Opinion Magazine
Number of visits: 9457071
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇન્દિરા ગાંધી વડા પ્રધાનો માટે ટેક્સ્બૂક છે  

રમેશ ઓઝા|Opinion - Opinion|21 July 2024

રમેશ ઓઝા

દરેક શાસકની રાજકીય શૈલી હોય છે. જવાહરલાલ નેહરુની પ્રસન્નગંભીર રાજકીય શૈલી હતી, ઇન્દિરા ગાંધીની ચોંકાવનારી અને કૃતનિશ્ચયી રાજકીય શૈલી હતી, મોરારજીભાઇ દેસાઈની ભલે તૂટી જઉં પણ ઝૂકું નહીં એવી જિદ્દી રાજકીય શૈલી હતી, રાજીવ ગાંધીની કોઈના પ્રભાવ હેઠળ નિર્ણયો લેનારી સ્વ-આકલનના અભાવવાળી રાજકીય શૈલી હતી, પી.વી. નરસિંહ રાવની ઓછું બોલવું અને તરણું બનીને પણ તરી જનારી રાજકીય શૈલી હતી, અટલ બિહારી વાજપેયીની બને ત્યાં સુધી સંઘર્ષ નિવારનારી, હળવે હલેસે કામ લેનારી અને જે પાણીએ મગ ચડે એ પાણીએ ચડાવવાની રાજકીય શૈલી હતી અને ડૉ. મનમોહન સિંહની માત્ર અને માત્ર શાસનલક્ષી અને દુ:શ્મન પણ ભરોસો કરે એવી ખાનદાની રાજકીય શૈલી હતી.

આ બધામાં વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય શૈલી જુદી છે. જુદી એટલે, સાવ જુદી. આત્મકેન્દ્રી, જિદ્દી, આક્રમક, સતત તાણનો અનુભવ કરનારી તેમ જ તાણમાં રાખનારી અને અપરિવર્તનશીલ રાજકીય શૈલી. આવી રાજકીય શૈલી ધરાવનારાઓ માટે રાજકીય અનુકૂળતા જરૂરી હોય છે અને જ્યારે પ્રતિકૂળતા પેદા થાય ત્યારે બહુ મોટી કસોટી થતી હોય છે. નરેન્દ્ર મોદીની તેમની ત્રીજી મુદ્દતમાં કસોટી થઈ રહી છે, કારણ કે અનુકૂળતા પ્રતિકૂળતામાં ફેરવાઈ રહી છે.

અહી ઉપર મેં જે નામ ગણાવ્યાં એ એવા શાસકોનાં છે જેમણે વડા પ્રધાન તરીકે મુદ્દત પૂરી કરી છે અને કેટલાકે બે કે તેનાથી વધારે મુદ્દત રાજ કર્યું છે. મોરારજી દેસાઈ આમાં અપવાદ. પણ છતાં ય તેમનું નામ ઉમેર્યું છે, કારણ કે તેમણે ભલે મુદ્દત પૂરી નહોતી કરી, તેમની રાજકીય શૈલી વિષે તેઓ વડા પ્રધાન બન્યા એ પહેલાંથી ચર્ચા થતી હતી અને કેટલાક લોકો તો ક્હે છે કે બે વાર તેઓ તેમની રાજકીય શૈલીને કારણે વડા પ્રધાનપદ ચૂકી ગયા હતા અને જ્યારે મળ્યું ત્યારે પણ તેમનું નામ દરેકને સ્વીકાર્ય નહોતું. જયપ્રકાશ નારાયણે અને આચાર્ય કૃપાલાનીએ મોરારજી દેસાઈને વડા પ્રધાન તરીકે સ્વીકારવા આગ્રહ કરવો પડ્યો હતો. લચીલાપણાનો અભાવ એ તેમની મોટી મર્યાદા હતી જે વર્તમાન વડા પ્રધાન પણ ધરાવે છે. અહીં તેમનું નામ ઉમેરવા પાછળ આ સમાનતાનું કારણ છે.

ભલે સળંગ નહીં, પણ જેઓ એકથી વધુ વખત, પણ પૂરી મુદ્દત માટે વડા પ્રધાન બન્યા હતા એવા વડા પ્રધાનોમાં જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી, ડૉ. મનમોહન સિંહ અને નરેન્દ્ર મોદીનો સમાવેશ થાય છે. અટલ બિહારી વાજપેયી ત્રણ વાર વડા પ્રધાન બન્યા હતા, પરંતુ પાંચ વરસની મુદ્દત એક જ પૂરી કરી હતી. નરેન્દ્ર મોદીના ત્રણ પુરોગામી વડા પ્રધાનોમાં જવાહરલાલ નેહરુને કોઈ મોટા રાજકીય પડકારોનો સામનો નહોતો પડ્યો. દેશ તાજો આઝાદ થયો હતો, એકંદરે રાજકીય સર્વસંમતી હતી, વિરોધ પક્ષો હજુ શિશુ અવસ્થામાં હતા અને નેહરુ મોહક વ્યક્તિત્વ ધરાવનારા પ્રજાના લાડલા નેતા હતા. તેમનો વિરોધ પણ કરવો હોય તો જહેમત ઉઠાવવી પડે. નેહરુ પછી ચાલીસ વર્ષે વડા પ્રધાન બનેલા ડૉ મનમોહન સિંહને બીજી મુદ્દત આકરી નીવડી હતી. તેમની જૂઠી અને નિમ્ન સ્તરની બદનામી કરવામાં આવી હતી, પણ એ માણસે પોતાની ખાનદાની જાળવી રાખી હતી અને સ્તર નીચે નહોતું ઉતાર્યું. તેમણે યોગ્ય જ કહ્યું હતું કે ઇતિહાસ તેમને ન્યાય આપશે.

નરેન્દ્ર મોદીના ત્રણ પુરોગામીઓમાં પડકારોનો સામનો ઇન્દિરા ગાંધીને કરવો પડ્યો હતો અને એ પણ એક કરતાં વધુ વખત અને અલગ અલગ પ્રકારના પડકારો. ઇન્દિરા ગાંધીનો  ૧૯૬૬થી ૧૯૭૭ એમ ૧૧ વરસનો વડા પ્રધાનપદનો પહેલો દોર હતો અને બીજો ૧૯૮૦ના પ્રારંભથી ૩૧ ઓકટોબર ૧૯૮૪માં તેમની હત્યા થઈ ત્યાં સુધીનો લગભગ પાંચ વરસનો. એની વચ્ચે અઢી વરસ વિરોધ પક્ષમાં રહીને પક્ષની અંદર સુદ્ધાં ઝંઝાવાતોનો સામનો કર્યો હતો. જેલમાં પણ ગયાં હતાં. એમાં આ ૧૧ અને પાંચ એમ કુલ ૧૬ વરસનાં શાસનમાં ઇન્દિરા ગાંધી અલગ અલગ હતાં. ૧૯૬૬થી ૧૯૬૯ સુધી કાઁગ્રેસના દિગ્ગજ નેતાઓથી ડરનારાં અને ઓછો આત્મવિશ્વાસ ધરાવનારાં હતાં. ડૉ. રામમોહન લોહિયાએ તેમને ગૂંગી ગુડિયા તરીકે ઓળખાવ્યાં હતાં. ૧૯૭૧થી ૧૯૭૪ સુધી તેઓ દુર્ગાનો અવતાર હતાં. ૧૯૭૪થી ૧૯૭૭નાં વર્ષોમાં ભાવવધારો, ભ્રષ્ટાચાર અને વિરોધ પક્ષોના સામૂહિક હુમલા સામે તેઓ કોઈ પણ માર્ગે લડતાં હતાં અને તેમાં ઈમરજન્સી લાદવાનો અને વિરોધ પક્ષોના નેતાઓને જેલમાં પૂરવાનો પણ સમાવેશ થતો હતો. ૧૯૮૦થી ૧૯૮૪નાં વર્ષોમાં પંજાબ અને આસામમાં દેશની અંદરથી પ્રજાકીય પડકારો પેદા થયાં હતાં અને દેશની એકતા અખંડતાનો પ્રશ્ન હતો. દેશને પહેલીવાર ત્રાસવાદનો પરિચય થયો હતો. સંજય ગાંધીનાં અવસાનને કારણે અંગત ખાલીપો અનુભવતાં હતાં. ૧૯૮૦થી ૧૯૮૪નાં વર્ષોમાં ઇન્દિરા ગાંધી કઠોર પણ વાત્સલ્યમૂર્તિ નજરે પડતાં હતાં. પ્રજા અને પક્ષ એ બે અલગ ચીજ છે એ તેઓ જાણતાં હતાં.

યાદ રહે, આ દરમ્યાન કાઁગ્રેસ વિભાજનને કારણે ૧૯૬૯થી ૧૯૭૧નાં બે વરસ છોડીને લોકસભામાં બહુમતીની તેમને ક્યારે ય ચિંતા નહોતી કરવી પડી. દરેક પડકાર વખતે તેમની પાસે બે-તૃતિયાંશ બહુમતી હતી. આમ છતાં ય એ મેડમ પરિસ્થિતિ બદલાય એમ પોતાને બદલતા રહેતાં હતાં. લગભગ બે દાયકા સુધી તેમણે ભારતનાં રાજકારણને પ્રભાવિત કર્યું હતું. તેનાં કેન્દ્રમાં હતાં. જો બરડ અને બરછટ હોત તો તેઓ આ ન કરી શક્યા હોત. એક સમયે બધાની ઐસીતૈસી કરીને એકલાં ચાલે (અને સામી છાતીએ આગળ પણ ચાલે) અને બીજા સમયે બધાને સાથે લઈને ચાલે. વિરોધ પક્ષની છાતી પર ચડી જાય, પણ વિરોધ પક્ષના કોઈ નેતાની ઠેકડી ઊડાડી હોય કે મળવા માટે વખત ન આપ્યો હોય કે તેમની સાથે તુચ્છકારવાળો વર્તાવ કર્યો હોય એવું બન્યું નથી. એવો એક પ્રસંગ યાદ કરી બતાવો. જેવી સ્થિતિ એવું વલણ. ભારતના એક પણ રાજકીય નેતાએ ઇન્દિરા ગાંધીએ જેવો સતત બદલાતો રાજકીય સમય જોયો હતો એવો જોયો નથી. હું એમ માનું છું કે ઇન્દિરા ગાંધી વડા પ્રધાનો માટે ટેક્સ્બૂક છે. અંગત ટ્રેજેડીથી લઈને શું નહોતું જોયું તેમણે? જેવી સ્થિતિ એવો પ્રતિસાદ.

સમય અને સંજોગો સતત બદલતાં રહેતાં હોય છે. ગાંધીજી સમય અને સંજોગોને બધો વખત પોતાને અનુકૂળ નહોતા કરી શક્યા તો બીજાની ક્યાં વાત કરીએ! ગાંધીજીએ પોતે કહ્યું છે કે મારા કહેણને અનુસરીને યજ્ઞની વેદી પર ચડી જનારા લોકો આજ મારું સાંભળતા નથી. આમ સમય અને સંજોગોને બદલાતાં રોકી શકાતા નથી, પરંતુ માણસ બદલાઈ શકે છે. જ્યારે સમય અને સંજોગો બદલાયાં અને ગાંધીજીએ પોતાનું બલીદાન આપીને ખપી જવાનો નિર્ણય લીધો ત્યારે કાઁગ્રેસના નેતાઓએ ભારે હ્રદયે અને આદરપૂર્વક ગાંધીજીને છોડ્યા હતા. પરસ્પર બન્નેને ખબર હતી કે કોણ શું કરી રહ્યું છે અને ક્યાં ય કોઈ અનાદર નહોતો. ગાંધીજીની અંદર નેહરુ અને સરદાર માટેના હેતમાં કોઈ ઘટાડો નહોતો થયો.

સમયને ઓળખવો અને તેને અનુકૂળ થવું એ ડાહ્યા માણસોનું લક્ષણ છે. એમાં રાજકારણ તો અંદર અને બહારના સત્તાના દાવેદારો સામે ટકી રહેવાનો ખેલ છે એટલે એમાં તો આ ગુણ વધારે આવશ્યક છે. ઉપર કહ્યું એમ ઇન્દિરા ગાંધી વર્તમાન અને ભાવિ વડા પ્રધાનો માટે પાઠ્યપુસ્તક છે. નરેન્દ્ર મોદીએ બદલાયેલા સંજોગોમાં બદલાવું જરૂરી છે, જેમ ઇન્દિરા ગાંધી પોતાને બદલતાં હતાં. બે-તૃતીયાંશ બહુમતી હોવા છતાં. તેમને ખબર હતી કે તાકાત સંખ્યામાં નથી, જીગર અને મસ્તિષ્કમાં છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 21 જુલાઈ 2024

Loading

ગુજરાતમાં અર્વાચીનતાના સૂરજના છડીદાર : ફાર્બસ (15)

દીપક મહેતા|Opinion - Opinion|21 July 2024

૧૫

જર્નલ ઓફ ધ બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટીના૧૮૬૭-૭૦ના અંક ૯મા ફાર્બસની બીજી એક કૃતિ પણ છપાયેલી જોવા મળે છે (પા. ૨૦થી ૧૦૦). અલબત્ત, ભૂત નિબંધની જેમ આ પણ તેમની મૌલિક કૃતિ નથી, પણ ‘રત્નમાળ’ નામની કૃતિનો અનુવાદ છે. આ કૃતિનું કર્તૃત્ત્વ કૃષ્ણાજી નામના કવિનું હોવાનું મનાય છે. અનુવાદ સાથેની પાદટીપમાં એ જર્નલના સંપાદકે નોંધ્યું છે : 

“મને જેવો મળ્યો તેવો જ આ અનુવાદ અહીં છાપ્યો છે. ૧૮૪૯માં આ અનુવાદ કર્યા પછી ફાર્બસે તેમાં કશા સુધારા-વધારા કર્યા નથી.”૩૫

રત્નમાળાનું પહેલું પાનું

એટલે કે ‘રાસમાળા’ લખી તે પહેલાં ફાર્બસે આ અનુવાદ કર્યો હતો અને એક વાર કર્યા પછી ફરી મઠાર્યો નહોતો. દલપતરામની મદદથી ફાર્બસે ગુજરાતના ઇતિહાસ અંગેની જે કૃતિઓ એકઠી કરી હતી તેમાં આ ‘રત્નમાળ’ની હસ્તપ્રતનો પણ સમાવેશ થતો હતો. વઢવાણના દેશળજી ગઢવી પાસેથી આ હસ્તપ્રત મળી હતી. એ અધૂરી હતી, છતાં તે ગુજરાતના ઇતિહાસને લગતી હતી તેથી ફાર્બસે દલપતરામ પાસે તેનો ડીંગળમાંથી ગુજરાતીમાં અનુવાદ કરાવ્યો હતો. મૂળ પદ્યમાં લખાયેલી આ કૃતિનો દલપતરામે ગદ્યમાં અનુવાદ કર્યો હતો, અને તેના પરથી ફાર્બસે અંગ્રેજી અનુવાદ કર્યો હતો. પણ ખાસ ધ્યાનપાત્ર બાબત એ છે કે ફાર્બસે પોતાના અનુવાદમાં પદ્યરચનાના બંધને અનુસરવાનો પ્રયત્ન કર્યો છે. આ કૃતિ મેળવવા પાછળ અને તેનો અનુવાદ કરવા પાછળ ફાર્બસનો હેતુ ‘રાસમાળા’ના લેખનમાં મદદરૂપ થાય તેવી સામગ્રી તૈયાર કરવાનો હતો. અનુવાદ પ્રગટ કરવાનો તેમનો આશય નહિ હોય. આથી તેમણે અનુવાદ માટે પ્રસ્તાવના લખી નથી. આ કૃતિના જે આઠ રત્ન (ખંડ) બચ્યા છે તે મુખ્યત્વે સોલંકી વંશના રાજાઓને લગતા છે. આરંભ રાજા ભુવડની વાતથી થાય છે. પોતે આવાં ૧૦૮ રત્નોની રચના કરવા માગે છે અને રાજા જયસિંહ સિદ્ધરાજ સુધી વૃત્તાન્તને આવરી લેવા માગે છે એમ તેના કર્તાએ કહ્યું છે. ચાવડા વંશ વિષે સંક્ષેપમાં વાત કર્યા પછી કર્તા રાજા ભુવડ અને ચાવડા વંશના રાજા જય શિખરી વચ્ચેની લડાઈનું વર્ણન કરે છે. ભુવડને હાથે રાજા જય શિખરી મરાય છે અને તેના પુત્ર વનરાજનો જન્મ થાય છે ત્યાં આઠમું (અને અત્યારે મળતું છેલ્લું) રત્ન પૂરું થાય છે. ફાર્બસના અવસાન પછી આ અનુવાદ જસ્ટિસ ન્યુટને ૧૮૬૮ના ફેબ્રુઆરીની ૧૩મી તારીખે એશિયાટિક સોસાયટીના સભ્યો સમક્ષ વાંચી સંભળાવ્યો હતો, અને પછીથી સોસાયટીના જર્નલમાં તે પ્રગટ થયો હતો. 

રત્નમાળની હસ્તપ્રત (ફાર્બસ ગુજરાતી સભાના સંગ્રહમાં)

ફાર્બસના અનુવાદની વિશિષ્ટતાનો ખ્યાલ આવે તે માટે તેના અનુવાદનો થોડો ભાગ જોઈએ :

Among cows, Kamadhenu is a jewel,

Among trees, the jewel is Mandar,

Among men, the learned man is a jewel,

Among women, the faithful wife is a jewel.

A tailor, an artificer, a wanio, a Bhat,

A barber, an outcast, a potter,

A physician, a man who knows the Veds,

A watchman, a land’s lord, a Josi,

The city in which these are not

Is not a city, but a jangal;

The whole of this flourish then only

When there are good poets.

The past, the future, the present,

Many men and cities we hear of;

But they who obtain a poet,

Their name alone remains famous.

The poet’s verses are pleasing,

Men and women delight to read them,

As a pearl in the world shines,

The drop of rain in the oyster’s mouth.

Therefore Raja Bhuwad, he

Poet’s skill was examining;

Krore on krore of money spending,

He kept them to his own city bringing them.

‘રાત્નામાળ’ના અનુવાદનું મુખપૃષ્ઠ

આ કૃતિ અંગે બીજી એક વાત પણ નોંધવી જોઈએ. ફાર્બસે કરેલો તેનો અંગ્રેજી અનુવાદ પહેલાં પ્રગટ થયો, મૂળ કૃતિ (જેટલી ઉપલબ્ધ હતી તેટલી) તો છેક ૧૯૦૩માં છપાઈ હતી. રેવાશંકર અંબારામ ભટ્ટે તે છપાવીને પ્રગટ કરી હતી. જો કે પુસ્તકના ટાઈટલ પેજ પર તેમણે આ કૃતિ દલપતરામે લખી હોવાનો ભ્રમ ઊભો થાય તે રીતે તેમનું નામ મૂક્યું છે : “આ ગ્રંથ એલેક્ઝાન્ડર કીન્લાક ફાર્બસ સાહેબે મેળવેલો અને કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈએ લખેલો.’ આપણે અગાઉ જોયું તેમ દલપતરામ ‘રત્નમાળ’ના કર્તા નથી, અનુવાદક છે. છપાયેલા પુસ્તકમાં દલપતરામે એકઠી કરેલી બીજી કેટલીક સામગ્રી પણ રેવાશંકરે સમાવી લીધી છે. 

(ક્રમશ:)
e.mail : deepakbmehta@hotmail.com

Loading

‘આર યા પાર’: વિધાનસભાની ચૂંટણીમાં ભા.જ.પા.ના અભિગમની આકરી કસોટી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|21 July 2024

એક કરતાં વધુ પરિબળો જાળવશે નહીં તો ભા.જ.પા. અને સાથીઓ માટે હવેલી લેતાં ગુજરાત ખોઇ વાળો ઘાટ થશે

ચિરંતના ભટ્ટ

હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર સાથે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. 2025 પહેલાં દિલ્હી અને બિહારમાં પણ ચૂંટણી થશે. તાજેતરમાં જ ચૂંટણી પંચે મતદાતાઓની યાદી અપડેટ કરવાની જાહેરાત કરી. હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી એક સાથે ઑક્ટોબરમાં જ જાહેર કરાય એવી પૂરી શક્યતા છે. અગાઉ ઝારખંડની ચૂંટણી આ બે રાજ્યોથી અલગ યોજાતી. આ રાજ્યોની ચૂંટણીનું મહત્ત્વ તો હંમેશાં રહ્યું જ છે પણ 4થી જૂને જે પરિણામ આપ્યા તેના પછી ભા.જ.પા. અને કાઁગ્રેસ બન્ને પક્ષો માટે આ ચૂંટણીની અગત્યતા વધી છે. આમ પણ 4થી જૂન પછી આમ કંઇ નથી બદલાયું પણ એક રીતે જોઇએ તો બહુ બધું બદલાઇ ગયું. 400 પારના દેકારા શાંત પડી ગયા છે કારણ કે એવું કંઇ થઇ ન શક્યું. જો કે ગઠબંધનની મદદથી સરકાર બનાવનારી ભા.જ.પા.નો આત્મવિશ્વાસ ડગ્યો નથી એવું બતાડવાની બધી જ કોશિશ કરાઇ રહી છે. વિરોધ પક્ષ પણ એ જ છે જે 4 જૂનના પરિણામ પહેલાં હતો, બસ ફેર એટલો છે કે તેમની પાસે લોકસભામાં બેઠકો પહેલાં કરતાં વધારે છે. ભા.જ.પા. હવે રાહુલ ગાંધી વિશે એલફેલ બોલતાં અચકાય છે કારણ કે ભલે દેખાડે નહીં પણ હકીકત તો એ જ છે કે 400 પારના દાવાનું સુરસુરિયું થયું હોવાથી ભા.જ.પા. જરા શાંત છે. વળી થપ્પડ મારીને ગાલ લાલ તો રાખવો પડે. આ સંજોગોમાં વિધાનસભાની ચૂંટણીમાં કંઇ કાચું ન કપાય એ ભા.જ.પા. માટે જરૂરી છે. જમ્મુ કાશ્મીરમાં સંજોગો જુદાં છે પણ ત્યાં પણ લેન્ડમાઇન પર ચાલવા જેવી હાલત તો ખરી જ.

ગૃહ મંત્રી અમીત શાહે મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણામાં બેઠકો શરૂ કરી દીધી છે. હરિયાણામાં ભા.જ.પા. કોઇપણ ગઠબંધન, કોઇના ય ટેકા વગર ચૂંટણી લડશે એવી જાહેરાત પણ કરી છે.

ભા.જ.પા. માટે મહારાષ્ટ્રમાં સંતુલન જાળવવું એટલે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. ભા.જ.પા. પાસે મહારાષ્ટ્રમાં બે સાથીઓ છે – એકનાથ શિંદે જૂથની શિવસેના અને અજીત પવારવાળી NCP. આ બે પ્રાદેશિક પક્ષો સાથે મળીને ભા.જ.પા. મહારાષ્ટ્રમાં પગદંડો જમાવવાની જહેમત કરે છે. જો કે લોકસભાની ચૂંટણીમાં ભા.જ.પા. અને સાથીઓની કારી ફાવી નહીં. આમ પણ મહારાષ્ટ્ર પહેલેથી જ ભા.જ.પા. માટે અઘરું રહ્યું છે.

INDIA અલાયન્સની વાત કરીએ તો આખું સંગઠન આવનારી ચૂંટણીમાં સાથે છે પણ હરિયાણામાં કાઁગ્રેસ અને આપ એક થાય એવી કોઇ શક્યતા નથી એવું કાઁગ્રેસના જયરામ રમેશે કહ્યું છે. આ તરફ મહારાષ્ટ્રમાં NCP (SP)ના શરદ પવારે પક્ષના કાર્યકરોને એમ કહીને પાવર બતાડ્યો છે કે મહારાષ્ટ્રમાં તો સત્તા આપણા હાથમાં જ રહેવાની છે.

મહારાષ્ટ્રમાં INDIA સંગઠનને મહા વિકાસ અઘાડીને નામે પણ ઓળખવામાં આવે છે અને તેમને અત્યારે ભા.જ.પા. પોતાના મહારાષ્ટ્રનાં સાથીઓ સાથે જોડાઇને પણ 2024ની લોકસભાની ચૂંટણીમાં ધુંઆધાર પ્રદર્શન ન કરી શકી તેનો નશો છે અને માટે એ પણ જોરમાં છે. પણ શું ઉદ્ધવ ઠાકરે જે મહારાષ્ટ્રમાં INDIA સંગઠનની ઓળખ બની રહેશે કે કેમ તે અંગે હજી સુધી કોઇ નક્કર જાહેરાત કરાઇ નથી. મહા વિકાસ અઘાડી હાલમાં એકમત અને યોગ્ય રીતે બેઠકોની વહેંચણી થાય તેની યોજનાની તડામાર તૈયારીમાં પડ્યા છે. નાના પક્ષોને સાથે વણી લેવાની તજવીજ પણ ચાલે છે.

2025નું વર્ષ આવી પહોંચશે પણ તે પહેલાં હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ, દિલ્હી અને બિહારમાં વિધાનસભાની ચૂંટણી થશે. હા જેને કેન્દ્રમાં સત્તા પર બેસવું હોય અને ટકી રહેવું હોય એને માટે ઉત્તર પ્રદેશ સૌથી વધારે અગત્યનું રાજ્ય છે પણ રામ મંદિર પછી પણ જો ભા.જ.પા.ને અને યોગીને લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ ફળ્યું ન હોય તો આ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં બધું સચવાઇ જાય એની પૂરી તકેદારી રાખવી પડે.

ભા.જ.પા.એ જો પોતાનું સિંહાસન જરા ય ડોલે નહીં એમ રાખવું હોય તો મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડ – આ ત્રણમાંથી કમ સે કમ બે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી જીતવી પડે. જો એમ નહીં થાય તો પછી NDAમાં અંદરોઅંદર બબાલ થવાની પૂરી શક્યતા છે. નરેન્દ્ર મોદી સરકારની ત્રીજી ટર્મની સ્થિરતાનો આધાર NDAના સભ્યો વિધાનસભાની ચૂંટણીમાં કેવો દેખાવ કરે છે તેની પર જ રહેલો છે. TDP અને JD (U) આ પરિણામો પર અને NDAનું અંતે શું થાય છે તેની પર ચાંપતી નજર રાખશે એ નક્કી.

આમ પણ મહારાષ્ટ્ર અને હરિયાણામાં ભા.જ.પા.ની સરકાર સાથીઓના સહકારથી બનેલી છે, ઝારખંડ મુક્તિ મોરચા અને સાથીઓની સરકાર ઝારખંડમાં છે. આ વર્ષે લોકસભાના પરિણામોમાં ઝારખંડમાં NDA કરતાં INDIA ગઠબંધનને સારો દેખાવ કર્યો છે. ઝારખંડમાંમાં JMM, કાઁગ્રેસ, RJD અને CPI (ML) અત્યારે તો પ્રચારના પ્લાનિંગમાં છે. હેમંત સોરેન યુવાનો અને મહિલાઓને લક્ષ્યમાં રાખીને કલ્યાણ યોજનાઓને અગ્રિમતા આપાય તેની પર કામ કરી રહ્યા છે.

લોકસભાની ચૂંટણીમાં જે પરિણામો આવ્યા છે તેને આધારે વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોની અટકળ બાંધવી કે નહીં એ મોટો પ્રશ્ન છે. INDIA સંગઠનના નેતાઓનું માનવું છે કે લોકસભાના પરિણામોનો પ્રભાવ વિધાનસભાની ચૂંટણી પર પણ દેખાશે. બીજી તરફ 2014 અને 2019નું દૃષ્ટાંત આપીને ભા.જ.પ.ના નેતાઓ એમ કહે છે કે દિલ્હી અને ઝારખંડમાં ત્યારે લોકસભાની ચૂંટણીમાં પક્ષનું પરિણામ સારું હોવા છતાં પણ 2015 અને 2020માં વિધાનસભાની ચૂંટણીમાં તો AAPની જીત થઇ હતી.

વિધાનસભાની ચૂંટણી સ્થાનિક મુદ્દાઓ પર લડાતી હોય છે એટલે લોકસભાના પરિણામોને આધારે કંઇપણ નક્કી કરવું યોગ્ય ન ગણાય. વળી લોકસભાની ચૂંટણી પહેલાં ભા.જ.પા.એ જે રીતે વિરોધપક્ષોને દબાવવા માટે પગલાં લીધાં છે તેને કારણે વિરોધપક્ષો પ્રત્યે મતદાતાઓ કુમળાં પડ્યા છે. જેમ કે ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને હેમંત સોરેન જેવા નેતાઓ પ્રત્યે લોકોમાં સહાનુભૂતિ છે. આ સંજોગોમાં ભા.જ.પા. માટે આવનારા કેટલાક મહિનાઓ બહુ અગત્યના છે. મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં ભા.જ.પા. તરફી જે પણ નકારાત્મક લાગણી હશે તેને દૂર કરવા ભા.જ.પા.એ મથવું પડશે. ટેકેદારોને હાથમાં રાખવા પડશે, ગ્રામીણ વિસ્તારોમાં પહોંચવું પડશે અને ખેડૂતોના પ્રશ્નો સહિત બેરોજગારીથી માંડીને અગ્નિવીર, પેપર લીક્સ જેવા પ્રશ્નોનો તાર્કિક અને નક્કર ઉકેલ લાવવો પડશે.

હરિયાણાની વાત કરીએ તો જ્યાં 2019માં ભા.જ.પા.ને દસ બેઠક મળી હતી ત્યાં આ વખતે લોકસભાની ચૂંટણીમાં માત્ર પાંચ બેઠક મળી અને કાઁગ્રેસને દસ બેઠક મળી. મહારાષ્ટ્રમાં સત્તા પર મહાયુતિની સરકાર હોવા છતાં ભા.જ.પા. – NDAના હાથમાં 17 બેઠકો જ આવી, જ્યારે મહા વિકાસ અઘાડીને 3૦ બેઠકો પર જીત મળી. મહારાષ્ટ્ર વિધાનસભામાં 288 સભ્યો છે અને હરિયાણમાં 90 સભ્યો છે.

હરિયાણામાં કાઁગ્રેસને કળ વળી છે અને પાર્ટી ફરી બેઠી થઇ છે. લોકસભાની ચૂંટણી પહેલાં ભા.જ.પા.ના સરકારના મુખ્ય મંત્રી નાયાબ સિંઘ સૈનીની હાલત કફોડી થઇ ગઇ હતી જ્યારે ત્રણ સ્વતંત્ર સાંસદોએ ભા.જ.પા.ને આપેલો પોતાનો ટેકો પાછો ખેંચી લીધો હતો. 2019 કરતાં 2024 સાવ અલગ છે કારણ કે 2019માં તો ભા.જ.પા. હરિયાણામાં એક માત્ર સૌથી મોટા પક્ષ તરીકે સ્થાપિત થઇ હતી પણ હવે સમીકરણો બદલાઇ ગયાં છે કારણ કે મનોહરલાલ ખટ્ટર અને દુષ્યંત ચૌટાલા જેવા નેતાઓએ ભા.જ.પા.નો સાથ છોડી દીધો છે.

મહારાષ્ટ્રમાં NCP અને ભા.જ.પા. વચ્ચેના ખટરાગમાં વડા પ્રધાનની શપથ વિધિના કલાકો પહેલાં પણ તણખા ઝર્યા જ્યારે ભા.જ.પા.ના પ્રફુલ્લ પટેલને સમાવી લેવાના પ્રસ્તાવને NCPએ નકાર્યો. પ્રફુલ્લ પટેલ અજીત પવાર જૂથના છે. તેમણે મિનિસ્ટર ઑફ સ્ટેટનું પદનો અસ્વીકાર કરતાં એમ કારણ આપ્યું કે પોતે પહેલાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા હોય તે જો રાજ્ય સ્તરે મંત્રી પદ સ્વીકારે તો તે પોતાની પ્રતિષ્ઠાને છાજે નહીં. આ બધી ભાંજગડ એ વાતની સાબિતી આપે છે કે મહારાષ્ટ્રની મહાયુતિમાં ઘણી ગરબડ અને ઉચાટ છે. શરદ પવારનું કહેવું છે કે ભા.જ.પા.એ અજિત પવાર જૂથને સંગઠનમાંથી નીકળી જવા કહ્યું છે. NCP અને ભા.જ.પા.નું જોડાણ ભા.જ.પા.ને નુકસાન કરે છે એવું વર્તાય છે અને માટે ભા.જ.પા. હવે જુદી ગોઠવણ કરવાની મથામણમાં છે.

બિહારમાં ચૂંટણીને હજી વાર છે પણ ત્યાં પણ માળખાકીય સુવિધાઓને નામે જે ગોટાળા થયા છે તે અંગે સરકાર કંઇ જવાબ આપી શકે તેમ નથી. તૂટી પડેલા પુલોના કાટમાળ નીચે સરકારના ઢાંસુ દાવાઓ કણસી રહ્યા છે. ત્યાં વિધાનસભાની ચૂંટણી થાય એ પહેલાં ભા.જ.પા.એ ઘણું બધું સાચવવાનું રહેશે નહીંતર ‘હવેલી લેતાં ગુજરાત ખોઇ’ જેવો ઘાટ થઇ શકે છે. ઉત્તર પ્રદેશની પેટા ચૂંટણીમાં ધોયેલા મૂળા જેવા હાલ ન થાય એ માટ પણ ભા.જ.પા. એડીચોટીનું જોર લગાડી રહી છે. ટૂંકમાં ભા.જ.પા.એ કમર કસવાની જરૂર છે નહીંતર દાવાઓને શોર પછી હાથમાં આવેલો અડધો રોટલો ગળે નહીં ઉતરે એ ચોક્કસ.

બાય ધી વેઃ 

ભા.જ.પા. માટે આ રાજ્યોની ચૂંટણી સુંરગ બિછાવેલા મેદાન પર ચાલવા જેવી રહેશે. થપ્પડ મારી ગાલ લાલ રાખવાની લ્હાયમાં સાથી ટેકેદારોનું મનદુઃખ કરવાનું ભા.જ.પા.ને પોસાય એમ નથી. રાહુલ ગાંધીને વખોડવામાં સમય બગાડાય એમ નથી. દર વખતે ‘સાહેબ’નો પ્રભાવ કામ નથી કરતો અને એ પ્રકારના મતદાતાઓ પણ જે પ્રભાવમાં આવીને મત આપી દેતાં હોય છે તે પણ એક સમય પછી તો નક્કર પરિણામની માગ કરતા હોય છે. મતદાતાઓની માગ, ટેકેદારોના અહમ અને નક્કર કામગીરી સચવાશે તો ભા.જ.પા.ને ફાયદો થશે બાકી તો પછી કંઇ કહેવા જેવું નહીં રહે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 જુલાઈ 2024

Loading

...102030...492493494495...500510520...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved