Opinion Magazine
Number of visits: 9457001
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટ્રમ્પ ફરી ચૂંટાશે તો? :  વૈશ્વિક રાજનીતિનું વાઇલ્ડ કાર્ડ અને જંગલરાજનો માર્ગ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|14 July 2024

ટ્રમ્પને બંધારણની નથી પડી, ‘અમેરિકા ફર્સ્ટ’ના સ્વાર્થને આધારે મહાસત્તાની લોકશાહી ખાડે જશે અને વૈશ્વિક વ્યવસ્થા હચમચી જશે

ચિરંતના ભટ્ટ

તુર્કી ભાષામાં એક કહેવત છે, ‘તમે જ્યારે જોકરને મહેલમાં લાવો ત્યારે તે રાજા નથી બની જતો પણ મહેલ જ સર્કસ બની જાય છે.’ આમ તો આ વાત દુનિયા આખીમાં સત્તારૂઢ થયેલા નકામા નેતાઓને લાગુ પડે છે પણ અમેરિકા – ધી યુનાઇટે સ્ટેટ્સ ઑફ અમેરિકામાં આવું થશે તો?-ની અટકળો પર સતત ચર્ચાઓ ચાલે છે. આપણે કોઇ વિશ્વનેતાને જોકર કહેતા જ નથી, પણ ઘણીવાર તેમનો વહેવાર જ ઘણું બધું કહી જાય છે.

આ તો આડવાત હતી, હવે મૂળ વાત પર આવીએ. યુ.એસ.એ.ના પ્રમુખ તરીકે ડોનાલ્ટ ટ્રમ્પ ફરી ચૂંટાય એવી વકી છે. હા એમની પર કેસિઝ પણ ચાલે છે અને જાતભાતના કૌભાંડોની ચર્ચા પણ થઇ ચૂકી છે. છતાં ય જો ટ્રમ્પ ફરી સત્તા પર આવશે તો યુ.એસ.એ.ના આંતરિક સમીકરણો જ નહીં પણ વૈશ્વિક સ્તરે ભૌગોલિક રાજનીતિના સમીકરણો બદલાઇ જશે. જો ટ્રમ્પ ફરી ચૂંટાશે તો તે NATOની ઐસી કી તૈસી કરી નાખશે અને દુનિયા આખીમાં અમેરિકાના પ્રભાવ અને પકડને જ પ્રાધ્યાનતા આપશે. યુરોપીય દેશો સાથેના ગઠબંધનને ફગાવી દેવાય તો વૈશ્વિક રાજનીતિનું વ્યવસ્થા તંત્ર ધરમૂળથી બદલાઇ જશે. NATO અમેરિકાનું સૌથી જૂનું અને મજબૂત ગઠબંધન છે છતાં ય ટ્રમ્પ પોતે રાજકારણમાં નહોતા ત્યારથી તેમણે આ ગઠબંધન પર સવાલ કર્યા છે, તેને નકામું ગણાવ્યું છે અને પોતાને તેની જરા ય પરવા નથી એવું ય જાહેરમાં કહ્યું છે. એ વાત અલગ છે કે ટ્રમ્પ જ્યારે પ્રમુખ હતા ત્યારે કોઇને કોઇ તેમને સમજાવી પટાવીને આવું કોઇપણ આત્મઘાતી પગલું લેતા અટકાવ્યા, પણ તેનાથી NATO અંગે ટ્રમ્પના વિચાર બદલાઇ ગયા છે એવું તો નથી. પહેલી ટર્મમાં ટ્રમ્પની આસપાસ એ લોકો હતા જેના વિચાર તેનાથી જુદા હતા પણ અંતે બધા ‘બિછડે સભી બારી બારી’ વાળા ખેલમાં તેનાથી છૂટા પડી ગયા છે. જો ટ્રમ્પ બીજી વખત ચૂંટાય તો એવી પૂરી શક્યતા છે કે તેની આસપાસ કાં તો એવા લોકો હોય જેમને યુ.એસ.એ.ના સલામતી અને સુરક્ષાને લગતા ગઠબંધન સામ વાંધો છે અથવા એવા લોકો હોય જેમને એના વિશે કંઇ સમજાતું નહીં હોય. ટૂંકમાં ટ્રમ્પને ‘હા એ હા’ કરનારા ચમચાઓનો દરબાર મળે એમ બની શકે છે.  આ તો માત્ર એક દૃષ્ટાંત છે કે ટ્રમ્પ કેવી રીતે વિચારે છે. એમ કંઇ NATOને ટાટા – બાય બાય કરવું સહેલું નથી.

દીવાલો ખડી કરીને પોતાના દેશમાં બીજા દેશના લોકો ન આવી જાય પ્રકારનું કાર્ય કરનારા ટ્રમ્પને ‘ઇમિગ્રન્ટ્સ’થી બહુ ચીઢ છે. ટ્રમ્પ જો પ્રમુખ બનશે તો પોતે પોતાના દેશમાં ગેરકાયદે આવેલા 11 મિલિયન લોકોને હાંકી કાઢવા માટે નીતિ ઘડશે એવો દાવો તેણે ટાઇમ મેગેઝિનના ઇન્ટરવ્યુમાં કર્યો છે. ભૂતકાળમાં પોતે પ્રમુખ બન્યા પછી ભલે ટૂંક સમય માટે જ પણ ‘મુસ્લિમ બૅન’ જાહેર કરનારા ટ્રમ્પની વિચારધારાથી કોઇ અજાણ નથી. વળી, ગર્ભાપાતને લઇને રિપબ્લિકન્સના વિચાર જગજાહેર છે. કોઇ ફેડરલ પ્રતિબંધ ન મૂકે પણ દરેક રાજ્યના આ અંગે કડક નિયમો હશે. ટાઇમ મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં તો ટ્રમ્પે જો પોતે હારશે તો હિંસક માહોલ થઇ શકે છે એવું આડકતરી રીતે કહી દીધું હતું.

આ તો બધી યુ.એસ.એ.ની આંતરિક સ્થિતિની વાત થઇ પણ વૈશ્વિક રાજનીતિમાં જે વાઇલ્ડ કાર્ડઝ રમાતા હોય છે એ બધું રાતોરાત બદલી નાખે છે. પુતિને જે રીતે યુક્રેન પર હુમલો કર્યો એ તેનું સૌથી મોટું અને તાજું ઉદાહરણ છે. ટ્રમ્પ વૈશ્વિક રાજનીતિનું સૌથી મોટું વાઇલ્ડ કાર્ડ છે. ટ્રમ્પને આખેઆખું તંત્ર એ રીતે બદલી નાખવું છે કે ગણતરીના ધનિકો અને પ્રભાવી લોકો પાસે જ બધી સત્તા હોય, એને કોઇ સરકારી અધિકારીઓ નથી જોઇતા ન તો વિચારીને કાયદા બનાવતા લોકો જોઇએ છે. ટ્રમ્પને મૂળે પૂતિન વાળી કરી નાખવી છે. પેરિસ એગ્રિમેન્ટ, ક્લાઇમેટ ચેન્જ, યુ.એન. માનવાધિકાર કાઉન્સિલ વગેરેને ટ્રમ્પે પહેલાં પણ નથી ગણકાર્યા અને હજી પણ ગણકારવા નથી માગતા.

ટ્રમ્પને એમ છે કે પોતાના દેશના લોકોનું જે થવું હોય એ થાય પણ દેશમાં પૈસો આવવો જોઇએ અને પોતાનું કહ્યું થવું જોઇએ. યુરોપીય દેશો હોય કે ચીન હોય બધાએ ટ્રમ્પના ‘સામ્રાજ્ય’ને ફાયદો થાય એ રીતે જ વ્યવસાયી આર્થિક સોદા કરવાના એવું ટ્રમ્પ ઇચ્છશે. ટ્રમ્પે તો એમ કહેલું છે કે પોતે જીતશે તો આયાતો માટે  ‘ટેરિફ વૉલ’ ખડી કરશે અને બીજા દેશોને દસ ટકાના દરે આ જકાત ભરવી પડશે. આવું કંઇ થશે તો વૈશ્વિક વ્યાપાર યુદ્ધની સ્થિતિ સર્જાવાની છે. ટ્રમ્પનો દાવો છે કે એ યુક્રેઇન અને રશિયા વચ્ચે 24 કલાકમાં જ શાંતિની સ્થિતિ ખડી કરી શકે એમ છે. એ વાત અલગ છે કે આ માટેના વાટાઘાટોમાં ધાક-ધમકી જ હશે, જેમ કે યુક્રેઇનને મદદ ન આપવાની ધમકી અને રશિયાના વિરોધીઓને ખૂબ મદદ આપવાની ધમકી. પોતાની પહેલી ટર્મમાં ટ્રમ્પે ઇરાન સાથે બે વાર યુદ્ધની સ્થિતિ ખડી કરી હતી. ટ્રમ્પ નફટ્ટાઇથી પોતાને ન ગમતા રાષ્ટ્રો પર સીધા હુમલા કે હિંસક ગોબાચાળી કરવામાં જરા ય કચવાશે નહીં. ઇરાયલ ગાઝાના સંઘર્ષમાં પણ ટ્રમ્પ પોતાનો ફાયદો જ જોશે કારણ કે માનવતા તેનામાંથી સાવ બાદ થયેલી છે.

એક સમયે જે લોકતંત્રએ બીજા વિશ્વયુદ્ધ પછી જે અભિગમથી દુનિયામાં એક વ્યવસ્થા ખડી કરી (પોતાનો સ્વાર્થ હોવા છતાં બીજાને સાવ ખલાસ તો નહોતા જ કર્યા) તે યુ.એસ.એ. હવે પોતાની લોકશાહી વિચારધારાને કટિબદ્ધ નથી રહ્યો. ચીનની ગતિ અને પ્રગતિ યુ.એસ.એ.ના બન્ને પક્ષોને ખટકે છે, પણ ટ્રમ્પને સરમુખત્યાર રાષ્ટ્રો સાથે વધારે બને છે, તેને લોકતાંત્રિક લપ્પન છપ્પન નથી ગમતા. આ કારણે ચીન સાથે ટ્રમ્પ એવા સંબંધ ઇચ્છશે જેમાં ફાયદો અમેરિકાને થતો હોય પછી ભલે લોકશાહી વિચાર સાથે ચીનને કંઇ લેવાદેવા ન હોય. ટ્રમ્પનો અભિગમ નફા-ખોટને આધારે હોવાથી ગ્લોબલ સાઉથને વાંધો નહીં હોય કારણ કે વ્યાપારી સંબંધો તો બનશે.

મોદી અને ટ્રમ્પને સારાસારી હશે પણ ટ્રમ્પ અતિ સ્વાર્થી છે. કદાચ ભારતની રાજનૈતિક મહત્ત્વાકાંક્ષામાં ટ્રમ્પનું પ્રમુખ હોવું તેને ફળે કારણ કે ટ્રમ્પને કારણે ભારત યુરેશિયન – યુરોપ-એશિયાની સિક્યોરિટીની વ્યવસ્થામાં ઉપર ચડશે. આર્થિક સ્તરે ટ્રમ્પ જે જકાત રાજાના લેબલમાં ફિટ થાય છે તેની સાથે વ્યાપારી કરાર કરવાનું ભારત માટે સરળ નહીં હોય. ટ્રમ્પનો સીધો હિસાબ છે જેમાં યુ.એસ.એ.ની ઉપર કંઇ જ નથી અને માટે તેની બધી રાજકીય-આર્થિક-સુરક્ષાને લેવડ-દેવડ માત્રને માત્ર અમેરિકાલક્ષી હશે. બીજા રાષ્ટ્રને નુકસાન થાય છે કે નથી થતું તેનાથી ટ્રમ્પને કોઇ ફેર નથી પડવાનો. જકાતને મામલે ભારતને ટેરિફ કિંગ કહી ચૂકેલા ટ્રમ્પે ભૂતકાળમાં ભારતનો પ્રેફરન્શિયલ માર્કેટ એક્સેસ પણ ખતમ કરી દીધો હતો. કારણ એટલું કે તમારા માર્કેટમાં અમને સરળ પહોંચ ન મળતી હોય તો અમે પણ નહીં આપીએ. સદનસીબે આપણે સુરક્ષા માટે યુ.એસ.એ. પર આધાર નથી રાખતા.

ટ્રમ્પનો અભિગમ ‘આઇસોલેશનિસ્ટ’ છે, એટલે કે રાજનૈતિક ભાષામાં પૃથકવાદી અને બોલચાલની ભાષામાં એકલપેટો કે એકલસૂડો છે. પોતાના સિવાય કોઇની ન પડી હોય એવો આ અભિગમ જ્યારે પ્રમુખનો હોય ત્યારે રાષ્ટ્ર પૃથકવાદી બની જાય તેવી બધી જ શક્યતાઓ છે. ટ્રમ્પના ટેકેદારો પણ આ જ અભિગમની તરફેણ કરે છે. ‘અમેરિકા ફર્સ્ટ’ની ટ્રમ્પની નીતિ એટલે કે બીજા દેશોને પોતાના લાભ વગર મદદ કેમ કરવી જોઇએ એવા પ્રશ્નો ખડા કરવાં. કોઇની સાથે વ્યવસાય કરવાથી આપણને શું મળે છે, કેટલો લાભ થાય છે તે પહેલાં જોવું અને બહાર ભલે બધું ભડકે બળતું હોય પણ ઘરે પૈસાની રેલમછેલ હોવી જોઇએ, પોતાના જ લોકોને લાભ થવો જોઇએ વાળો અભિગમ રાખવો. રશિયા યુદ્ધ અટકાવતો હોય તો ભલે યુક્રેનના કેટલાક હિસ્સાઓ લઇ લે એવું પણ ટ્રમ્પ બોલી ચૂક્યો છે, જે બતાડે છે એને માત્ર ઘર આંગણે ફાયદા જોઇએ છે પછી ભલે તે કોઇપણ રીતે મળતા હોય .. ટ્રમ્પનો પૃથકવાદી અભિગમ યુ.એસ.એ. માટે હાનિકારક હશે. પહેલા વિશ્વયુદ્ધ પછી એકલપેટા અભિગમને પગલે અમેરિકાએ પર્લ હાર્બર અટેકનો સામનો કરવો પડ્યો હતો. દુનિયાની પરવા વિના ટકી નથી શકાતું એ બોધ ટ્રમ્પને યાદ રહે તો સારું નહીંતર આપણે ચીન અને રશિયા જેવા સરમુખત્યાર સાથે પનારો પાડવો પડશે.

બાય ધી વેઃ

ટ્રમ્પની પ્રમુખ તરીકેની પહેલી ટર્મમાં જે થયું હતું તે બધું સુધારી શકાયું, બીજી ટર્મમાં ટ્રમ્પ જે કરશે એ નુકસાનમાંથી બેઠા થવું અઘરું હશે. ટ્રમ્પને તો સરિયામ સરમુખત્યારશાહી અને એકચક્રી શાસનનો જ મોહ છે પણ એ કરવા માટેની આવડત અને શિસ્ત તેનામાં નથી એવું વિશેષજ્ઞો દૃઢતાપૂર્વક માને છે. વળી સત્તા મળે એ પહેલાંનો આવેશ અને સત્તા મળી જાય તે પછીના જોશમાં ફેર હોય છે. સરમુખત્યારો સ્વાર્થી હોય છે એટલે ટ્રમ્પ આંધળુકિયા કર્યા કરે એ જરૂરી નથી, પણ કંઇ કહેવાય નહીં. હકીકત એ છે કે ભૂતકાળમાં નોર્થ કોરિયા, વેનેઝૂએલા અને સીરિયા સાથે યુદ્ધ છેડવાની ધમકી આપી ચૂકેલા ટ્રમ્પ સત્તા પર આવશે પછી સૌથી મોટો હુમલો તો અમેરિકાના લોકતંત્ર પર થવાનો છે એ નક્કી.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 જુલાઈ 2024

Loading

જગતમાં આ થઈ શું રહ્યું છે? કઈ દિશામાં વહેણ વહી રહ્યાં છે!

રમેશ ઓઝા|Opinion - Opinion|14 July 2024

રમેશ ઓઝા

આપણે ત્યાં ભારતમાં ભારતીય જનતા પક્ષનું ચારસો પારનું સપનું તો સાકાર થયું નહીં, પણ બ્રિટનમાં મજૂર પક્ષનું ચારસો પારનું નહીં જોયેલું સપનું સાકાર થયું. મજૂર પક્ષે આમની સભા તરીકે ઓળખાતી બ્રિટનની લોકસભાની કુલ ૬૫૦ બેઠકોમાંથી ૪૧૧ બેઠકો (સ્પીકર સાથે ૪૧૨) બેઠકો મળી હતી. મજૂર પક્ષે આટલી બેઠકો મળશે તેની કલ્પના પણ નહોતી કરી. ગયા અઠવાડિયે બ્રિટિશ લોકસભાની ચૂંટણીનાં પરિણામ ચોંકાવનારાં છે. ચોંકાવનારાં એટલા માટે નથી કે મજૂર પક્ષનો જ્વલંત વિજય થયો છે. એટલા માટે પણ નથી કે રૂઢિચુસ્ત પક્ષનો કારમો પરાજય થયો છે, પણ અન્ય કારણ છે અને એ અન્ય કારણ ચોંકાવનારું છે.

બ્રિટનમાં કુલ મતદાન ૫૯.૯ ટકા થયું હતું. જેને ૬૫૦ બેઠકોમાંથી ૪૧૨ બેઠકો મળી એ મજૂર પક્ષને ૩૩.૭ ટકા મત મળ્યા છે. ૨૦૧૯માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં મજૂર પક્ષને ૩૨.૧ ટકા મત સાથે ૨૦૨ બેઠક મળી હતી. આવું બને? મળેલા મતમાં માત્ર દોઢ ટકાનો વધારો અને બેઠકો બમણી કરતાં પણ વધુ? સામે રૂઢિચુસ્ત પક્ષને માત્ર ૧૨૧ બેઠકો મળી છે, પણ તેના મતમાં ૧૯.૯ ટકાનો ઘટાડો થયો છે. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં રૂઢિચુસ્ત પક્ષને ૪૩.૬ ટકા મત અને ૩૬૪ બેઠકો મળી હતી. એક ઝાટકે મતમાં ૨૦ ટકાનો ઘટાડો. ૪૩.૬ ટકા મત અને ૩૬૪ બેઠકો તો સમજી શકાય એમ છે, પણ માત્ર ૩૨.૧ ટકા મત, માત્ર દોઢ ટકાનો મતમાં વધારો અને ૪૧૨ બેઠકો મળે એ આશ્ચર્ય છે. કોણે તોડ્યા રૂઢિચુસ્ત પક્ષના લગભગ અડધોઅડધ મત જેને કારણે મતમાં મામુલી વધારો થવા છતાં મજૂર પક્ષને લોટરી લાગી ગઈ?

બ્રિટનમાં એક નવો પક્ષ અસ્તિત્વમાં આવ્યો છે જેનું જૂનું નામ બ્રેક્ઝિટ પાર્ટી હતું જે હવે ‘રિફોર્મ યુ.કે.’ તરીખે ઓળખાય છે. આ પક્ષને પાંચ બેઠકો સાથે ૧૪.૪ ટકા મત મળ્યા છે. લિબરલ ડેમોક્રેટિક પાર્ટી કરતાં પણ બે ટકા વધુ મત. લિબરલ ડેમોક્રેટિક પાર્ટીને ૧૧.૧ ટકા મત અને ૭૨ બેઠકો મળી છે. ગયા વખત કરતાં માત્ર ૦.૬ ટકા વધુ મત મળ્યા છે, પણ બેઠકોમાં ૬૪નો વધારો થયો છે. આનું કારણ પણ રિફોર્મ યુ.કે. પાર્ટી છે.

રિફોર્મ યુ.કે.નો જન્મ ૨૦૧૮માં બ્રેક્ઝિટની કોખમાંથી થયો હતો. એટલે તો તેનું શરૂઆતનું નામ ‘બ્રેક્ઝિટ પાર્ટી’ હતું. આમ તો બ્રિટનમાં રૂઢિચુસ્ત પક્ષ પોતે જ જમણેરી પક્ષ તરીકે ઓળખાય છે, પણ આ નવો પક્ષ અતિ જમણેરી પક્ષ છે. જો કે આવી (ફાર રાઈટ કે એક્સ્ટ્રીમ રાઈટ) જેવી  ઓળખ રિફોર્મ યુ.કે.ને સ્વીકાર્ય નથી અને આવી રીતે ઓળખાવવા માટે બી.બી.સી.એ માફી માગવી પડી હતી. આ પક્ષને ગઈ ચૂંટણીમાં માત્ર બે ટકા મત મળ્યા હતા અને એકેય બેઠક મળી નહોતી. બ્રિટનમાં જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારે ત્યાંના છાપાઓ અને ન્યુઝ ચેનલોએ કરેલા સર્વેમાં રિફોર્મને ગણતરીમાં લેવામાં નહોતો આવ્યો. કોઈને નહોતું લાગતું કે આ પક્ષ આટલું ગજું કાઢશે. એ પછી જેમ જેમ ચૂંટણી પ્રચાર જોર પકડતો ગયો તેમ સમજાવા લાગ્યું હતું કે આ પક્ષ બેઠકો તો મેળવશે જ પણ તેનાં કરતાં રૂઢિચુસ્ત પક્ષને મોટું નુકસાન પહોંચાડશે.

પક્ષના નેતાઓ ભલે અસ્વીકાર કરે, પણ આ પક્ષ અતિ જમણેરી પક્ષ છે. જગત આખામાં સાંકડી વિચારધારાનો વાયરો નજરે પડી રહ્યો છે, હવે તેની લપેટમાં બ્રિટન પણ આવી રહ્યું છે. આનો પ્રચંડ લાભ મજૂર પક્ષને મળ્યો છે. એવું નથી કે મજૂર પક્ષની ઉદારમતવાદી વિચારધારા મતદાતાઓએ સ્વીકારી છે. જો એમ હોત તો તેના મતમાં નજીવો વધારો ન થાત, મોટો વધારો થવો જોઈતો હતો. ફ્રાંસમાં પણ અંતિમવાદી જમણેરી પક્ષને સૌથી વધુ મત મળી રહ્યા છે. જર્મની, ઇટલી, આર્જેન્ટીના, યુરોપિયન પાર્લામેન્ટ એમ સર્વત્ર અંતિમવાદી જમણેરીઓ માથું ઊંચકી રહ્યા છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ફરી પ્રમુખ નહીં બની શકે, એમ કોઈ છાતી ઠોકીને કહી શકે એમ નથી. આ સહિયારા જગત (મલ્ટી-કલ્ચરલ વર્લ્ડ) માટે ચિંતાની વાત છે. સહિયારા જગતમાં ભારત જેવા દેશોનો સ્વાર્થ છે જે કમાવાની વયના લોકોની મોટી વસ્તી ધરાવે છે. વિકસિત દેશો હવે આગંતુકોને આવકારવા તૈયાર નથી. આપણે ઘર આંગણે સહિયારા ભારતમાં લઘુમતીને નકારીએ છીએ, પણ જગત હવે ભારતીયોને અને બીજા વસાહતીઓને નકારતું થયું છે. દૃષ્ટિનો ફલક વિસ્તારશો તો આની ગંભીરતા સમજાશે.

બ્રિટનના હવે માજી બનેલા વડા પ્રધાન ઋષિ સુનક ભારતીય મૂળના હિંદુ છે એ બધા જ જાણે છે. તેમની ધાર્મિકતા કે ધાર્મિક વેવલાઈ જોઇને ભારતમાં ઘણાં હિંદુઓ પોરસાતા હતા અને ગદગદ થઈ જતા હતા, પણ બ્રિટનમાં વસતા હિંદુઓમાં કોઈ પ્રકારનો રાજીપો નહોતો. ઋષિ સુનક હિંદુ છે, ભારતીય નથી. તેઓ રૂઢિચુસ્ત રાજકીય વિચાર ધરાવનારા હિંદુ બ્રિટિશ છે અને એ રીતે જ વર્તતા હતા. પણ રિફોર્મ પાર્ટીને મળેલા મતોએ સાબિત કરી આપ્યું છે કે બ્રિટિશ મતદાતાઓને હજુ વધુ બ્રિટિશ જોઈએ છે જેની ચામડીનો રંગ ગોરો હોય.

‘ધ હિંદુ’માં પીયુ (Pew) રીસર્ચ સેન્ટરનો એક સર્વે પ્રકાશિત થયો છે જે બ્રિટન અને ફ્રાંસનાં ચૂંટણી પરિણામો જેટલો જ ચોંકાવનારો છે. એમાં ફ્રાંસ, જર્મની, હંગેરી, ઇટાલી, નેધરલેંડ, પોલાંડ, સ્પેઇન, સ્વીડન અને બ્રિટન એમ નવ યુરોપિયન દેશોના માત્ર મૂળ વતનીઓને ૨૦૨૩માં ચાર વિકલ્પ આપવામાં આવ્યા હતા. તમે નાટો (NATO) માટે સહાનુભૂતિ ધરાવો છો કે રશિયા માટે? તમે રશિયન નેતા પુતિન માટે સહાનુભૂતિ ધરાવો છો કે યુક્રેનના ઝેલેન્સકી માટે ધરાવો છો? આ જ સવાલ એ જ નવ દેશોમાં ૨૦૨૪માં પૂછવામાં આવ્યા હતા. તમને આશ્ચર્ય થશે કે NATO અને ઝેલેન્સકી માટેની સહાનુભૂતિમાં ઘટાડો થઈ રહ્યો છે અને રશિયા અને પુતિન માટેની સહાનુભૂતિમાં વધારો થઈ રહ્યો છે. આમાં ૨૨ ટકાનો ઘટાડો એકલા પોલેન્ડમાં થયો છે જે પોતે પૂર્વ યુરોપનો હિસ્સો છે અને જેની રક્ષા કરવાનો નાટો દેશો દાવો કરે છે. પોલેન્ડ એક જમાનામાં સામ્યવાદી દેશ હતો અને સોવિયેત રશિયાથી ત્રસ્ત હતો અને લોકશાહી મૂલ્યો માટે લડ્યો હતો.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 14 જુલાઈ 2024

 

 

Loading

ગુજરાતમાં અર્વાચીનતાના સૂરજના છડીદાર : ફાર્બસ (7)

Opinion - Opinion|13 July 2024

૭

મુંબઈ આવ્યા પછી તરત ફાર્બસ શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રે કામ કરતી કેટલીક સંસ્થાઓ સાથે સંકળાયા હતા. તેમાંની એક સંસ્થા તે બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટી (આજની એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈ). ૧૮૬૧ના નવેમ્બરની ૨૫મી તારીખે ફાર્બસ તેની કારોબારી સમિતિના સભ્ય બન્યા. ૧૮૬૩ના નવેમ્બરની ૩૦મી તારીખે તેના ચાર ઉપપ્રમુખોમાંના એક ઉપપ્રમુખ બન્યા. હકીકતમાં ૧૮૬૪માં જ્યારે આ સોસાયટીના પ્રમુખ ઓનરેબલ ફ્રેરે નિવૃત્ત થયા ત્યારે ડો. વિલ્સને ફાર્બસને પ્રમુખ બનાવવા અંગે પોતાની ઈચ્છા પ્રગટ કરી હતી. પણ ફાર્બસે વિનયપૂર્વક આ દરખાસ્તનો અસ્વીકાર કર્યો હતો અને ડો. વિલ્સન જ પ્રમુખ બને તેવો આગ્રહ રાખ્યો હતો. તે જ વર્ષે સરકારે યુનિવર્સિટી ઓફ બોમ્બેના વાઈસ ચાન્સેલર તરીકે પણ ફાર્બસની નિમણૂક કરી હતી. જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સના પણ તેઓ પ્રમુખ બન્યા હતા.

ફાર્બસ મુંબઈ આવ્યા ત્યાં સુધીમાં તેમણે અમદાવાદમાં સ્થાપેલી ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ ગુજરાત બહાર પણ સારી એવી જાણીતી થઇ ચૂકી હતી. આવી એક સંસ્થા મુંબઈમાં પણ શરૂ કરવી જોઈએ, એવો વિચાર મનસુખરામ ત્રિપાઠી અને રેવરન્ડ ધનજીભાઈ નવરોજીને આવ્યો. તેમણે ડો. વિલ્સનની સલાહ માગી. વિલ્સને આ અંગે ફાર્બસનું માર્ગદર્શન મેળવવા કહ્યું. આથી મનસુખરામ ફાર્બસને મળવા તેમને બંગલે ગયા. મનસુખરામની વાત સાંભળીને ફાર્બસે કહ્યું કે આવો વિચાર મારા મનમાં પણ છેલ્લા કેટલાક વખતથી ચાલતો હતો, પણ આવી સંસ્થા ઊભી કરવા માટે જે નાણાં જોઈએ તે ન હોવાથી હું એ અંગે કશું કરી શકતો નહોતો. પણ હવે તમે મારી પાસે આ દરખાસ્ત લઈને આવ્યા છો તો હું તેને પૂરેપૂરો ટેકો આપીશ. પરિણામે મુંબઈ શહેરની અગ્રણી વ્યક્તિઓને તથા કાઠિયાવાડના રાજવીઓને એક અપીલ મોકલવામાં આવી જેમાં આ સંસ્થાના હેતુઓ અને કરવાનાં કામોની વિગતો આપી હતી. જૂનાગઢ, ભાવનગર, નવાનગર, ધ્રાંગધ્રા, પોરબંદર, ગોંડળ, વઢવાણ, લીમડી, મોરબી, પાલીતાણા, ચૂડા, સાયલા, જસદણ, બજાણા, માળીયા, કોટડા, વીરપુર વગેરેના રાજવીઓએ બધું મળીને કુલ રૂપિયા ૨૮,૨૦૦ આપવાનાં વચન આપ્યાં. મુંબઈના વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ બીજા ૩૭,૫૦૦ રૂપિયા આપવાનાં વચન આપ્યાં. ફાર્બસનો ઈરાદો એક લાખ રૂપિયા ભેગા કરવાનો હતો. આ રકમ તેના કરતાં ઓછી હતી છતાં, સંસ્થા સ્થાપવા અંગે વિચારણા કરવા ફાર્બસે પોતાને બંગલે એક અનૌપચારિક સભા બોલાવી.

તે વખતે નક્કી થયું કે ૧૮૬૫ના માર્ચની ૨૫મી તારીખે ટાઉન હોલમાં એક જાહેર સભા યોજવી. એ પ્રમાણે સભા યોજાઈ ત્યારે મુંબઈમાં ‘ગુજરાતી સભા’ સ્થાપવાની દરખાસ્ત શેઠ પ્રેમાભાઈ હિમાભાઈએ રજૂ કરી અને શેઠ પ્રેમચંદ રાયચંદે તેને ટેકો આપ્યો. આ સભાના પ્રમુખ સ્થાને સર્વાનુમતે ફાર્બસની વરણી કરવામાં આવી. ‘ગુજરાતી સભા’ની પહેલી કારોબારી સમિતિમાં આ સભ્યોનો સમાવેશ થતો હતો : અરદેશર ફરામજી મૂસ, રેવ. ડો. જોન વિલ્સન, કરસનદાસ માધવદાસ, કરસનદાસ મૂળજી, ડોસાભાઈ ફરામજી કરાકા, રેવ. ધનજીભાઈ નવરોજી, ડો. ધીરજરામ દલપતરામ, નર્મદાશંકર લાલશંકર (નર્મદ), પ્રેમચંદ રાયચંદ, પ્રેમાભાઈ હીમાભાઈ, ડો. ભાઉ દાજી, મંગળદાસ નથુભાઈ, મનસુખરામ ત્રિપાઠી, રણછોડભાઈ ઉદયરામ, વિશ્વનાથ નારાયણ મંડલિક, વીરચંદ દીપચંદ, અને સોરાબજી શાપુરજી. સભાના પહેલા મંત્રી તરીકે મનસુખરામને નીમવામાં આવ્યા. ૧૯૦૮માં તેમનું અવસાન થયું ત્યાં સુધી – પૂરાં ૪૩ વર્ષ સુધી – તેઓ મંત્રી રહ્યા.

અમદાવાદમાં ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ ૧૮૪૮ના ડિસેમ્બરમાં સ્થપાઈ. મુંબઈની ‘ગુજરાતી સભા’ ૧૮૬૫ના માર્ચમાં સ્થપાઈ. બે વચ્ચે લગભગ સોળ વર્ષનો સમય ગાળો. પણ અમદાવાદની સંસ્થાની સ્થાપના માત્ર કેટલાક અંગ્રેજ અધિકારીઓએ મળીને કરી હતી અને ૧૮૫૨ સુધી તેની કારોબારી સમિતિમાં કોઈ બિન-અંગ્રેજનું નામ જોવા મળતું નથી. જ્યારે મુંબઈની સંસ્થાની સ્થાપનાની બાબતમાં ‘દેશી’ઓએ પહેલ કરી હતી અને તેની પહેલી જ કારોબારીમાં ‘દેશી’ઓ બહુમતીમાં હતા. કારોબારીના કુલ ૧૮ સભ્યોમાંથી ફાર્બસ અને  ડૉ. વિલ્સન એ બે જ અંગ્રેજ હતા, બાકીના બધા ‘દેશી’ હતા. બીજી ધ્યાનપાત્ર વાત એ કે મુંબઈના પચરંગી પોતનું પ્રતિબિંબ મુંબઈની સંસ્થાની પહેલી જ કારોબારીમાં જોવા મળે છે. અરદેશર ફરામજી મૂસ, ડોસાભાઈ કરાકા, ધનજીભાઈ નવરોજી (જન્મે પારસી, પણ પછીથી ખ્રિસ્તી ધર્મ સ્વેચ્છાએ અંગીકાર કરેલો), સોરાબજી શાપુરજી જેવા પારસી આગેવાનોને તેમાં સ્થાન મળ્યું હતું તો ડૉ. ભાઉ દાજી અને વિશ્વનાથ નારાયણ મંડલિક જેવા મરાઠીભાષી અગ્રણીઓનો સાથ પણ મળ્યો હતો. હકીકતમાં, ઓગણીસમી સદીમાં સમાજ, ભાષા, સાહિત્ય, પત્રકારત્વનાં અનેક કામોમાં મુંબઈમાં ગુજરાતીભાષી હિંદુઓ, પારસીઓ અને મુસ્લિમો તથા મરાઠીભાષીઓ ખભેખભો મિલાવી કામ કરતા હતા. અમદાવાદ અને ગુજરાતમાં જે આવાં કામો થયાં (જેમ કે હોપ વાચનમાળા માટેની સમિતિ) તેમાં બિન-હિંદુને સ્થાન અપાયું હોય એવું જોવા મળતું નથી.

મુંબઈની સંસ્થાની પહેલી કારોબારીના એક સભ્ય તરીકે કવિ નર્મદનું નામ જોવા મળે છે. પણ નર્મદ પોતે આ સંસ્થાની સ્થાપનાથી રાજી થયો નહોતો. ‘ડાંડિયો’માં આ નવી સંસ્થાની આકરી ટીકા પ્રગટ થઇ હતી. ૧૫મી એપ્રિલ ૧૮૬૫ના અંકમાં પ્રગટ થયેલા લેખમાં કહ્યું હતું : “ઘણા દાહાડાની ચરચાતી ‘ગુજરાતી સભા’નો સાતમે મહીને જન્મ થયો છે. માનીતી વહુએ શુંથીયું સાવરણી જણી છે. ઘણું ડોળ ચઢેલું પણ આખરે શરવડાં થયાં છે … કમીટીમાં કેટલા એક પુરુષો જેઓ સરસ્વતીના ખરા શાગ્રીતો પોતાના ઉદ્યમથી, વિદ્વત્તાથી ઠરી ચૂક્યા છે તેઓના નામ અત્રે જણાયાં નથી. કદાચ અમદાવાદ દીનો(?) હિતુશ્રી ફોર્બ્સને અમદાબાદીઓ જ ગમે છે; તથા શ્રીમંતોને જ મ્હો જોઈ ચાંલ્લા કરે છે.”

મુંબઈની સંસ્થા અને અમદાવાદની ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ વચ્ચેના સંબંધ અંગે પણ શરૂઆતમાં અવઢવ રહી હશે એમ માની શકાય. ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થયેલી ‘આનરેબલ ફારબસસાહેબનું મરણ’ નામની લેખમાળામાં દલપતરામ મુંબઈની સંસ્થાને ‘મુંબાઈની ગુ. વ. સોસાયટી’ તરીકે ઓળખાવે છે એટલું જ નહિ તેનું કામકાજ સંભાળવા ફાર્બસે પોતાને મુંબઈ બોલાવ્યા હતા એમ પણ કહે છે. તેઓ લખે છે : “તે સાહેબે (ફાર્બસે) અહીંના શેઠ કાવસજી મનચેરજીની મારફતે એક અંગરેજી પત્ર મારા ઉપર મોકલ્યો, કે તમારે અમદાવાદની સોસાયટીમાંથી રજા લઈને અહીં આવવાની તૈયારી કરવી. તે પત્ર મેહેરબાન કરટીસ સાહેબના વાંચવામાં આવ્યો. ત્યારે તેમને ઘણું માઠું લાગ્યું. કેમ કે તેમનો પણ મારા ઉપર પ્યાર ઘણો, તેથી મને રજા આપવાને ખુશી નહોતા. તેથી જેમ કોઈ વસ્તુને બંને તરફથી લોહચુમ્બકનું આકર્ષણ લાગ્યાથી, તે અધ્ધર લટકી રહે, તેમ ઉભયતાના સ્નેહની વચે મારું મન ઘોળાવા લાગ્યું.” મુંબઈની સંસ્થાની કારોબારીની પહેલી ત્રણ બેઠકોની હસ્તલિખિત નોંધ આજ સુધી સચવાઈ છે તેમાં દલપતરામને આવો કોઈ પત્ર લખાયો હોવાનું નોંધાયું નથી. ‘કવીશ્વર દલપતરામ’માં નાનાલાલ પણ આવી કોઈ વાત નોંધતા નથી. તેમણે માત્ર આટલું જ લખ્યું છે : “ગુજરાતી સભા સ્થપાઈ. બેએ વર્ષે ફારબસનાં સપનાં ફળ્યાં. પણ મુંબઈમાં ફારબસને પડખે દલપત ન હતો, અને ઉત્તરવસ્થામાં દલપત સમો અઠંગ ઇતિહાસઉપાસક નર્મદ અળગો રહ્યો, એટલે સોસાયટીના જેવા ફારબસ સભાના રંગ ઝળક્યા નહિ.” (ભાગ બીજો, ઉત્તરાર્ધ)

(ક્રમશ:)
e.mail : deepakbmehta@gmail.com

Loading

...102030...501502503504...510520530...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved