Opinion Magazine
Number of visits: 9457120
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સભ્યતા, સંસ્કાર, મર્યાદા લોકશાહીનો પ્રાણ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|27 June 2024

વિધાનસભાની ચૂંટણી પછી નવી રચાયેલી આંધ્ર પ્રદેશ વિધાનસભાના અધિવેશનના પહેલા દિવસે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચન્દ્રબાબુ નાયડુએ પક્ષના નેતાઓને અને કાર્યકર્તાઓને કહ્યું હતું કે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને યુવાજન શ્રમિક રૈયત કાઁગ્રેસ પાર્ટી(વાય.એસ.આર.સી.પી.)ના નેતા જગન મોહન રેડ્ડીની દરેક રીતે માનમર્યાદા જાળવવામાં આવે. તેમનું અપમાન થવું પણ ન જોઈએ અને તેમને અપમાન થઈ રહ્યું છે એવું લાગવું પણ ન જોઈએ.

નારા ચંદ્રાબાબુ નાયડુ

વાચકોને યાદ હશે કે આંધ્ર પ્રદેશમાં લોકસભાની સાથે સાથે વિધાનસભાની પણ ચૂંટણી યોજાઈ હતી, જેમાં વિધાનસભાની કૂલ ૧૭૫ બેઠકોમાંથી ચન્દ્રબાબુ નાયડુના પક્ષ તેલગુ દેશમ્‌ પાર્ટીને ૧૩૫ બેઠકો મળી હતી. ચન્દ્રાબાબુએ પવન કલ્યાણ નામના નેતાના પ્રાદેશિક પક્ષ જન સેના પાર્ટી સાથે ચૂંટણી સમજૂતી કરી હતી અને તેને ૨૧ બેઠકો મળી હતી અને ભારતીય જનતા પક્ષને ૧૦ બેઠકો મળી હતી. કૂલ મળીને ૧૭૫ બેઠકોમાંથી એન.ડી.એ.ને ૧૬૪ બેઠકો મળી હતી. જગન મોહન રેડ્ડીના પક્ષને માત્ર ૧૧ બેઠકો મળી હતી. માત્ર ૧૧. ઊભા રાખેલા ઉમેદવારો સામે વિજયની સરેરાશને અંગ્રેજીમાં સ્ટ્રાઈક રેટ કહેવામાં આવે છે અને  એન.ડી.એ.નો સ્ટ્રાઈક રેટ લગભગ ૯૪ ટકાનો હતો. ૨૦૧૯ની સાલની લોકસભાની ચૂંટણીમાં અને એ પછી યોજાયેલી વિધાનસભાઓની ચૂંટણીઓમાં બી.જે.પી.નો ઉત્તર અને પશ્ચિમ ભારતનાં રાજ્યોમાં જે સ્ટ્રાઈક રેટ હતો તેનાં કરતાં પણ વધુ. આ ભવ્ય વિજયનો શ્રેય ચન્દ્રાબાબુ નાયડુને જાય છે. વિજયનો શ્રેય એન.ડી.એ.ને એટલા માટે પણ જાય છે કે આંધ્ર પ્રદેશના મતદાતાઓ જગન મોહનના શાસનથી નારાજ હતા.

બંધારણીય જોગવાઈ મુજબ લોકસભામાં કે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકેનું સત્તાવાર પદ મેળવવા માટે સૌથી મોટા વિરોધ પક્ષ પાસે ગૃહની કુલ બેઠકોમાંથી દસ ટકા બેઠક હોવી જરૂરી છે. આંધ્ર પ્રદેશમાં કૂલ ૧૭૫ બેઠકો છે અને જગન મોહન રેડ્ડીના પક્ષ પાસે દસ ટકા કરતાં ઘણી ઓછી માત્ર ૧૧ બેઠકો છે એટલે તેઓ વિરોધ પક્ષના નેતાના પદ માટે દાવેદારી કરી શકે એમ નથી. ચન્દ્રાબાબુ નાયડુએ કહ્યું હતું કે પ્રતિપક્ષના સભ્યો અને તેના નેતા એટલા જ આદરણીય છે જેટલા હોવા જોઈએ. સંખ્યા ગૌણ છે.

આને કહેવાય ખાનદાની. આને કહેવાય સંસ્કાર. આને કહેવાય ખેલદિલી. ચન્દ્રાબાબુ નાયડુ આ એટલા માટે કરી શક્યા કે તેઓ લોકતંત્રને વરેલા છે. લોકશાહીમાં પક્ષો અને નેતાઓ આવે ને જાય. લોકશાહીમાં વિજય અને પરાજય આવે ને જાય. ચન્દ્રાબાબુ નાયડુએ પરાજય (કારમો  પરાજય સુદ્ધા) જોયા છે અને ખમ્યા છે. ચન્દ્રાબાબુ નાયડુના પક્ષને ૨૦૧૯ની સાલની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર ૨૩ બેઠકો મળી હતી અને જગન મોહન રેડ્ડીના પક્ષને? ૧૭૫ બેઠકોમાંથી ૧૫૧ બેઠકો. ટી.ડી.પી.ને અત્યારે જેટલી બેઠકો મળી છે તેનાથી ઘણી વધુ. આને કહેવાય લોકશાહી! લોકશાહીને વરેલા નેતાઓમાં ખાનદાની અભિપ્રેત છે.

અહીં વરિષ્ઠ અંગ્રેજી પત્રકાર શેખર ગુપ્તાએ કહેલો પ્રસંગ યાદ આવે છે. તેઓ પાકિસ્તાનના એ વખતના વડા પ્રધાન નવાઝ શરીફની મુલાકાત લઈ રહ્યા હતા. વાતવાતમાં નવાઝ શરીફે કહ્યું કે ભારત વિશેનું મેં જોયેલું એક દૃશ્ય હું ભૂલી શકતો નથી. ૧૯૮૯માં ભારતમાં લોકસભાની ચૂંટણી યોજાઈ જેમાં કાઁગ્રેસનો પરાજય થયો. રાજીવ ગાંધીની જગ્યાએ રાજીવ ગાંધીના એક સમયના સાથી તેમ જ વિશ્વાસુ ગણાતા પણ પછી તેમનો દિવસરરાત વિરોધ કરનારા વિશ્વનાથ પ્રતાપ સિંહ વડા પ્રધાન બન્યા. સંસદના સંસદના સત્રનો પહેલો દિવસ હતો જેમાં ખુરશી ગુમાવનાર પરાજિત વડા પ્રધાન નવા વડા પ્રધાનનું સંસદ ભવનના મુખ્ય દ્વારે સ્વાગત કરે છે અને પછી મુખ્ય દ્વારથી ગૃહના પ્રવેશ દ્વાર સુધી સાથે ચાલીને ગૃહમાં ફરી તેમનું સ્વાગત કરે છે. આ સભ્યતા, આ સંસ્કાર, આ મર્યાદા લોકશાહીનો પ્રાણ છે જે ભારતમાં જોવા મળે છે અને અમે તેને માટે તરસીએ છીએ. આ દૃશ્ય ૨૦૧૪માં પણ જોવા મળ્યું હતું. પાકિસ્તાનીઓ જે દૃશ્ય જોવા તલસે છે એ દૃશ્ય આપણે ત્યાં કેટલાક લોકોને ગમ્યું નહીં. તેમને થયું કે પાકિસ્તાની મુસલમાનો સંસ્કારી થઈ ગયા અને ભારતના હિંદુઓ પાછળ રહી ગયા!

ચન્દ્રાબાબુ નાયડુની રાજકીય સફરથી આપણે પરિચિત છીએ. તેઓ વિકાસલક્ષી શાસક તરીકેની અને પ્રમાણમાં ભદ્ર રાજકારણી હોવાની ખ્યાતિ ધરાવે છે. ૧૯૯૯માં અમેરિકાના એ સમયના પ્રમુખ બિલ ક્લીન્ટન ભારત આવ્યા ત્યારે તેઓ અવિભાજિત આંધ્ર પ્રદેશના એ સમયના મુખ્ય પ્રધાન ચન્દ્રાબાબુ નાયડુને મળવા હૈદરાબાદ ગયા હતા. તેમણે આગ્રહ રાખ્યો હતો કે મારે આંધ્ર પ્રદેશની ડેવલપમેન્ટ જર્ની જોવી છે. તમને આ વાતની કદાચ જાણ નહીં હોય, કારણ કે ભદ્ર જનો આત્મપ્રસંશાનો બુંગિયો વગાડતા નથી.

આમ ચન્દ્રબાબુ નાયડુ ભદ્ર રાજકારણી છે એમાં કોઈ શંકા નથી, પણ અને તેની સાથે એ વાત નહીં ભૂલતા કે તેઓ બહુ ચતુર માણસ પણ છે. તેમણે જગન મોહન રેડ્ડીનો આદર જાળવવાની અને મર્યાદાનું પાલન કરવાની સલાહ કેવળ પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓને નથી આપી, દિલ્હીના શાસકોને પણ આપી છે. દિલ્હીની સરકાર ચન્દ્રાબાબુ નાયડુ અને નીતીશકુમારના ટેકા ઉપર ઊભી છે એ તો આપ જાણો જ છો. અને હા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે પણ આ જ સલાહ આપી છે. તમને તમારો એજન્ડા આગ્રહપૂર્વક લાગુ કરવાનો અધિકાર છે, પણ તુમાખીપૂર્વક નહીં.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 27 જૂન 2024

Loading

પિતૃસત્તાત્મક વલણ અને લિંગભેદથી અદાલતો પણ પર નથી !

ચંદુ મહેરિયા|Opinion - Opinion|26 June 2024

ચંદુ મહેરિયા

અદાલતોનું કાર્ય કાયદા ઘડવાનું નથી એ સાચું પણ અદાલતો કાયદાની શલ્યાને અહલ્યા જરૂર કરી શકે છે. નમૂના દાખલ તલાકશુદા મુસ્લિમ મહિલાઓને ભરણપોષણનો હક હોવાનું જણાવતો શાહબાનુ ચુકાદો. સર્વોચ્ચ અદાલત અને રાજ્યોની વડી અદાલતો સંસદ અને વિધાનગૃહોએ ઘડેલા કાયદાની બંધારણીય સમીક્ષા કરે છે. આરોપીઓ સામેના તહોમતની પોલીસ અને બીજી તપાસ એજન્સીઓની તપાસની કાયદેસરતા ચકાસે છે. અદાલતોનું આ મુખ્ય કાર્ય છે, પરંતુ એવું અનેક વાર બન્યું છે કે અદાલતોના હુકમ પછી કાયદામાં સુધારા-વધારા, રદ્દબાતલ કે નવા ઘડવાનું બન્યું છે. ભારતની અદાલતો, નિષ્પક્ષ, નિર્ભીક અને પ્રગતિશીલ તો છે જ છે. તેના ઘણા જજમેન્ટ તેના ઉદાહરણ છે. પરંતુ અદાલતો પ્રતિગામી પણ છે. અદાલતોના ચુકાદા, નિર્ણયો અને ટિપ્પણીઓ પિતૃસત્તાત્મક વલણો-વિચારો અને લિંગભેદને પોષક હોવાનું જોવા મળે છે. જે ન્યાયના મંદિરોએ પિતૃસત્તાત્મક મૂલ્યો અને સ્ત્રી-પુરુષ ભેદને અલવિદા કહેવાનું હોય ત્યાં જ તે વ્યક્ત થાય ત્યારે અદાલતોનું આ પછાતપણું ખટકે છે.

જુલાઈ ૨૦૦૯માં સુંદરરાજને એક બાળકનું પૈસાની લાલચે અપહરણ કર્યું અને પછી તેની હત્યા કરી હતી. આરોપીને ટ્રાયલ કોર્ટે ફાંસીની સજાની ભલામણ કરી, તેને વડી અદાલતે માન્ય રાખતાં તે સજા ઘટાડવા સુપ્રીમની દેવડી ગયો. આ કેસના ચુકાદામાં દેશની સર્વોચ્ચ અદાલતની એક બેન્ચે લિંગભેદી ટિપ્પણી કરી હતી. માનનીય ન્યાયાધીશોએ કહ્યું હતું કે  હત્યાનો ભોગ બનેલ બાળકનાં માતા-પિતાને ત્રણ દીકરી અને એક દીકરો છે. આરોપીએ તેમના એકના એક દીકરાનું અપહરણ એટલે કર્યું કે માતા-પિતાના મનમાં વધુ ડર અને આઘાત પેદા થાય. પુત્ર વંશ આગળ વધારે છે તેથી તેના અપહરણનું વધુ ગંભીર પરિણામ આવી શકે છે.  આ ટિપ્પણી ભારોભાર લિંગભેદી અને દીકરા-દીકરી વચ્ચે ભેદ ઊભો કરનારી છે. ભારતનું બંધારણ તમામ નાગરિકોને સમાન ગણે છે તેમાં પિતૃસત્તાને કોઈ સ્થાન નથી ત્યારે દેશની સૌથી મોટી અદાલતની આ ટિપ્પણી આઘાત અને અચંબો જન્માવે છે. જો કે મુખ્ય ન્યાયાધીશે આ ટિપ્પણી સામે સખત વાંધો લીધો હતો અને સર્વોચ્ચ અદાલત સહિત દેશની તમામ અદાલતોને આ મુદ્દે વધુ સંવેદનશીલ બનવા જણાવ્યું હતું.

૨૦૨૧માં આઈ.આઈ.ટી. ગુવાહાટીના એક વિદ્યાર્થીએ તેની સહાધ્યાયિનીને છેતરીને તેના પર બળાત્કાર કર્યો. પોલીસ ફરિયાદ પછી તપાસની ધીમી ગતિ સામે ફરિયાદી યુવતીએ હાઈકોર્ટનું શરણું લીધું. ગુવાહાટી હાઈકોર્ટના જજસાહેબને પ્રથમ દર્શનીય રીતે જ યુવક દોષિત લાગ્યો પણ તેમણે બળાત્કારી યુવકના જામીન મંજૂર કર્યા અને તેને પ્રતિભાશાળી તથા રાજ્યની ભાવિ મોંઘી મિલકત (સ્ટેટ્સ ફ્યુચર એસેટ્) ગણાવ્યો. અદાલતનો આ ચુકાદો લૈંગિક ન્યાયના મૌલિક અધિકાર સામે મોટો પડકાર છે.

દીકરા-દીકરી વચ્ચેનો આ ભેદ જ્યારે વાત અમીર –ગરીબ કે સવર્ણ-અવર્ણની આવે તો કેવો બદલાઈ જાય છે તે ચાળીસેક વરસ પૂર્વેના ગુજરાત મોટર વ્હીકલ ટ્રિબ્યુનલના કદી ના ભૂલી શકાય તેવા ચુકાદામાં છે. દલિત કિશોર ચમાર દિનેશ બળદેવભાઈનું માર્ગ અકસ્માતમાં મોત થતાં તેના વળતર સંબંધી ચુકાદામાં અદાલતે કહ્યું મૃતકનાં માબાપ ખૂબ ગરીબ છે અને તેમને બીજાં પણ સંતાનો છે એટલે આ ગરીબ માતાપિતા માટે બાળક બોજારૂપ હતો. તેના મોતનું વળી વળતર કેવું? લાગે છે કે આપણો લિંગભેદ પણ ગરીબતવંગર અને નાતજાત જુએ છે.

બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચના મહિલા જજસાહિબાને યૌન ઉત્પીડનના એક કેસમાં આરોપીને એમ કહીને નિર્દોષ જાહેર કર્યો હતો કે સ્કીન ટુ સ્કીન સંપર્ક થયો નથી. મધ્ય પ્રદેશ હાઈકોર્ટે મહિલાના શિયળભંગના આરોપીના જામીન મંજૂર કરતાં અન્ય શરતો સાથે એક વિચિત્ર શરત ઉમેરી હતી કે આરોપીએ પત્ની સાથે રક્ષાબંધનના દિવસે ફરિયાદી મહિલાના ઘરે જઈને રાખડી બંધાવવી, તેની રક્ષાનું વચન આપવું અને રૂ.૧૧,૦૦૦ ભેટ આપવી. સમગ્ર ઘટનાનો વીડિયો, તસવીરો અને નાણાંની રસીદ મોકલવી. આ જ કોર્ટે બળાત્કારના આરોપીને ફરિયાદી મહિલા સાથે ત્રણ મહિનામાં લગ્ન કરવા જણાવ્યું હતું. બિહારના અરરિયા જિલ્લાની સિવિલ કોર્ટે બળાત્કારથી પીડિત મહિલા પર અદાલતી અવમાનનાનો કેસ નોંધી તેને જેલ ભેગી કરી હતી. આ મહિલા નર્વસ બ્રેક ડાઉન અને ભાવનાત્મક વિસ્ફોટને કારણે અદાલતમાં વારંવાર ન્યાયની માંગણી કરતી હતી. નામદાર ન્યાયમૂર્તિને તેનું આ વર્તન અદાલતના કામમાં હસ્તક્ષેપ અને અવમાનનું લાગ્યું. કર્ણાટક હાઈકોર્ટને વળી બળાત્કાર પછી મહિલા થાકીને અને ઊંઘી ગઈ તો તે બાબત ભારતીય મહિલા માટે અશોભનીય કૃત્ય લાગ્યું હતું. રાજસ્થાનની એક જિલ્લા અદાલતના ન્યાયાધીશે ચાર વરસની બાળકીના બળાત્કારી હત્યારાને મૃત્યુદંડની સજાની ભલામણ કરતાં કહેલું કે પોક્સો અધિનિયમમાં કઠોરતમ સજાની જોગવાઈ છતાં કોર્ટો તેમ કરવામાં કેમ કંજૂસી કરે છે ?  આ ટિપ્પણી ન્યાય અને સમાનતા ઝંખતા સૌને આશ્વાસનરૂપ છે.

ગુવાહાટી હાઈકોર્ટ સમક્ષ એક પતિદેવે એટલે છૂટાછેડાની અરજ કરી કે તેમના પત્ની સુહાગણના પ્રતીકો ધારણ કરતાં નથી. અદાલતે ગ્રાફિક એવિડન્સ (પરિણિત મહિલાએ બંગડી, સિંદૂર, મંગળસૂત્ર પહેરવા) વિનાના લગ્નને અમાન્ય ઘોષિત કરી પતિની છૂટાછેડાની અરજી ગ્રાહ્ય રાખી હતી. ફેમિલી કોર્ટે જે માંગણી નકારી હતી તેને વડી અદાલતે સ્વીકારી તે આંચકાજનક છે. ખુદ હિંદુ લગ્ન ધારામાં પણ ગ્રાફિક એવિડન્સની કોઈ જોગવાઈ નથી ત્યારે મહિલા પરિણીત છે, તેટલું પૂરતું નથી તે પરિણીત દેખાવી પણ જોઈએ તેમ માનતા માનનીય જજસાહેબના વિચારો કઈ સદીના હશે? બીજી તરફ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ પીઠે પતિની કન્યાદાન ના થયું હોઈ લગ્ન ગેરકાયદે હોવાની માંગ સ્વીકારી નથી. હિંદુ લગ્ન ધારા પ્રમાણે માત્ર સપ્તપદી જ જરૂરી છે એટલે કન્યાદાન વિનાના લગ્ન ગેરકાયદે ઠેરવી શકાય નહીં. અદાલતે ઘરના આપસી વિવાદોને અદાલતમાં ના લઈ જવા અને અદાલતોનો સમય બરબાદ ના કરવા પણ જણાવ્યું છે. પરંપરા, પ્રથા કે રીત-રિવાજો માટે કાનૂન અને અદાલતનો આશરો યોગ્ય નથી.

બળાત્કાર પીડિતાના ટુ ફીંગર ટેસ્ટ પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો હોવા છતાં આજે પણ આવી તપાસ થાય છે. યૌન ઉત્પીડનનો શિકાર મહિલા શારીરિક સંબંધની આદિ, અભ્યસ્ત કે સક્રિય છે કે કેમ તેની તપાસ માટે થતો આ ટેસ્ટ પીડિતાના ગૌરવને હણે છે, ગરિમાને આઘાત પહોંચાડે છે તેની સમજ કેમ હજુ ઊભી થઈ નથી? સ્તન કેન્સરથી પીડિત મહિલાના પતિએ આપસી સહમતિથી છૂટાછેડા માંગ્યા પણ સર્વોચ્ચ અદાલતે તેનો ઈન્કાર કર્યો હતો. પત્ની માટે પતિ પરમેશ્વર છે તેવું ન માની લઈએ તો પણ કેન્સરપીડિત પત્નીના છૂટાછેડા જરા ય યોગ્ય ન ગણાય. પત્નીએ રોગના ઈલાજ માટે વળતર અને ભરણપોષણ મળશે એટલે ડાઈવોર્સ માટે સંમતિ દર્શાવી છે તેવું જાણ્યા પછી તો પતિ પર ફિટકાર જ વરસે.

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી.જે. ચંદ્રચૂડનો કાર્યકાળ અનેક દૃષ્ટિએ ક્રાંતિકારી રહ્યો છે. પરંતુ તે માત્ર ટેકનોલોજીના ઉપયોગ પૂરતો સીમિત ન રહેતા સંવેદના અને પ્રગતિશીલ વિચારોના સંદર્ભમાં પણ ક્રાંતિકારી બની શકે.  તેમાં અદાલતોની  પ્રતિગામી ટિપ્પણી, નિર્ણયો અને ચુકાદા બાધારૂપ છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

કૌરવ કૌન, કૌન પાંડવ, ટેઢા સવાલ હૈ 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|26 June 2024

અડવાણીની 2019ની બ્લૉગપોસ્ટ : મીડિયા સંસ્થાનો સહિતની લોકશાહી સંસ્થાઓની સ્વતંત્રતા વિશે આપણે આશ્વસ્ત રહી શકીએ એવાં કોઈ ચિહ્નો આપણી રાજનીતિમાં હું જોતો નથી

પ્રકાશ ન. શાહ

લખી રહ્યો છું 2024ની 26મી જૂન વાસ્તે, અને સ્મરણ સ્વાભાવિક જ 1975ની 26મી જૂનનું – બરાબર 49 વરસને અંતરે, બલકે, 50માં વરસના પ્રવેશે થઈ રહ્યું છે. આ સ્મરણ પચાસીના રણકા ઉપરાંત વિલક્ષણ એ વાતે પણ છે કે કટોકટીની સાથે અને સામે હતાં એમના પૈકી ઘણાં બધાંમાં જાણે ફેરબદલ ન થઈ ગઈ હોય એવો ઘાટ છે. કોઈક પળે વાજપેયી એ કવિતા કરી હતી કે,  

‘કૌરવ કૌન

કૌન પાંડવ

ટેઢા સવાલ હૈ

દોનોં ઔર શકુનિ કા ફૈલા

કૂટજાલ હૈ.’

ભારત તો કાઁગ્રેસમુક્ત ન થયું પણ ભા.જ.પ. કાઁગ્રેસયુક્ત જરૂર થઈ, એ સંજોગોમાં વાજપેયીના ઉદ્દગારો જાણે જુદી રીતે સામે આવવા કરે છે.

ઉદ્દગારો એમ તો આ ક્ષણે સવિશેષ અડવાણીના પણ સાંભરે છે. કટોકટી કાળના એ જોધ્ધા અને ભા.જ.પ.ના તો સ્થાપક નેતાઓ પૈકી મોખરાના. 2014માં એમણે જાણીતા અંગ્રેજી અખબાર સાથેની મુલાકાતમાં એમ કહ્યું હતું કે ‘આજની તારીખે, બંધારણીય ને કાનૂની રાહે લોકશાહી અધિકારોની સુરક્ષા જોગવાઈઓ છતાં લોકશાહીને ચૂરેચૂરો કરી નાખે એવાં બળો આપણી વચ્ચે ઓર મજબૂતીથી ઉભર્યાં છે.’

આ પ્રતીતિ આગળ ચાલી અને 2019ના એપ્રિલની છઠ્ઠીએ (પક્ષના સ્થાપના દિવસે) અડવાણીએ એમના બ્લોગમાં લખ્યું હતું કે ‘મીડિયા સંસ્થાનો સહિતની લોકશાહી સંસ્થાઓની તેજતર્રાર સ્વતંત્રતા વિશે આપણે આશ્વસ્ત રહી શકીએ એવાં કોઈ ચિહ્નો આપણી રાજનીતિમાં હું જોતો નથી.’ તે ઉપરાંત એમણે જે પક્ષને સીંચ્યો હતો એને સલાહ પણ આપી હતી કે આપણી ટીકા કરે, વિરોધ કરે તે ‘રાષ્ટ્રદ્રોહી’ છે એવું કૃપા કરીને માની ન લેશો.

અડવાણીએ આટલાં ટીકાવચનો છતાં એક આશાવાદ ત્યારે જરૂર દાખવ્યો હતો કે 1977માં જનતા બળોએ કાઁગ્રેસને પરાસ્ત કરી એ બીના સૌને યાદ રહેશે તો એકે રાજકીય પક્ષ ફરી એવો રસ્તો લેવા પ્રેરાશે નહીં. વસ્તુત: 2024માં અડવાણી જો કોઈ બ્લોગપોસ્ટ ભર્યાં નારિયેળ પેઠે રમતી મૂકવા વિચારે તો શું લખે એની કલ્પના કરવાજોગ છે. એક તો કાઁગ્રેસયુક્ત મોદી ભા.જ.પ. કંઈક કદ મુજબ વેતરાઈ અને કાઁગ્રેસે વળતાં કદ ને કાઠીની આશા બંધાવી, એમાં જેમ કાઁગ્રેસમેન નહીં એવા ઘણાએ નવસંકેત જોયો છે એવું કાંક એ પણ લખે તો નવાઈ ન લાગવી જોઈએ.

26મી જૂન આગમચ અને હવેના અઠવાડિયે જે બે બાબતો ઓથાર પેઠે ઝળુંબી રહી છે તેનો નિર્દેશ કરું તો પચાસમાં વરસના પૂર્વ સપ્તાહે તે યોગ્ય લેખાશે. બુકર પુરસ્કૃત અરુંધતી રોય સામે અનલોફૂલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ – યુ.એ.પી.એ. હેઠળનો તેર વરસ જૂનો કેસ દિલ્હીના લેફ્ટનન્ટ જનરલ સક્સેનાએ ઉખેળ્યો છે. (તેઓ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયને આધીન છે.) તમે એક વાર પકડી લો પછી વરસોનાં વરસો લાગી તમે એને વગર ચાર્જશીટે ગોંધી રાખી શકો છો. ભીમા-કોરેગાંવ કેસમાં પકડાયેલી 16 પ્રતિભાઓ પૈકી સુધા ભારદ્વાજ, આનંદ તેલતુંબડે, જર્નોન ગોંસાલ્વીસ, અરુણ ફેરેરા, શોમા સેન, વારાવારા રાવ, ગૌતમ નવલખા ચાર-પાંચ વરસ ગોંધાઈ રહી હવે જામીન પર છૂટ્યાં છે. એમને ગોંધી રાખવા માટેનાં કોઈ કારણો પોલીસ આપી શકી નથી. આવા જ એક કેસમાં તાજેતરમાં જમ્મુ-કાશમીર હાઈકોર્ટે પ્રોસિક્યુશનની ટીકા કરતા કહ્યું છે કે તમે એકનું એક કોપી-પેસ્ટ મટીરિયલ દરેક કિસ્સામાં લઈને આવો છો અને એમાં કશું ન્યાયિક સંજ્ઞાન (જ્યુડિશિયલ કોગ્નાઈઝન્સ) હોતું નથી પણ એના સતત રટણથી તમે કોર્ટને મનોવૈજ્ઞાનિક રીતે પ્રભાવિત કરવા માગો છો.

બીજી પાસ, પહેલી જુલાઈથી ભારતીય ન્યાય સંહિતા અમલમાં આવે છે. જૂના પીનલ કોડ વગેરેને સ્થાને આ સંહિતા આણવાનો આશય મોદી સરકારના કહેવા પ્રમાણે ‘સાંસ્થાનિક બોજ’ દૂર કરવાનો છે. ભાઈ, સાંસ્થાનિક સમયમાં જે બન્યું તે એ બન્યું કે આપણા જીવનમાં કદાપિત નહોતું એ હદે રાજ્ય ઉત્તરોત્તર વધુ ને વધુ પેંધતું ગયું ને ભીંસતું ગયું. ન્યાય સંહિતા સરકારને (પોલીસને) જે સત્તા આપે છે એનાં લક્ષણો જોતાં તે દોઢ સાંસ્થાનિક વરતાય છે. એણે બહુ ગવાયેલ ‘રાજદ્રોહ’ એ સંજ્ઞા પડતી મૂકી છે પણ દેશની સંપ્રભુતા, એકતા ને અખંડિતતાને જોખમ રૂપ પ્રવૃત્તિઓ (જેની વ્યાખ્યા સરકારને અનુકૂળપણે બેશક ધૂંધળી ને એકતરફી જ હોય) પર કારવાઈનો મુદ્દો આગળ કર્યો છે.

ઈન્દિરા કાઁગ્રેસના કટોકટીરાજ સામે લડવામાં પોતે હતાં એ અંગે ગર્જનતર્જનની રાજનીતિ બઢીચઢીને કરવાનું ભા.જ.પ.નું વલણ રહ્યું છે. પ્રજાએ 1977માં જેને નસિયત ને શિકસ્ત આપી જાણી એમને સ્થાને આવેલા એ પોતે જુદા છે એ બતાવવા શું કર્યું ન કર્યું એ મૂલવવાનો આ સમય છે. માટે આટલી નુક્તેચીની.

બંધારણની તોડમરોડ વાહે વ્યક્તિગત સત્તાલક્ષી રાજરમતનો દોર આપણે જોયો છે. એમાં સુધારા કરી લોકશાહી પુન:સ્થાપનનો દોર પણ આપણે જોયો છે. કટોકટી સામેની લડતના વડા લાભાર્થી પક્ષ પરિબળનો દસકો પણ આપણે જોયો છે. 2019ની અડવાણીની બ્લોગપોસ્ટમાં વર્ણવ્યા પ્રમાણે મીડિયા સંસ્થાનો સહિત સર્વ સ્વતંત્ર સંસ્થાઓ પરની તવાઈને છેડે મતદારે 2024ની ચોથી જૂને વગાડેલ એલાર્મ બેલ પણ આપણે સાંભળ્યો છે.

એક જુદો જ એલાર્મ બેલ આપણે 26મી જૂન, 1975ની વહેલી સવારે સાંભળ્યો હતો. 25મી જૂનની વિરાટ સભાને સંબોધતા જયપ્રકાશે ઇન્દિરાજીને રાજીનામાની નૈતિક તાકીદ સંભળાવી હતી અને પોલીસ ને લશ્કરને કહ્યું હતું કે રાજકીય આકાઓના બંધારણબાહ્ય હુકમો ન માનશો. (બંધારણ મુજબ વર્તવું એ પોલીસ મેન્યુઅલનો હિસ્સો છે.) મોડી રાતે પોલીસ એમના ઉતારે (ગાંધી પીસ ફાઉન્ડેશન, રાઉઝ એવન્યૂ, નવી દિલ્હી) આવી અને લઈ ગઈ. જતાં જતાં રાધાક્રિષ્ણે સંદેશો પૂછ્યો તો જેપીએ કહ્યું, વિનાશકાલે વિપરીત બુદ્ધિ.

Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 26 જૂન 2024

Loading

...102030...522523524525...530540550...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved