Opinion Magazine
Number of visits: 9665052
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસ આજે (૬)  

સુમન શાહ|Opinion - Opinion|7 October 2024

સુમન શાહ

આ અગાઉના લેખમાં મેં લખ્યું હતું કે હરારીને ‘નવ્ય વિશ્વયુદ્ધ અસંભવ નથી ભાસતું’. મારે એમાં એ ઉમેરવું છે કે એ એમનું અંગત સંવેદન પણ હોઈ શકે છે. કેમ કે એમનો દેશ ગઈ સાલથી યુદ્ધગ્રસ્ત છે. અને, તાજેતરમાં સમાચારો મળે છે, કે —

ઇરાને ઇઝરાઇલ પર ડ્રોન્સ અને આશરે ૧૮૦ મિસાઇલ છોડીને અપૂર્વ હુમલો કર્યો, કેટલાંક મિસાઈલ્સ તો બૅલિસ્ટિક હતાં. ઇરાને ધમકી આપી કે ભાવિ હુમલા માટે તે ઇઝારાઇલના સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સને પણ ટાર્ગેટ કરશે. જેરુસલામ-નેતાઓએ કહ્યું કે ઇઝરાઇલ વળતો હુમલો કરશે, ઍપ્રિલમાં કરેલો એથી પણ ઘાતક. સામે, ઇરાન પોતે ઇઝરાઇલ માટે વિચારી રાખેલી ‘ઑક્ટોપસ હેડ’, ઑક્ટપસને હોય છે એવી અષ્ટહસ્તવાળી, મલ્ટિ-ફ્રન્ટ સ્ટ્રેટેજી, સંભવ છે, કે ઝીંકે! 

કહે છે, આ યુદ્ધ કોઈ સાયન્સ-ફિકશન નથી, દારુણ હકીકત છે!

એટલે, બને કે ઇઝરાઇલ-ઇરાન યુદ્ધ વિકસે. ૭ ઑક્ટોબર ૨૦૨૩-થી શરૂ થયેલા ઇઝરાઇલ-ગાઝા યુદ્ધને આવતી કાલે ૭ ઑક્ટોબરે ૧ વર્ષ પૂરું થશે. ઇઝરાઇલ-ઇરાન એકબીજાને ધમકીઓ આપી રહ્યાં છે કે જો યુદ્ધ આગળ વધશે તો ધરતી પરથી — તમારું નામોનિશાન મિટાવી દઈશું. બને કે ૭ દિવસમાં ૭ સ્થાનો પર ૭ વિનાશક હુમલા થશે. અને કોઈ કોઈ પત્રકારો બકે છે કે ૭ દિવસમાં સર્વનાશ થશે. પણ પશ્ચિમી એશિયામાં, આમ, મહાયુદ્ધના અણસાર વરતાઈ રહ્યા છે, જરૂર.

કહે છે, આ  યુદ્ધ કોઈ સાયન્સ–ફિકશન નથી, દારુણ હકીકત છે!

+ +

વિશ્વયુદ્ધના વિષયમાં મારે મારા કેટલાક વાચકોને ખાસ જણાવવું છે કે ‘કોલ્ડ વૉર’ – સમયે હતાં તેથી ઓછાં, પણ વિશ્વમાં આજે ૨૦૨૪-માં, આશરે ૧૨,૦૦૦ ન્યુક્લીયર વૉરહેડ્સ છે. 

વૉરહેડ્સ એટલે, અણુશસ્ત્રોના વિવિધ એકમો. કહેવાય છે કે fission / fusion-ની ક્રિયાપ્રતિક્રિયાઓથી વિનાશક શક્તિ ઉદ્ભવે છે, એક નાના ઍરિયામાં અતિશિયત માત્રામાં શક્તિપાત થાય છે, ચિર કાળ લગી ચાલે એટલી બધી રેડિયો-ઇફૅક્ટ્સ જનમે છે. 

વૉરહેડ ધરાવનારા દેશો છે : મુખ્યત્વે યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા) અને રશિયા; ચીન, ફ્રાન્સ, યુનાઇટેડ કિંગ્ડમ, ભારત, પાકિસ્તાન, ઇઝરાઇલ, અને ઉત્તર કોરિયા.

+ + 

હરારી વિશેની વાત આગળ ચલાવું : 

હરારી કહે છે કે શક્તિશાળી વસ્તુઓ સરજી લેવાની આપણી વૃત્તિનું પરિણામ, સ્ટીમ ઍન્જિન કે AI -ની શોધ માત્ર નથી, પરન્તુ એ વૃત્તિનું પરિણામ ધર્મની શોધ પણ છે. કહે છે, પયગમ્બરો અને આસ્તિક ધર્મવેત્તાઓએ પૃથ્વી પર પ્રેમ અને આનન્દના આવિર્ભાવને સારુ શક્તિસમ્પન્ન આત્માઓનાં – સ્પિરિટ્સનાં – આવાહન તો કરેલાં, પણ દુ:ખદ વાત એ બનેલી કે એ એથી વિશ્વ અવારનવાર રક્તરંજિત પણ થયું હતું. 

યુવલ હરારી

હરારીનું એક આ મન્તવ્ય પણ સમજવા જેવું છે. એ કહે છે કે માનવ-શક્તિ કોઈ એક વ્યક્તિના પ્રયાસનું ફળ નથી હોતી. શક્તિ હમેશાં અનેક મનુષ્યોના પારસ્પરિક સહકારનું પરિણામ હોય છે. પોતાના આ પુસ્તકનો મુખ્ય તર્ક અથવા વિચાર-પક્ષ રજૂ કરતાં હરારી કહે છે કે માનવજાતિ સહકારનાં વિશાળ નેટવર્ક્સ ઊભાં કરીને અઢળક શક્તિ હાંસલ કરી શકે છે, પણ એ નેટવર્ક્સ એવી રીતે રચાયાં હોય છે કે આપણે એ શક્તિના મૂર્ખતાભર્યા ઉપયોગ માટે તત્પર થઈ ઊઠીએ. 

હરારી ઉમેરે છે, એટલે આપણો પ્રોબ્લેમ નેટવર્ક પ્રોબ્લેમ છે, સ્પષ્ટતાથી કહીએ તો, ઇન્ફર્મેશન પ્રોબ્લેમ છે. 

માહિતીને હરારી ગ્લુ, એટલે કે, ગુંદર ગણે છે. એ ગુંદર એક અને બધી માહિતી-જાળોને ચૉંટાડીને જોડી રાખે છે. પણ બન્યું શું, હરારી કહે છે, હજારો વર્ષોથી માનવજાતિએ જે વિશાળકાય માહિતી-જાળો શોધી કાઢી છે, અને પ્રસરાવી છે, એ કાં તો દેવો વિશેની અથવા AI વિશેની કપોળકલ્પનાઓ અને કથા-વારતાઓ છે. 

બાકી, હરારી કહે છે, દરેક મનુષ્ય-વ્યક્તિને તો પોતાને વિશેનું અને વિશ્વને વિશેનું સત્ય જાણવામાં જ રસ હોય છે.

પરન્તુ, આ માહિતીજાળો એવી ગોઠવણ – ઑર્ડર – કરે છે, જે એને પેલી કપોળકલ્પનાઓ અને કથા-વારતાઓ પર વિશ્વાસ રાખતો કરી દે, આંધળો બનાવી દે.

હરારી નાઝિઇઝમ અને સ્તાનિલઇઝમને મનુષ્યના ભ્રાન્ત વિચારો પર આધારિત મનુષ્ય-સરજિત અને નિરપવાદપણે અતિ શક્તિશાળી નેટવર્ક્સ ગણે છે. જ્યૉર્જ ઑરવેલના સુખ્યાત વચનને યાદ કરીને કટાક્ષમાં કહે છે, ignorance is strength. હરારી વિશેષ એ ઉમેરે છે કે ભલે હિટલર અને સ્તાલિન નિષ્ફળ ગયા, પરન્તુ ૨૧-મી સદીમાં, નવાં ટોટાલિટેરિયન રેઝિમ્સ – એકહથ્થુસત્તાવાદી શાસનો – સંભવ છે કે સફળ પણ થાય. શી રીતે? હરારી જણાવે છે કે સર્વથા શક્તિશાળી નેટવર્ક્સ રચીને. એ એવાં નેટવર્કસ હશે કે ભાવિ પેઢીઓ એનાં જૂઠાણાં અને એની કથાવારતાઓને ખુલ્લાં પાડવાનો પ્રયાસ કરશે, પણ ફાવશે નહીં. 

હરારી ઉમેરે છે કે આપણે એવું ન માનવું કે ભ્રાન્તિઓ પર રચાયેલાં નેટવર્ક્સ તો નિષ્ફળ જ નીવડવાનાં ને! ના. ઉમેરે છે કે આપણે જો એ નેટવર્ક્સની સફળતાઓને વિદારવી હશે, તો કઠિન શ્રમ આપણે જ કરવો જોઈશે. 

+ +

હું ૩૩ કરોડ દેવોના દેશ ભારતમાં, જીવન-પરમ્પરાઓ કેવી કેવી કથા-વારતાઓથી સ્થિર થઈ છે એ વીગતોમાં ન જઉં, કેમ કે સુવિદિત છે. 

પણ વ્યક્તિની જિજ્ઞાસા કે પોતે અને વિશ્વ બન્ને શું છે, એ વિશે એક વાક્યમાં કહું કે વેદોથી માંડીને શંકરાચાર્યના દર્શન સુધીના તમામ ભારતીય તત્ત્વદર્શનોએ વ્યક્તિને એનું અને વિશ્વનું સત્ય જુદી જુદી રીતે સરસ સમજાવ્યું છે. 

ઇતિહાસમાં, એ પછી મોટી હરણફાળ ભરાઈ હતી, અને તે હતી, ૧૫-મી સદીની ભક્તિપરમ્પરા. દેશ આખામાં પ્રસરેલો એ હતો, એક ભક્તિ-જુવાળ. એણે પ્રજા માટે તત્ત્વદર્શનોનાં સત્યોને ભજનોમાં પ્રસરાવ્યાં હતાં. એ રસપ્રદ ભજન-પરમ્પરા હજી ભારતના કસબાઓમાં અને ગામડાંઓમાં જીવન્ત છે. 

તેમછતાં, ઉત્તરોત્તર જે બનતું આવ્યું અને બની રહ્યું છે, તે છે, મન્દિરોનાં નિર્માણ. 

મન્દિર-સ્થાપનોએ નિ:સામાન્ય કર્મકાણ્ડનો અને મન્દિરોમાં પોતે બેસાડેલા દેવોનો જ મહિમા વિકસાવ્યો. ક્રમે ક્રમે દર્શનોનું અને ભજનપરમ્પરાનું વિસ્મરણ થયું અને આજે તો કેટલાંક મન્દિરોનું તન્ત્ર જ એ પ્રકારે ગોઠવાયું હોય છે કે એને એક કમર્શ્યલ નેટવર્ક ગણવું પડે. વેપારની રીતે આરામથી ચલાવાતાં એ ધામોએ પોતાની સૉડમાં રેસ્ટોરાંઓને પણ બેસવા દીધી છે. ભક્ત ઈશ્વરનો ‘પ્રસાદ’ ભૂલી ગયો છે, અને વેચાતા પ્રસાદનો ગ્રાહક બની ગયો છે. એને અંધાપો જ કહેવાય ને! 

+ +

મને હરારીનો અભિગમ એમના ગ્રન્થોમાં કે વાર્તાલાપોમાં હમેશાં ડીમિસ્ટિફાઇન્ગ અને ડીકન્સ્ટ્રક્ટિવ લાગ્યો છે – રહસ્યસ્ફોટકારી અને વિઘટનશીલ. તેઓ મને હમેશાં ફિલસૂફ નથી લાગ્યા. પોતે દરેક વખતે નમ્રતાથી સૂચવતા હોય છે કે પોતે history કે brief history રજૂ કરી રહ્યા છે. પણ વાસ્તવિકતા એ છે કે તેઓ Big history-ના વિદ્વાન છે. 

બિગ હિસ્ટરી શું છે? એ એક વિદ્યાશાખા છે. તદનુસાર, ‘બિગ બૅન્ગ’-થી માંડીને વર્તમાન સુધીના ઇતિહાસનું અધ્યયન હાથ ધરાય છે. આ એક સમગ્રલક્ષી આન્તરવિદ્યાકીય અભિગમ છે. એમાં, ઇતિહાસ ઉપરાન્ત, જીવવિજ્ઞાન, અને જરૂરત પડી હોય તો ભૂસ્તરશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર કે કોઈપણ વિદ્યાનો સહયોગ સાધીને જ્ઞાનસમ્પાદન થાય છે. 

એમાં, વિશ્વની ઉત્ત્પતિથી માંડીને આજ દિન લગીની એક વ્યાપક સમયરેખા હોય છે – ટાઇમલાઇન. એમાં, સાર્વત્રિક રીતો અને વિવિધ ભાતોના તારણ પરથી સ્પષ્ટતાઓ રજૂ થાય છે કે વિશ્વના અને માનવ-સભ્યતાના વિકાસમાં કયાં પરિબળો જવાબદાર હતાં. એમાં, વિવિધ ઘટનાઓ અને વૈશ્વિક, જૈવિક, માનવીય તેમ જ યન્ત્રવિજ્ઞાનીય પરિવર્તનો વચ્ચેના સમ્બન્ધોની તપાસ હાથ ધરાય છે; એથી સમજાય છે કે સમયાન્તરે વિભિન્ન સમાજો અને સંસ્કૃતિઓ વચ્ચે કેવાંક આદાનપ્રદાન થયાં, કેવા કેવા પ્રભાવો જનમ્યા. 

પરિણામે, ઇતિહાસ વિશે એક સર્વાંગી સમજ સાંપડે છે. સમજાય છે કે વિશ્વમાં આપણું સ્થાન શું છે અને મનુષ્ય રૂપે આપણી મહત્તા શી છે. (‘બિગ હિસ્ટરી’-નું આ વિવરણ, Khan Academy અનુસાર).

એવા ઇતિહાસવેત્તા હોવાથી હરારી મને વિવિધ સમયોના દોરમાં અનેક પ્રસંગો, અર્થઘટનો અને વિચારો પરોવતા લાગે છે. એટલે, એવા અનેક સમયદોરા એમનાં લેખનોમાં લ્હૅરાતા હોય છે. તેથી કેટલાક વાચકોને લાગે કે તેઓ ‘sweeping statements’ કરી રહ્યા છે, એવી ટીકાઓ પણ થઇ છે. પણ હરારીને ન્યાય ખાતર એ સામાન્યીકરણને વરેલાં વિધાનોને હું તો એમની વિદ્વત્તાનો વિશેષ ગણું છું. 

બીજું, તેઓ હિસ્ટરી જાણે છે એટલે સ્ટોરી-ટેલિન્ગની રીત જાણે છે. પરિણામે, એમની શૈલીમાં તત્ત્વચિન્તનનું ઊંડાણ ઘણી વાર નથી વરતાતું, બલકે ઊંધું, કે તેઓ વાચક પાસે બેસીને વાતો કરતા લાગે છે, વાતચીતની ઢબ છે એમની શૈલીની. એમની વાતોમાં વાર્તાકથકની હૉંશ હોય છે, ઉત્તેજના પણ ખરી. એમ પણ કહેતા હોય છે કે પોતે પોતાના વાચકને વિચારો વડે અને વિચારો વિશે ઉત્તેજિત કરવા ચાહે છે.

(ક્રમશ:)
(06Oct24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઉત્તિષ્ઠ, જાગ્રત, પ્રાપ્ય વરાન્નિબોધત્ ..  

સોનલ પરીખ|Opinion - Opinion|7 October 2024

उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत ।
क्षुरस्य धारा निशिता दुरत्यया दुर्गं पथस्तत्कवयो वदन्ति ।।
(
कठोपनिषद्, अध्याय १, वल्ली ३, मंत्र १४)

‘ઉત્તિષ્ઠ, જાગ્રત, પ્રાપ્ય વરાન્નિબોધત્, ક્ષુરસ્ય ધારા નિશિત દુરત્યયા દુર્ગ પથસ્તત્કવયો વદન્તિ’ કઠોપનિષદ કહે છે, ‘કવિઓ આધ્યાત્મિક માર્ગને અસ્ત્રની ધાર જેવો દુર્ગમ બતાવે છે માટે હે મનુષ્ય, ઊઠ, જાગ, સાવધાન થા અને શ્રેષ્ઠને પામ.’ આવું કહેનાર ગુરુ અને આવા ગુરુવચનને સમજીને તે પ્રમાણે જીવી બતાવનાર શિષ્ય ગમે તે યુગમાં દુર્લભ જ હોય છે

ઉત્તિષ્ઠ, જાગ્રત, પ્રાપ્ય વરાન્નિબોધત્, ક્ષુરસ્ય ધારા નિશિત દુરત્યયા દુર્ગ પથસ્તત્કવયો વદન્તિ’ કઠોપનિષદની આ ઉક્તિનો અર્થ એવો છે કે ‘કવિઓ આધ્યાત્મિક માર્ગને અસ્ત્રની ધાર જેવો દુર્ગમ બતાવે છે માટે હે મનુષ્ય, ઊઠ, જાગ, સાવધાન થા અને શ્રેષ્ઠને પામ.’ આવું કહેનાર ગુરુ અને આવા ગુરુવચનને સમજીને તે પ્રમાણે જીવી બતાવનાર શિષ્ય ગમે તે યુગમાં દુર્લભ જ હોય છે. ગુરુપૂર્ણિમા નિમિત્તે યાદ કરીએ ગુરુશિષ્યની આવી શ્રેષ્ઠ જોડી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદને.

રામકૃષ્ણ પરમહંસ

સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્ર. નરેન્દ્રનો એક કુટુંબી રામ રામકૃષ્ણ પરમહંસનો શિષ્ય હતો. નરેન્દ્રને સત્ય શોધવા આમતેમ ભટકતો જોઈને તેણે કહ્યું, ‘એકવાર દક્ષિણેશ્વર જા.’ નરેન્દ્ર દક્ષિણેશ્વર ગયો. પરમહંસ એકલા બેઠા હતા. નરેન્દ્રએ પ્રણામ કરી એકદમ પૂછી નાખ્યું, ‘તમે ઈશ્વરને જોયો છે ?’

‘હા, જોયો છે. આ તને જોઉં છું ને, એવી જ રીતે જોયો છે.’ નરેન્દ્ર સ્તબ્ધ થઈ ગયો. રામકૃષ્ણ પરમહંસ કહેવા લાગ્યા, ‘કેટલાં વર્ષથી તારી રાહ જોઉં છું. આખરે તું આવ્યો. આટલી વાર કેમ કરી? સંસારી માણસો સાથે વાતો કરી કરીને મારું ગળું સુકાઈ ગયું!’ પછીથી સ્વામી વિવેકાનંદ શિષ્યોને કહેતા, ‘તે વખતે મને થયું આ માણસ કેવો છે! મારી બુદ્ધિ કહેતી હતી કે તે ગાંડો છે, પણ મારું અંતઃકરણ તેના તરફ ખેંચાતું હતું …’

રામકૃષ્ણે કહ્યું, ‘આ છોકરો ધ્યાનસિદ્ધ છે. જે પણ બાબતમાં તે પોતાનું ચિત્ત પરોવે તેમાં તે તલ્લીન બની જાય છે. તેની ઊંઘ પણ એક જાતનું ધ્યાન જ છે.’ નરેન્દ્ર ફરીથી સ્તબ્ધ બની ગયો. વિચાર કરવા લાગ્યો કે મહર્ષિ દેવેન્દ્રનાથે પણ કહ્યું હતું કે છોકરા તારી આંખો યોગીના જેવી છે. મારા વિષે આ બંનેનું કહેવું ખરું હશે? ઘેર ગયા પછી તેણે રામદાદાને રામકૃષ્ણ પરમહંસ વિષે પૂછ્યું. તેણે કહ્યું, ‘શ્રીરામકૃષ્ણ અલૌકિક પુરુષ છે. પરમહંસ છે. અત્યંત ધર્મિષ્ઠ છે. તેમનામાં સંસારની વાસના તલમાત્ર પણ નથી. તે દ્રવ્યને ધિક્કારે છે. દરેક સ્ત્રીને માતા ગણે છે, તે ખરેખરા યોગી છે. તેમણે ઈશ્વરનાં દર્શન કર્યા છે.’

ત્યારે શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં દેવીના વિશાળ મંદિરની એક ઓરડીમાં રહેતા. તેમણે નરેન્દ્રને કેટલાક આધ્યાત્મિક અનુભવ કરાવ્યા. નરેન્દ્રને સમજાયું કે નિયમો અને કૃત્રિમ રીતભાતો ઈશ્વરના ભક્તોની આડે આવતાં નથી. સહજ અને સાચા ભક્તોનાં પ્રેમ અને ભક્તિ સ્વતંત્રપણે ગમે તે સ્થિતિમાં, ગમે તે સ્થળમાં અને ગમે તે વખતે વહેવા માંડે છે. જગતના નિયમો તેને બાધ્ય કરતા નથી.

સ્વામી વિવેકાનંદ

એ સમયે નરેન્દ્રની ઉમ્મર વીસ વર્ષની હતી. તે એલ.એલ.બી.નો અભ્યાસ કરતો હતો. પિતા ગુજરી ગયા હતા. કુટુંબને સખ્ત હાડમારી વેઠવી પડતી હતી. હાડમારીના આ અનુભવથી તેનું હૃદય દયાર્દ્ર અને સ્વદેશાભિમાની બની રહ્યું હતું. તેની બે બહેનોને પણ આ જગતનો કડવો અનુભવ થયો હતો અને તે અકાળ મૃત્યુને વશ થઈ હતી, તેથી ભારતની સ્ત્રીઓની દુર્દશાનું પણ તેને બહુ ઊંડું ભાન થયેલું હતું.

રામકૃષ્ણ અને નરેન્દ્રનો મેળાપ એ હિંદના પ્રાચીન અને અર્વાચીન જીવનના મેળાપરૂપ હતો. આ મેળાપથી એ બંને જીવનપ્રવાહો સાથે સાથે વહેવા લાગ્યા. નરેન્દ્ર પર રામકૃષ્ણની બહુ જ કૃપા ઊભરાયા કરતી. પવિત્ર આત્માઓને પરસ્પર બાંધનાર બંધનો પણ આશ્ચર્યકારક જ હોય છે. રામકૃષ્ણ અને નરેન્દ્ર વચ્ચેનો પ્રેમ એટલો અગાધ, અલૌકિક હતો કે આખરે ગુરુ અને શિષ્ય બંનેનું બોલવું, વિચારવું, બેસવું, ઊઠવું – આખું જીવન એક જ થઈ રહ્યું હતું. રામકૃષ્ણ નરેન્દ્રથી વધુ દિવસ જુદા રહી ન શકતા. નરેન્દ્ર ઘણા દિવસથી આવ્યો ન હોય ત્યારે તેઓ એકાંતમાં બેસીને અશ્રુપાત કરતા અને મા કાલીને પ્રાર્થના કરતા કે તું નરેન્દ્રને મોકલ.

આવા ગુરુના ચરણે બેસીને નરેન્દ્રએ વેદાન્તનાં ગુહ્ય તત્ત્વોનો અભ્યાસ કર્યો. તે પ્રશ્ન પૂછતો, વાદવિવાદ કરતો અને રામકૃષ્ણ જે બોધ આપતા તે પ્રમાણે તેમનું પોતાનું આચરણ છે કે નહીં તે બારીકીથી તપાસતો. મહિનાના મહિનાઓ સુધી તેણે આ પ્રમાણે કર્યા કર્યું; આખરે તેની સધળી શંકાઓ એની મેળે જ શાંત થઈ ગઈ અને તેનામાં આધ્યાત્મ ચેતન વ્યાપી રહ્યું. મનમાં તર્કબળને સ્થાને શ્રદ્ધાનું અગાધ સામર્થ્ય મુકાયું. પરમહંસ તેના વિષે ભવિષ્ય ભાખવા લાગ્યા, ‘નરેન્દ્રમાં ઈશ્વરી જ્ઞાનનો પૂર્ણ પ્રકાશ પડેલો છે. પોતાની બુદ્ધિ અને આધ્યાત્મિક શક્તિઓ વડે તે જગતને હલાવી મૂકશે.’

નરેન્દ્ર એકલો જ રામકૃષ્ણનો મહિમા ઊંડાણથી સમજી શકતો. તે એકલો જ તેમના શબ્દો ઉપર ગહન વિચાર કરતો. તે એકલો જ વિવિધ પ્રકારની શંકાઓ કરતો. રામકૃષ્ણ તેનું એ વિચારસ્વાતંત્ર્ય અને જાહેર હિંમતનો ગુણ પસંદ કરતા. તેમણે ‘મારા જાતઅનુભવમાં પણ શંકા કરે એવો શિષ્ય મને આપજે’ એમ માતા પાસે યાચના કરી હતી અને તેવો જ શિષ્ય તેમની પાસે આવ્યો હતો, તેથી નરેન્દ્રની શંકાઓથી રામકૃષ્ણ ઊલટા ઘણા પ્રસન્ન થતા.

એક પછી એક એમ અનેક સવાલ નરેન્દ્ર પૂછવા લાગ્યો. તેણે અનેક તર્ક-વિતર્ક કર્યા. વિવાદ કરવામાં તે સિંહ જેવી ગર્જના કરવા લાગ્યો અને સર્વને પોતાના જ્ઞાનથી હરાવવા લાગ્યો. પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનમાંથી અને અર્થશાસ્ત્રોમાંથી સૂક્ષ્મ પ્રશ્નો પૂછીને સૌને ગભરાવવા લાગ્યો. તેનું જ્ઞાન જોઈને શ્રી રામકૃષ્ણ વિસ્મય પામતા અને સમાધિમાં આવી જતા. કેવળ પાંડિત્ય ઉપરાંત નરેન્દ્રમાં સત્યનિષ્ઠા જણાતી. રામકૃષ્ણ કહેતા કે ‘નરેન્દ્રમાં દૈવી શક્તિ છે. કિનારા વગરના તેજના મહાસાગર જેવી તે અપાર છે!’ આ શક્તિનું પરિણામ શું આવશે તે પણ તેઓ જોઈ શક્યા.

એક વાર નરેન્દ્રએ કહ્યું, ‘મને ફાજલ સમય મળતો નથી. જીવન એકદમ ભાગદોડવાળું થઈ ગયું છે.’

રામકૃષ્ણ પરમહંસે જવાબ આપ્યો, ‘પ્રવૃત્તિઓ તને વ્યસ્ત રાખે છે. સર્જનાત્મકતા તને મુક્તિનો અનુભવ આપશે.’

‘પણ જીવન આટલું જટિલ કેમ છે?’

‘જીવનનું પૃથક્કરણ ન કરીશ. જીવવાનું શરૂ કરી દે.’

‘મને આટલો અજંપો શાનો છે?’

‘તને ચિંતા કરવાની ટેવ પડી ગઈ છે.’

‘સારા માણસોએ સહન શા માટે કરવું પડે છે?’

‘અગ્નિમાં તપાવ્યા વિના સોનું શુદ્ધ થતું નથી. વિપત્તિઓ માણસને બહેતર બનાવે છે.’

‘તો વિપત્તિઓ ઉપયોગી છે?’

‘હા. અનુભવ કડક શિક્ષક છે. પરીક્ષા પહેલા લે છે, પાઠ પછી શીખવે છે.’

‘હું એટલી બધી સમસ્યાઓથી ઘેરાયેલો છું કે કઈ દિશામાં જઈ રહ્યો છું એ જ ખબર પડતી નથી.’

‘બહાર જોવાનું બંધ કર. ભીતર દૃષ્ટિ કર. આંખો દૃષ્યો બતાવે છે, આત્મા માર્ગ બતાવે છે.’

‘કઠિન સમયમાં પણ સત્કર્મ કરવાનો ઉત્સાહ કેવી રીતે ટકાવી રાખવો?’

‘તું ક્યાં આવી પહોંચ્યો છે એ ન જો. ત્યારે ક્યાં જવાનું છે એ જો. જે મળ્યું છે તેને માટે કૃતજ્ઞ બન. ન મળ્યું તેનો અફસોસ છોડ.

‘લોકોનું શું તમને આશ્ચર્ય આપે છે?’

‘દુ:ખ આવે ત્યારે સૌ કહે છે, ‘આવું મને જ કેમ’ સુખ આવે ત્યારે કોઈ આમ પૂછતું નથી.’

‘હું જીવનનું શ્રેષ્ઠ કેવી રીતે પામી શકું?’

‘ભૂતકાળનો શોક છોડી ડે. ભવિષ્યની ચિંતા ન કર. સામે ઊભેલી વર્તમાન ક્ષણનો નિર્ભય વિશ્વાસ સાથે સામનો કર.’

‘મારી પ્રાર્થનાઓનો કોઈ જવાબ કેમ નથી મળતો?’

‘પ્રાર્થના કદી વ્યર્થ નથી જતી. ભય છોડ, શ્રદ્ધા રાખ. જીવન એક રહસ્ય છે, સમસ્યા નથી. જીવતા આવડે તો જીવન અદ્દભુત છે.’

રામકૃષ્ણ પરમહંસ 50 વર્ષ જીવ્યા, સ્વામી વિવેકાનંદ 39 વર્ષ. આયુષ્યની આટલી અલ્પ અવધિમાં પણ તેમણે અસ્તિત્વની મહત્તા સિદ્ધ કરી એક આદર્શ દુનિયાની સામે મૂક્યો. ગુરુપૂર્ણિમાના શુભ અવસરે આ વિભૂતિઓને વંદન.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 21 જુલાઈ  2024

Loading

પર્યાવરણ રક્ષક ગાંધી

લેખક: રામચંદ્ર ગુહા [અનુવાદક: આશા બૂચ]|Gandhiana|6 October 2024

ગાંધીજીના બહુઆયામી વ્યક્તિત્વના અનેક પાસાંઓની જાણ છે. તેમનું એક પાસું, તે એમના પર્યાવરણની સુરક્ષા માટેની તેમની દીર્ઘ દૃષ્ટિપૂર્વકની યોજના.

રામચંદ્ર ગુહાની કલમે એ વાતનો મર્મ સુંદર રીતે ઉજાગર થયો છે, જે અહીં સાદર પ્રસ્તુત.

રામચંદ્ર ગુહા

લગભગ ત્રીસેક વર્ષ પહેલાં ‘ઈન્ડસ્ટ્રીઅલાઈઝ – એન્ડ પેરિશ’ શીર્ષક હેઠળ ગાંધીજીના લખેલા લેખોનો સંચય વાંચતી વખતે પહેલી વખત 20 ડિસેમ્બર 1928ના ‘યંગ ઇન્ડિયા’ના અંકમાં પ્રગટ થયેલ ગાંધીજીનો નોંધપાત્ર અભિપ્રાય મારા ધ્યાનમાં આવ્યો : “ભારતને પશ્ચિમી દેશો જેવા ઔદ્યોગીકરણને અનુસરતાં ભગવાન બચાવે. ઇંગ્લેન્ડ જેવડા એક નાના ટાપુના આર્થિક સામ્રાજ્યવાદે આખી દુનિયાને એક સાંકળના બંધનમાં જકડી દીધો છે. જો 30 કરોડની વસતી ધરાવતો આખો દેશ એ જ પ્રકારના આર્થિક શોષણને પગલે ચાલશે તો, એ દુનિયા આખીના સ્રોતને તીડનાં ધાડાંની માફક સફાચટ કરી નાખશે.”

આ શબ્દોના અર્થને સંસાધનો અને ઉર્જાના અમર્યાદિત વપરાશ તથા વધુ પડતા ઔદ્યોગિક વિકાસ સામેની ચેતવણીના સંદર્ભમાં પર્યાવરણવાદી પરિભાષામાં ઘટાવવાની લાલચ થઈ શકે. ખરેખર, પશ્ચિમી દેશો પાસેથી પ્રેરણા લઈને એ માર્ગને અપનાવવાને પરિણામે આજે ચીન અને ભારત દુનિયાને તીડનાં ધાડાંની માફક વેરાન કરશે તેવો ભય સેવાઈ રહ્યો છે.

માનવીની લોભી વૃત્તિના આલોચક તરીકે, વિકેન્દ્રિત અને ગ્રામાભિમુખ અર્થ વ્યવસ્થાના (અને તેથી ઓછી ખાઉધરી વ્યવસ્થા) સમર્થક હોવાને કારણે તથા હાનિકારક સરકારી નીતિ સામે અહિંસક વિરોધ દર્શાવવાની પદ્ધતિનો પાયો નાખનાર વ્યક્તિ તરીકે ગાંધીને પર્યાવરણની સુરક્ષા માટે ચળવળ કરનારાઓએ આ ક્ષેત્રના પૂર્વજ તરીકે સ્થાપ્યા છે. સહુથી વધુ પ્રખ્યાત થયેલા ચિપકો અને નર્મદા બચાવો જેવા પર્યાવરણીય આંદોલનોના આગેવાનોએ પોતે ગાંધીના માર્ગે ચાલ્યા છે એવું પોતાના આચાર-વિચાર દ્વારા પુરવાર કરી બતાવ્યું છે. ગાંધીને પશ્ચિમી પર્યાવરણવાદીઓ જેવા કે ઈ.એફ. શુમાકર (‘સ્મોલ ઇઝ બ્યુટીફૂલ’ પુસ્તકના લેખક) જેવા અર્થશાસ્ત્રી અને જર્મનીની ગ્રીન પાર્ટીના આદર્શોમાં પણ ઉજાગર કરવામાં આવ્યા છે.

મારી અખબારની આ કટારમાં ગાંધીના એક પર્યાવરણની સુરક્ષા બાબત નિસબત ધરાવનાર વ્યક્તિ તરીકે આપણા સાંપ્રત સમય સંબંધિત સમસ્યાઓ સાથે સુસંગત છે તેવા વિચારોના કેટલાક પાસાંઓ વિષે વાત કરીને તેમના મુદ્દાને વધુ મજબૂત કરવા માંગુ છું. ખાસ કરીને વૃક્ષો વિષે કરેલા ઉલ્લેખ, જે ઓછા જાણીતા છે તેના પર ધ્યાન ખેંચવા માગું છું.

1925ના નવેમ્બર માસમાં ગાંધી કચ્છના રણ વિસ્તારની મુલાકાતે ગયેલા, જ્યાં અપૂરતા વરસાદ અને આખું વરસ પાણી વહેતું હોય તેવી નદીના અભાવને કારણે ત્યાં વનસ્પતિ બહુ ઓછી જોવા મળે છે. તેમના યજમાન જયકૃષ્ણ ઇંદ્રજી એક સામાજિક કાર્યકર હતા, જેને ગાંધીજીએ ‘ગુજરાતના રત્ન’ તરીકે ઓળખાવ્યા હતા, અને જેમને એક શબ્દમાં ‘વનસ્પતિના નૃવંશ વિજ્ઞાની’ (ethnobotanist) વર્ણવી શકાય. ગાંધી કરતાં વીસ વર્ષ પહેલાં 1849માં જન્મેલા જયકૃષ્ણ પોતાની જાતે જ તાલીમ મેળવીને બનેલા વનસ્પતિ વિજ્ઞાન જાણનારા હતા જેમણે પોરબંદર રાજ્યમાં કામ કરેલું (જેના શાસકોની એક સમયે ગાંધીના પૂર્વજોએ સેવા કરી હતી). આ વનસ્પતિશાસ્ત્રીને ભારતીય પ્રજામાં વૃક્ષો અને છોડવામાં રસનો અભાવ કેમ આટલો બધો જોવા મળે છે તેની નવાઈ લાગતી, અને એ બાબતમાં તેમણે આ અભિપ્રાય આપ્યો, “આ દેશ્માં રહેતા યુરોપિયન લોકો આપણા દેશમાં ઊગતાં છોડ અને વૃક્ષો વિષે જાણકારી ધરાવે છે અને તે વિષે લખે છે, અને મારા જ દેશના લોકો પોતાના ઘરના વાડામાં ઊગતાં ફૂલછોડ વિષે કશું જાણતા નથી અને તેને પોતાના પગ નીચે કચરતા હોય છે.” આ અજ્ઞાનતાને દૂર કરવા જયકૃષ્ણે પોરબંદરના બરડા ડુંગર વિસ્તારમાં ઊગતી વનસ્પતિનો સીમાચિહ્ન ગણાય તેવો અભ્યાસ કરીને તે વિષે લખ્યું, જેણે કચ્છના મહારાવનું ધ્યાન ખેંચ્યું, અને તેમણે પોતાના રાજ્યમાં આવી કામ કરવા નોતર્યા. ત્યાં આ વનસ્પતિના નૃવંશ વિજ્ઞાનીએ રણમાં વનસ્પતિ ફરી ઉગાડવા માટે પ્રોત્સાહન આપ્યું, અને સાથે સાથે કચ્છ રાજ્યમાં ઊગતી વનસ્પતિઓ વિષે સંશોધન કરીને તે વિષે લખ્યું.

જયકૃષ્ણને મળ્યા બાદ ગાંધીએ લખ્યું, “તેઓ બરડા વિસ્તારના એકે એક વૃક્ષ અને તેનાં પાંદડાંને ઓળખે છે. એમને વૃક્ષારોપણમાં એટલી શ્રદ્ધા છે કે એ કાર્યને સહુથી મહત્ત્વનું સ્થાન આપે છે. તેઓ માને છે કે વનસ્પતિની જાળવણી કરવાથી ઘણો ફાયદો થાય. આ બાબતમાં તેમનો ઉત્સાહ અને ભરોસો ચેપી છે. મને ઘણા વખતથી આ બાબતનું આકર્ષણ રહ્યું છે. આ પ્રાંતના રાજા અને પ્રજા તેમની વચ્ચે રહેતા આવા શાણા માણસનો પૂરેપૂરો લાભ લઈને સુંદર વન ઉગાડી શકે.” જયકૃષ્ણે ગાંધી પાસે એક સુંદર સ્થળે વૃક્ષારોપણ કરાવ્યું, જે આ પ્રખ્યાત મુલાકાતીને મન “કચ્છ ખાતે કરેલાં કાર્યોમાં સહુથી વધુ આનંદદાયક કામ” હતું. તે જ દિવસે વૃક્ષોની સુરક્ષા માટે એક સંગઠન સ્થાપવામાં આવ્યું, જેને માટે ગાંધીએ એ સંગઠન સફળતાને વરશે તેવી આશા સેવી હતી.

કચ્છના વનસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણે ગાંધીને દક્ષિણ આફ્રિકામાં એક સમયે જે સુકાઈ ગયેલા અને વેરાન બની ગયેલા ગામનું સર્વાંગી પરિવર્તન થતું તેમણે નજરે જોયેલું તેની યાદ અપાવી. આ સ્થળે જ તેમણે વકીલાત કરી હતી અને જાહેર સેવાના ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. આથી જ તો ગાંધીએ લખ્યું હતું, “જોહાનિસબર્ગ આ મુલક જેવો જ પ્રદેશ હતો. એક સમયે ત્યાં ઘાસ સિવાય કશું નહોતું ઊગતું. ત્યાં એક પણ મકાન જોવા નહોતું મળતું. ચાલીસ વર્ષના ગાળામાં એ સ્થળ સોનેરી શહેર બની ગયું. એવો સમય પણ આવતો જ્યારે લોકોને એક ડોલ પાણી માટે બાર આના ખર્ચવા પડતા અથવા ક્યારેક સોડા વોટરથી ચલાવી લેવું પડતું. ક્યારેક તો લોકોને પોતાનું મોઢું અને હાથ પણ સોડા વોટરથી ધોવા પડતા! આજે ત્યાં પાણી અને વૃક્ષો પણ છે. શરૂઆતથી જ સોનાની ખાણના માલિકોએ દૂરસુદૂરથી વિવિધ પ્રકારનાં ઝાડના રોપા લાવીને વાવ્યાં અને એ રીતે એ પ્રદેશને લીલોછમ્મ બનાવ્યો, એટલું જ નહીં, તેને કારણે વરસાદનું પ્રમાણ પણ વધ્યું. બીજા પણ કેટલાક ઉદાહરણો છે જ્યાં જંગલો કાપવાથી વરસાદ ઘટ્યો હોય અને ફરીને વૃક્ષો વાવવાથી વરસાદનું પ્રમાણ વધ્યું હોય.

થોડાં વર્ષો બાદ સાબરમતી આશ્રમમાં ગાંધી સૂવા જતાં પહેલાં સૂતર પીંજીને તેની પૂણી બનાવવા માંગતા હતા. તેમના શ્રદ્ધાળુ અનુયાયી મીરાં બહેને ધનુષની દોરી પર ઘસવા માટે એક નાની ઉંમરના આશ્રમવાસીને બગીચામાં બાબુલનું ઝાડ હતું તેના પરથી થોડાં પાન તોડી લાવવા કહ્યું. એ બાળક એક મોટો ઝુમખો લઇ આવ્યો, જેમાં દરેક પાન જોરથી બમણા વાળેલા હતા. એ વાતને યાદ કરતાં મીરાં બહેને ગાંધીને ચિંતિત સ્વરે જે કહ્યું હતું તે યાદ કરતાં કહેલું, “નાનાં પાન બધાં ઊંઘી ગયાં છે.” અને ગાંધીએ સંતાપ અને દયા ભરી નજર સાથે જવાબ આપ્યો, “વૃક્ષો પણ આપણી માફક જ જીવંત અસ્તિત્વ ધરાવે છે. એ આપણી જેમ જ શ્વાસ લે છે, ખોરાક અને પાણી લે છે અને આપણી માફક જ રાતે ઊંઘી જાય છે. ઝાડ આરામ કરતાં હોય ત્યારે તેનાં પાન તોડવાં એ ઘણું અશોભનીય કામ છે.” મીરાં બહેનના કહેવા મુજબ એ બાળક પાનનો આટલો મોટો જથ્થો તોડી લાવ્યો એ માટે ગાંધી એટલા જ વ્યથિત હતા જેટલા તાજેતરના એક સમારંભમાં તેમને સુંદર મજાની નાજુક કળીઓ વાળો એક મોટો ફૂલોનો હાર તેમને પહેરાવવામાં આવ્યો હતો.

ગાંધીએ ગુજરાતી અને ઇંગ્લિશમાં મીરાં બહેનના શબ્દોમાં આ વાત એક સાથે પ્રકાશિત કરી, જેમાં પોતાનું કથન પણ ઉમેર્યું: “વાચકો આને નિરર્થક લાગણીનો ઉભરો ન સમજે, કે મને અથવા મીરાં બહેનને આપણે જ્યારે ગાડું ભરીને શાક-ભાજી ખાઈએ છીએ ત્યારે એક ઊંટને ગળી જતા હોઈએ છીએ, તો પછી જ્યારે ઝાડ રાતે આરામ કરતું હોય છે માટે તેનું એક પાન તોડવાની બાબત વિષે મનમાં શા માટે આટલો મોટો ડંખ પેદા કરીએ છીએ એવી નિરર્થક પરસ્પર વિરોધી વાતો ન કહે. એક કસાઈ પણ થોડે ઘણે અંશે માણસાઈ દાખવતો હોય છે. માણસ મટન ખાય છે તેથી કરીને ઘેટાં રાતે ઊંઘતાં હોય ત્યારે તેની કતલ નથી કરતો. માનવતાનો સાર તમામ પ્રકારની જીવસૃષ્ટિ – પ્રાણીઓ તેમ જ વનસ્પતિ પ્રત્યે અપાર અનુકંપા સેવવામાં જ સમાયેલો છે. જે માણસ પોતાની ખુશીની શોધમાં અન્ય પ્રત્યે ઓછી નિસ્બત ધરાવે છે એ ખરે જ એટલો ઓછો માનવ છે. એ અવિચારી છે!”

આ રીતે કુદરતી સંસાધનોના ઉપભોગ પર સંયમ રાખવાની વાત કર્યા પછી ગાંધી ભારતની સંસ્કૃતિમાં વૃક્ષોનાં સ્થાનની ભારે પ્રશંસા કરે છે. એમણે લખ્યું, “ભારતે વૃક્ષો અને બીજા ઇન્દ્રિયગમ્ય પદાર્થો માટે કંઈ ઓછું માન નથી સેવ્યું. દમયંતી પોતાના સરીખી સ્ત્રીઓ માટે વિલાપ કરતી વનમાં એક ઝાડથી બીજા ઝાડ પાસે જઈને આંસુ સારે છે તેવું કવિ વર્ણન કરે છે, ઝાડ-પાન અને પશુ-પંખીઓ શકુંતલાના સાથીદાર હતા. મહાકવિ કાલિદાસ એ બધાથી વિખુટા પડવું  શકુંતલા માટે કેટલું પીડાજનક હતું તેનું વર્ણન કરે છે.”

અખબાર ‘ગાર્ડીયન’ના ગયા વર્ષના અંકમાં કહ્યું છે તેમ આપણે હવે જાણીએ છીએ કે, “વાતાવરણમાંથી કાર્બનને અલગ પાડીને તેને લાકડાના સ્વરૂપમાં સંગ્રહી રાખવાની કુદરતી શક્તિ ધરાવતા હોવાને કારણે પર્યાવરણની કટોકટીનો હલ કરવા માટેની એક સીધો, સાદો અને સહેલાઈથી સમજી શકાય તેવો માર્ગ છે વૃક્ષારોપણ અને તેની જાળવણી. (વધુ માહિતી માટે વાંચો: A beginners’ guide to planting trees – and fighting the climate crisis). માનવીની જીવન પદ્ધતિને કારણે પેદા થયેલા વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ અને આબોહવામાં આવતા બદલાવના પુરાવા મળવા શરૂ થયા તેના દાયકાઓ પહેલાં ગાંધીએ આ વિષે લખેલું જ હતું. તેમણે વૃક્ષો વાવવાની ભલામણ કરેલ જેનાં કારણો હતાં: એ છાંયો અને આશ્રય આપે, માટી અને પાણીનું સંતુલન જાળવી રાખે અને માનવીની માનવેતર જીવો માટેની નિસબત જાળવી શકે. અલબત્ત, પર્યાવરણની કટોકટી તેમના આ વિધાનને વધુ દૂરંદેશી સાબિત કરે છે.

આ કટારને અંતે લેખક રામચંદ્ર ગુહાની નોંધ:

આ કટાર 5મી જૂનને દિવસે ઉજવાતા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ – World Environment Day, પહેલાં પ્રકાશિત થઇ રહી છે. આપણે ગાંધીની ચેતવણી તે દિવસે યાદ કરી શકીએ, પણ વર્ષમાં બીજા દિવસે પણ યાદ રાખી શકીએ. રાજકીય સંઘર્ષોને અહિંસક રીતે હલ કરનારા, કોમી એખલાસ જાળવવા  અને અસ્પૃશ્યતા નિવારણ માટે મથનારા મહામાનવ તરીકે વધુ જાણીતા એવા ગાંધીની દેણગી આજે આપણને પરેશાન કરતી પર્યાવરણીય કટોકટીનો હલ શોધવા માટે પણ એટલી જ સુસંગત છે.”

[સૌજન્ય : mkgandhi.org માં પ્રકાશિત થયેલ આ લેખ મૂળ The Telegraph Online, 3.6.2023 પરથી લેવામાં આવેલ છે.] 
e.mail : 71abuch@gmail.com

Loading

...102030...535536537538...550560570...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved