Opinion Magazine
Number of visits: 9457003
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વરસાદ એટલે વરને સાદ નહીં જ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|21 June 2024

કાવ્યકૂકીઝ 

વરસાદ એટલે વરને સાદ 

એવું મારા સિવાય કોઈ માનતું ન હતું, 

કારણ ગમે એટલો સાદ પડે તો પણ 

વર સાંભળતો હોતો નથી,

એવું પાછું દરેક વહુ માનતી હોય છે. 

ભાવિ વહુ પ્રેમિકા હોય 

ને લગ્ન થવાનાં બાકી હોય તો 

ભાવિ વર પડ્યો બોલ જ નહીં, 

પ્રેમિકા પણ ઉપાડી લેતો હોય છે, 

પણ પ્રેમિકા 

જેવી વહુ થાય છે 

કે વરને થોડી બહેરાશ આવી જાય છે 

તે શું નથી સાંભળવાનું 

તે બરાબર સાંભળતો હોય છે 

વરને કામ ન હોય ત્યારે 

તે વધુ કામમાં હોય છે

એટલે વહુ સાદ પાડે તો પણ  

વર,સાદ નથી પાડતો,

મરજાદ પાળતો હોય છે. 

તે સામે નથી થતો તેમ તેમ 

વહુ સામે થતી જાય છે 

ને વર સહનશીલ થતો જાય છે, 

છતાં અન્યાય તો વહુને જ થાય છે

એનો પુરાવો એ જ કે  

‘વર’સાદ છે, તેમ ‘વહુ’સાદ નથી જ !

તે સારું પણ છે 

વરસાદની આગાહી થઈ શકે છે 

તેવી વહુસાદની થઈ શકતી નથી, 

કારણ વહુસાદ બારમાસી હોય છે 

ને બારમાસીની આગાહી થતી નથી,

એ તો હોય જ છે 

ને હોય તેની આગાહી શું કરવાની?

વરસાદની આગાહી હોય

ગાજવીજની આગાહી હોય, પણ   

વરસાદ ન પડે એવું ઘણી વાર બને છે 

ઘણીવાર તો આગાહી જ ન હોય 

ને વરસાદ તૂટી પડે ત્યારે 

વર બીજાની છત્રી લઈ આવે એવું બને

ને લલ્લુ એવો હોય 

કે છત્રી તો બીજાની લાવે 

પણ ખોલવાની જ ભૂલી જાય 

ને પલળતો પલળતો ઘરે આવે તો 

વહુને વીજ જેમ ત્રાટકવાની તક મળે છે.  

કોઈ વાર વહુ સાથે હોય 

ને છત્રીની જેમ 

બહાર જ ભૂલી આવે 

ત્યારે પણ વહુ 

વીજળીની જેમ પાછળથી ધસી આવે છે.  

એવું વહુ સાદનું થતું નથી 

એ બીજો ‘વર’સાદ ઉપાડીને ન જ આવે  

કારણ એકનો જ ત્રાસ એવો હોય કે 

બીજાનો વિચાર પણ ન આવે 

વહુસાદથી શેકયો પાપડ ન ભાંગતો હોય 

તો પણ વરને સાદ તો દેવાતો જ રહે છે. 

ને વરસાદ પડે તો શેક્યો પાપડ 

પલળી જતો હોય છે. 

વરસાદ ન પડે તો પણ ખોરું ઘી 

દિવેલમાંથી નથી જતું. 

વરસાદ નહીં તો વરસાદની 

ઝેરોક્સ તો વરસે જ !

પ્રોબ્લેમ એ છે કે સૂર્યનું ચિત્ર 

અંધારામાં અજવાળું આપતું નથી … 

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

શિક્ષકો કોન્ટ્રાક્ટ પર રખાય તો મંત્રીઓ 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર રખાય કે નહીં?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|21 June 2024

રવીન્દ્ર પારેખ

2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતી જ હતી, છતાં મુખ્ય મંત્રી રૂપાણી સહિત તમામ મંત્રીઓને સપ્ટેમ્બર, 2021માં બદલી કાઢવામાં આવ્યા ને નવા મંત્રીઓ એવા પસંદ કરવામાં આવ્યા કે રૂપાણી સરકારમાંનો એક પણ રિપીટ ન થાય. એ વખતે મુખ્ય મંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની અને શિક્ષણ મંત્રી તરીકે જિતુ વાઘાણીની વરણી થયેલી. એ પછી 2022માં નવી સરકાર આવી ને હવે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરથી શિક્ષણનો કારભાર ચાલે છે. મંત્રીઓની એકાએક છટણીને કારણે જ કદાચ જ્ઞાન સહાયકનો તુક્કો ગુજરાત સરકારને આવ્યો હોય એમ બને. અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ પર ફિક્સ પગારે કામચલાઉ શિક્ષકોની ભરતીને ‘જ્ઞાન સહાયક’ જેવું રૂપાળું નામ અપાયું, પણ એ સરકારની ઋગ્ણ માનસિકતાથી વિશેષ કૈં ન હતું. આ તુક્કા પહેલાં ‘પ્રવાસી શિક્ષકો’ની નિમણૂકનું ડિંડવાણું ચાલ્યું. એમાં ફાવટ ન આવી તો જ્ઞાન સહાયકનો સિક્કો સરકારે ઉછાળ્યો ને 26,500 જ્ઞાન સહાયકો નીમવાની વાત કરી, પણ ટેટ-ટાટ પાસ વિદ્યાર્થીઓ આ યોજનામાં જોડાવા રાજી ન હતા, તેનું કારણ એ કે જે કાયમી નોકરી મેળવવાના હેતુસર ટેટ-ટાટની પરીક્ષાઓ એમણે પાસ કરી હતી એ હેતુ જ્ઞાન સહાયકમાં જળવાતો ન હતો ને 11 મહિનાના કોન્ટ્રાક્ટવાળી આ નોકરી પછી એ જ નોકરી ફરી મળવાની કોઈ ખાતરી ન હતી, એટલે એવી કામચલાઉ નોકરીનો વિરોધ થયો. એ કારણે નિમણૂક મળી તો પણ ઘણા નોકરીમાં હાજર ન થયા.

આમ તો કાયમી ભરતી ન થાય ત્યાં સુધી જ્ઞાન સહાયકથી ચલાવવાની વાત હતી, પણ સરકારની દાનત કામચલાઉ શિક્ષકોથી જ ચલાવવાની હતી. કાયમી નોકરી અંગે કોઈ વિચારણા જ સરકાર પાસે કદાચ ન હતી, એટલે કાયમી શિક્ષકોની ઘટ વધીને 34,000 પર આવી ગઈ હતી. કાયમી શિક્ષકોની ભરતી કરવાની સરકારને ફુરસદ ન હતી, પણ પ્રવાસી શિક્ષકો, વિદ્યા સહાયકો, જ્ઞાન સહાયકોની ભરતી કરવાની અનુકૂળતા સરકાર પાસે ભરપૂર હતી. સાચું તો એ છે કે કાયમી નોકરીના લાભ આપવા સરકાર ઇચ્છતી નથી. શિક્ષણ મંત્રી કાયમી નોકરીનો લાભ લે, પણ તેમના શિક્ષકોને તે લાભ ન આપવો પડે એટલે કામચલાઉનો આગ્રહ રાખે છે. જો શિક્ષકો કોન્ટ્રાક્ટ પર રખાય તો મંત્રીઓ પણ 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર રખાય તો ચાલે કે કેમ એ અંગે વિચારવા જેવું છે.

ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ કાયમી નોકરી મળે એ આશાએ પરીક્ષાઓ પાસ કરી હોય ને સરકાર કાયમી નિમણૂક કરવામાં ગાળિયા કાઢે એ કોઈ રીતે યોગ્ય નથી. સરકારના આ વેપલાને લીધે ઘણા ઉમેદવારોની ઉંમર પુરાઈ રહી છે, એનો વિચાર સરકારને આવતો નથી એ દુ:ખદ છે. ઉંમર પુરાતાં એમને બીજે પણ નોકરી નહીં મળે એવું લાગતાં નાછૂટકે એમણે 18 જૂનને મંગળવારે ગાંધીનગરમાં મંત્રીશ્રીને રજૂઆત કરવાની કોશિશ કરી, તો ત્યાં પોલીસોનું ધાડું તેમના પર તૂટી પડ્યું. મહિલાઓને ટીંગાટોળી કરીને લઈ જવાઈ. કોઈ ગુનેગાર સાથે ન થાય એવું વર્તન પોલીસે ભાવિ શિક્ષકો સાથે કર્યું. સરકારે એવી જડબેસલાક વ્યવસ્થાઓ ગોઠવી કે કોઈ સચિવાલય સુધી પહોંચી જ ન શકે. એ વ્યવસ્થા કરવામાં જે સમય અને નાણાંનો ખર્ચ સરકારે કર્યો એના કરતાં તો એ આંદોલનકારીઓને મળવાનું સસ્તું પડ્યું હોત, પણ સરકારનો આપવામાં હાથ તંગ રહે છે ને પોતાને માટે ખર્ચવામાં તો ક્યારે ય કૈં ખોટ પડી નથી.

એ ટીંગાટોળી પછી, કેબિનેટની બેઠક મળી ને ત્રણેક મહિનામાં ટાટ પાસ 7,500 શિક્ષકોની કાયમી ભરતીની જાહેરાત પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કરી. માધ્યમિકમાં સરકારી સ્કૂલોમાં 500 અને ગ્રાન્ટ ઇન એડ સ્કૂલોમાં 3,000 કાયમી શિક્ષકોની ભરતી થશે, તો ઉચ્ચતર માધ્યમિકમાં સરકારી સ્કૂલોમાં 750 અને ગ્રાન્ટ ઇન એડ સ્કૂલોમાં 3,250 કાયમી શિક્ષકોની ભરતી થશે. ટૂંકમાં, ટાટ-1માં 3,500 અને ટાટ-2માં 4,000 કાયમી ભરતી થશે. પ્રવક્તા મંત્રીએ 1,500 HMAT પ્રિન્સિપાલની ભરતી ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં તાજેતરમાં જ થઈ હોવાની વધામણી ખાતાં એ પણ ઉમેર્યું કે ટેટ-ટાટ પરીક્ષા નોકરી આપવા માટે નથી, પણ લાયકાત માટે છે. ટૂંકમાં ગ્રેજ્યુએશન, બી.એડ્. વગરે લાયકાત નથી, એ લાયકાત તો ટેટ-ટાટ પાસ કરવાથી જ આવે. એમ રાખીએ, પણ એ એટલે પાસ કરવાની છે કે નોકરી ન મળે ને મળે તો કાયમી ન મળતાં કામચલાઉ મળે? આટલી લાયકાત પછી આટલી તકલાદી નોકરી સરકાર આપે એ યોગ્ય છે? પ્રવક્તા મંત્રીએ એમ પણ કહ્યું કે ટેટ-1, ટેટ-2ની ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. એ આંદોલનકારીઓનો આભાર માનવો જોઈએ કે વર્ષોથી બાકી કાયમી ભરતીની પ્રક્રિયા હાથ ધરવાનું સરકારને આંદોલનને નિમિત્તે યાદ આવ્યું.

આમ તો દર વર્ષે જૂનમાં નવી ટર્મ શરૂ થતી હોય છે, પણ સરકારને કાયમી ભરતીનો વિચાર જ નથી આવતો ને આવે છે તો ટર્મ અડધી થવા આવે ત્યાં સુધી કૈં ઠેકાણું નથી પડતું. સરકારની છેલ્લી જાહેરાત અનુસાર 10 વર્ષમાં 18,382 કાયમી શિક્ષકોની ભરતી થઈ છે. એટલે કે સરેરાશ 1,838.2 શિક્ષકો. એની સામે છેલ્લા આઠ જ મહિનામાં 17,500 શિક્ષકો નિવૃત્ત થયા છે. સાચું તો એ છે કે ખુદ શિક્ષણ મંત્રીએ કરેલી જાહેરાત મુજબ પણ કાયમી ભરતી થતી નથી. પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ 5,300 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરેલી, ત્યાં મંત્રીઓ 2021માં બદલાતા એમણે જ જવાનું થયું.  એમના પછી જિતુ વાઘાણી આવ્યા ને એમણે 2022માં 2,650 ને નિમણૂક પત્રો આપ્યા, તો ય 2,650ની નિમણૂક તો રહી જ. એ પછી જિતુ વાઘાણી પણ પૂર્વ મંત્રી બન્યા ને એની સામે 31/10/2023 ને રોજ 7,500 શિક્ષકો અને 31/5/2024 ને રોજ 10,000 શિક્ષકો મળી કુલ 17,500 શિક્ષકો નિવૃત્ત થયા. એની સામે નિમણૂક તો 2,650 ને જ મળી, એટલે 14,850 જ્ગ્યાઓ તો ખાલી જ રહી. હવે પ્રવક્તા મંત્રીની 7,500ની ભરતીને બાદ કરીએ તો પણ 7,350 જ્ગ્યાઓ તો ખાલી જ રહે છે ને આ સ્થિતિ તો છેલ્લા આઠ મહિનામાં નિવૃત્ત થયેલ શિક્ષકો સંદર્ભે છે. એની પહેલાંની ને પછીની તો કલ્પના જ કરવાની રહે છે.

આ ઘટને કારણે બન્યું છે એવું કે રાજ્યની 33,510 સ્કૂલોમાંની 1,606થી વધુ સ્કૂલો એક જ શિક્ષકથી ચાલે છે. આ સંખ્યા અગાઉ 754ની હતી, એવું હાલના શિક્ષણ મંત્રી કહે છે ને એમના જ કહેવા પ્રમાણે જ્યાં શિક્ષકો છે તે લાયકાતવાળા જ છે એવું નથી. ફેબ્રુઆરીમાં વિધાનસભામાં સરકારે કબૂલ્યું છે કે ખાલી અમદાવાદમાં જ 348 શિક્ષકો લાયકાત વગરના છે. એક તરફ સ્કૂલોમાં શિક્ષકો નથી ને છે ત્યાં લાયકાતનો પ્રશ્ન છે ને બીજી તરફ લાયકાતવાળાએ કાયમી નોકરી માટે આંદોલન કરવું પડે એ સ્થિતિ છે.

છેલ્લાં થોડાં વર્ષોમાં ખાનગી સ્કૂલો તરફની દોટ ઘટી છે ને સરકારી સ્કૂલો બંધ થવા છતાં, તેમાં વિદ્યાર્થીઓ વધ્યા છે. ગુજરાતમાં ત્રણેક વર્ષોમાં 2.75 લાખ વિદ્યાર્થીઓ વધ્યા છે. આ સાચું હોય તો શિક્ષકો વધવા જોઈએ, પણ તે ઓછા છે ને વર્ષો પછી પણ સરકાર એ સ્થિતિમાં નથી કે શિક્ષકોની ઘટ પૂરી કરી શકે. બીજી તરફ લાખોની સંખ્યામાં ટેટ-ટાટ પાસ ઉમેદવારો, નોકરી માટે વર્ષોથી ફાંફાં મારી રહ્યા છે. 7,500ની કાયમી ભરતી થાય તો પણ, 1.18 લાખ ટાટ પાસ ઉમેદવારોની સામે એ દરિયામાં ખસખસથી વધુ નહીં હોય. એમાં પણ ટેટની ભરતી પ્રક્રિયાની તો ખાલી વાત જ છે, જ્યારે ટેટ પાસ બેકારોની સંખ્યા 2.65 લાખથી વધુની છે. એમાંના કોને, કેટલી ને ક્યારે કાયમી નોકરી મળશે એ તો આવનારો સમય જ કહેશે.

પટાવાળાની, ક્લાર્કની, સૈનિકોની, ઑફિસરોની, મામલતદારોની, જજોની ભરતી થતી હોય, તો શિક્ષકોની ભરતી કરવામાં સરકારને શું નડે છે તે નથી સમજાતું ને આટલો સમય વીતવા છતાં, કાયમી ભરતી સરકાર કેમ નથી કરતી એનો ખુલાસો પણ સરકાર કરતી નથી. તેને બદલે કામચલાઉ જગ્યાઓ ભરવાનો તેને વાંધો નથી, તો નિવૃત્તિ પછીના લાભો આપવા ન પડે એટલે સરકાર કાયમી ભરતીમાં અખાડા કરે છે, એમ માનવાનું છે? એવું હોય તો તેનો ય વાંધો નથી, તો સરકાર કોર્પોરેટરોના, વિધાનસભ્યોના, સાંસદોના નિવૃત્તિ પછીના લાભો રદ્દ કેમ નથી કરતી? અત્યારે જે સરકારી અધિકારીઓ છે તે પેન્શન ને અન્ય લાભો લેવાના છે કે જતા કરવાના છે? જો, એ બધા લાભો લેવાનો સંકોચ ન થતો હોય તો, શિક્ષકોને જ એ લાભો આપવામાં હાથ કેમ પાછો ખેંચાય છે? આ કોઈ પણ રીતે યોગ્ય નથી. નથી જ –

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 જૂન 2024

Loading

બંધારણ જીવવા માટેનો ગ્રન્થ છે, પૂજવા માટેનો નથી.

રમેશ ઓઝા|Opinion - Opinion|21 June 2024

રમેશ ઓઝા

પડ્યા લખણ જલદી છૂટતા નથી. લોકસભાના નવા ચૂંટાયેલા એન.ડી.એ.ના સભ્યોએ નરેન્દ્ર મોદીની વડા પ્રધાનના પદ માટે પસંદગી કરી એ પછી તેમણે ભારતનાં બંધારણની મોટામાં મોટી ઉપલબ્ધ પ્રત માથે ચડાવી હતી. રાહુલ ગાંધી બંધારણની પોકેટ સાઈઝ પ્રત લઈને પ્રચાર કરતા હતા અને તેણે નરેન્દ્ર મોદીને બહુ નુકસાન પહોંચાડ્યું હતું. કેમેરામાં મોટી પ્રત વધારે નજરે પડે એવો વિચાર રાહુલ ગાંધીને નહોતો આવ્યો, કારણ કે રાહુલ કેમેરાજીવી નથી. આ સિવાય નરેન્દ્ર મોદી રાજઘાટ ગાંધીજીની સમાધી પર ગયા હતા અને બાપુને પગે લાગીને આશીર્વાદ માગ્યા હતા. અને એન.ડી.એ. સરકારની પહેલી કેબિનેટ મિટિંગની તસ્વીર જોઈ? એમાં પણ વડા પ્રધાનની પાછળ ગાંધીજીનું મોટું ચિત્ર નજરે પડતું હતું અથવા નજરે પડે એમ રાખવામાં આવ્યું હતું.

પહેલી વાત તો એ કે બંધારણ કોઈ પવિત્ર ધાર્મિક ગ્રન્થ નથી કે તેને પગે લાગવાથી કે માથે ચડાવવાથી જિંદગીનો ઉદ્ધાર થઈ જાય. બંધારણ ભારતની પ્રજાએ બસો વરસ દરમ્યાન વિકસાવેલા અને સ્વીકારેલા જીવનદર્શનનો દસ્તાવેજ છે. ભારતની નિયતિ સાથેનો એક પવિત્ર કરાર છે. અમે આમ જીવીશું અને આમ નહીં જીવીએ. અમે આ અપનાવશું અને આ છોડશું, પછી ભલે એ અમારા ધર્મનો કે પરંપરાનો હિસ્સો હોય. આખું બંધારણ વાંચવાની જરૂર નથી, બંધારણના પ્રારંભમાં જ જે આમુખ (વી ધ પીપલ ઓફ ઇન્ડિયા…) આપવામાં આવ્યું છે એ વાંચી જાઓ. પાંચ પંક્તિના અમુખ ઘડવા માટે બંધારણ ઘડનારાઓએ અંદાજે પાંચ દિવસ ચર્ચા કરી હતી અને આમુખ ઉપર જ અનેક પુસ્તકો લખાયાં છે. મારી દૃષ્ટિએ બંધારણનું મૂલ્ય પવિત્ર ધાર્મિક ગ્રન્થ કરતાં પણ વધુ છે, કારણ કે એ જીવવા માટેનો, અનુસરવા માટેનો ગ્રન્થ છે. પણ આપણા લાડલા વડા પ્રધાન માટે દરેક ચીજ ફોટા માટેની પ્રોપર્ટીઝ છે.

બંધારણ માટે ચડાવતી વખતે યાદ નહોતું કે આગલી લોકસભાના ૧૪૧ સભ્યોને એક કે બીજા બહાને લોકસભામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા? બોલનારા અને પ્રશ્નો પૂછનારાઓને એક એક કરીને દૂર કરવામાં આવ્યા હતા કે જેથી કોઈ વિરોધ કરનાર ન બચે. ૧૪૧ કોઈ નાની સંખ્યા છે? બંધારણ માથે ચડાવતી વખતે એ યાદ નહોતું આવ્યું કે તેમના કાર્યકાળની લોકસભા સંસદના ઇતિહાસમાં સૌથી ઓછો વખત મળી છે અને તેમાં સૌથી ઓછી ચર્ચા થઈ છે? બંધારણ માથે ચડાવતી વખતે એ યાદ ન આવ્યું કે પાછલે બારણેથી ઈલેક્ટોરલ બોન્ડ્ઝ દાખલ કર્યા હતા એ ભારતનાં લોકતંત્રનાં પ્રાણ હરનાર હતા? એટલે તો સર્વોચ્ચ અદાલતે તેને ગેરબંધારણીય જાહેર કરીને રદ્દ કર્યા છે. બંધારણને માથે ચડાવતી વખતે એ યાદ ન આવ્યું કે ચૂંટણીપંચની નિયુક્તિમાં દેશના મુખ્ય ન્યાયમૂર્તિનો પણ મત લેવો જોઈએ? આવા તો બીજા ઓછામાં ઓછા સો પ્રસંગ હું એક શ્વાસે ટાંકી શકું એમ છું. બંધારણને માથે ચડાવવાથી બંધારણનિષ્ઠ નથી થવાતું, બંધારણના નિર્દેશ મુજબ અને તેણે બતાવેલી મર્યાદામાં જીવવાથી બંધારણનિષ્ઠ બની શકાય. માટે આ જીવવા માટેનો ગ્રન્થ છે, પૂજવા માટેનો નથી.

એવું જ ગાંધીજીનું. ચૂંટણીનાં પરિણામ આવ્યાં એના અઠવાડિયા પહેલાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ૧૯૮૨માં રિચાર્ડ એટનબરોની ‘ગાંધી’ ફિલ્મ નહોતી આવી ત્યાં સુધી ગાંધીજીને દુનિયામાં કોઈ જાણતું નહોતું અને એની મને પીડા થાય છે. વિન્સ્ટન ચર્ચીલે ગાંધીજીને બ્રિટિશ સામ્રાજ્યના સૌથી મોટા દુ:શ્મન તરીકે ઓળખાવ્યા હતા, કોઈ “વીર” માટે આવું નહોતું કહ્યું. આનું કારણ એ હતું કે ગાંધીજીએ જગતના ઇતિહાસમાં પહેલી વાર શક્તિની નવી વ્યાખ્યા કરી અને એ સાબિત પણ કરી આપી. સામ્રાજ્યની તમામ તાકાત અદના માનવીની આંતરિક તાકાત સામે ઓછી પડે, જો તેની પાસે સત્ય આધારિત માગણી હોય, અહિંસા હોય અને લડવાનું ધૈર્ય હોય. ભારતના ખેડૂતોએ ભૂ પીવડાવ્યું એ કોણે આપેલી તાકાત હતી? વધારે પ્રમાણ આપવાની જરૂર નથી, ગોળમેજ પરિષદ વખતે લંડનમાં ગાંધીજી જે મકાનમાં રહેતા હતા ત્યાં નીચે આખો દિવસ કેટલા લોકો તેમના દર્શન માટે જમા થતા હતા એની તસ્વીરો જોઈ જાવ. લોકો સામ્રાજ્યના દુ:શ્મનના દર્શન કરવા અથવા કુતૂહલથી પ્રેરાઈને જોવા આવતા હતા.

જી-૨૦ નો જે તાયફો યોજવામાં આવ્યો હતો એ યાદ હશે. એ તાયફો જગતના તમામ નેતાઓના ખભા પર ચડીને આસમાન આંબવા માટેનો અવસર હતો એટલે વિદેશી નેતાઓના કાર્યક્રમમાં ગાંધીજીની સમાધી પર લઈ જવાની વ્યવસ્થા નહોતી રાખવામાં આવી. પણ તેમને ગાંધીજીની સમાધી પર લઈ જવા પડ્યા કારણ કે મહેમાનોને જવું હતું. શું થાય! સાથે જવું પડ્યું અને બાપુની મહાનતા વિષે બોલવું પણ પડ્યું. આવરણોથી જે ન ઢંકાય એ મહામાનવ કારણ કે તે સ્વયંપ્રકાશિત હોય છે અને સ્વયંપ્રકાશિત માણસને કોઈની પેટ્રોમેક્સની જરૂર પડતી નથી. ગાંધીજી મહાન હતા એટલે એટનબરોએ ફિલ્મ બનાવી, મહાન બનાવવા માટે ફિલ્મ નહોતી બનાવી જે રીતે આજે બનાવવામાં આવી રહી છે. અને એ પછી પણ બિચારા બે પગે ઊભા નથી રહી શકતા.

નરેન્દ્ર મોદીએ બંધારણનિષ્ઠા અને ગાંધીનિષ્ઠા બતાવવાની (શબ્દ પર ધ્યાન આપવામાં આવે, બતાવવાની) જરૂર નથી એનું હજુ એક કારણ છે અને એ વધારે મોટું છે. હિંદુ કોમવાદીઓ અને જેમની બુદ્ધિ પગની પાણીએ છે એવા ભક્તો માટે નરેન્દ્ર મોદી હીરો છે અને રહેશે. તેમની સંખ્યામાં હવે કોઈ વધારોઘટાડો થવાનો નથી. બીજી બાજુ જેઓ વિરોધ કરે છે એ આવી તસ્વીરો જોઇને પાછા આવે અને ટેકો આપતા થાય એ પણ શક્ય નથી. એમાં પણ કોઈ મોટો વધારોઘટાડો થાય એ શક્ય નથી. દેશમાં તેમણે પોતે ઊભી તિરાડ પાડી છે અને દેશની પ્રજાને ટેકો આપનારી અને વિરોધ કરનારી એમ બે ભાગમાં વહેંચી દીધી છે.

હા, આમ છતાં ય નાગરિકોનો એવો એક વર્ગ છે જે હિન્દુત્વ કે સેકયુલરિઝમના નામે વહેંચાયેલો નથી, પણ તો પછી તેને જોઈએ છે શું? તેને કઈ રીતે જીતી શકાય? જવાબ છે, પ્રામાણિક શાસન દ્વારા. લોકોની વેદના સાંભળવા જેટલા કાન સંવેદનશીલ કરીને. બાદશાહે હિન્દ બનીને નહીં, લોકોની વચ્ચે રહીને. મર્યાદાઓનું પાલન કરીને. માણસાઈ અને સંસ્કાર જાળવી રાખીને. લોકોને ખાતરી કરાવવી જોઈએ કે સરકાર શ્રીમંતો માટેની સરકાર નથી લોકો માટેની સરકાર છે. સત્યનો સામી છાતીએ સામનો કરીને, પ્રશ્નોથી ભાગીને નહીં. આ જ તો છે શાસનધર્મ. આટલું કરશો તો જે જતા રહ્યા છે એ પાછા આવશે. જે વિરોધી છે એ કદાચ પુનર્વિચાર પણ કરે.

બીજું આવા કેમેરા સામેના ખેલ હવે ઉઘાડા પડી ગયા છે. અબખે પડી ગયા છે. અર્થશાસ્ત્રમાં આને ડિમીનિશીંગ માર્જીન કહે છે. એક સર્વોચ્ચ બિંદુએ પહોંચ્યા પછી એ પરિણામ આપતું અટકી જાય અને પછી તેમાં ઘટાડો થવા લાગે. પહેલો પેંડો મીઠો લાગે, પાંચમો પેંડો પરાણે ખાવો પડે અને દસમો ઝેર જેવો થઈ જાય. મર્યાદામાં જીવતા, પ્રજાવત્સલ પ્રામાણિક શાસક તરીકે પોતાને સાબિત કરવાનો અવસર મળ્યો છે તો તેનો તેમણે લાભ લેવો જોઈએ. નહીં તો પેંડાએ સ્વાદ તો ગુમાવી જ દીધો છે, તેને ઝેર બનતા વાર નહીં લાગે.

Loading

...102030...529530531532...540550560...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved