Opinion Magazine
Number of visits: 9557237
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉમાશંકર જોશીની કાવ્યસૃષ્ટિ (૭)

સુમન શાહ|Opinion - Literature|10 September 2024

‘આત્માનાં ખંડેર‘ —

‘આત્માનાં ખંડેર’ સૉનેટમાળા છે. એમાં, અધ્યાત્મ છે, ‘હું’-નું સત્ય. એ સત્યને ‘હું’-ના રણકારની પીઠિકા પણ મળેલી છે. એ અધ્યાત્મનો ઉમાશંકરની સૃષ્ટિમાં એક અપૂર્વ પ્રૌઢિ સાથે, એક આભા સાથે, બરાબરનો પુટ પણ ભળ્યો છે.

યુવક ઉમાશંકર

સૉનેટમાળા કવિની ૨૪-૨૫ વર્ષની વયે સ્ફુરેલી, એનો રચનાસમય વીસમી સદીની ‘ત્રીસીનો પૂર્વાર્ધ હતો, ૧૯૩૫ સુધીમાં એ માળા પૂરી થઇ હતી. કવિસંવિદમાં અને રચનામાં કોઈ સાતત્યસૂત્ર હોય તો તે છે, આત્મા. કાવ્યકથન એમ કલ્પાયું દીસે છે કે એ આત્મા કેવીક પ્રક્રિયાએ કરીને ખંડેર રૂપ અનુભવાયો, અને છેલ્લે એને શી પ્રતીતિ લાધી. 

ગાંધી જેવી વિભૂતિમાં ઉમાશંકરને જે વ્યક્તિતાનું દર્શન થયું હતું તેથી સાવ બીજા જ છેડાની દિશામાં આ કાવ્યનાયકની વ્યક્તિતા છે. એ યુવક છે. પહેલા સૉનેટમાં દર્શાવાયું છે એમ એ ‘આગંતુક’ છે, ‘અતિથિ’ છે. પૂર્વ દેશ, પુર, ટેકરી, સિન્ધુ અને શ્હૅરના સંદર્ભો વચ્ચે એણે ‘આયુષ્યની અણપ્રીછી મધુપ્રેરણા-શી’ ઉષાને ઊગેલી દીઠી છે, અને એનો આત્મા પુલકિત થઈ ગર્જી ઊઠ્યો છે – ‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા’. જો કે એને સમજાયું હતું કે ભલે વિશ્વને વ્યાપી જવા સ્ફુરેલો, છતાં, એ ‘અહંઘોષ’ હતો, અને ખાસ તો ‘વ્યથા’ વધારનારો હતો. જો કે, તેમછતાં, એનું રહસ્ય તો એમાં જ હતું, અહમ્-માં! એટલે, નાયકને ‘કાલસ્થલના મહા વિસ્તારો’ ‘હું-વિણ શૂન્યસરખા’ લાગ્યા છે. જણાવે છે, ‘હતું સૌ : એ સાચું! હતી પણ ખરી હું-ની જ મણા’. એટલે પ્રશ્ન સ્ફુર્યો કે કેવી રીતે ‘વિના હું બ્રહ્માણ્ડે કવન કરતે વિશ્વરમણા?’

કાવ્યનાયક યુવકને એક તરફ સમજાય છે, અહમ્-નો એવો મહિમા, પણ બીજી તરફ એમ પણ સમજાય છે કે માનવજાતિ તો ‘મહા વિરલ પ્રેરક સત્ત્વપુંજ’ માગે છે. એટલે એને પ્રજ્ઞાની જરૂરત વરતાય છે. સૃષ્ટિની ‘પરથમ પલકે સરેલી’ અને અન્તે ‘મનુજ રૂપમાં ઉત્ક્રમવતી’ ‘ચેતનતણી તણખ’-ની જરૂરત વરતાય છે – તણખ એવી કે જેથી પોતે ‘વિકસીને આગે’ પ્રગટ ‘પ્રજ્ઞાપુરુષ’ બની શકે.

પ્રકૃતિરમણીનાં નવનવાં રૂપો એને આમન્ત્રે છે, છતાં જણાવે છે કે પોતાને તો ‘અમૃતે મનુષ્યે છાયેલી’ ઉરની કુંજ જ પ્રિયતર છે. એટલે તો એણે પ્રકૃતિમૈયા પાસે ‘પયઘૂંટ’ માગ્યો છે ને પ્રાર્થના કરી છે, ‘રે ખોલ, ખોલ, ઝટ છોડ વિકાસધારા, …’ વળી, સંતોષ પણ ધાર્યો છે, ‘નજર ટૂંકી નથી, દૃષ્ટિફલક ટૂંકો નથી, જગત ટૂંકું નથી.’ અને તેથી આંખને કહ્યું છે કે જનસ્વભાવના કીમતી ‘બહુયે પ્રકાર’ જે છે, એ એને જુએ. વળી, હૃદયને પણ કહ્યું છે,

‘અને હૃદય, દેશકાલવિધિવક્રતા ભાંડવી

તજી, નજીક જે ખડું નીરખી એહ લેવું ઘટે’.

એણે આત્મતત્ત્વ અને વિશ્વ વચ્ચે જનમેલી એવી બધી સમવિષમ અવસ્થાઓ સ્વીકારી લીધી છે; છતાં, વાત તો વણસે જ છે. કહે છે, 

‘અધીરપભર્યા ભાવે વેણુ સુણી’તી વસંતની,

નીરખી’તી નભે વર્ષાનીયે મદે પદપંક્તિઓ,

શરદસરમાં દીઠી હોડી સરંતી મયંકની,

પણ ક્હીંય તે આ હૈયાને થયો નવ સ્પર્શ કો’.

એટલે એને થાય છે કે, 

‘મૃત્યુ માંડે મીટ સુખદ લેવા સંકેલી વિશ્વકુંજ જગડાળ મચેલી જીવનકેલી’. 

જો કે, એ જ મૃત્યુને કહે છે, 

‘મુખ ઉઘાડ તુજ, શાંતચિત્ત તવ દંત ગણીશ હું.’

‘આઇ થિન્ક ધૅઅરફર આઇ ઍમ’ એટલું જ નહીં, પણ ‘હું છું’ માટે જ વિશ્વ છે એવી શૈલીનો ઉદ્રેક કાવ્યનાયક યુવકનું પ્રસ્થાનબિન્દુ છે. પરન્તુ એની અન્તિમ પ્રતીતિ યથાર્થના ખણ્ડેરની છે, પોતાના અને માનવજાતના આત્માનાં ખણ્ડેરની છે. 

જરા વીગતે જોઈએ —

“આયુષ્યની અણપ્રીછી મધુપ્રેરણા-શી’ એ પ્રથમ ઉષા (૨૩૧) અને સોળમા સૉનેટની ‘અફર એક ઉષા’, એ બન્ને વચ્ચેની આખી પ્રક્રિયા, ઉમાશંકરની કાવ્યપ્રવૃત્તિની તેમ જ જીવનપ્રવૃત્તિની પણ એક પ્રકારે નિર્ણાયક ભાસશે. એમાં આશા છે, નિરાશા છે, ઉત્સાહ છે, ઉદ્વેગ છે, ભ્રાન્તિ છે, નિર્ભ્રાન્તિ છે. એ પ્રક્રિયાનું દાર્શનિક પરિણામ છે, કરુણ અનુભૂતિ, કહે છે : 

‘આત્મા તણા અરધભગ્ન ઊભેલ અર્ધાં

ખંડેરની જગપટે પથરાઈ લીલા’. (૨૪૦). 

અહમ્-નો મહિમા એ પ્રક્રિયામાં, સ્વાભાવિકપણે જ કેન્દ્રમાં છે. અહમ્-માં નાયક ‘કાલસ્થલના સૌન્દર્યખચિત વિસ્તારો’-નો ઉલ્લેખ કરે છે, અને નૉંધે છે કે 

‘પણ હું વિણ સૌ શૂન્ય-સરખાં’. (૨૩૨). 

નગરમાં આવ્યો ત્યારે પોતે ‘આગંતુક’ હતો, ‘અતિથિ’ હતો, છતાં, આત્મબળથી છલકાતો હતો, મનુજ રૂપે ઉત્ક્રમવતી ચેતન-તણખથી સભર હતો. (૨૩૩). અને તેથી, મહત્ત્વાકાંક્ષી હતો. એ સવારે મહત્ત્વાકાંક્ષા ગરજી ઊઠેલી : 

‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા. (૨૩૨).

એ જુએ છે કે સામે છે તેવો જ માનવસિંધુ અહીં આ નગરમાં ય ગર્જે છે પરન્તુ સામેના અણમૂલ રત્નોથી સભર સમુદ્ર જેવો એ સત્ત્વસભર નથી. અને, સંક્ષુબ્ધ માનવરાશિ તો ‘મહા વિરલ પ્રેરક સત્ત્વપુંજ’ ઝંખે છે. (૨૩૩).

કાવ્યનાયક યુવકને થાય છે કે પોતે એ દિશામાં કંઈક કરી શકે એમ છે. એનામાં આકાંક્ષા મ્હૉરી છે કે પેલી તણખને વિકસાવીને ‘આગે પ્રગટ બનું પ્રજ્ઞાપુરુષ હું’, પણ એને સમજાયું કે એ તો ‘અશક્યાકાંક્ષા’ છે. (૨૩૩). 

એને શ્રદ્ધા તો એ હતી કે પોતે પ્રજ્ઞાપુરુષ રૂપે વિકસી શકે, પણ હવે, એ શ્રદ્ધાને બદલે એને વિશેની શંકાથી એ વિહ્વળ છે. તેથી અધીર થઈ જાય છે. તાલાવેલી અને આગ્રહની મિશ્ર બાનીમાં વિશ્વજનનીને પ્રાર્થે છે, કે, ‘દે પયઘૂંટ મૈયા’. એ પાંચમા સૉનેટની કાવ્યબાની સદ્યોવેદી છે : 

‘રે ખોલ, ખોલ, ઝટ છોડ વિકાસધારાને

ન પટાવ શિશુને, બીજું કૈં ન જો’યે

થાને લગાડી બસ દે પયઘૂંટ, મૈયા!’ (૨૩૪). 

વિશ્વમૈયાને કરેલી પ્રાર્થનાથી કાવ્યનાયક યુવકની મોટા થવાની મહત્ત્વાકાંક્ષાનું નિરસન થાય છે. એને સમજાય છે કે એ મહત્ત્વાકાંક્ષા માત્ર અશક્ય છે એટલું જ નહીં, વ્યામોહપૂર્ણ પણ છે. એની હવે સમજ બંધાઈ છે કે મૈયા-શિશુના સાત્ત્વિક અનુસન્ધાન વિના મોટા ન થવાય —

‘એ દૂધથી છૂટી, ભ્રમે જ થવાય મોટા’. (૨૩૪).    

કારકિર્દીના પ્રારમ્ભે, “વિશ્વશાન્તિ” વખતે, એ જ નામના કાવ્યમાં, ઉમાશંકરના કાવ્યનાયકને ‘મંગલ શબ્દ’ ‘ચેતનમન્ત્ર’ ભાસેલો. ‘તેજભાનુ શા ગાંધી ઊગ્યા’ ત્યારે લાગેલું કે 

‘આનંદે વનમાં જેવી કૂજે છે કુંજ કોકિલા

એવી આત્મન્ કોકિલાઓ કૂજે છે પ્રભુની લીલા’. 

પણ હવે એ આત્મન્ કોકિલાઓ ઊડી ગઈ છે, આત્માનાં ખણ્ડેર બચ્યાં છે. નખી સરોવર પર એને ‘સૌન્દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમૅળે’-નો ‘ધ્યાન-મન્ત્ર’ લાધ્યો હતો. એ મન્ત્ર પણ હવે પોતાની વાસ્તવિક છટાઓ ધરવા લાગ્યો છે.

“વિશ્વશાન્તિ”-સમયની એ આશા-શ્રદ્ધાઓનું અહીં યથાર્થની ભૂમિ પર પર્યવસાન થયું છે. એ યથાર્થમાં અધિકૃત ‘હું’ કેન્દ્રમાં છે અને એ કેન્દ્રથી સત્યનો આલોક પ્રભવ્યો છે. એ એક લાક્ષણિક બોધ છે – માનવીય અસ્તિત્વ અને આ વિશ્વને જોડતી કડીના અભાવનો બોધ, જીવનના વાહિયાતનો બોધ, ઍબ્સર્ડનો બોધ. એને એક ઉપલબ્ધિ કહી શકાય. ઉપલબ્ધિ કાવ્યના નાયકની જ નહીં, વ્યક્તિ ઉમાશંકરની જ નહીં, પરન્તુ મનુષ્યમાત્રની.

કાવ્યનાયક યુવકે એ સત્યનો સાક્ષાત્કાર કર્યો, એટલું જ નહીં, એ વાહિયાતને સરળતાપૂર્વક વધાવી લીધું; સમજની જ્યોત પ્રગટે એવી સમુદાર અને માનવબાળને છાજે એવી શરણાગતિનો ભાવ ધારણ કર્યો, સમર્પણશીલતા ધારણ કરી, અને એને પ્રતીતિ થઈ કે —

‘યથાર્થ જ સુપથ્ય એક, સમજ્યાં જવું શક્ય જે ….’, (૨૪૧).

(‘આત્માનાં ખંડેર’ વિશે – ક્રમશ:)
(09/09/24: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અક્કલ વાપરવાની પણ હોય છે એનો ખ્યાલ પાકિસ્તાનને આવતો જ નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|9 September 2024

રવીન્દ્ર પારેખ

છે તે સંભાળાતું નથી અને આમથી તેમથી હરામનું શોધવામાંથી પાકિસ્તાન ઊંચું જ નથી આવતું. જન્મ્યું ત્યારથી જ તે ઉપદ્રવી રહ્યું છે ને ભારત સાથે મૈત્રીનું નાટક કરીને કે મૈત્રીની ઈચ્છા કરીને ભારતને કઈ રીતે પજવી શકાય તેની વેતરણમાં જ તે આજ સુધી રહ્યું છે. અત્યારે તેને જૂનાગઢ પાકિસ્તાનનું છે એવો એટેક આવ્યો છે. એ ઉપરાંત જમ્મુ-કાશ્મીર પણ તેનું છે તેવું ફેફરું ફરી ઊપડ્યું છે. પોતાના રોટલા નીકળતા નથી અને જૂનાગઢને મેળવવાની લાલસા જાગી છે જે કોઈ રીતે પૂરી થવાની નથી તે પાકિસ્તાને સમજી લેવાનું રહે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયનાં પ્રવક્તા મુમતાઝ ઝહરા બલૂચે એક મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે જૂનાગઢ પર ભારતે ગેરકાયદે કબજો કરી રાખ્યો છે. ગુજરાતનાં જૂનાગઢને ભારતે 1948માં કબજે કર્યું હતું. આ અંગે પાકિસ્તાનની નીતિ શરૂઆતથી જ સ્પષ્ટ રહી છે. પાક આ મામલાને ઐતિહાસિક અને કાનૂની દૃષ્ટિથી જુએ છે. ભારતે ગેરકાયદે જૂનાગઢનો કબજો કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ-UNSC-ના ઠરાવનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન હંમેશાં જૂનાગઢનો મુદ્દો રાજકીય અને રાજદ્વારી મંચ પર ઉઠાવતું આવ્યું છે. જમ્મુ-કાશ્મીરના મુદ્દાની જેમ જ જૂનાગઢના મુદ્દાને પણ તે વણઉકેલાયેલો મુદ્દો જ ગણે છે. મુમતાઝ ઝહરા બલૂચ આટલેથી જ અટક્યાં નથી, તેમણે એ પણ ઉમેર્યું કે જમ્મુ-કાશ્મીરનું ભવિષ્ય સંયુક્ત રાષ્ટ્ર પરિષદના ઠરાવ અને જમ્મુ-કાશ્મીરના લોકોની ઈચ્છા મુજબ નક્કી કરવામાં આવશે.

ખરેખર તો આ મામલે પાકિસ્તાને 7 નવેમ્બર, 1947નો દિવસ યાદ કરવો જોઈએ. એ દિવસે શાહનવાઝ તેમના વરિષ્ઠ કેબિનેટ સહયોગી હાર્વે જોન્સને શામળદાસ ગાંધીને મળવા રાજકોટ મોકલે છે. હાર્વે રાજકોટમાં શામળદાસને જૂનાગઢનો કબજો લેવા અપીલ કરે છે. 8 નવેમ્બરે શાહનવાઝ પોતાની વાતમાંથી ફરી જતાં કહે છે કે આરઝી હકૂમતે નહીં, પણ ભારત સરકારે જૂનાગઢ કબજે લેવું જોઈએ. આવું કહીને તે પાકિસ્તાન ભાગી જાય છે. એ પછી 9 નવેમ્બર, 1947ને રોજ ભારતે જૂનાગઢ પર કબજો મેળવ્યો. એ દિવસ જૂનાગઢના સ્વતંત્રતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ મામલે સરદાર પટેલની ઈચ્છા વિરુદ્ધ 20 ફેબ્રુઆરી, 1948ના રોજ લોકમત યોજાયો હતો. એમાં નોંધાયેલા 2,01,457 મતદારોમાંથી 1,90.870 લોકોએ મતદાન કર્યું હતું ને એમાં પાકિસ્તાનને માત્ર 91 મત મળ્યા હતા. એ પછી પણ મુમતાઝ ઝહરા બલૂચ આ હકીકત જાણ્યા વગર લવારા કરે તો તે પાકિસ્તાનમાં પણ ઘણાંનાં ભેજામાં ન ઘૂસે એમ બને. પાકિસ્તાન આ લવારાથી દુનિયાભરમાં ફરી એક વાર હાંસીને પાત્ર ઠર્યું છે. તે કહે છે તે મુજબ ગુજરાતનાં જૂનાગઢને ભારતે 1948માં કબજે કર્યું છે. હવે જો તે પોતે જ જૂનાગઢને ગુજરાતનું ગણાવતું હોય તો તે પાકિસ્તાનનું કઈ રીતે ગણાય? ગુજરાત પણ પાકિસ્તાનમાં આવેલું છે, એમ? વળી 1948માં ગુજરાત રાજ્ય તરીકે જ અસ્તિત્વમાં ન હતું, તો ગુજરાતનું જૂનાગઢ એમ કહેવાય જ કઈ રીતે? આવો બફાટ પાકિસ્તાને 2020માં પણ કર્યો હતો. પૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને તો નવો નકશો બનાવીને જમ્મુ-કાશ્મીર અને લદાખને પાકિસ્તાનનાં બતાવ્યાં હતાં ને ત્યારે પણ જૂનાગઢને પાકિસ્તાનનું બતાવવામાંથી તે ચૂક્યા ન હતા. સારું છે કે આખા ભારતને પાકિસ્તાને તેનાં નકશામાં બતાવ્યું નથી, નહિતર એવું પણ કહી શકે કે ભારત જ પાકિસ્તાનનું છે ને ભૂગોળનું જ્ઞાન ન હોય ને કોઈ નબળો વિદ્યાર્થી, અમેરિકાને પાકિસ્તાનમાં બતાવે તેમ જમ્મુ-કાશ્મીર, લદાખ, જૂનાગઢને પાકિસ્તાનમાં બતાવીને પાક નેતાઓ નાપાક હરકત કરી રહ્યા છે, પણ તેથી કૈં એ એમના પિતાજીની મિલકત થઈ જતી નથી, તે પાકિસ્તાને અને તેના નેતાઓએ સમજી લેવાનું રહે. પાકિસ્તાન ક્યારેક જ સાચું બોલે છે. એ સાચું તે 1999નાં કારગિલ યુદ્ધ મુદ્દે છેક હમણાં 25 વર્ષે બોલ્યું. પાકિસ્તાની સેનાના વડા જનરલ અસીમ મુનિરે કબૂલ કર્યું કે કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનના સૈનિકો સંડોવાયા હતા, બાકી, અત્યાર સુધી તો એમ જ ચલાવાયું હતું કે કારગિલ યુદ્ધને અંજામ કાશ્મીરી ઉગ્રવાદીઓએ આપ્યો હતો.

જો કે, ભારત પણ પાકિસ્તાનને મામલે વધારે પડતી ઢીલાશ રાખે છે. તે સર્જિકલ સ્ટ્રાઇકથી રાજી રહે છે જે કોઈ રીતે યોગ્ય નથી. પાકિસ્તાન આતંકી પ્રવૃત્તિથી મુક્ત ન થાય ત્યાં સુધી કોઈ વાટાઘાટ નહીં, એવું કેન્દ્રીય ગૃહમંત્રી કે વિદેશ મંત્રી બોલતા ફરે છે, તો સવાલ એ થાય કે આટલો ઉપદેશ આપવાનું પણ કામ શું છે? આ વાતો ભારતીય મંત્રીઓએ અગાઉ કહી નથી કે વારંવાર થૂંક ઉડાડવું પડે? લાતથી કામ લેવાનું હોય ત્યાં વાતથી કામ ન લેવાય. સ્વતંત્રતા મળી એ સમયથી પાકિસ્તાન ઓકયુપાઈડ કાશ્મીર(POK)નો મુદ્દો ચાલ્યો આવે છે ને ભારતીય મંત્રીઓ વર્ષોથી બોલ્યા કરે છે કે POK લઈને રહીશું, પણ હજી સુધી તે લેવાનું મુહૂર્ત આવ્યું નથી ને આતંકીઓ તો વખતો વખત જાત બતાવતા જ રહ્યા છે. આતંકીઓ મરતા પણ હશે, પણ આપણા જવાનો તો મરે જ છે. તે શું કામ મરવા જોઈએ? આપણો એક પણ જવાન વધારાનો નથી. એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે પાકિસ્તાન સાથે આજે નહીં ને ગમે ત્યારે યુદ્ધ વગર કોઈ વાતનો ઉકેલ આવવાનો નથી. એમાં જેટલો સમય જશે એટલા આપણા જવાનો કારણ વગર મરતા રહેશે. સીધી વાત તો એ છે કે આપણા જવાનોને યુદ્ધ વગર શહીદી વહોરવાની સ્થિતિમાં મૂકવા જ શું કામ જોઈએ?

વધારામાં કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે. ભા.જ.પે. ચૂંટણી ઢંઢેરો તો બહાર પાડી દીધો છે, પણ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક વાત બહુ યોગ્ય સમયે સ્પષ્ટ કરી છે કે નીકળી ગયેલી કલમ 370 હવે પાછી આવવાની નથી. બીજી તરફ કાશ્મીરી નેતા ફારુક બાપોકાર કહે છે કે અમે સત્તામાં આવીશું તો 370મી કલમ પાછી લાવીશું, તો કાઁગ્રેસના વિપક્ષી નેતા રાહુલ ગાંધી કહે છે કે કાશ્મીરને રાજ્યનો દરજ્જો અપાવીશું. આવું બધું ચૂંટણી જીતવા બોલાતું હોય તો પણ 370મી પાછી લાવવાની વાત અત્યંત જોખમી છે. કાશ્મીરને અલગ રાજ્યનો દરજ્જો હતો ત્યારે જે સ્થિતિ હતી, તે કાઁગ્રેસને ખબર નથી? કાશ્મીરી નેતાઓએ ત્યારે જે મનમાની કરી તે પણ કોઈથી અજાણી નથી. અન્ય રાજ્યનો કોઈ પણ ભારતીય કાશ્મીરમાં એક ઇંચ જમીન ખરીદીને ત્યાં રહી શકતો ન હતો. અલગ રાજ્યમાં જ એ સ્થિતિ પણ હતી કે કેટલાક વિધર્મી નેતાઓ અને નાગરિકોને પાકિસ્તાન માટે સોફ્ટ કોર્નર હતો. એને લીધે પાકિસ્તાનને ફાવતું આવ્યું ને તે આતંકી પ્રવૃત્તિઓ વિસ્તારી શક્યું. કેન્દ્રીય ગૃહ મંત્રીએ સંસદમાં જ કહ્યું છે કે વિધાનસભાની ચૂંટણી પછી યોગ્ય સમયે કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. એ પછી પણ રાહુલ ગાંધી કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની કઈ સત્તા ધરાવે છે તે નથી સમજાતું. આમ પણ રાજ્યનો દરજ્જો આપવાની સત્તા કેન્દ્ર સરકારની છે. ચૂંટણી પ્રચારમાં રાજ્યનો દરજ્જો આપવાની વાત મતદારોને ભોળાવવાથી વધારે કૈં નથી. એ નોંધનીય છે કે 370મી હટ્યા પછી કાશ્મીરમાં પહેલી વખત વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે પાકિસ્તાનને તેલ રેડાય અને તે જૂનાગઢ કે કાશ્મીરને લવારે ચડે તે સમજાય એવું છે. એ સ્થિતિમાં ભારતીય પક્ષોએ એ જોવાનું રહે કે વિધાનસભાની ચૂંટણી નિર્વિઘ્ને સંપન્ન થાય.

‘કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ બનાવનાર વિવેક અગ્નિહોત્રીએ ઓક્સફર્ડ યુનિયનનું, કાશ્મીર મુદે થનાર ચર્ચામાં ભાગ લેવાનું નિમંત્રણ ધરાર નકાર્યું છે, તે એટલે કે ચર્ચાનો વિષય ‘હાઉસ બિલિવ્સ ઇન એન ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ ઓફ કાશ્મીર’ હતો. વિવેક અગ્નિહોત્રીએ આમંત્રણ કેમ નકાર્યું એની સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે પ્રસ્તુત વિષય ભારત અને કાશ્મીર વિરોધી છે. કાશ્મીરી હિન્દુઓ સાથે જે થયું છે તે એવી કહાણી છે કે જેની કિંમત લોકોએ પોતાના લોહીથી ચૂકવી છે, નહીં કે મજાકમાં અપાયેલા જવાબ કે તાલીઓથી ! વિષય સંદર્ભે વિવેક અગ્નિહોત્રીએ પૂછ્યું પણ છે કે જે બાબત અંગે કોઈ વિવાદ જ નથી, તેની ચર્ચા શું કામ? વિષયમાં એવી પૂર્વધારણા લઈને ચાલવું કે કાશ્મીર સ્વતંત્ર રાજ્ય છે, એમ માનવા-મનાવવામાં ગંદુ રાજકારણ છે.

વિવેકની એ વાત સાચી છે કે વિષય પૂર્વગ્રહથી અપાયો છે. એમ મનાવવું કે કાશ્મીર સ્વતંત્ર રાજ્ય છે, એમાં જ ચર્ચામાં ભાગ લેનારને વિષય સીમિત કરવાની ફરજ પાડવા જેવું છે. કાશ્મીર સ્વતંત્ર રાજ્ય છે એ માન્યતામાં સ્વતંત્ર રાજ્ય નથી એનો છેદ ઉડાવવા જેવું પણ થાય છે. આવો પૂર્વગ્રહ વધારનારો વિષય શરમજનક છે. વિવેકે તો એનો વિવેક આમંત્રણ નકારીને દાખવ્યો, પણ કાઁગ્રેસ તેને રાજ્યનો દરજ્જો આપવાની વાત ચૂંટણી ટાણે કરે એમાં વિવેક નથી, દખલ છે. માંડ કાશ્મીરમાંથી 370મી કલમ નીકળી છે, ત્યાં તેને ફરી લાવવાની વાત, કાશ્મીરને શું લાભ અપાવશે તે નથી ખબર, પણ તે પાકિસ્તાનની કાશ્મીરમાં દખલ વધારનારી જ સાબિત થશે તેમાં કોઈ શક નથી. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 09 સપ્ટેમ્બર 2024

Loading

પ્રામાણિક વિમર્શ કરવા માગનારાઓ માટે અબ્દુલ ગફૂર નૂરાની દીવાદાંડી હતા

રમેશ ઓઝા|Opinion - Opinion|8 September 2024

અબ્દુલ ગફૂર નૂરાની

 અબ્દુલ ગફૂર નૂરાની. ૨૯મી ઓગસ્ટે ૯૪ વરસની ઉંમરે મુંબઈમાં જેમનું અવસાન થયું એ નૂરાનીનું નામ સંભવતઃ તમે નહીં સાંભળ્યું હોય. તેઓ વકીલોના વકીલ હતા, પરંતુ નાની પાલખીવાલા, સોલી સોરાબજી કે ફલી નરીમાન જેટલા જાણીતા નહોતા. તેઓ બંધારણવિદોના બંધારણવિદ હતા, પરંતુ ગ્રેન્વીલે ઓસ્ટીન, બી. શિવારાવ કે એચ.એમ. સિરવાઈ જેટલા જાણીતા નહોતા. તેઓ રાજકીય સમીક્ષકોના સમીક્ષક હતા, પરંતુ ગિરિલાલ જૈન, શામ લાલ કે ફ્રેંક મોરાઇસ, યોગેન્દ્ર યાદવ કે શેખર ગુપ્તા જેટલા જાણીતા નહોતા. તેઓ ઇતિહાસકારોના ઇતિહાસકાર હતા, પરંતુ તેઓ રોમીલા થાપર, રામચન્દ્ર ગુહા, ઈરફાન હબીબ કે બીપીન ચન્દ્ર જેટલા જાણીતા નહોતા.

આનું મુખ્ય કારણ એ છે કે તેઓ ઊહાપોહ કરનારા વિદ્વાન હતા. અસ્વીકૃતિ મેં ઊઠા હાથ જેવું. ‘નો મી લોર્ડ’ કહીને ઊભા થાય અને પછી મુદ્દાની એવી જડબેસલાક માંડણી કરે કે પ્રતિષ્ઠિત અને સન્માનનીય વિદ્વાન પણ ચૂપ થઈ જાય. હું ૧૯૭૭થી એ.જી. નૂરાનીને વાંચતો આવ્યો છું અને આજ સુધી એવો એક પણ પ્રસંગ યાદ નથી કે કોઈએ નૂરાની સામે પ્રતિવાદ કર્યો હોય કે ભૂલ તરફ આંગળી ચીંધી હોય. અભિપ્રાય તેમનો હોય, પણ હકીકતો (ફેક્ટ્સ) અકાટ્ય હોય. કોઈ હાથ ન ઝાલી શકે. ખોટું થઈ રહ્યું છે તો સાચી અને નૈતિક બાજુ કહેવી જ રહી. એટલે તેમણે જવાહરલાલ નેહરુને પણ છોડ્યા નહોતા. જમ્મુ અને કાશ્મીરના પ્રશ્ને તેઓ કાશ્મીરીઓના પક્ષે હંમેશાં ઊભા રહ્યા અને જવાહરલાલ નેહરુની જ્યારે ટીકા કરવી જરૂરી લાગી ત્યારે ટીકા કરતા રહ્યા. જે કોઈ બંધારણમાં છીંડાં પાડે, જે કોઈ સામાન્ય માણસનાં અહિતની પ્રવૃત્તિ કરે, જે કોઈ ન્યાયાધીશ બંધારણને અતિક્રમીને ચુકાદા આપે તો તેને નૂરાનીનો સામનો કરવો પડે. ૨૦૧૯માં સર્વોચ્ચ અદાલતે બાબરી મસ્જીદ વિષે કુકૂટ આસન કરતો ચુકાદો આપ્યો એ નૂરાની ખમી નહોતા શક્યા. તેઓ તેનાં વિષે આખું એક પુસ્તક લખી રહ્યા હતા. મૃત્યુ પૂર્વે તેમણે પુસ્તક પૂરું કર્યું છે કે અધૂરું છે એની જાણ નથી. જો એ પુસ્તક આવશે તો હું ખાતરીથી કહી શકું કે ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડ એક શબ્દ પ્રતિવાદમાં નહીં કહી શકે. ગેરંટી. નહીં, સાહેબ તમે ખોટા છો એમ કહીને બોલવું અને પ્રતિવાદ કરવો એ તેમની અંતરની જરૂરિયાત હતી, કારકિર્દી નહોતી.

નૂરાની જાણીતા નહોતા એનું બીજું કારણ એ કે તેઓ સભા-સમારંભોમાં જતા નહોતા કે ટી.વી. પરની ડિબેટોમાં ભાગ નહોતા લેતા. તેમને વાત ઝીણામાં ઝીણી વિગત સાથે કરવી હોય અને એવો મોકો તેમાં મળે નહીં. હું જ્યારે ‘સમકાલીન’માં હતો ત્યારે સંસદમાં બોફોર્સ પ્રકરણની ચર્ચામાં સ્પીકરની બંધારણીય ભૂમિકા વિષે તેમનો અભિપ્રાય માગવા મેં ફોન કર્યો ત્યારે તેમણે આવી ગંભીર ચર્ચા હું ફોન ઉપર કરતો નથી એમ કહીને ફોન મૂકી દીધો હતો. અખબારવાળાઓને તો તેઓ મુલાકાત જ આપતા નહોતા. પત્રકારો વિષે તેમનો અભિપ્રાય પણ બહુ ઊંચો નહોતો. આ સિવાય થોડા અતડા પણ હતા. જો કે તેમના મિત્રો કહે છે કે તેઓ જેવી તેમની ઈમેજ હતી એવા નહોતા. અત્યંત લાગણીશીલ, ગમતા માણસો માટે ભાવ ધરાવનારા અને માંસાહારી ભોજનના શોખીન.

હું જ્યારે નૂરાનીને વાંચતો થયો ત્યારથી મનમાં એક પ્રશ્ન ઉપસ્થિત થતો કે આ માણસ આટલા બધા સંદર્ભો કેવી રીતે એકઠા કરતો હશે અને લખતી વખતે એક માળામાં પરોવતો હશે. દાખલા તરીકે જમ્મુ અને કાશ્મીર માટેનો આર્ટીકલ ૩૭૦ કેવી રીતે બંધારણમાં આમેજ થયો એ કહેવું મુશ્કેલ નથી, પરંતુ પછી લાગુ કરવામાં આવેલા એ આર્ટીકલ વિષે ૧૯૫૦થી આજ સુધી કોણે ક્યારે શું કહ્યું અને કર્યું એની સિલસિલાબંધ વિગતો નૂરાનીના લેખમાં જોવા મળે. એમાં સંસદમાં થયેલી ચર્ચાનો તારીખ સાથે હવાલો હોય, એમાં અખબારમાં છપાયેલ જાહેર વક્તવ્યનો તારીખ અને અખબારના નામ સાથે હવાલો હોય, એમાં પાર્ટીના અધિવેશનો અને ઠરાવોનો હવાલો હોય, એમાં સંબંધીત લોકો વચ્ચે થયેલા પત્રવ્યવહારનો હવાલો હોય, જે તે સંગઠનનાં મુખપત્રનો હવાલો હોય, અદાલતે આપેલા સુસંગત કે પરસ્પર વિસંગત ચુકાદાઓનો હવાલો હોય. નિરાંતે પુસ્તક લખવા માટે આ બધું સહેલું છે, પણ છાપા સામયિકો માટે લેખ લખવામાં કોઈ આટલાં અનેક પ્રકારનાં પ્રમાણો ટાંકે એ મેં પહેલીવાર જોયું.

તેમની આવી સજ્જતા જોઇને મને ત્યારે (ઈંટરનેટ હજુ નહોતું આવ્યું ત્યારના પ્રાગ-પ્રત્યાયન યુગમાં) થતું કે આ બધું તેઓ કેવી રીતે એકઠું કરતા હશે અને એકઠું તો હજુ કોઈ કરી લે, પણ જ્યારે જે જગ્યાએ પ્રમાણ તરીકે જોઈએ ત્યારે તેઓ કઈ રીતે હાથવગું કરી લેતા હશે? આટલાં બધાં કાતરણો અને દસ્તાવેજો તેઓ કેવી રીતે સંઘરતા હશે અને તેમની ક્લાસીફિકેશનની પદ્ધતિ કેવી હશે? મેં પણ તેમની દેખાદેખી મારા ગમતા વિષયો પર કાતરણ અને બીજા દસ્તાવેજોનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું હતું, પણ એમાંનો ભાગ્યે જ કોઈ સંદર્ભ જ્યારે જોઈએ ત્યારે હાથમાં આવતો હતો. ધીરે ધીરે કુથો વધતો ગયો અને છેવટે હાર માનીને નૂરાની જેવા પ્રમાણસજ્જ થવાનો નાદ છોડી દીધો. એક પત્રકાર તરીકે નૂરાની મારા માટે પરમ આદરણીય હતા. તેમનાં લેખો અને પુસ્તકો બને એટલાં મેં વાંચ્યા છે.

શાસકો અને સ્થાપિત હિતો જ્યાં જાણીબૂજીને સરળીકરણ કરે અને એ સરળીકરણ ખોટું હોય, કોઈને અન્યાયકર્તા હોય તો નૂરાની તેને પડકારવા ત્યાં ઊભા જ હોય. દેશહિતના કે રાષ્ટ્રવાદના નામે માફક આવે એવું નેરેટિવ વિકસાવવામાં આવે, પણ જો એ કોઈને અન્યાય કરનારું હોય તો એ નેરેટિવને પડકારવા નૂરાની ઊભા થઈ જાય, પછી ભલે એ નેરેટિવની આસપાસ રાષ્ટ્રીય સ્તરે સર્વાનુમતિ પેદા કરવામાં આવી હોય અને નજરે પડતી હોય. નૂરાની બહુ નજરે નહોતા પડતા તેનું આ પણ એક કારણ છે. નૂરાની પરવડતા પણ નહોતા. કાશ્મીરના પ્રશ્ને અને કાશ્મીરની પ્રજાના પક્ષે જો કોઈ અડગપણે ઊભા રહ્યા હોય તો એ નૂરાની. ઇશાન ભારતના પ્રશ્ને અને ઇશાન ભારતની પ્રજાના પક્ષે જોઈ કોઈ આદમી અડગપણે ઊભા રહ્યા હોય તો એ નૂરાની. હૈદરાબાદના પ્રશ્ને અને હૈદરાબાદની મુસ્લિમ પ્રજાના પક્ષે જો કોઈ અડગપણે ઊભા રહ્યા હોય તો એ નૂરાની. હૈદરાબાદની સમસ્યા પેદા થઈ ત્યારે હૈદરાબાદ રાજ્યના સરેરાશ મુસલમાનને રઝાકાર તરીકે ઓળખાવવામાં આવતો હતો અને એ રીતે તેમની સાથે વહેવાર કરવામાં આવ્યો હતો. કાશ્મીર, ઇશાન ભારત કે હૈદરાબાદ, આજ સુધી કોઈએ નૂરાનીને પડકાર્યા નથી. દેશહિત, રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય સર્વસંમતિના નામે હાંસિયામાં રહેલી પ્રજાને હજુ વધુ હાંસિયામાં ધકેલવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે નૂરાની પ્રતિરોધ કરવા હાજર હોય. તથ્યો અને અકાટ્ય દલીલો સાથે. જ્યારે જવાબ ન હોય ત્યારે ઉપેક્ષા કરવામાં આવે. નૂરાનીની ઉપેક્ષા કરવામાં આવતી હતી એ પણ તેઓ અજાણ્યા રહ્યા એનું એક કારણ છે.

તર્કયુક્ત દલીલો અને પ્રમાણો સાથે સત્યનો પક્ષ લેવો, નૈતિકતાનો પક્ષ લેવો, જેની સાથે અન્યાય થતો હોય તેનો પક્ષ લેવો અને છેવાડાના માણસનાં હિતનો પક્ષ લેવો એ નૂરાની પાસેથી મળેલી શીખ હતી. અંગત રીતે અબ્દુલ ગફૂર નૂરાનીને મળવાનો ક્યારે ય મોકો મળ્યો નહોતો, પણ નૂરાની પ્રામાણિક વિમર્શ કરવા માગનારાઓ માટે દીવાદાંડી હતા.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 08 સપ્ટેમ્બર 2024

Loading

...102030...529530531532...540550560...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved