Opinion Magazine
Number of visits: 9557376
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એ 31મે-એ મોહનની સક્રિય અહિંસાની શરૂઆત થઈ હતી …

સોનલ પરીખ|Gandhiana|28 September 2024

ગાંધીજી લખે છે, ‘પિટરમેરિત્સબર્ગ અનુભવે મારા જીવનને નવો વળાંક આપ્યો. મારી સક્રિય અહિંસાની શરૂઆત એ દિવસથી થઇ.’ હકીકતે એ બનાવે ગાંધીજીના જીવનને જ નહીં, દક્ષિણ આફ્રિકાના, ભારતના, બ્રિટનના અને અમુક રીતે દુનિયાના ઇતિહાસને નવો વળાંક આપ્યો એમ કહી શકાય. 23 વર્ષના મોહનને મરાયેલો એ ધક્કો અંગ્રેજોને ઘણો મોંઘો પડી ગયો.

ડરબન બંદરે શેઠ અબ્દુલ્લા પોતે મોહનને લેવા આવ્યા હતા. સ્ટીમર ડક્કામાં આવી અને નાતાલના લોકો પોતાના મિત્રોને લેવા સ્ટીમર પર આવ્યા ત્યાં જ મોહનને સમજાઈ ગયું અહીં હિંદીઓનું બહુ માન નથી. અબ્દુલ્લા શેઠને ઓળખનારા જે પ્રમાણે વર્તતા હતા તેમાં ય એક પ્રકારની તોછડાઈ એને દેખાતી હતી. અબ્દુલ્લા શેઠને જાણે આ તોછડાઈ સદી ગઈ હતી.

બે દિવસ પછી તેઓ મોહનને ડરબનની કોર્ટ જોવા લઈ ગયા. ત્યાં કેટલીક ઓળખાણો કરાવી. કોર્ટમાં તેમના વકીલની પાસે મોહનની બેસવાની ગોઠવણ કરી. મેજિસ્ટ્રેટ મોહન સામે જોયા કરતો હતો. તેણે મોહનને પાઘડી ઉતારવા કહ્યું. મોહને તે ઉતારવાની ના પાડી અને કોર્ટ છોડી, કેમ કે પાઘડી ઉતારવી એટલે માનભંગ સહન કરવો. તેણે તો આખો કિસ્સો અને પોતાના તેમ જ પાઘડીના બચાવનો કાગળ અખબારને મોકલ્યો. અખબારમાં એની પાઘડીની ચર્ચા ઘણી ઉપડી. ‘અનવેલકમ વિઝિટર’ તરીકે મોહન છાપે ચડ્યો. કોઈએ એનો પક્ષ લીધો તો કોઈએ એની ઉદ્ધતાઈની ટીકા કરી.

આ બનાવ બન્યો હતો 1893ની 26મી મેએ, દક્ષિણ આફ્રિકા આવ્યા પછી તરત. મોહનદાસ કરમચંદ ગાંધીની ઉંમર ત્યારે 23-24 વર્ષની. 19માં વર્ષે તેઓ બેરિસ્ટર થવા ઇંગ્લેન્ડ ગયા, આવીને બે વર્ષ કઠિયાવાડમાં અને મુંબઇમાં વકીલાત કરી. વકીલાત તો ચાલી નહીં, પણ અનુભવસમૃદ્ધિ ચોક્કસ વધી. શ્રીમદ્દ રાજચંદ્રનો આંતરિક ભરપૂરતા વધારનાર સંસર્ગ પણ આ જ વર્ષોમાં થયો હતો.

પાઘડીના બનાવ પછી પાંચમે દિવસે એટલે કે વર્ષ 1893ની 31મી મેએ પિટરમેરિત્સબર્ગ ઘટના બની. તેઓ પ્રિટોરિયા જવા માટે ટ્રેનમાં બેઠા. ફર્સ્ટક્લાસની ટિકિટ હોવા છતાં અશ્વેત હોવાને કારણે થર્ડ ક્લાસમાં જવાનું કહેવામાં આવ્યું. એમ કરવાનો ઇન્‌કાર કર્યો ત્યારે પિટરમેરિત્સબર્ગ સ્ટેશન પર તેમને ફેંકી દેવામાં આવ્યા. જેમણે રિચર્ડ એડનબરોની ફિલ્મ ‘ગાંધી’ જોઈ છે તેમને યાદ હશે કે એ ફિલ્મની શરૂઆત આ જ દૃશ્યથી થઈ હતી. એ રાતે અપમાનથી સળગતા અને હાડ ગાળી નાખે એવી ઠંડીમાં થરથરતા, જ્યાં આવ્યાને અઠવાડિયું જ થયું છે એવા અજાણ્યા દેશમાં, અજાણ્યા સ્ટેશન પર ફેંકી દેવાયેલા યુવાન ગાંધીની મન:સ્થિતિ કેવી હશે? વિચારોનું કેવું ઘમસાણ ચાલ્યું હશે એમના મનમાં?

પિટરમેરિત્સબર્ગ રેલવે સ્ટેશન

‘સત્યના પ્રયોગો’માં તેઓ લખે છે, ‘મેં મારો ધર્મ વિચાર્યો : કાં તો મારે મારા હકોને સારું લડવું અથવા પાછા જવું, નહીં તો જે અપમાનો થાય તે સહન કરવાં ને પ્રિટોરિયા પહોંચવું, અને કેસ પૂરો કરો દેશ જવું. કેસ પડતો મૂકીને ભાગવું એ તો નામર્દી ગણાય. મારા ઉપર દુ:ખ પડ્યું તે તો ઉપરચોટિયું દરદ હતું; ઊંડે રહેલા એક મહારોગનું તે લક્ષણ હતું. આ મહારોગ તે રંગદ્વેષ. એ ઊંડો રોગ નાબૂદ કરવાની શક્તિ હોય તો દુ:ખ અને અપમાન સહન કરવાં અને તેનો વિરોધ રંગદ્વેષ દૂર કરવા પૂરતો જ કરવો.’ અને એણે બીજી ટ્રેનમાં ગમે તે રીતે પણ આગળ જવું જ એમ નિશ્ચય કર્યો.

એ પછી શું બન્યું? બીજા દિવસે સવારે ગાંધીજીએ રેલવેના મેનેજરને અને અબ્દુલ્લા શેઠને લાંબા તારથી વિગત જણાવી. શેઠ રેલવે મેનેજરને મળ્યા. મેનેજરે આગળનો પ્રવાસ નિર્વિઘ્ને થાય એવી સૂચના મોકલી અને ગાંધીજી ચાર્લ્સટાઉન તો પહોંચ્યા. રેલવે લાઈનો ત્યારે નવી નવી નખાતી હતી. ચાર્લ્સટાઉનથી જોહાનિસબર્ગ સિગરામ-ઘોડાગાડીમાં જવાનું હતું. ત્યાં એક રાતનું રોકાણ હતું. પછી ફરી ટ્રેન લેવાની હતી.

સિગરામના ગોરા માલિકે મોહનને ન બેસાડવા બહાના કાઢવા માંડ્યા. મોહને મક્કમતાથી વાત કરી એટલે બેસવા તો આપ્યું, પણ હૉટેન્ટોટ હાંકનાર પાસે. મોહનને અન્યાય સમજાયો, પણ તેને તકરાર કરવી ન હતી, તેથી કચવાઈને ત્યાં બેસવાનું સ્વીકાર્યું. થોડી વારે અંદર બેઠેલો એક ગોરો સિગરેટ પીવા બહાર આવ્યો અને એક મેલું ગુણપાટ હાંકનારના પગ પાસે પાથરી તેણે મોહનને કહ્યું, ‘ઊઠ, ત્યાં બેસ. મારે અહીં બેસવું છે.’ મોહને ના પાડી. પેલાએ એને ધમકાવ્યો, માર માર્યો.

રાત્રે હોટેલવાળાએ ‘અલાઉ’ ન કર્યો. અબ્દુલ્લા શેઠના પરિચિત વેપારીઓને નવાઈ ન લાગી – ‘આપણને હોટેલમાં થોડા ઉતરવા દે?’ સવારે બીજી ટ્રેન લેવાની હતી. ‘અહીં તો આપણને પહેલા કે બીજા વર્ગની ટિકિટ જ આપતા નથી.’ ગાંધીજીએ રેલવેના કાયદા જોયા. સ્ટેશન માસ્તરને મળ્યા. થોડી આનાકાની પછી, વચ્ચે કંઈ બને તો પોતાને સંડોવવો નહીં એ શરતે તેણે ફર્સ્ટક્લાસની ટિકિટ આપી. ગોરો ટિકિટચેકર એને ઉતારવા માગતો હતો. સાથી મુસાફર – એ પણ ગોરો જ હતો, તેણે ટિકિટચેકરને રોક્યો, ‘શા માટે એમને પજવો છો? રાતે એક અમેરિકન હબસીએ ‘ડાયનિંગ હોલમાં નહીં, રૂમમાં જ ખાવું પડશે’ એ શરતે હોટેલમાં રૂમ આપ્યો. પછી જો કે બધા સાથે ડાયનિંગ હોલમાં ખાવા દીધું. પ્રિટોરિયા જઈને આ આખા બનાવ અંગે ચર્ચા કરી ત્યારે સાંભળ્યું, ‘અહીં રહેવું હોય તો અપમાન સહન કરવાં જ પડે’.

યુવાન વયે મો.ક. ગાંધી

ગાંધીજી લખે છે, ‘આ આખા અનુભવે મારા જીવનને નવો વળાંક આપ્યો. મારી સક્રિય અહિંસાની શરૂઆત એ દિવસથી થઇ.’ હકીકતે એ બનાવે ગાંધીજીના જીવનને જ નહીં, દક્ષિણ આફ્રિકાના, ભારતના, બ્રિટનના અને અમુક રીતે દુનિયાના ઇતિહાસને નવો વળાંક આપ્યો એમ કહી શકાય. ગાંધીજીને મરાયેલો એ ધક્કો અંગ્રેજોને ઘણો મોંઘો પડી ગયો.

ગાંધીજીને ઉતારી પાડનારાઓની વાતો વગર સમજ્યે માની લઈને હો-હા કરતા યુવાનોને એમની આ ઠંડી તાકાતની પ્રતીતિ છે? ત્યાર પછી મોહને કેસના કામ સાથે દક્ષિણ આફ્રિકામાં વસતા ભારતીયોની સ્થિતિનો અભ્યાસ કર્યો. પ્રિટોરિયામાં જ એક સભા ભરી આખો ચિતાર ત્યાંનાં ભારતીયો સમક્ષ મૂક્યો. એ એનું પહેલું ભાષણ હતું. એમાં એણે સત્ય પર ખૂબ ભાર મૂક્યો હતો. વેપાર કે વ્યવહારમાં શુદ્ધ સત્ય ન ચાલે એવી માન્યતાનો એ ભાષણમાં સારી પેઠે વિરોધ કર્યો અને વેપારીઓને કહ્યું કે એમની ફરજ બેવડી છે. પરદેશમાં આવવાથી એમની જવાબદારી દેશમાં હોય તે કરતાં વધે છે કેમ કે ખોબા જેટલા ભારતીયોની રહેણીકરણી પરથી કરોડો ભરતવાસીઓનું માપ થાય છે. અંગ્રેજોની સરખામણીમાં ભારતીયોની રહેણીમાં રહેલી ગંદકી તરફ પણ ધ્યાન ખેંચ્યું, ધર્મ અને ભાષાના ભેદો ભૂલી જવા પર ભાર મૂક્યો અને છેવટે એક મંડળ સ્થાપી ભારતીયોને પડતી હાડમારીનો ઈલાજ અમલદારોને મળી અરજીઓ કરીને કરવો જોઈએ એમ સૂચવ્યું. તેમાં પોતે બનશે તેટલો વખત વગર વેતને આપશે એમ પણ જણાવ્યું. એમણે જોયું કે સભામાં આવેલા મોટાભાગનાને અંગ્રેજી ઘણું ઓછું આવડતું હતું. પરદેશમાં અંગ્રેજી જ્ઞાન હોય તો સારું, તેથી ગાંધીજીએ જેમને વખત હોય તેમને અંગ્રેજી શીખવવાની તૈયારી બતાવી અને મોટી ઉંમરે પણ અભ્યાસ થઈ શકે એવી પ્રેરણા આપી. સમયાંતરે વધુ સભાઓ ભરી, પ્રિટોરિયામાં રહેતા બ્રિટિશ એજન્ટને મળ્યા, રેલવે સત્તાવાળાઓ સાથે પત્રવ્યવહાર ચલાવ્યો અને સારાં કપડાં પહેર્યાં હોય તેવા ભારતીયોને ઉપલા વર્ગની ટિકિટ આપવામાં આવશે એવી લેખિત બાંહેધરી લીધી. એથી પૂરી સગવડ તો ન મળી, કેમ કે સારાં કપડાં કોણે પહેર્યાં એ તો સ્ટેશન માસ્ટર જ નક્કી કરે ને!

બ્રિટિશ એજન્ટ પાસેથી મોહનને કેટલાક કાગળો મળ્યા, જેના પરથી તેને ઓરેન્જ ફ્રી સ્ટેટમાંથી ભારતીયોનો પગ કેવી નિર્દયતાથી કાઢી નાખવામાં આવ્યો હતો તે જાણવા મળ્યું. પ્રિટોરિયામાં તેણે દક્ષિણ આફ્રિકાના ભારતીયોની આર્થિક, સામાજિક અને રાજકીય પરિસ્થિતિનો ઘણો અભ્યાસ કર્યો – એને તો એક વર્ષના અંતે અથવા કેસ વહેલો પૂરો થાય તો તે પહેલા દેશ જતું રહેવું હતું, છતાં. આ અભ્યાસનો પાછળથી પૂરો ઉપયોગ થવાનો હતો, એ એને ત્યારે ખબર નહોતી.

આવું હતું 23-24 વર્ષના મોહનનું અનુભવવિશ્વ અને વિચારવિશ્વ.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 26 મે  2024

Loading

મૂલ્યાંકન

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|27 September 2024

કિરણ બાજુના ગામમાંથી અમદાવાદ બસમાં અભ્યાસ કરવા માટે અપડાઉન કરતો હતો. બાપાને ખેતી હતી, પણ કિરણ બીજું જ વિચારતો હતો, કે ‘ચાર ભાઈ વચ્ચે વહેંચાતી ખેતી લાયક જમીન એના ભાગે તો ચોથા ભાગે જ આવશે એટલે જો હું વધુ અભ્યાસ કરીને સરકારી નોકરી કરું, અને મારો ભાગ જતો કરું, તો ખેતી લાયક જમીનના ત્રણ ભાગ પડે’ અને આ વાતની સંમતિ તેણે બાપા અને ભાઈઓ પાસેથી લઈ લીધી હતી. ઘરનાં બધાંના સહકાર સાથે તેણે આગળ અભ્યાસ ચાલુ રાખ્યો હતો. તેની ઇરછા કાયદાનો અભ્યાસ કરી વકીલ થવાની હતી, એટલે તે સખત મહેનત કરતો હતો.

બસ અમદાવાદથી ઉપડી હતી અને બસમાં સખત ગિરદી હતી. કંડક્ટર કિરણ પાસે આવ્યો, ત્યારે બસ અમદાવાદથી દૂર નીકળી ગઈ હતી. ટિકિટ લેવા માટે કિરણે ખિસ્સામાં હાથ નાખ્યો તો તેનું પાકીટ ગુમ હતું, ખિસ્સું કપાઈ ગયું હતું. તેણે કંડક્ટરને વાત કરી, કે મારું ખિસ્સું કપાઈ ગયું છે, તેમાં પૈસા અને ડેઇલી પાસ હતો. પણ, આજે કંડક્ટર નવો હતો એ કિરણને ઓળખતો નહોતો. કંડક્ટરે પહેલું ગામ આવતાં કિરણને ઉતરી જવા કહ્યું. કિરણે ઘણી વિનંતી કરી કે ‘તમે ટિકિટ આપો, હું મારું ગામ આવતાં પૈસા આપી દઈશ.’ કંડક્ટર ન માન્યો અને કિરણ બસમાંથી ઉતરી ગયો. ગામ સાવ અજાણ્યું હતું. વિચારમાં પડી ગયો શું કરવું? તેનું ગામ તો અહીંથી દૂર હતું.

કિરણે, બે-ત્રણ વ્યક્તિઓને પોતાની હકીકત કહી પણ કોઈએ સહકાર ન આપ્યો. છેલ્લે વિચાર્યું, ‘હવે આ ટેનામેન્ટમાં પ્રયત્ન કરી જોવું. બહાર નામની તકતીમાં નામ લખ્યું હતું, ‘વિશ્વનાથ પંડ્યા’ કિરણે ધીમેથી દરવાજો ખખડાવ્યો, બારણું ખુલ્યું.

“આવો ભાઈ, શું કામ છે?”

કિરણે હકીકત કહીને, પોતાના ગામ સુધી પહોંચવા માટે મદદ કરવા કહ્યું.

“ભલે, શું મદદ જોઈએ છે?”

“મને એક સો રૂપિયા આપો, હું તમને પાછા આપી જઈશ.”

“ભલે, વધારે જોઈતા હોય તો પણ કહો, આપણે એક બીજાના કામમાં આવીએ એ જ સાચો માનવ ધર્મ છે.”

•

“લો કાકા, આ પૈસા તમે તે દિવસે મદદ ન કરી હોત, તો મારી તો હાલત બગડી જાત, ખૂબ ખૂબ આભાર, કાકા.”

“અરે! બેટા, એ પૈસા પાછા ન લેવાના હોય.”

“પણ, કાકા તમારું ઋણ મારી ઉપર રહે.”

“તો બેટા, બાકી રાખ! મોકો મળે ઋણ ઉતારી દેજે.”

વિશ્વનાથ પંડ્યા સરકારી અધિકારી હતા. સારા હોદ્દા ઉપર હતા. તેના હસ્તક લાખોનાં ટેન્ડર પાસ થતાં હતાં. પોતે શુદ્ધ મનના અને શુદ્ધ વિચાર ધરાવતા વ્યક્તિ હતા. પોતે તો કંઈ ખોટું કરતા નહીં અને કોઈને ખોટું કરવા પણ નહોતા દેતા, એટલે અનિષ્ટ તત્ત્વોની આંખમાં કણાની જેમ ખૂંચતા હતા.

વિશ્વનાથ પંડ્યામાં એક સદ્દગુણ કહો તો સદ્દગુણ અને દુર્ગુણ કહો તો દુર્ગુણ, એ બધાં ઉપર અતિ વિશ્વાસ ધરાવતા અને બધાંને પોતાની જેવા જ માનતા. કિરણ ઘણી વાર વિશ્વનાથ પંડ્યાના ગામડે ઉતરી જતો. આમ બંને વચ્ચે સંપર્ક જળવાઈ રહ્યો હતો …

“લો કાકા, પેંડા. આજે મને વકીલાત કરવા માટેની સનદ મળી ગઈ, હવે હું વકીલાત કરી શકીશ.”

“હા, બેટા, તારું સ્વપ્ન પૂરું થયું.”

કિરણ, પોતાના વકીલાતના બિઝનેસમાં વ્યસ્ત થઈ ગયો હતો, એટલે વિશ્વનાથ કાકાને ઘણા સમયથી મળ્યો નહોતો. એક દિવસ ઘરે જતા રસ્તામાં વિશ્વનાથ કાકાને ત્યાં મળવા રોકાઈ ગયો. હવે તે ગામડેથી બાઇક ઉપર અપડાઉન કરતો હતો.

“કેમ, છો કાકા? આમ નંખાઈ ગયેલા કેમ લાગો છો?”

“શું કહું બેટા! મારી વર્ષોની નિષ્ઠા, તપસ્યા, શુદ્ધતા, ઉપર જોખમ ઊભું થયું છે. મેં એક પાર્ટીનું ટેન્ડર પાસ ન કર્યું એટલે તેણે મારી વિરુદ્ધ લાંચ લઈ બીજાનું સરખી જ કિંમતનું ટેન્ડર પાસ કરવાનો આરોપ કરતી અરજી કરી છે અને મારા ઉપરી અધિકારીએ મારી સામે પગલાં લેવાનું કહ્યું છે. હું શું કરું? બેટા, કંઈ સમજાતું નથી. મારી વર્ષોની નિષ્ઠા કામ ન આવી.”

“કાકા, ચિંતા કરવાની જરૂર નથી. મને એ કહો કે તમને કોની ઉપર શંકા છે? મને તમારી ઑફિસનો કોઈ સ્ટાફ ભળેલો હોય એમ લાગે છે.”

“હા, બેટા એવું મને પણ લાગે છે. મનુભાઈ અમારી ઑફિસમાં ક્લાર્ક છે. તેણે તેના એક સંબંધીનું ટેન્ડર પાસ કરવા કહ્યું હતું. મેં જે ટેન્ડર પાસ કર્યું છે અને મનુભાઈના સંબંધીના ટેન્ડરની કિંમત સરખી હતી. મને પણ નવાઈ તો લાગી હતી, બે ટેન્ડરની બધી વિગત સરખી કેવી રીતે હોઈ શકે? મનુભાઈના સંબંધીના બજાર અને બેંકના રિપોર્ટ સારા નહોતા એટલે મેં તેને પાસ ન કર્યું. મનુભાઈએ મારી ઉપર દબાણ ઘણું કરાવ્યું, પણ મેં નિર્ણય ન ફેરવ્યો.”

“બસ કાકા, તમે આરામથી સૂઈ જાવ, કોઈ ચિંતા ન કરતા.”

•

“દીપેનભાઈ કેમ છો?”

“તમે કોણ?”

“હું કિરણ જોષી, વકીલાત કરું છું.”

“મારે કાયદાને લગતું કોઈ કામ નથી.”

“જાણું છું. મારે તમારું કામ છે. તમે વિશ્વનાથ પંડ્યા સામે ફરિયાદ કરી છે?”

“તો શું? તેની ઑફિસ તેનું કામ કરશે. મારે કયાં કોર્ટ કચેરીમાં દાવો કરવો છે, તે તમારી જરૂર પડે.”

“મારે વિશ્વનાથ પંડ્યા સાથે જૂનો હિસાબ ચૂકતે કરવો છે એટલે તમારી સલાહ અને તમારી ફરિયાદની વિગત જાણવાની ઇરછા છે.”

“તમે કોઈને વાત ન કરતા, ઑફિસમાં મારા સંબંધી છે. તેના કહેવાથી મેં ટેન્ડર ભર્યું હતું અને બીજાના ટેન્ડરની બધી વિગત મને મળી ગઈ હતી. જો ટેન્ડર પાસ થાય તો મારે પચાસ હજાર તેને દેવાના હતા. પણ, ખડુસ પંડ્યા સાહેબે મારું ટેન્ડર પાસ ન કર્યું.”

“એટલે આવા પવિત્ર માણસ સામે ફરિયાદ કરવાની? તમારી ફરિયાદ ખોટી છે. જો પંડ્યા સાહેબ તમારી સાચી વાત જાહેર કરશે તો તમને અને તમારા બિઝનેસને બહુ નુકસાન થશે. પંડ્યા સાહેબ બધી વાત જાણે છે. પણ, પવિત્ર માણસ છે એટલે તમારી કે તમારા સંબંધી વિરુદ્ધ કંઈ કહ્યું નથી કે કંઈ કર્યું નથી.”

“તમારી વાત તો સાચી છે. મેં ફરિયાદ કરવામાં ઉતાવળ કરી નાખી છે.”

“તો હવે ફરિયાદ પાછી લઈ લો એટલે વાત થાય પૂરી.”

•

“પંડ્યા સાહેબ, તમારી વિરુદ્ધની ફરિયાદ, ફરિયાદીએ પાછી ખેંચી લીધી છે. કાલથી ઑફિસે આવવાનું શરૂ કરી દેજો.”

વિશ્વનાથ પંડ્યા અચંબામાં પડી ગયા કે આ ચમત્કાર કેવી રીતે થયો. કદાચ, ફરિયાદીને સદ્દબુદ્ધિ આવી હશે કે મારા શુદ્ધ કર્મોનું ફળ હશે, જે હોય તે જતી જિંદગીએ બે-આબરૂ થતા બચી ગયો.

•

“કેમ, છો કાકા?”

“અરે! આવ બેટા આવ. તને ખબર છે? મારી વિરુદ્ધની ફરિયાદ, ફરિયાદીએ પાછી લઈ લીધી.”

“કાકા, આ તો સારા સમાચાર કહેવાય.”

“કિરણ, તે આ ચમત્કાર કેવી રીતે કર્યો? એ તો કહે.” કિરણે બધી વાત કરી.

વિશ્વનાથ નવાઈ પામી ગયા. સાલું આવું પણ બની શકે છે.

“દીકરા, હવે હું તને દીકરો કહીશ. મારે દીકરો નથી. પણ, તું છો ને. તે મારા એક સો રૂપિયાનું ઋણ મારી લાખેણી આબરૂ બચાવીને ચૂકવ્યું. તને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરતા આવડે છે.”

“એ હું, તમારી પાસેથી શીખ્યો છું. તે દિવસે તમે મને કંઈ જ નહોતું પૂછ્યું. અરે! તમે મારુ નામ ઠેકાણું પણ નહોતું પૂછ્યું. મેં કહ્યું, એટલે તમે ફટ દઈને સો રૂપિયા આપી દીધા અને પાછું પૂછ્યું હતું, વધારે જોઈએ છે? તમે મારી પાસેથી એ પૈસા પાછા નહોતા લીધા. આવા, પવિત્ર, શુદ્ધ, અને નિષ્ઠાવાન માણસ જો ખોટા ગુનામાં ફસાઈને સજા ભોગવે, તો ન્યાયને, સત્યને, નિષ્ઠાને નીચાજોણું થાય એટલે મેં પ્રયત્ન કર્યો અને સફળ થયો. આ સફળતા તમારા અને મારા યોગ્ય મૂલ્યાંકનનું ફળ છે”

“હા, દીકરા.” બંનેના મુખ પર પ્રસન્નતા ફરી વળી ….

ભાવનગર….ગુજરાત.
e.mail : nkt7848@gmail.com

Loading

વળામણાં

વસુધા ઈનામદાર|Poetry|27 September 2024

મારું ગામ મૂકી,

મારી મઢુલીમાંથી

નીકળ્યો હું પગપાળો,

સુખનું ઘર શોધવા !

ખળખળ વહેતું ઝરણું,

અટકી અટકી રોકે મને  !

પેલો કેસૂડો રંગ, ઉડાડી,

મહેંકી મહેંકી ટોકે મને  !

પેલો પીળો ગરમાળો

લળીલળીને આંસુ સારે,

દોડી આવ્યો ક્યાંકથી,

કેડી પર, બાવળિયાનો કાંટો !

ના જતો, કહી મને ડરાવતો !

પણ, પેલી આડી અવળી,

ખાડા ટેકડાવાળી !

વાંકી ચૂંકી ને સાંકડી,

ભલીભોળી એ પગદંડી!

મને ના ના કહેત ,

ને તો ય, સાથે દોડતી !

વળાવવા નીકળી !

વહાલુડી, સાંકડી કેડી !

ભારે હૈયે,મૂંગી મંતર

ઠેટ, મૂકી ગઈ મને,

પહોળી સડકપર !

ને વળી ગઈ પાછી,

વાટ જોવા મારી !

અમારી યાદોંને,

લઈને કેડ પર !

બોસ્ટન , ૧૨-૩-૨૦૨૪
e.mail : mdinamdar@hotmail.com

Loading

...102030...507508509510...520530540...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved