહ્યા છે. પહેલો સવાલ એ કે સ્પષ્ટ બહુમતી ગુમાવ્યા પછી શું નરેન્દ્ર મોદી મોરચાસરકાર ચલાવી શકશે? અને બીજો સવાલ એ કે હવે નવી સ્થિતિમાં ન્યાયતંત્ર, લોકતાંત્રિક સંસ્થાઓ, એકંદરે વહીવટીતંત્ર અને મીડિયા કરોડરજ્જુ બતાવી શકશે? બતાવશે? આ બે સવાલો સર્વત્ર પૂછાઈ રહ્યા છે.

પહેલો સવાલ પહેલાં હાથ ધરીએ. નરેન્દ્ર મોદીને ગુજરાતના વખતથી મિશ્ર સરકાર ચલાવવાનો અનુભવ નથી. તેમને એવી જરૂર ક્યારે ય નથી પડી. લોકસભાની વાત કરીએ તો ૨૦૧૪માં ભા.જ.પ.ને ૨૮૨ બેઠકો મળી હતી અને ૨૦૧૯માં ૩૦૩. તેમની કાર્યશૈલી એવી હતી જેમાં રાજનાથસિંહ અને નીતિન ગડકરી હાંસિયામાં હતા ત્યાં અન્ય પક્ષોના નેતાઓની શી વિસાત? કહેવા પૂરતી એ સરકાર નેશનલ ડેમોક્રેટિક અલાયન્સની હતી, પણ વ્યવહારમાં એ એક વ્યક્તિની સરકાર હતી. ભારતીય જનતા પક્ષની પણ નહીં, માત્ર અને માત્ર એક વ્યક્તિની સરકાર. નરેન્દ્ર દામોદર મોદીની સરકાર. પહેલી મુદ્દત કરતાં બીજી મુદ્દતમાં નરેન્દ્ર મોદીની હાજરી હજુ વધુ જોવા મળતી હતી અને તેમની તૈયારી એવી હતી કે ત્રીજી મુદ્દતમાં હજુ વધુ જોવા મળે. (તેમનો પોતાનો ચૂંટણીપ્રચાર અને ભા.જ.પ.નાં ચૂંટણીસાધનો; પોસ્ટર્સ, બેનર્સ, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં વિજ્ઞાપનો, મેનીફેસ્ટો વગેરે પર નજર કરશો તો આની ખાતરી થશે.) ત્રીજી મુદ્દતમાં દરેકે દરેક હાજર હોવા છતાં ગેરહાજર જોવા મળે. નરેન્દ્ર મોદી અને કમળ સિવાય કોઈ ચીજ નજરે ન પડવી જોઈએ.

પણ સમયે પાટુ મારી અને વખત એવો આવ્યો છે કે જેને લાત મારી હતી તેમને ગળે મળવું પડે એમ છે. એક વખત વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ લોકસભામાં પાકિસ્તાન વિષે વાત કરતાં જાણીતા ઉર્દૂ શાયર બશીર બદ્રનો શેર ટાંક્યો હતો જે કહે છે :

દુશ્મની જમ કર કરો લેકિન યે ગુંજાઈશ રહે,

જબ કભી હમ દોસ્ત હો જાએં શર્મિંદા ન હોં.

વાજપેયીએ તો દેશના દુશ્મન ગણાતા પાકિસ્તાન સાથેના સંબંધોમાં પણ એક દિવસ શરમાવું ન પડે એટલી જગ્યા રાખવાની હિમાયત કરી હતી જ્યારે નરેન્દ્ર મોદીએ તો પોતાના સગા સાથીઓ અને પિત્રાઈ બંધુઓ સાથેના વહેવારમાં ફરી સંબંધ બાંધતા શરમાવું ન પડે એટલી જગ્યા પણ નહોતી રાખી. તો શું નરેન્દ્રભાઈ ઉચ્ચાસનેથી નીચે ઉતરી શકશે? બધાને સાથે રાખીને ચાલી શકશે? સાથીઓને સાંભળશે? પોતાની વાતનો સ્વીકાર ન થાય તો અસ્વીકાર સ્વીકારી શકશે? સામૂહિક નિર્ણયપ્રક્રિયા અપનાવી શકશે? કેમેરાની ફ્રેમમાં બીજાને આવવા દેશે?

આ બધા સવાલો સર્વત્ર પૂછાઈ રહ્યા છે અને તેનો ઉત્તર સમય જ આપી શકે. રાહ એટલા માટે જોવી પડે કે નરેન્દ્ર મોદી અટલ બિહારી વાજપેયી નથી, નરેન્દ્ર મોદી છે. નેવાંનાં પાણી મોભે ચડાવવા જેવી કસોટી થવાની છે. રાહ એટલા માટે પણ જોવી જોઈએ કે મજબૂરી માણસને ઘણું બધું શીખવાડી દે છે અને માણસ શીખી લે છે.

બીજો સવાલ દેશ માટે અને દેશના લોકતંત્ર માટે વધારે મહત્ત્વનો છે. જે પોતાની પવિત્ર ફરજ ભૂલીને શરણે થઈ ગયા હતા એ પાછા ટટ્ટાર ઊભા રહેશે? પણ એક મહત્ત્વનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તેઓ ડરી ગયા હતા કે વેચાઈ ગયા હતા? મારો અભિપ્રાય એવો છે (અને મને લાગે છે કે દરેકનો અભિપ્રાય એ જ હશે જે મારો છે) કે લગભગ ૯૦ ટકા લોકો વેચાઈ ગયા હતા. જે નથી ડર્યા એ નથી જ ડર્યા. ન્યાયતંત્રને, ચૂંટણીપંચ જેવી અન્ય બંધારણીય સંસ્થાઓને અને અભિવ્યક્તિના ક્ષેત્રમાં કામ કરતાં લોકોને (એટલે કે પત્રકારોને) બંધારણે સ્વતંત્ર રીતે કામ કરવાની સુરક્ષા આપી છે. કોઈ વાળ પણ વાંકો ન કરી શકે જો કરોડરજ્જુ હોય તો! હા, થોડી તો કિંમત ચૂકવવી પડે અને જો કિંમત ચૂકવવાની તૈયારી ન હોય તો રાષ્ટ્રીય જવાબદારી જેમાં સંકળાયેલી હોય એવાં કામ ન કરવાં જોઈએ. ટૂંકમાં જે લોકોએ સમાધાનો કર્યાં છે અને દેશ સાથે વિશ્વાસઘાત કર્યો છે એ લોકો વેચાયેલા હતા ડરેલા નહોતા.

પણ સત્ય એ છે કે વેચાનારા લોકો તો હજુ વેચાવા તૈયાર હોવાના જો કોઈ ખરીદનાર હોય તો. હા, નવી સ્થિતિમાં ખરીદનારાઓને તેમનો ખપ કેટલો હશે એ અલગ સવાલ છે. નરેન્દ્ર મોદીની સરકાર નહોતી આવી એ પહેલાં પણ અદાલતોમાં ચુકાદાઓ ખરીદી શકાતા હતા, સરકારી વહીવટી નિર્ણયો ખરીદી શકાતા હતા, પત્રકારોને ખરીદી શકાતા હતા બધું જ થતું હતું. મીડ નાઈટ નોટિફિકેશનનો એક યુગ હતો જેમાં અડધી રાતે ચોક્કસ લોકોને મદદરૂપ થાય એ રીતે નીતિઓ બદલાતી હતી. ફરક એ છે કે આ વખતે આ બધું ઊઘાડું હતું, વધારે જાડું હતું, વધારે અશ્લીલ હતું, ચીતરી ચડે એવું હતું.

આમાં મુખ્ય ધારાના ઇલેક્ટ્રોનિક મીડિયાની હાલત વધારે કફોડી થવાની છે. તેણે તો ગોળા સાથે ગોફણ પણ ગુમાવી છે. દસ વરસમાં મુખ્ય ધારાના ઇલેક્ટ્રોનિક મીડિયાએ પોતાનું વજૂદ ગુમાવી દીધું છે અને એટલે તેનું વેચાણમૂલ્ય પણ ગુમાવી દીધું છે. એક અભ્યાસ મુજબ દેશમાં રોજ અંદાજે ૫૦ કરોડ લોકો યુ ટ્યુબ અને બીજા સોશ્યલ મીડિયાનાં માધ્યમોમાં જાય છે અને દેશમાં અને દુનિયામાં શું ચાલી રહ્યું છે એની જાણકારી મેળવે છે. આજે જેઓ સોશ્યલ મીડિયાથી પરિચિત નથી એવા વૃદ્ધો અને દેશપ્રેમનો ઘોંઘાટિયો નશો કર્યા વિના જેમને ઊંઘ નથી આવતી એવા ભક્તોને છોડીને કોઈ ટી.વી. ન્યુઝ જોતા નથી. એટલે તો લાખ પ્રયત્ન પછી પણ શાસક પક્ષની વાત લોકો સુધી પહોંચી નહીં અને યુ ટ્યુબરો દ્વારા વિરોધ પક્ષોની વાત છેક ગામડાં સુધી પહોંચી. ઊલટું તેમની વાત સાચી હોય તો પણ લોકો ભાટનું કથન છે એમ કહીને માનવા તૈયાર નથી હોતા. હિન્દી ભાષામાં રાજકીય વિશ્લેષણ કરનારા કેટલાક યુટ્યુબરોના દર્શકોની સંખ્યા ૫૦ લાખથી અઢી કરોડ સુધીની છે. દેશમાં કઈ એવી ન્યુઝ ચેનલ છે જે આટલા દર્શકો ધરાવે છે? આગળ કહ્યું એમ જો ખરીદનારા મળે તો વેચાવા માગનારા લોકો તો હજુ પણ બજારમાં બનીઠનીને ઊભા રહેશે, પણ હવે પછી ખરીદનારા મળશે કે કેમ એ સવાલ છે. તેમણે પોતે જ પોતાને અપ્રાસંગિક બનાવી દીધા છે. અને હા, એ ચાપલુસી કરનારા એન્કરોને ગાળો દેવાનો કે નફરત કરવાનો કે પછી ઠેકડી ઉડાડવાનો કોઈ અર્થ નથી. મુખ્ય વિલન માલિકો છે. માલિકોએ ખિસ્સા ભર્યા છે.

અત્યારે આખા જગતમાં સમુદ્રમંથન ચાલી રહ્યું છે અને તેના અંતે જાહેરજીવન, શાસનતંત્ર, લોકતંત્ર અને પત્રકારત્વ એમ ચારે ય પરિષ્કૃત થશે. શરૂઆત થઈ ગઈ છે. માત્ર ભારતમાં નહીં, જગત આખામાં.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 16 જૂન 2024

Loading

ચલ મન મુંબઈ નગરી—252

દીપક મહેતા|Opinion - Opinion|15 June 2024

‘ડાકિયા ડાક લાયા, ડાકિયા ડાક લાયા’ના ગયા એ દિવસો

ડાકિયા ડાક લાયા

ડાકિયા ડાક લાયા

ખુશી કા પૈગામ કહીં

કહીં દર્દનાક લાયા

૧૯૭૭માં ‘પલકો કી છાંવ મેં’ ફિલ્મ રિલીઝ થ,ઈ ત્યારે હજી ગામડાંમાં જ નહિ, શહેરોમાં પણ ડાક કહેતાં પોસ્ટ કહેતાં ટપાલનો અને ટપાલીનો દબદબો હતો, માત્ર ગામડાંમાં જ નહિ, મુંબઈ જેવાં શહેરોમાં પણ. મિષ્ટાન્ન ફરસાણ કાંઈ રોજ ન ખવાય, વારતહેવારે ખવાય. એમ તારવાળો પણ કાંઈ રોજ ઘરે ન આવે. પણ એક જમાનામાં ટપાલી તો લગભગ રોજ ઘરે આવે. અને એ પણ દિવસમાં ત્રણ વાર : સવારે નવેક વાગે, બપોરે બારેક વાગે, અને સાંજે ચાર-પાંચ વાગે. એ જમાનામાં લિફ્ટ બહુ ઓછાં મકાનોમાં. એટલે લગભગ દરેક મકાનમાં દાદરા ચડી-ઊતરીને કામ કરવું પડે. ખાખી યુનિફોર્મ, પગમાં તૂટેલા-જૂના સેન્ડલ. ખભેથી લટકતો ટપાલ ભરેલો થેલો. એ વખતે ટપાલ એટલે કાં પોસ્ટ કાર્ડ, કાં કવર. ઇનલેન્ડ લેટર તો પછીથી આવ્યા.

સાહિત્યકારો માટે અંગ્રેજીમાં ‘મેન ઓફ લેટર્સ’ શબ્દ પ્રયોગ થાય છે. પણ આપણા મોટા ગજાના કેટલાક લેખકો ‘મેન ઓફ પોસ્ટ કાર્ડ’ તરીકે જાણીતા. કોઈ સાવ અજાણ્યાનો, ખાસ કશા કામ વગરનો, પણ કાગળ આવે તો ગુલાબદાસ બ્રોકર એનો જવાબ અચૂક આપે, પોસ્ટ કાર્ડથી. ઉમાશંકર જોશીને તમે ગમે તેટલા પત્રો લાખો, જવાબ તો આપવો હોય તો જ આપે, અને એ પણ પોસ્ટ કાર્ડથી જ, અને ઓછામાં ઓછા શબ્દોમાં. આવો એક અનુભવ કાયમ માટે યાદ રહી ગયો છે. દાયકાઓ પહેલાં ‘માતૃવંદના’નાં પુસ્તકોનું સંપાદન કરતો હતો ત્યારે તેના પહેલા જ ભાગ માટે ઉમાશંકરને લખવા માટે આમંત્રણ મોકલેલું. સાથે જવાબી પોસ્ટ કાર્ડ પણ મોકલેલું. પણ જવાબ જ નહિ, ત્યાં લેખ તો ક્યાંથી આવે? પછી બીજા ભાગ વખતે ફરી આમંત્રણ મોકલ્યું, ફરી જવાબી પોસ્ટ કાર્ડ સાથે. થોડા દિવસ પછી તેમનું પોસ્ટ કાર્ડ મળ્યું. મથાળે ડાબી બાજુ તારીખ. પોસ્ટ કાર્ડની વચ્ચોવાચ જરા મોટા અક્ષરમાં ‘હા.’ એટલું જ લખેલું. નીચે જમણી બાજુ સહી : ‘ઉ.જો.’ ઘણાં વરસ એ પોસ્ટ કાર્ડ સાચવી રાખેલું. પણ અત્યારે હાથવગું નથી. તો સુરતમાં રહે આપણા મોટા ગજાના વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી. તેઓ પણ જવાબ પોસ્ટ કાર્ડથી જ આપે. પણ લાંબા, વિગતવાર જવાબો આપે. એક પોસ્ટ કાર્ડમાં ન સમાય એટલે બીજું વાપરે, જરૂર પડે તો ત્રીજું પણ ખરું. પછી દરેકને મથાળે ૧-૨-૩ એમ નંબર નાખીને પોસ્ટ કરે.

૧૯૭૯માં પોસ્ટ કાર્ડની શતાબ્દી પ્રસંગે બહાર પડેલી ટિકિટ

જો કે આપણા દેશમાં પોસ્ટ કાર્ડ તો પ્રમાણમાં મોડાં આવ્યાં – ૧૮૭૯માં. પણ ટપાલ સેવાનો ઇતિહાસ તો તેનાથી ઘણો વધુ જૂનો છે. પોર્ટુગીઝ, ફ્રેંચ અને અંગ્રેજો આવ્યા તે પહેલાં મરાઠા શાસનમાં પણ ટપાલની વ્યવસ્થા હતી. એ ઉપરાંત પણ કેટલાંક દેશી રાજ્યો પોતપોતાની ટપાલ સેવા ચલાવતાં. પણ આખા દેશમાં ટપાલ સેવાની શરૂઆત કરી તે તો ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સરકારે. અને એની શરૂઆત થયેલી મુંબઈથી. ૧૬૮૮માં દેશની પહેલવહેલી પોસ્ટ ઓફિસ મુંબઈમાં શરૂ કરી. એ ક્યાં આવેલી એ તો જાણી શકાયું નથી. પણ મુંબઈના કોટ વિસ્તારમાં જ ક્યાંક તે હોઈ શકે. તે પછી કલકત્તા અને મદ્રાસમાં પોસ્ટ ઓફિસ શરૂ થઈ. લોર્ડ ક્લાઈવના શાસન દરમ્યાન ટપાલ સેવાનો વિકાસ થયો. પણ ૧૭૭૪ સુધી ટપાલ સેવા માત્ર સરકારી કામકાજ પૂરતી માર્યાદિત હતી. વોરન હેસ્ટિંગ્ઝે ૧૭૭૪માં આ સેવાને સાર્વજનિક બનાવી. એ વખતે ટપાલનો દર વજનને આધારે નક્કી નહોતો થતો, પણ તે કેટલે દૂર સુધી મોકલવાની છે તેને આધારે નક્કી થતો. દર હતો ૧૦૦ માઈલના અંતર માટે બે આના (આજના બાર પૈસા).

વખત જતાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ અલગ પોસ્ટ ઓફીસ વિભાગ શરૂ કર્યો – ૧૭૭૪માં કલકત્તામાં, ૧૭૭૮માં મદ્રાસમાં, અને ૧૭૯૨માં મુંબઈમાં.

એ વખતે હજી ટ્રેનની તો શરૂઆત પણ થઈ નહોતી. એટલે ટપાલ લઇ જવા માટે Runnersનો ઉપયોગ થતો. ટપાલનો થેલો ઉપાડીને એક હલકારુ-ખેપિયો અમુક નિશ્ચિત જગ્યા સુધી જઈને ત્યાં થેલો બીજા ખેપિયાને આપી દે. એમ સાંકળ લંબાતી જાય. તેમાં વળી ચોમાસામાં નદી-નાળાં ઊભરાતાં હોય, ધોધમાર વરસાદ વરસતો હોય, ત્યારે ટૂંકો રસ્તો છોડી લાંબે રસ્તે જવું પડે. દરેક હલકારુ સાથે એક ડુગડુગીવાળો પણ હોય, જે સતત ડુગડુગી વગાડ્યા કરે – જંગલમાં પ્રાણીઓને આઘાં રાખવા, અને વસતીવાળા વિસ્તારોમાં લોકો હલકારુના રસ્તામાંથી આઘા ખસી જાય તે માટે. સાધારણ રીતે એક હલકારુ એક દિવસમાં એક સો માઈલ કાપે.

બેલાર્ડ પિયર સ્ટેશન – એક બાજુ સ્ટીમર, બીજી બાજુ ફ્રન્ટિયર મેલ ટ્રેન

૧૮૬૯ની ૧૭મી નવેમ્બરે સુએઝ કેનાલ ખુલ્લી મુકાઈ તે પહેલાં હિન્દુસ્તાનથી બ્રિટન ટપાલ મોકલાતી તે કેપ ઓફ ગુડ હોપના દરિયાઈ રસ્તે. એ રસ્તે અહીંથી બ્રિટન ટપાલ પહોંચતાં ૧૬,૦૦૦ માઈલનું અંતર કાપતાં ત્રણ મહિના લાગતા! ૧૮૬૯ પછી સુએઝને રસ્તે ૬,૦૦૦ માઈલ કાપતાં ૩૫થી ૪૫ દિવસ લાગતા. કેપ ઓફ ગુડ હોપને રસ્તે ટપાલ બ્રિટન જતી તે કાં મદ્રાસથી, કાં કલકત્તાથી. મુંબઈની ટપાલ મદ્રાસ મોકલાતી. પણ સુએઝ કેનાલ શરૂ થયા પછી મુખ્ય કેન્દ્ર બન્યું મુંબઈ. ગ્રેટ બ્રિટનથી આવતી સ્ટીમરો મુસાફરો સાથે ટપાલ પણ લાવે લઈ જાય. એ સ્ટીમરો મુંબઈના બેલાર્ડ પિયર પર નાંગરે. ત્યાંથી આખા દેશની ટપાલ લઈ જવા માટે ખાસ ફ્રન્ટિયર મેલ ટ્રેન શરૂ કરેલી. ટપાલના કોથળા સ્ટીમરમાંથી એક બાજુ ઊતરે, અને બીજી બાજુ ટ્રેનમાં ચડાવાય. બ્રિટન આવતા-જતા મુસાફરો પણ આ ટ્રેનનો ઉપયોગ કરે. પહેલી ટ્રેન મુંબઈથી ૧૯૨૮ના સપ્ટેમ્બરની પહેલી તારીખે રવાના થયેલી. ૧૯૪૭ પહેલાં આ ટ્રેન છેક હિન્દુસ્તાનની સરહદ પર આવેલા પેશાવર સુધી જતી, અને એટલે જ એનું નામ ફ્રન્ટિયર મેલ. ૧૯૩૪માં તેમાં એક ‘એર કન્ડીશન’ ડબ્બો જોડવામાં આવ્યો. એને ઠંડો કઈ રીતે રાખતા? ડબ્બાની નીચે બરફની પાટો રાખવાની સગવડ હતી. તે ભાગમાં મોટા પંખા જોરથી ફર્યા કરે. ડબ્બાના તળિયામાં રાખેલા કાણાંમાંથી ઠંડી હવા ડબ્બામાં ફેલાયા કરે. અમુક અમુક નક્કી કરેલાં સ્ટેશને નવો બરફ મૂકવામાં આવે. આ પ્રકારની સગવડ ધરાવતી આ પહેલી ટ્રેન. તેમાં રેડિયો સાંભળવાની સગવડ પણ કરવામાં આવેલી. ૧૯૯૬ના સપ્ટેમ્બરથી એ ટ્રેન ગોલ્ડન ટેમ્પલ મેલ તરીકે ઓળખાય છે અને અમૃતસર સુધી જ જાય છે. હવે બેલાર્ડ પિયર સ્ટેશનનું અસ્તિત્ત્વ રહ્યું નથી એટલે એ ટ્રેન બોમ્બે સેન્ટ્રલથી આવ-જા કરે છે.

મુંબઈની કાયાપલટ કરનાર સર બાર્ટલ ફ્રેરે સિંધના કમિશ્નર હતા ત્યારે તેમણે ટપાલ સેવામાં ઘણા ફેરફાર કર્યા. પગપાળા ટપાલ લઈ જતા ખેપિયાને બદલે તેમણે ઘોડેસવાર ખેપિયાનો ઉપયોગ શરૂ કર્યો, તો રણના રેતાળ પ્રદેશમાં ઊંટનો. ‘સિંધ ડાક’ તરીકે ઓળખાતી અડધા આનાની ટપાલ ટિકિટનો ઉપયોગ પણ તેમણે પહેલી વાર શરૂ કર્યો. આ ટિકિટ આજે તો અત્યંત દુર્લભ બની ગઈ છે. છેલ્લે એક વપરાયેલી સ્ટેમ્પ અમેરિકામાં દસ હજાર ડોલરમાં વેચાઈ હતી. પણ આ ટિકિટનો ઉપયોગ અમુક વિસ્તાર (સિંધ) પૂરતો જ મર્યાદિત હતો. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના રાજમાં સર્વત્ર વાપરી શકાય એવી ટપાલ ટિકિટ ૧૮૫૪ના ઓક્ટોબરમાં બહાર પાડવામાં આવી. તેના પર રાણી વિક્ટોરિયાના યુવાનીના દિવસોનું પોર્ટેટ છાપ્યું હતું. એ ટિકિટ અડધો આનો, તથા ૧,૨, અને ૪ આનાની કિંમતની હતી. તેની પાછલી બાજુએ ગુંદર લગાડેલો નહોતો. તેમાં ચાર આનાની ટિકિટ બે રંગમાં છપાતી. આખી દુનિયામાં તે પહેલાં બે રંગની બીજી એક જ ટિકિટ છપાઈ હતી, જે ‘બેઝલ ડવ’ તરીકે ઓળખાય છે તે ૧૮૪૫માં સ્વીત્ઝરલેન્ડમાં છપાઈ હતી.

૧૮૫૪માં ટપાલ સેવાને લોકાભિમુખ કરવામાં આવી. સરકારી ટપાલ મફત લઈ જવાનું બંધ કરાયું. તેના પર પણ જરૂરી ટિકિટ લગાડવાનું ફરજિયાત બનાવાયું. ટપાલ કેટલે દૂર લઈ જવાની છે તેને આધારે પોસ્ટેજ નક્કી કરવાનું બંધ કરીને વજન પ્રમાણે નક્કી કરવાનું શરૂ થયું. દર પા તોલા દીઠ અડધો આનો લેવાનું નક્કી થયું. આ પ્રકારની પહેલી ટપાલ ટિકિટ દેશમાં જ છાપવાનો પ્રયત્ન ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કર્યો, પણ તે સફળ થયો નહિ. એટલે પહેલી ટિકિટો ઇન્ગ્લન્ડમાં છાપીને અહીં લાવવામાં આવી. ત્યારથી છેક ૧૯૨૫ સુધી હિન્દુસ્તાન માટેની બધી જ ટપાલ ટિકિટ ઇન્ગ્લન્ડમાં છપાતી. ૧૯૨૫થી નાશિકમાં શરૂ થયેલ ઇન્ડિયા સિક્યુરિટી પ્રેસમાં ટપાલ ટિકિટો છાપવાનું શરૂ થયું. ત્યાં સુધી ઘણી વખત હિન્દુસ્તાનમાં ટપાલ ટિકિટની અછત ઊભી થતી. ૧૮૬૫થી હાથીના મોઢાના ‘વોટર માર્ક’વાળા કાગળ પર ટપાલ ટિકિટ છાપવાનું શરૂ થયું. ૧૮૯૫માં પહેલી વાર ૨,૩, અને ૫ રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પડી.

ઉપર: ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પહેલી ટિકિટ, ગાંધીજીની સ્મૃતિમાં બહાર પડેલી પહેલી ટિકિટ, ૧૫ ઓગસ્ટ ૧૯૪૮ નીચે: સ્વતંત્ર ભારતની પહેલી ટપાલ ટિકિટ

૧૯૩૧ સુધી હિન્દુસ્તાનની બધી ટપાલ ટિકિટ પર ગ્રેટ બ્રિટનનાં રાજા કે રાણીનું જ ચિત્ર છપાતું. ૧૯૩૧માં પહેલી વાર દિલ્હીના ‘પુરાના કિલ્લા’ના ચિત્રવાળી છ ટપાલ ટિકિટ બહાર પડી. ૧૯૪૭ના નવેમ્બરની ૨૧મી તારીખે સ્વતંત્ર ભારતની પહેલી ટપાલ ટિકિટ બહાર પડી, જેના પર અશોક સ્તંભ અને ત્રિરંગા રાષ્ટ્ર ધ્વજનું ચિત્ર હતું, અને ‘જય હિન્દ’ લખેલું હતું. કોઈ પણ હિંદી વ્યક્તિના ચિત્રવાળી એક પણ ટપાલ ટિકિટ ૧૯૪૭ પહેલાં બહાર પડી નહોતી. ૧૯૪૮ની ૧૫મી ઓગસ્ટે મહાત્મા ગાંધીના ચિત્રવાળી પહેલી ટિકિટ બહાર પડી, તે આવી પહેલી ટિકિટ.

રસ્તા પર હાલતાં-ચાલતાં ટપાલ ખાતાની એક નિશાની અચૂક જોવા મળે, તે લાલ રંગની ટપાલ પેટી. ઉપરના ભાગમાં ટપાલ નાખવા માટેનું છાપરાવાળું બાકોરું. વરસાદનું પાણી અંદર ન જાય તે માટે છાપરું. નીચે નાનકડું બારણું, તાળું મારેલું. ચાવી પોસ્ટ મેન પાસે હોય. પહેલાં તો દિવસમાં ત્રણ વાર આવીને ટપાલ પેટી ખાલી કરી બધી પોસ્ટ થેલામાં નાખે. હવે પછી ક્યારે ટપાલ કાઢી જશે તેનો સમય બતાવતો કાગળ તેને માટેની ‘બારી’માં મૂક્યો હોય. બધી પેટીમાંથી ટપાલ એકઠી થઈ જાય એટલે પોસ્ટ ઓફિસમાં જઈ કોથળો ઠાલવે. અને પછી શરૂ થાય ટપાલની મુસાફરી.

સૂની પડેલી ટપાલ પેટી

હજી આજે ય ટપાલી ઘરે ક્યારેક ક્યારેક આવે તો છે. જાહેર ખબરનાં ફરફરિયાં લઈને, લવાજમ ભરેલાં મેગેઝીન લઈને, રડ્યાંખડયાં બિલ લઈને. અને હા. દિવાળીના દિવસોમાં તો એક સાથે ત્રણ-ચાર ટપાલી આવી પહોંચે – દિવાળીની બક્ષિશ લેવા. પણ હવે વ્હોટ્સએપ અને મોબાઈલના જમાનામાં ટપાલીને આવતો જોઈને કોઈ ગાતું નથી :

ડાકિયા ડાક લાયા

ડાકિયા ડાક લાયા

ખુશી કા પૈગામ કહીં

કહીં દર્દનાક લાયા

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 15 જૂન 2024)

Loading

...102030...535536537538...550560570...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved