Opinion Magazine
Number of visits: 9557326
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ન્યાયમૂર્તિઓએ સી.બી.આઈ.ને જે સલાહ આપી એ ન્યાયતંત્રને પણ લાગુ પડે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|19 September 2024

રમેશ ઓઝા

આશ્ચર્યજનક રીતે એક અઠવાડિયામાં બે જણનો છુટકારો થયો. એક છે રશીદ એન્જિનિયર અને બીજા અરવિંદ કેજરીવાલ. અબ્દુલ રશીદ શેખ જે જમ્મુ અને કાશ્મીરમાં રશીદ એન્જિનિયર તરીકે ઓળખાય છે એ બારામુલ્લાથી ચૂંટાયેલા લોકસભાના સભ્ય છે. તેમણે લોકસભાની ચૂંટણી જેલમાંથી લડી હતી. જેમ અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર કરવા માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા તેવા જામીન રશીદ એન્જિનિયરને ત્યારે નહોતા આપવામાં આવ્યા, તેઓ પોતે ચૂંટણી લડતા હોવા છતાં. જેલમાં રહીને ૨,૦૪,૦૦૦ મતોની સરસાઈથી તેમણે ચૂંટણી જીતી હતી એ આ વખતના છૂટકારાનું કારણ છે. તેમણે અવામી ઇત્તેહાદ પાર્ટી નામનો પક્ષ સ્થાપ્યો છે અને એ પક્ષ ફારુખ અબ્દુલ્લાના નેશનલ કોન્ફરન્સ અને કાઁગ્રેસ વચ્ચે થયેલી સમજૂતીને નિષ્ફળ બનાવી શકે એમ છે. ટૂંકમાં કામનો માણસ છે.

પણ શા માટે રશીદ એન્જિનિયરની ધરપકડ કરવામાં આવી હતી? ક્યારે કરવામાં આવી હતી? શું આરોપ છે તેમના પર? અને અત્યારે ખટલાની શી સ્થિતિ છે? રશીદ એન્જિનિયરની ધરપકડ ૨૦૧૯ની સાલમાં દેશદ્રોહના આરોપ હેઠળ કરવામાં આવી હતી. નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી(એન.આઈ.એ.)ના કહેવા મુજબ તે ત્રાસવાદીઓને નાણાંકીય સહાય કરતો હતો, દેશવિરોધી કાવતરાં કરતો હતો, કાશ્મીરને ભારતથી અલગ કરવાની હિમાયત કરતો હતો અને એ રીતે તે વિભાજનવાદી હતો. તેમના પર ગંભીર આરોપ મૂકવામાં આવ્યા હતા અને પાંચ વરસ પહેલાં ધરપકડ કરવામાં આવી હતી. આરોપ ગંભીર હતા એટલે તેને જામીન આપવામાં નહોતા આવતા તે ત્યાં સુધી કે ગયા મે મહિનામાં યોજાયેલી ચૂંટણીમાં તેમણે પોતે ઉમેદવારી કરી હોવા છતાં પ્રચાર કરવા માટે જામીન આપવામાં નહોતા આવ્યા. ખૂંખાર ત્રાસવાદીને છૂટો મૂકાય? હા, એ વાત જૂદી છે કે હજુ સુધી તેની સામે ખટલો શરૂ થયો નથી. પૂરેપૂરું આરોપનામું દાખલ થયું નથી. હજુ તપાસ ચાલે છે. પણ આ વખતે ચૂંટણી પ્રચાર કરવા માટે જામીન આપવામાં આવ્યા છે, તેનું કારણ કાઁગ્રેસને પરાજીત કરવા માટે તેમનો ખપ છે એમ કહેવામાં આવે છે. એટલે તો આ વખતે રશીદની જામીન અરજીનો સરકારે વિરોધ નહોતો કર્યો.

અરવિંદ કેજરીવાલને શરતો સાથે જામીન આપવામાં આવ્યા હતા. તેઓ કાર્યાલયમાં હાજરી નહીં આપે અને કોઈ સરકારી દસ્તાવેજો પર સહી નહીં કરે. કેજરીવાલે મુખ્ય પ્રધાન તરીકે રાજીનામું આપી દીધું છે એટલે આ શરતોનો હવે કોઈ અર્થ નથી રહ્યો. અરવિંદ કેજરીવાલની જામીનઅરજી મંજૂર રાખતા સર્વોચ્ચ અદાલતના બન્ને ન્યાયમૂર્તિઓએ સી.બી.આઈ.ની સખત ટીકા કરી હતી. એજન્સી છ છ મહિના સુધી આરોપી સામે આરોપનામું દાખલ કરી શકતી નથી, તપાસનો કોઈ અંત આવતો જ નથી, તપાસમાંથી એવું કશું નિષ્પન્ન થયું નથી કે આરોપમાં વજન નજરે પડે વગેરે. ન્યાયમૂર્તિઓએ સી.બી.આઈ.ને સલાહ આપી હતી કે તે પાંજરાનો પોપટ બનવાનું બંધ કરે અને સ્વતંત્ર કામકાજ કરે. કોઈ આરોપીને માત્ર શંકાનાં આધારે ક્યાં સુધી જેલમાં ગોંધી રાખવાનો? અને છેવટે ન્યાયમૂર્તિઓએ અરવિંદ કેજરીવાલને બેમુદ્દત જામીન આપી દીધા.

જામીનનું ટાઈમિંગ શંકા પેદા કરે છે, કારણ કે હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે અને ત્યાં કાઁગ્રેસને નુકસાન પહોંચાડવા માટે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલનો ખપ છે. કેજરીવાલે પણ હરિયાણાની તમામ ૯૦ બેઠકો પર ઉમેદવાર ઊભા કર્યા છે. આ સિવાય વખત આવ્યે કાઁગ્રેસને નુકસાન પહોંચાડીને બી.જે.પી.ને મદદ કરવાનો કેજરીવાલનો ટ્રેક રેકોર્ડ છે. ગુજરાતમાં અને ગોવામાં આવું બન્યું હતું. આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બી ટીમ છે એવી પણ એક ધારણા છે.

અહી બે સવાલ મુખ્ય છે. એક છે ન્યાયતંત્રની વિશ્વાસર્હતા. ન્યાયમૂર્તિઓએ શુદ્ધ મેરીટ જોઇને નિર્ણય લીધો હશે એમ માની લઈએ, પણ લોકો અદાલતના દરેક નિર્ણયને રાજકીય પરિપ્રેક્ષ્યમાં જુવે છે. આ સ્થિતિ માટે ન્યાયતંત્ર જવાબદાર નથી? છેલ્લાં દસ વરસ દરમ્યાન શાસક પક્ષની વિચારધારાનો વિરોધ કરનારા ર્ક્મશીલો અને વિરોધ પક્ષોના નેતાઓની સેંકડોની સંખ્યામાં ધરપકડ કરવામાં આવી છે એમાંથી કેટલાની સામે તપાસ પૂરી થઈ? કેટલા લોકો સામે આરોપનામાં દાખલ થયાં? કેટલા સામે ખટલા ચાલ્યા? કેટલાને સજા થઈ? જેની સામે ગંભીર આરોપ હતા એ લોકો ભા.જ.પ.માં જોડાઈ ગયા એ પછી તેમની સામેના કેસોનું શું થયું? ચાલે છે કે બંધ થઈ ગયા કે પછી ઠંડા બસ્તામાં ધકેલી દીધા? આરોપ જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી વ્યક્તિની આઝાદી અમૂલ્ય છે એમ વારંવાર જે કહેવામાં આવે છે એનો અમલ ક્યાં?

ન્યાયતંત્ર પાસે આનો કોઈ જવાબ નથી એટલું જ નહીં કેટલાક જજો આનાથી વિપરીત રીતે વર્તે છે એ કોણ નથી જાણતું! આજે કેટલા જજો બંધારણનિષ્ઠ સ્વતંત્ર અને ખુદ્દાર છે? ઉપરથી નીચે સુધી નજર કરો તો સમગ્રતામાં દસ ટકા પણ નહીં. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓએ સી.બી.આઈ.ને જે સલાહ આપી એ ન્યાયતંત્રને પણ લાગુ પડે છે. કેટલાક ન્યાયમૂર્તિઓ પાળેલા પોપટ જેવા છે એ ચોખ્ખું નજરે પડે છે. ન્યાયમૂર્તિઓ આદર્શની વાત કરે છે જે આચરણમાં નજરે પડતાં નથી, એટલું જ નહીં તેઓ ન્યાયતંત્રની પોતાની જે અવસ્થા છે એ વિષે તો કશું બોલતા જ નથી ત્યાં ઈલાજ તો બહુ દૂરની વાત છે. અરવિંદ કેજરીવાલને મળેલા જામીનમાં લોકો રાજકારણ જુએ છે તો એ માટે સર્વોચ્ચ અદાલતના સ્તર સુધી ન્યાયતંત્ર જવાબદાર છે અને તેનો કોઈ ઇન્કાર કરી શકે એમ નથી.

બીજી વાત શાસકો વિષે. જેની સામે દેશદ્રોહ જેવા ગંભીર આરોપ હોય અને જ્યાં શાસકો પહેલી પંક્તિના દેશભક્ત અને રાષ્ટ્રવાદી હોય ત્યાં “નાલાયકો”ને સજા કરાવવામાં આટલી ઢીલાશ કેમ? કાઁગ્રેસનું રાજ હોય તો સમજાય કે એ લોકો સાચા દેશભક્ત નથી અને ઉપરથી ઢીલા છે. આ લોકો તો સો વરસથી માભોમકા માટે બલીદાન આપવા અને દુ:શ્મનને નેસ્તનાબૂદ કરવા થનગનતા હતા પણ ગાંધી અને નેહરુએ બલીદાન આપવા ન દીધું અને કાઁગ્રેસે દુ;શ્મનને નેસ્તનાબૂદ કરવા ન દીધા. પણ હવે તો તક મળી છે તો તેનો કેમ ઉપયોગ કરવામાં નથી આવતો? ધડાધડ ખટલા ચલાવો અને સજા કરો. કોણ રોકે છે તેમને? આવું જ ભ્રષ્ટાચારીઓની બાબતમાં. ૨૦૧૩-૧૪માં વડા પ્રધાન માટે ભષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓ કેટલા અસહ્ય હતા એ આપણે ક્યાં નથી જાણતા. તેમનો વલોપાત, તેમનો ઉદ્વેગ, તેમનો ઝૂરાપો આપણે જોયો છે. પણ આશ્ચર્યની વાત એ છે કે સ્વચ્છ શાસન માટેનો આટલો ઝૂરાપો હોવા છતાં એક પણ ભ્રષ્ટાચારીને સજા થઈ નથી. એક પણ સજા પામીને જેલમાં નથી ગયો. ઊલટું કેટલાક ભષ્ટાચારીઓ બી.જે.પી.માં જોડાઈને સુરક્ષિત થઈ ગયા છે.

તો આનો અર્થ એ થયો કે આ સરકાર નથી દેશદ્રોહીઓને સજા કરી શકતી કે નથી ભ્રષ્ટાચારીઓને. ઊલટો તેમનો રાજકીય લાભ લેવામાં આવે છે અને રાજકીય લાભ લેવા માટે તેમને લટકતી તલવાર હેઠળ રાખવામાં આવે છે. જો ખટલો ચાલ્યો હોત તો રશીદ એન્જીનિયર કાં નિર્દોષ છૂટ્યો હોત કાં સજા પામીને જેલમાં ગયો હોત. બન્ને સ્થિતિમાં તેમનો રાજકીય ઉપયોગ ન થઈ શકે. આવું જ અરવિંદ કેજરીવાલની બાબતમાં.

જોઈએ અરવિંદ કેજરીવાલ અને રશીદ એન્જિનિયર કાઁગ્રેસને કેટલું નુકસાન પહોંચાડે છે! અહીં પણ ગફૂરવાળો ન્યાય છે. ગફૂરનું બુરું થતું હોય તો અમારી સાત પેઢી ભલે બરબાદ થઈ જાય એ ન્યાયે જો કાઁગ્રેસનું બુરું થતું હોય તો તેઓ જેને ભ્રષ્ટાચારીઓ અને ત્રાસવાદીઓ તરીકે ઓળખાવે છે ભલે છૂટા ફરે.

આવું હશે હિંદુ રાષ્ટ્ર.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 19 સપ્ટેમ્બર 2024

Loading

સન બયાલીસ અને કિનારીવાલાની શહાદત 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|18 September 2024

અમદાવાદની ગુજરાત કોલેજમાં શહીદ વિનોદ કિનારીવાલની યાદ અપાવતી ખાંભી

આઝાદીનાં આ અમૃત વર્ષો કેવી ને કેટલી સ્વરાજલડતનાં શતાબ્દી સંભારણાં લઈને આવે છે! સન બયાલીસમાં જે દૂધમલ જવાનોએ શહાદત વહોરી એમના પૈકીયે એવા કેટકેટલા હશે જેમના શતાબ્દી પર્વ તરતમાં આવવામાં કે જવામાં હોય, ન જાને.

નમૂના દાખલ, જેમ કે હમણે ઓગસ્ટમાં કાકોરી રેલ લૂંટ કેસનું સોમું વરસ શરૂ થયું. ચંદ્રશેખર આઝાદ એના આયોજનમાં સંકળાયેલા હતા જો કે પકડાયા નહોતા. જે પકડાયા ને સજા પામ્યા એમાં રામપ્રસાદ બિસ્મિલ ને બીજાઓ હતા. કાકોરી કેસ વિશે આ દિવસોમાં ઠીક ઠીક લખાયું-છપાયું છે એટલે એની ચર્ચામાં સ્વાભાવિક જ જતો નથી.

વિનોદ કિનારીવાલા
જન્મ : 20-9-1924 – મૃત્યુ : 9-8-1942

એક અણચિંતવ્યો જોગાનુજોગ અલબત્ત સંભારી લઉં. રેલ લૂંટની એ ક્રાંતિઘટના 1925ની 9મી ઓગસ્ટે ઘટી હતી – બિલકુલ એ જ તારીખે જે અઢાર વરસ પછી એટલે કે 1942માં ક્વિટ ઈન્ડિયા દિવસનું ઇતિહાસ સમ્માન મેળવવાની હતી. ગુજરાતે હજુ હમણાં જ વિનોદ કિનારીવાલાની શહાદતને સંભારી હતી : 9મી ઓગસ્ટે મુંબઈના ગોવાળિયા ટેંક મેદાન પર ‘અંગ્રેજો હિંદ છોડો’નો પ્રસ્તાવ થયો, અને વળતે દહાડે અમદાવાદમાં સરઘસની આગેવાની લઈ ધ્વજદંડ બરાબર સાહી કિનારીવાલાએ શહાદત વહોરી હતી. પાછળથી, આ શહીદની ખાંભી ખુલ્લી મૂકતાં ઓગસ્ટ ક્રાંતિના વીરનાયક જયપ્રકાશે કહ્યું હતું કે યુદ્ધ વખતે જેઓ ભાગતા હોય છે એમની પીઠ પર ગોળી વાગે છે, પણ શહીદ જેનું નામ એ તો સામી છાતીએ વીરમૃત્યુને વરે છે.

જોવાનું એ છે કે આઝાદીની લડતની દૃષ્ટિએ દેશનું જાહેર જીવન ત્યારે બહુધા ગાંધી-નેહરુ-પટેલની સ્વરાજ ત્રિપુટીએ મંડિત ને પરિચાલિત હતું. કિનારીવાલા પણ હશે તો એના જ કાયલ, પણ ભગતસિંહ અને આઝાદના વિચારોમાં રહેલું બલિદાની ખેંચાણ એમને કંઈ ઓછું નહોતું આકર્ષતું.

ભારતની સ્વરાજ લડતના મંચ પર ગાંધીના સત્યાગ્રહી પ્રવેશ સાથે એક જુદો અધ્યાય જરૂર શરૂ થયો હતો, પણ એ માર્ગે જતા યુવકોને ય આઝાદ પ્રકારના વ્યક્તિત્વની જાનફેસાની ને કુરબાની જરૂર આકર્ષતી અને એમના ભાવજગતને તે સીંચતી પણ ખરી. બીજી પાસ, ક્રાંતિકારીઓએ અપનાવેલ માર્ગને બદલે બીજો માર્ગ પસંદ કરતી કાઁગ્રેસ તરાહ, તેમાં ય ખાસ તો કાઁગ્રેસ સમાજવાદી આંદોલન આ ક્રાંતિકારીઓને હૂંફવામાં પાછું નહોતું પડતું. ચંદ્રશેખર આઝાદને આર્થિક સહયોગના સ્રોતોમાં, જેમ કે, ગણેશ શંકર વિદ્યાર્થીથી માંડીને મોતીલાલ નેહરુ સુદ્ધાંનો સમાવેશ થતો હતો. કાકોરી પ્રકરણમાં ક્રાંતિકારીઓના કાનૂની બચાવ માટેની કામગીરીમાં પાછળથી સ્વરાજ સરકારમાં નેહરુ મંત્રીમંડળ પર વિરાજતા, ગોવિંદ વલ્લભ પંત અને અજિત પ્રસાદ જૈન સરખા કાઁગ્રેસ કુળના સ્વાતંત્ર્ય સૈનિકો હતા.

તમે જુઓ, દેખીતી નવાઈ લાગે પણ ત્યારે યુવાનોને આકર્ષતાં બે નેતૃત્વ, જવાહર અને સુભાષ પૈકી ભગતસિંહે એક ચર્ચામાં પોતાની પસંદગી જવાહરલાલ પર ઉતારી છે. પ્રશંસક તો એ સુભાષના પણ હતા. પરંતુ એમનો નિકષ મુદ્દો એ હતો કે સુભાષમાં જેટલો જોસ્સો અને રણાવેશ છે, એટલી સ્પષ્ટતા ક્રાંતિને વ્યાખ્યાયિત સમતા ને આર્થિક-સામાજિક ન્યાયના કાર્યક્રમ બાબતે નથી જે જવાહરમાં છે.

ભગતસિંહનું આ સૂક્ષ્મ નિરીક્ષણ ખુદ ભગતસિંહને સમજવામાં પણ મદદરૂપ થઈ પડે છે. અંધાધૂંધ ખૂનામરકી અગર લેનિન જેને ‘ઈન્ફન્ટાઈલ ડિસઓર્ડર’ કહેવું પસંદ કરે એવી નાદાન હિંસ્ર હરકતમાં બદ્ધ ક્રાંતિકારી સમજ ભગતસિંહની નહોતી. એમણે ગૃહમાં ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ જેવો જે હલકોફૂલકો (જીવલેણ મુદ્દલ નહીં એવો) ધમાકો કર્યો તે, અને ત્યાર પછી એમણે પકડાઈ જવું પસંદ કર્યું, જેથી અદાલત મારફતે પોતાની વૈચારિક ભૂમિકા વ્યાપકપણે પ્રસરી શકે, એ બંને ઘટના આ અર્થમાં બુનિયાદી રીતે સૂચક છે.

માર્ક્સવાદી ઇતિહાસકાર તરીકે ઓળખાતા બિપીનચંદ્ર જીવનના અંતિમ પર્વમાં ભગતસિંહની જીવની પર જે કામ કરી રહ્યા હતા એમાં એમણે ઉપસાવવા ધારેલ એક ઘટન મુદ્દો એ હતો કે ભગતસિંહને વધુ વર્ષો મળ્યાં હોત તો એ ગાંધીમાર્ગી હોત. અલબત્ત, ગાંધીજીના અર્થમાં અહિંસાવાદી નહીં (તેમ જ નિ:શંકપણે માર્ક્સવાદી સહી) એવા ભગતસિંહે શાંતિમય પ્રતિકારને ધોરણે ખડી કરાતી ને પરિણામદાયી બની શકતી વિરાટ લોકચળવળ(માસ મૂવમેન્ટ)ના વ્યૂહને અગ્રતા આપી હોત. ઇતિહાસમાં જરી પાછળ જઈએ તો ક્રાંતિગુરુ તરીકે ઓળખાવાતા શ્યામજી કૃષ્ણવર્મા ક્રાંતિકારી માર્ગોની કદર જ નહીં હિમાયત પણ કરતા હતા. પણ એ જ શ્યામજી, જો અસરકારક અહિંસક પ્રતિકાર – વિરાટ લોકચળવળ – ખડી થાય તો રાજી નહોતા એવું તો નહોતું. 

સન બયાલીસ અને કિનારીવાલાની શહાદત સંભારી તે સાથે એક લસરકે એ પણ યાદ કરી લઉં કે આ વર્ષ, 1924ની 20મી સપ્ટેમ્બરે જન્મેલા કિનારીવાલાનું શતાબ્દી વર્ષ છે. એમનું શતાબ્દી વર્ષ જો કે જરી જુદી રીતે પણ સંભારવા જેવું છે. ગાંધી-નેહરુ-પટેલ મંડિત માહોલમાં ને ક્રાંતિકારીઓની કુરબાનીએ પ્રેરિત ભાવાવરણમાં રાષ્ટ્રીય વિદ્યાર્થી મંડળ રૂપે અમદાવાદ અને તેના થકી ગુજરાતમાં એક જુદો જ યુવા સંચાર થયો. સ્વાતંત્ર્ય લડત વિશે દ્વિધાવિભક્ત સામ્યવાદી આંદોલનની છાયામાંથી બહાર આવી આ મંડળે અને એના સલાહકારોએ ગુજરાતમાં એક જુદી જ ભાત પાડી. પ્રો. દાંતવાલા, બી.કે. મઝુમદાર, ઉત્સવ પરીખ, જયંતી દલાલ જેવા વરિષ્ઠજનો હોય કે બ્રહ્મકુમાર ભટ્ટ, હરિહર ખંભોળજા, પ્રબોધ રાવળ વગેરે, સૌની પૂંઠે વળી ઉત્પ્રેરક હાજરી નીરુ દેસાઈની. એ બધી વાત વળી ક્યારેક, યથાપ્રસંગ … આઝાદીના અમૃત પર્વે, વળી વળીને આગળ જવા પૂર્વે!

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 18 સપ્ટેમ્બર 2024 

Loading

શતાબ્દીએ કાકોરી કાંડની કહાણી, ‘બિસ્મિલ’ની જુબાની

ચંદુ મહેરિયા|Opinion - Opinion|18 September 2024

સો વરસ પૂર્વે ૧૯૨૫માં બ્રિટિશ શાસન દરમિયાન ટ્રેનમાંથી ૪૬૭૯ રૂપિયા, ૧ આનો અને ૬ પાઈની લૂંટ કરવામાં આવી હતી. સરકારી ખજાનાની લૂંટના આરોપસર ૪૦ લોકોની ધરપકડો થઈ હતી. તેમાંથી ચારને ફાંસીની, બે ને કાળાપાણીની અને બીજા ચૌદને ચારથી ચૌદ વરસ સુધીની જેલની સજા થઈ હતી. આશરે પાંચેક હજાર રૂપિયાની લૂંટ બદલ ગોરી હકુમતે આઠ લાખ રૂપિયા જેટલો અધધ ખર્ચ કર્યો હતો. કેમ કે તેના માટે આ કોઈ સામાન્ય લૂંટ નહોતી. આ કૃત્ય ભારતના ક્રાંતિવીરોનું હતું. સરકારને તેમાં સમ્રાટ સામે સશસ્ત્ર યુદ્ધનો પડકાર લાગ્યો હતો. તેથી તેણે ચારને ફાંસી જેવી આકરી સજા કરી હતી. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં કાકોરી કાંડ તરીકે જાણીતી ઘટનાનું આ શતાબ્દી વરસ છે. એટલે તેના સ્મરણ સાથે મૂલ્યાંકન અને પુનર્મૂલ્યાંકનનો પણ અવસર છે.

રામપ્રસાદ ‘બિસ્મિલ’

સાબરમતીના સંતે બિના ખડગ બિના ઢાલ આઝાદી અપાવી છે તે સાચું પણ આઝાદી આંદોલનમાં ક્રાંતિકારીઓનું ય યોગદાન અને ભૂમિકા રહેલાં છે. અહિંસક સત્યાગ્રહી અને સશસ્ત્ર ક્રાંતિકારી બંને આઝાદી માટે લડ્યા હતા. ગાંધીની અહિંસાના માર્ગે દેશને આઝાદી નહીં મળે અને હિંસાથી જ તે શક્ય છે તેવું માનનારા ઘણાં ક્રાંતિવીરો ફાંસીના માંચડે ચડી ગયા હતા. ૧૯૨૫ની કાકોરી ટ્રેન લૂંટ કાંડના અગ્રણી રામપ્રસાદ ‘બિસ્મિલ’ (૧૧ જૂન, ૧૮૯૭ – ૧૯ ડિસેમ્બર, ૧૯૨૭) સ્વાતંત્ર્ય ચળવળની ક્રાંતિકારી ધારાનું પ્રમુખ નામ છે. તેઓ કવિ, લેખક, અનુવાદક પણ હતા. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં જન્મેલ રામપ્રસાદ ‘બિસ્મિલ’(અર્થાત્‌ આત્મિકરૂપે આહત)ના તખલ્લુસથી કવિતાઓ લખતા હતા. પછી તો ઉપનામ જ તેમની ઓળખ બની ગયું હતું. આરંભિક શિક્ષણ ઉર્દૂમાં લીધા પછી તે હિંદી –અંગ્રેજી ભણ્યા. જો કે ભણવામાં બહુ પાછળ હતા. ખોટી સોબતે ચોરી અને વ્યસનો પણ વળગ્યા હતા. પરંતુ આર્ય સમાજના રંગે રંગાયા પછી જીવનની દિશા બદલાઈ. સ્વામી સોમદેવને ગુરુ પદે સ્થાપ્યા. તેમણે જ બિસ્મિલને ઉપનિવેશવાદ વિરોધી સંઘર્ષ તરફ વાળ્યા અને તેમનામાં સરફરોશીની તમન્ના જગવી હતી. ભણતર તો બહુ વહેલું છૂટી ગયું પણ આઝાદી અને તે ય હિંસાના માર્ગે તરફનું ખેંચાણ કાયમ રહ્યું હતું.

કાકોરી ટ્રેન લૂંટ કાંડ રામપ્રસાદ બિસ્મિલના નેતૃત્વમાં પાર પડ્યો હતો. ક્રાંતિકારીઓના સંગઠન  હિંદુસ્તાન રિપબ્લિકન એસોસિયેશનના તેઓ સ્થાપક સભ્ય હતા. કાકોરી કાંડના આરોપી તરીકે લખનૌ અને ગોરખપુરની જેલમાં બિસ્મિલે આત્મકથા લખી હતી.’ નિજ જીવન કી એક છટા’ નામે આત્મકથનની હસ્તપ્રત ચોરીછૂપી જેલની બહાર આવી હતી. તેમાં બિસ્મિલના જન્મથી ફાંસીના ત્રણ દિવસ પૂર્વે સુધીના જીવનનું બયાન છે. સો પૃષ્ઠ, ચાર ખંડ અને ૨૯ પ્રકરણોની આ આત્મકથા તેમની શહાદતના બીજા વરસે જ, ૧૯૨૮માં, કાનપુરથી ગણેશ શંકર વિદ્યાર્થીએ પ્રગટ કરી હતી. આત્મકથામાં કાકોરી કાંડ અને તે પછીની ઘટનાઓ તથા તે સંબંધી તેમનું ચિંતન અને ચિંતાઓ સ્પષ્ટપણે આલેખાયા છે. બહુ ઓછું ભણેલો, માંડ ત્રીસ વરસની આવરદા ભોગવી શકેલો એક યુવા ક્રાંતિવીર કઈ હદે વૈચારિક પ્રતિબધ્ધતા અને પાકટતા ધરાવી શકે તેનો ખ્યાલ આ આત્મકથા આપે છે.

મૈંનપુરી ષડયંત્રમાં પણ રામપ્રસાદ આરોપી હતા. એટલે તેઓ ફરાર થઈ ગયા હતા. ભૂગર્ભવાસ દરમિયાન તેમણે પુસ્તક લેખન અને પ્રકાશનના વિચારો કર્યા. આજે નવાઈ લાગે તેવી વાત એ છે કે બિસ્મિલે પુસ્તકો લખી – વેચી તેમાંથી જે નાણાં ઉપજ્યા તેના શસ્ત્રો ખરીદ્યા હતા! અગિયારેક વરસના જાહેરજીવન દરમિયાન તેમણે અગિયાર મૌલિક કે અનૂદિત પુસ્તકો લખીને પ્રકાશિત કર્યાં હતા.આ બધા પુસ્તકો કાં તો પ્રતિબંધિત ઠરાવાયાં હતાં કે જપ્ત થયાં હતાં. પરંતુ તે લખવા, છાપવા, વેચવા પાછળનો તેમનો હેતુ લોકજાગ્રતિનો તો હતો જ સશસ્ત્ર ચળવળ માટે નાણાં ઊભા કરવાનો ખાસ હતો. ૧૯૧૬માં  અઢારેક વરસના બિસ્મિલ કાઁગ્રેસના લખનૌ અધિવેશનમાં ગયા હતા. તે પછીના લગભગ તમામ અધિવેશનોમાં તે હાજર રહેતા હતા. જો કે કાઁગ્રેસના જહાલ નેતાઓ તરફ તેમનું સ્વાભાવિક આકર્ષણ હતું.

ક્રાંતિકારીઓની ધરપકડો, જેલવાસ અને ફાંસી છતાં નવજવાનો હિંસાના રસ્તે આઝાદી મેળવવા આવતા રહેતા હતા. પરંતુ આ કામ માટે જરૂરી નાણાંની સતત ખેંચ રહેતી હતી. બે અમીરોને ત્યાં ચોરી કે લૂંટ કરી પણ ખાસ કશું મળ્યું નહીં. એટલે ટ્રેનમાં લઈ જવાતા સરકારી ખજાનાની લૂંટ કરવાનું નક્કી કર્યું. નવમી ઓગસ્ટ ૧૯૨૫ના દિવસે બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાં, રાજેન્દ્ર લાહિડી, ચંદ્ર શેખર આઝાદ અને બીજા છ મળી કુલ દસ લોકોએ કાકોરી કાંડને અંજામ આપ્યો હતો. લખનૌ નજીકના કાકોરી રેલવે સ્ટેશને સહરાનપુર લખનૌ પેસેન્જર ટ્રેનનું ચેન પુલિંગ કરી તેને રોકી, આજની એ.કે. ૪૭ જેવી જર્મન બનાવટની ચાર માઉજર પિસ્તોલથી ગાર્ડના ડબ્બામાંથી સરકારી ખજાનાની પેટી લૂંટીને ક્રાંતિકારીઓ ભાગ્યા હતા. આ ઘટનાએ દેશભરમાં ઊહાપોહ મચાવ્યો હતો. ક્રાંતિકારીઓની આ હિંમતથી અંગ્રેજ સરકાર પણ હચમચી ગઈ હતી. એટલે તેણે ફાંસી જેવું આકરું પગલું લીધું.

આત્મકથામાં બિસ્મિલે અશફાક માટે એક પ્રકરણ ફાળવ્યું છે. સરકારે અશફાકને ફાંસીની સજા કરી એના દુ:ખ સાથે તેમને પોતાનો જમણો હાથ ગણાવ્યા તે દોસ્તીનું ગૌરવ કર્યું છે. અંતિમ પ્રકરણમાં બિસ્મિલે લખ્યું છે કે તેઓ પ્રાણ ત્યાગતાં એ વાતે નિરાશ નથી કે તેમનું બલિદાન વ્યર્થ ગયું છે.  પરંતુ સવાલ પણ કર્યો છે કે અશફાક ઉલ્લા કટ્ટર મુસલમાન થઈને પાકા આર્યસમાજી રામપ્રસાદના ક્રાંતિકારી દળનો આધારસ્તંભ બની શકે છે તો નવા ભારતમાં સ્વતંત્રતાના નામે હિંદુ-મુસલમાન પોતાના નાનાનાના લાભનો વિચાર છોડીને કેમ એક ના થઈ શકે?

હિંદુ-મુસ્લિમ એકતા જ અમારી યાદગાર અને અંતિમ ઈચ્છા છે તેમ સ્પષ્ટ લખનાર બિસ્મિલને કાકોરીની શતાબ્દી ટાણે આપણે કઈ હિંદુ-મુસ્લિમ એકતા અર્પણ કરીશું? હથિયારધારી બિસ્મિલ અને તેમના ક્રાંતિકારી વિચારો એ રીતે પણ મહત્ત્વના છે કે અંતિમ સમયે તેમને કાઁગ્રેસ અને અહિંસાનું મહત્ત્વ સમજાયું છે અને તે બેબાક વ્યક્ત પણ કર્યું છે. ક્રાંતિકારીઓને જનસમર્થન ઓછું મળ્યાના બળાપા સાથે તેમણે ભારતના નવયુવાનોને નમ્ર નિવેદન કર્યું હતું કે જ્યાં સુધી ભારતવાસીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે નહીં જ્યાં સુધી તેમને કર્તવ્ય-અકર્તવ્યનું જ્ઞાન ના હોય ત્યાં સુધી તે અજાણતા પણ કોઈ ક્રાંતિકારી ષડયંત્રોમાં ભાગ ના લે. બિસ્મિલે બલિદાનના ત્રણ દિવસ પૂર્વે એવી હાર્દિક અપીલ દેશવાસીઓને કરી હતી કે હિંદુ-મુસલમાન સહિત બધા એક થઈને કાઁગ્રેસને જ પોતાની પ્રતિનિધિ સંસ્થા માને. કાઁગ્રેસ જે નક્કી કરે તેને બધા જ લોકો દિલથી સ્વીકારે અને અમલ કરે. જો આમ કરીશું તો સ્વરાજ ઢુકડું છે. પરંતુ જે સ્વરાજ મળે તેમાં (એ વખતની વસ્તી પ્રમાણેના)  છ કરોડ અછૂતોને શિક્ષણ અને સામાજિક અધિકારોમાં સમાનતા મળે તેમ પણ તે ઈચ્છે છે. જે દેશમાં છ કરોડ મનુષ્યોને અસ્પૃશ્ય ગણવામાં આવતા હોય એ દેશના લોકોને સ્વાધીન થવાનો અધિકાર ખરો? તેવો આકરો સવાલ પણ તે પૂછે છે.

બિસ્મિલના બોલ યાદ કરી તેનો અમલ કરી શકીએ તે જ બિસ્મિલ, અશફાક અને કાકોરીના શહીદોનું શતાબ્દીએ સાચું સ્મરણ અને તર્પણ હશે.

E.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...520521522523...530540550...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved