Opinion Magazine
Number of visits: 9557158
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સેક્યુલરિઝમનું વળી અહીં શું કામ છે? : રવિજીનું અમથું અમથું 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|26 September 2024

શાંત તળાવમાં કાંકરીચાળો

યુરોપની જેમ રાજ્ય અને ચર્ચનો મામલો ન હોય તોપણ ધરમ – મજહબને નામે ભાગલાનો ઇતિહાસ તો છે જ; અને સ્વરાજ પછી પણ લીગ ને ઝીણાના હિન્દુ અડધિયાની ખોટ નથી તે હકીકત છે.

પ્રકાશ ન. શાહ

તામિલનાડુના રાજ્યપાલ રવિએ અમથી જ શાંત તળાવમાં કાંકરો નાખવા જેવી ચેષ્ટા કરી છે કે આપણે વળી સેક્યુલરિઝમની વાતમાં પડવા જેવું ક્યાં હતું. એ તો ભાઈ, એમણે માસૂમિયતથી કહ્યું છે, એક યુરોપીય અવધારણા છે.

એક રીતે જો કે, એમણે આપેલો દાખલો દેખીતો ઠીક પણ છેઃ  યુરોપમાં રાજા અને ધર્મતંત્ર (ચર્ચ) વચ્ચે સત્તાસંઘર્ષનો લાંબો ઇતિહાસ છે. આ અનવસ્થા દૂર કરવા સારુ સેક્યુલર અભિગમની, રાજસત્તા અને ધર્મતંત્રના જુવારાની જરૂર હતી અને છે.

એ રીતે આપણે ત્યાંનું ચિત્ર જુદું છે એટલે અહીં વળી સેક્યુલરિઝમની જરૂર શું છે. આટલે સુધી તો માનો કે રાજ્યપાલ રવિની (અગર એમની પૂંઠે રહેલ ભા.જ.પી. કેન્દ્ર સરકારની) વાત માનો કે નભી પણ જાય. પણ ત્યાં અટકે એ બીજા. એમણે એટલી હદે કહી નાખ્યું કે આ તો નકરું છળકપટ (ફ્રૉડ) છે – પોતાની સત્તા ભયમાં હોવાનું સમજાતાં એક વડા પ્રધાને બંધારણમાં સેક્યુલર હોવાનું ધરાર ઘુસાડ્યું છે.

વળી મુશ્કેલી ઇંદિરા ગાંધીના શાસનકાળમાં કટોકટીનું પગલું જેમને ટીકાપાત્ર કે વિરોધપાત્ર ન લાગતું હોય એમને પણ આ નિર્ણય વિવાદાસ્પદ તો લાગવાનો જ. એથી એક વિવાદાસ્પદ રાજકીય પગલાને છાવરવા વાસ્તે બંધારણમાં સુધારા વાટે સેક્યુલર ઓળખ ઠઠાડવાની કારવાઈ થઈ હતી એવું કહેવાની તક નથી જ એવું તો નથી.

આખી વાત સમગ્રપણે સમજવા સારુ આપણે ઇતિહાસમાં પાછે પગલે જવું જોઈશે. બંધારણ સભાની ચર્ચાઓમાં અને એમાં નેહરુ-આંબેડકર સહિતની દરમિયાનગીરીઓમાં જતાં સરવાળે ઊપસતું ચિત્ર શું છે ? આપણે એક બહુધર્મી દેશ છીએ એમાં કોઈ એક ધર્મ સાથે રાજ્યનું સંધાન ઇષ્ટ નથી. રાજ્ય સ્તરે સર્વ ધર્મથી સમાન અંતરની અગર તો સમાદરની ભૂમિકા ઇષ્ટ છે. ગમે તેમ પણ, જે રીતે સોવિયેત રશિયાના બંધારણમાં ધર્મવિરોધી ભૂમિકા છે તેવો કોઈ વિચારધારાકીય અભિગમ આપણા બંધારણમાં નથી એ સાચું, પણ કોઈ એક ધર્મ સાથે સંધાન નથી એ પણ સાચું. જ્યાં સુધી ઇતિહાસનો સવાલ છે, આપણી સ્વરાજલડતને આભડી ગયેલું દુર્દૈવ વાસ્તવ એ હતું કે હિંદુ મહાસભા અને મુસ્લિમ લીગ વખતોવખત એવી માનસિકતા દાખવતા અને ઉત્તેજતા કે આ કોઈ અંગ્રેજી રાજ સામે આપણ સૌની લડત કરતાં વધુ તો મુસ્લિમો સામે હિંદુઓની અગર તો હિંદુઓ સામે મુસ્લિમોની છે. આ સાંકડો વિચારધારાવાદ આપણને ભાગલા લગી લઈ ગયો. એટલે આ કોઈ હિંદુ રાજ નથી પણ બિનસાંપ્રદાયિક એથી સૌનું રાજ છે, એ મુદ્દો સ્વાભાવિક જ બંધારણ સભાની ચર્ચાઓમાં નાનાવિધ ઝોકફેરે અને અભિપ્રાયભેદે પણ ઊપસી રહ્યો.

રાજ્યપાલ રવિ અંતે તો કેન્દ્રની ભા.જ.પ. સરકારની નિયુક્તિ છે. એટલે ઇતિહાસવસ્તુ તરીકે એક વાત એમના વળના ભિલ્લુઓના ધ્યાન પર લાવવી જોઈશે કે ભા.જ.પે. પણ જનસંઘના જનતા અવતારના વારાથી ખરો કે ખોટો એવો જાહેર અભિગમ જરૂર લીધો છે કે અમે પોઝિટિવ કહેતાં સકારાત્મક સેક્યુલરિઝમમાં માનીએ છીએ. અલબત્ત, જનતા અવતાર પછી છૂટા પડ્યા બાદ એનું રાજકારણ ઝીણાના હિંદુ અડધિયા જેવું થઈ ગયું એ હકીકત છે.

અધૂરામાં પૂરું, રાજ્યપાલ રવિએ સંભાર્યું છે કે ભારત એક ધર્મકેન્દ્રી દેશ છે, એ વળી ધર્મથી અળગો એટલે કે સેક્યુલર થઈ શકે? શા સારુ થાય? ભાઈ, આ ધર્મ કોઈ હિંદુ કે મુસ્લિમ કે ઇસાઇપારસી અર્થમાં નથી. આપણા સમયમાં વિવેકાનંદ ને ગાંધીએ જે ધર્મજીવનનો મહિમા જીવી જાણ્યો એ કોઈ સંપ્રદાયની કંઠીરૂપ નહોતો. એમની ધર્મદૃષ્ટિ અને હિંદુત્વ રાજનીતિ વચ્ચે છત્રીસનો સંબંધ છે.

થોડીક સારરૂપ ચર્ચા પછી વિસ્તારભયે અહીં અટકતી વેળાએ એટલું જ પૂછવું રહે કે વિધાનસભાના સત્રારંભે રાજ્યપાલના વિધિવત સંબોધનમાંથી સેક્યુલરિઝમ જેવા શબ્દોની બાદબાકીનો અભિગમ સન્માન્ય રવિજીનો રહ્યો હોઈ એમનાં આ બધાં વિધાનોમાંથી કેન્દ્રની ભા.જ.પી. સરકારને ઇષ્ટ રાજકારણી બૂ તો નથી ઊઠતી ને.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 25 સપ્ટેમ્બર 2024

Loading

‘કાશીનો દીકરો’ અને એની ‘બીજી બા’

સોનલ પરીખ|Opinion - Opinion|26 September 2024

સંતાનના જન્મ સાથે મા પણ જન્મે છે અને સંતાનના ઉછેરના વિવિધ તબક્કા સાથે મા પણ ઉછરતી જાય છે. સંતાન માટે પ્રેમ અને ત્યાગમાં સમજ અને મેચ્યોરિટી પણ ઉમેરાતાં જાય ત્યારે સંતાન સાથેના એના સંબંધમાં નવાં સુંદર પરિમાણો ઊઘડતાં જાય છે.  

માતૃત્વ લોહીના સંબંધો પૂરતું સીમિત છે કે એની બહાર પણ એ હોઈ શકે? જે કસોટીમાં મા તવાય છે, ઘવાય છે, નીચોવાય છે, વલોવાય છે; માતૃત્વની એ કસોટી એની કુખેથી જન્મ લીધેલા સંતાન સિવાયના કોઈ માટે પણ હોઈ શકે?

અમુક સંબંધો જીવનભરની સાધના હોય છે. એના ‘ડે’ હોય નહીં. જેમ કે મધર્સ ડે. માતૃત્વ એક શાશ્વત અનુભૂતિ છે. સમય અનુસાર, વ્યક્તિત્વ પ્રમાણે અભિવ્યક્તિ થોડી બદલે એમ બને; પણ મા, મા જ રહે છે. સંતાનનું કુશળક્ષેમ હંમેશાં હૈયે રાખતી અને એને માટે જાત ઘસી નાખતી મા દરેક વ્યક્તિ, દરેક ઘર માટે વરદાન છે. મે મહિનાનો બીજો રવિવાર એટલે મધર્સ ડે – જીવનમાં માતાએ જે પ્રદાન કર્યું છે તેને માટે કૃતજ્ઞ થવાનો દિવસ. સંતાનના જન્મ સાથે માનો પણ જન્મ થાય છે અને સંતાનના ઉછેરના વિવિધ તબક્કા સાથે મા પણ ઉછરતી જાય છે. સંતાન માટે પ્રેમ અને ત્યાગ તો એના લોહીમાં હોય જ છે; પણ એની સમજ, એની મેચ્યોરિટી પણ સાથે સાથે ખીલતાં જાય ત્યારે સંતાન સાથેના એના સંબંધમાં નવાં સુંદર પરિમાણો ઉમેરાતાં જાય છે.

માતૃત્વ લોહીના સંબંધો પૂરતું સીમિત છે કે એની બહાર પણ એ હોઈ શકે? જે કસોટીમાં મા તવાય છે, ઘવાય છે, નીચોવાય છે, વલોવાય છે; માતૃત્વની એ કસોટી એની કુખેથી જન્મ લીધેલા સંતાન સિવાયના કોઈ માટે પણ હોઈ શકે? સમય પલટાઈ રહ્યો છે અને ‘પહેલાં માતાપિતાનું માનવું, પછી પતિ કહે એમ જીવવું ને ત્યાર પછી સંતાનો ઈચ્છે તેમ કરવું … તો સ્ત્રી પોતાની જિંદગી ક્યારે જીવે’ એવો સવાલ છેલ્લા થોડા દાયકાથી પુછાઈ રહ્યો છે ત્યારે યાદ આવે છે કાશી. એવી એક મા, જેના માતૃત્વની ધારા અનેક કસોટીઓ વચ્ચે પણ વહેતી રહી – પોતાની કુખેથી જન્મેલા સંતાન માટે જ નહીં, પણ તેનાથી પણ અદકેરા એવા માનસ-સંતાન માટે પણ. મધર્સ ડે નિમિત્તે યાદ કરીએ કાશીના દીકરાને અને એની બીજી બાને.

વિનોદિની નીલકંઠ

આ કાશી એટલે વિનોદિની નીલકંઠની વાર્તા ‘દીકરો’ની અંબા. કાન્તિ મડિયાએ દોઢ પાનાંની એ વાર્તા પરથી બનાવેલી ફિલ્મમાં એનું નામ કાશી રાખ્યું. પણ વાર્તા અને ફિલ્મ બંનેમાં એનું જે નામ છે, ‘બીજી બા’ એ જ એનું સાચું નામ છે. આ ‘કાશીનો દીકરો’ ફિલ્મ ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાઈ ને બિરદાવાઈ. ગરબા, લોકકથા અને કેડિયા-ધોતિયાવાળી ગુજરાતી ફિલ્મોના એ દોરમાં ‘કાશીનો દીકરો’એ વિવેચકોનું ધ્યાન ખેંચેલું, થોડા પુરસ્કાર મેળવેલા અને કલ્ટ ફિલ્મ તરીકે આજે પણ એનું નામ લેવાય છે એ ખરું, પણ દર્શકોએ તેની સદંતર ઉપેક્ષા કરી હતી અને એક તબક્કે કાન્તિ મડિયાએ દુ:ખ સાથે કહેવું પડ્યું હતું કે રોક્યા હતા તેના પોણા ભાગના પૈસા પણ પાછા આવ્યા હોત તો હું બીજી કોઈ સાહિત્યકૃતિ પરથી ફિલ્મ બનાવત.

આપણે વાત કરીએ બીજી બાની. કાશી પરણીને આવી ત્યારે એની સાસુના ખોળામાં બે વર્ષનો દીકરો રમતો હતો. સાસુએ એને કાશીની ગોદમાં મૂક્યો ને કહ્યું, ‘જો કેશવા, આ તારી બીજી બા.’ નાનકડો કેશવ પોપટની જેમ બોલ્યો, ‘બીજી બા’ અને એ ઘડીથી કાશી એની મા બની ગઈ. કેશવ એની બીજી બા પાસે એવું લાલનપાલન પામવા લાગ્યો કે કાશીના પતિ અંબાલાલને ક્યારેક એના નાના ભાઈની અદેખાઈ આવી જતી. સમય જતાં કાશીને પોતાનો દીકરો થયો. એ પણ કાશીને બીજી બા જ કહેતો અને કેશવ યુવાન થયો ને રૂપકડી વહુ લાવ્યો એ પણ એને બીજી બા જ કહેવા લાગી.

પણ સુખી કુટુંબને નજર લાગી. લગ્ન પછી તરત કેશવ એરુ આભડવાથી મૃત્યુ પામ્યો. તરુણ રમાને વૈધવ્યવેશમાં જોઈને કાશીને ખૂબ સંતાપ થતો, ‘મારા જ કોઈ પાપે કેશવો ચાલ્યો ગયો.’ એણે રંગીન વસ્ત્રો છોડ્યાં. સૌભાગ્યચિહ્ન સમા ચાંદલા સિવાય તમામ શણગાર છોડ્યા. રમાને પિયર મોકલી સારું ઠેકાણું જોઈ પરણાવી દેવી જોઈએ એવું કાશી અને અંબાલાલ વિચારતા હતા, પણ રમા તૈયાર ન થઈ – ‘બીજી બા, મારી ગાંઠ એમની સાથે બંધાઈ ચૂકી. હવે તો એમનાં સંભારણાં એ જ મારો સંસાર.’ કાશીએ બહુ સમજપૂર્વક યુવાન વિધવાને જીવનભર સાચવવાની કપરી જવાબદારી સ્વીકારી.

અંબાલાલને નાના ભાઈના મૃત્યુનો આઘાત તો લાગ્યો હતો, પણ પાંચ-છ મહિને એનું શરીર જાગ્યું અને કાશીના શરીરને માગવા લાગ્યું. કાશી ઢીલી થઈ જતી, ‘સુખ ભોગવવા જેવડો કેશવ ચાલ્યો ગયો, બિચારી વહુ – એના તો મોઢે સુધી આવીને કોળિયો ઝૂંટવાઈ ગયો. આપણે તો આટલા વરસ ભોગવ્યું છે. હું જાણું છું, વારેવારે ના પાડીને હું અસ્ત્રી તરીકેનો ધરમ ચૂકું છું. પણ તમારે પગે પડું છું, મને માફ કરો.’ અંબાલાલ પછી કશું બોલતો નહીં. એક વાર કાશી બહારગામ હતી અને અંબાલાલ રમા પર બળજબરી કરી બેઠો. પાછા આવીને રમાનો ગભરાટ અને અંબાલાલનો ભીતિભર્યો અપરાધભાવ જોઈ કાશીને પરિસ્થિતિ સમજાઈ ગઈ. તેણે આમાં પણ પોતાનો જ વાંક જોયો – પોતે પતિને શરીરસુખથી વંચિત રાખ્યો અને રમાને એકલી છોડીને ગઈ એથી આ થયું. માંડ કડવો ઘૂંટડો ગળે ઉતાર્યો ત્યાં ખબર પડી કે રમા સગર્ભા છે.

કાન્તિ મડિયા

ખોરડાની આબરૂ સાચવવા કાશીએ કમર કસી. આડોશપડોશમાં દેખાવ એવો કર્યો કે પોતે સગર્ભા છે. રમાનું શરીર ચાડી ખાય એ પહેલા કાશી એને લઈને નીકળી ગઈ. દૂર ક્યાંક જઈ રમાને સધવાનો પોષક પહેરાવ્યો અને તેને પોતાની દીકરી જણાવી કાશીએ રમાની સુવાવડ કરાવી. ‘શું કહું, મારી મહિનો ગણવામાં ભૂલ થઈ કે આ વહેલો આવી ગયો, અમે તો તીર્થયાત્રામાં જ …’ કહેતાં રમા અને બાળકને લઈ ઘેર પછી ફરી. પાડોશણો કહે, ‘કાશી, તું તો સાવ લેવાઈ ગઈ.’ કાશીએ જવાબ આપ્યો, ‘આ ઉંમરે સુવાવડ વેઠવી સહેલી છે, બાઈ?’ કોઈએ કહ્યું, ‘દીકરો અંબાલાલભાઈ જેવો જ લાગે છે.’ ત્યારે કાશી બોલી, ‘એમ? દીકરો બાપ જેવો લાગે એમાં શી નવાઈ, પણ મને તો આ મારા કેશવ જેવો જ લાગે છે.’

પછી સૌના દેખતા તેણે રમાને બોલાવી અને તેના હાથમાં બાળક આપતાં બોલી, ‘આમ જ એક વાર મારાં સાસુએ કેશવને મારા ખોળે મૂક્યો હતો. હું આ બાળક તને સોંપું છું. મારાથી આ ઉંમરે આની વેઠ થશે નહીં, ને તારું ય ચિત્ત આનામાં પરોવાયેલું રહેશે. હું અભાગણી મારા કેશવને ન સાચવી શકી, પણ તું આને જરૂર સાચવજે.’ વહેતાં આંસું લૂછીને તેણે રમાનો દીકરો રમાને સોંપ્યો.

સિને ઇન્ડિયા ઇન્ટરનેશનલ અને નરેશ પટેલ નિર્મિત આ ફિલ્મમાં પટકથા-સંવાદ પ્રબોધ જોશીનાં અને દિગ્દર્શન કાંતિ મડિયાનું હતું. આધુનિક ગુજરાતી કવિઓનાં ઉત્તમ ગીતોને પસંદ કરીને સંગીતકાર ક્ષેમુ દિવેટિયાએ સંગીતબદ્ધ કર્યાં હતાં – એવા રે મળેલા મનના મેળ (બાલમુકુન્દ દવે), ગોરમાને પાંચે આંગળિયે પૂજ્યાં (રમેશ પારેખ), રોઈ રોઈ ઊમટે આંસુની નદી (માધવ રામાનુજ), મારી આંખે કંકુના સૂરજ આથમ્યા (રાવજી પટેલ) ને ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયાં (અનિલ જોશી). રાગિણી, રાજીવ, રીટા ભાદુરી, ગિરીશ દેસાઈ અને કાંતિ મડિયા મુખ્ય કલાકાર હતાં. 21 વર્ષની રાગિણીએ 50-60 વર્ષની કાશીની ભૂમિકા ખૂબ સરસ રીતે કરી હતી. એની આંખો ઘણું બોલતી હતી. માતૃત્વસભર સ્ત્રીની આંખોમાં એક જાતની કરુણા અને કરુણતા બંને હોય છે, જે તેની આંખોમાં દેખાતી હતી. ‘રોઈ રોઈ આંસુની ઊમટે નદી તો એને કાંઠે કદમ્બવૃક્ષ વાવજો, વાદળ વરસે ને બધી ખારપ વહી જાય પછી ગોકળિયું ગામ ત્યાં વસાવજો’ આવું માધવ રામનુજે આવી જ કોઈ આંખોને જોઈ લખ્યું હશે.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 12 મે  2024

Loading

જવાબદાર માનવી અને નાગરિક તરીકે સાવધ રહો

રમેશ ઓઝા|Opinion - Opinion|26 September 2024

અહીં એક પ્રશ્ન વિચારવો જોઈએ. શું નવી ટેકનોલોજીએ જૂની ટેકનોલોજીને પરાસ્ત કરી?

રમેશ ઓઝા

ન્યાયમૂર્તિ પી.બી. સાવંત અને ન્યાયમૂર્તિ માર્કન્ડેય કાત્જુ અનુક્રમે ૧૯૯૫થી ૨૦૦૧ અને ૨૦૧૧થી ૨૦૧૪નાં વર્ષોમાં પ્રેસ કૌંસિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ હતા. આ બેનો ઉલ્લેખ એટલા માટે કરવો જોઈએ કે તેમણે દેશમાં મીડિયાનાં નીચે જતાં નૈતિક ધોરણો અને ઘટતી વિશ્વાસાર્હતા વિષે દેશનું ધ્યાન દોર્યું હતું અને ઉપાય સૂચવ્યો હતો કે પ્રેસ કાઉન્સિલ કે એના જેવી કોઈ બૉડી હોવી જોઈએ જે મીડિયાનું નિયમન કરે. દોષી મીડિયાની માત્ર નિંદા કરવાથી કામ નહીં ચાલે, તેને સજા પણ થવી જોઈએ. ન્યાયમૂર્તિ સાવંતના સમયમાં હજુ ચોવીસ કલાકની ન્યુઝ ચેનલો નહોતી આવી અને ન્યાયમૂર્તિ કાત્જુના સમયમાં ચોવીસ કલાકની ટી.વી. ન્યુઝ ચેનલોએ તેની તાકાતનો પરિચય કરાવી દીધો હતો, નૈતિકતાનાં કથળતાં ધોરણોનો પણ પરિચય કરાવી દીધો હતો, પણ હજુ નીચતાનો પરિચય થવાનો બાકી હતો.

એ સમયે અખબારો અને ટી.વી. ચેનલોના માલિકોએ અને કેટલાક પત્રકારોએ દલીલ કરી હતી કે આને માટે શાસન નહીં, અનુશાસન હોવું જોઈએ. દોષીને દંડવાનો અધિકાર જો સરકારને આપવામાં આવશે તો પત્રકાર તેનું સ્વાતંત્ર્ય ગુમાવશે જે લોકતંત્રનો ચોથો મહત્ત્વનો સ્તંભ છે. પત્રકારત્વ અનુશાસિત હોય એ માટે પ્રયત્નો કરવામાં આવશે. રાજદીપ સરદેસાઈ અને બીજાઓ આવી દલીલ કરવામાં મોખરે હતા, જેમાંથી કેટલાક ગોદમાં બેસીને શાસકોની ખિદમત કરે છે અને બીજા કેટલાક અત્યારે બોલવાની પણ હિંમત ધરાવતા નથી. આનું પરિણામ એ આવ્યું કે પ્રિન્ટ હોય કે ઇલેક્ટ્રોનિક, મીડિયાએ તેની આબરૂ ગુમાવી દીધી છે. ભક્ત પણ જાણે છે કે આ ખોટું છે, પણ મને ગમે છે એટલે મને ગ્રાહ્ય છે. આવા જૂઠને ગ્રહણ કરવા માગનારાઓ માટે અને તેને જાણીબૂજીને આગળ ફેલાવવા માગનારાઓ માટે ગોદી મીડિયા કામ કરે છે. જે આટલી હદે નીચે નથી જતા એ મૂંગા રહે છે. સત્ય અને નૈતિકતાનો પક્ષ લઈને બોલનારા લગભગ કોઈ નથી.

આપલેની સમજૂતી હતી અને દર્શકો અને વાચકો જે આપવામાં આવે તેનું ગ્રહણ કરતા હતા. પણ આ યુગ એવો છે જેમાં ચિરંજીવી તો છોડો, દીર્ઘજીવી પણ કોઈ નીવડતું નથી. ઝડપભેર ટેકનોલોજી બદલાય છે. ધીરે ધીરે ગ્રહણ કરનારાઓની સંખ્યા ઘટવા લાગી. કેટલાકની આંખ ઊઘડી, કેટલાકને બેવકૂફ બનવા માટે શરમ આવવા લાગી અને કેટલાક તારસ્વરે ભજવાતી ભવાઈથી કંટાળી ગયા. રોજરોજ એ જ જમવાનું જે જમાડવામાં આવે! બીજી બાજુ ડિજીટલ મીડિયાની વગ વધવા લાગી. એટલી હદે વધી ગઈ કે ઇલેક્ટ્રોનિક મીડિયા અત્યારે તેની વગ ગુમાવી રહ્યા છે. આજે વૃદ્ધો અને બેવકૂફોને છોડીને કોઈ ટી.વી. પર ચાલતી ડિબેટ જોતા નથી. ઇલેક્ટ્રોનિક મીડિયાની સ્થિતિ એવી છે કે ગુમાવેલા સમજદાર દર્શકો હવે પાછા મળી શકે એમ નથી એટલે જેને મારી નાખું કાપી નાખુંનો ભવાઈનો ખેલ ગમે છે તેને માટે ભવાઈનો ખેલ ભજવવો પડે છે. ઘણા લોકોનું એવું અનુમાન હતું કે ૨૦૨૪નાં ચૂંટણીનાં પરિણામો પછી ગોદી મીડિયા ‘શોલે’ ફિલ્મની પાણીની ટાંકી પરથી નીચે ઉતરશે, પણ એવું બન્યું નથી. કિકિયારીઓ કરનારાઓ અને સીટીઓ વગાડનારાઓ સિવાય કોઈ ઓડિયન્સમાં આવે એમ નથી એટલે એ જ ખેલ ચાલી રહ્યો છે. આ નાછૂટકાનો ખેલ છે, પણ ભજવવો પડે છે, બાકી તેમને પણ ખબર છે કે આ લાંબો સમય ચાલે એમ નથી. તેમને એ પણ જાણ છે કે જેના લાભાર્થે ખેલ ભજવવામાં આવે છે તેને જ્યારે લાભ મળતો બંધ થઈ જશે ત્યારે તે પણ રઝળતા મૂકીને જતા રહેશે. ૨૦૨૪ની ચૂંટણીએ બતાવી આપ્યું છે કે ગોદી મીડિયા કામનાં રહ્યા નથી.

ન્યાયમૂર્તિ સાવંતથી વાયા ન્યાયમૂર્તિ કાત્જુ મીડિયાની આ ત્રણ દાયકાની યાત્રા છે જેમાં હવે અનુશાસનની તો કોઈ વાત જ નથી કરતું. ઓછામાં પૂરું ડિજીટલ મીડિયાની વગ કૂદકે ને ભૂસકે વધી રહી છે અને તેનું આખું જુદું વિશ્વ છે. લાગત ઓછી અને પહોંચ વધારે.

અહીં એક પ્રશ્ન વિચારવો જોઈએ. શું નવી ટેકનોલોજીએ જૂની ટેકનોલોજીને પરાસ્ત કરી? આવું બનતું હોય છે. એક જમાનામાં નોકિયા પાસે મોબાઈલ ફોનનું ૯૦ ટકા માર્કેટ હતું અને અત્યારે તમે જાણો છો કે માત્ર એક દાયકામાં સમૂળગી કંપની જ ઊઠી ગઈ. પણ અહીં સાવ એવું નથી. ઉદાહરણ આપવું હોય તો ‘અલ ઝઝીરા’નું આપી શકાય. ‘અલ ઝઝીરા’ અને તેના જેવી બીજી કેટલીક ટી.વી. ન્યુઝ ચેનલના દર્શકોમાં ઉમેરો થઈ રહ્યો છે. એવી જ રીતે કેટલાક અખબારો તરફ પણ વાચકો પાછા વળી રહ્યા છે. પ્રિન્ટ નહીં તો ડિજીટલ ફોરમેટમાં પણ લોકો છાપા વાંચતા થયા છે. પણ આ લાભ એને મળી રહ્યો છે જે ભરોસાપાત્ર છે. જે કોઈના વાજિંત્ર નથી બન્યાં, સ્વતંત્ર અવાજો છે. તો ટેકનોલોજીએ ઇલેક્ટ્રોનિક મીડિયાને ખતમ નથી કર્યા, લોકોનો ભરોસો ગુમાવ્યો તેને કારણે ખતમ થયાં છે.

હવે કસોટી ડિજીટલ મીડિયાની થવાની છે. એમાં પણ ખોટા સિક્કા ઘણાં છે અને ઉમેરાઈ રહ્યા છે. માત્ર નરેન્દ્ર મોદીની તરફેણમાં નહીં તેમનો વિરોધ કરનારાઓમાં પણ ખોટા સિક્કાની ભરમાર છે. તેમને ખબર છે કે ધ્રુવીકરણના આ યુગમાં નરેન્દ્ર મોદી માટે અણગમો ધરાવનારાઓ પણ મોટી સંખ્યામાં છે અને તેમાં વધારો થઈ રહ્યો છે. નરેન્દ્ર મોદીનું સમર્થન અને વિરોધ કરનારાઓનું પ્રમાણ લગભગ ૩૦:૭૦નું છે. તેમને આમાં કમાવાની તક નજરે પડે છે અને એટલે તેઓ જૂઠ, અર્ધસત્ય અને વધુ તો અતિશયોક્તિનો સહારો લે છે. તમે ભલે નરેન્દ્ર મોદીના વિરોધી હો, પણ પહેલાં માણસ છો જેને ઈશ્વરે બુદ્ધિ આપી છે, વિવેક કરવાની શક્તિ આપી છે, પોતાનાં પોતાનાં સંતાનનાં અને એકંદરે સમાજનાં વ્યાપક હિતને પારખવાની દૃષ્ટિ આપી છે. હાથમાં છાપું હોય કે રીમોટ હોય કે મોબાઈલ, માણસ હોવાનું ભાન નહીં ભૂલતા. નહીં તો તમારી સ્થિતિ ઉકરડામાં કચરો ફેંદનારા ભૂંડ જેવી થશે. કચરો આનો હોય કે પેલાનો એનાથી કોઈ ફરક નથી પડતો. બીજું, તમે કયા મોઢે ભક્તોની ઠેકડી ઉડાડશો? માટે એક જવાબદાર માનવી અને નાગરિક તરીકે સાવધ રહો.

રહી વાત શાસકોની તો એ બિચારા આ નવી સ્થિતિથી કેમ કામ પાડવું એની તજવીજમાં છે. તેમને ડિજીટલ મીડિયાની વધતી વગની જાણ છે અને તેમને એ પણ જાણ છે ભક્તો કરતાં વિરોધીઓની સંખ્યા ઘણી મોટી છે અને તેમાં વધારો થઈ રહ્યો છે. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીને એ લોકો પ્રભાવિત કરશે એની પણ તેમને જાણ હતી એટલે સામાન્ય ચૂંટણીની પૂર્વસંધ્યાએ ૨૦૨૩ની સાલમાં તેમણે ૨૦૨૧ના ઇન્ફોર્મેશન ટેકનોલોજી નિયમન ધારામાં સુધારો કરીને ફેક્ટ ચેક યુનિટની રચના કરવાની જોગવાઈ કરી હતી. આ યુનિટની રચના સરકાર કરે જે નક્કી કરે કે ડિજીટલ મીડિયા પર આપવામાં આવેલી માહિતી સાચી છે કે ખોટી. જો ખોટી હોય તો તેને હટાવી દેવાનું ડિજીટલ મીડિયા હેન્ડલરને કહેવામાં આવે અને જો ન હટાવે તો સજા કરવામાં આવે.

નક્કી કોણ કરે? સરકારે પસંદ કરેલા માણસો. એ લોકો વિરોધીઓની સાચી માહિતી ખોટી ઠેરવે અને ગોદીજનોની ખોટી માહિતી સામે આંખ આડા કાન કરે અને જો કોઈ ફરિયાદ કરે તો સાચી ઠેરવે. જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરાએ આ જોગવાઈ મુંબઈની વડી અદાલતમાં પડકારી. સુનવાઈ ન્યાયમૂર્તિ ગૌતમ પટેલ અને ન્યાયમૂર્તિ નીલા ગોખલેની અદાલતમા ચાલી હતી. ગયા જાન્યુઆરી મહિનામાં બન્ને જજોએ અલગ અલગ અને એકબીજાની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો હતો. ગૌતમ પટેલે કહ્યું હતું એ આ જોગવાઈ બંધારણની વિરુદ્ધ છે. અભિવ્યક્તિ સ્વતંત્રનો આમાં ભંગ થાય છે. દેશ હિતમાં જરૂરી હોય એટલાં જ માફકસરનાં નિયંત્રણોની જે અપેક્ષા છે એનાં કરતાં આમાં વધારે નિયંત્રણની શક્યતા નજરે પડે છે, કારણ કે સરકાર પોતે નિયંત્રણોમાં ફાયદો જોનાર અને મેળવનાર એક પક્ષ છે. ન્યાયમૂર્તિ નીલા ગોખલેએ ચુકાદો આપ્યો હતો કે સાચી માહિતી તો સરકાર પાસે જ હોય ને! લોકો પાસે ખોટી માહિતી હોઈ શકે અને એ જનતા સુધી ન પહોંચે એટલા માટે સરકારે કાયદામાં સુધારો કર્યો છે. અહીં માત્ર એટલું જ કહેવાનું કે સરકાર સાચી માહિતી ધરાવતી હોય અને એ માહિતીના આધારે સાચો પક્ષ લેતી હોય તો અદાલતો સરકારને સંડોવતા ખટલા શા માટે સાંભળે છે? ભારતમાં ૮૦ ટકા કેસોમાં સરકાર કાં ફરિયાદી છે અથવા બચાવ પક્ષે છે.

ખેર, એ કેસ ત્રીજા ન્યાયમૂર્તિ શરદચન્દ્ર ચાંદુરકરની અદાલતમાં રીવ્યુ માટે મોકલવામાં આવ્યો અને તેમણે ૨૦મી સપ્ટેમ્બરે ન્યાયમૂર્તિ ગૌતમ પટેલ સાથે સંમત થતો ચુકાદો આપ્યો. હવે સરકાર કદાચ સર્વોચ્ચ અદાલતમાં અપીલમાં જશે.

ડિજીટલ મીડિયાને અંકુશમાં લેવા સરકાર દરેક પ્રકારના ઉધામા કરવાની છે. એક યુટ્યુબરને જાણીતા ગુજરાતી ઉદ્યોગપતિએ ખરીદી લીધો હોવાની ખબર આવી છે. ગોદી યુટ્યુબરો પણ મેદાનમાં આવી રહ્યા છે. પણ સમસ્યા એ છે કે ડિજીટલ મીડિયાનું સ્વરૂપ અર્થતંત્ર અલગ છે અને તેને દબોચવું સહેલું નથી.

પણ આપણે એક સ્વતંત્ર અને વિવેકી માણસ છીએ. સત્ય અને જૂઠા પ્રચાર વચ્ચે નીરક્ષીર વિવેક કરતાં માણસને આવડે છે. તમે વિવેકી આચરણ કરશો તો ખોટા લોકો એની મેળે નિરસ્ત થઈ જશે. યાદ રહે, એ લોકોનું અસ્તિત્વ તમારા થકી છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 26 સપ્ટેમ્બર 2024

Loading

...102030...509510511512...520530540...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved