Opinion Magazine
Number of visits: 9552258
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જો અને તો : છેતરપિંડીની એક ઐતિહાસિક રમત 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|3 December 2025

હેમન્તકુમાર શાહ

અત્યારે ઢોલ પીટીને વારંવાર એમ કહેવામાં આવે છે કે જવાહરલાલ નેહરુને બદલે સરદાર પટેલ વડા પ્રધાન થયા હોત તો સારું થાત. સરદાર પ્રથમ વડા પ્રધાન થયા હોત તો દેશની સીકલ કંઈક જુદી જ હોત એવું કહેવામાં આવે છે.

તો ચાલો, હવે એમ પણ કહીએ કે :

(૧) ૨૦૧૪માં નરેન્દ્ર મોદીને બદલે લાલકૃષ્ણ અડવાણી વડા પ્રધાન થયા હોત તો ઘણું સારું થાત અને દેશની સીકલ કંઈક જુદી જ હોત.

અથવા

(૨) ૨૦૧૪માં નરેન્દ્ર મોદીને બદલે મુરલી મનોહર જોષી દેશના વડા પ્રધાન થયા હોત તો કેટલું સારું થયું હોત! 

અથવા

(૩) અટલબિહારી વાજપેયી શારીરિક રીતે સશક્ત હોત અને તેઓ જ ફરી ૨૦૧૪માં વડા પ્રધાન થયા હોત તો આવા હળાહળ જૂઠું બેફામ બોલનારા વડા પ્રધાન મળ્યા જ ન હોત.

અથવા

(૪) નરેન્દ્ર મોદી વડા પ્રધાન થયા જ ન હોત અને ભા.જ.પ.માંથી પણ કોઈ વડા પ્રધાન થયું જ ન હોત તો કેટલું બધું સારું થાત! 

અને 

જવાહરલાલ નેહરુએ કોઈ માર્ગદર્શક મંડળ બનાવ્યું નહોતું અને પોતાનાથી ૧૫ વર્ષ મોટા સરદાર પટેલને એમાં હાલ જેમને બંધ વખારમાં નાખવામાં આવ્યા છે તેમ ધકેલી દીધા નહોતા! 

નરેન્દ્ર મોદીએ એ માર્ગદર્શક મંડળની કઈ વ્યક્તિ પાસેથી કેટલું અને કયું માર્ગદર્શન લીધું એની તો કંઈ ખબર જ નથી. કયો માર્ગ કયા દર્શન સાથે એમની જાણ બહાર પકડ્યો એની તો બધી જ ખબર છે! 

ઇતિહાસ કંઈ જો અને તો પર ચાલતો નથી. એ તો નક્કર હકીકતોને આધારે ચાલે છે. 

હવે વિચારો કે, 

નરેન્દ્ર મોદી જો વડા પ્રધાન થયા જ ન હોત તો દેશમાં કેટલાં બધાં ગંદાં, નકામાં, ખર્ચાળ, વાહિયાત કામો થયાં જ ન હોત. જેમ કે, દેશ જૂઠાણા અને નફરતને આધારે આજે ચાલે છે તેમ ચાલતો જ ન હોત, અરુણાચલ પ્રદેશમાં ચીને આખું ગામ વસાવી દીધું ન હોત, દેશ કંઈ અદાણી અને અંબાણીને વેચાઈ ગયો ન હોત …….. વગેરે વગેરે.  

ચાલો, જો અને તો રમત જરા લાંબી રમીએ …..

બાબર ત્યારના ભારતમાં, જો કે તે સમયે ભારત હતું જ નહીં, આવ્યો જ ન હોત અને બાબરી મસ્જિદ બની જ ન હોત તો ભા.જ.પ. ક્યાં હોત …

અને હા …

સરદાર પટેલ વડા પ્રધાન થયા હોત તો …..

સરદારે જાતે જ કંઈ બધાં દેશી રજવાડાં ભેગાં કરીને ભારત દેશ બનાવ્યો જ ન હોત અને તેમના કોઈક બીજા ગૃહ પ્રધાને એ કામ કર્યું હોત …..

તો નર્મદાને કિનારે એમનું પૂતળું બન્યું ન હોત?

ઇતિહાસની આ રમતમાં અંચઈ છે, છેતરપિંડી છે; એ વર્તમાનમાં જે કંઈ થઈ રહ્યું છે તેને વિશે કશું નહીં વિચારવા દઈને નાગરિકોના મોંમાં ઇતિહાસના ચણામમરા ભરી દેવાની એ રમત છે, એ રમવા જેવી છે જ નહિ. એ તાનાશાહીનો ખેલ છે, એ શુદ્ધ લોકશાહીની રમત છે જ નહીં. 

તા.૦૩-૧૨-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

આરતી નાયર|Diaspora - Features|3 December 2025

આરતી નાયર

છેલ્લાં થોડાં વર્ષથી લંડનમાં રહેતી વખતે સૌથી વધારે બીક મને રંગભેદની નહીં, પણ બીમાર પડવાની અને અહીંની સરકારી આરોગ્ય સેવા(નેશનલ હેલ્થ સર્વિસ-NHS)ના શરણે જવાની હતી. તેની મેં અનેક ડરામણી કથાઓ સાંભળી હતી — મહિનાઓ સુધી લોકોને ફક્ત નિદાન માટે રાહ જોવી પડે, ઇમરજન્સી હોય ત્યારે પણ કલાકો સુધી રાહ જોયે જ છૂટકો. આવી છૂટીછવાઈ વાતો પરથી મેં છેવટનો અભિપ્રાય ભલે ન બાંધ્યો હોય, પણ જાતઅનુભવે તેની સચ્ચાઈ તપાસવાની મારી તૈયારી ન હતી. પણ છેવટે એ દિવસ આવી જ ગયો. 

મને કમરનો અસહ્ય દુઃખાવો થયો — ‘આયોડેક્સ મલીએ, કામપે ચલીએ’—પ્રકારનો નહીં, તેનાથી ઘણો વધારે. મારાથી એક મિનિટ પણ બેસાય નહીં ને ઊભા પણ રહી શકાય નહીં. પલંગમાં પડી રહેવા સિવાય છૂટકો નહીં, ને ત્યારે પણ દુઃખે તો ખરું જ. પીઠભેર સુવાય નહીં, એટલે પડખાભેર સૂવું પડે. ડાબા પડખા કરતાં જમણું પડખું વધારે દુઃખે, એટલે સતત ડાબા પડખે સુઈ રહેવાથી તે પણ કળવા લાગ્યું. 

હવે NHSની મદદ લીધા વિના છૂટકો ન હતો.  એટલે મેં ડોક્ટરની અપોઇન્ટમેન્ટ મેળવવા માટે NHSની વેબસાઇટ ખોલી. ત્યાંથી મને જ્ઞાન મળ્યું કે મારો દુઃખાવો ‘ઇમરજન્સી’ની વ્યાખ્યામાં આવતો ન હતો. તેમણે લખ્યું હતું કે કમરનો દુઃખાવો સામાન્ય બાબત છે અને બે-ત્રણ અઠવાડિયાં આરામ કર્યા પછી તે ન મટે, તો જ ડોક્ટરને બતાવવાનું વિચારવું. તેમની વ્યાખ્યા પ્રમાણે, ઇમરજન્સી’ ત્યારે જ કહેવાય, જ્યારે માણસ શ્વાસ ન લઈ શકે, ઊંઘી ન શકે અથવા શૌચ ન જઈ શકે. મારો દુઃખાવો આકરો તો બહુ હતો, પણ સદ્દભાગ્યે કે દુર્ભાગ્યે, આ ત્રણે ક્રિયાઓમાં મને કશી તકલીફ ન હતી.  

સરકારી સેવા સિવાય ખાનગી તબીબી સેવાઓ ઉપલબ્ધ ખરી, પણ તે અતિશય મોંઘી. એટલે મેં રાહ જોવાનું નક્કી કર્યું. આટલી પીડા વચ્ચે એક વાતનું સુખ હતું કે મારી ઓફિસે મને ઘરેથી કામ કરવાની રજા આપી હતી. મારા મેનેજરે પણ મને કહ્યું હતું કે ચિંતા ન કરીશ. એટલે હું ઊભાં ઊભાં વીડિયો કોલ પર વાત કરતી હતી અને સૂતાં સૂતાં કામ કરતી હતી. રોજ સાંજ પડ્યે કમરના દુઃખાવાથી અને ઊભા રહેવાને કારણે પગ દુઃખવાથી હું થાકી જતી હતી. 

આ રીતે ચાર દિવસ સુધી ત્રાસ વેઠ્યા પછી મેં ભારતમાં એક મિત્રને ફોન કર્યો. તે કરોડરજ્જુના નિષ્ણાત ડોક્ટર હતા. વીડિયો કોલ પર તેમણે મને જુદી જુદી રીતે પગ વાળવાનું અને બીજી કેટલીક રીતે હલનચલન કરવા કહ્યું. તેમને લાગ્યું કે મારી કરોડરજ્જુનો મણકો ખસી ગયો છે (સ્લિપ્ડ ડિસ્ક). એટલે તેમણે પાંચ દિવસ સુધી સદંતર બેડરેસ્ટની-પથારીવશ રહેવાની સલાહ આપી. 

કરોડરજ્જુમાં ઘણા મણકા હોય છે ને તેમાંનો એકાદ ક્યારેક કોઈ આઘાત કે આંચકાથી ખસી શકે છે. ઘણે ભાગે તો તે આરામથી સરખો થઈ જાય છે, પણ એવી રીતે બધું સમુંનમું થતાં દસેક અઠવાડિયાં નીકળી જાય. ડોક્ટરે મને કહ્યું કે મને કરોડરજ્જુ, નિતંબ કે પગમાં ઝણઝણાટી જેવું થાય તો મારે તત્કાળ એમ્બ્યુલન્સ બોલાવવી, પણ મને ઝણઝણાટી થાય છે કે નહીં, તે પણ સમજાતું ન હતું. મને થયું કે મારે એમ.આર.આઇ. કરાવવો જોઈએ. નહીં તો કદાચ મુશ્કેલી વધશે. 

ભારતમાં એમ.આર.આઇ. કઢાવવાનું હોટેલમાં જમવા જવા જેટલું સહેલું હોય છે, પણ અહીં તો મારે પહેલાં જનરલ ફિઝિશિયનની અપોઇન્ટમેન્ટ લેવાની. તે કેવી રીતે લેવાય એની મને ખબર નહીં. કારણ કે એવી જરૂર પહેલાં કદી પડી ન હતી. મેં મારી પાડોશમાં રહેતાં, સાઠ આસપાસનાં એક અંગ્રેજ બહેનને મેસેજ કર્યો. તેમણે પ્રેમથી મને NHSના એપ પર ફોર્મ ભરવા અંગેનું માર્ગદર્શન આપ્યું અને સાથે સલાહ પણ આપી કે મારે વિકલ્પોની પણ તપાસ કરવી. તેમની સલાહ સાચી હતી. કારણ કે, મને મળતી સૌથી પહેલી અપોઇન્ટમેન્ટ 14 દિવસ પછીની હતી. તેનો વિકલ્પ એ હતો કે મારે એક ઓસ્ટિઓપેથને મળવું. તે બહેનના પતિ પણ તેમને રહેતા કમરના દુઃખાવા માટે એવું જ કરતા હતા. 

તેમની સાથે વાત કર્યા પછી સૌથી પહેલાં મારે ઓસ્ટિઓપેથ એટલે શું, એ ગુગલ કરવું પડ્યું. તેમાંથી જાણવા મળ્યું કે તે ડોક્ટર કે ફિઝિયોથેરપિસ્ટ નથી. તેમને આપણા હાડવૈદ સાથે સરખાવી શકાય, પણ કોલેજમાં ભણેલા અને ડિગ્રીધારી. તેમનું કામ સાંધાને વાળી-મરોડીને સરખા કરવાનું. અમદાવાદમાં હતી ત્યારે મને હાડવૈદનો થોડો અનુભવ હતો. તેમનું પરંપરાગત જ્ઞાન હશે, પણ નિશ્ચિત અભ્યાસ કે અને કોઈ સુઆયોજિત ધારાધોરણ વગરની વ્યવસ્થા પર મને બહુ ભરોસો ન હતો. લંડનમાં સાવ એવું ન હતું અને મને થોડો ખચકાટ પણ હતો. છતાં, મારી પાસે બીજો વિકલ્પ ન હતો. 

દરમિયાન, રોજની ચચ્ચાર ગોળી લેવા છતાં મારા દુઃખાવામાં કશો ફરક પડ્યો ન હતો. ભારતના મારા ડોક્ટરે પણ કહ્યું જ હતું કે તેની કશી અસર નહીં થાય. કારણ કે, મારે વધારે ભારે ડોઝની જરૂર હતી. તે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર મળે નહીં, ને ડોક્ટર મને 14 દિવસ પહેલાં મળે તેમ ન હતા. એક રસ્તો હતોઃ મારો પતિ સવારના સાત વાગ્યે ક્લિનિકની બહાર જઈને વોક-ઇન (તત્કાળ) અપોઇન્ટમેન્ટ માટે લાઇનમાં ઊભો રહે. તેને વાંધો ન હતો, પણ મારે ક્લિનિક સુધી પહોંચવું શી રીતે? મારી હાલત જોતાં ટેક્સીમાં બેસવાનું પણ અશક્ય લાગતું હતું. યોગાનુયોગે એ જ દિવસે એક મિત્ર ભારતથી આવવાના હતા. એટલે મેં મારા ડોક્ટરને વિનંતી કરી. તેમણે દવા લખી આપી અને 24 કલાકમાં તો તે દવાઓ મારા સુધી પહોંચી ગઈ. 

ડોક્ટરે મને કહ્યું હતું કે દવાની અસર થતાં એકાદ અઠવાડિયું તો થશે. દરમિયાન, કંઈક સારું લાગતાં મેં મારા પાડોશીએ સૂચવેલા ઓસ્ટિઓપેથની અપોઇન્ટમેન્ટ બુક કરી. મને હતું કે વધુમાં વધુ શું થશે? નહીં રુચે તો હું તેમની સલાહ નહીં માનું. કમ સે કમ, એટલું તો થશે કે કોઈ મને રૂબરૂ તપાસશે અને કહેશે કે મને સારું થઈ જશે. 

ઓસ્ટિઓપેથ ફ્રેન્ચ હતો. સરસ અને હકારાત્મક માણસ. તેણે અડધા કલાક સુધી મને જાતજાતના સવાલ પૂછ્યા — મારી જિંદગી વિશે, જીવનશૈલી વિશે, ભૂતકાળમાં થયેલા અકસ્માતો વિશે, કમરના દુઃખાવાના જૂના ઇતિહાસ વિશે. મેં તેમને કહ્યું કે પહેલી વાર મને વર્ષ 2016માં સ્નાયુ ખેંચાઈ જવાથી કમરનો દુઃખાવો થયો હતો. તે બહુ આકરો ન હતો, પણ દુઃખાવો ખાસ્સો હતો અને મારે બે અઠવાડિયાં સુધી મારે આરામ કરવો પડ્યો હતો. તે વખતે મારી નવી કંપનીમાં કામના અનિયમિત કલાકો અને તેની જીવનશૈલી પર પડેલી અસર કારણભૂત હતી. ત્યારે મને સમજાયું હતું કે કમરનો દુઃખાવો એ મારા શરીરની તંદુરસ્તીનું થર્મોમીટર છે. હું જ્યારે પણ શારીરિક કે માનસિક તનાવ અનુભવું, ત્યારે કમરનો દુઃખાવો અચૂક થતો અને મને યાદ અપાવતો કે મારે જરા ધીમા પડવાની જરૂર છે. 

પણ આ વખતે એવું કોઈ કારણ ન હતું. હું એકદમ તંદુરસ્ત હતીઃ જીવનશૈલી સરસ હતી, રોજ ઘરનું રાંધેલું જમતી હતી, રોજનાં 10 હજારથી વધુ પગલાં ચાલતી હતી. (કસરત કરવા માટે નહીં, પણ લંડનમાં સામાન્ય વ્યવહાર માટે ખાસ્સું ચાલવાનું થતું) અને સાઇકલ પણ ચલાવતી હતી.

ઓસ્ટિઓપેથે મને પગ ઊંચકવાનું ને વાળવાનું ને એવું થોડું હલનચલન કરવાનું કહ્યું. તે જોઈને તેમને પણ સ્લિપ્ડ ડિસ્ક જ લાગી. બીજી કોઈ કસરત તો મારાથી થાય એવી ન હતી. એટલે તેમણે ધીમે ધીમે મારા શરીરની જ નહીં, મનની પણ પ્રવૃત્તિ વધે એવાં કેટલાંક સૂચન કર્યાં. મને પણ લાગ્યું કે તેમની વાત બરાબર છે. કારણ કે, અઠવાડિયું પથારીમાં પડ્યા રહેવાની નકારાત્મક અસરોનો અનુભવ મને થવા લાગ્યો હતો. 

પછી તેમણે મારી દવાઓ વિશે પૂછ્યું. મેં ભારતથી આવેલી દવાઓની વાત કરતાં, તે આંચકો ખાઈ ગયા. કારણ કે, તે બહુ ભારે ડોઝ હતા અને કદાચ તે બંધાણ થઈ જાય એવી પણ દવા હતી. જો કે, મેં તેમની સલાહ અવગણી અને ભારતના ડોક્ટર પર ભરોસો મૂકવાનું ચાલુ રાખ્યું. કારણ કે, તે વખતે મારે સૌથી વધારે જરૂર હકારાત્મકતાની – આશાની હતી અને દવાઓને લીધે દુઃખાવો થોડો કાબૂમાં રહે તો હું સારી થઈ જઈશ, એવી આશા બંધાતી હતી. 

શરીરની પીડા ભયંકર હતી, પણ એકલા પડી જવાનું એનાથી વધારે ખરાબ લાગતું હતું. મારો પ્રેમાળ પતિ અને સાસુ મારી બહુ કાળજી રાખતાં હતાં — ઘરનું ધ્યાન રાખવા ઉપરાંત મારી સાથે બોર્ડ ગેમ્સ રમતાં અને સરસ જમવાનું બનાવતાં હતાં. છતાં, હું હજુ વધારે માણસોના સંપર્ક માટે ઝંખતી હતી. માણસને માણસ વગર ન ચાલે — ને ભારતીયોને તો ખાસ. 

અહીંના મિત્રો મેસેજ કરીને મારાં ખબરઅંતર પૂછતાં, ઝડપથી સાજી થાઉં એવી શુભેચ્છા આપતા અને કંઈ જરૂર હોય તો જણાવવાનું કહેતાં. મારે કશાની ‘જરૂર’ ન હતી. મારો પતિ સરસ રીતે બધું સંભાળતો હતો. સારી વાત એ હતી કે એ અરસામાં મારાં પ્રેમાળ સાસુ પણ ભારતથી આવ્યાં હતાં. તે પણ ઘણાં મદદરૂપ થતાં હતાં. છતાં, મારે આ બે ઉપરાંત વધારે માણસોની હાજરી જોઈતી હતી. દિવસો સુધી – અઠવાડિયાં સુધી હું રાહ જોતી રહી. છેવટે મેં સ્વીકારી લીધું કે મને મળવા કોઈ આવવાનું નથી. કદાચ અહીંની સંસ્કૃતિમાં એવો રિવાજ જ નથી. 

લંડનમાં અઢી વર્ષના નિવાસ દરમિયાન પહેલી વાર મને સવાલ થવા લાગ્યો કે હું અહીં શા માટે આવી છું? ભારતમાં તો બીમારી ઉત્સવ જેવી બની રહેતી — આનંદની રીતે નહીં, પણ સહિયારાપણાની રીતે. લોકો ખબર જોવા આવે, વાતો કરે અને બીમાર માણસને સારું લગાડવા પ્રયાસ કરે. સારું ફક્ત આરામ કરવાથી નથી થતું. તમારી આસપાસના લોકો પણ તમારી બીમારી વિશે જવાબદારી અનુભવે છે. કબૂલ કે તેમાં અતિરેક થઈ જાય છે. છતાં, ઠંડી એકલતાં કરતાં અતિરેક સારો. 

ઘણાં અઠવાડિયાં સુધી હું મને મળવા નહીં આવેલાં મિત્રો વિશે વિચારતી હતી. હું સતત જાતને યાદ અપાવતી કે અહી એવી પ્રથા જ નથી. સૌ પોતપોતાનામાં અટવાયેલાં છે. તે માને છે કે લોકોને તેમની રીતે જીવવા દેવામાં ભલમનસાઈ છે. કોઈના જીવનમાં દખલ નહીં કરવાની. તે ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ શકે એવું કશું નહીં કરવાનું. પરંતુ મને લાગ્યું કે માણસને મોકળાશ પૂરતી નથી. તેને પ્રેમ અને કાળજી પણ જોઈએ છે. કોઈને પોતાની જરૂર છે એવો અહેસાસ પણ તેના માટે જરૂરી છે. 

એક મહિના પછી મને થયું કે ગમે તેટલો ખતરો હોય, છતાં અખતરો કરી જોવો. એટલે, મેં એક મિત્રને સામે ચાલીને કહ્યું કે તે આવશે તો મને બહુ ગમશે. તેણે ઉમળકાથી કહ્યું કે તે બીજા દિવસે સવારે ચોક્કસ આવશે. તે દિવસે શનિવાર હતો. મિત્ર આવવાની હતી, એટલે પીડા હોવા છતાં, હું રોમાંચિત હતી. મેં ધીમે ધીમે, કાળજીપૂર્વક રૂમ સાફ કર્યો. મારો પતિ અને સાસુ પણ ખુશ હતાં. મારા પતિએ તો કહ્યું પણ ખરું કે તારી મિત્ર આવે છે, તો હું કંઈક બેક કરી દઉં. મેં હસીને ના પાડી અને કહ્યું કે તે મારી ખબર જોવા આવે છે. એટલે આપણે કશી ધમાલ કરવાની જરૂર નથી. 

આપણે ભારતીયો ઉત્તરથી દક્ષિણ સુધી ગમે તેટલી જુદી જુદી ભાષાઓ બોલીએ ને આપણી જીવનશૈલી ગમે તેટલી અલગ હોય, પણ એક બાબતમાં સામાન્ય રીતે આપણે સરખાં છીએઃ યજમાન તરીકે આપણે અતિશય ઉત્સાહી અને ગજા ઉપરવટ જતાં હોઈએ છીએ. સ્લિપ્ડ ડિસ્ક હોવા છતાં મેં મારો પલંગ સરખો કર્યો, વાળ ધોયા, બાથરૂમ સાફ કરી અને દર્દને થોડી વાર માટે બાજુ પર રાખીને, મિત્રને મળવાથી કેવી મઝા આવશે તે વિચારવા લાગી. 

સવારના સાડા દસ થયા, પણ મિત્ર દેખાઈ નહીં. મેં તેને મેસેજ કર્યો કે તું જમીશ? ખાસ્સા વખત પછી તેનો જવાબ આવ્યો કે તે તરવા જઈ રહી છે ને તેને આવતાં મોડું થશે. જમવા વિશેના મારા સવાલનો કોઈ જવાબ નહીં. સાડા બારે તેનો ફરી મેસેજ આવ્યો કે તે ડ્રિન્ક્સ માટે જઈ રહી છે ને હવે આવી શકશે કે નહીં, તે નક્કી નથી. છેવટે તે ન જ આવી ને એ બદલ કોઈ પ્રકારનો વસવસો કે દિલગીરી પણ વ્યક્ત ન કર્યાં. મને સમજાયું કે તેના માટે આ બાબતનું કશું મહત્ત્વ કે પ્રાથમિકતા જ ન હતી. 

માણસના મનમાં અમુક લાગણી ઉગતી જ ન હોય, તો તે તમારા પ્રત્યે કેવી રીતે દર્શાવે? માણસને જે મળ્યું જ ન હોય, તે તમને શી રીતે આપે? તેમના માટે જે કોઈ મોટી વાત નથી, તે બાબત માટે તે દિલગીરી અનુભવે, એવી અપેક્ષા ઠીક કહેવાય? આવી અપેક્ષા રખાય?

તે વખતે મને અણધારી રીતે ભારતની ખોટ વધુ ને વધુ સાલી. લોકોની ખોટ, હૂંફની ખોટ, પણ એ બધા કરતાં વધારે, નાની બાબતોમાં લોકોની લાગણી-પ્રેમ-ઉદારતા-સહજતાથી એકબીજાનું ધ્યાન રાખવાની વૃત્તિ.

હું બીમાર હતી ત્યાં સુધી તેની પીડા રહી. મને યાદ આવ્યું કે પાંચેક વર્ષ પહેલાં, નવપરણિત દંપતી તરીકે અમે મુંબઈ ફ્લેટમાં રહેતાં હતાં ત્યારે સાઠ વટાવી ચૂકેલાં અમારાં કેટલાંક પાડોશીઓ કેટલો પ્રેમ રાખતાં હતાં. તેમને ખબર પડી કે અમને કોવિડ થયો છે, ત્યારે તો તે માતાપિતા જેવું વાત્સલ્ય દાખવતાં હતાં. રોજ અમારી ખબર પૂછવા ફોન કરે અને અમારા બારણે ભોજન ને ક્યારેક તો ડેઝર્ટ પણ મુકી જાય. 

એવાં હૂંફ અને પ્રેમની ઝંખના સાથે મેં ભારતમાં મારા મિત્રોને ફોન કર્યા. મારી સ્થિતિ અને લંડનની આરોગ્ય (અ)વ્યવસ્થા વિશે જાણીને તથા હું કેટલી એકલતા અનુભવું એ જાણીને તે સ્તબ્ધ થઈ ગયા. તેમની લાગણીથી મને એ વાતે હાશ થઈ કે એ લોકો મને હજુ ભૂલ્યા ન હતા. હજુ મારી લાગણી જાણનારા લોકો હતા. પરદેશમાં રહેતા ભારતીય મિત્રો સાથે મેં વાત કરી, ત્યારે તેમણે પણ મારી વાતને અવગણવાને બદલે, તેમાં સંમતિ પુરાવી. એ બધા આવી એકલતા વેઠી ચૂક્યા હતા. તેમના અનુભવ વિશે જાણ્યા પછી મને સાંત્વના મળી-કેથાર્સિસનો (દુઃખ હળવું થયાનો) અનુભવ થયો.

આ દેશમાં લોકો નમ્ર છે, પણ ઔપચારિકતાના ભાગરૂપે. તે શબ્દો દ્વારા જે વ્યક્ત કરે છે, તે મનથી માનતા હોય એવું જરૂરી નથી. ઘણી વાર તેમનામાં હૂંફ જોવા મળતી નથી. તમે જમ્યા કે નહીં, તમને સારું છે કે નહીં, તેનું ધ્યાન કોઈ રાખતું નથી. તમે ન કહો ત્યાં સુધી કોઈ મદદ કરવા આવી પડતું નથી અને કેટલીક વાર એવું હોય છે કે તમને મદદ માગવાનું મન ન થાય. મને સમજાયું કે હું આ દેશ પાસેથી એવી ચીજની અપેક્ષા રાખતી હતી, જે તે આપી શકે તેમ નથી. તે વાતથી મને પીડા થતી હતી. 

મને લાગતું હતું કે મારા લોકોને નોતરું દીધા વિના તે લોકો પાસેથી લાગણી મળતી હતી. અહીં મારે તે પેદા કરવી પડતી હતી. હું નાની હતી ત્યારથી કોઈ કારણસર એવું માનતી હતી કે બીમારી એ સજા છે અને આ સૃષ્ટિ કે મારું શરીર મને સજા આપી રહ્યું છે. લંડનમાં મારી લગભગ અઢી મહિનાની બીમારી અત્યાર સુધીની સૌથી લાંબી હતી અને આવું મારી સાથે કરવા બદલ, એક રીતે, હું મારા શરીર સાથે પણ નારાજ હતી. 

પછી મેં રોજ એક વાર અને ક્યારેક તો એક દિવસમાં બે વાર ધ્યાન શરૂ કર્યું. ક્યારેક તે અઘરું પડતું હતું. છતાં, એક ક્રમ ગોઠવાયો તેનાથી થોડું સારું લાગ્યું. પછી મને સમજાયું કે હું ખોટી હતી. મારું શરીર મને સજા આપતું ન હતું. હકીકતમાં, મારું શરીર દિવસરાત જાતે સાજું થવા કોશિશ કરી રહ્યું હતું.  તે મારી સામે નહીં, મારી સાથે હતું. હવે મારે તેની સાથે રહેવાનું હતું. મને સમજાયું કે ભારતમાં જે પાડોશીઓ-સ્નેહીઓ મને હૂંફ અને કાળજી આપી રહ્યાં હતાં, તે મારે મારા શરીરને આપવાની હતી. 

આ બીમારીનો સૌથી મોટો ફાયદો એ થયો કે હું નાની નાની જીતની નોંધ લેતી થઈઃ પહેલી વાર બેસીને જમી, પહેલી વાર દસ મિનિટ સુધી ચાલી, પહેલી વાર ઓફિસે ગઈ … આ બધું થયું ત્યારે મનમાં આનંદની સાથે કૃતજ્ઞતાની પણ લાગણી થઈ હતી. જોઈએ, તે કેટલી ટકે છે. 

અત્યારે હું ધીમે ધીમે આગળ વધી રહી છું. વિક-એન્ડ ભરચક નથી કરતી, ખચકાટ વિના ના પાડી શકું છું, આગોતરા આયોજન વિના આનંદ લઈ શકું છું, પહેલાંની ગતિ સાથે મેળ બેસાડવા કોશિશ કરતી નથી.  તેનાથી વધારે સારો વિકલ્પ લઉં છું. 

આ પ્રક્રિયાએ મને નવો દૃષ્ટિકોણ આપ્યો છે. મારા સાચા મિત્રો કોણ, તે જાણવા મળ્યું છે. મારે શાની અપેક્ષા રાખવાની અને શાની અપેક્ષા નહીં રાખવાની, તે સમજાયું છે. હું આ દુનિયાના તમામ અર્થમાં હૂંફાળા ભાગની છું, તેનું મને ગૌરવ છે. મને ખબર છે કે મારાં મૂળિયાં ક્યાં છે ને હું ક્યાં પાછી ફરીશ. સાથોસાથ, આ બીમારીની એ વાતે પણ આભારી છું કે તેણે મારી અંદર મારું ઘર શોધતાં મને શીખવ્યું છે. 

e.mail : rtnair91@gmail.com
[પ્રગટ : “સાર્થક જલસો – 23”, ઑક્ટોબર 2025; પૃ. 108 – 111]

Loading

આખા ગુજરાતમાં દારુ-જુગારના અડ્ડા કેમ સંકેલાઈ ગયા હતા?

રમેશ સવાણી|Opinion - Opinion|3 December 2025

‘Bullet for Bullet : My Life as a Police Officer – બુલેટ ફોર બુલેટ : માય લાઈફ એઝ અ પોલીસ ઓફિસર’ IPS અધિકારી જુલિયો રિબેરોની આત્મકથા છે.

Julio Ribeiro-જુલિયો રિબેરો (96) કોણ છે? ભારતના પ્રથમ ‘સુપરકોપ’. 36 વરસની પોલીસ સર્વિસનો અનુભવ. તેમનો જન્મ 1929માં ગોવામાં થયો હતો. 1953માં ભારતીય પોલીસ સેવામાં જોડાયા પછી, તેમણે પંજાબ, દિલ્હી, મુંબઈ, ગુજરાત અને ગોવા જેવા વિવિધ રાજ્યોમાં કામ કર્યું.

‘બુલેટ ફોર બુલેટ’માં મહત્ત્વના પડકારો, અનુભવો, નીતિ અને ભ્રષ્ટાચાર સામેની તેમની લડાઈનું વિગતવાર વર્ણન છે. સંગઠિત ગુનાખોરી, સાંપ્રદાયિક હિંસા અને રાજકીય દબાણ વચ્ચે પોલીસિંગના કઠિન નિર્ણયો કેવી રીતે લેવાય છે, તે પોતાના અનુભવો દ્વારા સમજાવે છે. 

મુંબઈના પોલીસ કમિશ્નર તરીકે તેમના કાર્યકાળમાં 1984માં દેશભરમાં થયેલા એન્ટી-શીખ રમખાણો સમયે બોમ્બે તેમના નેતૃત્વ હેઠળ બચી ગયું, જે આ પુસ્તકનો મહત્ત્વનો ભાગ છે.  મોટા શહેરમાં ક્રાઈમનું ઊંચું પ્રમાણ અને ‘ટચી’ રાજકારણ વચ્ચે કાયદો-વ્યવસ્થા કઈ રીતે સંભાળવી તે તેઓ વ્યવહારુ ઉદાહરણોથી બતાવે છે. 

1986માં પંજાબ આતંકવાદના શિખરે હતું ત્યારે તેમની નિમણૂક પંજાબના DGP-ડાયરેક્ટર જનરલ ઑફ પોલિસ તરીકે થઈ. ત્યાં કરેલું કામ પુસ્તકનો શિખરભાગ બને છે. 

પુસ્તકમાં આખું વર્ણન નિષ્કપટ અને નિષ્પક્ષ સ્વરે છે, જેમાં સાચા-ખોટા વચ્ચેની રેખા, ઘણી વાર ધૂંધળી કેવી રીતે બની જાય છે તે પોલીસિંગના પરિપ્રેક્ષ્યમાં સમજાય છે. વ્યક્તિગત સીમાચિહ્નો, નગર-રાજકારણ અને આતંકવાદ વિરોધી કામગીરીને સાધીને, પુસ્તક વાચકને પોલીસ તંત્ર કેવી રીતે કામ કરે તેની અંદરની સમજ આપે છે. 

રિબેરો કહે છે કે ‘પોલીસ અધિકારીએ ન્યાય અને નૈતિકતાનું પાલન કરવું જોઈએ, ભલે ગમે તેટલું રાજકીય દબાણ આવે. તેમણે રાજકારણીઓ અને માફિયાના દબાણ સામે ઝૂકવું ન જોઈએ. પોલીસમાં ભ્રષ્ટાચાર દૂર કરવા માટે નિયમોનું કડક પાલન અને પારદર્શિતા પર ભાર મૂકવો જોઈએ.’ 

પોલીસ અને લોકો વચ્ચે વિશ્વાસ પ્રગટાવવા માટે સુધારણાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો. તેમનો નિર્ભય સ્વભાવ અને ગુનાખોરો સામે સીધી લડતની ઘટનાઓ પુસ્તકમાં પ્રેરણાદાયી રીતે રજૂ થઈ છે. 

આ પુસ્તક  એટલે ન્યાય અને નૈતિકતાની લડત લડનારા એક પોલીસ અધિકારીની પ્રેરણાદાયી કથા; જે  ભારતીય પોલીસ વ્યવસ્થાને વધુ સુધારવા પ્રેરણા આપે છે.

ઓગસ્ટ 1991માં, તેઓ રોમાનિયામાં ભારતીય રાજદૂત હતા ત્યારે બુકારેસ્ટમાં તેમની પર પંજાબી શીખ બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો. તેમાં તેઓ ઘાયલ થયા હતા પણ બચી ગયા હતા.

1986માં, કલકત્તાના ‘ટેલિગ્રાફ’ અને મદ્રાસના ‘હિન્દુ’ દ્વારા પ્રકાશિત પાક્ષિક ‘ફ્રન્ટલાઈન’એ તેમને ભારતના તે વર્ષના શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે જાહેર કર્યા હતા; અમેરિકાના ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’, ‘ટાઇમ’ અને ‘ન્યૂઝવીક’ એ પણ પંજાબમાં આતંકવાદ સામેની લડતમાં તેમના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. 

તેઓ ધ હેપ્પી હોમ એન્ડ સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડ અને ધ બોમ્બે મધર્સ એન્ડ ચિલ્ડ્રન વેલ્ફેર સોસાયટી જેવી ઘણી સખાવતી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. 1987માં તેમને ‘પદ્મ ભૂષણ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

pastedGraphic.png

‘Hope for Sanity – હોપ ફોર સેનિટી’ પુસ્તકમાં 2002થી 2021 વચ્ચે લખાયેલા જુલિયો રિબેરિયોના પસંદગીના લેખોનું સંકલન છે. જેમાં પોલીસ, શાસન અને સમાજ વિષયક ધારદાર વિચાર છે. આ લખાણો આજે પણ કાયદા-વ્યવસ્થા, નૈતિકતા અને સાંપ્રદાયિકતા વિશે સ્વસ્થ બુદ્ધિ જાળવવાની અપીલ કરે છે.

એમના વિષયોના થોડાં નમૂનાઓ :

[1] પોલીસ આચારસંહિતા, કસ્ટડીમાં સ્ત્રી સુરક્ષા અને દંડાત્મક જવાબદારી. 

[2] સેલિબ્રિટી કેસો, પોલીસ હિંસા અને દરરોજની પોલિસિંગની કઠિનતાઓ.

[3] ભ્રષ્ટાચાર અને નીતિ અમલની ખામીઓ પર અનુભવજન્ય કથાઓ. 

[4] પંજાબના ઉગ્રવાદ સમયે કાયદાની મર્યાદામાં રહી કામ કરવાની વૃત્તિ પર ભાર મૂક્યો. 

[5] બહુમતીવાદી દ્વેષ રોકવાનો સંવિધાનિક સંદેશ.

[6] પોલીસ દળની અંદર કડક જવાબદારી, ઝડપી કાર્યવાહી, અને પીડિતાઓને કેન્દ્રમાં રાખતી પ્રક્રિયા અતિ મહત્ત્વની છે. તેઓ આ ગુનાઓને ‘લોકો દ્વારા પોલીસ પર મૂકાયેલા વિશ્વાસનો સૌથી ગંભીર ભંગ’ તરીકે વર્ણવે છે. તેઓ કહે છે કે પોલીસ પાસે રાજ્ય દ્વારા સોંપાયેલ સત્તા હોવાથી તેમના ગુનાઓ માટે સામાન્ય આરોપીઓ કરતાં વધુ કડક સજા જરૂરી છે.

[7] નાસિક (1956–57) : સહાયક પોલીસ અધિકારી તરીકે તેમણે સુર્ગાણા વિસ્તારનો એક કેસ સંભાળ્યો હતો, જેમાં એક કૉન્સ્ટેબલે મેળામાં એક આદિવાસી મહિલાનો બળાત્કાર કર્યો હતો. તેના કારણે થયેલી અશાંતિ દરમિયાન પોલીસે ગોળીબાર કરવો પડ્યો જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું. અંતે, આરોપી કૉન્સ્ટેબલને 7 વર્ષની સજા થઈ.

[8] મુંબઈ (1982–85) : પોલીસ કમિશનર તરીકે તેમણે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનના એક કૉન્સ્ટેબલનો કેસ હાથ ધર્યો, જેણે સુરક્ષા માટે રાખવામાં આવેલી માનસિક રીતે પડકારગ્રસ્ત છોકરી સાથે બળાત્કાર કર્યો હતો. તે કૉન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી અને તેને બાદમાં કેદની સજા થઈ.

[9] આવા ગુનાખોર પોલીસકર્મીઓને ખૂબ જ કડક અને ઝડપી કાર્યવાહીથી દંડિત કરવા જોઈએ. વરિષ્ઠ અધિકારીઓએ પોતાની ટીમ સામે નૈતિક વર્તનનું ઉદાહરણ પૂરું પાડવું જોઈએ (સૌથી મોટી ખામી નેતૃત્વની છે). પીડિતાઓ સાથે વ્યવહાર કરતી વખતે પ્રક્રિયા સંવેદનશીલ અને survivor-centric હોવી જોઈએ, શક્ય હોય ત્યારે નિવેદન મહિલા પોલીસકર્મી દ્વારા લેવાય, અને એવું શક્ય ન હોય તો ઓછામાં ઓછી બીજી કોઈ મહિલા હાજર હોવી જ જોઈએ. તેમ જ ફરિયાદ કરતી મહિલાઓને અપમાનજનક કે અશ્લીલ પ્રકારના પ્રશ્નો પૂછવા જોઈએ નહી. કારણ કે તે તેમની પીડાને વધુ વધારી શકે છે.

pastedGraphic.png

જુલિયો રિબેરો, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના અગ્રણી ટીકાકાર રહ્યા છે, તેઓ લઘુમતી અધિકારો, ધર્મનિરપેક્ષતા અને ભારતીય લોકશાહીની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવા માટે વારંવાર અખબારી કૉલમ અને ઇન્ટરવ્યુનો ઉપયોગ કરે છે. તેમની મુખ્ય આલોચનાઓ : 

[1] લઘુમતી સાથેનો વ્યવહાર : તેમણે મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી ‘લઘુમતી વિરોધી દ્વેષ’. લઘુમતીઓ ‘બીજા-વર્ગના નાગરિક’ બનવાના ડરમાં જીવે છે.

[2] દ્વેષપૂર્ણ ભાષણ પર મૌન : ભારતીય જનતા પાર્ટીના સભ્યો અને સમર્થકો દ્વારા કરવામાં આવતા દ્વેષપૂર્ણ ભાષણ અને સાંપ્રદાયિક હિંસા પર મૌન રહેવા માટે મોદીજીની ટીકા કરતાં તેઓ કહે છે કે શું વડા પ્રધાન તેમના પક્ષ દ્વારા ફેલાવવામાં આવતી નફરતને શાંત ન કરી શકે? 

[3] લોકશાહી સંસ્થાઓને નબળી પાડવી : ન્યાયતંત્ર અને ચૂંટણીપંચ સહિત ભારતના લોકશાહી અસ્તિત્વના વિવિધ ભાગોને નિયંત્રિત કરવાના પ્રયાસો પર તેમણે શંકા વ્યક્ત કરી છે, ચેતવણી આપી છે કે આવી ક્રિયાઓ ભારતીય લોકશાહીને જોખમમાં મૂકે છે.

[4] પોલીસનું રાજકીયકરણ : ભૂતપૂર્વ ટોચના પોલીસ અધિકારી (ગુજરાત અને પંજાબના મુંબઈ પોલીસ કમિશનર અને ડી.જી.પી. તરીકે સેવા આપતા), રિબેરોએ પોલીસ દળોના રાજકીયકરણ – Politicization of the police પર દુ:ખ વ્યક્ત કર્યું છે, અને કહ્યું છે કે પોલીસ તો ‘સંપૂર્ણપણે રાજકીય નેતૃત્વ’ દ્વારા નિયંત્રિત છે.

[5] સંજીવ ભટ્ટની ધરપકડ : તેમણે IPS અધિકારી સંજીવ ભટ્ટની ધરપકડની ટીકા કરી હતી. 

[6] તેમણે કહ્યું હતું કે ‘ચાર હત્યાઓ માટે કેસનો સામનો કરી રહેલા IPS અધિકારી પી.પી. પાંડેને, રાજ્યના પોલીસ વડાના પદ પર કેવી રીતે નિયુક્ત કરી શકાય? કારણ કે તેઓ કેસનો સામનો કરી રહ્યા છે, ઓલ ઇન્ડિયા સર્વિસીસ (કન્ડક્ટ) રૂલ્સ અનુસાર તેઓ સસ્પેન્શન હેઠળ હોવા જોઈએ. CBI દ્વારા હાઇકોર્ટની દેખરેખ હેઠળ તપાસમાં પી.પી. પાંડે ચાર્જશીટ કરાયેલ આરોપી છે, કાયદાની યોગ્ય પ્રક્રિયાનો સંપૂર્ણ અનાદર કરીને, તેમને ગુજરાતના કાર્યકારી DGP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કાર્યકારી DGP તરીકે તેમની પાસે આ સંવેદનશીલ કેસમાં સાક્ષી રહેલા અન્ય પોલીસકર્મીઓ પર સત્તા અને નિયંત્રણ હશે. જે ટ્રાયલની ન્યાયિક પ્રક્રિયા પર પ્રતિકૂળ અસર થવાની શક્યતા છે. આ પદ પર નિમણૂક પહેલાં, પી.પી. પાંડેએ, લગભગ એક દાયકા પછી ગુજરાતમાં ફરી પ્રવેશતા ડી.જી. વણઝારાના ‘સ્વાગત સમારોહ’માં હાજરી આપી હતી. ઇશરત જહાં અને સોહરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટર હત્યાના આરોપી ડી.જી. વણઝારાનો પૂર્વગ્રહપૂર્ણ દૃષ્ટિકોણ સોશિયલ મીડિયા પર દેખાયો હતો જ્યારે તેમણે ‘મુઘલોના પુત્રો ભારત છોડો’ કહ્યું હતું.

જુલિયો રિબેરોની નિમણૂક, જૂન-1985માં, ગુજરાતના પોલીસ વડા-DGP તરીકે થતાં જ ગુજરાત આખામાં દારુ-જુગારના અડ્ડા સંકેલાઈ ગયા હતા ! કોમી રમખાણો શાંત થઈ ગયા હતા ! એનો અર્થ એ પણ થાય કે ગુજરાતમાં દારુ / ડ્રગ્સ / જુગારનું દૂષણ ત્યારે જ વકરે જ્યારે ગુજરાતના પોલીસ વડા પ્રામાણિક ન હોય અને હિમ્મતવાળા ન હોય, પણ ચાપલૂસ હોય. 

[સૌજન્ય : હિદાયત પરમાર] 
30 નવેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...4567...102030...

Search by

Opinion

  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318
  • બાલદિને જાગતો સવાલ : ગિજુભાઈનું ‘દિવાસ્વપ્ન’ સાકાર થશે? 

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved