Opinion Magazine
Number of visits: 9557731
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જેનામાં સર્જનાત્મકતા હોય તે કોઇની કઢી ચાટે નહીં

રમેશ ઓઝા|Opinion - Opinion|8 September 2024

રમેશ ઓઝા

૨૦૧૪માં નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારથી આજ સુધીમાં ઓછામાં ઓછી ત્રીસેક ફિલ્મ અને ટી.વી. સિરિયલ કે વેબ સિરીઝ આવી હશે, જેમાં ગાંધીજીને, જવાહરલાલ નેહરુને, ઇન્દિરા ગાંધીને, ડૉ. મનમોહન સિંહને નીચા દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં મુસલમાનોને, ખ્રિસ્તીઓને, ડાબેરીઓને, સેક્યુલરિસ્ટોને અને એકંદરે માનવતાવાદીઓને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વિવેક અગ્નિહોત્રી, અક્ષય કુમાર, અનુપમ ખેર વગેરે અઢળક કમાયા છે. ગોદી સર્જકોને પૈસા આપવામાં આવતા હતા અને તેમણે માલિકોને ઉજળા દેખાડવાના હતા અને માલિકોના દુ:શ્મનની બદનામી કરવાની હતી. ગોદમાં બેસાડનારાઓ એમ માનતા હશે કે ભારતની સમગ્ર પ્રજા બેવકૂફ છે અને આખી જિંદગી તેમ જ પેઢી-દર-પેઢી બેવકૂફ રહેવા સર્જાયેલી છે.

પણ એમાં બે સમસ્યા છે. પ્રજા એકના એક ગાયનવાદનથી કંટાળી જાય. બેવકૂફમાં બેવકૂફ માણસ પણ એક દિવસ તો વિચારે કે આ લોકો પોતાને મહાન દેખાડવા માટે બીજાને શું કામ નાના ચીતરે છે? દરેક પ્રસંગે અને દરેક સ્થળે બીજાઓને નીચા દેખાડવાની પ્રવૃત્તિ આ લોકો શું કામ કરે છે? શું પોતાનાં કોડિયામાં ઓછું તેલ છે કે બીજાનાં કોડિયાનું તેલ ઢોળી નાખવું પડે? કોડિયું બુઝાઈ જવાનો ડર છે? આવો સવાલ તો બેવકૂફમાં બેવકૂફ હોય તેને પણ એક દિવસ થાય. બીજી સમસ્યા એ છે કે જે લોકો પૈસા લઈને પ્રચારક બને તેનામાં સર્જનાત્મકતા ઓછી હોવાની. અમર કૃતિ રચવાની આવડત તેનામાં ન હોય અને એવી આવડત જેનામાં હોય એ કોઈની કઢી ચાટે નહીં. કોઈ ભાટની કવિતા કાલીદાસની કવિતા સામે ટકે? એટલે તેણે કરેલું સર્જન આંખ સહન ન કરી શકે એવું જાડું હોય અને કાન સહન ન કરી શકે એટલું ઘોંઘાટિયું હોય. ઘણીવાર સવાલ થાય કે આ માલિકની પ્રસંશા કરે છે કે ઠેકડી ઊડાડે છે? વધારે વહાલા થવા વધારે અતિશયોક્તિ કરે. વિવેક અગ્નિહોત્રીની ‘કાશ્મીર ‘ફાઈલ્સ’ આનું ઉદાહરણ છે. એ ફિલ્મને ઓસ્કરમાં મોકલવામાં આવી હતી અને ઓસ્કરની જ્યુરીએ જ્યારે એ ફિલ્મ જોઈ ત્યારે દરેકે દરેક સભ્યએ ગુસ્સે થઈને કહ્યું હતું કે આવી ફૂહડ ફિલ્મ અહીં સુધી પહોંચી જ કેવી રીતે? આ કોઈ ફિલ્મ છે? પ્રોપેગેન્ડા ફિલ્મ અમારે જોવાની? જ્યુરીનો અભિપ્રાય જોઇને અગ્નિહોત્રી અને ખેરને મરચાં લાગ્યાં હતાં.

ટૂંકમાં બીજાની બદનામી કરતો એક સરખો પ્રચાર જોઇને એક દિવસ લોકો કંટાળી જાય અને શંકા કરતા થઈ જાય. જેણે જિંદગીમાં હાથમાં દાંડી પકડી ન હોય એ ઢોલ વગાડે તો અવ્વલ દરજ્જાનો ભક્ત પણ કાને હાથ મૂકી દે. અત્યારે આવું બનવા લાગ્યું છે. પ્રોપેગેન્ડા કરનારી ફિલ્મો નિષ્ફળ નીવડી રહી છે.

આની સામે કોઈ અવ્વલ દરજ્જાનો સર્જક શાસકોને માફક ન આવે એવા કોઈ વિષય પર કૃતિ રચે તો? માત્ર એક ઉદાહરણ બસ રહેશે. પશ્ચિમ બંગાળમાં જ્યારે નક્સલવાદી આંદોલન જોરમાં હતું ત્યારે એ સમયના પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન સિદ્ધાર્થ શંકર રેએ સરકારી હિંસાનો સપાટો બોલાવ્યો હતો. જે અવાજ કરે એ દરેક નક્સલી અને નક્સલી જીવતો ન બચવો જોઈએ. કોલકાતામાં અને સમગ્ર રાજ્યમાં હજારો યુવકોની લાશો બિછાવી દેવામાં આવી હતી. નકલી એન્કાઉન્ટરનો અને બુલડોઝરનો ન્યાય પહેલેથી જ અપનાવામાં આવી રહ્યો છે. ફરક એ છે કે આગળના યુગના બાહોશ શાસકો સરકારી હિંસાનો મહિમા કરતા નહોતા. વાંકી આંગળીએ ઘી એ લોકો પણ કાઢતા હતા, પણ કહેતા નહોતા. હાથ હંમેશાં જોડેલા જ હોય.

ખેર, પશ્ચિમ બંગાળની સરકાર એ સમયે જે રીતે યુવકોને મારતી હતી, જે રીતે અવાજોને રૂંધતી હતી, જે રીતે તેણે માનવીય જીવનને સસ્તું કરી મૂક્યું હતું એ જોઇને લબ્ધપ્રતિષ્ઠ બંગાળી સાહિત્યકાર મહાશ્વેતા દેવીએ એક કૃતિ રચી હતી જેનું નામ હતું; ‘હજાર ચુરાશીરમા’ (૧૦૮૪). કોલકાતાના મુર્દાઘરમાં એક યુવકની લાશ પડી છે જેની ઓળખ છે, ‘હજાર ચુરાશીરમાં.’ લાશ ક્રમાંક ૧૦૮૪. આ શીર્ષક જ હચમચાવી મૂકે એવું છે. માબાપ માટે જે લાડકવાયો છે એ બંદૂકના નાળચામાં સમાયેલા શાસન માટે એક નંબર માત્ર છે. એ કૃતિ માંડ સો પાનાંની હશે, પણ અમર કૃતિ છે. એનો અનેક ભાષામાં અનુવાદ થયો છે, ગુજરાતીમાં પણ થયો છે. એ જ નામની ફિલ્મ પણ બની છે. એ કૃતિ રચાઈ ત્યારથી લઈને આજ સુધી અને હવે પછી પણ, જ્યારે એ કૃતિની વાત થશે ત્યારે સિદ્ધાર્થ શંકર રાય અને તેની પુલીસ માનવીય સભ્યતાના દુ:શ્મન તરીકે હાજર થશે. તેમનું સ્વતંત્ર અસ્તિત્વ તો સત્તા છોડ્યા પછી ક્યારનું ય મટી ગયું છે, તેઓ એક નાનકડી કૃતિ દ્વારા એ કૃતિએ આપેલા ચહેરા સાથે જીવે છે.

આ ફરક છે, બળુકા સર્જકોમાં અને ખુશામતખોરોમાં. એક સો પાનાંની કૃતિએ કાયમ માટે શાસકોના અસલી ચહેરાને કાળની ભીંતમાં કોતરી દીધો. કોઈની તાકાત નથી એ ભૂંસવાની, પછી ભલે હજાર વિવેક અગ્નિહોત્રીઓને કામે લગાડવામાં આવે! આવાં અમર સર્જનોનાં તો બીજાં અનેક દાખલા આપી શકાય. ચાર્લી ચેપ્લિનની ફિલ્મ ‘ગ્રેટ ડિક્ટેટર’ જોઈ લો. હિટલર અને હિટલરની વિચારધારા પર લખાયેલાં હજારો પુસ્તકો એક તરફ અને ‘ગ્રેટ ડિક્ટેટર’ એક તરફ. એ ફિલ્મ મૂંગી છે, પણ સતાવે છે. ભેગભેગા પાયલ કાપડિયાને યાદ કરી લઈએ. પાયલ કાપડિયાને તેની ફિલ્મ ‘ઑલ વી ઈમેજીન એઝ લાઈટ’ માટે કાંસ ફિલ્મ ફેસ્ટીવલમાં ગ્રેંડ પ્રિક્સ એવોર્ડ મળ્યો. આ પાયલ કાપડિયા પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં ભણતી હતી ત્યારે મોદી સરકારે ‘મહાભારત’ ટી.વી. સિરિયલમાં યુધિષ્ઠિર બનેલા ગજેન્દ્ર સિંહ ચોહાણને તેનાં અધ્યક્ષ બનાવ્યા હતા. તેમની જમા બાજુ એટલી જ હતી કે તેઓ ભા.જ.પ.ના સભ્ય છે. વિદ્યાર્થીઓએ ગજેન્દ્રસિંહની નિમણૂકનો વિરોધ કર્યો, આંદોલન કર્યું, પાયલે તેનું નેતૃત્વ કર્યું હતું અને સરકારે તેને હેરાન કરવામાં કશું બાકી નહોતું રાખ્યું. આજે ગજેન્દ્રસિંહ ચોહાણને દેશમાં પણ કોઈ ઓળખતું નથી અને પાયલે વિદેશમાં નામ રોશન કર્યું.

કાળ નીરવતાને સાંભળતો હોય છે અને ઘોંઘાટને ચાળી નાખતો હોય છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 સપ્ટેમ્બર 2024

Loading

‘ઉપયોગિતાની દૃષ્ટિએ ખેડૂતો મારાં કરતાં ઘણી ઉચ્ચ કક્ષાએ છે !’

રમેશ સવાણી|Opinion - Opinion|7 September 2024

વિશ્વવિખ્યાત ડચ ચિત્રકાર વિન્‍સેન્‍ટ વાન ગૉગનું જીવન આલેખતી, અમેરિકન ચરિત્રકાર Irving Stone – અરવિન્‍ગ સ્ટોને લખેલી કથા ‘લસ્ટ ફોર લાઈફ’ (1934) વિશ્વભરના વાચકોની પ્રિય કૃતિ છે. આ કૃતિને ‘સળગતાં સૂરજમુખી’ (1994) નામે ગુજરાતીમાં ઊતારવાનું કામ વિનોદ મેઘાણીએ કર્યું છે … ધર્મ અને પુરાણોને લગતાં લાખેક ચિત્રો આંખ તળેથી પસાર થઈ ગયા પછી અરવિન્‍ગ સ્ટોનને લાગ્યું કે ચિત્રકળા સરસ માધ્યમ હશે, પણ પોતાને માટે એમાં કશો સંદેશો નથી. વધુ ચિત્રો જોવાની તેમની હામ રહી નહોતી. એવામાં એક મિત્રના અત્યાગ્રહથી તેઓ વિન્‍સેન્‍ટનાં ચિત્રોનું પ્રદર્શન જોવા ગયા. તેમણે લખ્યું છે : ‘મેં જે અનુભવ્યું તેવું પહેલાં ક્યારે ય અનુભવ્યું નહોતું. મૂઢ બનીને હું ઊભો જ રહી ગયો. વિચારવાની કે શ્વાસ લેવાની શક્તિ પણ ઓસરી ગઈ.’ આ અનુભવ પછી તેમને આ ચિત્રકારના જીવનમાં રસ પડ્યો અને ‘લસ્ટ ફોર લાઈફ’નું સર્જન થયું. Lust for Life – ‘સળગતાં સૂરજમુખી’ પુસ્તક વિશે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ 4 ઓગસ્ટ  2019ના રોજ ફેસબૂક પર નીચેની પોસ્ટ મૂકી હતી :

‘સળગતાં સૂરજમુખી’ની મારાં ઘડતરમાં અકલ્પ્ય ભૂમિકા છે. એટલા માટે કે 39માં વર્ષે હું મારામાંથી બહાર નીકળી પોતાની જાતને તટસ્થ રીતે જોઉં છું તો હવે મને દેખાય છે કે હું ઇન્ટેન્સિટી અને પૅશનનો માણસ છું. ઇન્ટેન્સિટી અને પૅશન નામનાં આ પદાર્થ, આ તત્ત્વ, આ ઉર્જા મારા વ્યક્તિત્વ અને અસ્તિત્વનો ભાગ બની ગયાં જે મારું સૌથી મહત્ત્વનું ચાલક બળ છે અને તેના મૂળમાં આ પુસ્તક છે. 

જિજ્ઞેશ મેવાણી

સળગતાં સૂરજમુખી એ મહાન ચિત્રકાર વિન્સેન્ટ વેન ગોગની જીવનકથા છે. આ પુસ્તકની અને વેન ગોગનાં જીવનની મારા ઉપર સખત ઇન્ફ્લ્યુઅન્સ છે. આ પુસ્તક મને ખૂબ એટલા માટે ગમે છે કે જીવન માટેની ભૂખ, ધગશ, ધખના, વાસના અને કલા માટેની ઝંખનાનું મિલન એટલે વિન્સેન્ટ વેન ગોનું જીવન. 

આ જીવનને શોધવા માટે તેટલી જ પૅશન અને ઇન્ટેન્સિટીથી સંશોધક અરવિન્ગ સ્ટોને કામ કર્યું છે, આ પુસ્તકનું સર્જન કર્યું છે. વેન ગોગનું કોઈ ચિત્ર એ કલાનો એક મહાન નમૂનો કહેવાય તેમ અરવિન્ગ સ્ટોનનું વિન્સેન્ટ વેન ગોગનાં જીવન વિષે લખાયેલું પુસ્તક ‘લસ્ટ ફોર લાઈફ’ એ પણ કલાનો એક મહાન નમૂનો છે. એમાં ય વિનોદ મેઘાણીએ આનો જે અનુવાદ કર્યો છે, જેને ઘણાં મિત્રો બહુ પ્રેમથી અને સાચે જ અનુવાદને બદલે અનુસર્જન કહે છે. આવું અદ્ભૂત અનુસર્જન, આવું બેનમૂન જીવનચરિત્ર નવલકથા રૂપે અને તે પણ વિન્સેન્ટ વેન ગોગ વિષે. અને વિન્સેન્ટ વેન ગોગનું જીવન તો તોડી નાખે તેવું. આનો સરવાળો આ પુસ્તક છે.

પુસ્તકના અંતમાં ગોગએ તેમની માને લખેલ પત્ર પણ ખૂબ ગમે છે. એમાં તે એવું લખે છે કે, ‘વ્હાલી માતા, તને મારાં કેટલાંક સેલ્ફ પોટ્રેટ મોકલી રહ્યો છું જે જોઈને તને લાગશે કે પૅરીસ, લંડન જેવા મહાન નગરોમાં વર્ષો વિતાવવાં છતાં હું સાવ ગામડિયા ખેડૂત જેવો દેખાવ છું. સાચું કહું તો વિચારે ભાવે પ્રતિભાવે હું ખેડૂત જેવો જ છું, ફેર ફકત એટલો છે કે ઉપયોગિતાની દૃષ્ટિએ ખેડૂતો મારાં કરતાં ઘણી ઉચ્ચ કક્ષાએ છે.’  

જેનાં ચિત્રોની કિંમત કરોડોની છે એ ચિત્રકાર એવું કહે છે કે મારાં જીવન કરતાં એક ખેડૂતનું જીવન વધારે મહત્ત્વનું છે. તે એમની બહુ મહાન ફિલસૂફી છે, કે હું ચિત્ર દોરું છું તો ચિત્ર દોરી શકું એવી અનુકૂળતા છે, મારા પાસેની આ અનુકૂળતા આખી દુનિયા પાસે કેમ નથી? બધા લોકોને કવિતા કરવી હોય, ચિત્રો દોરવા હોય, પુસ્તકો લખવા હોય, પણ માનવીની મૂળભૂત જરૂરિયાતો સંતોષાય પછી એને પુસ્તકો, ચિત્રો, સિનેમા જેવી કલાઓમાં રસ પડતો હોય છે. એટલે ખેડૂત ખેતરમાં તનતોડ મજૂરી કરે નહીં તો ધાન પાકે નહીં, ધાન પાકે નહીં તો તમારા અને મારા પેટમાં કાંઈ જાય નહીં અને પેટમાં જાય નહીં તો હાથ ચાલે નહીં અને હાથ ચાલે નહીં તો પીંછીનો લસરકો ક્યાંથી મારીએ?! એટલે આ બધું વિન્સેન્ટ વેન ગોગની પેલી વાતમાં અભિપ્રેત છે. 

સળગતાં સૂરજમુખી વાંચવાના કારણે મને આઈડિયા ઓફ માર્ક્સિઝમની બહું મજા પડે છે કેમ કે એ પણ માર્ક્સિઝમમાં એવું કહે છે કે એક સમય એવો આવશે માનવસભ્યતામાં ઉત્પાદનનાં એવાં સ્તર પર આપણે પહોંચીશું કે જગતનાં દરેક મનુષ્યે પોતાની મરજીના ત્રણ ચાર કલાકથી વધુ કામ કરવું નહીં પડે. પોતાને ગમતું પોતાની મરજીનું પોતાની અનુકૂળતા અને આવડતનું અને એ પણ ત્રણ ચાર કલાક પછી બાકીનો સમય આપણે શું કરીશું? તો ભાઈ આપણે ચિત્રો દોરીશું, કવિતા કરીશું, બુધન થિયેટરનું નાટક કરીશું, સૌમ્ય જોશીની કવિતા સાંભળીશું અને મરીઝનું આગમન વાંચીશું અને ધરતીની આરતી વાંચીશું અને ચૅપ્લિનની ફિલ્મો જોઈશું અને પિકાસોનું પેઇન્ટિંગ જોવા જઈશું. આ કારણથી મને સળગતાં સૂરજમુખી વધારે પ્રિય છે. મારી પાસે મારો પાસપોર્ટ નથી, બહુ બધી FIR છે, જેનાં કારણે મારે દરેક કોર્ટ પાસેથી NOC લેવી પડે એમ છે. પણ જે દિવસે મને બધી NOC મળી અને મારો પાસપોર્ટ મળ્યો તો મારાં પોતાનાં રૂપિયાથી જે સૌથી પહેલી જગ્યાએ જવાનું ઈચ્છું તે નેધરલેન્ડમાં આવેલ વિન્સેન્ટ વેન ગોગનું મ્યુઝિયમ છે.’

[સૌજન્ય : જિજ્ઞેશ  મેવાણી]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સુરેશ જોષીના સાહિત્યકલાવિષયક કેટલાક પાયાના વિચારો

સુમન શાહ|Opinion - Literature|7 September 2024

૬ સપ્ટેમ્બર, સુરેશ જોષીની પુણ્યતિથિ. સાહિત્યકલા બાબતે સુરેશભાઈના કેટલાક પાયાના વિચારો મારાં મન્તવ્યો સહિત પુન:પ્રકાશિત કરું છું : (મારો મિત્રોને સદાગ્રહ છે કે આ લેખને પ્રેમથી વાંચો અને સમજો. એથી સુરેશ જોષી ઉપરાન્ત સાહિત્યકલાને એના તત્ત્વાર્થમાં સમજવાની પ્રેરણા મળશે, સંચિત સૂઝબૂઝનો વિકાસ થશે.)

સુરેશ જોષી

સુરેશભાઈને મેં કલામર્મજ્ઞ કહ્યા છે. સાહિત્યકલાના કેટલાક મર્મ મારું માનવું છે કે આપણે ત્યાં એ પહેલાં એટલી સારી રીતે ન્હૉતા ખૂલ્યા. એને હું સુરેશભાઈના સાહિત્યકલાવિષયક પાયાના વિચારો કહું છું. 

૧ : 

જેમ કે, સાહિત્યને આપણે એક સાંસ્કૃતિક આવિષ્કાર કહેતા આવ્યા છીએ, બ્રૉડ સેન્સમાં એ સાચું છે પણ એથી કરીને સાહિત્યકલાની પોતાની વિશેષતા પર કશો પ્રકાશ નથી પડતો. આપણામાંના ઘણા સાહિત્યકારો અને અધ્યાપકો પણ ઍબરક્રૉમ્બી વગેરેના સાથમાં એમ જ કહેતા હતા કે સાહિત્ય જીવનનું પ્રતિબિમ્બ છે, રીફ્લૅક્શન છે, રીપ્રેઝન્ટેશન છે. 

પણ એથી કરીને, જીવનની બિલકુલ જ નજીક રહીને લખવાનું ચાલ્યા કરેલું – ઇટ વૉઝ અ શૉર્ટ ઑફ કૉપિઇન્ગ, અ કાઇન્ડ ઑફ ટ્રાન્સલેશન ઑર રીપોર્તાજ. 

સુરેશભાઈએ જ્યારે form-નો આગ્રહ આગળ કર્યો ત્યારે સાહિત્યકલા રૂપાન્તરણ છે, ટ્રાન્સફર્મેશન છે, એ હકીકત પર પ્રકાશ પડ્યો. સમજાયું કે જીવન તો સામગ્રી છે. એ પર કામ કરીને એને નવ્ય રૂપ આપવું એ કવિકર્મ છે. એમને માત્રરૂપવાદી કે આકારવાદી ગણનારાઓ આ મર્મને ન્હૉતા પામી શક્યા. (હજી પણ કેટલાકો નથી જ પામી શકતા.) 

૨ :

ત્યારે બધું સાહિત્ય છેલ્લે તો, મનગમતા અને સરળતમ માનવતાવાદમાં ઠરતું હતું. સ્થિતસ્ય સમર્થનમ્. (આજે પણ બહુશ: એવું જ લખાય છે.) સાહિત્યકારનો ‘ના’ પાડનારી વ્યક્તિ તરીકેનો જે બેઝિક અને પ્રાઇમ રોલ છે એ પરથી ધ્યાન ઊઠી ગયેલું. 

સુરેશભાઈની સાત્ત્વિક વિદ્રોહશીલ પ્રકૃતિ ખરી પણ એનાં મૂળ આમ સાહિત્યકારના જીવનકર્તવ્યમાં રોપાયેલાં છે. એ સંદર્ભમાં મને ગોવર્ધનરામે “સાક્ષરજીવન”-માં સાક્ષરનાં ધ્યેય વર્ણવ્યાં છે એની સહજ યાદ આવી જાય છે. 

૩ :

એટલે, મારો પ્રશ્ન છે કે સાહિત્યકાર ઇતિ સિદ્ધમ્ કરીને બેસી જાય, ઇનામ-અવૉર્ડ મળ્યા પછી જીવનધ્યેય પાર પડી ગયું, એવો સંતોષ ધારણ કરે, એ શી રીતે ચાલી શકે? એથી આપણે ત્યાં એની એક મૂઠી-ઊંચેરા સારસ્વત તરીકેની છબિ ઊભી થાય છે. એ ‘ના’ પાડનારો નથી રહેતો, સંસ્કૃતિનો રખેવાળ ભાસે છે.

એથી એક બહુ જ વરવા સ્વરૂપની ઉચ્ચાવચતા – હાયરાર્કી – સૅટ થાય છે. એથી પ્રજા ડઘાઈ જાય છે અને વિભૂતિપૂજામાં સરી પડે છે. એથી પ્રજામાનસનો સાહિત્યપદાર્થ સાથે સમ્યક સમ્બન્ધ નથી રચાતો. 

એક બીજું પરિણામ એ કે સ્થિતસ્ય સમર્થન થાય છે. સમાજ અને સંસ્કૃતિમાં સ્થિર થયેલાં મૂલ્યોની તપાસ નથી થતી. 

એટલે તો એમણે પોતાના કથાસાહિત્યને મોટે ભાગે સમાજનિરપેક્ષ રાખ્યું છે, 

એ-સોશ્યલ. એમનાં પાત્રો સ્ત્રી-પુરષ કે નર-નારી હોય છે, માનવીય અસ્તિત્વ રૂપે હોય છે. હું વિવરણ અને સમજૂતીઓ નહીં કરું, તમે સૌ મિત્રો સુજ્ઞ છો. 

૪ : 

આમ સાહિત્યકારનો ધર્મ એ છે કે એણે ઈનામ-અવૉર્ડ જેવી કહેવાતી સફળતાઓથી બચવું. સુરેશભાઈએ એ રીતે ઠરીઠામ થઇ જનારાની સફળતા માટે સાર્ત્રના શબ્દો વાપર્યા છે. એમ કે એ ‘ઍબ્સ્યૉલિટ ફેઇલ્યૉર ઑફ સક્સેસ’ છે! 

બાબુએ, બાબુ સુથારે, સુ.જો.સા.ફો.-આયોજિત જન્મશતાબ્દીઉત્સવના ‘આત્મનેપદી’ ઍપિસોડમાં આ મુદ્દે બહુ વિસ્તારથી વાત કરેલી. 

સુરેશભાઈનું તાત્પર્ય એ છે કે સંતોષ ધારણ કરીને સ્થગિત થઇ જવું ઠીક નથી, સાત્ત્વિક અસંતોષ ધારણ કરીને પ્રવહમાણ રહેવું જરૂરી છે. સુરેશભાઈના શબ્દો છે કે પોતે બધું સમતોલ કરવામાં નથી માનતા.  

કેમ કે, એવું સંતુલન તો કૉમ્પ્લેસન્સિમાં – આત્મરતિમાં – પરિણમે અને આપણે એમ વિચારતા થઈ જઈએ કે ચાલો, હવે કશું ડામાડોળ નથી …, પણ, ડામાડોળ તો હોવું જોઈએ.

એમણે દાખલા ટાંક્યા છે કે, 

— તે જમાનામાં પણ બ.ક.ઠા. અને ખબરદાર વગેરે સમકાલીન હોવાછતાં એકબીજાંના દૃષ્ટિબિન્દુઓની કડકમાં કડક ટીકા કરતા હતા.

— નાનાલાલને બ.ક.ઠા.એ સ્વીકાર્યા નથી અને પ્રેમાનંદનું રેપ્યુટેશન પણ એમણે ચૅલેન્જ કરેલું જ છે. 

— રમણભાઈએ (નીલકંઠે) ગોવર્ધનરામની નવલકથાને ‘નવલકથા’ કહી નથી. પણ આ બધું બહાર નથી આવતું, વિષ્ણુપ્રસાદની પ્રશંસા બહાર આવે છે.

બાબુ સુથારે એ ચર્ચા પરથી સુરેશભાઈમાં ‘શોધ’ કેવી રીતે સૅટ થઇ છે એના પણ ઇશારા આપેલા. 

સુરેશભાઈનો પ્રશ્ન જ એ છે કે આપણો સર્જક કશી શોધમાં વ્યસ્ત હોય છે ખરો …

શોધને હું સર્જન અને જીવન બન્નેને ઉપકારક એવા ક્રીએટિવ વૉલિશનની, સર્જકસંકલ્પની, શોધ ગણું છું. કશા એવા આકર્ષક લિટરરી ઇડિયમની શોધ ગણું છું. 

જેમ કે, સર્રીયાલિસ્ટ પેઇન્ટિન્ગ; જેમ કે, ઍબ્સર્ડ થીએટર. 

તેમ જ એને હું કશા આવકાર્ય દૃષ્ટાન્તની – ઍપિટોમની – પણ શોધ ગણું છું. 

જેમ કે, રવીન્દ્રસંગીત. સંગીતકાર અનુસરણ કરી શકે. જેમ કે, માઇકલ જૅક્શન-પ્રણિત બ્રેક ડાન્સ. નૃત્યકાર અનુસરણ કરી શકે. 

એટલું જ નહીં, એવાં દૃષ્ટાન્તો ક્રમે ક્રમે પ્રજાજીવનમાં ઑગળી જાય છે. લોક-સાહિત્યોનાં મૂળ એમાં જોવા મળે. 

તમે જુઓ, “જનાન્તિકે” -ની નિબન્ધકલાએ એ કાળે આપણા નિબન્ધકારને સર્જક નિબન્ધનું ઘૅલું લગાડેલું, એટલે લગી કે કેટલાક દાખલાઓમાં ‘નિ’ એટલે કે વિચાર જ ભૂલાઇ ગયેલો! 

—”જનાન્તિકે”-ને હું એમના તરફથી મળેલું એવું એક ઇડિયમ કે ઍપિટોમ ગણું છું – એક ઍક્ઝામ્પલ. 

— “સરસ્વતીચન્દ્ર”-માં આકારનો પ્રશ્ન છેડીને, મારું મન્તવ્ય છે કે એમણે એ દાખલો બેસાડ્યો છે કે લૂઝ પ્રકાર ગણાઈ ગયેલી નવલકથામાં પણ આકારની ખેવના કરવી જ જોઈશે.

— મારું માનવું છે કે સાહિત્ય એના વિવેચકોથી નથી જીવતું, ઘણી વાર તો એ લોકો જ એના હત્યારા હોય છે. સાહિત્યને જીવતું રાખે છે, આસ્વાદકો. ઘણી વાર તો ગાંઠનું ગોપીચન્દન કરીને પણ તેઓ કૃતિના આત્માને ખોલી આપે છે. એમનું ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ એવું જ એક દૃષ્ટાન્ત છે.

— મેં થીસિસમાં એમની પૂરક પ્રવૃત્તિઓ પર એક અલગ પ્રકરણ કર્યું છે. એમાં સાહિત્યિક પત્રકારત્વ અને એમની અનુવાદ-પ્રવૃત્તિનું વિવરણ છે. “વિદેશિની” અને “પરકીયા”-નાં દૃષ્ટાન્તે, મને એમ પણ લાગે છે કે એમણે એમ પણ સૂચવ્યું છે કે કૃતિનું ‘સઘન વાચન’ અનુવાદ કરીએ ત્યારે જ થતું હોય છે. પોતાની ભાષાની મર્યાદાઓ અને ખૂબીઓની પણ ત્યારે જ ખબર પડે છે.

૫ :

આ શોધ-તત્ત્વ સુરેશભાઇમાં ‘પ્રક્રિયા’ રૂપે ઠર્યું છે. કેમ કે મારું મન્તવ્ય છે કે શોધમાત્ર માણસને પ્રક્રિયામાં દોરી જાય. પ્રક્રિયા માણસને ઠરવા ન દે. અનેક વસ્તુઓ સૂઝે, છેડા ન મળે. અન્તિમો – ઍક્સ્ટ્રીમ્સ – સતાવે. અન્તિમોથી તણાવ સરજાય, અન્તિમોને ઑગાળીને એનો પિણ્ડ બાંધવાનું કામ મુશ્કેલ બની રહે. પ્રક્રિયા સર્જકને એવા વિરોધાભાસ સૂઝાડે ને સત્યો વિરોધાભાસમાં દેખાય. 

મેં થીસિસમાં આ ‘પૅરેડોક્સિકલ ટ્રુથ’-નો ક્યાંક નિર્દેશ કર્યાનું મને યાદ આવે છે. સુરેશભાઈની સૃષ્ટિની હું એને એક પાયાની સંરચના ગણું છું, બૅઝિક પૅટર્ન પણ કહી શકાય. એમની જાણ બહાર કેવા કેવા પૅરેડૉક્સ રચાયા છે, જુઓ, 

— પ્રેમ અને મૃત્યુ અન્તિમો છે. “છિન્નપત્ર” પ્રેમની કથા છે, “મરણોત્તર” મૃત્યુની. 

— આપણે આનન્દવર્ધન આદિ કાવ્યશાસ્ત્રીઓએ કરેલી કાવ્યમીમાંસાનો અર્ક સમજીને બેઠા’તા, પણ એમાં સુઝાન લૅન્ગર કે વાલેરી ઉમેરાય છે.

— ઍમ.એ.-માં અમારે “ક્રાઇમ ઍન્ડ પનિશમૅન્ટ” ભણવાનું હતું. અંગ્રેજી અનુવાદમાં, મોટું થોથું. ત્યારે મંજુલાલ મજમુદારની દીકરી શ્રદ્ધા અમારી સાથે ભણતી’તી. એણે મારી સાથે એમ રાખેલું કે એણે હંસા મહેતા લાઈબ્રેરીમાંથી ચૉપડીઓ લઈ આવવાની અને બદલામાં મારે એને મારી નોટ્સ આપવાની. પણ ‘ક્રાઇમ૦’ માટે મારી હિમ્મત મને ના પાડતી’તી. 

મેં સુરેશભાઈ આગળ ફરિયાદ કરેલી – આવાં ભારે ભારે પુસ્તકો શું કામ મુકાય છે, તો કહે – ભારે છે એટલે જ મુકાય છે. એમણે એમ પણ કહેલું કે આમાં, ‘ક્રાઇમ’ અને ‘પનિશમૅન્ટ’-ના ચીલાચાલુ અર્થસંકેતો જ બદલાઈ ગયા છે. અને, પછીના જ ‘ક્ષિતિજ’-માં એમણે “ક્રાઇમ૦” પરનો પોતાનો સુન્દર લેખ પ્રકાશિત કરેલો. ગુરુ પાસેથી અમને મદદ મળી ગયેલી. 

— મેં કહ્યું એમ મેધાવી ચિન્તક છે પણ સમગ્ર સર્જનમાં કલ્પનનિષ્ઠ છે.

— પ્રિય સાહિત્યકારો : રવીન્દ્રનાથ છે તો બૉદ્લેર પણ છે.

— વ્યાખ્યાનોની રૅન્જ જુઓ : ઍડમણ્ડ ઝાબે અને કર્ણ.

— કથાસાહિત્યમાં સામાન્યપણે ટૅમ્પોરલ નેરેટિવ હોય એમણે સ્પાસિયલ દાખલ કર્યું. દાખલો છે – ટૂંકીવાર્તામાં જક્સ્ટાપોઝિશનનો. સામાન્યપણે હિસ્ટરી હોય તેની સ્ટોરી થાય. એમણે “કથાચક્ર”-માં ભૂતકાળ અને વર્તમાનને સાથે સાથે ચલાવ્યા છે.

— ‘બે સૂરજમુખી’ ‘અને મરણ’ તથા ‘પદ્મા તને’ ટૂંકીવાર્તાઓમાં ફૅન્ટસીતત્ત્વ છે. તો  ‘કપોલકલ્પિત’ અને ’રાક્ષસ’-માં પરીકથામાં હોય એ અદ્ભુત રસ છે.

— છેલ્લાં વર્ષોમાં, ફીનૉમિનોલૉજી તરફ વળ્યા એ અધૂરી યાત્રા ફૉર્માલિઝમ પછીની દિશા હતી.

++

સાહિત્યના ઇતિહાસને વિશેની એમની દૃષ્ટિ જુદી હતી. એ એમ માનતા કે સાહિત્યસ્વરૂપોના વિકાસને આધારે ઇતિહાસ લખાવા જોઈએ. હું કહું, જેમ કે, સર્જકતા જ્યારે, દાખલા તરીકે, ટૂંકીવાર્તા સાથે પાનું પાડે છે, ત્યારે ટૂંકીવાર્તા પ્રકાર તરીકે વિકસે છે. 

++

ત્યારે ઉજો-સુજો જોડી બનાવાયેલી એમ નિરંજન-સુરેશ પણ બનાવાયેલી. આ બધું સુથારીકામ વધારે તો અમદાવાદમાં જ થયેલું. એક પ્રશસ્ત અમદાવાદી કવિ કહેતા – તમારી પાસે સુરેશ જોષી છે, તો અમારી પાસે નિરંજન છે. 

મને એ સમયે પ્રબોધે (પરીખ) સરસ વાત કરી હતી : સુરેશ જોષી, રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત, એ ત્રણેયને રવીન્દ્રનાથ ગમે અને એ દરેક પોતપોતાની રીતે અનુવાદ કે વ્યાખ્યાન કરે. પ્રબોધ કહે, એથી ગુજરાતને પોતાના રવીન્દ્રનાથ મળ્યા છે. 

મને વળીને અહીં પેલું શોધ-તત્ત્વ યાદ આવે છે. રવીન્દ્રનાથ તો બરાબર પણ આપણા એ ત્રણેય સાહિત્યકારો કલાપદાર્થ શોધતા’તા ને ગુજરાતને તેનો પરિચય આપવા ચાહતા’તા. જયદેવના “ગીતગોવિન્દ”-નો અનુવાદ કરનાર રાજેન્દ્રભાઈ શું કરવા “ડિવાઇન કૉમેડી” -નો અનુવાદ કરે? 

મારે સૂચવવું છે એમ કે પશ્ચિમનું કહો કે વિશ્વનું સાહિત્ય કહો, એનું એક ગુજરાતી થાણું સુરેશભાઈએ ઊભું કર્યું. ‘ઘરદીવડા શા ખોટા’ જેવા સીમિત ખયાલોથી મુક્ત થવા સૂચવ્યું અને વિશ્વસાહિત્યની ક્ષિતિજો બતાવી. 

= = =

(6 Sep 24: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...531532533534...540550560...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved