Opinion Magazine
Number of visits: 9456022
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|17 September 2025

ચંદુ મહેરિયા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વરસના આરંભ પૂર્વે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બૌદ્ધિક વિમર્શ બેઠક યોજાઈ હતી. તેમાં સર સંઘચાલક મોહન ભાગવતે કહ્યું હતું કે મંદિર, સ્મશાન અને પાણીની બાબતમાં  હિંદુઓ વચ્ચે કોઈ ભેદ ન હોવો જોઈએ. અર્થાત હિંદુઓ મંદિર, સ્મશાન અને પીવાનાં પાણીમાં દલિતો સાથે કોઈ આભડછેટ પાળતા હોવા જોઈએ નહીં. સ્વતંત્રતાના પંચોતેર વરસ પછી અને હિંદુઓના સર્વોચ્ચ સાંસ્કૃતિક સંગઠન આર.એસ.એસ.ની સ્થાપનાના શતાબ્દી વરસે પણ હજુ દલિતો માટે અલગ સ્મશાનો છે, પીવાનાં પાણી અને મંદિરોમાં ભેદભાવ પળાય છે તેની આ સ્વીકૃતિ છે. 

દલિતોમાં દલિત કહો કે મહા દલિત એવા ડોમ(દલિતોની એક પેટા જ્ઞાતિ)ની આમ તો દેશના પંદરેક રાજ્યોમાં વસ્તી છે. ભારતની જડ જ્ઞાતિ પ્રથાએ અન્ય દલિતોની જેમ તેમના માથે પણ કેટલાંક કામો થોપ્યા છે. એટલે ઢોલ વગાડવા, સફાઈ કરવી, ઝાડુ-ટોપલા-ટોપલી અને વાંસની જુદી જુદી ચીજો બનાવવી અને વેચવી જેવાં કામો તો એ કરે છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર મોક્ષ નગરી વારાણસીના ડોમ મૃતદેહના અગ્નિ સંસ્કારનું કામ કરે છે. શિવજીના શાપરૂપી વરદાનથી બંધાયેલા વારાણસીના ડોમ વિશે કહેવાય છે કે જો ડોમના લાકડાની ચેહ અને તેના હસ્તે મુખાગ્નિનો અગ્નિ મળે તો મૃતકને મોક્ષ મળે છે. આ હિંદુ માન્યતા અને પરંપરા નિભાવતા ડોમ મસાણ અને મોક્ષની મોકાણ વચ્ચે જિંદગી બસર કરે છે.

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ૪.૧૩ કરોડ દલિતો છે. જે રાજ્યની કુલ વસ્તીના ૨૦.૭ ટકા છે. યુ.પી.ની દલિત વસ્તીમાં ડોમ ૦.૩ ટકા (૧,૧૦,૩૫૩) જ છે. તેમાં વારાણસીમાં તો માત્ર ૪,૦૦૦ જ ડોમ છે. વારાણસીમાં ગંગાના છ થી આઠ કિલોમીટરના કિનારે લગભગ ૮૮ ઘાટ છે. તેમાં એક નવો નમો ઘાટ પણ છે. પરંતુ મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર એ બે ઘાટ પર શબના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. ડોમ અહીં શબના અંતિમ સંસ્કારની તમામ કામગીરી બજાવે છે. ડોમ રાજા કહેવાતા ડોમ આગેવાન મૃતકનાં સગાંને ચેહના લાકડા વેચે છે અને અગ્નિદાહની અગ્નિ આપે છે. એટલે ડોમ રાજાની અગ્નિ અને મણિકાર્ણિકા ઘાટ મૃતકને મોક્ષ પ્રદાન કરે છે તેવી માન્યતા પ્રવર્તે છે. 

ડોમનું શબ દહનનું કામ આસાન નથી. ગંગાના સ્મશાન ઘાટે બારે મહિના, ચોવીસે કલાક અને બધી જ ઋતુઓમાં શબ દહનનું કામ ચાલતું રહે છે. વારાણસીના અઢી હજાર ડોમ પુરુષો વારાફરતી આ કામ કરે છે. મૃતદેહ આવે ત્યારે તેના માટે ઘાટ પરના ચબૂતરા પર ચેહ તૈયાર કરવાથી માંડીને તે બળીને ખાખ ન થઈ જાય ત્યાં સુધી તેમાં અગ્નિ પેટાવતા રહેવું પડે છે. કોઈ પણ મોસમમાં અગ્નિ સન્મુખ રહ્યા કરવું બહુ મુશ્કેલ છે. આ કામ માટે તેમને બહુ મોટી રકમ મળતી નથી. એક અગ્નિ સંસ્કારના અઢીસો રૂપિયા મળે છે. કહેવાય છે કે રોજની ૮૦ થી ૧૦૦ અને વરસે ૩૦,૦૦૦ લાશોના દાહસંસ્કાર અહીં થાય છે પરંતુ કોઈ એક વ્યક્તિને જ આ બધી રકમ મળતી નથી. ઘણાં ડોમ પરિવાર તેના પર નભે છે. 

પ્રાચીન નગરીનું ગૌરવ ધરાવતી કાશી, વારાણસી કે બનારસ વિશે તો ઘણું લખાયું છે, પરંતુ તેના ડોમ વિશે ખાસ કશું લખાયું નથી. એ મહેણું પત્રકાર રાધિકા અયંગરના દસ્તાવેજી મૂલ્ય ધરાવતા પુસ્તક ‘ફાયર ઓન ધ ગંગાજ : લાઈફ અમંગ ધ ડેડ ઈન બનારસે’ (Fire on the Ganges : Life Among the Dead in Banaras) ભાંગ્યું છે. સતત આઠ વરસોની મહેનત પછી લખાયેલા આ પુસ્તકે ડોમના રોજિંદા જીવનની વાસ્તવિકતાને સમાજ સમક્ષ ઉજાગર કરી છે. આ પુસ્તકમાં ડોમના જીવનની દયનીય સ્થિતિ, જટિલ વાસ્તવિકતાઓ અને મહિલા તથા બાળકોની હાલતને જરા ય જજમેન્ટલ બન્યા વિના લેખિકાએ આલેખી છે. કથિત ઉચ્ચ જ્ઞાતિઓના સામાજિક માપદંડોને ફગાવીને શિક્ષણ, કૌશલ્ય અને વૈકલ્પિક ધંધા-રોજગારના માધ્યમે નવો માર્ગ પસંદ કરેલ વ્યક્તિઓ (ભોલા, કોમલ, ડોલી અને લક્ષ્ય)ના સંઘર્ષો અને આકાંક્ષાઓનું ચિત્રણ  લેખિકાએ કર્યું છે. 

સોળ હિંદુ સંસ્કારોમાંના અંતિમ સોળમા સંસ્કારમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા અને એટલે પૂજનીય હોવા જોઈતા ડોમ કેવા ઉપેક્ષિત છે તે બનારસની આધ્યાત્મિક ભવ્યતાના આલેખન છતાં ઓઝલ રહી શકતું નથી. હિંદુ મૃતકના મુક્તિદાતા ડોમ ખુદ અનેક જંજીરોથી જકડાયેલા છે. આભડછેટ, ગરીબી, નિરક્ષરતા, વૈકલ્પિક રોજીનો અભાવ અને સતત આગની વચ્ચે રહેવું જાણે કે તેમની નિયતિ બની ગઈ છે. તેમનાં બાળકો પણ આ જ વાતાવરણમાં જીવે છે. મહિલાઓ ઘરનો ચૂલો ફૂંકે છે. બાળકો ઘાટ પર શબ પરથી ઉતરેલા કફન ભેગા કરી મૂળ દુકાનદારોને ઓછા દામે વેચી આવે છે. ઘણા ડોમના ઘરનો ચૂલો સવાર સાંજ ઘાટ પરના અડધા બળેલા લાકડાથી સળગે છે. ક્યારેક આ લાકડા પર લાશના માંસના લોચા પણ ચોંટેલા હોય છે. ‘મણિકર્ણિકા ઘાટ, વારાણસી: એ લેન્ડસ્કેપ ઓફ ડેથ’માં અમિતા સિન્હાના જણાવ્યા મુજબ એક શબના અંતિમ સંસ્કારથી ૨.૭ કિલો રાખ નીકળે છે. ઘણા ડોમ આ રાખને કાણાવાળા વાસણથી ગાળે છે, ખંગાળે છે. એવી આશાએ કે  કદાચ તે રાખમાંથી મૃતદેહ પરનું કોઈ કિંમતી ઘરેણું મળી જાય!

શિવનગરી વારાણસીના ડોમની વાસ્તવિકતા દિલને ઝકઝોરી નાંખે તેવી છે. ટાઢ, તડકો કે વરસાદ તો તે વેઠે છે, પરંતુ હંમેશાં મૃત્યુની સમીપે રહેવાનું હોઈ તે જીવનના સુખને દારુ કે ગાંજાના વ્યસનથી માણે છે. ડોમ બાળકો શિક્ષણથી મુક્ત જ રહે છે. જે થોડા ભણવા જાય છે તેમને શાળામાં અલગ નહીં તો આઘા બેસાડાય છે. દલિતો, ગરીબો, આદિવાસીઓ, શ્રમિકોના સંતાનોના ભણતર સામે શોષકો સવાલ કરે છે કે જો તે ભણશે તો અમારાં વૈતરાં કોણ કરશે? મરેલાં ઢોર કોણ ખેંચશે? ખેતી કોણ કરશે? તેમ બનારસના ડોમ બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવવા માંગતા વિદેશીને સંભળાવાય છે કે તો પછી અમારા શબ કોણ સળગાવશે?  બિનદલિતોનું  આ વલણ તો જાણે સમજ્યા. દલિત ચિંતક તુલસી રામ તેમની આત્મકથા “મણિકર્ણિકા”ના પહેલા જ પૃષ્ઠ પર લખે છે, “મણિકર્ણિકા ઘાટ પર સદિયોંસે  જલતી ચિતાએં કભી નહીં બુઝીં. અત: મૃત્યુ કા કારોબાર યહાં ચૌબીસોં ઘંટે ચલતા રહતા હૈ. સહી અર્થો મેં મૃત્યુ બનારસ કા બહુત બડા ઉદ્યોગ હૈ. અનગિનત પંડો કી જીવિકા મૃત્યુ પર આધારિત હૈ. સબસે જ્યાદા કમાઈ ઉસ ડોમ પરિવાર કી હોતી હૈ, જિસસે હર મુર્દા માલિક ચિતા સજાને કે લિએ લકડી ખરીદતા હૈ” (પૃષ્ઠ-૯) 

વારાણસીના ડોમને પણ આ કામ કોઠે પડી ગયું છે. શિવનું વરદાન તેમને મળેલું છે અને તેથી તેઓ મોક્ષદાતા છે તેવા ગુમાનમાં કે ભગવાને સોંપેલી ફરજ કંઈ થોડી છોડાય તેવી માન્યતાવશ તેઓ બીજું કશું વિચારતા નથી. મણિકર્ણિકા ઘાટ પર પણ કામની વહેંચણીના નામે ઉચ્ચનીચ જેવી વ્યવસ્થા છે. સૌથી ઉપર ડોમ રાજા, પછી તેના નાયબો અને છેલ્લે લાશો સળગાવનારા છે. એટલે આ કામમાં જે સૌથી મુશ્કેલ કામ કરે છે તે સૌથી વધુ ગરીબ અને ઉપેક્ષિત ડોમ છે. 

પરંતુ પરિવર્તનના સંસારના નિયમથી ડોમ પણ અછૂતા રહી શક્યા નથી. મુખ્યત્વે પુરુષપ્રધાન આ કામમાં જમુનાદેવી જેવાં વિધવા ડોમ મહિલાએ ઝંપલાવ્યું છે. રાધિકા અયંગરે લખ્યું છે તેમ વારાણસીના એક ડોમ યુવાને આ કામને તિલાંજલી આપીને શહેરમાં સરકારી નોકરી શોધી છે. તે તેની ત્રણ ભત્રીજીઓને સાથે ભણાવવા લઈ ગયો છે તે આવતીકાલની ઉજળી આશાની એંધાણી છે. ડોમ રાજા જગદીશ ચૌધરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના લોકસભા ચૂંટણીના પ્રસ્તાવક બનાવ્યા કે તેમને મરણોપરાંત પદમશ્રીથી નવાજ્યા તેનું પ્રતીકાત્મક તો પ્રતીકાત્મક, ઘણું મૂલ્ય છે. આવા નાના-મોટા ફેરફારો ડોમનું દળદર ફેડે અને સઘળા હિંદુઓ માટે પાણી, મંદિર અને સ્મશાનના ભેદ ન હોવા જોઈએ તેવી સંઘ સુપ્રીમોની અરજ  આહ્વવાન બને તો કેવું સારું. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

એકલતાની કમાણી

આશા વીરેંદ્ર|Opinion - Short Stories|17 September 2025

પંજાબના ખૂણામાં આવેલું, આજે પણ પછાત રહી ગયેલું એવું ચાંદપુર ગામ. જુવાનિયાઓ ચરસ-ગાંજો પીવામાં દિવસો વિતાવે એવા ગામનો બલવીર બેરિસ્ટર બની ગયો એ સૌ કોઈ માટે નવાઈની વાત હતી. મા-બાપુ તો ખેતી અને ઢોર-ઢાંખરમાંથી ઊંચાં જ ન આવતાં. છોકરો નિશાળે જાય છે કે નહીં એવી ચિંતા કરવાનો એમની પાસે વખત જ ક્યાં હતો!

નાનો સુખબીર ખેતરમાં મદદ કરતો એટલે એ એમને સ્વાભાવિક રીતે જ ડાહ્યો દીકરો લાગતો. બલવીર ઊંધું ઘાલીને ચોપડીઓ વાંચ્યા કરતો એ બેઉને જરા ય પસંદ નહોતું. પણ એ જ બલવીર બેરિસ્ટર બનીને, કોટ પહેરીને શહેરની કોર્ટમાં જતો અને ચપરાસીથી માંડીને વકીલો એને સલામ ભરતા એ સાંભળીને ગર્વથી એમની છાતી ફૂલતી.

મા મહોલ્લાની સ્ત્રીઓને ભેગી કરીને કહેતી, “મારે બલવીરાને બોત બડી હવેલી બનાઈ હૈ, પતો હૈ? ચાર પહિયોં વાલી ગડ્ડીમેં ઘુમતા હૈ.”

આગળ ભણવા માટે બલવીરને રૂપિયાની ખૂબ જરૂર હતી ત્યારે અભ્યાસનું મહત્ત્વ ન જાણતા હોવા છતાં બંને મામાઓએ એને મદદ કરેલી. આજે સુખ-સાહ્યબી વચ્ચે પણ બલવીર એ ભૂલ્યો નહોતો. આમ પણ એનો સ્વભાવ બધાને મદદરૂપ થવાનો. સાજે-માંદે કોઈપણ ગામડેથી આવ્યું હોય તો બલવીરની હવેલીના દરવાજા હંમેશાં ખુલ્લા જ રહેતા. એની પત્ની જસપ્રીત પણ અત્યંત મિલનસાર સ્વભાવની.

મામાનો ફોન આવ્યો કે, પંદરેક દિવસથી કુલદીપનો તાવ ઊતરતો નથી. આ સાંભળીને બલવીરે તરત જ મામા, મામી અને કુલદીપને અહીં લાવવાની તથા ડૉક્ટરને બતાવવાની અને રહેવાની – બધી જ વ્યવસ્થા તાબડતોબ કરી દીધી. બધું કરવા છતાં એ અંદરથી અનુભવતો હતો કે, એ લોકો છૂટથી એની સાથે વાત-ચીત નહોતાં કરતાં. જેમનો ખોળો ખૂંદીને એ મોટો થયો હતો એ મામા હવે એની સાથે ‘જી, હાંજી’ કરીને વાત કરતા.

સવારે કોર્ટમાં જતાં પહેલાં એ કુલદીપના ઓરડામાં જતો ત્યારે ન ઇચ્છવા છતાં એનાથી કંઈ ને કંઈ સલાહ અપાઈ જતી.

“મામી, કુલદીપની આટલાં નજીક બેસશો તો તમે પણ માંદાં પડી જશો. સામે ખુરશી છે એની પર જ બેસવાનું.” “મામા, અડધા કલાક પહેલાં કાપેલું સફરજન તમે કુલદીપને ખવડાવો છો એ બરાબર નથી. એની પર માખી બેઠી હોય. હંમેશાં સમારીને તરત જ ખવડાવવાનું.”

મામીને કહેવાનું મન થાય કે, માંદો દીકરો બાજુમાં બેસવાનું કહે તો કઈ મા પોતે માંદી પડશે એવી ચિંતા કરે? મામાના મનમાં આવે કે, ભાણેજને કહે કે, દીકરા, અમે તો ગામડામાં આમ જ ખાવા-પીવા ટેવાયેલાં છીએ, પણ એ નીચી મૂંડી કરીને સાંભળી લેતા. બધા સાથે પ્રેમ અને લાગણીથી વર્તવા છતાં સૌને એની હાજરીનો, એના બેરિસ્ટર હોવાનો ભાર લાગતો અને કોઈ એની નજીક ન આવી શકતું એ બલવીર સમજતો અને પોતાની જાતને વધુ ને વધુ એકલવાયી અનુભવતો.

તે દિવસે એણે કોર્ટમાંથી આવીને ઘરમાં પગ મૂક્યો ત્યારે ખુલ્લા દરવાજામાંથી એ ક્યારે પ્રવેશ્યો એ કોઈને ખબર નહોતી. વરંડામાં બેસીને જસપ્રીત અચાનક ગામથી આવેલાં પોતાનાં નણંદ અને દિયરને કહી રહી હતી, “આજે તો મેં આપણને બધાંને ભાવતું બેંગનનું ભરતું બનાવ્યું છે. તમારા ભાઈને તો બેંગનની વાસથી જ સૂગ ચઢે એટલે ખાવાનું મન થાય તો ય મારાથી બનાવાય જ નહીં. આપણે બધાં રસોડામાં જમીશું ને એમની થાળી પીરસીને હું રૂમમાં મોકલી દઈશ.”

“પણ ભાભી, જમતી વખતે હસી-મજાક કરતાં જમીએ તો કેવી મજા આવે? મોટાભાઈને આમ એકલા જમવાનું થોડું ગમે?”

“અરે, દીદી, હસવાની ક્યાં વાત કરો છો? હવે અમારાં બે વચ્ચે તો ખપ પૂરતી જ વાત થાય.”

બલવીર ચૂપચાપ રૂમમાં કોટ ઉતારવા ચાલ્યો ગયો. એને જોઈને સૌના હસતા ચહેરા પર અચાનક ગંભીરતા ઊતરી આવી. બેને ઊભાં થઈને એની નજીક જવાનો પ્રયત્ન કર્યો પણ પછી દૂરથી જ કહ્યું, “વીરજી, તમને મારા હાથની ફિરની બહુ ભાવે છે ને, તે ખાસ લાવી છું.”

સુખબીરે જાણે વિવેક ખાતર પૂછ્યું, “મોટાભાઈ, તબિયત સારી છે ને? કેમ સુકાઈ ગયા છો?”

“ના,ના, સારું છે. ગામમાં બધાં કેમ છે?”

“બધાં મજામાં.”

બસ, ત્યાં વાતનો અંત આવી ગયો. આગળ શું બોલવું એ સમજ ન પડતાં નણંદ-ભોજાઈ જમવાની તૈયારી કરવા લાગ્યાં. સુખબીર વિચારવા લાગ્યો, હવે મોટાભાઈની દુનિયા બદલાઈ ગઈ છે. એમની દેશ-વિદેશની અને રાજકરણની વાતમાં મારી જેવાને કંઈ ગતાગમ પડે નહીં. એમની સાથે બોલું તો શું બોલું? એ જ વખતે બલવીરના મનમાં વિચારોનો વંટોળ ઊઠ્યો હતો, ‘મને કોણે બધાંથી જુદો પાડ્યો? મારા ભણતરે, મારા સ્વભાવે કે મારી શ્રીમંતાઈએ?’

બલવીર અને જસપ્રીત બંને ઘણા સમયથી માને બોલાવતાં હતાં.

આખરે આજે મા આવી હતી. જસપ્રીતે કહ્યું, “મા, તમારો દીકરો તમને કેટલું યાદ કરતો હતો! આજે તો તમે બંને એક રૂમમાં સૂજો ને પેટ ભરીને વાતો કરજો.” બલવીરના ચહેરા પર માને જોઈને ખુશી છવાઈ ગઈ.

“મા, મજામાં છે ને?”

દોડીને દીકરાને ગળે વળગાડવા જતી મા અચકાઈને ઊભી રહી ગઈ. ‘મારા મેલા-ઘેલા હાથથી એનાં કપડાં પર ડાઘ પડી જશે તો?’ એણે દુપટ્ટાથી હાથ લૂછ્યા ને પછી બલવીરને ગળે લગાડવા ગઈ પણ એને દીકરાની ઊંચાઈ વધી ગયેલી લાગી, એણે ભેટવાનો પ્રયત્ન તો કર્યો પણ એના હાથોમાં પહેલાં જેવી ઉષ્મા નહોતી એવું એને પોતાને જ લાગ્યું.

રાત્રે બલવીરે કહ્યું, “મા, માથું બહુ દુ:ખે છે, દાબી આપ ને!”

ખાટલામાં એની બાજુમાં બેઠેલી માને એનું માથું પોતાના ખોળામાં લેવાની તીવ્ર ઇચ્છા થઈ પણ પછી થયું કે, ‘એને નહીં ગમે તો?’

ધીમેથી માથું દબાવતી માને બલવીરે કહ્યું, “મા, પહેલાં કેવું જોરમાં દબાવતી હતી? આજે કેમ તારા હાથમાં જોર નથી?”

એ ન જુએ એમ દુપટ્ટાથી આંખો લૂછતાં માએ કહ્યું, “બધું કંઈ પહેલાં જેવું હંમેશાં થોડું રહે? એ તો બદલાયા કરે.”

બલવીર સમજી ગયો કે, બેરિસ્ટરીએ એને એકલતાની ભેટ આપી છે. એને કારણે બીજા બધાથી તો ઠીક, એ માથી પણ દૂર ચાલ્યો ગયો છે.

(કુલવંત સીંઘ વીર્કની પંજાબી વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 મે 2025; પૃ. 24  

Loading

ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

રમેશ સવાણી|Diaspora - Features|17 September 2025

રમેશ સવાણી

ન્યુજર્સી, પારસીપેની વિસ્તારની પ્રાથમિક શાળાઓ ઉનાળુ વેકેશન પછી 2 સપ્ટેમ્બર 2025ના રોજ ખૂલી ગઈ. અહીંની કોઈપણ પ્રાથમિક શાળાઓમાં પ્લેગ્રાઉન્ડ મોટું હોય છે. તેમાં બાળકો રમી શકે તેવી વ્યવસ્થા હોય છે. પ્લેગ્રાઉન્ડની વિશેષતા એ છે કે તે 24 કલાક ખૂલ્લું હોય છે. દિવસે કે રાત્રે પણ જઈ શકાય. પ્લેગ્રાઉન્ડ ફરતે ફેન્સિંગ હોય પણ દરવાજો ન હોય. સાંજના સમયે ગ્રાઉન્ડમાં હરણો ઘાસ ચરતા જોવા મળે. કુદરતી વાતાવરણ એવું હોય કે બાળકોને શાળા ગમે. 

‘EastLake Elementary School’માં બેનર હતું : ‘Welcome Back – ફરી પધારો !’ 2 સપ્ટેમ્બર વેલકમ બેક. 10 સપ્ટેમ્બર Back to school night. 15 સપ્ટેમ્બર Virtual Parent Teacher Association (PTA) meeting. 15-16 સપ્ટેમ્બર Picture Day. 

ગુજરાતની અનેક પ્રાથમિક શાળાઓમાં બાળકો રડતાં રડતાં શાળાએ આવે છે. કેમ કે આપણી સરકારી શાળાઓમાં બાળકોને ખેંચી લાવે તેવું વાતાવરણ હોતું નથી. વેકેશન પછી સ્વાગતના બેનર મેં ક્યારે ય જોયા ન હતા. જો કે કેટલીક સરકારી પ્રાથમિક શાળાઓ શિક્ષકોની સૂઝબૂઝના કારણે સારી બની છે. ખાનગી પ્રાથમિક શાળાઓ પાસે પણ પ્લેગ્રાઉન્ડની વ્યવસ્થા હોતી નથી. 

બેક-ટુ-સ્કૂલ નાઇટ શું છે? માતાપિતા અને વિદ્યાર્થીઓ માટે આગામી શાળા વર્ષ વિશે જાણવા, શિક્ષકોને મળવા અને વર્ગખંડો તપાસવા માટે આ એક કાર્યક્રમ છે. તે સામાન્ય રીતે શાળા શરૂ થાય તેના એક મહિનાની અંદર સાંજે યોજવામાં આવે છે. આ કાર્યક્રમ સામાન્ય રીતે ઓડિટોરિયમમાં સામાન્ય સભાથી શરૂ થાય છે, ત્યારબાદ માતાપિતા તેમના બાળકના વર્ગખંડની મુલાકાત લે છે. વાલીઓ શાળાના શિક્ષકો, આચાર્ય, નર્સ અને અન્ય સ્ટાફને મળે છે. અભ્યાસક્રમ વિશે જાણે છે. શાળાના સંસાધનો વિશે જાણે છે. અન્ય વાલીઓને / સાથી વિદ્યાર્થીઓને મળી શકાય છે. બાળકની સલામતી બાબતે પણ જાણી શકાય છે. બેક-ટુ-સ્કૂલ નાઈટ એ બાળકના શિક્ષકને અપેક્ષાઓ, વર્ગખંડના નિયમો અને શિક્ષણ શૈલી વિશે પ્રશ્ન કરવાની સંપૂર્ણ તક આપે છે. પ્રશ્નો પૂછવાથી ફક્ત મદદ જ મળતી નથી – તે દર્શાવે છે કે તમે તમારા બાળકના શિક્ષણની કાળજી લો છો અને તેમાં રસ ધરાવો છો. તમે એ શીખી શકશો કે ઘરે તમારા બાળકને કેવી રીતે મદદ કરવી? જ્યારે તમે શિક્ષક સાથે મળો છો, ત્યારે તમને શાળા વર્ષ દરમિયાન તેમનો સંપર્ક કેવી રીતે અને ક્યારે કરવો તે પૂછવાની તક મળશે. તમે તમારી પોતાની સંપર્ક માહિતી પણ પ્રદાન કરી શકો છો.

Elementary school nurses acute / chronic બીમારીઓ માટે direct care પૂરી પાડે છે, આરોગ્ય તપાસ કરે છે, સંભાળ યોજનાઓ વિકસાવે છે અને વિદ્યાર્થીઓ, પરિવારો અને સ્ટાફને આરોગ્ય સંબંધિત વિષયો પર શિક્ષિત કરે છે. તેઓ નાના બાળકો માટે ભાવનાત્મક ટેકો અને આરોગ્ય હિમાયતમાં પણ મુખ્ય ભૂમિકા ભજવે છે. ગુજરાતમાં આ સગવડ ઊંચી ફી વસૂલ કરતી શાળાઓમાં પણ હોતી નથી. 

Elementary school nurses provide direct care for acute and chronic illnesses, conduct health screenings, develop care plans, and educate students, families, and staff on health-related topics. They also play a key role in emotional support and health advocacy for young children.Feb 21, 2025

PTA – વર્ચ્યુઅલ પેરેન્ટ ટીચર એસોસિએશન એ એક માતાપિતા, શિક્ષકો અને શાળા સમુદાયોને જોડવા માટે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તેની મીટિંગ્સ, સંદેશાવ્યવહાર અને પ્રવૃત્તિઓ ઓનલાઇન કરે છે, ખાસ કરીને જ્યારે વ્યક્તિગત મેળાવડા મુશ્કેલ હોય છે. આ અભિગમ ઝૂમ, ગૂગલ મીટ અને ઓનલાઈન સાઇન-અપ ફોર્મ્સ જેવા વીડિયો કોન્ફરન્સિંગ ટૂલ્સનો ઉપયોગ કરે છે. વર્ચ્યુઅલ મીટિંગ્સ વ્યસ્ત માતાપિતા માટે હાજરી આપવાનું સરળ બનાવે છે, ભાગીદારી અને જોડાણ વધારે છે. તે સંસ્થાની પહોંચને વિસ્તૃત કરે છે. વર્ચ્યુઅલ પ્લેટફોર્મ સુગમતા પ્રદાન કરે છે.

પિક્ચર ડે એ બાળકો માટે કેમેરા સામે પોશાક પહેરવાની અને સ્મિત કરવાની તક કરતાં વધુ છે. તે સમયનો સ્નેપશોટ સાચવવા વિશે છે; એક એવી સ્મૃતિ જે વર્ષો પછી ફરીફરી જોઈ શકાય! 

અહીં બાળકો માટે શાળાઓ છે, આપણે ત્યાં શાળાઓ માટે બાળકો છે. આ તફાવત છે. ઉત્તમ શાળાઓ / શિક્ષણ જ દેશને મહાન બનાવી શકે. શાળા / શિક્ષણ જેટલાં પછાત એટલી જેલો મોટી બનાવવી પડે ! શાળા / શિક્ષણ જેટલાં ઉત્તમ એટલી જેલ ઓછી બનાવવી પડે !

16 સપ્ટેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...4567...102030...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved