Opinion Magazine
Number of visits: 9557341
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વડા પ્રધાન મોદી અને CJI ચંદ્રચૂડ પર વિપક્ષોની નાગચૂડ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|16 September 2024

રવીન્દ્ર પારેખ

ત્રીજી વખત લોકસભાની ભા.જ.પ.ની સીટ અપેક્ષા કરતાં ઘટી ને વિપક્ષો થોડી વધારે સીટ સાથે પ્રકાશમાં આવ્યા, પણ એ પ્રકાશ બહુ પચ્યો હોય એવું લાગતું નથી, તે એટલે કે વિપક્ષો બેફામ બોલવા ને વર્તવા લાગ્યા છે. કાઁગ્રેસના અને સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકામાં ભારતના વડા પ્રધાન વિષે ‘મન કી બાત’ કરવામાં જરા ય સંકોચાયા નથી, તો અન્ય વિપક્ષી નેતાઓ પણ તક મળતાં વરસ્યા વગર ભાગ્યે જ રહે છે. વિપક્ષોએ એ ન ભૂલવું જોઈએ કે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે સૌથી વધુ સીટ તો  ભા.જ.પ.ને જ મળી છે. એ જુદી વાત છે કે તેણે એન.ડી.એ.નો સાથ સરકાર બનાવવા લેવો પડ્યો છે, છતાં ત્રીજી વખત વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી જ સત્તારૂઢ થયા છે તે હકીકત છે.

12 સપ્ટેમ્બરે પ્રિન્ટ મીડિયામાં એક સમાચાર ફોટા સાથે પ્રગટ થયા, જેમાં વડા પ્રધાન મોદી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા – CJI – ધનંજય ચંદ્રચૂડને ઘરે ગણપતિની આરતી ઉતારતા દેખાય છે. એક તરફ CJI હાથ જોડીને ઊભા છે ને બીજી તરફ તેમના પત્ની કલ્પના દાસ છે. એમની વચ્ચે મરાઠી સફેદ ટોપીમાં વડા પ્રધાન મોદી આરતી ઉતારતા દેખાય છે. વાત આટલી જ હતી, પણ કાઁગ્રેસ, આર.જે.ડી. અને અન્ય વિપક્ષોએ વાતનું વતેસર કર્યું. ન્યાયતંત્રની અખંડિતતા, સ્વતંત્રતા અને નિષ્પક્ષતા પર પ્રશ્નો ઉઠાવાયા. વિપક્ષો તો વિપક્ષો, સુપ્રીમના વકીલોએ પણ પસ્તાળ પાડી. વડા પ્રધાન અને CJI અંગત રીતે મળી જ ન શકે એવી માનસિકતા વિપક્ષો ધરાવતા હોય તેમ શિવસેનાના ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉતે કહ્યું કે સંવિધાનના રક્ષક નેતાઓ મળે છે તો લોકોનાં મનમાં શંકા ઊઠે છે. રાઉતે તો ત્યાં સુધી કહ્યું કે CJI ચંદ્રચૂડે તો શિવસેના અને એન.સી.પી. સાથે સંકળાયેલ કેસમાંથી પોતાને અલગ કરી લેવા જોઈએ, કારણ CJIના ચુકાદાઓ વડા પ્રધાનની મુલાકાતથી પ્રભાવિત થઈ શકે એમ છે.

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ પણ સાફ શબ્દોમાં કહ્યું કે CJIનું આમંત્રણ આપવું અને પી.એમ.નું સ્વીકારવું બંને ખોટું છે. જો કે, અન્ય વકીલ પિંકી આનંદે એની તરફેણ કરી છે. સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણે તો વડા પ્રધાનને CJIએ પોતાને ત્યાં આવવાની મંજૂરી આપી એ બાબતે જ વાંધો પાડ્યો છે. આમ પણ વડા પ્રધાન પ્રશાંત ભૂષણની ગુડ બુકમાં નથી. હવે ચીફ જસ્ટિસે વડા પ્રધાનને આવકાર્યા એટલે એ પણ ભૂષણ માટે ‘આભૂષણ’ નહીં રહે એમ બને. વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહે પણ કહ્યું કે CJIની સ્વતંત્રતા પરથી પૂરો ભરોસો ઊઠી ગયો છે. આર.જે.ડી.ના નેતા મનોજ ઝાએ એમ કહીને ટીકા કરી કે કોઈ પણ સંસ્થાની સ્વતંત્રતા કેવળ સૈદ્ધાંતિક જ નથી હોતી, તે દેખાવી પણ જોઈએ. કાઁગ્રેસી નેતા કપિલ સિબ્બલે પણ કહ્યું કે સર્વોચ્ચ પદો પર બેઠેલા લોકોએ અંગત આયોજનનો પ્રચાર ન કરવો જોઈએ. કોઈએ પોતાને એવી સ્થિતિમાં ન મૂકવા જોઈએ કે લોકો સંસ્થા પર શંકા કરવા લાગે. એન.સી.પી.નાં નેતા અને લોકસભા સદસ્ય સુપ્રિયા સુલેને એ જાણીને ધક્કો લાગ્યો કે વડા પ્રધાન CJIને ત્યાં પહોંચ્યા ! પણ સુલેએ રાઉતની જેમ CJIનાં નિર્ણય પર શંકા ન કરતાં એટલું કહ્યું કે મને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે ને CJIએ સમજી-વિચારીને જ વડા પ્રધાનને નિમંત્રણ આપ્યું હશે.

CJIએ આમંત્રણ આપ્યું એવું મનાય છે, તો એવું પણ નોંધાયું છે કે વડા પ્રધાન એમ જ એમને ત્યાં જઈ ચડ્યા. આરતીના ફોટા CJIએ જાહેર કર્યા તો વડા પ્રધાને પણ ટ્વિટ કરીને જાહેર કર્યા એવું પણ છે. ટૂંકમાં, આ વાત અંગત ન રહે એવું બંને મહાનુભાવો ઇચ્છતા હતા. વડા પ્રધાનનો મરાઠી પોષાક CJI મરાઠી છે એટલે કર્યો કે મહારાષ્ટ્રની ચૂંટણી નજીક છે એટલે, એ અંગે પણ વિપક્ષોએ પોતાને અનુકૂળ અર્થો કાઢ્યા છે. વિપક્ષોને વાંધો એ મુદ્દે પણ છે કે કાર્યપાલિકા અને ન્યાયપાલિકાના વડાઓ અંગત રીતે એકબીજાને મળ્યા. વિશ્લેષકોનું માનવું છે કે બંધારણમાં ક્યાં ય એવું લખ્યું નથી કે કાર્યપાલિકા અને ન્યાયપાલિકાના વડા એકબીજાને મળી ન શકે. એ અપેક્ષિત છે કે સ્વસ્થ લોકશાહી માટે આ બંને સ્તંભ વચ્ચે અંતર રહે, પણ બંને વચ્ચે એકબીજાનાં મોઢાં જોવા જેવું જ ન રહે તો બંને પરસ્પર સંકળાયેલા છે, એવું કઈ રીતે બને?

આવું કૈં થાય તો ભા.જ.પ. બચાવમાં ન કૂદે તો જ આશ્ચર્ય ! ભા.જ.પી. નેતા શહજાદ પૂનાવાલાએ X પર 2009માં પૂર્વ પ્રધાન મંત્રીએ મનમોહનસિંહની ઇફ્તાર પાર્ટીમાં CJI કે.જી. બાલકૃષ્ણનનો ફોટો શેર કરતાં લખ્યું કે એ સેક્યુલર છે અને ન્યાયતંત્ર સુરક્ષિત છે, પણ પી.એમ. મોદી CJI ચંદ્રચૂડને નિવાસે ગણેશ પૂજા માટે જાય તો ન્યાયતંત્ર ભ્રષ્ટ થઈ જાય છે ! શિવસેનાના રાજ્યસભા સભ્ય મિલિન્દ દેવરાએ કહ્યું કે ચુકાદો વિપક્ષની તરફેણમાં આવે છે તો તે સુપ્રીમ કોર્ટની પ્રશંસા કરે છે ને વાત વિરુદ્ધ જાય છે તો વિપક્ષ દાવા કરે છે કે ન્યાયતંત્રથી સમજૂતી કરવામાં આવી છે. ભા.જ.પ.ના સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ રોકડું પરખાવ્યું કે સી.જે.આઈ.ને વડા પ્રધાન મળે તો વાંધો, પણ રાહુલ ગાંધી અમેરિકામાં ભારત વિરોધી ઇલ્હાન ઓમરને મળે તો તેનો વાંધો નથી.

વિપક્ષોની ટીકાઓ અને તેના ભા.જ.પી. નેતાઓ દ્વારા અપાતા જવાબો જોઈએ તો કોઈ એક જ સાચું છે એવું કહી શકાશે નહીં. આમ છતાં કેટલુંક તો કહેવાનું થાય જ છે, ભલે એ કોઇને ગમે કે ન ગમે. એક વાત સ્પષ્ટ છે કે વડા પ્રધાન અને CJI પૂરતા પરિપક્વ છે ને જે તે ક્ષેત્રના પૂરતા અનુભવી છે. એટલું છે કે દરેક વખતે CJIએ નરેન્દ્ર મોદીને આરતી માટે બોલાવ્યા નથી. બને કે નિવૃત્તિ પહેલાં CJIને માનવ સહજ ઈચ્છા વડા પ્રધાનને ગણેશ પૂજા નિમિત્તે ઘરે બોલાવવાની થઈ હોય તો એ એવું કૃત્ય નથી કે ન્યાયતંત્ર જોખમમાં આવી પડે. બીજું, કે CJIએ આપેલા ચુકાદાઓ પણ જોવા જોઈએ તો ખબર પડે કે તેઓ વડા પ્રધાનથી પ્રભાવિત છે કે કેમ?

CJI ચંદ્રચૂડે ઉચ્ચ ન્યાયતંત્રમાં નિમણૂકો માટે નામોને નકારી કાઢવાની સરકારની પ્રથાની ટીકા કરી હતી. તેમણે સુનિશ્ચિત કર્યું કે કોલેજિયમની ભલામણો સરકાર દ્વારા અનિશ્ચિત સમય માટે રોકી ન શકાય અને પસંદ કરાયેલા ન્યાયાધીશોનાં નામોને મંજૂરી મળે. ઇલેકટોરલ બોન્ડ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયથી મોદી સરકાર ખાસી વગોવાઈ હતી. એ કેસમાં CJI ચંદ્રચૂડની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશની બંધારણીય બેન્ચે સર્વસંમતિથી કહ્યું હતું કે કેન્દ્ર સરકારની 2018ની ચૂંટણી બોન્ડ યોજના ગેરબંધારણીય છે ને બંધારણની કલમ 19(1)(a) હેઠળ માહિતીના અધિકારનું ઉલ્લંઘન કરે છે. આ આખી યોજના કલમ 14 હેઠળ મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. CJI ચંદ્રચૂડની આગેવાની હેઠળની બેન્ચે અદાણી ગ્રૂપ પર હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ અંગે કેન્દ્ર સરકાર દ્વારા સીલ બંધ કવર હેઠળ આપવામાં આવેલાં સૂચનોને પણ ફગાવી દીધાં હતાં ને પરખાવ્યું હતું કે એમાં પારદર્શિતા નથી.

આ અને આવા ચુકાદાઓ પછી પણ CJI અને વડા પ્રધાન ગણેશ પૂજાને નિમિત્તે એકબીજાને પ્રભાવિત કરવા મળ્યા એમ માનવું યોગ્ય છે? એ અપેક્ષિત ખરું કે જે તે ક્ષેત્રના મહાનુભાવો એકબીજાના ક્ષેત્રને અભડાવે નહીં, પણ તેનો અર્થ એવો નથી કે વડા પ્રધાન અને CJIએ સ્પર્ધા કે શત્રુતા જ નભાવવી જોઈએ. વડા પ્રધાને પૂજાનું નિમંત્રણ નકારવું જોઈએ, એવું તો કેમ કહેવાય અને એવો અવિવેક વડા પ્રધાનને શોભે ખરો? કે વડા પ્રધાન આવે તો CJIએ બારણાં બંધ કરી દેવા જોઈએ એમ માનવું પણ બરાબર નથી. ઇફ્તાર પાર્ટીમાં જઈ શકાય ને ગણેશ પૂજામાં ન જવાય, એવો તો નિયમ નથી, તો વિપક્ષોને ખરેખર વાંધો શેનો છે તે સમજાતું નથી. વડા પ્રધાન CJIને કે તેમના ભાવિ ચુકાદાઓને પ્રભાવિત કરવા પધાર્યા હતા એવું અર્થઘટન કોઈ કરતું હોય તો એને CJIનો ભરોસો જ નથી એમ માનવાનું રહે. એ સાથે જ એ પણ સમજી લેવાનું રહે કે CJIની નિયુક્તિમાં સરકારનો કોઈ હાથ હોતો નથી, જે ભૂતકાળમાં હતો ને વડા પ્રધાન ઈચ્છે તેને CJI તરીકે નિયુક્ત કરી શકતા હતા. એટલે નિયુક્તિ બદલ આભારની લાગણી વ્યક્ત કરવા CJIએ વડા પ્રધાનને ગણેશ પૂજા કરવા નિમંત્ર્યા હોય એવી તો શક્યતા જ નથી. આટલી તકેદારી ઉપરાંત, બંનેએ પદની ગરિમા જાળવી હોય, પછી પણ એક જ દેશના સામાન્ય નાગરિક તરીકે મળવું હોય તો બહાર મળાય ને ઘરમાં ન મળાય, એ કેવું? દરેકને પોતાનું અંગત જીવન હોય તો CJI કે વડા પ્રધાન જ તેનાથી વંચિત રહે, એવું? CJIએ ધાર્યું હોત તો વડા પ્રધાનનો આરતી ઉતારતો ફોટો તેઓ અંગત રાખી શક્યા હોત કે વડા પ્રધાન પણ ટ્વિટ કરવાથી દૂર રહી શક્યા હોત, પણ તેવું ન કરતાં, બંનેએ ફોટા મીડિયા સુધી જવા દીધા, તે ન્યાયતંત્ર પર આરોપ આવે એટલે?

વડા પ્રધાનના CJIને ત્યાં આરતી ઉતારવાને મુદ્દે વિવાદ કરીને વિપક્ષોએ સંકુચિત મનોદશાનો જ પડઘો પાડ્યો છે. કોઈને પણ આટલા સાંકડા મનના હોવાનો અધિકાર ન હોવો જોઈએ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 16 સપ્ટેમ્બર 2024

Loading

ભક્ત-કવિ દયારામની કાવ્યસૃષ્ટિ (૮) 

સુમન શાહ|Opinion - Literature|16 September 2024

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ઇશ્વરને વિશેનો ઝૂરાપો ઘણાંઓએ ગાયો છે, પણ તેમાં મને બે વિશિષ્ટ કવિજનો મીરાં અને દયારામ લાગ્યાં છે. બન્નેનું કવન પ્રેમલક્ષણાનું છે. છતાં બન્નેમાં પ્રભુવિરહદુ:ખનું ગાન છે એટલું પ્રભુમિલનસુખનું નથી.

મિલનસુખ જ્યારે પણ હોય છે ત્યારે કાં તો મનોવાંછનાની રીતે અથવા તો કલ્પનાની રીતે હોય છે. મીરાંનો સાર દર્દમાં આવે છે, દયારામનો સાર આરતમાં આવે છે. એનો અર્થ એ કે બન્નેમાં ભક્તિનું શુદ્ધ રૂપ ઊપસ્યું છે. શુદ્ધ એ અર્થમાં કે ભક્તિ તિતિક્ષાધર્મી છે, ને તેથી ભક્તે સદા ઝૂરતા રહીને ભક્તિને પુષ્ટ કરવાની હોય છે.

નિત્યના ઝૂરણ દરમ્યાન થતું પ્રભુનું જ્ઞાન જ કદાચ વધારે ખરું જ્ઞાન હોય છે. અને એ અવિરામ ઝૂરણથી સાંપડતા વૈરાગ્ય જેવો વૈરાગ્ય પણ એટલો જ શુદ્ધ કાં નથી હોતો?

આમ, પ્રભુપ્રાપ્તિના ત્રણેય માર્ગમાં ભક્તિમાર્ગની સધ્ધર શ્રેષ્ઠતા છે, કેમ કે આવાં ભક્તજનોની ભક્તિ, કહ્યું એમ, જ્ઞાન અને વૈરાગ્યથી લાગે મુક્ત, પણ હોય છે યુક્ત. કહો કે એઓમાં ત્રણેય માનસિકતાઓ સમરસ અને અભિન્ન હોય છે. છેવટે તો પ્રાપ્તવ્ય અને પ્રાપ્તિનો ભેદ પણ નથી રહેતો. અથવા ભેદ અને અભેદનું દ્વન્દ્વ જ નથી રહેતું. 

મીરાં અને દયારામ બન્નેને જીવ-શિવના સમ્બન્ધની અસલિયતની જાણ – જ્ઞાન – જરૂર છે, પણ બન્નેને ભક્તિની આ અસલિયતની પણ એટલી જ જાણ છે, મારે કહેવું છે એમ કે, અનુભૂતિ છે. તેથી કરીને બન્નેમાં, અખા ભગતમાં છે તેવો તાતો જ્ઞાનમાર્ગીય અવાજ સંભવ્યો નથી. 

‘રસિકવલ્લભ’ અને ‘ભક્તિપોષણ’-ના રચયિતા દયારામે એવાં સિદ્ધાન્ત અને શાસ્ત્ર જરૂર માણ્યાં-પ્રમાણ્યાં, પણ પ્રેમભક્તિના પુરુષાર્થને જ મહત્તા આપી. સામ્પ્રદાયિક આચારવિચારમાં શ્રદ્ધા જરૂર રાખી, પણ ભક્તિના આદર્શનો જ મહિમા કર્યો, બલકે એનું કાવ્યગાન સરજયું. જો ચૈતન્ય મહાપ્રભુ, નરસિંહ, મીરાં, સૂરદાસ કે તુલસીદાસ એમનાં કાવ્યગાનનાં વૈશિષ્ટ્યોને કારણે લોકહૃદયમાં અંકિત થયાં છે તો દયારામ પણ એમના આ સ્વરૂપના કાવ્યગાને કરીને અંકિત થયા છે. 

એક ખાસ નોંધવા અને ઉમેરવા સરખી વિરલતા તો એ છે કે દયારામના પુષ્ટિમાર્ગીય વ્યક્તિત્વનો પૂરો નિખાર નીકળી આવ્યો છે, એમ એમના કવિ-વ્યક્તિત્વની કસોટી પણ થઇ છે. એમ વિચારતાં, રચાતી એમની છબિ અનોખી લાગે છે. પણ દયારામ બન્નેમાંથી પાર ઊતર્યા અને ભક્તિરસને કાવ્યરસનું રૂપ આપી શક્યા. 

એ ભક્ત રહીને પણ કવિ થયા, કવિ રહીને પણ રસકવિ થયા, જો કે એ પછીયે ભક્ત રહ્યા. આવું બહુ ઓછી વાર બન્યું છે … બહુ ઓછી વાર બનતું હોય છે … 

(સ્મપૂર્ણ)
(૩૦ માર્ચ  ૨૦૧૨, પીઓરિયા, ઇલ્લીનોય, યુ.એસ.એ.)
(15 Sep 24:USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

જગતમાં એવો કયો શાસક થયો છે જેણે એક પણ ભૂલ ન કરી હોય?

રમેશ ઓઝા|Opinion - Opinion|15 September 2024

રમેશ ઓઝા

મુંબઈમાં IC 814 Kandahar Highjack નામની વેબ સિરીઝના હોર્ડિંગ્સ લાગ્યાં અને તેમાં નસીરુદ્દીન શાહ, પંકજ કપૂર અને મનોજ પાહવાની અભિનેતા તરીકેની તસ્વીરો જોઈ અને દિગ્દર્શક તરીકે અનુભવ સિંહાનું નામ જોયું ત્યારથી જ મનમાં એક ફાળ પડી હતી કે દેશપ્રેમીઓ આને કદાચ રિલીઝ નહીં થવા દે. અનુભવ સિંહા એક સ્વતંત્ર મિજાજના તેજસ્વી દિગ્દર્શક છે. આપણો દેશ મહાન છે એ ગર્જી ગર્જીને કહો, છાપરે ચડીને કહો, એમ કહેવા માટે કાંઈ જોઈતું હોય તો માગી લો, એમાં અતિશયોક્તિ હોય, જૂઠાણાં હોય તો પણ વાંધો નહીં. બીજાને નીચા દેખાડશો તો બોનસ મળશે, પણ દેશને લાંછન લાગે, શરમાવું પડે, ગરદન નીચી કરી લેવી પડે એવું નહીં કહેવાનું. એ સાવ સાચી વાત હોય તો પણ નહીં કહેવાની, અમારું દિલ દુભાય છે.

હવે વિમાન અપહરણની જે ઘટના બની હતી એ તમે જાણો છો. વેબ સિરીઝે જે વિવાદ પેદા કર્યો તેને કારણે એ ૨૫ વરસ જૂની ઘટના પાછી મનમાં તાજી થઈ હશે. એમ કહેવાય છે કે ગુપ્તચરોને આની પૂર્વસૂચના મળી હતી અને તેમણે કાઠમંડુમાં વિમાનને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તેમાં તેમને સફળતા મળી નહોતી. આ ભારતે કરેલી પહેલી ભૂલ હતી. બીજી અને મોટી ભૂલ એ હતી કે વિમાનના કેપ્ટને ઇંધણ ભરવા વિમાનને અમૃતસર ઉતાર્યું હતું અને એ રીતે ભારત સરકારને અપહરણ કરાયેલા વિમાનના ઉતારુઓને છોડાવવાની તક આપી હતી, પરંતુ સરકાર અસમંજસ અવસ્થામાં હતી, કોઈ નિર્ણય નહીં લઈ શકી અને અપહરણકર્તાઓએ કેપ્ટનના લમણે પિસ્તોલ મૂકીને વિમાનને ઊડાડવા ફરજ પાડી હતી. ત્રીજી ભૂલ એ હતી કે દેશના વિદેશ પ્રધાન જશવંત સિંહ ખૂદ ત્રાસવાદીઓને પોતાની સાથે વિમાનમાં બેસાડીને કંદહાર લઈ ગયા હતા અને અપહરણકર્તાઓને ત્રાસવાદીઓની સોંપણી કરીને ઉતારૂઓને છોડાવ્યા હતા. જશવંત સિંહે અફઘાનિસ્તાન જવું નહોતું જોઈતું અને જવું હતું તો અલગ વિમાનમાં જવું જોઈતું હતું. ભારતનો વિદેશ પ્રધાન ત્રાસવાદીઓની સોંપણી કરવા જાય એ લજવનારી ઘટના હતી.

આખી ઘટનાની આ ટૂંકી દાસ્તાન છે.

હવે થોડાં પ્રમાણો નોંધી લઈએ. 

૧. વિમાનના પાયલોટ કેપ્ટન દેવી શરણે પત્રકાર શ્રીજોય ચૌધરી સાથે મળીને ‘ફ્લાઈટ ઇન્‌ટુ ફીઅર – ધ કેપ્ટન્સ સ્ટોરી’ એવું એક પુસ્તક લખ્યું છે જેમાં જે ઘટના બની તેની સંપૂર્ણ વિગતો છે. અલબત્ત કેપ્ટનની દૃષ્ટિએ. 

૨. એ સમયના ગૃહ પ્રધાન લાલકૃષ્ણ આડવાણીએ સંસદમાં આપેલી વિગતો છે. માત્ર એક નિવેદન નહીં, વિગતો સાથે. 

૩. પંજાબ અને હરિયાણાની વડી અદાલતમાં અપહરણ વિષેની અપીલો ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તા અને ફતેહ દીપ સિંહે સાંભળી હતી. દેખીતી રીતે સુનાવણી દરમ્યાન દરેક વિગત અદાલતમાં રજૂ કરવામાં આવી હતી. એમાં સરકારે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો, કૃ મેંબરોએ તેમ જ કેટલાક પેસેન્જરોએ જુબાની આપી હતી અને અમૃતસર વિમાનમથકના અધિકારીઓ તેમ જ અમૃતસરનાં પોલીસ અધિકારીઓએ પોતાની રજૂઆત કરી હતી. 

૪. રિસર્ચ એન્ડ એનેલિસીસ વિંગ(આરએન્ડએ.)ના એ સમયના અધ્યક્ષ એ.એસ. દુલાતે પોતાનાં પુસ્તકમાં એ ઘટનાની વાત લખી છે. ઘટનાને હાથ ધરવામાં તેમનું મોટું યોગદાન હતું. 

૫. ભારતનાં એ સમયના વિદેશ પ્રધાન જશવંત સિંહે ‘ઇન સર્વિસ ઓફ ઈમર્જીંગ ઇન્ડિયા’ નામનું તેમનાં સંસ્મરણોનું પુસ્તક લખ્યું છે તેમાં આના વિષે જાણકારી મળે છે. 

૬. અનિલ કે. જગ્ગિયા અને સૌરભ શુક્લા નામના પત્રકારોએ આઈ.સી. ૮૧૪ હાઈજેક – ધ ઇનસાઇડ સ્ટોરી’ નામનું પુસ્તક લખ્યું છે. 

૭. જાણીતા પત્રકાર શેખર ગુપ્તાએ ૨૦૦૩ની સાલમાં અટલ બિહારી વાજપેયીના એ સમયના રાષ્ટ્રીય સલામતી સલાહકાર બ્રજેશ મિશ્રાની એન.ડી.ટી.વી. માટે મુલાકાત લીધી હતી જેમાં આ પ્રશ્ને વાત થઈ હતી અને તેની ટેપ ઉપલબ્ધ છે. 

આ સિવાય પણ બીજાં પ્રમાણો ઉપલબ્ધ છે.

ટૂંકમાં આ ખુશામતખોરો જે રીતે ફિલ્મ અને વેબ સિરીઝ બનાવે છે એવી, થોડું સાચું વધારે જૂઠું એવું આમાં નથી બન્યું. તમે પોતે ઉપલબ્ધ પ્રમાણો સાથે સરખામણી કરી શકો છો. આમાંથી ગુપ્તચરોને વિમાન અપહરણની સંભાવના વિષે આગોતરી જાણકારી મળી હતી એવું જે વેબ સિરીઝમાં કહેવામાં આવ્યું છે એને માટે કોઈ આધાર નથી એમ એ.એસ. દુલાતે અને બીજા લોકોએ કહ્યું છે. બે. અમૃતસરમાં ભારત સરકારે થાપ ખાધી અને મળેલી તક હાથમાંથી સરકી ગઈ એમ ઉપર જે લોકોને ટાંક્યા છે એ દરેકે કહ્યું છે. ત્રણ. જશવંત સિંહે એક જ વિમાનમાં ત્રાસવાદીઓને લઈને તેમને વળાવવા કંદહાર નહોતું જવું જોઈતું એમ પણ દરેક કહે છે. ચાર. ભોલા, શંકર વગેરે હિંદુ નામ ત્રાસવાદીઓએ પોતે પોતાને આપેલાં નામ હતાં. તેઓ એકબીજાને એ નામે સંબોધતા હતા. ગૃહ પ્રધાન આડવાણીએ સંસદમાં કરેલાં નિવેદનમાં પણ આ નામ આપવામાં આવ્યાં છે. અને પાંચ. વિમાનની અંદર ત્રાસવાદીઓ અને ઉતારુઓ વચ્ચે હસીમજાક બતાવવામાં આવી છે એ કાલ્પનિક નથી. આવું કરવું જરૂરી છે અને કોઈ પણ સમજદાર કેપ્ટન અને રીઢા ત્રાસવાદી આવો પ્રયાસ કરે. કલાકોના કલાકો સુધી અને કેટલીક વાર તો દિવસો સુધી સતત તાણભર્યા વાતાવરણમાં કંટાળીને એક સમયે ઉતારુ સંયમ ગુમાવી દે અને ત્રાસવાદી પર હુમલો કરી બેસે તો મામલો વણસી જાય. ત્રાસવાદીઓના હાથમાં કશું ન આવે અને અપહ્રત કારણ વિના જાન ગુમાવે. તેજસ્વી સર્જક એ બધું જ બતાવે જે થતું હોય છે. અનુભવ સિંહાએ ત્રાસવાદીઓની માણસાઈનો મહિમા નથી કર્યો. તેમની જગ્યાએ જો કોઈ કઢીચટ્ટો દિગ્દર્શક હોત તો ત્રાસવાદીઓને ટૂંકો લેંઘો અને લાંબી દાઢીવાળો, ક્રૂર, બાળકોના હાથમાંથી દૂધનો વાટકો છીનવી લેનારો, સ્ત્રીઓ સાથે બદતમીજી કરનારો, વિમાનમાં નમાજ પઢનારો બતાવ્યો હોત. જાડી કૃતિમાં બધું જાડું હોય અને તેનો પ્રેક્ષક પણ જાડી બુદ્ધિનો હોય.

ટૂંકમાં એ પચીસ વરસ જૂની ઘટનાને જે લોકોએ હાથ ધરી હતી એ લોકો વેબ સિરીઝમાં બે ખામી બતાવે છે. એક તો ગુપ્તચરોને મળેલી પૂર્વસૂચના. આવી કોઈ સૂચના મળી નહોતી એમ એ લોકો કહે છે. અને બીજી ખામી એ કે આમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈ.એસ.આઈ.નો હાથ હતો એ વાત સ્પષ્ટ રીતે બતાવવામાં આવી નથી.

આખા મામલામાં અમૃતસર મુખ્ય છે. શા માટે મળેલી તક ભારતે ગુમાવી દીધી? એક ખુલાસો એવો આપવામાં આવે છે કે પંજાબની પોલીસ ઓપરેશન કરી શકશે કે કેમ એ વિષે શંકા હતી. તેની જગ્યાએ દિલ્હીથી કમાંડોઝને મોકલવાનું વિચારવામાં આવ્યું હતું, પરંતુ ત્રાસવાદીઓએ એટલો સમય આપ્યો નહોતો. કમાન્ડોઝ અમૃતસર પહોંચે એમાં ઓછામાં ઓછા બે કલાક લાગે અને ત્રાસવાદીઓ ત્યાં સુધી વિમાનને અમૃતસરમાં ઊભુ રહેવા દેશે એ ગણતરી જ ખોટી હતી.  તેમણે ઇંધણ ભરાવ્યા વિના વિમાનને ઉડાડવા પાઈલટને ફરજ પાડી હતી અને લાહોરમાં ફોર્સ લેન્ડીંગ કરાવ્યું હતું. બીજો ખુલાસો એવો આપવામાં આવે છે કે ત્રાસવાદીઓ પાસે શસ્ત્રો શું હતાં અને કેટલાં હતાં તેની જાણકારી નહોતી અને જાણકારીનાં અભાવમાં ઓપરેશન કરવામાં જોખમ હતું. બીજો ખુલાસો ગળે ઉતરે એવો છે, પહેલો હરગીજ નહીં.

ખેર, આખી વાતનું સમાપન કરીએ. શાસકો કોઈ ભગવાન નથી કે ભૂલ ન જ કરે. ઉપલબ્ધ પરિસ્થિતિ અને જાણકારીના આધારે તેમને નિર્ણય લેવાનો હોય છે અને ઉતાવળે નિર્ણય લેવાનો હોય છે. ઉતારુઓના જાનનું જોખમ પણ ધ્યાનમાં લેવું પડે. મોટા પ્રમાણમાં જાનહાનિ થાય તો? ઉતારુઓને છોડાવવા માટે તેમનાં સગાઓએ એટલી રોકકળ કરી હતી અને મીડિયામાં તે દેખાડવામાં આવતી હતી કે શરણે થઈ જાવ પણ જાન બચાવો એવું વાતાવરણ પેદા થયું હતું. દેશપ્રેમના દેકારા સંકટ બીજાનાં ઘરે હોય ત્યારે દેવા માટેના હોય છે. અને આ બધા સંજોગોમાં જે થયું તે થયું.

ધ્યાન રાખવાનું એટલું જ છે કે આગલા ગૈર-બી.જે.પી. શાસકોએ પણ પ્રાપ્ત પરિસ્થિતિમાં નિર્ણયો લીધા હતા અને ભૂલો પણ કરી હતી. જેમ તમે ભગવાન નહોતા એમ એ લોકો પણ ભગવાન નહોતા. માટે ઇતિહાસનો ઉકરડો ફેંદવા ભૂંડણાંઓને છૂટા મુકવામાં આવ્યા છે તેને હવે વાડે પૂરવા જોઈએ.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 15 સપ્ટેમ્બર 2024

Loading

...102030...522523524525...530540550...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved